કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા !
મૂકેશ જોશી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for નિરંજન ભગત

નિરંજન ભગત શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




કોને કહું? – નિરંજન ભગત

કોને કહું? છું એકલો!
રૂપની રંગત બધી જોઈ રહું છું એકલો!

લાલી ઉષાના ઉરથી
ઊઘડે અને લાજી રહું,
સધ્યા તણા સિંદૂરથી
હું આંખડી આંજી રહું;
સ્નેહની આ સ્વપ્નલીલા હું લહું છું એકલો!

રુદ્રનું લેાચન દહે
કયારેક તો મધ્યાહ્નમાં,
મુગ્ધ મારું મન રહે
ત્યારે રતિના ગાનમાં;
આભ જેવા આભનો રે ભાર વહું છું એકલો!
કોને કહું છું એકલો?

– નિરંજન ભગત

કવિતા એટલે એકલતાનું મહાગાન. સંસારના અડાબીડ વન વચ્ચે કવિ જાત સાથે અનુસંધાન સાધી લે ત્યારે કવિતાનું અવતરણ થાય છે. કવિતા ભલે સ્વથી સર્વ સુધીની યાત્રા કહેવાતી હોય, પણ એનું સર્જન ત્યારે જ થાય છે જ્યારે કવિ સર્વથી સ્વ તરફ વળે. આંખની સામે કુદરતનો અફાટ રૂપસાગર પથરાયેલો છે પણ એને માણનાર કવિ એકલા જ છે. ‘કોને કહું?’નું મનુષ્યસહજ એકલગાન પણ પ્રકૃતિનું એકલપાન કરતી વેળાએ કવિ કરે છે. સવારે આકાશમાં લાલી પથરાય ત્યારે કવિ શરમના શેરડા અનુભવે છે, તો વળી સાંજના સિંદૂરિયા રંગથી એ આંખો ભરી લે છે. પ્રકૃતિની રૂપરંગતની આ સ્નેહલીલા માણવાનો સંસાર પાસે સમય નથી. કવિ એકલા હાથે આ લહાવો લૂંટી રહ્યા છે. ઉષા અને સંધ્યાના મુકાબલે બપોરનો તાપ સહેવો જો કે આકરો છે, એટલે એ સમય કવિ રતિગાનમાં વ્યતીત કરે છે. કવિ પ્રકૃતિ સાથે એવી ને એટલી આત્મીયતા અનુભવે છે કે ‘સારી દુનિયા કા બોજ હમ ઉઠાતે હૈં’ જેવો વિચાર પણ મનમાં આવ્યા વિના રહેતો નથી. કાવ્યાંતે કવિ પહેલી પંક્તિનું જ પુનરાવર્તન કરે છે પરંતુ પ્રશ્નાર્થચિહ્નનું સ્થાન બદલીને. પ્રશ્નચિહ્નનું સ્થાન બદલાઈ જવાથી બે વાક્ય બે મટીને એક તો થઈ જાય છે પરંતુ અર્થ સુદ્ધાં આખેઆખો બદલાઈ જાય છે. કાવ્યારંભે દ્વિધા એ હતી કે પોતે એકલા છે એ વાત કોને કહેવી. કાવ્યાંતે દ્વિધા અલગ છે: હવે સવાલ એ છે કે પોતે એકલા એકલા આ વાત કોને કહી રહ્યા છે. જે દુનિયા પ્રકૃતિરસનું અમૃતપાન કરવામાં સાથે ન જોડાઈ, એની આગળ એનો મહિમા ગાવાથી શો ફાયદો?

ગુજરાતી ગીતોને ષટકલ અને અષ્ટકલનો લય માફક આવી ગયો છે, પણ પ્રસ્તુત રચના સપ્તકલમાં છે. અને સપ્તકલનો લય એટલો મજબૂત થયો છે કે ગીત વાંચવું તો સંભવ જ નથી, એને ગણગણ્યે જ છૂટકો.

Comments (6)

એકસૂરીલું – નિરંજન ભગત

એ જ તેજ
એ જ ભેજ
એ જ સેજ
એ જ એ જ
એ જ બે પગા
લગા લગા લગા લગા…

– નિરંજન ભગત

વિચાર કરતાં કરી દે એવી સાવ નાની રચના. માણસની આભા, લાગણીની ભીનાશ કે ઇચ્છાઓની સેજ – કશું બદલાતું નથી… બધું એનું એ જ રહે છે. વિસ્તૃત અર્થમાં જોઈએ તો બધાય બે પગા એકસરખા જ હતા, છે અને રહેશે. ‘એકસૂરીલું’ શીર્ષક કાવ્યાર્થને દૃઢીભૂત કરવામાં મદદ કરે છે. યાદ આવે: ‘બધા ગતાનુગતિક ચિત્તવૃત્તિના છે શિકાર, ઉપર ઉપરથી ફકત હાલચાલ નોખા છે.’ આખી રચના ગુલબંકીના ગાલ ગાલની ત્રિકલ ચાલમાં લેફ્ટ રાઇટ લેફટ રાઇટની માર્ચ ચાલતી હોય એમ ચાલે છે પણ છેલ્લે ‘પગા’ પર પહોંચીને છેલ્લી પંક્તિ અચાનક ગાલ ગાલના સ્થાને લગા લગાની રવાની પકડે છે ત્યારે પઠનમાં જે લયપલટો થાય છે એ જ કદાચ રચનાને કવિતા સુધી પહોંચાડવાની ચાવી ગણી શકાય.

Comments (7)

કરોળિયો અને મોર : ૦૨: મોર – નિરંજન ભગત

કલાપ નિજ પિચ્છનો વિવિધ વર્ણ ફેલાવતો.
પ્રસન્ન નીરખે વિશાળ નિજ વિસ્તર્યા દર્પને,
(સદા સુલભ છાંય આ પ્રખર ગ્રીષ્મમાં સર્પને)
પ્રમત્ત નિજ : કંઠનો મધુર સૂર રેલાવતો,
મથે નભ વલોવવા, ગજવવા ચહે સૌ દિક:
સવેગ નિજ બેઉ પાંખ વચમાં વળી વીંઝતો,
અને નિજ છટા પરે સતત રહે સ્વયં રીઝતો;
અહં પ્રગટતો ન હોય કવિ કોઈ રોમેન્ટિક.
વિલાસપ્રિય સર્વ દૃષ્ટિ વરણાગથી આંજવી,
હિલોલ નિજ લોલ દેહ ગતિમાં લિયે, સર્વને
નિમંત્રણ દિયે ઉદાર ઉ૨, માણવા પર્વને;
અનન્ય રસ રૂપ રંગ સ્વરસૃષ્ટિનો રાજવી.
મુરાદ મનની છતાં અતિવિચિત્ર (કોને કહે?):
અમૂલ્ય નિજ અશ્રુ કોઈ કદી ક્યાંક ઝીલી રહે.

