ઓઢવા ચાદર નથી, સપનું તો છે
સ્વપ્નમાં લહેરાય છે પાલવ કોઈ
– રઈશ મનીઆર
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
March 22, 2025 at 12:30 AM by વિવેક · Filed under અનિલ જોશી, ગીત

દરિયાનાં ગીત નથી ગાવાં,
દરિયો તો મારા સાજનની આંખજોયું ટીપું.
લયથી હું રેબઝેબ રેલાતી જાઉં મારા ખૂટે દિવસ નહીં રાત
વાસણની જેમ પડ્યાં હાથમાંથી કામ અને વીસરાતી ચાલી આ જાત!
હું તો રણમાં જોવાતી તારી વાટ રે સજન, તમે આવો તો કૈંક હવે દીપું,
દરિયાનાં ગીત નથી ગાવાં, દરિયો તો મારા સાજનની આંખજોયું ટીપું.
ફળિયામાં ઝૂલે છે ખાખરાની ડાળ, અને ઓસરીમાં હોવાનો ભાર
ઘરની શોભા તો મારા સાજનના બોલ, હું તો કેડીનો રઝળુ શણગાર!
સાજનનાં પગલાંની ભાતને હું ઝીલવા સળીઓનાં નીડ નહીં લીંપું,
દરિયાનાં ગીત નથી ગાવાં, દરિયો તો મારા સાજનની આંખજોયું ટીપું.
– અનિલ જોશી
પાંચમા ધોરણના દિવાળી વેકેશનમાં મેં કવિતા લખવાની શરૂઆત કરી હતી એટલે કવિતા એ પહેલેથી જ મને આકર્ષતી હશે એ વાત તો નક્કી જ, પણ અનિલ જોશીની આ રચના મારા માટે એટલા માટે ખાસ છે કે આ ગીતે મને સાચા અર્થમાં કવિતાના પ્રેમમાં પાડ્યો. આ ગીત મને વરસો સુધી કંઠસ્થ રહ્યું. હજી આજેય મુખડું અને પહેલો બંધ હું અડધી રાતેય આંખ મીંચીને લલકારી શકું એટલું આ ગીત મારા દિલની નિકટ છે. આશ્ચર્ય તો એ છે કે લયસ્તરોની વીસ-વીસ વરસની સુદીર્ઘ યાત્રા દરમિયાન આ ગીત પોસ્ટ કરવાનું મને કદી સૂઝ્યું જ નહીં. મુખડામાં દરિયાની સાપેક્ષે આંસુનું ટીપું મૂકીને કવિએ બિંદુને સિંધુ સમકક્ષ પહોંચાડવાનું જે કવિકર્મ કર્યું છે એણે પહેલી જ બોલે બેટ્સમેન ક્લિન બોલ્ડ થઈ જાય એ રીતે પહેલા વાંચનમાં જ મારી વિકેટ પાડી દીધી હતી. દુનિયાની કોઈ પણ પ્રેમિકા પોતાના પ્રિયજનની આંખમાં આંસુનું ટીપું જોવા તૈયાર ન જ હોય. પ્રિયજનની આંખોમાં આવતું આંસુ દરિયાથીય વિશાળ લાગતું હોવાથી નાયિકા દરિયાનાં ગીત ગાવાં તૈયાર ન થાય એ વિભાવના પૂરી સમજાયા વિના પણ મને સ્પર્શી ગઈ હતી. કામ કરતી વ્યક્તિ પરસેવે રેબઝેબ થાય એ તો સમજાય પણ જેના હાથમાંથી વાસણની જેમ તમામ કામ પડી ગયાં હોય એવી કામધામ અને જાત વિસારે પાડીને બેઠેલ નાયિકા લયથી રેબઝેબ થઈ જાય એ રૂપકના પ્રેમમાંથી હું આજેય મુક્ત થઈ શક્યો નથી… આ ગીત વિશે લખવા બેઠો છું ત્યારે આ ગીતે મારા બાળમાનસ પર પાડેલ પ્રભાવ અને એની આજ દિનપર્યંત જીવંત રહેલ અસર મને સમજાઈ રહી છે… આભાર, અનિલ જોશી! ગીતો સાથે તમે મારું જે સગપણ બાંધી આપ્યું, એ હવે આ જન્મે તો તૂટવાથી રહ્યું…
Permalink
March 21, 2025 at 12:30 AM by વિવેક · Filed under અનિલ જોશી, ઊર્મિકાવ્ય

(મિશ્ર)
કેવો ગુમાને ગરિયો ચડ્યો છે
આ ભોંય પાડી કમનીય રેખા
ઊભી છ કાયા મુજની પ્રશાંત
બાકી ફરે છે મુજ પાસ માયા
એવું વિચારે—ના જાણતો એ
વીંટાઈ દોરી ચકરે ફગાવ્યો!
– અનિલ જોશી
(પ્રથમ કવિતા, કુમાર ૧૯૬૨)
કવિના સમગ્ર કાવ્યોને આવરી લેતા સંગ્રહ ‘સાગમટે’માં પ્રસ્તુત ઊર્મિકાવ્ય સાથે એ પ્રથમ કવિતા હોવાનો ઉલ્લેખ કરાયો છે. લયસ્તરો પર ‘અનિલ-વિશેષ’ના શ્રીગણેશ એનાથી જ કરીએ. પાછળથી આધુનિક ગુજરાતી ગીતોનો બુલંદ અવાજ બનનાર કવિએ પ્રારંભ સંસ્કૃત વૃત્તથી કરી હતી એ હકીકત પણ નોંધવા જેવી. આજની પેઢીને તો ગરિયો એટલે ભમરડો એય સમજાવવું પડે અને કદાચ હવે તો ભમરડો કોને કહેવાય એય કહેવું પડે એવા દિવસો હવે દૂર નથી. ભમરડો ભોંય પર કમનીય રેખાઓ પાડી રહ્યો છે, મતલબ આ દૃશ્ય શહેરનું નથી… શહેરની સિમેન્ટ અથવા ડામરાચ્છાદિત જમીન પર તો રેખાઓ પડવાથી રહી! ભમરડો ગતિએ ચડ્યો છે એમ કહેવાના બદલે ગુમાને ચડ્યો છે એમ કહી કવિએ કાવ્યારંભ કર્યો છે, અર્થાત્ ભમરડાનું અભિમાન અહીં કેન્દ્રસ્થાને છે. એક જગ્યાએ શાંત ઊભા રહી ભોંય પર રેખાઓ ખેંચતા ભમરડાને લાગે છે કે માયા જેવી પણ માયા પણ એની કાયાની આસપાસ ફૂદરડી ફરે છે, પણ હકીકત એ છે કે કોઈએ દોરીથી વીંટાળ્યા બાદ એને ફગાવ્યો હોવાથી એ ફરી રહ્યો છે. આપણે સહુને પણ ઈશ્વરે પોતાની દોરીથી બાંધ્યા બાદ ઇહલોકમાં ફંગોળ્યા છે. આપણું આ સંસારમાં જે કંઈ પરિભ્રમણ છે, એ બધું પરમેશ્વરની આંગળીઓના ઈશારે જ હોવા છતાં આપણે સહુ મિથ્યાભિમાનમાં જ સદૈવ રાચતા રહીએ છીએ…. કેવી સરસ ગાગરમાં સાગર જેવી રચના!
Permalink
March 20, 2025 at 12:30 AM by વિવેક · Filed under અનિલ જોશી, સાહિત્ય સમાચાર

અનિલ રમાનાથ જોશી
(૨૮ જુલાઇ ૧૯૪૦ – ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫)
ગુજરાતી ગીતકવિતાના સ્તબકોની વાત કરવી હોય તો ઘણાં નામ આંખ સામે તરી આવે, પણ અનિલ જોશીનું નામ આ તમામ નામોમાં ઉફરું તરી આવે છે, કારણ રમેશ પારેખ અને અનિલ જોશીની બેલડી પરંપરિત ગીતકાવ્યના પ્રવાહને નવ્ય વળાંક આપનાર કવિઓમાં પાયાનું અને મોભનું –ઉભય સ્થાન ધરાવે છે. આ જોડી વિશે વાત કરતાં સુરેશ દલાલ લખે છે: “રમેશ અને અનિલનાં કાવ્યો ગુજરાતી કાવ્યસૃષ્ટીમાં એક ‘લીલો’ વળાંક રચી આપે છે.”
સાવ જ અનૂઠા અને એકદમ અત્યાધુનિક કલ્પનસિક્ત વિચારોને અલગ જ માવજત આપીને અનિલ જોશીએ જે રીતે ગીતકાવ્યનું સીંચન અને સંવર્ધન કર્યાં છે એને માટે તો પ્રસંશાના મોટામાં મોટાં વનરાવન પણ વામણાં સિદ્ધ થાય. ગીતના લય સાથે તો એમણે સિદ્ધહસ્ત કવિસહજ ક્રીડાઓ કરી જ છે, પણ ગીતકવિતાને એમણે જે રીતે વણખેડ્યા વિષય-વૈવિધ્યથી નવાજી સમૃદ્ધ કરી છે, એય કાબિલે-તારીફ છે. ચંદ્રકાન્ત ટોપીવાળા લખે છે: “ગીતની બાબતમાં આધુનિક કવિતાનો પહેલો સૂર આ કવિની રચનાઓમાં પ્રગટ્યો છે. ચાલી આવેલા ગીતસ્વરૂપને દ્રઢતર્કમાંથી મુક્ત કરી સંદર્ભો અને સાહચર્યો પર, વાતાવરણના મિજાજ પર તેમ જ અસંબદ્ધ શબ્દભાવજૂથો પર તરતું કરવાનો પ્રયત્ન આથી જ એમના ‘કદાચ’ (૧૯૭૦) કાવ્યસંગ્રહમાં દેખાય છે.”
૮૪ વર્ષનું સુદીર્ઘ આયુષ્ય ભોગવી ક્ષર દેહ ત્યજી તેઓ અ-ક્ષરદેહ મૂકીને તેઓ દિવ્યચેતનામાં લીન થઈ ગયા છે. કોઈ પણ સર્જકને સાચી અંજલિ એના સર્જનની સરાહના કરીને જ આપી શકાય… આવતીકાલથી લયસ્તરો પર થોડા દિવસો સુધી અનિલમય થઈ કવિશ્રીને શબ્દાંજલિ આપીશું… આપના કવિતાપ્રેમી મિત્રોને પણ આ ઉપક્રમમાં જોડાવા નેહનિમંત્રણ પાઠવશોજી… કવિની જે અમર રચનાઓ લયસ્તરો પર અગાઉ પોસ્ટ થઈ ચૂકી છે એ રચનાઓને આ ઉપક્રમમાં ન સમાવવાનું નક્કી કર્યું છે. એ રચનાઓ અને તમામનો ટૂંકો રસાસ્વાદ આપ નીચેની કાવ્યકડીઓ ઉપર ક્લિક કરીને માણી શકશો…
Permalink
March 16, 2025 at 12:30 AM by વિવેક · Filed under અંજના ભાવસાર 'અંજુ', અનિલ ચાવડા, અમર પાલનપુરી, અર્પણ ક્રિસ્ટી, ઉર્વીશ વસાવડા, ગોવિંદભાઈ પટેલ, ચંદ્ર ૫રમાર, ચંદ્રકાન્ત દત્તાણી, જવાહર બક્ષી, તુષાર શુક્લ, પારુલ ખખ્ખર, બી. કે. રાઠોડ 'બાબુ', મયૂર કોલડિયા, રાજેશ વ્યાસ મિસ્કીન, વર્ષા પ્રજાપતિ 'ઝરમર', વિમલ અગ્રાવત, વિવેક મનહર ટેલર, શેર, સંકલન, સંગીતા સુનિલ ચૌહાણ ‘તપસ્યા’, હરીશ ઠક્કર ડૉ., હર્ષદેવ માધવ, હિતેન આનંદપરા
હોળી-ધૂળેટીના ગીતો તો પરાપૂર્વથી લખાતાં આવ્યાં છે, લખાતાં પણ રહેશે. સમય-સમત પ્રમાણે ફ્લેવર બદલાય એ સાચું, પણ દરેકની આગવી મજા છે. છેલ્લા ત્રણ દિવસથી આપણે ફાગણની રંગછોળો (પ્રથમ, દ્વિતીય અને તૃતીય)માં ભીંજાઈ રહ્યાં છીએ… આજે આ શૃંખલાની ચોથી અને હાલ પૂરતી આખરી કડી રજૂ કરીએ છીએ… જે રચનાઓનો સમાવેશ કરવાનો રહી છે, એની રસછોળો લઈને ફરી ક્યારેક ઉપસ્થિત થઈશું… આજની કાવ્યકણિકાઓને કોઈ પણ પ્રકારની પાદટીપ વિના જ માણીએ-
મસ્તી વધી ગઈ તો વિરક્તિ થઈ ગઈ,
ઘેરો થયો ગુલાલ તો ભગવો થઈ ગયો.
– જવાહર બક્ષી
આ કોણ આવીને બેઠું છે મારી આંખમાં,
ભરું હું મુઠ્ઠી ધૂળની અને ગુલાલ મળે.
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
કોઈ પણ રંગ દુનિયાનો અસર એને નથી કરતો,
પ્રણયના રંગમાં જેઓ ‘અમર’ રંગાઈ જાયે છે.
– ‘અમર’ પાલનપુરી
કાળની સમજણ વિનાનાં આપણે,
કેસૂડાં ફાગણ વિનાનાં આપણે.
સહેજ હર્ષોલ્લાસ ના નજરે ચડે,
અવસરો તોરણ વિનાનાં આપણે.
– ઉર્વીશ વસાવડા
છોકરી કેરી હથેલીમાંથી ઝરમર ઝરે ગુલાલ
છોકરા કેરી છાતીમાંથી છલ્લક છલકે વ્હાલ
બંને રંગે ને રંગાતાં સઘળું થાતું સરભર-
વાત હતી સંગીન કે એમણે રમવું’તું ઘરઘર-
– તુષાર શુક્લ
વ્હાલમનું વ્હાલ જાણે વરસે ગુલાલ એને કેમ કરી રાખવું છાનું?
સખિરિ, આવ્યું ટહૂકે ટહૂકવાનું ટાણું!
એના રંગમાં આ હૈયું રંગાણું
– તુષાર શુક્લ
રોજેરોજ હું તને રંગતો, ‘હું’ને ગમે તે રંગે,
આવ, આજ તું ‘હું’ રંગી દે, તને ગમે તે રંગે.
– તુષાર શુક્લ
એક મુઠ્ઠી ગુલાલ આપું છું,
લે, ગુલાબી ધમાલ આપું છું.
હાથ ફેલાવ સામટું લઇ લે,
ફાંટ બાંધીને વ્હાલ આપું છું.
– પારૂલ ખખ્ખર
ના કોઈ પિચકારી લીધી, ના કોઈ રંગ ગુલાલ
નખરાળાએ નજરું તાકી રંગ્યા મારા ગાલ.
– વિમલ અગ્રાવત
વૃક્ષોના કોરા કાગળે કરશે વસંત sign
ને ત્યાર બાદ રંગની જુદી જુદી design
– હર્ષદેવ માધવ
ઉપવન ‘વસન્ત’ એવો પાસવર્ડ મોકલે ત્યાં ફાગણની ખુલી ગઈ ફાઇલ,
વૃક્ષોનો સ્ક્રીન આજ એવો રંગીન, જુઓ ડાળીઓની નવી નવી સ્ટાઇલ!
ભમરાઓ રઘવાયા- આપ્યું ઉદારતાથી આંબાની મંજરીએ સ્માઇલ.
પુષ્પોનો એસ.એમ.એસ. વાંચીને કોયલ પણ જોડે છે સામે મોબાઇલ
– હર્ષદેવ માધવ
ફાગણ આવ્યો ફૂલ્યો,
શિશિર તણો પાલવ ખેંચાતાં વૈભવ સઘળો ખૂલ્યો.
કેસૂડલાની કળીએ કેવાં સ્વપ્ન સુનેરી સીંચ્યાં!
આભ તણા અંતરને આંબી હૈયાં હેતે હીંચ્યાં,
કોકિલના ટહુકારે કેવાં બદલી નાંખ્યાં મૂલ્યો!
– ગોવિંદભાઈ પટેલ
સૂરજ સગડો આજ હમચ્યો કૈં આભલે ફૂંચી હોળી,
વાયરે મેલ્યો સગડો ભોડે અંગ ભભૂતી ચોળી;
એક બોકાહે પડતું મેલ્યું ભોળિયા ઓલા હોલે!
કુલહોમને તોળવા બેઠો તરખલાને તોલે!
વાયરો સેસુડા જબરા બોલે!
– ચંદ્ર પરમાર
વસંત કેરી ડાળે ટહુકે, કોકિલ પંચમ ઢાળ કે ફાગણ આયો જી
નટખટ નટવર છેલછબીલો કરે કાંકરીચાળ કે ફાગણ આયો જી
– વર્ષા પ્રજાપતિ ‘ઝરમર’
અમથા અમે જરાક ઈશારે ચડી ગયા,
એના હૃદયના રંગ તો ગાલે ચડી ગયા!
– હરીશ ઠક્કર
રંગમાં ડૂબીને પણ છું સાવ રંગાયા વગર,
હું જગતમાં રહું, જગતથી સહેજે અંજાયા વગર.
– અનિલ ચાવડા
પંખીએ બે ટહુકા વેર્યા,
હવા બધીયે ગુલાલ થઈ ગઈ.
– અનિલ ચાવડા
એના ઘરેથી એક પંખી આવ્યું છે લઈ ટહુકામાં એની ટપાલ,
સહેજ ટહુકામાં ફળિયાની રેતી ગુલાલ
– મયૂર કોલડિયા
ચોતરફ આલિંગનો, આલિંગનો આલિંગનો
સાવ ધુંવાધાર છે ઉપદ્રવ વસંતનો!
– ચંદ્રકાન્ત દત્તાણી
વાત જુદી કંઈ ભીજાવાની તારી સંગે
આવ તને હું રંગી નાખું મારા રંગે!
– હિતેન આનંદપરા
રંગ કાચો તું લગાડીને ગયો,
ભાત હૈયે પાકી પાડીને ગયો.
સ્પર્શ એ આછો અછડતો, ને છતાં;
સ્પંદનો ભીતર જગાડીને ગયો.
– અંજના ભાવસાર ‘અંજુ’
હાથ છે લાલ લાલ લોકોના,
લોહી હો કે ગુલાલ, બીજું શું!
– બી. કે. રાઠોડ ‘બાબુ’
રંગ કોઈ હોય ના તો ચાલશે,
આંગળી મૂકી દે મારા ગાલ પર.
– અર્પણ ક્રિસ્ટી
દિલની મોસમ ફાગણ થઈ છે,
ફૂલો સરખી થાપણ થઈ છે.
– સંગીતા સુનિલ ચૌહાણ ‘તપસ્યા’
સરસ મજાના ઇન્દ્રધનુષી રંગ લગાવું ગાલે,
ફાગણિયાના ફાલે, રમીએ ભીનાંભીનાં વહાલે,
ને તું ના આવે એ ચાલે?
– વિવેક મનહર ટેલર
ઘણાક આવ્યા, ઘણા ગયા પણ ગયું છે કોરુંકટ્ટ કોણ અહીંથી ?
ઢાઈ આખરની પિચકારીથી ચતુરસુજાણ રંગાયા છે.
– વિવેક મનહર ટેલર
ખૂણા-ખાંચરા ખોળીને,
ઇચ્છાઓની ટોળીને
રંગરંગમાં ઘોળીને
ચાલ, ઉજવીએ હોળીને.
– વિવેક મનહર ટેલર
બારી સવારની જ્યાં ખોલી, ત્યાં આવી એક સપનાએ કહ્યું મને, ઓ રી !
તું લાખ બચાવ તારી ચોળી, ભીંજાવું આજે નક્કી પરમાણ તારું ગોરી.
– વિવેક મનહર ટેલર
ફાગણની મોસમનો પહેલો કમાલ જુઓ,
લીલો હતો તે થયો ગુલમોર લાલ, જુઓ.
મોસમની મહેફિલના નોખા સૂરતાલ જુઓ…
હાથ હો કે હૈયું, છે સઘળું ગુલાલ, જુઓ…
– વિવેક મનહર ટેલર
Permalink
March 15, 2025 at 12:30 AM by વિવેક · Filed under અમૃત ઘાયલ, અવિનાશ વ્યાસ, કરસનદાસ લુહાર, કાવ્યકણિકા, ગઝલ, ગની દહીંવાળા, ગીત, પુરુરાજ જોશી, પ્રિયકાંત મણિયાર, મકરન્દ દવે, મનોજ ખંડેરિયા, મેઘબિન્દુ, રમેશ પારેખ, રાજેન્દ્ર શુક્લ, શેર, સંકલન, સુરેશ દલાલ, હરીન્દ્ર દવે
ગઈકાલે અને પરમદિવસે આપણે ફાગણની પ્રથમ અને દ્વિતીય રંગછોળ માણી… આજે આ શૃંખલાની ત્રીજી કડી… ફાગણ વિષયક કવિતાઓ એકત્ર કરવા બેસીએ તો આખો ગ્રંથ ભરાઈ જાય… આપની પાસે ફાગણ અને હોળી-ધૂળેટીના રંગોની કવિતાઓ હોય તો કમેન્ટ વિભાગમાં પોસ્ટ કરવા અમારું આપને નેહનિમંત્રણ છે… ભવિષ્યમાં આ શૃંખલા આગળ વધારીએ ત્યારે એ કાવ્યકણિકાઓને એમાં સમાવિષ્ટ કરવા અચૂક પ્રયત્ન કરીશું…
પ્રકૃતિ અને સૌંદર્યના કુમાશભર્યા આલેખનના કસબી કવિ પ્રિયકાંત મણિયારનાં મુલાયમ રંગકાવ્યોમાંથી કેટલાકનાં અંશ સાથે આજની રંગછોળના શ્રીગણેશ કરીએ-
છેલછબીલે છાંટી મુજને છેલછબીલે છાંટી…
નિતના શ્યામલ જમુના જલમાં રંગ ગુલાબી વાટી…
વસન્ત આવી રમવા રમાડવા ફાગે!
