નિશ્ચય છે મારો, હું તને પામું આ જન્મમાં,
ચોર્યાસી લાખ વેઠવાની છૂટ છે તને.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

(ભેંત્યની તેડ્ય) – પ્રશાંત કેદાર જાદવ

ભેંત્યની તેડ્ય તો ગારાથી હોંધીએ
.                   માંયલીન ચ્યમ કરી હોંધવી!
ઊંઘનારું લોંબું ન પશેડી ટૂંકી
.                   ઓંમ ટૂંટીયે તે રાત ચ્યંમ કાઢવી!!

તોય મનં ઈમ કો’ક ઉપા કરીએ
.                   જો થોડા ઘણા ફેર કાંય થાય
(પણ) એટલામાં તેડ્ય તો બાકોરું થઈ જઈ,
.                   મું હં નાખું તો એ પુરાય!
દનિયોના કીધ તારો રાશ્યો ભરૂંહો
.                   અવ તનજ લાજ જોઈય આવવી.

હૌના તો લેખ તમે લખો લલાટે
.                   પણ મારા લસ્યા તમે ઓંશ્યે
ન – કાપાય પાસા એવા પાડ્યા
.                   ક – મારઅ ચોમાહા રે’હે બારમાશે
ઓંશ્યોનાં પોંણી તો પાતાળે ઠેલ્યાં
.                   એ આવ એવી રાશ ચ્યોંથી લાવવી.

હારી થાચીન મીં તો મનનું મનાયું
.                   ક – આપણ જ આપણાં ફોડવાં
પણ આ બધું ગન્યાંન તો ઘડી બે ઘડી
.                   પસ મંન હાથે માથાં રોજ ફોડવાં
કાઠ્ઠાં થઈ પીડ્યા માં ભોમાં ભંડારી
.                   તોય દેખાય તો ચ્યમની હંતાડવી?

.                                              ભેંત્યની તેડ્ય તો…

– પ્રશાંત કેદાર જાદવ

કવિ શ્રી પ્રશાંત કેદાર જાદવને આપણે સહુ ‘ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય…’, ‘જોડે રહેજો રાજ’, ‘રંગાઈ જા ને રંગમાં’, ‘ચાંદો ઊગ્યો ચોકમાં’, ‘સાજણ તારા સંભારણાં’ જેવા અનેક લોકપ્રિય ફિલ્મી ગીતો તથા ‘કુમકુમનાં પગલા પડ્યાં, માડીના હેત ઢળ્યા’, ‘કુમકુમ પગલે માડી પધારો રે’ તથા ‘વણઝારા તુ વહેલો આવજે’ જેવા અનેક ગરબાઓથી ઓળખીએ છીએ. ‘જેનું ધાવણું છોકરું રૂએ તોપણ સૂરમાં રૂએ’ એવી મનોરંજન કરાવનારી તુરી જાતિના ફરજંદ, વડગામ તાલુકાના કોદરામ ગામના વતની અને દૂરદર્શન કેન્દ્ર અમદાવાદમાં નિર્માતા અને પ્રોડયુસર તરીકે ફરજ બજાવતા કવિની આ રચનાઓ સિવાય એક અલગ ઓળખ પણ છે. આજની રચનાની મદદથી આ ઓળખ સાથે આજે મુખામુખ થઈએ.

કવિતાનું ઉપાદાન ભાષા છે, પણ ભાષાની તો લીલા જ ન્યારી. મા એક પણ દીકરા હજાર. ભાષા તો એક જ, પણ બોલી તો બાર ગાઉએ બદલાય. પ્રશિષ્ટ ભાષા અને તળપદી બોલીની રચનાઓના સેંકડો દાગીનાઓથી આપણો કાવ્યખજાનો સમ્ર્ડ્ધ છે, પણ બહુ ઓછા કવિઓ લોકબોલીનો વિનિયોગ કવિતાને ઉપકારક નીવડે એ રીતે કરી શકે છે. પ્રસ્તુત રચનામાં કવિએ કવિવેદનાને વાચા આપવા માટે ઉત્તર ગુજરાતની તળપદી બોલીને એ રીતે કામે લગાડી છે કે આની આ વાત શિષ્ટ ભાષામાં રજૂ થઈ હોત તો કવિતાનું પોત જ ખતમ થઈ ગયું હોત… બોલી અહીં મુખ્યનાયકની ભૂમિકામાં છે.

કવિતા સ્વયંસ્પષ્ટ હોવાથી આજે માત્ર બોલીનું સરળીકરણ જ કરીએ. ભીંતની તિરાડ તો માટીથી સાંધી શકાય, પણ માંહ્યલાને કઈ રીતે સાંધવો એ અવઢવ કવિને પીડી રહી છે. પગ કરતાં ચાદર ટૂંકી હોય એવા ટાંચા સંજોગોમાં જીવન કેમ કરી પસાર કરવું? હજી તો કવિ આ બાબતે કંઈક ઉપાય કરવાનું વિચારી રહ્યા છે, એટલામાં તડ બાકોરું બની ગઈ. શું નાંખીએ તો આ બાકોરું ભરાય એ જ પ્રાણપ્રશ્ન છે. દુનિયાના કહેવાથી જેનો ભરોસો રાખીને બેઠા હતા, એ ભગવાનને આ બદલ લાજ ન આવવી જોઈએ? સૌના લેખ એણે લલાટે લખ્યા, પણ ગરીબોના લેખ આંખોમાં લખ્યા. અને રેખાય એવી પાડી કે નસીબે બારેમાસ રડવાનું જ રહે. રડી રડીને સૂકાઈ ગયેલી આંખોનાં પાણી પાતાળે ઉતરી ગયાં છે, એને ખેંચીને બહાર આણી શકે એવું દોરડું ક્યાંથી લાવવું એ વિમાસણ કવિને સતાવે છે. અંતે હારી થાકીને કવિ મનને મનાવે છે કે કોઈ આપણું કશું કરનાર નથી, આપણે જાતે જ જાતનું ફોડી લેવું પડશે, પણ આ બધું જ્ઞાન તો ઘડી બે ઘડીભર સાંત્વના આપી શકે, રોજેરોજનું શું? ભીતરની પીડાને કવિએ કાઠા થઈ ભોંયમાં ભંડારી તો ખરી, પણ તોય એ દેખાઈ જાય તો પછી એને કઈ રીતે સંતાડવી?

આપણી સંવેદના બધિર થઈ જાય એવો કઠોર વજ્રાઘાત કરતી આવી વેદનાસિક્ત રચના સાચા અર્થમાં આપણી ભાષાનાં મહામૂલાં ઘરેણાં છે.

 

Comments

સાંજ બે અર્થમાં ઢળી ગઈ છે – શૈલેશ ગઢવી

સાંજ બે અર્થમાં ઢળી ગઈ છે,
એ બહુ દૂર નીકળી ગઈ છે.

માત્ર વીંટીનો પ્રશ્ન ક્યાં છે અહીં?
હાથની એક આંગળી ગઈ છે.

નીકળી ગઈ છે ચિત્રમાંથી એ-
વ્યક્તિ બીજી તરફ વળી ગઈ છે.

એ જ દેખાય છે બધી બાજુ,
લાગે છે પ્રાર્થના ફળી ગઈ છે!

એકધારો પ્રવાસ કરવાની,
ઝંખના જિંદગી કળી ગઈ છે.

શોધતાં હાથ લાગી એકલતા,
એ પછી સાંત્વના મળી ગઈ છે.

– શૈલેશ ગઢવી

આમ તો આખી ગઝલ બહુ મજાની થઈ છે, પણ હું તો માત્ર મત્લા પર જ સમરકંદો-બુખારા ઓવારી બેઠો… પ્રિયતમના પહોંચ બહાર ચાલ્યા જવાની વાતને સાંજના ઢળવા સાથે સાંકળીને કવિએ જે કમાલ કરી છે, એ દીર્ઘકાળ સુધી સ્મૃતિપટલ પરથી દૂર થઈ શકનાર નથી… ઓછામાં ઓછા શબ્દોમાં અને સાવ સરળતમ સહજ ભાષામાં કવિએ સાચે જ જાદુ કરી દેખાડ્યો છે…

Comments (1)

કાગળમાં – હર્ષદ ચંદારાણા

છોડ ચિંતનની નાવ કાગળમાં
છે છલોછલ તળાવ કાગળમાં

સાત સાગર તરું સરળતાથી
ડૂબવાનો સ્વભાવ કાગળમાં

હું ઉપાડું કલમ, પછી મારા-
ભાવ તેમ જ અભાવ કાગળમાં

મારા મનને મળ્યો અરીસો આ
હૂબહૂ હાવભાવ કાગળમાં

આ અહીં મારી સ્વપ્નભૂમિ છે
તેથી નાંખ્યો પડાવ કાગળમાં

તારું એકાંત રાખ તું અંગત
ઢોળી દે શાહી, લાવ કાગળમાં

– હર્ષદ ચંદારાણા

અનાદિકાળથી મનુષ્યને જેટલી કવિતા આકર્ષતી રહી છે, એટલું જ આકર્ષણ કવિતાના ઉપાદાનોનુંય રહ્યું છે. કવિતા વિશે, કવિતાના સર્જન વિશે જેટલી રચનાઓ જડશે એટલી રચનાઓ કદાચ કલમ-કાગળ અને શાહી વિશે પણ મળી આવશે. પ્રસ્તુત ગઝલમાં કવિનો કેમેરા કાગળ ઉપર કેન્દ્રિત થયો છે. કાગળના રૂપકની મદદથી કવિએ નિજ ષડ્દર્શન પ્રગટ કર્યું છે. કોરો કાગળ હકીકતે તો ચિંતનની નાવ તરતી કે ડૂબતી મૂકી શકાય એવા છલોછલ તળાવ સમો છે. સાત સાગર તરી જનારો પણ સ્વયંને વ્યક્ત કરવા માટે તો કાગળમાં જ ડૂબે છે. આપણા તમામ ભાવ અને અભાવ કાગળ આગળ ખુલ્લા પડી જાય છે. મનુષ્ય દુનિયાની આગળ ગમે એવો અભિનય કેમ ન કરે, કાગળ અરીસાની જેમ એના એકેક હાવભાવને હૂબહૂ પકડી પાડે છે. (હા, કાગળ ઉપર જાત રેડવાની આ પ્રક્રિયા દુનિયાને બતાવવા માટેની કૃતક જહેમત ન હોય તો!) સ્વયંને વ્યક્ત કરવાનું સ્વપ્ન હોય તો કાગળ એને સાકાર કરનાર ભૂમિ છે.

Comments (2)

વૃદ્ધની પ્રાર્થના – વજેસિંહ પારગી

એકાકી વૃદ્ધ
બેઠો છે
સુકાઈ ગયેલા વૃક્ષ નીચે
વૃદ્ધ જુએ છે-
ઘડીકમાં વૃક્ષ સામે
ઘડીકમાં જાત સામે
ને મનોમન પ્રાર્થે છે:
ક્યાંકથી કઠિયારો આવે
ને વૃક્ષભેળો મનેય કાપી જાય.

– વજેસિંહ પારગી

સ્વયંસિદ્ધ… પીડાની પરાકાષ્ઠા… સહનશક્તિની અંતિમ સરહદ…

Comments (10)

ગઝલ – અગન રાજ્યગુરુ

આગળ વધી કે વાત હજી ત્યાં ને ત્યાં જ છે?
આવ્યો નથી જવાબ, હજી ત્યાં ને ત્યાં જ છે.

પાછળ ફરીને જોયું મેં પ્રસ્થાન સ્થાન પર,
મારી બધી નિરાંત હજી ત્યાં ને ત્યાં જ છે.

વૃક્ષો નવાં તો ખૂબ ઉગાડ્યાં છે શહેરમાં,
સુનકાર એ છતાંય હજી ત્યાં ને ત્યાં જ છે.

એ પણ ખબર નથી રહી તારા વિચારમાં,
કે દિન ગયો કે રાત હજી ત્યાં ને ત્યાં જ છે?

અળગા થયા તો દોસ્ત! એ અહેસાસ થઈ ગયો,
તારા તરફ લગાવ હજી ત્યાં ને ત્યાં જ છે.

નીકળી ગયો છે તું જ હવા થઈને બાથથી,
મારા તો બેઉ હાથ હજી ત્યાં ને ત્યાં જ છે.

એનો અમલ જો થાય તો દુનિયા મળે ‘અગન’
કિંતુ બધાંય ખ્વાબ હજી ત્યાં ને ત્યાં જ છે.

– અગન રાજ્યગુરુ

ગઝલમાં સુનિશ્ચિત અર્થ ધરાવતી મધ્યમ કે લાંબી રદીફ વાપરવી એ દોરડા પર ચાલવા જેવું કામ છે. સહેજ્સાજ પણ ધ્યાનચૂક થાય તો સીધું ધબાય નમઃ જ થાય. પ્રસ્તુત ગઝલમાં કવિએ “હજી ત્યાંની ત્યાં જ છે” જેવી વિશિષ્ટ રદીફની લાકડી હાથમાં ઝાલીને સુપેરે રોપવૉક કરી બતાવ્યું છે. ગઝલમાં પ્રમાણમાં ઓછા માન્ય ગણાતા અકારાંત કાફિયા સાથે અનૂઠી રદીફ સાંકળીને કવિએ સાત રંગનું મજાનું મેઘધનુષ સર્જ્યું છે. બધા જ શેર સ-રસ થયા છે પણ રદીફ ઉપર વિશેષ ધ્યાન આપીને વાંચીએ તો દરેક શેર વધારે સ-રસ લાગશે.

Comments (15)

મઘમઘતો મેડો… – યોગેશ પંડ્યા

મને લાગ્યો નઠારા સંગ નેડો,
ફલકુને તીર ભરી પાણીડાં, આવતી’તી,
રોક્યો રૂપાળે મારો કેડો!
કે મને લાગ્યો નઠારા સંગ નેડો!

એણે વાતુંવાતુંમાં મને છેતરી,
મને દામણ દીધું કે દીધી નેતરી,
પછી ચારેબાજુથી મને વેતરી,

સિવાતી ગઈ એના ટેરવાંના ટેભલે
જડિયો ના ક્યાંય મને છેડો!

અલી, એવી તે કાંઈ ન’તી ભોળી,
મુને આંખ્યુંના ત્રાજવામાં તોળી,
પછી વાતું કરી’તી મીઠામોળી,

કોણ જાણે સૈ! પછી થઈ ‘ગ્યું છે શું?
મને લાગી ‘ગ્યો એક એનો હેડો!

ગોરંભા જેમ ચડ્યો માગશરનો ઠાર,
આંખ્યું ને લાગે છે પાંપણનો ભાર,
મધમીઠો કેમ મને લાગે અંધાર?

વહેલી સવારના ઝબકીને જાગી તો-
મ્હેક થકી મઘમઘતો મેડો!

– યોગેશ પંડ્યા

રમતિયાળ લયગૂંથ્યું રમતિયાળ ગીત! હૈયાના ચોરને નઠારો કહેવાની પ્રેમોક્તિ નવી નથી, પણ વાત જે મજાથી રજૂ થઈ છે, એની જ અહીં ખરી મજા છે. નાયિકાનું હૃદય આવા ‘નઠારા’ સંગ લાગી ગયું છે. ધ્રાંગધ્રાની ફલકુ નદીમાંથી પાણી ભરી એ પરત ફરતી હતી એ સમે નાયકે એનો માર્ગ આંતર્યો. કાવ્યારંભે જે નઠારો હતો એ આટલીવારમાં તો રૂપાળો લાગવા માંડ્યો છે. ગાય-ભેંસ ને વધુ દૂર જતાં રોકવા બે પગ વચ્ચે જે દોરી બાંધવામાં આવે એને દામણ કહે છે, અને દહીં વલોવવા માટે વપરાતી દોરીને નેતરું. નાયિકાનો આરોપ છે કે નાયકે વાતોમાં ભોળવીને પોતાને છેતરી છે અને દામણ દઈને એની ગતિ મર્યાદિત કરી દીધી છે, અથવા નેતરી દઈને (પ્રેમના) ધંધે વળગાડી દીધી છે. જે કર્યું હોય એ, પણ નાયકે નાયિકાને ચોતરફથી વેતરીને પોતાના માપની કરી દીધી છે. નાયકના ટેરવાના ટેભે નાયિકા એ રીતે સીવાતી ગઈ છે કે હવે એનો પોતાનો છેડોય જડ્યો જડે એમ નથી. ભોળી ન હોવા છતાં કથકના નેણઉલાળે એ વશ થઈ છે ને એને એનો ટેસડો લાગી ગયો છે. પાંપણ ભારી થઈ જવા છતાં રાતના ઉજાગરાભર્યાં અંધારા મધમીઠા લાગે છે, ને સવારે પ્રિયતમની મહેંકથી મેડો મઘમઘતો થઈ ગયેલો અનુભવાય છે…

Comments (13)

(સકલમાં ઓગળે છે) – જાતુષ જોશી

કોઈ પૃથ્વી, જળ, ગગન, વાયુ, અનલમાં ઓગળે છે,
કોઈ એવી રીતથી જાણે સકલમાં ઓગળે છે.

કોઈ કેવળ સાત રંગોની રમત જોયા કરે છે,
કોઈ બહુ સમજી-વિચારીને ધવલમાં ઓગળે છે.

કોઈ કુંતલના તિમિરથી તરબતર થઈ સૂઈ ગયું છે,
કોઈનું હોવાપણું ત્યાં એક તલમાં ઓગળે છે.

કોઈ ત્યાં તટ પર સરોવરની હવા શ્વસતું રહે છે,
કોઈના સહુ શ્વાસ સૌરભમય કમલમાં ઓગળે છે.

કોઈમાં એની ગઝલ અમથી જ ઓગળતી રહે છે,
કોઈ બસ અમથું જ પાછું એ ગઝલમાં ઓગળે છે.

– જાતુષ જોશી

ગઝલના પાંચેય શેરના દસેદસ મિસરાનો પ્રારંભ “કોઈ”થી થાય છે. આ કોઈ કોઈપણ હોઈ શકે, હું, આપ કે અન્ય કોઈ પણ. એ અર્થમાં આ ગઝલ સૌની ગઝલ બની રહે છે. દરેક મિસરાનો અંત પણ ‘છે’થી થાય છે. ગઝલમાં રદીફ અથવા રદીફનો અંશ ઉલા મિસરામાં વાપરી ન શકાય, એટલે ગઝલની પરિભાષામાં જોઈએ તો મત્લા પછીના દરેક શેરમાં તકાબીલ રદીફ દોષ થયો ગણાય. પણ કવિએ દસેય પંક્તિઓમાં આદ્યંતે સમાન શબ્દ વાપરવાની રચનાનીતિ અપનાવી હોવાથી પ્રયોગના ધોરણે આ નિર્વાહ્ય જણાય છે.

પંચમહાભૂતોથી બનેલ દેહ પંચમહાભૂતમાં જ વિલીન થઈ જાય છે. દરેક સજીવ પંચમહાભૂતોથી જ બન્યો હોવા છતાં દરેક વ્યક્તિ એકબીજાથી અલગ તરી આવે છે. માટી એક જ હોવા છતાં સૌના ઘાટ અલગ છે, પણ કોઈ કોઈ એવાય હોય છે, જે સૌમાં સમરસ થઈ સૌ સાથે સમભાવથી રહેતાં હોય છે. આ જ વાત બીજા શેરમાં સાત રંગોના સંમિશ્રણથી સફેદ રંગ બને છે એ વૈજ્ઞાનિક હકીકતનો આધાર લઈ કવિએ રજૂ કરી છે. કુંતલ એટલે વાળની લટ. એય શ્યામ અને તલ પણ શ્યામ. કુંતલ અને તલ વચ્ચેની વર્ણસગાઈ અને રંગસગાઈનો સમુચિત ઉપયોગ કરીને કવિએ કેવો મજાનો શેર સર્જ્યો છે! શેખાદમનો અમર શેર પણ યાદ આવે:

ભેલે હું શ્યામ લાગું, પણ મિલન આવું મળે કોને?
તમન્ના છે કે તારા ગાલનો તલ થાઉં તો સારું.