– નિરંજન ભગત

ગઈ કાલે આપણે ક્લાસિસિઝમ અને રોમૅન્ટિસિઝમ – આ બે વાદ વિશે અને કવિના સૉનેટદ્વયમાંથી એક ‘કરોળિયો’ આસ્વાદ્યું. આજે, ‘મોર’ની વાત કરીએ:

મોર રોમૅન્ટિસિઝમનું પ્રતીક છે. એ સૌંદર્ય વેરવામાં માને છે. એના પીંછાંઓના મેઘધનુષી કલાપનો ફેલાવો એના ગર્વ જેવો જ છે. મધુર સ્વરે (કવિતાઓ વડે) એ આકાશને વલોવવા અને દિશાઓને ગજવવા ઝંખે છે. પોતાની કળા પર એ પોતે પણ મુશ્તાક છે. વિલાસપ્રિય અહંકારી રોમૅન્ટિક કવિ પોતાના લયમાં લયલીન થવા બધાને નિમંત્રણ પાઠવે છે, ગમતાંનો ગુલાલ એની અભિવ્યક્તિની ખાસ તરેહ છે. બધી રીતે અનન્ય હોવા છતાં એની મનોકામના (અને મનોવ્યથા) એ કોઈને કહી શકતો નથી. એવું મનાય છે કે મોરનાં આંસુ પીને ઢેલ ગર્ભવતી બને છે. રોમૅન્ટિક કવિ પણ પોતાનો વારસો આવનારી પેઢી જાળવી રાખે એવું જ કંઈ ઇચ્છે છે?!

Comments (7)

કરોળિયો અને મોર : ૦૧: કરોળિયો – નિરંજન ભગત

નર્યો મલિન, હૃષ્ટપુષ્ટ, શત ડાઘ, ભૂંડો ભખ;
સરે લસરતો, તરે શું પવનાબ્ધિ ઑક્ટોપસ;
કુરૂપ નિજ કાય આ પલટવા કયો પા૨સ?
અને નીરખવા યથાવત ચઢે છ કોનાં ચખ?
છતાં મૃદુલ, સ્નિગ્ધ ને ૨જતવર્ણ કૈં તારથી
ગ્રંથે સુદૃઢ જાળ, દેહ નિજથી જ, નિત્યે નવી,
કલાકૃતિ ૨ચે શું ક્લાસિકલ સંયમી કો કવિ,
દબાય નહિ જે જરીય નિજ દેહના ભારથી.
અલિપ્ત અળગો રહે, અતિથિ અન્ય કો સૃષ્ટિથીઃ
જણાય જડ, ચુસ્ત, સ્વસ્થ, અતિ શાંત કેવો છળે!
સુગંધભર જાળને કુસુમ માનતી જે ઢળે
ન એક પણ મક્ષિકા છટકતી છૂપી દૃષ્ટિથી,
મુરાદ મનની : (નથી નજર માત્ર પૃથ્વી ભણી)
કદીક પકડાય જો નભઘૂમંત તારાકણી.

– નિરંજન ભગત

‘કરોળિયો અને મોર’ આ સૉનેટદ્વયમાંથી આજે પહેલું –કરોળિયો- માણીએ…

સાવ અલગ હોવા છતાં આ બંને સૉનેટ રચનારીતિ અને કેન્દ્રવર્તી વિચારના તંતુથી એકમેક સાથે અવિનાભાવી સંબંધે જોડાયેલ છે. કહો કે, જોડિયાં બાળકો! વિશ્વ સાહિત્યમાં શરૂઆતથી બે વહેણ વારાફરતી વહેતાં જોવાયાં છે. એક, ક્લાસિકલ (શાસ્ત્રીય) અને એક રોમૅન્ટિક (પ્રાકૃત/સ્વછંદ). ક્લાસિકલના મૂળિયાં ગ્રીક-રોમન સાહિત્ય-કળા-વાસ્તુકળામાં છે. પરિપક્વતા, સામંજસ્ય, વ્યવસ્થા, સંતુલન અને સંયમ એ ક્લાસિસિઝમનાં લક્ષણ છે. રોમૅન્ટિસિઝમ એટલે આજે આપણે જેને રોમાન્સ કહીએ છીએ એ નહીં. સાહિત્ય-કળામાં રોમૅન્ટિસિઝમ એટલે ક્લાસિકલથી વિરુદ્ધ. એમાં માનવીય ભાવ-સંવેદન, સૌંદર્ય, જીવન અને પ્રકૃતિનું વધુ મહત્ત્વ છે. ક્લાસિસિઝમમાં કારણોનું તો રોમૅન્ટિસિઝમમાં કલ્પનાનું પ્રાધાન્ય છે.

પ્રસ્તુત સૉનેટદ્વય આ બે વાદને કરોળિયો અને મોરના પ્રતીકોથી સમજાવે છે. બંને સૉનેટ પૃથ્વી છંદમાં છે. બંનેમાં અષ્ટકમાં દેહ અને દેહક્રીડાનું વર્ણન છે અને પછી ષટકમાં મનોજગતનું વર્ણન છે. બંને સૉનેટમાં abba cddc effe gg મુજબ ચુસ્ત પ્રાસ કવિએ મેળવ્યા છે.

આજે ‘કરોળિયો’ની વાત કરીએ:

કરોળિયો ક્લાસિકલ વાદનો પ્રતિનિધિ છે. શરૂઆત કરોળિયાના શારીરિક લક્ષણોના વર્ણનથી થાય છે. દેખાવે નર્યો મલિન પણ હૃષ્ટપુષ્ટ, ડાઘડડૂઘિયો, ભૂંડોભખ લાગતો કરોળિયો જાણે પવનના સાગરમાં તરતા ઑક્ટોપસ જેવો છે. કુબ્જા તો કૃષ્ણસ્પર્શે સૌંદર્યા બની જાય પણ કરોળિયાની કુરૂપ કાયાને કંચન કરે એવો કોઈ પારસમણિ ખરો? કોઈ આંખ એવી નથી જે એને એ જેવો છે એવો યથાવત્ જોવા તૈયાર હોય. પણ જે રીતે કોઈ ક્લાસિકલ કવિ સંયમપૂર્વક પોતાના વિચારોના તાર ગ્રંથીને કલાકૃતિ સર્જે એ જ રીતે કરોળિયો પોતાના દેહ વડે જ નિતનવું સુદૃઢ જાળું બનાવે છે. એનું વજન સહજતાથી ઝીલી લેતી જાળમાં એ દુનિયાથી અલિપ્ત અતિથિ સમો રહે છે. દેખાય એકદમ શાંત પણ છળ તો જુઓ! એનાં જાળાંની સુગંધથી લલચાઈને નજીક આવતી એક માખી સુદ્ધાં એની નજરથી બચી શકતી નથી. એના મનની મુરાદ માત્ર પૃથ્વી પર સ્થાન સુનિશ્ચિત કરવા પૂરતી સીમિત નથી, એ તો આકાશની તારાકણી તરફ મીટ માંડી બેઠો છે, ક્લાસિકલ કવિ જે રીતે સાહિત્યસર્જન થકી અમરત્વ કાંક્ષતો હોય એમ!

