જરા તો ખ્યાલ કર, સ્વયં ઉદાસી થઈ જશે ઉદાસ,
તને સતત ઉદાસ નીરખી, ઉદાસ ના થા આમ.
વિવેક મનહર ટેલર
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for ગઝલ
ગઝલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
September 12, 2026 at 11:19 AM by વિવેક · Filed under ગઝલ, રઘુનાથ બ્રહ્મભટ્ટ રસકવિ
આવીશ કહી ગયા છો, આવો, હવે તો આવો!
મધુવન પડયાં છે સૂનાં, બંસી ફરી બજાવો.
છાઈ બધે છે ગ્લાનિ, હજી યે છે વાર શાની?
દર્શનની પ્યાસી આંખો, બળતાં હૃદય બુઝાવો.
બ્રહ્માંડ ભાવભીનું ત્હારા વિનાનું સૂનું,
યુગયુગ જૂના ઓ યોગી! આત્મન્ ફરી જગાઓ!
– રઘુનાથ બ્રહ્મભટ્ટ
શાળામાં હતો એ સમયગાળામાં આ ગઝલનો મત્લો ક્યાંક વાંચવા મળ્યો અને વાંચતાવેંત જ હૃદયસ્થ થઈ ગયો. સાડા ત્રણ દાયકાથી વધુ સમય વીતી ગયો પણ આ મત્લા હજીય એવોને એવો જ પ્રિય છે. કમભાગ્યે કવિનું નામ યાદ ન હોવાથી અને ઇન્ટરનેટે કોઈપણ પ્રકારની સહાય કરવાની ના કહી દીધી હોવાથી આખી ગઝલ કદી હાથ લાગી નહીં. થોડા સમય પહેલાં મકરાન્દ દવે અને અમૃત ઘાયલ સંપાદિત ‘છીપનો ચહેરો ગઝલ’માંથી આ ગઝલના આ ત્રણ શેર અને કવિનું નામ હાથ લાગ્યું. કવિનો એક સંગ્રહ હાથ લાગ્યો, પણ એમાં તો આ રચનાનું અસ્તિત્ત્વ જ નથી… બીજો કોઈ સંગ્રહ થયો હોવાનું ધ્યાનમાં નથી.
લયસ્તરોના સહૃદય ભાવકોમાંથી કોઈક આખી રચના શોધી આપશે તો એનો સદૈવ ઓશિંગણ રહીશ…
Permalink
September 11, 2026 at 11:35 AM by વિવેક · Filed under ગઝલ, દિલીપ ધોળકિયા ‘શ્યામ’
મૌન તારા સાદને ખમ્મા ઘણી,
આ નીરવ સંવાદને ખમ્મા ઘણી.
રોજ ટપકીને જગાડે રાતભર,
તુજ નઠારી યાદને ખમ્મા ઘણી.
એક પૂરવ, એક આથમણો રહ્યો,
જૂજવા આ વાદને ખમ્મા ઘણી.
ભર ઉનાળે માવઠાં સમ બેસતા,
યાદના વરસાદને ખમ્મા ઘણી.
છોડ ખોટી વાહવાહીની રમત,
વાહથી બરબાદને ખમ્મા ઘણી.
શ્વાસમાં રમતો રહી ગુંજ્યા કરે,
નાભિ ઘૂમતા નાદને ખમ્મા ઘણી.
ચાલતા ચકડોળથી છટકી ગયો,
કો’ક એ અપવાદને ખમ્મા ઘણી.
– દિલીપ ધોળકિયા ‘શ્યામ’
શહેરમાં રહેતા લોકો કોઈ છીંક ખાય અને ‘બ્લેસ યૂ’ કહે, પણ કાઠિયાવાડમાં તો વાતે વાતે ‘ખમ્મા ઘણી’ સંભળાય. આમ તો ‘ખમ્મા’ શબ્દ ‘ક્ષમા’ પરથી બન્યો છે, પણ કોઈને આપણે ‘ઘણી ખમ્મા’ કહીએ ત્યારે માફી માંગવા કરતાં એનું ક્ષેમકુશળ ઇચ્છતા હોવાનો ભાવ વધુ વ્યક્ત થાય છે. સૌરાષ્ટ્રના સહજ ઉદગારને ગઝલની રદીફમાં વણી લઈને કવિએ સરસ મજાની ગઝલ આપી છે. મૌનનો અવાજ સાંભળી શકે અને એની સાથે મૌન સંવાદ પણ સાધી શકે એ જ માણસ કવિ બને, પણ અહીં કવિ કેવળ મૌનના અવાજને સાંભળતા જ નથી, એની ખેરિયત પણ પ્રાર્થે છે, પરિણામે શેર સિદ્ધ થાય છે. રાતભર ઉજાગરા કરાવતી નઠારી યાદનુંય કવિ ભલું જ ઇચ્છે છે અને સૉશ્યલ મિડિયા પર પ્રચલિત જેવી ખોટી વાહવાહીને હકીકત ઘણી લઈ બરબાદ થઈ જનારનુંય કવિ કલ્યાણ ઝંખે છે. ગાડરિયા પ્રવાહ જેવી ગતાનુગતિક ચિત્તવૃત્તિથી આઝાદ થઈ પોતાની રાહ પોતે કંડારનારને બિરદાવતો આખરી શેર તો સવિશેષ ગમી જાય એવો છે.
Permalink
September 10, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, જય કાંટવાલા
એકબીજાને કદી સમજી ગયા
સમજી લો કે જિંદગી સમજી ગયા.
જ્યાં જવાને મન કદી માન્યું નહીં
ત્યાં અમે સૌની ખુશી સમજી, ગયા.
ધાકધમકીથી ન સમજાઈ જે વાત
એ તમારા મૌનથી સમજી ગયા.
એક અમસ્તું સ્મિત આપ્યું કોઈએ
લોકો એને લાગણી સમજી ગયા.
જે અદાથી આપે ‘ના’ પાડી હતી
આપની પરવાનગી સમજી ગયા.
સૌને સમજાવીને થાક્યાં આપણે,
આપણે પણ એ પછી સમજી ગયા.
– જય કાંટવાલા
સરળ ભાષામાં લવ એટ ફર્સ્ટ સાઇટ જેવી જોતાવેંત ગમી જાય એવી ગઝલ. એકેય ભારીખમ શબ્દો, રૂપકો કે અલંકારોના આડંબર વિના જ કવિએ ગઝલિયત પ્રાપ્ત કરી બતાવી છે. જિંદગીનો દાખલો સમજવાની બહુ ઉમદા પણ બહુ જ અઘરી રીતે કવિએ મત્લામાં સમજાવી છે. બીજા શેરમાં લોકલાજનો પ્રભાવ કેવો કળાત્મક્તાથી રજૂ કરાયો છે! પછીના ત્રણેય શેર સામી વ્યક્તિના મનને એની વાણીથી નહીં, વલણથી વાંચવાની હિમાકત કરે છે. એક જ વિષય કેન્દ્રમાં હોવા છતાં ત્રણેય શેર અલગ અને આસ્વાદ્ય થયા છે. આખરી શેર પણ અર્થસભર. કુલ મળીને મજાની રચના.
Permalink
September 9, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ધીરેન્દ્ર મહેતા
મુજ દૃષ્ટિ પાછી ના વળે તારા ગયા પછી,
રસ્તા બધાય ઓગળે તારા ગયા પછી.
ક્યાંથી જ સૂર નીકળે તારા ગયા પછી,
બાઝી ગયાં ગીતો ગળે તારા ગયા પછી!
જે પળને નામ પ્રેમનું આપ્યું’તું આપણે,
અશ્રુ બની એ ઊછળે તારા ગયા પછી!
પોલાણ મારી જિંદગીનું થઈ ગયું છતું,
કે કોણ આવીને ભળે તારા ગયા પછી!
શબ્દોની નાવ ડૂબી ગઈ છે ઘડીકમાં,
ખામોશી ખાલી ખળભળે તારા ગયા પછી!
ભીંતો બધીય આજ બહેરી બની ગઈ,
કોના જ શ્વાસ સાંભળે તારા ગયા પછી !
આકાશનું પંખીય રહે બેસી ટોડલે,
કોને ભલા ઊડી મળે તારા ગયા પછી!
પડદા પડી રહ્યા છે બધા અંધકારના,
આ સૂર્ય કેમ ના ઢળે તારા ગયા પછી!
– ધીરેન્દ્ર મહેતા
ગઝલના ભાવવિશ્વ પર કોઈનો સૌથી વધુ અંકુશ હોય તો એ છે રદીફનો. ગઝલનું સ્ટીયરિંગ જેટલું રદીફના હાથમાં છે, એટલું બીજા કોઈ બાહ્યાંગના હાથમાં હોતું નથી. કવિએ ‘તારા ગયા પછી’ રદીફ નક્કી કરી એટલે પ્રિયજનના ત્યજી ગયા પછીના વિષાદ-વિયોગ અને વ્યથા જ ગઝલનું વાતાવરણ બને. છોડીને જઈ રહેલ પ્રિયતમાની પાછળ પાછળ ગયેલી દૃષ્ટિ હવે પાછી ફરી શકતી નથી, કારણ પાછા ફરવા માટે રસ્તો તો જોઈએ ને, અને રસ્તા તો સઘળા ઓગળી ગયા છે! કેવો સુંદર મત્લા! સાથે ગાયેલ ગીતો ગળામાં બાઝી ગયા હોવાથી હવે સૂર નીકળી શકે એમ નથી એ શેર પણ સુંદર થયો છે, પણ છંદપૂર્તિ માટે વપરાયેલો ‘જ’ ભાવાસ્વાદમાં નડતર બને છે. આ જ સમસ્યા બહેરી બની ગયેલ ભીંતોવાળા શેરમાં પણ જોવા મળે છે. ત્રીજા શેરમાં અશ્રુ સાથે ઊછળવું ક્રિયાપદ પણ સુસંગત જણાતું નથી. થોડા સજગ કવિકર્મની મદદથી આવું નિવારી શકાયું હોત તો ગઝલ સુવાંગ સુંદર બની શકી હોત.
Permalink
September 8, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, દાન વાઘેલા
જોવું જ હોય તો, તું હવાની જ ગંધ જો!
અફવાની લાશ લઈ જતા ફૂલોના સ્કંધ જો!
દૃશ્યોની લૂંટમાર કરે છે પતંગિયાં;
શંકા ઓઢીને ઊગતા આ સૂર્ય અંધ જો!
એ વાત છે અલગ કે હૃદય બંધ થાય છે;
આઘાત – લાગણીનો પરસ્પર સબંધ જો!
લે પાણી, પૈસો, પાન પણ તુલસીનું ને આ ધૂળ;
છે જીવની તૃષાનો આ છેલ્લો પ્રબંધ… જો!
– દાન વાઘેલા
સૌંદર્યબોધ આ ગઝલના મત્લાનું મધ્યબિંદુ છે, પણ કવિ ભાવક પાસે ઇન્દ્રિયવ્યુત્ક્રમની અપેક્ષા પણ રાખે છે. દુનિયામાં જોવા જેવું તો ઘણું બધું છે, પણ કવિ આહ્વાન કરે છે કે જોવું જ હોય તો હવાની ગંધ જો. નાકથી કરવાનું કામ આંખથી કર. સુગંધને વહેતી કરનાર ફૂલોના સુકોમળ સ્કંધ અફવાની લાશનું પણ વહન કરે છે એ વાત સહેજ સંદિગ્ધ રહી જાય છે. બીજો શેર સાધારણ છે અને ‘ઓઢીને’માં છંદ પણ તૂટે છે. પણ ગઝલની ખરી મજા ત્રીજા-ચોથા શેરમાં છે. પ્રિયજને આઘાત આપ્યો, એના પ્રત્યાઘાતમાં કથકનું હૃદય બંધ થઈ રહ્યું છે, એ સામાન્ય બનાવને આઘાત-લાગણીના પરસ્પર સંબંધ સાથે જોડીને કવિએ કેવો મજાનો શેર કહી દીધો! અંતિમ શેરમાં ચિત્રણ તો મૃત્યુનું છે, પણ મૃત્યુસમયના રિવાજોને જીવની તરસના છેલ્લા પ્રબંધ તરીકે ઓળખાવીને કવિએ શેરને ચિરસ્મરણીય બનાવી દીધો. કેમકે અંતિમ શ્વાસ સુધી મનુષ્યની તૃષા-લાલસાઓનો અંત આવતો નથી.
Permalink
September 5, 2026 at 7:21 AM by વિવેક · Filed under ગઝલ, મસ્ત 'હબીબ' સારોદી
ચાલી રહ્યું છે ભાગ્યનું ચક્કર કહ્યા વિના,
એના જ ફેરમાં છું બરાબર કહ્યા વિના.
દુઃખ એ કરે છે દૂર, નિરંતર કહ્યા વિના,
ચાલું ન કેમ, એના કહ્યા પર કહ્યા વિના.
દિલમાં કરે છે ઘર એ ખરેખર કહ્યા વિના,
પામી રહ્યાં છે એમ એ આદર કહ્યા વિના.
પૂછે છે વાત આવી એ આખર કહ્યા વિના,
સમજી શકાય કેમ બરાબર કહ્યા વિના.
શું-શું કર્યું ના પ્રેમની ખાતર કહ્યા વિના,
જીવન કર્યું સહર્ષ નિછાવર કહ્યા વિના.
મારી પ્રશસ્તિ કર હવે દુનિયા તું સૂક્ષ્મ થઈ,
હું છું અમર ને તું તો છે નશ્વર કહ્યા વિના.
સુખ—દુઃખ તો ફરતી છાંવ છે, ચિંતા ન કર ‘હબીબ’,
વર્ષા તો આવી જાય સમય પર કહ્યા વિના.
– મસ્ત ‘હબીબ’ સારોદી
(હસનભાઈ મુસાભાઈ પટેલ – ૧૯૧૨ થી ૧૧-૦૫-૧૯૭૨)
ગુજરાતી ગઝલને વળાંકે વળાંકે સ્થિરતા બક્ષી વધુને વધુ ઊંચાઈએ લઈ જનારા ગઝલકારોના કર્તૃત્વને યાદ કરીએ ત્યારે એક નામ મસ્ત ‘હબીબ’ સારોદીનું પણ લેવું પડે. તરહી ગઝલોના દૌરની આ ગઝલ વાંચતાવેંત આ જ જમીન પર રચાયેલ મરીઝની જાણીતી ગઝલ તરત જ યાદ આવે:
ડંખે છે દિલને કેવી એક અક્ષર કહ્યા વિના,
રહી જાય છે જે વાત સમય પર કહ્યા વિના.
મસ્ત ‘હબીબ’ સારોદીની આ ગઝલ દેખીતી રીતે જ મરીઝની ગઝલની ઊંચાઈએ પહોંચી નથી શકી, પણ કવિને ગુજરાતી ગઝલના ઇતિહાસના પરિશીલનમાં અગત્યના માઇલસ્ટોન તરીકે યાદ કરવા જ રહ્યા. બીજા શેરમાં પરમ શક્તિ પ્રત્યેની શ્રદ્ધા દાવા-દલીલની પરંપરાગત રીતિથી સરસ રીતે વ્યક્ત થઈ છે. જે શક્તિ આપણને કહ્યા વિના આપણાં નિરંતર આપણાં દુઃખ દૂર કરતી રહે છે, પૂર્ણ શરણાગતિથી એના કહ્યાનું અનુસરણ કેમ ન કરીએ! ત્રીજો શેર હાંસિલે-ગઝલ- પ્રથમ વાંચને ગમી જાય અને બીજા વાંચને કહ્યા વિના દિલમાં ઘર કરી જાય અને ત્રીજા વાંચને આદર પામે એવો! કેવી કળાત્મક્તાથી કવિએ પ્રણયમાં આદરને સ્થાન આપ્યું છે!
Permalink
September 4, 2026 at 7:44 AM by વિવેક · Filed under ગઝલ, જમિયત પંડ્યા
જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો,
ફૂલની શય્યા ગણી અંગાર પર હસતો રહ્યો.
ઓ મુસીબત! એટલી ઝિંદાદિલીને દાદ દે,
તેં ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો.
કોઈના ઇકરાર ને ઇન્કાર પર હસતો રહ્યો,
જે મળ્યો આધાર એ આધાર પર હસતો રહ્યો.
કોઈની મહેફિલ મહીં, થોડા ખુશામદખોરમાં,
ના સ્વીકાર્યું સ્થાન ને પગથાર પર હસતો રહ્યો.
ફૂલ આપ્યાં ને મળ્યા પથ્થર કદી તેનેય પણ,
પ્રેમથી પારસ ગણી દાતાર પર હસતો રહ્યો.
જીવતો દાટી કબરમાં એ પછી રડતાં રહ્યાં,
હું કબરમાં પણ કરેલા પ્યાર પર હસતો રહ્યો.
નાવ જે મઝધાર પર છોડી મને ચાલી ગઈ,
એ કિનારે જઈ ડૂબી, હું ’ધાર પર હસતો રહ્યો.