સરવાળે આખી ગઝલ મજાની થઈ છે.

Comments (4)

તો – ચંદ્રકાન્ત શેઠ

ઢાળવાનું હેમ છે તો ઢાળીએ,
એક ઝરણું આંખમાંયે વાળીએ.

એટલા તારા ગમ્યા છે રાતના,
દિવસ આખો જાગવાનું ટાળીએ.

તૂટવાની શી મજા મઝધારમાં!
ભૂલમાંયે કેમ કાંઠો ભાળીએ?

આપણે તો એક મોતી પામવું,
સાત સમદરનીય રેતી ચાળીએ!

કોક દી તો એ ગગન અહીં આવશે,
આંગણામાં પંખીઓ બસ, પાળીએ.

આપણામાં જ્યોત ને જ્વાળા ઊઠે,
બાળવા જેવું બધુંયે બાળીએ.

– ચંદ્રકાન્ત શેઠ

ઉજાગરાના કારણ તો હજાર હોય, પણ કવિ પાસે જે કારણ છે એ તો સાવ અલગ જ છે, અને ઉજાગરો કરવા માટેની એમની પદ્ધતિ પણ નોખી છે. રાતના તારા કવિને એ હદે ગમી ગયા છે કે એ દિવસે ઊંઘી જવાનું પસંદ કરે છે, જેથી કરીને રાત આખી તારાઓના સૌંદર્યનું આકંઠ પાન કરી શકાય. ત્રીજો શેર વાંચતાવેંત શૂન્ય પાલનપુરીની યાદ આવે- મને એ નાખુદા પર છે ખુદા કરતાં વધુ શ્રદ્ધા, કિનારો જોઈ જે પાછો વળી જાયે સમંદરમાં. છેલ્લા ત્રણ શેર તો સાત સમંદરની રેતી ચાળીને હાંસિલ કરેલ મોતી જેવા મૂલ્યવાન થયા છે…

Comments (3)

ફરી ગામડે – રાજેશ પંડ્યા

આ રસ્તો
મારા ગામ તરફ જાય છે.
જોકે હું એના પર ચાલતો નથી અત્યારે
હું બેઠો છું અહીં
અને બેઠો બેઠો પહોંચી ગયો છું ગામને પાદર.
વડલાની ડાળે હીંચકા ખાતો પવન પડી ગયો છે,
શીતળાઈની ધજા ફરફરતી નથી જરાય
મસાણમાં અડધી બાળેલી ચિતા ધૂંધવાય છે,
ને પડખે વહેતી નદીનાં ઊકળતાં પાણીમાં પરપોટા થાય છે
શંકરની દેરીનો પોઠિયો ગળતી ભણી ઉઘાડે મોં ઊંચું જુએ
તો કૂવાનાં જળ ગરેડીથી તળિયા લગ ઘૂમચકરડી ફરતાં દેખાય.
સામેની નિશાળના ખાલીખમ મેદાનમાં
કોઈ છોકરો એક પગે ઠેકે છે
એનો લંગડી દા ઊતર્યો નથી હજીય
પછી
ક્યાંથી એ દોડીને પહોંચી શકે વતનને ગામ!
ભલેને એને લઈ જતો આ રસ્તો
આંખ સામે જ પથરાઈને પડ્યો હોય અફાટ
જેના પર આખી રાત
સપનામાં ચાલ્યા કરવાનાં પગલાં પડ્યાં હોય ખીચોખીચ.

– રાજેશ પંડ્યા

વતનઝૂરાપાના અનેકાનેક અમર કાવ્યોથી વિશ્વસાહિત્ય ભર્યું પડ્યું છે. કવિએ ‘ફરી ગામડે’ શીર્ષક હેઠળ એકાધિક કાવ્ય કર્યાં છે, એમાંનું એક અહીં રજૂ કરીએ છીએ. ગામ તરફ લઈ જતો રસ્તો નજર સામે જ પડ્યો હોવા છતાં શહેર ત્યજીને એ રસ્તે ચાલીને ગામ જવાનું સંભવ બનતું નથી. કવિના મનની આંખો સમક્ષ ગામ તાદૃશ થઈ ઊઠે છે. બહુ સ-રસ રીતે કવિએ વતનવિયોગની વેદનાને વાચા આપી છે.

Comments (5)

રાત્રી થતાં… – ચંદ્રકાન્ત શેઠ

રાત્રી થતાં જગત ઊજળું જાય ડૂબી,
અંધારનાં ફરી વળી જળ લે ઉછાળા:
કૈં ઊજળા થર ચઢ્યા મુજને યુગોના
ધોવાઈ જાય : છતું થાય સ્વરૂપ મારું
પ્રાચીન અશ્મયુગનું : ઘર મારું લાગે
ઊંડી ગુહા : ઘરની એકલતા રડે છે
કો’ શ્વાન જેમ મુખ ઊર્ધ્વ કરી નિશાએ.

શી પ્રેતની ગુસપુસો મુજ આજુબાજુ
ને હવા પરશતાં લહું : ગંધ મીઠી
લે મારી હિંસ્ર પશુ કો’ કરી નાક ઊંચું.
રે એ જ આ પશુ હવે મુજમાંથી આવે-
ધીમે બહાર : ડગલે દૃઢ ચાલ્યું આવે
મારા પ્રતિ : સ્થિર વિલુબ્ધ દૃગે મને જ
તાક્યાં કરે….!

કૈં કેટલાય યુગથી આમ જ એ મને તો
.                                    તાક્યાં કરે…!

– ચંદ્રકાન્ત શેઠ

રાતની પીંછી દુનિયાને એકરૂપ કરી દે છે. અજવાળામાં સજીવો અને નિર્જીવોને આકાર-કદ વગેરેના કારણે અલગ અલગ ઓળખાણ સાંપડે છે, પરંતુ અંધકાર બધા વચ્ચેના ભેદભાવ ઓગાળી દે છે. જ્યારે આંખો કશું જ જોઈ શકવા સમર્થ રહેતી નથી, ત્યારે માણસ પોતાને જોઈ શકે છે. દિવસના અજવાળામાં માણસ સ્વયં ઉપર થરના થર ચડાવી રાખી જીવતો રહે છે. રાતના અંધારામાં આ તમામ થર ધોવાઈ જાય છે. રાતનું આ અંધારું એકલતાનું પણ પ્રતીક છે. કોઈ પોતાને જોઈ શકનાર નથી એની પ્રતીતિ થાય એ ઘડીએ માણસનો ખરો રંગ, એની અંદરનું હિંસક પશુ પ્રગટે છે. વિલિયમ ગોલ્ડિંગની બહુખ્યાત નવલકથા ‘લૉર્ડ ઑફ ફ્લાઇઝ’ આ તબક્કે તરત જ યાદ આવે, જેમાં એક ટાપુ પર સભ્ય સમાજથી અળગા પડી ગયેલ તરુણો અસ્તિત્ત્વના સંઘર્ષની કગાર પર આવીને ઊભા રહે છે ત્યારે એમની અસલિયત પ્રકાશે છે. ઈશ્વરના દૂત ગણાતા બાળકોની ભીતર પણ કેવું ખતરનાક પ્રાણી જીવે છે એ જોઈને લોહી થીજી જાય છે. પ્રસ્તુત રચનામાં પણ કવિએ અંધારાને પ્રતીક બનાવીને આ સત્ય ઉપર જ પ્રકાશ ફેંકવા ચાહ્યું હોય એમ જણાય છે.

Comments (5)

(ચાલે છે) – ડૉ. પરેશ સોલંકી

શ્વાસ શ્રદ્ધાના સહારે ચાલે છે,
નાવ તો સઢના ઈશારે ચાલે છે.

ખેડી લે દરિયે સફર કો’ વિરલા,
કોઈ જીવનભર કિનારે ચાલે છે.

લાખ કોશિશો કરી છે સૂર્યએ,
સ્વપ્ન તોયે અંધકારે ચાલે છે.

કોઈએ ઈશ્વર નથી જોયો છતાં,
જિંદગી એના સહારે ચાલે છે.

જે ઉદય કે અસ્તને પામી ગયા,
પ્રેમપંથે એ વધારે ચાલે છે.

– ડૉ. પરેશ સોલંકી

સરળ બાનીમાં મજાની ગઝલ…

Comments (12)

જુએ છે – રઈશ મનીઆર

તું જળ છે, તો તારી સપાટી જુએ છે,
અહીં તળ સુધી કોણ તાગી જુએ છે?

મૂલવવા સ્વયંને નથી ખુદને જોતાં
જુએ છે, તો બસ, ખુદની ખ્યાતિ જુએ છે

જુએ છે તરણ કે તરસની નજરથી,
નદીનેય કોણ આખેઆખી જુએ છે?

ફૂટેલા ઘડાને ન કુંભાર જોતો
તરત એ નવીનરવી માટી જુએ છે

મળે છે હીરા એને ક્યારેક ક્યારેક
જે પ્રત્યેક કંકર ઉઠાવી જુએ છે

– રઈશ મનીઆર

સમય સાથે માનવીય મૂલ્યોને સતત ઘસારો લાગતો આપણે સહુ જોઈ-અનુભવી રહ્યાં છીએ. માણસ મોટો થતો જાય છે એમ એમ મૂલ્યો છીછરાં થતાં જાય છે. પોતાની કાવ્યસફરના પ્રારંભે ‘કો’ ઉપરછલ્લી ગતિ ફાવી નહીં, જ્યાં ગયા ત્યાં સાવ સોંસરવા ગયા’ લખનાર કવિ આજે ‘તળ સુધી કોણ તાગી જુએ છે?’ લખવા મજબૂર થયા એ કેવી વિડંબના! સપાટીથી ઊંડે ઉતરવા ભાગ્યે જ કોઈ આજે તૈયાર છે. સ્વયંમાં કેટલું સત્ત્વ છે એની પ્રામાણિક ચકાસણી કરવાના બદલે વાડકીવ્યવહારી ફેસબુક કે ઇન્સ્ટાની પૉસ્ટને કેટલી લાઇક્સ, શેર અને કમેન્ટ્સ મળ્યાં છે એના પરથી જ આપણે આપણી જાતની સફળતાનો ક્યાસ કાઢવા માંડ્યા છીએ. જેમ સ્વયંનું એમ માણસ સામાનું આકલન પણ સમૂચુ કરવાના બદલે જરૂર મુજબનું જ કરે છે. નદી સમગ્રને નાણવાના બદલે હેતુસરનો જ સંબંધ આપણે રાખીએ છીએ. જો કે પહેલા ત્રણ શેરમાં કવિહૃદયની વ્યથા રજૂ કર્યા બાદ અંતિમ બે શેરમાં કવિઓ કરવટ બદલે છે. કુંભાર અને કંકરે-કંકરની ઉલટતપાસ કરનાર આશાવાદી અને ખંતીલા મનુષ્યોના પ્રતીકથી કવિ આપણને અમૂલ્ય જીવનપાથેય આપે છે…

Comments (9)

વિચાર અજમાવું – શૈલેશ ગઢવી

રાજદ્વારી વિચાર અજમાવું,
ખુશખબર વારતામાં લઈ આવું.

જાઉં છું કંઈક બોલવા પાસે,
એ કહે છે, પછીથી બોલાવું!

શૂળીનો ઘા સરી ગયો સોયે,
મારા મનને હું રોજ સમજાવું.

પૂરી દુનિયા છે દિલરૂબા મારી,
ક્યાં સુધી મારી બાંહ ફેલાવું?

સૌના જુદા અવાજ ને ચહેરા,
તો પછી અન્ય જેમ શું થાવું!

– શૈલેશ ગઢવી

કવિતા એટલે આઉટ ઑફ ધ બોક્સ વિચારવાની કળા. પ્રસ્તુત ગઝલનો મત્લા જુઓ. ગઝલમાં રાજદ્વારી વિચાર અજમાવવાની વાત આપણને બે ઘડી વિચારતાં કરી મૂકે એવી અજુગતી છે. કવિ એક તરફ રાજદ્વારી વિચારની વાત કરે છે તો બીજી તરફ વારતામાં ખુશખબર લઈ આવવાની વાત કરે છે. બે સાવ અસંબદ્ધ લાગતા મિસરા સાંધીને કવિએ કેવો મજાનો મત્લા જન્માવ્યો છે એ જોવા જેવું છે. સામાન્યરીતે કળાને ઘેરો રંગ, વિષાદનો રંગ વધુ માફક આવે છે. મિલન કરતાં વિરહની કવિતાઓ જ વધુ લોકભોગ્ય બને છે. એટલે વારતામાં ખુશખબર લઈ આવવી હોય તો રાજદ્વારી અમલ કરવો અનિવાર્ય થઈ પડે. ખાધું, પીધું ને મોજા કરીની વારતાઓ તો પરીકથામાં જ જોવા મળે, જીવનમાં તો કરુણતા જ સવિશેષ જોવા મળે. (સ્મરણ: ‘આ વાદ્યને કરુણ ગાન વિશેષ ભાવે…’ નરસિંહરાવ દિવેટિયા)

સરવાળે આખી ગઝલ જ આસ્વાદ્ય થઈ છે…

Comments (9)

તમાશાને તેડાં – સંજુ વાળા

તમાશાને મોકલ્યાં રે તેડાં
સપરમો દાડો જોઈ કરવાને બેઠા રે કવિતા
.                  જોડી નામઠામ વગરના નેડા.
.                  તમાશાને મોકલ્યાં રે તેડાં.

પેનમાં સુકાઈ ગઈ શાહીને મનાવવા
હાથ જોડી શાંતચિત્તે કરીએ આરાધના
ખીચોખીચ ઊભરાતા કોટિ કોટિ કાગળોના
પારને પમાય એવી કઈ હશે સાધના?
તણખામાં દાવાનળ સમેટાય જાણું પણ
.                  કેમ સંકેલાય કોઈ લંબાયેલા છેડા?
.                  તમાશાને મોકલ્યાં રે તેડાં.

કાગારોળ કરી કરી ઢળી પડી જીભ અને
ઝૂરી ઝૂરી પાક્યાં પાંચે આંગળીનાં ટેરવાં
બાવડાં તો દીધાં પણ બળ એમાં પૂર્યાં નહીં
સામે તાણ ચડતા ભીનારા કેમ ઝેરવા?
કોને જઈ પૂછીએ ને કાઢીએ પિછાણ ક્યાં?
.                  કેટલે પહોચાડે કોઈ નકશાના કેડા?
.                  તમાશાને મોકલ્યાં રે તેડાં

– સંજુ વાળા

માતૃભાષા દિન આવ્યો? લખો કવિતા… મધર્સ ડે આવ્યો? લખો કવિતા… વસંતપંચમી? લખો કવિતા… પહેલો વરસાદ? અતિવૃષ્ટિ? ઓછો વરસાદ? –લખો કવિતા… સૉશ્યલ મિડિયા પર પ્રસંગ પ્રમાણે રચનાઓ રેલાવતા સર્જકોનો લીલો દુકાળ છે… પ્રસ્તુત રચના જાણે કે આવા સર્જકો માટે જ લખાઈ છે! નામઠામ વગરના નેડા જોડીને સપરમો દહાડે કવિતા કરવા બેસી જવું એટલે તમાશાને તેડાં આપવાં. વિલિયમ વર્ડ્ઝવર્થે ૧૮00ની સાલમાં કહ્યું હતું: કવિતા બળકટ લાગણીઓનો સ્વયંસ્ફુર્ત ઊભરો છે: તે પ્રશાંતાવસ્થામાં ભાવના અનુસ્મરણમાંથી ઉદભવે છે.

સર્જનશક્તિનો સ્રોત સૂકાઈ ગયો હોય તો શાંત ચિત્તે હાથ જોડી સરસ્વતીની આરાધના કરવી જોઈએ. ઇયત્તાના મહાસાગરની પેલે પારની ગુણવત્તાને પામવા સાધના કરવી જોઈએ. કવિતા એટલે તો તણખામાં દાવાનળ, બુંદમાં સાગર અને બીજમાં વૃક્ષ! બિનમતલબી પથારો સંકેલતાં ન આવડે એ કવિતડાં કરી શકે, કવિતા નહીં. કવિતા બળનું નહીં, સામે તાણ ચડતા ભીનારાને, ઊર્મિઓના દુર્દમ્ય ઊભરાને ઝેરવવાનું કામ છે. કવિતાના ક્ષેત્રમાં માર્ગદર્શન તો કેવળ ઉપલક સહાય છે, આ યાત્રા તો આપબળે ને આપમેળે, પોતાની કેડી પોતે કંડારીને જ કરવાની છે… કવિતા એટલે રોડ લેસ ટ્રાવેલ્ડ પર મુસાફરી કરવાની કળા…

ગીતસંરચનામાં જેમને રસ હોય એમને આ ગીતના લયમાં પણ મજા આવશે. સામાન્ય રીતે ગીતો માત્રામેળ છંદોમાં લખાય છે, પણ કવિએ અહીં અક્ષરમેળ વૃત્ત- મનહર છંદ પ્રયોજ્યો છે. બીજા બંધમાં પહેલી બે પંક્તિમાં છલકાતી વર્ણસગાઈ ઉપરાંત ‘કરી કરી ઢળી પડી’ની લચક તથા ‘કરી,’ ઝૂરી’ની પુનરોક્તિ ગીતના લયને વધુ લવચિક બનાવે છે…

Comments (12)

કાગળની હોડી – વજેસિંહ પારગી

દરિયો તો
દુનિયા ડૂબાડી દે એવો
ને કવિતા તો
કાગળની હોડી.

કવિતા બહુ બહુ તો
આંગણામાં ભરાયેલા ખાબોચિયામાં
દરિયાનો અહેસાસ કરાવી શકે
કે હોડી તરતી મૂકતા બાળકનો વિસ્મય
આંખમાં આંજી શકે.

જો તરી જવાની મંછા ન હોય
ને ડૂબી જવાની ચિંતા ન હોય
તો કાગળની હોડીમાં બેસો!

– વજેસિંહ પારગી

કવિતાના રહસ્યમયી કેલિડોસ્કૉપમાંથી નજરે ચડતું પળેપળ બદલાતું ભાતીગળ દર્શન મનુષ્યજાતને પરાપૂર્વથી આકર્ષતું રહ્યું છે. સમુદ્ર અને જમીન તો સૃષ્ટિના આરંભથી જ સહોપસ્થિતિ ધરાવે છે, પણ દરિયો કંઈ દુનિયાને ડૂબાડી દેતો નથી એ હકીકત કોરાણે મૂકીને કવિ જ્યારે એમ કહે કે દરિયો તો દુનિયાને ડૂબાડી દે એવો છે, ત્યારે આપણને સહેજ નવાઈ લાગે. પણ કવિતાની ખરી કરામત જ આ છે. એ કહે કંઈ અને બતાવે કંઈ. બીજી જ પંક્તિમાં દુનિયાને ડૂબાડી દે એવા દરિયાને તરવા માટે કવિતા નમની કાગળની હોડીની વાત કવિ કરે છે, ત્યારે આપણી ભાવકચેતનામાં તત્ક્ષણ ચમકારો થાય છે- અરે! આ દુનિયા એટલે તો આપણું અંગત ભાવવિશ્વ અને આસપાસનું જગત અને જગતની ઉપાધિઓ એ એને ડૂબાડી દેતો દરિયો! દુનિયાનો દરિયો આપણી અંગત દુનિયાને ડૂબાડી દે એવો છે, અને એને પાર કરવો હોય તો નાજુક તો નાજુક પણ કવિતા જ એકમાત્ર સાધન છે. વાહ! કેટલા ઓછા શબ્દોમાં કેવી મજાની વાત!