રસિયા જન તણી ખુલ્લી છાતીએ લાલ લાલ
ફાગણ તણો ગુલાલ લાગે!
યૌવનના રાગને જગાયો!
ફાગણનો વાયરો વાયો,
હો, ધૂળે અવકાશ બધો ન્હાયો!
હરીન્દ્ર દવે મુદ્દાની વાત કરે છે. ઋતુચક્ર તો ફરતું રહે, મોસમ તો આવનજાવન કરતી રહે, પણ પ્રિયજન માટે તો એના પ્રિયપાત્રનો મિજાજ એ જ ખરી મોસમ-
હોઠ હસે તો ફાગુન, ગોરી! આંખ ઝરે તો સાવન,
મોસમ મારી તું જ, કાળની મિથ્યા આવનજાવન.
કઈ અણજાણી લ્હેર મને વ્હાલ કરી ગઈ,
હતું અંધારું આભ, ત્યાં ગુલાલ કરી ગઈ!
કોઈ અગોચર ઈજન દીઠું નયનભૂમિને પ્રાંગણ,
હું સઘળી મોસમમાં માણું એક અહર્નિશ ફાગણ;
શતદલ ખીલ્યા કામ્ય કમલ પર સૌમ્ય ગીતનું ગુંજન.
તેં પૂછ્યો પ્રેમનો મર્મ અને હું દઈ બેઠો આલિંગન,
મકરંદ દવેનું ‘વસંત-વર્ષા’ કાવ્ય નખશિખ આસ્વાદ્ય થયું છે… રચનાનો લય રચનાનું જમાપાસું છે.. અન્ય કાવ્યોની જેમ એનો કાવ્યાંશ માણવાના બદલે એને આખેઆખું જ કેમ ન માણીએ?-
ખેલત વસંત આનંદકંદ.
સોહે ગુલાલમય શ્યામ અંગ નીરદ નવીન પર અરુણ રંગ.
પટ પીત વીજ ચમકે અમાપ, શિર મોરપિચ્છ જયમ ઇન્દ્રચાપ.
પિચકારી કેસુ-જલ રેલછેલ, તરબોળ ગોપ ગોપી છકેલ.
નાચે નિછોરી હસી નંદલાલ, કેસર અબીલ કુંકુમ ગુલાલ.
બાજે મૃદંગ ડફ વેણુ શોર, ગાજે સુઘોષ ઘન ગગન ઘોર.
હરિ બોલ રંગ! હરિ બોલ રાગ! ગાવત ગુણીજન હોરી-ફાગ.
મકરન્દ ધન્ય મંગલ અનંત, વ્રજરાજ આજ વરસે વસંત.
શહેરની ધૂળેટી તો ઝડપભેર બદલાઈ ગઈ… પણ ગામડાંની ધૂળેટીમાં હજીય થોડી કુમાશ અને નૈસર્ગિકતા બચી ગઈ છે… શહેરોમાં તો પાલવનો છેડલો દંતકથા બનવાને આરે છે. અવિનાશ વ્યાસના એક સુંદર ગીતનો આખરી બંધ માણીએ…
પાલવનો છેડલો કેટલોયે ઢાંક્યો
તોયે ગુલાલ મારે કાળજડે વાગ્યો
મારુ કાળજડું તોડીને એ તો હાલ્યો રે…
રસિયાએ મારગડો રોકીને રંગ ઢાળ્યો..
રાજેન્દ્ર શુક્લની આ ગઝલમાંથી કયા શેર પસંદ કરવા અને કયા નહીં એ કાર્ય એટલું તો દુભર છે કે આખી ગઝલ માણ્યે જ છૂટકો. આપણા આખાય અસ્તિત્વને મઘમઘ કરી દે એવી આ ગઝલ લવિંગની જેમ ધીમે ધીમે મમળાવવા જેવી છે…
અહો શ્વાસ મધ્યે વસંતો મહોરી,
ઊડે રંગ ઊડે ન ક્ષણ એક કોરી !
ઊડે દૂરતા ને ઊડે આ નિકટતા,
અહીં દૂર ભાસે, ત્યહીં સાવ ઓરી !
ઊડે આખ્ખું હોવું મુઠીભર ગુલાલે,
ભીંજે પાઘ મોરી, ભીંજે ચુનરી તોરી !
ઊડે છોળ કેસરભરી સર સરર સર,
ભીંજાતી ભીંજવતી ચિરંતનકિશોરી !
સુભગ આપણો સ્વર બચ્યો છે સલામત,
ગઝલ ગાઈયેં, ખેલિયેં ફાગ, હોરી !
ગઝલની વાત નીકળે અને ગઝલસમ્રાટ મનોજ ખંડેરિયાને ન સ્મરીએ એ કંઈ ચાલે? માણીએ એમની સદાબહાર ગઝલનો એક યાદગાર શેર-
ઊડી રહ્યાં છે યાદનાં અબીલ ને ગુલાલ
હૈયે થયા છે આજ તો છાંટા વસંતના
નિત અબીલે-ગુલાલે લેટી છે,
આપણી જિંદગી ધૂળેટી છે.
ગઝલકારોની મહેફિલ જામી હોય તો અમૃત ઘાયલ શીદ બાકી રહી જાય?
એક રસનું ઘોયું એમ મને ટચ કરી ગયું
ખંજરો હૃદયમાં જાણે કોઈ ખચ કરી ગયું!
એ સૂર્યનેય આજ તો સૂરજમુખીનું ફૂલ
બહુ ઢીલોઢફ, ને છેક પીળોપચ કરી ગયું!
મનોજ ખંડેરિયાની ગઝલનો રણકાર ઝીલી લઈ આગળ વધારતી હોય એવી કરસનદાસ લુહારની ગઝલના બે શેર પણ આ ક્ષણે આસ્વાદવા જેવા છે:
આ પાંદપાંદમાં છે ઉમંગો વસંતના,
છલકી રહ્યા છે ફૂલમાં રંગો વસંતના.
આભાસ ગ્રીષ્મનોય પણ સ્પર્શી શકે નહીં,
ઊતરી ગયા છે લોહીમાં રંગો વસંતના.
લોહીમાં વસંતના રંગો ઊતરી જાય ત્યારે રક્તવાહિની વસંતવાહિની-રંગવાહિની બની જાય અને હૈયું કેસૂડાઈ જાય… વસંતમાં રંગનો જ મહિમા છે. આ જ કવિ બીજી એક ગઝલમાં કહે છે:
આવું થવાને પાપ કહેવું એ જ પાપ છે,
ગેરુઆ વસ્ત્રમાં પડ્યો ડાઘો વસંતનો.
ગનીચાચાની તો વાત જ નિરાળી… કહે છે:
ઉદ્યાનમાં જઈને કર્યા મેં તમોને યાદ, (કેમ ભાઈ? તો કે..)
ફૂલોને જોઈતી હતી ફોરમ વસંતમાં.
પાપી હશે એ કોણ જે ગૂંગળાવે ગીતને,
કોકિલને કોણ શીખવે સંયમ વસંતમાં!
આ ઇન્દ્રધનુષની પિચકારી કાં સપ્ત રંગમાં ઝબકોળી?
ફાગણ નહિ આ તો શ્રાવણ છે, એમાંયે રમી લીધી હોળી?
છંટાઈ ગયા ખુદ, વ્યોમ સમું પોતાનું વસ્તર ભીંજાણું?
નવલું નીલાંબર ભીંજાણું.
પુરુરાજ જોશી બહુ જ ઓછા શબ્દોમાં જે વાત કહી શક્યા છે, એ કહેવા માટે પાનાનાં પાનાં ઓછાં પડે… સારી અને સાચી કવિતાની આ જ તો ખરી ખૂબી છે, ખરું ને?-
ફાગણમાં હોળી પ્રગટાવી !
ખુદને આપણે ખોયાં સાજન !
ગામમાં ફાગણ અને હોળીની ખરી મજા એના ફટાણામાં છે… ફાગણની વાત જ અલગ અને એય વળી જો ફટાણું હોય તો એમાં ગોળથીય મીઠ્ઠી લાગે એવી ગાળ પણ આવવાની જ. ફટાણાં ગાઈને સામી વ્યક્તિને અપશબ્દોથી નવાજવાની જે આઝાદી આપણા સાહિત્યમાં છે એ ખૂબ મજાની છે… કારણ આ રીતે આપવામાં આવેલી ગાળ પણ ગાળ નહીં, પ્રેમની પ્રસાદી જ લાગે છે… ખાખરાના કેસરી રંગમાં ર.પા.ને રંગભરી પીચકારીઓ નજરેચડે છે. આખું ગીત ફાગણનો ફાટ-ફાટ વૈભવ અને યૌવનના ઉંબરે ઊભેલાછોકરા-છોકરીની પ્રણયાસિક્ત સંવેદનાઓને એવી રમતિયાળ ઢબે રજૂ કરે છે કે વાંચતા-વાંચતા જ રમવા દોડી જવાનું મન થાય…
એન્ની માનું કોરું નહીં જાય કોઈ બાકી
કે ખાખરાએ ડાળીઓની પીચકારી તાકી
ને ઢોલ હાળા ધકામૂકી ધકામૂકી થાય…
ફળિયે પલાશ ફૂલ નીતરતું ઝાડ
અને હું રે વેરાઈ જઉં રાનમાં
મારી હથેળીમાંય એવી રેખાઓ
જેવી રેખાઓ ખાખરાના પાનમાં
લીંબોળી વાવીને છાંયડા ઊછેરું પણ ચોમાસું કેમ કરી વાવવું?
ફાગણની કાળઝાળ બળતી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું.
જ્યારે શબ્દકોશ અને શરીરકોષની સીમા વળોટીને આપણે પર્વ ઉજવીએ છીએ ત્યારે જીવન નંદનવન બને છે
આંખની તો વાત ના પૂછો કે એને શું થયું
દૃશ્ય સૌ ગાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે
શબ્દકોશો ને શરીરકોષોની પેલે પારનાં –
પર્વ ઉજવાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે
સુરેશ દલાલ અંબોડામાં કેસૂડો પરોવીને આંખોમાં ફાગણનો કેફ આંજી રમવા માટે જે ઈજન આપે છે એને કોઈ કઈ રીતે ઠુકરાવી શકે?
આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ અને અંબોડે કેસૂડો લાલ;
રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !
અમે તલવાર ને ઢાલ છીએ ઘેરૈયા
અમે આજ અને કાલ છીએ ઘેરૈયા
અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા
અમે ફાગણનો ફાલ છીએ ઘેરૈયા
આજ મારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ રે…
પિચકારી મારો નહીં ગિરીધારીલાલ રે …
રાધિકાનો રંગ એક, તારુ તે વ્હાલ રે…
પિચકારી મારો નહીં ગિરીધારીલાલ રે …
અંતે સુ.દ.ના સાંવરિયા રમવાને ચાલનો પડઘો ન પાડતા હોય એ રીતે કવિ મેઘબિંદુ જે વાત રજૂ કરે છે એને રંગપૂર્વક માણીને આવતીકાલની રંગછોળની પ્રતીક્ષામાં રત થઈ જઈએ-
ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ
પછી મલક્યા વિના તે કેમ રહીયે
કામણ કીધા અહીં કેસુડે એવા
કે મહેક્યા વિના તે કેમ રહીયે
Permalink
March 14, 2025 at 12:30 AM by વિવેક · Filed under ઉમાશંકર જોશી, કાવ્યકણિકા, ગીત, જગદીશ ધનેશ્વર ભટ્ટ, જયન્ત પાઠક, ઝવેરચંદ મેઘાણી, દેશળજી પરમાર, નિનુ મઝુમદાર, નિરંજન ભગત, પ્રહલાદ પારેખ, બાલમુકુન્દ દવે, મુક્તક, રંગ અવધૂત, રાજેન્દ્ર શાહ, રામનારાયણ વિ. પાઠક, વેણીભાઈ પુરોહિત, સંકલન, સુન્દરમ, સોનેટ
ગઈકાલે આપણે ફાગણવિષયક કાવ્યકડીઓની પ્રથમ રંગછોળથી રંગાયા… આજે ધૂળેટીના દિવસે વારો છે બીજી રંગછોળથી ભીંજાવાનો-રંગાવાનો…
ફાગણમાં પ્રકૃતિ તો અવનવા રંગે રંગાય જ છે, મનુષ્યો પણ હોળી-ધૂળેટીના બહાને રંગોથી રંગાવાનું ચૂકતા નથી. કહો કે, માનવ આ રીતે કુદરત સાથે બે’ક ઘડી તાદાત્મ્ય સાધી લે છે. ઝવેરચંદ મેઘાણીના બે કાવ્યોના અંશ માણીએ-
આજ ફાગણને ફાગ, રુમઝૂમતી રમવા નીસરી;
આજ ગલ ને ગુલાલ છાંટન્તી રમવા નીસરી;
રમવા નીસરી, મુખ રાતાં કરી રે.
ફાગણ આયો, ફાગણ આયો, ફાગણ આયો રે!
ઋતુઓ કેરો રાજન આયો- ફાગણ આયો રે!
દેશળજી પરમાર જેવા કવિ પણ વસંતની હોરીથી કિનારો કરી શક્યા નથી-
પિય, આવી વસંતની હોરી;
નિજ લાવી અધર-કટોરી.
બધા તહેવારોમાં હોળીનો તહેવાર શ્રેષ્ઠ છે એ વાત રા. વિ. પાઠક હોળીના રમતિયાળ હળવા હાસ્યવિનોદ સાથે કેવી સરસ રીતે સમજાવે છે! કાવ્યાંશ માણીએ-
બ્રાહ્મણ ગાતા વેદ, બળેવને દિન નાહી ધોઈ;
પણ નાતજાતના ભેદ: હોળીથી હેઠા બધા!
સૌ સૌએ તહેવાર, એક લાલ ટપકું ભાલે ધરે,
આ તો રેલે અબીલ ગુલાલ : હોળીથી હેઠા બધા!
બાલમુકુંદ દવેના ગીતોમાં ફાગણ સોળે કળાએ ખીલતો દેખાય છે. એક કાવ્યમાં વહેલા-મોડા બધા જ આ રંગોમાં રંગાયા વિના રહી શકવાના જ નથીનો કુદરતનો કાનૂન આલેખે છે તો બીજા કાવ્યમાં જરા બારી ઉઘાડી નથી કે ફાગણવાયુના કમાલનો શિકાર થયા નથીની ચીમકી એ આપે છે-
ફાગણ ફટાયો આયો, કેસરિયા પાઘ સજાયો
વરણાગી મન લુભાયો, રંગ છાયો રંગ છાયો રે.
કો રંગ ઊડે પિચકારીએ, કેસૂડે કામણ ઘોળ્યા
કોઈ ના કોરૂ રહી જશે, જી કોઈ મોડા કોઈ વ્હેલા!
દિલદડૂલો સમાલજે ગોરી!
ફાગણવાયુ કમાલ છે હોરી!
બા’ર જો ડોકાશે બારી ઉઘાડી,
વાગશે કો’કના નેણની ગેડી!’
નિનુ મજમુદારની રચનામાં પોતાને છોડીને અન્ય સ્ત્રીના રંગે રંગાતા દિલફેંક પિયુની વાત કેવી નજાકતથી રજૂ થઈ છે એ જોવા જેવું છે-
સઘળા રંગો મેં રોળ્યા દિલના રંગની સાથ
તોય પીયુની પાઘડીએ પડી કોઈ અનોખી ભાત
બધા જ કવિ ફાગણના રંગે રંગાતા હોય તો ઉમાશંકર જોશી કંઈ બાકાત રહે? જુઓ આ-
ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય કે ચૈતર કોણે દીઠો રે લોલ;
વ્હાલા મોરા, જોબન ઝોલાં ખાય કે ઝૂલણો લાગે મીઠો રે લોલ.
બહેકે જૂઈ ચમેલડી, બહેકે મલયસમીર
ફરકે મઘમય મ્હેંકતા વનદેવીના ચીર
પલાશ પુષ્પિત શોભતો જાણે દવની ઝાળ
વન વન આંચ લગાડતો ફાગણ ભરતો ફાળ
‘ફાગ ખેલો! રાગ રેલો! આજ આવી ફાગણી!’
હવા ગાતી ફરે ઘર ઘર મઘુરમદીલી રાગણી
વિશ્વનો આનંદ ઢૂંઢતી જોગણ ફાગણી આવી
ચાંદની એનો અંચળો શોભન ફાગણી આવી
ફાગણ ફૂલ્યો ફુલડે, જાણે સુહાગી ફાગ
કંઠે આવી ઉછળે હરદમ ભર્યો જે રાગ
હવા મહીં કો’ વેરતું આછો અબીલગુલાલ
હસી ઉઠે, છંટાય ત્યાં, હૈયા લાલમલાલ
રાજેન્દ્ર શાહ તો જાણે ફાગણ વેચવા ન નીકળ્યા હોય એમ કોઈ ફાગણ લ્યોની આહલેક જગાવતા નીકળી પડ્યા છે… એમના ત્રણેક કાવ્યોના રસિકાંશ માણીએ-
હે જી ફાગણ આયો ફાંકડો કોઈ ફાગણ લ્યો
એના વાંકડિયો છે લાંક રે કોઈ ફાગણ લ્યો
હો સાંવર થોરી અંખિયનમેં જોબનિયું ઝૂકે લાલ,
મોરી ભીંજે ચુંદરિયા, તું ઐસો રંગ ન ડાલ
હો સાંવર લીની કેસર ઝારી, મૈને લીનો ગુલાલ
દુનિયા કેરા ચોકમાં આજે કોણ છોરી કોણ છેલ?
ગાનમાં ઘેલાં, રંગમાં રોળ્યાં રમતાં રે અલબેલ!
આવી સુખ સુહાગન વેળ, ચારિ ઓર લાલ ઉડાયો રી.
ફાગુન આયો રી!
નિરંજન ભગત જેવા ગંભીર પ્રકૃતિના કવિ પણ વસંતના રંગથી બચી શક્યા નથી-
વસંતરંગ લાગ્યો! કુંજ કુંજ પલ્લવને પુંજ પ્રાણ જાગ્યો!
તો સામા પક્ષે વેણીભાઈ પુરોહિત તો જીવ જ રંગ અને રસના… ફાંકડો ફાગણ એમની કલમે સિરસ્થાન ન પામે તો જ નવાઈ કહેવાય, ખરું ને?
ફાગણ લાવ્યો ફૂલડાં ને વસંત લાવી રંગ:
ફાગણ ફાંકડો.
લડાવે પિચકારીના પેચ,
કરે છે લોચનિયાં લે-વેચ,
ખુશીની ચાલે ખેંચા-ખેંચ-
રંગમાં રંગ મટોડી
રમે રૂદિયામાં હોળી!
ફાગણ ફાંકડો.
સુન્દરમ્ સંતોષી જીવ છે. એમને આખી દુનિયાનો ખપ જ નથી…. કામણગારા કેસૂડાનું એક જ ફૂલ મળે એટલામાંય એમનું ચિત્ત તો રાજી રાજી…
મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરા
કેસૂડો કામણગારો જી લોલ.
જયન્ત પાઠકના એક ખૂબ મજાના ગીતનો ઉપાડ જોવા જેવો છે:
વસંતને ક્હેજો કે એકલી ના’વે:
પલ્લવના પાલવમાં મઘમઘતી એકબે
મંજરીઓ લીમડાની લાવે
કે એકલા હૈયાને ઓછું ના આવે!
હોળીમાં રંગ લઈને નીકળતા ઘેરૈયા હવે તો આપણી લોકસંસ્કૃતિનો ભૂતકાળ બનવા આવ્યા છે. ગામડાંઓમાં હજી આ પ્રથા ક્યાંક ક્યાંક જોવા મળે છે. હોળીના ઘેરૈયાની અડોઅડ સૃષ્ટિના ઘેરૈયાને મૂકીને કવિ પ્રહલાદ પારેખના ઉત્તમ સર્જન ‘ઘેરૈયા’ની આખરી બે પંક્તિઓ જોઈએ-
અમે ઘેરૈયા સૌ બહુ બહુ ઘૂમી શોધ કરતા,
કહીં ઘેરૈયો એ, કહીં છૂપવિયો રંગનિધિ આ?