ભોમિયાને પારકો આધાર લેતો જોઈને,
દૂર જઈ એ પાંગળી વણજાર પર હસતો રહ્યો.
– જમિયત પંડયા ‘જિગર’
પચાસ વર્ષ પહેલાં ૧૯૭૬માં ‘ગઝલનું છંદશાસ્ત્ર’ પુસ્તક લખીને પાયાનું કામ કરનાર આ પરંપરાના શાયરની ગઝલમાં ગઝલવાંછિત મિજાજ તંતોતંત છતો થાય છે. જિંદગીનો હાથ ટૂંકો હોય કે આપણી અપેક્ષા વધારે હોય –જે હોય તે પણ મનગમતું ને જોઈતું કોઈને કદી મળી રહેતું નથી. ‘सब का ख़ुशी से फ़ासला एक क़दम है, हर घर में बस एक ही कमरा कम है।‘ (જાવેદ અખ્તર) અસંતુષ્ટિની આગ જ મનુષ્યને દોડતો રાખે છે, પણ દાદ દેવી પડે એવી જિંદાદિલી એને જ કહેવાય જે ડગલેને પગલે સાંપડતી વિષમતાઓ અને અપૂર્તિઓ પર પણ હસતો રહે. આખી ગઝલ આ જ બેફિકરીના પાયા પર ચણાયેલી છે. પહેલા બે શેર તો યાદગાર મુક્તક બની ગયા છે.
Permalink
September 3, 2026 at 10:50 AM by વિવેક · Filed under ગઝલ, રાજેન્દ્ર શાહ
આજની મોસમનો લઈ લે આજ ફાલ,
ફૂલ હરસિઙ્ગારનું, જાણે ન કાલ.
વ્હાલથી જ્યારે નિમન્ત્રણ છે દીધું,
પૂર્ણ સૌહાર્દે હૃદયનો રઙ્ગ આલ.
ફાગનો ઠેકો મૃદંગે છે ધર્યો,
કીરને ટહુકે ચરણની ચાલ ચાલ.
તેજ ત્હારી આંખમાં પ્રગટી રહે,
તે જ ફેલાતું હવામાં થઈ ગુલાલ.
જે મળ્યો અવસર ન એળે જાય તે,
જ્યાં થયાં તન્મય પછી તો ન્યાલ ન્યાલ.
– રાજેન્દ્ર શાહ
કવિવર રાજેન્દ્ર શાહે છણ્ણું ગઝલોનો આખો સંગ્રહ પણ આપ્યો છે. એમાંની આ એક ગઝલ. કેટલીક મર્યાદાઓને બાદ કરીએ તો સમર્થ કવિએ ગઝલોની ગલીઓમાં પણ અધિકૃતતાપૂર્વક વિહાર કરી દેખાડ્યો છે. હરસિઙ્ગારનું ફૂલ એટલે પારિજાતનું ફૂલ. અન્ય ફૂલોની સરખામણીમાં પારિજાતનાં ફૂલોનું આયુષ્ય કેવળ એક રાત પૂરતું જ હોય છે. શેરિયત જન્માવવામાં આ તથ્યને કવિએ કેવું કામે લીધું છે! નાની નાની બે જ પંક્તિઓમાં કવિએ આજનું મહિમાગાન કર્યું છે. બીજા શેરમાં માનવસહજ લાગણીના સૌહાર્દપૂર્ણ સ્વીકારની અને ત્રીજા શેરમાં ફાગના રાગનો મહિમા કરાયો છે. ચોથા શેરને ત્રીજાના extension તરીકે પણ માણી શકાય અને વિચ્છૃંખલ શેર તરીકે પણ. હવામાં જે ગુલાલનો નશો, રંગ છવાયા છે એ બીજું કંઈ નહીં, તારી આંખોમાં પ્રગટતું તેજ જ છે. તારી સંબોધન પ્રિયા અને પરમેશ્વર બંનેને લાગુ પાડી શકાય. ઈશ્કે મિજાજી અને ઈશ્કે હકીકી –ઉભયની સહોપસ્થિતિ. અંતિમ શેર મત્લાનું જ પ્રતિબિંબ જાણે. હાથ આવેલ અવસર એળે ન જવા દઈએ; પરસ્પરમાં તન્મય થઈ જઈએ એટલે જિંદગી ન્યાલ ન્યાલ! ચોથા શેરના ઉલા મિસરાની શરૂઆત ‘તેજ’થી થાય છે અને સાનીની શરૂઆત ‘તે જ’થી. ભાવક સતર્ક ન હોય તો સતર્ક કવિની કારીગરીથી નિષ્પન્ન થતું યમક અલંકારનું સૌંદર્ય ચૂકી જવાય. આવો જ યમક અલંકાર એની ઉપરના શેરમાં ‘ચાલ (ગતિ, છટા) ચાલ’ (ચાલવું, આગળ વધવું)માં પણ પ્રયોજાયો છે. ‘ચાલ ચાલ’ની દ્વિરુક્તિ સ્વયં ચરણોની લયબદ્ધ ગતિનો અનુભવ પણ કરાવે છે.
Permalink
September 2, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, દિનેશ ડોંગરે 'નાદાન'
આયના તૂટી ગયા ને બિંબ તરડાઈ ગયાં;
એકમાં છે કેટલા ચહેરાઓ, પરખાઈ ગયા.
બીજનો હો કે પૂનમનો ચંદ્રમા તો એ જ છે;
વાસ્તવિકતા એ જ કેવળ રૂપ બદલાઈ ગયાં.
જિંદગીભર કાંઈ ના સમજી શકાયું એટલે;
અંતવેળાની નજરના અર્થ સમજાઈ ગયા.
એમ આવ્યાં, એમ બેઠાં, એમ ઊઠીને ગયાં;
ભાવ અંતરના બધા વર્તનમાં દેખાઈ ગયા.
એમની વાચાળતાનો છે અલગ અંદાઝ આ;
એ કશું બોલ્યાં નહીં ને મૌન પડઘાઈ ગયાં.
આખરે ‘નાદાનજી’ ના વ્યક્ત કંઈપણ થઈ શક્યું;
ભેદ સૌ ભીતરના, ભીતરમાં જ ધરબાઈ ગયા.
– દિનેશ ડોંગરે ‘નાદાન’
ગઝલનો મત્લા વાંચીએ ત્યારે સાહિર લુધિયાનવી લિખિત દાગ ફિલ્મના ગીતનું મુખડું માનસપટ પર ઝબકે:
जब भी जी चाहे नई दुनिया बसा लेते हैं लोग
एक चेहरे पर कई चेहरे लगा लेते हैं लोग
પ્રસ્તુત ગઝલનો મત્લા પણ મનુષ્યના એક ચહેરામાં અનેક ચહેરાઓ સંતાયેલ હોવાની જ વાત કરે છે, પણ સાહિરે અનુમાનથી જે વાત કરી હતી, દિનેશ ડોંગરે એને પ્રમાણ આપીને કહે છે. આયનો તૂટીને ટુકડેટુકડા થઈ જાય ત્યારે દરેક ટુકડામાં આપણો ચહેરો નજરે ચડે છે. જે ચહેરો આખા આયનામાં આખો દેખાતો હતો, એ કોઈપણ ટુકડામાં આખો દેખાઈ શકતો નથી અને દરેક ટુકડામાં ચહેરાના અલગ અલગ ભાગ નજરે ચડે છે. એક ચહેરો તરડાઈ જઈને અનેકમાં વિભાજિત થઈ જાય છે. અહીં આયનો એકવચનમાં નથી. વાત આયનાઓની છે એટલે જોનાર પણ વ્યક્તિ નહીં, વ્યક્તિઓ છે. આયનાનું બહુવચન કરીને કવિએ કોઈ એક વ્યક્તિના પ્રતીકથી સમાજની વાત કરવાના બદલે આખેઆખા સમાજને જ વરુણીમાં લઈ લીધો. બધા જ શેર વાંચતાવેંત ગમી જાય એવા છે.
Permalink
August 30, 2026 at 11:26 AM by વિવેક · Filed under ગઝલ, રઘુવીર ચોધરી
કોના સ્મરણમાં આજ આ એકાન્ત ઓગળે?
કોની નજર વાતાવરણમાં એકલી તરે?
દર્પણમાં શોધવા જતાં પોતાને, શી ખબર-
– એનું એ પ્રતિબિમ્બ પરાયું બની જશે!
અંતે તો નામરૂપ હશે, કલ્પના ભલે,
વીતી જવામાં એય કયાંક સાથમાં હશે.
ઝંખે છે એક સ્થિર ઘડી આ તરલ સમય,
મારી અધૂરી વાત અટકતાં પૂરી થશે.
ડૂબી ગયું વહાણ કિનારાને જોઈને,
મોજાં પડ્યાં છે શાન્ત, હવે જળ વિરામશે.
– રઘુવીર ચૌધરી
ગાંધી-અનુગાંધી યુગમાં ઉમાશંકર, સુન્દરમ્, નિરંજન ભગત જેવા મોટા કવિઓનો એક વર્ગ ગઝલથી આભડછેટ રાખતો હતો, તો ઉશનસ, જયન્ત પાઠક, રાજેન્દ્ર શાહ જેવા કવિઓએ ગઝલને અપનાવવા-અજમાવવાની કોશિશ યથામતિ કોશિશ પણ કરી હતી. રઘુવીર ચૌધરીએ પણ કેટલીક ગઝલો આપી છે. જો કે સૉનેટ, ગીત તેમજ અન્ય છાંદસ ઊર્મિકાવ્યોથી ટેવાયેલી કલમોએ ગઝલના આંતર-બાહ્ય સ્વરૂપને સમજવામાં ઘણી જગ્યાએ ગોથું ખાધું છે. પ્રસ્તુત ગઝલમાં મત્લા તેમજ બીજા શેરના સાની મિસરામાં છંદ જળવાયો નથી, પણ એ સિવાય ગઝલ સરસ થઈ છે. વાત તો એકલતાની છે, પણ પ્રિયપાત્રના સ્મરણનો સથવારો થતાં જ એકાંત એકાંત રહેતું નથી. દર્પણમાં આપણે સ્વયંને જોઈએ તો છીએ, પણ ઉપલક જ. દર્પણમાં દેખાતા શખ્સને ઓળખવા જઈશું તો ખુદનું પ્રતિબિંબ પણ પરાયું લાગવાની ભીતિ છે. ત્રીજો શેર સહેજ ઠીકઠાક છે, પણ છેલ્લા બે શેરમાં ખરી ગઝલિયત ઊભરી આવી છે. સમય તરલ છે, સતત વહેતો રહે છે, પણ એને એક જ સ્થિર ઘડીની તલાશ છે. આપણી વારતા નિરંતર ચાલતી રહે છે. પણ જે ઘડીએ સમયને પળભર માટેય સ્થિરતા સાંપડશે એ ઘડીએ મૃત્યુ આપણી છેવટ સુધી અધૂરી રહેલી વાર્તાને પૂરી કરી દેશે. ગઝલનો એક મિજાજ છે- કિનારો જોઈ જે પાછો વળી જાયે સમંદરમાં (શૂન્ય પાલનપુરી), અને બીજો મિજાજ છે કિનારાને જોતાવેંત, કિનારો જો આ જ છે તો તરીને કરવું શુંના વિચારે વહાણનું ડૂબી જવું. અસ્તિત્ત્વનો અંત આવતાં જ મોજાંય શાંત થઈ જાય છે, અને જળ પણ વિરામ લે છે.
Permalink
August 29, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સોલિડ મહેતા
આકાશ આખ્ખું ચકરાય ત્યારે
ચારે દિશાઓ તરડાય ત્યારે
ફૂંકાય છે લૂ હર એક શ્વાસે
ઇચ્છા વ્રણોમાં ઠલવાય ત્યારે
ડૂબી જશે આ ઘરમાં ઉદાસી
સાતે સમુદ્રો છલકાય ત્યારે
હોવાપણાનો કરશું ખુલાસો
એકાન્ત ભીનું પડઘાય ત્યારે
સદર્ભ સાચો મળશે મને ત્યાં
સંકેતમા કૈં. સમજાય ત્યારે
હું હસ્તરેખા સળને ઉકેલું
ખુલ્લી હથેળી થઈ જાય ત્યારે
ઊઠાડશો ના ભરઊંઘમાંથી
જાગીશ સૂર્યોદય થાય ત્યારે
– સોલિડ મહેતા
ઘણા ગઝલકારોએ પ્રચલિત સંસ્કૃત છંદોને ગઝલમાં અજમાવ્યા છે. વધુ એક કવિની વૃત્ત ગઝલ આજે માણીએ. છંદનું નામ કવિએ શીર્ષકમાં જ જાહેર કરી દીધું છે. ગઝલનો મત્લા ભાવકને કોઈક રીતે પાશમાં જકડી લે તો ભાવક આખી ગઝલમાંથી પસાર થવાની જહેમત કરે. આ ગઝલમાં કમનસીબે એવું થયું નથી. જ્યારે આખું આકાશ ચકરાય છે, ત્યારે ચારે દિશાઓ તરડાય છે એ વિધાન શેર બની શકતું નથી. વળી, બેમાંથી એક મિસરામાં રદીફ બિનજરૂરી લટકણિયું બની રહે છે. વાક્યની રચના જ એવી છે કે એકવાર જ્યારે અને એકવાર ત્યારેના સ્થાને બે વારના ‘ત્યારે’નો બોજ સહી ન શકે. ઘા પોતે લૂ જેવા દાહક છે, એમાં વળી ઇચ્છા પણ ભળે એટલે દુકાળમાં અધિક માસ ને પડ્યા પર પાટુ. ઉદાસીના અજગરભરડામાંથી ઘર ત્યારે જ બચી શકશે જ્યારે સાતે સમુદ્રો છલકાશે, બધી જ મુરાદો બર આવશે. ભીનું એકાન્ત વિયોગ અને રુદન બંનેને ઈંગિત કરે છે. એકાંત પણ છે અને રુદન પણ છે, પણ બંને મૂંગા છે. અવાજ ઊઠે તો પડઘો પડે ને પડઘો પડે તો સામી વ્યક્તિ સુધી પહંચે. જીવનમાં આવું કશું ઘટવાનું નથી એની ખાતરી હોવા છતાં કવિ ઠાલો સધિયારો આપે છે કે આવું કશું થશે ત્યારે અમે અમારા હોવા વિશે ખુલાસો કરીશું, કારણ હાલમાં તો અમારું હોવું ન હોવા બરાબર જ છે. રહસ્યો છતા થઈ જવાની પળે તકદીરને સમજવાની મથામણ કરવાવાળો શેર સરસ થયો છે, પણ હસ્તરેખા સાથે છંદાનુવર્તી શબ્દ ‘સળ’ ભરતીનો પ્રતીત થાય છે. છેલ્લો શેર પણ ભાવગહન થયો છે.
(છંદવિન્યાસ: ગાગા લગાગા લલગા લગાગા)
Permalink
August 28, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રાવજી પટેલ
આવકારો આ ઝરણ પામી ગયાં,
પ્હાડમાંથી સાંભળી જાગી ગયાં.
લો, ચલો ઊઠો અભાગી ઓ ચરણ,
ક્યાંક મંઝિલ ધારશે- થાકી ગયાં.
રણ, તને કેવી મળી છે પ્રેયસી?
ઉમ્રભરની જે તરસ આપી ગયાં.
આવતાં’તાં હર વખત તોફાન લઈ,
સાવ ખામોશી અહીં રાખી ગયાં.
આવનારા કોઈ નવતર માફ કર,
આવનારાં જે હતાં આવી ગયાં.
– રાવજી પટેલ
રાવજી પટેલે એના ટૂંકા આયખામાં ચાર જ ગઝલ કહી છે, એટલે સમજી શકાય કે ગઝલ એમના માટે ડાબા હાથે કવિતા લખવા માટેના અખતરાથી વિશેષ નહીં હોય. આનંદ એ વાતનો છે કે ગઝલના મિજાજને ક્ષતિ પહોંચાડ્યા વિના આ કામ થયું છે. પહાડોની ભીતર સૂતેલાં ઝરણા અચાનક જાગી જાય એ સ્વયંસ્ફુર્ય ઘટનામાં આવકારો તો કવિ જ પામી શકે. બીજો શેર બહુ સરસ થયો છે. થાકી ગયેલાં ચરણોને કવિએ એક જ પંક્તિમાં લો-ચલો-ઊઠો-ઓ એમ ચતુર્વિધ આહ્વાન આપીને વાતને યથોચિતપણે અધોરેખિત કરી બતાવી છે. ચરણ અભાગી પણ છે અને થાકી પણ ગયાં છે. પણ હામી ગુમાવી બેઠેલ ચરણોને શબ્દોના ચાબુકથી દોડાવવાની નવતર કળ કવિને હાથ લાગી છે. ચાલો ભાઈ ચાલો… ક્યાંક મંઝિલ એવું ન ધારી લે કે તમે થાકી ગયાં છો… રણની સુક્કાશ પાછળનું કારણ પણ કવિએ મજાનું શોધી કાઢ્યું છે. ‘આવતાં’તાં હર વખત તોફાન લઈ’ –મતલબ, આવતાં તો હતાં, પણ કદી કાયમ માટે રહી જવા માટે નહીં… આવી આવીને ચાલ્યા જવા માટે જ. જે વ્યક્તિ કાયમ તોફાન લઈને-થઈને આવતી, એના ચાલી ગયાં પછી હવે અહીં કેવળ ખામોશી બચી છે. હવે આ જીવનમાં કશા નવતરને કોઈ અવકાશ નથી. જેમણે આવવું જોઈતું હતું એ તો આવી ગયાં…
Permalink
August 27, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પંથી પાલનપુરી
ઝરણું સમાન્તરે, કદી મૃગજળ સમાન્તરે,
તૃષ્ણાનું બીડ, તૃપ્તિનું ઝાકળ સમાન્તરે.