Comments (7)

વસંતરંગ – નિરંજન ભગત

વસંતરંગ લાગ્યો !
કુંજ કુંજ પલ્લવને પુંજ પ્રાણ જાગ્યો

ડાળે ડાળ કળીઓ શું જોબનમાં ઝોલતી,
આંબાની મ્હોરેલી મંજરીઓ ડોલતી,
કોયલ શી અંતરની આરત ખોલતી!
વાયરાની વેણુમાં મત્ત રાગ વાગ્યો!

પગની પાનીએ રંગ મેંદીનો રેલતી,
કાને કેસૂડાંનાં કુંડળ બે મેલતી,
કુંજમાં અકેલ કોણ ફાગનૃત્ય ખેલતી?
મેં કોના તે રાગમાં વિરાગયાગ ત્યાગ્યો?
વસંતરંગ લાગ્યો !

– નિરંજન ભગત

વસંત જાદુગર છે. ચિત્રકાર જે રીતે કોરા કાગળ પર બે-ચાર લસરકા મારે અને કાગળની શિકલ જ બદલાઈ જાય એ રીતે વસંતનો રંગ લાગતાં જ આખી સૃષ્ટિ નવપલ્લવિત થઈ ઊઠે છે. કુંજે-કુંજે ડાળીઓમાં પ્રાણ જાગી ઊઠ્યો છે. કળીઓ મત્ત થઈ ડોલે છે, આંબો મંજરીઓથી લચી પડ્યો છે અને કોયલ એના હૈયાની આરત ઊઘાડતી હોય એમ સૂરાવલિઓ રેલાવી રહી છે. જાણે વાંસળી કેમ ન વાગતી હોય એવી મસ્તીમાં પવન ફૂંકાઈ રહ્યો છે. પ્રકૃતિ આખી ફાગના રાગમાં નર્તન કરતી હોય એવામાં ભલભલા વિશ્વામિત્રનું તપોભંગ થઈ જાય તો બિચારા નાયકની તે શી વિસાત!

Comments (2)

તું હતી સાથમાં – નિરંજન ભગત

તું હતી સાથમાં!
તું પ્રિયે, રમ્યગાત્રી,
હતી વિજન વનને પથે પૂર્ણિમારાત્રિ,
ને હું અને તું હતાં બે જ યાત્રી,
જતાં હાથ લૈ હાથમાં!
તું હતી સાથમાં!

જાણ્યું ના આપણે બે જણે
એવી તે કઈ ક્ષણે
કોઈ મુગ્ધા સમી મંજરી
ડાળથી મ્લાન થઈ મૂર્છિતા ગઈ ખરી,
એક નિઃશ્વાસ નમણો ભરી
આપણા માર્ગમાં ગઈ સુગંધો ઝરી!

જાણ્યું ના આપણે બે જણે
એવી તે કઈ ક્ષણે
કુંજની કામિની કોકિલા,
કંઠ પર મેલતું કોઈ જાણે શિલા,
એમ ટહુકાર છેલ્લો કરી રોષથી,
ક્યાંક ચાલી ગઈ દૃષ્ટિના દોષથી!

જાણ્યું ના આપણે બે જણે
એવી તે કઈ ક્ષણે
ચન્દ્રીએ ચારુ ને ચંચલ
દૃષ્ટિએ જોઈને દ્વેષથી
આડું ધારી લીધું વૈરના વેષથી
મુખ પરે શ્યામ કો મેઘનું અંચલ!

જાણ્યું ના આપણે બે જણે
એવી તે કઈ ક્ષણે
વાયુની લ્હેરે ભાળી ગઈ
આપણા સંગને,
ને પછી આછું આછું અડી અંગને
એવું તે શુંય એ વેર વાળી ગઈ!
મૌનમાં મગ્ન થૈ આપણે બે જણે
એમ ચાલ્યાં કર્યું હાથ લૈ હાથમાં!

જાણ્યું ના એય તે એવી તે કઈ ક્ષણે
વાયુની લ્હેરશું તુંય ચાલી ગઈ,
ને અચાનક મને શૂન્યતા શીય સાલી ગઈ,
એ જ ક્ષણે જાંયું કે તું ન’તી સાથમાં!

– નિરંજન ભગત

પહેલી નજરે અછાંદસ કહી દેવાનું મન થાય એવી આ કવિતા હકીકતમાં ઝુલણા છંદના ગાલગા ગાલગાના અનિયત પણ ચુસ્ત આવર્તનોમાં રચાયેલ છંદોબદ્ધ કવિતા છે.

તું હતી સાથમાં કવિતાનું શીર્ષક પણ છે અને ઊઘડતી પંક્તિ પણ. આટલા પરથી જ સમજાઈ જાય છે કે જે પ્રિયજનની આ વાત છે એ હવે સાથે નથી. વિજન વનના કેડે પૂનમની રાતે બે પ્રેમભીનાં હૈયાં હાથ હાથમાં લઈને ચાલી રહ્યાં છે. અને એકમેકમાં રત પ્રેમીઓને એમ લાગે છે કે પ્રકૃતિ સમસ્ત એ બેની ઈર્ષ્યા કરે છે. ડાળ પરની મંજરીઓ મ્લાન વદને નમણો નિઃશ્વાસ ભરી એમના માર્ગમાં ખરી જાય છે, કોકિલા કંઠ પર કોઈ શિલા મૂકીને રૂંધતું ન હોય એમ છેલ્લો ટહુકાર કરી ગુસ્સામાં ક્યાંક ચાલી જાય છે, ચંદ્ર પણ દ્વેષભાવે આ લોકોને જોઈને કાળા વાદળના આંચલમાં લપાઈ જાય છે અને વાયુની લ્હેરખીય બંનેને આછું આછું અડીને કંઈક વેર વાળીને ચાલી જાય છે. બંને પ્રેમીઓ તો મૌનસમાધિમાં જ લીન રહી હાથ હાથમાં લઈને આ બધું જોયું-ન જોયું કરીને પોતાને મારગ ચાલ્યા કરે છે. સાયુજ્યની આ એવી પળ છે, આ એવી સમાધિ છે કે વાયુની લહેરખી સમી પ્રિયા કઈ ક્ષણે હાથ છોડાવીને ચાલી ગઈ એય નાયકને ખબર પડી નહીં… જીવનમાં અચાનક ખાલીપો અનુભવાયો ત્યારે જ નાયકને નાયિકાની ગેરહાજરીની પ્રતીતિ થાય છે…

Comments (2)

અશ્રુ – નિરંજન ભગત

તારે પ્રાણે પુલકમય કૈં રાગિણી રમ્ય સૂરે
જાગી રહેતી, મધુર લયનો દોલ દૈ મંદ મંદ;
તાલે તાલે સ્વરપરશથી વિશ્વનો નૃત્યછંદ
ડોલી રહે ને પલ પલ કશો મુગ્ધ થૈ તાલ પૂરે!
મેં એમાંથી અધરસ્મિતનો શાંત પ્રચ્છન્ન સૂર
માગ્યો, જેથી સ્વરમધુર એ દોરમાં ગીતફૂલે
માળા ગૂંથું, ચિરજનમ જે તાહરે કંઠ ઝૂલે;
રે એ આશા ક્ષિતિજ સરખી રહૈ ગઈ દૂર દૂર!
મેં માગ્યું’તું અધરસ્મિત, તેં અશ્રુનું દાન દીધું;
તારે પ્રાણે મુજ હૃદયની માગણીને જડી દૈ,
થંભી તારી શત શત કશી રાગિણી, તું રડી ગૈ!
હું શું જાણું પ્રિય, પ્રણયનું એમ તેં ગાન કીધું!
રે તારું એ અરવ સરતું અશ્રુનું એક બિન્દુ
જાતે સપ્ત સ્વરે શું છલછલ પ્રણયોન્માદનો મત્ત સિન્ધુ!

