હથેળીમાં લખાયેલી મરણની ઘાત ખોટી છે,
છે તારો હાથ એ સાચું, બીજી સૌ વાત ખોટી છે.
વિવેક મનહર ટેલર
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
May 10, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગીત, રાહુલ તુરી
અન હાય, તમારી જણનારીની ગાંઠે બાંધ્યા ગરથ, અમોને આમ અચાનક અધવચ મૂકી, સઘળું લૂંટી, નેહ અમારો તરછોડીને ચાલ્યા ક્યાં પરબારા?
અન હાય, અમારા અંગ ઉપરના સોળ હતા શણગાર તમે તો, આજ અમારા દેહ ઉપરના ખાલીપાને ક્યાં જઈને હું ખાળું? આપો અર્થહીણ હુંકારા..
અન હાય, અમારા અડવા હાથોની રેખામાં ‘તમે હતાં’ની કેટકેટલી જણસ ભૂંસાણી, અભાગણી હું! કેમ કરીને મનખો મારો એકલપંડે કાઢું?
અન હાય, અમારી છાતી છૂંદ્યા કોડ અમારા, કૈંક અભરખા, કૈંક અબળખા, બધું તમારી સાથ ગયું ને વધી અમારી આવરદાને કેમ કરી હું વાઢું?
અન હાય, તમારા પડછાયાનો પગરવ મારા અંતરના ઉંબરને ઠેકી ગયો અચાનક દોટ લગાવી, નજર અમારી ફળિયું ફેંદી રહી ક્યાંક ખોડાઈ…..
અન હાય, અમારી અઢળક આખી જાત ઉપર આ ‘તમે હતા’નું સુખ હતું ને ‘તમે હતા’ની હતી દીવાલો, મબલખ મારું રજવાડું આ આજ ગયું રોળાઈ…..
અન હાય,તમારી…….
– રાહુલ તુરી ‘ઝીલ’
સારો કવિ એ જે કવિતાને ઉપકારક નીવડે એ રીતે કાવ્યસ્વરૂપને ખપમાં લઈ જાણે. અન્ય કાવ્યોથી વિપરિત કાવ્યસ્વરૂપ તરીકે ગીત કવિને અસીમ આઝાદી આપે છે. પ્રસ્તુત ગીતમાં કવિએ ગીતસ્વરૂપ તરફથી સાંપડતી સ્વતંત્રતા અને શક્યતાઓને કેવી સ-રસ રીતે નાણી છે એ જોવા જેવું છે. ઘરનો, જીવનનો મોભી ભરયુવાનીમાં સ્ત્રીને ભવાટવિમાં એકલી છોડીને મોટા ગામતરે જવા નીકળી જાય એ પછી અંતરમાંથી ઊઠતી ચીસનું આ ગીત છે. અકાળે વૈધવ્ય જેના માથે આવી પડ્યું છે, એનો આર્તનાદ, એનો વિલાપ કંઈ નાનોસૂનો હોય! ગીતકાવ્યમાં સામાન્યરીતે જોવા મળતી પંક્તિલંબાઈથી દોઢ-પોણા બે ગણી વધુ લંબાઈની પંક્તિ નાયિકાની પીડાને વાચા આપવામાંવધુ સહાયક થઈ હોય એવું નથી અનુભવાતું? ગીતના શબ્દોની સાથોસાથ પંક્તિલંબાઈ પણ નાયિકાના મનોભાવનેઉજાગરા કરવામાં મદદરૂપ થઈ છે…
Permalink
May 9, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, નયન દેસાઈ
ચાર ફૂટ ને પાંચ ઈંચનો આ નયન,
દૃશ્યની ઉઘાડ-મીંચનો આ નયન.
કૈંક કહેવું છે ને કૈં કહેતો નથી,
કે ગળાની ખીચખીંચનો આ નયન.
રિક્ત ખોબામાં લઈ તડકા ફરે
પનઘટે પાણીની સીંચનો આ નયન.
ઠોકરોમાં માપતો રસ્તા હવે
બાળપણ ઝૂલાની હીંચનો આ નયન.
ગૂમ ટ્રાફિકની ચીસોમાં થઈ ગયો,
મૂળમાં ચકલીની ચીંચનો આ નયન.
– નયન હ. દેસાઈ
એક અદભુત કવિ નામે નયન દેસાઈ… ગુજરાતી કવિતાને તો એણે હૈયું ફાડીને લાડ કર્યાં જ છે, પોતાના નામનેય ઓછું નથી રમાડ્યું… ‘નયન દેસાઈ એસ.એસ.સી.’, ‘ચાલ નયન. એક ચા મંગાવ.’ ‘C/o નયન દેસાઈ’ વગેરે રચનાઓ અને એક અહીં પેશ કરી છે એય… નામની રદીફ તો ખરી જ, પણ સાથોસાથ પોતાની ઓછી ઊંચાઈને પણ શેરનો વિષય બનાવી કવિ નવી ઊંચાઈઓ સર કરે છે. પાંચેય શેર ખૂબ જ મજાના થયા છે…
Permalink
May 8, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગીત, વિનોદ જોશી
ખુલ્લી પાંખે પિંજરમાં ને બાંધી પાંખે બ્હાર,
અમે જીવતાં લઈને એવાં પંખીનો અવતાર!
હિલ્લોળાતી હવા હોય કે હવડ શ્વાસની ઢગલી
નિરખીને આકાશ માંડતાં, માંડ માંડ બે પગલી
વાદળ સાથે નથી અમારે વાતોનો વહેવાર!
અડખેપડખે જોઈ જોઈ અદ્દલ સોનાના સળિયા
ચણતાં રહીએ અમે અમારાં વેરાતાં ઝળઝળિયાં
પડછાયાનો એક જ અમને અધકચરો આધાર!
જીવતર લાગે ઊડવાની ઇચ્છાનો પડતર માળો
પાંખો ને પગનો સમજણમાં નથી થતો સરવાળો
રોજ વેઠતાં અવાવરુ ઉજ્જડ ટહુકાના ભાર!
– વિનોદ જોશી
આજના મનુષ્યોના જીવનની વિડંબનાનું ગાન. કેદમાં હોય ત્યારે ખુલ્લી હોય અને પિંજરની બહાર હોય ત્યારે બંધાયેલી હોય એવી પાંખોનો કોઈ અર્થ ખરો? પંખી તો પ્રતિક છે, પણ આપણામાંથી કેટલા બધા લોકો આ પ્રકારની દોગલી આઝાદી કે ચાતુર્યપૂર્ણ કેદના શિકાર હશે એ આપણે જાણીએ જ છીએ. ખાસ કરીને સ્ત્રીઓ… આજે પણ આપણા સમાજમાં મોટાભાગના પતિ’દેવ’ પત્નીને નામની આઝાદી આપીને પોતે નિયત કરેલ લક્ષ્મણરેખાની અંદર બાંધી રાખે છે… પાંખને પાંખપણું જ હાંસિલ ન હોય એવી કહેવાપૂરતી સ્વતંત્રતાનોનો શો અર્થ! પિંજરબહાર સરસ મજાની હવા હિલ્લોળે ચડી હોય અને પિંજરમાં બહાર નીકળી ન શકતા શ્વાસોની હવડ ઢગલી મોટી થયે રાખતી હોય –બારીમાંથી દેખાતા આકાશને કામવાની ઇચ્છા તો હોય પણ પિંજરામાં બે ડગલા ભરવા જેટલો અવકાશ પણ માંડ નસીબ થયો હોય એ બંદી પંખી વાદળ સાથે કઈ રીતે ગોઠડી માંડી શકે? સોનાની કેમ ન હોય, જેલ તો જેલ જ ને! પોતાનાં જ આંસુ પી-પીને જીવતા પંખીને એકમાત્ર આધાર એના પડછાયાનો છે પણ એય અધકચરો છે. અધકચરો કેમ? તો કે બે રીતે. એક, જીવતરના જેલખાનામાં પંખીનો એકમેવ સાથીદાર કેવળ પડછાયો છે, જે પોતે પ્રકાશનો મહોતાજ છે. અને બીજું, પંખીના અસ્તિત્ત્વનો આ એકમાત્ર હિસ્સો છે, જે પિંજરાની બહાર રેલાવા-ફેલાવા માટે સ્વતંત્ર છે… સળિયાવાળી પંક્તિને સાદું વિધાન ગણી લઈએ તો ઝળઝળિયાં એના પર ચડાવેલ વળ બરાબર છે, અને પડછાયાવાળી પંક્તિ આખી વાતનું કાવ્યશૃંગ છે. સરવાળે, આખું ગીત આસ્વાદ્ય છે..
Permalink
May 3, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, શબનમ ખોજા

કેમ થ્યું’તું પ્રેમનગરીનું પતન?
આવ તું જાતે કરી જો ઉત્ખનન.
જો મળે તારી અને મારી નજર,
આંખથી અત્તર ઝરે, મહેકે બદન
હસ્તરેખા ભૂંસી નાંખી મેં પ્રથમ,
એ પછી ચીતરી શકાયું છે મિલન.
સાવ ખાલી થઈ જવું થઈને શબદ,
ને પછી ભૂલી જવું સઘળું કવન.
જેટલી અઘરી જુદાઈ આપણી,
એટલું જબરું થવાનું છે મિલન.
દીવડાની આત્મશ્રદ્ધા જોઈને
સૂર્ય છે ચિંતિત ને મૂંઝાયો પવન
– શબનમ ખોજા
લયસ્તરો પર કવયિત્રીના ગઝલસંગ્રહ “તસ્બીહના બે પારા વચ્ચે”નું સાદર સ્વાગત…
સરળ બાનીમાં લખી હોવા છતાં પહેલા પઠને જ સીધા હૃદયને સ્પર્શી જાય એવા સરસ મજાના શેરમઢી ગઝલ આજે આસ્વાદીએ…
Permalink
May 2, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગીત, નીતિન વડગામા
તડકાનાં કૈં તીર વછૂટે.
કૂવા, નદીયું ને સરવરનાં તળિયાં તૂટે!
મૂળિયામાંથી ઉખડી ટાઢક.
પાનવછોયાં ઝાડ ઊભાં છે સાવ અવાચક!
સળગે છે સૂનાં આંગણિયાં.
વાંભવાંભ ઊછળતા રહેતા લૂના દરિયા!
સૂરજનો અસવાર નીકળે.
પરસેવાથી રેબઝેબ પડછાયા પીગળે!
રોજ હવે તો ઢળતી સાંજે,
ફળિયું, ખીલા, ગમાણ રોમેરોમ કરાંજે!
– નીતિન વડગામા
ગીતની ખરી મજા એ છે કે ગઝલ-સૉનેટની માફક પૂર્વનિશ્ચિત બંધારણમાં જકડાઈ રહેવાના બદલે હૃદયોર્મિ જે રીતે વહેતી હોય, અદ્દલોદ્દલ એ જ રીતે વહેવાને એ આઝાદ છે… લયસ્તરો પર આજે એક મજાનું ગીત જોઈએ. અહીં કોઈ મુખડું નથી ને નથી કોઈ પૂરકપંક્તિ. ચુસ્ત પ્રાસવાળી બબ્બે પંક્તિના પાંચ બંધ. ગીત કાવ્યસ્વરૂપ માટે આ વિધા નવી નથી, પણ અહીં જે નવું છે એ છે દરેક યુગ્મકના વિષમાવર્તન… બંને પંક્તિમાં આવર્તનસંખ્યા અલગ હોવાના કારણે લયની જે ભાત અહીં સર્જાય છે, એ મનમોહક થઈ છે…
તાપ વધુને વધુ આકરો થઈ રહ્યો છે. બપોરે ક્યાંક જવાની ફરજ પડે તો એમ જ લાગે જાણે તડકાનાં તીર આપણને રોમેરોમે વીંધી ન નાંખતાં હોય. જળાશયો સૂકાઈ જતાં તળિયે તિરાડો પડવા અને વિસ્તરવા લાગે છે. પર્ણવિહોણાં વૃક્ષોને પવનની અનુપસ્થિતિમાં સ્થિર – અવાચક જોઈને એમ લાગે કે જાણે કોઈએ મૂળિયામાંથી ટાઢક જ ન ઉખાડી લીધી હોય! આંગણાં સૂનાં છે પણ એમાં લૂના દરિયા ઉછાળા મારી રહ્યા છે. આંગણાઓનો ખાલીપો અને દરિયાની અસીમતા – આ બે અંત્યબિંદુઓ પરના વિરોધાભાસી રૂપકોને પરસ્પરમાં ઓગાળી દઈ કવિએ કેવો કમાલ કર્યો છે, નહીં! સાંજ સુધીમાં તો અસ્તિત્વના કણેકણ કરાંજતા થઈ જાય એવા તડકાનાં તીરોનું આ લયાન્વિત ગીત નાની-મોટી કડીઓના વિષમાવર્તનોમાં રાચતી ચુસ્ત પ્રાસાવલિના કારણે વધુ હૃદ્ય બન્યું હોય એવું નથી લાગતું?
Permalink
May 1, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગીત, હરિકૃષ્ણ પાઠક
આમ જુઓ તો ગરવી ગુણિયલ
આમ જુઓ તો ઘેલી,
ગાંધીની ગુજરાત મૂળમાં મીઠી અમરતવેલી.
અણહકનું ના ખપે કોઈ દી
હકનુંયે ના માગે;
અવર કાજ એ ઓળઘોળ
ને સ્વારથ નિજના ત્યાગે.
કોઈ કહે સાગરપેટી, કો કહેતું ગાલાવેલી.
. – ગાંધીની.
વનનાં વન પાંખાં થઈ ચાલ્યાં
ઝાંખા જળના દીવા;
મરુભોમના મૃગજળમાં
મોતી શોધે મરજીવા.
જળની રેખ સપનમાં તબકે તોયે કરતી કેલિ.
. – ગાંધીની.
દેશ અને દેશાવર ખેડે
વહે વણજ-વેપાર,
ઝીણું કાંતે પંડજોગ
ને વેરે અપરંપાર.
ભીડ પડ્યે ભડ થઈને રહેતી, લેતી આપદ ઝેલી.
. – ગાંધીની.
રંગ-રાગમાં રમતી
તોયે રૂડો સંયમ દાખે,
મીઠું બોલે મરમભર્યું
ને ભેદ કાળના ભાખે.
જૂનું થોડું જાળવતી, ને થોડી નવી-નવેલી.
. – ગાંધીની.
રાસ રચ્યા જે કૃષ્ણે
એની ઘેર હજીયે ગુંજે,
અલખધણીની અહાલેક
કંઈ હાડ મૂળમાં ઊંજે.
કોણે ચાંપી હૈયા સરસી, કોણે દૂર ધકેલી?
. – ગાંધીની.
– હરિકૃષ્ણ પાઠક
આજે પહેલી મે. ગુજરાત સ્થાપના દિવસ.
તાજેતરમાં જ અનંતની યાત્રાએ નીકળી ગયેલ કવિશ્રીની એક ગીતરચના આજે માણીએ… પ્રવાહી લય અને સહજસાધ્ય બાનીના કારણે ગીત વિશે વિશેષ ટિપ્પણી કરવાની આવશ્યક્તા નથી. પણ આજની ગુજરાતી પેઢી માટે આ ગીતમાં પ્રયોજાયેલ અનેક શબ્દ આગંતુક હશે એમ મને લાગે છે, એટલે થોડા શબ્દાર્થ મૂકવા આવશ્યક જણાય છે.
(અવર=બીજું, અન્ય; ગાલાવેલું= દાધારંગું, મૂર્ખ, ગાંડાઘેલું; મરુભોમ= રણભૂમિ; તબકવું= અંધારામાં આછો પ્રકાશ કરવું, ઝગારા મારવું; કેલિ=ક્રીડા, રમત; પંડજોગ= પોતાની જાત પૂરતું; આપદ= આપત્તિ;ઝેલી= ઝેલવું, સહન કરવું; ઘેર= ઘેરાવો, ઘેરૈયાનું ટોળું; ઊંજવું=તેલ પૂરવું)
Permalink
April 26, 2025 at 12:30 AM by વિવેક · Filed under અંજની ગીત, મનોજ ખંડેરિયા
કોઈ બપોરે ભરવા બેઠી
રેશમ-દોરે ભરવા બેઠી
મોર લીલો રે ભરવા બેઠી
. ઘરથી નવરી થઈ
પીછું ભરતાં પાંખ થરકતી
કંઠ ભર્યો ત્યાં ગ્હેક છટકતી
જોતી રહી ને આંખ ફરકતી
. ઊંડી ઊતરી ગઈ
ઊંડા કંઈ ઘારણમાં ઊંડે
વીતી નમણી ક્ષણમાં ઊંડે
જીવતરના દર્પણમાં ઊંડે
. નિજને નીરખી રહી
– મનોજ ખંડેરિયા
અંજનીગીત એટલે અપ્રતિમ નજાકતનું ગરવું લાવણ્ય! અંજનીનું પોત એટલું ઝીણું છે કે કવિતા કઈ ક્ષણે સર્જાય છે એ સમજાય એ પહેલાં તો ગીત પૂરું થઈ જાય… પ્રસ્તુત રચના એનું સબળ ઉદાહરણ છે. કાવ્યનાયિકા કોઈ એક બપોરે નિરાંતના સમયમાં ઘરકામથી નવરી થઈ રેશમદોરે લીલો મોર ભરવા બેઠી છે. સ્ત્રીને નવરાશના સમયે ભરતકામ કરતી નિહાળવી એ એક લહાવો છે. મનગમતી પ્રવૃત્તિ કરતી વખતે સ્ત્રી સમાધિ ન લાગી ગઈ હોય એટલી એમાં ઓતપ્રોત થઈ જતી હોય છે. અહીં પણ એમ જ બન્યું છે. કપડામાં મોરનું પીછું ભરી રહેલ નાયિકાને મોરની પાંખ થરકતી હોવાનું પ્રતીત થાય છે. ગળાનો આકાર ઘડાયો એવામાં ટહુકો છટકી જતો સંભળાયો. ભરવાનું કામ અટકી ગયું અને નાયિકા પોતાના ભરેલા મોરને સજીવ થયેલો જોઈને સમાધિ અવસ્થામાં ઊંડે ને ઊંડે ઊતરતી ગઈ. નાયિકા સંત નથી એટલે પોતાની આ ઝેન કે સમાધિની સ્થિતિને ઊંડી ઊંઘમાં પોતે ઊતરી ગઈ હોવાનું કહીને વર્ણવે છે. જીવતરના દર્પણમાં ઊંડે ઊંડે એ સ્વને નીરખે છે. સજીવન થયેલ અનુભવાતું પંખી નાયિકાના ખુદને માટે સંજીવની બની રહે એ કેવી મોટી વાત!
અંજનીગીત કાવ્યપ્રકાર વિશે વધુ જાણવા માંગતા મિત્રો અહીં ક્લિક કરે.
Permalink
April 25, 2025 at 10:55 AM by વિવેક · Filed under ગીત, પ્રિયકાંત મણિયાર
. હું તો મટુકી લઈને ચાલી,
સવાર પડે ને સપનાનાં મુજ ભર્યાં સરોવર ખાલી!
સરાણ ચડયા પાનાને હો પાણીની જે પ્યાસ,
અંતરમધ્યે ઊપની એવી આગ બનીને આશ,
. કોઈ મુજને પાઓ છલછલ પ્યાલી.
બપોર બળતી રોમે રોમે હવા વીંઝણો ઢોળે,
લથડ્યા ચરણો કેમ પ્હોંચવું મૃગજલની એ પાળે!
વનને મૂકી ત્હોય વેગળા, વેગ ભરીને હરણી હાલી!
– પ્રિયકાન્ત મણિયાર
વાત તો તરસની છે, પણ કઈ તરસ? રાત આખી તો ઊંઘમાં સપનાંના સરોવરો ભર્યાભાદર્યાં અનુભવાય છે, પણ આંખ ખૂલતાવેંત વિયોગની વાસ્તવિક્તા ઘેરી વળે છે. આ તરસને સરાણે ચડેલ પાનાંની પ્યાસ સાથે સરખાવીને કવિએ વાતને કેવો વળ ચડાવ્યો છે! પાનું સરાણ પર ઘસાવા ચડ્યું હોય એ સમયે પાણી ઉમેરતા જવામાં ન આવે તો પાનું ઘસાઈને તીણું થવાના બદલે ખરાબ થઈ જાય. પાનું ઘસાય ત્યારે જે ગરમી ઉત્પન્ન થાય એવી જ પિયુમિલનની આશાની આગ નાયિકાના અંતરમધ્યે જન્મે છે. તરસના માર્યા ચરણો કહ્યામાં નથી, અને આવા લથડાતા પગે વાસ્તવિક્તા તો ઠીક, આભાસ સુધી પહોંચવાનું કામ પણ કેવું દુષ્કર! પણ તોય વિરહિણી હરણી જીવનજળની તલાશમાં વેગ ભરીને દોડતા રહેવાનું ત્યજતી નથી…
(ઊપનવું= ઊપજવું)
Permalink
April 24, 2025 at 10:55 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, ગીતેવ, ચંદ્રકાન્ત શાહ
આ કાગળને સામે કાંઠે ઊભી છે તે, તું જ છે ને?
આ જો, આ કાંઠેથી પેન ધરેલો હાથ કરું છું, દેખાય છે કે? હું જ છું ને?
આ કાગળને બે કાંઠે જે
અધીરાઈનો ઝીણો—ધીમો તલપાપડ વરસાદ પડે છે
એનાથી તું પલળે છે ત્યાં જેવું
હું પણ એવું પલળું છું અહીં!
શબ્દોનું આ પૂર ઊતરે કાગળ પરથી,
અરે પછી તો તું પણ થોડી હિંમત રાખી
આવ ઊતર કાગળમાં-
હું પણ મારું ધુબકો
ભીંજાવાના ભાવથી ભીનાં, મળવાની પણ મજા આવશે નહિ?
કાં પછી આ કાગળિયાનાં મૂળ સુધી ચાલીને જઈએ ઊંડે ઘૂને, જવું જ છે ને?
કાગળની ચોફેર અવાજો સૂનકારના
ધોધમાર ને લથબથ લથબથ
ઉછાળા મારે છે મારા શ્વાસ, ગમે છે સાંભળવાનું?
સીનસીનેરી ઝાંખીપાંખી
લીલોતરી નીતરતી તારી આંખ
વૃક્ષોની, ટીપાંઓની આ સુગંધ વચ્ચે, આમ અચાનક ફાવે છે મળવાનું?
મારામાંથી નીકળી, ઘોડાપૂર ઊછળતો, ધસમસ કરતો કાગળ
તારામાં ભળવા આવે છે, આવે જ છે ને?
આ કાગળને સામે કાંઠે ઊભી છે તે, તું જ છે ને?
– ચંદ્રકાન્ત શાહ
કેટલાક માણસ જનમથી જ બહારવટિયા હોય છે. સમાજની પ્રસ્થાપિત ગલીઓમાં એ શ્વાસ જ લઈ ન શકે. ઘરેડમાં ચાલતી વસ્તુઓને તહસનહસ કરી પોતાની રીતે કંઈક નવું ન નીપજાવે ત્યાં સુધી એમને ધરવ જ ન થાય. ડાયાસ્પોરા કવિ ચંદ્રકાન્ત શાહ આવા જ એક સર્જક હતા. એમની આ રચનાને જરા ધીરજપૂર્વક ચકાસીએ તો કવિએ ગીત જેવું કંઈક લખ્યું હોય એમ પ્રતીત થાય. બે પંક્તિનું મુખડું, બે બંધ અને મુખડા સાથે પ્રાસ મેળવવાની મથામણ કરતી બે પૂરકપંક્તિઓ; લય પણ ગીતનો-પણ શું આને આપણે ગીત કે અનુઆધુનિક ગીત કહી શકીએ ખરા? ગીતના બંધની બે કડી વચ્ચે પ્રાસ મેળવવામાં આવે એ જ રીતે કવિએ ‘અહીં’-‘નહિ’ તથા ‘સાંભળવાનું’-‘મળવાનું’ વચ્ચે પ્રાસના અંકોડા તો મેળવ્યા છે,પણ આવર્તનોની સંખ્યા વચ્ચે તાલમેળ જાળવ્યો નથી. એ સિવાય લયમાં પણ ક્યાંક ક્યાંક ખાંચા રહી ગયા છે. આને ગીત કહીએ કે ગીતેવ- એ નક્કી કરવાનું કામ વિવેચકો પર છોડી દઈ આપણે કવિતા ઉપર ધ્યાન આપીએ… એકવાર-બેવાર-ત્રણવાર – જેમ જેમ આ કવિતા મમળાવતા જઈશું તેમ તેમ એ વધુને વધુ ગમતી જશે એની ગેરંટી…
Permalink
April 24, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, દિલહર સંઘવી