ચાલ્યા કરે સમાન્તરે ચહેરોય સૂર્યનો,
કાસાર ક્યાંક, ક્યાંક કમળદળ સમાન્તરે.
તડકો ને છાંયડેો રહ્યા સાથે પ્રવાસમાં,
સ્મરણો, સપન ઉભય રહ્યાં સમથળ સમાન્તરે.
શબ્દો સમાન ઘર અહીં ઊભાં છે હારબંધ,
ખુલ્લાં જ દ્વાર ક્યાંક ને સાંકળ સમાન્તરે.
પડછાયો થાય છે કદી આગળ, કદી પછીત,
અણજાણ આવકારતાં કૈં સ્થળ સમાન્તરે.
‘પંથી’ ખભેથી સાંજ ઉતારી સરાઈમાં,
કર યાદ કોણ એ હતું પળપળ સમાન્તરે ?
– પંથી પાલનપુરી
ગઝલની વિચ્છૃંખલતાને બારીક તો બારીક પણ એકસૂત્રે બાંધી રાખવાની જવાબદારી રદીફના ભાગે ગણાય. રદીફ જેટલી વિશિષ્ટ એટલી આ જવાબદારી તો વધે જ, એને નિભાવવુંય મુશ્કેલ બને. પ્રસ્તુત ગઝલમાં કવિ ઉભય કસોટીએ પાર ઉતર્યા છે. મત્લા જુઓ. પહેલી નજરે સાધારણ લાગે, પણ સહેજ વિચારતાં જ રોમાંચ થઈ જાય. ક્યારેક ઝરણું તો ક્યારેક મૃગજળ જીવનની સમાંતરે રહે છે. ઝરણું ખળખળ થતી વાસ્તવિક્તા છે, જ્યારે મૃગજળ નકરો આભાસ. ઝરણું લાગણીઓની આર્દ્રતા અને વહન બંને સૂચવે છે, જ્યારે મૃગજળ ઉજ્જડતા અને સુક્કાશ. આ જ રીતે એક તરફ તૃષ્ણાનું બીડ છે અને બીજી તરફ એને જ સમાંતરે તૃપ્તિનું ઝાકળ છે. ઇચ્છાઓ કદી ખતમ થતી નથી અને તૃપ્તિ કદી લાંબુ ટકતી નથી, માટે જ ઇચ્છાઓનું જંગલ અને સંતુષ્ટિનું પળમાં ઊડી જનાર ઝાકળ. હવે ફરીથી ઉલા મિસરો વાંચો. આવી મજા? બધા જ શેર સરસ થયા છે, પણ મત્લા-મક્તાની જોડી સર્વોપરી છે.
Permalink
August 26, 2026 at 11:10 AM by વિવેક · Filed under ગઝલ, પથિક પરમાર
હું છવ અકરમી તૈં પિયુ બારે ગિયો છ બૈ,
વાણા વયા છ તોય ન ચ્યમ આવિયો છ બૈ?
‘લ્યી એય ગોવાલણિયું! ઊભી તો ર્યો ની જરી,
મારા ભેરુને ચ્યાંય તમે ભાળિયો છ બૈ?
નૈતર ન ડાબી આંખ થરુકે થરક-થરક,
લાગે છ દખનો ડુંગરો આવી રિયો છ બૈ!
બથમાં વલખતી રાત લઈને ઝૂર્યા કરું,
સૂરજને કુંણે છાબડીમાં ઢાંકિયો છ બૈ?
પૂરી કરીને કાપણી ખડકું કડબના ગંજ,
સેતર વચાળ કાંય રૂંવે ચાડિયો છ બૈ!
પાણી ભરેલ ભાંભલી રઈ હાથમાં, છતાં-
તરસી મરું ને કંઠમાં ભડકો થિયો છ બૈ!
– પથિક પરમાર
જેનો પતિ વિદેશ ગયો હોય એવી વિરહિણી તે પ્રોષિતભર્તૃકા. પ્રતીક્ષારત વિયોગિનીની આ ગઝલ ને તેય જાનપદી બોલીમાં. નાયિકા બઈ એટલે કે સહેલી અથવા સાસુ સાથે એકતરફી સંવાદ સાધે છે. એક જમાનો હતો જ્યારે બે પૈસા રળવા પતિદેવો બહારગામ કે વિદેશ જતા અને પત્નીઓ મહિનાના મહિનાઓ રાહ જોઈ સૂકાઈને કાંટો થતી. વહાણા6 વાઈ જવા છતાં ઘરે પરત ન ફરેલ પતિના વિદેશગમન પાછળ નાયિકાને તો એક જ કારણ ભળાય છે-પોતાનું અક્કરમી હોવું તે. ગોવાલણીઓને ઊભી રહેવા હાકલ કરતો શેર શેરકક્ષાએ પહોંચી શક્યો નથી, ડાબી આંખ ફરકે તો મનગમતી વ્યક્તિ આવવાની વકી ગણાય, પણ અહીં તો દુઃખનો ડુંગરો આવતો હોવાના ભણકારા થાય છે, મતલબ વહાલમ આવવાની વાત પરથી ભરોસો જ ઊઠી ગયો છે. સૂરજને કોઈએ છબડીથી ઢાંકી ન દીધો હોય, એમ જીવનમાં હવે એકધારી રાત જેવા અંધારા સિવાય કશું નથી. પોતે તરસી મરતી હોવા છતાં ને પાણી ભરેલ ભાંભલી નદી હાથવગી હોવા છતાં કંઠમાં ભડકા કરતી તરસ છિપાવી શકાતી નથી. હાથવગી નદી માટે કવિએ નદી હાથમાં જ હોય એવો કાવ્યાત્મક પ્રયોગ કર્યો છે.
Permalink
August 25, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હર્ષદેવ માધવ
(મત્સ્ય)
સાત દરિયામાં સંબંધો વિસ્તરે
સર્વ તટ એને હવે ટૂંકા પડે
(કચ્છપ)
હું ભુવન મારી ધુરાવશ થૈ ધરું
ધરણીધરની કાંકરી ખૂંચે મને?
(વરાહ)
હે તિમિરિ! પેટાળને ખુલ્લાં કરો
એક પરપોટેય માયા ફૂટશે
(નૃસિંહ)
લોહી ઊગ્યું નખની ડાળે પુષ્પવત્
હિંસ્રતા અડધી ક્લેવરનાં વને
(વામન)
હેય! નક્ષત્રો છે મારી પાનીએ
ક્યાં ઉપાડેલું ચરણ મૂકું હવે?
(પરશુરામ)
શસ્ત્રધારા આંખમાં સળગી અને
વક્ષ વડવાનલ બનીને ઊછળે
(રામ)
વાસનાને શિર દસ, શત હાથ છે
ક્ષાર જલ આ ચોરફ બસ ઘૂઘવે….
(કૃષ્ણ)
ક્યાંય વૃંદાવન નથી, ગોકુલ નથી
દ્વારિકાવત્ જીવ શેમાં ડૂબશે?
(બુદ્ધ)
નિષ્ક્રમણ પૂરું નથી થાતું અહીં
શૂન્ય પણ શોધ્યા કરે છે શૂન્યને
(કલ્કિ)
આવવું પાછું ફરી…. પાછું ફરી….
ખાંધ પર ઊંચકી જવા કયા ભારને?
– ડૉ. હર્ષદેવ માધવ
કવિ દશાવતારને ગઝલાવતાર આપવાનું વિચારે ત્યારે પુરાણના સંદર્ભો અને સાંપ્રત સમય વચ્ચે સાયુજ્ય ન સાધી શકાય તો ગઝલ ગઝલ ન રહેતાં, પુરાણકથા બનીને રહી જાય. સાવ અલગ પ્રકારની ગઝલમાં અદભુત કવિકર્મ કરીને કવિએ આપણને યાદગાર ગઝલ આપી છે.
• મત્સ્ય અવતાર: સત્યવ્રત રાજા (મનુ વૈવસ્વત)ને હાથ લાગેલ મત્સ્ય ક્રમશઃ સમુદ્ર જેટલું વિરાટ થઈ જાય છે, એમ માનવસંબંધોમાં અપેક્ષાઓ સાત દરિયાય નાના પડે છે.
• કચ્છપ (કૂર્મ) અવતાર: સમુદ્રમંથન વખતે કચ્છપે મંદરાચળને પીઠ પર ધારણ કર્યો હતો એમ દરેક માણસ વિપદાઓની કાંકરીઓના ખૂંચવાની ફરિયાદ કર્યા વિના પોતપોતાના સંસારનો ભાર ઊઠાવીને જીવી રહ્યો છે,
• વરાહ અવતાર: વરાહ ભગવાને અંધકારમય જળના પેટાળમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કર્યો હતો, એમ મોહમાયાના પરપોટાને ફોડી પેટાળમાંથી પ્રકાશ/સત્ય બહાર લાવવાની વાત છે.
• નૃસિંહ અવતાર: અર્ધ નર- અર્ધ સિંહ (હિંસ્રતા) બનીને નૃસિંહના નખની ડાળે પુષ્પવત્ ઊગતું લોહી પ્રેમ અને રક્ષણની ભાવાભિવ્યક્તિ છે.
• વામન અવતાર: સાચા કવિની વિરાટ ચેતના નક્ષત્રોય પગ નીચે આવી જાય એ હદે વિસ્તરતી હોય છે,
• પરશુરામ અવતાર: પરશુરામના ક્રોધાગ્નિની જેમ અહીં આંખોમાં શસ્ત્રધારા અને છાતીમાં વડવાનલ જેવો આક્રોશ ઊછળે છે. અહીં શેરિયતનો અભાવ ખલે છે.
• રામ અવતાર: દસ માથાં અને સો હાથવાળા રાવણ સમી વાસનાની ચોતરફ કેવળ ક્ષારયુક્ત દુઃખનો દરિયો ઘૂઘવે છે.
• કૃષ્ણ અવતાર: ગામડાંની નૈસર્ગિક્તા અને પ્રેમ શહેરોની ભૌતિકતામાં ક્યાં મળવાની? આ જીવ હવે શેમાં ડૂબશે?
• બુદ્ધ અવતાર: મહાભિનિષ્ક્રમણ કરો કે ન કરો, આ જગતમાં માનવનો આંતરિક શોધનો પ્રવાસ ક્યારેય પૂરો થતો નથી.
• કલ્કિ અવતાર: ઈશ્વરને પણ વારંવાર અવતાર લેવા પડે છે અને આપણાં તો ચોર્યાસી લાખ ફેરા લખાયેલા જ છે. સંસારનો એવો તે કયો ભાર છે, જેને ઊંચકી જવા માટે વારંવાર પાછા આવવું પડે છે?
Permalink
August 24, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પાર્ષદ પઢિયાર
શરણાઈ છેડે ગમ-સા-સારે-
શમણાં રુવે અંતર-દ્વારે.
આંસુ ખૂટયાં આંખ્યુંમાંથી
આહ! નિસાસા! આવો વ્હારે!
સપનાં જેવું સગપણુ રાખી-
સાથે રમવું તારે-મારે.
ઇચ્છાઓનું ટોળું હાલ્યું-
નાતો તોડી હૈયા હાર્યે.
– પાર્ષદ પઢિયાર
આવી ગઝલ હાથ ચડે ત્યારે કવિ ચાર શેર કહીને અટકી ગયા હોવાનો વસવસો અવશ્ય થાય. પણ સાથોસાથ સંયમને દાદ પણ દેવી રહી, કારણ આવી જ ક્ષમતાવાળા બીજા શેર આવવાના ન હોય તો આગળ વધવાથી ગઝલને જ નુકશાન થાય. સંગીતના સાત સૂરો –સારેગમપધનિ-ને તો ઘણા કવિઓએ પ્રયોજ્યા હશે. પણ અહીં જે કમાલ છે એ કમાલની છે. શરણાઈ સારેગમસા સૂર છેડવાના વદલે ગમ-સા-સારે સૂર છેડી રહી છે. કન્યાવિદાયના ટાણે આંખો આંસુ સારે એ રીતે શરણાઈ ‘ગમ’ ‘સારે’ છે એવો શ્લેષ અહીં સર્જાયો છે. રડતાં રડતાં આંખો ખાલી થઈ જાય પછી? આંખોનું રડવાનું પૂરું થાય એ પછી દિલના રડવાનો વારો છે. એટલે જ કવિ આહ અને નિસાસાઓને પોતાની વહારે આવવા આહ્વાન દે છે. કેવો અદભુત શેર! આખી ગઝલને કન્યાવિદાયની ગઝલ ગણી લઈએ તો બાપ-દીકરી, મા-દીકરી કે બે સહેલીઓ હવે સપનાંમાં જ રમવાને ભેળાં થઈ શકશે એ અર્થઘટન ગમી જાય એવું છે, અંતિમ શેર પણ એ પરિપ્રેક્ષ્યમાં આસ્વાદી શકાય. ચારેય શેરને સ્વતંત્ર રીતે પણ માણી શકાય. અંતિમ શેરમાં “હાર્યે”ના સ્થાને “હારે” કરીને કાફિયાચૂક ટાળવામાં આવી હોત તો ગઝલ અનવદ્યપણે આસ્વાદ્ય થઈ હોત.
Permalink
August 22, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હેમંત ઘોરડા
વીતે ન એક ઘડીથી ઘડી એક ક્ષણથી ક્ષણ
હું ઓગળી ન જાઉં અને રાત પણ કઠણ.
સુક્કા અધર પરે ન કોઈ શબ્દ કલરવે
ઊડી ન જાય ખુલ્લાં નયનથી કોઈ વલણ.
પથરાળ ટેરવામાં કોઈ સ્પર્શ ના વહે
બસ વિસ્તરે ઉદાસ હથેળીમાં રણનાં રણ.
અંતર કદી રુવાંથી રુવાંનું તૂટે નહીં
લીરા કરી ત્વચાના ઊડાવે ન કોઈ વ્રણ
ટપકે ન આંખથી કે એ છલકે ન લિંગથી
અવગત રુધિરને તો ન મળે કોઈ ઘાવ પણ.
– હેમંત ધોરડા
રાતની વાત છે, પણ રાત શેની છે એ વાત કવિએ અધ્યાહાર રાખી છે. ગઝલનો મિજાજ આપણને કહે છે કે આ રાત વિયોગની-વેદનાની રાત છે. અને એટલે જ આ રાત અકાટ્ય બની રહી છે. ઘડી તો દૂરની વાત છે, ક્ષણ પણ અટકી પડી છે. નથી સ્વયંનું અસ્તિત્ત્વ ખતમ થતું, નથી રાત ખતમ થતી. રાત માટેનું ‘કઠણ’ વિશેષણ સમયના જડત્વ-સ્થૈર્યની પરાકાષ્ઠા નિર્દેશે છે. લકવાગ્રસ્ત સંવેદના સૂકાયેલ હોઠેથી તો નથી જ ટહુકતી, ખુલ્લી આંખોથીય વ્યક્ત થવાને સક્ષમ નથી રહી. પથ્થર જેવા બધિર થઈ ગયેલ ટેરવાં સ્પર્શની ભીનાશ અનુભવી શકે એમ નથી. સતત વિસ્તરતા જતાં રણ જેવી ઉદાસીએ અસ્તિત્ત્વ પર કબ્જો કરી લીધો છે. રુવાંથી રુવાંના અંતરવાળો શેર પ્રથમ નજરે સહેજ દુર્બોધ લાગે. પીડાના ‘मुश्किलें मुझ पर पडी इतनी’ના ન્યાયે કોઠે પડી જવાની આ વાત છે. હવે કોઈ વેદના બૉમ્બની જેમ અસ્તિત્ત્વના લીરેલીરાં ઊડાવી શકતી નથી એ વાત બે રુંવાડા વચ્ચેનું અંતર ‘તૂટતું’ ન હોવાના રૂપકની મદદથી કવિએ કહી છે. વેદનાના અવિર્ભાવનો અભાવ અંતિમ શેરમાં સ્ફુટ થયો છે. વેદના ક્યાં તો આંખોથી વહી નીકળે, ક્યાં તો જાતિય આવેગ થઈને સ્ફોટ પામે. પણ થીજી ગયેલા લોહીને વહેતું કરી શકે એવો કોઈ ઘા અવગતિએ ગયેલા જન્મારાને નસીબ થતો નથી. આંખથી રુધિરના ન ટપકવાની વાતે મિર્ઝા ગાલિબ અવશ્ય યાદ આવે:
रगों में दौड़ते फिरने के हम नहीं क़ाइल,
जब आँख ही से न टपका तो फिर लहू क्या है।
Permalink
August 21, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હરિકૃષ્ણ પાઠક
રંગ કોના છે, રાગ કોના છે?
