સ્વર્ગની લાલચ ન આપો શેખજી,
મોતનો પણ એક મોભો હોય છે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

સપનું – નેહા પુરોહિત

રાત્રિના છેલ્લા પહોરે એક સપનું આવ્યું
ને
સપનામાં આવ્યો સૂરજ!
મધરો મધરો મલકે મારી સામે.
કહેઃ
‘ચાલ, મારું ચિત્ર બનાવ.’
મેં કહ્યું, ‘પહેલા સવારની ચા તો બનાવી લઉં..’
કહે – ‘તથાસ્તુ!’
થોડીવાર પછી કહે,
‘આપણી મુલાકાત પર એક કવિતા લખ.’
મેં કહ્યું, ‘નાસ્તો તૈયાર કરું છું. એમને ઓફિસ મોકલી દઉં પછી…’
કહે – ‘તથાસ્તુ!’
થોડીવાર રાહ જોઈ કહે:
‘મંડલા આર્ટ તો ફટાફટ થઈ જાય ને! એમાં મારું ચિત્ર કરી દે તો?’
મેં કહ્યું: ‘સાસુ-સસરાને ભૂખ લાગી હશે. રસોઈ કરી દઉં?’
એની માંગણી તો ચાલુ ને ચાલુ.
પણ બપોરે પહેલાં સફાઈ યાદ આવી, ને પછી વાસણ.
પછી આવ્યો કપડાંનો વારો ને પછી કચરાંપોતાંનો ને ફરી સાંજની ચાનો ને ફરી રાતની રસોઈનો.
એ તો કેવળ મધરો મધરો મલકાતો જ રહ્યો,
ને કહેતો રહ્યો,
તથાસ્તુ!
આજે જરા સમય મળ્યો તો થયું,
લાવ, કવિતાય બનાવી દઉં ને ચિત્ર પણ.
દેવતા કહેવાય એ તો.
ક્યાં સુધી વાટ જોવરાવવી?
બહુ કોશિશ કરી,
ઊભી થવા ગઈ
તો ધ્રુજતા હાથથી
લાકડી પણ છટકી ગઈ
ને…

– નેહા પુરોહિત

આજે વિશ્વ મહિલા દિવસ. આમ તો અંગત રીતે હું આ દિવસનો પ્રખર વિરોધી છું, કારણ કે વરસની ત્રણસો ચોંસઠ ચોકલેટ પોતાના ખિસ્સામાં રાખી સ્ત્રીઓને એક ચોકલેટ આપી રાજી રાખવાની પુરુષોની આ ચાલ મને પસંદ નથી. સ્ત્રી-પુરુષ સમાનતા તો રામાયણ-મહાભારતમાં પણ જોવા નથી મળતાં. લક્ષ્મણરેખા-અગ્નિપરીક્ષા-ઘરનિકાલ અને વસ્ત્રાહરણ ત્યારે પણ પુરુષો માટે નહોતાં અને આજે પણ નથી. પ્રસ્તુત રચના સીધી રીતે તો સ્ત્રી-પુરુષ અસમાનતાની વાત નથી કરતી, પણ બહુ સરસ અને વેધક રીતે ઘરમાં સ્ત્રીના નીચલા સ્થાનને ચાક્ષુષ કરે છે. રાતના છેલ્લા પહોરે જોયેલું સપનું કવયિત્રી આપણને બતાવે છે. કહે છે કે વહેલી સવારનું સપનું સાચું પડતું હોય છે. આપણને પણ સમજાય છે કે જે છે, એ નક્કર હકીકતથી જરાય ઓછું નથી.

નાનકડી માંગણીના બદલામાં સૂરજદાદા વરદાન આપવા તત્પર થયા છે, પણ સ્ત્રીનો આખો જન્મારો ઘરનું વૈતરું કરવામાં જ પસાર થઈ જાય છે. મોટા શહેરોમાં કંઈક અંશે પરિસ્થિતિ બદલાઈ છે એની ના નહીં, પણ હજી આજે પણ મોટાભાગના ભારતીય સમાજમાં પુરુષોની તુલનાએ સ્ત્રીઓએ જ ઘર સંભાળવું પડતું હોય છે. કવિતાના અંતે અચાનક ઘડપણનો અણસાર આપી ધ્રુજતા હાથમાંથી છટકે જતી લાકડી સાથે ‘ને…’ કહીને કવયિત્રીએ કાવ્ય અધૂરું છોડી દઈ સ્ત્રીની વેદનામાં સમભાગી થવા ઈજન આપ્યું છે…

Comments (11)

મોજ – નીતિન વડગામા

જેવી જેની મોજ.
કોઈ કરે છે ખાંખાંખોળાં, કોઈ કરે છે ખોજ.

કોઈ હજી હાંકે છે જાણે એમ હવામાં હોડી.
પાર ઊતરવા કરતાં કેવી ફોગટ દોડાદોડી!

મનથી માણસ ગાંગો તેલી, મનથી રાજા ભોજ.
જેવી જેની મોજ.

કોઈ જુએ છે પરપોટાના મૂળમાં રહેતું પાણી,
કાળમીંઢ પથ્થરમાં વહેતી દેખે છે સરવાણી.

દિલનો દીવો દિવાળી ઊજવતો રોજેરોજ.
જેવી જેની મોજ.

– નીતિન વડગામા

તુંડે તુંડે મતિ ભિન્ના:। હાથની બે આંગળી સરખી ન હોય એમ બે માણસ અને બે માણસની પસંદગી પણ એકસમાન ન જ હોય એ સ્વાભાવિક છે. કોઈને કેવળ ખાંખાખોળા કરવામાં, વ્યર્થ ઉત્પાત મચાવવામાં મોજ પડતી હોય તો કોઈકને સાચી ખોજ કરવામાં મજા પડતી હોય એ બનવાજોગ છે. માણસ મનથી જ ગરીબ પણ હોય ને તવંગર પણ. કોઈ પરપોટાના સૌંદર્યને- વજનશૂન્યતા, આકાર, પાણી-પ્રકાશની લીલાથી રચાતા મેઘધનુષનું સૌંદર્ય માણવાના બદલે એના બંધારણના પિષ્ટપેષણમાં રત રહે છે તો કોઈ કાળમીંઢ પથ્થરમાં પણ સરવાણી જુએ છે. આવા માણસ માટે તો રોજેરોજ દિવાળી… ખરું ને!

સાચી ખોજ અને ઉપલક ખાંખાખોળા વચ્ચે ભેદરેખા આંકીને ભીતરી મોજ માટે આહ્વાન આપતું મસ્ત મજાનું ગીત…

Comments (17)

ચપટી ચોખાનું ગીત – નવનીત ઉપાધ્યાય

ચપટી ચોખા ને ચપટી કંકુ રે લાવો,
મારી આતુરતાનો દરિયો… વધાવો.

ડાળખીને ફૂટું ફૂટું ફાગણનું રૂપ,
જોઈ એને વાયરાનું મન મીઠું ચૂપ,
રુમઝૂમતો પંખીનો છાંયો રે લાવો,
મારી આતુરતાનો દરિયો… વધાવો.

આણીકોર્ય ઓલીકોર્ય બેય કોર્ય હાલું,
ટહુકે છે રસ્તા હું કેમ મને ઝાલું,
ગીતોના મઘમઘ સાથિયા પુરાવો,
મારી આતુરતાનો દરિયો વધાવો.

– નવનીત ઉપાધ્યાય

એવો કવિ તો ક્યાંથી ગોતવો જેણે ફાગણનાં ગીતો ન ગાયાં હોય! ફાગણ માટેની આતુરતા તો દરિયા જેવી અસીમ-અપાર છે. પણ એની વધામણી ચપટીક કંકુચોખાથી ચાલી જશે… વામન અને વિરાટ વચ્ચેના આ વિરોધાભાસ, અને ઉભયને વળી અડખેપડખે રાખી આગળ વધતું હોવાથી ગીત પ્રારંભે જ આપણને ગમી જાય છે. એકદમ લાઘવ સાથે સરળ પ્રતીકો અને સહજ બાનીમાં રજૂ થયું હોવાથી ગીત વાંચી લીધા બાદ પણ લાંબા સમય સુધી આપણી ભીતર ક્યાંક રણઝણતું રહી જાય છે…

Comments (11)

વસંત આ વરણાગી! – પ્રજારામ રાવળ

શિશિર તણે પગલે વૈરાગી,
વસંત આ વરણાગી !

એક ખેરવે વસ્ત્ર પુરાતન
બીજો મખલમ ઓઢે
એક ઊભો અવધૂત દિગંબર,
અન્ય પુષ્પમાં પોઢે!
શીતલ એક હિમાલય સેવી
અન્ય જગત અનુરાગી! વસંત આ વરણાગી!

એક મુનિવ્રત ભજે અવર તો
પંચમ સ્વરથી બોલે;
અરપે એક સમાધિ જગતને,
અન્ય હૃદયદલ ખોલે!
સ્પંદે પૃથિવીહૃદય વળી
વળી રાગી ને વૈરાગી! વસંત આ વરણાગી!

– પ્રજારામ રાવળ

શિશિર અને વસંત – ઋતુચક્રમાં પરસ્પર અડોઅડ હોવા છતાં સાવ ભિન્ન! વૈરાગી શિશિરના પગેરું ચાંપીને વરણાગી વસંત હળુ હળુ પ્રવેશે છે, પણ કવિને કોઈ એકની સ્તુતિ કરવાના બદલે પ્રકૃતિના આ બે અંતિમો વચ્ચેના વિરોધાભાસને ઉપસાવવામાં વિશેષ રસ છે. પ્રવાહી લય અને મસૃણ પ્રતિકોના યથોચિત પ્રયોગના કારણે ગીત વાંચતાવેંત હૃદયને સ્પર્શી જાય છે. શિયાળામાં જૂનાં પાંદડાં ખરી જતાં દિગંબર અવધૂતનો વેશ ધારતાં વૃક્ષો વસંત આવતાં જ જાણે કે મખમલની લીલી ચાદર ઓઢી પુષ્પોથી છલકાવા માંડે છે. શિશિરમાં મૌનવ્રત ધારી લેતાં પંખીઓ વસંત આવતાં જ પંચમ સ્વરે ગાન આલાપે છે. શિશિરમાં સમાધિસ્થ જણાતી વૈરાગી પ્રકૃતિ વસંતમાં પુષ્પોથી લચી પડતાં ઝાડવાંઓથી જાણે હૃદયના પડળો ન ખોલતી હોય એવી રાગી ભાસે છે.

Comments (3)

(ગાંડાં કાઢે!) – સંદીપ પૂજારા

કાઢે, પણ કંઈ આવાં કાઢે?
ગઝલોમાં જે ગાંડાં કાઢે!

ભૂલથી પણ જો ભૂલ બતાવો,
કેવાં કેવાં બહાનાં કાઢે!

જાણે પણ એ માને તો નહિ,
ભૂલને ઢાંકવા રસ્તા કાઢે!

ખુદને સાચા સાબિત કરવા,
અન્યોમાં પણ વાંધા કાઢે!

અહમ્ ઘવાશે એવા ભયથી,
સૂચન સૌનાં પાછાં કાઢે!

એમ ભણાવે સૌને, જાણે
બાવો દોરાધાગા કાઢે!

– સંદીપ પૂજારા

પ્રવર્તમાન ગુજરાતી ગઝલનો ચહેરો જેટલો ઉજ્જવળ છે, એટલો જ કાલિમાયુક્ત પણ છે. એક વર્ગ એવો છે જે ગંભીરતાપૂર્વક ગઝલસાધના કરે છે, પણ બહુ મોટો ફાલ એવો છે જે તુકબંદીને જ ગઝલ માની બેઠો છે. વળી આ વર્ગની સૉશ્યલ મિડિયા પર ઉપસ્થિતિ તથા પ્રભુત્વ એટલું બધું છે કે નવોદિતો આ તુકબંદીને જ ગઝલકાળનું એકેમેવ સત્ય ગણી લે તો નવાઈ નહીં. સત્વશીલ વાંચનના શરણે જવાના બદલે વૉટ્સએપ અને ફેસબુક યુનિવર્સિટીમાં જ સાહિત્ય ભણતાં આ કથિત સાહિત્યકારોએ તો દાટ વાળ્યો જ છે, પણ પ્રસ્તુત ગઝલનું નિશાન આવા નવશીખિયાઓ કરતાં વધારે “વિદ્યા ભણતાં વધ્યો શેર; ચર્ચાવાદમાં તોલે થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો”નો સિદ્ધાંત આત્મસાત્ કરીને જીવતા સિદ્ધહસ્ત પણ આત્મરતિમાં રત સર્જકો તરફ છે. અખાના છપ્પાની જેમ જ આ ગઝલ આવા સર્જકોને સણસણતા ચાબખા મારે છે. ઈશ્વર સહુને સદબુદ્ધિ આપે એ જ પ્રાર્થના…

Comments (19)

ગોરંભા ઊમટ્યા – સંજુ વાળા

.

જી રે… ગોરંભા ઊમટ્યા ઘેઘૂર આભમાં
.                           ઘેરા પડછંદા ડણકે આરંપાર રે
ઊંડે અજવાળાં તબકી-ઝબકી જાગતાં
.                           જાણે ઝીણેરું ઝળકંતી તલવાર રે
.                           ઘેરા પડછંદા ડણકે આરંપાર રે

.          તપતી માટીએ કીધી કંઈ કંઈ આરદા
.          ઊંચું ઝાંખે રે જળતળ થઈને સાબદા
.          વેરી તૂટયાં-તૂટયાં કાંઈ વચનું, વાયદા
ક્યાંથી ચડશે, ક્યાં ઢળશે ચતરંગ સાયબો
.                           કોઈ અણસારો ઊગે ના લગાર રે
.                           ઘેરા પડછંદા ડણકે આરંપાર રે

.          કેવા ગઢની કુંવરીયુ કોણે નોતરી
.          અક્ષત-કંકુ લૈ ઊભી જે આગોતરી
.          દીધી જળના સ્વયંવરની કંકોતરી
કરશે લેખાં-જોખાં ને અક્ષર માંડશે
.                           મોંઘા મૂલે મૂલવાશે મુશળધાર રે
.                           ઘેરા પડછંદા ડણકે આરંપાર રે

– સંજુ વાળા

(ચતરંગ = હાથી, ઘોડા, રથ અને પયદળ એમ ચતુરંગી સૈન્યવાળો)

લયસ્તરો પર કવિના નૂતન કાવ્યસંગ્રહ “આજ અનુપમ દીઠો” (૨૦૨૪)નું સહૃદય સ્વાગત છે…

ઉનાળાએ માઝા મૂકી હોય ત્યારે તપતી માટીની એકમેવ આરદા વરસાદ પડે એ જ હોય. જળાશય સૂકાઈ જતાં દેખાવા લાગતું તળિયું સાબદું થઈ ઊંચે આભમાં ઝાંખી રહ્યું હોવાનું કલ્પન ગરમીની તીવ્રતા અને વરસાદની અનિવાર્યતાને કેવી સ-રસ રીતે અધોરેખિત કરે છે! ઘેઘૂર આભ ગોરંભે ચડ્યું છે. જંગલમાં સિંહ ડણક દેતો હોય અને એના પડધા કોતરોને ભરી દેતા હોય એવું વાતાવરણ ઘેરાયેલા આકાશમાં સર્જાયું છે. વીજળીના ચમકારા તબકી-ઝબકીને જાગતી તલવાર જેવા ઝળકે છે, પણ વરસાદ એના વાયદા પાળશે કે તોડશે એનો સહેજ પણ અણસારો આવતો નથી. ઊગવા આથમવા ટાણે આકાશને રંગોથી ભરી દેતો સૂરજ પણ આ વાદળોના કારણે દેખાતો ન હોવાથી એ ક્યાંથી ઊગશે અને ક્યાં આથમશે એય કળાતું નથી. જળનો સ્વયંવર યોજાયો હોય અને પ્રકૃતિ અક્ષત-કંકુ લઈ ઊભી હોય એવું મનોરમ્ય ટાણું કવિએ રચ્યું છે. કંકોતરી લખતી વેળા બે પક્ષ સામસામે બેસીને લેખાંજોખાં કરી, મોંઘા મૂલે કરિયાવર મૂલવી લીધા બાદ જ કંકોતરી પર અક્ષર પાડે એ લોકરિવાજને કવિએ મેઘરાજાના સ્વાગતમાં બખૂબી વણી લીધો હોવાથી ગીત વધુ આસ્વાદ્ય બન્યું છે. અંતે એ પણ સમજવાનું છે કે આ સંજુ વાળાનું ગીત છે. તરસી ધરતી અને વરસું વરસું કરવા છતાં ન વરસતા મેઘ એ ઈશ્વરને કાજ તરસતા આત્મા અને દર્શન-દુર્લભ પરમાત્માના સંદર્ભે પણ જોઈ શકાય. જે પ્રકારે કવિએ અનૂઠા લયને સાદ્યંત જાળવી રાખ્યો છે એય સારા કવિકર્મની સાહેદી પૂરે છે…

Comments (8)

(ક્યાં સંતાડું?) – વ્રજેશ મિસ્ત્રી

ક્યાં સંતાડું દરિયો? કાંઠા ક્યાં સંતાડું?
આંસુ ને આંસુના ડાઘા ક્યાં સંતાડું?

પડઘાને તો પલભરમાં ઓગાળી નાંખું,
પણ વીંઝાતા આ સન્નાટા ક્યાં સંતાડું?

સંતાડી દઉ દીકરીનાં ઝાંઝર ને કડલાં;
પણ ભીંતે આ કંકુથાપા ક્યાં સંતાડું?

લાગી છે એને પણ જાણે હવા સમયની;
રસ જીવનના ખાટા-ખાટા ક્યાં સંતાડું?

– વ્રજેશ મિસ્ત્રી

સીધેસીધી જ માણવા જેવી સરસ મજાની ગઝલ….