સૂર્યથી અંજાઈ દૃષ્ટિ ભોંય પર પથરાઈ ગઈ,
કયાં નજર ફેંકી હતી ને ક્યાં નજર ફેંકાઈ ગઈ!
દિલની છાની વાત દિલમાં રાખતાં ના આવડી,
આપણી પ્રીતિ જગતમાં એટલે પંકાઈ ગઈ.
કોઈને ચૂંટવા ન દીધી માળીની રખવાળીએ,
તે છતાંયે સાંજ રે ફૂલની કળી કરમાઈ ગઈ.
દિલની કૂંણી ઊર્મિઓને પીસવાનું બંધ કર,
રંગ આવી ગ્યો હવે – મેંદી હવે ઘૂંટાઈ ગઈ.
દુશ્મની કરતાં ડરે છે એટલે કરતો નથી,
દોસ્ત તારી, દોસ્તદારી પણ મને સમજાઈ ગઈ.
કેમ ના લાગે જગત આખું પછી દોજખ સમું?
માનવીના દિલ મહીંથી પ્રીત ગઈ, સચ્ચાઈ ગઈ.
કાયમી વસવાટ માની આપણે લડતા રહ્યાં,
છે જવાનું આંહીથી એ વાત પણ વિસરાઈ ગઈ.
આપની રહેમત ખુદા, જ્યાં ઊતરી મારા ઉપર,
સાવ મુફલિસી મહીં પણ આબરૂ જળવાઈ ગઈ.
મેં સગા હાથે જ લૂંટાવી હતી ‘દિલહર’ પછી,
શું કરું ફરિયાદ કે દિલની મતા લૂંટાઈ ગઈ!
– ‘દિલહર’ સંઘવી
લયસ્તરો પર સ્વાગત-સપ્તાહના અંતે આજે સાતમા પુસ્તકને મીઠો આવકારો દઈએ…. કવિશ્રી ‘દિલહર’ સંઘવીની ચૂંટેલી ગઝલોના સંપાદન ‘ધન્ય છે તમને’માંથી એક સ-રસ મજાની ગઝલ મમળાવીએ… (સંપાદક: ભરત વિંઝુડા)
Permalink
April 20, 2025 at 10:30 AM by વિવેક · Filed under ગઝલ, હરિહર શુક્લ ‘હરિ’

અંતરાયો દૂર કરવાના તમામ,
પહાડની ટોચે જઈ લેવો વિરામ.
કોઈનું લેણું, ન દેણું કોઈનું,
કોઈ શાહુકાર, ના કોઈ ગુલામ.
એટલે કાબૂ મહીં આવ્યો નહીં,
એષણાના અશ્વને ક્યાં છે લગામ?
હુંય રગદોળાઈ સોનું થઈ ગયો,
વિસનગરની ધૂળને સો સો સલામ.
મહેલ હો તો હું કરી દઉં, પણ ‘હરિ’-
ઝૂંપડીને કેમ કરવાની લિલામ?
એક-બે ડગલાં ભરી આગળ, “હરિ’;
જોઉં પાછળ, છોડ્યો મેં છેલ્લો મુકામ?
– હરિહર શુક્લ
લયસ્તરો પર કવિના પ્રથમ ગઝલસંગ્રહ ‘મૌન પણ સંભળાય છે’નું સપ્રેમ સ્વાગત…
સરળ ભાષામાં સુંદર મજાની ગઝલ. આમ તો બધા જ શેર સરસ થયા છે, પણ મહાભારતની ઉપકથાનો સંદર્ભ આગળ વધારતો શેર મને સવિશેષ સ્પર્શી ગયો. ગરીબ બ્રાહ્મણને ત્યાં એંઠી પતરાળીમાં આળોટતાં નોળિયાનું અડધું અંગ સોનાનું થઈ ગયું હતું. બાકીનું અડધું અંગ પણ સોનાનું થઈ જાય એ આશાએ નોળિયો યુધિષ્ઠિરને ત્યાં યજ્ઞમાં આળોટવા આવે છે પણ સફલા થતો નથી. ત્યાગનો મહિમા સમજાવતી આ મહાકથાને કવિ એક કદમ આગળ વધારે છે એમાં વાતને સાર્થક્ય સાંપડે છે. નોળિયાનું તો અડધું જ શરીર સોનાનું થયું હતું, પણ વતનની ધૂળમાં આળોટવાથી કવિની આખી કાયા કંચનની બની ગઈ છે… વતનનો મહિમા કેવી અદભુત રીતે અને કેવી સહજતાથી કવિએ કર્યોપ છે!
Permalink
April 19, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, વિનોદ રાવલ

સ્વપ્ન જેવો ફૂલગજરો કોણ આપી જાય છે?
પૂછ મા તું પ્રશ્ન અઘરો, કોણ આપી જાય છે?
જાત જેવો બંધ કમરો કોણ આપી જાય છે?
જીવ એમાં એક અથરો કોણ આપી જાય છે?
કેસૂડાનાં ફૂલ, ટહુકા, એમાં તારું આવવું,
એકધારી મીઠી અસરો કોણ આપી જાય છે?
પ્રિય તારું નામ લખતાં પેન હાંફી જાય જ્યાં,
એ ક્ષણે તૈયાર ફકરો કોણ આપી જાય છે?
કોઈની સુંદર સ્મૃતિ ભુંસાઈ જાવાની ક્ષણે,
મસ્ત ફોટો સાફસૂથરો કોણ આપી જાય છે?
– વિનોદ રાવલ
લયસ્તરો પર આજે અમરેલીના તબીબ-કવિના પ્રથમ સંગ્રહ ‘હરિ આવ્યા તળેટીમાં’ને મીઠો આવકાર આપીએ…
‘કોણ આપી જાય છે’ જેવી પ્રશ્નવાચક રદીફ કવિએ બખૂબી નિભાવી તો છે જ, મત્લામાં ‘પૂછ મા તું પ્રશ્ન અઘરો’ કહીને જવાબ પણ આપી દીધો છે. છેલ્લો શેર સહેજ સામાન્ય થયો છે, પણ એ સિવાયના ચારેય શેર કેવા બળકટ થયા છે! મત્લામાં કેવળ ફૂલગજરાની જ વાત કરી હોત તો શેર કદાચ સાધારણ બનીને રહી ગયો હોત, પણ આ ફૂલગજરો સ્વપ્નનો છે એમ કહી જ્યારે કોણ આપી જાય છેનો સવાલ કવિ ઊઠાવે છે ત્યારે લાંબો સમય મનોમસ્તિષ્કના ગુંબજમાં પડઘાયે રાખે એવો સ-રસ શેર જન્મેછે!
Permalink
April 18, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ

આખેઆખું આભ નહીં તો આંગણ આપો,
મેળો ના આપો તો મનગમતું જણ આપો.
પ્રેમ નામનો રસ્તો શાને અંત વિનાનો,
સમજ નથી કંઈ પડતી, થોડી સમજણ આપો.
કાન દઈને સાંભળીએ બસ વાત તમારી?
અમને પણ કંઈ કહેવા જેવી તો ક્ષણ આપો!
ધીરે ધીરે આંસુ સાથે સરકી જઈશું,
નેહ નહીં તો નયનોનું આ આંજણ આપો.
વિરહ નામના વિષના ઘૂંટડા ક્યાં લગ પીશું!
ઝેર ભલે આપ્યું પણ એનું મારણ આપો.
– નીતિન પારેખ
લયસ્તરો પર કવિના તાજા સંગ્રહ ‘અજવાળાની ક્ષણ’ની આગતાસ્વાગતા કરીએ…
માંગણીનો પનો જેટલો ટૂંકાવી શકાય, જીવન એટલું જ સુખસભર બને. આ વાત કહેતી કવિતાઓ તો ઘણી જડી આવશે. પણ અહીં વાત જરા નોખી છે. અહીં તો આખેઆખું આભ મળે તો એય ગુંજે ભરવાની તૈયારી છે. પણ હા, સકળના સ્વીકારની તત્પરતાની હારોહાર જ સકળ ન મળે તો કેવળ એક આંગણથી ચલાવી લેવાની સજ્જતા પણ છે. ઝંખના તો મેળાભર માનવમહેરામણને ચાહવાની છે, પણ એના વિકલ્પે કેવળ એક મનગમતી વ્યક્તિથી ચલાવી લેવાની તૈયારી પણ છે. બીજો શેર પણ એવો જ જાનદાર થયો છે. સરવાળેઆખી ગઝલ જ આસ્વાદ્ય.
Permalink
April 17, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, વિકી ત્રિવેદી

કંઈ પણ લખ્યા વગર મળ્યો કાગળ જવાબમાં,
યાને મૂક્યું છે એમણે મૃગજળ જવાબમાં.
એણે પૂછ્યો’તો પ્રશ્ન પ્રમાણિકતા બાબતે,
મેં વસ્ત્રમાં બતાવી દીધા સળ જવાબમાં.
તું આવા પ્રેમથી મને તબિયત ન પૂછ, દોસ્ત!
આંખો નહિ તો થઈ જશે ખળખળ જવાબમાં.
“ભગવાન ન્યાય કરશે” કહીને રડી પડ્યો,
બીજું તો શું કહી શકે નિર્બળ જવાબમાં?
એણે કહી છે ‘હા’ છતાં પણ મન મરી ગયું,
એણે સમય લીધો હતો પુષ્કળ જવાબમાં.
ત્યાં માણસો જીવંત છે એવું કહી શકાય,
અન્યાય સામે થાય જ્યાં ચળવળ જવાબમાં.
તારા જવાબ કરતા વધુ દુઃખ એ દઈ ગઈ,
મનમાં કરી હતી જે મેં અટકળ જવાબમાં.
એવા સવાલ લઈને હું જીવી રહ્યો છું આજ,
ફાંફા પડે પ્રભુનેય બે પળ જવાબમાં.
કોઈ જ એવી વ્યક્તિએ પૂછ્યું નહીં મને,
ચીંધાય જેને હૈયા સમું સ્થળ જવાબમાં.
– વિકી ત્રિવેદી
લયસ્તરોના દ્વારે સર્જકના વધુ એક સંગ્રહ ‘જાતે પ્રગટ થશે’ને સસ્નેહ આવકાર…
નવ શેરની નવલખી ગઝલ… લગભગ બધા જ શેર જાનદાર થયા છે.
Permalink
April 16, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગીત, લતા હિરાણી

હે સન્નાટાજી
ગામ, સીમ, કેડા છોડીને
અમ ફરતા કાં આંટા જી?
હે સન્નાટાજી!
તમે જનમિયા સૂની સાંજને કાળે પેટે કાં?
કિયા જનમના વેર કહોને કિયા જનમના ઘા?
બેસે, હાંફે, શ્વાસ સાંભળે, તવ ખિખિયાટા જી
હે સન્નાટાજી!
પાંપણ પરથી રાત ઉતરડી ધક્કા માર્યા, જો
ઝાંખી પાંખી નીંદરને ખૂણે દઈ દીધો ખો
છાતી અંદર તૂટે, ફૂટે, થાય ન વાટા જી
હે સન્નાટાજી!
હાથ વછૂટી જાય ઘડી ને વેળ વેળ ના રે’
અડવાણા ને અવળા પગલે, દાવ જીવડો દે
કચ્ચરઘાણ અમારા, તમને સેરસપાટા જી
હે સન્નાટાજી !
અપરાધી છો અમે રહ્યા પણ દયા માંગીએ જી
ફાટી આંખોના ઉપવાસો, કહો ભાંગીએ જી
જરી જુઓ સામું, ના વાળો આવા સાટા જી
હે સન્નાટાજી !
– લતા હિરાણી
લયસ્તરો પર સર્જકના ગીતસંગ્રહ ‘ઊગ્યું રે અજવાળું’ને સસ્નેહ વધાવીએ…
સારું ગીત ઉપાડ લેતાવેંત ભાવકને ચસોચસ બાંધી લેતું હોય છે. સુરેશ દલાલે કહ્યું હતું કે ગીત એના મુખડામાં જ શરૂ થઈ પૂરું પણ થઈ જતું હોય છે. સાચી વાત છે. કવિએ જે હૃદયોર્મિ વ્યક્ત કરવી છે, એ તો મુખબંધમાં જ રજૂ થઈ જાય. એ પછી બાકીના ગીતમાં તો એનો ચિતોવિસ્તાર જ કરવાનો રહે. આ ગીત ઉભય કસોટીઓ પર ખરું ઉતરે છે. એક તો સન્નાટાને સંબોધીને વાત કરાઈ હોવાથી ભાવક કાવ્યારંભે જ સાનંદાશ્ચર્ય અનુભવે અને બીજું, આ સંબોધનમાં સર્જકે માનવાચક ‘જી’ ઉમેરી ચેરી ઓન કેક જેવી ફ્લેવર ઉમેરી છે. સામાન્ય રીતે સન્નાટો તો સીમ અને કેડામાં રાજ કરે, અને ધગધગતો ઉનાળો હોય ત્યારે ગામમાં પણ. પણ અહીં એ કથક ફરતે આંટા મારી રહ્યો છે. એટલે કથક સન્નાટાને માનપૂર્વક પૂછે છે કે નિયત સ્થાનો પર પસંદગીનો કળશ ન ઢોળતાં આપશ્રી અમારી આજુબાજુ શીદ આંટા મારી રહ્યા છો? આવું મજાનું મુખડું કોને વશીભૂત ન કરે! મુખડાથી આગળના ગીતનો આનંદ ભાવકની ભાવનક્ષમતા ઉપર છોડી દઈ વિરમું…
Permalink
April 15, 2025 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, લતા હિરાણી

ચટ્ટાનો ખુશ છે
ખુશ છે પાણા પથ્થર
વધી રહી છે એની વસ્તી
ગામ, શહેર, નગર…
પેલી પર્વતશિલા હતી કેવી
જંગલ આડે સંતાયેલી
હવે આખે આખ્ખો પર્વત
નાગોપૂગો બિચ્ચારો
ફાટી આંખે જોઈ રહ્યો ને રોઈ રહ્યો
કોઈ નથી એનું તારણ
હારી ગયા ને હરી ગયા
ઝાડ, પાન ને જંગલ
ખુશ છે પાણા પથ્થર
વિશ્વાસ છે એમનો જબ્બર
કરશું અમે તો રાજ અહીં
વાર હવે ક્યાં?
આમ જુઓ
આ માણસનાયે પેટે હવે
પાકી રહ્યા છે પથ્થરો.
– લતા હિરાણી
લયસ્તરો પર કવયિત્રીના નવ્ય અછાંદસ સંગ્રહ ‘સાવ કોરો કાગળ’નું સહૃદય સ્વાગત…
વધતા જતા શહેરીકરણ અને જંગલોના વિનાશની વ્યથાની સમતુલિત રજૂઆત કરતી રચના. રચના સ્વયંસ્પષ્ટ હોવાથી વિશેષ ટિપ્પણીની આવશ્યક્તા જણાતી નથી. પણ કવયિત્રીના સંગ્રહમાંથી પસાર થતાં એક બાબતે મારું સવિશેષ ધ્યાન ખેંચ્યું. કવયિત્રીએ સમગ્ર સંગ્રહમાં અલ્પવિરામ, ઉદગારચિહ્ન, અવતરણચિહ્ન તથા પ્રશ્નચિહ્ન બાબતે જેટલી સજગતા દાખવી છે, એટલી જ ઉદાસીનતા પૂર્ણવિરામ બાબત સેવી છે. આ ટિપ્પણી અત્રે કરવા પાછળનો પ્રમુખ હેતુ કેવળ એ જ છે કે આજકાલ ગુજરાતી કવિઓમાં વિરામચિહ્નો અને જોડણી સહિત ભાષાશુદ્ધિ બાબતે ખાસ્સી નીરસતા પ્રવર્તે છે. હમણાં એક જાણીતા કવિએ ‘પહેરણ’ માટે ‘તૂટવું’ ક્રિયાપદ પ્રયોજ્યું હતું. એમનું ધ્યાન એ તરફ દોર્યું તો એમની પાસે વ્યાકરણના નિયમોના આધારના બદલે કેવળ એક જ દલીલ હતી કે બીજાઓએ પણ આ ક્રિયાપદ પહેરણ માટે વાપર્યું છે. પણ પોતાની વાતના સમર્થન માટે તેઓ કથિત ઉદાહરણો રજૂ ન કરી શક્યા. સામાન્ય ગદ્યમાં નિયમાનુસાર પ્રયોજાતા વિરામચિહ્નો જ્યારે કવિતામાં પ્રયોજાય, ત્યારે ઘણીવાર કવિ નિયમોને ચાતરીને ચાલતો નજરે ચડે છે. પણ આવું કવિ ત્યારે જ કરે જ્યારે એ કવિતાને ઉપકારક નીવડવાનું હોય. ફ્રેન્ક ઓ’ હારાની એક અંગ્રેજી કવિતાનું દૃષ્ટાંત લઈએ-
Lana Turner has collapsed!
I was trotting along and suddenly
it started raining and snowing
and you said it was hailing
but hailing hits you on the head
hard so it was really snowing and
raining and I was in such a hurry
to meet you but the traffic
was acting exactly like the sky
and suddenly I see a headline
LANA TURNER HAS COLLAPSED!
there is no snow in Hollywood
there is no rain in California
I have been to lots of parties
and acted perfectly disgraceful
but I never actually collapsed
oh Lana Turner we love you get up
સત્તર પંક્તિની આ કવિતામાં કવિતાનું શીર્ષક કાવ્યારંભે અને કાવ્યમધ્યે પુનરોક્તિ પામે છે, ત્યાં ઉદગારચિહ્નવાપરવા સિવાય કવિએ આખી રચનામાં એકેય વિરામચિહ્ન વાપર્યા નથી. આના કારણે કવિ સ્વયં જે ગડમથલ અને નિરવરુદ્ધ વિચાર-વાવંટોળના શિકાર બન્યા છે, એનો ભાવકને યથાતથ સાક્ષાત્કાર કરાવવામાં સફળ થાય છે.
Permalink
April 14, 2025 at 10:43 AM by વિવેક · Filed under ગઝલ, મયંક ઓઝા