આ ફટાણાં ને ફાગ કોનાં છે?
ફાટ ને ફૂટ સૌ ફરેબી છે;
લૂંટમાં લાગ-ભાગ કોના છે?
અલ્પમતને અપાર તોષીને
દૂધ પાયેલ નાગ કોના છે?
હાંડીઓ ઝૂલતી હવાલાની,
તળિયાં એનાં અતાગ કોનાં છે?
રામનું નામ શુક નથી લેતા,
ને સતત રટે છે કાગ, કોના છે?
સત્યને ઠેર ઠેર ઠમઠોર્યું;
ઠેકા—ઠૈયા ને ઠાગ કોના છે?
જંગલો ને વનો ઉજાડીને
ખીલવ્યા છે એ બાગ કોના છે?
ઢોરની ચાર્ય પણ ચરી ચાલ્યા;
જાંગલે તેડ્યા જાગ કોના છે?
દેશ આખાને દોદળો કીધો,
કાળજે દીધા દાગ કોના છે?
– હરિકૃષ્ણ પાઠક
શાસકપક્ષ કોઈ પણ હોય, રાજકારણ કાયમ સ્વકારણ બનીને જ રહી જાય છે. સમય સમયાંતરે કવિઓ પ્રજાસત્તાકને સ્વસત્તાક બનાવી બેઠેલા ભ્રષ્ટાચારીઓનો ઉધડો લેતા રહે છે. નવેનવ શેર નાની પણ ધારદાર છરી જેવા. કવિ એવા સવાલો કરે છે જેના જવાબ બધા જ જાણે છે, પણ તોય આ સવાલો અનિવાર્ય છે. કારણ કે આવા સવાલ જ લોકશાહીનો પ્રાણવાયુ છે. પોપટ ભલેને રામનામ જપવાના બદલે કાગડાનું નામ લે, પણ આપણે સવાલો પૂછવાનું બંધ કરી દઈશું તો આપણાં જંગલો-વનોને ઉજાડીને નિભ્ભર રાજકારણીઓ પોતાના બાગ ખીલવવાનું બંધ નહીં કરે. (કાગવાળા શેરમાં ‘રટે’નો સાંકડો ઉચ્ચાર કરી એને એક ગુરુ તરીકે સ્વીકારવાનું સહેજ કઠિન થઈ પડે છે.)
Permalink
August 20, 2026 at 12:30 AM by વિવેક · Filed under આર. જે. નિમાવત, ગઝલ
સ્વપ્નમાં રણ વિસ્તરે તારા વગર,
ઝાંઝવાં બસ તરવરે તારા વગર.
વાદળી એકકેય ક્યાં છે આભમાં?
મોભ કિન્તુ નીતરે તારા વગર!
ટોડલે ટાંગેલ તારા ચાકળે–
આભલાં રુદન કરે તારા વગર.
એકલું એકાંત છે, હું પણ નથી,
શ્વાસ કેવળ હરફરે તારા વગર.
પાણિયારે હેલ ખાલી છે પડી-
કોણ આવીને ભરે તારા વગર?
કોણ ખાલી જિંદગીના ચોકમાં-
અવનવા રંગો પૂરે તારા વગર?
– આર. જે. નિમાવત
પ્રારંભથી જ વિયોગ અને વિષાદ ગઝલનાં પ્રભાવી પહેલુ રહ્યાં છે. અહીં તો આખી ગઝલ જ ‘તારા વગર’ રદીફની ધરી પર ઊભી છે. સ્વપનમાં પણ મુલાકાત થઈ ન શકે એવી રણમાં ઝાંઝવા જેવી પરિસ્થિતિ વિયોગની પરાકાષ્ઠા ચાક્ષુષ કરે છે. મનનું આકાશ તો નિરભ્ર છે, પણ આંખોનો મોભ નીતરી રહ્યો છે. ક્યારેક પ્રિયજને દરવાજાના ટોડલે ચાકળો ટાંગ્યો હશે, એમાંના આભલા આજે રડી રહ્યા છે. ‘તારા’ શબ્દમાં શ્લેષ અનુભવી શકાય છે- એક તો બીજાપુરુષ એકવચન તરીકેનું સંબોધન અને બીજું, ચાકળામાં જે તારા અને આભલાનું ભરતકામ કરાયું હોય એ તારાનો સંદર્ભ. એકાંત એ હદે વ્યાપી ગયું છે કે સ્વયંની ઉપસ્થિતિ પણ અનુભવાતી નથી. જીવન કેવળ શ્વાસની હેરફેર થતી હોય એવી નિષ્પ્રાણ લાશ બનીને રહી ગયું છે.
Permalink
August 19, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, વારિજ લુહાર
એક ભીના સ્પર્શનો દરિયો તરીને.
આવ! પીળા અર્થનો દરિયો તરીને.
રાહ જોતી શૂન્યતા ઉભી કિનારે,
આવ! કો’ સંદર્ભનો દરિયો તરીને.
ફૂલથી કોમળ છવિ મેં સાચવી છે,
આવ! મબલખ ગંધનો દરિયો તરીને.
પાંપણોમાં પીગળી જાશે પહાડો,
આવ! થીજયા બર્ફનો દરિયો તરીને.
શક્યતા છે ભીંતને નડશે તિરાડો,
આવ! સઘળી શર્તનો દરિયો તરીને
– વારિજ લુહાર
આમ તો ગઝલ પણ એક પ્રકારનું ઊર્મિકાવ્ય જ છે, પણ ગઝલમાં ઊર્મિઓ ઉપરાંત ચિંતન-વિચાર. અવલોકન વગેરેને પણ અવકાશ રહેલો છે. આમ તો સર્જન સમયનું કવિસંવેદન ભાવક યથાતથ અનુભવી શકે એ જ કવિતાનું સાર્થક્ય, પણ ગઝલમાં કેવળ ભાવસંવેદન જ પ્રત્યાયિત થાય એ આવશ્યક નથી. ગઝલને કદાચ ભાવાર્થ વધારે અભિપ્રેત છે. વિચારપ્રધાન ગઝલો શીઘ્ર પ્રત્યાયન સાધે એ જરૂરી નથી. આ ગઝલ જુઓ. દરેક શેરના સાની મિસરાની શરૂઆત ‘આવ’થી થતી હોવાથી ગઝલની રદીફ ‘આવ’ અને ‘દરિયો તરીને’ -એમ દ્વિભાજિત થયેલી પ્રતીત થાય છે. દરિયો તરીને આવવા માટેનું ઇજન છે, મતલબ બે જણ વચ્ચે દરિયાભરનું અંતર પડી ચૂક્યું છે. અને ભીતરના હનુમાનને જગાવીને એ પાર કરવાનું છે. મિલન માટે આતુર તો છે, પણ સ્વંય દરિયો તરીને જવા તૈયાર નથી. જે ગયું છે એણે જ દરિયા તરીને આવવાનું છે. કથક પ્રતીક્ષામાં શૂન્યવત થઈ, હૃદયમાં ફૂલશી સુકોમળ છબી સાચવીને, પાંપણોના પહાડ ઓગાળવા ને સઘળી શરતોને વિસારે પાડવા આ કાંઠે તૈયાર ઊભો છે. એ મિલન માટે આતુર તો છે, પણ સ્વંય દરિયો તરીને જવા તૈયાર નથી. જે ગયું છે એણે જ દરિયા તરીને આવવાનું છે. કવિ સ્પર્શ માટે ‘ભીનો’ વિશેષણ પ્રયોજે છે, ત્યારે સ્પર્શ ઉપલક કે ઔપચારિક ન રહેતાં લાગણીભર્યો ને ભીતરનો બની રહે છે. પણ બીજી પંક્તિમાં જે દરિયો તરવાનો છે એ પીળા અર્થનો છે, ઉદાસીનતાનો છે. ક્યારેક જે સ્પર્શ લાગણીભીના હતા એ હાલમાં ગ્લાનિની પીળાશ બની ગયા છે… નાયિકા હવે દરિયા પાર કરીને આ તરફ આવે તો જ સંદર્ભો અને મબલખ ગંધના દરિયા સજીવન થાય.
Permalink
August 13, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, બકુલેશ દેસાઈ
હળવી પળો વચાળ સૈ, વાગી ગઈ હલક,
એકાંતઘેરી મેડીએ સ્મરણો છલક…છલક.
બળબળતું દશ્ય પાંપણે હરએક મોડ પર,
અમને બતાવ જિંદગી, જાવું કયે મલક?
ભીડયાં કમાડ પાર જુઓ, છે અધીર મન!
અવસરપણાની વાટમાં આંખોય નિષ્પલક!
‘બકુલેશ,’ ધન્ય પળ હતી જ્યારે એ આંખમાં,
નામ જ તમારું સાંભળી આવી ગઈ ચમક!
– બકુલેશ દેસાઈ
સર્જક પુરુષ છે, પણ અભિવ્યક્તિ સ્ત્રીની જણાય છે. કારણ મત્લાનો ઉઘાડ ‘સૈ’ સાથેના સંવાદ તરીકે થાય છે અને પુરુષ પરત ફરે એની પ્રતીક્ષામાં આંખો બંધ કમાડની આરપાર તાકી રહી છે. સ્મરણોનું પોતાનું આગવું જ ગણિત છે. એ ક્યારે ખુશીના સરવાળા કરી બેસે ને ક્યારે દુઃખના ગુણાકાર એ ખબર જ ન પડે. હલવી પળોમાં છલક છલક થતાં સ્મરણો એકાંતઘેરી મેડીના એકાંતને ઓર ગાઢું કરી દે છે. જ્યાં જુઓ, લ્હાય જ લાગી છે. કઈ તરફ જવું એ કેમ સૂઝે! જિંદગી પોતે કોઈ રસ્તો બતાવે તો ઠીક, બાકી… મિલનના અવસરની વાટમાં આંખો પલકવું ભૂલી જઈ ભીડ્યાં કમાડની આરપાર પહોંચી ગયેલ અધીરા મનને જોઈ રહી છે. પ્રિયજનનું નામ સાંભળતાવેંત આંખોમાં ચમક આવી ગઈ હતી એ ધન્ય પળ ભૂતકાળ બની ગઈ હોવાના ભાર ન અનુભવાય એવા હળવા વજન સાથે ચાર જ શેરમાં ગઝલ પૂરી થઈ જાય છે. ચારેય શેર આંખ અને પ્રતીક્ષાના એક જ તાંતણે બંધાયા છે. (હલક-છલક-મલક સાથે ચમક કાફિયા અનિર્વાહ્ય. એકાક્ષરી ગુરુને ગઝલમાં લઘુકરાર આપી શકાય, પણ ‘સૈં’ જેવા એકાક્ષરી જોડાક્ષરને લઘુ તરીકે ન લેવાય.)
Permalink
August 12, 2026 at 10:44 AM by વિવેક · Filed under ગઝલ, રમેશ પારેખ
(પ્રલંબતોટક)
હજુ આંખ ખૂલે ન ખૂલે અડધું પડધું, મનજી
થઈ જાય બધાં સપનાં ભડથું ભડથું, મનજી
નદીઓ ઉમટ્યાની ઊડી અફવા ગલીએ ગલીએ
જરી પાંપણમાં ચીતર્યું અમથું રડવું, મનજી
પડવાની અણી પર હોય છતાં ન પડે ફડકો
બનતાં બનતાં અટકી પડવું બનવું મનજી
જડ હાથ રહે જડ, ના કદી યે બનતો ઘટના
સરખું જ બધું, પથરો અથવા સસલું મનજી
પડવું, દડવું, ચડવું, ખડવું, રડવું, સડવું બસ,
આમ ક્રિયાપદભેર ક્રિયાપદવું, મનજી
ચકલા પર ઊભી રહે છે ઉઘાડી ઉઘાડી ચીસો
મળ્યું ષંઢ શહેર વિષે ભડવા બનવું, મનજી
– રમેશ પારેખ
સમર્થ સર્જક સતત નવું શું કરી શકાય એની મથામણમાં રહેતો હોય છે. ગઝલ વિદેશથી આપણે ત્યાં આવી તો પોતાના છંદ સાથે લેતી આવી, પણ આપણી કાવ્યપરંપરા પાસે તો પોતાના વૃત્તોની સમૃદ્ધ પરંપરા હતી જ… ઘણા સર્જકોએ આ બંનેનું કોકટેલ કરી જોયું છે. ર.પા.એ પણ કેટલીક વૃત્ત ગઝલો લખી છે. નવ વૃત્ત ગઝલોના ગુચ્છમાંથી નવમી ગઝલ આજે અહીં રજૂ કરીએ છીએ. સામાન્યરીતે તોટક છંદમાં સ,સ,સ, એમ કુલ બાર ગણ હોય, પણ કવિએ બે આવર્તન વધારે પ્રયોજી પ્રલંબતોટક છંદ બનાવ્યો છે. મનજીને સંબોધીને લખાયેલ આ વૃત્ત ગઝલ છંદવ્યાયામ કે ફ્યુઝન-એક્સપરિમેન્ટ ન બની રહેતાં ગઝલિયતને વરી છે એનો સવિશેષ આનંદ.
(છંદવિન્યાસ: લલગા લલગા લલગા લલગા લલગા લલગા)
Permalink
August 7, 2026 at 12:30 AM by વિવેક · Filed under કાબિલ ડેડાણવી, ગઝલ
કલા સાથે વ્યથાનું આ રીતે એકીકરણ આવ્યું,
કે કસ્તૂરીને સાથે લઈ ફફડતું કો’ હરણ આવ્યું.
બધાને એમ લાગ્યું પ્રેમમાં એકીકરણ આવ્યું,
ખબર કોને, મિલનરૂપે સરિતાનું મરણ આવ્યું
મહોબતના જગતમાં ખેલદિલી હોય છે આવી,
હતો સાગર જો બેપરવા તો દોડીને ઝરણ આવ્યું.
કદી સુંદર દિસે છે તો કદી નિષ્ઠુર લાગે છે,
તમારા રૂપમાંયે કેવું આ વર્ગીકરણ આવ્યું?
તમારી યાદ આવી તો હું સમજ્યો કે તમે આવ્યા,
મને લાગ્યું સૂરજ આવ્યો નજરમાં જ્યાં કિરણ આવ્યું.
ખુશી તારા વિચારે થાય છે તો એમ લાગે છે,
જીવનની રાહમાં ખળખળ થતું કોઈ ઝરણ આવ્યું.
તમે લાંબે જનારી મારી દષ્ટિને કરી ટૂંકી,
તમે આવ્યા ને દૃષ્ટિ પર તમારું આવરણ આવ્યું.
મહોબતમાં પ્રવેશ્યા બાદ મુજને સત્ય સમજાયું,
છલોછલ ઝાંઝવાનાં જળ ભરેલું કોઈ રણ આવ્યું.
ખુશીની વાત એથી તો નથી લખતો કવિતામાં,
કોઈ કહેશે કે ‘કાબિલ’ની ગઝલમાં અવતરણ આવ્યું
– કાબિલ ડેડાણવી
વાયકા છે કે કસ્તૂરીમૃગ જીવનભર કસ્તૂરીની સુગંધના સ્રોતને શોધવા આકળવિકળ દોડતું રહે છે. હકીકતમાં એ તો એની નાભિમાં જ હોય છે. કસ્તૂરીમૃગના સંદર્ભે કલા અને વ્યથાના અવિનાભાવી સંબંધને કવિએ કેવી કાબેલિયતથી દર્શાવી દીધો! નદી અને સાગરના મિલનમાં નદીનું મરણ થતું તો કોઈ સંવેદનશીલ કવિ જ જોઈ શકે. જે કવિ એક શેરમાં સાગરમાં ભળી જતી નદીમાં મરણ જુએ છે એ જ કવિ બીજા શેરમાં સાગરની બેપરવાહી જોઈને દોદી આવતા ઝરણની વાત કરે છે. બંને વળી, પ્રેમના સંદર્ભે જ. મતલબ, એક જ અહેસાસને એક જ કવિ અલગ-અલગ રીતે પણ જોઈ શકે છે. પ્રેમ છે જ ક્લાઇડોસ્કૉપ જેવો. ભાતીગળ. સતત પરિવર્તનશીલ. ખરું ને?
Permalink
August 6, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ફારૂક શાહ
મંજીરું બજે, ઢાળ વહે ગંગાસતીનો,
પણ જીવમાં પડઘાયા કરે તાલ ક્ષતિનો.
રોકી ન શકાતો કોઈ સંવેદનાનો જન્મ,
ઊતરી ન શકે કોઈ રીતે બોજ મતિનો.