કવિએ આ નાનકડી રચનાને ત્રણ ભાગમાં વહેંચી છે, પણ મને એમ લાગે છે કે વચ્ચેની પાંચ પંક્તિઓ કાઢી લીધી હોય તોય રચનાને ઉમદા કાવ્ય ગણી શકાઈ હોત. ખરી કવિતા તો પહેલા અને ત્રીજા બંધની સાત પંક્તિઓમાં જ છે!

Comments (11)

(ભાગી છૂટો) – અરવિંદ ભટ્ટ

તણખલે બાંધેલ સગપણ છોડીને ભાગી છૂટો,
પાંખથી આકાશને પરખોડીને ભાગી છૂટો.

કૈંક એવું પણ મળે ખંડેરને ફંફોસતાં
કે તમારું ઘર તમે તરછોડીને ભાગી છૂટો.

તે પછી પંપાળજો જીભથી પરિચયનો ખીલો,
ડોકમાં બાંધેલ સાંકળ તોડીને ભાગી છૂટો.

શક્ય છે કે બ્હાર નીકળવાથી દરિયો પણ મળે,
માછલીઓ, કાચને જો ફોડીને ભાગી છૂટો.

– એક ટોળું સ્તબ્ધતામાં ગુમ થઈ જાશે પછી,
ઊતરો ચિતા ઉપરથી, દેોડીને ભાગી છૂટો

– અરવિંદ ભટ્ટ

જે સગપણોને જીવસોતાં રાખીને આપણે આજીવન બંધાઈ રહીએ છીએ, એ તણખલાં જેવાં ક્ષણભંગુર છે. એને છોડીને ભાગી શકે એ સિદ્ધાર્થ જ બુદ્ધ બની શકે. પાંખથી આકાશને સાફ કરીને ભાગી છૂટવાના પ્રતીક વડે કવિ એ પણ કહે છે કે ભાગવું તો એ રીતે કે પાછળ કોઈ નક્શે-કદમ ન રહી જાય… બીજા શેરને ઘર-ખંડેરના સ્થૂળ અર્થમાં પણ લઈ શકાય અને ભીતરના ખંડેરને ફફોસતા થતી આધ્યાત્મિક અનુભૂતિને પામવા કાયાનું ઘર છોડી શિવ તરફ જવા મથતા જીવના સંદર્ભમાં પણ સમજી શકાય. ત્રીજો શેર પણ સંબંધ વિશે જ છે. પરિચયના ખીલાને જીભથી પંપાળતા પહેલાં ડોકમાં બાંધેલ સંબંધની સાંકળ તોડીને આઝાદ થઈ જવું જોઈએ, કારણ કે સાચો પ્રેમ સ્વતંત્રતા વિના સંભવ જ નથી. ચોથા શેરમાં પણ બંધન અને મુક્તિની જ વાત છે. આખરી શેરમાં પણ સંબંધની કેદમાંથી મુક્ત થવાની વાત સતી અને ચિતાના પ્રતીક વડે સુપેરે કહેવાઈ છે. ટોળાંએ સ્વીકારી લીધેલ નિર્ણયને અવગણીને કોઈ ચાલી નીકળે ત્યારે ટોળાંની પ્રથમ પ્રતિક્રિયા સ્તબ્ધ થઈ જવાની જ હશે. સતીના ચિતા પરથી ઉતરીને ભાગી જવાની વાત હોય કે દુનિયાએ આપણી ઉપર લાદી દીધેલ બંધનો ફગાવીને આઝાદીનો આહલેક લગાવવાની વાત હોય, સરવાળે તો સ્વ-ઇચ્છા અને સ્વ-તંત્રતા મુજબ જીવવાની જ વાત આ મુસલસલ કહી શકાય એવી ગઝલમાં વેધક રીતે કરાઈ છે.

પરખોડી શબ્દએ મને મૂંઝવ્યો. કોઈ શબ્દકોશમાં એનો અર્થ મળ્યો નહીં, પણ દુલા ભાયા કાગના એક ભજનમાં એ જડી આવ્યો:

સમતાની સાવરણીથી પરખોડી વાળ્યાં
જામ્યાં ત્યાં કંઈક જનમોનાં જાળાં રે

આ બે ઉદાહરણા પરથી ‘પરખોડવું’ એટલે સાફ કરવું એમ મને સમજાયું. કવિનો ખુલાસો પણ જોઈએ: ‘અમારા નાઘેર પંથકમાં ( વેરાવળ, પાટણ,માંગરોળ, કોડીનાર વગેરે) આ શબ્દનો વપરાશ બહુ સામાન્ય છે. મેં પણ લોકસાહિત્ય શબ્દકોશ સુધી પ્રાપ્ત બધું ફંફોસી નાખેલું. કશે આ શબ્દ ન મળલો. પરખોડવુંનો અર્થ તમે બરાબર પકડ્યો છે. માત્ર ઝાપટિયું કે કપડાંનાં નેપકિન જેવા કટકાઓથી સાફ કરવું એટલે પરખોડવું. ખાસ કરીને ઝાપટી અને વાળવું, કોશમાં ઝાપટિયું શબ્દ છે. સાવરણીથી પણ ઝાપટી તો શકાય, પણ એમાં પિચ્છાં ખરી જાય તો? કાગબાપુ વખતે ખજૂરીની સાવરણી આવતી તેમાંથી પિચ્છા ન ખરતાં. પાંખનો સંદર્ભ ઇંગિત કરવાની કોશિશ.’

Comments (13)

જ્ઞાનીઓનું ગીત – આદિલ મન્સૂરી

ક ખ ગ ઘ ક ખ ગ ઘ
કક્કો તારો ખોટો
ઝટ ઝાલી લે લ લંપટનો લોટો
કનું માથું કાપો
કપાયલું ધડ છાપો
ખ ખાડામાં બની બકરી બાંધો
ઘના ઘરમાં ગનો ગર્દભ હાંકો
ચની ચાંચે મનું મરચું
દ દેવીને સઘળું અર્ચું
જ જડચરનો ક્યાંય જડે ના જોટો…

કાનો માતર ચાવી જઈએ
અનુસ્વારને ધાવી લઈએ
હ્રસ્વઇ દીર્ઘઈ ચટણી વાટો
ઉપર અલ્પવિરામો છાંટો
પ્રશ્નાર્થોના દૂકને ઊંધા વાળો
લિપિને દોરીથી બાંધી
ત્યાં અવળી ટીંગાડો
રક્ત વહેતો
કાગળ ઉપર લાંબો લાલ લિસોટો

– આદિલ મન્સૂરી

પ્રમુખતઃ ગઝલકાર રહેલા કવિને ગીતની ઇબારત બહુ માફક આવી જણાતી નથી. કવિએ શીર્ષકમાં ‘ગીત’ શબ્દ પ્રયોજ્યો છે, પણ રચનાને ગીત ગણવી કે કેમ એ સવાલ છે. બબ્બે પંક્તિઓ વચ્ચેની પ્રાસસાંકળી અને અંત્યપંક્તિઓ વચ્ચેના પ્રાસના અંકોડા ગીતનુમા રચનાનો આભાસ અવશ્ય કરાવે છે, પરંતુ કટાવ છંદના અનિયમિત આવર્તનવાળા ઊર્મિકાવ્યની કક્ષા છોડીને ગીત સુધી આ રચના પહોંચી શકતી નથી. ‘જ્ઞાનીઓનું ગીત’ શીર્ષક ઉપરથી ખ્યાલ આવે છે કે આ રચના ભાષાના કહેવાતા પંડિતોને નિશાન બનાવીને લખાયેલી વ્યંગરચના છે અને કવિએ ભાષાના નામે થતા ભવાડાઓ સામે આંખ લાલ કરવા ધારી જણાય છે, પરંતુ શ્રી સુરેશ જોશીએ આ રચના વિશે આમ લખ્યું છે: “વિડમ્બના વિદ્રોહનું પ્રબળ શસ્ત્ર છે, પણ એ રીતે એનો સમર્થ પ્રયોગ થયેલો ઝાઝો દેખાતો નથી. આદિલ મન્સૂરીનું “જ્ઞાનીઓનું ગીત” જાણે ભાષા સમસ્ત સામે વિદ્રોહ પોકારતું હોય એવું લાગે છે. રેંબોની “સ્વરો’વાળી કવિતા યાદ આવે ને તે સાથે જ આ કાવ્યની મર્યાદાઓ પણ સ્પષ્ટ થઈ જાય છે. અહીં જે છે તે તરંગ છે, રમત છે. રેંબોમાં કાવ્યને સ્તરે પહોંચવાની શક્તિ છે તે અહીં દેખાતી નથી.”

Comments (3)

સત્ય બ્હાર આવે છે – શૈલેશ ગઢવી

તપાસ થાય પછી સત્ય બ્હાર આવે છે,
પ્રયાસ થાય પછી સત્ય બ્હાર આવે છે.

ભર્યું છે તેજ-તમસ કેટલું આ સૃષ્ટિમાં?
અમાસ થાય પછી સત્ય બ્હાર આવે છે!

પ્રયાણ સ્વપ્ન સમી જાતરાનું થાય અને
પ્રવાસ થાય પછી સત્ય બ્હાર આવે છે.

નિહાળી બીજ અભિપ્રાય કેમ આપો છો?
વિકાસ થાય પછી સત્ય બ્હાર આવે છે!

પ્રથમ નજરથી તમે જેને ખાસ માનો છો,
એ ખાસ થાય પછી સત્ય બ્હાર આવે છે!

પહેલાં વાત કરે છે એ સાત જન્મોની,
સમાસ થાય પછી સત્ય બ્હાર આવે છે!

– શૈલેશ ગઢવી

મારી પાસે કોઈ પણ સંગ્રહ આવે એટલે સૌપ્રથમ હું પ્રસ્તાવના કોણે કોણે લખી છે એ જોઈ લઉં અને કવિની કેફિયત વાંચી લઉં. કવિની કેફિયત પરથી કવિનો વ્યાપ કેટલોક હશે એનો અંદાજ આવી જાય. પછી પ્રસ્તાવનાઓ ઉપર ઉપરથી વાંચી જાઉં. અને પછી સંગ્રહ વાંચવો શરૂ કરું… મોટાભાગનાં ગીત-ગઝલોમાં પહેલી બે પંક્તિ નક્કી કરી દે કે આખી રચના વાંચવી કે આગળ વધવું.

જેમની સાથે અગાઉ ભાગ્યે જ કોઈ સંપર્ક થયો હતો એવા એક કવિમિત્રએ એમનો પ્રથમ ગઝલસંગ્રહ મોકલાવ્યો. પાછળના કવરપેજ પર ભરત વિંઝુડાની પ્રસ્તાવનાના અંશનું પ્રથમ વાક્ય હતું: ‘ગઝલમાં પોતીકો અવાજ લઈને આ કવિ આવે છે.’ ભરતભાઈ પ્રિય કવિ છે, પણ આજકાલ દરેક પ્રસ્તાવનાકારને દરેક સર્જનમાં સર્જકનો ‘પોતીકો અવાજ’ જ સંભળાય છે. હૈયે હામ રાખીને સંગ્રહની પહેલી ગઝલ વાંચી અને પછી તો બસ… ઘણા લાંબા સમય પછી એવો સંગ્રહ હાથ લાગ્યો, જેણે મને એકી બેઠકે આખો સંગ્રહ વાંચવાની ફરજ પાડી અને પહેલો શેર વાંચીને આગળ વધી જવાના બદલે દરેકે દરેક ગઝલ અને દરેકે દરેક શેર ધ્યાન દઈ વાંચવા માટે મજબૂર કર્યો…

પ્રસ્તાવનામાંથી મળતી માહિતી મુજબ ૯૬ ગઝલોમાં કવિએ ૨૬ છંદ વાપર્યા છે, જે સાચે જ સરાહનીય કહેવાય. પ્રથમ સંગ્રહ છે એટલે ક્યાંક ક્યાંક છંદદોષ અને ભાષાની શિથિલતા તથા શેર પૂરો કરવાની ઉતાવળ નજરે પડે છે. તદોપરાંત છંદવૈવિધ્ય માટેનો વ્યાયામ કેટલીક જગ્યાએ વ્યાયામ જ બનીને રહી જતો પણ દેખાય છે, પણ સરવાળે આખો સંગ્રહ સંતર્પક થયો છે અને આગામી ગઝલો વધુ બુલંદ થવાની પૂરેપૂરી સંભાવનાઓ દૃષ્ટિગોચર થાય છે…

સાચા અર્થમાં આ સંગ્રહમાં એક નવ્ય સર્જકનો ‘પોતીકો અવાજ’ સંભળાયો…

કવિશ્રી શૈલેશ ગઢવીને પ્રથમ ગઝલસંગ્રહ ‘થોડાંઘણાં કબૂતર’ માટે ખૂબ ખૂબ અભિનંદન અને સ્નેહકામનાઓ…

Comments (11)

એક પત્ર – ઉદયન ઠક્કર

દોસ્ત, પત્રનો લય પકડીને, ગાઈ કરીને, અને બને તો તબલાં લઈને વાંચ.

લયનાં અમને સવાસાત જનમોનાં જૂનાં જૂનાં વળગણ, લયમાં નાવું, લયનાં દાતણ, લયને લઈને રોજ દિશાએ જાવું. લયથી અમને પ્રેમ સ્ફુરે, ને વીર્ય સ્રવે તે લયમાં લયમાં, લયભાષામાં વિચાર આવે, લયને લઈને કૈંક અગોચર, કૈંક મજાનાં સરોવરોમાં અમે ડુબાડી ચાંચ.

લયનું પાછું અલકમલક છોડીઓ જેવું—કામ્યગાત્ર પંક્તિને ચૂમી લઈ ગાઢો આશ્લેષ ભરીને, લઈ ગાઢો આશ્લેષ ભરીને ચૂરેચૂરા કરી નાખીએ એવું, લય પણ કૂદી ઊછળી આવે, લય આવે ને ના પણ આવે એવું : અલકમલક છોડીઓ જેવું. અક્ષરમેળ વૃત્ત બહુ prudish. માત્રામેળની સાથે flirting
કરતાં કામાતુર કવિને ખાસ ન આવે આંચ.

અમે ડુબાડી ચાંચ,
બને તો તબલાં લઈને વાંચ.

– ઉદયન ઠક્કર

લગભગ ૧૯૭૮ની સાલમાં કવિએ જાણીતા અભિનેતા દર્શન જરીવાલાને ઇન્લેન્ડ લેટરમાં એક પત્ર લખ્યો હતો તે આ. માત્રામેળ અને અક્ષરમેળ છંદોનું બાવીસ વરસના યુવાનને એ સમયે આકર્ષણ પણ ખૂબ હતું અને કૌતુક પણ. અને એ વય વળી અંગાંગમાં પૌરુષી અંતઃસ્ત્રાવોના ઘોડા હણહણવાનો, એટલે એ બંનેની અસર આ રચનામાં નજરે ચડે છે.

‘ગીતગુંફન’ પુસ્તક તૈયાર કરતો હતો, ત્યારે એક નામાંકિત ગીતવિશ્લેષક અને ગીતકારના અર્વાચીન ગુજરાતી ગીત વિશેના પોણીબસો પાનાંના પુસ્તકમાં આ રચનાનો આધુનિક ગીત તરીકે આસ્વાદમૂલક પરિચય કરાવાયેલ જોયો. એમણે લખ્યું છે કે ‘આખીય રચના પ્રથમ દૃષ્ટિએ ગીત ન પણ લાગે, છતાં એમાં ગીતાભાસ જણાય છે…. …આખુંય રચનાતંત્ર આમ તો પત્રશૈલીનું હોવા છતાં એના લક્ષ્યાર્થ ગીતના શિલ્પ સ્થાપત્યને બરાબર માફક આવે છે એમ હું માનું છું.’ આ રચનાને ગીતના શિલ્પસ્થાપત્યને માફક આવતી રચના કહી શકાય કે કેમ એ બાબતે મેં કેટલાક સંનિષ્ઠ ગીતકવિઓ સાથે વિમર્શ કર્યો. કોઈને આ રચનામાં ગીત ન દેખાયું. મૂળ સર્જક ઉદયનભાઈએ પણ આ રચના ગીત હોવા વિશે સાશ્ચર્ય ઇનકાર કર્યો. મારા મતે આ રચનાને કટાવ છંદમાં રચાયેલ ગીતનુમા ઊર્મિકાવ્ય જ કહી શકાય.

હશે, આપણને તે મમમમ સાથે કામ કે ટપટપ સાથે? કવિએ એક પત્ર લખ્યો છે, અને ડોક્ટર દવાના પિસ્ક્રીપ્શન સાથે દવા કઈ રીતે લેવી એ સૂચના આપે એમ એમણે સૂચના પણ આપી છે કે આ પત્ર એમનેમ વાંચવાનો નથી, એનો લય પકડીને ગાઈને વાંચવાનો છે અને શક્ય બને તો તબલાં લઈને વાંચવાનો છે. મતલબ, આપણે લય અને સંગીત –ઉભયની મદદ લઈને આ પત્રમાં આગળ ગતિ કરવાની છે. મૂળમાં આ પત્ર એક સમર્થ સર્જકે ગીતકવિઓના વધી ગયેલ ઉપદ્રવ સામે લાલ બત્તી દેખાડવા લખ્યો જણાય છે. લય અને સંગીત જ કેવળ ગીતના પ્રાણ નથી, પણ આપણે તો લયનાં સવાસાત જન્મોનાં જૂનાં જૂનાં વળગણ ન હોય એમ લયમાં જ નહાઈએ છીએ, લયમાં જ દાંતણ પણ કરીએ છીએ અને લયમાં જ ટોઇલેટ પણ જઈએ છીએ. આપણી આખેઆખી રોજનીશી લયગ્રસિત છે એમ કહી કવિ કટાક્ષ તો કરે જ છે, પણ સાથોસાથ અગોચર મજાનાં સરોવરો સુધીનો સફળ ફેરો પણ કરાવે છે. લયને કવિ અલકમલક છોડીઓ સાથે પણ સરખાવે છે. છોકરીઓના સ્વભાવનું વર્ણન તો કરે જ છે, પણ પુનરોક્તિનો સહારો લઈને પોતે જે કહેવું છે એને અધોરેખિત કરીને દૃઢીભૂત પણ કરે છે. વાત અલકમલક છોડીઓની છે, પણ ગાઢ આશ્લેષમાં લઈ ચૂરેચૂરો કરવાની વાતમાં ધૃતરાષ્ટ્ર અને ભીમનો સંદર્ભ પણ નિહિત છે. કામ્યગાત્ર પંક્તિ અને કામાતુરતાની વાત કરતા બાવીસ વર્ષના છોકરડાના મનમાં એ સમયે મહાભારતનોએ સંદર્ભ ન પણ હોય, પણ કવિતાની ખરી મજા જ એ છે કે કવિએ એને કાગળ પર છૂટ્ટી મૂકી નથી કે એ સ્વૈરવિહારે નીકળી નથી પડી. વધુ પડતી જોરજબરી કરવા જાવ તો લય ભાંગીય જાય, ખરું ને? ગીતને માફક ન આવતા અક્ષરમેળ વૃત્તને પ્રુડિશ અને માફક આવતા માત્રામેળ સાથે ફ્લર્ટિંગ કહીને કવિ એક તરફ ગીતની લાક્ષનિકતા તો સૂચવે જ છે, પણ સાથે જ કામ્યગાત્ર જેવી સુશ્લિષ્ટ ભાષા સાથે અંગ્રેજીની ભેળસેળ કરતા ‘કામાતુર’ ગીતપ્રેમી કવિને ‘ખાસ ન આવે આંચ’ કહીને ભાષાની ભેળના ભયસ્થાન પણ નિર્દેશે છે.