Comments (13)

મળી માતૃભાષા મને ગુજરાતી…

આજે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે. બાંગલાદેશ જ્યારે પૂર્વ-પાકિસ્તાન હતું ત્યારે ઉર્દૂ ભાષાને રાષ્ટ્રભાષા તરીકે માથા પર મારી બેસાડવાની આજના પાકિસ્તાનની ચેષ્ટા સામે 1952ની સાલમાં આજના દિવસે હજારો વિદ્યાર્થીઓ અને ભાષાશાસ્ત્રીઓ-પ્રેમીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. પોલિસે કરેલ અંધાધૂંધ લાઠીમાર અને ગોળીબારમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા પણ આ ઘટનાનો પડઘો આખી દુનિયામાં પડ્યો. બંગાળી બાંગ્લાદેશની માતૃભાષા બની અને બાંગ્લાપ્રજાએ પોતાની ભાષા માટે દાખવેલ અપ્રતિમ પ્રેમના માનમાં 2000ની સાલથી યુનેસ્કોએ આજના દિવસને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું.

આજે લયસ્તરો પર માતૃભાષાનો મહિમા અને ચિંતા કરતી કેટલીક કાવ્યકડીઓ વડે આપણે પણ આપણી ભાષાના સંવર્ધન માટે પ્રતિબદ્ધ અને કટિબદ્ધ થઈએ… પણ પહેલાં કેટલીક પ્રતિજ્ઞા લઈએ-

• ઘરમાં અને રોજમરોજના વ્યવહારમાં ગુજરાતી ભાષાના પ્રયોગને પ્રાધાન્ય આપીશું. ખાસ કરીને બાળકો સાથે ફક્ત માતૃભાષામાં જ વાત કરીશું અને એમને પણ આપણી સાથે માતૃભાષામાં જ વાત કરવાની ટેવ પાડીશું.

• રોજ ઓછામાં ઓછો અડધો કલાક સત્વશીલ ગુજરાતી સાહિત્યનું વાંચન કરીશું. વૉટ્સએપિયા અને ફેસબુકિયા સાહિત્યનો પ્રયોગ વિવેકબુદ્ધિથી કરીશું

• મોબાઇલમાં ઓનલાઇન ગુજરાતી શબ્દકોશો અને જોડણીકોશોની એપ ડાઉનલોડ કરી એનો નિયમિત વપરાશ કરવાની આદત કેળવીશું. (ભગ્વદગોમંડલ, ગુજરાતી લેક્સિકોન અને સાર્થ ગુજરાતી જોડણીકોશ)

• મોબાઇલ પર ગુજરાતી ભાષામાં લખતી વખતે ભાષાશુદ્ધિ તરફ ખાસ ધ્યાન આપીશું

હવે થોડી કાવ્યકણિકાઓ:

દલપતરામે મહારાજા ખંડેરાવ પાસે ગુજરાતી ભાષાના પુસ્તકાલય માટે હિંમતભેર ધા નાંખી ધાર્યું કરાવ્યું હતું… બે’ક કડી જોઈએ:

આવ ગિરા ગુજરાતી તને, અતિ શોભિત હું શણગાર સજાવું;
જાણની પાસ વખાણ કરાવું, ગુણી જનમાં તુજ કીર્તિ ગજાવું;
દાખે દલપતરામ ખુદાવંદ ખંડેરાવ,
રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું.

વાત ગુજરાતી ભાષાની હોય અને ઉમાશંકર જોશીને યાદ ન કરીએ એ કેમ ચાલે?:

સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગુજરાતી.

ઉમાશંકરે જ બહુ તાર્કિક સવાલ પણ કર્યો છે-

એ તે કેવો ગુજરાતી
જે હો કેવળ ગુજરાતી ?
હિંદભૂમિના નામે જેની ઊછળે ના છાતી?

વિનોદ જોશીએ બહુ માર્મિક જવાબ આપ્યો-

હું એવો ગુજરાતી જેની;
હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી….
હું સાવજની ત્રાડ, હું જ ગરવી ભાષા લચકાતી…
હું ગિ૨નારી ગોખ, દ્વારિકા હું જ સુધા૨સ પાતી….

અરદેશર ખબરદારની ઉક્તિ તો કહેવત બની એક-એક ગુજરાતીનો હૃદયધબકાર બની રહી છે-

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
જ્યાં જ્યાં ગુજરાતી બોલાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત.

ઉશનસ્ શું કહી ગયા એય સાંભળીએ:

સહજ, સરલ મુજ માતૃભાષા, મા સમ મીઠી-વ્હાલી,
જેનાં ધાવણ ધાવી ધાવી અંગ અંગ મુજ લાલી,
જેના ઉદગારે ઉદગારે ઊછળતી મુજ છાતી,
ધન્ય ગિરા ગુજરાતી, મારી ધન્ય ગિરા ગુજરાતી.

તો ખલીલ ધનતેજવીનો હુંકાર પણ કંઈ જેવો તેવો નથી-

વાત મારી જેને સમજાતી નથી;
એ ગમે તે હોય ગુજરાતી નથી.!

તુષાર શુક્લ પણ આ જ વાત કહે છે, પણ મિજાજ પોતાના સ્વભાવ મુજબ જ ઋજુ રાખીને:

શબ્દ એક પણ લખી બોલી ના બિરદાવું ગુજરાતીને
ગુજરાતીનો મહિમા, શાને સમજાવું ગુજરાતીને!

વિશ્વપ્રવાસી રઈશ મનીઆરે પણ વિશ્વસાહિત્યના આચમન બાદ પણ પોતાના ધબકારાની ભાષા બદલાઈ ન જાય એની તકેદારી રાખી છે:

મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે.
ભૂંસાવા કયાં દીધો કક્કો, હજી પાટીમાં રાખ્યો છે.
મલક કંઈ કેટલા ખૂંદયા, બધાની ધૂળ ચોંટી પણ,
હજુ પણ મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે.

તો રઈશ મનીઆરે જ ભાષા માટે અદકેરી ચિંતા અને આવનારી પેઢી સામેના પડકારને ગાગરમાં સાગર પેઠે શબ્દસ્થ કર્યો છે:

પુત્રમાં શોધું છું ગુજરાતીપણું, શું મેં વાવ્યું ને હવે હું શું લણું?
આ વસિયત લે લખી ગુજરાતીમાં પુત્ર એ વાંચી શકે તોયે ઘણું.

રઈશ મનીઆરની ચિંતામાં વિકી ત્રિવેદી પણ સૂર પૂરાવે છે-

એથી આશા ઘાયલ થઈ છે,
મારી ભાષા ઘાયલ થઈ છે.

પણ રમેશ આચાર્યને આવી પરિસ્થિતિમાં કાળા વાદળની કોરે સોનેરી આભા વર્તાય છે:

હું છું અને મારી ભાષા છે;
કૈક થશે એવી આશા છે!

આવી જ કંઈક આશા પીયૂષ ભટ્ટ પણ સેવી રહ્યા છે-

કેવળ એ અભિલાષા,
સકળ જગતને ખૂણે ખૂણે પહોંચે મારી ભાષા.

કેશુભાઈ દેસાઈની અભિલાષા પણ મનોરમ્ય છે:

ત્રિલોકમાં ને નવે ખંડ તુજ ફોરમ રહો છવાતી,
તું ઘણું જીવો ગુજરાતી

હરીશ જસદણવાળા લિપિની વિશિષ્ટતાને ખપમાં લઈ મજાનું ભાષાકર્મ કરી બતાવે છે:

વાંચે કાનો, બોલે રાધા,
છે એવી ગુજરાતી ભાષા!

પણ આજે હાલત એવી છે કે આજની પેઢીને ઉમાશંકર-સુંદરમ-મુનશી-પન્નાલાલ વગેરે મૂર્ધન્ય સાહિત્યકારોની ગુજરાતી પરદેશની ભાષા જેવી અજાણી લાગવા માંડી છે. હરદ્વાર ગોસ્વામી આપણને આ બાબતે અજરામર શેર આપે છે:

એના કરતાં, હે ઈશ્વર! દે મરવાનું,
ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું!

અદમ ટંકારવી આંગ્લભાષા સામે વિલાઈ જતી ગુજરાતીનો ખરખરો કેવો હૃદયંગમ રીતે કરે છે-

આંગ્લકન્યા જોઈ વિલાઈ ગયું
ગુર્જરીનું રૂપ નજરાઈ ગયું
સોળ શણગારો સરર સરકી ગયા
સેંથીનું સિંદૂર ભૂંસાઈ ગયું

પન્ના નાયક એમના એક લઘુકાવ્યની પ્રારંભે માતૃભાષાની સર્ળ પણ મજાની વ્યાખ્યા આપે છે:

આપણને
જે ભાષામાં સપનાં આવે

આપણી માતૃભાષા.

રવીન્દ્ર પારેખે પણ એ જ રીતે ગુજરાતી ભાષાની દુર્દશા પર લખેલ કવિતાના પ્રારંભે માતૃભાષાની સ-રસ વ્યાખ્યા કરી છે:

જન્મનું નિમિત્ત પિતા છે
પણ જન્મ આપે છે માતા
એ દૂધ નથી પાતી
ત્યારે ભાષા પાય છે
એ પાય છે તે
તળની ભાષા છે.

તો વિપિન પરીખ એક કાવ્યના અંતે પોતાને માતૃભાષા ગમવાનું પ્રમુખ કારણ છતું કરે છે:

બા નવી નવી ‘ડીશ’ શીખવા ‘Cooking Class’માં ગઈ નહોતી.
છતાં ઇંગ્લિશ નામ ખડક્યા વગર એ થાળીમાં જે મૂકતી
તે બધું જ અમૃત બની જતું.
મને મારી ભાષા ગમે છે.
કારણ મને મારી બા ગમે છે.

ડૉ. મનોજ જોશી ‘મન’ પણ મજાનું મુક્તક આપે છે:

પ્રેમ, ખુશી ને પીડમાં કાયમ વ્હારે ધાતી;
ક્રોધ, વિવશતા, ચીડમાં સ્હેજે ના શરમાતી;
દુનિયાનાં આ નીડમાં ટહુકા કરતી! ગાતી;
ભાષાઓની ભીડમાં નોખી છે ગુજરાતી!

શબનમ ખોજા પણ શબનમ જેવો તાજો-મુલાયમ શેર કહે છે:

મારા લોહીનું એ ગુજરાતીપણું
ટેરવાની ટોચ પર કક્કો ફૂટે!

ભાવિન ગોપાણી અમદાવાદના અને અમદાવાદીથી સારો વ્યવહારુ ગુજરાતી બીજો કોણ હોય? જુઓ તો-

ઈશારાથી કીધું બચાવો તો સમજ્યું ન કોઈ,
જો ભાષાના શરણે ગયો તો બચાવ્યો છે સૌએ.

જગદીપ નાણાવટી પણ દેશદેશાવરમાં આપણી ભાષાનો સિક્કો પાડવા કૃતનિશ્ચયી જણાય છે:

ચટ ને પટ, કે ક્રોસ-કિંગ હો, દુનિયાને હર ખૂણે
જ્યાં પણ પડશે, પડશે મારી ગુજરાતીનો સિક્કો

અંતે માતૃભાષાની સમસ્યા અને ઉકેલ બંનેને રજૂ કરતા વિવેક મનહર ટેલરના થોડા શેર માણીએ વિરમીએ-

આડે-અવળે નહીં, સીધા સામા મળો,
દિલ સુધી પહોંચો એ આશામાં મળો;
‘હાય-હેલ્લો’ છોડો, પૂછો- ‘કેમ છો?’
મળવું છે? તો માતૃભાષામાં મળો.

માતૃભાષાની દશા પર દિલ દ્રવે,
કેટલું ને ક્યાં સુધી રડવું હવે?
આ તરફ રંગમંચ છે, ત્યાં બ્રોડ-વે,
જોઉં, દીકરો કોને કેટલું સાચવે?

પહોંચીશું બધા ઘરમાં અમે નેટના રસ્તે,
મા ગુર્જરીનું એમ જીવતદાન બનીશું.

– વિવેક મનહર ટેલર

Comments (10)

ગંધ – બ્રિજેશ પંચાલ

આજે મૂડ નહોતો,
બંને કીકીઓને બહાર કાઢીને-
લખોટીઓ રમવા માંડ્યો.
વાળને હવામાં ખુલ્લા મૂકી દીધા.
હોઠને મૌન શું છે
એ શોધવા મોકલ્યા…
કાનને નકરા ઘોંઘાટ વચ્ચેથી
ટાંકણીનો અવાજ શોધી લાવવા કહ્યું.
હાથને એકબીજા સાથે બાંધી દીધા,
પગને ખીંટી ઉપર ટાંગી દીધા.
પેટને ભૂખમાં ઓગાળી દીધું.
ત્યાં મારા નાકને પાંપણ ઢળી ગયાની ગંધ આવી!
પણ,
હું કંઈ કરું એ પહેલાં જ કોઈએ મને—
ચંદન વચ્ચે સુવાડી ધુમાડો બનાવી દીધો.

– બ્રિજેશ પંચાલ

લયસ્તરો પર કવિના પ્રથમ કાવ્યસંગ્રહ ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’નું સ્વાગત…

જીવન જીવવાના મૂડના અભાવનું બીજું નામ મૃત્યુ. આમ તો આવાં મૂડ-ઑફ મૃત્યુ આપણે હજારોવાર જીવતાં હોઈએ છીએ, પણ કવિએ આખરી મૂડ-ઑફની કવિતા કરી છે. સામાન્યરીતે મન ઉદાસીન હોય અને કશામાં લાગતું ન હોય એ પળે આપણે કાચબો સ્વયંને કોચલામાં સંકોરી લે એમ આપણા અસ્તિત્ત્વને બને એટલું સંકોરી લેતાં હોઈએ છીએ, પણ અહીં આથી સાવ વિપરીત ક્રિયાઓ થઈ રહી છે. કીકીઓને આંખના ગોખલામાંથી બહાર કાઢી કથક લખોટીઓ રમવા માંડે છે. જેનું કામ બોલવાનું છે એને ન બોલવાનું શોધવા માટે મોકલી દેવાય છે, અને કાનને ઘાસની ગંજી જેવા અવાજના ખડકલામાંથી ટાંકણીનો અવાજ શોધવાનું અશક્યવત્ કામ સોંપવામાં આવે છે. હાથ-પગ-પેટ બધા જ અવયવોને નિષ્ક્રિયતાની સજા આપવામાં આવી છે… સ્વયંનું મૃત્યુ થવાની ગંધ નાકને આવે એ પહેલાં તો મૃતદેહ ચંદનની ચિતા પર ભડભડ બળી રહે છે… પ્રસ્તુત કાવ્ય બિનજરૂરી વાણીપ્રલાપથી દૂર રહી શક્યું છે એ આપણું સદનસીબ. સરવાળે, આ કાવ્ય અનુભૂતિનું કાવ્ય છે. સામાન્ય ગુજરાતી અછાંદસોથી એ અલગ તરી આવે છે.

Comments (4)

(મન ભરી જોવા તો દે!) – જિગર જોષી

તું નહીં આપે ભલે ઘાવ, ઉઝરડા તો દે,
આંસુ પણ લઈ લે, મને ખાલી તું રોવા તો દે.

જિંદગી! શેની ઉતાવળ છે, જરા કહે તો ખરી;
સામે બેસાડી તને મન ભરી જોવા તો દે!

તું કહે એવી રીતે હું પછી ઊભો થાઉં,
મારે પડવું છે એ રીતે મને પડવા તો દે.

તક જવલ્લે જ મળે છે તો આ તક તું વાપર,
આંખને આંસુ કોઈ વાર ખરચવા તો દે.

રાખ થૈ જાશે ઘડીભરમાં સ્મરણ પણ તારાં,
હૈયું સળગ્યું છે, જરા આગ પકડવા તો દે.

– જિગર જોષી

ગુજરાતી ગઝલોમાં પ્રમાણમાં ઓછા ખેડાયેલ છંદમાં મજાની ગઝલ. ગઝલમાં જે ખરી મજા છે એ રદીફારંભે આવતા તોત્તેર મણના ‘તો’ની છે. કવિ આ ‘તો’નું વજન બરાબર નિભાવી શક્યા છે એ આનંદની વાત છે. આમ તો આખી ગઝલ સરાહનીય થઈ છે, પણ મારું મન તો આખરી શેર પર જ અટકી ગયું છે….

Comments (5)

(લાગી કટારી પ્રેમની) – મીરાંબાઈ

પ્રેમની, પ્રેમની, પ્રેમની રે,
મને લાગી કટારી પ્રેમની.

જળ જમુનાનાં ભરવા ગયાં’તાં,
હતી ગાગર માથે હેમની રે. મને૦

કાચે તે તાંતણે હરિજીએ બાંધી,
જેમ ખેંચે તેમ તેમની રે. મને૦

મીરાં કે પ્રભુ ગિરધર નાગર,
શામળી સૂરત શુભ એમની રે. મને૦

– મીરાંબાઈ

સાચો પ્રેમ કોઈ જ આડંબરના આલંબન સ્વીકારતો નથી. પ્રેમ એટલે દિલની વાત અને દિલ તો દુનિયાના પ્રપંચોથી પરે જ હોવાનું. એટલે જે વાત દિલથી નીકળી હોય એ સરળ અને સહજ જ હોવાની. મીરાંનો પ્રેમ સમર્પણનો પ્રેમ હતો. કૃષ્ણને મેળવવાની કોઈ જ અબળખા રાખ્યા વિના એણે સ્વયંને પૂર્ણસમર્પિત કરી દીધી હતી… આપવું એ જ એના માટે પ્રેમની એકમાત્ર વ્યાખ્યા હતી. પોતે શ્રીકૃષ્ણના પ્રેમમાં ઘાયલ થઈ હોવાનો એકરાર કરતી વખતે સાવ નાની અમથી પંક્તિઓમાં ચાર-ચારવાર પોતાને વાગેલી કટારી પ્રેમની હોવાની વાતની એ પુનરુક્તિ કરે છે. આ પુનરુક્તિ કવિતાનો પ્રાણ છે. માથે સોનાની ગાગર લઈ જમુનાજળ ભરવા ગયેલ મીરાં કાચા તાંતણે બંધાઈ જઈ હરિ જેમ ખેંચે એમ ખેંચાય છે. સોનાની ગાગર અને કાચા તાંતણા વચ્ચેનો આ વિરોધાભાસ રાજરાણીની દોમદોમ સમૃદ્ધિ વચ્ચે પણ મીરાંએ કરેલ સાદગીના સ્વીકારને કેવો સ-રસ રીતે અધોરેખિત કરે છે!

