હૈયામાં એનો પડઘો પડે તો જ મૂલ્ય છે,
અલ્લાહનો અવાજ મિનારે ન જોઈએ.
કુતુબ આઝાદ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for જગદીપ નાણાવટી

જગદીપ નાણાવટી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




મળી માતૃભાષા મને ગુજરાતી…

આજે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે. બાંગલાદેશ જ્યારે પૂર્વ-પાકિસ્તાન હતું ત્યારે ઉર્દૂ ભાષાને રાષ્ટ્રભાષા તરીકે માથા પર મારી બેસાડવાની આજના પાકિસ્તાનની ચેષ્ટા સામે 1952ની સાલમાં આજના દિવસે હજારો વિદ્યાર્થીઓ અને ભાષાશાસ્ત્રીઓ-પ્રેમીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. પોલિસે કરેલ અંધાધૂંધ લાઠીમાર અને ગોળીબારમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા પણ આ ઘટનાનો પડઘો આખી દુનિયામાં પડ્યો. બંગાળી બાંગ્લાદેશની માતૃભાષા બની અને બાંગ્લાપ્રજાએ પોતાની ભાષા માટે દાખવેલ અપ્રતિમ પ્રેમના માનમાં 2000ની સાલથી યુનેસ્કોએ આજના દિવસને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું.

આજે લયસ્તરો પર માતૃભાષાનો મહિમા અને ચિંતા કરતી કેટલીક કાવ્યકડીઓ વડે આપણે પણ આપણી ભાષાના સંવર્ધન માટે પ્રતિબદ્ધ અને કટિબદ્ધ થઈએ… પણ પહેલાં કેટલીક પ્રતિજ્ઞા લઈએ-

• ઘરમાં અને રોજમરોજના વ્યવહારમાં ગુજરાતી ભાષાના પ્રયોગને પ્રાધાન્ય આપીશું. ખાસ કરીને બાળકો સાથે ફક્ત માતૃભાષામાં જ વાત કરીશું અને એમને પણ આપણી સાથે માતૃભાષામાં જ વાત કરવાની ટેવ પાડીશું.

• રોજ ઓછામાં ઓછો અડધો કલાક સત્વશીલ ગુજરાતી સાહિત્યનું વાંચન કરીશું. વૉટ્સએપિયા અને ફેસબુકિયા સાહિત્યનો પ્રયોગ વિવેકબુદ્ધિથી કરીશું

• મોબાઇલમાં ઓનલાઇન ગુજરાતી શબ્દકોશો અને જોડણીકોશોની એપ ડાઉનલોડ કરી એનો નિયમિત વપરાશ કરવાની આદત કેળવીશું. (ભગ્વદગોમંડલ, ગુજરાતી લેક્સિકોન અને સાર્થ ગુજરાતી જોડણીકોશ)

• મોબાઇલ પર ગુજરાતી ભાષામાં લખતી વખતે ભાષાશુદ્ધિ તરફ ખાસ ધ્યાન આપીશું

હવે થોડી કાવ્યકણિકાઓ:

દલપતરામે મહારાજા ખંડેરાવ પાસે ગુજરાતી ભાષાના પુસ્તકાલય માટે હિંમતભેર ધા નાંખી ધાર્યું કરાવ્યું હતું… બે’ક કડી જોઈએ:

આવ ગિરા ગુજરાતી તને, અતિ શોભિત હું શણગાર સજાવું;
જાણની પાસ વખાણ કરાવું, ગુણી જનમાં તુજ કીર્તિ ગજાવું;
દાખે દલપતરામ ખુદાવંદ ખંડેરાવ,
રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું.

વાત ગુજરાતી ભાષાની હોય અને ઉમાશંકર જોશીને યાદ ન કરીએ એ કેમ ચાલે?:

સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગુજરાતી.

ઉમાશંકરે જ બહુ તાર્કિક સવાલ પણ કર્યો છે-

એ તે કેવો ગુજરાતી
જે હો કેવળ ગુજરાતી ?
હિંદભૂમિના નામે જેની ઊછળે ના છાતી?

વિનોદ જોશીએ બહુ માર્મિક જવાબ આપ્યો-

હું એવો ગુજરાતી જેની;
હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી….
હું સાવજની ત્રાડ, હું જ ગરવી ભાષા લચકાતી…
હું ગિ૨નારી ગોખ, દ્વારિકા હું જ સુધા૨સ પાતી….

અરદેશર ખબરદારની ઉક્તિ તો કહેવત બની એક-એક ગુજરાતીનો હૃદયધબકાર બની રહી છે-

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
જ્યાં જ્યાં ગુજરાતી બોલાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત.

ઉશનસ્ શું કહી ગયા એય સાંભળીએ:

સહજ, સરલ મુજ માતૃભાષા, મા સમ મીઠી-વ્હાલી,
જેનાં ધાવણ ધાવી ધાવી અંગ અંગ મુજ લાલી,
જેના ઉદગારે ઉદગારે ઊછળતી મુજ છાતી,
ધન્ય ગિરા ગુજરાતી, મારી ધન્ય ગિરા ગુજરાતી.

તો ખલીલ ધનતેજવીનો હુંકાર પણ કંઈ જેવો તેવો નથી-

વાત મારી જેને સમજાતી નથી;
એ ગમે તે હોય ગુજરાતી નથી.!

તુષાર શુક્લ પણ આ જ વાત કહે છે, પણ મિજાજ પોતાના સ્વભાવ મુજબ જ ઋજુ રાખીને:

શબ્દ એક પણ લખી બોલી ના બિરદાવું ગુજરાતીને
ગુજરાતીનો મહિમા, શાને સમજાવું ગુજરાતીને!