– નિરંજન ભગત

રવીન્દ્રનાથની ગીતાંજલિમાંથી પસાર થતા હોવાની અનુભૂતિ આ સૉનેટ વાંચતા થયા વિના રહેતી નથી. સહવાસના સંગીતની પરાકાષ્ઠાની વાત છે. પ્રિયપાત્રના સ્મિતને ગીતમાં ઢાળવા માંગતા પ્રિયજનને સ્મિતના સ્થાને સામેથી અશ્રુ પ્રાપ્ત થાય છે ત્યારે પહેલાં તો પ્રિયજન વિમાસણમાં પડે છે પણ પછી એને તરત જ સમજાય છે કે આ અશ્રુ એ પ્રણયની ચરમસીમા છે. આ એક બિંદુમાં પ્રણયોન્માદનો મત્ત સિંધુ ભર્યો પડ્યો છે…

આખું સૉનેટ શિખરિણીમાં લખીને આખરી પંક્તિ સ્ત્રગ્ધરા છંદમાં લખીને કવિ પ્રિયાના અશ્રુની માળાને જરા અલગ તારવી આપે છે એની પણ એક મજા છે.

(પુલકમય=પુલકિત, રોમાંચિત, દોલ=હિંચકો, સ્વરપરશથી=સ્વરના સ્પર્શથી)

Comments

તડકો – નિરંજન ભગત

તગતગતો આ તડકો,
ચારેકોર જુઓને કેવી ચગદાઈ ગઈ છે સડકો !

કહો, ચરણ ક્યાં ચાલે? એણે એક ન રાખ્યો રસ્તો,
ઘણું હલાવા હવા મથે પણ તસુ ય તે ના ખસતો,
અહીં ધરતી પર નક્કર જાણે ધાતુ શો તસતસતો
સાવ અડીખમ પડ્યો, કશે યે જરીક તો કોઈ અડકો !

જિદ્દીજનનું મન પણ જેની પાસે લાગે હળવું,
વૈદેહીના ધનુષ્યને પણ રામ કને તો ચળવું,
ગિરિ ગોવર્ધનને યે ટચલી આંગળી ઉપર ઢળવું,
પણ આને ઓગળી દેવા કોણ મેલશે ભડકો !

– નિરંજન ભગત

 

રસ્તે ચાલતા વરાળ થઈ જવાય એવી હાલત છે……..

Comments

હરી ગયો – નિરંજન ભગત

હરિવર મુજને હરી ગયો !
મેં તો વ્હાલ કીધું ન્હોતું ને તોયે મુજને વરી ગયો !

અબુધ અંતરની હું નારી,
હું શું જાણું પ્રીતિ ?
હું શું જાણું કામણગારી
મુજ હૈયે છે ગીતિ ?
એ તો મુજ કંઠે નિજ કરથી વરમાળા રે ધરી ગયો !

સપનામાંયે જે ના દીઠું
એ જાગીને જોવું !
આ તે સુખ છે કે દુ:ખ મીઠું ?
રે હસવું કે રોવું ?
ના સમજું તોયે સ્હેવાતું એવું કંઈ એ કરી ગયો !
હરિવર મુજને હરી ગયો !

– નિરંજન ભગત

કેવું મજાનું પ્રણયગીત ! સરળ બાનીમાં કેવી મજાની કેફિયત !

Comments (4)

રાત્રિ – રોબર્ટ ફ્રોસ્ટ અનુ – નિરંજન ભગત

I have been one acquainted with the night.
I have walked out in rain—and back in rain.
I have outwalked the furthest city light.

I have looked down the saddest city lane.
I have passed by the watchman on his beat
And dropped my eyes, unwilling to explain.

I have stood still and stopped the sound of feet
When far away an interrupted cry
Came over houses from another street,

But not to call me back or say good-bye;
And further still at an unearthly height,
One luminary clock against the sky

Proclaimed the time was neither wrong nor right.
I have been one acquainted with the night.

ખબર છે મને રાત્રિની
વરસાદમાં બહાર ગયો છું – ને પાછો ફર્યો છું
શહેરના છેક છેલ્લા દીવાની પર ગયો છું હું.

શહેરની સૌથી ઉદાસ શેરીમાં નજર નાખી છે મેં.
પહેરો ભરતા ચોકીદારની પડખેથી પસાર થયો છું હું
અને ખુલાસા ટાળવા આંખો નીચી ઢાળી છે મેં.

હું શાંત ઊભો રહી ગયો છું, પગલાંનો અવાજ દબાવી દીધો છે મેં.
જયારે દૂર-દૂરથી કોઈ અચકાતો અવાજ
બાજુની શેરીમાંથી ઘરો પરથી કૂદીને આવતો હતો.

પણ મને પાછો બોલવવા કે આવજો કહેવાને નહીં.
અને એનાથીયે દૂર કોઈ ઊર્ધ્વ અ-ધર સ્થાને
આકાશમાં એક ઉજ્જવળ ઘડિયાળે

ઉદઘોષ કર્યો હતો કે કાળ ન’તો ખોટો કે ન’તો ખરો.
ખબર છે મને રાત્રિની.

– રોબર્ટ ફ્રોસ્ટ અનુ – નિરંજન ભગત

અનુવાદ સાથે સંમત થઇ શકાતું નથી. મૂળ અંગ્રેજી કાવ્ય વાંચતા કાવ્યનું હાર્દ સરળતાથી પકડાય છે. નીચે ટિપ્પણ અંગ્રેજી મૂળ કાવ્યને આધારે લખ્યું છે :-