એક મંત્ર તૂટ્યો, તૂટી બધી નાભિક્રીડાઓ,
દદડયા કરે છાતીથી અનલ અથથી ઈતિનો.
વિસ્તારવાનું રોજ બને જળની સપાટી,
તોયે મળે છે ક્યાં મને અહેસાસ ગતિનો.
આંખોથી વહી નીકળ્યા બાહર બધા સંવેગ,
રગરગમાં ફર્યો શાપ કોઈ સ્વપ્નવતીનો.
મસ્તિષ્ક ઉઘાડીને રુધિર હોમ કરી જોઉં,
પણ ચમકે ન વીજળી કે બળે વેશ જતિનો.
☆ ફારૂક શાહ
ખાટલે મોટી ખોડ હોય એ માણસ લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા જાય. ગંગાસતીનો ઢાળ બહેતો હોય અને મંજીરાં રણકતાં હોય એ સમયે આધ્યાત્મના અનવદ્ય પ્રવાહમાં વહી જવાના બદલે આવા માણસ પોતાની ખામીઓના સૂરતાલમાં રત રહે છે. બીજા શેરમાં બુદ્ધિ અને હૃદયનું દ્વંદ્વ નિર્દિષ્ટ છે. લાગણીને અટકાવી શકાતી નથી ને મનને હળવું કરી શકાતું નથી. જીવનની દરેક બાબતમાં એકધ્યાન રહેવું આવશ્યક છે. નજર હટી, દુર્ઘટના ઘટી. જીવને શિવ સાથે બાંધી રાખતો મંત્ર તૂટ્યો નથી કે છાતીમાં આરંભથી આજ સુધીની બળતરા વ્યાપી રહે. ચોથો શેર ઠીકઠાક થયો છે, પણ છેલ્લા બે શેર વળી જોરુકા. એમાંય સ્વપ્નવતી પર તો વારી જવાનું મન થાય.
Permalink
August 5, 2026 at 12:08 PM by વિવેક · Filed under ગઝલ, પ્રફુલ્લ નાણાવટી
પાત્ર છલકાતું રહ્યું પીધું નહિ,
આચમન સરખુંય કૈં લીધું નહિ.
આંખમાં આદર દીઠો તો એટલો,
ખાસ જે કહેવા ગયો કીધું નહિ.
આજ વસ્તુની ખટક રહી ઉમ્રભર,
જે તમે માગ્યું અમે દીધું નહિ.
એ જ એની ખાસિયત કાયમ રહી,
સોંપવું છે પણ કદી સીધું નહિ.
ઘૂંટ કડવા કેટલા પીશે પ્રફુલ્લ,
વેણ કડવું કોઈને કીધું નહિ.
– પ્રફુલ્લ નાણાવટી
પરંપરાની ગઝલોની મજા એ છે કે તેઓ એક બેઝ-લાઇનની ઉપર રહીને સતત કંઈક સારું કહેવાની મથામણમાં રહેતી હતી. આધુનિક ગઝલો આવી કોઈ આધાર-રેખાની આસપાસ ફરતી ન હોવાથી ક્યારેક એમાં એવરેસ્ટની ઊંચાઈ જોવા મળે તો ક્યારેક પાતાળનું ઊંડાણ પણ હાથ લાગે. પ્રસ્તુત ગઝલના પાંચેય શેર ઉત્તમ નહીં હોવા છતાં પરંપરાની મૂળભૂત ખુશબૂ સતત જળવાઈ રહી હોવાથી મનભર જણાય છે. છલકાયે રાખતા પાત્રમાંથી કવિએ આચમન સુદ્ધાં કેમ ન લીધું એનો મત્લામાં ફોડ પડાયો ન હોવાથી મત્લામાં ચમત્કૃતિ વર્તાતી નથી. મક્તા પણ ઊંચી ઉડાન ભરી શક્યો નથી, પણ વચ્ચેના ત્રણેય શેર સ્વયંસ્પષ્ટ અને સરસ થયા છે.
Permalink
August 1, 2026 at 11:21 AM by વિવેક · Filed under ગઝલ, શિલ્પીન થાનકી
હર સુંવાળા શબ્દ પર પેશાબ કર,
બેધડક પેશાબ કર, પેશાબ કર.
હો બુઝુર્ગી બોર્ડ – ‘મૂતરવું નહીં’-
એ જ સ્થળ પર તાઉમર પેશાબ કર.
શ્વેત અધિવેશન થશે કર્બુર જરા,-
મંચ પર તું રાત ભર પેશાબ કર.
આ પરબ! આહા પરબ! ઓહો પરબ!
મન થયે શામોસહર પેશાબ કર.
બાઅદબ મધુમેહિયા સાહિત્ય પર
યૂરિયાથી તરબતર પેશાબ કર.
– શિલ્પીન થાનકી
શિલ્પીન થાનકી . મૂળ નામ લલિતકુમાર પુરુષોત્તમ થાનકી. લયસ્તરો પર આ કવિની હોવી જોઈએ એટલી રચનાઓ નથી, પણ એમાં કવિનો નહીં, અમારો જ વાંક છે. કવિનું ભાષાકર્મ અને વિષયવિવિધ્ય –બંને ધ્યાનાર્હ છે. આ ગઝલ જુઓ. આજથી લગભગ પાંચ દાયકા પહેલાં ૧૯૭૯ની સાલમાં લખાયેલી ગઝલ હકીકતમાં કાલાતીત છે. આજેય એ એટલી જ સમસામયિક લાગે છે, જેટલી પચાસ વર્ષ પહેલાં હશે. ગુજરાતી ગઝલે આવી ભાષા ભાગ્યે જ જોઈ હશે. સાહિત્યની દુનિયામાં જુગુપ્સાપ્રેરક લાગે એવી પેશાબ કરવાની પ્રક્રિયા ગઝલના કેન્દ્રમાં છે. પાંચ શેરની ગઝલમાં કવિએ સાતવાર પેશાબ કરવાની સૂચના આપી છે. સૂચના ગણો તો સૂચના અને આદેશ ગણો તો આદેશ, પણ એ બીજા માટે ઓછો અને સ્વયં માટે વધુ છે. ગુજરાતી કવિતાને શરૂઆતથી જ સુષ્ઠુ સુષ્ઠુ વલણ જ વિશેષ માફક આવ્યું છે. કડક વિવેચકો થયા જ નથી, એમ નહીં, પણ એમની સંખ્યા એક હાથની આંગળીઓના વેઢાય વધી પડે એટલી ઓછી રહી છે. કવિ આવા સુંવાળા વલણ સામે તીવ્રતમ આક્રોશ વ્યકત કરવા આહ્વાન કરે છે. બુઝુર્ગી બૉર્ડ વાંચતા જ પગ કબરમાં લટકતા હોવા છતાં પદપિપાસા ત્યાગી ન શકનાર જમાત નજર સામે તરવરે. કડવા સત્યને સંતાડી રાખી અદબપૂર્વક મધમીઠા જૂઠાણાં પીરસતા મધુમેહિયા સાહિત્ય પરનો હલ્લો પચાસ વરસોમાં તો અસર કરી શક્યો નથી, હવે કરે તો રચના સાર્થક થાય…
Permalink
July 31, 2026 at 11:41 AM by વિવેક · Filed under ગઝલ, શ્યામ ઠાકોર
દૂર જઈ વસતાં થયાં ક્યારે, ખબર પણ ના રહી,
ખુદથી અળગાં થયાં ક્યારે, ખબર પણ ના રહી.
ફૂલ કેરી મ્હેક સાથે ચાલવાના કારણે;
વાયરા અફવા થયા ક્યારે, ખબર પણ ના રહી.
આ ચરણને ચાલવાનો અર્થ સમજાયો પછી;
પર્વતો રસ્તા થયા ક્યારે, ખબર પણ ના રહી.
પાંપણોની પાળ પર કૈં ભેજ જેવું જોઈને;
આંસુઓ દરિયા થયા ક્યારે, ખબર પણ ના રહી.
મોરના આકારમાં જે ગોઠવેલાં આપણે;
પિચ્છ એ ટહુકા થયા ક્યારે, ખબર પણ ના રહી.
વ્હેણમાં ઘસડાઈને ભેટી રહેલા પથ્થરો;
આટલા લિસ્સા થયા ક્યારે, ખબર પણ ના રહી.
– શ્યામ ઠાકોર
સરળ ભાષામાં સુંદર ગઝલ. આમ તો બધા શેર સરસ થયા છે, પણ ત્રીજો શેર સવિશેષ ધ્યાન ખેંચે છે. આપણે શું કરવા માંગીએ છીએ એ આપણને સમજાઈ જાય એ પળે સઘળાં વ્યવધાન દૂર થઈ જાય, પર્વતો પણ રસ્તા બની માર્ગ પ્રશસ્ત કરી દે. કેવી ઊંચી વાત! (ખુદ શબ્દનું માપ કવિએ “ગા”ના સ્થાને “ગાલ” લીધું છે, એટલો છંદદોષ ખટકે છે જો કે!)
Permalink
July 30, 2026 at 11:32 AM by વિવેક · Filed under ગઝલ, શયદા
આપણો છે, આપણો ક્યાં થાય છે?
શ્વાસ મારો જિન્દગીને ખાય છે.
દૂર છે ઘર, છે વિકટ રસ્તા બધા;
ઓ અજાણ્યા જીવ, તું ક્યાં જાય છે?
નીકળી જા વિશ્વની ઘટમાળથી;
ફેરમાં શું કામ ફેરા ખાય છે.
કોઈના પણ નામનો આધાર લે;
એ વિના સૌ અવનિમાં અટવાય છે.
એક એનું નામ કંઈ ઓછું નથી;
અર્થ એના તો હજારો થાય છે.
ભેદ ચારે વેદનો પામીશ હું;
કોઈનાથી ચાર આંખો થાય છે.
આજ ‘શયદા’ વાત એ સમજી ગયો;
આપનો અન્યાય એ પણ ન્યાય છે.
– શયદા
ગુજરાતી ગઝલને ગુજરાતી બનાવનાર શયદાને આપણે ‘ગઝલસમ્રાટ’ તરીકે ઓળખીએ છીએ. પ્રસ્તુત ગઝલનો મત્લા જુઓ. જન્મની સાથે જ મરણ લખાઈ ચૂક્યું હોય છે. દરેક શ્વાસ આપણને નિશ્ચિત મરણની વધુને વધુ નજીક લઈ જાય છે, પણ આ સનાતન સત્યને કવિ જ્યારે છંદમાં ઢાળીને, રદીફ-કાફિયાના વાધાં પહેરાવીને બે પંક્તિમાં રજૂ કરે છે ત્યારે કવિના અનૂઠા દૃષ્ટિકોણ પર વારી-ઓવારી જવાનું મન થયા વિના રહેતું નથી. આપણને લાગે કે આપણો શ્વાસ આપણો છે, પણ કવિ કહે છે કે એ આપણો હોવા છતાં આપણો થતો નથી. આપણી જિંદગી જે શ્વાસથી ચાલે છે એ હકીકતને કવિએ શ્વાસ જ આપણી જિંદગીને ખાઈ રહ્યો છે એમ કહીને ઉલટાવી દે ત્યારે શેર સર્જાય છે.
Permalink
July 25, 2026 at 12:02 PM by વિવેક · Filed under ગઝલ, ભાવના સોનૈયા ‘પ્રિયજન’
પીડા બધી પારસમણી થઈને ફળી છે આખરે,
ઓળખ મને એના થકી સાચી મળી છે આખરે.
લાગ્યો કદમને થાક ને પહોંચી શકાયું ના કશે,
મારી સફર મારા તરફ પાછી વળી છે આખરે.
હું ખુશ છું તો આપને આશ્ચર્ય શાને થાય છે?
મમળાવવા ગમતી પળોને મેં રળી છે આખરે.
હો દોસ્ત, બે કપ ચા ને અઢળક હો ખજાનો વાતનો,
લ્યો આજ એવી સાંજ ગમતીલી ઢળી છે આખરે.
પાછા વળી જોયું જરા મીઠી નજરથી એમણે,
બોલ્યા નહીં એ વાતને મેં સાંભળી છે આખરે.
– ભાવના સોનૈયા ‘પ્રિયજન’
સરળ ભાષામાં સહજસાધ્ય ગઝલ. બીજો શેર જોઈએ. સફર લાંબી હોય તો થાક તો લાગે જ ને ક્યારેક ધારી મંઝિલ પ્રાપ્ત ન થાય તો સફર અડધેથી છોડી દેવાનું મન પણ થાય. (સુન્દરમનું ગીત યાદ આવે: બાઈ રે જરીજ જ જો તું વેઠે) કશે પહોંચી ન શકાવાનો થાક લાગે ત્યારે મુસાફરી અડધેથી પડતી મૂકવાનું મન થાય એ પરિસ્થિતિ તો આપણે સહુએ જીવનમાં અલગ અલગ સ્વરૂપ અને સંદર્ભોમાં અનુભવી જ છે, પણ અહીં ખરી મજા સફર આગળ તરફ ચાલુ રાખવાના બદલે કથક સ્વયં તરફ પાછાં વળે છે એ વાતમાં છે. દુનિયાની ભાગદોડમાં અને આ મેળવી લઉં, પેલું મેળવી લઉં એવી લ્હાયમાં આપણે જાત સામે જોવાનું, જાતને મળવાનું, જાતમાં ઉતરવાનું અને જાતને ઓળખવાનું જ ભૂલી ગયાં છીએ. જો કે હકીકત પણ એ છે કે બહારની સફરથી થાકી-હારી ન જઈએ ત્યાં સુધી સ્વયંનો સાક્ષાત્કાર કરવાનું ભાગ્યે જ કોઈને સૂઝતું હોય છે…
Permalink
July 1, 2026 at 11:59 AM by વિવેક · Filed under અકબરઅલી જસદણવાલા, ગઝલ
દિલમાં ખૂશ્બુ, આંખમાં શબનમ,
જીવન મારું ફૂલની મોસમ.
તું શું જાણે પ્યાસ અમારી,
શાના તોબા, શાનો સંયમ?
દ્રષ્ટિ એવું શું દેખી ગઈ,
ઝાંખું ઝાંખું લાગે આલમ.
આવ તને હું સમજાવી દઉં,
ગંગાજળ છે આબે ઝમઝમ.
મારી ખામોશી દીવા જેવી,
એની વાતો મોઘમ મોઘમ.
બોલું તો અલ્લાહો ‘અકબર’
મૌન ધરું તો ‘સોહમ્-સોહમ્’.
– અકબરઅલી જસદણવાલા
પરંપરાના શાયરની એક મજાની ગઝલ… ટૂંકી બહર, અને અર્થગંભીર વાત. મક્તામાં કવિએ પોતાનું નામ પણ અર્થસભરરીતે બખૂબી વણી લીધું છે.
Permalink
June 28, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રાકેશ બી. હાંસલિયા

કવિના ત્રીજા ગઝલસંગ્રહ ‘તારું શિખર તને મળી જાશે’નું લયસ્તરો પર સ્વાગત છે.
સંગ્રહની ૧૪૨ ગઝલોમાંથી એક સહજસાધ્ય અને શેરિયતથી ભરી ભરી ગઝલ આપ સહુ માટે. ત્રીજો સંગ્રહ હોય અને આટલું ગઝલબાહુલ્ય હોય ત્યારે કવિ પાસેની અપેક્ષા પણ વધી જાય એ સ્વાભાવિક છે. સરળ ભાષા, છંદપ્રભુત્વ, છંદવૈવિધ્ય સહિત ગઝલના બાહ્યસ્વરૂપ પરની કવિની પકડ નોંધપાત્ર છે, પણ વધુ પડતા ભરતીના શેર અને તૂકબંદીની માત્રાના કારણે સંગ્રહને હાનિ પહોંચે છે. અહીં રજૂ કરી છે એવી સુવાંગ અને સ્મરણીય ગઝલોની સંખ્યા સંચયમાં પ્રમાણમાં ઓછી જણાય છે. કળા અને કસબ –ઉભયમાં નિપુણ કવિની સમર્થ કલમેથી ભવિષ્યમાં આપણી ભાષાને રળિયાત અને વધુ સમૃદ્ધ કરે એવા સંગ્રહ અવતરે એવી દિલી સ્નેહકામનાઓ…
ફળિયે બેસું પગ લંબાવી
ફળિયે બેસું પગ લંબાવી,
સાંજ કદી ના એવી આવી.
ખુલ્લા છે દરવાજા એના,
તો પણ તું શોધે છે ચાવી?
ઓણ થયું ચોમાસું એવું,
બે-ત્રણ ઇચ્છા મેં પણ વાવી.
નીંદર પાછી વેરી થાશે,
ચાલ્યાં ગ્યાં એ મુખ મલકાવી.
તાજપ આવી માના ચહેરે,
પરવારી શિશુ નવડાવી!
ગુલાલ થઈ ગઈ શેરી આખી,
સ્હેજ ઊભાં એ ફળિયે આવી.
ચારે બાજુ જળ ભાસે છે,
તરસ થઈ છે એવી હાવી!