વિશ્વપ્રવાસી રઈશ મનીઆરે પણ વિશ્વસાહિત્યના આચમન બાદ પણ પોતાના ધબકારાની ભાષા બદલાઈ ન જાય એની તકેદારી રાખી છે:

મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે.
ભૂંસાવા કયાં દીધો કક્કો, હજી પાટીમાં રાખ્યો છે.
મલક કંઈ કેટલા ખૂંદયા, બધાની ધૂળ ચોંટી પણ,
હજુ પણ મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે.

તો રઈશ મનીઆરે જ ભાષા માટે અદકેરી ચિંતા અને આવનારી પેઢી સામેના પડકારને ગાગરમાં સાગર પેઠે શબ્દસ્થ કર્યો છે:

પુત્રમાં શોધું છું ગુજરાતીપણું, શું મેં વાવ્યું ને હવે હું શું લણું?
આ વસિયત લે લખી ગુજરાતીમાં પુત્ર એ વાંચી શકે તોયે ઘણું.

રઈશ મનીઆરની ચિંતામાં વિકી ત્રિવેદી પણ સૂર પૂરાવે છે-

એથી આશા ઘાયલ થઈ છે,
મારી ભાષા ઘાયલ થઈ છે.

પણ રમેશ આચાર્યને આવી પરિસ્થિતિમાં કાળા વાદળની કોરે સોનેરી આભા વર્તાય છે:

હું છું અને મારી ભાષા છે;
કૈક થશે એવી આશા છે!

આવી જ કંઈક આશા પીયૂષ ભટ્ટ પણ સેવી રહ્યા છે-

કેવળ એ અભિલાષા,
સકળ જગતને ખૂણે ખૂણે પહોંચે મારી ભાષા.

કેશુભાઈ દેસાઈની અભિલાષા પણ મનોરમ્ય છે:

ત્રિલોકમાં ને નવે ખંડ તુજ ફોરમ રહો છવાતી,
તું ઘણું જીવો ગુજરાતી

હરીશ જસદણવાળા લિપિની વિશિષ્ટતાને ખપમાં લઈ મજાનું ભાષાકર્મ કરી બતાવે છે:

વાંચે કાનો, બોલે રાધા,
છે એવી ગુજરાતી ભાષા!

પણ આજે હાલત એવી છે કે આજની પેઢીને ઉમાશંકર-સુંદરમ-મુનશી-પન્નાલાલ વગેરે મૂર્ધન્ય સાહિત્યકારોની ગુજરાતી પરદેશની ભાષા જેવી અજાણી લાગવા માંડી છે. હરદ્વાર ગોસ્વામી આપણને આ બાબતે અજરામર શેર આપે છે:

એના કરતાં, હે ઈશ્વર! દે મરવાનું,
ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું!

અદમ ટંકારવી આંગ્લભાષા સામે વિલાઈ જતી ગુજરાતીનો ખરખરો કેવો હૃદયંગમ રીતે કરે છે-

આંગ્લકન્યા જોઈ વિલાઈ ગયું
ગુર્જરીનું રૂપ નજરાઈ ગયું
સોળ શણગારો સરર સરકી ગયા
સેંથીનું સિંદૂર ભૂંસાઈ ગયું

પન્ના નાયક એમના એક લઘુકાવ્યની પ્રારંભે માતૃભાષાની સર્ળ પણ મજાની વ્યાખ્યા આપે છે:

આપણને
જે ભાષામાં સપનાં આવે

આપણી માતૃભાષા.

રવીન્દ્ર પારેખે પણ એ જ રીતે ગુજરાતી ભાષાની દુર્દશા પર લખેલ કવિતાના પ્રારંભે માતૃભાષાની સ-રસ વ્યાખ્યા કરી છે:

જન્મનું નિમિત્ત પિતા છે
પણ જન્મ આપે છે માતા
એ દૂધ નથી પાતી
ત્યારે ભાષા પાય છે
એ પાય છે તે
તળની ભાષા છે.

તો વિપિન પરીખ એક કાવ્યના અંતે પોતાને માતૃભાષા ગમવાનું પ્રમુખ કારણ છતું કરે છે:

બા નવી નવી ‘ડીશ’ શીખવા ‘Cooking Class’માં ગઈ નહોતી.
છતાં ઇંગ્લિશ નામ ખડક્યા વગર એ થાળીમાં જે મૂકતી
તે બધું જ અમૃત બની જતું.
મને મારી ભાષા ગમે છે.
કારણ મને મારી બા ગમે છે.

ડૉ. મનોજ જોશી ‘મન’ પણ મજાનું મુક્તક આપે છે:

પ્રેમ, ખુશી ને પીડમાં કાયમ વ્હારે ધાતી;
ક્રોધ, વિવશતા, ચીડમાં સ્હેજે ના શરમાતી;
દુનિયાનાં આ નીડમાં ટહુકા કરતી! ગાતી;
ભાષાઓની ભીડમાં નોખી છે ગુજરાતી!

શબનમ ખોજા પણ શબનમ જેવો તાજો-મુલાયમ શેર કહે છે:

મારા લોહીનું એ ગુજરાતીપણું
ટેરવાની ટોચ પર કક્કો ફૂટે!

ભાવિન ગોપાણી અમદાવાદના અને અમદાવાદીથી સારો વ્યવહારુ ગુજરાતી બીજો કોણ હોય? જુઓ તો-

ઈશારાથી કીધું બચાવો તો સમજ્યું ન કોઈ,
જો ભાષાના શરણે ગયો તો બચાવ્યો છે સૌએ.