જગદીશ ધનેશ્વર ભટ્ટની મજાની રચનાનો અંશ પણ પ્રમાણવા જેવો છે-
શો ફાગણ કેરો લટકો!
મઘમઘતી કળીઓની સંગે રમતો અડકો દડકો
ખળખળ વહેતા મૌન વચાળે કોણ ભરે રે ચટકો!
શો ફાગણ કેરો લટકો!
રંગ અવધૂત જેવા સંત પણ ફાગણમાં વિરહી નારનું પ્રતીક લઈને ઈશ્વર માટેની આરત પ્રગટ કરવાથી બચ્યા નથી. ફુલ્લકુસુમિત કેસુડાથી બગીચો ખીલી ઊઠ્યો હોય અને સખીસહેલી હોળી રમવામાં મગ્ન હોય તોય જેના મનમાં વિરહની હોળી સળગે છે એને તો તન ખાખ થઈ રહ્યું હોવાની અનુભૂતિ જ થાય ને! પ્રેમની ભભૂતિ અંગે ચોળીને એ પિયુ પિયુની માળા જપી રહી છે.
કુસુમાકર કેસૂડે ખીલ્યો, ભર પિચકારી માર;
સખી સાહેલી હોળી ખેલે, એકલડી હું નાર!
ઘર ઘર હોળી કાષ્ઠ જલાવે, મન હોળી તન ખાખ,
પ્રેમ-ભભૂતી ચોળી અંગે, ‘પિયુ પિયુ’ ફેરું માળ.
Permalink
March 13, 2025 at 12:30 AM by વિવેક · Filed under અજ્ઞાત, કાવ્યકણિકા, ગઢવી જીવણ રોહડિયા, દુહા, નરસિંહ મહેતા, પદ, પીંગળશીભાઈ પાતાભાઈ, ફાગુ, ભૂરો, મીરાંબાઈ, મુક્તક, રણછોડ, રત્નો, સંકલન
વસંતપંચમીએ પંચમસ્વરે છડી પોકારી નથી કે પાનખરમાં આખેઆખી કાયા ખંખેરી દઈ ખાલી થઈ ગયેલાં વૃક્ષોના હાડપિંજરમાં લીલો ગરમાટો છવાવો શરૂ થઈ જાય… વસંતનો આ રાગ ફાગણના ફાગ સુધી પહોંચતા સુધીમાં તો કેસૂડે કેસરિયાળાં કામણ દેખા દેવા માંડે છે અને થોડા જ દિવસોમાં ગુલમહોર અને સોનમહોર પણ લાલ-પીળા વાઘે સજી ધૂળેટીની તૈયારી આદરે છે… હોળી જાય અને તાપ સોળે કળાએ ખીલે ત્યારે ગરમાળો પણ મંચપ્રવેશ કરે છે પણ અત્યારે આપણી વાતનું કેન્દ્રબિંદુ ફાગણ અને હોળી-ધૂળેટીને લગતી કાવ્યકૃતિઓ હોવાથી આપણે એ દિશામાં આગળ વધીએ…
શરૂઆત પ્રાચીન ફાગુ કાવ્ય વસંતવિલાસથી કરીએ. છસોએક વર્ષ પહેલાં કોઈક અનામી કવિએ રચેલ આ કૃતિ તમામ ફાગકાવ્યોના બ્રાન્ડ એમ્બેસડર જેવી છે.
નવયૌવન અભિરામ તિ રામતિ કરઈ સુરંગિ |
સ્વર્ગિ જિસ્યા સુર ભાસુર રાસુ રમઈ મન રંગિ ||
નવયૌવનથી અભિરામ (યુવકો) રંગથી રમે છે. સ્વર્ગના તેજસ્વી દેવો જેવા તેઓ અંતરના ઉલ્લાસથી રાસ રમે છે.
મુનિજનનાં મન ભેદઈ, છેદઈ માનિની માન |
કામીય મનહ આણંદએ કંદએ પથિકપરાણ ||
(વાસંતી વાયરા) મુનિજનોના મનને ભેદે છે, માનુનીઓનાં માન છેદે છે, કામીના મનને આનંદિત કરે છે, અને પથિકજનોના પ્રાણને પીડે છે.
કેસૂયકલી અતિ વાંકુડી આંકુડી મયણચી જાણિ |
વિરહિણીનાં ઇણિ કાલિ જ કાલિજ કાઢએ તાણિ ||
કેસૂડાની વાંકી કળી જાણે મદનની આંકડી છે, વિરહિણીનાં કાળજાં તત્ક્ષણ બહાર ખેંચી કાઢે છે.
આદિકવિ નરસિંહ મહેતાના ખજાનામાં પણ ફાગણના અનેક રત્નો ભર્યાં પડ્યાં છે… બેએકનો ચળકાટ માણીએ-
કેસરભીના કહાનજી, કસુંબે ભીની નાર,
લોચન ભીનાં ભાવ–શું, ઊભાં કુંજને દ્વાર.
વેગે કુંજ પધારિયા, લચકે થઈ ઝકઝોળ,
નરસૈયાચો સ્વામી ભલે મળિયો, રંગ તણા બહુરોળ.
ચાલ રમીએ સહિ ! મેલ મથવું મહી,વસંત આવ્યો વનવેલ ફૂલી;
રસિક મુખ ચુંબીએ, વળગીએ, ઝુંબીએ,આજ તો લાજની દુહાઈ છૂટી.
નરસૈંયો રંગમાં અંગ ઉન્મત થયો,ખોયેલા દિવસનો ખંગ વળશે.
મીરાંબાઈના તો અનેક પદ… કિયા તે નામે લખવી કંકોતરી જેવો ઘાટ થાય, એટલે ચાંગલુક આચમન કરી ભીનાં થઈએ-
અબીલ ગુલાલકી ધુમ મચાઈ, ડારત પિચકારી રંગ,
લાલ ભયો વૃંદાવન જમુના, કેસર ચુવત અનંગ.
(આખેઆખું વૃંદાવન અને યમુનાના જળ લાલઘૂમ બની જાય, કામ ટપકતો હોય એવી અબીલગુલાલની ધૂમ એટલે હોળી.)
હોલી પિય બિન લાગૈ ખારી, સુનો રી સખી મેરી પ્યારી! ગિણતા ગિણતા ઘિસ ગઈં રેખા, આઁગરિયાઁ કી સારી! અજહૂઁ નહિં આયે મુરારી!
(પ્રિયજન વિનાની હોળી અકારી છે. પ્રતીક્ષાના દિવસો ગણતાં ગણતાં આંગળીઓના વેઢા ઘસાઈ ગયા પણ મુરારી આવ્યા નહીં.)
જાને ક્યા પિલાયા તૂને, બડા મજા આયા,
ઝૂમ ઊઠી રે મૈં મસ્તાની દીવાની।
(દિપીકા-રણવીરની ફિલ્મનુંગીત યાદ આવ્યું?)
કેનૂ સંગ ખેલૂ હોલી?
પિયા ત્યજ ગયે હૈં અકેલી…
હની હો ચૂવા ચંદન ઘોળિયાં, કેસર ચંદન છીરકત ગોરી હો,
હની વનરા તે વનની કુંજગલનમાં, રાધા મોહન ખેલે હોળી હો.
(અગરના વૃક્ષનો અર્ક ઘોળ્યો છે, ને સુંદરી ચંદન છાંટે છે, આમ વનરાવનની કુંજગલીમાં રાધા-મોહન હોળી રમે છે)
ચાલો, સખી! વનરાવન જઇયે, મોહન ખેલે હોળી,
સરખી સમાણી તેવતેવડી મળી છે ભમર-ભોળી.
ચૂવા ચંદન ઓર અરગજા ગુલાલ લિયે ભર ઝોળી,
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, મળી ભાવતી ટોળી.
(ચાલો સખી, વનમાં જઈએ. શ્રીકૃષ્ણ હોળી રમે છે. બધી (સખીઓ) સરખી જ ભલી-ભોળી મળી છે. ઝોળી ભરીને અગર, ચંદન અને પીળો સુગંધી ગુલાલ લઈને ગમતી ટોળી આવી મળી છે)
આજથી ત્રણેક સદી પૂર્વે ધ્રાંગધ્રા તરફના ગઢવી જીવણ રોહડિયાની ‘બારમાસી’માંથી ફાગણનો એક અંશ પણ સાંભળવા જેવો છે-
અંબા મોરિયા જી કે કેસુ કોરિયા,
ચિત્ત ચકોરિયા જી કે ફાગણ ફોરિયા.
ગલ્લાલ ઝોળી, રમત હોળી, ગોપ રમાવણાં,
આખંટ રાધા, નેહ બાધા! વ્રજ્જ માધા આવણાં!
(આંબા મહોર્યાં છે ને કેસૂડા કોળ્યાં છે, ચિત્ત ચકોર જેવા ચંચળ બન્યાં છે, કારણ કે ફાગણ ફોર્યો છે. ઝોળીમાં ગુલાલ ભરી હોળી રમાય છે ત્યારે હે ગોવાળોને રમાડનાર, સ્નેહથી બંધાયેલ કૃષ્ણ! રાધા કહી રહી છે કે વ્રજમાં આવો.)
અઢારમી સદીમાં થઈ ગયેલ રણછોડ લખે છે-
કેસર કેસુ લાલ ગુલાલા, ઉરણ ભયો આકાશ ફૂલ્યો હે ફાગણ માસ.
એ જ સદીમાં થઈ ગયેલ રત્નો સંસ્કૃત સાહિત્ય કે જૈનાચાર્યોના યુગથી ચાલતી ફાગુ કાવ્યોની પરંપરામાં ઉમેરો કરતાં કહે છે –
ફાગણ આવ્યો હે સખી, કેસૂ ફુલ્યાં રસાળ, હૃદે ફુલી ન રાધિકા, ભ્રમર કનૈયાલાલ
સઘળો શિયાળો વહી ગયો, આવ્યો ફાગણ માસ, અંતરમાં અતિ ઉપજે, હોળી રમવાની આશ
ફાગણનાં ફૂલ ખીલી ઊઠ્યાં છે આવામાં એનો સાથ સોહામણો લાગે પણ કપટી કૃષ્ણ ગોકુળ પરત આવ્યા નથી. હે સોહામણા રંગવાળા શ્યામ ! ફાગણ ફોરી ઊઠયો છે.આવામાં તો અંગ ઉપર રંગ હોય તોજ શોભે પણ હે નંદજીના લાલ ! તને તો મૂળથી જ અમારી માયા નથી રહી. આવો ગુસ્સો તો કંસ ઉપર જ કરાય, ભરપૂર જોબનવંતી રાધા ટોળીમાં હોળી રમતાં રમતાં કૃષ્ણને આમ કહે છે. અંત્યપ્રાસ અને આંતર્પ્રાસની અદભુત રચનાના કારણે આ ચારણી કૃતિ સાદ્યંત સંતર્પક થઈ છે. મેઘાણી લખે છે એમ આ રચનાકારનું નામ મોટા ભાગે ભૂરો છે. કદાચ ઉપલેટાના રહીશ ભૂરો રાવળ અથવા ભૂરો મીર પણ હોઈ શકે…
કપટી ના’વ્યા કાનજી, ગિરધારી ગોકૂલ,
સાથ લાગ્યો સોહામણો, ફાગણ ખીલ્યાં ફૂલ.
ફાગણ ફુરંગા, શામ સુરંગા ! અંગ રંગા ઓપીએ,
મુળગી ન માયા, નંદજાયા ! કંસ ઉપર કોપીએ,
ભામન ભોળી, રમે હોળી, તેમ ટોળી તાનને,
ભરપૂર જોબનમાંય ભામન, કહે રાધા કાનને.
જી ! કહે રાધા કાનને.
– ?ભૂરો
ભાવનગરના રાજકવિ પીંગળશીભાઈ પાતાભાઈની રાધાકૃષ્ણની આધુનિક બારમાસીમાંથી ‘ફાગણ’નો વૈભવ પ્રમાણીએ-
ફાગુન પ્રફુલિત, બેલ લલિતં, કીર કલિતં કોકિલં,
ગાવત રસગીતં, વસંત વજીતં, દન દરસીતં દુખ દિલં;
પહેલી કર પ્રીતં, કરત કરીતં, નાથ! અનીતં નહિ સારી,
કહે રાધે પ્યારી, હું બલિહારી, ગોકુલ આવો ગિરધારી!
(ફાગણ ખીલતાં વેલીઓ લલિત લાગે છે, પોપટ ને કોયલો કિલકિલાટ કરતાં રસગીતો ગાય છે, પણ વસંતના આવા દિવસોમાં મારું દિલ દુઃખાય છે. પ્રથમ પ્રીત કર્યા બાદ આવી કુરીતિ કરવાની અનીતિ સારી નથી…)
Permalink
March 8, 2025 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, નેહા પુરોહિત
રાત્રિના છેલ્લા પહોરે એક સપનું આવ્યું
ને
સપનામાં આવ્યો સૂરજ!
મધરો મધરો મલકે મારી સામે.
કહેઃ
‘ચાલ, મારું ચિત્ર બનાવ.’
મેં કહ્યું, ‘પહેલા સવારની ચા તો બનાવી લઉં..’
કહે – ‘તથાસ્તુ!’
થોડીવાર પછી કહે,
‘આપણી મુલાકાત પર એક કવિતા લખ.’
મેં કહ્યું, ‘નાસ્તો તૈયાર કરું છું. એમને ઓફિસ મોકલી દઉં પછી…’
કહે – ‘તથાસ્તુ!’
થોડીવાર રાહ જોઈ કહે:
‘મંડલા આર્ટ તો ફટાફટ થઈ જાય ને! એમાં મારું ચિત્ર કરી દે તો?’
મેં કહ્યું: ‘સાસુ-સસરાને ભૂખ લાગી હશે. રસોઈ કરી દઉં?’
એની માંગણી તો ચાલુ ને ચાલુ.
પણ બપોરે પહેલાં સફાઈ યાદ આવી, ને પછી વાસણ.
પછી આવ્યો કપડાંનો વારો ને પછી કચરાંપોતાંનો ને ફરી સાંજની ચાનો ને ફરી રાતની રસોઈનો.
એ તો કેવળ મધરો મધરો મલકાતો જ રહ્યો,
ને કહેતો રહ્યો,
તથાસ્તુ!
આજે જરા સમય મળ્યો તો થયું,
લાવ, કવિતાય બનાવી દઉં ને ચિત્ર પણ.
દેવતા કહેવાય એ તો.
ક્યાં સુધી વાટ જોવરાવવી?
બહુ કોશિશ કરી,
ઊભી થવા ગઈ
તો ધ્રુજતા હાથથી
લાકડી પણ છટકી ગઈ
ને…
– નેહા પુરોહિત
આજે વિશ્વ મહિલા દિવસ. આમ તો અંગત રીતે હું આ દિવસનો પ્રખર વિરોધી છું, કારણ કે વરસની ત્રણસો ચોંસઠ ચોકલેટ પોતાના ખિસ્સામાં રાખી સ્ત્રીઓને એક ચોકલેટ આપી રાજી રાખવાની પુરુષોની આ ચાલ મને પસંદ નથી. સ્ત્રી-પુરુષ સમાનતા તો રામાયણ-મહાભારતમાં પણ જોવા નથી મળતાં. લક્ષ્મણરેખા-અગ્નિપરીક્ષા-ઘરનિકાલ અને વસ્ત્રાહરણ ત્યારે પણ પુરુષો માટે નહોતાં અને આજે પણ નથી. પ્રસ્તુત રચના સીધી રીતે તો સ્ત્રી-પુરુષ અસમાનતાની વાત નથી કરતી, પણ બહુ સરસ અને વેધક રીતે ઘરમાં સ્ત્રીના નીચલા સ્થાનને ચાક્ષુષ કરે છે. રાતના છેલ્લા પહોરે જોયેલું સપનું કવયિત્રી આપણને બતાવે છે. કહે છે કે વહેલી સવારનું સપનું સાચું પડતું હોય છે. આપણને પણ સમજાય છે કે જે છે, એ નક્કર હકીકતથી જરાય ઓછું નથી.
નાનકડી માંગણીના બદલામાં સૂરજદાદા વરદાન આપવા તત્પર થયા છે, પણ સ્ત્રીનો આખો જન્મારો ઘરનું વૈતરું કરવામાં જ પસાર થઈ જાય છે. મોટા શહેરોમાં કંઈક અંશે પરિસ્થિતિ બદલાઈ છે એની ના નહીં, પણ હજી આજે પણ મોટાભાગના ભારતીય સમાજમાં પુરુષોની તુલનાએ સ્ત્રીઓએ જ ઘર સંભાળવું પડતું હોય છે. કવિતાના અંતે અચાનક ઘડપણનો અણસાર આપી ધ્રુજતા હાથમાંથી છટકે જતી લાકડી સાથે ‘ને…’ કહીને કવયિત્રીએ કાવ્ય અધૂરું છોડી દઈ સ્ત્રીની વેદનામાં સમભાગી થવા ઈજન આપ્યું છે…
Permalink
March 7, 2025 at 11:27 AM by વિવેક · Filed under ગીત, નીતિન વડગામા
જેવી જેની મોજ.
કોઈ કરે છે ખાંખાંખોળાં, કોઈ કરે છે ખોજ.
કોઈ હજી હાંકે છે જાણે એમ હવામાં હોડી.
પાર ઊતરવા કરતાં કેવી ફોગટ દોડાદોડી!
મનથી માણસ ગાંગો તેલી, મનથી રાજા ભોજ.
જેવી જેની મોજ.
કોઈ જુએ છે પરપોટાના મૂળમાં રહેતું પાણી,
કાળમીંઢ પથ્થરમાં વહેતી દેખે છે સરવાણી.
દિલનો દીવો દિવાળી ઊજવતો રોજેરોજ.
જેવી જેની મોજ.
– નીતિન વડગામા
તુંડે તુંડે મતિ ભિન્ના:। હાથની બે આંગળી સરખી ન હોય એમ બે માણસ અને બે માણસની પસંદગી પણ એકસમાન ન જ હોય એ સ્વાભાવિક છે. કોઈને કેવળ ખાંખાખોળા કરવામાં, વ્યર્થ ઉત્પાત મચાવવામાં મોજ પડતી હોય તો કોઈકને સાચી ખોજ કરવામાં મજા પડતી હોય એ બનવાજોગ છે. માણસ મનથી જ ગરીબ પણ હોય ને તવંગર પણ. કોઈ પરપોટાના સૌંદર્યને- વજનશૂન્યતા, આકાર, પાણી-પ્રકાશની લીલાથી રચાતા મેઘધનુષનું સૌંદર્ય માણવાના બદલે એના બંધારણના પિષ્ટપેષણમાં રત રહે છે તો કોઈ કાળમીંઢ પથ્થરમાં પણ સરવાણી જુએ છે. આવા માણસ માટે તો રોજેરોજ દિવાળી… ખરું ને!
સાચી ખોજ અને ઉપલક ખાંખાખોળા વચ્ચે ભેદરેખા આંકીને ભીતરી મોજ માટે આહ્વાન આપતું મસ્ત મજાનું ગીત…
Permalink
March 6, 2025 at 11:04 AM by વિવેક · Filed under ગીત, નવનીત ઉપાધ્યાય
ચપટી ચોખા ને ચપટી કંકુ રે લાવો,
મારી આતુરતાનો દરિયો… વધાવો.
ડાળખીને ફૂટું ફૂટું ફાગણનું રૂપ,
જોઈ એને વાયરાનું મન મીઠું ચૂપ,
રુમઝૂમતો પંખીનો છાંયો રે લાવો,
મારી આતુરતાનો દરિયો… વધાવો.
આણીકોર્ય ઓલીકોર્ય બેય કોર્ય હાલું,
ટહુકે છે રસ્તા હું કેમ મને ઝાલું,
ગીતોના મઘમઘ સાથિયા પુરાવો,
મારી આતુરતાનો દરિયો વધાવો.
– નવનીત ઉપાધ્યાય
એવો કવિ તો ક્યાંથી ગોતવો જેણે ફાગણનાં ગીતો ન ગાયાં હોય! ફાગણ માટેની આતુરતા તો દરિયા જેવી અસીમ-અપાર છે. પણ એની વધામણી ચપટીક કંકુચોખાથી ચાલી જશે… વામન અને વિરાટ વચ્ચેના આ વિરોધાભાસ, અને ઉભયને વળી અડખેપડખે રાખી આગળ વધતું હોવાથી ગીત પ્રારંભે જ આપણને ગમી જાય છે. એકદમ લાઘવ સાથે સરળ પ્રતીકો અને સહજ બાનીમાં રજૂ થયું હોવાથી ગીત વાંચી લીધા બાદ પણ લાંબા સમય સુધી આપણી ભીતર ક્યાંક રણઝણતું રહી જાય છે…
Permalink
March 1, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગીત, પ્રજારામ રાવળ
શિશિર તણે પગલે વૈરાગી,
વસંત આ વરણાગી !
એક ખેરવે વસ્ત્ર પુરાતન
બીજો મખલમ ઓઢે
એક ઊભો અવધૂત દિગંબર,
અન્ય પુષ્પમાં પોઢે!