Comments (6)

પરોઢે તાપણી પાસે બેઠેલ વૃદ્ધની સ્વગતોક્તિ – રાવજી પટેલ

ધીરે રહી પમરતું પ્રભાતિયું, ને
માંચી મહીં બચબચ્યું શિશુ. કાન વાગ્યા
કો શ્વાનના. સળવળ્યો પથ, શાંત પાછો.
ચોપાસ મંદ પ્રસરે ભળભાંખળું થૈ
તંબૂર. ને મન વિષે કશી રિક્ત શાંતિ.
ઉતાવળી ગરગડી થઈ કો’ક કૂવે
ખેંચ્યે જતી ઘટ હવે. સણકોરવાયો
અગ્નિ સ્વયં. ખળભળ્યું મન કો વલોણે.
ઓ સીમમાં સકલ ભાંભરતી ગમાણો
ચાલી ગઈ, નયનબ્હાર ઘડીકમાં તો
ભીની જગા કલકલી ઊઠી—સ્પર્શ મ્હોર્યો
પાસે, ફરે કર, કઠોર પડેલ સાંઠી.
કેવે સમે સૂરજ પૂર્વ વિષે પ્રકાશ્યો!
ખોળ્યા કરું હજીય ભસ્મ મહીં…

– રાવજી પટેલ

કહે છે કે શીર્ષક રચનાપ્રવેશ માટેની કૂંચી છે. પ્રસ્તુત રચના આ પૂર્વધારણાનું ઉત્તમ ઉદાહરણ ગણી શકાય. શીર્ષક ન હોય તો આ રચનામાં બેને બે ચાર કરવું દોહ્યલું થઈ પડે. પરોઢનો સમય તો પ્રથમ પંક્તિ વાંચતા સમજાઈ જાય, પણ શિયાળાની સવારે જીવનની સાંજે આવી ઊભેલ એક વૃદ્ધ તાપણી પાસેથી હૂંફ મેળવતાં આ વાત આપણને કહી રહ્યો છે એ હકીકત શીર્ષકની સહાય વિના શી રીતે સમજાય? અને સૉનેટની ભાષા તો જુઓ! માંચી-બચબચ્યું-ઘટ-ઉતાવળી ગરગડી-સણકોરવાયો-કલકલી-સાંઠી –આ શબ્દો રાવજી સિવાય સૉનેટમાં પ્રયોજવાનું ગજું તો ઉમાશંકર કે સુન્દરમ્ જેવા સૉનેટસ્વામીઓનું પણ નહીં! આ તળપદી ભાષાના કારણે ગ્રામ્યજીવનની સવારા વધુ હૃદ્ય અને વધુ સજીવ બની છે.

શિયાળાની સવારે પથારી છોડવી એ કેટલું મુશ્કેલ કાર્ય છે એ આપણે સૌ જાણીએ જ છીએ. અહીં પણ એવા જ એક પ્રભાતની વાત છે. આળસ છોડવી અઘરી લાગતી હોય એમ પ્રભાત પણ ધીમે ધીમે પમરે છે. પારણામાં બાળક ક્ષણેક બચબચ કરે છે એ સિવાય આખી દુનિયા શાંત છે. બાળકનો અવાજ સાંભળીને એકાદ કૂતરું અને જાણે કે એ મિષે આખો માર્ગ ઘડીભરા સળવળીને વળી શાંત થઈ જાય છે. ક્યાંકથી કોઈક તંબૂરનો તો પાદરના કૂવેથી ગરગડીનો સ્વર આ રિક્ત શાંતિમાં થોડો થોડો ચણભણાટ કર્યે રાખે છે. બહુ ઓછી પંક્તિમાં શિયાળાની સવારના ગામડાનું શબ્દચિત્ર આલેખી કવિ તાપણીનો અગ્નિ સંકોરાય છે એજ રીતે વાત સંકોરીને સુકાન ફેરવે છે. મનમાં કોઈકની યાદોનું વલોણું ફરવું શરૂ થાય છે. દૂરની સીમમાં સૌ ગમાણો ચાલી ગઈ જેવા અનૂઠા વાક્યપ્રયોગથી કવિ ગાયોનું જતન કરનારી સીમની પેલે પાર ચાલી ગઈ હોવા તરફ ઇંગિત કરે છે. લાગણીની ભીનાશ અને સ્પર્શની હૂંફ બંને અનુભવાય છે. જનાર વ્યક્તિનો હાથ કઠોર થઈ ગયેલ કાયા ઉપર વહાલથી ફરતો અનુભવાઈ રહ્યો છે. પણ આ સ્મરણસ્વર્ગમાં વધુ સમય રહેવા મળે એ પૂર્વે તો પૂર્વમાં સૂર્ય જાણે કે કટાણે ઊગી નીકળતાં કથકને વાસ્તવની ધરતી પર નાછૂટકે પાછા ફરવું પડે છે. સંકારાયેલ તાપણીની રાખમાં વિગત સ્વજનની સ્મૃતિ ખોળવા સિવાય હવે વૃદ્ધ કરેય શું! ગામ આખું રજાઈ તળે કેદ હોય એવા સમયે જીવનસાથીની હૂંફ અને સાથ તાપણામાંથી મેળવવાની વૃથા કોશિશ કરતા વૃદ્ધની વેદના આપણને સ્પર્શ્યા વિના રહેતી નથી…

કેવું અદભુત સૉનેટ!

(માંચી= પારણું)

Comments (12)

એક ગામ – હર્ષદ ચંદારાણા

ફૂલો ઉપર ફૂલો ખડકી બાંધ્યું છે એક ગામ
વસ્તીમાં તો એક જ જણ કે સુગંધ જેનું નામ

ઝાકળનાં ટીપેટીપામાં સૂરજ સૂરજ થાય
પીગળી જાતી અંધકારની પથ્થર જેવી કાય

સીમ દીમના રસ્તા વરસે ગમ્મે ત્યારે આવી
ખોબે ખોબે મર્મર ઢોળે વનવગડેથી લાવી

સમી સાંજરે દશે દિશાથી હવા ઉઠાવી આવે
ચૂંટી-ચૂંટીને બાગબાગના સમાચાર લઈ આવે

રાત પડે ને રાસે રમતાં દેહ વગરનાં નામ
અને ઢોલના તાલે અઢળક હિલ્લોળાતું ગામ

– હર્ષદ ચંદારાણા

બબ્બે પંક્તિઓની પ્રાસસાંકળીના હિંચકે લય હિલ્લોળતું મજાનું ગીત. ગીતના પ્રથમ બંધનું કલ્પન જ કેવું પ્રસન્નકર છે! ઢગલાબંધ ફૂલોના સમૂહને કવિએ ગામનું નામ દીધું છે અને ફૂલો પર ફૂલો ખડકાતાં રચાયેલ આ ગામમાં એક જ જણની વસ્તી છે અને તે છે સુગંધ, આવા મજાના હલકાફુલકા પ્રકૃતિકાવ્યોએ જ ગુજરાતી કવિતાને મઘમઘતી રાખી છે.

(સીમ દીમના=સીમ તરફના)

Comments (7)

વિદાય – કુલીનચંદ્ર યાજ્ઞિક

(પૃથ્વી)

વિદાય! વસમી ઘડી! વરસ કૈં વીત્યાં દોહ્યલાં,
સરસ્વતી ઉછંગમાં, ઉર ઉમંગ-ઉત્સાહમાં;
કંઈ વળી નિરાશમાં; ક્વચિત સાગરે જ્ઞાનના
પીયૂષલવ પામવા; કદીક આત્મની ખોજમાં.

વિયોગ! કપરી પળો! સ્વજનથી થવું જૂજવા,
તજી મધુર ગોઠડી, સ્મરણ માત્ર લૈ સાથમાં!
વિદાય, મુજ ભેરૂઓ! સફર-સાથીઓ! બાંધવો!
તટસ્થ સહુ સાક્ષીઓ! પ્રતીપ પથ્યના એ! વિદા!

વિચાર, મન! નિત્ય કેવળ અહીં પરિવર્તનો
અનિત્ય જગમાં, થઈ પ્રગટ અત્ર અવ્યક્તથી,
જરીક રમી વ્યક્તમાં, સરી જવું જ અવ્યક્તમાં-
નિસર્ગ તણી રીત આ; ત્યહીં ન મોહ કે શોક ના!

વિમુક્ત અવ સંચરો, ચરણ! પંથ શોધો નવા,
નવી જ કંઈ સાધના, તપ નવીન, યજ્ઞો નવા!

– કુલીનચંદ્ર યાજ્ઞિક

આવ્યા એ તમામનું જવું પૂર્વનિર્ધારિત અને સુનિશ્ચિત હોવા છતાં મનુષ્યો મૃત્યુને સ્વીકારવા ભાગ્યે જ તૈયાર થાય છે. પ્રસ્તુત સૉનેટ એ જવાની તૈયારીનું કાવ્ય છે. વિદાયની ઘડી વસમી ઘડી છે એના સ્વીકાર સાથે કવિ જીવનનાં લેખાંજોખાં માંડે છે. વિગત વર્ષો અભ્યાસમાં, જ્ઞાનપ્રાપ્તિમાં વીત્યાં છે. આ વર્ષો ક્યારેક જ્ઞાનસાગરમાંથી બુંદભર અમૃત પામવા માટે તો ક્યારેક સ્વની ખોજ કરવામાં વીત્યાંછે, ક્યારેક ઉમંગ સાથે તો ક્યારેક નિરાશા સાથે વીત્યાં છે. સ્વજનોથી અળગાં થવાની પળો કપરી છે. સ્વજનો, ભેરૂઓ, સફરના સાથીઓ, તથા જીવનની તડકી-છાંયડીના તટસ્થ સાક્ષીઓ – આ તમામથી હવે વિયોગ થનારો છે. આ અનિત્ય જગમાં પરિવર્તન જ નિત્ય છે. (યાદ આવે: The Only Constant Is Change- Heraclitus) અવ્યક્તથી વ્યક્ત થઈ ફરી અવ્યક્તમાં સરી જવુંએ જ પ્રકૃતિની રીત છે. એનો મોહ કે શોક ન હોય, કરવો પણ ન જોઈએ. જીવનની બેડીઓથી મુક્તિ મળવી એટલે નવા પંથ શોધવાનો, નવી સાધના,નવા તપ, અને નવા યજ્ઞો કરવાની નવ્ય તક!

(ઉછંગ-ખોળો; પીયૂષલવ=અમૃતનો અંશ, જૂજવા=અલગ; પ્રતીપ=પ્રતિકૂળ; પથ્ય=મંગળ)

Comments (6)

બાને – મણિલાલ દેસાઈ

ગયાં વીતી વર્ષો દશ ઉપર બે ચાર તુજથી
થયે જુદા, તોયે મુજ હૃદયની શૂન્ય કુટીરે
વિરાજેલી, બા! તું. નવ કદીય હું દૂર ચસવા
દઉં. મારે માટે વિકટ પથમાં તું જ સઘળું.

હજી તારી કાયા મુજ નયન સામે ઝળહળે,
હજી તારો હાલો કરણપટ માંહી રણઝણે,
અને ગાલે મારે તુજ ચૂમી તણી સ્નેહવરષા
નથી ઝાંખી થૈ કૈં, કંઈ સહજ વા ગૈ છ બદલી.

ઘણી વેળા રાત્રે ઝબકી જઉં ને ત્યાં જ નયનો
ઉઘાડીને ભાગી, ખબર નહીં ક્યાં, જાય શમણાં!
અને ત્યારે થાતું અવ ઢબૂરીને તું સહજમાં
ફરીથી સુવાડે, અરર પણ ના એ નસીબમાં.

વધે છે વર્ષો તો દિન દિન છતાં કેમ મુજને
રહે છે બોલાવી બચપણ તણી હાક તુજની ?

– મણિલાલ દેસાઈ

સૌને આસાનીથી સમજાઈ જાય એવી સહજ સરળ ભાષામાં લખાયેલ આવા સૉનેટ ઝાઝાં જોવાં મળતાં નથી. કથકની બાના નિધનને દસ-બાર વર્ષ થવા આવ્યાં છે, પણ બાની યાદ કવિહૈયે એવીને એવી તરોતાજા જ છે. જીવનના વિકટ પથમાં કવિ માટે બા જ સર્વસ્વ છે. વહેતા સમય સાથે હવા થોડી બદલાઈ ગઈ છે, પણ બાની સ્નેહવર્ષા, હાલાના રણકા અને કાયા કવિના અસ્તિત્વમાં એવાં ને એવાં સચવાઈ રહ્યાં છે. રાત્રે ઊંઘ ઊડી જાય ત્યારે બા ઢબૂરીને સૂવડાવી દેતી હતી અને ખોવાઈ ગયેલાં શમણાંઓ સાથે પુનઃસંધાન થઈ જતું હતું, પણ એ સુખ હવે નસીબે રહ્યું નથી. સમય સતત વીતતો જતો હોવા છતાં કવિને બચપણના દિવસોની બાની હાક હજી કેમ બોલાવી રહી છે એ વિમાસણ સાથે આ મજાનું સૉનેટ જ્યાં વિરમે છે, ત્યાંથી જ ભાવકના લાગણીતંત્રમાં લાંબો સમય સુધી શમી ન શકે એવો રણઝણાટ શરૂ થાય છે.

Comments (3)

(બેઉ પક્ષે હાર છે) – જાતુષ જોશી

યુદ્ધનો બસ એ જ સઘળો સાર છે,
હાર છે, હા, બેઉ પક્ષે હાર છે.

કોઈને શ્રદ્ધા હશે ઈશ્વર ઉપર,
આપણે તો આપણો આધાર છે.

આંખ અંજાઈ ગઈ અજવાસથી,
આંખ સામે એટલે અંધાર છે.

આ સકલ સંસાર કંઈ મોટો નથી,
આપણાં મનનો ફકત વિસ્તાર છે.

શબ્દને નાનો-સૂનો સમજો નહીં,
શબ્દ ઈશ્વરનો જ તો અવતાર છે.

– જાતુષ જોશી

સરળ-સહજ-સાધ્ય અને સંતર્પક.

Comments (8)

દહાડીનો અંધકાર – વજેસિંહ પારગી

દહાડીનો દહાડી ઊગે છે સૂરજ
ધરતી પરથી હટે છે અંધકાર
હુંયે પ્રકાશ આંજીને
નીકળી પડું છું કરવા દહાડી.
દહાડાના પ્રકાશમાંયે
આંખ સામે છવાય છે
આજ દહાડી નંઈ મળે તો- નો અંધકાર.
ને અંધકારમાં અટવાતી રહે છે આશા.
કોઈ દહાડો એવો નથી ઊગ્યો
કે દહાડીની વાતે
મારા મનમાં ફેલાયો હોય પ્રકાશ!

– વજેસિંહ પારગી

આપણે બધા તો ખાધેપીધે સુખી કાવ્યરસિકો છીએ. પેટ ભરાયેલું છે અને ભરાતું જ રહેવાનું છે એની નિશ્ચિતતા આપણને કવિતા-ફવિતાના શોખ પૂરા કરવાની પરવાનગી અને મોકળાશ આપે છે, પણ દુનિયામાં એવાય લોકો છે, જેમના માટે સૂરજ ઊગે અને પ્રકાશ ફેલાવો શરૂ થાય ત્યારે સૌથી મોટો પ્રાણપ્રશ્ન મને દહાડીએ રાખવાવાળો કોઈ શેઠિયો આજે મળશે કે નહીં? મારા ઘર પાસેન ચાર રસ્તા પર રોજ સવારે માણસોનું કીડિયારું ઊભરાય છે. આજીવિકા રળવા માટેના સાધનો લઈને સેંકડો લોકો હમણાં કોઈ આવશે અને આજના દહાડા પૂરતું કોઈક કામ આપશે અને ઘરે સાંજે ચૂલા પર કશુંક ચડાવી શકાશેની આશામાં ઊભા હોય છે. એમાંના ઘણાને ખાલી હાથે જ દૂરની ફૂટપાથ પરના પોતાના નિવાસે જવું પડતું હશે. દહાડી પર નભતા આવા લોકોની રોજનીશીને કવિએ બહુ ઓછા શબ્દોમાં આબાદ ચરિતાર્થ કરી બતાવી છે.

Comments (11)

કયાંથી મળીએ! – હર્ષદ ચંદારાણા

તું નીચે વ્હેતી નદી, હું ઊંચો ભેખડ કાંઠો
સખી રે, કયાંથી મળીએ!

તું ઝિલમિલ ઝિલમિલ રમે, અધરે ઉમટયા કરતું સ્મિત
હું નહીં ગવાતું રે, કંઠે રુંધાયેલું ગીત
તું હૃદય ઊછળતી ઉષ્મા, હું નહિ છૂટેલી ગાંઠો
સખી રે, કયાંથી મળીએ!

તું ઊભી રહે નહિ પળભર, વાણીમાં વહેતો અક્ષર
હું વહી શકું નહિ સ્હેજે, છું પૂર્ણ વિરામનો પથ્થર
તું રજત-પાત્રમાં શાહી, હું કલમનો તૂટયો સાંઠો
સખી રે, કયાંથી મળીએ!

– હર્ષદ ચંદારાણા

કેટલીક રચનાઓ અંતરની અનુભૂતિમાંથી સીધેસીધી અક્ષરદેહ ધારણ કરી અવતરતી હોય છે. પ્રસ્તુત ગીત એવી જ એક રચના છે. રાત અને દિવસ જેમ એકમેકને કદી મળી શકતા નથી એ જ રીતે ક્યારેક જીવનમાં કોઈક સંબંધ એવોય આવે છે કે પારાવાર લાગણી હોવા છતાં જેના બે છેડા કદી એક કરી ન શકાય. અલગ અલગ પ્રતીકોના ગુંફનથી કવિએ મળવા તલસતા પણ મળી ન શકતા પ્રિયજનોની વેદનાને બખૂબી ધાર કાઢી રજૂ કરી છે. આ રચના વાંચીએ અને કવિ શ્રી વિનોદ જોશીની આ રચના યાદ ન આવે એય સંભવ નથી. અહીં ક્લિક કરો.

Comments (3)

શબ્દસુમન : ચંદ્રકાન્ત શેઠ – ૦૫ – આવતીકાલે સૂરજ ઊગશે જ

આંખ તો એમ જ થઈ જાય છે ભીની ભીની,
ને પછી તો બધું જ લાગવા માંડે છે ભારે ભારે, સજળ!
બારીઓમાં બગાસાં
દીવાલોમાં ઊંડી ઊંડી સુસ્તી,
પવન સાવ પડેલો, હતાશ શઢ-શો.
ને તડકો સાવ ખરવાપાત્ર પીળાશ-શો.

થાય છે : આજની હવામાં
.               હું નહીં ઊગું, નહીં વિસ્તરું, નહીં ફળું.
.               ભલે હું કોડિયામાં ડૂબેલો રહું માખ-શો.
.                                                     હું નહીં ઊડું.