જગદીપ નાણાવટી પણ દેશદેશાવરમાં આપણી ભાષાનો સિક્કો પાડવા કૃતનિશ્ચયી જણાય છે:

ચટ ને પટ, કે ક્રોસ-કિંગ હો, દુનિયાને હર ખૂણે
જ્યાં પણ પડશે, પડશે મારી ગુજરાતીનો સિક્કો

અંતે માતૃભાષાની સમસ્યા અને ઉકેલ બંનેને રજૂ કરતા વિવેક મનહર ટેલરના થોડા શેર માણીએ વિરમીએ-

આડે-અવળે નહીં, સીધા સામા મળો,
દિલ સુધી પહોંચો એ આશામાં મળો;
‘હાય-હેલ્લો’ છોડો, પૂછો- ‘કેમ છો?’
મળવું છે? તો માતૃભાષામાં મળો.

માતૃભાષાની દશા પર દિલ દ્રવે,
કેટલું ને ક્યાં સુધી રડવું હવે?
આ તરફ રંગમંચ છે, ત્યાં બ્રોડ-વે,
જોઉં, દીકરો કોને કેટલું સાચવે?

પહોંચીશું બધા ઘરમાં અમે નેટના રસ્તે,
મા ગુર્જરીનું એમ જીવતદાન બનીશું.

– વિવેક મનહર ટેલર

Comments (10)

(ઓછું પડ્યું) – જગદીપ નાણાવટી

આંસુમાં ખારાપણું ઓછું પડ્યું,
ખુદ મને મારાપણું ઓછું પડ્યું.

કંઈક તો ખૂટતું હતું તસ્વીરમાં,
શી ખબર તારાપણું ઓછું પડ્યું.

ઓટ શ્રધ્ધામાં હતી મારી જ, કે
તસ્બીનું પારાપણું ઓછું પડ્યું?

એમ ખંજર પીઠ પસવારે નહીં…
ક્યાંક તો સારાપણું ઓછું પડ્યું!

એક ચોથો જણ જનાજે ના જડ્યો,
આખરે યારાપણું ઓછું પડ્યું…

– જગદીપ નાણાવટી

ગુજરાતી કાવ્યાકાશમાં તબીબ કવિઓનો તોટો નથી. જેતપુરના ડૉ. જગદીપ નાણાવટી પણ એમ.ડી. મેડિસીનની પદવી ધરાવે છે અને મારા પ્રિય કવિઓમાંના એક છે. એ મને પ્રિય છે પણ એ કારણે નહીં કે અમે બંને સમાન તબીબી લાયકાત ધરાવીએ છીએ, એ કારણે કે એમની પાસે જે મૌલિકતાનો ચમકારો છે એ બહુ ઓછા કવિઓ પાસે જોવા મળે છે. કલ્પન-નાવીન્ય અને અરુઢ વાતોથી શેરની માંડણી કરવાની એમની પાસે કદાચ જન્મજાત આવડત છે. વર્ષોથી એ રોજ મને ગઝલો મોકલે છે અને હું દિલથી વાંચું છું. એમની મોટાભાગની ગઝલોના મોટાભાગના શેર પહેલ પાડ્યા વિનાના સાચા હીરા જેવા હોય છે. થોડું વિશેષ કવિકર્મ, થોડી કવાયત, થોડો વ્યાયામ અને થોડી ધીરજ ધરવામાં આવે તો કવિ અગ્રિમ હરોળમાં સ્થાન અંકે કરી શકે એમ મને કાયમ અનુભવાયું છે. પણ કવિએ કદાચ બાળાશંકરને વધુ પડતા ગંભીરતાથી લઈ લીધા છે- ‘નિજાનંદે રહેજે બાલ, મસ્તીમાં મજા લેજે!’

Comments (17)

ચાર દસકે – જગદીપ નાણાવટી

ચાર દસકે જિંદગી થઈ સાબદી,
રે! હજી તો યાદ છે સાતે પદી.

એ જ ખંજન, સ્મિત નમણું, એ અદા –
કાંઈ પણ લાગ્યું નથી વાસી કદી.

ભેદ ભાગ્યા, ગુણને ગુણ્યા કર્યા,
શેષમાં સંતોષ, વ્હાલપની વદી.

ખળખળ્યાં, ઉછળ્યાં ઝરણ થઈ, પણ હવે
ચાલ વહીએ, ધીરગંભીર થઈ નદી.

બે હલેસાં- એક તું, ને એક હું,
આપણે તો પાર કરવી છે સદી.

– જે. કે.

કવિતા એટલે ખરા અર્થમાં દિલથી દિલને જોડતી કડી… જે વાત કવિના હૃદયમાંથી નીકળી ન હોય અને/અથવા ભાવકના હૃદય સુધી પહોંચી ન શકે એ ગમે એટલી અલંકારિક કે વિદ્વત્તાસભર કેમ ન હોય, એ કવિતા તો નથી જ. વીરપુર નજીક જેતપુર ગામમાં એમડી ફિઝિશ્યન તરીકે વર્ષોથી સેવા બજાવતા તબીબ-કવિ-ગાયક જે. કે. નાણાવટીના દિલમાંથી એમના લગ્નજીવનના ચાર દસકા પૂરા થવાનાનિમિત્તે જે વાત નીકળી એ સીધી આપણા દિલને અડી જાય એવી છે. પાંચેય શેર સરળ હૃદયંગમ બાનીમાં લખાયા છે. જેમ જેમ ગઝલ આગળ વધતી જાય છે, એમ એમ શેર વધુ બળકટ થતા જાય છે. છેલ્લો શેર તો, ભઈ વાહ!