– રાકેશ હાંસલિયા
Permalink
June 17, 2026 at 11:47 AM by વિવેક · Filed under ગઝલ, બાળાશંકર કંથારિયા
( ગઝલ )
જિગરનો યાર જુદો તો, બધો સંસાર જુદો છે;
બધા સંસારથી એ યાર, બેદરકાર જુદો છે. ૦૧
અરે શું જાણશે લજ્જત, પવિત્રીમાં પડી રહેતાં?
પ્રિયાની પ્યાલીની મસ્તી તણો કંઈ બ્હાર જુદો છે. ૦૨
ગણું ના રાવ રાયાને, ગણું ના આખી દુનિયાને;
પરંતુ જાન આ પર પ્યારીનો અખ્ત્યાર જુદો છે. ૦૩
હજારો બોધ મંદિરો મહીં નિત્યે ભલે થાજો;
અમો મસ્તાનના ઉસ્તાદનો દરબાર જુદો છે. ૦૪
નથી તુજ બાપ માર્યો મેં, અરે મૂર્ખા કહાં નિંદે?
સમજ રે બેસમજ કે પ્રેમીનો આચાર જુદો છે. ૦૫
બધા પરકાર* તોફાને થઈ ચંચલ ચૂકે નિશાન;
અમારા ચિત્તનો ચારુ અચળ પલકાર જુદો છે. ૦૬
લીધો જે પંથ તે હું કેમ ત્યાગું? છો ભર્યો દુઃખે,
પ્રિયાનો માહરી ગરદન ઉપર આ ભાર જુદો છે. ૦૭
ઘડીભર બેશ બતલાવું શિખાવું પ્રેમનો જાદૂ;
અમો જાદૂગરોનો યાર, જો બાઝાર જુદો છે. ૦૮
શીખે જો પ્રેમ પૂરો તો જ અચળ અભેદ પામે તું;
નથી ત્યાં પ્રેમ જ્યાં છે ભેદ, એ વ્યવહાર જુદો છે. ૦૯
થશે શ્રીમંત ઇન્દ્રાદિ થકી, મુજ પંથ પર જાશે;
અરે એ કીમિયાનો યાર જો કંઈ બ્હાર જુદો છે. ૧૦
કરું શું મોતીમાલા હું? અનુપમ મારી પ્યારીએ,
કર્યો નક્ષત્રનો મારે ગળે શણગાર જુદો છે. ૧૧
ભલે છો માહરા પંથે બધા એ દુઃખને દેખે;
મને તો સુખસાગર લહેરીનો કંઈ બ્હાર જુદો છે. ૧૨
થયો જે પ્રેમમાં પૂરો, થયો છે મુક્ત સર્વેથી;
મહા મસ્તાન જ્ઞાનીના મગજમાં તાર જુદો છે. ૧૩
નજર મારી પ્રિયા વિના ન દેખે જગત આખે;
બીજાના બંધકારી પ્રેમનો તો જાર જુદો છે. ૧૪
ગુરુ આદેશ છે અમને અવળ પંથે પળ્યા જઈએ;
દુનિયાથી પછી આ બાલ બેદરકાર જુદો છે. ૧૫
– બાળાશંકર કંથારિયા
માત્ર ચાળીસ જ વર્ષના અલ્પાયુમાં પ્લેગના કારણે ક્ષરદેહ ત્યાગી જનાર બાળાશંકરનો ગુજરાતી ગઝલ પર બહુ મોટો પાડ છે. અરબી-ઉર્દૂની પકડમાં કેદ ગઝલને પહેલવહેલીવાર શુદ્ધ ગુજરાતીના વાઘાં પહેરાવવાનું શ્રેય એમના ફાળે જાય છે. ગઝલની ચુસ્ત ઈબારત અને શેરિયત –આંતર્બાહ્ય સૌંદર્ય – ઉભયની સાપેક્ષે એમની રચનાઓમાં આજે આપણને અનેકાનેક ક્ષતિઓ જડી આવશે, પણ ગઝલને ગુજરાતી બનાવવાનું ભગીરથ કાર્ય કરનાર આદ્ય ગઝલકારને આપણે આજે પણ પૂરેપૂરા માન-સન્માન સાથે જ યાદ કરવા રહ્યા… આજથી લગભગ ૧૪૦ વર્ષ પહેલાં લખાઈ હોવા છતાં એમની પંક્તિઓ આજેય સાચા ગુજરાતી કાવ્યરસિકોના હોઠે રમી રહી છે એ શું નાની સિદ્ધિ ગણાય?
(*પરકાર = હોકાયંત્ર. હેકાયંત્રને કે સમુદ્રમાં તેોફાન વખતે પિતાનું ઉત્તર તરફનું વલણ જરા ચૂકે છે. પરંતુ અમારા મનરૂપી હેકાયંત્રને કાંટે હંમેશાં સ્થિર અને અચળ રહે છે ઈતિ ભાવાર્થ, [કર્તા,])
Permalink
June 10, 2026 at 11:28 AM by વિવેક · Filed under ગઝલ, લલિત ત્રિવેદી
આ રોમ રોમ રાહત સોંપું તો કોને સોંપું?
અંગાર સંગે ધરપત સોંપું તો કોને સોંપું?
રતજાગની રિયાસત સોંપું તો કોને સોંપું?
માલિક! વિકટ રહેમત સોંપું તો કોને સોંપું?
કહું છું પગે પડી, તત! સોંપું તો કોને સોંપું?
શાહી બની ગયું સત, સોંપું તો કોને સોપું?
મુફલિસની આ મિલકત સોંપું તો કોને સોંપું?
આ ગાલિબાના સોબત સોંપું તો કોને સોંપું?
અરવિંદ, દે હિદાયત, સોંપું તો કોને સોંપું?
કાગળને કાંઠે કરવત સોંપું તો કોને સોંપું?
તનમાં જ ઝંખાવાતો વ્હાયા તો એવા વ્હાયા
ભીતર ભીતર કમલવત સોંપું તો કોને સોંપું?
નકશામાં રહી રહીને ખંડેર થૈ ગઈ છે
જગ્યા બની ના સંપત સોંપું તો કોને સોંપું?
જોગંદરોં કી બસ્તી… યે ભસ્મ કી જિયાફત
તિરશૂલ કી વિરાસત સોંપું તો કોને સોંપું?
વકરામાં લૈને છપ્પા… વસતી કરું છું પલ્લાં
આ બેહિસાબ બરકત સોંપું તો કોને સોંપું?
ઋતુઓએ મને દીધી દોથા ભરી ભરીને
લાવણ્યની સખાવત સોંપું તો કોને સોંપું?
પર્ણોય પણ ન જાણે ચોરી છુપી કરી છે
આ મર્મરી ઉચાપત સોંપું તો કોને સોંપું?
થોડીક નખમાં છે ને થોડીક નખલીમાં છે
આ ઝીણી ઝીણી હરકત સોંપું તો કોને સોંપું?
પાણીની જેમ દાહા જે પી ગયા, કહે છે
આ દોમ દોમ દૈવત સોંપું તો કોને સોંપું?
– લલિત ત્રિવેદી
લલિત ત્રિવેદી એટલે પ્રવર્તમાન ગુજરાતી ગઝલનો અલાયદો ચોકો. એમની ગઝલ હાથમાં લો અને પહેલી પંક્તિમાં જ કાવ્યબાની આગવી અને અનૂઠી ન વરતાય એ સંભવ નથી. બાની અને રજૂઆતની દૃષ્ટિએ તો તેઓ ટોળાથી નોખા તરી જ આવે છે, કાફિયાપસંદગી અને નવ્યકાફિયા સરજતથી પણ તેઓ ઉફરા સિદ્ધ થાય છે. આજના ગઝલકારોને પાંચ-સાત શેર જેટલા કાફિયા એકઠા કરવામાંય નવનેજાં પાણીઉતરે છે, એવામાં આ ગઝલકાર મોટાભાગની ગઝલોમાં એકાધિક મત્લા સહિત આઠ-દસથી વધુ શેરની ગઝલો સતત આપતા રહે છે. પ્રસ્તુત ગઝલમાંય તેર શેર અને એમાંય પાંચ-પાંચ તો મત્લા! ભઈ વાહ!
Permalink
June 5, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રીના પરીખ
જગા ખાલીપાની બનાવી શું કરશો?
જે નડતું નથી એ હટાવી શું કરશો?
તમારા વિજયમાં જ જેની ખુશી છે,
લડી એની સાથે, હરાવી શું કરશો?
બધાં ઘર હવે સાવ ખાલી પડ્યાં છે,
ગલી તોરણોથી સજાવી શું કરશો?
જે આવી રહ્યા છે, હવામાં ઊડે છે,
તમે રસ્તે જાજમ બિછાવી શું કરશો?
વહ્યું રક્ત તો પણ પડ્યો ફેર કોને?
તમે થોડાં આંસુ વહાવી શું કરશો?
જરા સ્મિત સાથે પ્રગટ થઈ જવાની,
ઉદાસીને ભીતર છુપાવી શું કરશો?
તમારા પ્રતાપે કોઈ પેટ ભરશે,
તમે એક સિક્કો બચાવી શું કરશો?
– રીના પરીખ
આમ તો બધા જ શેર સરસ થયા છે, પણ છેલ્લા ચારેય શેર તો ખૂબ જ સરસ થયા છે. નવ્યકવિઓની કલમે આવી સ-રસ ગઝલો અવતરતી જોઈએ ત્યારે શાતા વળે છે.
Permalink
May 9, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, દીપક બારડોલીકર

*

લયસ્તરો પર કવિ મુસાજી ઈસપજી હાફિઝજી યાને દીપક બારડોલીકર (જન્મ: ૨૩-૧૧-૧૯૨૫ (બારડોલી) : નિધન: ૧૨-૧૨-૨૦૧૯ (માન્ચેસ્ટર, યુકે)ના મરણોત્તર ગદ્ય-પદ્ય સંગ્રહ ‘ગુલદસ્ત-એ-દીપક બારડોલીકર’નું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. સંગ્રહમાંથી એમની એક ગઝલ અહીં રજૂ કરીએ છીએ… આ ગઝલ પહેલવહેલીવાર એમના સંગ્રહ ‘તલબ’માં પ્રગટ થઈ હતી પણ ‘કુલ્લિયાત-એ-દીપક’ના પ્રકાશન વખતે કવિએ એમાં ઘણા ફેરફાર કર્યા હતા, જે પ્રસ્તુત સંગ્રહમાં જોવા મળે છે. આમ તો આખરી રૂપાંતર જ કાયમી ગણાય પણ સુજ્ઞ વાચકો બંનેથી પરિચિત થઈ શકે એ ખાતર બંને સંસ્કરણ અડખેપડખેમૂક્યાં છે.
નવું અને અંતિમ સંસ્કરણ-
દિલ છે, દરદ છે, પ્યાસ છે, હું એકલો નથી
ને શબ્દનો ઉજાસ છે, હું એકલો નથી
એકાંતનો આ મોગરો કોળે ગુમાનમાં,
એક આગવી સુવાસ છે, હું એકલો નથી
મૂકી ગયું’તું કોઈ ગુલાબો કિતાબમાં
મઘમઘતી એ કિતાબ છે, હું એકલો નથી
સહરા છે, ઝાંઝવાં છે, સતત ઊડતો ગુબાર
ને કોઈની તલાશ છે, હું એકલો નથી
વાળી’તી જેમાં ગાંઠ જનમભરના સાથની
મુઠ્ઠીમાં એ રૂમાલ છે, હં એકલો નથી
બોલો તો આખી સીમ કરી દઉં હરીભરી
મનની અતાગ વાવ છે, હું એકલો નથી
‘દીપક’ કોઈના સ્પર્શમાં માણી હતી કદી
એ ખુશબૂ આસપાસ છે, હું એકલો નથી
– દીપક બારડોલીકર
[ગુલદસ્ત-એ- દીપક બારડોલીકર (ડિસેમ્બર ૨૦૨૫)]
*
મૂળ સંસ્કરણ-
દિલ છે, દરદ છે, પ્યાસ છે, હું એકલો નથી
ને શબ્દનો ઉજાસ છે, હું એકલો નથી
એકાંતનો આ મોગરો કોળી ઊઠ્યો, જુઓ
એક આગવી સુવાસ છે, હું એકલો નથી
સહરા છે, ઝાંઝવાં છે, સતત ઊડતો ગુબાર
ને કોઈની તલાશ છે, હું એકલો નથી
વાળી’તી જેમાં ગાંઠ જનમભરના સાથની
મુઠ્ઠીમાં એ રૂમાલ છે, હં એકલો નથી
બોલો તો આખી સીમ કરી દઉં હરીભરી
મનની અતાગ વાવ છે, હું એકલો નથી
આ કેફ ઉતરે તો હવે કેમ ઉતરે?
ગેબી છલકતો જામ છે, હું એકલો નથી.
‘દીપક’ હું નીતરું છું સુરાહીમાં દમબદમ,
ભરચક તલબનો જામ છે, હું એકલો નથી
– દીપક બારડોલીકર
[તલબ (૧૯૯૪)]
Permalink
May 4, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ભરત વિંઝુડા

રોજેરોજ નિતનવા સંગ્રહ મળતા રહે છે. બધા સંગ્રહમાંથી પસાર થવાનું કપરું છે, પણ થોડો સમય અને થોડો અવકાશ ફાળવીને મારી ક્ષમતા મુજબ દરેક સંગ્રહને યથોચિત ન્યાય આપવાની કોશિશ હું કરતો રહું છું. થોડા દિવસો પહેલાં જ લયસ્તરો પર આપણે આવકાર-સપ્તાહ ઉજવ્યું. આજથી ફરી એકવાર આવકાર-સપ્તાહ નિમિત્તે વારાફરતી સાત અલગ અલગ સર્જકોના નવ્યસંગ્રહોમાંથી પસાર થવાનો લહાવો લઈએ….
બહુખ્યાત કવિ ભરત વિંઝુડા સર્જનબાહુલ્યના કવિ છે. ‘સ્વપ્નસુખ’એમનો ચૌદમો સંગ્રહ છે – તેરમો ગઝલસંગ્રહ. લયસ્તરો પર ‘સ્વપ્નસુખ’ને આવકાર આપતાં અમે હર્ષ અનુભવીએ છીએ… સંગ્રહમાંથી નાની બહેરની એક ગઝલ આપ સહુ માટે…
*
આંખોથી…
આંસુ છલકાઈ જાય આંખોથી,
એવું જોવાઈ જાય આંખોથી.
કાન બીડીને રાખ્યા છે એને,
કંઈક સંભળાય જાય આંખોથી.
બંધ લાગે ને બંધ હોય નહીં,
સ્વપ્ન દેખાઈ જાય આંખોથી.
નીકળે તું ઘડીક સામેથી,
થોડું જીવાઈ જાય આંખોથી.
જોઉં છું એને બદલે વાંચું તો,
એ ઉકેલાઈ જાય આંખોથી.
– ભરત વિંઝુડા
Permalink
April 23, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, જિગર જોષી 'પ્રેમ'
કદમ ઉપાડ્યાં જુદી દિશામાં, જવાનું છે એ સડક અલગ છે,
કરી પ્રતીક્ષા જુદી જ પળની, જે હાથ લાગી છે ક્ષણ અલગ છે.
પ્રથમ કે બીજી કે ત્રીજી નજરે એ આંખો અમને ઠરેલ લાગી,
રહી રહીને સમજમાં આવ્યું કે એની આખી તરસ અલગ છે.
ભળી ગયાં છે જો દૂધ-સાકર પછી તો ક્યાંથી અલગ થવાનાં?
તમે એ રીતે કર્યું છે મિશ્રણ, નહીં તો જીવન—મરણ અલગ છે.
અમે તો પહેલાં કહ્યું હતું કે આ વાત માન્યામાં નહીં જ આવે,
ખભેખભો મેળવીને ચાલે, અહીંનાં મૃગજળ-હરણ અલગ છે.
‘જિગર’ એ સંબંધ હો કે દરિયો, અનુભવો તો છે એક સરખા,
શરૂ શરૂના પ્રવાહ જુદા, પછી પછીનાં વમળ અલગ છે.
– જિગર જોષી
આજે જ એક ગઝલ;સંગ્રહની રઈશ મનીઆરે લખેલી પ્રસ્તાવનામાં આ વાંચ્યું: ‘કહેવાયછે કે ગઝલ કાફિયાનુસારી પ્રકાર છે, પણ મારો મત છે કે કાફિયા કરતાંવધુ રદીફ ગઝલનુંભાવવિશ્વ નક્કીકરવામાં મોટો ભાગ ભજવે છે. સુંદર રફીફની પસંદગી સારી ગઝલ લખાવાની શક્યતા વધારી દે છે.’ સત્યવચન! લયસ્તરો પર થોડા દિવસો પૂર્વે જ આપણે રદીફે ગઝલમાં રીતસરના પ્રાણ ફૂંકવાનું કામ (https://layastaro.com/?p=24476) કર્યું હોવાની વાત કરી હતી. આ ગઝલ વિશે પણ એવું કહી શકાય. એક તો મજાના લગા લગાગાના આવર્તનવાળો દ્વિખંડી છંદ અને ગઝલના મિજાજને ઉપસાવી આપવામાં પ્રમુખ ભાગ ભજવતી ‘અલગ છે’ રદીફ –સાચે જ ગઝલ અલગ તરી આવે છે!અહીં કાફિયા તો મુક્ત અને અકારાંત છે, પણ નાની તોય મજાની રદીફની મદદથી આ ગઝલ સરસમાંથી ઉત્તમની યાત્રા સફળતાપૂર્વક ખેડી શકી છે એનો આનંદ છે.