સહેજ લખવા જાઉં સન્નાટા ઉપર,
ત્યાં ટકોરા થાય દરવાજા ઉપર.
આગગાડી જેમ છે મારી ગતિ,
દોડવાનું પણ ફકત પાટા ઉપર.
માત્ર હું ખળખળ ધ્વનિને પી શકું,
આમ રહેવાનું સતત કાંઠા ઉપર.
કેટલી અફવાઓ લટકે છે હજી,
બંધ ઘરનાં બારણે તાળા ઉપર.
પ્રેમ, પીડા ને વિરહ મહેકી ઊઠે,
જો રચાતી હો ગઝલ રાધા ઉપર.
સુખ હથેળીમાં જ શોધે છે ‘મયંક’,
ના કરી દૃષ્ટિ કદી કાંડા ઉપર.
– મયંક ઓઝા
લયસ્તરો પર કવિના નવલા સંગ્રહ ‘ક્ષણોના પ્રતિબિંબ’ને આવકારીએ…
સામાન્યરીતે એક કે બે શેર ઉપર આખી ગઝલ તરી જતી જોવા મળતી હોય છે, પણ અહીં કાંઠાવાળા એક શેરને બાદ કરતાં બાકીના પાંચેય શેર ખૂબ જ બળકટ થયા છે એની મજા છે… પાટા અને તાળાવાળા શેર પર તો કુરબાન થઈ જવાનું મન થાય…
Permalink
April 12, 2025 at 11:01 AM by વિવેક · Filed under ગઝલ, મુસાફિર પાલનપુરી, વિવેક મનહર ટેલર
દુ:ખ કી હૈ વણઝાર, કલંદર! પોંચ વલીંગે,
મત રખ મન પર ભાર, કલંદર! પોંચ વલીંગે.
સુખ નેં દુ:ખ હૈં દોઈ બરફ કે ટુકળોં જેવે,
ઘુલનેં મેં કા વાર, કલંદર! પોંચ વલીંગે.
આગ કી મંઈ અલ્લા કે બંદે કૂદ પળે હૈં,
અપણેં તો હૈં બાર, કલંદર! પોંચ વલીંગે.
હિંમત સી જે હારા એ ભવ હારા સમજો
હિંમત ક્રૂ મત હાર, કલંદર! પોંચ વલીંગે.
રબ અપણા હો જાય પિછે કા ચઈએ અપણે?
સઊ પાસે પોબાર, કલંદર! પોંચ વલીંગે.
દોંનત હૈ જો સાફ તો દુનિયોં ઝખ મારે હે,
કોઈ કૂં મત ગિણકાર, કલંદર! પોંચ વલીંગે.
કોઈ સુંણે કે ના જ સુંણે આ અપણી વાતો,
ઠાઠ સી તુ ઠેકાર, કલંદર! પોંચ વલીંગે.
જૂઠ કૂં સચ નેં સચ કૂં જૂઠ જે કરનાખે
બિલ્ટા દે દો-ચાર, કલંદર! પોંચ વલીંગે.
– મુસાફિર પાલનપુરી
દુઃખની છે વણઝાર, કલંદર! પહોંચી વળશું,
રાખ ન મન પર ભાર, કલંદર! પહોંચી વળશું
સુખ-દુઃખ બંને છે બરફના ટુકડા જેવા,
પીગળતા શું વાર, કલંદર! પહોંચી વળશું.
આગ મહીં અલ્લાના બંદા કૂદી પડ્યા છે,
આપણે તો છીએ બહાર, કલંદર! પહોંચી વળશું.
હિંમત જે હાર્યા એ ભવ હાર્યા એમ સમજો,
હિંમત ના તું હાર, કલંદર! પહોંચી વળશું.
ઈશ આપણો થઈ જાય પછી બીજું શું જોઈએ?
સૌ પાસાં પોબાર, કલંદર! પહોંચી વળશું.
દાનત હો જો સાફ તો દુનિયા જખ મારે છે,
કોઈનેય ન ગણકાર, કલંદર! પહોંચી વળશું.
કોઈ સાંભળે કે ન સાંભળે આપણી વાતો,
ઠાઠથી તું લલકાર, કલંદર! પહોંચી વળશું.
જૂઠને સાચ ને સાચને જૂઠ કોઈ કરતું હો તો
ઠોકી દે બે-ચાર, કલંદર! પહોંચી વળશું.
– મુસાફિર પાલનપુરી
(સાછંદ પદ્યાનુવાદ : વિવેક મનહર ટેલર)
બાર ગાઉએ બદલાતી બોલી જે-તે પ્રદેશના સમાજનું વિશિષ્ટ અંગ છે. મોટાભાગનું સાહિત્ય શિષ્ટ ભાષામાં રચાતું હોવા છતાં દુનિયામાં ભાગ્યે જ કોઈ ભાષા એવી હશે જેણે લોકબોલીનો પડઘો ન ઝીલ્યો હોય. આ ગઝલ જુઓ. જે રીતે છંદ-કાફિયા-રદીફ-શેરિયત ગઝલના અનિવાર્ય અંગ ગણાય એ જ રીતે પ્રસ્તુત રચનામાં ઉત્તર ગુજરાતમાં વસતા મુસલમાનોની બોલી પણ અવિભાજ્ય અંગ બની અહીં ઊભરી આવી છે. એમ પણ કહી શકાય કે આ બોલી જ આ ગઝલનો પ્રમુખ વિશેષ છે. પાલનપુરી મુસ્લિમોની આ બોલીને પંચામૃત બોલી (ગુજરાતી-હિંદી-ઉર્દૂ-ફારસી-મારવાડી) તરીકે પણ ઓળખવામાં આવે છે. રચના ગઝલિયતની કસોટીએ ખરી ઉતરે છે કે કેમ એ સવાલ વિવેચકો પર છોડી દઈ આપણે તો બસ, બોલીનો આસ્વાદ લઈએ…
Permalink
April 11, 2025 at 8:00 AM by વિવેક · Filed under ગઝલ, બાબુલાલ ચાવડા 'આતુર'
આશિખાનખ આગવા ઉન્માદના માણસ છીએ,
એટલે કે સાવ માણસ બાદના માણસ છીએ.
ક્યાંક વરવી વાસ્તવિકતા કોઈ માટે થઈ ગયા,
કોઈ માટે ક્યાંક ભીની યાદના માણસ છીએ.
કોઈએ જોયા છે અમને રોજ નકરી મોજમાં,
કોઈ માને છે નર્યા અવસાદના માણસ છીએ.
ક્યાંય ક્યાં સાધી શકાઈ છે કદી સંવાદિતા!
કોણ માને કે અમે સંવાદના માણસ છીએ!
એટલે લખતા રહ્યા કે માંહ્યલો રાજી રહે,
માત્ર મૂંગા માંહ્યલાની દાદના માણસ છીએ.
– બાબુલાલ ચાવડા ‘આતુર’
ગઝલોના અડાબીડ જંગલમાં ક્યારેક આવી રચના હાથ ચડી આવે તો દિવસ આખો મઘમઘ થઈ ઊઠે. આત્મકથનાત્મક શૈલીમાં લખાયેલ પાંચેય શેર એક એકથી ચડિયાતા થયા છે. પહેલાં તો ગુજરાતી ગઝલમાં આશિખાનખ જેવો શબ્દ વાંચીને જ આગવો રોમાંચ થઈ જાય. પણ ખરું કવિકર્મ ભાવકને આંજી દે એવા અરુઢ શબ્દપ્રયોજનમાં નહીં, પણ એના નિર્વાહમાં છે.
Permalink
April 10, 2025 at 11:47 AM by વિવેક · Filed under ગઝલ, હર્ષદ ચંદારાણા
આ હવામાં આજ કેવળ ભેજ છે
આંસુઓનો એક દસ્તાવેજ છે
દૃશ્ય ઉપર કાટ જેવો સ્હેજ છે
કૈં સ્મૃતિનો આંખમાં જે ભેજ છે
સૂર્ય જેવો સૂર્ય પણ નિસ્તેજ છે
ત્યાં સુધી પહોંચી ગયેલો ભેજ છે?
હાથ પાસે પેન, કાગળ, મેજ છે
નહિ લખાતો પત્ર ઉર્ફે ભેજ છે
જેમ પાણીમાં વમળ આમેજ છે
આ હવામાં એમ છૂપો ભેજ છે
– હર્ષદ ચંદારાણા
આમ જુઓ તો મત્લાગઝલ અને આમ જુઓ તો પ્રયોગાત્મક રચના… આખી ગઝલમાં ઉલા મિસરા-પ્રથમ પંક્તિમાં કવિએ અલગ-અલગ ચુસ્ત કાફિયાઓ વાપર્યા છે, પણ સાની મિસરા- બીજી પંક્તિમાં એક જ કાફિયો ‘ભેજ’ પ્રયોજ્યો છે. મત્લામાં પણ આ જ પ્રમાણે ‘ભેજ’ કાફિયો સાની મિસરામાં વાપરી શકાયો હોત, પણ કોઈક કારણોસર કવિ એમ કરવાથી દૂર રહ્યા છે. પણ સરવાળે પાંચેપાંચ શેરમાં ‘ભેજ’ કાફિયો વાપરીને કવિએ કાફિયાનો સારો એવો કસ કાઢ્યો છે અને આપણને વારંવાર મમળાવવી ગમે એવી સુંદર મજાની ગઝલ આપી છે.
Permalink
April 5, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ભાવિન ગોપાણી
ભલે કાયા અને કપડાં ઉપરથી ધૂળ ખંખેરો,
કળા જો હોય, પડછાયા ઉપરથી ધૂળ ખંખેરો.
અધૂરા રહી ગયેલા કોઈના સપનાની મળશે છાપ,
મળ્યો રસ્તેથી એ સિક્કા ઉપરથી ધૂળ ખંખેરો.
ફરીથી ચિત્ત ને ચહેરા ઉપર આવી જશે રોનક,
પ્રણયના એક-બે કિસ્સા ઉપરથી ધૂળ ખંખેરો.
અમે બારી વગરના ઘરમાં પણ વર્ષો જીવી જઈશું,
ફકત આકાશના ફોટા ઉપરથી ધૂળ ખંખેરો.
હજી ઊભા થઈ મહેમાન પહોંચ્યા ક્યાં છે ઘરની બ્હાર?
તરત ના આ રીતે સોફા ઉપરથી ધૂળ ખંખેરો!
થશે ચલચિત્ર ચાલુ ને અમે બેસી રહીશું બહાર,
અમારું કામ છે પડદા ઉપરથી ધૂળ ખંખેરો.
વીતાવ્યું રણ છતાં રણ સાથે લઈને ક્યાં સુધી ફરશો?
હવે પાંપણ અને ચશ્માં ઉપરથી ધૂળ ખંખેરો.
મળી છે કોઈના રૂમાલમાં ખુશબૂ નવી આજે,
ફરીથી આપણે શંકા ઉપરથી ધૂળ ખંખેરો.
બને એવું કે એ જોઈ શકે ઘરની ખરી હાલત,
ચલો, ભગવાનના ફોટા ઉપરથી ધૂળ ખંખેરો.
કળા કરવી તો ન્હોતી પણ કળા કરવી પડી અંતે,
કહ્યું છે કોઈએ, પીંછા ઉપરથી ધૂળ ખંખેરો.
જરૂરી છે જ નહિ કે એમના પગલાં ઉપર ચાલો,
બને તો એમના પગલાં ઉપરથી ધૂળ ખંખેરો.
કશું ન્હોતું અને અંતે કશું રહેશે નહીં બાકી,
જીવન છે ધૂળનાં ઢેફાં ઉપરથી ધૂળ ખંખેરો.
પધારો જળ રૂપે ઈશ્વર, પધારો અન્ન રૂપે દેવ,
વલખતાં જીવના જડબાં ઉપરથી ધૂળ ખંખેરો
ગયું છો ધૂળમાં જીવન, મરણ તો સ્વચ્છ જોઈએ,
દુપટ્ટો ઝાટકો, પંખા ઉપરથી ધૂળ ખંખેરો.
– ભાવિન ગોપાણી
ટ્વેન્ટી- ટ્વેન્ટીના જમાનામાં ટેસ્ટ મેચ ગઝલ… ચૌદ-ચૌદ શેર પણ લગભગ બધા જ મનનીય… આખી ગઝલમાં આધુનિક ગઝલ અને પરંપરાની કૃતિ વચ્ચેની આવનજાવન મનભાવન રીતે સતત વર્તાયે રાખે છે. કવિ પડછાયા ઉપરથી ધૂળ ખંખેરવા કહે છે ત્યારે નવી ગઝલનો રણકો સંભળાય છે, એ જ રીતે પ્રણયના કિસ્સા પરથી ધૂળ ખંખેરવા આહ્વાન આપે છે ત્યારે પરંપરાની ગઝલરીતિ પ્રતીત થાય છે. બંનેની મજા છે અને બંને અહીં હારોહાર માણી શકાય છે. ‘ધૂળ ખંખેરવી’ રુઢિપ્રયોગનો કવિએ વાચ્યાર્થ મુજબનો કસ તો કાઢ્યો છે, પણ એનો જે ખરો અર્થ છે – સખત ધમકાવવું, ખૂબ ઠપકો આપવો-એ ઉજાગર કરતો એકાદ શેર પણ અહીં ઉમેર્યો હોત તો ગઝલ છે એથી વધુ સરાહનીય થઈ શકી હોત.
Permalink
April 4, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, લલિત ત્રિવેદી
કવિ! તમારી ટહુકા કરતી આંગળીઓ
ફાગણિયે મ્હોરેલી લહલહ ડાંખળીઓ!
કાગળ પર રૂમઝૂમતી આવી પૂતળીઓ
જેવું ફળિયામાં રમતી હો ઓકળીઓ!
તપ તૂટ્યાં તતકાળ કે બ્હેકી પાંસળીઓ
પરાગરસથી છલછલતી અડકી કળીઓ!
હોય નહિ સળિયો એવું એક ઘર ગોતું
મગચોખાથી રસબસતી ગોતું સળીઓ!
કળીઓ છે કે અલકમલકતી સખીઓ છે…
કાગળિયો છે કે ઝિલમિલતો ઝાકળિયો!
ઊગશે એઠાં બોરાં કે ફળશે દાતણ?
કોણે મારે આંગણ વાવ્યો છે ઠળિયો?
કવિ! તમારી સંગે સોહે એમ કલમ
જેમ કાનજી સંગે સોહે વાંસળીઓ!
– લલિત ત્રિવેદી
શીરાની જેમ ગળેથી ઉતરી જતી આજની ગઝલોથી સાવ ઉફરી ચાલતી એક રચના આજે માણીએ. આસાનીથી અથવા થોડા પ્રયત્ને સમજી શકાય એવા શેરોની વચ્ચે એબ્સ્ટ્રેક્ટ શેર પણ અહીં જોવા મળે છે. ક્યાંક થોડી કૃતકતા પણ અનુભવાય, પણ સરવાળે આ ગઝલ સ-રસ અનુભૂતિ કરાવે છે. મારું મન તો મત્લાએ જ મોહી લીધું. ફાગણિયો આવતાં જ વૃક્ષોની ડાળખીઓ લહલહ મહોરી ઊઠે છે એ કલ્પન કવિની કવિતા કરતી આંગળીઓ સાથે સાંકળી લઈને કવિએ અલગ જ કમાલ કરી છે. ડાળખીઓ માટે કવિએ ડાંખળીઓ શબ્દ પ્રયોજ્યો છે. ડાંખળીનો શબ્દકોશીય અર્થ ભલે ડાળખી જ કેમ ન થતો હોય, એનો લોકકોશીય અર્થ તો સૂકાઈ ગયેલી ડાળખી જ. એટલે કાફિયાની જરૂરિયાત ઉપરાંતનું કવિકર્મ પણ અહીં આપણને નજરે ચડે છે. પાનખરમાં સૂકાઈ ગયેલ ડાળીઓ ફાગણમાં લીલીછમ્મ થઈ જાય છે અને કોકિલના ટહુકાઓ છલકાવવાનું નિમિત્ત બને છે. બાકીની ગઝલ સહુ પોતપોતાની સમજ પ્રમાણે પ્રમાણે…
Permalink
April 3, 2025 at 12:30 AM by વિવેક · Filed under અરુણ દેશાણી, ગઝલ
મખમલ જેવી રાત ગમે છે,
તું સપનામાં આવ, ગમે છે.
ઢળતી સાંજે હળવે હળવે-
હાથોમાં લે હાથ, ગમે છે.
આવ ન આવે, તારી મરજી,
તારી જોવી વાટ ગમે છે.
કેટકેટલા ગમતા ચહેરા,
પણ સૌમાં તું ખાસ ગમે છે.
હું પણ ક્યાં એ જાણું છું કે-
તું જ મને શું કામ ગમે છે!
એકબીજાને વળગી જઈને
વરસે એ વરસાદ ગમે છે.
– અરુણ દેશાણી
સરળ ભાષામાં સુંદર ગઝલ… ભાષાના કોઈપણ પ્રકારના બાહ્યાડંબર વિના પણ સારી કવિતા કઈ રીતે થઈ શકે એ સમજવું હોય તો આ ગઝલ પણ ખપમાં આવે એવી છે. નાની બહર, સરળ આકારાંત કાફિયા, ગમ્યા વિના ન રહે એવી ‘ગમે છે’ રદીફ અને સર્વપ્રિય પ્રણયરસનો વિષય ધરાવતી આ ગઝલ વાંચતાવેંત દિલને સ્પર્શી જાય એવી છે.
Permalink
March 29, 2025 at 12:30 AM by વિવેક · Filed under પુષ્કરરાય જોષી, શેર, સંકલન

કાગળની હોડીમાં બેસી-
સાત સમંદર તરવા બેઠો.
જિંદગીની સેજ કાંટાળી હતી,
ફૂલ માફક તોય સંભાળી હતી.
ચાંદ દેખાયો નહીં તો શું થયું!
તારકોએ રાત અજવાળી હતી.
જિંદગી જામથી છલોછલ છે,
પ્યાસ તોયે રહી અધૂરી છે.
રાહમાં તો પથ્થરો આવ્યા કરે,
કિંતુ ઝરણું ક્યાં કદી રોકાય છે!
વાદળાં ટોળે વળે છે સાંજના,
શૂન્યતા ઘેરી વળે છે સાંજના.
વાત સાદી કિંતુ ક્યાં સમજાય છે?
જે થવાનું તે જ અંતે થાય છે.
કાળ લાગે શબ્દ સામે વામણો,
શોક જ્યારે શ્લોકમાં બદલાય છે.
દોસ્ત! ભરતી-ઓટ શો સંબંધ છે,
રેત પર પગલાં છતાં અકબંધ છે;
આ સમંદર એ નથી બીજું કશું,
આંસુનો તૂટી પડેલો બંધ છે.
– પુષ્કરરાય રેવાશંકર જોષી
લયસ્તરો પર કવિના કાવ્યસંગ્રહ ‘દિવ્યઘોષ’નું સહૃદય સ્વાગત… સંગ્રહમાંથી કેટલાક શેર અને એક મુક્તક અત્રે પ્રસ્તુત કરીએ છીએ…
Permalink
March 28, 2025 at 12:30 AM by વિવેક · Filed under અનિલ જોશી, ગીત, વિવેક મનહર ટેલર

પુણ્ય સ્મરણ:
મનહરની વાંહોવાંહ મનોજ ગયો પછી મનોજની વાંહે રમેશ,
ઊભી બજાર સાવ ખાલીખમ લાગે નથી સરનામું ટકતું હંમેશ.
– અનિલ જોશી
*
નિતનવા વમળોથી રાખતો’તો નીતરું જે, ચાલ્યો ગયો એ અનિલ,
મોઢું વકાસી બેઠું સરવર ગીતોનું, હવે ભાલે લખાશે શું લીલ?
પેલ્લા વરસાદનો છાંટો વાગે તો પછી બંધાવવો કેમ નહીં પાટો?
પાણીની ગાંઠ સમા બરફના પંખીને ટહુકે પીગળવાનો નાતો;
તુલસીનું પાંદડું બિયરમાં નાંખ્યું ત્યાં હોવું જેમ બન્યું મદીલ,
એમ પથ્થરની કાયામાં વેલીના પાંદડા ફરકે એ ઘટના જટિલ.
દરિયાનાં ગીત નથી ગાવાં કહીને ગાયાં દરિયાનાં હજ્જારો ગીત,
ખાલી શકુંતલાની આંગળી છો હોય, રાહ જોવું ન મૂકે એ પ્રીત;
સૂકી જુદાઈની ડાળ તણાં ફૂલ શોધી રહ્યાં છે કાબો વકીલ,
ડાળખીમાં પાંદડા જ હોય ના તો પાનખરેય પડતી મેલે સૌ દલીલ…
– વિવેક મનહર ટેલર
(૨૧-૨૬/૦૩/૨૦૨૫)
કવિશ્રી અનિલ જોશીને શબ્દસુમન અર્પવાના ઉપક્રમમાં આજે આ આખરી પુષ્પ મારા તરફથી… ઉપર પોસ્ટ કરેલ કવિના એક ગીતમાંથી પ્રેરણા લઈ લખેલ ગીત વડે કવિને શ્રદ્ધાંજલિ આપી અનિલ વિશેષ અહીં અટકાવીએ છીએ, કવિની એક એકથી ચડિયાતી રચનાઓ સાથે ભવિષ્યમાં પણ મળતા રહેવાના વચન સાથે…
Permalink
March 27, 2025 at 12:30 AM by વિવેક · Filed under અનિલ જોશી, ગીત, રમેશ પારેખ