Comments (17)

માતૃમહિમા : ૦૮ : શેર-સંકલન

સત્તરમી વર્ષગાંઠ અને ૫૦૦૦ પૉસ્ટસ – આ બેવડી સિદ્ધિની ઉજવણી નિમિત્તે આદરેલ ‘માતૃમહિમા’ કાવ્યશ્રેણીમાં આજે છેલ્લો મણકો… ભાગ્યે જ કોઈ કવિ આપણે ત્યાં એવા હશે જેણે માનો મહિમા નહીં કર્યો હોય. ઘણા બધા કવિમિત્રોએ મા વિષયક શેર-ગીત-અછાંદસ મોકલી આપ્યાં હતાં, પણ અહીં માત્ર શેર-સંકલનનો જ ઈરાદો હોવાથી ગીત-અછાંદસને પડતાં મૂકવા પડ્યાં છે. જગ્યાના અભાવે ઘણા ગઝલકાર મિત્રોના શેર પણ અહીં સમાવી શકાયા નથી. એ તમામ મિત્રોનો દિલગીરીપૂર્વક આભાર… કેટલાક ઉમદા શેર માણીએ:

સોયમાં દોરાને બદલે બા હતી;
ગોદડીમાં હૂંફ પણ સીવાઈ ગઈ.
– ગૌરાંગ ઠાકર

શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે
જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી
– સુરેન ઠાકર ‘મેહુલ’

મોહબ્બતના દુ:ખની એ અંતિમ હદ છે,
મને મારી પ્રેમાળ મા યાદ આવી.
– મરીઝ

સ્વર્ગ જેવા શહેરથી પાછો વળ્યો હું ગામમાં,
મા વગર ત્યાં કોણ દેશી ગોળ દે ઘીમાં, મિયાં?
– મનોહર ત્રિવેદી

ચોરખિસ્સામાં બધાંયે આંસુઓ સંતાડી રાખે છે,
મા સતત પાંપણની પાછળ એક એવું પર્સ રાખે છે.
– અનિલ ચાવડા

રાજી કે ગુસ્સે હવે થાતી નથી
મા અહીં જ છે પણ એ દેખાતી નથી
– ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

શ્વાસ મારા એમ કૈં અમથા વધ્યા છે ક્યાં ?
રોજ ખરચાતી રહી છે થોડી થોડી મા.
– અશોક ચાવડા ‘બેદિલ’

તીર્થો બધાય પૂજ્યા, તીરથ ઘણાંય કીધાં,
એકેય જાતરામાં માનો વિકલ્પ ક્યાં છે?
– નીતિન વડગામા

જગતનાં સર્વ સુખોથી ભલે જીવન સભર લાગે
ખજાનો સાવ ખાલી મા મને તારા વગર લાગે.
– કિશોર બારોટ

સાવ ખાલીખમ હતું; પણ તું હતી તો,
એમ લાગે ખોરડું પગભર હતું, મા !
– રતિલાલ સોલંકી

રહી ના શક્યો સાથે એની શરમ મોકલે છે,
હવે દીકરો શહેરમાંથી રકમ મોકલે છે.
– ડૉ.મનોજ જોશી ‘મન’

છે ખાતરી કે વ્હાલ મા જેવુ જ આપશે;
મળશે જો મોત તો મને રડવા દે નહીં જરાય.
– સર્જક

ત્વચા કપાય તો લોહી અપાર નીકળે છે, ને બુંદ-બુંદથી માનું ઉધાર નીકળે છે;
ભલેને સાત જનમની મૂડી લગાવી દઉં, છતાંય માવડી તો લેણદાર નીકળે છે
– શોભિત દેસાઈ

આમ કંઈ ટૂંકૂ પડે તો કોઈને ગમતું નથી
મા છતાં રાજી હતી કે પારણું ટૂંકું પડ્યું
– ભાવિન ગોપાણી

હજી પણ પાતળાં કપડાંથી સૂરજને એ હંફાવે,
હજી મારી મા, પાલવ એટલો દમદાર રાખે છે.
– વિપુલ માંગરોલિયા-વેદાંત

મા વિશે હું કંઈ લખું,
એટલું છે ક્યાં ગજું!
– ચેતન ફ્રેમવાલા

સ્વર્ગમાં હાલરડા એને સંભળાવે કોણ?
તેથી ઇશ્વર પણ કનૈયો થઈને આવે છે
– સુરેશ વિરાણી

ઠેસ વાગે સાઠ વર્ષે જો અચાનક,
તો ય જોજો ‘ઓય મા’ બોલી જવાશે.
– ભરત ભટ્ટ ‘પવન’

એક વિધવા મા તો બીજું શું કરે?
ધીમે ધીમે બાપ બનતી જાય છે.
– મધુસૂદન પટેલ

‘મ’ને જ્યારે કાનો લાગે,
દરિયો સુદ્ધાં નાનો લાગે.
– જગદીપ

Comments (12)

(ત્રિપદી પ્રયોગ ગઝલ) – જગદીપ નાણાવટી

મૃગજળમાંથી મૃગજળ પી તું
મૃગજળમાંથી મૃગ જળ પીતું
કેવું અા સૂઝ્યું અોચિંતુ !!

સમજણ સરરર સર સરકી તું
સમજણ સરરર સર સર, કિંતુ
હરદમ અાડો અાવે ‘કિંતુ’

સારેગમ પધનીસા ની ઝણણ ઝટ
સારેગમ પધની શાની ઝંઝટ?
મારે ક્યાં ગાવા છે ગીતુ ??

દર્પણ સામે દર્પણ લાગે
દર્પણ સામે ડર પણ લાગે
માણસ થઈ માણસથી બ્હી તું?