Comments (2)

ચુંબન – સારા ટિસડેલ (અનુ.: વિવેક મનહર ટેલર)

શ્યામ મને ચૂમ્યો વસંતમાં,
પાનખરમાં લક્ષ્મણ,
નીરવે કેવળ જોયે જ રાખી,
ચૂમ્યો નહીં કદી પણ.

એકનું ચુંબન ગુમ ગમ્મતમાં,
બીજાનું થઈ ક્રીડા;
પણ નજરોનું ચુંબન દે છે
રાત’દી હજીય પીડા.

– સારા ટિસડેલ
(અનુ.: વિવેક મનહર ટેલર)

સાવ ટબૂકડું ગીત, પણ કેવું પ્રભાવક! જીવન ગમે એટલું ભર્યુંભાદર્યું હોય કે સાવ જ ખાલીખમ–પરિસ્થિતિ કોઈપણ હોય, શારીરિક સ્પર્શ કે સંસર્ગ તો ક્ષણજીવી જ હોવાના… પણ નજર નજર સાથે ગુફ્તેગૂ માંડીને છે…ક ભીતર સુધી જે સ્પર્શ કરી શકે છે એ કોઈ કાળે વિસ્મૃતિની ગર્તામાં લુપ્ત થઈ શકે નહીં…. દૈહિક ઉપર ઐહિકની મહત્તા કવયિત્રીએ કેવી બખૂબી પ્રસ્થાપિત કરી બતાવી છે!

*

The Look – Sara Teasdale

Strephon kissed me in the spring,
Robin in the fall,
But Colin only looked at me
And never kissed at all.

Strephon’s kiss was lost in jest,
Robin’s lost in play,
But the kiss in Colin’s eyes
Haunts me night and day.

– Sara Teasdale

Comments (4)

(જિંદગી જાય છે) – હર્ષવી પટેલ

જેમ રણની વચાળે નદી જાય છે,
બસ, અદ્દલ એ રીતે જિંદગી જાય છે.

પગ ન મૂકું ફરી ત્યાં — વિચાર્યું હતું,
એ જ બાજુ કદમ ખુદ વળી જાય છે.

એક પળ જે જુદાઈ સદી નહીં મને,
એ જુદાઈના ટેકે સદી જાય છે.

જે નહીં આવડે લાગણીને કદી,
એ બધું બુદ્ધિને આવડી જાય છે.

એની પાસે ન શીખ્યા કશું, ભૂલ થઈ—
એવું અંતે સમય શીખવી જાય છે.

– હર્ષવી પટેલ

નદીનું ગંતવ્ય સમુદ્રમિલન છે પણ બનાસ, રુપેણ અને સરસ્વતી જેવી કુંવારી નદીઓ તો રણમાં જ પૂરી થઈ જાય છે… કવયિત્રી જ્યારે પોતાની જિંદગી પણ જે હેતુસર પ્રાપ્ત થઈ છે એ હાંસિલ કર્યા વિના જ ખતમ થઈ રહી હોવાનો સ્વીકાર આ સંદર્ભ સાથે કરે છે ત્યારે સીધાસાદા વિધાન જેવો લાગતો ગઝલનો મત્લા આપણને મજાનો લાગવા માંડે છે. આમેય, હર્ષવી પટેલ પાસેથી સાવ સરળ ભાસતી ગઝલ મળે ત્યારે સૌપ્રથમ હું સ્વયંને એક ટપલી મારી લેવાનું રાખું છું. એના શેરો સહલે-મુમ્તના (ભ્રામક સરળતા) શ્રેણીમાં આવે એવા હોય છે, જે સહેજ અટકીને ફરી વાંચો તો ચમકારો થાય… ત્રીજા શેરમાં પણ ‘સદી’ શબ્દ વડે સર્જકે મજાનો યમક અલંકાર સિદ્ધ કરી બતાવ્યો છે.

Comments (3)

રસ્તો કરી જવાના – અમૃત ઘાયલ

રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મુંઝાઈ મનમાં મરી જવાના!

નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના,
બિન્દુ મહીં ડૂબીને સિન્ધુ તરી જવાના!

કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના!
દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના.

છો ને ફર્યા, નથી કંઈ દીથી ડરી જવાના!
એ શું કરી શક્યા છે, એ શું કરી જવાના!

મનમાં વિચાર શું છે? અવિરામ કંઈ દીપક છે,
પ્રકાશ આંધીઓમાં પણ પાથરી જવાના.

એક આત્મબળ અમારું દુ:ખ માત્રની દવા છે,
હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના.

સ્વયં વિકાસ છીએ, સ્વયં વિનાશ છીએ!
સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના.

સમજો છો શું અમોને, સ્વયં પ્રકાશ છીએ!
દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના.

અય કાળ, કંઈ નથી ભય, તું થાય તે કરી લે!
ઈશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના!

યાંત્રિક છે આ જમાનો ફાવે છે વેગવાળા,
એ યુગ ગયા વિચારી પગલાં ભરી જવાના…

દુનિયા શું કામ ખાલી અમને મિટાવી રહી છે?
આ ખોળીયું અમે ખુદ ખાલી કરી જવાના.

– અમૃત ઘાયલ
(૧૭-૦૫-૧૯૪૪)

આજનો ગઝલકાર પાંચ શેર લખીને ગઝલ લખાઈ ગયાની હાશ અને શ્વાસ લેતો જોવા મળે છે, પણ આ એ સમયની ગઝલ છે, જ્યારે ગઝલકાર પોતાની જાત આખી નિચોવાઈ ન જાય ત્યાં સુધી ગઝલ પૂરી થવાનો શ્વાસ લેતો નહોતો. આજથી એંસી વર્ષ પૂર્વે ૧૯૪૪ની સાલમાં લખાયેલ આ ગઝલ આઠ-આઠ દાયકા પછી પણ એવીને એવી તરોતાજા અને કદાચ વધુ સમસામયિક અનુભવાય છે. મજા તો એ છે કે અગિયારમાંથી એકેય શેર નબળો કે ડાબા હાથે લખાયેલ હોવાનું મહેસૂસ નથી થતું. આ ગઝલના અગિયારે અગિયાર શેરમાં જે જુસ્સો છે એ સાચે જ પાળિયાને બેઠા કરી શકે એવો છે.

Comments (7)

પણ… – દાન વાઘેલા

રણ તો તરસ્યું લાગે છે, પણ-
લૂની સાથે કરારનામું કરી ઊભેલાં વાદળ સાથે
કેમ તોડવું સગપણ!                           ૦ રણ તો…

સમય ઉપરના સળને કોઈ ભરચક ઝામણ નખ્ખ ભરાવી
ઊતરડે છે પળમાં!
સાંઠગાંઠની સમજણ જેવા તપાસ પંચો પંપાળે છે
ખુદને પણ પોકળમાં!

મૃગજળ સંગે જંગે ચડ્યા પણ-
ભીતરમાંથી દોમદોમ પ્રહારો જેવા પરસેવાના
ટપટપ ફૂટે દર્પણ!                            0 રણ તો…

પાણીનું હોય પાઉચ એમ જ પવન પડીકાંમાં વેચાતો
હોય એમ શું નથી?
ભરબપ્પોરે સૂરજ ફરતું મેઘધનુ જોયું હોય એને
અચરજ જેવું નથી!

પ્રમાણનો પરપોટો છે, પણ-
શ્વાસ ઉલેચી રેતીનો વિશ્વાસ કર્યો એ ભીનપનું પણ
ક્યાંથી છૂટે વળગણ!                          0 રણ તો…

– દાન વાઘેલા

કેટલીક તરસ તરસાવનાર સાથે પણ નાતો તોડવા નથી દેતી… જે વાદળ લૂ સાથે કરારનામું કરી નહીં વરસવાનું પણ લઈ બેઠાં હોય એની સાથે પણ સગપણ તોડી ન શકે એવી પ્રીતનું સ-રસ ગીત કવિ લઈ આવ્યા છે.

Comments (8)

(બતાવ્યું) – અંજના ભાવસાર ‘અંજુ’

હતું કામ અઘરું, કરીને બતાવ્યું;
કરી યાદ તમને હસીને બતાવ્યું!

તમારી સ્મરણશક્તિને દાદ આપું,
વચન ભૂલવાનું ભૂલીને બતાવ્યું.

ફકત જોર ઇચ્છાનું કારણમાં એના;
વગર પાંખે મેં જે ઊડીને બતાવ્યું.

ભલે લોકો ગુણગાન ગાતાં હવાનાં,
તમારા વિચારે શ્વસીને બતાવ્યું!

સહજ સ્મિત ને સાથ આંખોમાં મસ્તી;
તમે સાદગીથી સજીને બતાવ્યું.

પ્રવાહી ગુણો અવગણીને સ્વયંના,
ગજબ! આંસુઓએ ઠરીને બતાવ્યું.

હવે મન મગન એની મસ્તીમાં રહેશે;
મેં સ્પર્ધાથી બસ, દૂર રહીને બતાવ્યું.

– અંજના ભાવસાર ‘અંજુ’

પ્રવર્તમાન ગઝલકાર સ્ત્રી સર્જકોમાં અંજના ભાવસાર વિચારશીલ શેર અને છંદની સફાઈના કારણે અલગ તરી આવે છે. એમની ગઝલના પ્રમાણમાં સરળ લાગતા શેર પણ બીજા-ત્રીજા વાંચને વધુ પ્રભાવિત કરી શકે છે એ મારી પ્રત્યક્ષાનુભૂતિ છે. પ્રસ્તુત ગઝલ એનું એક ઉદાહરણ છે… બધા જ શેર મનનીય થયા છે…

Comments (17)

(હું કદી ન જંગ લડત) – ડો. પ્રણય વાઘેલા

અવકાશ હોત સહેજ અગર ફેરફારનો,
તો હું કદી ન જંગ લડત આરપારનો.

લેવો પડયો છે ભાર ન કોઈ પ્રકારનો,
આભાર માનું એટલો પરવરદિગારનો.

સહકાર કે પ્રયત્ન ન હો કંઈ બિમારના,
ત્યાં આપ દોષ કાઢશો શું સારવારનો?

આપી ફકીરી એવી કે છોડી શકું બધું,
આપ્યો દમામ જેમણે જાગીરદારનો.

હું કેવી રીતે માંડુ કદમ એના આંગણે?
ના સ્મિત, ના ઉમળકો કોઈ આવકારનો,.

કર્યો સરળ-સહજ અને નિસ્વાર્થ મેં ‘પ્રણય’,
શીખ્યો ન છળકપટ કે નિયમ હું બજારનો.

– ડો. પ્રણય વાઘેલા

ગુજરાતના તબીબોને કવિતા સાથે ઊંડો રખરખાવ હોય એમ માલમ પડે છે. લયસ્તરો પર આજના ગઝલકાર પણ એમ.ડી. (મેડિસીન) કર્યા બાદ દવાના પ્રિસ્ક્રિપ્શન સાથે ગઝલ બાંધી આપે છે. સહજ ભાષામાં લખાયેલી આ ગઝલના લગભગ બધા જ શેર હૃદયંગમ થયા છે. મત્લાના શેરમાં કવિનો મિજાજ તો છતો થાય જ છે, મહાભારતના યુદ્ધની પાર્શ્વભૂ પણ તાદૃશ થાય છે. બીજો શેર પણ ખુમારીની બુલંદીઓને તાકે છે. જીવનમાં કોઈનાય ઉપકારનો ભાર લેવા મજબૂર થવું પડ્યું ન હોવાની બાબતે સર્જક ઈશ્વરનો આભાર માને છે.

Comments (19)

(બાજે ઝીણું જંતર) – જોરુભા ગીડા

કિયો પદારથ લાધ્યો સાંઈ! કિયો ફૂંકીયો મંતર?
આધી એક ઘડીમાં ભીતર બાજે ઝીણું જંતર…

પરથમ ફૂંક લગાવ્યા ભેળા ગોખ થયા ઝળહળતા,
બીજી ફૂંકે હરિવર મારા હૈયે આવી મળતા.

ફેર કશો ના રહે સમયનો, પળ હો કે મનવંતર…
આધી એક ઘડીમાં ભીતર બાજે ઝીણું જંતર…

નુરત સુરતમાં મટી મૂળથી યુગ યુગન કી ફેરી,
અનહત નાદ ભયો જોગંદર, પાવન જીવની દેરી.

સાત જનમના પડદા પડતાં ઓરું લાગે અંતર…
આધી એક ઘડીમાં ભીતર બાજે ઝીણું જંતર…

– જોરુભા ગીડા

કવિનું મૂળ નામ જોરુભા ગીડા. ગામ જસદણ. કવિએ નામ અને અટકના પહેલા અક્ષર અને ગામનું નામ સાંકળી લઈને જોગી જસદણવાળા તરીકે આગવી ઓળખ ઊભી કરી… પણ પછી અચાનક આધ્યાત્મના રસ્તે વળી ગયા અને હવે તેઓ પોતાને પૂજ્ય બાપુ તરીકે ઓળખાવે છે…

ગુરુ બિન જ્ઞાન નહીં, હે સાધો… સાચી વાત છે. સાચા ગુરુ અને સાચો ગુરુમંત્ર જેને સાંપડે એનું જીવતર તો અડધી ઘડીમાં આશિખાનખ બદલાઈ જાય. ભીતરના ગોખલા ઝળહળવા માંડે અને હૈયે હરિનો વાસ અનુભવાય એ ઘડીએ એક પળ અને એક મન્વંતર વચ્ચેનો ભેદ પણ ભૂંસાઈ જાય છે. નુરત-સુરત આધ્યાત્મની પરિભાષામાં સામાન્યરીતે એકસાથે પ્રયોજાતા જોવા મળે છે. બહુ ઊંડી વ્યાખ્યાઓમાં ન જઈએ તો કદાચ એમ કહી શકાય કે ખુલ્લી આંખે ધ્યાન ધરવું તે નૂરત અને બંધ આંખે દર્શન કરવા તે સુરત. પરમેશ્વર સાથે સુરતા લાગી જાય તો ચોર્યાસી લાખ ફેરાની આવનજાવન ટળી જાય… સાત જનમોના આવરણ હટી જાય ત્યારે જીવ અને શિવ વચ્ચેનું અંતર પણ નાબૂદ થઈ જાય… સરવાળે, આધ્યાત્મિક રચનાઓની પંગતમાં અલગ સ્થાન મેળવી શકે એવી રચના…

(મન્વંતર = એક મનુની કારકિર્દીનો સમય; 306,720,000 વર્ષ; સુરત = બ્રહ્મ સાથે એકતાર થવું તે; નૂરત=પ્રકાશ; અનહત નાદ= પ્રણવનાદ, યોગીઓને સંભળાતો અંતર્નાદ)

Comments (7)

રુદિયે – રમણીક અગ્રાવત

આખા દેશમાંથી
હૃદય સુધી કોઈ પહોંચ્યું હોય તો
ત્રણ ગોળીઓ જ.

– રમણીક અગ્રાવત

ગાંધીજીના હૃદયમાં ઉતરી ગયેલી ત્રણ ગોળીઓની જેમ વાંચતાવેંત આપણા હૃદયમાં ઉતરી જતી ત્રણ નાની-નાની પંક્તિઓ અને ચિરકાળ માટે અસર મૂકી જાય એવા કેવળ એક જ વાક્યની આ કવિતા માટે વધુ કશું જ કહેવાની જરૂર નથી… બે મિનિટનું મૌન રાખીએ અને સ્વયંને અવલોકીએ…

Comments (4)

મોભાનો રંગ – બાબુ નાયક

માંડ ચડી મોભારે મેં તો ગળે ગાળિયો નાખ્યો રે;
જીવતરના જંતરનો તંતુ, હાય! અસૂરો ભાખ્યો રે.

પડ્યા પટારે પાનેતરના
સળ હજુ ના ભાંગ્યા રે;
કેસરિયાળાં કાંડાં અમને
અડવાં અડવાં લાગ્યાં રે.

બોરડિયાં આંસુડાં કેવાં, દલડે દરિયો દાખ્યો રે;
માંડ ચડી મોભારે મેં તો ગળે ગાળિયો નાખ્યો રે.

મેંદલડીની ભાત્યુંમાં હું
અધરાઈ અટવાઈ રે;
મોડબંધણાં છૂટ્યાં આજે
વેલડ શું વીંટળાઈ રે?

હડફ કરીને ઊતરી હેઠી, મોભાનો રંગ રાખ્યો રે;
માંડ ચડી મોભારે મેં તો ગળે ગાળિયો નાખ્યો રે.

– બાબુ નાયક

લયસ્તરો પર કવિના સંગ્રહ ‘ઝાકળભીનો સૂરજ’નું હૃદયપૂર્વક સ્વાગત…

દકિયાનૂસી વિષયોમાં કેદ ગીતકવિતાને ક્યારેક આવા અલગ વિષયોનું આકાશ સાંપડતું જોવામાં આવે તો કેવી રાહત થાય! ઘર આખાની છત જેના આધારે ટકી હોય એ મોભારા પર જ દોરડું બાંધીને નવપરિણીતા આત્મહત્યા કરવા માટે તૈયાર થઈ છે એ વિરોધાભાસ ગીતના પ્રારંભને વધુ ધારદાર બનાવે છે. જીવનયંત્રનો તાર અસૂરો વાગી રહ્યો છે. કેમ એ તો નાયિકા કહેતી નથી. કવિતા આમેય જવાબ આપવા બંધાયેલી નથી હોતી. પણ કડવી વાસ્તવિક્તા એ છે કે પટારામાં જે પાનેતર મૂકાયું છે એના સળ હજી પૂરા ભંગાયા નથી, મતલબ દામ્પત્યજીવનનું આકાશ હજી મધ્યાહ્નનો પ્રકાશ જોવાથી વંચિત છે. કાંડેથી મહેંદીનો રંગ પણ હજી ઊડ્યો નથી, તોય એ અડવાં લાગવા માંડ્યાં છે. દરિયા જેવું દુઃખ બોર જેવાં આંસુઓમાં ટપકી રહ્યું છે.