ચોકમાં જામ્યા રાસડે હું તો એટલું બધું ભાન રે ભૂલી ગઈ,
કે ફળિયે બાંધી ગાય અચાનક ઢોલનું ઝીણું ચામડું બની ગઈ.
ચાંચમાં જેટલું જળ સમાયું એટલું લઈ ચકલી ઊડી ઝાડવે બેઠી જેમ,
રાસમાં જેટલી તાળિયું મળી એટલી લઈ હુંય રે છાની ઉંબરે બેઠી એમ.
તાળિયું કેવળ ખડનો પૂળો હોત તો છૂટી જાત હું એને છાપરે ફેંકી દઈ…
ગીત ગળામાં, પગમાં ઝાંઝર, રાતનો ગજર, ચોકમાં હજી રાસડે ઘૂમે ગામ,
પાંખ વિનાની ચકલી ઉપર કેટલા ઓરા, કેટલાં ઝાઝાં આભ તોળાતાં આમ!
ઢોલને ઝીણે ચામડે ચાંદો સાંભળી મારી કેટલી પૂનમ તોછડી તૂટી ગઈ.
– અનિલ જોશી / રમેશ પારેખ
પૂર્વભૂમિકા (રમેશ પારેખના શબ્દોમાં)
અનિલ (૬-૧૦-૮૫ના દિવસે) અમરેલી આવ્યો, લગભગ વીસ વરસ પછી, અમે એક દિવસમાં વીસ વરસ પહેલાંના સમયને જીવવા બાથોડિયાં માર્યાં. ભાવવિભોર અનિલે કહ્યું–આપણે એક સંયુક્ત ગીત લખ્યાને વીસ વરસ થવા આવ્યાં. એના ઉપલક્ષ્યમાં આ અધૂરું ગીત. લે, પૂરું કર.’
આજે આ ગીત પૂરું કર્યું. અગાઉ લખેલા સંયુક્ત ગીત ‘ડેલીએથી પાછા મ વળજો, હો શ્યામ, મેં તો ઠાલાં દીધાં છે મારાં બારણાં’ ‘સમર્પણ’માં છપાયું હતું.
વીતેલાં વરસોએ મને થોડા રૂપેરી વાળની ભેટ આપી છે, લો, અમે આવી ગયા. મહાયાત્રાની તૈયારી કરો!” એ આદેશ કહેતા, કાનમાં ઝૂકેલા, કાનપટ્ટી પાસે સફેદ વાળ ઉગાડ્યા છે, ચશ્માંના ગ્લાસ જાડા બનાવ્યા છે, ઝીણીઝીણી અસંખ્ય મુગ્ધતાઓ છીનવી લીધી છે, જે કંઈ છીનવાઈ ગયું છે વીસ વરસોમાં તે માટે સમયને માફ કરી દેવાની વૃત્તિય જન્માવી છે. અનિલ ને રમેશની આંખો વચ્ચે મુંબઈ-અમરેલીનો પાંચસો માઈલનો પટ્ટો પાથરી દીધો છે.
અધૂરા ગીતને ટેકે વીસ વરસ પાછા પગે ચાલવાના મારા પ્રયત્નો દુ:ખદ છતાં અનુભવ સુખદ રહ્યા…
શરૂઆતની ચાર લીટીઓ અનિલની, ત્યાર બાદ આગળ વધતી કડીઓ મને સૂઝી.
– રમેશ પારેખ (તા. ૨૮-૧૧-૮૫)
Permalink
March 26, 2025 at 12:30 AM by વિવેક · Filed under અનિલ જોશી, ગઝલ

શાંતિ પછી તોફાનની વણજાર થઈ શકે,
ધોરી નસોમાં લોહીનો રણકાર થઈ શકે.
એવું નથી કે હાથમાં કરતાલ જોઈએ,
આ નેજવું પણ હાથનો શણગાર થઈ શકે.
દોસ્તો ગયા પછી જ મને એ ખબર પડી,
સાથે હતા જે એ બધા ફરાર થઈ શકે.
કોયલની લાશ સાચવી છે એવી આશથી,
આંબાના વૃક્ષમાં ફરી ટહુકાર થઈ શકે.
એવા ઘણાય હોય છે જે વાતવાતમાં,
પૂરી ગઝલ લખીને ઓમકાર થઈ શકે.
– અનિલ જોશી
પ્રમુખતઃ ગીતકાર અને નિબંધકાર અનિલ જોશીની ગઝલો શોધવા બેસીએ તો બે આંગળીના વેઢા પણ કદાચ વધારે થઈ પડે. પણ જેટલી ગઝલ મળે છે, એ બધી જાનદાર છે. કવિએ શિકાગો લાઇફલાઇન ઉપર ત્રણ ગઝલોનો નાનકડો સંપુટ આપ્યો છે. એમાંની આ પહેલી છે. પાંચ શેરની આ ગઝલ સમજૂતિની મહોતાજ નથી. એને એમ જ આસ્વાદીએ…
ગઝલ પોસ્ટ કરી દીધા બાદ છંદ તરફ ધ્યાન ગયું. ગઝલનો મુખ્ય સૂર ગાગાલગા લગા લલ ગાગાલગા લગા છંદ તરફનો છે, પણ કવિએ ઘણી બધી પંક્તિઓમાં ભૂલ કરી છે. રમેશ પારેખની જેમ અનિલ જોશી પણ વસ્તુતઃ ગીતકાર વધારે હોવાના કારણે ગઝલ પણ લયપ્રવાહમાં દોરાઈને લખતા હોવા જોઈએ, જેના કારણે આવી ક્ષતિઓ જન્મ લે. અન્ય ગઝલકારો પોતાના છંદદોષને છાવરવા માટે આવી રચનાઓનો ઉપયોગ ન કરે એ જ ગુજરાતી ગઝલના હિતમાં છે…
Permalink
March 25, 2025 at 11:30 AM by વિવેક · Filed under અનિલ જોશી, ઊર્મિકાવ્ય

(વસંતતિલકા)
ઊંચે ચડ્યું ગગનમાં સરતું વિમાન
નીચે હતો ઘૂઘવતો દરિયો અપાર
ઝાંખી હતી ધુમસમાં સઘળી દિશાઓ
ધીમેકથી શિશુ સમો તડકો, અડી ગ્યો.
ઉજાગરા નયનમાં ચમકંત જાણે—
નાઇટલૅમ્પ સળગે હળવા પ્રકાશે!
કૅસેટમાં વગડતી શરણાઈ ધીમે વ્હેલી
સવાર ફરતી પરિચારિકાશી! પંખી નથી,
ઝરણ નૈ, નથી હાડ, કેડી કેવું સવાર પડતું
ઊડતા વિમાને? ભૂમિ વિના ગગનને અહીં
ધોઈ પીવું? બારી ખોલું? કદીય જે ઊઘડી
શકે ના? ચાંપું દબાવી જગનો વ્યવહાર
ચાલે રિમોટ અંકુશ હરિ, તુજ હાથ જોઉં.
– અનિલ જોશી
જે જમાનામાં સૉનેટનું ચક્રવર્તી શાસન હજી અસ્તાચળે નહોતું ગયું એ જમાનામાં અનિલ જોશીએ એકેય સૉનેટ ન લખ્યું એ વાત નવાઈ જન્માવે એવી છે. પ્રસ્તુત છંદોબદ્ધ ઊર્મિકાવ્યમાં એક જ પંક્તિ ઉમેરીને કવિ સૉનેટ રચી શક્યા હોત,પણ પોતે જે કહેવું છે એ તેર પંક્તિઓમાં કહેવાઈ જતાં ચૌદમી પંક્તિના ઉમેરણનો લોભ કરવાથી કવિ દૂર રહી શક્યા છે એ વાત ધ્યાનમાં લેવા જેવી છે. નદી-ઝરણાં, ભૂમિ-રસ્તા, પશુ-પંખી કશુંય નજરે ન ચડતું હોય એવા ખાલીખમ આકાશમાં ઊડતા વિમાનમાંથી કવિ સવાર પડતી જોઈ રહ્યા છે. વિમાનની અંદર-બહારના વાતાવરણનું સજીવ વર્ણન કર્યા બાદ કવિ સવાર પડતી જોઈને બારી ખોલું કે કેમ એ વિચારે વિમાસે છે. વિમાનના સોફેસ્ટિકેટડ વાતાવરણમાં પણ ધરતી વિનાના ગગનને શું ધોઈ પીવું જેવો તળપદી રુઢિપ્રયોગ કવિઉરે જન્મ્યા વિના રહી શક્યો નથી. જે બારી કદી ખૂલી જ નથી એને ખોલવાનો વિચાર કવિની પ્રકૃતિ સાથે તાદાત્મ્ય અનુભવવાની ઉત્કંઠાનું પ્રતીક છે. વિમાનની અંદરનો બધો વ્યવહાર ચાંપ દબાવીને થતો જોઈ કવિને ઈશ્વર યાદ આવે છે. દુનિયાનું રિમોટ કંટ્રોલ ઈશ્વરના હાથમાં રહેલું છે એ સ્મરણ સાથે કવિ સૉનેટા જેવી ચોટ સાથે કાવ્ય પૂર્ણ કરે છે.
Permalink
March 24, 2025 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, અનિલ જોશી, ગદ્ય કાવ્ય

બોરસલ્લીના ઝાડ ઉપર બેસીને ઝૂલતા પીળક પંખીમાં સમેટાઈ ઘનીભૂત થતી જતી એક સાંજે મારું કાદવથી ખરડાયેલું શરીર જંગલની ભૂખરી કેડીઓ પાસેથી આડાઅવળા વળાંક ખરીદતું ખરીદતું ડાંગરની ક્યારી પાસે આવીને અટકી પડ્યું. અટક્યું ત્યાં તો મારું આસપાસ બનીને ચક્કર ચક્કર ફરતી સૃષ્ટિ કોઈ રંગીન પતંગિયાની માફક ઊડવા લાગી. અરે, સારા સારા કવિઓને પણ વાચાળ કરી મૂકે એવાં મકાઈનાં લીલ્લાં લીલ્લાં ખેતરો—ધોરિયા વાટે ખળખળ વહેવા લાગ્યાં. ઘાસની પીળચટ્ટી ગંજીઓમાં વેરાઈ પડેલા સાંજના તડકાને ઊંચકવા મથતા રખડું પવનના સુસવાટાઓ તો રમૂજ ઉત્પન્ન કરવા લાગ્યા. અને ખિસ્સામાં ઠાંસીઠાંસીને ભરી લેવાનું મન થાય એવી આ ડાંગરની ક્યારીઓ પાસે મારું હોવું મને પૂરતું લાગ્યું. આ ક્ષણે અચાનક મારા ખમીસ પર આવીને બેસી જતું અટ્ટાપટ્ટા રંગવાળું પતંગિયું જો હિલ્લોળા લેતું તળાવ હોત તો હું નિર્વસ્ત્ર બનીને એટલું નાહ્યો હોત… એટલું નાહ્યો હોત… એટલું નાહ્યો હોત… એટલું….
– અનિલ જોશી
બંધન કદી કોઈને રાસ આવતું નથી. વિશ્વની દરેક ભાષામાં કાવ્યસર્જનનો પ્રારંભ છંદોબદ્ધ કવિતાઓથી જ થયો છે. સમયનાં વહેણ સાથે કાવ્યના આકાર અને કદ અવશ્ય બદલાયા, પણ છંદ ટકી રહ્યા. પણ ઇતિહાસ સાક્ષી છે કે સમય સાથે દરેક ભાષાના કવિઓએ છંદ સામે બળવો કરી મુક્તવિહાર કર્યો જ છે. ગુજરાતી ભાષામાં પણ અછાંદસ કાવ્ય અને પરિચ્છેદકાવ્યની પ્રણાલિ સમાંતરે વિકસતી નજરે પડે છે. પંક્તિઓને તોડીને અનિયત આકાર સાથે લખાતા અછાંદસ કાવ્યથી વિપરિત ગદ્યફકરાની જેમ જ આલેખાતા પરિચ્છેદકાવ્ય કે ગદ્યકાવ્ય માટે કોઈ સંજ્ઞા નિયત થઈ છે કે કેમ એ બાબતે જાણકાર મિત્રો પ્રકાશ ફેંકી શકે. સમય સાથે આ રીતે અછાંદસ કવિતા લખવાનો ચાલ ઓસરતો ગયો છે. પણ અનિલ જોશીની કલમે આવાં કેટલાંક કાવ્ય અવતર્યાં છે, જેમાંનું એક અત્રે રજૂ કરીએ છીએ…
Permalink
March 23, 2025 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, અનિલ જોશી

સમુદ્રના ખારા પવનથી
ચિક્કાર ભરેલા દીવાનખાનામાં
પિયાનોની કાળી અને ધોળી ચાલનાં પગથિયાં ઊતરતી
પીળી આંગળીઓ એકાએક અટકી પડી.
કાનમાં સન્નાટો ભરાઈ ગયો
અમે બે મિનિટની દાબડીમાં
મૌન ગોઠવીને ઊભા રહ્યાં.
પણ શબ્દ સરોવરના હંસ!
તમે ક્યાં ચાલ્યા? બેસો. બેસો.
આ તો રાજાબાઈ ટાવરના કાંટા ઉપર
કબૂતર બેઠું ને સાડા પાંચ વાગ્યા.
– અનિલ જોશી
માછલી જે રીતે પાણીમાંસરકતી હોય એ રીતે કવિની કલમ ગીતોમાં સરતી રહી હોવા છતાં એમણે અછાંદસ અને છંદોબદ્ધ કાવ્યોમાં પણ પ્રમાણમાં ઠીકઠાક કહી શકાય એવું ખેડાણ અને એય અધિકારપૂર્વક કર્યું છે. સારો કવિ એ જે એક શબ્દથી કામ ચાલી જતું હોય ત્યાં સવા શબ્દ પણ ન વાપરે. પ્રસ્તુત રચના એનું એક ઉદાહરણ ગણી શકાય. વાત એક કવિના મૃત્યુની છે અને એનું આલેખન પણ એક કવિ જ કરી રહ્યા છે. બ્લેક એન્ડ વાઇટ જિંદગીના પિયાના પર ખરતા પાન જેવી પીળી આંગળીઓ ફરતી નથી, પણ પગથિયાં ઊતરી રહી છે એટલામાં જ ઘણું સમજાઈ જાય છે. મૃતક પાછળા પળાતું બે મિનિટના મૌનમાં સાહજિકતા ઓછી અને ખોખલો શિષ્ટાચાર વધુ હોય છે એ વાત બે મિનિટની દાબડીમાં મૌન ગોઠવવાના રૂપક વડે કવિએ કેવી સ-રસ રીતે રજૂ કરી છે! શબ્દ સરોવરના હંસ જેવો કવિ અકાળે ચાલ્યો જાય એ વાત હજી ગળે ન ઊતરતી હોવાથી કથક એને ચાલ્યા ન જતાં એમ કહીને બેસવાની તાકીદ કરે છે કે રાજાબાઈ ટાવરના કાંટામાં સાડા પાંચ થવાને આમ તો વાર હતી, પણ કબૂતરના કાંટા પર બેસવાથી સાડા પાંચ થોડા વહેલા વાગી ગયા છે… મુંબઈનો સુપ્રસિદ્ધ રાજાબાઈ ટાવર મુંબઈ વિશ્વવિદ્યાલયના પટાંગણમાં આવ્યો છે. સાડા પાંચે ટકોરા વાગે અને વિદ્યાર્થીઓ ક્લાસ અને કેમ્પસ છોડી પોતાના ઘરે જવા હડી કાઢે એ ઘટનાને કવિએ પ્રાણપંખેરુ ઊડી જવા સાથે આબાદ સાંકળી લીધી છે.
Permalink
March 22, 2025 at 12:30 AM by વિવેક · Filed under અનિલ જોશી, ગીત

દરિયાનાં ગીત નથી ગાવાં,
દરિયો તો મારા સાજનની આંખજોયું ટીપું.
લયથી હું રેબઝેબ રેલાતી જાઉં મારા ખૂટે દિવસ નહીં રાત
વાસણની જેમ પડ્યાં હાથમાંથી કામ અને વીસરાતી ચાલી આ જાત!
હું તો રણમાં જોવાતી તારી વાટ રે સજન, તમે આવો તો કૈંક હવે દીપું,
દરિયાનાં ગીત નથી ગાવાં, દરિયો તો મારા સાજનની આંખજોયું ટીપું.
ફળિયામાં ઝૂલે છે ખાખરાની ડાળ, અને ઓસરીમાં હોવાનો ભાર
ઘરની શોભા તો મારા સાજનના બોલ, હું તો કેડીનો રઝળુ શણગાર!
સાજનનાં પગલાંની ભાતને હું ઝીલવા સળીઓનાં નીડ નહીં લીંપું,
દરિયાનાં ગીત નથી ગાવાં, દરિયો તો મારા સાજનની આંખજોયું ટીપું.
– અનિલ જોશી
પાંચમા ધોરણના દિવાળી વેકેશનમાં મેં કવિતા લખવાની શરૂઆત કરી હતી એટલે કવિતા એ પહેલેથી જ મને આકર્ષતી હશે એ વાત તો નક્કી જ, પણ અનિલ જોશીની આ રચના મારા માટે એટલા માટે ખાસ છે કે આ ગીતે મને સાચા અર્થમાં કવિતાના પ્રેમમાં પાડ્યો. આ ગીત મને વરસો સુધી કંઠસ્થ રહ્યું. હજી આજેય મુખડું અને પહેલો બંધ હું અડધી રાતેય આંખ મીંચીને લલકારી શકું એટલું આ ગીત મારા દિલની નિકટ છે. આશ્ચર્ય તો એ છે કે લયસ્તરોની વીસ-વીસ વરસની સુદીર્ઘ યાત્રા દરમિયાન આ ગીત પોસ્ટ કરવાનું મને કદી સૂઝ્યું જ નહીં. મુખડામાં દરિયાની સાપેક્ષે આંસુનું ટીપું મૂકીને કવિએ બિંદુને સિંધુ સમકક્ષ પહોંચાડવાનું જે કવિકર્મ કર્યું છે એણે પહેલી જ બોલે બેટ્સમેન ક્લિન બોલ્ડ થઈ જાય એ રીતે પહેલા વાંચનમાં જ મારી વિકેટ પાડી દીધી હતી. દુનિયાની કોઈ પણ પ્રેમિકા પોતાના પ્રિયજનની આંખમાં આંસુનું ટીપું જોવા તૈયાર ન જ હોય. પ્રિયજનની આંખોમાં આવતું આંસુ દરિયાથીય વિશાળ લાગતું હોવાથી નાયિકા દરિયાનાં ગીત ગાવાં તૈયાર ન થાય એ વિભાવના પૂરી સમજાયા વિના પણ મને સ્પર્શી ગઈ હતી. કામ કરતી વ્યક્તિ પરસેવે રેબઝેબ થાય એ તો સમજાય પણ જેના હાથમાંથી વાસણની જેમ તમામ કામ પડી ગયાં હોય એવી કામધામ અને જાત વિસારે પાડીને બેઠેલ નાયિકા લયથી રેબઝેબ થઈ જાય એ રૂપકના પ્રેમમાંથી હું આજેય મુક્ત થઈ શક્યો નથી… આ ગીત વિશે લખવા બેઠો છું ત્યારે આ ગીતે મારા બાળમાનસ પર પાડેલ પ્રભાવ અને એની આજ દિનપર્યંત જીવંત રહેલ અસર મને સમજાઈ રહી છે… આભાર, અનિલ જોશી! ગીતો સાથે તમે મારું જે સગપણ બાંધી આપ્યું, એ હવે આ જન્મે તો તૂટવાથી રહ્યું…
Permalink
March 21, 2025 at 12:30 AM by વિવેક · Filed under અનિલ જોશી, ઊર્મિકાવ્ય

(મિશ્ર)
કેવો ગુમાને ગરિયો ચડ્યો છે
આ ભોંય પાડી કમનીય રેખા
ઊભી છ કાયા મુજની પ્રશાંત
બાકી ફરે છે મુજ પાસ માયા
એવું વિચારે—ના જાણતો એ
વીંટાઈ દોરી ચકરે ફગાવ્યો!
– અનિલ જોશી
(પ્રથમ કવિતા, કુમાર ૧૯૬૨)
કવિના સમગ્ર કાવ્યોને આવરી લેતા સંગ્રહ ‘સાગમટે’માં પ્રસ્તુત ઊર્મિકાવ્ય સાથે એ પ્રથમ કવિતા હોવાનો ઉલ્લેખ કરાયો છે. લયસ્તરો પર ‘અનિલ-વિશેષ’ના શ્રીગણેશ એનાથી જ કરીએ. પાછળથી આધુનિક ગુજરાતી ગીતોનો બુલંદ અવાજ બનનાર કવિએ પ્રારંભ સંસ્કૃત વૃત્તથી કરી હતી એ હકીકત પણ નોંધવા જેવી. આજની પેઢીને તો ગરિયો એટલે ભમરડો એય સમજાવવું પડે અને કદાચ હવે તો ભમરડો કોને કહેવાય એય કહેવું પડે એવા દિવસો હવે દૂર નથી. ભમરડો ભોંય પર કમનીય રેખાઓ પાડી રહ્યો છે, મતલબ આ દૃશ્ય શહેરનું નથી… શહેરની સિમેન્ટ અથવા ડામરાચ્છાદિત જમીન પર તો રેખાઓ પડવાથી રહી! ભમરડો ગતિએ ચડ્યો છે એમ કહેવાના બદલે ગુમાને ચડ્યો છે એમ કહી કવિએ કાવ્યારંભ કર્યો છે, અર્થાત્ ભમરડાનું અભિમાન અહીં કેન્દ્રસ્થાને છે. એક જગ્યાએ શાંત ઊભા રહી ભોંય પર રેખાઓ ખેંચતા ભમરડાને લાગે છે કે માયા જેવી પણ માયા પણ એની કાયાની આસપાસ ફૂદરડી ફરે છે, પણ હકીકત એ છે કે કોઈએ દોરીથી વીંટાળ્યા બાદ એને ફગાવ્યો હોવાથી એ ફરી રહ્યો છે. આપણે સહુને પણ ઈશ્વરે પોતાની દોરીથી બાંધ્યા બાદ ઇહલોકમાં ફંગોળ્યા છે. આપણું આ સંસારમાં જે કંઈ પરિભ્રમણ છે, એ બધું પરમેશ્વરની આંગળીઓના ઈશારે જ હોવા છતાં આપણે સહુ મિથ્યાભિમાનમાં જ સદૈવ રાચતા રહીએ છીએ…. કેવી સરસ ગાગરમાં સાગર જેવી રચના!
Permalink
March 20, 2025 at 12:30 AM by વિવેક · Filed under અનિલ જોશી, સાહિત્ય સમાચાર