શતરંજોમાં જીવતું પ્યાદું
શત રંજોમાં જીવતું પ્યાદું
હારીને અંતે હું જીતું

– જગદીપ નાણાવટી

અચાનક વૉટ્સ-એપના એક ગ્રુપમાં આ ગઝલ રમતી જડી આવી. કવિ આને ત્રિપદી પ્રયોગ ગઝલ તરીકે ઓળખાવે છે, જેમાં દરેક શેરની પહેલી બે કડી આંતર્પ્રાસ મેળવીને ચાલે છે અને ત્રીજી પંક્તિ હમરદીફ હમકાફિયાનો હાથ ઝાલીને ચાલે છે… પહેલી બે પંક્તિ વાંચતા જ સ્તબ્ધ થઈ જવાયું. ચિત્રકાર રંગોની એમ કવિ શબ્દોની રમત શરૂથી કરતો આવ્યો છે પણ એક જ પંક્તિમાં શબ્દો વચ્ચેના અવકાશની જગ્યાની ફેરબદલી અને નાની અમથી જોડણીની હાથચાલાકી કરીને અર્થસભર શેર નિપજાવવા એ કેટલું મોટું કામ કહેવાય! કુશાગ્ર બુદ્ધિમતા વિના આ કામ શક્ય જ નથી… ગઝલ વાંચતાવેંત હું તો આફરીન-આફરીન પોકારી ગયો… આપણી ભાષામાં આવી ઉત્તમ શબ્દ-ચમત્કૃતિવાળી રચના ભાગ્યે જ જોવા મળશે…

Comments (11)

ગુજરાતી ગઝલમાં ‘મૃત્યુ’ :કડી ૦૫

મૃત્યુ વિષયક શેરોની ગલીઓમાં ફરી એકવાર થોડા આગળ વધીએ… આ વખતે કોઈ એક કવિ ‘મૃત્યુ’ નામના એક જ વિષય પર અલગ અલગ નજરિયાથી વાત કરે એના બદલે એક જ વિષય પર અલગ અલગ કવિઓ શું કહે છે એનો આસ્વાદ લઈએ…

શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નિરખવા માટે, ભાન ની સૃષ્ટિની સીમાને પરખવા માટે,
દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે, કોઈ મહેફિલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.
– હરીન્દ્ર દવે

મોત તારી કારી નિષ્ફળતા ઘડીભર જોઈ લે,
કેટલા હૈયે સ્મરણ મારા બિછાવી જાઉં છું,
-હરીન્દ્ર દવે

જેવું તને મેં જોયું ત્યાં ભાંગી પડ્યો, મરણ!
મંજિલ મળી તો લાગે છે મોકાનો થાક છે.
– હરીન્દ્ર દવે

એ જ કારણસર રડ્યો ના હું સ્વજનના મોત પર,
ઓ ‘જલન’ જાણે કે મૃત્યુ મારું પોતાનું હતું.
– જલન માતરી

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’ ?
જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી.
– જલન માતરી

જીવન માટે સદા પ્રત્યેક ક્ષણ સંદેશ આપે છે,
નથી કાયમ અહીં કોઈ – મરણ સંદેશ આપે છે;
જે જન્મે રમ્યતા લઇને એ વિકસે છે પ્રભા થઇને,
ઉષાનું ઊગતું પહેલું કિરણ સંદેશ આપે છે.
– ઇજન ધોરાજવી

બારણે જો દે ટકોરા તો હું ભેટીને મળું
મળતું બિલ્લિપગ, મરણની એ જ તો તકલીફ છે
– પ્રણવ પંડ્યા

અમસ્તા જ દરવાજો ખોલ્યો અમે
હતી ક્યાં ખબર કે મરણ આવશે
– આદિલ મન્સૂરી

મરણ દરેકની સાથે કર્યા કરે રકઝક
બહુ અનુભવી જૂનો ઘરાક લાગે છે.
-આદિલ મન્સૂરી

જીવન થકી જ જણાયું કે અહીં મરણ પણ છે,
થઈ મરણને લીધે જાણ કે હયાતી છે.
– મુકુલ ચોકસી

મારું મરણ ક્યાં એકલું મારું મરણ હતું?
સંસાર, આંખ મીંચી તો નશ્વર બની ગયો!
-શ્યામ સાધુ

માની રહ્યો છે જેને જમાનો જીવન-મરણ,
ઝગડો એ હા ને ના નો હતો. કોણ માનશે?
– ‘રૂસવા’

મરણ અહીંથી તને લઈ જવાનું પળભરમાં,
તું બેખબર આ જગતને વિશાલ સમજે છે.
– મરીઝ

મોત તું શું બહાનું શોધે છે?
મારું આખું જીવન બહાનું છે
– મરીઝ

મને એવી રીતે કઝા યાદ આવી,
કોઈ એમ સમજે દવા યાદ આવી.
– મરીઝ

મરણ પછી જે થવાનું છે તેની ટેવ પડે,
હું તેથી મારા જીવનમાં જ આમતેમ રહ્યો.
– મરીઝ

હવે કોઈ રડી લે તો ‘મરીઝ’ ઉપકાર છે એનો,
કોઈને કંઈ નથી નુક્શાન જેવું મારા મરવાથી.
– મરીઝ

આપ ગભરાઈને જતા ન રહો,
આ છે છેવટના શ્વાસ, હાય નથી.
– મરીઝ

તંગ જીવનના મોહથી છું ‘મરીઝ’,
આત્મહત્યા વિના ઉપાય નથી.
– મરીઝ

મરણ હો કે જીવન હો એ બન્ને સ્થિતિમાં, ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે;
જનાજો જશે તો જશે કાંધે-કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે.
– મરીઝ

જીવનના બંધનો હસતા મુખે જેબે વિદાય આપે,
ફકત એ આદમીને હક છે કે આઝાદ થઈ જાએ.
– મરીઝ

મોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’,
હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે.
– મરીઝ

કેમ હો જીવનનું ઘડતર જ્યારે હું શીખ્યો ‘મરીઝ’,
વાહ રે કિસ્મત ! કે મૃત્યુનો સમય આવી ગયો.
– મરીઝ

‘મરીઝ’ એની ઉપરથી આપ સમજો કેમ ગુજરી છે,
મરણ આવ્યું તો જાણ્યું જિંદગાની લઈને આવ્યો છું.
– મરીઝ

જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.
– મરીઝ

દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું,
મૃત્યુનું બહાનું કરી આ પાછો ફર્યો લે.
– મરીઝ

જીવનને કોઈ પણ રીતે નિષ્ફળ જવું હતું,
એવામાં કોઈ રોકે તો રોકે ક્યાં લગ મરણ ?
– રવીન્દ્ર પારેખ

આજે મરણનો ભેદ કાં પૂછે છે આ જગત?
પેદા થતાં ન પૂછ્યું કે કાં આવવું પડ્યું?!
– સૈફ પાલનપુરી

હવે તો સૈફ ઇચ્છા છે કે મ્રત્યુ દ્વાર ખખડાવે,
ઘડી ભર તો મને લાગે કોઈના આગમન જેવું
– સૈફ પાલનપુરી

જો હૃદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી,
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.
– ગની દહીંવાલા

જિંદગાનીને દુલ્હનની જેમ શણગારી ‘ગની’,
એને હાથોહાથ સોંપી જેમના ઘરની હતી.
– ગની દહીંવાલા

જિંદગી મૃત્યુની ખાતર જાળવી રાખો ‘ગની’,
આખરી મેહમાનને માટે ઉતારો જોઈએ.
– ગની દહીંવાલા

છોડીને એને ક્યારના ચાલી જતે અમે,
હક છે મરણનો એટલે રાખી છે જિંદગી
-અમર પાલનપુરી

દયા તો શું, હવે સંજીવની પણ કામ નહિ આવે,
જીવનના ભેદને પામી ‘અમર’ હમણાં જ સૂતો છે.
-અમર પાલનપુરી

એ ક્ષણે રંગો હશે, સૌરભ હશે, ઝળહળ હશે,
મૃત્યુ પણ કોઈ નવોઢા જેમ આંગણ આવશે
-ભગવતી કુમાર શર્મા

મને જીવન અને મરણની એટલી ખબર છે,
કબર પર ફૂલો ને ફૂલો પર કબર છે
-જયંત શેઠ (?પાઠક)

ખુલ્લી આંખો જિંદગી છે, બંધ આંખો મોત છે,
પાંપણો વચ્ચેનું અંતર જિંદગાની હોય છે.
– ‘કાબિલ’ ડેડાણવી

પ્રભુ ના સર્વ સર્જનની પ્રતિષ્ઠા જાળવું છું હું,
મરણની લાજ લૂંટીને નથી થાવું અમર મારે
-ઓજસ પાલનપુરી

મારી પાછળ મારી હસ્તી એ રીતે વિસરાઈ ગઈ,
આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ.
-ઓજસ પાલનપુરી

કોણે કહ્યું હતું કે મૃત્યુ થયું છે તારું,
ફરકી રહી છે આજે તારી ધજા હજુ પણ.
– અબ્બાસ રૂપાવાલા ‘રફીક’

તને હું કેમ સમજાવું સફર છે દૂરની ‘અકબર’ ?
ઉતારો છે, તને જે કાયમી રહેઠાણ લાગે છે.
– અકબરઅલી જસદણવાળા

કહે છે મોત જેને એ અસલમાં છે જબરજસ્તી,
હરિ ઇચ્છા કહી એને હું પંપાળી નથી શકતો.
– ઘાયલ

એક પંખી મોત નામે ફાંસવા
જાળ છેલ્લા શ્વાસ કેરી પાથરો
– ડૉ. જગદીપ નાણાવટી

સામે છે મોત તો ય સતત ચાલતી રહે
આ જિંદગી ય ખૂબ નીડર હોવી જોઈએ
– રઈશ મનીઆર

ભલે મોત સામે થયો હો પરાજય,
છતાં જિંદગી ‘બાબુ’ વર્ષો લડી છે.
– બી. કે. રાઠોડ ‘બાબુ’

થોડીક શિકાયત કરવી’તી થોડક ખુલાસા કરવા’તા,
ઓ મોત જરા રોકાઈ જતે – બેચાર મને પણ કામ હતાં.
-સૈફ પાલનપુરી

હવે તો ‘સૈફ’ ઇચ્છા છે કે મૃત્યુ દ્વાર ખખડાવે,
ઘડીભર તો મને લાગે કોઈના આગમન જેવું.
-સૈફ પાલનપુરી

અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં;
સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં.
– શેખાદમ આબુવાલા

બે કદમ વધે છે એ રોજ શ્વાસની સાથે,
મોત પણ સલામત છે, જિંદગીની છાયામાં.
– મનહરલાલ ચોક્સી

જુઓ આ દેહમાં ઉષ્માનો પરપોટો નથી બાકી,
હવે કરશે મનન શું કોઈ કારાવાસ રોકીને ?
– મનહરલાલ ચોક્સી

મોત જો વરસાદ થઈ તૂટી પડે,
તો આ મરવું થાય મુશળધાર પણ !
-રવીન્દ્ર પારેખ

મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી,
બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી;
જાન દીધો છે ખુદાએ ચાર દિ’ માટે ઉધાર,
એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી.
-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

શું કુબેરો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે,
હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે;
કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી,
આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે.
-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

જીવન અર્પણ કરી દીધું, કોઈને એટલા માટે,
મરણ આવે તો એને કહી શકું ‘મિલકત પરાઈ છે’ !
– ‘શૂન્ય’ પાલનપુરી

જમાનો એને મરણ માને તો ભલે માને –
કદમ વળી ગયાં મારાં અસલ મુકામ તરફ.
– ‘શૂન્ય’ પાલનપુરી

છે તમારી જ હયાતિનું એ બીજું પાસું,
મોત આવ્યું તો ભલે, એનો યે પરદો ન કરો!
-ભગવતીકુમાર શર્મા