શીતલ એક હિમાલય સેવી
અન્ય જગત અનુરાગી! વસંત આ વરણાગી!
એક મુનિવ્રત ભજે અવર તો
પંચમ સ્વરથી બોલે;
અરપે એક સમાધિ જગતને,
અન્ય હૃદયદલ ખોલે!
સ્પંદે પૃથિવીહૃદય વળી
વળી રાગી ને વૈરાગી! વસંત આ વરણાગી!
– પ્રજારામ રાવળ
શિશિર અને વસંત – ઋતુચક્રમાં પરસ્પર અડોઅડ હોવા છતાં સાવ ભિન્ન! વૈરાગી શિશિરના પગેરું ચાંપીને વરણાગી વસંત હળુ હળુ પ્રવેશે છે, પણ કવિને કોઈ એકની સ્તુતિ કરવાના બદલે પ્રકૃતિના આ બે અંતિમો વચ્ચેના વિરોધાભાસને ઉપસાવવામાં વિશેષ રસ છે. પ્રવાહી લય અને મસૃણ પ્રતિકોના યથોચિત પ્રયોગના કારણે ગીત વાંચતાવેંત હૃદયને સ્પર્શી જાય છે. શિયાળામાં જૂનાં પાંદડાં ખરી જતાં દિગંબર અવધૂતનો વેશ ધારતાં વૃક્ષો વસંત આવતાં જ જાણે કે મખમલની લીલી ચાદર ઓઢી પુષ્પોથી છલકાવા માંડે છે. શિશિરમાં મૌનવ્રત ધારી લેતાં પંખીઓ વસંત આવતાં જ પંચમ સ્વરે ગાન આલાપે છે. શિશિરમાં સમાધિસ્થ જણાતી વૈરાગી પ્રકૃતિ વસંતમાં પુષ્પોથી લચી પડતાં ઝાડવાંઓથી જાણે હૃદયના પડળો ન ખોલતી હોય એવી રાગી ભાસે છે.
Permalink
February 28, 2025 at 11:18 AM by વિવેક · Filed under ગઝલ, સંદીપ પુજારા
કાઢે, પણ કંઈ આવાં કાઢે?
ગઝલોમાં જે ગાંડાં કાઢે!
ભૂલથી પણ જો ભૂલ બતાવો,
કેવાં કેવાં બહાનાં કાઢે!
જાણે પણ એ માને તો નહિ,
ભૂલને ઢાંકવા રસ્તા કાઢે!
ખુદને સાચા સાબિત કરવા,
અન્યોમાં પણ વાંધા કાઢે!
અહમ્ ઘવાશે એવા ભયથી,
સૂચન સૌનાં પાછાં કાઢે!
એમ ભણાવે સૌને, જાણે
બાવો દોરાધાગા કાઢે!
– સંદીપ પૂજારા
પ્રવર્તમાન ગુજરાતી ગઝલનો ચહેરો જેટલો ઉજ્જવળ છે, એટલો જ કાલિમાયુક્ત પણ છે. એક વર્ગ એવો છે જે ગંભીરતાપૂર્વક ગઝલસાધના કરે છે, પણ બહુ મોટો ફાલ એવો છે જે તુકબંદીને જ ગઝલ માની બેઠો છે. વળી આ વર્ગની સૉશ્યલ મિડિયા પર ઉપસ્થિતિ તથા પ્રભુત્વ એટલું બધું છે કે નવોદિતો આ તુકબંદીને જ ગઝલકાળનું એકેમેવ સત્ય ગણી લે તો નવાઈ નહીં. સત્વશીલ વાંચનના શરણે જવાના બદલે વૉટ્સએપ અને ફેસબુક યુનિવર્સિટીમાં જ સાહિત્ય ભણતાં આ કથિત સાહિત્યકારોએ તો દાટ વાળ્યો જ છે, પણ પ્રસ્તુત ગઝલનું નિશાન આવા નવશીખિયાઓ કરતાં વધારે “વિદ્યા ભણતાં વધ્યો શેર; ચર્ચાવાદમાં તોલે થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો”નો સિદ્ધાંત આત્મસાત્ કરીને જીવતા સિદ્ધહસ્ત પણ આત્મરતિમાં રત સર્જકો તરફ છે. અખાના છપ્પાની જેમ જ આ ગઝલ આવા સર્જકોને સણસણતા ચાબખા મારે છે. ઈશ્વર સહુને સદબુદ્ધિ આપે એ જ પ્રાર્થના…
Permalink
February 27, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગીત, સંજુ વાળા

.
જી રે… ગોરંભા ઊમટ્યા ઘેઘૂર આભમાં
. ઘેરા પડછંદા ડણકે આરંપાર રે
ઊંડે અજવાળાં તબકી-ઝબકી જાગતાં
. જાણે ઝીણેરું ઝળકંતી તલવાર રે
. ઘેરા પડછંદા ડણકે આરંપાર રે
. તપતી માટીએ કીધી કંઈ કંઈ આરદા
. ઊંચું ઝાંખે રે જળતળ થઈને સાબદા
. વેરી તૂટયાં-તૂટયાં કાંઈ વચનું, વાયદા
ક્યાંથી ચડશે, ક્યાં ઢળશે ચતરંગ સાયબો
. કોઈ અણસારો ઊગે ના લગાર રે
. ઘેરા પડછંદા ડણકે આરંપાર રે
. કેવા ગઢની કુંવરીયુ કોણે નોતરી
. અક્ષત-કંકુ લૈ ઊભી જે આગોતરી
. દીધી જળના સ્વયંવરની કંકોતરી
કરશે લેખાં-જોખાં ને અક્ષર માંડશે
. મોંઘા મૂલે મૂલવાશે મુશળધાર રે
. ઘેરા પડછંદા ડણકે આરંપાર રે
– સંજુ વાળા
(ચતરંગ = હાથી, ઘોડા, રથ અને પયદળ એમ ચતુરંગી સૈન્યવાળો)
લયસ્તરો પર કવિના નૂતન કાવ્યસંગ્રહ “આજ અનુપમ દીઠો” (૨૦૨૪)નું સહૃદય સ્વાગત છે…
ઉનાળાએ માઝા મૂકી હોય ત્યારે તપતી માટીની એકમેવ આરદા વરસાદ પડે એ જ હોય. જળાશય સૂકાઈ જતાં દેખાવા લાગતું તળિયું સાબદું થઈ ઊંચે આભમાં ઝાંખી રહ્યું હોવાનું કલ્પન ગરમીની તીવ્રતા અને વરસાદની અનિવાર્યતાને કેવી સ-રસ રીતે અધોરેખિત કરે છે! ઘેઘૂર આભ ગોરંભે ચડ્યું છે. જંગલમાં સિંહ ડણક દેતો હોય અને એના પડધા કોતરોને ભરી દેતા હોય એવું વાતાવરણ ઘેરાયેલા આકાશમાં સર્જાયું છે. વીજળીના ચમકારા તબકી-ઝબકીને જાગતી તલવાર જેવા ઝળકે છે, પણ વરસાદ એના વાયદા પાળશે કે તોડશે એનો સહેજ પણ અણસારો આવતો નથી. ઊગવા આથમવા ટાણે આકાશને રંગોથી ભરી દેતો સૂરજ પણ આ વાદળોના કારણે દેખાતો ન હોવાથી એ ક્યાંથી ઊગશે અને ક્યાં આથમશે એય કળાતું નથી. જળનો સ્વયંવર યોજાયો હોય અને પ્રકૃતિ અક્ષત-કંકુ લઈ ઊભી હોય એવું મનોરમ્ય ટાણું કવિએ રચ્યું છે. કંકોતરી લખતી વેળા બે પક્ષ સામસામે બેસીને લેખાંજોખાં કરી, મોંઘા મૂલે કરિયાવર મૂલવી લીધા બાદ જ કંકોતરી પર અક્ષર પાડે એ લોકરિવાજને કવિએ મેઘરાજાના સ્વાગતમાં બખૂબી વણી લીધો હોવાથી ગીત વધુ આસ્વાદ્ય બન્યું છે. અંતે એ પણ સમજવાનું છે કે આ સંજુ વાળાનું ગીત છે. તરસી ધરતી અને વરસું વરસું કરવા છતાં ન વરસતા મેઘ એ ઈશ્વરને કાજ તરસતા આત્મા અને દર્શન-દુર્લભ પરમાત્માના સંદર્ભે પણ જોઈ શકાય. જે પ્રકારે કવિએ અનૂઠા લયને સાદ્યંત જાળવી રાખ્યો છે એય સારા કવિકર્મની સાહેદી પૂરે છે…
Permalink
February 22, 2025 at 11:18 AM by વિવેક · Filed under ગઝલ, વ્રજેશ મિસ્ત્રી
ક્યાં સંતાડું દરિયો? કાંઠા ક્યાં સંતાડું?
આંસુ ને આંસુના ડાઘા ક્યાં સંતાડું?
પડઘાને તો પલભરમાં ઓગાળી નાંખું,
પણ વીંઝાતા આ સન્નાટા ક્યાં સંતાડું?
સંતાડી દઉ દીકરીનાં ઝાંઝર ને કડલાં;
પણ ભીંતે આ કંકુથાપા ક્યાં સંતાડું?
લાગી છે એને પણ જાણે હવા સમયની;
રસ જીવનના ખાટા-ખાટા ક્યાં સંતાડું?
– વ્રજેશ મિસ્ત્રી
સીધેસીધી જ માણવા જેવી સરસ મજાની ગઝલ….
Permalink
February 21, 2025 at 5:19 PM by વિવેક · Filed under અદમ ટંકારવી, અરદેશર ફ. ખબરદાર, ઉમાશંકર જોશી, ઉશનસ્, કાવ્યકણિકા, કેશુભાઈ દેસાઈ, ખલીલ ધનતેજવી, જગદીપ નાણાવટી, તુષાર શુક્લ, દલપતરામ, પન્ના નાયક, પીયૂષ ભટ્ટ, ભાવિન ગોપાણી, મનોજ જોશી ડૉ., રઈશ મનીયાર, રમેશ આચાર્ય, રવીન્દ્ર પારેખ, વિકી ત્રિવેદી, વિનોદ જોશી, વિપિન પરીખ, વિવેક મનહર ટેલર, શબનમ ખોજા, શેર, હરદ્વાર ગોસ્વામી, હરીશ જસદણવાળા
આજે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે. બાંગલાદેશ જ્યારે પૂર્વ-પાકિસ્તાન હતું ત્યારે ઉર્દૂ ભાષાને રાષ્ટ્રભાષા તરીકે માથા પર મારી બેસાડવાની આજના પાકિસ્તાનની ચેષ્ટા સામે 1952ની સાલમાં આજના દિવસે હજારો વિદ્યાર્થીઓ અને ભાષાશાસ્ત્રીઓ-પ્રેમીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. પોલિસે કરેલ અંધાધૂંધ લાઠીમાર અને ગોળીબારમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા પણ આ ઘટનાનો પડઘો આખી દુનિયામાં પડ્યો. બંગાળી બાંગ્લાદેશની માતૃભાષા બની અને બાંગ્લાપ્રજાએ પોતાની ભાષા માટે દાખવેલ અપ્રતિમ પ્રેમના માનમાં 2000ની સાલથી યુનેસ્કોએ આજના દિવસને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું.
આજે લયસ્તરો પર માતૃભાષાનો મહિમા અને ચિંતા કરતી કેટલીક કાવ્યકડીઓ વડે આપણે પણ આપણી ભાષાના સંવર્ધન માટે પ્રતિબદ્ધ અને કટિબદ્ધ થઈએ… પણ પહેલાં કેટલીક પ્રતિજ્ઞા લઈએ-
• ઘરમાં અને રોજમરોજના વ્યવહારમાં ગુજરાતી ભાષાના પ્રયોગને પ્રાધાન્ય આપીશું. ખાસ કરીને બાળકો સાથે ફક્ત માતૃભાષામાં જ વાત કરીશું અને એમને પણ આપણી સાથે માતૃભાષામાં જ વાત કરવાની ટેવ પાડીશું.
• રોજ ઓછામાં ઓછો અડધો કલાક સત્વશીલ ગુજરાતી સાહિત્યનું વાંચન કરીશું. વૉટ્સએપિયા અને ફેસબુકિયા સાહિત્યનો પ્રયોગ વિવેકબુદ્ધિથી કરીશું
• મોબાઇલમાં ઓનલાઇન ગુજરાતી શબ્દકોશો અને જોડણીકોશોની એપ ડાઉનલોડ કરી એનો નિયમિત વપરાશ કરવાની આદત કેળવીશું. (ભગ્વદગોમંડલ, ગુજરાતી લેક્સિકોન અને સાર્થ ગુજરાતી જોડણીકોશ)
• મોબાઇલ પર ગુજરાતી ભાષામાં લખતી વખતે ભાષાશુદ્ધિ તરફ ખાસ ધ્યાન આપીશું
હવે થોડી કાવ્યકણિકાઓ:
દલપતરામે મહારાજા ખંડેરાવ પાસે ગુજરાતી ભાષાના પુસ્તકાલય માટે હિંમતભેર ધા નાંખી ધાર્યું કરાવ્યું હતું… બે’ક કડી જોઈએ:
આવ ગિરા ગુજરાતી તને, અતિ શોભિત હું શણગાર સજાવું;
જાણની પાસ વખાણ કરાવું, ગુણી જનમાં તુજ કીર્તિ ગજાવું;
દાખે દલપતરામ ખુદાવંદ ખંડેરાવ,
રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું.
વાત ગુજરાતી ભાષાની હોય અને ઉમાશંકર જોશીને યાદ ન કરીએ એ કેમ ચાલે?:
સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગુજરાતી.
ઉમાશંકરે જ બહુ તાર્કિક સવાલ પણ કર્યો છે-
એ તે કેવો ગુજરાતી
જે હો કેવળ ગુજરાતી ?
હિંદભૂમિના નામે જેની ઊછળે ના છાતી?
વિનોદ જોશીએ બહુ માર્મિક જવાબ આપ્યો-
હું એવો ગુજરાતી જેની;
હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી….
હું સાવજની ત્રાડ, હું જ ગરવી ભાષા લચકાતી…
હું ગિ૨નારી ગોખ, દ્વારિકા હું જ સુધા૨સ પાતી….
અરદેશર ખબરદારની ઉક્તિ તો કહેવત બની એક-એક ગુજરાતીનો હૃદયધબકાર બની રહી છે-
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
જ્યાં જ્યાં ગુજરાતી બોલાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત.
ઉશનસ્ શું કહી ગયા એય સાંભળીએ:
સહજ, સરલ મુજ માતૃભાષા, મા સમ મીઠી-વ્હાલી,
જેનાં ધાવણ ધાવી ધાવી અંગ અંગ મુજ લાલી,
જેના ઉદગારે ઉદગારે ઊછળતી મુજ છાતી,
ધન્ય ગિરા ગુજરાતી, મારી ધન્ય ગિરા ગુજરાતી.
તો ખલીલ ધનતેજવીનો હુંકાર પણ કંઈ જેવો તેવો નથી-
વાત મારી જેને સમજાતી નથી;
એ ગમે તે હોય ગુજરાતી નથી.!
તુષાર શુક્લ પણ આ જ વાત કહે છે, પણ મિજાજ પોતાના સ્વભાવ મુજબ જ ઋજુ રાખીને:
શબ્દ એક પણ લખી બોલી ના બિરદાવું ગુજરાતીને
ગુજરાતીનો મહિમા, શાને સમજાવું ગુજરાતીને!
વિશ્વપ્રવાસી રઈશ મનીઆરે પણ વિશ્વસાહિત્યના આચમન બાદ પણ પોતાના ધબકારાની ભાષા બદલાઈ ન જાય એની તકેદારી રાખી છે:
મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે.
ભૂંસાવા કયાં દીધો કક્કો, હજી પાટીમાં રાખ્યો છે.
મલક કંઈ કેટલા ખૂંદયા, બધાની ધૂળ ચોંટી પણ,
હજુ પણ મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે.
તો રઈશ મનીઆરે જ ભાષા માટે અદકેરી ચિંતા અને આવનારી પેઢી સામેના પડકારને ગાગરમાં સાગર પેઠે શબ્દસ્થ કર્યો છે:
પુત્રમાં શોધું છું ગુજરાતીપણું, શું મેં વાવ્યું ને હવે હું શું લણું?
આ વસિયત લે લખી ગુજરાતીમાં પુત્ર એ વાંચી શકે તોયે ઘણું.
રઈશ મનીઆરની ચિંતામાં વિકી ત્રિવેદી પણ સૂર પૂરાવે છે-
એથી આશા ઘાયલ થઈ છે,
મારી ભાષા ઘાયલ થઈ છે.
પણ રમેશ આચાર્યને આવી પરિસ્થિતિમાં કાળા વાદળની કોરે સોનેરી આભા વર્તાય છે:
હું છું અને મારી ભાષા છે;
કૈક થશે એવી આશા છે!
આવી જ કંઈક આશા પીયૂષ ભટ્ટ પણ સેવી રહ્યા છે-
કેવળ એ અભિલાષા,
સકળ જગતને ખૂણે ખૂણે પહોંચે મારી ભાષા.
કેશુભાઈ દેસાઈની અભિલાષા પણ મનોરમ્ય છે:
ત્રિલોકમાં ને નવે ખંડ તુજ ફોરમ રહો છવાતી,
તું ઘણું જીવો ગુજરાતી
હરીશ જસદણવાળા લિપિની વિશિષ્ટતાને ખપમાં લઈ મજાનું ભાષાકર્મ કરી બતાવે છે:
વાંચે કાનો, બોલે રાધા,
છે એવી ગુજરાતી ભાષા!
પણ આજે હાલત એવી છે કે આજની પેઢીને ઉમાશંકર-સુંદરમ-મુનશી-પન્નાલાલ વગેરે મૂર્ધન્ય સાહિત્યકારોની ગુજરાતી પરદેશની ભાષા જેવી અજાણી લાગવા માંડી છે. હરદ્વાર ગોસ્વામી આપણને આ બાબતે અજરામર શેર આપે છે:
એના કરતાં, હે ઈશ્વર! દે મરવાનું,
ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું!
અદમ ટંકારવી આંગ્લભાષા સામે વિલાઈ જતી ગુજરાતીનો ખરખરો કેવો હૃદયંગમ રીતે કરે છે-
આંગ્લકન્યા જોઈ વિલાઈ ગયું
ગુર્જરીનું રૂપ નજરાઈ ગયું
સોળ શણગારો સરર સરકી ગયા
સેંથીનું સિંદૂર ભૂંસાઈ ગયું
પન્ના નાયક એમના એક લઘુકાવ્યની પ્રારંભે માતૃભાષાની સર્ળ પણ મજાની વ્યાખ્યા આપે છે:
આપણને
જે ભાષામાં સપનાં આવે
એ
આપણી માતૃભાષા.
રવીન્દ્ર પારેખે પણ એ જ રીતે ગુજરાતી ભાષાની દુર્દશા પર લખેલ કવિતાના પ્રારંભે માતૃભાષાની સ-રસ વ્યાખ્યા કરી છે:
જન્મનું નિમિત્ત પિતા છે
પણ જન્મ આપે છે માતા
એ દૂધ નથી પાતી
ત્યારે ભાષા પાય છે
એ પાય છે તે
તળની ભાષા છે.
તો વિપિન પરીખ એક કાવ્યના અંતે પોતાને માતૃભાષા ગમવાનું પ્રમુખ કારણ છતું કરે છે:
બા નવી નવી ‘ડીશ’ શીખવા ‘Cooking Class’માં ગઈ નહોતી.
છતાં ઇંગ્લિશ નામ ખડક્યા વગર એ થાળીમાં જે મૂકતી
તે બધું જ અમૃત બની જતું.
મને મારી ભાષા ગમે છે.
કારણ મને મારી બા ગમે છે.
ડૉ. મનોજ જોશી ‘મન’ પણ મજાનું મુક્તક આપે છે:
પ્રેમ, ખુશી ને પીડમાં કાયમ વ્હારે ધાતી;
ક્રોધ, વિવશતા, ચીડમાં સ્હેજે ના શરમાતી;
દુનિયાનાં આ નીડમાં ટહુકા કરતી! ગાતી;
ભાષાઓની ભીડમાં નોખી છે ગુજરાતી!
શબનમ ખોજા પણ શબનમ જેવો તાજો-મુલાયમ શેર કહે છે:
મારા લોહીનું એ ગુજરાતીપણું
ટેરવાની ટોચ પર કક્કો ફૂટે!
ભાવિન ગોપાણી અમદાવાદના અને અમદાવાદીથી સારો વ્યવહારુ ગુજરાતી બીજો કોણ હોય? જુઓ તો-
ઈશારાથી કીધું બચાવો તો સમજ્યું ન કોઈ,
જો ભાષાના શરણે ગયો તો બચાવ્યો છે સૌએ.