અનિલ રમાનાથ જોશી
(૨૮ જુલાઇ ૧૯૪૦ – ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫)
ગુજરાતી ગીતકવિતાના સ્તબકોની વાત કરવી હોય તો ઘણાં નામ આંખ સામે તરી આવે, પણ અનિલ જોશીનું નામ આ તમામ નામોમાં ઉફરું તરી આવે છે, કારણ રમેશ પારેખ અને અનિલ જોશીની બેલડી પરંપરિત ગીતકાવ્યના પ્રવાહને નવ્ય વળાંક આપનાર કવિઓમાં પાયાનું અને મોભનું –ઉભય સ્થાન ધરાવે છે. આ જોડી વિશે વાત કરતાં સુરેશ દલાલ લખે છે: “રમેશ અને અનિલનાં કાવ્યો ગુજરાતી કાવ્યસૃષ્ટીમાં એક ‘લીલો’ વળાંક રચી આપે છે.”
સાવ જ અનૂઠા અને એકદમ અત્યાધુનિક કલ્પનસિક્ત વિચારોને અલગ જ માવજત આપીને અનિલ જોશીએ જે રીતે ગીતકાવ્યનું સીંચન અને સંવર્ધન કર્યાં છે એને માટે તો પ્રસંશાના મોટામાં મોટાં વનરાવન પણ વામણાં સિદ્ધ થાય. ગીતના લય સાથે તો એમણે સિદ્ધહસ્ત કવિસહજ ક્રીડાઓ કરી જ છે, પણ ગીતકવિતાને એમણે જે રીતે વણખેડ્યા વિષય-વૈવિધ્યથી નવાજી સમૃદ્ધ કરી છે, એય કાબિલે-તારીફ છે. ચંદ્રકાન્ત ટોપીવાળા લખે છે: “ગીતની બાબતમાં આધુનિક કવિતાનો પહેલો સૂર આ કવિની રચનાઓમાં પ્રગટ્યો છે. ચાલી આવેલા ગીતસ્વરૂપને દ્રઢતર્કમાંથી મુક્ત કરી સંદર્ભો અને સાહચર્યો પર, વાતાવરણના મિજાજ પર તેમ જ અસંબદ્ધ શબ્દભાવજૂથો પર તરતું કરવાનો પ્રયત્ન આથી જ એમના ‘કદાચ’ (૧૯૭૦) કાવ્યસંગ્રહમાં દેખાય છે.”
૮૪ વર્ષનું સુદીર્ઘ આયુષ્ય ભોગવી ક્ષર દેહ ત્યજી તેઓ અ-ક્ષરદેહ મૂકીને તેઓ દિવ્યચેતનામાં લીન થઈ ગયા છે. કોઈ પણ સર્જકને સાચી અંજલિ એના સર્જનની સરાહના કરીને જ આપી શકાય… આવતીકાલથી લયસ્તરો પર થોડા દિવસો સુધી અનિલમય થઈ કવિશ્રીને શબ્દાંજલિ આપીશું… આપના કવિતાપ્રેમી મિત્રોને પણ આ ઉપક્રમમાં જોડાવા નેહનિમંત્રણ પાઠવશોજી… કવિની જે અમર રચનાઓ લયસ્તરો પર અગાઉ પોસ્ટ થઈ ચૂકી છે એ રચનાઓને આ ઉપક્રમમાં ન સમાવવાનું નક્કી કર્યું છે. એ રચનાઓ અને તમામનો ટૂંકો રસાસ્વાદ આપ નીચેની કાવ્યકડીઓ ઉપર ક્લિક કરીને માણી શકશો…
Permalink
March 16, 2025 at 12:30 AM by વિવેક · Filed under અંજના ભાવસાર 'અંજુ', અનિલ ચાવડા, અમર પાલનપુરી, અર્પણ ક્રિસ્ટી, ઉર્વીશ વસાવડા, ગોવિંદભાઈ પટેલ, ચંદ્ર ૫રમાર, ચંદ્રકાન્ત દત્તાણી, જવાહર બક્ષી, તુષાર શુક્લ, પારુલ ખખ્ખર, બી. કે. રાઠોડ 'બાબુ', મયૂર કોલડિયા, રાજેશ વ્યાસ મિસ્કીન, વર્ષા પ્રજાપતિ 'ઝરમર', વિમલ અગ્રાવત, વિવેક મનહર ટેલર, શેર, સંકલન, સંગીતા સુનિલ ચૌહાણ ‘તપસ્યા’, હરીશ ઠક્કર ડૉ., હર્ષદેવ માધવ, હિતેન આનંદપરા
હોળી-ધૂળેટીના ગીતો તો પરાપૂર્વથી લખાતાં આવ્યાં છે, લખાતાં પણ રહેશે. સમય-સમત પ્રમાણે ફ્લેવર બદલાય એ સાચું, પણ દરેકની આગવી મજા છે. છેલ્લા ત્રણ દિવસથી આપણે ફાગણની રંગછોળો (પ્રથમ, દ્વિતીય અને તૃતીય)માં ભીંજાઈ રહ્યાં છીએ… આજે આ શૃંખલાની ચોથી અને હાલ પૂરતી આખરી કડી રજૂ કરીએ છીએ… જે રચનાઓનો સમાવેશ કરવાનો રહી છે, એની રસછોળો લઈને ફરી ક્યારેક ઉપસ્થિત થઈશું… આજની કાવ્યકણિકાઓને કોઈ પણ પ્રકારની પાદટીપ વિના જ માણીએ-
મસ્તી વધી ગઈ તો વિરક્તિ થઈ ગઈ,
ઘેરો થયો ગુલાલ તો ભગવો થઈ ગયો.
– જવાહર બક્ષી
આ કોણ આવીને બેઠું છે મારી આંખમાં,
ભરું હું મુઠ્ઠી ધૂળની અને ગુલાલ મળે.
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
કોઈ પણ રંગ દુનિયાનો અસર એને નથી કરતો,
પ્રણયના રંગમાં જેઓ ‘અમર’ રંગાઈ જાયે છે.
– ‘અમર’ પાલનપુરી
કાળની સમજણ વિનાનાં આપણે,
કેસૂડાં ફાગણ વિનાનાં આપણે.
સહેજ હર્ષોલ્લાસ ના નજરે ચડે,
અવસરો તોરણ વિનાનાં આપણે.
– ઉર્વીશ વસાવડા
છોકરી કેરી હથેલીમાંથી ઝરમર ઝરે ગુલાલ
છોકરા કેરી છાતીમાંથી છલ્લક છલકે વ્હાલ
બંને રંગે ને રંગાતાં સઘળું થાતું સરભર-
વાત હતી સંગીન કે એમણે રમવું’તું ઘરઘર-
– તુષાર શુક્લ
વ્હાલમનું વ્હાલ જાણે વરસે ગુલાલ એને કેમ કરી રાખવું છાનું?
સખિરિ, આવ્યું ટહૂકે ટહૂકવાનું ટાણું!
એના રંગમાં આ હૈયું રંગાણું
– તુષાર શુક્લ
રોજેરોજ હું તને રંગતો, ‘હું’ને ગમે તે રંગે,
આવ, આજ તું ‘હું’ રંગી દે, તને ગમે તે રંગે.
– તુષાર શુક્લ
એક મુઠ્ઠી ગુલાલ આપું છું,
લે, ગુલાબી ધમાલ આપું છું.
હાથ ફેલાવ સામટું લઇ લે,
ફાંટ બાંધીને વ્હાલ આપું છું.
– પારૂલ ખખ્ખર
ના કોઈ પિચકારી લીધી, ના કોઈ રંગ ગુલાલ
નખરાળાએ નજરું તાકી રંગ્યા મારા ગાલ.
– વિમલ અગ્રાવત
વૃક્ષોના કોરા કાગળે કરશે વસંત sign
ને ત્યાર બાદ રંગની જુદી જુદી design
– હર્ષદેવ માધવ
ઉપવન ‘વસન્ત’ એવો પાસવર્ડ મોકલે ત્યાં ફાગણની ખુલી ગઈ ફાઇલ,
વૃક્ષોનો સ્ક્રીન આજ એવો રંગીન, જુઓ ડાળીઓની નવી નવી સ્ટાઇલ!
ભમરાઓ રઘવાયા- આપ્યું ઉદારતાથી આંબાની મંજરીએ સ્માઇલ.
પુષ્પોનો એસ.એમ.એસ. વાંચીને કોયલ પણ જોડે છે સામે મોબાઇલ
– હર્ષદેવ માધવ
ફાગણ આવ્યો ફૂલ્યો,
શિશિર તણો પાલવ ખેંચાતાં વૈભવ સઘળો ખૂલ્યો.
કેસૂડલાની કળીએ કેવાં સ્વપ્ન સુનેરી સીંચ્યાં!
આભ તણા અંતરને આંબી હૈયાં હેતે હીંચ્યાં,
કોકિલના ટહુકારે કેવાં બદલી નાંખ્યાં મૂલ્યો!
– ગોવિંદભાઈ પટેલ
સૂરજ સગડો આજ હમચ્યો કૈં આભલે ફૂંચી હોળી,
વાયરે મેલ્યો સગડો ભોડે અંગ ભભૂતી ચોળી;
એક બોકાહે પડતું મેલ્યું ભોળિયા ઓલા હોલે!
કુલહોમને તોળવા બેઠો તરખલાને તોલે!
વાયરો સેસુડા જબરા બોલે!
– ચંદ્ર પરમાર
વસંત કેરી ડાળે ટહુકે, કોકિલ પંચમ ઢાળ કે ફાગણ આયો જી
નટખટ નટવર છેલછબીલો કરે કાંકરીચાળ કે ફાગણ આયો જી
– વર્ષા પ્રજાપતિ ‘ઝરમર’
અમથા અમે જરાક ઈશારે ચડી ગયા,
એના હૃદયના રંગ તો ગાલે ચડી ગયા!
– હરીશ ઠક્કર
રંગમાં ડૂબીને પણ છું સાવ રંગાયા વગર,
હું જગતમાં રહું, જગતથી સહેજે અંજાયા વગર.
– અનિલ ચાવડા
પંખીએ બે ટહુકા વેર્યા,
હવા બધીયે ગુલાલ થઈ ગઈ.
– અનિલ ચાવડા
એના ઘરેથી એક પંખી આવ્યું છે લઈ ટહુકામાં એની ટપાલ,
સહેજ ટહુકામાં ફળિયાની રેતી ગુલાલ
– મયૂર કોલડિયા
ચોતરફ આલિંગનો, આલિંગનો આલિંગનો
સાવ ધુંવાધાર છે ઉપદ્રવ વસંતનો!
– ચંદ્રકાન્ત દત્તાણી
વાત જુદી કંઈ ભીજાવાની તારી સંગે
આવ તને હું રંગી નાખું મારા રંગે!
– હિતેન આનંદપરા
રંગ કાચો તું લગાડીને ગયો,
ભાત હૈયે પાકી પાડીને ગયો.
સ્પર્શ એ આછો અછડતો, ને છતાં;
સ્પંદનો ભીતર જગાડીને ગયો.
– અંજના ભાવસાર ‘અંજુ’
હાથ છે લાલ લાલ લોકોના,
લોહી હો કે ગુલાલ, બીજું શું!
– બી. કે. રાઠોડ ‘બાબુ’
રંગ કોઈ હોય ના તો ચાલશે,
આંગળી મૂકી દે મારા ગાલ પર.
– અર્પણ ક્રિસ્ટી
દિલની મોસમ ફાગણ થઈ છે,
ફૂલો સરખી થાપણ થઈ છે.
– સંગીતા સુનિલ ચૌહાણ ‘તપસ્યા’
સરસ મજાના ઇન્દ્રધનુષી રંગ લગાવું ગાલે,
ફાગણિયાના ફાલે, રમીએ ભીનાંભીનાં વહાલે,
ને તું ના આવે એ ચાલે?
– વિવેક મનહર ટેલર
ઘણાક આવ્યા, ઘણા ગયા પણ ગયું છે કોરુંકટ્ટ કોણ અહીંથી ?
ઢાઈ આખરની પિચકારીથી ચતુરસુજાણ રંગાયા છે.
– વિવેક મનહર ટેલર
ખૂણા-ખાંચરા ખોળીને,
ઇચ્છાઓની ટોળીને
રંગરંગમાં ઘોળીને
ચાલ, ઉજવીએ હોળીને.
– વિવેક મનહર ટેલર
બારી સવારની જ્યાં ખોલી, ત્યાં આવી એક સપનાએ કહ્યું મને, ઓ રી !
તું લાખ બચાવ તારી ચોળી, ભીંજાવું આજે નક્કી પરમાણ તારું ગોરી.
– વિવેક મનહર ટેલર
ફાગણની મોસમનો પહેલો કમાલ જુઓ,
લીલો હતો તે થયો ગુલમોર લાલ, જુઓ.
મોસમની મહેફિલના નોખા સૂરતાલ જુઓ…
હાથ હો કે હૈયું, છે સઘળું ગુલાલ, જુઓ…
– વિવેક મનહર ટેલર
Permalink
March 15, 2025 at 12:30 AM by વિવેક · Filed under અમૃત ઘાયલ, અવિનાશ વ્યાસ, કરસનદાસ લુહાર, કાવ્યકણિકા, ગઝલ, ગની દહીંવાળા, ગીત, પુરુરાજ જોશી, પ્રિયકાંત મણિયાર, મકરન્દ દવે, મનોજ ખંડેરિયા, મેઘબિન્દુ, રમેશ પારેખ, રાજેન્દ્ર શુક્લ, શેર, સંકલન, સુરેશ દલાલ, હરીન્દ્ર દવે
ગઈકાલે અને પરમદિવસે આપણે ફાગણની પ્રથમ અને દ્વિતીય રંગછોળ માણી… આજે આ શૃંખલાની ત્રીજી કડી… ફાગણ વિષયક કવિતાઓ એકત્ર કરવા બેસીએ તો આખો ગ્રંથ ભરાઈ જાય… આપની પાસે ફાગણ અને હોળી-ધૂળેટીના રંગોની કવિતાઓ હોય તો કમેન્ટ વિભાગમાં પોસ્ટ કરવા અમારું આપને નેહનિમંત્રણ છે… ભવિષ્યમાં આ શૃંખલા આગળ વધારીએ ત્યારે એ કાવ્યકણિકાઓને એમાં સમાવિષ્ટ કરવા અચૂક પ્રયત્ન કરીશું…
પ્રકૃતિ અને સૌંદર્યના કુમાશભર્યા આલેખનના કસબી કવિ પ્રિયકાંત મણિયારનાં મુલાયમ રંગકાવ્યોમાંથી કેટલાકનાં અંશ સાથે આજની રંગછોળના શ્રીગણેશ કરીએ-
છેલછબીલે છાંટી મુજને છેલછબીલે છાંટી…
નિતના શ્યામલ જમુના જલમાં રંગ ગુલાબી વાટી…
વસન્ત આવી રમવા રમાડવા ફાગે!
રસિયા જન તણી ખુલ્લી છાતીએ લાલ લાલ
ફાગણ તણો ગુલાલ લાગે!
યૌવનના રાગને જગાયો!
ફાગણનો વાયરો વાયો,
હો, ધૂળે અવકાશ બધો ન્હાયો!
હરીન્દ્ર દવે મુદ્દાની વાત કરે છે. ઋતુચક્ર તો ફરતું રહે, મોસમ તો આવનજાવન કરતી રહે, પણ પ્રિયજન માટે તો એના પ્રિયપાત્રનો મિજાજ એ જ ખરી મોસમ-
હોઠ હસે તો ફાગુન, ગોરી! આંખ ઝરે તો સાવન,
મોસમ મારી તું જ, કાળની મિથ્યા આવનજાવન.
કઈ અણજાણી લ્હેર મને વ્હાલ કરી ગઈ,
હતું અંધારું આભ, ત્યાં ગુલાલ કરી ગઈ!
કોઈ અગોચર ઈજન દીઠું નયનભૂમિને પ્રાંગણ,
હું સઘળી મોસમમાં માણું એક અહર્નિશ ફાગણ;
શતદલ ખીલ્યા કામ્ય કમલ પર સૌમ્ય ગીતનું ગુંજન.
તેં પૂછ્યો પ્રેમનો મર્મ અને હું દઈ બેઠો આલિંગન,
મકરંદ દવેનું ‘વસંત-વર્ષા’ કાવ્ય નખશિખ આસ્વાદ્ય થયું છે… રચનાનો લય રચનાનું જમાપાસું છે.. અન્ય કાવ્યોની જેમ એનો કાવ્યાંશ માણવાના બદલે એને આખેઆખું જ કેમ ન માણીએ?-
ખેલત વસંત આનંદકંદ.
સોહે ગુલાલમય શ્યામ અંગ નીરદ નવીન પર અરુણ રંગ.
પટ પીત વીજ ચમકે અમાપ, શિર મોરપિચ્છ જયમ ઇન્દ્રચાપ.
પિચકારી કેસુ-જલ રેલછેલ, તરબોળ ગોપ ગોપી છકેલ.
નાચે નિછોરી હસી નંદલાલ, કેસર અબીલ કુંકુમ ગુલાલ.
બાજે મૃદંગ ડફ વેણુ શોર, ગાજે સુઘોષ ઘન ગગન ઘોર.
હરિ બોલ રંગ! હરિ બોલ રાગ! ગાવત ગુણીજન હોરી-ફાગ.
મકરન્દ ધન્ય મંગલ અનંત, વ્રજરાજ આજ વરસે વસંત.
શહેરની ધૂળેટી તો ઝડપભેર બદલાઈ ગઈ… પણ ગામડાંની ધૂળેટીમાં હજીય થોડી કુમાશ અને નૈસર્ગિકતા બચી ગઈ છે… શહેરોમાં તો પાલવનો છેડલો દંતકથા બનવાને આરે છે. અવિનાશ વ્યાસના એક સુંદર ગીતનો આખરી બંધ માણીએ…
પાલવનો છેડલો કેટલોયે ઢાંક્યો
તોયે ગુલાલ મારે કાળજડે વાગ્યો
મારુ કાળજડું તોડીને એ તો હાલ્યો રે…
રસિયાએ મારગડો રોકીને રંગ ઢાળ્યો..
રાજેન્દ્ર શુક્લની આ ગઝલમાંથી કયા શેર પસંદ કરવા અને કયા નહીં એ કાર્ય એટલું તો દુભર છે કે આખી ગઝલ માણ્યે જ છૂટકો. આપણા આખાય અસ્તિત્વને મઘમઘ કરી દે એવી આ ગઝલ લવિંગની જેમ ધીમે ધીમે મમળાવવા જેવી છે…
અહો શ્વાસ મધ્યે વસંતો મહોરી,
ઊડે રંગ ઊડે ન ક્ષણ એક કોરી !
ઊડે દૂરતા ને ઊડે આ નિકટતા,
અહીં દૂર ભાસે, ત્યહીં સાવ ઓરી !
ઊડે આખ્ખું હોવું મુઠીભર ગુલાલે,
ભીંજે પાઘ મોરી, ભીંજે ચુનરી તોરી !
ઊડે છોળ કેસરભરી સર સરર સર,
ભીંજાતી ભીંજવતી ચિરંતનકિશોરી !
સુભગ આપણો સ્વર બચ્યો છે સલામત,
ગઝલ ગાઈયેં, ખેલિયેં ફાગ, હોરી !
ગઝલની વાત નીકળે અને ગઝલસમ્રાટ મનોજ ખંડેરિયાને ન સ્મરીએ એ કંઈ ચાલે? માણીએ એમની સદાબહાર ગઝલનો એક યાદગાર શેર-
ઊડી રહ્યાં છે યાદનાં અબીલ ને ગુલાલ
હૈયે થયા છે આજ તો છાંટા વસંતના
નિત અબીલે-ગુલાલે લેટી છે,
આપણી જિંદગી ધૂળેટી છે.
ગઝલકારોની મહેફિલ જામી હોય તો અમૃત ઘાયલ શીદ બાકી રહી જાય?
એક રસનું ઘોયું એમ મને ટચ કરી ગયું
ખંજરો હૃદયમાં જાણે કોઈ ખચ કરી ગયું!
એ સૂર્યનેય આજ તો સૂરજમુખીનું ફૂલ
બહુ ઢીલોઢફ, ને છેક પીળોપચ કરી ગયું!
મનોજ ખંડેરિયાની ગઝલનો રણકાર ઝીલી લઈ આગળ વધારતી હોય એવી કરસનદાસ લુહારની ગઝલના બે શેર પણ આ ક્ષણે આસ્વાદવા જેવા છે:
આ પાંદપાંદમાં છે ઉમંગો વસંતના,
છલકી રહ્યા છે ફૂલમાં રંગો વસંતના.
આભાસ ગ્રીષ્મનોય પણ સ્પર્શી શકે નહીં,
ઊતરી ગયા છે લોહીમાં રંગો વસંતના.
લોહીમાં વસંતના રંગો ઊતરી જાય ત્યારે રક્તવાહિની વસંતવાહિની-રંગવાહિની બની જાય અને હૈયું કેસૂડાઈ જાય… વસંતમાં રંગનો જ મહિમા છે. આ જ કવિ બીજી એક ગઝલમાં કહે છે:
આવું થવાને પાપ કહેવું એ જ પાપ છે,
ગેરુઆ વસ્ત્રમાં પડ્યો ડાઘો વસંતનો.
ગનીચાચાની તો વાત જ નિરાળી… કહે છે:
ઉદ્યાનમાં જઈને કર્યા મેં તમોને યાદ, (કેમ ભાઈ? તો કે..)
ફૂલોને જોઈતી હતી ફોરમ વસંતમાં.
પાપી હશે એ કોણ જે ગૂંગળાવે ગીતને,
કોકિલને કોણ શીખવે સંયમ વસંતમાં!
આ ઇન્દ્રધનુષની પિચકારી કાં સપ્ત રંગમાં ઝબકોળી?
ફાગણ નહિ આ તો શ્રાવણ છે, એમાંયે રમી લીધી હોળી?
છંટાઈ ગયા ખુદ, વ્યોમ સમું પોતાનું વસ્તર ભીંજાણું?
નવલું નીલાંબર ભીંજાણું.
પુરુરાજ જોશી બહુ જ ઓછા શબ્દોમાં જે વાત કહી શક્યા છે, એ કહેવા માટે પાનાનાં પાનાં ઓછાં પડે… સારી અને સાચી કવિતાની આ જ તો ખરી ખૂબી છે, ખરું ને?-
ફાગણમાં હોળી પ્રગટાવી !
ખુદને આપણે ખોયાં સાજન !
ગામમાં ફાગણ અને હોળીની ખરી મજા એના ફટાણામાં છે… ફાગણની વાત જ અલગ અને એય વળી જો ફટાણું હોય તો એમાં ગોળથીય મીઠ્ઠી લાગે એવી ગાળ પણ આવવાની જ. ફટાણાં ગાઈને સામી વ્યક્તિને અપશબ્દોથી નવાજવાની જે આઝાદી આપણા સાહિત્યમાં છે એ ખૂબ મજાની છે… કારણ આ રીતે આપવામાં આવેલી ગાળ પણ ગાળ નહીં, પ્રેમની પ્રસાદી જ લાગે છે… ખાખરાના કેસરી રંગમાં ર.પા.ને રંગભરી પીચકારીઓ નજરેચડે છે. આખું ગીત ફાગણનો ફાટ-ફાટ વૈભવ અને યૌવનના ઉંબરે ઊભેલાછોકરા-છોકરીની પ્રણયાસિક્ત સંવેદનાઓને એવી રમતિયાળ ઢબે રજૂ કરે છે કે વાંચતા-વાંચતા જ રમવા દોડી જવાનું મન થાય…
એન્ની માનું કોરું નહીં જાય કોઈ બાકી
કે ખાખરાએ ડાળીઓની પીચકારી તાકી
ને ઢોલ હાળા ધકામૂકી ધકામૂકી થાય…
ફળિયે પલાશ ફૂલ નીતરતું ઝાડ
અને હું રે વેરાઈ જઉં રાનમાં
મારી હથેળીમાંય એવી રેખાઓ
જેવી રેખાઓ ખાખરાના પાનમાં
લીંબોળી વાવીને છાંયડા ઊછેરું પણ ચોમાસું કેમ કરી વાવવું?
ફાગણની કાળઝાળ બળતી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું.
જ્યારે શબ્દકોશ અને શરીરકોષની સીમા વળોટીને આપણે પર્વ ઉજવીએ છીએ ત્યારે જીવન નંદનવન બને છે
આંખની તો વાત ના પૂછો કે એને શું થયું
દૃશ્ય સૌ ગાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે
શબ્દકોશો ને શરીરકોષોની પેલે પારનાં –
પર્વ ઉજવાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે
સુરેશ દલાલ અંબોડામાં કેસૂડો પરોવીને આંખોમાં ફાગણનો કેફ આંજી રમવા માટે જે ઈજન આપે છે એને કોઈ કઈ રીતે ઠુકરાવી શકે?
આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ અને અંબોડે કેસૂડો લાલ;
રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !
અમે તલવાર ને ઢાલ છીએ ઘેરૈયા
અમે આજ અને કાલ છીએ ઘેરૈયા
અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા
અમે ફાગણનો ફાલ છીએ ઘેરૈયા
આજ મારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ રે…
પિચકારી મારો નહીં ગિરીધારીલાલ રે …
રાધિકાનો રંગ એક, તારુ તે વ્હાલ રે…
પિચકારી મારો નહીં ગિરીધારીલાલ રે …
અંતે સુ.દ.ના સાંવરિયા રમવાને ચાલનો પડઘો ન પાડતા હોય એ રીતે કવિ મેઘબિંદુ જે વાત રજૂ કરે છે એને રંગપૂર્વક માણીને આવતીકાલની રંગછોળની પ્રતીક્ષામાં રત થઈ જઈએ-
ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ
પછી મલક્યા વિના તે કેમ રહીયે
કામણ કીધા અહીં કેસુડે એવા
કે મહેક્યા વિના તે કેમ રહીયે
Permalink
March 14, 2025 at 12:30 AM by વિવેક · Filed under ઉમાશંકર જોશી, કાવ્યકણિકા, ગીત, જગદીશ ધનેશ્વર ભટ્ટ, જયન્ત પાઠક, ઝવેરચંદ મેઘાણી, દેશળજી પરમાર, નિનુ મઝુમદાર, નિરંજન ભગત, પ્રહલાદ પારેખ, બાલમુકુન્દ દવે, મુક્તક, રંગ અવધૂત, રાજેન્દ્ર શાહ, રામનારાયણ વિ. પાઠક, વેણીભાઈ પુરોહિત, સંકલન, સુન્દરમ, સોનેટ
ગઈકાલે આપણે ફાગણવિષયક કાવ્યકડીઓની પ્રથમ રંગછોળથી રંગાયા… આજે ધૂળેટીના દિવસે વારો છે બીજી રંગછોળથી ભીંજાવાનો-રંગાવાનો…
ફાગણમાં પ્રકૃતિ તો અવનવા રંગે રંગાય જ છે, મનુષ્યો પણ હોળી-ધૂળેટીના બહાને રંગોથી રંગાવાનું ચૂકતા નથી. કહો કે, માનવ આ રીતે કુદરત સાથે બે’ક ઘડી તાદાત્મ્ય સાધી લે છે. ઝવેરચંદ મેઘાણીના બે કાવ્યોના અંશ માણીએ-
આજ ફાગણને ફાગ, રુમઝૂમતી રમવા નીસરી;
આજ ગલ ને ગુલાલ છાંટન્તી રમવા નીસરી;
રમવા નીસરી, મુખ રાતાં કરી રે.
ફાગણ આયો, ફાગણ આયો, ફાગણ આયો રે!
ઋતુઓ કેરો રાજન આયો- ફાગણ આયો રે!
દેશળજી પરમાર જેવા કવિ પણ વસંતની હોરીથી કિનારો કરી શક્યા નથી-
પિય, આવી વસંતની હોરી;
નિજ લાવી અધર-કટોરી.
બધા તહેવારોમાં હોળીનો તહેવાર શ્રેષ્ઠ છે એ વાત રા. વિ. પાઠક હોળીના રમતિયાળ હળવા હાસ્યવિનોદ સાથે કેવી સરસ રીતે સમજાવે છે! કાવ્યાંશ માણીએ-
બ્રાહ્મણ ગાતા વેદ, બળેવને દિન નાહી ધોઈ;
પણ નાતજાતના ભેદ: હોળીથી હેઠા બધા!
સૌ સૌએ તહેવાર, એક લાલ ટપકું ભાલે ધરે,
આ તો રેલે અબીલ ગુલાલ : હોળીથી હેઠા બધા!
બાલમુકુંદ દવેના ગીતોમાં ફાગણ સોળે કળાએ ખીલતો દેખાય છે. એક કાવ્યમાં વહેલા-મોડા બધા જ આ રંગોમાં રંગાયા વિના રહી શકવાના જ નથીનો કુદરતનો કાનૂન આલેખે છે તો બીજા કાવ્યમાં જરા બારી ઉઘાડી નથી કે ફાગણવાયુના કમાલનો શિકાર થયા નથીની ચીમકી એ આપે છે-
ફાગણ ફટાયો આયો, કેસરિયા પાઘ સજાયો
વરણાગી મન લુભાયો, રંગ છાયો રંગ છાયો રે.
કો રંગ ઊડે પિચકારીએ, કેસૂડે કામણ ઘોળ્યા
કોઈ ના કોરૂ રહી જશે, જી કોઈ મોડા કોઈ વ્હેલા!
દિલદડૂલો સમાલજે ગોરી!
ફાગણવાયુ કમાલ છે હોરી!
બા’ર જો ડોકાશે બારી ઉઘાડી,
વાગશે કો’કના નેણની ગેડી!’
નિનુ મજમુદારની રચનામાં પોતાને છોડીને અન્ય સ્ત્રીના રંગે રંગાતા દિલફેંક પિયુની વાત કેવી નજાકતથી રજૂ થઈ છે એ જોવા જેવું છે-
સઘળા રંગો મેં રોળ્યા દિલના રંગની સાથ
તોય પીયુની પાઘડીએ પડી કોઈ અનોખી ભાત