મારે નથી પહોંચવું ક્યાંય,
નથી પહોંચાડવાં કોઈનેય ક્યાંય…..
ભલે ઝૂમખાંનાં ઝૂમખાં ચાવીઓ પડી રહે, કાટ ખાતી,
મારે નથી ઉઘાડવાં કોઈ તાળાં, કોઈ સંચ.

ભલે આકાશ પોઢેલું રહે, આઠે પહોર,
મારે નથી જગાડવા કોઈ સૂરજ કે ચંદ.

ભલે અટકી જતાં અજવાળાં,
.               મારી આંખ સુધી પહોંચવા જતાં જ અધવચાળે.
ભલે અટકી જતાં મોજાં મારા દરિયાનાં,
.                                                    એકાએક હલેસું જોતાં.

ભલે પીરસેલાં ભાણાં રહે અકબંધ,
.                              ને ઉજાગરાએ ધીકતા રહે છત્રપલંગ.
ભલે વેદનાના કંપે ખળભળતા રહે
.                              મારા અંદરના અને બહારના સૌ લોક.
.        મારે કશુંય કરવું નથી આ અકાળે હવાયેલી જિંદગીમાં.

ડહોળાવાનું ભલે ડહોળાતું,
તણાવાનું ભલે તણાતું,
ભલે તૂટતાં લંગર
.               ને ભલે વછૂટતાં વહાણ આડેધડ ખડકો ભણી.
.               આજ ભલે ડૂબતી, પણ આવતીકાલ તો છે જ.

આવતીકાલે સૂરજ ઊગશે જ.
ને ઘણું ઘણું તપશે ને તપી તપીને હલકું થશે;
ઘણું ઘણું પામશે ઉઘાડ હૂંફાળો હૂંફાળો;
ને ત્યારે આજનો આપણો મોકૂફ રહેલો કાર્યક્રમ
ફરીથી ગતિમાન થશે, શાનદાર રીતે સૂરજની સાથે.
.               ચોમાસું કંઈ બારે માસનું તો હોતું જ નથી.

– ચંદ્રકાન્ત શેઠ

‘એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી.’ (પ્રભુલાલ દ્વિવેદી) ખરું ને? કોઈક કારણોસર આજે કથકની આંખે ચોમાસું બેઠું છે. કવિ કહે છે કે આંખો આજે ‘એમ જ’ ભીની ભીની થઈ છે. કારણ જે હોય એ, પણ આંખો ભીની થવાના કારણે બધું જ ભારઝલ્લું સજળ લાગવા માંડે છે. હતાશાનો ભાવ ચોકોરથી કથક ફરતે ભરડો લઈ બેઠો છે. બારી, દીવાલ, પવન, તડકો- બધું જ ઉદાસીનતાના રંગે રંગાઈ ગયું છે. કશું જ કરવાની ઇચ્છા બચી નથી. સ્વયં માટે કે અવર માટે થઈને પણ કશું કરવાની આજે તો તમા નથી. કોઈ તાળાં કે ખજાના ઊઘાડવાનું આજે મન થતું નથી. અકાળે હવાઈ ગયેલી જિંદગીમાં કથકને કંઈ કરતાં કંઈ જ કરવા-કારવવાની ઝંખના થતી નથી. જીવનને જેટલું ડહોળાવું હોય, ડહોળાઈ લે; જેટલું તણાઈ જવા માંગતું હોય, ભલે તણાઈ જાય; ભલે બધા જ જહાજ ખડકોમાં ફળાઈને તૂટી જવા દોટ કેમ ન મૂકે, કથકની આજ મરી પરવારી છે, આશ નહીં. આજ મરી પરવારે એ ચાલે, પણ આશ મરી પરવારવી ન જોઈએ. આજ જશે તો કાલ આવશે પણ આશ જશે તો જીવનમાં કદી હાશ નહીં આવે… આજ ભલે ડૂબી મરતી, કાલ તો ઊગશે જ ને! કાલે ફરીથી ભરોસાનો સૂરજ ઊગવાનો જ છે અને જીવનચક્રના આરા પુનઃ ગતિમાન થવાના જ છે. કારણ ચોમાસું ગમે એટલું વિનાશકારી અને લાંબુ કેમ ન હોય, બારે માસનું તો નથી જ હોવાનું!

આ આશા જ આ કાવ્યનો પ્રાણ છે…

Comments (2)

શબ્દસુમન : ચંદ્રકાન્ત શેઠ – ૦૪ – રસ

યદા તુજ દૃગે ભમે ગરલવર્ણ ઈર્ષ્યા, તદા
પુરાણ નગરી તણા વિજન ક્યાંક ખંડેરમાં,
ભમંત સુણું કોક ડાકણનું હાસ – જે સાંભળ્યે
ખરે નભથી તારકો, રુદન થૈ જતું શ્વાનથી!

પ્રકોપ તવ નેત્રમાં અનલવર્ણ ઊઠે, તદા
નિહાળું છલકંત ખપ્પર વિશાળ પાંચાલીનું,
અનેક સમરાંગણો કણકણે ભર્યાં રક્તનાં,
અસંખ્ય ડૂબતા, મરે અસુરવૃત્તિ દુઃશાસનો.

દૃગે પ્રણયસિક્ત ને કુમુદવર્ણ નર્તે સ્મિત,
તદા મનુજ-ઉત્સવ! દ્યુતિ લસંત આનંદનો
શશી હૃદયમાં દ્રવી અમૃત ઉલ્લસાવી રહે
ચકોર નયનો મહીં પ્રણયની નરી માધુરી!

ધરી વિવિધ રૂપ જે રસ રમે ઉઘાડાં ચખે,
નિમીલિત ચખે થઈ પરમ શાંતિ તે શો ખીલે!

– ચંદ્રકાન્ત શેઠ

સદ્ અને અસદ્ –માનવજીવનના સિક્કાની બે બાજુ છે. જે રીતે અલગ અલગ સાત રંગ ભેગા થઈ શ્વેત રંજ નિપજાવે છે, એ જ રીતે ઈર્ષ્યા, શોક, ક્રોધ, વેર, અસુરવૃત્તિ જેવા દુર્ભાવ અને પ્રણય, આનંદ, ઉલ્લાસ જેવા મધુર સદ્ભાવ ભેગાં થઈ શાન્તરસનું સર્જન કરે છે એ બાબત પ્રસ્તુત સૉનેટમાં બહુ સરસ રીતે રજૂ થઈ છે. સૉનેટની પ્રથમ આઠ પંક્તિઓમાં કવિએ મહાભારતનો સંદર્ભ લઈને અલગ-અલગ દુર્ભાવની અને એની અસરોની વાત કરી છે. પછીની ચાર પંક્તિઓમાં પ્રણય અને આનંદોલ્લાસની વાત કરી છે. આપણે મનુષ્યો આ અલગ-અલગ રસોમાં રત રહી જીવન વીતાવી દઈએ છીએ, પણ બુદ્ધ જેવા કોઈક મહાપુરુષ નિમીલિત નયને આ તમામ રસ અને ભાવોનું સંગોપન કરીને પરમ શાંતિ પ્રાપ્ત કરે છે.

(ગરલ= વિષ; અનલ= અગ્નિ; દ્યુતિ= તેજ; લસંત= શોભતું; ચખ= આંખ: નિમીલિત=અર્ધખુલી અર્ધબીડી)

Comments (2)

શબ્દસુમન : ચંદ્રકાન્ત શેઠ – ૦૩ – તું ચલવે ને…

તું ચલવે ને હું અહીં ચાલું, દાવ અજબ એ ખેલી જા;
જે કંઈ તારે પાલવ ગાંઠ્યું, બધું દાવમાં મેલી જા.

હાર-જીતના હિસાબ તે શા? રમાય એની રહે મજા;
રમતાં રમતાં ગૂંચ પડે તો, તક છે, તુરત ઉકેલી જા.

કેટકેટલા ચાંદ-સિતારા એક જ તારા ચ્હેરામાં!
એ સૌ આડે પડદા શેના? સત્વર સૌ સંકેલી જા.

સોનેરી સપનાંને ઝુમ્મર નીંદર મારી ઝળાંઝળાં;
રાતરાણીની સરહદ પરથી સુગંધ અહીંયાં રેલી જા.

જ્યારે તારો ઉઘાડ નીકળે, તારો પાયલ-પંથ ખૂલે;
બંધ બારણું મારી અંદર, તે હળવેથી ઠેલી જા.

– ચંદ્રકાન્ત શેઠ

સામાન્યરીતે છંદોબદ્ધ કવિતા, અછાંદસ અને ગીતોથી જાણીતા કવિ ગઝલોના ચલણથી પરે રહી શક્યા નથી. ગઝલ જેમના રક્તસંસ્કાર ન હોય એવા કવિ જ્યારે ગઝલમાં ખેડાણ કરે ત્યારે ગીત-સૉનેટની બાની ગઝલમાં આવી જવાની વકી પૂરેપૂરી, પણ સદનસીબે ચંદ્રકાન્ત શેઠની મોટાભાગની ગઝલો આમ થવાથી બચી ગઈ છે. ઊલટું, એમનું કવનસામર્થ્ય ગઝલને ઉપકારક નીવડતું જણાય છે. પ્રસ્તુત રચનાને આ દાવા માટેની દલીલ ગણી શકાય. ખરું ને?

Comments (4)

એક લોકકથા શાહીના ઘસરકાની – હરીશ મીનાશ્રુ

પંચાયતના ચોપડે
એ સપરિવાર વર્ગીકૃત હતો અમુક રેખાની નીચે,
જ્યારે બિલોરી કાચ વડેય જડતી નહોતી તમુક રેખા
એના હાથમાં, ફૂટપાથિયા જ્યોતિષીને.
એ ગરીબ હતો, અર્થશાસ્ત્રીય વ્યાખ્યા મુજબ;
પણ ગુજરાતીનો એક હંગામી અધ્યાપક
એને દરિદ્ર ગણતો હતો, ભદ્ર ભાષાશાસ્ત્રીય વ્યાખ્યા મુજબ.
જોકે એ નારાયણ નહોતો, ગાંધીજીની વ્યાખ્યા મુજબનો.
માત્ર એનું નામ હતું: નારણ. એની અભદ્ર છતાં
સાચી જોડણી હતી : નાય્ણ્યો.

પાંચ વરસે એ થોડા દડાહા પાંચમાં પુછાતોઃ
ધોની, કાર્તિક કે કોહલીની જેમ એનો ભાવ પડતોઃ
દસબાર દહાડા ભૂસાંભજિયાંનાં પડીકાં, એક શીશો દેશી,
ને ચાર જાંબલી નોટો,
ને હા, બધું પતી જાય ત્યારે, ઝૂંટવેલું ઝંડાનું કાપડ
(જેમાંથી સહેલાઈથી એકાદ અંડરવેર – ઝંડરવેર તો સિવડાવી જ શકાય).

પૂરા પાંચ વરસની મૂઠ મરાવવા માટે
કોક ભૂવા જાગરિયા પાસે જતો હોય એમ એ ઊભો થયો,
એનું ઊભું થવું આમ જોતાં તાંત્રિક હતું,
પણ છાપાંવાળાઓની વ્યાખ્યા મુજબ લોકતાંત્રિક હતું.
એ બહાર નીકળ્યો, સજોડે, સાચવીને, ટટ્ટીમાં પગ ના લબદાય એમ.

ઝૂંપડપટ્ટીની બહાર, નવાઈની વાત,-
(ગાંધીજીની વ્યાખ્યા મુજબના) કોઈ ગરુડને બદલે
પાંખો ફફડાવતાં એની રાહ જોતાં હતાં
વાંકી અણિયાળી ચાંચોવાળાં બેચાર ગીધ.
એ જુગતે જોડાને હંકારી એ હાંકી ગયા એક ડબ્બા સુધી.

અંગૂઠા આંગળાં સમેત એના હાથ સાબૂત હતા.
અત્યાર સુધી એ શાહી પર અંગૂઠો ઘસતો હતો
આજે કોકે ઘસી નાખી શાહી એની આંગળી પર.
હું હિન્દી કવિ હોત તો મારે લખવું પડ્યું હોતઃ
આજ કિસી ને કાલિખ પોત દી ઉસકી ઉંગલી પે.
ને એ તિલસ્મી રીતે પુરાઈ ગયો ડબ્બામાં

ઉત્તેજનાભરી આખી પ્રક્રિયા પતી ગઈ કેવળ બે મિનિટમાં.
જોકે પોલિટિકલ પંડિતો માટે એ નક્કી કરવું અઘરું હતું કે
આ સદ્ય સ્ખલન હતું કે સ્તંભન પાંચ વર્ષનું…

– હરીશ મીનાશ્રુ

લોકશાહીની ચૂંટણી હમણાં જ ગઈ, અને આજે પંદરમી ઓગસ્ટ. આજના દિવસે આથી વધુ સાર્થક રચના મને જડી નથી જડતી. ચિત્ર રંગોથી જ બને, પણ બહુ ઓછા ચિત્રકાર રંગો પાસેથી એવું કામ લઈ શકે છે જે અનનુભૂત લાગે. ચિત્રો માટે જેમ રંગ એમ કવિતા માટેનું ઉપાદાન ભાષા છે. પણ મારા સહિત મોટાભાગના કવિઓ પ્રચલિત ભાષાસંસ્કારથી ઉપર ભાગ્યે જ ઊઠી શકે છે. હરીશ મીનાશ્રુ ભાષા પાસેથી સામર્થ્યવાન ચિત્રકારની જેમ જે રીતે કામ કઢાવી શકે છે એ સાચે જ કાબિલે-દાદ છે. પ્રસ્તુત રચનામાં ડગલે ને પગલે એમની ભાષારમણા અ વાતની પ્રતીતિ કરાવતી જોવા મળશે. લોકશાહીની જે વરવી વાસ્તવિક્તા કવિએ રજૂ કરી છે, એનાથી આપણે સહુ બહુ સારી રીતે અવગત છીએ, પણ અહીં ખરી મજા રજૂઆત અને શબ્દક્રીડાની છે. કશું જ અપરિચિત ન હોવા છતાં કવિતા આપણું લોહી થીજાવી દે એવી પ્રભાવક થઈ છે…

Comments (8)

શબ્દસુમન : ચંદ્રકાન્ત શેઠ – ૦૨ – નથી મળાતું

બે પંખીને મળવું છે, પણ નથી મળાતું.
એક વળાંકે વળવું છે, પણ નથી વળાતું! –

એક પંખી છે પિંજરપૂર્યું,
પગ પણ બાંધ્યા પાશે;
અવર પંખી તે છિન્ન-પાંખ છે,
ઊડતાં કેમ ઉડાશે?
બે પંખીને ઊંચે જવું છે, નથી જવાતું;
જોડે રહીને,
જલ પીવું છે એક ઝરણનું, નથી પિવાતું! –

એક પંખીને દિવસ મળ્યો છે,
અવર પંખીને રાત,
એક કથે ને અવર સુણે એ,
કેમ બને રે વાત?
બે પંખીને,
એક ડાળ પર ઝૂલવું છે, પણ નથી ઝુલાતું
એકબીજામાં ખૂલવું છે, પણ નથી ખુલાતું. –

– ચંદ્રકાન્ત શેઠ

પૂરી ન થતી ઇચ્છાઓ મનુષ્યજીવનની દુર્નિવાર્ય હકીકત છે. ઇચ્છાપૂર્તિની કામના કેટલાક જીવનનું ચાલકબળ બની રહે છે, તો કેટલાક માટે જીવનભરનું દર્દ. પ્રસ્તુત ગીતરચનામાં ઇચ્છાનદીના બે અલગ-અલગ કાંઠે જીવવા મજબૂર બે જીવોની વેદનાને પંખીના પ્રતીકની મદદથી કવિએ વાચા આપી છે. સરળ બાની અને પ્રવાહી લયના કારણે આ રચના વાંચતા, સોરી, ગણગણતાવેંત સ્પર્શી જાય છે. મળવું હોય પણ મળી ન શકાતું હોય, જીવનના વળાંકે સાથ નિભાવવો હોય પણ નિભાવી ન શકાતો હોવાની લાચારીની પીડા ગીતની દરેક કડીઓમાંથી સુપેરે વ્યક્ત થઈ છે. એક પંખી પિંજરામાં તો કેદ છે જ, પગ પણ બંધાયેલ છે; તો બીજાની પાંખ કપાયેલી છે. ન ઊડી શકાય, ન ઊંચે વિહાર કરી શકાય, ન સાથે મળીને એક ઝરણનું જળ પી શકાય. દુન્યવી જવાબદારીઓનું પિંજરુ, ફરજના પાશ અને સામાજિક નિયમોએ કાપી લીધેલી પાંખના કારણે ઉન્નતિની અસંભવ બનતી ઉડાણ અને જીવનજળ અને સહવાસથી વંચિત રહેવાની વાસ્તવિક્તા કવિએ જે રીતે આલેખી છે, એ આપણા હૈયામાં દર્દની ઊંડી રેખા કંડારી રહે છે. બે જણનો સમય પણ એક થઈ શકતો નથી, પરિણામે સહજીવનના સ્વપ્નને વાસ્તવની ડાળનો સ્પર્શ સંભવ બનતો નથી.

Comments (6)

શબ્દસુમન : ચંદ્રકાન્ત શેઠ – ૦૧ – ક્યાં છો ચંદ્રકાન્ત?

ક્યાં છો ચંદ્રકાન્ત? તમે ક્યાં છો? ક્યાં છો?
તમારા આ બોલાયેલા — લખાયેલા શબ્દો,
.                              – એમાં તમે નથી, તમારી છે છાયા;
.                              – જેને તમારુ ના સ્હેજે અભિજ્ઞાન.
ચંદ્રકાન્ત!
તમોને ભુલાવી દેતા તમારા અરીસા
.                              – એને તોડીફોડી કેમ નથી દેતા?
તમારી જ આરતીને સહી લો છો શાને?
.                              – કેમ ફૂંક મારી હોલવી ના દેતા?
તેજના તમિસ્રમાંથી નીકળો રે બ્હાર,
તમારું જે રૂપ, જુઓ તમારીયે પાર!
શ્વાસથી ઉચ્છવાસના ઝૂલાએ રોજ ઝૂલો,
.                              કદી અંતરાલે માંડી ખરી મીટ?
કોનો લય, કોની ગતિ, કોનું રૂપ
.          —જેનો આમ નિષ્પદં શો છંદ ઊંડો નસે નસે ચાલે?
ફૂલ જેમ હસો છો ને કરો છો કલ્લોલ!
તમે જાણેા છે?
—અનતમાં જે અંતે તમે ઝૂલો
.                              એ કાળના તરુની કોણ ડાળ?
‘ચંદ્રકાન્ત’ નામની ધજાએ જ્યાં ચઢાવી
.                              એ જ મંદિરે ના જાણે કોઈ ‘ચંદ્રકાન્ત’ કોણ!
ચદ્રકાન્ત તમોએ જે ઉછેર્યું છે ઘર
.                              એ જ જાણે નહિ ‘ચદ્રકાન્ત’ કોણ!
‘ચંદ્રકાન્ત’ નામના જે રાજપથે ચાલે
.                              એને તમારાં ના પગલાંની જાણ.
ઢગઢગ ફૂલોએ જે પામ્યા તમે માન,
.                              એમાં તમારા જ સ્મિતની ના શાન.
‘ચંદ્રકાન્ત’ નામની દીવાલો ઓઢી ઓઢી
.                              તમે શ્વાસે શ્વાસે મમી થતા ચાલ્યા!
‘ચંદ્રકાન્ત’ — એ જ તમે એમ માની – ચાલી,
.                              ભલા ખુદનેય દૂર ઠીક રાખ્યા!
‘ચંદ્રકાન્ત’ નામ પઢ્યા પોપટની જેમ
તોય,
મરચાના જેટલીયે,
ચાંચને તમારી પૂછો,
.                      ‘ચંદ્રકાન્ત’ નામની પિછાન છે કે કેમ?
‘ચંદ્રકાન્ત’ નામ માટે
.                      શબ્દોના મિનારા ચણ્યા,
.                      સંબંધોનાં જાળ વણ્યાં,
.                      પરઘેર પાણી ભર્યાં,
.                      રંગલાના વેશ કર્યાં,
.                      સાત સાત પૂછડાં ઉગાડ્યાં ને કપાવ્યાં કર્યાં!
કેટલાયે કૅમેરાની આંખો પ્હેરી,
.                      અધકારો આંજી આંજી,
.                      પ્રકાશોથી રંગી રંગી,
.                      પ્લેટોમાં ઠાંસી ઠાંસીને,
.                      ચંદ્રકાન્તો ચારે કોર મૂકી મૂકી જોયા,
.                      ચદ્રકાન્ત પાના જેવા સાવ કોરા!
ચારેકોર ચંદ્રકાન્તો
.                      ખીચોખીચ
.                      કીડિયારાં રચી રચી જીવે,
.                            – એમાં હું જ હોઉં એવો સાચો
.                                        એક તો બતાવો મને
.                                             ચંદ્રકાન્ત ક્યાં છે?
.                                                           કયાં છે?
.                                                           કયાં છે?