પ્રથમ પંક્તિનો શબ્દ ‘one’ અનુવાદમાં ધ્યાનમાં લેવાયો જ નથી તેથી આખો અર્થ જ ફેરવાઈ જાય છે. કૈંક આવો શબ્દાર્થ બેસે છે – ‘ રાત્રિથી પરિચિત હોય એવો એક હું છું.’ પરંતુ આ શબ્દાર્થ મૂકતાં ભાવાર્થ બેસતો નથી. પ્રથમ છ પંક્તિઓમાં એક એકલતા, નિરાશા, કિંકર્તવ્યમૂઢતા, ઉદ્દેશ્યહીનતા અને ઉદાસીનું ભાવવિશ્વ નિર્માય છે. વરસાદી રાતે એકલા નિરુદ્દેશે ચાલવું, કોઈ સાથે આંખો ન મેળવવી, નિર્જન શહેર-ગલીઓ ઈત્યાદિ આ ભાવવિશ્વ નિર્મિત કરે છે. સાતમી પંક્તિથી ભાવ બદલાય છે – દૂર-સુદૂર થી એક ધ્વનિ કવિને અટકાવી દે છે. કવિને ઉદ્દેશતો એ સાદ નથી. આકાશનો ચન્દ્ર એક ઘડિયાળની જેમ સમયની ગતિ ઈંગિત કરતો ઉદઘોષે છે કે – કાળ કદી સાચો કે ખોટો હોતો નથી……અર્થાત આપણું અર્થઘટન જુદું જુદું હોઈ શકે છે. કાળ નિરપેક્ષ છે. પ્રથમ પંક્તિ અંતે પાછી repeat થાય છે મતલબ એનો કૈંક ચોક્કસ સૂચિતાર્થ હોવો જ જોઈએ, પણ મને એ સમજાતો નથી. રોબર્ટ ફ્રોસ્ટ એકપણ શબ્દ બિનજરૂરી ન જ લખે.

આખા કાવ્યની સુંદરતા જે ભાવવિશ્વ ઊભું કરવામાં આવ્યું છે તેમાં જે નિપુણતાથી કાવ્યનો કેન્દ્રીય વિચાર સુપેરે સમાવિષ્ટ કરી લેવામાં આવ્યો છે- વણી લેવામાં આવ્યો છે- તેમાં છે. પ્રત્યેક પંક્તિ એકબીજીની પૂરક છે.

Comments (2)

ચાલ, ફરીએ ! – નિરંજન ભગત

ચાલ, ફરીએ !
માર્ગમાં જે જે મળે તેને હૃદયનુ વ્હાલ ધરીએ !

બહારની ખુલ્લી હવા
આવે અહીં, ક્યાં લૈ જવા ?
જ્યાં પથ નવા, પંથી નવા;
એ સર્વનો સંગાથ છે તો નિત નવા કૈં તાલ કરીએ !

એકલા રહેવું પડી ?
આ સૃષ્ટિ છે ના સાંકડી !
એમાં મળી જો બે ઘડી
ચ્હાવા વિશે, ગાવા વિશે; તો આજની ના કાલ કરીએ !
ચાલ ફરીએ !

-નિરંજન ભગત

કાવ્યની સુંદરતા તેની સરળતામાં છે. જેમ જેમ કવિનું કદ વધતું જાય તેમ તેમ તેની વાણીમાં લાઘવ અને સરળતા આવતી જાય…..

Comments (9)

અગ્નિ અને હિમ – રોબર્ટ ફ્રોસ્ટ (અનુ. નિરંજન ભગત)

કોઈ કહે જગતનો લય અગ્નિથી, વળી
કોઈ કહે હિમ થકી, પણ કામનાનો
જે કૈં મને સ્વાદ મળ્યો છે એથી
લાગે જ સાચા સહુ અગ્નિ પક્ષના.
બે વાર જો જગતનો લય હોય થાવો
મેં દ્વેષ કૈં અનુભવ્યો બસ એટલો કે
કહી શકું હું હિમ પણ સમર્થ
વિનાશને કાજ, હશે જ પૂરતું.

– રોબર્ટ ફ્રોસ્ટ
(અનુ. નિરંજન ભગત)

*

કવિતા શરૂ થાય છે આનંદમાં અને પરિણમે છે ડહાપણમાં – રોબર્ટ ફ્રોસ્ટની આ ફિલસૂફી એની કવિતાઓમાં સતત નજરે ચડે છે. સરળમાં સરળ વસ્તુ પર સરળમાં સરળ ભાષામાં કવિતા કરવી અને વાતના બે છેડા સામસામે ગોઠવી વાચકને ક્રોસરોડ પર છોડી દેવો એ એની આગવી શૈલી છે જે આ કવિતા કે ‘રોડ નોટ ટેકન’ જેવી ઘણી કવિતાઓમાં નજરે ચડે છે.

2012માં વિશ્વ નાશ પામશેની વાતો કરતાં કરતાં આપણે વર્ષના અંતભાગ સુધી આવી ગયા પણ વિશ્વનો નાશ અને પ્રલય એ કદાચ વિશ્વના ઉત્પત્તિકાળથી ચાલી આવતી ચર્ચા છે. વિશ્વ ક્યાં તો આગથી અથવા બરફથી નાશ પામશે એવી વાતો ફ્રોસ્ટના સમયે ચરમસીમા પર હતી. એ વાતનો મર્મ લઈને નવ જ પંક્તિમાં ફ્રોસ્ટ કેવી મજાની કારીગરી કરે છે !

અંગ્રેજી ચર્ચામાં રસ હોય એ મિત્રો લિન્ક ૧ અને લિન્ક ૨ પર ક્લિક કરી કાવ્યાસ્વાદ માણી શકે છે.

*
Fire and Ice

Some say the world will end in fire,
Some say in ice.
From what I’ve tasted of desire
I hold with those who favor fire.
But if it had to perish twice,
I think I know enough of hate
To say that for destruction ice
Is also great
And would suffice.

-Robert Frost

Comments (6)

પથ્થર થરથર ધ્રૂજે – નિરંજન ભગત

પથ્થર થરથર ધ્રૂજે !
હાથ હરખથી જુઠ્ઠા ને જડ, પથ્થરની ત્યાં કોણ વેદના બૂઝે ?

અનાચાર આચરનારી કો અબળા પર, ભાગોળે,
એક ગામના ડાહ્યાજન સૌ ન્યાય નિરાંતે તોળે;
‘આ કુલટાને પથ્થર મારી, મારી નાખો !’ એમ કિલોલે કૂજે !

એક આદમી સાવ ઓલિયો વહી રહ્યો’તો વાટે,
સુણી ચુકાદો ચમક્યો, થંભ્યો, ઉરના કોઈ ઉચાટે;
હાથ અને પથ્થર બંનેને જોઈ એનું દિલ દયાથી દૂઝે !

આ દુનિયાના શાણાઓ ના દુનિયાદારી જાણે,
ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યો ટેવ પ્રમાણે :
‘ જેણે પાપ કર્યું ના એકે
તે પથ્થર પહેલો ફેંકે !’
એકે એકે અલોપ પેલા સજ્જન, જ્યારે શું કરવું ના સૂઝે !
અબળા રહી ને રહ્યો ઓલિયો, એનું કવિજન ગીત હજીયે ગુંજે !