આત્મહત્યાનું વિજ્ઞાન એમ કહે છે કે આવેશમાં આવીને જીવ લેવા તૈયાર થયેલ વ્યક્તિ આવેશની એક પળ કોઈક રીતે જીરવી જાય તો એ કદાચ આત્મહત્યા કરવાનું માંડી વાળે. અણી ચૂક્યો વરસો જીવે. અહીં પણ કંઈક એવી જ પરિસ્થિતિ છે. મેંદીની ભાત અને માથેથી તાજેતરમાં જ છોડેલ મોડ વેલની જેમ વીંટળાઈ વળતાં આપઘાતનો વિચાર ત્યાગીને નવોઢા મોભાનો રંગ રાખતી હડફ કરતીકને નીચે ઉતરી આવે છે.

કરુણતા અને લાચારીની આસપાસ ગૂંથાયેલ આ રચના એના હેપ્પી એન્ડિંગના કારણે કદાચ વધુ હૃદયંગમ થઈ છે.

Comments (8)

પીળું પાંદડું – નીતિન વડગામા

પાંદડાંએ ડાળખીને પૂછ્યું’તું કાનમાં:
બોલ, હવે કેટલુંક રહેવાનું જીવતરના જર્જર મકાનમાં?

એક દિ’ અમેય કૂણાં પગલાં પાડીને
તારી કૂખનેય કેવી ઉજાળી’તી?
કેટલીય આંખ્યુંમાં ટાઢક ઉગાડવાને
લીલપવરણી જાત બાળી’તી.

પાંદડાંએ કામણ કીધું’તું વેરાનમાં.
પાંદડાંએ ડાળખીને પૂછ્યું’તું કાનમાં.

નસમાં પીળાશ આજ વ્હેતી દેખીને અમે
ઉકેલ્યું આયખાનું પાનું,
પંખીની જેમ હાથ અમને પણ લાગ્યું છે
હળવેથી ઊડવાનું બ્હાનું.

પાંદડાંએ સમજાવી દીધું’તું સાનમાં.
પાંદડાંએ ડાળખીને પૂછ્યું’તું કાનમાં.

– નીતિન વડગામા

કહે છે કે કવિતા કહે ઓછું અને છૂપાવે વધુ. મુખરતાને કાવ્યાનુભૂતિમાં વ્યવધાન ગણવામાં આવી છે, પણ આ ગીત જુઓ… કવિએ કશું જ મોઘમ રાખ્યા વિના જે કહેવું છે એ પાંદડાને પ્રતીક બનાવી સીધેસીધું જ કહ્યું છે. પરંતુ પ્રવાહી લય અને સુસ્પષ્ટ બયાનીના કારણે કેવો અલગ જ ઊઠાવ આવ્યો છે! સીધી બાત, નો બકવાસનું પણ આગવું સૌંદર્ય છે, ખરું ને! ટૂંકમાં કહી શકાય કે તમામ સ્થાપિત નિયમોને ચાતરીને આગળ વધી જાય એ કવિતા…

Comments (7)

ક્ષિતિજ – રવીન્દ્ર પારેખ

વાત તો આટલી જ હતી
કે આપણે મળીએ
પણ ન મળ્યાં
વચ્ચે કેટલાં બધાં ફૂલો ખીલ્યાં
કેટલાં બધાંએ

એકબીજાને આપ્યાં
કેટલું બધું પાણી હેતની જેમ વહ્યું
ને
કેટલાં બધાંએ એકબીજાને પાયું
કેટલાં બધાંએ એકબીજાનાં સપનાં જોયાં
ને એકબીજાને બતાવ્યાં
કેટલાં બધાંએ આશ્લેષમાં લઈ એકબીજાનું આકાશ ભર્યું
સૂર્ય એક જ હતો
પણ દરેકના સૂર્યોએ એકબીજાને હૂંફ આપી
ચંદ્ર પણ એકબીજાને
ચાંદની આપતો રહ્યો
કેટલી બધી ઋતુઓ એકબીજા વચ્ચે બદલાઈ
આટલું બધું થયું
વચ્ચે
પણ આપણે ન મળ્યાં
એક પણ વાર…

– રવીન્દ્ર પારેખ

કવિતાના શીર્ષક ‘ક્ષિતિજ’ પરથી ખ્યાલ આવે કે આકાશ અને ધરતીની જેમ ક્ષિતિજે ભેગા થયેલ ભાસતા પણ સદાકાળ એકબીજાથી અળગા જ રહેવાનું જેમના ભાગ્યમાં નિર્માયું હશે એવા બે પ્રિયજનની આ વાત છે. રચના તો સાવ સરળ છે, પણ જે મજા છે એ વાતની પ્રસ્તુતિ અને માવજતમાં છે. પ્રકૃતિના અહર્નિશ ફર્યે રાખતા ઋતુચક્રમાંથી જ કવિએ કેટલાક ઘટકત્ત્વોની પસંદગી કરી છે પણ નદીનું પાણી હેતની જેમ વહી જાય કે એકમેકને આશ્લેષમાં લઈ એકબીજાનું આકાશ ભરવાની વાત જેવી ભાષાની અનૂઠી સારવારના કારણે રચનામાં કાવ્યત્વ ઘટ્ટ બન્યું છે. સરવાળે, વાંચવા બેસીએ તો અડધી મિનિટથીય ઓછા સમયમાં વંચાઈ જાય પણ વાંચી લીધા બાદ અડધો દિવસ ચિત્તતંત્રમાં રણઝણ થયે રાખે એવી છે આ કવિતા…

Comments (7)

અજાણ્યા ભાવ – પ્રીતિ સેનગુપ્તા

અજાણ્યા શહેરના સ્ટેશન પર
નિયત સ્થળે જતા જનપ્રવાહની વચ્ચે
એકલી અટવાતી હોઉં:
નવી જગ્યાના નકશાની ગલીઓ પર
અચોક્કસ આંગળી ફેરવી
રસ્તો શોધવા મથતી હોઉં;
ભાંગ્યાતૂટયા ફ્રેન્ચ કે સ્પેનિશમાં
સમજાવવા – સમજવાની
ચેષ્ટા કરતી હોઉં :
મિત્રોની વચમાં–
જાણીતી ગલીઓમાં–
રોજિંદી ભાષામાં–
મારી પોતાની સાથે પણ–
કોઈ વાર
આવા ભાવ થાય છે.

– પ્રીતિ સેનગુપ્તા

અજાણ્યા સ્થળે અજાણ્યા લોકો વચ્ચે અજાણી ભાષાના કારણે પ્રવાસી જે અસમંજસ અને લાચારીની અવસ્થા અનુભવે એ સમજી શકાય એમ છે. આસપાસનો સમસ્ત જનપ્રવાહ નિયત દિશામાં પાણીના રેલાની જેમ સડસડાટ વહેતો હોય પણ નક્શા પર ગોથાં ખાતી ‘અચોક્કસ’ આંગળીઓની જેમ આપણે અટવાતા હોઈએ અને કોઈ વાર્તાલાપ કામ ન આવે ત્યારે જે પારાવાર પરવશતા અનુભવાય એ આપણે સહુએ જીવનના કોઈને કોઈ તબક્કે અનુભવી જ છે. પણ કવયિત્રીનું નિશાન તો સાવ અલગ જ છે. જાણીતા લોકો, જાણીતા સ્થળો અને જાણીતી ભાષા હોવા છતાં ક્યારેક આપણને કશું જ જાણીતું ન હોવાનો ભાસ થઈ આવતો હોય છે. ઘણીવાર તો આપણે સ્વયંને પણ ઓળખી શકતાં નથી, સ્વયં સાથે સંવાદ પણ સાધી શકતા નથી… સર્વસામાન્ય પર્યટન અનુભૂતિના મિષે કવયિત્રીએ ‘આઇડેન્ટિટી ક્રાઇસિસ’ને કેવી અદભુત વાચા આપી છે!

(મોબાઇલ અને ગૂગલ મેપ હાથવગાં થયાં એ પહેલાંની, લગભગ ચાળીસેક વર્ષ પહેલાંની આ રચના છે, એટલે નક્શાનો સંદર્ભ એ રીતે સમજવો!)

Comments (4)

(અજવાળાં અમને પહેરાવો) – ગૌરાંગ ઠાકર

આપ અજવાળાં અમને પહેરાવો,
દૂર રહીને સૂરજ ન બતલાવો.

કોઈ બોલે નહીં તો બોલાવો,
એમને એમનામાં લઈ આવો.

કોઈ વેળા તો કોઈને એમ જ,
કોઈ કારણ વગર મળી આવો.

એકલા ટોચ પર શું કરશો, યાર?
એક બે જણને પણ ઉપર લાવો.

આપણા જેવું કોઈ છે જ નહીં,
એમ લાગે તો કૈંક બદલાવો.

એક કેવળ હૂંફાળું સ્મિત દઈ,
દુશ્મનાવટને થોડી શરમાવો.

આપ નિષ્પક્ષ છો તો એમ કરો,
કોઈ એકાદ યુદ્ધ અટકાવો.

– ગૌરાંગ ઠાકર

મેઘધનુષ જેવા સપ્તરંગી સાત શેર! દૂરનું ડહાપણ કવિને મંજૂર નથી. ડહાપણ આપવું જ છે? તો આવો, અને પ્રત્યક્ષજ્ઞાન કરાવો, અન્યથા દૂર રહીને સૂરજ બતાવી આંગળી ચીંધ્યાનું પુણ્ય કમાવાનું માંડી વાળો. પોતાના જીવનમાં કોઈ અર્થહીન ચંચુપાત ન કરે એ બાબતે તો કવિ સાબદા છે જ, પણ સાથોસાથ એ સામી વ્યક્તિ તરફ સમ-વેદના પણ એવી જ ધરાવે છે. કોઈ બોલતું ન હોય તો એમને સામે જઈને બોલાવવા કવિ આહ્વાન આપે છે. આખરે તો સમ-વાદ જ સ્વયંનો સાક્ષાત્કાર કરવાની ખરી કૂચી છે ને! ત્રીજો શેર વાંચતાવેંત નિરંજન ભગતનું ‘લાવો તમારો હાથ, મેળવીએ’ કાવ્ય યાદ આવ્યા વિના રહેતું નથી. એકલપંડે ઉન્નતિનું શિખર આંબવાના બદલે અન્યોને પણ પ્રગતિ સાધવામાં મદદ કરવાની અપીલ પણ સ્પર્શી જાય એવી છે. આપણે દુનિયામાં એકમાત્ર અને અનન્ય હોવાનો સુપિરિયારિટી કોમ્પ્લેક્ષ મનમાં ઘર કરી જાય ત્યારે કોઈ પણ ભોગે પગ ધરતી ઉપર જ રાખવાની શીખ તો સૌ કોઈએ ગાંઠે બાંધી રાખવા જેવી છે.

Comments (16)

(ઓછું પડ્યું) – જગદીપ નાણાવટી

આંસુમાં ખારાપણું ઓછું પડ્યું,
ખુદ મને મારાપણું ઓછું પડ્યું.

કંઈક તો ખૂટતું હતું તસ્વીરમાં,
શી ખબર તારાપણું ઓછું પડ્યું.

ઓટ શ્રધ્ધામાં હતી મારી જ, કે
તસ્બીનું પારાપણું ઓછું પડ્યું?

એમ ખંજર પીઠ પસવારે નહીં…
ક્યાંક તો સારાપણું ઓછું પડ્યું!

એક ચોથો જણ જનાજે ના જડ્યો,
આખરે યારાપણું ઓછું પડ્યું…

– જગદીપ નાણાવટી

ગુજરાતી કાવ્યાકાશમાં તબીબ કવિઓનો તોટો નથી. જેતપુરના ડૉ. જગદીપ નાણાવટી પણ એમ.ડી. મેડિસીનની પદવી ધરાવે છે અને મારા પ્રિય કવિઓમાંના એક છે. એ મને પ્રિય છે પણ એ કારણે નહીં કે અમે બંને સમાન તબીબી લાયકાત ધરાવીએ છીએ, એ કારણે કે એમની પાસે જે મૌલિકતાનો ચમકારો છે એ બહુ ઓછા કવિઓ પાસે જોવા મળે છે. કલ્પન-નાવીન્ય અને અરુઢ વાતોથી શેરની માંડણી કરવાની એમની પાસે કદાચ જન્મજાત આવડત છે. વર્ષોથી એ રોજ મને ગઝલો મોકલે છે અને હું દિલથી વાંચું છું. એમની મોટાભાગની ગઝલોના મોટાભાગના શેર પહેલ પાડ્યા વિનાના સાચા હીરા જેવા હોય છે. થોડું વિશેષ કવિકર્મ, થોડી કવાયત, થોડો વ્યાયામ અને થોડી ધીરજ ધરવામાં આવે તો કવિ અગ્રિમ હરોળમાં સ્થાન અંકે કરી શકે એમ મને કાયમ અનુભવાયું છે. પણ કવિએ કદાચ બાળાશંકરને વધુ પડતા ગંભીરતાથી લઈ લીધા છે- ‘નિજાનંદે રહેજે બાલ, મસ્તીમાં મજા લેજે!’

Comments (17)

(જીવ્યા) – દિનેશ કાનાણી

સાવ ટૂંકા પગારમાં જીવ્યા,
તોય કાયમ હકારમાં જીવ્યા.

ડગલે પગલે ઝૂકી ગયા જે લોક,
એ બધાયે ઉધારમાં જીવ્યા.

માત્ર પંખી ઊડે ગગનમાં બસ,
માણસો તો કતારમાં જીવ્યા.

રાત જેવી આ જિંદગી છે પણ,
ફૂલ જેવું સવારમાં જીવ્યા.

લીધું દીધું કરી કરી કાયમ,
મનની ઊંડી વખારમાં જીવ્યા.

– દિનેશ કાનાણી

લયસ્તરોના આંગણે કવિના નવા સંગ્રહ ‘ઋણાનુબંધ’ને હાર્દિક આવકાર…

અટપટી ભાષા અને અચંબિત કરનાર રૂપકોની ભરમાર વિના, સાવ સહજ-સાધ્ય ભાષામાં લખાતી સારી ગઝલોની યાદી કરવા બેસીએ તો આ ગઝ્લને અવશ્ય એમાં સ્થાન આપવું પડે. સરળ બાનીમાં આલેખાયેલ પાંચેય શેર ધ્યાનાર્હ થયા છે.

Comments (7)

નચાવશે જોજે! – સંજુ વાળા

પ્રવાહમય છે સમય, આવશે—જશે, જોજે!
પ્રતીતિરૂપે દીવાલોય ઝૂમશે, જોજે!

કળીની જેમ એ હસ્તી ઉઘાડશે, જોજે!
પછીથી એમાં તને તું જ ભાળશે, જોજે!

કદી એ સ્થિતિએ તું મીટ માંડશે, જોજે!
જ્યાં આપમેળે બધું ગાશે—વાગશે, જોજે!

સરળતાથી જ બધે એ હા—ના નથી કહેતાં
જવાબ દેશે તે પહેલાં થકાવશે, જોજે!

પિયાવો રામ-રસાયણનો માંડી બેઠા છે
તું ત્યાં જશે તો જરૂર પિવડાવશે, જોજે!

અસર ને આડઅસર જાણી પાડજે અક્ષર
નહીં તો એ જ તને બહુ ડરાવશે, જોજે!

પ્રતીકો—કલ્પનોનાં જાળાં ક્યાં જરૂરી છે?
ગઝલ તો ભાવ—ભૂખી છે, નચાવશે, જોજે!

– સંજુ વાળા

લયસ્તરો પર ‘કંઈક/કશુંક/અથવા તો…’ની સંવર્ધિત આવૃત્તિને સહૃદય આવકાર…

ગઝલની રદીફ આમ તો સાવ ટૂંકી ને ટચરક છે, પણ દરેક શેરના ભાવવિશ્વ માટે એ પોષક સિદ્ધ થાય છે. આમ તો આખી ગઝલ સ્વયંસિદ્ધ છે, પણ બીજા શેરમાં અહમ્ બ્રહ્માસ્મિની આહલેક સાંભળવાનુંચૂકાય નહીં એ જોજો… (જોજે!)

Comments (5)

ક્યાંનો ક્યાં હું જઈ બેઠો છું! – નીતિન વડગામા

અગમ-નિગમના એ અણસારે ક્યાંનો ક્યાં હું જઈ બેઠો છું!
અલખધણીના એક વિચારે ક્યાંનો ક્યાં હું જઈ બેઠો છું!

હોય ભલે ના સન્મુખ તોયે ડગલુંયે ક્યાં દૂર થયા છે?
ભીનાભીના કૈં ભણકારે ક્યાંનો ક્યાં હું જઈ બેઠો છું!

એક શબદ ઉચ્ચારે નહીં ને મૌન રહી સઘળું કહી દેતા,
આંખોના એકાદ ઈશારે ક્યાંનો ક્યાં હું જઈ બેઠો છું!

આગ બધી અંદરની આપોઆપ જ અહીં ઓગળવા લાગી,
વરસાદી હૈયાની ધારે ક્યાંનો ક્યાં હું જઈ બેઠો છું!

આમ જુઓ તો સાવ અકિંચન, સ્થાવર-જંગમ કાંઈ નથી પણ,
શબ્દોના વામન અવતારે, ક્યાંનો ક્યાં હું જઈ બેઠો છું!