ગઝલના પાંચેય શેર ઉમદા થયા છે. ખરેખર જે તરફ આગળ વધવું જોઈએ, એનાથી વિપરીત દિશામાં જ ગતિ કરનાર આ દુનિયામાં ઓછા નથી. ઘણા માણસ ઉપરથી ઠરેલ લાગે… પહેલી નજરે જ નહીં,વારંવારના અવલોકન પછી પણ! પાછળથી રહી રહીને આપણને સમજાય કે હકીકતમાં આપણે જ એને વાંચવામાં ખોટા સાબિત થયાં છીએ- એ ભાઈની તો લાલસા જ અલગ હતી! જીવન-મરણવાળો શેર એની ગૂંથણીના કારણે વધુ પ્રભાવક થયો છે. મૃગજળ એટલે હોઈએ એથી ઘણે દૂર પાણી હોવાનો થતો આભાસ. હરણ કહો તો હરણ અને મનુષ્ય કહો તો મનુષ્ય- જેમ જેમ એની નજીક જવાની કોશિશ કરીએ, એમ એમ મૃગજળ દૂરને દૂર થતું જાય. બે સાથે ન થઈ શકે. કવિ કહે છે કે અમે તો પહેલાં જ કહ્યું હતું કે અમારી વાત તમારા માન્યામાં આવશે નહીં. આ દુનિયામાં મૃગજળ અને મૃગ ખભેખભા મેળવીને ચાલે છે. છેલ્લો શેર પણ નખશિખ આસ્વાદ્ય થયો છે.
Permalink
April 18, 2026 at 11:27 AM by વિવેક · Filed under ગઝલ, વિપુલ માંગરોલિયા ‘વેદાંત’
રોજ પ્રભાતે લૂંટ્યું અંબર,
રાતે પાછું ગૂંથ્યું અંબર.
ખેદ નથી કે પાંખ કપાણી,
પીડા છે કે છૂટ્યું અંબર.
એ જોવા વરસી છે વર્ષા,
ક્યાંથી ક્યાંથી ફૂટ્યું અંબર?
કોણે કીધું અભિમાની છે?
જો ક્ષિતિજ પર ઝૂક્યું અંબર.
નાની અમથી વિપદા ટાણે,
લોકો કહેશે, તૂટ્યું અંબર.
ક્યાંય નથી દેખાતું વાદળ,
કોણે આજે લૂછ્યું અંબર?
– વિપુલ માંગરોલિયા ‘વેદાંત’
એક જમાનો હતો જ્યારે કોઈ એક ઘટકત્ત્વને રદીફ બનાવી ગઝલ લખવાનો ચાલ હતો. પીંછું, દરિયો, અંધારું, ઘર જેવી રદીફ નક્કી કરી કવિ સ્વયંને એક ભાવવિશ્વમાં બાંધી દેતો અને પછી એ ભાવવિશ્વની નાનાવિધ રંગછટાઓ નાણવા મથતો. આજે એ ફેશન સહેજ મોળી પડી છે, પણ એ પ્રકારની ગઝલો તો લખાતી જ રહે છે. પ્રસ્તુત ગઝલમાં કવિએ ‘અંબર’ –આકાશને કેન્દ્રમાં રાખી ગઝલનું વર્તુળ રચ્યું છે. મત્લા સહેજ વિચારણા માંગી લે છે પણ એ સિવાય નાની બહેરમાંય બધા શેર સંતર્પક થયા છે.
Permalink
April 16, 2026 at 11:13 AM by વિવેક · Filed under કિરણ જોગીદાસ 'રોશન', ગઝલ
સાંભળ ને, એક વાત! મને એમ થાય છે-
તારા વિના શું થાત, મને એમ થાય છે.
તારા મિલનની ચાહમાં કેમેય વીતી નહીં,
લાંબી હતી શું રાત? મને એમ થાય છે!
આપ્યું હૃદય તને તો કફોડી દશા થઈ,
લૂંટાઈ ગઈ મિરાત? મને એમ થાય છે.
સઘળું ગુમાવ્યું તોય ખુમારી છે પ્રેમની,
આ જીત છે કે મ્હાત? મને એમ થાય છે.
તારાપણાની સાહ્યબી મશહૂર રાખતી,
મારી તે શું વિસાત, મને એમ થાય છે.
એક બીજમાંથી વૃક્ષ બનાવી કૃપા કરી,
તારા વિના ઉગાત? મને મને એમ થાય છે.
તારા વિના શું સૂર કે શું તાલ કે શું રાગ!!
તારા વિના શું ગાત, મને એમ થાય છે.
– કિરણ જોગીદાસ ‘રોશન’
ગુજરાતી ગઝલ લખાવી શરૂ થઈ એને લગભગ દોઢસો વર્ષ થયાં. આજ પર્યત એટલી બધી ગઝલો લખાઈ છે કે કદાચ હવે એવું કંઈ બચ્યું જ નથી જે આગળની ગઝલોમાં કહેવાઈ ગયું ન હોય પણ તોય ગઝલો લખાવાનું બંધ કે ઓછું થતું નથી. ઊલટું દિનબદિન ગઝલોનો ફાલ વધુ ને વધુ માત્રામાં ઉતરી રહ્યો છે. કેમ? તો કે અભિવ્યક્તિનું નાવીન્ય… એકનો એક સૂર્યાસ્ત આખી જિંદગી જોઈને જે રીતે આપણે ધરાતાં નથી, એ જ રીતે ગઝલો આજેય આપણને નિરાશ કરતી નથી. આ ગઝલ જુઓ… સરળ ભાષામાં વાંચતાવેંત સમજાઈ જાય એવા સહજસાધ્ય શેર… અને તોય ગઝલ એકદમ ઓવન-ફ્રેશ લાગે છે. રદીફ ગઝલોનું અગત્યનું અંગ છે. પ્રસ્તુત ગઝલમાં તો રદીફે રીતસરના પ્રાણ ફૂંકવાનું કામ કર્યું છે… પહેલા પાંચ શેર તગઝ્ઝુલના છે અને આખરી બે તસવ્વુફના… પણ ગઝલ તો આખેઆખી નિરવદ્યપણે મજાની થઈ છે.
Permalink
April 11, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ત્રાપજકર, પરમાનંદ મણિશંકર ભટ્ટ ‘ત્રાપજકર’

કહું છું પ્રેમીઓ ભોળા, મજા છે દૂર રહેવામાં,
સમીપે સંતાપો જાજા, મજા છે દૂર રહેવામાં!
ઊગે આકાશે ભાનુ કમળનું મુખડુ મલકે,
રવિને સ્પર્શવા કરતાં મજા છે દૂર રહેવામાં!
બજે જયાં બિન મીઠું ત્યાં ન હરણી આવજે પાસે,
વિંધાવુ બાણથી પડશે, મજા છે દૂર રહેવામાં!
ચકોરી દૂરથી નાચે, ન ઊડી ચંદ્રને ભેટે,
કલંકો વેઠવા કરતાં મજા છે દૂર રહેવામાં!
મધુરા વાયુ લહેરાતા, મધુકર મોહ ના કરજે;
કુસુમના કેદખાનાથી, મજા છે દૂર રહેવામાં,
પતંગો ના કદી સમજે અગર સમજે તો કહી દેવું,
દીપકમાં દાઝવા કરતાં મજા છે દૂર રહેવામાં!
તજીને ગોપીઓ ઘેલી વસ્યા શ્રી કૃષ્ણ દ્વારિકા,
પ્રભુએ પણ પીછાણ્યું કે મજા છે દૂર રહેવામાં!
– પરમાનંદ મણિશંકર ભટ્ટ ‘ત્રાપજકર’
(જન્મ: ૨૪-૦૨-૧૯૦૨, નિધન: ૧૦-૧૦-૧૯૯૨) વિશેષ પરિચય: ગુજરાતી વિશ્વકોશ
ગુજરાતી ગઝલ આજે જે શિખરે પહોંચી છે, એ કવિ ત્રાપજકર જેવા શબ્દસાધકોના પુરુષાર્થ વિના કદાચ જ પહોંચી શકી હોત. સાકી-સનમ-સુરા ને બુલબુલની ઉર્દૂ-ફારસી જાળમાં ફસાઈ રહેલ ગઝલને ત્રાપજકર જેવા કવિઓએ ગુજરાતી બનાવી. પ્રસ્તુત ગઝલમાં વિવેચકોને કાફિયાદોષ પણ દેખાશે અને ક્યાંક શેરિયત પણ ઓછી અનુભવાશે, પણ આ એ ખાતર છે, જેના કારણે ગઝલનો છોડ ફાલીને વટવૃક્ષ થયો… ગઝલની રદીફ ભલે એમ કેમ ન કહેતી હોય કે દૂર રહેવામાં મજા છે, અમે તો એમ જ કહીશું કે આ ગઝલની નજીક રહેવામાં જ ખરી મજા છે… આપ શું કહો છો?
Permalink
April 9, 2026 at 12:01 AM by વિવેક · Filed under ગઝલ, માર્ગી દોશી ડૉ.
ગમા-અણગમાના મૂક્યા સૌ ઉધામા,
ભણાવી દીધાં મનને સ્વીકારનામાં.
હશે ક્યાંક મારામાં ઓછાપણું પણ,
હવે કોશિશો માંગી રહી છે વિસામા.
નવી રીત શોધી છે હળવા થવાની,
લખી દઉં છું કોઈને કાગળ નનામા!
હતાં બે‘ક સ્વપ્નો ને ગમતા પ્રસંગો,
મૂકીને ગયા તેઓ પણ રાજીનામાં.
સફળ પ્રેમને એ નજરથી જુએ સૌ,
કર્યાં હોય જાણે ગજબ કારનામા.
વિચારું તને ને ઉપાડું કલમને,
પછી રોકવાના પ્રયાસો નકામા.
એ બે જણને પોતાના ના હોય પ્રશ્નો
ત્રીજાની જ વાતે ચડે સામસામા.
ભલેને છૂપાવે ગુના એ જગતથી,
અરીસા ઉપર રહી જવાનાં ચકામાં.
– ડૉ. માર્ગી દોશી
વાંચતાવેંત ગમી જાય એવી ગઝલ. એક તો હમરદીફ-હમકાફિયા ગઝલ છે અને બીજું, બહેર પણ લાંબી નહીં, મધ્યમ છે. એટલે ઓછી જગ્યામાં કાફિયા નિભાવીને શેરિયત સર્જવામાં કવિકસોટી તો થવાની જ. સદનસીબે કવયિત્રી આમાં સાંગોપાંગ પાર ઉતર્યાં છે અને આપણને એક અચ્છી ગઝલ મળી. કોઈ શેરને અલગથી સમજાવવાની આવશ્યક્તા નથી, પણ દરેક શેર ફરી ફરીને વાંચીએ તો મજા પણ ફરી ફરીને વધતી જશે એ નક્કી.
Permalink
March 26, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, નયન દેસાઈ
સૂર્ય ભીનો થઈને મારી આંખમાં ઊતરી ગયો,
હું ગઝલની જેમ શેરી વાંચતો નીકળી ગયો.
આંખમાં પોપટની મુઠ્ઠીભર હતી લીલાશ પણ,
પાંખમાં વગડો હતો ક્યારેક તે ઊડી ગયો.
સાંજનું અર્ધું બળેલું આભ જાણે ગાય છે,
ભાગમાં આજે મળ્યો’તો તે દિવસ ડૂબી ગયો.
ગોખલો સ્વર્ગસ્થ દાદાજીની જમણી આંખ છે,
ચોપડે બાંધેલ કટકો વાયુથી ફરકી ગયો.
એક દરિયો ઓટ થઈ મારામાં ડૂબી જાય છે,
તું કિનારો હોય તો ક્યાં છે? મને ભૂલી ગયો?
– નયન હ. દેસાઈ
રાવજીની આંખે કંકુના સૂરજ આથમ્યા હતા, નયન દેસાઈની આંખોમાં સૂર્ય ભીનો થઈને અંદર ઉતરી જાય છે. રાવજી પટેલના સૂરજ અને નયન દેસાઈના સૂર્ય વચ્ચે સરખામણી કરવાનો આશય નથી, પણ અત્રે એનો ઉલ્લેખ કરવાનું પ્રયોજન કેવળ એ જ કે બે અલગ અલગ કવિઓ એક જ કલ્પનની કેવી અલગ અલગ માવજત કરી શકે છે! મત્લાની બંને પંક્તિમાં કવિએ ક્યાંય લખ્યું નથી કે પોતાને જે શેરીમાંથી પસાર થવાનું આવ્યું છે એ છોડી ગયેલ કે છેહ દઈ ગયેલ પ્રિયજનની શેરી છે, પણ આથમતો સૂર્ય ભીની થયેલી આંખોને સ્પર્શે છે એટલાથી એ સમજી શકાય છે. કોઈની લખેલી ગઝલ વાંચતા હોઈએ એ તાટસ્થ્યથી કવિ પ્રિયજનની શેરીને જોતાં જોતાં પસાર થઈ જાય છે – दुनिया में हूँ दुनिया का तलबगार नहीं हूँ, बाज़ार से गुज़रा हूँ ख़रीदार नहीं हूँ (અકબર ઇલાહાબાદી)
ગઝલના પાંચેય શેર નયન-બ્રાન્ડની આલબેલ પુકારે એવા મજબૂત થયા છે. ચોથો શેર હાંસિલે ગઝલ છે અને પાંચમો પણ એવો જ અદભુત.
Permalink
March 19, 2026 at 11:10 AM by વિવેક · Filed under ગઝલ, વિકી ત્રિવેદી
વિચારી વિચારી પછી એક તણખે લખ્યું પત્રમાં એક દીવાસળીને,
“બે પળનું મિલન છે પછી નાશ થાશે, ભલા આપણે શું કરીશું મળીને?”
ગમે તેમ ઘૂંટો ભલે એને જળમાં, પડે છે અલગ તેલનું એક ટીપું,
દશા એ જ સારા મનુષ્યોની થઈ છે, રહ્યા એમ એ પણ જગતમાં ભળીને!
ખબર છે કે કરશે મને ધૂળ ખાતું, છતાં આ મહોબ્બતની હદ તો જુઓ કે,
જશે બેશરમ આંખ પાસે જ અશ્રુ વિના હાથ પગ ટળવળી ટળવળીને!
ભલે ના ગમ્યું તારું બીજું કશું પણ, પ્રભુ સંતુલન તારું સ્પર્શયું છે દિલને,
અદલ એટલી ચીસ લખતા પડી’તી, જે તાળી પડી છે ગઝલ સાંભળીને.
મને હૂંફ આપ્યા વગર જે કહે છે કે આને અહમ છે, કહો એને કોઈ
કે દેખાવે છો ને અલગ છે બરફ પણ જળ જ થાય છે આખરે ઓગળીને.
– વિકી ત્રિવેદી
સરસ મજાની ગઝલ… કશાય ઉપોદઘાત વિના એને એમ જ માણીએ…
Permalink
March 15, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, બાબુલાલ ચાવડા 'આતુર'

(મને મેં જીવતો રાખ્યો)
સતત આ મનને મારીને મને મેં જીવતો રાખ્યો,
ઘણું સમજી-વિચારીને મને મેં જીવતો રાખ્યો.
હૃદયની આગ તો જીવવા જ દેવા માગતી ન્હોતી,
નયનનાં જળથી ઠારીને મને મેં જીવતો રાખ્યો.
ગયો તોફાનમાં સપડાઈ મધદરિયે ઘણી વેળા,
છતાં કાંઠે જ ધારીને મને મેં જીવતો રાખ્યો.
પ્રતિકૂળતાને પકડીને અનુકૂળતાના બીબામાં,
સિફતપૂર્વક ઉતારીને મને મેં જીવતો રાખ્યો.
ઘણી જગ્યાએ જીતી જાઉં તો જીવવું હતું દુષ્કર,
ઘણી વેળા ત્યાં હારીને મને મેં જીવતો રાખ્યો.
– બાબુલાલ ચાવડા ‘આતુર’
જાણીતા અને નવા કવિઓના નવા કાવ્યસંગ્રહોનો સાદરસત્કાર કરવા આદરેલ આવકાર સપ્તાહ શૃંખલાની આ સાતમી અને આખરી કડી… નોંધ લેવાની બાકી હોય એવા ઘણા સંગ્રહ હજી મારા ટેબલના એક કિનારે ચુપચાપ બેઠા છે… થોડો પોરો ખાઈ લઉં, પછી એમનો વારો..