બધા જ કવિ ફાગણના રંગે રંગાતા હોય તો ઉમાશંકર જોશી કંઈ બાકાત રહે? જુઓ આ-
ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય કે ચૈતર કોણે દીઠો રે લોલ;
વ્હાલા મોરા, જોબન ઝોલાં ખાય કે ઝૂલણો લાગે મીઠો રે લોલ.
બહેકે જૂઈ ચમેલડી, બહેકે મલયસમીર
ફરકે મઘમય મ્હેંકતા વનદેવીના ચીર
પલાશ પુષ્પિત શોભતો જાણે દવની ઝાળ
વન વન આંચ લગાડતો ફાગણ ભરતો ફાળ
‘ફાગ ખેલો! રાગ રેલો! આજ આવી ફાગણી!’
હવા ગાતી ફરે ઘર ઘર મઘુરમદીલી રાગણી
વિશ્વનો આનંદ ઢૂંઢતી જોગણ ફાગણી આવી
ચાંદની એનો અંચળો શોભન ફાગણી આવી
ફાગણ ફૂલ્યો ફુલડે, જાણે સુહાગી ફાગ
કંઠે આવી ઉછળે હરદમ ભર્યો જે રાગ
હવા મહીં કો’ વેરતું આછો અબીલગુલાલ
હસી ઉઠે, છંટાય ત્યાં, હૈયા લાલમલાલ
રાજેન્દ્ર શાહ તો જાણે ફાગણ વેચવા ન નીકળ્યા હોય એમ કોઈ ફાગણ લ્યોની આહલેક જગાવતા નીકળી પડ્યા છે… એમના ત્રણેક કાવ્યોના રસિકાંશ માણીએ-
હે જી ફાગણ આયો ફાંકડો કોઈ ફાગણ લ્યો
એના વાંકડિયો છે લાંક રે કોઈ ફાગણ લ્યો
હો સાંવર થોરી અંખિયનમેં જોબનિયું ઝૂકે લાલ,
મોરી ભીંજે ચુંદરિયા, તું ઐસો રંગ ન ડાલ
હો સાંવર લીની કેસર ઝારી, મૈને લીનો ગુલાલ
દુનિયા કેરા ચોકમાં આજે કોણ છોરી કોણ છેલ?
ગાનમાં ઘેલાં, રંગમાં રોળ્યાં રમતાં રે અલબેલ!
આવી સુખ સુહાગન વેળ, ચારિ ઓર લાલ ઉડાયો રી.
ફાગુન આયો રી!
નિરંજન ભગત જેવા ગંભીર પ્રકૃતિના કવિ પણ વસંતના રંગથી બચી શક્યા નથી-
વસંતરંગ લાગ્યો! કુંજ કુંજ પલ્લવને પુંજ પ્રાણ જાગ્યો!
તો સામા પક્ષે વેણીભાઈ પુરોહિત તો જીવ જ રંગ અને રસના… ફાંકડો ફાગણ એમની કલમે સિરસ્થાન ન પામે તો જ નવાઈ કહેવાય, ખરું ને?
ફાગણ લાવ્યો ફૂલડાં ને વસંત લાવી રંગ:
ફાગણ ફાંકડો.
લડાવે પિચકારીના પેચ,
કરે છે લોચનિયાં લે-વેચ,
ખુશીની ચાલે ખેંચા-ખેંચ-
રંગમાં રંગ મટોડી
રમે રૂદિયામાં હોળી!
ફાગણ ફાંકડો.
સુન્દરમ્ સંતોષી જીવ છે. એમને આખી દુનિયાનો ખપ જ નથી…. કામણગારા કેસૂડાનું એક જ ફૂલ મળે એટલામાંય એમનું ચિત્ત તો રાજી રાજી…
મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરા
કેસૂડો કામણગારો જી લોલ.
જયન્ત પાઠકના એક ખૂબ મજાના ગીતનો ઉપાડ જોવા જેવો છે:
વસંતને ક્હેજો કે એકલી ના’વે:
પલ્લવના પાલવમાં મઘમઘતી એકબે
મંજરીઓ લીમડાની લાવે
કે એકલા હૈયાને ઓછું ના આવે!
હોળીમાં રંગ લઈને નીકળતા ઘેરૈયા હવે તો આપણી લોકસંસ્કૃતિનો ભૂતકાળ બનવા આવ્યા છે. ગામડાંઓમાં હજી આ પ્રથા ક્યાંક ક્યાંક જોવા મળે છે. હોળીના ઘેરૈયાની અડોઅડ સૃષ્ટિના ઘેરૈયાને મૂકીને કવિ પ્રહલાદ પારેખના ઉત્તમ સર્જન ‘ઘેરૈયા’ની આખરી બે પંક્તિઓ જોઈએ-
અમે ઘેરૈયા સૌ બહુ બહુ ઘૂમી શોધ કરતા,
કહીં ઘેરૈયો એ, કહીં છૂપવિયો રંગનિધિ આ?
જગદીશ ધનેશ્વર ભટ્ટની મજાની રચનાનો અંશ પણ પ્રમાણવા જેવો છે-
શો ફાગણ કેરો લટકો!
મઘમઘતી કળીઓની સંગે રમતો અડકો દડકો
ખળખળ વહેતા મૌન વચાળે કોણ ભરે રે ચટકો!
શો ફાગણ કેરો લટકો!
રંગ અવધૂત જેવા સંત પણ ફાગણમાં વિરહી નારનું પ્રતીક લઈને ઈશ્વર માટેની આરત પ્રગટ કરવાથી બચ્યા નથી. ફુલ્લકુસુમિત કેસુડાથી બગીચો ખીલી ઊઠ્યો હોય અને સખીસહેલી હોળી રમવામાં મગ્ન હોય તોય જેના મનમાં વિરહની હોળી સળગે છે એને તો તન ખાખ થઈ રહ્યું હોવાની અનુભૂતિ જ થાય ને! પ્રેમની ભભૂતિ અંગે ચોળીને એ પિયુ પિયુની માળા જપી રહી છે.
કુસુમાકર કેસૂડે ખીલ્યો, ભર પિચકારી માર;
સખી સાહેલી હોળી ખેલે, એકલડી હું નાર!
ઘર ઘર હોળી કાષ્ઠ જલાવે, મન હોળી તન ખાખ,
પ્રેમ-ભભૂતી ચોળી અંગે, ‘પિયુ પિયુ’ ફેરું માળ.
Permalink
March 13, 2025 at 12:30 AM by વિવેક · Filed under અજ્ઞાત, કાવ્યકણિકા, ગઢવી જીવણ રોહડિયા, દુહા, નરસિંહ મહેતા, પદ, પીંગળશીભાઈ પાતાભાઈ, ફાગુ, ભૂરો, મીરાંબાઈ, મુક્તક, રણછોડ, રત્નો, સંકલન
વસંતપંચમીએ પંચમસ્વરે છડી પોકારી નથી કે પાનખરમાં આખેઆખી કાયા ખંખેરી દઈ ખાલી થઈ ગયેલાં વૃક્ષોના હાડપિંજરમાં લીલો ગરમાટો છવાવો શરૂ થઈ જાય… વસંતનો આ રાગ ફાગણના ફાગ સુધી પહોંચતા સુધીમાં તો કેસૂડે કેસરિયાળાં કામણ દેખા દેવા માંડે છે અને થોડા જ દિવસોમાં ગુલમહોર અને સોનમહોર પણ લાલ-પીળા વાઘે સજી ધૂળેટીની તૈયારી આદરે છે… હોળી જાય અને તાપ સોળે કળાએ ખીલે ત્યારે ગરમાળો પણ મંચપ્રવેશ કરે છે પણ અત્યારે આપણી વાતનું કેન્દ્રબિંદુ ફાગણ અને હોળી-ધૂળેટીને લગતી કાવ્યકૃતિઓ હોવાથી આપણે એ દિશામાં આગળ વધીએ…
શરૂઆત પ્રાચીન ફાગુ કાવ્ય વસંતવિલાસથી કરીએ. છસોએક વર્ષ પહેલાં કોઈક અનામી કવિએ રચેલ આ કૃતિ તમામ ફાગકાવ્યોના બ્રાન્ડ એમ્બેસડર જેવી છે.
નવયૌવન અભિરામ તિ રામતિ કરઈ સુરંગિ |
સ્વર્ગિ જિસ્યા સુર ભાસુર રાસુ રમઈ મન રંગિ ||
નવયૌવનથી અભિરામ (યુવકો) રંગથી રમે છે. સ્વર્ગના તેજસ્વી દેવો જેવા તેઓ અંતરના ઉલ્લાસથી રાસ રમે છે.
મુનિજનનાં મન ભેદઈ, છેદઈ માનિની માન |
કામીય મનહ આણંદએ કંદએ પથિકપરાણ ||
(વાસંતી વાયરા) મુનિજનોના મનને ભેદે છે, માનુનીઓનાં માન છેદે છે, કામીના મનને આનંદિત કરે છે, અને પથિકજનોના પ્રાણને પીડે છે.
કેસૂયકલી અતિ વાંકુડી આંકુડી મયણચી જાણિ |
વિરહિણીનાં ઇણિ કાલિ જ કાલિજ કાઢએ તાણિ ||
કેસૂડાની વાંકી કળી જાણે મદનની આંકડી છે, વિરહિણીનાં કાળજાં તત્ક્ષણ બહાર ખેંચી કાઢે છે.
આદિકવિ નરસિંહ મહેતાના ખજાનામાં પણ ફાગણના અનેક રત્નો ભર્યાં પડ્યાં છે… બેએકનો ચળકાટ માણીએ-
કેસરભીના કહાનજી, કસુંબે ભીની નાર,
લોચન ભીનાં ભાવ–શું, ઊભાં કુંજને દ્વાર.
વેગે કુંજ પધારિયા, લચકે થઈ ઝકઝોળ,
નરસૈયાચો સ્વામી ભલે મળિયો, રંગ તણા બહુરોળ.
ચાલ રમીએ સહિ ! મેલ મથવું મહી,વસંત આવ્યો વનવેલ ફૂલી;
રસિક મુખ ચુંબીએ, વળગીએ, ઝુંબીએ,આજ તો લાજની દુહાઈ છૂટી.
નરસૈંયો રંગમાં અંગ ઉન્મત થયો,ખોયેલા દિવસનો ખંગ વળશે.
મીરાંબાઈના તો અનેક પદ… કિયા તે નામે લખવી કંકોતરી જેવો ઘાટ થાય, એટલે ચાંગલુક આચમન કરી ભીનાં થઈએ-
અબીલ ગુલાલકી ધુમ મચાઈ, ડારત પિચકારી રંગ,
લાલ ભયો વૃંદાવન જમુના, કેસર ચુવત અનંગ.
(આખેઆખું વૃંદાવન અને યમુનાના જળ લાલઘૂમ બની જાય, કામ ટપકતો હોય એવી અબીલગુલાલની ધૂમ એટલે હોળી.)
હોલી પિય બિન લાગૈ ખારી, સુનો રી સખી મેરી પ્યારી! ગિણતા ગિણતા ઘિસ ગઈં રેખા, આઁગરિયાઁ કી સારી! અજહૂઁ નહિં આયે મુરારી!
(પ્રિયજન વિનાની હોળી અકારી છે. પ્રતીક્ષાના દિવસો ગણતાં ગણતાં આંગળીઓના વેઢા ઘસાઈ ગયા પણ મુરારી આવ્યા નહીં.)
જાને ક્યા પિલાયા તૂને, બડા મજા આયા,
ઝૂમ ઊઠી રે મૈં મસ્તાની દીવાની।
(દિપીકા-રણવીરની ફિલ્મનુંગીત યાદ આવ્યું?)
કેનૂ સંગ ખેલૂ હોલી?
પિયા ત્યજ ગયે હૈં અકેલી…
હની હો ચૂવા ચંદન ઘોળિયાં, કેસર ચંદન છીરકત ગોરી હો,
હની વનરા તે વનની કુંજગલનમાં, રાધા મોહન ખેલે હોળી હો.
(અગરના વૃક્ષનો અર્ક ઘોળ્યો છે, ને સુંદરી ચંદન છાંટે છે, આમ વનરાવનની કુંજગલીમાં રાધા-મોહન હોળી રમે છે)
ચાલો, સખી! વનરાવન જઇયે, મોહન ખેલે હોળી,
સરખી સમાણી તેવતેવડી મળી છે ભમર-ભોળી.
ચૂવા ચંદન ઓર અરગજા ગુલાલ લિયે ભર ઝોળી,
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, મળી ભાવતી ટોળી.
(ચાલો સખી, વનમાં જઈએ. શ્રીકૃષ્ણ હોળી રમે છે. બધી (સખીઓ) સરખી જ ભલી-ભોળી મળી છે. ઝોળી ભરીને અગર, ચંદન અને પીળો સુગંધી ગુલાલ લઈને ગમતી ટોળી આવી મળી છે)
આજથી ત્રણેક સદી પૂર્વે ધ્રાંગધ્રા તરફના ગઢવી જીવણ રોહડિયાની ‘બારમાસી’માંથી ફાગણનો એક અંશ પણ સાંભળવા જેવો છે-
અંબા મોરિયા જી કે કેસુ કોરિયા,
ચિત્ત ચકોરિયા જી કે ફાગણ ફોરિયા.
ગલ્લાલ ઝોળી, રમત હોળી, ગોપ રમાવણાં,
આખંટ રાધા, નેહ બાધા! વ્રજ્જ માધા આવણાં!
(આંબા મહોર્યાં છે ને કેસૂડા કોળ્યાં છે, ચિત્ત ચકોર જેવા ચંચળ બન્યાં છે, કારણ કે ફાગણ ફોર્યો છે. ઝોળીમાં ગુલાલ ભરી હોળી રમાય છે ત્યારે હે ગોવાળોને રમાડનાર, સ્નેહથી બંધાયેલ કૃષ્ણ! રાધા કહી રહી છે કે વ્રજમાં આવો.)
અઢારમી સદીમાં થઈ ગયેલ રણછોડ લખે છે-
કેસર કેસુ લાલ ગુલાલા, ઉરણ ભયો આકાશ ફૂલ્યો હે ફાગણ માસ.
એ જ સદીમાં થઈ ગયેલ રત્નો સંસ્કૃત સાહિત્ય કે જૈનાચાર્યોના યુગથી ચાલતી ફાગુ કાવ્યોની પરંપરામાં ઉમેરો કરતાં કહે છે –
ફાગણ આવ્યો હે સખી, કેસૂ ફુલ્યાં રસાળ, હૃદે ફુલી ન રાધિકા, ભ્રમર કનૈયાલાલ
સઘળો શિયાળો વહી ગયો, આવ્યો ફાગણ માસ, અંતરમાં અતિ ઉપજે, હોળી રમવાની આશ
ફાગણનાં ફૂલ ખીલી ઊઠ્યાં છે આવામાં એનો સાથ સોહામણો લાગે પણ કપટી કૃષ્ણ ગોકુળ પરત આવ્યા નથી. હે સોહામણા રંગવાળા શ્યામ ! ફાગણ ફોરી ઊઠયો છે.આવામાં તો અંગ ઉપર રંગ હોય તોજ શોભે પણ હે નંદજીના લાલ ! તને તો મૂળથી જ અમારી માયા નથી રહી. આવો ગુસ્સો તો કંસ ઉપર જ કરાય, ભરપૂર જોબનવંતી રાધા ટોળીમાં હોળી રમતાં રમતાં કૃષ્ણને આમ કહે છે. અંત્યપ્રાસ અને આંતર્પ્રાસની અદભુત રચનાના કારણે આ ચારણી કૃતિ સાદ્યંત સંતર્પક થઈ છે. મેઘાણી લખે છે એમ આ રચનાકારનું નામ મોટા ભાગે ભૂરો છે. કદાચ ઉપલેટાના રહીશ ભૂરો રાવળ અથવા ભૂરો મીર પણ હોઈ શકે…
કપટી ના’વ્યા કાનજી, ગિરધારી ગોકૂલ,
સાથ લાગ્યો સોહામણો, ફાગણ ખીલ્યાં ફૂલ.
ફાગણ ફુરંગા, શામ સુરંગા ! અંગ રંગા ઓપીએ,
મુળગી ન માયા, નંદજાયા ! કંસ ઉપર કોપીએ,
ભામન ભોળી, રમે હોળી, તેમ ટોળી તાનને,
ભરપૂર જોબનમાંય ભામન, કહે રાધા કાનને.
જી ! કહે રાધા કાનને.
– ?ભૂરો
ભાવનગરના રાજકવિ પીંગળશીભાઈ પાતાભાઈની રાધાકૃષ્ણની આધુનિક બારમાસીમાંથી ‘ફાગણ’નો વૈભવ પ્રમાણીએ-
ફાગુન પ્રફુલિત, બેલ લલિતં, કીર કલિતં કોકિલં,
ગાવત રસગીતં, વસંત વજીતં, દન દરસીતં દુખ દિલં;
પહેલી કર પ્રીતં, કરત કરીતં, નાથ! અનીતં નહિ સારી,
કહે રાધે પ્યારી, હું બલિહારી, ગોકુલ આવો ગિરધારી!
(ફાગણ ખીલતાં વેલીઓ લલિત લાગે છે, પોપટ ને કોયલો કિલકિલાટ કરતાં રસગીતો ગાય છે, પણ વસંતના આવા દિવસોમાં મારું દિલ દુઃખાય છે. પ્રથમ પ્રીત કર્યા બાદ આવી કુરીતિ કરવાની અનીતિ સારી નથી…)
Permalink
March 8, 2025 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, નેહા પુરોહિત
રાત્રિના છેલ્લા પહોરે એક સપનું આવ્યું
ને
સપનામાં આવ્યો સૂરજ!
મધરો મધરો મલકે મારી સામે.
કહેઃ
‘ચાલ, મારું ચિત્ર બનાવ.’
મેં કહ્યું, ‘પહેલા સવારની ચા તો બનાવી લઉં..’
કહે – ‘તથાસ્તુ!’
થોડીવાર પછી કહે,
‘આપણી મુલાકાત પર એક કવિતા લખ.’
મેં કહ્યું, ‘નાસ્તો તૈયાર કરું છું. એમને ઓફિસ મોકલી દઉં પછી…’
કહે – ‘તથાસ્તુ!’
થોડીવાર રાહ જોઈ કહે:
‘મંડલા આર્ટ તો ફટાફટ થઈ જાય ને! એમાં મારું ચિત્ર કરી દે તો?’
મેં કહ્યું: ‘સાસુ-સસરાને ભૂખ લાગી હશે. રસોઈ કરી દઉં?’
એની માંગણી તો ચાલુ ને ચાલુ.
પણ બપોરે પહેલાં સફાઈ યાદ આવી, ને પછી વાસણ.
પછી આવ્યો કપડાંનો વારો ને પછી કચરાંપોતાંનો ને ફરી સાંજની ચાનો ને ફરી રાતની રસોઈનો.
એ તો કેવળ મધરો મધરો મલકાતો જ રહ્યો,
ને કહેતો રહ્યો,
તથાસ્તુ!
આજે જરા સમય મળ્યો તો થયું,
લાવ, કવિતાય બનાવી દઉં ને ચિત્ર પણ.
દેવતા કહેવાય એ તો.
ક્યાં સુધી વાટ જોવરાવવી?
બહુ કોશિશ કરી,
ઊભી થવા ગઈ
તો ધ્રુજતા હાથથી
લાકડી પણ છટકી ગઈ
ને…
– નેહા પુરોહિત
આજે વિશ્વ મહિલા દિવસ. આમ તો અંગત રીતે હું આ દિવસનો પ્રખર વિરોધી છું, કારણ કે વરસની ત્રણસો ચોંસઠ ચોકલેટ પોતાના ખિસ્સામાં રાખી સ્ત્રીઓને એક ચોકલેટ આપી રાજી રાખવાની પુરુષોની આ ચાલ મને પસંદ નથી. સ્ત્રી-પુરુષ સમાનતા તો રામાયણ-મહાભારતમાં પણ જોવા નથી મળતાં. લક્ષ્મણરેખા-અગ્નિપરીક્ષા-ઘરનિકાલ અને વસ્ત્રાહરણ ત્યારે પણ પુરુષો માટે નહોતાં અને આજે પણ નથી. પ્રસ્તુત રચના સીધી રીતે તો સ્ત્રી-પુરુષ અસમાનતાની વાત નથી કરતી, પણ બહુ સરસ અને વેધક રીતે ઘરમાં સ્ત્રીના નીચલા સ્થાનને ચાક્ષુષ કરે છે. રાતના છેલ્લા પહોરે જોયેલું સપનું કવયિત્રી આપણને બતાવે છે. કહે છે કે વહેલી સવારનું સપનું સાચું પડતું હોય છે. આપણને પણ સમજાય છે કે જે છે, એ નક્કર હકીકતથી જરાય ઓછું નથી.
નાનકડી માંગણીના બદલામાં સૂરજદાદા વરદાન આપવા તત્પર થયા છે, પણ સ્ત્રીનો આખો જન્મારો ઘરનું વૈતરું કરવામાં જ પસાર થઈ જાય છે. મોટા શહેરોમાં કંઈક અંશે પરિસ્થિતિ બદલાઈ છે એની ના નહીં, પણ હજી આજે પણ મોટાભાગના ભારતીય સમાજમાં પુરુષોની તુલનાએ સ્ત્રીઓએ જ ઘર સંભાળવું પડતું હોય છે. કવિતાના અંતે અચાનક ઘડપણનો અણસાર આપી ધ્રુજતા હાથમાંથી છટકે જતી લાકડી સાથે ‘ને…’ કહીને કવયિત્રીએ કાવ્ય અધૂરું છોડી દઈ સ્ત્રીની વેદનામાં સમભાગી થવા ઈજન આપ્યું છે…
Permalink
March 7, 2025 at 11:27 AM by વિવેક · Filed under ગીત, નીતિન વડગામા
જેવી જેની મોજ.
કોઈ કરે છે ખાંખાંખોળાં, કોઈ કરે છે ખોજ.
કોઈ હજી હાંકે છે જાણે એમ હવામાં હોડી.
પાર ઊતરવા કરતાં કેવી ફોગટ દોડાદોડી!
મનથી માણસ ગાંગો તેલી, મનથી રાજા ભોજ.
જેવી જેની મોજ.
કોઈ જુએ છે પરપોટાના મૂળમાં રહેતું પાણી,
કાળમીંઢ પથ્થરમાં વહેતી દેખે છે સરવાણી.
દિલનો દીવો દિવાળી ઊજવતો રોજેરોજ.
જેવી જેની મોજ.
– નીતિન વડગામા
તુંડે તુંડે મતિ ભિન્ના:। હાથની બે આંગળી સરખી ન હોય એમ બે માણસ અને બે માણસની પસંદગી પણ એકસમાન ન જ હોય એ સ્વાભાવિક છે. કોઈને કેવળ ખાંખાખોળા કરવામાં, વ્યર્થ ઉત્પાત મચાવવામાં મોજ પડતી હોય તો કોઈકને સાચી ખોજ કરવામાં મજા પડતી હોય એ બનવાજોગ છે. માણસ મનથી જ ગરીબ પણ હોય ને તવંગર પણ. કોઈ પરપોટાના સૌંદર્યને- વજનશૂન્યતા, આકાર, પાણી-પ્રકાશની લીલાથી રચાતા મેઘધનુષનું સૌંદર્ય માણવાના બદલે એના બંધારણના પિષ્ટપેષણમાં રત રહે છે તો કોઈ કાળમીંઢ પથ્થરમાં પણ સરવાણી જુએ છે. આવા માણસ માટે તો રોજેરોજ દિવાળી… ખરું ને!
સાચી ખોજ અને ઉપલક ખાંખાખોળા વચ્ચે ભેદરેખા આંકીને ભીતરી મોજ માટે આહ્વાન આપતું મસ્ત મજાનું ગીત…
Permalink
March 6, 2025 at 11:04 AM by વિવેક · Filed under ગીત, નવનીત ઉપાધ્યાય
ચપટી ચોખા ને ચપટી કંકુ રે લાવો,
મારી આતુરતાનો દરિયો… વધાવો.
ડાળખીને ફૂટું ફૂટું ફાગણનું રૂપ,
જોઈ એને વાયરાનું મન મીઠું ચૂપ,
રુમઝૂમતો પંખીનો છાંયો રે લાવો,
મારી આતુરતાનો દરિયો… વધાવો.
આણીકોર્ય ઓલીકોર્ય બેય કોર્ય હાલું,
ટહુકે છે રસ્તા હું કેમ મને ઝાલું,
ગીતોના મઘમઘ સાથિયા પુરાવો,
મારી આતુરતાનો દરિયો વધાવો.
– નવનીત ઉપાધ્યાય
એવો કવિ તો ક્યાંથી ગોતવો જેણે ફાગણનાં ગીતો ન ગાયાં હોય! ફાગણ માટેની આતુરતા તો દરિયા જેવી અસીમ-અપાર છે. પણ એની વધામણી ચપટીક કંકુચોખાથી ચાલી જશે… વામન અને વિરાટ વચ્ચેના આ વિરોધાભાસ, અને ઉભયને વળી અડખેપડખે રાખી આગળ વધતું હોવાથી ગીત પ્રારંભે જ આપણને ગમી જાય છે. એકદમ લાઘવ સાથે સરળ પ્રતીકો અને સહજ બાનીમાં રજૂ થયું હોવાથી ગીત વાંચી લીધા બાદ પણ લાંબા સમય સુધી આપણી ભીતર ક્યાંક રણઝણતું રહી જાય છે…
Permalink
March 1, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગીત, પ્રજારામ રાવળ
શિશિર તણે પગલે વૈરાગી,
વસંત આ વરણાગી !
એક ખેરવે વસ્ત્ર પુરાતન
બીજો મખલમ ઓઢે
એક ઊભો અવધૂત દિગંબર,
અન્ય પુષ્પમાં પોઢે!
શીતલ એક હિમાલય સેવી
અન્ય જગત અનુરાગી! વસંત આ વરણાગી!
એક મુનિવ્રત ભજે અવર તો
પંચમ સ્વરથી બોલે;
અરપે એક સમાધિ જગતને,
અન્ય હૃદયદલ ખોલે!
સ્પંદે પૃથિવીહૃદય વળી
વળી રાગી ને વૈરાગી! વસંત આ વરણાગી!
– પ્રજારામ રાવળ
શિશિર અને વસંત – ઋતુચક્રમાં પરસ્પર અડોઅડ હોવા છતાં સાવ ભિન્ન! વૈરાગી શિશિરના પગેરું ચાંપીને વરણાગી વસંત હળુ હળુ પ્રવેશે છે, પણ કવિને કોઈ એકની સ્તુતિ કરવાના બદલે પ્રકૃતિના આ બે અંતિમો વચ્ચેના વિરોધાભાસને ઉપસાવવામાં વિશેષ રસ છે. પ્રવાહી લય અને મસૃણ પ્રતિકોના યથોચિત પ્રયોગના કારણે ગીત વાંચતાવેંત હૃદયને સ્પર્શી જાય છે. શિયાળામાં જૂનાં પાંદડાં ખરી જતાં દિગંબર અવધૂતનો વેશ ધારતાં વૃક્ષો વસંત આવતાં જ જાણે કે મખમલની લીલી ચાદર ઓઢી પુષ્પોથી છલકાવા માંડે છે. શિશિરમાં મૌનવ્રત ધારી લેતાં પંખીઓ વસંત આવતાં જ પંચમ સ્વરે ગાન આલાપે છે. શિશિરમાં સમાધિસ્થ જણાતી વૈરાગી પ્રકૃતિ વસંતમાં પુષ્પોથી લચી પડતાં ઝાડવાંઓથી જાણે હૃદયના પડળો ન ખોલતી હોય એવી રાગી ભાસે છે.
Permalink
February 28, 2025 at 11:18 AM by વિવેક · Filed under ગઝલ, સંદીપ પુજારા
કાઢે, પણ કંઈ આવાં કાઢે?
ગઝલોમાં જે ગાંડાં કાઢે!
ભૂલથી પણ જો ભૂલ બતાવો,
કેવાં કેવાં બહાનાં કાઢે!
જાણે પણ એ માને તો નહિ,
ભૂલને ઢાંકવા રસ્તા કાઢે!
ખુદને સાચા સાબિત કરવા,
અન્યોમાં પણ વાંધા કાઢે!
અહમ્ ઘવાશે એવા ભયથી,
સૂચન સૌનાં પાછાં કાઢે!
એમ ભણાવે સૌને, જાણે
બાવો દોરાધાગા કાઢે!
– સંદીપ પૂજારા
પ્રવર્તમાન ગુજરાતી ગઝલનો ચહેરો જેટલો ઉજ્જવળ છે, એટલો જ કાલિમાયુક્ત પણ છે. એક વર્ગ એવો છે જે ગંભીરતાપૂર્વક ગઝલસાધના કરે છે, પણ બહુ મોટો ફાલ એવો છે જે તુકબંદીને જ ગઝલ માની બેઠો છે. વળી આ વર્ગની સૉશ્યલ મિડિયા પર ઉપસ્થિતિ તથા પ્રભુત્વ એટલું બધું છે કે નવોદિતો આ તુકબંદીને જ ગઝલકાળનું એકેમેવ સત્ય ગણી લે તો નવાઈ નહીં. સત્વશીલ વાંચનના શરણે જવાના બદલે વૉટ્સએપ અને ફેસબુક યુનિવર્સિટીમાં જ સાહિત્ય ભણતાં આ કથિત સાહિત્યકારોએ તો દાટ વાળ્યો જ છે, પણ પ્રસ્તુત ગઝલનું નિશાન આવા નવશીખિયાઓ કરતાં વધારે “વિદ્યા ભણતાં વધ્યો શેર; ચર્ચાવાદમાં તોલે થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો”નો સિદ્ધાંત આત્મસાત્ કરીને જીવતા સિદ્ધહસ્ત પણ આત્મરતિમાં રત સર્જકો તરફ છે. અખાના છપ્પાની જેમ જ આ ગઝલ આવા સર્જકોને સણસણતા ચાબખા મારે છે. ઈશ્વર સહુને સદબુદ્ધિ આપે એ જ પ્રાર્થના…
Permalink
February 27, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગીત, સંજુ વાળા