– નીતિન વડગામા

લયસ્તરો પર કવિના તરોતાજા ગઝલસંગ્રહ ‘એકાકાર’નું સહૃદય સ્વાગત છે…

આમ તો આખી ગઝલ જ સંઘેડાઉતાર થઈ છે પણ છેલ્લો શેર મને ગઝલ વાંચી લીધા પછી પણ પકડી જ રાખે છે. સરસ્વતીના અકિંચન સાધક પાસે નથી કોઈ સ્થાવર મિલકત કે નથી કોઈ જંગમ ખજાનો. પણ દારિદ્રયના આ સહજ સ્વીકાર પછી કવિ જે વાત કરે છે એ શેરને નવી જ ઊંચાઈએ લઈ જાય છે. નિજના ગુંજામાં વામન ભાસતા શબ્દો સિવાય કશું જ ન હોવાની કેફિયત અવતાર શબ્દ સાથે જ ત્રણેય લોકને આંબી લે એવું વિરાટકાય સ્વરૂપ ધારે છે. વિષ્ણુના વામન અવતારનો કેવો અસરદાર વિનિયોગ કવિએ કરી બતાવ્યો! શબ્દબ્રહ્મમાં અપાર આસ્થા હોય એ જ કહી શકે કે શબ્દોના સથવારે પોતે ક્યાંના ક્યાં જઈ બેઠા છે, ખરું ને!

Comments (4)

દેખાતા નથી – ભરત વિંઝુડા

આપણે પાસે અને અળગાય દેખાતા નથી,
જે જુએ છે એમને સંબંધ સમજાતા નથી.

લાગણીઓ, ભાવ, ઉષ્મા, પ્રેમ ને સંવેદનો,
ક્યાંય વેચાતાં નથી, એથી ખરીદાતાં નથી.

એમણે આંખોમાં આંસુ આવવા દીધાં નહીં,
એમ કહીને કે કદી દરિયાઓ છલકાતા નથી.

શબ્દના કંઈ અર્થ, એમ જ અર્થ વર્તનનાય છે,
હોય છે સામે અને બે હાથ જોડાતા નથી..

ભીતરે પહાડો ને ખીણો છે ને ત્યાં પડઘાય છે,
હોઠ પર આવી અને કંઈ શબ્દ પડઘાતા નથી.

– ભરત વિંઝુડા

લયસ્તરો પર આજે ફરી એકવાર જાણીતા ગઝલકારના નૂતન ગઝલસંગ્રહને હૃદયપૂર્વક આવકારીએ… સંગ્રહમાંથી એક ગઝલ આપ સહુ માટે રજૂ કરીએ છીએ… ઘણાખરા લગ્નજીવનમાં અને એ સિવાયના સંબંધોમાંય બે જણ એકબીજાની સાથે રહેવા છતાં નદીના બે કિનારાની જેમ આજીવન અલગ રહી જીવન વિતાવી લેતાં હોય છે. જોનારને આવા સંબંધ સમજાય એ જરૂરી નથી, પણ હકીકત તો આ જ હોવાની કે –

છે હાથ હાથમાં છતાં કોસોની દૂરી છે,
મજબૂરી સાથે રહેવાની વચ્ચે ઢબૂરી છે.

Comments (6)

બહુત ગઈ ને થોડી રઈ – લલિત ત્રિવેદી

ચલ ઓઘડિયા અપને ગાંવ, બહુત ગઈ ને થોડી રઈ
મેલી દે ચમડી કી છાંવ, બહુત ગઈ ને થોડી રઈ!

ગોત વિનાની બહોત ગઈ… રૂઈ કબી ના જ્યોત ભઈ
તરસ્વતીમાં ડૂબી નાવ, બહુત ગઈ ને થોડી રઈ!

ભસમીગર! તારા સથવારા…… શણગારા સંગે અંગારા
પર અપને ધાગોં કે પાંવ, બહુત ગઈ ને થોડી રઈ!

વોહી રાઈ વોહી તનજાઈ… એમાં ઝાંખો પાંખો સાંઈ
ઈ જ સબર ને ઈ જ પડાવ, બહુત ગઈ ને થોડી રઈ!

અનાજ બા’રા હાલ્યા સગડગ, ભાયગથી થાવાને ફારગ
વચમાં રઢિયાળા દેખાવ, બહુત ગઈ ને થોડી રઈ!

એ કેસરિયા રાણીવાસા, ને આ ભસ્મીલ લલિતદાસા
હાંવ રે લલિત હાંવ રે હાંવ, બહુત ગઈ ને થોડી રઈ!

– લલિત ત્રિવેદી

લયસ્તરો પર કવિના નવ્ય ગઝલસંગ્રહનું સહૃદય સ્વાગત… કવિની ભાષા પ્રવર્તમાન ગઝલપ્રવાહથી સાવ નોખી છે. રાજેન્દ્ર શુક્લ, હરીશ મીનાશ્રુ જેવા જૂજ કવિઓ જ ગઝલમાં આ પ્રકારની નોખી બાનીનું સંવર્ધન કરીને મનનીય ગઝલો આપી શક્યા છે.

વયના એક મુકામ ઉપર આવીને માણસને સમજાય છે કે જેટલાં ગયાં, એટલાં હવે બાકી રહ્યાં નથી… આવી કોઈક પળે થતી સ્વાનુભૂતિની આ રચના છે. ઓઘડ એટલે અણઘડ, ભોટ, બોથડ. કવિ સ્વયંને અણઘડ કહીને પોતાને ગામ પરત જવાનું કહે છે. જેટલી ગઈ એટલી જિંદગી હવે બચી ન હોવાથી આટલા વરસ જેમાં રહ્યા, એ ચામડીની છાંવ છોડીને ઈશ્વરના ધામમાં પાછા ફરવાની તૈયારી કરવાનો સમય હવે ઢૂંકડો આવી ઊભો છે. બીજો શેર તો હાંસિલે-ગઝલ થયો છે. આજે આવા દમદાર શેર કેટલાકવિ લખી શકે છે, કહો તો! જીવનભર સરસ્વતીના બદલે જીવન તરસ્વતીમાં, તરસમાં જ ડૂબેલું રહ્યું હોવાથી જે પરમતત્ત્વની ગોત કરવાની હતી એ ન કરી, ને રૂ જેવું જીવતર કદી જ્યોત થઈ ઝળહળી ન શક્યું… સરસ્વતી પરથી તરસ્વતી જેવો શબ્દ કોઈન કરીને કવિએ ઉમદા કવિકર્મસામર્થ્યની સાહેદી પૂરી બતાવી છે.

Comments (3)

ઉનાળો ઊજવીએ – રક્ષા શુક્લ

આવ, ઉનાળો રોજ ઊજવીએ.
તને જોઈ ઊછરેલા એ ગુલમ્હોરી ઘેલાં વંન ગજવીએ,
આવ, ઉનાળો રોજ ઊજવીએ.

પણે ઝૂલતા ગરમાળેથી ચપટી અમથું કેસર લઈ મુઠ્ઠીમાં ભરીએ,
પંચાગે સૂતેલા ફાગણ સાથે ફોરમ-ફોરમ રમતાં કરાર કરીએ.
સૂરજનાં કિરણો પર તારી આંગળિયેથી સરતી શીતળ રાત ચીતરીએ,
ખટ્ટમીઠ્ઠી કેરીના સ્વાદે આવ, સરીને સાકર લઈને પાછા ફરીએ.

માટીમાંથી ઠીબ બની પથરાળા જળને ચાલ, રિઝવીએ,
આવ, ઉનાળો રોજ ઊજવીએ.

ભરબપ્પોરે છાના પગલે લૂ આવી ઘૂમરાતી ઘરની વચ્ચે ગાજે,
ત્યારે તું આવી આંખોથી અમી ભરેલી ઝીણીઝીણી ઝરમર પાજે.
લીલા વનના અડવાણા એ પડછાયાનાં પગલાં જો હાંફીને દાજે,
લંબાવી ત્યાં હાથ બાથમાં બળબળતા પડછાયા તેડી લઈશું આજે.

પાણીપોચાં વાદળ ઓઢી તડકે આપ્યા ઘાવ રુઝવીએ,
આવ, ઉનાળો રોજ ઊજવીએ.

– રક્ષા શુક્લ

લયસ્તરો પર કવયિત્રીના ગીતસંગ્રહ ‘વાલામુઈ વેળા’નું સહૃદય સ્વાગત… કેટલાંક ગીતો અગાઉના સંગ્રહમાંથી અહીં પુનર્મુદ્રિત કરાયાં છે, પણ આપણને તો કવિતાના આનંદ સાથે મતલબ છે… સંગ્રહમાંથી એક ગીત માણીએ… ઉનાળો તો વર્ષમાં એકવાર આવે, પણ પ્રિયજનનો તાપ એટલે તો જાણે ગરમાળામાંથી જડતું કેસર અને ગુલમહોરની જેમ રંગે-કદે ફૂલેલાં-ફાલેલાં ઘેલાં વન… એટલે ઉનાળો રોજેરોજનો હોય એવી ઝંખના ન થાય તો જ નવાઈ… ઉનાળાની ઋતુના નાનાવિધ કલ્પનોને બારમાસી પોત આપીને માણવાનાં છે એ યાદ રહે…

Comments (8)

(તારા અભાવમાં) – સંદીપ પૂજારા

કેવો મજાથી જીવું છું, તારા અભાવમાં!
તારું સ્મરણ છે શ્વાસની હર આવજાવમાં!

તારા ગયા પછી આ સફર એવી ચાલે છે,
જાણે કે એક છિદ્ર પડ્યું ના હો નાવમાં!

દિલ શું ગઝલમાં પણ હવે તો માત્ર તું હશે,
એવું લખી દીધું છે જીવનનાં ઠરાવમાં!

તું સામે હોય એનું તો દુઃખ બમણું થાય છે,
જીવે તરસ, ને એય છલોછલ તળાવમાં!

હું તારું સ્મિત જોઈને ખોવાયો એવો કે
આવી શક્યો નહીં પછી ખુદનાં બચાવમાં.

શીખી રહ્યાં છે લોકો બધા, જોઈને મને,
કેવી રીતે જીવાય પળેપળ તણાવમાં!

– સંદીપ પૂજારા

છ શેર… બધા જ મનનીય… પ્રવાહી છંદમાં કાફિયાનો નિર્વાહ યથોચિત કરાયો હોવાથી ગઝલ વારંવાર વાંચવી ગમે…

Comments (39)

(કદાચ) – જિગર જોષી

જિંદગી! તારા બધા રંગ ઊડી જાય કદાચ,
આ પવનમાં તો હવે દીવો ઠરી જાય કદાચ.

ખેલ તારો ફરીથી હાર સુધી જાય કદાચ,
આ હૃદય પાછું નવો ઘાવ ખમી જાય કદાચ.

વાતો વાતોમાં વળી વાત ઊડી જાય કદાચ,
એક વંટોળ ઊઠ્યો છે એ વધી જાય કદાચ.

સુખ ભુલકણું છે ઘણું, એનો ભરોસો ન કરાય,
આંગણે આવે અને નામ ભૂલી જાય કદાચ.

એનો પાલવ જો લહેરાય તો એવું પણ થાય,
સૂર્ય હો માથે અને સાંજ ઢળી જાય કદાચ.

– જિગર જોષી

સરળ બાનીમાં ધ્યાનાર્હ ગઝલ… બધા જ શેર કસદાર થયા છે…

Comments (5)

અને નદી વહેતી રહી – રાજેશ્વર વશિષ્ઠ (હિન્દી) (અનુ.: ભગવાન થાવરાણી)

નદીમાં નાવ હાંકતા ખારવાને ઘણીવાર લાગતું
કે એ હલેસાંથી નાવ નહીં
નદી હંકારી રહ્યો છે.
નદી ચૂપ રહેતી
ક્યારેય કશું બોલતી નહિ
વર્ષાઋતુમાં નદી છલકાતી
તો એ એને ચિડાઈને સમજાવતો
આ બરાબર નથી
નદીની એક ગરિમા હોય
આ શું ?
કિનારે ઊભેલાં વૃક્ષ પણ તને
ઝૂકીને સ્પર્શી રહ્યાં છે.
નદી સંભાળપૂર્વક વહેવા લાગતી
ઉનાળામાં નદી સંકોચાઈ જતી
તો એ બૂમ પાડતો – ક્યારેક મારા વિષે પણ વિચાર કરજે
સૂર્યની દૃષ્ટિથી બાષ્પિત ન થા
એ જળ છે જે નદીને નદી બનાવે છે
નદી કશું ન કહેતી
બસ ધસતી જાતી સમુદ્ર તરફ
દરેક મોસમમાં ખારવાની ચિત્ર – વિચિત્ર સૂચનાઓ હોય
એને ક્યારેક આ ન ગમતું
તો ક્યારેક તે
નદી અવનવાં ગીત ગણગણતાં વહેતી જ જાતી
સુનેત્રા,
નદી સ્ત્રી હતી કે નહીં એ તને વધારે ખબર
પરંતુ હું આશ્વસ્ત છું
કે ખારવો તો પુરુષ જ..

– રાજેશ્વર વશિષ્ઠ
(હિન્દી પરથી અનુવાદ: ભગવાન થાવરાણી)

એ સાચું કે હિન્દી કવિતા ગુજરાતી અનુવાદની મહોતાજ નથી, ને એય ખરું કે અનુવાદ ન કરાયો હોત તો આ રચના લયસ્તરો સુધી પહોંચી જ ન હોત. ગુજરાતી કવિતામાં અછાંદસ એટલે સીધીસાદી પૂર્વભૂમિકા અને કાવ્યાંતે એક ચોટ, બસ! પણ અહીં જુઓ… સારી અછાંદસ કવિતા કોને કહેવાય એની વિભાવના આ રચના સુપેરે સમજાવી શકે એમ છે. આખી રચના કાવ્યાત્મક વાક્ય અને નાની-નાની કવિતાઓથી ભરી પડી છે- ‘ખારવાને લાગતું કે એ નાવ નહીં, નદી હંકારી રહ્યો છે…’ ‘આ શું કે કિનારે ઊભેલાં વૃક્ષો પણ નદીને સ્પર્શી રહ્યાં છે!…’ ‘એ જળ છે જે નદીને નદી બનાવે છે…’ કાવ્યાંતે સ્ત્રી-પુરુષના સ્વભાવનો તફાવત ઉપસાવીને કવિએ કાવ્યને વધારાની ધાર કાઢી છે, એ કદાચ ન કાઢી હોત તોય કવિતા સંપૂર્ણ જ ગણાત…

કવિની અન્ય રચનાઓમાંથી પસાર થતાં ખ્યાલ આવ્યો કે એ પોતાની દરેક અછાંદસ રચનાઓમાં અંતે સુનેત્રાને સંબોધીને વાત પૂરી કરે છે. રમેશ પારેખની સોનલ ને અસીમની લીલા તરત યાદ આવી જાય.

*

।। और नदी बहती रही ।।

नदी में नाव खेते हुए मल्लाह को अक्सर लगता था कि वह अपने चप्पू से नाव को नहीं नदी को चला रहा है।
नदी शांत ही रहती, कभी कुछ नहीं कहती।
बरसात के दिनों में नदी उफनती तो वह उसे चिढ़ कर समझाता – यह ठीक नहीं है। नदी की एक गरिमा होती है। यह क्या है, किनारे के पेड़ तक तुम्हें झुक कर छू रहे हैं।
नदी संभल कर बहने लगती।
गर्मी में नदी सिकुड़ जाती तो वह चिल्लाता – कभी मेरे बारे में भी सोच लिया करो। मत वाष्पित हुआ करो सूर्य की दृष्टि से। जल ही नदी को नदी बनाता है।
नदी कुछ नहीं कहती, चलती जाती समुद्र की ओर।
हर मौसम में मल्लाह की अजीब-अजीब हिदायतें होतीं, उसे कभी कुछ पसंद नहीं आता तो कभी कुछ और।
नदी नए नए गीत गुनगुनाते हुए बहती ही चली जाती।
सुनेत्रा,
नदी स्त्री थी या नहीं तुम बेहतर जानती होगी।
पर मैं आश्वस्त हूँ, मल्लाह पुरुष ही था।

– राजेश्वर वशिष्ठ

Comments (10)

(પ્રિય પપ્પા! હવે તો) – મુકુલ ચોક્સી

પ્રિય પપ્પા! હવે તો તમારા વગર,
મનને ગમતું નથી, ગામ ફળિયું કે ઘર.

આ નદી જેમ હું પણ બહુ એકલી,
શી ખબર કે હું તમને ગમું કેટલી.

આપ આવો તો પળ બે રહે છે અસર,
જાઓ તો લાગે છો કે ગયા ઉમ્રભર.

યાદ તમને હું કરતી રહું જેટલી,
સાંજ લંબાતી રહે છે અહીં એટલી.

વ્હાલ તમનેય જો હો અમારા ઉપર,
અમને પણ લઈને ચાલો તમારે નગર.

– મુકુલ ચોક્સી

કોઈપણ કવિના જન્મદિવસને વધાવવા માટે એમની કવિતા વાંચવા-સહિયારવાથી વિશેષ ઉત્તમ ઉપક્રમ બીજો કોઈ હોઈ શકે ખરો? આજે કવિશ્રી મુકુલ ચોક્સીને એમના પ્રાકટ્યપર્વ ઉપર અઢળક મબલખ વધાઈ આપવા સાથે એમની એક મજાની ગીતરચના માણીએ…

લયસ્તરો પર થોડા દિવસો પહેલાં જ આપણે ‘પિતૃવિશેષ’ શ્રેણી માણી… આજે એક હળવુંફૂલ ગીત માણીએ. મને ખ્યાલ છે ત્યાં સુધી ‘પ્રિય પપ્પા’ નાટક માટે મુકુલભાઈએ આ ગીત લખ્યું હતું. કોઈપણ ભારઝલ્લી વાત, અઘરા રૂપકો, ઝળાંહળાં કરી દે એવાં વિશેષણો કે પિતાનું સૌને કોઠે પડી ગયેલ માહાત્મ્ય વિના દીકરી ફક્ત પોતાના હૈયાની વાત જ ગીતસ્વરૂપે આપણી સાથે સહિયારે છે… અને એટલે જ ગીત વાંચતાવેંત આંખોના ખૂણે ભેજ તરવરી ઊઠે છે…

Comments (10)

વચન વિવેક – નીતિન વડગામા

સાચો વચનવિવેક.
આડેધડ ઊગતી પીડાનું અકસીર ઓસડ એક.