રમત શ્વાસના સરવાળાની,
મૃત્યુ રાહત વચગાળાની.
-ઉર્વીશ વસાવડા

સ્મરણ રૂપે રહ્યો છું જીવતો હું સર્વના હૈયે,
મને ના શોધશો અહીં, હું કબર નીચે નથી સૂતો.
– ‘દિલહર’ સંઘવી

‘નૂર’ કેવળ શ્વેત ચાદર લઈને દુનિયાથી ગયો,
જિંદગી એણે વિવિધ રંગોથી શણગારી હતી.
‘નૂર’ પોરબંદરી

નથી ભય મોતનો કે મોત કેવળ એક વેળા છે,
જીવનની તો ઘણીવેળા દશા બદલાઈ જાય છે.
-હસનઅલી નામાવટી

Comments (39)

ગઝલ – ડૉ. જગદીપ નાણાવટી

એટલું પણ યાદ આવ્યા ના કરો
કે રગે રગ શૂળ થઈને પાંગરો

એક તો ભીનાશ, ને તારી હવા
આંખમાં વાવી દીધો ઉજાગરો

સાત પેઢી દૂરના પાયા અમે
ઓળખે ક્યાંથી બિચારો કાંગરો

એટલું પૂછ્યું કે બીજો ક્યાં મળે
એટલામાં એ ખુદા, કાં થરથરો ?

એક પંખી મોત નામે ફાંસવા
જાળ છેલ્લા શ્વાસ કેરી પાથરો

– ડૉ. જગદીપ નાણાવટી

વેદનાથી વલૂરાયેલી ગઝલ. બધા જ શેર ઘેરા રંગના પણ માણવા ગમે એવા થયા છે. વિરસાસન્ન આંખોમાં તરવર્યા કરતી ભીનાશને પ્રિયતમાની યાદનો પ્રાણવાયુ મળે તો ઉજાગરાનો છોડ જ ઊગી આવે ને?  પણ મને પાયા અને કાંગરા વચ્ચેનો સંબંધ અને દૂરતાવાળો શેર અને છેલ્લા શ્વાસની વાતનું નાવીન્ય વધુ સ્પર્શી ગયું…

Comments (11)

सरहद की दोनों ओर चहकता चमन रहे (भाग – १)

ટાઇમ્સ ઑફ ઇન્ડિયા‘ ના ઉપક્રમે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ ‘અમન કી આશા’ નામના બીજનું સંવર્ધન પાકિસ્તાનના ‘જંગ’ અખબારના સંયુક્ત ઉપક્રમે થઈ રહ્યું છે. આ અન્વયે બે દેશના શાયરો વચ્ચે ફિલબદી (પાદપૂર્તિ) યોજવાની વિચારણા હતી અને ઇન્ટરનેટના માધ્યમનો હવાલો મને સોંપવામાં આવ્યો. કમનસીબે પાકિસ્તાનની વેબસાઇટ્સ અને અખબારોના તંત્રીઓને લખેલા એક પણ ઇ-મેલનો જવાબ સરહદપારથી હજી આવ્યો નથી… આ કાર્યક્રમને ઘણા લોકોએ વખોડ્યો પણ ખરો, પણ અમે તો એટલું જ માનીએ છીએ કે દુર્યોધન ભલે યુધિષ્ઠિર ન થાય પણ યુધિષ્ઠિર તો દુર્યોધન ન જ થાય…

દેશ-વિદેશમાં વસતા ભારતીય કવિઓએ સરહદની પેલે પાર પ્રેમભર્યો હાથ લંબાવ્યો છે… એની થોડી ઝલક:

યુ.કે.થી ગુજરાતી લિટરરી ગ્રુપ ઑફ લેસ્ટરના સેક્રેટરી દિલીપ ગજ્જર વિખરાયેલા બે દાણાઓને તસ્બીમાં પરોવી દેવા જેવી ઉદાત્ત ભાવના સાથે આવે છે:

सीमीत मनकी  पंखका निस्सीम हो विस्तार,
अब  घोंसला  है  विश्व  सभीका  सदन  रहें

तस्बीमें   पीरों   दूँ में ये  बिखरे  हुए   दाने
हरदम  खुशीमें चुरचुर  मन  और  तन  रहें

ફ્લોરિડા, અમેરિકાથી જૈફ શાયરા નઈમ ફાતિમા તૌફિક એકતાની આહલેક જગાવે છે:

हम एक हैं, हम एक हैं – नारा बुलंद हो,
सरहद की दोनों ओर चहकता चमन रहे

વડોદરાના મીનાક્ષી ચંદારાણા ગઝલની પંક્તિને બખૂબી ગીત બનાવીને પીરસે છે અને બે ધર્મ, બે પ્રાંત અને બે માણસોના મીઠા મિલનથી વાતાવરણને રંગી દે છે:

कविता हो शायरी हो, गाना हो, हो तरन्नुम,
हो भक्ति, हो तसव्वुफ, हो प्रेम, हो तगझ्झुल,
आझान आरती का मीठा मिलन रहें…
सरहद की दोनो और चहकता चमन रहें ।

-તો અમિત ત્રિવેદી સરહદને જોનારી આંખોને અંધકરાર આપે છે:

अंधी जो आंखे  देख  सके उस  लकीर को –
बोलो क्युँ देखे हम भी वो जिस पर कफन रहे

– યુ.કે.થી ગુજરાતી રાઈટર્સ ગિલ્ડના માનદ્ સેક્રેટરી શ્રી સિરાઝ પટેલ ‘પગુથનવી’ પણ કાયમી શાંતિની આશાને પુષ્ટિ આપે છે:

सरहदकी   दोनों    और   चहकता  चमन  रहे’
बेसाखता    हे    हसरत   अमनो    अमन   रहे

અમેરિકાથી ‘ઊર્મિ’ પણ અંતરો વચ્ચેના અંતરને ઓછું કરવાના મતની છે અને માથા પર કોઈ સીમા વિના વિસ્તરેલા આકાશના વિશાળ ઐક્યને દિલોમાં ઉતારવાની મધુરી વાત કરે છે:

हर दिलसे ये दुआ उठे की दूरियां हो कम,
दोंनो तरफको चैन मिले और अमन रहे.