– નિરંજન ભગત

સાવ જાણીતી કથાને કવિએ આપેલું સુંદર કાવ્ય-સ્વરૂપ… આ ગીત વાંચીને મને તો રાજેશ ખન્નાની ‘રોટી’ ફિલ્મનું આ ગીત યાદ આવ્યું… 🙂

Comments (12)

એકલો – નિરંજન ભગત

હું એકલો છું મુજ ગેહ માંહી,
આ દેહ માંહી!
મુજ બંધ દ્વાર,
ને બહાર
ઊભો ઘન અંધકાર
કહે, ‘મને તું હ્રદયે જ ધાર!’
ઊભો વળી ચંચલ ત્યાં પ્રકાશ
કહે, ‘મને લે નિજ બાહુપાશ!’
હલત ન હાથ,
ન દ્વાર ખોલ્યું;
ને હૈયું ત્યાં તો સહસા જ બોલ્યું:
‘ના, સ્નેહસંધિ
આવો રચીને ઉભયે જ, સાથ!
ને ત્યાં લગી રહ્યાં છો પ્રવેશબંધી

મુજ ગેહ માંહી!’
હું એકલો છું મુજ દેહ માંહી!

– નિરંજન ભગત

પ્રકાશ કે અંધકાર બન્નેમાંથી કોઈને પણ એકલા સ્વીકારવાની કવિની તૈયારી નથી. બન્ને સાથે મળીને આવે તો જ વાત બને. અને જુઓ, જે નિર્ણય મન કરી શક્યું નહીં, એ હ્રદય એક જ ક્ષણમાં કરી લે છે.

Comments (13)

મિલન – નિરંજન ભગત

વર્ષોથી આપણે ન મળ્યા, ન કશું કર્યું,
વર્ષોથી આપણે તો માત્ર મૌન જ ધર્યું.
મળ્યાં ત્યારે કેવું મળ્યાં,
વચ્ચે કાળ જાણે થંભ્યો હોય એવું મળ્યાં.
બોલ્યાં ત્યારે કેવું બોલ્યાં,
ક્ષણેકમાં પરસ્પરનાં હ્રદય ખોલ્યાં,
વિરહમાં કેટલું સુખ હોય તે આજે માણ્યું,
મૌન કેવું મુખર હોય તે આજે જાણ્યું.

– નિરંજન ભગત

મિલનની ઘડીની અદભૂત શબ્દ-છબિ !

Comments (3)

યાદગાર ગીતો :૧૪: આપણો ઘડીક સંગ – નિરંજન ભગત

કાળની કેડીએ ઘડીક સંગ
          રે ભાઈ, આપણો ઘડીક સંગ;
આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ !

ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલનવેળા,
વાટમાં વચ્ચે એક દી નકી આવશે વિદાયવેળા,
તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા !
હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ ! 

પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નેનની ઝારી,
કંટકપથે સ્મિતવેરીને મ્હોરશું ફૂલની ક્યારી,
એકબીજાને જીતશું, રે ભાઈ, જાતને જાશું હારી !
ક્યાંય ના માય રે આટલો આજ તો ઉરને થાય ઉમંગ !

– નિરંજન ભગત

(જન્મ:૧૮-૫-૧૯૨૬)

સંગીત : આશિત દેસાઈ
સ્વર : આશિત દેસાઈ -હેમા દેસાઈ

[audio:http://tahuko.com/gaagar/layastaro/aapano ghadik sang-niranjan%20bhagat.mp3]

નિરંજન નરહરિલાલ ભગત.  સાહિત્યનો ચલતો ફરતો ખજાનો છે. આપણા મોટા ગજાના કવિઓમાં નિરંજન પહેલા એવા કવિ જે ગામડાને બદલે શહેરમાં ઉછરેલા. ગુજરાતી કવિતા એ રીતે એક બીંબામાંથી છૂટી. ‘છંદોલય’માં એ કવિતાને એવા ઊંચા સ્તરે લઈ ગયા કે પછી પાછળથી નિરંજન ભગત પોતે પણ એને પહોંચી શક્યા નહીં. વિશ્વસાહિત્યના ઉત્તમ અભ્યાસીઓમાંથી એક. એમના વિવેચન લેખો અને પ્રવચનો આપણી મોંઘેરી મૂડી છે. (કાવ્યસંગ્રહો: છંદોલય, પ્રવાલદ્વિપ, કિન્નરી, 33 કાવ્યો )

આ ટૂંકા જીવનને પ્રિયજનના સંગમાં માણી લેવાની વાત નિરંજન ભગત બહુ ઉત્તમ રીતે કરે છે. દરેક સંબંધમાં ઉતરાવ ચડાવ તો આવે જ છે. એવા વખતે કવિ કહે છે – હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ ! ને છેલ્લે ગુજરાતી કવિતાની અવિસ્મરણીય પંક્તિઓમાંથી એક આવે છે – એકબીજાને જીતશું, રે ભાઈ,જાતને જાશું હારી ! આ ગીત હંમેશા મનને સંતોષ અને આનંદ આપી જાય છે.

Comments (6)

ઝૂમાં – નિરંજન ભગત

(સિંહને જોઈને)

એ છલંગ,
એ જ ન્હોર
નેત્રમાંય એ જ તેજ, એ જ તોર
એ ઝનૂન
એ જ તીક્ષ્ણ દંત છે ચહંત એ જ ખૂન,
પૌરુષે પ્રપૂર્ણ એ જ રોમ રોમ,
રે, પરંતુ ચોગમે નથી વિશાળ વન્યભોમ.
પિંજરે પૂરી તને જણાવશું
સમાજની કળા બધીય, સભ્યતા ભણાવશું,
અને બધાય માનવી અમે થશું
તને જ જોઈ જોઈ સભ્યતા થકી પશુ.

– નિરંજન ભગત

એક નાની અમથી ઘટના. ઝૂમાં પાંજરે પૂરાયેલો સિંહ. આ ઘટનામાંથી આપણામાંથી કોણ પસાર નહીં થયું હોય? પણ કવિ એ જે સામાન્યને અસામાન્ય કરી દે. કવિતા એ જે જીવનમાંથી જન્મે પણ જીવનને જીવવા જેવું બનાવે. માણસ સિંહને પાંજરે પૂરી સભ્યતા ભણાવે છે કે પછી પાંજરે પૂરેલા સિંહને જોઈ જોઈને ખુદ જનાવર થતો જાય છે? કવિતામાં કવિએ ગુલબંકી છંદનો એટલો બખૂબી પ્રયોગ કર્યો છે કે સિંહની ગતિ, એનું જોમ અને એનો જોરાવર જુસ્સો મોટેથી કાવ્યપઠન કરતાં હોઈએ તો સહજ અનુભવાય. ગાલગાલગાલગાલની ચાલમાં ચાલતો આ છંદ કવિતાને કેવો ઉપકૃત નીવડ્યો છે !

Comments (8)

ક્ષણ હસવું, ક્ષણ રડવું – નિરંજન ભગત

ક્ષણ હસવું,  ક્ષણ રડવું;
પૃથ્વી વિણ ક્યાં જડવું ?

સ્વર્ગમહીં નહીં, અહીં સુખદુ:ખે
જનમ જનમ રે જીવું;
પાય જગત જે, હસતે મુખે
સકલ હોંસથી પીવું,
કંઈ મીઠું, કંઈ કડવું !

સ્વર્ગંગાને ક્યાંય નથી રે
જમુનાનો જળઘાટ,
નન્દનવનની માંહ્ય નથી રે
મથુરાપુરની વાટ;
વ્રજ વિણ રે સૌ અડવું !