.
જી રે… ગોરંભા ઊમટ્યા ઘેઘૂર આભમાં
. ઘેરા પડછંદા ડણકે આરંપાર રે
ઊંડે અજવાળાં તબકી-ઝબકી જાગતાં
. જાણે ઝીણેરું ઝળકંતી તલવાર રે
. ઘેરા પડછંદા ડણકે આરંપાર રે
. તપતી માટીએ કીધી કંઈ કંઈ આરદા
. ઊંચું ઝાંખે રે જળતળ થઈને સાબદા
. વેરી તૂટયાં-તૂટયાં કાંઈ વચનું, વાયદા
ક્યાંથી ચડશે, ક્યાં ઢળશે ચતરંગ સાયબો
. કોઈ અણસારો ઊગે ના લગાર રે
. ઘેરા પડછંદા ડણકે આરંપાર રે
. કેવા ગઢની કુંવરીયુ કોણે નોતરી
. અક્ષત-કંકુ લૈ ઊભી જે આગોતરી
. દીધી જળના સ્વયંવરની કંકોતરી
કરશે લેખાં-જોખાં ને અક્ષર માંડશે
. મોંઘા મૂલે મૂલવાશે મુશળધાર રે
. ઘેરા પડછંદા ડણકે આરંપાર રે
– સંજુ વાળા
(ચતરંગ = હાથી, ઘોડા, રથ અને પયદળ એમ ચતુરંગી સૈન્યવાળો)
લયસ્તરો પર કવિના નૂતન કાવ્યસંગ્રહ “આજ અનુપમ દીઠો” (૨૦૨૪)નું સહૃદય સ્વાગત છે…
ઉનાળાએ માઝા મૂકી હોય ત્યારે તપતી માટીની એકમેવ આરદા વરસાદ પડે એ જ હોય. જળાશય સૂકાઈ જતાં દેખાવા લાગતું તળિયું સાબદું થઈ ઊંચે આભમાં ઝાંખી રહ્યું હોવાનું કલ્પન ગરમીની તીવ્રતા અને વરસાદની અનિવાર્યતાને કેવી સ-રસ રીતે અધોરેખિત કરે છે! ઘેઘૂર આભ ગોરંભે ચડ્યું છે. જંગલમાં સિંહ ડણક દેતો હોય અને એના પડધા કોતરોને ભરી દેતા હોય એવું વાતાવરણ ઘેરાયેલા આકાશમાં સર્જાયું છે. વીજળીના ચમકારા તબકી-ઝબકીને જાગતી તલવાર જેવા ઝળકે છે, પણ વરસાદ એના વાયદા પાળશે કે તોડશે એનો સહેજ પણ અણસારો આવતો નથી. ઊગવા આથમવા ટાણે આકાશને રંગોથી ભરી દેતો સૂરજ પણ આ વાદળોના કારણે દેખાતો ન હોવાથી એ ક્યાંથી ઊગશે અને ક્યાં આથમશે એય કળાતું નથી. જળનો સ્વયંવર યોજાયો હોય અને પ્રકૃતિ અક્ષત-કંકુ લઈ ઊભી હોય એવું મનોરમ્ય ટાણું કવિએ રચ્યું છે. કંકોતરી લખતી વેળા બે પક્ષ સામસામે બેસીને લેખાંજોખાં કરી, મોંઘા મૂલે કરિયાવર મૂલવી લીધા બાદ જ કંકોતરી પર અક્ષર પાડે એ લોકરિવાજને કવિએ મેઘરાજાના સ્વાગતમાં બખૂબી વણી લીધો હોવાથી ગીત વધુ આસ્વાદ્ય બન્યું છે. અંતે એ પણ સમજવાનું છે કે આ સંજુ વાળાનું ગીત છે. તરસી ધરતી અને વરસું વરસું કરવા છતાં ન વરસતા મેઘ એ ઈશ્વરને કાજ તરસતા આત્મા અને દર્શન-દુર્લભ પરમાત્માના સંદર્ભે પણ જોઈ શકાય. જે પ્રકારે કવિએ અનૂઠા લયને સાદ્યંત જાળવી રાખ્યો છે એય સારા કવિકર્મની સાહેદી પૂરે છે…
Permalink
February 22, 2025 at 11:18 AM by વિવેક · Filed under ગઝલ, વ્રજેશ મિસ્ત્રી
ક્યાં સંતાડું દરિયો? કાંઠા ક્યાં સંતાડું?
આંસુ ને આંસુના ડાઘા ક્યાં સંતાડું?
પડઘાને તો પલભરમાં ઓગાળી નાંખું,
પણ વીંઝાતા આ સન્નાટા ક્યાં સંતાડું?
સંતાડી દઉ દીકરીનાં ઝાંઝર ને કડલાં;
પણ ભીંતે આ કંકુથાપા ક્યાં સંતાડું?
લાગી છે એને પણ જાણે હવા સમયની;
રસ જીવનના ખાટા-ખાટા ક્યાં સંતાડું?
– વ્રજેશ મિસ્ત્રી
સીધેસીધી જ માણવા જેવી સરસ મજાની ગઝલ….
Permalink
February 21, 2025 at 5:19 PM by વિવેક · Filed under અદમ ટંકારવી, અરદેશર ફ. ખબરદાર, ઉમાશંકર જોશી, ઉશનસ્, કાવ્યકણિકા, કેશુભાઈ દેસાઈ, ખલીલ ધનતેજવી, જગદીપ નાણાવટી, તુષાર શુક્લ, દલપતરામ, પન્ના નાયક, પીયૂષ ભટ્ટ, ભાવિન ગોપાણી, મનોજ જોશી ડૉ., રઈશ મનીયાર, રમેશ આચાર્ય, રવીન્દ્ર પારેખ, વિકી ત્રિવેદી, વિનોદ જોશી, વિપિન પરીખ, વિવેક મનહર ટેલર, શબનમ ખોજા, શેર, હરદ્વાર ગોસ્વામી, હરીશ જસદણવાળા
આજે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે. બાંગલાદેશ જ્યારે પૂર્વ-પાકિસ્તાન હતું ત્યારે ઉર્દૂ ભાષાને રાષ્ટ્રભાષા તરીકે માથા પર મારી બેસાડવાની આજના પાકિસ્તાનની ચેષ્ટા સામે 1952ની સાલમાં આજના દિવસે હજારો વિદ્યાર્થીઓ અને ભાષાશાસ્ત્રીઓ-પ્રેમીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. પોલિસે કરેલ અંધાધૂંધ લાઠીમાર અને ગોળીબારમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા પણ આ ઘટનાનો પડઘો આખી દુનિયામાં પડ્યો. બંગાળી બાંગ્લાદેશની માતૃભાષા બની અને બાંગ્લાપ્રજાએ પોતાની ભાષા માટે દાખવેલ અપ્રતિમ પ્રેમના માનમાં 2000ની સાલથી યુનેસ્કોએ આજના દિવસને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું.
આજે લયસ્તરો પર માતૃભાષાનો મહિમા અને ચિંતા કરતી કેટલીક કાવ્યકડીઓ વડે આપણે પણ આપણી ભાષાના સંવર્ધન માટે પ્રતિબદ્ધ અને કટિબદ્ધ થઈએ… પણ પહેલાં કેટલીક પ્રતિજ્ઞા લઈએ-
• ઘરમાં અને રોજમરોજના વ્યવહારમાં ગુજરાતી ભાષાના પ્રયોગને પ્રાધાન્ય આપીશું. ખાસ કરીને બાળકો સાથે ફક્ત માતૃભાષામાં જ વાત કરીશું અને એમને પણ આપણી સાથે માતૃભાષામાં જ વાત કરવાની ટેવ પાડીશું.
• રોજ ઓછામાં ઓછો અડધો કલાક સત્વશીલ ગુજરાતી સાહિત્યનું વાંચન કરીશું. વૉટ્સએપિયા અને ફેસબુકિયા સાહિત્યનો પ્રયોગ વિવેકબુદ્ધિથી કરીશું
• મોબાઇલમાં ઓનલાઇન ગુજરાતી શબ્દકોશો અને જોડણીકોશોની એપ ડાઉનલોડ કરી એનો નિયમિત વપરાશ કરવાની આદત કેળવીશું. (ભગ્વદગોમંડલ, ગુજરાતી લેક્સિકોન અને સાર્થ ગુજરાતી જોડણીકોશ)
• મોબાઇલ પર ગુજરાતી ભાષામાં લખતી વખતે ભાષાશુદ્ધિ તરફ ખાસ ધ્યાન આપીશું
હવે થોડી કાવ્યકણિકાઓ:
દલપતરામે મહારાજા ખંડેરાવ પાસે ગુજરાતી ભાષાના પુસ્તકાલય માટે હિંમતભેર ધા નાંખી ધાર્યું કરાવ્યું હતું… બે’ક કડી જોઈએ:
આવ ગિરા ગુજરાતી તને, અતિ શોભિત હું શણગાર સજાવું;
જાણની પાસ વખાણ કરાવું, ગુણી જનમાં તુજ કીર્તિ ગજાવું;
દાખે દલપતરામ ખુદાવંદ ખંડેરાવ,
રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું.
વાત ગુજરાતી ભાષાની હોય અને ઉમાશંકર જોશીને યાદ ન કરીએ એ કેમ ચાલે?:
સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગુજરાતી.
ઉમાશંકરે જ બહુ તાર્કિક સવાલ પણ કર્યો છે-
એ તે કેવો ગુજરાતી
જે હો કેવળ ગુજરાતી ?
હિંદભૂમિના નામે જેની ઊછળે ના છાતી?
વિનોદ જોશીએ બહુ માર્મિક જવાબ આપ્યો-
હું એવો ગુજરાતી જેની;
હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી….
હું સાવજની ત્રાડ, હું જ ગરવી ભાષા લચકાતી…
હું ગિ૨નારી ગોખ, દ્વારિકા હું જ સુધા૨સ પાતી….
અરદેશર ખબરદારની ઉક્તિ તો કહેવત બની એક-એક ગુજરાતીનો હૃદયધબકાર બની રહી છે-
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
જ્યાં જ્યાં ગુજરાતી બોલાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત.
ઉશનસ્ શું કહી ગયા એય સાંભળીએ:
સહજ, સરલ મુજ માતૃભાષા, મા સમ મીઠી-વ્હાલી,
જેનાં ધાવણ ધાવી ધાવી અંગ અંગ મુજ લાલી,
જેના ઉદગારે ઉદગારે ઊછળતી મુજ છાતી,
ધન્ય ગિરા ગુજરાતી, મારી ધન્ય ગિરા ગુજરાતી.
તો ખલીલ ધનતેજવીનો હુંકાર પણ કંઈ જેવો તેવો નથી-
વાત મારી જેને સમજાતી નથી;
એ ગમે તે હોય ગુજરાતી નથી.!
તુષાર શુક્લ પણ આ જ વાત કહે છે, પણ મિજાજ પોતાના સ્વભાવ મુજબ જ ઋજુ રાખીને:
શબ્દ એક પણ લખી બોલી ના બિરદાવું ગુજરાતીને
ગુજરાતીનો મહિમા, શાને સમજાવું ગુજરાતીને!
વિશ્વપ્રવાસી રઈશ મનીઆરે પણ વિશ્વસાહિત્યના આચમન બાદ પણ પોતાના ધબકારાની ભાષા બદલાઈ ન જાય એની તકેદારી રાખી છે:
મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે.
ભૂંસાવા કયાં દીધો કક્કો, હજી પાટીમાં રાખ્યો છે.
મલક કંઈ કેટલા ખૂંદયા, બધાની ધૂળ ચોંટી પણ,
હજુ પણ મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે.
તો રઈશ મનીઆરે જ ભાષા માટે અદકેરી ચિંતા અને આવનારી પેઢી સામેના પડકારને ગાગરમાં સાગર પેઠે શબ્દસ્થ કર્યો છે:
પુત્રમાં શોધું છું ગુજરાતીપણું, શું મેં વાવ્યું ને હવે હું શું લણું?
આ વસિયત લે લખી ગુજરાતીમાં પુત્ર એ વાંચી શકે તોયે ઘણું.
રઈશ મનીઆરની ચિંતામાં વિકી ત્રિવેદી પણ સૂર પૂરાવે છે-
એથી આશા ઘાયલ થઈ છે,
મારી ભાષા ઘાયલ થઈ છે.
પણ રમેશ આચાર્યને આવી પરિસ્થિતિમાં કાળા વાદળની કોરે સોનેરી આભા વર્તાય છે:
હું છું અને મારી ભાષા છે;
કૈક થશે એવી આશા છે!
આવી જ કંઈક આશા પીયૂષ ભટ્ટ પણ સેવી રહ્યા છે-
કેવળ એ અભિલાષા,
સકળ જગતને ખૂણે ખૂણે પહોંચે મારી ભાષા.
કેશુભાઈ દેસાઈની અભિલાષા પણ મનોરમ્ય છે:
ત્રિલોકમાં ને નવે ખંડ તુજ ફોરમ રહો છવાતી,
તું ઘણું જીવો ગુજરાતી
હરીશ જસદણવાળા લિપિની વિશિષ્ટતાને ખપમાં લઈ મજાનું ભાષાકર્મ કરી બતાવે છે:
વાંચે કાનો, બોલે રાધા,
છે એવી ગુજરાતી ભાષા!
પણ આજે હાલત એવી છે કે આજની પેઢીને ઉમાશંકર-સુંદરમ-મુનશી-પન્નાલાલ વગેરે મૂર્ધન્ય સાહિત્યકારોની ગુજરાતી પરદેશની ભાષા જેવી અજાણી લાગવા માંડી છે. હરદ્વાર ગોસ્વામી આપણને આ બાબતે અજરામર શેર આપે છે:
એના કરતાં, હે ઈશ્વર! દે મરવાનું,
ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું!
અદમ ટંકારવી આંગ્લભાષા સામે વિલાઈ જતી ગુજરાતીનો ખરખરો કેવો હૃદયંગમ રીતે કરે છે-
આંગ્લકન્યા જોઈ વિલાઈ ગયું
ગુર્જરીનું રૂપ નજરાઈ ગયું
સોળ શણગારો સરર સરકી ગયા
સેંથીનું સિંદૂર ભૂંસાઈ ગયું
પન્ના નાયક એમના એક લઘુકાવ્યની પ્રારંભે માતૃભાષાની સર્ળ પણ મજાની વ્યાખ્યા આપે છે:
આપણને
જે ભાષામાં સપનાં આવે
એ
આપણી માતૃભાષા.
રવીન્દ્ર પારેખે પણ એ જ રીતે ગુજરાતી ભાષાની દુર્દશા પર લખેલ કવિતાના પ્રારંભે માતૃભાષાની સ-રસ વ્યાખ્યા કરી છે:
જન્મનું નિમિત્ત પિતા છે
પણ જન્મ આપે છે માતા
એ દૂધ નથી પાતી
ત્યારે ભાષા પાય છે
એ પાય છે તે
તળની ભાષા છે.
તો વિપિન પરીખ એક કાવ્યના અંતે પોતાને માતૃભાષા ગમવાનું પ્રમુખ કારણ છતું કરે છે:
બા નવી નવી ‘ડીશ’ શીખવા ‘Cooking Class’માં ગઈ નહોતી.
છતાં ઇંગ્લિશ નામ ખડક્યા વગર એ થાળીમાં જે મૂકતી
તે બધું જ અમૃત બની જતું.
મને મારી ભાષા ગમે છે.
કારણ મને મારી બા ગમે છે.
ડૉ. મનોજ જોશી ‘મન’ પણ મજાનું મુક્તક આપે છે:
પ્રેમ, ખુશી ને પીડમાં કાયમ વ્હારે ધાતી;
ક્રોધ, વિવશતા, ચીડમાં સ્હેજે ના શરમાતી;
દુનિયાનાં આ નીડમાં ટહુકા કરતી! ગાતી;
ભાષાઓની ભીડમાં નોખી છે ગુજરાતી!
શબનમ ખોજા પણ શબનમ જેવો તાજો-મુલાયમ શેર કહે છે:
મારા લોહીનું એ ગુજરાતીપણું
ટેરવાની ટોચ પર કક્કો ફૂટે!
ભાવિન ગોપાણી અમદાવાદના અને અમદાવાદીથી સારો વ્યવહારુ ગુજરાતી બીજો કોણ હોય? જુઓ તો-
ઈશારાથી કીધું બચાવો તો સમજ્યું ન કોઈ,
જો ભાષાના શરણે ગયો તો બચાવ્યો છે સૌએ.
જગદીપ નાણાવટી પણ દેશદેશાવરમાં આપણી ભાષાનો સિક્કો પાડવા કૃતનિશ્ચયી જણાય છે:
ચટ ને પટ, કે ક્રોસ-કિંગ હો, દુનિયાને હર ખૂણે
જ્યાં પણ પડશે, પડશે મારી ગુજરાતીનો સિક્કો
અંતે માતૃભાષાની સમસ્યા અને ઉકેલ બંનેને રજૂ કરતા વિવેક મનહર ટેલરના થોડા શેર માણીએ વિરમીએ-
આડે-અવળે નહીં, સીધા સામા મળો,
દિલ સુધી પહોંચો એ આશામાં મળો;
‘હાય-હેલ્લો’ છોડો, પૂછો- ‘કેમ છો?’
મળવું છે? તો માતૃભાષામાં મળો.
માતૃભાષાની દશા પર દિલ દ્રવે,
કેટલું ને ક્યાં સુધી રડવું હવે?
આ તરફ રંગમંચ છે, ત્યાં બ્રોડ-વે,
જોઉં, દીકરો કોને કેટલું સાચવે?
પહોંચીશું બધા ઘરમાં અમે નેટના રસ્તે,
મા ગુર્જરીનું એમ જીવતદાન બનીશું.
– વિવેક મનહર ટેલર
Permalink
February 20, 2025 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, બ્રિજેશ પંચાલ