तो क्या हुआ अलग है जमीं और अलग धरम,
यु इक बने रहे सभी जैसे गगन रहे.

-જેતપુરના તબીબ કવિ ડૉ. જે.કે. નાણાવટીનો અંદાજ-એ-બયાઁ બધાથી નિરાળો છે. એમની પંક્તિઓ દિલ પર સદાકાળ માટે અંકિત થઈ જાય અવી છે:

आदाब एक हाथ से, या दो से नमस्ते
दिलमे जरुरी खास, खयाले नमन रहे

भंवरे तो गुनगुनायेंगे, आदत ही डाल दो
मक़सद यही रहे की सलामत सुमन रहे

-અમેરિકાથી સુધીર પટેલ પણ એમની હળવી સરળ બાનીમાં ઊંડી અને ઊંચી વાત કરે છે:

हद की लकीर चाहे रहे नक़्शे पे यहां ,
दिल पे मगर ना कोइ भी हद का चलन रहे |

– સુરતના કવિઓના દિલની વાત આવતા શનિવારે….

Comments (10)

ગઝલ – ડૉ. જગદીપ નાણાવટી

રસ્તો થવું ગમે છે મને ભીડની તળે
મંઝિલ બનું તો લોક ફકત એક બે મળે

છળના અફાટ રણમાં પીગળતો આ આયનો
મૃગજળ થઈને આજ ફરીથી મને છળે

વાતો તણો સબંધ હવે ક્યાં રહ્યો છતાં
અફવા જરાક અમથી બધા કાન સાંકળે

પીળા કરમ કરીને બધાં પાંદડાં ખરે
લીલું મઝાનું પુણ્ય ઊગે એક કૂંપળે

તુલસી નહીં, ન જળ કોઈ જીહ્વા ઉપર હશે
રમતું તમારું નામ સતત આખરી પળે

– ડૉ. જગદીપ નાણાવટી

મુસાફરીમાં જે મજા છે એ મંજિલમાં નથીની વાત કવિ સાવ અનૂઠી રીતે જ લાવ્યા છે. ટોચ પર હંમેશા એકલતા જ હોવાની. વળી કવિની વાતમાં જે સમર્પણની ભાવના છે એની અહીં ખરી મજા છે. કવિ પોતે નથી મુસાફર કે નથી મુસાફરીમાં, પણ અન્યની મુસાફરીમાં પાયાનો આધાર- રસ્તો-બનવાની ખેવના કરે છે અને રસ્તો પણ એટલા માટે બનવા ચહે છે કે અનેકોને ધ્યેયપૂર્તિમાં કામ આવી શકે, મંઝિલ બની જાય તો એકાદ-બે જણને જ સંતોષનો ઓડકાર અપાવવાનું નિમિત્ત બની શકે…

Comments (11)

ઝાકળબુંદ : ૬ : કોણ કહે હું કડકો – ડૉ. જગદીપ નાણાવટી

ચપટી ધરતી, નભ આંખોમાં, વાયુ કેરો ઝટકો
ઝાકળ નામે જળ લીધું મેં અગન સરીખો તડકો
.                            વાલમ કોણ કહે હું કડકો….

કલરવ છે કલદાર અમારા, ગિરિ કંદરા મહેલો
સમજણ ને સથવારે ચાલું, પંથ નથી કંઈ સહેલો
હરિયાળી પાથરણું મારું, સહેજ ન લાગે થડકો
.                          વાલમ કોણ કહે હું કડકો…

લાગણીઓના તોરણ લટકે, પ્રેમ અમારા વાઘા
સૂર્ય-ચંદ્ર ની સાખે જીવીએ, ભલે રહ્યા સૌ આઘા
ધકધકતી છાતીએ અમને એક વખત તો અડકો
.                             વાલમ કોણ કહે હું કડકો…

આંસુના તોરણ બંધાયા, ધૂપસળી મઘમઘતા
કાંધે લેવા મને નગરજન, હુંસાતુંસી કરતા
સન્નાટો છે ગામ ગલીમાં, સૂની છે સૌ સડકો
.                          વાલમ કોણ કહે હું કડકો…..

-જગદીપ નાણાવટી

અમદાવાદમાં મેડીકલ એસોસિએશનના ઉપક્રમે યોજાયેલા કવિસંમેલનમાં ડૉ. જગદીપ નાણાવટીના મુખે આ રચના સાંભળીને ખંડમાં ઉપસ્થિત મેદની શબ્દશઃ હિલ્લોળે ચડી હતી. સૌરાષ્ટ્રમાં જેતપુર ખાતે ફિઝિશ્યન (M.D. Medicine) તરીકે સેવા આપતા તબીબ કડકા તો ન જ હોય પણ આ ગીત લખતીવેળા એ એમના મગજમાં સ્પષ્ટ છે: “સામાન્ય રીતે એક એવી યુનિવર્સલ માન્યતા છે કે કવિ એટલે હમેશા ‘કડકો’…! ! તો, હું એક કવિ હોવાને નાતે, સર્વ કવિઓ વતી આ ગીતમાં બધાંને જવાબ આપુ છું કે કવિ પાસે શું શું અમૂલ્ય મિલ્કતો રહેલી છે…..ગમે તો બિરદાવજો, નહીં તો અમથાયે કડકાજ છીએ….”

Comments (13)