– ચંદ્રકાન્ત શેઠ

જન્મે ત્યારે દરેક માણસ કોરી પાટી જેવો હોય છે, પણ પછી સમાજ એના ઉપર એક નામનું સ્ટિકર લગાડી આપે છે. અને પછી માણસ માણસ મટીને એક સ્ટિકર બનીને રહી જાય છે. પોતાના નામને ‘રોશન’ કરવા માટે મનુષ્ય આજીવન એ રીતે મથતો રહે છે કે, જીવવાનું પણ ભૂલી જાય. પ્રસ્તુત રચનામાં કવિ આ સ્ટિકરની પેલી પારની જાતને શોધવા જે મથામણ કરે છે એ ચિરસ્મરણીય બની છે. અછાંદસ જેવો ઘાટઘૂટ ધરાવતી આ રચના હકીકતે મનહર છંદમાં રચેલ છંદોબદ્ધ કાવ્ય છે. લય સાથે મોટેથી વાંચશો તો વધુ મજા આવશે.

કવિ ચંદ્રકાન્ત વ્યક્તિ ચંદ્રકાન્તની શોધમાં છે. શીર્ષક અને કાવ્યનો ઉઘાડ –બંને આ શોધથી જ થાય છે- ક્યાં છો ચંદ્રકાન્ત? પોતાના બોલ યા લખાણમાં પોતે નહીં, પોતાની છાયા જ હોવાથી આ સર્જક અભિજ્ઞાત છે. જગતના અરીસાઓમાં જે દેખાય છે એય બિંબ જ છે, મૂળ નથી એ જાણવા છતાં આત્મરતિમાં રત મનુષ્ય આ અરીસાઓ તોડીફોડી શકતો નથી. પોતાની પ્રસંશા કરતી આરતીઓને હોલવી પણ નથી શકાતી. તેજના અંધકારમાંથી બહાર આવીએ તો જ સાચું વ્યક્તિત્વ પામી શકાય. શ્વાસથી ઉચ્છવાસના હીંચકા પર હીંચ્યે રાખતો માનવી એ બે વચ્ચેના અંતરાલ પર મીટ માંડતો જ નથી. એ માંડીએ તો આ નિષ્પંદ છંદ કોના પ્રતાપે છે એ કળી શકાય. આપણા નામની તક્તીઓ જ્યાં જ્યાં લગાવાઈ છે, ત્યાં કોઈ જ આપણને ઓળખતું નથી હોતું. કારણ કે નામની આ તક્તીઓ એ ખરી વ્યક્તિ હોતી જ નથી. મનુષ્ય નામ માટે શું શું નથી કરતો? લાંબીલચ્ચ યાદી આપીને અંતે કવિ કહે છે કે કોઈપણ યાદીમાં સમાઈ ન શકનાર ચંદ્રકાન્ત પાના જેવા સાવ કોરા છે. કીડિયારું ઊભરાય એમ છલકાતા એકસમાન મનુષ્યોની ખીચોખીચ ભીડમાં મનુષ્યની સાચી ઓળખાણ મેળવવાનું દોહ્યલું છે એ વાત ‘ક્યાં છે’ સવાલની ત્રિરુક્તિ સાથે અધોરેખિત કરી કવિ વિરમે છે. કવિતાની શરૂઆત જ્યાંથી થઈ હતી, અંત પણ ત્યાં જ આવે છે એ પણ સૂચક છે…

Comments (8)

શબ્દસુમન : ચંદ્રકાન્ત શેઠ

ગુજરાતી સાહિત્યજગતના એક દિગ્ગજ સર્જક થોડા દિવસો પૂર્વે આપણે ગુમાવ્યા…

કોઈ પણ સર્જકના સાચા પોંખણાં એમના સર્જનમાંથી પસાર થઈને જ કરી શકાય. લયસ્તરો પર આ આખું સપ્તાહ કવિશ્રીને શબ્દસુમન અર્પીને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપીએ…

ચંદ્રકાન્ત ત્રિકમલાલ શેઠ

(જન્મ: ૦૩-૦૨-૧૯૩૮, કલોલ, પંચમહાલ : નિધન: ૦૨-૦૮-૨૦૨૪, અમદાવાદ)

કવિ. નિબંધકાર, વિવેચક, સંપાદક.
તખલ્લુસ: નંદ સામવેદી, આર્યપુત્ર, બાલચંદ્ર, દક્ષ પ્રજાપતિ.
વ્યવસાયે અધ્યાપક હતા. નિવૃત્તિ પછી ગુજરાતી વિશ્વકોશ ટ્ર્સ્ટમાં સક્રિય રહ્યા. કુમારચંદ્રક, નર્મદચંદ્રક, ઉમાસ્નેહરશ્મિ પારિતોષિક, રણજિતરામ સુવર્ણચંદ્રક, નરસિંહ મહેતા એવૉર્ડ, પ્રેમાનંદ સુવર્ણચંદ્રક, સવ્યસાચી સારસ્વત ઍવૉર્ડ સાહિત્યગૌરવ પુરસ્કાર, અને સાહિત્ય અકાદમી જેવા અનેકાનેક પુરસ્કારોથી પુરસ્કૃત. ચૌદ કાવ્યસંગ્રહ, તેર નિબંધસંગ્રહ, એક આત્મકથનાત્મક સંસ્મરણ, એક એકાંકીસંગ્રહ, એક વાર્તાસંગ્રહ, પાંચ ચરિત્રાત્મક લેખસંગ્રહ, હાસ્યકથા તથા બાળસાહિત્યનાં સાતેક પુસ્તકો; વિવેચન-સંશોધનના ત્રીસેક ગ્રંથો, સંપાદનના ચાલીસેક ગ્રંથો, અને અનુવાદ/રૂપાંતરના છ સંગ્રહ તેમની પાસેથી મળ્યાં છે.

કવિની મોટાભાગની જાણીતી રચનાઓ આપને અહીં મળી રહેશે…
ક્લિક કરો: https://layastaro.com/?cat=59
શબ્દસુમન શ્રેણીમાં લયસ્તરો પર અગાઉ પોસ્ટ થઈ ગયેલ રચનાઓ મૂકીશું નહીં…

Comments (2)

(મારું જોબન વીતી જાય) – રંગ અવધૂત

મારું જોબન વીતી જાય
વાલમ! આજો મારે દેશ, મારું જોબન વીતી જાય;
રાત અકારી નૈન ન મીચે, પલક પલક જુગ જાય,
સૂની સેજડી આંસુભીની, લોક વગોવે હાય!
કુસુમાકર કેસૂડે ખીલ્યો, ભર પિચકારી માર;
સખી સાહેલી હોળી ખેલે, એકલડી હું નાર!
ઘર ઘર હોળી કાષ્ઠ જલાવે, મન હોળી તન ખાખ,
પ્રેમ-ભભૂતી ચોળી અંગે, ‘પિયુ પિયુ’ ફેરું માળ.
રંગ ગુલાબી ચિબૂક સુકાયો, શિર પર જટા સુહાય;
અંગ ભભૂતી દેખી પેલો અનંગ દિલ હરખાય;
હૃદય-કમલની સેજ બિછાવી, ‘સોહં’ પંખો હાથ;
વાસન-વસ્ત્ર ફગાવી વાલમ! વાટ જોઉ દિનરાત.

– રંગ અવધૂત

ગોધરામાં મરાઠી બ્રાહ્મણના ઘરે ૨૧-૧૧-૧૮૯૮ના રોજ જન્મેલ પાંડુરંગ કોલેજના છેલ્લા વર્ષનો અભ્યાસ છોડીને ગાંધીજીના અસહકાર આંદોલનમાં જોડાયા. પછી ગુજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક પણ થયા. ‘ગંજેરી’ તખલ્લુસથી કટારલેખન કર્યું. આખરે આત્મખોજની અનવરત લત એમને નારેશ્વર ખેંચી લાવી. આજે આપણે સૌ એમને રંગ અવધૂત તરીકે ઓળખીએ છીએ. પ્રખર દત્તસાધક. અજાતવાદ-અદ્વૈતવાદના હિમાયતી. નિધન: ૧૯૬૮.

પ્રેમલક્ષણા ભક્તિનું આ પદ વાંચતા મીરાંબાઈ અચૂક યાદ આવે. રંગ અવધૂતના આ પદે મીરાંબાઈના ‘બંસીવાલા, આજો મોરા દેશ’ પદના સંસ્કાર ઝીલ્યા હોય એય સંભવ છે. જો કે એ એક વાક્યખંડ સિવાય બંને પદ વચ્ચે અન્ય કોઈ સામ્ય નથી.

પ્રિયતમના વિયોગમાં જેની યુવાની વેડફાઈ રહી છે એવી પ્રોષિતભર્તૃકાની મિલન-આરતનું આ પદ છે. રાત્રે ઊંઘ આવતી નથી, અને દરેક પલક યુગ જેવી લાંબી લાગે છે. સૂની સેજ આંસુઓથી ભીની થઈ રહી છે. લોકો પણ ટોણાં દે છે. ફુલ્લકુસુમિત કેસુડાથી બગીચો ખીલી ઊઠ્યો છે અને સખીસહેલી હોળી રમવામાં મગ્ન છે, પણ જેના મનમાં વિરહની હોળી સળગે છે એને તો તન ખાખ થઈ રહ્યું હોવાની અનુભૂતિ જ થાય ને! પ્રેમની ભભૂતિ અંગે ચોળીને એ પિયુ પિયુની માળા જપી રહી છે. વિયોગિનીની સન્યાસી જેવી દશા જોઈને કામદેવ પ્રસન્ન થાય છે, પણ નાયિકા તો હૃદયકમળની સેજ બિછાવી, સોહંના પંખાથી જાતને પવન નાંખતી વસ્ત્રો પરહરીને દિનરાત અનવરત રાહ જોઈ રહી છે… વસ્ત્રત્યાગીને પ્રતીક્ષા કરવાની વાત રચનાને કવિતાની ઊંચાઈએ લઈ જાય છે. પ્રિયતમ આવી ચડે તો દ્વૈતમાંથી અદ્વૈત સ્થપાવામાં એક ક્ષણ પણ કેમ વેડફવી?

પણ શરૂમાં કહ્યું એમ આખી રચના પ્રેમલક્ષણા ભક્તિનું પદ છે એટલે અદ્વૈતવાદી સંતકવિનો આ ગોપીભાવ સચરાચરના સ્વામી માટે છે એ આપણે વિસારે પાડવાનું નથી.

Comments (6)

અનામી આશ્ચર્યોમાં – ઉશનસ્

(શિખરિણી)

અમારી યાત્રા આ પ્રવિશતી હવે નામ વિણનાં
નર્યા આશ્ચર્યોમાં, પરિચય વિનાની પૃથિવીમાં;
ગયાં છેલ્લાં છેલ્લાં તરુ, વસતિનાં ખેતર ગયાં,
વિધાતાનાં વાવ્યાં અસલ અટવી ઊઘડી રહ્યાં!

અજાણ્યા પ્હાડોનાં અચરતભર્યા શૃંગ ઊઘડે,
અજાણ્યાં ઝાડોમાં નજર ઊડતી નામ ચૂગતી,
જતું થાકી હારી કુતૂહલ અહીં ગીચ વગડે,
દીધાની સંજ્ઞાઓ સકલ ચીજને શક્તિ જ નથી
અમારી લોકોની – વનથી નિરવાસ્યા જનતણી.

અનામી વ્હૈ જાતાં ઝરણ, રણકે કંકર-કણી,
અજાણ્યાં પર્ણોની ખરતી ખખડંતી ડુગડુગી,
અહીં છોડી દૈને ગણતરી ઊભી સંસ્કૃતિ મૂગી !

અનામી પ્હાડોના પરિચય વિનાના તરુવને
ન મારું યાદા’વે અવ નગરનું નામ જ મને.

– ઉશનસ્

સંસ્કૃતિના આવરણ ઉતારીને પ્રકૃતિના ખોળે જનાર માનવીની અનુભૂતિનું જયન્ત પાઠકની કલમે આલેખાયેલ એક સૉનેટ આપણે ગઈ કાલે જોયું. એમના જ મસિયાઈ ભાઈ ઉશનસનું એ જ વિષયને લગતું એક સૉનેટ આજે માણીએ. કવિએ સાપ-ઉતારા, ડાંગમાં અનહદની સરહદે શીર્ષકથી એક સૉનેટ-ગુચ્છ રચ્યું હતું એમાંનું એક તે આ.

જયન્ત પાઠકે પ્રકૃતિના ખોળે વસ્ત્રો ત્યાગી દઈ આદિમતા અનુભવી હતી, જ્યારે ઉશનસ અનામી જંગલોમાં ઓળખનો ત્યાગ કરે છે. સાપુતારા, ડાંગના મનુષ્યોની વસ્તી, ખેતરો અને મનુષ્યોએ રોપેલાં વૃક્ષોની સીમા વટાવી કાવ્યનાયક કુદરતનિર્મિત જંગલોમાં પ્રવેશે છે ત્યારે જે અનામી આશ્ચર્યો અનુભવે છે એની વાત અહીં કરે છે. અજાણ્યાં પહાડો અને અજાણ્યાં ઝાડ નામજોગ પિછાનને મિટાવી દે છે. નિસર્ગના અંકમાં એટલું તો નાવીન્ય ભર્યું છે કે કુતૂહલ સિક્કે થાકી જાય. ઝરણાં-કંકર-પર્ણો બધું જ નામ વિના પોતપોતાનો ભાગ ભજવે છે. પ્રકૃતિની સંસ્કૃતિ લીધા-દીધાની કોઈ જ ગણતરી વિનાની છે. કુદરત સાથેનું તાદાત્મ્ય અનુભવવાની ઉશનસની રીત એમના મસિયાઈ ભાઈ કરતાં ભિન્ન છે. પ્રકૃતિના સાંનિધ્યમાં આવીને કવિ પોતાનું અને પોતાના નગરનું નામ સુદ્ધાં ભૂલી જાય છે… એ રીતે તેઓ પણ આ અજાણ્યાં વનપ્રદેશનો એક અનામી હિસ્સો બની રહે છે.

Comments (2)

આદિમતાની એક અનુભૂતિ – જયન્ત પાઠક

(શિખરિણી)

હું આવું છું પાછો, બહુ દિન પછી, ઘેર: વનમાં,
ઉતારી નાખું છું વસન પુરના સભ્ય જનનાં
પહેરી લૌં લીલું પટ ઊડતું વાતા પવનમાં,
હું આદિવાસી શો ફરું અસલ વાતાવરણમાં.

ફૂલોમાં ઊંડેરો ઊતરી મધુ પીતો ચશચશી,
રજોટાતો, પાવા વિહગગણ કેરા બજવતો;
મહેકી માટીમાં વૃષભ મદીલો શૃંગ ઘસતો;
હું તાડોમાં ડોલું અસલિયતનો આસવ ઢીંચી.

સ્તનો શી ઘાટીલી અહીંતહીં ફૂટી ટેકરી પરે,
તૃણોના રોમાંચે તરવરતી, મારા કર ફરે;
સુંવાળી ને લીસી દ્રુત ઝરણજંઘાગીતલયે
ખીણોમાં ઊંડેરી ઊતરું રતિના ગૂઢ નિલયે.

પુરાણું આ મારું વન-ઘર, નહીં છપ્પર-ભીંતો;
અહીં અંધારાથી, શરમ મૂકીને, સૂર્ય રમતો.

– જયન્ત પાઠક

સંસ્કૃતિ એ આપણી આદિમતાની ઉપર ચડાવેલ ઢોળ છે. ઢોળ ઉતરી જાય તો સાચી પ્રકૃતિ પ્રગટ થાય. સમાજના ઢાંચામાં યંત્રવત જીવન જીવતા મનુષ્યોને સમય સમયે એના આદિમ સંસ્કારો સાદ દે છે, પરિણામે આપણે વેકેશન લઈને જંગલ-પર્વત-નદી-સમુદ્ર-રણના ખોળે રમણ કરવા પહોંચી જઈએ છીએ. પ્રસ્તુત રચનામાં કવિ વનમાં જાય છે ત્યારે એમને ઘણા દિવસે વેકેશન લીધું એવી નહીં, પણ ઘણા દિવસો પછી સ્વગૃહે પરત ફર્યાની અનુભૂતિ થાય છે. વનમાં પહોંચતાવેંત કથક સભ્ય સમાજે પહેરાવેલ વાઘાં ત્યજીને અસલ વાતાવરણમાં આદિવાસીની જેમ વિહાર કરવો આદરે છે.

સૉનેટના બીજા ચતુષ્કમાં કથક પ્રકૃતિના નાનાવિધ જીવો સાથેના તાદાત્મ્યની અનુભૂતિ સહિયારે છે. નિજની અસલિયત સાથે મુખામુખ થવા મળે એથી વધારે અસરદાર આસવ બીજો શો હોઈ શકે? વાત આદિમતાની અનુભૂતિની હોય અને જાતીય આવેગોનો પ્રાદુર્ભાવ ન થાય એ કેમ બને? નાની નાની ટેકરીઓ પર ઉગેલાં વૃક્ષોમાં કવિને હાથથી પસવારતાં સ્તનો પર થતાં રોમાંચ જેવા ભાસે છે. બે ટેકરીઓની વચ્ચેથી દ્રુત ગતિએ ગીત ગાતાં ગાતાં ગૂઢ ખીણમાં ઉતરતા ઝરણાંમાં કવિને સંભોગની ચરમસીમાએ થતો સ્ફોટ અનુભવાય છે. છાપરા અને ભીંતા વિનાના આ નિવાસમાં સૂર્ય પણ શરમ નેવે મૂકીને અંધારા સાથે ક્રીડા કરે છે.

આપણા કાવ્યસાહિત્યમાં આ પ્રકારની અભિવ્યક્તિ જૂજ જ જોવા મળે છે.

Comments (5)

મારા આ રંગમાં – હરજીવન દાફડા

એનોય રંગ હોય છે મારા આ રંગમાં,
નહિ તો જીવાય કેમ અહીંયા ઉમંગમાં!

કાંઠો મળ્યા પછીય કાં તૂટી જવાય છે?
એની સમજ ક્યાં હોય છે જળના તરંગમાં!

માથે નિરાંત માણતા માણસને શું ખબર,
પોઢી ગયા છે કેટલા ટહુકા પલંગમાં!