– નિરંજન ભગત

‘સ્વર્ગ’ શોધવા કરતા કવિને પોતાનું ‘વ્રજ’ જ વહાલું છે. દરેક માણસ માટે પોતાનું ‘વ્રજ’ પોતાની અંદર જ હોય છે – એને જાણી, માણી અને ઉજવી લેવું. જે સહજ છે એને સનાતન ચાહવું.

Comments (5)

આવ, સખી, આવ – નિરંજન ભગત

આવ, સખી, આવ,
          વહી જશું ધીરે ધીરે,
મિલનની નાવ, 
          વિરહને તીરે તીરે !

હો વેળુથી વેરાન બેઉ તટે
          વૈશાખની અગનછટા,
વા પૂરથી પાગલ જલપટે
          આષાઢની સઘન ઘટા;

ધૂપ હો વા છાંવ,
          સહી જશું નત શિરે;
મિલનની નાવ
          વહી જશું ધીરે ધીરે !

– નિરંજન ભગત

સ્નિગ્ધ-સૂર, મોહક ગીત… મનની તૃપ્તિ ! 

Comments (3)

વર્ષાકાવ્ય : ૩ : આજ અષાઢ આયો – નિરંજન ભગત

                રે આજ અષાઢ આયો,
મેં નેણના નીરમાં મનનો તે માઢ ગાયો !

દૂર દખ્ખણ મીટ માંડીને
                     મોરલે નાખી ટહેલ,
વાદળી સાગરસેજ છાંડીને 
                     વરસી હેતની હેલ;
એમાં મન ભરીને મતવાલો મોર ન્હાયો !

                      મેઘવીણાને કોમલ તારે 
                                           મેલ્યાં વીજલ નૂર,
                      મેહુલાએ ત્યાં જલની ધારે 
                                           રેલ્યા મલ્હારસૂર; 
                      એથી ધરતીને અંગ રંગઉમંગ ન માયો !

જનમાં વનમાં અષાઢ મ્હાલ્યો,
                      સંસાર મ્હાલ્યો સંગ,
અલકાથી હું દૂર, તે સાલ્યો 
                      મને ન લાગ્યો રંગ;
એ તો સૌને ભાયો ને શીતલ છાંય શો છાયો !

                      આપણે રે પ્રિય, સામસામે તીર,
                                           ક્યારે ય નહીં મિલાપ;
                      ગાશે જીવનજમુનાનાં નીર 
                                           વિરહનો જ વિલાપ ? 
                      રે આયો અષાઢ ને વાયરે તોયે વૈશાખ વાયો !

                બિરહમાં બાઢ લાયો !
                રે આજ અષાઢ આયો !

-નિરંજન ભગત

કુદરત વ્યસ્ત અને માનવ હૈયું ત્રસ્ત. વર્ષાનો (કે વર્ષાગીતોનો!) આ જ નિયમ છે !

Comments (5)

કાવ્યો – નિરંજન ભગત

સૌંદર્યની સાપણ ક્યાંથી ડસે,
વ્યાપી જતું ઝેર તરત નસેનસે;
નીલાં ત્વચામાં ફૂટતાં ચકામાં,
કાવ્યો કહ્યાં જે જનવાયકામાં.

– નિરંજન ભગત

કાવ્યના જન્મની મિમાંસા ચાર લીટીમાં ! આમ તો ઉમાશંકરે પણ કહ્યું જ છે – સૌંદર્યો પી, ઉરઝરણ પછી ગાશે આપમેળે !

Comments (6)

ન ફૂલ ને – નિરંજન ભગત

ન ફૂલ ને ફોરમ તોય ફોરતી,
વ્હેતી હવામાં હળુ ચિત્ર દોરતી.

અવ સુ-વર્ણ બધી જ ક્ષણેક્ષણ,
દિશેદિશે પ્રસર્યું અહીં જે રણ
ત્યાં વેળુમાંયે મૃદુ શિલ્પ કોરતી.

મધુર આ ઉરમાં પ્રગટી વ્યથા,
ક્ષણિકમાં ચિરની રચતી કથા,
સૌંદર્યની સૌ સ્મૃતિ આમ મોરતી.

– નિરંજન ભગત

કવિનું નામ ન લખ્યું હોય તો ય તરત જ પારખી શકાય કે નિ.ભ.નું ગીત છે. સરળ શબ્દોમાં રમ્ય છબી આંકી આપવાનું કૌવત જે એમના ગીતોમાં જોવા મળે છે તે બીજે ક્યારેક જ દેખાય છે. નાની સરખી અનુભૂતિ (નજીકમાં કોઈ ફૂલ નથી તોય ફોરમ આવે છે) ને લઈને સૃષ્ટિભરના સૌંદર્યને યાદ કરી લેવાનું કાવતરું એક કવિ જ કરી શકે !

Comments (6)

એક ઘડી – નિરંજન ભગત

પરિપૂર્ણ  પ્રણયની  એક  ઘડી, 
                જાણે મધુર ગીતની ધ્રુપદ કડી.

એના  સહજ  સરલ  સૌ  પ્રાસ,
જાણે      જમુનાતટનો   રાસ;
એનો    અનંતને   પટ   વાસ,
                અણજાણ વિના આયાસ જડી.

એનો   એક   જ   અંતરભાવ,
બસ   ‘તુહિ, તુહિ’નો    લ્હાવ,
એ  તો રટણ રટે : પ્રિય આવ,
                આવ, આવ અંતરા જેમ ચડી !

 – નિરંજન ભગત

છંદ અને લય પર સંપૂર્ણ હથોટીની સાબિતિ જેવી રચના. સરળ માળખામાં સામાન્ય શબ્દોની પૂર્તિ કરી એને એક અસામાન્ય રચના કેવી રીતે બનાવાય એનું સરસ ઉદાહરણ. આ ગીત એક વાર હોઠ પર ચડે પછી ઉતારવું મુશ્કેલ બને.

Comments (2)

દિન થાય અસ્ત – નિરંજન ભગત

દિન થાય અસ્ત
વિદાયની આ ક્ષણ મૌનગ્રસ્ત.

કરુણ નેત્ર નમે, ઢળતી રતિ;
મલિન કાંતિ મુખે ગળતી જતી,
શિથિલ છેવટે આ રવિની ગતિ,
છૂટી જતો અવ પ્રિયા થકી સ્પર્શ, હસ્ત.

કુસુમની કલિ ધૂલિ વિશે ખરી,
વિહગ મૂક, ગંભીર હવા સરી,
ક્ષિતિજ સૌ સૂનકાર થકી ભરી,
સંસાર આ તિમિતમાં તરતો સમસ્ત.

– નિરંજન ભગત

આ ગીત વિદાયની ક્ષણનું ચિત્ર માત્ર છે. ગીત ભલે મનને ઘડીભર ઉદાસ કરી દે એવું છે, છતાં એના છંદના જોરથી એ તમને ફરી ફરીને બોલાવે છે. ધ્રુવપંક્તિ એટલી સબળ છે કે મમળાવ્યા કરવાનું મન થાય છે. નિરંજન ભગતના આવા જ બીજા એક ગીતની ધ્રુવપંક્તિઓ પણ અહીં યાદ આવી જાય છે.