જગદીપ નાણાવટી પણ દેશદેશાવરમાં આપણી ભાષાનો સિક્કો પાડવા કૃતનિશ્ચયી જણાય છે:
ચટ ને પટ, કે ક્રોસ-કિંગ હો, દુનિયાને હર ખૂણે
જ્યાં પણ પડશે, પડશે મારી ગુજરાતીનો સિક્કો
અંતે માતૃભાષાની સમસ્યા અને ઉકેલ બંનેને રજૂ કરતા વિવેક મનહર ટેલરના થોડા શેર માણીએ વિરમીએ-
આડે-અવળે નહીં, સીધા સામા મળો,
દિલ સુધી પહોંચો એ આશામાં મળો;
‘હાય-હેલ્લો’ છોડો, પૂછો- ‘કેમ છો?’
મળવું છે? તો માતૃભાષામાં મળો.
માતૃભાષાની દશા પર દિલ દ્રવે,
કેટલું ને ક્યાં સુધી રડવું હવે?
આ તરફ રંગમંચ છે, ત્યાં બ્રોડ-વે,
જોઉં, દીકરો કોને કેટલું સાચવે?
પહોંચીશું બધા ઘરમાં અમે નેટના રસ્તે,
મા ગુર્જરીનું એમ જીવતદાન બનીશું.
– વિવેક મનહર ટેલર
Permalink
February 20, 2025 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, બ્રિજેશ પંચાલ

આજે મૂડ નહોતો,
બંને કીકીઓને બહાર કાઢીને-
લખોટીઓ રમવા માંડ્યો.
વાળને હવામાં ખુલ્લા મૂકી દીધા.
હોઠને મૌન શું છે
એ શોધવા મોકલ્યા…
કાનને નકરા ઘોંઘાટ વચ્ચેથી
ટાંકણીનો અવાજ શોધી લાવવા કહ્યું.
હાથને એકબીજા સાથે બાંધી દીધા,
પગને ખીંટી ઉપર ટાંગી દીધા.
પેટને ભૂખમાં ઓગાળી દીધું.
ત્યાં મારા નાકને પાંપણ ઢળી ગયાની ગંધ આવી!
પણ,
હું કંઈ કરું એ પહેલાં જ કોઈએ મને—
ચંદન વચ્ચે સુવાડી ધુમાડો બનાવી દીધો.
– બ્રિજેશ પંચાલ
લયસ્તરો પર કવિના પ્રથમ કાવ્યસંગ્રહ ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’નું સ્વાગત…
જીવન જીવવાના મૂડના અભાવનું બીજું નામ મૃત્યુ. આમ તો આવાં મૂડ-ઑફ મૃત્યુ આપણે હજારોવાર જીવતાં હોઈએ છીએ, પણ કવિએ આખરી મૂડ-ઑફની કવિતા કરી છે. સામાન્યરીતે મન ઉદાસીન હોય અને કશામાં લાગતું ન હોય એ પળે આપણે કાચબો સ્વયંને કોચલામાં સંકોરી લે એમ આપણા અસ્તિત્ત્વને બને એટલું સંકોરી લેતાં હોઈએ છીએ, પણ અહીં આથી સાવ વિપરીત ક્રિયાઓ થઈ રહી છે. કીકીઓને આંખના ગોખલામાંથી બહાર કાઢી કથક લખોટીઓ રમવા માંડે છે. જેનું કામ બોલવાનું છે એને ન બોલવાનું શોધવા માટે મોકલી દેવાય છે, અને કાનને ઘાસની ગંજી જેવા અવાજના ખડકલામાંથી ટાંકણીનો અવાજ શોધવાનું અશક્યવત્ કામ સોંપવામાં આવે છે. હાથ-પગ-પેટ બધા જ અવયવોને નિષ્ક્રિયતાની સજા આપવામાં આવી છે… સ્વયંનું મૃત્યુ થવાની ગંધ નાકને આવે એ પહેલાં તો મૃતદેહ ચંદનની ચિતા પર ભડભડ બળી રહે છે… પ્રસ્તુત કાવ્ય બિનજરૂરી વાણીપ્રલાપથી દૂર રહી શક્યું છે એ આપણું સદનસીબ. સરવાળે, આ કાવ્ય અનુભૂતિનું કાવ્ય છે. સામાન્ય ગુજરાતી અછાંદસોથી એ અલગ તરી આવે છે.
Permalink
February 15, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, જિગર જોષી 'પ્રેમ'
તું નહીં આપે ભલે ઘાવ, ઉઝરડા તો દે,
આંસુ પણ લઈ લે, મને ખાલી તું રોવા તો દે.
જિંદગી! શેની ઉતાવળ છે, જરા કહે તો ખરી;
સામે બેસાડી તને મન ભરી જોવા તો દે!
તું કહે એવી રીતે હું પછી ઊભો થાઉં,
મારે પડવું છે એ રીતે મને પડવા તો દે.
તક જવલ્લે જ મળે છે તો આ તક તું વાપર,
આંખને આંસુ કોઈ વાર ખરચવા તો દે.
રાખ થૈ જાશે ઘડીભરમાં સ્મરણ પણ તારાં,
હૈયું સળગ્યું છે, જરા આગ પકડવા તો દે.
– જિગર જોષી
ગુજરાતી ગઝલોમાં પ્રમાણમાં ઓછા ખેડાયેલ છંદમાં મજાની ગઝલ. ગઝલમાં જે ખરી મજા છે એ રદીફારંભે આવતા તોત્તેર મણના ‘તો’ની છે. કવિ આ ‘તો’નું વજન બરાબર નિભાવી શક્યા છે એ આનંદની વાત છે. આમ તો આખી ગઝલ સરાહનીય થઈ છે, પણ મારું મન તો આખરી શેર પર જ અટકી ગયું છે….
Permalink
February 14, 2025 at 11:18 AM by વિવેક · Filed under ગીત, પદ, ભક્તિપદ, મીરાંબાઈ
પ્રેમની, પ્રેમની, પ્રેમની રે,
મને લાગી કટારી પ્રેમની.
જળ જમુનાનાં ભરવા ગયાં’તાં,
હતી ગાગર માથે હેમની રે. મને૦
કાચે તે તાંતણે હરિજીએ બાંધી,
જેમ ખેંચે તેમ તેમની રે. મને૦
મીરાં કે પ્રભુ ગિરધર નાગર,
શામળી સૂરત શુભ એમની રે. મને૦
– મીરાંબાઈ
સાચો પ્રેમ કોઈ જ આડંબરના આલંબન સ્વીકારતો નથી. પ્રેમ એટલે દિલની વાત અને દિલ તો દુનિયાના પ્રપંચોથી પરે જ હોવાનું. એટલે જે વાત દિલથી નીકળી હોય એ સરળ અને સહજ જ હોવાની. મીરાંનો પ્રેમ સમર્પણનો પ્રેમ હતો. કૃષ્ણને મેળવવાની કોઈ જ અબળખા રાખ્યા વિના એણે સ્વયંને પૂર્ણસમર્પિત કરી દીધી હતી… આપવું એ જ એના માટે પ્રેમની એકમાત્ર વ્યાખ્યા હતી. પોતે શ્રીકૃષ્ણના પ્રેમમાં ઘાયલ થઈ હોવાનો એકરાર કરતી વખતે સાવ નાની અમથી પંક્તિઓમાં ચાર-ચારવાર પોતાને વાગેલી કટારી પ્રેમની હોવાની વાતની એ પુનરુક્તિ કરે છે. આ પુનરુક્તિ કવિતાનો પ્રાણ છે. માથે સોનાની ગાગર લઈ જમુનાજળ ભરવા ગયેલ મીરાં કાચા તાંતણે બંધાઈ જઈ હરિ જેમ ખેંચે એમ ખેંચાય છે. સોનાની ગાગર અને કાચા તાંતણા વચ્ચેનો આ વિરોધાભાસ રાજરાણીની દોમદોમ સમૃદ્ધિ વચ્ચે પણ મીરાંએ કરેલ સાદગીના સ્વીકારને કેવો સ-રસ રીતે અધોરેખિત કરે છે!
Permalink
February 13, 2025 at 11:34 AM by વિવેક · Filed under ગીત, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા, સારા ટિસડેલ
શ્યામ મને ચૂમ્યો વસંતમાં,
પાનખરમાં લક્ષ્મણ,
નીરવે કેવળ જોયે જ રાખી,
ચૂમ્યો નહીં કદી પણ.
એકનું ચુંબન ગુમ ગમ્મતમાં,
બીજાનું થઈ ક્રીડા;
પણ નજરોનું ચુંબન દે છે
રાત’દી હજીય પીડા.
– સારા ટિસડેલ
(અનુ.: વિવેક મનહર ટેલર)
સાવ ટબૂકડું ગીત, પણ કેવું પ્રભાવક! જીવન ગમે એટલું ભર્યુંભાદર્યું હોય કે સાવ જ ખાલીખમ–પરિસ્થિતિ કોઈપણ હોય, શારીરિક સ્પર્શ કે સંસર્ગ તો ક્ષણજીવી જ હોવાના… પણ નજર નજર સાથે ગુફ્તેગૂ માંડીને છે…ક ભીતર સુધી જે સ્પર્શ કરી શકે છે એ કોઈ કાળે વિસ્મૃતિની ગર્તામાં લુપ્ત થઈ શકે નહીં…. દૈહિક ઉપર ઐહિકની મહત્તા કવયિત્રીએ કેવી બખૂબી પ્રસ્થાપિત કરી બતાવી છે!
*
The Look – Sara Teasdale
Strephon kissed me in the spring,
Robin in the fall,
But Colin only looked at me
And never kissed at all.
Strephon’s kiss was lost in jest,
Robin’s lost in play,
But the kiss in Colin’s eyes
Haunts me night and day.
– Sara Teasdale
Permalink
February 12, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હર્ષવી પટેલ
જેમ રણની વચાળે નદી જાય છે,
બસ, અદ્દલ એ રીતે જિંદગી જાય છે.
પગ ન મૂકું ફરી ત્યાં — વિચાર્યું હતું,
એ જ બાજુ કદમ ખુદ વળી જાય છે.
એક પળ જે જુદાઈ સદી નહીં મને,
એ જુદાઈના ટેકે સદી જાય છે.
જે નહીં આવડે લાગણીને કદી,
એ બધું બુદ્ધિને આવડી જાય છે.
એની પાસે ન શીખ્યા કશું, ભૂલ થઈ—
એવું અંતે સમય શીખવી જાય છે.
– હર્ષવી પટેલ
નદીનું ગંતવ્ય સમુદ્રમિલન છે પણ બનાસ, રુપેણ અને સરસ્વતી જેવી કુંવારી નદીઓ તો રણમાં જ પૂરી થઈ જાય છે… કવયિત્રી જ્યારે પોતાની જિંદગી પણ જે હેતુસર પ્રાપ્ત થઈ છે એ હાંસિલ કર્યા વિના જ ખતમ થઈ રહી હોવાનો સ્વીકાર આ સંદર્ભ સાથે કરે છે ત્યારે સીધાસાદા વિધાન જેવો લાગતો ગઝલનો મત્લા આપણને મજાનો લાગવા માંડે છે. આમેય, હર્ષવી પટેલ પાસેથી સાવ સરળ ભાસતી ગઝલ મળે ત્યારે સૌપ્રથમ હું સ્વયંને એક ટપલી મારી લેવાનું રાખું છું. એના શેરો સહલે-મુમ્તના (ભ્રામક સરળતા) શ્રેણીમાં આવે એવા હોય છે, જે સહેજ અટકીને ફરી વાંચો તો ચમકારો થાય… ત્રીજા શેરમાં પણ ‘સદી’ શબ્દ વડે સર્જકે મજાનો યમક અલંકાર સિદ્ધ કરી બતાવ્યો છે.
Permalink
February 8, 2025 at 12:30 AM by વિવેક · Filed under અમૃત ઘાયલ, ગઝલ
રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મુંઝાઈ મનમાં મરી જવાના!
નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના,
બિન્દુ મહીં ડૂબીને સિન્ધુ તરી જવાના!
કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના!
દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના.
છો ને ફર્યા, નથી કંઈ દીથી ડરી જવાના!
એ શું કરી શક્યા છે, એ શું કરી જવાના!
મનમાં વિચાર શું છે? અવિરામ કંઈ દીપક છે,
પ્રકાશ આંધીઓમાં પણ પાથરી જવાના.
એક આત્મબળ અમારું દુ:ખ માત્રની દવા છે,
હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના.
સ્વયં વિકાસ છીએ, સ્વયં વિનાશ છીએ!
સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના.
સમજો છો શું અમોને, સ્વયં પ્રકાશ છીએ!
દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના.
અય કાળ, કંઈ નથી ભય, તું થાય તે કરી લે!
ઈશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના!
યાંત્રિક છે આ જમાનો ફાવે છે વેગવાળા,
એ યુગ ગયા વિચારી પગલાં ભરી જવાના…
દુનિયા શું કામ ખાલી અમને મિટાવી રહી છે?
આ ખોળીયું અમે ખુદ ખાલી કરી જવાના.
– અમૃત ઘાયલ
(૧૭-૦૫-૧૯૪૪)
આજનો ગઝલકાર પાંચ શેર લખીને ગઝલ લખાઈ ગયાની હાશ અને શ્વાસ લેતો જોવા મળે છે, પણ આ એ સમયની ગઝલ છે, જ્યારે ગઝલકાર પોતાની જાત આખી નિચોવાઈ ન જાય ત્યાં સુધી ગઝલ પૂરી થવાનો શ્વાસ લેતો નહોતો. આજથી એંસી વર્ષ પૂર્વે ૧૯૪૪ની સાલમાં લખાયેલ આ ગઝલ આઠ-આઠ દાયકા પછી પણ એવીને એવી તરોતાજા અને કદાચ વધુ સમસામયિક અનુભવાય છે. મજા તો એ છે કે અગિયારમાંથી એકેય શેર નબળો કે ડાબા હાથે લખાયેલ હોવાનું મહેસૂસ નથી થતું. આ ગઝલના અગિયારે અગિયાર શેરમાં જે જુસ્સો છે એ સાચે જ પાળિયાને બેઠા કરી શકે એવો છે.
Permalink
February 7, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગીત, દાન વાઘેલા
રણ તો તરસ્યું લાગે છે, પણ-
લૂની સાથે કરારનામું કરી ઊભેલાં વાદળ સાથે
કેમ તોડવું સગપણ! ૦ રણ તો…
સમય ઉપરના સળને કોઈ ભરચક ઝામણ નખ્ખ ભરાવી
ઊતરડે છે પળમાં!
સાંઠગાંઠની સમજણ જેવા તપાસ પંચો પંપાળે છે
ખુદને પણ પોકળમાં!
મૃગજળ સંગે જંગે ચડ્યા પણ-
ભીતરમાંથી દોમદોમ પ્રહારો જેવા પરસેવાના
ટપટપ ફૂટે દર્પણ! 0 રણ તો…
પાણીનું હોય પાઉચ એમ જ પવન પડીકાંમાં વેચાતો
હોય એમ શું નથી?
ભરબપ્પોરે સૂરજ ફરતું મેઘધનુ જોયું હોય એને
અચરજ જેવું નથી!
પ્રમાણનો પરપોટો છે, પણ-
શ્વાસ ઉલેચી રેતીનો વિશ્વાસ કર્યો એ ભીનપનું પણ
ક્યાંથી છૂટે વળગણ! 0 રણ તો…
– દાન વાઘેલા
કેટલીક તરસ તરસાવનાર સાથે પણ નાતો તોડવા નથી દેતી… જે વાદળ લૂ સાથે કરારનામું કરી નહીં વરસવાનું પણ લઈ બેઠાં હોય એની સાથે પણ સગપણ તોડી ન શકે એવી પ્રીતનું સ-રસ ગીત કવિ લઈ આવ્યા છે.
Permalink
February 6, 2025 at 12:30 AM by વિવેક · Filed under અંજના ભાવસાર 'અંજુ', ગઝલ
હતું કામ અઘરું, કરીને બતાવ્યું;
કરી યાદ તમને હસીને બતાવ્યું!
તમારી સ્મરણશક્તિને દાદ આપું,
વચન ભૂલવાનું ભૂલીને બતાવ્યું.
ફકત જોર ઇચ્છાનું કારણમાં એના;
વગર પાંખે મેં જે ઊડીને બતાવ્યું.
ભલે લોકો ગુણગાન ગાતાં હવાનાં,
તમારા વિચારે શ્વસીને બતાવ્યું!
સહજ સ્મિત ને સાથ આંખોમાં મસ્તી;
તમે સાદગીથી સજીને બતાવ્યું.
પ્રવાહી ગુણો અવગણીને સ્વયંના,
ગજબ! આંસુઓએ ઠરીને બતાવ્યું.
હવે મન મગન એની મસ્તીમાં રહેશે;
મેં સ્પર્ધાથી બસ, દૂર રહીને બતાવ્યું.
– અંજના ભાવસાર ‘અંજુ’
પ્રવર્તમાન ગઝલકાર સ્ત્રી સર્જકોમાં અંજના ભાવસાર વિચારશીલ શેર અને છંદની સફાઈના કારણે અલગ તરી આવે છે. એમની ગઝલના પ્રમાણમાં સરળ લાગતા શેર પણ બીજા-ત્રીજા વાંચને વધુ પ્રભાવિત કરી શકે છે એ મારી પ્રત્યક્ષાનુભૂતિ છે. પ્રસ્તુત ગઝલ એનું એક ઉદાહરણ છે… બધા જ શેર મનનીય થયા છે…
Permalink
February 1, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પ્રણય વાઘેલા ડો
અવકાશ હોત સહેજ અગર ફેરફારનો,
તો હું કદી ન જંગ લડત આરપારનો.
લેવો પડયો છે ભાર ન કોઈ પ્રકારનો,
આભાર માનું એટલો પરવરદિગારનો.
સહકાર કે પ્રયત્ન ન હો કંઈ બિમારના,
ત્યાં આપ દોષ કાઢશો શું સારવારનો?
આપી ફકીરી એવી કે છોડી શકું બધું,
આપ્યો દમામ જેમણે જાગીરદારનો.
હું કેવી રીતે માંડુ કદમ એના આંગણે?
ના સ્મિત, ના ઉમળકો કોઈ આવકારનો,.
કર્યો સરળ-સહજ અને નિસ્વાર્થ મેં ‘પ્રણય’,
શીખ્યો ન છળકપટ કે નિયમ હું બજારનો.
– ડો. પ્રણય વાઘેલા
ગુજરાતના તબીબોને કવિતા સાથે ઊંડો રખરખાવ હોય એમ માલમ પડે છે. લયસ્તરો પર આજના ગઝલકાર પણ એમ.ડી. (મેડિસીન) કર્યા બાદ દવાના પ્રિસ્ક્રિપ્શન સાથે ગઝલ બાંધી આપે છે. સહજ ભાષામાં લખાયેલી આ ગઝલના લગભગ બધા જ શેર હૃદયંગમ થયા છે. મત્લાના શેરમાં કવિનો મિજાજ તો છતો થાય જ છે, મહાભારતના યુદ્ધની પાર્શ્વભૂ પણ તાદૃશ થાય છે. બીજો શેર પણ ખુમારીની બુલંદીઓને તાકે છે. જીવનમાં કોઈનાય ઉપકારનો ભાર લેવા મજબૂર થવું પડ્યું ન હોવાની બાબતે સર્જક ઈશ્વરનો આભાર માને છે.
Permalink
January 31, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગીત, જોગી જસદણવાળા, જોરુભા ગીડા, ભક્તિપદ
કિયો પદારથ લાધ્યો સાંઈ! કિયો ફૂંકીયો મંતર?
આધી એક ઘડીમાં ભીતર બાજે ઝીણું જંતર…
પરથમ ફૂંક લગાવ્યા ભેળા ગોખ થયા ઝળહળતા,
બીજી ફૂંકે હરિવર મારા હૈયે આવી મળતા.
ફેર કશો ના રહે સમયનો, પળ હો કે મનવંતર…
આધી એક ઘડીમાં ભીતર બાજે ઝીણું જંતર…
નુરત સુરતમાં મટી મૂળથી યુગ યુગન કી ફેરી,
અનહત નાદ ભયો જોગંદર, પાવન જીવની દેરી.