ઊંચી ઉડાનમાં હતો સંચાર દોરનો,
પોતીકી પાંખ ક્યાં હતી નહિ તો પતંગમાં!

ભીતર ભર્યા પોલાણનો પરિચય થયો નહીં,
માહેર હતો હું કેટલો નહિતર મૃદંગમાં!

– હરજીવન દાફડા

લયસ્તરો પર કવિના નવ્ય ગઝલસંગ્રહ ‘સહેજ પોતાની તરફ’નું સહૃદય સ્વાગત છે… સંગ્રહમાંથી એક નખશિખ સંતર્પક રચના આપ સહુ માટે…

Comments (7)

(કથા સાંભળ) – જાતુષ જોશી

એક થીજેલા સરોવરની કથા સાંભળ,
એ પછી મન ‘હા’ કહે તો તુંય બનજે જળ.

આ બધું અંધારનું ષડ્યંત્ર લાગે છે,
એ વિના હોતી હશે કૈં આટલી ઝળહળ?

સૂર્યનું છેલ્લું કિરણ ત્યાં ઘાસમાં પેઠું,
ને સવારે ઘાસ પર સૂતું હતું ઝાકળ!

કોઈ બારી બ્હારનાં દૃશ્યો નિહાળે છે,
કોઈ એ દૃશ્યો વિષે કરતું રહે અટકળ.

મેં નદીને જીવવાની રીત પૂછી’તી,
એ કશું બોલી નહીં, વ્હેતી રહી ખળખળ.

– જાતુષ જોશી

થીજી જવું એટલે અટકી જવું, નિષ્પ્રાણ થઈ જવું. આપણે ત્યાં તો એટલી ઠંડી પડતી નથી, પણ દુનિયામાં ઘણા દેશો એવા છે, જ્યાં સરોવર અને ધોધ થીજી જતાં હોય છે. સરોવર જ્યારે થીજી જાય છે ત્યારે જળનો અર્થ જ બદલાઈ જાય છે. નથી એનું પાણી પી શકાતું કે નથી એ કાંઠાની વનસ્પતિઓને જીવન દેવામાં ખપ લાગતું. થીજી જવાની નિયતિનો સ્વીકાર કરવાની તૈયારી હોય તો જ જળ બનવાની ઇચ્છા કરવી જોઈએ એ વાત સાથે ગઝલનો આરંભ થાય છે. પ્રકાશની મહત્તા અંધકારના અસ્તિત્વ વિના સંભવ જ નથી. સાંજે સૂર્યનું છેલ્લું કિરણ ઘાસમાં પેસે અને સવારે એ ઝાકળમાં પરિવર્તિત થઈ જાય એ કલ્પનચિત્ર પણ કેવું મજાનું થયું છે! દૃશ્યવાળા શેરમાં પણ બે અંતિમોએ જીવતા માનવીને કવિએ ઓછામાં ઓછા શબ્દોની મદદથી તાદૃશ કરી બતાવ્યો છે. છેલ્લો શેર તો ખૂબ જાણીતો છે. આવી જ વાત કરતી કોઈક કવિતા વાંચ્યાનું સ્મરણ થાય છે, પણ યાદદાસ્ત પૂરો સાથ નથી આપી રહી. કોઈ વાચકમિત્ર શોધી આપે તો આનંદ.

Comments (10)

જાઉં છું જ્યાં – મયંક ઓઝા

સાંજને રંગીન કરતો જાય છે,
સૂર્ય અમને એટલો સમજાય છે.

ના દિશા, મંઝિલ, ન રસ્તાની ખબર,
જાઉં છું જ્યાં મન મને લઈ જાય છે.

સ્વપ્નમાં પંખીને આવ્યું પિંજરું,
ત્યારનું આખું ગગન મૂંઝાય છે.

એટલે ઝરણાં વહાવે પર્વતો,
ઊભવાનો થાક ઓછો થાય છે.

આંખ સામે સાવ કોરી છે નદી,
બેય કાંઠે તોય શું છલકાય છે?

– મયંક ઓઝા

માણસને પૂરેપૂરો સમજવું આસાન નથી. પણ જરાય ન સમજવા કરતાં સમજવાનો પ્રયત્ન કરવો એ વધારે બહેતર છે. સૂર્યએ દિવસભર શું કર્યું એ ન સમજાય તો વાંધો નહીં, પણ ખતમ થતાં થતાં પણ એ સાંજને રંગીન કરતો જાય છે એટલું સમજી શકાય તોય ઘણું! માણસ જતાં જતાં આસપાસની દુનિયાને વધારે રંગભર, વધારે રસભર અને વધારે જીવવાલાયક બનાવતો જાય એનાથી વિશેષ બીજી શી સાર્થકતા હોઈ શકે જીવનની? મયંક ઓઝાની સરળ અને સહજ બાનીમાં લખાયેલી આ ગઝલ આખેઆખી આસ્વાદ્ય છે. છેલ્લા બે શેર પણ સવિશેષ ગમી ગયા.

Comments (5)

પણ – ઉદયન ઠક્કર

મારો ઝાંપો વાસેલો હોય, પણ
એની ઉપરવટ ચરકલડીબાઈ
પણે તડકી ને છાંયડી વેરાઈ
જાણે જાર અને બાજરીના કણ

મારો ઝાંપો વાસેલો હોય, પણ
એને કુદાવીને ક્હે શિશુ,
‘એ…ઈ, આંખોને કાઢે છે શું?
આંખ મીંચીને દસ સુધી ગણ…’

મારો ઝાંપો વાસેલો હોય, પણ
નારિયેળીએ ચાંદ ઊગી જાય
ચાર ચીકુડી વાયરામાં ન્હાય
ખૂલતું જાય વાતાવરણ

મારો ઝાંપો વાસેલો હોય, પણ
ક્યાં સુધી સોરવાતો રહે?
વનવગડામાં જાવા ચહે
ડાહીનો ઘોડો: એક, બે, ત્રણ…

– ઉદયન ઠક્કર

ગુજરાતી ગીત-ગઝલના મેળામાં ઉદયન ઠક્કર અલગ ચોતરો માંડીને બેઠા છે. આમ જુઓ તો આ ગીત મુખડા અને પૂરક પંક્તિ વગરનું ચાર બંધનું ગીત છે, પણ આમ જુઓ તો ચારેય મુખડાની પહેલી પંક્તિ એક જ હોઈ એ ધ્રુવકડીનો ભાગ ભજવતી હોય એમ લાગે. અ-બ-બ-અ પ્રકારના પ્રાસગુંફન અને પંક્તિઓના સીમિત કદકાઠીના કારણે ગીતનું કલેવર પ્રવર્તમાન રચનાઓમાં એમ જ નોખું તરી આવે છે. પણ આ તો થઈ ઉપલક વાતો. જેને કવિતા માણવામાં રસ હોય એને તે મમમમ સાથે કામ હોય કે ટપટપ સાથે?

ચારેય બંધનો આરંભ ‘મારો ઝાંપો વાસેલો હોય, પણ’થી જ થતો હોઈ કવિમનોરથને પુનરોક્તિનું યથોચિત ચાલક બળ સાંપડે છે. આ ઝાંપો કેવળ ઘરનો ઝાંપો નથી, એ આપણા બંધિયાર વિચારો, આપણી કુંઠિત મનોવૃત્તિનો દ્યોતક પણ છે. જીવનમાં તડકી-છાંયડી તો આવતી રહેવાની, પણ જે રીતે ચકલી જુવાર અને બાજરીના ચણથી જીવનનિર્વાહ કરે છે એમ એને ભોગવતાં આવડવું જોઈએ. બાળસહજ નિર્દોષતાથી આપણા પૂર્વગ્રહોને વટી જતાં આવડવું જોઈએ. આપણો ઝાંપો બંધ હોય પણ એથી કંઈ પ્રકૃતિ પર તાળું લાગી જતું નથી. નારિયેળીના માથે ચાંદ ઊગવાને ઘટના કે ચીકુડીના વાયરામાં ડોલવાની ઘટના આપણા બંધત્વને અનુસરતી નથી. આપણો ઝાંપો બંધ હોય તોય વાતાવરણને ખૂલતું અટકાવી શકાતું નથી. આજની પેઢીને પરિચય નહીં હોય, પણ આપણી અને આપણી અગાઉની પેઢીઓ ‘એન ઘેન દીવા ઘેન’ જેવાં ગીતો પીને ઉછરી છે. આ બાળગીત જેને યાદ હશે એને ખાઈ-પીને ભાગી છૂટતો ડાહીનો ઘોડો પણ યાદ હશે જ. ડાહીનો ઘોડો એટલે બાળકોની રમત એવું અર્થઘટન પણ કરી શકાય. કથકના ઘરનો કે મનનો ઝાંપો વાસેલો છે પણ ડાહીનો ઘોડો ભીતર સોરવાયા કરે એવો નથી, એ તો વનવગડામાં જઈને જ ઝંપશે. બંધનની વિભાવનાને પુનરોક્તિથી અધોરેખિત કરતી આ રચના હકીકતે તો આઝાદીની આલબેલ જ પોકારે છે.

Comments (10)

(એ જ પ્રશ્ન છે) – કિરણ જોગીદાસ ‘રોશન’

પામી ગયાં બધું, પછી શું? એ જ પ્રશ્ન છે,
પામ્યા વિના કશું નથી શું? એ જ પ્રશ્ન છે!

મળવું હતું મળ્યાં, ને વિખૂટાં પડી ગયાં,
ચાહત મિલન પછી શમી શું? એ જ પ્રશ્ન છે.

એ અલવિદા કહી જુએ અવળું ફરી મને,
બાકી હશે પ્રણય હજી શું? એ જ પ્રશ્ન છે.

એક પળ દુઃખી રહ્યાં ને બીજી પળ હસી પડ્યાં,
દુ:ખની ઘડી ખરી હતી શું? એ જ પ્રશ્ન છે.

તારાપણાની ચાહમાં મારાપણું ભૂલી,
એ બાદ હું મને મળી શું? એ જ પ્રશ્ન છે.

– કિરણ જોગીદાસ ‘રોશન’

ગઝલને લોકપ્રિય બનાવવામાં ગઝલની સંરચનાનો બહુ મોટો ફાળો છે. છંદના કારણે જન્મતી રવાની સિવાય યુગ્મક પ્રકારનું બંધારણ અને રદીફ-કાફિયાની મદદથી સધાતું સાંગીતિક અને તાત્ક્ષણિક પ્રત્યાયન આમાં પ્રમુખ ભાગ ભજવે છે. ઉદાહરણરૂપે આજની આ રચના જોઈએ. ગઝલની રદીફ અહીં બે ભાગમાં વહેંચાયેલ છે. પહેલો એકાક્ષરી ભાગ ‘શું?’ પ્રશ્નરૂપે છે અને એ પછી ‘એ જ પ્રશ્ન છે’ કહીને સવાલનું સમાધાન આપતી સાંત્વના –આ પ્રકારની પ્રશ્નોત્તરીના કારણે ગઝલમાં સંવાદાત્મકતા ઉમેરાય છે, જે ગઝલને વધુ હૃદ્ય બનાવે છે. આ પ્રકારની ઉફરી પડતી રદીફ સાથે સૌથી મોટી સમસ્યા એના અવશિષ્ટ અંગ બનીને રહી જવાની છે. સદનસીબે અહીં પાંચેપાંચ શેરમાં શુંનો સવાલ અને એનું સમાધાન બંને તંતોતંત સચવાયા છે અને શેરને યથોચિત ઉંચાઈ આપવામાં સહાયક બન્યા છે.

અધૂરપ જીવનનું ખરું ચાલકબળ છે. બધું જ પામી જાવ તો આગળ શું કરવું એ પ્રાણપ્રશ્ન બની જાય. અને એથી વિપરીત પામવાનું બાકી હોય તો શું એય એવો જ પ્રાણપ્રશ્ન છે. જીવનના આ વૈષમ્યને કવયિત્રીએ કેવી સહજતાથી મત્લામાં રજૂ કર્યું છે! આખી ગઝલ જ આસ્વાદ્ય થઈ છે.

Comments (21)

અમદાવાદ સાથે શું વેર છે? – કૃષ્ણ દવે

મુંબઈમાં ધોધમાર દીધે રાખો છો ને કોરુંધાકોર મારું શ્હેર છે!
કહો, અમદાવાદ સાથે શું વેર છે?

બેડાં ભરે ને પાછાં કાંઠે ઠલવી દે છે, વાદળીયુંય આળસુની પીર!
અડધા અષાઢમાંય સુરજ ક્યાં જંપે છે? મારે છે તડકાનાં તીર!
વ્હાલની આ વ્હેંચણીના વરસાદી ખાતામાં જોઈ લ્યો ભાઈ, કેવું અંધેર છે!
કહો, અમદાવાદ સાથે શું વેર છે?

લીલી કંકોત્રીઓ લખવામાં આળસું જરાક અમે છઈએ તો છઈએ,
એમાં અકળાઈ તમે ઠલવ્યે રાખો છો, ઈ કેટલો બફારો અમે સહીએ?
સાંબેલાધારે નહીં, ઝરમર થઈ આવો ને, અમને તો તોય લીલાલ્હેર છે.
કહો, અમદાવાદ સાથે શું વેર છે?

– કૃષ્ણ દવે

કૃષ્ણ દવે સાંપ્રત વિષયો પરનાં કાવ્યો માટે જાણીતા છે. અને કવિ તો કોઈની પણ ખબર લઈ પાડે. આ વરસે મેહુલિયો બરાબરનો મંડ્યો છે. તળગુજરાત અને સૌરાષ્ટ્રમાં પૂરની પરિસ્થિતિ છે. મુંબઈ પણ એ રીતે જળબંબાકાર છે કે ગૌરાંગ ઠાકરનો શેર યાદ આવે:

તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચૂલો,
રોટલો આ છત વગરના ઘરમાં શેકાતો નથી.

પરંતુ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત કોરુંધાકોર છે એટલે અમદાવાદના કવિ મુંબઈનો સંદર્ભ લઈને મેઘરાજાનો ઉધડો ન લે તો જ નવાઈ. વરસાદ અમદાવાદ પર મહેર કરશે કે કેમ એ તો વરસાદ જ જાણે પણ આપણને તો નખશિખ સુંદર ગીતરચના સાંપડી એનો જ આનંદ!

Comments (9)

ઊંટ – ઉષા ઉપાધ્યાય

હતા દીવાલે ગયા સમયના
ઠાઠ અને અસબાબ સમા કૈ
ઝૂલ, ચાકળા, કાંધી, તોરણ, ભેટ અને તલવાર, કટારી;
પરસાળ વચાળે
અમીયલ નેણાંવાળી બાયું
સુપડે સોતી ધાન
કાંબીના રણકા શું હસતી’તી,
હતા આંગણે લીમડા હેઠે
ઢળ્યા ઢોલિયે હુક્કાના ગડેડાટ
મૂછોના તાવ
કાળને ધરબી દેતી આંખ્યુંની રાતડમાં
ઝગતા તેગઝર્યા અંગાર
અને ત્યાં દૂર
સમયને કાંધે લઈ
ગાંગરતું ઊભું ઊંટ
વાટ કોઈ નવી ખેપની જોતું,
જોતું ઝીણી આંખે દૂર ક્ષિતિજની પાર
હવાની શી લાગી કૈં ગંધ
અચાનક થડકી ઊઠ્યું –
કંપ્યું, ચીખ્યું, ભડકીને તોડાવી રાશ
ઊભી બજારે ધણધણતું, ચિત્કાર વેરતું
વાંભ વાંભની ઠેક ભરીને
હડફેટે ઘર ધડૂસ કરતું
પીઠ ઉપર લાદીને કબ્રસ્તાન
હાંફતું ઊભું ગામને છેડે
હાંફતું ઊભું ગામને છેડે
હાંફતું ઊભું ગામને –
અને હવામાં હવે તરે છે
ગીધ સમી મડદાંની તીખી ગંધ,
સાંજની રુંઝયું ઢળતાં
ટીંબા વચ્ચે ઊભેલા પીપળનાં પીળાં પાન
ગણે છે ઝાળ ચેહની,
વિખરાયેલાં વાળ, ચીંથરેહાલ સુરત લઈ
નગરની તૂટી મોતનમાળ નીરખતી
સ્તબ્ધ ધરા પણ
હજુ રહી છે કંપી!
હજુ રહી છે કંપી!

– ઉષા ઉપાધ્યાય

કવિતાની શરૂઆત ‘હતા’થી થાય છે, મતલબ જે જે સાહ્યબીની અહીં વાત થઈ રહી છે એ હવે નથી. એક ટાણે ઘરની દીવાલો વિગત સમયના ઠાઠ અને અસબાબની નિશાનીઓથી સુશોભિત હતી. પરસાળમધ્યે સૂપડામાં ધાન સાફ કરતી અમીનજરવાળી બાઈઓ ક્યારેક કાંબીના રણકાર જેવું રોકડું હાસ્ય વેરતી હતી. આંગણામાં લીમડાના વૃક્ષ તળે ઢોલિયા પર બેઠક જમાવીને બેઠેલ, મૂછોને તાવ દેતા અને કાળનેય કોઠું ન દે એવી અંગારઝગતી રાતી આંખોવાળા ઘરના મોભીઓના હુક્કાનો ગડેડાટ સંભળાતો હતો. નવી ખેપની વાટ જોતું ઊંટ પણ આંગણે ભાંભરતું હતું.

સૃષ્ટિનો નિયમ છે કે કુદરતી આપત્તિ આવવાની જાણ સૌથી પહેલાં મૂંગાં પશુપક્ષીઓને થઈ જાય છે. હવામાં કશીક ગંધ આવતાવેંત ઊંટ અચાનક થડકીને, ભડકીને, ચીખ મારતું રાશ તોડીને ઊભી બજારે લાંબી લાંબી ઠેક ભરતું ભાગી નીકળે છે કટાવ છંદની રવાની અચાનક દ્રુત ગતિ પકડે છે. થડકી-ચીખ્યું-ભડકી-ધણધણતું-વાંભ-વાંભ-ધડૂસ જેવા શબ્દપ્રયોગો ગભરાયેલ ઊંટની દોડને આબાદ ચાક્ષુષ કરી બતાવે છે. ઊંટની પાછળ ઘર ધડૂસ કરતું પડી ભાંગે છે. હાંફતું ઊભું ગામના છેડેની ત્રિરુક્તિમાં અંતે ‘છેડે’નો લોપ કરીને સર્જકે હાંફને પણ શબ્દોની પીંછીથી જીવંત કરી બતાવી છે. હવામાં ગીધ સમી મડદાંની તીખી ગંધ તરી રહી છે, પીપળાનાં પીળાં પડી ગયેલ પાન ચિતાની ઝાળ ગણે છે. છેક કાવ્યાંતે સર્જક મુઠ્ઠી ખોલે છે ત્યારે ખબર પડે છે કે આ તો કચ્છના ભૂકંપની દાસ્તાન છે. કાવ્યાંતે હજુ રહી છે કંપીની દ્વિરુક્તિ ભાવકના સ્તબ્ધ હૈયામાં પણ એક કંપ જગાવે છે, જે લાંબા સમય સુધી શમતો નથી.

Comments (3)

કોણ રતિના રાગે? – નિરંજન ભગત

કોણ રતિના રાગે,
રે મન મન્મથ જેવું જાગે?

જે ભસ્મીભૂત, મૃત, રુદ્રનયનથી;
એ અવ શિશિરશયનથી
જાગે વસંતના વરણાગે!