આઠે પ્હોર વગાડો મધમીઠી વાણીની વીણા.
વ્હેંચો સૌને સૂર સદાયે ઝાકળભીના ઝીણા.

શબ્દોનું પગલું પહોંચે હૈયાંને તળિયે છેક.
સાચો વચનવિવેક.

વેણ ભલેને રોજ ઉચારો હસતાં ને હરિયાળાં.
વખત આવતાં ખોલી નાખો બધાં મૌનનાં તાળાં.

કૂદી કાળના હાડ બધે મઘમઘતી રહેશે મ્હેક.
સાચો વચનવિવેક.

– નીતિન વડગામા

ગામના મોઢે ગળણું ન બંધાય એ કહેવત પહેલાં જેટલી સાચી હતી એથી અનેકગણી વધારે પ્રસ્તુત આજે સૉશ્યલ મિડિયાના જમાનામાં લાગે છે. કોણે, ક્યારે અને શું બોલવું એ વિવેક સાવ જ વિસારે પાડી દેવાયો છે. વચનવિવેક જ સાચો એવી કવિની ટકોર આજે જેટલી સાચી અને માર્મિક જણાય છે, એટલી કદાચિત ક્યારેય નહોતી. બોલવામાં વિવેક ન જળવાવાથી જ પીડા આડેધડ ઊગી નીકળે છે. વીણાજેવા મધુર અને ઝાકળ જેવા ભીનપવાળા શબ્દો માનવહૈયાને છેક તળિયે જઈને સ્પર્શે છે. સાથે જ કવિ નાનકડી પણ આવશ્યક ચીમકી પણ આપે છે. કવિ કહે છે કે ભલે ને રોજેરોજ મીઠા ને તાજા વેણ જ કહો, પણ જરૂર પડ્યે મૌનનાં બધાં જ તાળાં ખોલી નાંખીને જે વાત હાસ્યની તાજગી પાછળ સંતાડી રાખી છે, એ કહી દેવાની તૈયારી પણ રાખજો જ. ક્યારેક વચનવિવેક વળોટવો પણ રહ્યો. કેમ કે આખરે તો સત્યની મહેક જ કાળાતીત છે…

Comments (4)

એવું મળ્યાં – ચંદ્રકાન્ત શેઠ

આંખને દીવો મળે એવું મળ્યાં!
રાતને ચાંદો મળે એવું મળ્યાં!

રમ્ય તારા દેશમાં દાખલ થતા
પંથને પગલી મળે એવું મળ્યાં!

તેજના રોમાંચમાં કો લ્હેરતા
વૃક્ષને પંખી મળે એવું મળ્યાં!

નયનના નક્ષત્રમાં નમણી કથા!
છીપને મોતી મળે એવું મળ્યાં!

આડ અથવા વાડ ના મૂંઝવે કશું,
ઝાંઝરી જલને મળે એવું મળ્યાં!

જિંદગી તો ગીત ગાયું સાથમાં!
કંઠને કોયલ મળે એવું મળ્યાં!

હાથની સાથે જ હૈયું મોકળું!
ભાવને ભાષા મળે એવું મળ્યાં!

– ચંદ્રકાન્ત શેઠ

બાલાશંકર અને કલાપીના સમયની વાત અલગ હતી. એ સમયે ગઝલ ગુજરાતી કવિતા માટે નવ્ય કાવ્યપ્રકાર હતી અને સ્વરૂપ બાબતે પૂરતા સજાગ કે સજ્જ ન હોય એવા કવિઓએ પોતાની અધકચરી સમજના આધારે બાહ્યસ્વરૂપથી લઈને શેરિયત સુધીની સમસ્યાઓવાળી ગઝલો લખી હતી. એ સમય ગુજરાતી ગઝલના વિકાસના તબક્કાનો સમય હતો એટલે એ રચનાઓનું ઐતિહાસિક મૂલ્ય ગણાય, પણ જે સમયે ગઝલનો સૂર્ય સોળે કળાએ પ્રકાશી રહ્યો હોય એવા સમયે કોઈ સમર્થ સર્જક અપૂરતી સજાગતા કે સજ્જતાના કારણે ગઝલ નામના કાવ્યપ્રકારને યથોચિત ન્યાય ન આપી શકે એના વિશે શું કહી શકાય? ગઝલની ગળચટ્ટી જમીન પર ન ચાલવાનો નિર્ણય બહુ ઓછા સાહિત્યકારો લઈ શક્યા છે. ઉશનસ અને જયન્ત પાઠક જેવા દિગ્ગજ કવિઓ પણ ગઝલની લોકપ્રિયતાથી આકર્ષાઈ ગઝલ લખવા પ્રેરાયા હતા. એમની પાસેથી ઉત્તમ ગઝલો મળી છે એ વાતના સ્વીકાર સાથે એ પણ સ્વીકારવું પડે કે ગઝલના બાહ્યસ્વરૂપ બાબતની શિથિલતા એમના સર્જનમાં અછતી રહી શકી નથી. ઉત્તમ કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠ પાસેથી પણ આપણને ઉત્તમ કહી શકાય એવી ગઝલોની સાથોસાથ ગઝલ સ્વરૂપને અન્યાય કરતી રચનાઓ સાંપડી છે. પ્રસ્તુત ગઝલના સાતેસાત શેર શેરિયતની બાબતમાં તો ઉમદા છે, પણ ગઝલ સાથે અવિનાભાવી સંબંધ ધરાવતા કાફિયા જ અહીં જોવા મળતા નથી. તેર કે પંદર પંક્તિના સૉનેટને સૉનેટ ન કહી શકાય, એ રીતે કાફિયા કે રદીફ વિનાની ગઝલને ગઝલ કહી શકાય ખરું?

Comments (3)

શું થવાનું છે? – શૈલેશ ગઢવી

કહે છે, બોલવાથી શું થવાનું છે?
બહાનું ચૂપ રહેવાનું મજાનું છે!

ભર્યું છે ઘેન એવું સૌની આંખોમાં,
ખબર નહિ કોણ ક્યારે સૂઈ જવાનું છે!

દિલાસો આપના શબ્દોનો મારે મન,
તરુને આભ આખું ઓઢવાનું છે!

અરીસો પ્રશ્ન જાણે પૂછતો કાયમઃ
મજાનું પાત્ર છે, કોની કથાનું છે?

લખું છું એ રીતે મારી કવિતાને,
કે લખવા માટે બસ છેલ્લું જ પાનું છે!

– શૈલેશ ગઢવી

આસ્વાદ કરાવવા બેસીએ તો અડચણ ઊભી કર્યા જેવું લાગે એવી મજાની સહજસાધ્ય ગઝલ…

Comments (6)

પિતૃવિશેષ: ૦૯ : સૉનેટ દ્વય-૦૨: ફરીથી – ભગવતીકુમાર શર્મા

વર્ષો પૂર્વે રણકી ઊઠતી જે હતી પિતૃકંઠે
એ સૂર્યો શી ઝળહળ ઋચા નાદબ્રહ્મે ઘડેલી
ગાળે આયુ વ્યરથ જકડાઈ પીળી પોથીઓમાં.
દીપાવ્યો ના વહન કરીને વારસો જ્ઞાન કેરો
પુત્રે, શીળા જનક તણી આ કિન્તુ વિદ્યા અપુત્રા
શોષાઈ રે, રણ મહીં ગઈ શારદા મંત્રભીની,
લોપાયું સૌ શ્વસન તૂટતાં વૃદ્ધ જ્ઞાને પિતાનાં,
ફંફોસું છું અઢળક નિયૉની ઝગારા છતાંયે.

આપી દીધી કઠણ હૃદયે કોઈને કાષ્ઠપેટી,
સીંચ્યો જેમાં મબલખ હતો વારસો વૈભવી શો!
દીવાલો જે સમૂહ સ્વરમાં ઝીલતી’તી ઋચાઓ,
આજે ઊભી અરવ પળતાં ગ્રંથ જ્ઞાને મઢેલા.
જાણે દીધા વળાવી જનક જ ફરીથી સ્કંધ પે ઊંચકીને,
ભીની આંખે ભળાવ્યા ભડભડ બળતા અગ્નિઅંકે ફરીથી.

– ભગવતીકુમાર શર્મા

સૉનેટદ્વયમાંનું પ્રથમ સૉનેટ જ્યાં પૂરું થાય છે ત્યાંથી બીજું સૉનેટ પ્રારંભાય છે. પિતાને એક વ્યક્તિ તરીકે ખૂબ પ્રેમ કરતો પુત્ર પિતાના જ્ઞાનવારસાને જાળવવાની બાબતમાં ઊણો ઉતર્યો છે. પિતાના ક6ઠે જે ઋચાઓ સૂર્યો શી ઝળહળ અને નાદબ્રહ્મે ઘડેલી હોવાનું પ્રતીત થતી હતી, એ બંધ પેટીમાં પીળી પડી ગયેલ પોથીઓમાં એમનું આયુષ્ય વ્યર્થ જ ગાળી રહી છે. પિતાને વારસ મળ્યો, પણ પિતાની વિદ્યા નિઃસંતાન જ રહી. નિયોન લાઇટના પ્રકાશમાં પણ પુત્રને પિતાના જ્ઞાનનું અજવાળું લાધી શકે એમ નથી. પુત્ર તોય નીંદનીય તો નથી જ. કમસેકમ એને આ વિદ્યાના વારસદાર હોવા બાબતે પોતાની અસમર્થતાની જાણકારી છે એય ઓછું નથી.એતલે જ પિતાની લાકડાની એ પેટીએ અન્ય કોઈકને આપે છે ત્યારે કઠણ કાળજું કરીને આપે છે. અને એ પેટી અન્યના હાથમાં જતાં પોતે પિતાને ફરી એકવાર અગ્નિદાહ આપતો હોવાની લાગણી થતાં એની આંખો ભીની થઈ જાય છે. પિતાનો જ્ઞાનવારસો સંતાન સચવી જ શકે એ જરૂરી નથી, પણ પોતાની ગેરલાયકાત અંગે જાણકારી હોવી અને એ વારસાની કિંમત સમજી શકવી એય સાચું પિતૃતર્પણ ગણાય!

લયસ્તરોની બે દાયકાની અણનમ કાવ્યયાત્રાની ઉજવણી નિમિત્તે આદરેલ પિતૃવિશેષ શૃંખલા આ સાથે અહીં સમાપ્ત કરીએ છીએ. પિતા વિશેની આ સિવાય પણ અનેક કવિતાઓ આપણી પાસે છે જ. સમયાંતરે એ પણ પ્રગટ કરતા રહીશું. અસ્તુ!

Comments (5)

પિતૃવિશેષ: ૦૮ : સૉનેટ દ્વય-૦૧: પિતૃકંઠે – ભગવતીકુમાર શર્મા

જૂની સૂકી હવડ કશી આ ગંધ ફેલાઈ ઊઠી
જ્યાં ચર્રાઈ કડડ ઊઘડી ભૂખરી કાષ્ઠપેટી!
પીળાં આડાં બરડ સઘળાં પૃષ્ઠ તૂટ્યાં ખૂણેથી
પોથીઓમાં હજી શ્વસી રહ્યાં કાળની કંડિકા શાં.

પીંછું કોઈ મયૂરનું નર્યું રંગઝાંયેથી રિક્ત,
પોથીમાંથી સરસરી રહે પાંદડું પીપળાનું
જાળીવાળું, કુસુમ-કણિકા, છાંટણાં કંકુકેરાં,
પૃષ્ઠે પૃષ્ઠે કર-સ્પરશથી ડાઘ આછા પડેલા
ભેદી લાંબો પટ સમયનો વર્તમાને પ્રવેશી
સર્જી લેતાં પળ-વિપળમાં સૃષ્ટિ લીલી સ્મૃતિની.

થંભી’તી જે જરઠ પશુ શા મૃત્યુના થૉર-સ્પર્શે
સંકોરાઈ કણસતી નિરાલમ્બ ને ઓશિયાળી
ગુંજી ઊઠી અમુખર ઋચા સામવેદી સ્વરોની
વર્ષો પૂર્વે રણકી ઊઠતી જે હતી પિતૃકંઠે.

– ભગવતીકુમાર શર્મા

પિતાજીના અવસાન બાદ વરસો પછી પુત્ર પિતાજીની લાકડાની ભૂખરી પડી ગયેલ જૂની પેટી ઊઘાડે છે. થોડા ચર-ચર અવાજ સાથે પેટી ખૂલતાવેંત જ સૂકી હવડ ગંધ વાતાવરણમાં પ્રસરી ઊઠે છે. પિતાજીએ સાચવીને મૂકેલ પોથીઓનાં પીળાં પાનાંઓ તૂટું-તૂટું થઈ રહ્યાં છે. આછા પડતા જતા રંગવાળું એક મોરપિચ્છ, પોથીમાં સાચવીને રાખેલ પણ હવે જાળીજાળી થઈ ગયેલ પીપળાનું પાન, કુસુમ-કણિકા, કંકુના છાંટા અને પિતાજીના સ્પર્શની સાહેદી પૂરાવતા આંગળીઓના ડાઘ વગેરે વહી ગયેલા સમયનો લાંબો પટ ભેદીને સ્મૃતિઓને તાજી કરી દે છે. મૃત્યુના થોર જેવા કાંટાળા સ્પર્શે જે સામવેદી સ્વરોની ઋચાઓ સંકોરાઈ ગઈ હતી, એ તમામ ઋચાઓ પુત્રને ફરીથી ગૂંજી ઊઠતી સંભળાય છે. નિર્જીવ વસ્તુઓ જીવન-મૃત્યુના અલગ-અલગ કાંઠે પહોંચી ગયેલ બે જીવ વચ્ચે કેવો સજીવ સેતુ બાંધી આપે છે!

Comments (7)

પિતૃવિશેષ: ૦૭ : મને જવાબ આપો….- કરસનદાસ લુહાર

ભાગવતના આદિ જળમાં
છાતીબૂડ ઊભા રહી સૂર્યને અર્ધ્ય આપતો,
ગીતાના જર્જરિત પૃષ્ઠોની નિશામાં ઘોરતા
ગૃહસ્થીઓની આંખોમાં જાગતો…
નિદ્રસ્થોને શાપતો,
સવાર-બપોર, સાંજ, રાત…
માળા, પૂજા, ધ્યાન, આરતીમાં વ્યાપતો
અષ્ટંપષ્ટં પ્રલાપતો…
ભારેખમ મોં,
ઝગારા મારતું વિદ્વાન કપાળ-કપાળમાં મોટું ત્રિપુંડ
ખભે જનોઈનું ઝૂંડ
ગળામાં રુદ્રાક્ષની માળા
ચરણમાં શ્યામ પાદુકા
દક્ષિણી પાઘડીમાં સંતાઈને પણ

શ્લોક સાથે લયબદ્ધ ફગફગતી શિખા
–આ બધી નિશાનીઓના

વાંકાચૂકા રસ્તાપર હું ચાલી રહ્યો છું,
એને ગોતવા.
એ પ્રકાંડ પંડિત મારો બાપ હોવાની
મને ચોક્કસ બાતમી મળી છે!
હાલકડોલક છું ત્યારનો.
કહેવાય છે કે :
એક સવારે છાણ વિણવા જતી
અછૂત કન્યાનો પડછાયો પગને સ્પર્શી જતા
આ પુણ્યાત્માએ ત્રણ દિવસના ઉપવાસ
અને સાત નદીઓનાં જળ મંગાવીને
સ્નાન કરેલું!
અવર્ણ કન્યાપર
ટોળાબંધ હાથોના સવર્ણ આકાશમાંથી
વરસેલા પથ્થરોના ધોધમાર વરસાદની વાત
પછી સૂકાઈ ગઈ’તી.
હું ગોતું છું મારા એ પુણ્યશાળી બાપને!
મળે તો મારે
આટલું જ પૂછવું છે :
એક મેઘલી સાંજે,
નદી કાંઠે ખખડધજ શિવાલયનાં
અવાવરુ એકાંતમાં
ફૂટડાં અંગોવાળી
એ જ અછૂત કન્યાનાં
કુંવારા ઉદરમાં ઝનૂનપૂર્વક

મને વાવ્યા પછી તમે–
કેટલા દિવસના ઉપવાસ કરેલા?
કેટલી નદીઓનાં પાણી
તમારી સવર્ણ કાયા પર ઠાલવેલાં??
બોલો, બાપુ બોલો…
મને જવાબ આપો!
મને જવાબ…!
મને…!!!
મ……!!!!

– કરસનદાસ લુહાર

નિ: શબ્દ કરી મૂકતી રચના…

કોઈ જ ટિપ્પણીની જરૂર જ નથી….

Comments (8)

પિતૃવિશેષ: ૦૬ : પિતાની સેવા – દલપતરામ

છડો હું હતો છોકરો છેક છોટો,
પિતા પાળી પોષી મને કીધ મોટો.
રૂડી રીતથી રાખતા રાજી રાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.

ચડી છાતીએ જે ઘડી મૂછ તાણી,
કદી અંતરે રીસ આપે ન આણી;
કહ્યું મેં મુખે તે કર્યું હાજી હાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.

મને સારી શિક્ષા શિખાવી સુધાર્યો,
વળી આપી વિદ્યા વિવેકે વધાર્યો;
ભલી વાતના ભેદ સીધા દીધાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.

કદી કોટી કોટી સહી કષ્ટ કાયા,
મને છાતીમાં લૈ કરી છત્રાછાયા;
અતિ પ્રાણથી પ્યાર જે આણતાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.