સાત જનમના પડદા પડતાં ઓરું લાગે અંતર…
આધી એક ઘડીમાં ભીતર બાજે ઝીણું જંતર…
– જોરુભા ગીડા
કવિનું મૂળ નામ જોરુભા ગીડા. ગામ જસદણ. કવિએ નામ અને અટકના પહેલા અક્ષર અને ગામનું નામ સાંકળી લઈને જોગી જસદણવાળા તરીકે આગવી ઓળખ ઊભી કરી… પણ પછી અચાનક આધ્યાત્મના રસ્તે વળી ગયા અને હવે તેઓ પોતાને પૂજ્ય બાપુ તરીકે ઓળખાવે છે…
ગુરુ બિન જ્ઞાન નહીં, હે સાધો… સાચી વાત છે. સાચા ગુરુ અને સાચો ગુરુમંત્ર જેને સાંપડે એનું જીવતર તો અડધી ઘડીમાં આશિખાનખ બદલાઈ જાય. ભીતરના ગોખલા ઝળહળવા માંડે અને હૈયે હરિનો વાસ અનુભવાય એ ઘડીએ એક પળ અને એક મન્વંતર વચ્ચેનો ભેદ પણ ભૂંસાઈ જાય છે. નુરત-સુરત આધ્યાત્મની પરિભાષામાં સામાન્યરીતે એકસાથે પ્રયોજાતા જોવા મળે છે. બહુ ઊંડી વ્યાખ્યાઓમાં ન જઈએ તો કદાચ એમ કહી શકાય કે ખુલ્લી આંખે ધ્યાન ધરવું તે નૂરત અને બંધ આંખે દર્શન કરવા તે સુરત. પરમેશ્વર સાથે સુરતા લાગી જાય તો ચોર્યાસી લાખ ફેરાની આવનજાવન ટળી જાય… સાત જનમોના આવરણ હટી જાય ત્યારે જીવ અને શિવ વચ્ચેનું અંતર પણ નાબૂદ થઈ જાય… સરવાળે, આધ્યાત્મિક રચનાઓની પંગતમાં અલગ સ્થાન મેળવી શકે એવી રચના…
(મન્વંતર = એક મનુની કારકિર્દીનો સમય; 306,720,000 વર્ષ; સુરત = બ્રહ્મ સાથે એકતાર થવું તે; નૂરત=પ્રકાશ; અનહત નાદ= પ્રણવનાદ, યોગીઓને સંભળાતો અંતર્નાદ)
Permalink
January 30, 2025 at 11:29 AM by વિવેક · Filed under અછાંદસ, રમણીક અગ્રાવત
આખા દેશમાંથી
હૃદય સુધી કોઈ પહોંચ્યું હોય તો
ત્રણ ગોળીઓ જ.
– રમણીક અગ્રાવત
ગાંધીજીના હૃદયમાં ઉતરી ગયેલી ત્રણ ગોળીઓની જેમ વાંચતાવેંત આપણા હૃદયમાં ઉતરી જતી ત્રણ નાની-નાની પંક્તિઓ અને ચિરકાળ માટે અસર મૂકી જાય એવા કેવળ એક જ વાક્યની આ કવિતા માટે વધુ કશું જ કહેવાની જરૂર નથી… બે મિનિટનું મૌન રાખીએ અને સ્વયંને અવલોકીએ…
Permalink
January 25, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગીત, બાબુ નાયક

માંડ ચડી મોભારે મેં તો ગળે ગાળિયો નાખ્યો રે;
જીવતરના જંતરનો તંતુ, હાય! અસૂરો ભાખ્યો રે.
પડ્યા પટારે પાનેતરના
સળ હજુ ના ભાંગ્યા રે;
કેસરિયાળાં કાંડાં અમને
અડવાં અડવાં લાગ્યાં રે.
બોરડિયાં આંસુડાં કેવાં, દલડે દરિયો દાખ્યો રે;
માંડ ચડી મોભારે મેં તો ગળે ગાળિયો નાખ્યો રે.
મેંદલડીની ભાત્યુંમાં હું
અધરાઈ અટવાઈ રે;
મોડબંધણાં છૂટ્યાં આજે
વેલડ શું વીંટળાઈ રે?
હડફ કરીને ઊતરી હેઠી, મોભાનો રંગ રાખ્યો રે;
માંડ ચડી મોભારે મેં તો ગળે ગાળિયો નાખ્યો રે.
– બાબુ નાયક
લયસ્તરો પર કવિના સંગ્રહ ‘ઝાકળભીનો સૂરજ’નું હૃદયપૂર્વક સ્વાગત…
દકિયાનૂસી વિષયોમાં કેદ ગીતકવિતાને ક્યારેક આવા અલગ વિષયોનું આકાશ સાંપડતું જોવામાં આવે તો કેવી રાહત થાય! ઘર આખાની છત જેના આધારે ટકી હોય એ મોભારા પર જ દોરડું બાંધીને નવપરિણીતા આત્મહત્યા કરવા માટે તૈયાર થઈ છે એ વિરોધાભાસ ગીતના પ્રારંભને વધુ ધારદાર બનાવે છે. જીવનયંત્રનો તાર અસૂરો વાગી રહ્યો છે. કેમ એ તો નાયિકા કહેતી નથી. કવિતા આમેય જવાબ આપવા બંધાયેલી નથી હોતી. પણ કડવી વાસ્તવિક્તા એ છે કે પટારામાં જે પાનેતર મૂકાયું છે એના સળ હજી પૂરા ભંગાયા નથી, મતલબ દામ્પત્યજીવનનું આકાશ હજી મધ્યાહ્નનો પ્રકાશ જોવાથી વંચિત છે. કાંડેથી મહેંદીનો રંગ પણ હજી ઊડ્યો નથી, તોય એ અડવાં લાગવા માંડ્યાં છે. દરિયા જેવું દુઃખ બોર જેવાં આંસુઓમાં ટપકી રહ્યું છે.
આત્મહત્યાનું વિજ્ઞાન એમ કહે છે કે આવેશમાં આવીને જીવ લેવા તૈયાર થયેલ વ્યક્તિ આવેશની એક પળ કોઈક રીતે જીરવી જાય તો એ કદાચ આત્મહત્યા કરવાનું માંડી વાળે. અણી ચૂક્યો વરસો જીવે. અહીં પણ કંઈક એવી જ પરિસ્થિતિ છે. મેંદીની ભાત અને માથેથી તાજેતરમાં જ છોડેલ મોડ વેલની જેમ વીંટળાઈ વળતાં આપઘાતનો વિચાર ત્યાગીને નવોઢા મોભાનો રંગ રાખતી હડફ કરતીકને નીચે ઉતરી આવે છે.
કરુણતા અને લાચારીની આસપાસ ગૂંથાયેલ આ રચના એના હેપ્પી એન્ડિંગના કારણે કદાચ વધુ હૃદયંગમ થઈ છે.
Permalink
January 24, 2025 at 12:19 PM by વિવેક · Filed under ગીત, નીતિન વડગામા
પાંદડાંએ ડાળખીને પૂછ્યું’તું કાનમાં:
બોલ, હવે કેટલુંક રહેવાનું જીવતરના જર્જર મકાનમાં?
એક દિ’ અમેય કૂણાં પગલાં પાડીને
તારી કૂખનેય કેવી ઉજાળી’તી?
કેટલીય આંખ્યુંમાં ટાઢક ઉગાડવાને
લીલપવરણી જાત બાળી’તી.
પાંદડાંએ કામણ કીધું’તું વેરાનમાં.
પાંદડાંએ ડાળખીને પૂછ્યું’તું કાનમાં.
નસમાં પીળાશ આજ વ્હેતી દેખીને અમે
ઉકેલ્યું આયખાનું પાનું,
પંખીની જેમ હાથ અમને પણ લાગ્યું છે
હળવેથી ઊડવાનું બ્હાનું.
પાંદડાંએ સમજાવી દીધું’તું સાનમાં.
પાંદડાંએ ડાળખીને પૂછ્યું’તું કાનમાં.
– નીતિન વડગામા
કહે છે કે કવિતા કહે ઓછું અને છૂપાવે વધુ. મુખરતાને કાવ્યાનુભૂતિમાં વ્યવધાન ગણવામાં આવી છે, પણ આ ગીત જુઓ… કવિએ કશું જ મોઘમ રાખ્યા વિના જે કહેવું છે એ પાંદડાને પ્રતીક બનાવી સીધેસીધું જ કહ્યું છે. પરંતુ પ્રવાહી લય અને સુસ્પષ્ટ બયાનીના કારણે કેવો અલગ જ ઊઠાવ આવ્યો છે! સીધી બાત, નો બકવાસનું પણ આગવું સૌંદર્ય છે, ખરું ને! ટૂંકમાં કહી શકાય કે તમામ સ્થાપિત નિયમોને ચાતરીને આગળ વધી જાય એ કવિતા…
Permalink
January 23, 2025 at 11:20 AM by વિવેક · Filed under અછાંદસ, રવીન્દ્ર પારેખ
વાત તો આટલી જ હતી
કે આપણે મળીએ
પણ ન મળ્યાં
વચ્ચે કેટલાં બધાં ફૂલો ખીલ્યાં
કેટલાં બધાંએ
એ
એકબીજાને આપ્યાં
કેટલું બધું પાણી હેતની જેમ વહ્યું
ને
કેટલાં બધાંએ એકબીજાને પાયું
કેટલાં બધાંએ એકબીજાનાં સપનાં જોયાં
ને એકબીજાને બતાવ્યાં
કેટલાં બધાંએ આશ્લેષમાં લઈ એકબીજાનું આકાશ ભર્યું
સૂર્ય એક જ હતો
પણ દરેકના સૂર્યોએ એકબીજાને હૂંફ આપી
ચંદ્ર પણ એકબીજાને
ચાંદની આપતો રહ્યો
કેટલી બધી ઋતુઓ એકબીજા વચ્ચે બદલાઈ
આટલું બધું થયું
વચ્ચે
પણ આપણે ન મળ્યાં
એક પણ વાર…
– રવીન્દ્ર પારેખ
કવિતાના શીર્ષક ‘ક્ષિતિજ’ પરથી ખ્યાલ આવે કે આકાશ અને ધરતીની જેમ ક્ષિતિજે ભેગા થયેલ ભાસતા પણ સદાકાળ એકબીજાથી અળગા જ રહેવાનું જેમના ભાગ્યમાં નિર્માયું હશે એવા બે પ્રિયજનની આ વાત છે. રચના તો સાવ સરળ છે, પણ જે મજા છે એ વાતની પ્રસ્તુતિ અને માવજતમાં છે. પ્રકૃતિના અહર્નિશ ફર્યે રાખતા ઋતુચક્રમાંથી જ કવિએ કેટલાક ઘટકત્ત્વોની પસંદગી કરી છે પણ નદીનું પાણી હેતની જેમ વહી જાય કે એકમેકને આશ્લેષમાં લઈ એકબીજાનું આકાશ ભરવાની વાત જેવી ભાષાની અનૂઠી સારવારના કારણે રચનામાં કાવ્યત્વ ઘટ્ટ બન્યું છે. સરવાળે, વાંચવા બેસીએ તો અડધી મિનિટથીય ઓછા સમયમાં વંચાઈ જાય પણ વાંચી લીધા બાદ અડધો દિવસ ચિત્તતંત્રમાં રણઝણ થયે રાખે એવી છે આ કવિતા…
Permalink
January 18, 2025 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, પ્રીતિ સેનગુપ્તા
અજાણ્યા શહેરના સ્ટેશન પર
નિયત સ્થળે જતા જનપ્રવાહની વચ્ચે
એકલી અટવાતી હોઉં:
નવી જગ્યાના નકશાની ગલીઓ પર
અચોક્કસ આંગળી ફેરવી
રસ્તો શોધવા મથતી હોઉં;
ભાંગ્યાતૂટયા ફ્રેન્ચ કે સ્પેનિશમાં
સમજાવવા – સમજવાની
ચેષ્ટા કરતી હોઉં :
મિત્રોની વચમાં–
જાણીતી ગલીઓમાં–
રોજિંદી ભાષામાં–
મારી પોતાની સાથે પણ–
કોઈ વાર
આવા ભાવ થાય છે.
– પ્રીતિ સેનગુપ્તા
અજાણ્યા સ્થળે અજાણ્યા લોકો વચ્ચે અજાણી ભાષાના કારણે પ્રવાસી જે અસમંજસ અને લાચારીની અવસ્થા અનુભવે એ સમજી શકાય એમ છે. આસપાસનો સમસ્ત જનપ્રવાહ નિયત દિશામાં પાણીના રેલાની જેમ સડસડાટ વહેતો હોય પણ નક્શા પર ગોથાં ખાતી ‘અચોક્કસ’ આંગળીઓની જેમ આપણે અટવાતા હોઈએ અને કોઈ વાર્તાલાપ કામ ન આવે ત્યારે જે પારાવાર પરવશતા અનુભવાય એ આપણે સહુએ જીવનના કોઈને કોઈ તબક્કે અનુભવી જ છે. પણ કવયિત્રીનું નિશાન તો સાવ અલગ જ છે. જાણીતા લોકો, જાણીતા સ્થળો અને જાણીતી ભાષા હોવા છતાં ક્યારેક આપણને કશું જ જાણીતું ન હોવાનો ભાસ થઈ આવતો હોય છે. ઘણીવાર તો આપણે સ્વયંને પણ ઓળખી શકતાં નથી, સ્વયં સાથે સંવાદ પણ સાધી શકતા નથી… સર્વસામાન્ય પર્યટન અનુભૂતિના મિષે કવયિત્રીએ ‘આઇડેન્ટિટી ક્રાઇસિસ’ને કેવી અદભુત વાચા આપી છે!
(મોબાઇલ અને ગૂગલ મેપ હાથવગાં થયાં એ પહેલાંની, લગભગ ચાળીસેક વર્ષ પહેલાંની આ રચના છે, એટલે નક્શાનો સંદર્ભ એ રીતે સમજવો!)
Permalink
January 17, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ગૌરાંગ ઠાકર
આપ અજવાળાં અમને પહેરાવો,
દૂર રહીને સૂરજ ન બતલાવો.
કોઈ બોલે નહીં તો બોલાવો,
એમને એમનામાં લઈ આવો.
કોઈ વેળા તો કોઈને એમ જ,
કોઈ કારણ વગર મળી આવો.
એકલા ટોચ પર શું કરશો, યાર?
એક બે જણને પણ ઉપર લાવો.
આપણા જેવું કોઈ છે જ નહીં,
એમ લાગે તો કૈંક બદલાવો.
એક કેવળ હૂંફાળું સ્મિત દઈ,
દુશ્મનાવટને થોડી શરમાવો.
આપ નિષ્પક્ષ છો તો એમ કરો,
કોઈ એકાદ યુદ્ધ અટકાવો.
– ગૌરાંગ ઠાકર
મેઘધનુષ જેવા સપ્તરંગી સાત શેર! દૂરનું ડહાપણ કવિને મંજૂર નથી. ડહાપણ આપવું જ છે? તો આવો, અને પ્રત્યક્ષજ્ઞાન કરાવો, અન્યથા દૂર રહીને સૂરજ બતાવી આંગળી ચીંધ્યાનું પુણ્ય કમાવાનું માંડી વાળો. પોતાના જીવનમાં કોઈ અર્થહીન ચંચુપાત ન કરે એ બાબતે તો કવિ સાબદા છે જ, પણ સાથોસાથ એ સામી વ્યક્તિ તરફ સમ-વેદના પણ એવી જ ધરાવે છે. કોઈ બોલતું ન હોય તો એમને સામે જઈને બોલાવવા કવિ આહ્વાન આપે છે. આખરે તો સમ-વાદ જ સ્વયંનો સાક્ષાત્કાર કરવાની ખરી કૂચી છે ને! ત્રીજો શેર વાંચતાવેંત નિરંજન ભગતનું ‘લાવો તમારો હાથ, મેળવીએ’ કાવ્ય યાદ આવ્યા વિના રહેતું નથી. એકલપંડે ઉન્નતિનું શિખર આંબવાના બદલે અન્યોને પણ પ્રગતિ સાધવામાં મદદ કરવાની અપીલ પણ સ્પર્શી જાય એવી છે. આપણે દુનિયામાં એકમાત્ર અને અનન્ય હોવાનો સુપિરિયારિટી કોમ્પ્લેક્ષ મનમાં ઘર કરી જાય ત્યારે કોઈ પણ ભોગે પગ ધરતી ઉપર જ રાખવાની શીખ તો સૌ કોઈએ ગાંઠે બાંધી રાખવા જેવી છે.
Permalink
January 16, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, જગદીપ નાણાવટી
આંસુમાં ખારાપણું ઓછું પડ્યું,
ખુદ મને મારાપણું ઓછું પડ્યું.
કંઈક તો ખૂટતું હતું તસ્વીરમાં,
શી ખબર તારાપણું ઓછું પડ્યું.
ઓટ શ્રધ્ધામાં હતી મારી જ, કે
તસ્બીનું પારાપણું ઓછું પડ્યું?
એમ ખંજર પીઠ પસવારે નહીં…
ક્યાંક તો સારાપણું ઓછું પડ્યું!
એક ચોથો જણ જનાજે ના જડ્યો,
આખરે યારાપણું ઓછું પડ્યું…
– જગદીપ નાણાવટી
ગુજરાતી કાવ્યાકાશમાં તબીબ કવિઓનો તોટો નથી. જેતપુરના ડૉ. જગદીપ નાણાવટી પણ એમ.ડી. મેડિસીનની પદવી ધરાવે છે અને મારા પ્રિય કવિઓમાંના એક છે. એ મને પ્રિય છે પણ એ કારણે નહીં કે અમે બંને સમાન તબીબી લાયકાત ધરાવીએ છીએ, એ કારણે કે એમની પાસે જે મૌલિકતાનો ચમકારો છે એ બહુ ઓછા કવિઓ પાસે જોવા મળે છે. કલ્પન-નાવીન્ય અને અરુઢ વાતોથી શેરની માંડણી કરવાની એમની પાસે કદાચ જન્મજાત આવડત છે. વર્ષોથી એ રોજ મને ગઝલો મોકલે છે અને હું દિલથી વાંચું છું. એમની મોટાભાગની ગઝલોના મોટાભાગના શેર પહેલ પાડ્યા વિનાના સાચા હીરા જેવા હોય છે. થોડું વિશેષ કવિકર્મ, થોડી કવાયત, થોડો વ્યાયામ અને થોડી ધીરજ ધરવામાં આવે તો કવિ અગ્રિમ હરોળમાં સ્થાન અંકે કરી શકે એમ મને કાયમ અનુભવાયું છે. પણ કવિએ કદાચ બાળાશંકરને વધુ પડતા ગંભીરતાથી લઈ લીધા છે- ‘નિજાનંદે રહેજે બાલ, મસ્તીમાં મજા લેજે!’
Permalink
January 11, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, દિનેશ કાનાણી

સાવ ટૂંકા પગારમાં જીવ્યા,
તોય કાયમ હકારમાં જીવ્યા.
ડગલે પગલે ઝૂકી ગયા જે લોક,
એ બધાયે ઉધારમાં જીવ્યા.
માત્ર પંખી ઊડે ગગનમાં બસ,
માણસો તો કતારમાં જીવ્યા.
રાત જેવી આ જિંદગી છે પણ,
ફૂલ જેવું સવારમાં જીવ્યા.
લીધું દીધું કરી કરી કાયમ,
મનની ઊંડી વખારમાં જીવ્યા.
– દિનેશ કાનાણી
લયસ્તરોના આંગણે કવિના નવા સંગ્રહ ‘ઋણાનુબંધ’ને હાર્દિક આવકાર…
અટપટી ભાષા અને અચંબિત કરનાર રૂપકોની ભરમાર વિના, સાવ સહજ-સાધ્ય ભાષામાં લખાતી સારી ગઝલોની યાદી કરવા બેસીએ તો આ ગઝ્લને અવશ્ય એમાં સ્થાન આપવું પડે. સરળ બાનીમાં આલેખાયેલ પાંચેય શેર ધ્યાનાર્હ થયા છે.
Permalink
January 10, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સંજુ વાળા

પ્રવાહમય છે સમય, આવશે—જશે, જોજે!
પ્રતીતિરૂપે દીવાલોય ઝૂમશે, જોજે!
કળીની જેમ એ હસ્તી ઉઘાડશે, જોજે!
પછીથી એમાં તને તું જ ભાળશે, જોજે!
કદી એ સ્થિતિએ તું મીટ માંડશે, જોજે!
જ્યાં આપમેળે બધું ગાશે—વાગશે, જોજે!
સરળતાથી જ બધે એ હા—ના નથી કહેતાં
જવાબ દેશે તે પહેલાં થકાવશે, જોજે!
પિયાવો રામ-રસાયણનો માંડી બેઠા છે
તું ત્યાં જશે તો જરૂર પિવડાવશે, જોજે!
અસર ને આડઅસર જાણી પાડજે અક્ષર
નહીં તો એ જ તને બહુ ડરાવશે, જોજે!
પ્રતીકો—કલ્પનોનાં જાળાં ક્યાં જરૂરી છે?
ગઝલ તો ભાવ—ભૂખી છે, નચાવશે, જોજે!
– સંજુ વાળા
લયસ્તરો પર ‘કંઈક/કશુંક/અથવા તો…’ની સંવર્ધિત આવૃત્તિને સહૃદય આવકાર…
ગઝલની રદીફ આમ તો સાવ ટૂંકી ને ટચરક છે, પણ દરેક શેરના ભાવવિશ્વ માટે એ પોષક સિદ્ધ થાય છે. આમ તો આખી ગઝલ સ્વયંસિદ્ધ છે, પણ બીજા શેરમાં અહમ્ બ્રહ્માસ્મિની આહલેક સાંભળવાનુંચૂકાય નહીં એ જોજો… (જોજે!)
Permalink
January 9, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, નીતિન વડગામા

અગમ-નિગમના એ અણસારે ક્યાંનો ક્યાં હું જઈ બેઠો છું!
અલખધણીના એક વિચારે ક્યાંનો ક્યાં હું જઈ બેઠો છું!
હોય ભલે ના સન્મુખ તોયે ડગલુંયે ક્યાં દૂર થયા છે?
ભીનાભીના કૈં ભણકારે ક્યાંનો ક્યાં હું જઈ બેઠો છું!