એના શ્વાસેશ્વાસે
વાગે મલયાનિલની વાંસળીઓ,
એના હાસવિલાસે
જાગે કેસૂડાની કૈં કળીઓ;
રે વન નન્દનવન શું લાગે!

– નિરંજન ભગત

પોતાનો તપોભંગ કરાવવા બદલ શંકર ભગવાને કામદેવને રુદ્ર નયનથી ભસ્મીભૂત કરી નાંખ્યો હતો. પણ પછી વિલાપે ચડેલ કામદેવની પત્ની રતિને એમણે સાંત્વના આપી હતી કે સદેહ ન સહી, પણ કામદેવ અનંગ રૂપે સમગ્ર ચૈતન્ય સૃષ્ટિમાં સદાકાળ વ્યાપ્ત રહેશે. કહે છે કે આ દિવસ વસંતપંચમીનો દિવસ હતો. વસંતપંચમી એટલે ઋતુચક્રનું શિશિરથી ગ્રીષ્મ પ્રતિનું પ્રયાણ. આમ તો આ વાતથી લયસ્તરોના મોટાભાગના સુજ્ઞ વાચકો અભિજ્ઞ જ હશે, પણ આટલી પૂર્વભૂમિકા પ્રસ્તુત રચનાને માણતા પૂર્વે જરૂરી છે.

વસંત ઋતુના પ્રારંભે સજીવમાત્રમાં આવિર્ભાવ પામતી પ્રણયોર્મિનું આ ગાન છે. રાગ શબ્દનો શ્લેષ નોંધવા જેવો છે. રાગ એટલે કંઠમાધુર્ય પણ અને પ્રેમ પણ. રતિના ગીતથી અથવા રતિ માટેના સ્નેહને વશ થઈ મન કામદેવની જેમ જાગૃત થાય છે. સાવ ટૂંકા મુખડાની બે પંક્તિઓમાં ર, મ અને જની ત્રિવિધ વર્ણસગાઈ ચુસ્ત પ્રાસનિયોજનાના કારણે કાવ્યારંભે જ મન મોહી લે છે. વસંતના ભપકાના કારણે શીતનિદ્રાલીન મન દેવહૂમા પક્ષીની જેમ પુનર્જીવન પામ્યું હોય એમ જાગે છે. વસંતનો પ્રભાવ જ એવો છે કે એકેએક શ્વાસ વાંસળી વાગતી હોય એવો પ્રતીત થાય છે. ઝાડમાં થઈને ફૂંકાતા પવનનું સંગીત વસંતઋતુનો શ્વાસ છે. વસંતના મૃદુ હાસથી કેસૂડાની અનેકાનેક કળીઓ ખીલી ઊઠે છે અને વન નંદનવન સમું લાગે છે. પ્રથમ બંધની પૂરકપંક્તિને કવિએ મુખડાના પ્રાસ સાથે આદ્યંતે એમ ઉભય સ્થાને બાંધી હોવાથી અષ્ટકલનો લય વધુ લવચિક બન્યો છે, પણ બીજા બંધમાં તો કવિએ હદ જ કરી છે. શ્વાસ-હાસ-વિલાસ, વાંસળીઓ-કળીઓ અને વાગે-જાગેના ત્રિવિધ પ્રાસમાં વન સાથે નંદન અને વનના ધ્વન્યાનુપ્રાસ તથા કેસૂડા-કૈં-કળીઓના વર્ણાનુપ્રાસ મેળવીને કવિએ બાહોશ કવિકર્મની સાહેદી પૂરી છે.

Comments (8)

એક જુનવાણી ઢબની કવિતા – જયન્ત પાઠક

સંતો આપવખાણ ભલાં!
ભદંતો આપલખાણ ભલાં!

બોલ્યા વણ વેચાય ન બોરાં, બજારધારો જાણો;
ઊભી બજારે કરો-કરાવો બુલંદ જાહિરનામાં;

હાંક્યે રાખો બડું બડાશી ઘોડું
આપ મૂઆ વિણ સ્વર્ગ જવાશે થોડું!

કોઈ કહેશે ગરવ કરો છો, કોઈ કહે: ‘છો જુઠ્ઠા!’
દુનિયા બોલે, દિયો બોલવા, બનો ન બાઘા – બુઠ્ઠા;

વરની મા જો નહીં વખાણે વરને
તે બત્રીલખણાને સામે કોણ જઈને પરણે!

કેાઈ કહેશે: રહો મહાશય લખાણને કહેવા દો –
કહેવું આપણેઃ “લખાણુ બોલે!”– રહેવા દો, રહેવા દો!

એવું બધું તો વદે વાયડા
અમે ન ભોળા, અમે ભાયડા!

અમે લખીશું, અમે વાંચશું, અમે કરીશું શ્લાઘા
ભલે બીજા તૈયાર સોય લઈ ઊભા
અમે સિફતથી દેશું પરોવી એમાં અપના ધાગા !

– જયન્ત પાઠક

કવિતાની એક મજા એ કાળજયી હોય એ પણ ખરી. જયન્ત પાઠકની આ વ્યંગ રચના દાયકાઓ પૂર્વે લખાઈ હોવા છતાં આજે પણ એ એટલી જ પ્રસ્તુત છે, જેટલી લખાઈ ત્યારે હશે. કદાચ આજે તો તો તંતોતંત પ્રસ્તુત ગણાય. પોતાના અને પોતાના લખાણના વખાણ કરવાં એ જ આજે મોટાભાગના સર્જકો માટે જીવનહેતુ બની ગયો છે. કવિએ અખાની જેમ વક્રોક્તિ સાથે આવા સર્જકોનો ઉધડો લીધો છે. કવિએ ભલે રચનાને જુનવાણી ઢબની રચના કહીને કેમ ન ઓળખાવી હોય, રચના પૂર્ણપણે સમસામયિક હોવાનું વર્તાય છે. પ્રાસનિયોજના અને કટાવ છંદના પ્રવાહી વહેણના કારણે રચનામાં ઓર નિખાર આવ્યો છે.

Comments (1)

નદી-કાંઠે – હર્ષદ ચંદારાણા

ફરી આવી ચડે છે કોઈ પગપાળું નદી-કાંઠે
અને ચારે તરફ અજવાળું – અજવાળું નદી–કાંઠે

અને એવું બને કે હોય જળ ત્યાં શિલ્પના રૂપે
અહીં છે પથ્થરોનું રૂપ પાંખાળું નદી-કાંઠે

દિવસભરની મહેનતની તરસનું આ બળદગાડું
હવે આવી રહ્યું છે આમ જળ-ઢાળું નદી-કાંઠે

ઘૂનામાં ધૂબકો મારી દીધો તેં જળ-પરી પાછળ?
કે જોતું સ્તબ્ધ થઈ ઊભું છે આ નાળું નદી-કાંઠે?

છે દરિયો છોકરા જેવો જ નખરાળો નદી-કાંઠે
નદી પણ છોકરી જેવી જ લજજાળુ નદી-કાંઠે

– હર્ષદ ચંદારાણા

કેવી મજાની રચના! ગઝલની ખરી મજા મોટી મોટી વાતો કરવામાં નહીં, પણ કલ્પનોની નાજુક પીંછીથી નમણાં દૃશ્યચિત્રો ખડાં કરવામાં છે. કવિએ જે રીતે કાફિયા પાસેથી કામ લીધું છે એ કાબિલ-એ-દાદ છે. જળ-ઢાળું કાફિયા તો કાઠિયાવાડ સિવાય સૂઝવો જ સંભવ નથી. મત્લાના શેરમાં કોઈકના આગમનથી નદીકાંઠે જે અજવાળું અજવાળું થઈ જાય છે એ વાંચતા જ આ બે અમર ચિત્રો તરત જ નજર સમક્ષ તાદૃશ થઈ ઊઠ્યાં:

આવું અજવાળું ના ઊગે ધણમાં,
કૈંક જાદુ હશે રબારણમાં! (શોભિત દેસાઈ)

लड़कियाँ बैठी थीं पाँव डालकर
रौशनी सी हो गई तालाब में। (પરવીન શાકિર)

Comments (20)

(માશાલ્લા) – સુરેન્દ્ર કડિયા

થતી ભાગ્યે જ હો એવી ખુદાની મહેર, માશાલ્લા
તમારા હોઠ પર મારી ગઝલનો શેર, માશાલ્લા

બને છે એક બીના રોજ, ઘરની બારી ખૂલવાની
પછી સિમસિમ ખૂલી જાતું આ આખું શહેર, માશાલ્લા

તમારી ઉમ્ર સત્તાવીસ કરું છું બાદ સોમાંથી
અહાહા! તોય ઝળહળ બાકીનાં તોંતેર, માશાલ્લા

તમે મીરાં કહ્યું તો ગટગટાવી ગ્યા અમે મીરાં
પચાવ્યાં ઝેર તેમ જ ઝેરનાં ખંડેર માશાલ્લા

મળે લાખો નવાં પગલાં, નથી ભૂંસી શકાતું એ
તમારું સાચવ્યું છે એક પગલું, ખેર! માશાલ્લા

– સુરેન્દ્ર કડિયા

માશાલ્લા એટલે ઈશ્વરે ચાહ્યું એ થયું. આભાર માનવા માટે કે ધન્યતા વ્યક્ત કરવા માટે પણ એ પ્રયોજાય છે. કવિએ આવી અનૂઠી રદીફ સાથે કામ પાર પાડીને મજાની ગઝલ આપી છે. ઝેરનાં ખંડેર સમજાયાં નહીં, એ સિવાય આખીય ગઝલ ઉમદા થઈ છે.

Comments (7)

ધારાવસ્ત્ર – ઉમાશંકર જોશી

કોઈ ઝપાટાભેર ચાલ્યું જાય,
ક્યાંથી, અચાનક…
સૂર્ય પણ જાણે
ક્ષણ હડસેલાઈ જાય.
ધડાક બારણાં ભિડાય.
આકાશમાં ફરફરતું ધારાવસ્ત્ર
સૃષ્ટિને લેતું ઝપટમાં
ઓ…પણે લહેરાય.
પૃથ્વી-રોપ્યાં વૃક્ષ એને ઝાલવા
મથ્યાં કરે — વ્યર્થ હાથ વીંઝ્યાં કરે.

– ઉમાશંકર જોશી

સંક્ષિપ્ત આસ્વાદ કવિશ્રી સંજુ વાળાની કલમે માણીએ:
સંપૂર્ણ આસ્વાદ માટે અહીં ક્લિક કરો.

પરમ પ્રકૃતિપુરુષની રમ્ય-રૌદ્ર લીલા

કવિને પ્રિય એવા કોઈ વર્ષાકાળે થયેલા અગમ્ય અને વિસ્મયભર્યા નભદર્શનથી સર્જાયેલું આ કાવ્ય છે. રસરાગી અને ચૈતન્યભાગી આપણા આ કવિના દર્શનમાં વર્ષાજળ વરસાવતાં, વિહરતાં વાંદળાં મેઘપુરુષનો ખેસ લહેરાતો હોય એવાં ભાસે અને કવિ એને ‘ધારાવસ્ત્ર’ કહે. માત્ર બે-ત્રણ શબ્દોની એક એવી દસ જ પંક્તિમાં કવિ વિરાટ, ભવ્ય અને આશ્ચર્યચકિત કરનાર ચિત્ર આ કાવ્ય રજૂ કરે છે. એટલે આ નાના કદનું પણ વિરાટ રહસ્યગર્ભે વિસ્તરતું કાવ્ય છે. પાંચેક જેટલા ક્રિયાપદો કાવ્યને ગતિ આપે છે જે ધારાવસ્ત્ર ઊડતું, ફરફરતું હોવાની પ્રતીતિ કરાવે છે. અને તેની ઉચિતતા પણ સ્થાપે છે.

કાવ્યના ઉઘાડની પંક્તિઓ જ કેવી રહસ્યમય અને વિસ્મિત કરનારી છે ! કોઈ પ્રચંડ અસ્તિત્વ આકાશવિહારે નીકળ્યું છે એની ચાલ કેવી તો કહે ‘ઝપાટાભેર’ એના આગળ-પાછળ થતા અજાનબાહુથી પવન સૂસવાટા મારતો હશે. આકાશ થોડું થરથર્યું હશે. એટલે જ તો દેવાધિદેવ સૂર્ય પણ બાજુ પર ખસ્યો નથી હડસેલાઈ ગયો છે. આ સાદ્શ્ય હજી તો માંડ પ્રત્યાયન પામે ત્યાં એક સાથે દૃષ્ટિ અને શ્રવણેન્દ્રિયને જગાડતી પંક્તિ સંભળાય છે : ‘ધડાક બારણાં ભિડાય.’ આ પ્રચંડ ધડાકાથી બારણા બિડાયાં કે બારણા બિડાવાનો આ ઘોરઘોષ (અવાજ) હતો ? મેઘગર્જન હશે ? પર્જન્યપુરુષના નભવિહારની કેવી રૌદ્ર નિષ્પત્તિ છે આ ? પરંતુ કવિ એના વિશે ચોખવટ કરે તો તો એ કવિ કરતા નિબંધકાર સાબિત થાય. જર્મન ઓથર ટોમસ માનની ઉક્તિ સંભળાય છે :’The real artist never talk about the main things.’

કાવ્યની છેલ્લી બે પંક્તિઓમાં આકાશમાં થતી વિશાળ અને વિશિષ્ટ હલચલની પૃથ્વીસ્થિત પ્રતિક્રિયા અથવા સહોપસ્થિતિ છે. અહીં ધ્યાન ખેંચે છે તે બન્ને ક્રિયાપદ- ‘મથ્યાં કરે, હાથ વીંઝ્યાં કરે.’ આ ક્રિયા જે કરે છે તેને કવિએ વૃક્ષ તો કહ્યાં, પાછા હાથ પણ દીધા. એટલે આપણા આંખ-કાન ચમક્યાં. વળી એક રહસ્યમય વાત પ્રગટી. આ હાથાળ વૃક્ષોને ઝીલવું તો છે પેલું ‘ધારાવસ્ત્ર’ પણ…! કવિએ એક જ વિશેષણથી કેવું સમાધાન આપી દીધું? ‘વ્યર્થ.’ ‘કરે’ ક્રિયાપદથી આ પ્રાપ્તિની મથામણ તો ચાલુ જ છે પણ વ્યર્થ. હવે રહે છે તો માત્ર ધારાવસ્ત્ર. પેલો પુરુષ કે અસ્તિત્વ પણ ઓગળી ગયું. છે તો માત્ર સૃષ્ટિ અને આકાશ અને.. બેઉને જોડતું આ અનુપમ, અદ્ભુત કે અલૌકિક ‘ધારાવસ્ત્ર.’

રસાસ્વાદ: સંજુ વાળા

Comments (2)

ત્રણ સૌથી વિચિત્ર શબ્દો – વિસ્વાવા શિમ્બોર્સ્કા (પોલિશ) (અનુ: વિવેક મનહર ટેલર)

જ્યારે હું ‘ભવિષ્ય’ શબ્દનું ઉચ્ચારણ કરું છું,
એટલીવારમાં તો એનો પ્રથમ શબ્દાંશ ભૂતકાળ બની ચૂક્યો હોય છે.

જ્યારે હું ‘મૌન’ શબ્દનું ઉચ્ચારણ કરું છું,
હું એને જ નષ્ટ કરી દઉં છું.

જ્યારે હું ‘કંઈ નહીં’ શબ્દનું ઉચ્ચારણ કરું છું,
હું કંઈક એવું સર્જી બેસું છું જે કોઈપણ અનસ્તિત્વ ઝાલી નહીં શકે.

– વિસ્વાવા શિમ્બોર્સ્કા
(અંગ્રેજી પરથી અનુ: વિવેક મનહર ટેલર)
[Wisława Szymborska: vʲisˈwava ʂɨmˈbɔrska = viˈswa.va ʃɨmˈbɔr.ska – vi-SWAH-vah shihm-BOR-ska]

*

ઓછામાં ઓછા શબ્દોમાં ધાર્યું પ્રત્યાયન સાધી શકે એ કવિતા ઉત્તમ. પ્રસ્તુત રચનામાં ભાષા અને અસ્તિત્વમાં નિહિત વિરોધાભાસી પ્રકૃતિનું અત્યંત લાઘવપૂર્ણ પણ અસરદાર નિરૂપણ કર્યું છે. પૉલિશ કવયિત્રીએ બહુ જ સરળ શબ્દોમાં ગહન ચિંતનોત્તેજક કૃતિ આપણને આપી છે. ‘કંઈ નહીં’ બોલતવેંત આપણે કશાકનું સર્જન કરી બેસીએ છીએ, અને ‘કંઈ નહીં’ એ કંઈ નહીં રહેતું નથી. સમયની ક્ષણભંગુરતા, મૌનની નજાકત અને શૂન્યતાના અસ્તિત્વગત નિહિતાર્થો ભાવકમનને વિચારતું કરી દે છે.

*

The Three Oddest Words

When I pronounce the word Future,
the first syllable already belongs to the past.

When I pronounce the word Silence,
I destroy it.

When I pronounce the word Nothing,
I make something no non-being can hold.

– Wislawa Szymborska (Polish)
(Translated by Stanislaw Baranczak & Clare Cavanagh)

Comments (6)

ચૂંટેલા શેર – ડૉ. પરેશ સોલંકી

આંસુઓનો ભાર લાગ્યો એટલે લખતો રહું છું,
શબ્દ તારણહાર લાગ્યો એટલે લખતો રહું છું.

મન ઝરૂખે ને જાત પિંજરમાં,
એક યોગી ગહન દ્વિધામાં છે.

કેદ જ્યાં ઈશ્વર થયો છે ચણતરોમાં,
મંદિરોને પણ ધરમનો ક્ષાર લાગે!

એટલે ઈજ્જત બચી ગઈ ખાલીપાની,
સ્મરણોએ આવવાની ના કહી છે.

પ્રેમમાં તારા મને પાગલ થવા દે,
કાં, બધાં વળગણ છૂટે એવી દવા દે.

અહીં યાદમાં આખું ચોમાસું ને ત્યાં-
સરેઆમ વરસાદ પણ બેઅસર છે.

કોઈ આવી વૃક્ષની ઘેઘૂરતા છેદી ગયું,
વીજળીના તાર પર બેઠું છે પંખી ભગ્ન થઈ.

હાથમાં હો હાથ ને મન દૂર હો,
આ અવસ્થા પ્રેમની ગંભીર છે.

સાવ ઓચિંતું સ્મરણ ને જામ હો,
સાંજના વૈભવની એ તાસીર છે.

જિંદગી બેસુમાર ચાહી છે,
આ ફકીરી એની ગવાહી છે.

થાક ઊંચાઈ પર બહુ લાગ્યો,
હા, તળેટી ચરણને ફાવી છે.

ક્યાંક અકબંધ છે કસક મારી,
સ્મિત સાથે ગવાઈને આવી.

લો, શરૂઆત જ્યાં પ્રણયની થઈ,
લાગણીઓ રિસાઈને આવી.

દોસ્ત તારી યાદનો દરબાર રાબેતા મુજબ છે,
આ નગરની ભીડમાં સૂનકાર રાબેતા મુજબ છે.

શ્વાસ આપીને શ્વાસ માંગે છે,
જિંદગી ક્યાં ઉધાર રાખે છે?

વગર નાવે ગઝલ દ્વારા,
બધા સાગર તરી બેઠો.

તેં બીડેલા સ્પર્શવાળો પત્ર મળતા,
ટેરવાં મોઘમ કવાયત બહુ કરે છે.

કોઈ મોઘમ આવ-જા બન્ને તરફ છે,
પ્રેમની આબોહવા બન્ને તરફ છે.

– ડૉ. પરેશ સોલંકી

Comments (7)