મને દેખી અત્યંત આનંદ લેતા,
મુખે માગી વસ્તુ મને લાવી દેતા;
પૂરો પાડ તે તો ભૂલે પુત્ર પાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.

વડા વાંકમાં આવું તો રાંક જાણી,
દીધો દંડ દેતાં દયા દિલ આણી;
તજી સ્નેહ દેહે ન દીધી પીડાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.

ભણાવી ગણાવી કીધો ભાગ્યશાળી,
તથા તુચ્છ જેવી બૂરી ટેવ ટાળી;
જનો મધ્ય જેથી રહી કીર્તિ ગાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.

લીધો લાવ ને લૈશ જે લાવ સારો,
ગણું ગુણ હું તાત તે તો તમારો,
સદા સુખ સારુ ઉપાયો સજ્યાજી
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.

મને નિર્ખતા નેત્રામાં નીર લાવી,
લઈ દાબતા છાતી સાથે લગાવી;
મુખે બોલતા બોલ મીઠા મીઠાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.

હતો બાળ હું આજ સુધી અજાણ્યો,
ઉરે આપનો ગુણ એકે ન આણ્યો;
હવે હું થયો જાણીતો આજ આ જી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.

જગંનાથજી જીવતો રાખશે જો,
હયાતી તમારી અમારી હશે જો;
કરું સેવના દિલ સાચે સદાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી….

– દલપતરામ ડાહ્યાભાઇ ત્રવાડી
(૨૧ જાન્યુઆરી ૧૮૨૦ – ૨૫ માર્ચ ૧૮૯૮)

વાંચતા વાંચતા અનાયાસે ગવાઇ જતી ‘પિતાસ્રોત્ર’ જેવી ભાસતી કવિ દલપતરામની ગુજરાતી ભાષાની પિતા વિશેની કદાચ આ પ્રથમ કવિતા હશે… જેને કોઈ પણ જાતનાં પિષ્ટપેષણની જરાયે જરૂર જણાતી નથી!

ભુજંગી છંદ(લગાગા લગાગા)ની ચાલમાં ચાલતી આ કવિતા મોટેથી ગણગણાવવાની વધુ મજા આવશે.

Comments (4)

પિતૃવિશેષ: ૦૫ : (ઝગમગતું અજવાળું) – હિરેન મહેતા

પાણા જેવા પાણા ભીતર ભીનું ને હુંફાળું,
પપ્પા મારા આયખાનું ઝગમગતું અજવાળું!

પપ્પા સહુના જીવતરનો
મોંઘેરો કોઈ મોભ,
પપ્પાએ કોઈ લાગણીઓનો
ક્યાં રાખ્યો છે લોભ?
આકાશ જેવું ખુલ્લમ-ખુલ્લું, ના રાખે કોઈ તાળું,
પપ્પા મારા આયખાનું ઝગમગતું અજવાળું,

ઝળહળ ઝળહળ દીવો થઈને
પપ્પા ઘરમાં રહેતા,
ભૂલ પડે ત્યાં આંગળી પકડી
મારગ કાઢી દેતા,
એમનું હોવું લાગે જાણે ઉજળું ને ઉજમાળું,
પપ્પા મારા આયખાનું ઝગમગતું અજવાળું.

પપ્પાની એ કરડી આંખે
થરથરથર સહુ કાંપે,
પણ હેત ભરેલું વાવાઝોડું
બેઠું કાયમ ઝાંપે,
હોય એ ત્યાં અંધારે પણ સાફ સઘળું ભાળું,
પપ્પા મારા આયખાનું ઝગમગતું અજવાળું.

-હિરેન મહેતા

આ ગીત જ્યારે પ્રથમવાર વાંચ્યું ત્યારે લાગ્યું કે આ તો મારા પપ્પા માટે જ લખાયું છે. અનુભૂતિથી કહું તો પપ્પા બિલકુલ નાળિયેર જેવા હોય છે. બહારથી પાણા જેવા ભાસતા પપ્પા અંદરથી સાવ ભીના અને હૂંફાળા હોય છે. હું નાની હતી ત્યારે ઘરનાં મોંઘેરા મોભ જેવા મારા પપ્પાથી લગભગ કુટુંબનાં બધા જ સભ્યો ડરતા હતા, કારણકે ગુસ્સો એમના નાક પર જ રહેતો. પરિણામે પપ્પાના કડક સ્વભાવની ખોખલી દીવાલની બીજી તરફ ફૂંકાતું હેતનું વાવાઝોડું જાણબહાર રહી જતુ. સાચું કહું તો પપ્પાની હાજરી જ એક સૂરજ જેવી હતી, જેની હાજરીથી વાતાવરણ ગરમ તો રહેતું, પણ એ ના હોય ત્યારે અંધારું છવાઈ જતું. જેઓ એમની ગેરહાજરીના અંધારાને અનુભવી શકતા, એમને માટે તેઓ માર્ગદર્શક અને પ્રેરણાસ્ત્રોત હતા. નરી આંખે નજરે ન પડતા પ્રેમ, સમર્પણ અને ત્યાગથી પપ્પાને મેં સાચ્ચે જ એમના નાના ભાઈભાંડુઓનાં આયખાને અજવાળતા જોયા છે. જેમ દરેક પુત્રના પ્રથમ સુપર હીરો એના પપ્પા જ હોય છે, એમ દરેક દીકરીનો પ્રથમ પ્રેમ પણ એના પપ્પા જ હોય છે. મારા પપ્પા એટલે સાચે જ મારા આયખાનું ઝગમગતું અજવાળું…  ભગવાન કરે એ લાંબા સમય સુધી ઝગમગતું અને ઝળહળતું રહે!

Comments (7)

પિતૃવિશેષ: ૦૪ : કેટકેટલીવાર – મેરી હૉવે (અનુ. વિવેક મનહર ટેલર)

ન જાણે કંઈ કેટકેટલીવાર કોશિશ કરવા છતાંય હું કેમે કરીને મારા પિતાને
રોકી શકતી નથી મારી બહેનના રૂમમાં જતા

અને અહીંથી જ વાંકા વળીને હું એમની આંખોમાં જોવાનો પ્રયત્ન કરું છું,
પણ કંઈ ખાસ જોઈ શકાતું નથી. હૉલમાં અંધારું છે

અને બધા ઊંઘી રહ્યા છે. આ એ ભૂતકાળ છે
જ્યાં બધું પહેલેથી જ પરિપૂર્ણ છે અને કશું જ બદલાતું નથી,

જ્યાં પાણીનો ગ્લાસ બાથરૂમની ફર્શ પર પડે છે
અને તૂટતા પહેલાં એકવાર ઊછળે છે.

કશું જ નથી. પડખું બદલતી વેળા મારી બહેન કાઢે છે
એ નાનો અવાજ પણ નહીં, કૂતરાની પૂંછડીનો ધીમો અવાજ પણ નહીં

જ્યારે એ એક આંખ ઊઘાડી જુએ છે એમને નશામાં ચૂર,
થોડા મૂંઝાયેલા, લડખડાતા પોતાની પથારી તરફ પરત ફરતા.

આ બિલકુલ એવું જ છે જેવું હું જાણતી હતી કે થશે.
અને હું તેણીનું નામ ફુસફુસાવું છું, ચેતવણી ફુત્કારતા,

જે હું વરસોથી કરતી આવી છું, અને કૂતરો પણ
ચોંકે જ છે અને ઘુરકેય છે જ્યાં સુધી એ જોતો નથી

કે એ તો અમારા પિતા જ છે,અને હજીય દરવાજો ખૂલે છે, અને તેણી
પેલો નાનો ઊંહકારો ભરે છે, પાસું બદલતાં બદલતાં.

– મેરી હૉવે
(અનુ. વિવેક મનહર ટેલર)

પિતૃવિશેષ શૃંખલામાં આજે સંવેદનતંત્રમાં હડકંપ સર્જે અને ગળેથી ઉતારતા પારાવાર તકલીફ થાય એવી એક કવિતા જોઈએ. આપણે ગુજરાતીઓને સુષ્ઠુ સુષ્ઠુ રચનાઓ વાંચવાની આદત પડી ગઈ છે, પણ દુનિયા ગુલાબની પથારી ઓછી અને કાંટાની સેજ વધારે છે. સાવકા બાપ દીકરી સાથે યૌન સંબંધ બાંધે એવા સમાચારોની વચ્ચે ઘણીવાર સગો બાપ વર્ષો સુધી સગે દીકરીનું યૌનશોષણ કરી એને ગર્ભવતી બનાવે એવા ચોંકાવી દેતા સમાચારો પણ ગુજરાતી અખબારોમાં આવે જ છે.

પ્રસ્તુત રચના ઇન્સેસ્ટ (incest) વિશેની છે, ઇન્સેસ્ટ અર્થાત્ ગૌત્રગમન એટલે કુટુંબના નજીકના સગાઓ વચ્ચે થતો વ્યભિચાર. મા-બાપના પોતાનાં જ સંતાનો સાથેના અનૌરસ સંબંધને દુનિયાની કોઈ જ સંસ્કૃતિએ કદી પણ બહાલી આપી નથી. પણ આ અવૈધ સંબંધ પણ કદાચ માનવજાત જેટલો જ જૂનો છે. ઝેનોફોનના ‘મેમરાબિલિયા’માં સોક્રેટિસ હિપિયાસને કહે છે કે ઈશ્વરના આ વણલખ્યા નિયમમાંથી જેઓ ચ્યુત થાય છે, તેઓ ખરાબ સંતતિ સ્વરૂપે સજા પામે છે. પ્લેટો પણ ‘લૉઝ’માં એક એથેન્સવાસી દલીલ કરે છે કે વણલખ્યો કાનૂન અને લોકમતની તાકાત મા-બાપને સંતતિ સાથે સૂતાં અટકાવે છે.

આ રચનામાં પણ એક સગો બાપ ઘરના બધા સભ્યો ઊંઘી ગયાં હોય ત્યારે દારૂના નશામાં દીકરીના રૂમમાં જઈને એના પર બળાત્કાર કરે છે. આ ઘરેલુ હિંસા વર્ષોથી ચાલતી આવી છે. દારૂડિયા કામી બાપ માટે દીકરી દીકરી નહીં, બાથરૂમની ફર્શ પર પડીને તૂટતાં પહેલાં એકવાર ઊછળતો ગ્લાસ બનીને રહી ગઈ છે. નાની બહેન લાખ કોશિશો કરવા છતાંય રોજ રાતે આંખો સામે થતા આ દુરાચારને અટકાવી શકતી નથી. ઘરનો વફાદાર કૂતરો પણ રાતે એક રૂમમાંથી બીજા રૂમમાં જતો ઈસમ ઘરનો માલિક જ છે એ જોઈને સહેજ ઘર્રાઈને, સહેજ પૂંછડી થપકારીને ચૂપ રહે છે.

How Many Times

No matter how many times I try I can’t stop my father
from walking into my sister’s room

and I can’t see any better, leaning from here to look
in his eyes. It’s dark in the hall

and everyone’s sleeping. This is the past
where everything is perfect already and nothing changes,

where the water glass falls to the bathroom floor
and bounces once before breaking.

Nothing. Not the small sound my sister makes, turning
over, not the thump of the dog’s tail

when he opens one eye to see him stumbling back to bed
still drunk, a little bewildered.

This is exactly as I knew it would be.
And if I whisper her name, hissing a warning,

I’ve been doing that for years now, and still the dog
startles and growls until he sees

it’s our father, and still the door opens, and she
makes that small oh turning over.

—Marie Howe

Comments (7)

પિતૃવિશેષ: ૦૩ : હું મુજ પિતા! – ઉશનસ્

અરે, આ વેળા તો અનુભવ થયો અદ્ભુત નવોઃ
હતો પ્હેલી વેળા જનકહીન ગેહે પ્રવિશતો,
હું જાણે કો મોટા હવડ અવકાશે પદ ધરું;
બધી વસ્તુ લાગે પરિચિત જ કોઈ જનમની,
અશા કૌતુકે, કો અપરિચયથી જોઈ રહું કૈં;
પ્રવાસી વસ્ત્રોને પરહરી, જૂનું પંચિયું ધરું
પિતા કેરું જે આ વળગણી પરે સૂકવ્યું હતું;
પછી નાહી પ્હેરું શણિયું કરવા દેવની પૂજા;
અરીસે જોઉં તો જનક જ! કપાળે સુખડની
ત્રિવલ્લી, ભસ્માંકો! અચરજ! બપોરે સૂઈ ઊઠયો
-પિતાજીની ટેવે! -અશી જ પ્રગટી પત્રની તૃષા!
સૂતો રાત્રે ખાટે જનકની જ, રે ગોદડુંય એ!
નનામીયે મારી નીરખું પછી-ને ભડ્ભડ ચિતા,
રહું જોઈ મારું શબ બળતું હું; હું, મુજ પિતા!

– ઉશનસ્

લયસ્તરોની બે દશકની કાવ્યયાત્રા નિમિત્તે આદરેલ પિતૃવિશેષનું આજે આ ત્રીજું ચરણ.

પિતા શબ્દ ‘पा’ ધાતુ પરથી ઊતરી આવ્યો છે, જેનો અર્થ રક્ષણ કરવું થાય છે. ‘यः पाति स पिता।’ (જે રક્ષા કરે છે તે પિતા છે.) પિતાનો એક અર્થ પરમેશ્વર પણ છે. મનુસ્મૃતિ કહે છે: ‘उपाध्यायान्दशाचार्य आचार्याणां शतं पिता। (દસ ઉપાધ્યાયથી વધીને એક આચાર્ય અને સો આચાર્યથી વધીને એક પિતા હોય છે.) ઋષિ યાસ્કાચાર્યના ‘નિરુક્ત’સૂત્રમાં પણ पिता पाता वा पालयिता वा। અને पिता-गोपिता અર્થાત, પિતા રક્ષણ કરે છે અને પાલન કરે છે એમ લખ્યું છે. મહાભારતમાં વનપર્વમાં મરણાસન્ન ભાઈઓને બચાવવા યુધિષ્ઠિર યક્ષપ્રશ્નોના જવાબ આપે છે. યક્ષના એક પ્રશ્ન, ‘किं स्विद्गुरुतरं भूमेः किं स्विदुच्चतरं च खात्।’ (કોણ પૃથ્વીથી ભારી છે? કોણ આકાશથી ઊંચું છે?)ના જવાબમાં યુધિષ્ઠિર કહે છે, ‘माता गुरुतरा भूमेः पिता उच्चतरश्च खात्।’ (માતા પૃથ્વીથી ભારી છે, પિતા આકાશથી ઊંચા છે). મહાભારતમાં જ લખ્યું છે: ‘पिता धर्मः पिता स्वर्गः पिता हि परमं तपः। पितरि प्रीतिमापन्ने सर्वाः प्रीयन्ति देवता।।’ (પિતા જ ધર્મ છે, પિતા જ સ્વર્ગ છે અને પિતા જ સૌથી શ્રેષ્ઠ તપસ્યા છે. પિતાના પ્રસન્ન થવાથી બધા દેવ પ્રસન્ન થઈ જાય છે.) પદ્મપુરાણમાં લખ્યું છે: ‘सर्वतीर्थमयी माता सर्वदेवमयः पिता।’ (મા સર્વ તીર્થસ્વરુપ અને પિતા સર્વ દેવતાસ્વરુપ છે.)

પિતાના મૃત્યુ પછી પિતા વગરના ઘરમાં પ્રથમવાર પ્રવેશ કરતી વખતે પુત્રને જે નવો અને અદભુત અનુભવ થાય છે એને કવિએ ચૌદ પંક્તિઓમાં સંયત ભાષામાં આલેખ્યો છે. જે ઘરમાં પોતે જન્મ લઈ મોટો થયો હશે, એ જ ઘર આજે પુત્રને મોટા હવડ અવકાશ જેવું ખાલી અને અવાવરું ભાસે છે. ઘરમાં ઉપસ્થિત ચિરપરિચિત વસ્તુઓ-ફર્નિચર વગેરે સાથે કવિને વર્તમાન નહીં, પણ અન્ય કોઈ જનમનો પરિચય હોવાનું પ્રતીત થવાથી થોડા કૌતુક સાથે, થોડા અપરિચય સાથે એ જોઈ રહે છે. ઘરની વળગણી ઉપર સૂકવવા મૂકેલ પિતાજીનું પંચિયું હજીય ત્યાં જ લટકતું હતું. પંચિયું એટલે નહાવા જતી વખતે પહેરવાનું નાનું ધોતિયું. પ્રવાસ દરમિયાન પહેરેલ કપડાં કાઢીને દીકરો પિતાજીનું પંચિયું પહેરી સ્નાન કરે છે અને પછી દેવપૂજા કરવા માટે શણિયું પહેરે છે. શણિયું એટલે સ્નાન કર્યા પછી પહેરવાનું લૂગડું. પૂજા કરતાં પૂર્વે પિતાજી કપાળ પર ત્રણ આંગળીથી સુખડની ત્રિવલ્લી બનાવી ભસ્મ લગાડતા હતા એનું જ અનુસરણ દીકરો પણ અજાણતાં કરી બેસે છે પણ પછી અરીસામાં સ્વયંને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. દીકરાને અરીસામાં પોતાના સ્થાને પિતા નજરે ચડે છે. પિતાજીની જેમ જ બપોરે એક ઊંઘ ખેંચી ઊઠ્યા બાદ કોઈ ટપાલ આવી છે કે નહીં એની તપાસ પણ દીકરો કરે છે. રાત્રે પિતા સૂતા હતા એ જ પથારીમાં એ ઓઢતા હતા એ જ ગોદડું ઓઢીને દીકરો સૂઈ પણ જાય છે. નાનપણથી પિતાજીની દિનચર્યા જોઈ જોઈને જે સંસ્કારો ઘડાયા હશે, એ સંસ્કારવશ પુત્ર એ હદે પિતાજીની દિનચર્યાનું અનુકરણ કરે છે કે પુત્રને પોતે જ પિતા હોવાનું ભાન થાય છે. એટલે જ પુત્રને પોતાની નનામી, અને ચિતા પર બળતું પોતાનું શબ પણ નજરે ચડે છે. સંતાનને પોતે જ પોતાનો પિતા હોવાનું સત્ય સમજાય છે એટ્લે કે પોતાના પિતા પોતાનામાં હજી પણ જીવતા હોવાની પ્રતીતિ થાય છે, કારણ કે પુત્ર જીવતો રહે ત્યાં સુધી પિતા મૃત્યુ પામી જ ન શકે. પુત્રના સ્મરણમાં એના પિતા પુત્ર જીવતો રહે ત્યાં સુધી જીવતા જ રહેવાના. વિલિયમ વર્ડ્સવર્થનું બખુખ્યાત વિધાન પણ આ તબક્કે યાદ આવે: ‘the child is father of the man.’