એક શબદ ઉચ્ચારે નહીં ને મૌન રહી સઘળું કહી દેતા,
આંખોના એકાદ ઈશારે ક્યાંનો ક્યાં હું જઈ બેઠો છું!
આગ બધી અંદરની આપોઆપ જ અહીં ઓગળવા લાગી,
વરસાદી હૈયાની ધારે ક્યાંનો ક્યાં હું જઈ બેઠો છું!
આમ જુઓ તો સાવ અકિંચન, સ્થાવર-જંગમ કાંઈ નથી પણ,
શબ્દોના વામન અવતારે, ક્યાંનો ક્યાં હું જઈ બેઠો છું!
– નીતિન વડગામા
લયસ્તરો પર કવિના તરોતાજા ગઝલસંગ્રહ ‘એકાકાર’નું સહૃદય સ્વાગત છે…
આમ તો આખી ગઝલ જ સંઘેડાઉતાર થઈ છે પણ છેલ્લો શેર મને ગઝલ વાંચી લીધા પછી પણ પકડી જ રાખે છે. સરસ્વતીના અકિંચન સાધક પાસે નથી કોઈ સ્થાવર મિલકત કે નથી કોઈ જંગમ ખજાનો. પણ દારિદ્રયના આ સહજ સ્વીકાર પછી કવિ જે વાત કરે છે એ શેરને નવી જ ઊંચાઈએ લઈ જાય છે. નિજના ગુંજામાં વામન ભાસતા શબ્દો સિવાય કશું જ ન હોવાની કેફિયત અવતાર શબ્દ સાથે જ ત્રણેય લોકને આંબી લે એવું વિરાટકાય સ્વરૂપ ધારે છે. વિષ્ણુના વામન અવતારનો કેવો અસરદાર વિનિયોગ કવિએ કરી બતાવ્યો! શબ્દબ્રહ્મમાં અપાર આસ્થા હોય એ જ કહી શકે કે શબ્દોના સથવારે પોતે ક્યાંના ક્યાં જઈ બેઠા છે, ખરું ને!
Permalink
January 4, 2025 at 11:30 AM by વિવેક · Filed under ગઝલ, ભરત વિંઝુડા

આપણે પાસે અને અળગાય દેખાતા નથી,
જે જુએ છે એમને સંબંધ સમજાતા નથી.
લાગણીઓ, ભાવ, ઉષ્મા, પ્રેમ ને સંવેદનો,
ક્યાંય વેચાતાં નથી, એથી ખરીદાતાં નથી.
એમણે આંખોમાં આંસુ આવવા દીધાં નહીં,
એમ કહીને કે કદી દરિયાઓ છલકાતા નથી.
શબ્દના કંઈ અર્થ, એમ જ અર્થ વર્તનનાય છે,
હોય છે સામે અને બે હાથ જોડાતા નથી..
ભીતરે પહાડો ને ખીણો છે ને ત્યાં પડઘાય છે,
હોઠ પર આવી અને કંઈ શબ્દ પડઘાતા નથી.
– ભરત વિંઝુડા
લયસ્તરો પર આજે ફરી એકવાર જાણીતા ગઝલકારના નૂતન ગઝલસંગ્રહને હૃદયપૂર્વક આવકારીએ… સંગ્રહમાંથી એક ગઝલ આપ સહુ માટે રજૂ કરીએ છીએ… ઘણાખરા લગ્નજીવનમાં અને એ સિવાયના સંબંધોમાંય બે જણ એકબીજાની સાથે રહેવા છતાં નદીના બે કિનારાની જેમ આજીવન અલગ રહી જીવન વિતાવી લેતાં હોય છે. જોનારને આવા સંબંધ સમજાય એ જરૂરી નથી, પણ હકીકત તો આ જ હોવાની કે –
છે હાથ હાથમાં છતાં કોસોની દૂરી છે,
મજબૂરી સાથે રહેવાની વચ્ચે ઢબૂરી છે.
Permalink
January 3, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, લલિત ત્રિવેદી

ચલ ઓઘડિયા અપને ગાંવ, બહુત ગઈ ને થોડી રઈ
મેલી દે ચમડી કી છાંવ, બહુત ગઈ ને થોડી રઈ!
ગોત વિનાની બહોત ગઈ… રૂઈ કબી ના જ્યોત ભઈ
તરસ્વતીમાં ડૂબી નાવ, બહુત ગઈ ને થોડી રઈ!
ભસમીગર! તારા સથવારા…… શણગારા સંગે અંગારા
પર અપને ધાગોં કે પાંવ, બહુત ગઈ ને થોડી રઈ!
વોહી રાઈ વોહી તનજાઈ… એમાં ઝાંખો પાંખો સાંઈ
ઈ જ સબર ને ઈ જ પડાવ, બહુત ગઈ ને થોડી રઈ!
અનાજ બા’રા હાલ્યા સગડગ, ભાયગથી થાવાને ફારગ
વચમાં રઢિયાળા દેખાવ, બહુત ગઈ ને થોડી રઈ!
એ કેસરિયા રાણીવાસા, ને આ ભસ્મીલ લલિતદાસા
હાંવ રે લલિત હાંવ રે હાંવ, બહુત ગઈ ને થોડી રઈ!
– લલિત ત્રિવેદી
લયસ્તરો પર કવિના નવ્ય ગઝલસંગ્રહનું સહૃદય સ્વાગત… કવિની ભાષા પ્રવર્તમાન ગઝલપ્રવાહથી સાવ નોખી છે. રાજેન્દ્ર શુક્લ, હરીશ મીનાશ્રુ જેવા જૂજ કવિઓ જ ગઝલમાં આ પ્રકારની નોખી બાનીનું સંવર્ધન કરીને મનનીય ગઝલો આપી શક્યા છે.
વયના એક મુકામ ઉપર આવીને માણસને સમજાય છે કે જેટલાં ગયાં, એટલાં હવે બાકી રહ્યાં નથી… આવી કોઈક પળે થતી સ્વાનુભૂતિની આ રચના છે. ઓઘડ એટલે અણઘડ, ભોટ, બોથડ. કવિ સ્વયંને અણઘડ કહીને પોતાને ગામ પરત જવાનું કહે છે. જેટલી ગઈ એટલી જિંદગી હવે બચી ન હોવાથી આટલા વરસ જેમાં રહ્યા, એ ચામડીની છાંવ છોડીને ઈશ્વરના ધામમાં પાછા ફરવાની તૈયારી કરવાનો સમય હવે ઢૂંકડો આવી ઊભો છે. બીજો શેર તો હાંસિલે-ગઝલ થયો છે. આજે આવા દમદાર શેર કેટલાકવિ લખી શકે છે, કહો તો! જીવનભર સરસ્વતીના બદલે જીવન તરસ્વતીમાં, તરસમાં જ ડૂબેલું રહ્યું હોવાથી જે પરમતત્ત્વની ગોત કરવાની હતી એ ન કરી, ને રૂ જેવું જીવતર કદી જ્યોત થઈ ઝળહળી ન શક્યું… સરસ્વતી પરથી તરસ્વતી જેવો શબ્દ કોઈન કરીને કવિએ ઉમદા કવિકર્મસામર્થ્યની સાહેદી પૂરી બતાવી છે.
Permalink
January 2, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગીત, રક્ષા શુકલ

આવ, ઉનાળો રોજ ઊજવીએ.
તને જોઈ ઊછરેલા એ ગુલમ્હોરી ઘેલાં વંન ગજવીએ,
આવ, ઉનાળો રોજ ઊજવીએ.
પણે ઝૂલતા ગરમાળેથી ચપટી અમથું કેસર લઈ મુઠ્ઠીમાં ભરીએ,
પંચાગે સૂતેલા ફાગણ સાથે ફોરમ-ફોરમ રમતાં કરાર કરીએ.
સૂરજનાં કિરણો પર તારી આંગળિયેથી સરતી શીતળ રાત ચીતરીએ,
ખટ્ટમીઠ્ઠી કેરીના સ્વાદે આવ, સરીને સાકર લઈને પાછા ફરીએ.
માટીમાંથી ઠીબ બની પથરાળા જળને ચાલ, રિઝવીએ,
આવ, ઉનાળો રોજ ઊજવીએ.
ભરબપ્પોરે છાના પગલે લૂ આવી ઘૂમરાતી ઘરની વચ્ચે ગાજે,
ત્યારે તું આવી આંખોથી અમી ભરેલી ઝીણીઝીણી ઝરમર પાજે.
લીલા વનના અડવાણા એ પડછાયાનાં પગલાં જો હાંફીને દાજે,
લંબાવી ત્યાં હાથ બાથમાં બળબળતા પડછાયા તેડી લઈશું આજે.
પાણીપોચાં વાદળ ઓઢી તડકે આપ્યા ઘાવ રુઝવીએ,
આવ, ઉનાળો રોજ ઊજવીએ.
– રક્ષા શુક્લ
લયસ્તરો પર કવયિત્રીના ગીતસંગ્રહ ‘વાલામુઈ વેળા’નું સહૃદય સ્વાગત… કેટલાંક ગીતો અગાઉના સંગ્રહમાંથી અહીં પુનર્મુદ્રિત કરાયાં છે, પણ આપણને તો કવિતાના આનંદ સાથે મતલબ છે… સંગ્રહમાંથી એક ગીત માણીએ… ઉનાળો તો વર્ષમાં એકવાર આવે, પણ પ્રિયજનનો તાપ એટલે તો જાણે ગરમાળામાંથી જડતું કેસર અને ગુલમહોરની જેમ રંગે-કદે ફૂલેલાં-ફાલેલાં ઘેલાં વન… એટલે ઉનાળો રોજેરોજનો હોય એવી ઝંખના ન થાય તો જ નવાઈ… ઉનાળાની ઋતુના નાનાવિધ કલ્પનોને બારમાસી પોત આપીને માણવાનાં છે એ યાદ રહે…
Permalink
December 28, 2024 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સંદીપ પુજારા
કેવો મજાથી જીવું છું, તારા અભાવમાં!
તારું સ્મરણ છે શ્વાસની હર આવજાવમાં!
તારા ગયા પછી આ સફર એવી ચાલે છે,
જાણે કે એક છિદ્ર પડ્યું ના હો નાવમાં!
દિલ શું ગઝલમાં પણ હવે તો માત્ર તું હશે,
એવું લખી દીધું છે જીવનનાં ઠરાવમાં!
તું સામે હોય એનું તો દુઃખ બમણું થાય છે,
જીવે તરસ, ને એય છલોછલ તળાવમાં!
હું તારું સ્મિત જોઈને ખોવાયો એવો કે
આવી શક્યો નહીં પછી ખુદનાં બચાવમાં.
શીખી રહ્યાં છે લોકો બધા, જોઈને મને,
કેવી રીતે જીવાય પળેપળ તણાવમાં!
– સંદીપ પૂજારા
છ શેર… બધા જ મનનીય… પ્રવાહી છંદમાં કાફિયાનો નિર્વાહ યથોચિત કરાયો હોવાથી ગઝલ વારંવાર વાંચવી ગમે…
Permalink
December 27, 2024 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, જિગર જોષી 'પ્રેમ'
જિંદગી! તારા બધા રંગ ઊડી જાય કદાચ,
આ પવનમાં તો હવે દીવો ઠરી જાય કદાચ.
ખેલ તારો ફરીથી હાર સુધી જાય કદાચ,
આ હૃદય પાછું નવો ઘાવ ખમી જાય કદાચ.
વાતો વાતોમાં વળી વાત ઊડી જાય કદાચ,
એક વંટોળ ઊઠ્યો છે એ વધી જાય કદાચ.
સુખ ભુલકણું છે ઘણું, એનો ભરોસો ન કરાય,
આંગણે આવે અને નામ ભૂલી જાય કદાચ.
એનો પાલવ જો લહેરાય તો એવું પણ થાય,
સૂર્ય હો માથે અને સાંજ ઢળી જાય કદાચ.
– જિગર જોષી
સરળ બાનીમાં ધ્યાનાર્હ ગઝલ… બધા જ શેર કસદાર થયા છે…
Permalink
December 26, 2024 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, ભગવાન થાવરાણી, રાજેશ્વર વશિષ્ઠ, વિશ્વ-કવિતા
નદીમાં નાવ હાંકતા ખારવાને ઘણીવાર લાગતું
કે એ હલેસાંથી નાવ નહીં
નદી હંકારી રહ્યો છે.
નદી ચૂપ રહેતી
ક્યારેય કશું બોલતી નહિ
વર્ષાઋતુમાં નદી છલકાતી
તો એ એને ચિડાઈને સમજાવતો
આ બરાબર નથી
નદીની એક ગરિમા હોય
આ શું ?
કિનારે ઊભેલાં વૃક્ષ પણ તને
ઝૂકીને સ્પર્શી રહ્યાં છે.
નદી સંભાળપૂર્વક વહેવા લાગતી
ઉનાળામાં નદી સંકોચાઈ જતી
તો એ બૂમ પાડતો – ક્યારેક મારા વિષે પણ વિચાર કરજે
સૂર્યની દૃષ્ટિથી બાષ્પિત ન થા
એ જળ છે જે નદીને નદી બનાવે છે
નદી કશું ન કહેતી
બસ ધસતી જાતી સમુદ્ર તરફ
દરેક મોસમમાં ખારવાની ચિત્ર – વિચિત્ર સૂચનાઓ હોય
એને ક્યારેક આ ન ગમતું
તો ક્યારેક તે
નદી અવનવાં ગીત ગણગણતાં વહેતી જ જાતી
સુનેત્રા,
નદી સ્ત્રી હતી કે નહીં એ તને વધારે ખબર
પરંતુ હું આશ્વસ્ત છું
કે ખારવો તો પુરુષ જ..
– રાજેશ્વર વશિષ્ઠ
(હિન્દી પરથી અનુવાદ: ભગવાન થાવરાણી)
એ સાચું કે હિન્દી કવિતા ગુજરાતી અનુવાદની મહોતાજ નથી, ને એય ખરું કે અનુવાદ ન કરાયો હોત તો આ રચના લયસ્તરો સુધી પહોંચી જ ન હોત. ગુજરાતી કવિતામાં અછાંદસ એટલે સીધીસાદી પૂર્વભૂમિકા અને કાવ્યાંતે એક ચોટ, બસ! પણ અહીં જુઓ… સારી અછાંદસ કવિતા કોને કહેવાય એની વિભાવના આ રચના સુપેરે સમજાવી શકે એમ છે. આખી રચના કાવ્યાત્મક વાક્ય અને નાની-નાની કવિતાઓથી ભરી પડી છે- ‘ખારવાને લાગતું કે એ નાવ નહીં, નદી હંકારી રહ્યો છે…’ ‘આ શું કે કિનારે ઊભેલાં વૃક્ષો પણ નદીને સ્પર્શી રહ્યાં છે!…’ ‘એ જળ છે જે નદીને નદી બનાવે છે…’ કાવ્યાંતે સ્ત્રી-પુરુષના સ્વભાવનો તફાવત ઉપસાવીને કવિએ કાવ્યને વધારાની ધાર કાઢી છે, એ કદાચ ન કાઢી હોત તોય કવિતા સંપૂર્ણ જ ગણાત…
કવિની અન્ય રચનાઓમાંથી પસાર થતાં ખ્યાલ આવ્યો કે એ પોતાની દરેક અછાંદસ રચનાઓમાં અંતે સુનેત્રાને સંબોધીને વાત પૂરી કરે છે. રમેશ પારેખની સોનલ ને અસીમની લીલા તરત યાદ આવી જાય.
*
।। और नदी बहती रही ।।
नदी में नाव खेते हुए मल्लाह को अक्सर लगता था कि वह अपने चप्पू से नाव को नहीं नदी को चला रहा है।
नदी शांत ही रहती, कभी कुछ नहीं कहती।
बरसात के दिनों में नदी उफनती तो वह उसे चिढ़ कर समझाता – यह ठीक नहीं है। नदी की एक गरिमा होती है। यह क्या है, किनारे के पेड़ तक तुम्हें झुक कर छू रहे हैं।
नदी संभल कर बहने लगती।
गर्मी में नदी सिकुड़ जाती तो वह चिल्लाता – कभी मेरे बारे में भी सोच लिया करो। मत वाष्पित हुआ करो सूर्य की दृष्टि से। जल ही नदी को नदी बनाता है।
नदी कुछ नहीं कहती, चलती जाती समुद्र की ओर।
हर मौसम में मल्लाह की अजीब-अजीब हिदायतें होतीं, उसे कभी कुछ पसंद नहीं आता तो कभी कुछ और।
नदी नए नए गीत गुनगुनाते हुए बहती ही चली जाती।
सुनेत्रा,
नदी स्त्री थी या नहीं तुम बेहतर जानती होगी।
पर मैं आश्वस्त हूँ, मल्लाह पुरुष ही था।
– राजेश्वर वशिष्ठ
Permalink
December 21, 2024 at 12:30 AM by વિવેક · Filed under ગીત, પિતૃવિશેષ, મુકુલ ચૉકસી
પ્રિય પપ્પા! હવે તો તમારા વગર,
મનને ગમતું નથી, ગામ ફળિયું કે ઘર.
આ નદી જેમ હું પણ બહુ એકલી,
શી ખબર કે હું તમને ગમું કેટલી.
આપ આવો તો પળ બે રહે છે અસર,
જાઓ તો લાગે છો કે ગયા ઉમ્રભર.
યાદ તમને હું કરતી રહું જેટલી,
સાંજ લંબાતી રહે છે અહીં એટલી.
વ્હાલ તમનેય જો હો અમારા ઉપર,
અમને પણ લઈને ચાલો તમારે નગર.
– મુકુલ ચોક્સી
કોઈપણ કવિના જન્મદિવસને વધાવવા માટે એમની કવિતા વાંચવા-સહિયારવાથી વિશેષ ઉત્તમ ઉપક્રમ બીજો કોઈ હોઈ શકે ખરો? આજે કવિશ્રી મુકુલ ચોક્સીને એમના પ્રાકટ્યપર્વ ઉપર અઢળક મબલખ વધાઈ આપવા સાથે એમની એક મજાની ગીતરચના માણીએ…
લયસ્તરો પર થોડા દિવસો પહેલાં જ આપણે ‘પિતૃવિશેષ’ શ્રેણી માણી… આજે એક હળવુંફૂલ ગીત માણીએ. મને ખ્યાલ છે ત્યાં સુધી ‘પ્રિય પપ્પા’ નાટક માટે મુકુલભાઈએ આ ગીત લખ્યું હતું. કોઈપણ ભારઝલ્લી વાત, અઘરા રૂપકો, ઝળાંહળાં કરી દે એવાં વિશેષણો કે પિતાનું સૌને કોઠે પડી ગયેલ માહાત્મ્ય વિના દીકરી ફક્ત પોતાના હૈયાની વાત જ ગીતસ્વરૂપે આપણી સાથે સહિયારે છે… અને એટલે જ ગીત વાંચતાવેંત આંખોના ખૂણે ભેજ તરવરી ઊઠે છે…
Permalink
December 20, 2024 at 12:30 AM by વિવેક · Filed under ગીત, નીતિન વડગામા
સાચો વચનવિવેક.
આડેધડ ઊગતી પીડાનું અકસીર ઓસડ એક.
આઠે પ્હોર વગાડો મધમીઠી વાણીની વીણા.
વ્હેંચો સૌને સૂર સદાયે ઝાકળભીના ઝીણા.
શબ્દોનું પગલું પહોંચે હૈયાંને તળિયે છેક.
સાચો વચનવિવેક.
વેણ ભલેને રોજ ઉચારો હસતાં ને હરિયાળાં.
વખત આવતાં ખોલી નાખો બધાં મૌનનાં તાળાં.
કૂદી કાળના હાડ બધે મઘમઘતી રહેશે મ્હેક.
સાચો વચનવિવેક.
– નીતિન વડગામા
ગામના મોઢે ગળણું ન બંધાય એ કહેવત પહેલાં જેટલી સાચી હતી એથી અનેકગણી વધારે પ્રસ્તુત આજે સૉશ્યલ મિડિયાના જમાનામાં લાગે છે. કોણે, ક્યારે અને શું બોલવું એ વિવેક સાવ જ વિસારે પાડી દેવાયો છે. વચનવિવેક જ સાચો એવી કવિની ટકોર આજે જેટલી સાચી અને માર્મિક જણાય છે, એટલી કદાચિત ક્યારેય નહોતી. બોલવામાં વિવેક ન જળવાવાથી જ પીડા આડેધડ ઊગી નીકળે છે. વીણાજેવા મધુર અને ઝાકળ જેવા ભીનપવાળા શબ્દો માનવહૈયાને છેક તળિયે જઈને સ્પર્શે છે. સાથે જ કવિ નાનકડી પણ આવશ્યક ચીમકી પણ આપે છે. કવિ કહે છે કે ભલે ને રોજેરોજ મીઠા ને તાજા વેણ જ કહો, પણ જરૂર પડ્યે મૌનનાં બધાં જ તાળાં ખોલી નાંખીને જે વાત હાસ્યની તાજગી પાછળ સંતાડી રાખી છે, એ કહી દેવાની તૈયારી પણ રાખજો જ. ક્યારેક વચનવિવેક વળોટવો પણ રહ્યો. કેમ કે આખરે તો સત્યની મહેક જ કાળાતીત છે…
Permalink
December 19, 2024 at 11:55 AM by વિવેક · Filed under ગઝલ, ચંદ્રકાન્ત શેઠ
આંખને દીવો મળે એવું મળ્યાં!