નહીં અશ્રુ, નહીં હાસ મુજ ઉર એવું ઉદાસ!
નહીં ત્રુપ્તિ, નહીં પ્યાસ, મુજ ઉર એવું ઉદાસ!

(આસ્વાદ: ધવલ)

* * *

સંસ્કૃત વૃત્તોમાં લખાયાં હોય એવાં ગુજરાતી ગીત બહુ જૂજ જોવા મળે છે. આ રચના એનું એક મજાનું ઉદાહરણ છે. કવિએ એકાધિક વૃત્ત સંયોજ્યા છે. પહેલી બે પંક્તિમાં કવિએ અનુક્રમે ખંડ ઉપેન્દ્રવજ્રા અને ઉપેન્દ્રવજ્રા છંદ પ્રયોજ્યો છે. ગીતના બંને મુખડા દ્રુતવિલંબિત છંદમાં છે. (છેવટેમાં ‘ટે’ અને ગંભીરમાં ‘ગં’ કવિએ લઘુ લીધા છે એ છૂટ/છંદદોષ ગણાય) તથા બંને પૂરકપંક્તિ વસંતતિલકા છંદમાં છે.
(વિવેક)

Comments (1)

આપણો ઘડીક સંગ – નિરંજન ભગત

કાળની કેડીએ ઘડીક સંગ
રે ભાઈ, આપણો ઘડીક સંગ;
આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ !

ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલનવેળા,
વાટમાં વચ્ચે એક દી નકી આવશે વિદાયવેળા!
તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા !
હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ !

પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નેનની ઝારી,
કંટકપથે સ્મિતવેરીને મ્હોરશું ફૂલની ક્યારી;
એકબીજાને જીતશું, રે ભાઈ,જાતને જાશું હારી !
ક્યાંય ના માય રે આટલો આજ તો ઉરને થાય ઉમંગ !

– નિરંજન ભગત

આ ટૂંકા જીવનને પ્રિયજનના સંગમાં માણી લેવાની વાત નિરંજન ભગત બહુ ઉત્તમ રીતે કરે છે. દરેક સંબંધમાં ઉતરાવ ચડાવ તો આવે જ છે. એવા વખતે કવિ કહે છે – હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ ! ને છેલ્લે ગુજરાતી કવિતાની અવિસ્મરણીય પંક્તિઓમાંથી એક આવે છે – એકબીજાને જીતશું, રે ભાઈ,જાતને જાશું હારી ! આ ગીત હંમેશા મનને સંતોષ અને આનંદ આપી જાય છે.

Comments (5)

હાથ મેળવીએ – નિરંજન ભગત

લાવો તમારો હાથ, મેળવીએ
( કહું છું હાથ લંબાવી ) !
કહો શું મેળવી લેવું હશે મારે ? તમારા હાથમાં તો કેટલુંયે –
ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે…
શું શું નથી હોતું તમારા હાથમાં ?
મારે કશાનું કામ ના,
ખાલી તમારો હાથ…
ખાલી તમારો હાથ ?
ના, ના, આપણા આ બેય ખાલી હાથમાંયે કેટલું છે !
આપણા આ હાથમાં ઉષ્મા અને થડકો –
અરે, એના વડે આવો, પરસ્પરના હૃદયનો ભાવ ભેળવીએ,
અને બિનઆવડત સારું-નઠારું કેટલુંયે કામ કરતા
આપણા આ હાથ કેળવીએ !
અજાણ્યા છો ? ભલે !
તોયે જુઓ, આ હાથ લંબાવી કહું –
લાવો, તમારો હાથ, મેળવીએ !

-નિરંજન ભગત

શાળામાં આ કાવ્ય ભણતા હતા ત્યારે એનો અર્થ જેટલો વિશાળ ભાસતો હતો એનાથી હવે કદાચ અનેકઘણો વિશાળ લાગે છે. વિશ્વ વધુ ને વધુ સાંકડું થતું જાય છે ત્યારે આ કવિતાથી વધુ પ્રાસંગિક શું હોઈ શકે? પ્રથમ નજરે અછાંદસ ભાસતું આ કાવ્ય વળી છંદોબદ્ધ પણ છે…

Comments (3)

ઘર – નિરંજન ભગત

ઘર તમે કોને કહો છો?
જ્યાં ટપાલી પત્ર લાવે,
શોધતા વણશોધતા મિત્રો અને મહેમાન જ્યાં આવી ચડે,
ક્યારેક તો આવે પડે,
જેનું બધાને ઠામઠેકાણું તમે આપી શકો
તેને તમે શું ઘર કહો છો?
તો પછી જ્યાં જ્યાં તમે પગથી ઉતારીને પગરખાં,
ભાર-ટોપીનોય-માથેથી ઊતારીને,
અને આ હાથ બે પ્હોળા કરીને ‘હાશ’ ક્હો;
જ્યાં સર્વનાં મુખ જોઈ તમને સ્હેજમાં મલકી ઊઠે
ત્યાં ત્યાં બધે ક્હો તમારું ઘર નથી?
તે ઘર તમે કોને કહો છો?

-નિરંજન ભગત

આ કવિતા અમારે ભણવામા આવતી. કવિને મતે ખરું ઘર ક્યું છે? – એવા પ્રશ્ન પરીક્ષામાં આવતા ! આજે ઘણા વર્ષે અચાનક આ કાવ્ય હાથમાં આવ્યું છે ત્યારે -જીવનના વીસ વધુ વર્ષના અજવાળામાં આ કાવ્ય વાચું છું- તો સમજાય છે કે ભગતસાહેબે કેટલી મોટી વાત કરી છે. ઘર હોવું અને ‘ઘર’ હોવું એ વાતમાં ફરક છે. અને જ્યાં મન મળે એ બધી જગાએ ખરે તો ઘર જ છે. બંને વાતને કવિએ બખૂબી અહીં સમાવી લીધી છે.

Comments

ફરવા આવ્યો છું -નીરંજન ભગત

હું તો બસ ફરવા આવ્યો છું!
હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું?
અહીં પથ પર શી મધુર હવા
ને ચહેરા ચમકે નવા નવા !
-રે ચહું ન પાછો ઘેર જવા !
હું ડગ સાત સુખે ભરવા અહીં સ્વપ્નમહીં સરવા આવ્યો છું!

જાદુ એવો જાય જડી
કે ચાહી શકું બેચાર ઘડી
ને ગાઈ શકું બેચાર કડી
તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું!

હું તો બસ ફરવા આવ્યો છું!
-નીરંજન ભગત

Comments (3)

મુજ ઉર એવું ઉદાસ! -નીરંજન ભગત

નહીં અશ્રુ, નહીં હાસ
મુજ ઉર એવું ઉદાસ!

નહીં ત્રુપ્તિ, નહીં પ્યાસ,
મુજ ઉર એવું ઉદાસ!

-નીરંજન ભગત

Comments (1)