Comments (4)

પિતૃવિશેષ: ૦૨ : પિતાનાં ફૂલ – ઉમાશંકર જોશી

અમે જેની ખાંધે વજન ફિકરોનું થઈ ફર્યા
બધે આયુર્માર્ગે, જગની ગલીકૂંચી વિવિધમાં,
ચડાણે, ઊંડાણે શિરવિટમણાઓ થઈ ભમ્યા;
અમે લાવ્યા એ રે શરીર નિજ ખાંધે ઊંચકીને,
અહીં લાવ્યા એ રે શરીર નિજ ખાંધે જનકનું.

અને જેનાં હાડે પૂરવજદીધી પ્રાણસરણી
પુરાણી પોષાઈ વહી અમ મહીં કૌતુકવતી,
અમે આવ્યા એ રે નિજ જનકના હાડઢગની
પડી સાનીમાંથી અગનબચિયાં ફૂલ વીણવા.

ભરી વાળી સાની ધખ ધખ થતી ટોપલી મહીં,
અને પાસે વ્હેળો ખળળ વહતો ત્યાં જઈ જળે
ડબોળી, ટાઢોળી, જરીક હલવી, ને દૂધ સમા
પ્રવાહે સ્વર્ગંગાજલ થકી શકે તારક વીણ્યા!

વીણ્યા તારા, ફૂલો જગનું બધું યે સુંદર વીણ્યું,
ન લાધે સ્હેજે જે, શિવ સકલ આજે મળી ગયું;
શમ્યા મૃત્યુશોકો, અમર ફરકંતી નીરખીને
પિતાનાં ફૂલોમાં ધવલ કલગી વિશ્વક્રમની…

– ઉમાશંકર જોશી

“પિતૃવિશેષ”નું બીજું પગલું ઉમાશંકરની કલમે. જે પિતા તમારી જવાબદારી આખી જિંદગી પોતાના ખભે રાખી હોય એ જ પિતાને આખરે એક દિવસ ખભે ઊંચકીને લઇ જવાનો વારો આવે છે. અંતિમસંસ્કાર પછી અસ્થિના ફૂલમાં કવિને વિશ્વક્રમના દર્શન થાય છે. પિતાએ એમના પિતાને આ જ રીતે વિદાય આપી હશે અને એક દિવસ મારો પુત્ર પણ મને આ જ રીતે વિદાય આપશે. આ ક્રમ સમજાતા મૃત્યુનો શોક શમી જાય છે. આમ પિતા પોતાના અસ્થિ દ્વારા પણ પુત્રને એક આખરી સમજ આપતા જાય છે.

આ કવિતામાં મનને શાતા આપવાની અદભુત શક્તિ છે.  

મારા પોતાના માટે આ કવિતા બહુ ખાસ છે. મારા દાદા જ્યારે ગયા ત્યારે પપ્પાએ મારી સાથે બેસી આ કવિતા વાંચી સમજાવેલી. ગયા વર્ષે જયારે મારા પપ્પા ગયા ત્યારે મેં મારા દીકરા સાથે બેસીને ફરી આ જ કવિતા વાંચેલી. એવી આશા કરું છું કે એક દિવસ જ્યારે મારે જવાનું થાય ત્યારે અમેરિકા દેશમાં ઢચુપચુ ગુજરાતી સમજતો મારો દીકરો એનાથી ય ઓછું ગુજરાતી સમજતા એના દીકરાને આ કવિતાની મદદથી વિશ્વક્રમની ઓળખાણ કરાવશે. 

Comments (3)

પિતૃવિશેષ: ૦૧ : મથુરાદાસ જેરામ – ઉદયન ઠક્કર

મથુરાદાસ જેરામ નામનો એક શખ્સ (ઉંમર વર્ષ ત્રેપન)
સંખ્યાબંધ લોકોની આંખ સામે
ધોળે દહાડે
ઈસ્પિતાલ જેવા જાહેર સ્થળે
મરવાનું અંગત કાર્ય કરી ગયો
એને આજે વરસો થયાં.

હવે સમય પાકી ગયો છે કે
હું એને અંજલી આપું;
એની કરુણભવ્ય ગાથા રચું;
જેથી કેટલાક વધુ માણસો જાણે
કે મથુરાદાસ કોણ હતો, કેવું જીવ્યો.
ભડનો દીકરો હતો એ,
તડ ને ફડ હતો એ,
મને એકંદરે ગમતો.

શરૂઆતરૂપે હું કહી શકું કે
મથુરાદાસને ધરતીનો લગાવ હતો.
એ વિધવિધ સુંદર ફૂલોને રોપતો, ઉછેરતો,
મન મૂકીને ખડખડ હસતો,
તક મળ્યે બહારગામ જઈ
રોજના વીસ-તીસ માઈલ પેદલ રખડી નાખતો,
ઝનૂની ઘોડાઓ પલાણતો,
અને ઉનાળાની રાત્રિએ ધાબા પર જઈ
તારાઓની નિકટમાં સૂઈ જતો.

( ના, ના, આ કંઈ જોઈએ એટલી ભવ્ય વાત ન થઈ શકી
જુઓને, થોરો નામનો એક ફિલસૂફ શહેર મૂકી દઈ
છેક કોઈ એકાંત સરોવર-તીરે વસતો.
એના કુદરતપ્રેમ સામે આપણો મથુરાદાસ
તો બિચારો ફિક્કો ફિક્કો પડી જશે.)

પણ હા, મથુરાદાસ વેપારી બળુકો, હોં.
ત્રીસ વરસ સુધી રોજ દરરોજના દહ-દહ કલાક
પોતાની પેઢી ઉપર રચ્યોપચ્યો’રે.
દેશ-દેશાવરની મુસાફરી, પછાત વસ્તારમાં
ફેકટરી નાખવી, ત્યાં રેતીવાળા રોટલા
ખાઈને પડી રે’વું.
કોરટ-વકીલો, મંદી-તેજી, અળસી-એરંડૉ,
ફિકર ફિકર, પ્રમાણિકતા, ઝઘડા, મહત્વાકાંક્ષા.
બધે અજવાળું વિખેરાતું હતું, જાણે.
– મથુરાદાસનું કોડિયું બબ્બે વાટે બળતું જતું હતું.

(તમે કદાચ ઈમ્પ્રેસ નહિ થાઓ.
કદાચ તમારી ઓફિસનો બોસ
સાવ સામાન્ય ગુમાસ્તામાંથી
આજે કરોડોના વેપાર સુધી પહોંચ્યો હોય.
તમે કહેશો કે યાર, સફળતા તો એને કહેવાય.
મથુરાદાસનું તો જાણે… સમજ્યા.)

જોકે મારે ઉમેરવું જોઈએ કે
પાછલાં વરસોમાં મથુરાદાસ સામે
અસહકારનું આંદોલન ઉપાડ્યું હતું
એના શરીરે.
તેનાં એક પછી એક અંગ ખોટાં પડતાં જતાં હતાં.
વગડાઉં કાગડાનો પગ તૂટી જાય,
પછી તે ન તો વનમાં સ્વચ્છન્દાચાર કરી શકે,
ન તો પિંજરે બેસીને લોકોનું મનોરંજન,
એવી કપરી સ્થિતિ એની થઈ હતી.
પણ લાચારીને એણે મુદ્દલ ન સ્વીકારી, મુસ્તાક રહયો.
આ મોત સાથેનો પ્રવાસ હતો,
અને હંમેશા તેણે એ સહપ્રવાસીની
ઠેકડી ઉડાવી.

(માળું આયે તમને નહિ જામે.
કેટકેટલી ફિલ્મો તમે જોઈ નાંખી છે
જેમાં અસાધ્ય કેન્સરથી ગ્રસ્ત હીરો
હસતો-હસાવતો મોતને ભેટતો હોય છે.
ના, હવે આ ફોર્મ્યુલા તમને નહિ ચાલે.)

તો માફ કરજે ભાઈ મથુરાદાસ જેરામ,
હું તારે માટે કોઈ કીર્તિસ્મારક રચી શકતો નથી.
વાતચીત કે વર્ણનોથી હું એક્કેય
વાઙમયમંદિર ચણી શકતો નથી,
કે જેમા તારી સ્મૃતિની પ્રતિષ્ઠા થઈ શકે
શબ્દોનાં હૂંફાળાં પીંછાઓ ઓઢાડી શકતો નથી
તારા સંદર્ભના નગ્ન ડિલ પર.
એક પ્રામાણિક વેદના સિવાય હું કશું આપી શકતો નથી,
ઓ મથુરાદાસ, મારા પિતા, મારા મૃત પિતા.

– ઉદયન ઠક્કર

“પિતૃવિશેષ”ના પહેલા પગલે ઉદયન ઠક્કરની રચના થકી પિતા નામની ઘટનાને સલામ કરીએ. આ કવિતા બહુ વર્ષોથી વાંચું છું. દર વખતે થોડી થોડી વધારે સમજાય છે. કવિતા વાંચીને કોઇક વાર રડી નાખું છું અને કોઈક વાર છાની સલામ કરી લઉં છું. એક પિતા તમારે માટે શું હતો એ સમજવામાં આપણને બધાને બહુ મોડું થઇ જાય છે. એ ઘટના જ એટલી વિશાળ છે કે એનું મુલ્ય સમજાતા બહુ વાર લાગી જાય છે. અહીં કવિ કહે છે એમ ‘પ્રામાણિક વેદના’ સિવાય બહુધા આપણે એને ખાસ કશું આપી શકતા નથી. અને એટલું ય આપી શકીએ તો ઘણું. 

Comments (8)

બે દાયકાની સફર – લયસ્તરો ડોટ કોમ

*

વીસ વરસ… બે દાયકા…

૦૪-૧૨-૨૦૦૪ના રોજ અમેરિકાથી ધવલ શાહે આ કાવ્યયાત્રાની શરૂઆત કરી હતી ત્યારે સ્વપ્નેય ખ્યાલ નહોતો કે આ દિવસ પણ આવશે… આજે વીસ-વીસ વરસનાં વહાણાં વાઈ ચૂક્યાં હોઆ છતાં આ મુસાફરી હજી ખતમ નથી થઈ એના પાયામાં મિત્રોને અમારી કટિબદ્ધતા કે પ્રતિબદ્ધતા નજરે ચડે છે, પણ અમને ખબર છે કે આ સફર કદી અમારા એકલાની કે અમારા નિર્ધાર યા સમર્પણની હતી જ નહીં, આ યાત્રા તો પ્રારંભથી જ આપ સહુના સાથ-સંગાથ અને સ્નેહ-આશીર્વાદની યાત્રા હતી… લયસ્તરોની આ મજલ આપ જેવા સંનિષ્ઠ ભાવકમિત્રો વિના એક ડગલું પણ કાપી શકાય એમ નહોતી…

૨૦ વરસ
૧૨૦૦ થી વધુ કવિઓ
૫૬૦૦ થી વધુ પોસ્ટ્સ
૪૨૦૦૦ થી વધુ પ્રતિભાવો
૫૦ લાખથી વધુ મુલાકાત વીસ વરસમાં (પ્રતિદિન ૭૦૦ થી વધુ મુલાકાતી)
એક કરોડથી વધુ વ્યૂઝ (પ્રતિદિન ૧૫૦૦ થી વધુ વ્યૂઝ)

એક તરફ સૉશ્યલ મિડિયાનું અતિક્રમણ અને બીજી તરફ કવિતા નામનો પ્રાણવાયુ… ગુજરાતી કાવ્યસાહિત્યના મહાસાગરમાંથી અમારી સમજ મુજબના રત્નો શોધી શોધીને અમે આપની તાસક ઉપર ધરતા આવ્યા છીએ, ધરતા રહીશું… વ્યક્તિગત અને માનવસહજ મર્યાદાઓને કારણે તમામ સર્જકો અને તમામ સર્જન સુધી પહોંચવું તો કદીય સંભવ નથી જ બનવાનું. અહીં જે છે એ બધું ઉત્તમ જ છે અને અહીં જે નથી એ ઉત્તમ નથી એવો અમારો કોઈ દાવો નથી. ઘણા ઉત્તમ સર્જકો અને અસંખ્ય ઉત્તમ કવિતાઓ અમારી પહોંચ બહાર રહી હોવાના ક્ષતિસ્વીકાર સાથે અમે અમારી પહોંચ બહાર રહી ગયેલ એ તમામ સર્જકો અને સર્જનની ક્ષમા માંગીએ છીએ…

જીવે કવિતા! જીવે ગુજરાતી!
સહુ વાચકમિત્રો અને કવિમિત્રોનો હૃદયપૂર્વક અભાર…

ધવલ – તીર્થેશ – મોના –વિવેક
ટીમ લયસ્તરો

દર વખતની જેમ વર્ષગાંઠ નિમિત્તે અમારા માનવંતા ને જાનવંતા વાચકોને અમે કંઈક અલગ પીરસવાના છીએ. આ વખતની ઉજવણીનો વિષય છે – પિતૃવિશેષ! જગતભરના કવિઓએ માતાનો મહિમા કરીને એને ભગવાનની સમકક્ષ ઊભી રાખી છે, પણ સમગ્ર પરિવારનો બોજો મૂંગા મોઢે વેંઢારતા રહેતા પિતા વિશે બહુ ઓછા કવિઓ બહુ ઓછું બોલ્યા છે. લયસ્તરો પર આવતીકાલથી થોડા દિવસ સુધી અમે પિતાજીને કેંદ્રસ્થાનમાં રાખીને કહેવાયેલી કવિતાઓ રજૂ કરીશું… રોજેરોજ મુલાકાત લેવાનું ચૂકાય નહીં એ ખાસ જોજો.

લયસ્તરો પર આગળના વર્ષોની ઉજવણીમાં પણ આપ સમયની અનુકૂળતાએ જોડાઈ શકો છો:

 

Comments (7)

(અલગ છે!) – હર્ષવી પટેલ

ધાર્યા કરતાં સાવ અલગ છે
આવ્યો પણ બદલાવ અલગ છે

તમે લીધો એ દાવ અલગ છે,
અમે ગણ્યા એ ઘાવ અલગ છે.

શબ્દ જુદા છે હોઠ ઉપર ને,
આંખોમાં પ્રસ્તાવ અલગ છે.

તારી વાણી, તારું વર્તન,
તું જાતે સરખાવ, અલગ છે.

જાવું છે એ ઘાટ જુદો છે,
બેઠા છો એ નાવ અલગ છે.

સહુના માથે સૂરજ એક જ,
ધૂપ અલગ છે, છાંવ અલગ છે.

પહેલાં ભાવસભર મળતાં’તાં,
હમણાંનો સદભાવ અલગ છે!

– હર્ષવી પટેલ

લયસ્તરો પર કવયિત્રીના પ્રથમ કાવ્યસંગ્રહ ‘તારી ન હો એ વાતો’નું સહૃદય સ્વાગત છે…

ટૂંકી બહર અને સરળ ભાષામાં કવયિત્રી કેવી મજાની ગઝલ લઈ આવ્યાં છે. કયા શેરને વધુ પસંદ કરવો એ ભાવક માટે સમસ્યા થઈ પડે એવી જાનદાર સંઘેડાઉતાર ગઝલ…

Comments (7)

(છોકરીની નજરોએ) – અર્પણ ક્રિસ્ટી

છોકરીની નજરોએ કર્યું જ્યાં ‘સ્માઈલ’ ત્યાં છોકરાને ફૂટી ગઈ પાંખો,
છોકરાના સ્પર્શે સીંચાઈને છોકરીમાં મઘમઘ્યો બાગ આખેઆખો.

આંખોની સામે એ છોકરી ના હોય તોય છોકરાને દેખાતી આખી,
છોકરાનું નામ લેતાં છોકરીને લાગે કે જીંદગીને એણે છે ચાખી.
બંનેની નજરો મળે ત્યારે થઈ જાતી ‘લવ લેટર’ બંનેની આંખો.
છોકરીની નજરોએ કર્યું…….

છોકરાની છાતીમાં છોકરીનું રાજ અને છોકરાને લાગે ‘હું રાજા’,
અંગોમાં છોકરીનાં ઊગે છે છોકરો આ, થઈને ફૂલો રોજ તાજાં.
કોરીકટ ધરતી પર તેઓની વરસી હો જાણે કે વાદળીઓ લાખો…
છોકરીની નજરોએ કર્યું….

-અર્પણ ક્રિસ્ટી

છોકરા-છોકરીનાં ગીત કાને પડતાવેંત ર.પા.ની યાદ આવે. પણ ખરી મજા તો ત્યારે આવે, જ્યારે ર.પા. જેવા પૂર્વસૂરીના ખભે ઊભો હોવા છતાં સર્જક પોતાની વાત પોતાની રીતે કહી શકે. પ્રસ્તુત રચના આ વિશેષતા તુર્ત જ અનુભવાય છે. ગીત કોઈ પ્રકારની ટિપ્પણીનું મહોતાજ નથી. સહજસાજ ભાષામાં કવિએ છોકરા-છોકરીની દ્વિપક્ષી પ્રણયકથાને પ્રવાહી લયના તાંતણે બખૂબી વણી લીધી હોવાથી ગીત સાચા અર્થમાં મનનીય થયું છે.

Comments (7)