આજે મૂડ નહોતો,
બંને કીકીઓને બહાર કાઢીને-
લખોટીઓ રમવા માંડ્યો.
વાળને હવામાં ખુલ્લા મૂકી દીધા.
હોઠને મૌન શું છે
એ શોધવા મોકલ્યા…
કાનને નકરા ઘોંઘાટ વચ્ચેથી
ટાંકણીનો અવાજ શોધી લાવવા કહ્યું.
હાથને એકબીજા સાથે બાંધી દીધા,
પગને ખીંટી ઉપર ટાંગી દીધા.
પેટને ભૂખમાં ઓગાળી દીધું.
ત્યાં મારા નાકને પાંપણ ઢળી ગયાની ગંધ આવી!
પણ,
હું કંઈ કરું એ પહેલાં જ કોઈએ મને—
ચંદન વચ્ચે સુવાડી ધુમાડો બનાવી દીધો.
– બ્રિજેશ પંચાલ
લયસ્તરો પર કવિના પ્રથમ કાવ્યસંગ્રહ ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’નું સ્વાગત…
જીવન જીવવાના મૂડના અભાવનું બીજું નામ મૃત્યુ. આમ તો આવાં મૂડ-ઑફ મૃત્યુ આપણે હજારોવાર જીવતાં હોઈએ છીએ, પણ કવિએ આખરી મૂડ-ઑફની કવિતા કરી છે. સામાન્યરીતે મન ઉદાસીન હોય અને કશામાં લાગતું ન હોય એ પળે આપણે કાચબો સ્વયંને કોચલામાં સંકોરી લે એમ આપણા અસ્તિત્ત્વને બને એટલું સંકોરી લેતાં હોઈએ છીએ, પણ અહીં આથી સાવ વિપરીત ક્રિયાઓ થઈ રહી છે. કીકીઓને આંખના ગોખલામાંથી બહાર કાઢી કથક લખોટીઓ રમવા માંડે છે. જેનું કામ બોલવાનું છે એને ન બોલવાનું શોધવા માટે મોકલી દેવાય છે, અને કાનને ઘાસની ગંજી જેવા અવાજના ખડકલામાંથી ટાંકણીનો અવાજ શોધવાનું અશક્યવત્ કામ સોંપવામાં આવે છે. હાથ-પગ-પેટ બધા જ અવયવોને નિષ્ક્રિયતાની સજા આપવામાં આવી છે… સ્વયંનું મૃત્યુ થવાની ગંધ નાકને આવે એ પહેલાં તો મૃતદેહ ચંદનની ચિતા પર ભડભડ બળી રહે છે… પ્રસ્તુત કાવ્ય બિનજરૂરી વાણીપ્રલાપથી દૂર રહી શક્યું છે એ આપણું સદનસીબ. સરવાળે, આ કાવ્ય અનુભૂતિનું કાવ્ય છે. સામાન્ય ગુજરાતી અછાંદસોથી એ અલગ તરી આવે છે.
Permalink
February 15, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, જિગર જોષી 'પ્રેમ'
તું નહીં આપે ભલે ઘાવ, ઉઝરડા તો દે,
આંસુ પણ લઈ લે, મને ખાલી તું રોવા તો દે.
જિંદગી! શેની ઉતાવળ છે, જરા કહે તો ખરી;
સામે બેસાડી તને મન ભરી જોવા તો દે!
તું કહે એવી રીતે હું પછી ઊભો થાઉં,
મારે પડવું છે એ રીતે મને પડવા તો દે.
તક જવલ્લે જ મળે છે તો આ તક તું વાપર,
આંખને આંસુ કોઈ વાર ખરચવા તો દે.
રાખ થૈ જાશે ઘડીભરમાં સ્મરણ પણ તારાં,
હૈયું સળગ્યું છે, જરા આગ પકડવા તો દે.
– જિગર જોષી
ગુજરાતી ગઝલોમાં પ્રમાણમાં ઓછા ખેડાયેલ છંદમાં મજાની ગઝલ. ગઝલમાં જે ખરી મજા છે એ રદીફારંભે આવતા તોત્તેર મણના ‘તો’ની છે. કવિ આ ‘તો’નું વજન બરાબર નિભાવી શક્યા છે એ આનંદની વાત છે. આમ તો આખી ગઝલ સરાહનીય થઈ છે, પણ મારું મન તો આખરી શેર પર જ અટકી ગયું છે….
Permalink
February 14, 2025 at 11:18 AM by વિવેક · Filed under ગીત, પદ, ભક્તિપદ, મીરાંબાઈ
પ્રેમની, પ્રેમની, પ્રેમની રે,
મને લાગી કટારી પ્રેમની.
જળ જમુનાનાં ભરવા ગયાં’તાં,
હતી ગાગર માથે હેમની રે. મને૦
કાચે તે તાંતણે હરિજીએ બાંધી,
જેમ ખેંચે તેમ તેમની રે. મને૦
મીરાં કે પ્રભુ ગિરધર નાગર,
શામળી સૂરત શુભ એમની રે. મને૦
– મીરાંબાઈ
સાચો પ્રેમ કોઈ જ આડંબરના આલંબન સ્વીકારતો નથી. પ્રેમ એટલે દિલની વાત અને દિલ તો દુનિયાના પ્રપંચોથી પરે જ હોવાનું. એટલે જે વાત દિલથી નીકળી હોય એ સરળ અને સહજ જ હોવાની. મીરાંનો પ્રેમ સમર્પણનો પ્રેમ હતો. કૃષ્ણને મેળવવાની કોઈ જ અબળખા રાખ્યા વિના એણે સ્વયંને પૂર્ણસમર્પિત કરી દીધી હતી… આપવું એ જ એના માટે પ્રેમની એકમાત્ર વ્યાખ્યા હતી. પોતે શ્રીકૃષ્ણના પ્રેમમાં ઘાયલ થઈ હોવાનો એકરાર કરતી વખતે સાવ નાની અમથી પંક્તિઓમાં ચાર-ચારવાર પોતાને વાગેલી કટારી પ્રેમની હોવાની વાતની એ પુનરુક્તિ કરે છે. આ પુનરુક્તિ કવિતાનો પ્રાણ છે. માથે સોનાની ગાગર લઈ જમુનાજળ ભરવા ગયેલ મીરાં કાચા તાંતણે બંધાઈ જઈ હરિ જેમ ખેંચે એમ ખેંચાય છે. સોનાની ગાગર અને કાચા તાંતણા વચ્ચેનો આ વિરોધાભાસ રાજરાણીની દોમદોમ સમૃદ્ધિ વચ્ચે પણ મીરાંએ કરેલ સાદગીના સ્વીકારને કેવો સ-રસ રીતે અધોરેખિત કરે છે!
Permalink
February 13, 2025 at 11:34 AM by વિવેક · Filed under ગીત, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા, સારા ટિસડેલ
શ્યામ મને ચૂમ્યો વસંતમાં,
પાનખરમાં લક્ષ્મણ,
નીરવે કેવળ જોયે જ રાખી,
ચૂમ્યો નહીં કદી પણ.
એકનું ચુંબન ગુમ ગમ્મતમાં,
બીજાનું થઈ ક્રીડા;
પણ નજરોનું ચુંબન દે છે
રાત’દી હજીય પીડા.
– સારા ટિસડેલ
(અનુ.: વિવેક મનહર ટેલર)
સાવ ટબૂકડું ગીત, પણ કેવું પ્રભાવક! જીવન ગમે એટલું ભર્યુંભાદર્યું હોય કે સાવ જ ખાલીખમ–પરિસ્થિતિ કોઈપણ હોય, શારીરિક સ્પર્શ કે સંસર્ગ તો ક્ષણજીવી જ હોવાના… પણ નજર નજર સાથે ગુફ્તેગૂ માંડીને છે…ક ભીતર સુધી જે સ્પર્શ કરી શકે છે એ કોઈ કાળે વિસ્મૃતિની ગર્તામાં લુપ્ત થઈ શકે નહીં…. દૈહિક ઉપર ઐહિકની મહત્તા કવયિત્રીએ કેવી બખૂબી પ્રસ્થાપિત કરી બતાવી છે!
*
The Look – Sara Teasdale
Strephon kissed me in the spring,
Robin in the fall,
But Colin only looked at me
And never kissed at all.
Strephon’s kiss was lost in jest,
Robin’s lost in play,
But the kiss in Colin’s eyes
Haunts me night and day.
– Sara Teasdale
Permalink
February 12, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હર્ષવી પટેલ
જેમ રણની વચાળે નદી જાય છે,
બસ, અદ્દલ એ રીતે જિંદગી જાય છે.
પગ ન મૂકું ફરી ત્યાં — વિચાર્યું હતું,
એ જ બાજુ કદમ ખુદ વળી જાય છે.
એક પળ જે જુદાઈ સદી નહીં મને,
એ જુદાઈના ટેકે સદી જાય છે.
જે નહીં આવડે લાગણીને કદી,
એ બધું બુદ્ધિને આવડી જાય છે.
એની પાસે ન શીખ્યા કશું, ભૂલ થઈ—
એવું અંતે સમય શીખવી જાય છે.
– હર્ષવી પટેલ
નદીનું ગંતવ્ય સમુદ્રમિલન છે પણ બનાસ, રુપેણ અને સરસ્વતી જેવી કુંવારી નદીઓ તો રણમાં જ પૂરી થઈ જાય છે… કવયિત્રી જ્યારે પોતાની જિંદગી પણ જે હેતુસર પ્રાપ્ત થઈ છે એ હાંસિલ કર્યા વિના જ ખતમ થઈ રહી હોવાનો સ્વીકાર આ સંદર્ભ સાથે કરે છે ત્યારે સીધાસાદા વિધાન જેવો લાગતો ગઝલનો મત્લા આપણને મજાનો લાગવા માંડે છે. આમેય, હર્ષવી પટેલ પાસેથી સાવ સરળ ભાસતી ગઝલ મળે ત્યારે સૌપ્રથમ હું સ્વયંને એક ટપલી મારી લેવાનું રાખું છું. એના શેરો સહલે-મુમ્તના (ભ્રામક સરળતા) શ્રેણીમાં આવે એવા હોય છે, જે સહેજ અટકીને ફરી વાંચો તો ચમકારો થાય… ત્રીજા શેરમાં પણ ‘સદી’ શબ્દ વડે સર્જકે મજાનો યમક અલંકાર સિદ્ધ કરી બતાવ્યો છે.
Permalink
Page 1 of 115123...»Last »