રાતને ચાંદો મળે એવું મળ્યાં!
રમ્ય તારા દેશમાં દાખલ થતા
પંથને પગલી મળે એવું મળ્યાં!
તેજના રોમાંચમાં કો લ્હેરતા
વૃક્ષને પંખી મળે એવું મળ્યાં!
નયનના નક્ષત્રમાં નમણી કથા!
છીપને મોતી મળે એવું મળ્યાં!
આડ અથવા વાડ ના મૂંઝવે કશું,
ઝાંઝરી જલને મળે એવું મળ્યાં!
જિંદગી તો ગીત ગાયું સાથમાં!
કંઠને કોયલ મળે એવું મળ્યાં!
હાથની સાથે જ હૈયું મોકળું!
ભાવને ભાષા મળે એવું મળ્યાં!
– ચંદ્રકાન્ત શેઠ
બાલાશંકર અને કલાપીના સમયની વાત અલગ હતી. એ સમયે ગઝલ ગુજરાતી કવિતા માટે નવ્ય કાવ્યપ્રકાર હતી અને સ્વરૂપ બાબતે પૂરતા સજાગ કે સજ્જ ન હોય એવા કવિઓએ પોતાની અધકચરી સમજના આધારે બાહ્યસ્વરૂપથી લઈને શેરિયત સુધીની સમસ્યાઓવાળી ગઝલો લખી હતી. એ સમય ગુજરાતી ગઝલના વિકાસના તબક્કાનો સમય હતો એટલે એ રચનાઓનું ઐતિહાસિક મૂલ્ય ગણાય, પણ જે સમયે ગઝલનો સૂર્ય સોળે કળાએ પ્રકાશી રહ્યો હોય એવા સમયે કોઈ સમર્થ સર્જક અપૂરતી સજાગતા કે સજ્જતાના કારણે ગઝલ નામના કાવ્યપ્રકારને યથોચિત ન્યાય ન આપી શકે એના વિશે શું કહી શકાય? ગઝલની ગળચટ્ટી જમીન પર ન ચાલવાનો નિર્ણય બહુ ઓછા સાહિત્યકારો લઈ શક્યા છે. ઉશનસ અને જયન્ત પાઠક જેવા દિગ્ગજ કવિઓ પણ ગઝલની લોકપ્રિયતાથી આકર્ષાઈ ગઝલ લખવા પ્રેરાયા હતા. એમની પાસેથી ઉત્તમ ગઝલો મળી છે એ વાતના સ્વીકાર સાથે એ પણ સ્વીકારવું પડે કે ગઝલના બાહ્યસ્વરૂપ બાબતની શિથિલતા એમના સર્જનમાં અછતી રહી શકી નથી. ઉત્તમ કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠ પાસેથી પણ આપણને ઉત્તમ કહી શકાય એવી ગઝલોની સાથોસાથ ગઝલ સ્વરૂપને અન્યાય કરતી રચનાઓ સાંપડી છે. પ્રસ્તુત ગઝલના સાતેસાત શેર શેરિયતની બાબતમાં તો ઉમદા છે, પણ ગઝલ સાથે અવિનાભાવી સંબંધ ધરાવતા કાફિયા જ અહીં જોવા મળતા નથી. તેર કે પંદર પંક્તિના સૉનેટને સૉનેટ ન કહી શકાય, એ રીતે કાફિયા કે રદીફ વિનાની ગઝલને ગઝલ કહી શકાય ખરું?
Permalink
December 14, 2024 at 4:06 PM by વિવેક · Filed under ગઝલ, શૈલેશ ગઢવી
કહે છે, બોલવાથી શું થવાનું છે?
બહાનું ચૂપ રહેવાનું મજાનું છે!
ભર્યું છે ઘેન એવું સૌની આંખોમાં,
ખબર નહિ કોણ ક્યારે સૂઈ જવાનું છે!
દિલાસો આપના શબ્દોનો મારે મન,
તરુને આભ આખું ઓઢવાનું છે!
અરીસો પ્રશ્ન જાણે પૂછતો કાયમઃ
મજાનું પાત્ર છે, કોની કથાનું છે?
લખું છું એ રીતે મારી કવિતાને,
કે લખવા માટે બસ છેલ્લું જ પાનું છે!
– શૈલેશ ગઢવી
આસ્વાદ કરાવવા બેસીએ તો અડચણ ઊભી કર્યા જેવું લાગે એવી મજાની સહજસાધ્ય ગઝલ…
Permalink
December 13, 2024 at 12:30 AM by વિવેક · Filed under પિતૃવિશેષ, ભગવતીકુમાર શર્મા, સોનેટ
વર્ષો પૂર્વે રણકી ઊઠતી જે હતી પિતૃકંઠે
એ સૂર્યો શી ઝળહળ ઋચા નાદબ્રહ્મે ઘડેલી
ગાળે આયુ વ્યરથ જકડાઈ પીળી પોથીઓમાં.
દીપાવ્યો ના વહન કરીને વારસો જ્ઞાન કેરો
પુત્રે, શીળા જનક તણી આ કિન્તુ વિદ્યા અપુત્રા
શોષાઈ રે, રણ મહીં ગઈ શારદા મંત્રભીની,
લોપાયું સૌ શ્વસન તૂટતાં વૃદ્ધ જ્ઞાને પિતાનાં,
ફંફોસું છું અઢળક નિયૉની ઝગારા છતાંયે.
આપી દીધી કઠણ હૃદયે કોઈને કાષ્ઠપેટી,
સીંચ્યો જેમાં મબલખ હતો વારસો વૈભવી શો!
દીવાલો જે સમૂહ સ્વરમાં ઝીલતી’તી ઋચાઓ,
આજે ઊભી અરવ પળતાં ગ્રંથ જ્ઞાને મઢેલા.
જાણે દીધા વળાવી જનક જ ફરીથી સ્કંધ પે ઊંચકીને,
ભીની આંખે ભળાવ્યા ભડભડ બળતા અગ્નિઅંકે ફરીથી.
– ભગવતીકુમાર શર્મા
સૉનેટદ્વયમાંનું પ્રથમ સૉનેટ જ્યાં પૂરું થાય છે ત્યાંથી બીજું સૉનેટ પ્રારંભાય છે. પિતાને એક વ્યક્તિ તરીકે ખૂબ પ્રેમ કરતો પુત્ર પિતાના જ્ઞાનવારસાને જાળવવાની બાબતમાં ઊણો ઉતર્યો છે. પિતાના ક6ઠે જે ઋચાઓ સૂર્યો શી ઝળહળ અને નાદબ્રહ્મે ઘડેલી હોવાનું પ્રતીત થતી હતી, એ બંધ પેટીમાં પીળી પડી ગયેલ પોથીઓમાં એમનું આયુષ્ય વ્યર્થ જ ગાળી રહી છે. પિતાને વારસ મળ્યો, પણ પિતાની વિદ્યા નિઃસંતાન જ રહી. નિયોન લાઇટના પ્રકાશમાં પણ પુત્રને પિતાના જ્ઞાનનું અજવાળું લાધી શકે એમ નથી. પુત્ર તોય નીંદનીય તો નથી જ. કમસેકમ એને આ વિદ્યાના વારસદાર હોવા બાબતે પોતાની અસમર્થતાની જાણકારી છે એય ઓછું નથી.એતલે જ પિતાની લાકડાની એ પેટીએ અન્ય કોઈકને આપે છે ત્યારે કઠણ કાળજું કરીને આપે છે. અને એ પેટી અન્યના હાથમાં જતાં પોતે પિતાને ફરી એકવાર અગ્નિદાહ આપતો હોવાની લાગણી થતાં એની આંખો ભીની થઈ જાય છે. પિતાનો જ્ઞાનવારસો સંતાન સચવી જ શકે એ જરૂરી નથી, પણ પોતાની ગેરલાયકાત અંગે જાણકારી હોવી અને એ વારસાની કિંમત સમજી શકવી એય સાચું પિતૃતર્પણ ગણાય!
લયસ્તરોની બે દાયકાની અણનમ કાવ્યયાત્રાની ઉજવણી નિમિત્તે આદરેલ પિતૃવિશેષ શૃંખલા આ સાથે અહીં સમાપ્ત કરીએ છીએ. પિતા વિશેની આ સિવાય પણ અનેક કવિતાઓ આપણી પાસે છે જ. સમયાંતરે એ પણ પ્રગટ કરતા રહીશું. અસ્તુ!
Permalink
December 12, 2024 at 12:30 AM by વિવેક · Filed under પિતૃવિશેષ, ભગવતીકુમાર શર્મા, સોનેટ
જૂની સૂકી હવડ કશી આ ગંધ ફેલાઈ ઊઠી
જ્યાં ચર્રાઈ કડડ ઊઘડી ભૂખરી કાષ્ઠપેટી!
પીળાં આડાં બરડ સઘળાં પૃષ્ઠ તૂટ્યાં ખૂણેથી
પોથીઓમાં હજી શ્વસી રહ્યાં કાળની કંડિકા શાં.
પીંછું કોઈ મયૂરનું નર્યું રંગઝાંયેથી રિક્ત,
પોથીમાંથી સરસરી રહે પાંદડું પીપળાનું
જાળીવાળું, કુસુમ-કણિકા, છાંટણાં કંકુકેરાં,
પૃષ્ઠે પૃષ્ઠે કર-સ્પરશથી ડાઘ આછા પડેલા
ભેદી લાંબો પટ સમયનો વર્તમાને પ્રવેશી
સર્જી લેતાં પળ-વિપળમાં સૃષ્ટિ લીલી સ્મૃતિની.
થંભી’તી જે જરઠ પશુ શા મૃત્યુના થૉર-સ્પર્શે
સંકોરાઈ કણસતી નિરાલમ્બ ને ઓશિયાળી
ગુંજી ઊઠી અમુખર ઋચા સામવેદી સ્વરોની
વર્ષો પૂર્વે રણકી ઊઠતી જે હતી પિતૃકંઠે.
– ભગવતીકુમાર શર્મા
પિતાજીના અવસાન બાદ વરસો પછી પુત્ર પિતાજીની લાકડાની ભૂખરી પડી ગયેલ જૂની પેટી ઊઘાડે છે. થોડા ચર-ચર અવાજ સાથે પેટી ખૂલતાવેંત જ સૂકી હવડ ગંધ વાતાવરણમાં પ્રસરી ઊઠે છે. પિતાજીએ સાચવીને મૂકેલ પોથીઓનાં પીળાં પાનાંઓ તૂટું-તૂટું થઈ રહ્યાં છે. આછા પડતા જતા રંગવાળું એક મોરપિચ્છ, પોથીમાં સાચવીને રાખેલ પણ હવે જાળીજાળી થઈ ગયેલ પીપળાનું પાન, કુસુમ-કણિકા, કંકુના છાંટા અને પિતાજીના સ્પર્શની સાહેદી પૂરાવતા આંગળીઓના ડાઘ વગેરે વહી ગયેલા સમયનો લાંબો પટ ભેદીને સ્મૃતિઓને તાજી કરી દે છે. મૃત્યુના થોર જેવા કાંટાળા સ્પર્શે જે સામવેદી સ્વરોની ઋચાઓ સંકોરાઈ ગઈ હતી, એ તમામ ઋચાઓ પુત્રને ફરીથી ગૂંજી ઊઠતી સંભળાય છે. નિર્જીવ વસ્તુઓ જીવન-મૃત્યુના અલગ-અલગ કાંઠે પહોંચી ગયેલ બે જીવ વચ્ચે કેવો સજીવ સેતુ બાંધી આપે છે!
Permalink
December 11, 2024 at 6:14 PM by તીર્થેશ · Filed under અછાંદસ, કરસનદાસ લુહાર, પિતૃવિશેષ
ભાગવતના આદિ જળમાં
છાતીબૂડ ઊભા રહી સૂર્યને અર્ધ્ય આપતો,
ગીતાના જર્જરિત પૃષ્ઠોની નિશામાં ઘોરતા
ગૃહસ્થીઓની આંખોમાં જાગતો…
નિદ્રસ્થોને શાપતો,
સવાર-બપોર, સાંજ, રાત…
માળા, પૂજા, ધ્યાન, આરતીમાં વ્યાપતો
અષ્ટંપષ્ટં પ્રલાપતો…
ભારેખમ મોં,
ઝગારા મારતું વિદ્વાન કપાળ-કપાળમાં મોટું ત્રિપુંડ
ખભે જનોઈનું ઝૂંડ
ગળામાં રુદ્રાક્ષની માળા
ચરણમાં શ્યામ પાદુકા
દક્ષિણી પાઘડીમાં સંતાઈને પણ
શ્લોક સાથે લયબદ્ધ ફગફગતી શિખા
–આ બધી નિશાનીઓના
વાંકાચૂકા રસ્તાપર હું ચાલી રહ્યો છું,
એને ગોતવા.
એ પ્રકાંડ પંડિત મારો બાપ હોવાની
મને ચોક્કસ બાતમી મળી છે!
હાલકડોલક છું ત્યારનો.
કહેવાય છે કે :
એક સવારે છાણ વિણવા જતી
અછૂત કન્યાનો પડછાયો પગને સ્પર્શી જતા
આ પુણ્યાત્માએ ત્રણ દિવસના ઉપવાસ
અને સાત નદીઓનાં જળ મંગાવીને
સ્નાન કરેલું!
અવર્ણ કન્યાપર
ટોળાબંધ હાથોના સવર્ણ આકાશમાંથી
વરસેલા પથ્થરોના ધોધમાર વરસાદની વાત
પછી સૂકાઈ ગઈ’તી.
હું ગોતું છું મારા એ પુણ્યશાળી બાપને!
મળે તો મારે
આટલું જ પૂછવું છે :
એક મેઘલી સાંજે,
નદી કાંઠે ખખડધજ શિવાલયનાં
અવાવરુ એકાંતમાં
ફૂટડાં અંગોવાળી
એ જ અછૂત કન્યાનાં
કુંવારા ઉદરમાં ઝનૂનપૂર્વક
મને વાવ્યા પછી તમે–
કેટલા દિવસના ઉપવાસ કરેલા?
કેટલી નદીઓનાં પાણી
તમારી સવર્ણ કાયા પર ઠાલવેલાં??
બોલો, બાપુ બોલો…
મને જવાબ આપો!
મને જવાબ…!
મને…!!!
મ……!!!!
– કરસનદાસ લુહાર
નિ: શબ્દ કરી મૂકતી રચના…
કોઈ જ ટિપ્પણીની જરૂર જ નથી….
Permalink
December 10, 2024 at 10:30 AM by ઊર્મિ · Filed under ઊર્મિકાવ્ય, દલપતરામ, પિતૃવિશેષ
છડો હું હતો છોકરો છેક છોટો,
પિતા પાળી પોષી મને કીધ મોટો.
રૂડી રીતથી રાખતા રાજી રાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.
ચડી છાતીએ જે ઘડી મૂછ તાણી,
કદી અંતરે રીસ આપે ન આણી;
કહ્યું મેં મુખે તે કર્યું હાજી હાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.
મને સારી શિક્ષા શિખાવી સુધાર્યો,
વળી આપી વિદ્યા વિવેકે વધાર્યો;
ભલી વાતના ભેદ સીધા દીધાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.
કદી કોટી કોટી સહી કષ્ટ કાયા,
મને છાતીમાં લૈ કરી છત્રાછાયા;
અતિ પ્રાણથી પ્યાર જે આણતાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.
મને દેખી અત્યંત આનંદ લેતા,
મુખે માગી વસ્તુ મને લાવી દેતા;
પૂરો પાડ તે તો ભૂલે પુત્ર પાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.
વડા વાંકમાં આવું તો રાંક જાણી,
દીધો દંડ દેતાં દયા દિલ આણી;
તજી સ્નેહ દેહે ન દીધી પીડાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.
ભણાવી ગણાવી કીધો ભાગ્યશાળી,
તથા તુચ્છ જેવી બૂરી ટેવ ટાળી;
જનો મધ્ય જેથી રહી કીર્તિ ગાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.
લીધો લાવ ને લૈશ જે લાવ સારો,
ગણું ગુણ હું તાત તે તો તમારો,
સદા સુખ સારુ ઉપાયો સજ્યાજી
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.
મને નિર્ખતા નેત્રામાં નીર લાવી,
લઈ દાબતા છાતી સાથે લગાવી;
મુખે બોલતા બોલ મીઠા મીઠાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.
હતો બાળ હું આજ સુધી અજાણ્યો,
ઉરે આપનો ગુણ એકે ન આણ્યો;
હવે હું થયો જાણીતો આજ આ જી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.
જગંનાથજી જીવતો રાખશે જો,
હયાતી તમારી અમારી હશે જો;
કરું સેવના દિલ સાચે સદાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી….
– દલપતરામ ડાહ્યાભાઇ ત્રવાડી
(૨૧ જાન્યુઆરી ૧૮૨૦ – ૨૫ માર્ચ ૧૮૯૮)
વાંચતા વાંચતા અનાયાસે ગવાઇ જતી ‘પિતાસ્રોત્ર’ જેવી ભાસતી કવિ દલપતરામની ગુજરાતી ભાષાની પિતા વિશેની કદાચ આ પ્રથમ કવિતા હશે… જેને કોઈ પણ જાતનાં પિષ્ટપેષણની જરાયે જરૂર જણાતી નથી!
ભુજંગી છંદ(લગાગા લગાગા)ની ચાલમાં ચાલતી આ કવિતા મોટેથી ગણગણાવવાની વધુ મજા આવશે.
Permalink
December 9, 2024 at 12:30 AM by ઊર્મિ · Filed under ગીત, પિતૃવિશેષ, હિરેન મહેતા
પાણા જેવા પાણા ભીતર ભીનું ને હુંફાળું,
પપ્પા મારા આયખાનું ઝગમગતું અજવાળું!
પપ્પા સહુના જીવતરનો
મોંઘેરો કોઈ મોભ,
પપ્પાએ કોઈ લાગણીઓનો
ક્યાં રાખ્યો છે લોભ?
આકાશ જેવું ખુલ્લમ-ખુલ્લું, ના રાખે કોઈ તાળું,
પપ્પા મારા આયખાનું ઝગમગતું અજવાળું,
ઝળહળ ઝળહળ દીવો થઈને
પપ્પા ઘરમાં રહેતા,
ભૂલ પડે ત્યાં આંગળી પકડી
મારગ કાઢી દેતા,
એમનું હોવું લાગે જાણે ઉજળું ને ઉજમાળું,
પપ્પા મારા આયખાનું ઝગમગતું અજવાળું.
પપ્પાની એ કરડી આંખે
થરથરથર સહુ કાંપે,
પણ હેત ભરેલું વાવાઝોડું
બેઠું કાયમ ઝાંપે,
હોય એ ત્યાં અંધારે પણ સાફ સઘળું ભાળું,
પપ્પા મારા આયખાનું ઝગમગતું અજવાળું.
-હિરેન મહેતા
આ ગીત જ્યારે પ્રથમવાર વાંચ્યું ત્યારે લાગ્યું કે આ તો મારા પપ્પા માટે જ લખાયું છે. અનુભૂતિથી કહું તો પપ્પા બિલકુલ નાળિયેર જેવા હોય છે. બહારથી પાણા જેવા ભાસતા પપ્પા અંદરથી સાવ ભીના અને હૂંફાળા હોય છે. હું નાની હતી ત્યારે ઘરનાં મોંઘેરા મોભ જેવા મારા પપ્પાથી લગભગ કુટુંબનાં બધા જ સભ્યો ડરતા હતા, કારણકે ગુસ્સો એમના નાક પર જ રહેતો. પરિણામે પપ્પાના કડક સ્વભાવની ખોખલી દીવાલની બીજી તરફ ફૂંકાતું હેતનું વાવાઝોડું જાણબહાર રહી જતુ. સાચું કહું તો પપ્પાની હાજરી જ એક સૂરજ જેવી હતી, જેની હાજરીથી વાતાવરણ ગરમ તો રહેતું, પણ એ ના હોય ત્યારે અંધારું છવાઈ જતું. જેઓ એમની ગેરહાજરીના અંધારાને અનુભવી શકતા, એમને માટે તેઓ માર્ગદર્શક અને પ્રેરણાસ્ત્રોત હતા. નરી આંખે નજરે ન પડતા પ્રેમ, સમર્પણ અને ત્યાગથી પપ્પાને મેં સાચ્ચે જ એમના નાના ભાઈભાંડુઓનાં આયખાને અજવાળતા જોયા છે. જેમ દરેક પુત્રના પ્રથમ સુપર હીરો એના પપ્પા જ હોય છે, એમ દરેક દીકરીનો પ્રથમ પ્રેમ પણ એના પપ્પા જ હોય છે. મારા પપ્પા એટલે સાચે જ મારા આયખાનું ઝગમગતું અજવાળું… ભગવાન કરે એ લાંબા સમય સુધી ઝગમગતું અને ઝળહળતું રહે!
Permalink
Page 5 of 118« First«...456...»Last »