વીણેલાં મોતી – પુષ્કરરાય જોષી
કાગળની હોડીમાં બેસી-
સાત સમંદર તરવા બેઠો.
જિંદગીની સેજ કાંટાળી હતી,
ફૂલ માફક તોય સંભાળી હતી.
ચાંદ દેખાયો નહીં તો શું થયું!
તારકોએ રાત અજવાળી હતી.
જિંદગી જામથી છલોછલ છે,
પ્યાસ તોયે રહી અધૂરી છે.
રાહમાં તો પથ્થરો આવ્યા કરે,
કિંતુ ઝરણું ક્યાં કદી રોકાય છે!
વાદળાં ટોળે વળે છે સાંજના,
શૂન્યતા ઘેરી વળે છે સાંજના.
વાત સાદી કિંતુ ક્યાં સમજાય છે?
જે થવાનું તે જ અંતે થાય છે.
કાળ લાગે શબ્દ સામે વામણો,
શોક જ્યારે શ્લોકમાં બદલાય છે.
દોસ્ત! ભરતી-ઓટ શો સંબંધ છે,
રેત પર પગલાં છતાં અકબંધ છે;
આ સમંદર એ નથી બીજું કશું,
આંસુનો તૂટી પડેલો બંધ છે.
– પુષ્કરરાય રેવાશંકર જોષી
લયસ્તરો પર કવિના કાવ્યસંગ્રહ ‘દિવ્યઘોષ’નું સહૃદય સ્વાગત… સંગ્રહમાંથી કેટલાક શેર અને એક મુક્તક અત્રે પ્રસ્તુત કરીએ છીએ…



Varij Luhar said,
March 29, 2025 @ 10:42 AM
સરસ શેર.. કાવ્ય સંગ્રહનું સ્વાગત
Shailesh Gadhavi said,
March 29, 2025 @ 12:51 PM
બહુ સરસ સંકલન, સંગ્રહનું સહૃદય સ્વાગત
Ramesh Maru said,
March 29, 2025 @ 2:11 PM
વાહ…સરસ સંકલન.
સ્વાગત છે કવિનું.
Jayesh Bhatt said,
March 29, 2025 @ 9:25 PM
સ્વાગત સહ અભિનંદન
KIRITKUMAR P JOSHI said,
April 27, 2025 @ 8:53 AM
ખૂબ જ સુંદર રચના ઋજુ સ્વભાવના કવિશ્રી નું સ્વાગત.
Kishor Ahya said,
April 27, 2025 @ 7:51 PM
કવિ શ્રી પુસ્કરરાય જોશી ના કવિતા સંગ્રહ’ દિવ્ય ઘોષ ‘ માં થી લીધેલ વીણેલા મોતી ના બધા શેર સરસ છે મુક્તક તો ખૂબ ગમ્યું,
કવિ સમંદર ને આશુનો તૂટી પડેલો બંધ કહે છે. વાહ!વાહ!
આ શેર ખૂબ ગમ્યા ,
જિંદગી જામ થી છલો છલ છે
પ્યાસ તોયે રહી અધૂરી છે.
વાત સાદી કિંતુ ક્યાં સમજાય છે જે થવાનું તેજ અંતે થાય છે.
ગઝલના ઉપર ના ભાગે આપવામાં આવતા નવ્ય શેર માં આજે લયસ્તરો ના સંપાદક અને દિગ્ગજ કવિ ડૉ. વિવેકભાઈ ટેલર નો શેર છે, જે ખુબજ ગમ્યો.
ભિતની છાતી ચીરી એક લતા ખૂબ લડી.
મારી પર એમ આ એકલતા બરાબરની ચડી.
ક્યારેક દરેકે જોયું હશે કોઈ ભિત પર ખૂબ ઊંચે કોઈ છોડ કે વેલ (લતા) ઉગેલા ને લીલાછમ દેખાતા હોય છે!(આ બહુ આશ્ચર્ય છે!) ભીત ખૂબ સખત હોય તેમાંથી છોડ ને બહાર નીકળવું ખૂબ કઠિન, કવીએ અહી તેને માટે ,’ખૂબ લડી’ શબ્દ પ્રયોગ કર્યો છે .કવિ કહે છે.. ‘મારી પર એમ આ એકલતા ચડી.’
વાહ ! વાહ,! ખુબ સરસ શેર.
🌹🌹