આજે સિદ્ધહસ્ત સર્જકના નવાનકોર સંચયમાંથી એક સરસ મજાની ગઝલ… ‘યે જીના ભી કોઈ જીના હૈ’ની વાસ્તવવાદી ફિલસૂફી પહેલેથી આપની વિચારધારાનો અગત્યનો હિસ્સો બની રહી છે. કવિએ પાંચ શેરમાં એને બખૂબી કંડારી બતાવી છે… આપને કયો શેર ગમ્યો અને કેમ એ કહેશો તો અમને વધુ ગમશે.. .
Permalink
March 12, 2026 at 12:30 AM by વિવેક · Filed under કંચન અમીન, ગઝલ

રૂપેરી કલશોર કબીરા
સોનેરી છે પ્હોર કબીરા
પળપળ કોરા કાગળ જેવી
સાવ નવી નક્કોર કબીરા
ઝાકળમાં ડૂબે છે સૂરજ
ઝળહળ ચારેકોર કબીરા
સચરાચર છે રોશન રોશન
થનગન નાચે મોર કબીરા
ફૂલોનાં હૈયે ખુશબૂની
મસ્તીનો છે તોર કબીરા
– કંચન અમીન
લયસ્તરો પર આવકાર સપ્તાહની આજે ચોથી કડી… કવિના નૂતન સંગ્રહ ‘દિલ્લગી’નું સહૃદય સ્વાગત.
ટૂંકી બહરમાં કવિએ સરસ ગઝલ કહી છે. મત્લામાં પ્રભાતની સમૃદ્ધિનું મનહર ચિત્ર કવિએ કલમના બે-ચાર લસરકામાં જ કેવું સરસ દોરી બતાવ્યું છે! સરવાળે બધા શેર સંતર્પક થયા છે…
Permalink
March 10, 2026 at 11:11 AM by વિવેક · Filed under ગઝલ, પારસ પટેલ

નજર સૌ મંડાય છે તારા ઉપર,
શક બધાને છે ફકત મારા ઉપર.
તેં કર્યું ઘાયલ હૃદય મારું પછી,
સો સવાલોના થયા ઘા; ઘા ઉપર.
આ મહાભારત મને જામ્યું નહીં,
ભાઈ મારો ઘા કરે મારા ઉપર?
આ વખત સોગંદ તેં ખાધા નથી,
આ વખત વિશ્વાસ છે તારા ઉપર.
હાથ મારો કોઈએ પકડ્યો હતો,
છે હવે આરોપ અંધારા ઉપર.
– પારસ પટેલ
લયસ્તરો પર આજે કવિ શ્રી પારસ પટેલની એક ગઝલ સાથે એમના સંગ્રહને આવકારીએ…
સરળ ભાષામાં સરસ રચના થઈ છે. પાંચેય શેર મજાના થયા છે. હા, નજર (લગા) શબ્દને કવિએ નજ્ર (ગાલ) તરીકે પ્રયોજ્યો છે એ સહેજ ખટકે છે. બહુ મોટા ગજાના ગઝલકારોએ છંદ જાળવવા શબ્દના સાહજિક ઉચ્ચારણને આ રીતે બદલ્યા હોવાના એકાધિક દાખલા ઉપલબ્ધ છે, પણ આ પ્રકારની કર્ણકટુતાથી બચી શકાય તો ઉત્તમ.
Permalink
March 9, 2026 at 12:30 AM by વિવેક · Filed under ઉષા ઉપાધ્યાય, ગઝલ

બખ્તર
બખ્તર સઘળાં છૂટે છે,
થાકનાં તાળાં તૂટે છે.
રાત ભમે છે વગડામાં,
અજવાળાંને લૂંટે છે.
સરખાં બન્ને, પ્રેમ ને કૂંપળ,
પથ્થર તોડી ફૂટે છે.
રણ વચ્ચે રેતીના પટમાં,
જીવન લાધ્યું ઊંટે છે.
પાતાળે ધરબીને રાખો.
મોત બધુંયે ઝૂંટે છે.
સાત સમંદર ડહોળી જાણ્યું,
સુખ તો ઘરના ખૂંટે છે!
– ઉષા ઉપાધ્યાય
કવિમિત્રોનો પ્રેમ કુરિયરના રસ્તે થઈ સતત મારા આંગણિયે છલકાતો રહે છે, પણ પહેલાં ઘરના નવીનીકરણનું કામ અને પછી નવા થયેલા ઘરમાં નવેસરથી ગોઠવાવાના ભગીરથકાર્યમાં વ્યસ્ત હોવાના કારણે નવા સંગ્રહોની સંખ્યા તો વધતી ગઈ, પણ એમાંથી પસાર થવાનું કાર્ય ટલ્લે ચડતું રહ્યું… એ બદલ પ્રેમથી કાવ્યસમુચ્ચય પાઠવનાર તમામ સર્જકમિત્રોની દિલથી ક્ષમા પ્રાર્થું છું. હવે થોડો ઠરીઠામ થયો છું, એટલે બને એટલા કાવ્યસંચયોને ન્યાય આપવાની યથાશક્તિ યથામતિ કોશિશ કરીશ… લયસ્તરો પર આ આખું સપ્તાહ કાવ્યસંગ્રહોને આવકારીશું…
આજે આ આવકાર સપ્તાહનું પગરણ લબ્ધપ્રતિષ્ઠ સર્જકના નૂતન સંગ્રહની એક ગઝલ સાથે કરીએ…
(કેટલાક કવિમિત્રોએ ધ્યાન દોર્યું ત્યારે ખ્યાલ આવ્યો કે ગઝલમાં એકાધિક જગ્યાએ ગાગાગાગાના આવર્તનોમાં અનિયમિતતા રહી ગઈ છે.)
Permalink
March 7, 2026 at 11:08 AM by વિવેક · Filed under ગઝલ, નયન દેસાઈ
ઘર હાંફે છે, ઘર હાંફે છે, ઘર હાંફે છે ચટ્ટક લાલ
ઉમ્બર ચત્તોપાટ પડેલો ખીંટી પર માણસની ખાલ,
બારીમાં ચિત્તાની આંખો, અંગારાશી તગતગતી,
ધડધડ વહેતા પડછાયાનાં મોજાંઓ ઊછળે વિકરાળ,
હાથોની ડાળી પર સુક્કાં પર્ણોનો ખખડાટ થયો,
પક્ષી છાતી પર બેઠું કે ટચટચ ટોચ્યાની ઘટમાળ?
આંખોના પાતાળકૂવામાં સૂરજનો પથ્થર ભચ્ચાક્
ઝાંખા પાંખા આકારો નીકળ્યા ઓઢી સ્વપ્નોની છાલ,
ફાનસના અજવાળામાં ફગફગતો લોકોનો બબડાટ,
રસ્તા પર સળગેલાં વૃક્ષો ને કિકિયારી, તૂટતી ડાળ.
– નયન દેસાઈ
કવિતામાં અર્થાનુભૂતિથી વિશેષ મહત્ત્વની ચીજ છે ભાવાનુભૂતિ. કોઈક વસ્તુ, વ્યક્તિ કે પ્રસંગને લઈને કવિએ જે સંવેદન અનુભવ્યું હોય એ ભાવક સુધી યથાતથ પહોંચાડી શકે એ સાચી કવિતા… ‘ફોબિયા’ (Phobia) એટલે ભય; મનના ગહન સ્તરે વસેલી ભીતિ. આ છે ફૉબીઅસ ગઝલ. કવિએ જે પ્રતીકો અને દૃશ્યો ગૂંથ્યા છે, તે ભયગ્રસ્ત માનસની આંતરિક સ્થિતિને યથોચિત પ્રતિબિંબિત કરતા જણાય છે ને?
મત્લા જુઓ. પદાવલિની ત્રિરુક્તિની મદદથી ઘરના હાંફવાની ક્રિયા કેવી તાદૃશ કરી દેખાડી છે! માણસ જે રીતે હાં…હાં…હાં… કરતો હાંફતો હોય, અદ્દલ એ જ રીતે અહીં ત્રિરુક્તિના કારણે ઘરનું હાંફવું આપણે સુસ્પષ્ટપણે સાંભળી શકીએ છીએ. ઘર એટલે આમ તો સુરક્ષાનું પ્રતીક. પણ એ હાંફે છે. કારણ? તો કે એ ચટ્ટક લાલ (લાલચટ્ટક) છે…. કોઈક કારણોસર રક્તરંજિત થયું છે. કારણ? તો કે ઉમ્બર ચટ્ટોપાટ પડેલો છે. (ઉંબરો તો આમેય નીચે જ હોય ને! પણ કવિ એને ચટ્ટોપાટ પડેલો કહે છે, ત્યારે કોલારિજ યાદ આવે: willingful suspension fo disbelief, કારણ આપણને ઉમ્બર સાચે જ ચટ્ટોપાટ પડેલો દેખાય છે. ઉમ્બર ચત્તોપાટ પડ્યો છે. કારણ? તો કે માણસની ખાલ ખીંટી પર લટકી રહી છે… માણસ એની ચામડીમાંથી નીકળી ગયો છે. માણસાઈની હત્યા થઈ છે એટલે લોહીથી રંગાયેલું ઘર હાંફી રહ્યું છે. ઘરમાં જે છે એ તો કેવળ માણસની ત્વચા જ છે…
પ્રસ્તુત ગઝલ પણ ભયગ્રસ્ત ચેતનાનું પ્રાથમિક સ્તરે સંદિગ્ધ પણ સરવાળે દૃશ્યમય ચિત્રણ છે. સામાન્ય વસ્તુઓ (ઘર, બારી, હાથ, સૂરજ) ભયજનક રૂપ ધારણ કરે છે. દૃશ્યોમાં તર્કસંગતતા કરતાં માનસિક આતંક અને અસંગતતા વધુ છે. ભાષા, પ્રતીકો અને ધ્વનિપ્રયોગો ભય અને ગભરાટનો માહોલ જન્માવવામાં કવિ સફળ થયા છે.
Permalink
February 20, 2026 at 11:24 AM by વિવેક · Filed under ગઝલ, નયન દેસાઈ
ફેણ ફુત્કારે ણણણ સળવળાટ સળવળાટ સ. સ. વિષ સર સર સર
સરકે ચળકે આંખનાં કાણાં ક્ષણનાં કણાક ક. ણ. પછાડ શીશ સર સર સર
આકાર વળ્યો વ. આકાર ઘુમરાયો ઘ. જીભ ફાંટા ફંટાયા ટીસ સર સર સર
બખોલ ખોલ, ખ. રાફડો ફ. ફરફરાટ દંશ દેકારો આગમ તે દિશ સર સર સર
કાંચળી ભીંગડા, ગ. વાડ મહેંદી દડદડ, ડમરુ લિંગ, ફેણ લબડે અહર્નિશ સર સર સર
પળ પળ ળક. કરકોટક વૃક્ષ પાંદડુ ડાળ, અંજીર, સ્વપ્ન, ગળું ઘરઘરાટ ટોટો પીસ સર સર સર
ણ ફેણનો ણ ખણખોતર કરંડિયો બ બીન દાંત તક્ષત ક્ષત વિક્ષત ચીસ, સર સર સર
ઝાંય સોનેરી, લીસોટો લી…સો…ટો ભોરીંગ ભ. ભચ્ચ, ભૂખરું ભરાડી ભીંસ સર સર સર
– નયન દેસાઈ
નયન દેસાઈની બહુઆયામી ગઝલોનો એક આયામ છે ધ્વનિ. આમ તો આપણે શબ્દ અને શબ્દાર્થની સહાયથી કવિભાવ સુધી પહોંચવાને ટેવાયેલાં છીએ, પણ દર વખતે આમ હોતું નથી. પર્ણોની મરમર, પાણીનું ખળખળ, પાંખોની ફડફડ, પવનની સરસર –નિસર્ગ કેવળ ધ્વનિ લઈને આપણી સન્મુખ આવે છે, શબ્દ કે શબ્દાર્થ લઈને નહીં; અને તે છતાં આપણે પ્રકૃતિના કાવ્યને આસ્વાદી શકીએ છીએ. મનુષ્યની અભિવ્યક્ત થવાની ઝંખનામાંથી ભાષા જન્મી, પણ અભિવ્યક્તિ તો શબ્દાતીત પણ હોઈ શકે અને વિશુદ્ધ ધ્વનિ પણ કવિતાનું ઉપાદાન બની શકે એવી સમજણ સાથે નયન દેસાઈએ આપણને કેટલીક સુંદર કવિતાઓ આપી છે. ધ્વનિ અને ધ્વનિના કાકુઓએ એમને ખૂબ આકર્ષ્યા છે. એમની ઘણી રચનાઓમાં ધ્વનિક્રીડા સંભળાય છે. શ્રી કૈલાસ પંડિતે લખ્યું છે: ‘નયનને અર્થસભર કાવ્યથી વિશેષ લગાવ અર્થપારની ભાષા પ્રયોજી, અવાજ દ્વારા કવિતા રચવાના પ્રયાસમાં છે.’
મૉન્ટાજ એટલે એકાધિક ફોટોગ્રાફ્સ અથવા ફૉટોગ્રાફ્સના ભાગ કાપીકૂપીને એકસાથે ગોઠવીને સર્જવામાં આવતી કળાકૃતિ. એક રીતે કૉલાજ જ, પણ ફોટોગ્રાફ્સનું. કવિનો કેમેરા તો શબ્દોના ફોટા પાડે, એટલે કવિએ અહીં શબ્દ-મૉન્ટાજ સર્જ્યું છે. પ્રસ્તુત રચનામાં શબ્દાર્થ કે ભાવાર્થ શોધવા જઈએ તો ઊંધા માથે પડવાનો વારો જ આવે. કવિએ રવાનુકારી શબ્દો અને એકાક્ષરી વ્યંજનોની મદદથી અવળા હાથે કાન પકડી બતાવ્યો છે. કેવળ સાપને જ નહીં, એના ફુત્કારને પણ ચાક્ષુષ કરી દેખાડ્યો છે. એકાક્ષરી વ્યંજનોને પૂર્ણવિરામની મદદથી એકાક્ષરી વાક્યો બનાવી દીધા છે. વળી, એમને પંક્તિમધ્યે સ્થાન આપી પઠનની ગતિને પણ સાયાસ અવરોધી છે. સરવાળે, શબ્દોની અર્થહીન જણાતી લીલામાંથી કવિએ એક એવી તીવ્રાનુભૂતિ સર્જી છે, જેના કેન્દ્રમાં સાપ હોય. રચનાનો બાહ્યાકાર ગીત, મત્લાગઝલ અને ઊર્મિકાવ્ય એમ ત્રિવિધ રૂપે પોંખી શકાય એમ છે એ વળી અલગ જ ચર્ચાનો વિષય છે.
Permalink
February 19, 2026 at 11:45 AM by વિવેક · Filed under ગઝલ, મનહર મોદી
જીવી શકું હું કઈ રીતે તમને સ્મર્યા વગર?
પાંપણ કદીય રહી શકે મટકું ભર્યા વગર?
ચાલ્યાં મને ત્યજી તો નવો ખ્યાલ સાંપડ્યો,
ડાળી ગુમાવવી પડી ફૂલને ખર્યા વગર.
હૈયાની માછલીનો તરફડાટ નહીં જુઓ,
આંખોનું પાણી આપનું ખાલી કર્યા વગર.
ડૂબી ગયો તો આપનું સાંનિધ્ય સાંપડ્યું,
પાણી ગયું કપાઈ સમંદર તર્યા વગર.
મંઝિલ મળી છે એમ કહું તો એ ભ્રમ હશે,
પામ્યું નથી કફન અહીં કોઈ મર્યા વગર.
દર્શન નયનનાં પામવા દૃષ્ટિ થવું પડે,
ખુદને નિહાળી ના શકો દર્પણ ધર્યા વગર.
– મનહર મોદી
આધુનિકતા અને આંદોલનનું કફન માથે બાંધીને નીકળેલ મરજીવાઓને પણ પરંપરાના પોષણ વિના ચાલ્યું નથી. ગુજરાતી કવિતામાં ક્રાંતિ આણી નવોન્મેષ સાધવામાં અગ્રેસર ‘રે મઠ’ના અગ્રેસર સર્જક મનહર મોદી પાસેના ખજાનામાંથી પણ રુઢિગત ગઝલો મળી આવે છે. આમ તો છએ છ શેર ખૂબ જ મજાના થયા છે, પણ ‘હૈયાની માછલીના તરફડાટ’વાળો શેર મારા દિલની સવિશેષ નજીક છે. યુવાનીના અંતઃસ્ત્રાવોની હણહણાટી પૂરજોશમાં હતી એ ૧૪-૧૫ વર્ષની વયે આ શેર ક્યાંક વાંચવા મળ્યો હતો. એક-બે કરતાં ચાર-ચાર દાયકા વીતી ગયા, પણ આ શેર ભૂલાયો પણ નથી અને એણે મારા હૈયા પર કરેલ કામણ પણ મોળું પડ્યું નથી…
Permalink
Page 1 of 51123...»Last »