ચામડીમાં વણાઈ એકલતા
હોય ચાદર તો એને ખંખેરું
નયન દેસાઈ

કોને કહું? – નિરંજન ભગત

કોને કહું? છું એકલો!
રૂપની રંગત બધી જોઈ રહું છું એકલો!

લાલી ઉષાના ઉરથી
ઊઘડે અને લાજી રહું,
સધ્યા તણા સિંદૂરથી
હું આંખડી આંજી રહું;
સ્નેહની આ સ્વપ્નલીલા હું લહું છું એકલો!

રુદ્રનું લેાચન દહે
કયારેક તો મધ્યાહ્નમાં,
મુગ્ધ મારું મન રહે
ત્યારે રતિના ગાનમાં;
આભ જેવા આભનો રે ભાર વહું છું એકલો!
કોને કહું છું એકલો?

– નિરંજન ભગત

કવિતા એટલે એકલતાનું મહાગાન. સંસારના અડાબીડ વન વચ્ચે કવિ જાત સાથે અનુસંધાન સાધી લે ત્યારે કવિતાનું અવતરણ થાય છે. કવિતા ભલે સ્વથી સર્વ સુધીની યાત્રા કહેવાતી હોય, પણ એનું સર્જન ત્યારે જ થાય છે જ્યારે કવિ સર્વથી સ્વ તરફ વળે. આંખની સામે કુદરતનો અફાટ રૂપસાગર પથરાયેલો છે પણ એને માણનાર કવિ એકલા જ છે. ‘કોને કહું?’નું મનુષ્યસહજ એકલગાન પણ પ્રકૃતિનું એકલપાન કરતી વેળાએ કવિ કરે છે. સવારે આકાશમાં લાલી પથરાય ત્યારે કવિ શરમના શેરડા અનુભવે છે, તો વળી સાંજના સિંદૂરિયા રંગથી એ આંખો ભરી લે છે. પ્રકૃતિની રૂપરંગતની આ સ્નેહલીલા માણવાનો સંસાર પાસે સમય નથી. કવિ એકલા હાથે આ લહાવો લૂંટી રહ્યા છે. ઉષા અને સંધ્યાના મુકાબલે બપોરનો તાપ સહેવો જો કે આકરો છે, એટલે એ સમય કવિ રતિગાનમાં વ્યતીત કરે છે. કવિ પ્રકૃતિ સાથે એવી ને એટલી આત્મીયતા અનુભવે છે કે ‘સારી દુનિયા કા બોજ હમ ઉઠાતે હૈં’ જેવો વિચાર પણ મનમાં આવ્યા વિના રહેતો નથી. કાવ્યાંતે કવિ પહેલી પંક્તિનું જ પુનરાવર્તન કરે છે પરંતુ પ્રશ્નાર્થચિહ્નનું સ્થાન બદલીને. પ્રશ્નચિહ્નનું સ્થાન બદલાઈ જવાથી બે વાક્ય બે મટીને એક તો થઈ જાય છે પરંતુ અર્થ સુદ્ધાં આખેઆખો બદલાઈ જાય છે. કાવ્યારંભે દ્વિધા એ હતી કે પોતે એકલા છે એ વાત કોને કહેવી. કાવ્યાંતે દ્વિધા અલગ છે: હવે સવાલ એ છે કે પોતે એકલા એકલા આ વાત કોને કહી રહ્યા છે. જે દુનિયા પ્રકૃતિરસનું અમૃતપાન કરવામાં સાથે ન જોડાઈ, એની આગળ એનો મહિમા ગાવાથી શો ફાયદો?

ગુજરાતી ગીતોને ષટકલ અને અષ્ટકલનો લય માફક આવી ગયો છે, પણ પ્રસ્તુત રચના સપ્તકલમાં છે. અને સપ્તકલનો લય એટલો મજબૂત થયો છે કે ગીત વાંચવું તો સંભવ જ નથી, એને ગણગણ્યે જ છૂટકો.

6 Comments »

  1. kishor Barot said,

    September 2, 2023 @ 10:59 AM

    બહુ ઉમદા ગીત. 👌

  2. Bharati gada said,

    September 2, 2023 @ 11:14 AM

    વાહ ખૂબ સુંદર મજાનું ગીત 👌👌

  3. Lata Hirani said,

    September 2, 2023 @ 11:55 AM

    લય તો કાવ્યની અદભૂત લીલા છે….

  4. Bhavana Desai said,

    September 2, 2023 @ 12:32 PM

    Very nice poetry.

  5. Pragnaju said,

    September 3, 2023 @ 6:19 PM

    કવિશ્રી નિરંજન ભગત નુ સપ્તકલ લય મા મધુરુ ગીત
    ડૉ વિવેકનો સ રસ આસ્વાદ
    કોને કહું છું એકલો?
    જ્યારે કોઇ પોતે એકલો કહે તો ભગવાનને ખોટું લાગે છે

  6. Poonam said,

    September 26, 2023 @ 11:19 AM

    કોને કહું છું ( ?) એકલો? Saras !
    – નિરંજન ભગત –

    Aasawad swadhisht sir ji 👌🏻

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment