વીતેલાં વરસોએ મને થોડા રૂપેરી વાળની ભેટ આપી છે, લો, અમે આવી ગયા. મહાયાત્રાની તૈયારી કરો!” એ આદેશ કહેતા, કાનમાં ઝૂકેલા, કાનપટ્ટી પાસે સફેદ વાળ ઉગાડ્યા છે, ચશ્માંના ગ્લાસ જાડા બનાવ્યા છે, ઝીણીઝીણી અસંખ્ય મુગ્ધતાઓ છીનવી લીધી છે, જે કંઈ છીનવાઈ ગયું છે વીસ વરસોમાં તે માટે સમયને માફ કરી દેવાની વૃત્તિય જન્માવી છે. અનિલ ને રમેશની આંખો વચ્ચે મુંબઈ-અમરેલીનો પાંચસો માઈલનો પટ્ટો પાથરી દીધો છે.
March 22, 2025 at 12:30 AM by વિવેક · Filed under અનિલ જોશી, ગીત
દરિયાનાં ગીત નથી ગાવાં,
દરિયો તો મારા સાજનની આંખજોયું ટીપું.
લયથી હું રેબઝેબ રેલાતી જાઉં મારા ખૂટે દિવસ નહીં રાત
વાસણની જેમ પડ્યાં હાથમાંથી કામ અને વીસરાતી ચાલી આ જાત!
હું તો રણમાં જોવાતી તારી વાટ રે સજન, તમે આવો તો કૈંક હવે દીપું,
દરિયાનાં ગીત નથી ગાવાં, દરિયો તો મારા સાજનની આંખજોયું ટીપું.
ફળિયામાં ઝૂલે છે ખાખરાની ડાળ, અને ઓસરીમાં હોવાનો ભાર
ઘરની શોભા તો મારા સાજનના બોલ, હું તો કેડીનો રઝળુ શણગાર!
સાજનનાં પગલાંની ભાતને હું ઝીલવા સળીઓનાં નીડ નહીં લીંપું,
દરિયાનાં ગીત નથી ગાવાં, દરિયો તો મારા સાજનની આંખજોયું ટીપું.
– અનિલ જોશી
પાંચમા ધોરણના દિવાળી વેકેશનમાં મેં કવિતા લખવાની શરૂઆત કરી હતી એટલે કવિતા એ પહેલેથી જ મને આકર્ષતી હશે એ વાત તો નક્કી જ, પણ અનિલ જોશીની આ રચના મારા માટે એટલા માટે ખાસ છે કે આ ગીતે મને સાચા અર્થમાં કવિતાના પ્રેમમાં પાડ્યો. આ ગીત મને વરસો સુધી કંઠસ્થ રહ્યું. હજી આજેય મુખડું અને પહેલો બંધ હું અડધી રાતેય આંખ મીંચીને લલકારી શકું એટલું આ ગીત મારા દિલની નિકટ છે. આશ્ચર્ય તો એ છે કે લયસ્તરોની વીસ-વીસ વરસની સુદીર્ઘ યાત્રા દરમિયાન આ ગીત પોસ્ટ કરવાનું મને કદી સૂઝ્યું જ નહીં. મુખડામાં દરિયાની સાપેક્ષે આંસુનું ટીપું મૂકીને કવિએ બિંદુને સિંધુ સમકક્ષ પહોંચાડવાનું જે કવિકર્મ કર્યું છે એણે પહેલી જ બોલે બેટ્સમેન ક્લિન બોલ્ડ થઈ જાય એ રીતે પહેલા વાંચનમાં જ મારી વિકેટ પાડી દીધી હતી. દુનિયાની કોઈ પણ પ્રેમિકા પોતાના પ્રિયજનની આંખમાં આંસુનું ટીપું જોવા તૈયાર ન જ હોય. પ્રિયજનની આંખોમાં આવતું આંસુ દરિયાથીય વિશાળ લાગતું હોવાથી નાયિકા દરિયાનાં ગીત ગાવાં તૈયાર ન થાય એ વિભાવના પૂરી સમજાયા વિના પણ મને સ્પર્શી ગઈ હતી. કામ કરતી વ્યક્તિ પરસેવે રેબઝેબ થાય એ તો સમજાય પણ જેના હાથમાંથી વાસણની જેમ તમામ કામ પડી ગયાં હોય એવી કામધામ અને જાત વિસારે પાડીને બેઠેલ નાયિકા લયથી રેબઝેબ થઈ જાય એ રૂપકના પ્રેમમાંથી હું આજેય મુક્ત થઈ શક્યો નથી… આ ગીત વિશે લખવા બેટઃઓ છું ત્યારે આ ગીતે મારા બાળમાનસ પર પાડેલ પ્રભાવ અને એની આજ દિનપર્યંત જીવંત રહેલ અસર મને સમજાઈ રહી છે… આભાર, અનિલ જોશી! ગીતો સાથે તમે મારું જે સગપણ બાંધી આપ્યું, એ હવે આ જન્મે તો તૂટવાથી રહ્યું…
ગઈકાલે અને પરમદિવસે આપણે ફાગણની પ્રથમઅને દ્વિતીયરંગછોળ માણી… આજે આ શૃંખલાની ત્રીજી કડી… ફાગણ વિષયક કવિતાઓ એકત્ર કરવા બેસીએ તો આખો ગ્રંથ ભરાઈ જાય… આપની પાસે ફાગણ અને હોળી-ધૂળેટીના રંગોની કવિતાઓ હોય તો કમેન્ટ વિભાગમાં પોસ્ટ કરવા અમારું આપને નેહનિમંત્રણ છે… ભવિષ્યમાં આ શૃંખલા આગળ વધારીએ ત્યારે એ કાવ્યકણિકાઓને એમાં સમાવિષ્ટ કરવા અચૂક પ્રયત્ન કરીશું…
પ્રકૃતિ અને સૌંદર્યના કુમાશભર્યા આલેખનના કસબી કવિ પ્રિયકાંત મણિયારનાં મુલાયમ રંગકાવ્યોમાંથી કેટલાકનાં અંશ સાથે આજની રંગછોળના શ્રીગણેશ કરીએ-
રાજેન્દ્ર શુક્લની આ ગઝલમાંથી કયા શેર પસંદ કરવા અને કયા નહીં એ કાર્ય એટલું તો દુભર છે કે આખી ગઝલ માણ્યે જ છૂટકો. આપણા આખાય અસ્તિત્વને મઘમઘ કરી દે એવી આ ગઝલ લવિંગની જેમ ધીમે ધીમે મમળાવવા જેવી છે…
અહો શ્વાસ મધ્યે વસંતો મહોરી,
ઊડે રંગ ઊડે ન ક્ષણ એક કોરી !
ઊડે દૂરતા ને ઊડે આ નિકટતા,
અહીં દૂર ભાસે, ત્યહીં સાવ ઓરી !
ઊડે આખ્ખું હોવું મુઠીભર ગુલાલે,
ભીંજે પાઘ મોરી, ભીંજે ચુનરી તોરી !
ઊડે છોળ કેસરભરી સર સરર સર,
ભીંજાતી ભીંજવતી ચિરંતનકિશોરી !
સુભગ આપણો સ્વર બચ્યો છે સલામત,
ગઝલ ગાઈયેં, ખેલિયેં ફાગ, હોરી !
ગઝલની વાત નીકળે અને ગઝલસમ્રાટ મનોજ ખંડેરિયાને ન સ્મરીએ એ કંઈ ચાલે? માણીએ એમની સદાબહાર ગઝલનો એક યાદગાર શેર-
ઊડી રહ્યાં છે યાદનાં અબીલ ને ગુલાલ
હૈયે થયા છે આજ તો છાંટા વસંતના
નિત અબીલે-ગુલાલે લેટી છે,
આપણી જિંદગી ધૂળેટી છે.
ગઝલકારોની મહેફિલ જામી હોય તો અમૃત ઘાયલ શીદ બાકી રહી જાય?
એક રસનું ઘોયું એમ મને ટચ કરી ગયું
ખંજરો હૃદયમાં જાણે કોઈ ખચ કરી ગયું!
એ સૂર્યનેય આજ તો સૂરજમુખીનું ફૂલ
બહુ ઢીલોઢફ, ને છેક પીળોપચ કરી ગયું!
મનોજ ખંડેરિયાની ગઝલનો રણકાર ઝીલી લઈ આગળ વધારતી હોય એવી કરસનદાસ લુહારની ગઝલના બે શેર પણ આ ક્ષણે આસ્વાદવા જેવા છે:
આ પાંદપાંદમાં છે ઉમંગો વસંતના,
છલકી રહ્યા છે ફૂલમાં રંગો વસંતના.
આભાસ ગ્રીષ્મનોય પણ સ્પર્શી શકે નહીં,
ઊતરી ગયા છે લોહીમાં રંગો વસંતના.
લોહીમાં વસંતના રંગો ઊતરી જાય ત્યારે રક્તવાહિની વસંતવાહિની-રંગવાહિની બની જાય અને હૈયું કેસૂડાઈ જાય… વસંતમાં રંગનો જ મહિમા છે. આ જ કવિ બીજી એક ગઝલમાં કહે છે:
આવું થવાને પાપ કહેવું એ જ પાપ છે,
ગેરુઆ વસ્ત્રમાં પડ્યો ડાઘો વસંતનો.
ગનીચાચાની તો વાત જ નિરાળી… કહે છે:
ઉદ્યાનમાં જઈને કર્યા મેં તમોને યાદ, (કેમ ભાઈ? તો કે..)
ફૂલોને જોઈતી હતી ફોરમ વસંતમાં.
પાપી હશે એ કોણ જે ગૂંગળાવે ગીતને,
કોકિલને કોણ શીખવે સંયમ વસંતમાં!
આ ઇન્દ્રધનુષની પિચકારી કાં સપ્ત રંગમાં ઝબકોળી?
ફાગણ નહિ આ તો શ્રાવણ છે, એમાંયે રમી લીધી હોળી?
છંટાઈ ગયા ખુદ, વ્યોમ સમું પોતાનું વસ્તર ભીંજાણું?
નવલું નીલાંબર ભીંજાણું.
પુરુરાજ જોશી બહુ જ ઓછા શબ્દોમાં જે વાત કહી શક્યા છે, એ કહેવા માટે પાનાનાં પાનાં ઓછાં પડે… સારી અને સાચી કવિતાની આ જ તો ખરી ખૂબી છે, ખરું ને?-
ફાગણમાં હોળી પ્રગટાવી !
ખુદને આપણે ખોયાં સાજન !
ગામમાં ફાગણ અને હોળીની ખરી મજા એના ફટાણામાં છે… ફાગણની વાત જ અલગ અને એય વળી જો ફટાણું હોય તો એમાં ગોળથીય મીઠ્ઠી લાગે એવી ગાળ પણ આવવાની જ. ફટાણાં ગાઈને સામી વ્યક્તિને અપશબ્દોથી નવાજવાની જે આઝાદી આપણા સાહિત્યમાં છે એ ખૂબ મજાની છે… કારણ આ રીતે આપવામાં આવેલી ગાળ પણ ગાળ નહીં, પ્રેમની પ્રસાદી જ લાગે છે… ખાખરાના કેસરી રંગમાં ર.પા.ને રંગભરી પીચકારીઓ નજરેચડે છે. આખું ગીત ફાગણનો ફાટ-ફાટ વૈભવ અને યૌવનના ઉંબરે ઊભેલાછોકરા-છોકરીની પ્રણયાસિક્ત સંવેદનાઓને એવી રમતિયાળ ઢબે રજૂ કરે છે કે વાંચતા-વાંચતા જ રમવા દોડી જવાનું મન થાય…
એન્ની માનું કોરું નહીં જાય કોઈ બાકી
કે ખાખરાએ ડાળીઓની પીચકારી તાકી
ને ઢોલ હાળા ધકામૂકી ધકામૂકી થાય…
ફળિયે પલાશ ફૂલ નીતરતું ઝાડ
અને હું રે વેરાઈ જઉં રાનમાં
મારી હથેળીમાંય એવી રેખાઓ
જેવી રેખાઓ ખાખરાના પાનમાં
લીંબોળી વાવીને છાંયડા ઊછેરું પણ ચોમાસું કેમ કરી વાવવું?
ફાગણની કાળઝાળ બળતી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું.
જ્યારે શબ્દકોશ અને શરીરકોષની સીમા વળોટીને આપણે પર્વ ઉજવીએ છીએ ત્યારે જીવન નંદનવન બને છે
આંખની તો વાત ના પૂછો કે એને શું થયું
દૃશ્ય સૌ ગાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે
શબ્દકોશો ને શરીરકોષોની પેલે પારનાં –
પર્વ ઉજવાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે
સુરેશ દલાલ અંબોડામાં કેસૂડો પરોવીને આંખોમાં ફાગણનો કેફ આંજી રમવા માટે જે ઈજન આપે છે એને કોઈ કઈ રીતે ઠુકરાવી શકે?
આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ અને અંબોડે કેસૂડો લાલ;
રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !
આજ મારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ રે…
પિચકારી મારો નહીં ગિરીધારીલાલ રે …
રાધિકાનો રંગ એક, તારુ તે વ્હાલ રે…
પિચકારી મારો નહીં ગિરીધારીલાલ રે …
અંતે સુ.દ.ના સાંવરિયા રમવાને ચાલનો પડઘો ન પાડતા હોય એ રીતે કવિ મેઘબિંદુ જે વાત રજૂ કરે છે એને રંગપૂર્વક માણીને આવતીકાલની રંગછોળની પ્રતીક્ષામાં રત થઈ જઈએ-
ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ
પછી મલક્યા વિના તે કેમ રહીયે
કામણ કીધા અહીં કેસુડે એવા
કે મહેક્યા વિના તે કેમ રહીયે
ગઈકાલે આપણે ફાગણવિષયક કાવ્યકડીઓની પ્રથમ રંગછોળથી રંગાયા… આજે ધૂળેટીના દિવસે વારો છે બીજી રંગછોળથી ભીંજાવાનો-રંગાવાનો…
ફાગણમાં પ્રકૃતિ તો અવનવા રંગે રંગાય જ છે, મનુષ્યો પણ હોળી-ધૂળેટીના બહાને રંગોથી રંગાવાનું ચૂકતા નથી. કહો કે, માનવ આ રીતે કુદરત સાથે બે’ક ઘડી તાદાત્મ્ય સાધી લે છે. ઝવેરચંદ મેઘાણીના બે કાવ્યોના અંશ માણીએ-
આજ ફાગણને ફાગ, રુમઝૂમતી રમવા નીસરી;
આજ ગલ ને ગુલાલ છાંટન્તી રમવા નીસરી;
રમવા નીસરી, મુખ રાતાં કરી રે.
દેશળજી પરમાર જેવા કવિ પણ વસંતની હોરીથી કિનારો કરી શક્યા નથી-
પિય, આવી વસંતની હોરી;
નિજ લાવી અધર-કટોરી.
બધા તહેવારોમાં હોળીનો તહેવાર શ્રેષ્ઠ છે એ વાત રા. વિ. પાઠક હોળીના રમતિયાળ હળવા હાસ્યવિનોદ સાથે કેવી સરસ રીતે સમજાવે છે! કાવ્યાંશ માણીએ-
બ્રાહ્મણ ગાતા વેદ, બળેવને દિન નાહી ધોઈ;
પણ નાતજાતના ભેદ: હોળીથી હેઠા બધા!
સૌ સૌએ તહેવાર, એક લાલ ટપકું ભાલે ધરે,
આ તો રેલે અબીલ ગુલાલ : હોળીથી હેઠા બધા!
બાલમુકુંદ દવેના ગીતોમાં ફાગણ સોળે કળાએ ખીલતો દેખાય છે. એક કાવ્યમાં વહેલા-મોડા બધા જ આ રંગોમાં રંગાયા વિના રહી શકવાના જ નથીનો કુદરતનો કાનૂન આલેખે છે તો બીજા કાવ્યમાં જરા બારી ઉઘાડી નથી કે ફાગણવાયુના કમાલનો શિકાર થયા નથીની ચીમકી એ આપે છે-
ફાગણ ફટાયો આયો, કેસરિયા પાઘ સજાયો
વરણાગી મન લુભાયો, રંગ છાયો રંગ છાયો રે.
કો રંગ ઊડે પિચકારીએ, કેસૂડે કામણ ઘોળ્યા
કોઈ ના કોરૂ રહી જશે, જી કોઈ મોડા કોઈ વ્હેલા!
દિલદડૂલો સમાલજે ગોરી!
ફાગણવાયુ કમાલ છે હોરી!
બા’ર જો ડોકાશે બારી ઉઘાડી,
વાગશે કો’કના નેણની ગેડી!’
નિનુ મજમુદારની રચનામાં પોતાને છોડીને અન્ય સ્ત્રીના રંગે રંગાતા દિલફેંક પિયુની વાત કેવી નજાકતથી રજૂ થઈ છે એ જોવા જેવું છે-
સઘળા રંગો મેં રોળ્યા દિલના રંગની સાથ
તોય પીયુની પાઘડીએ પડી કોઈ અનોખી ભાત
બધા જ કવિ ફાગણના રંગે રંગાતા હોય તો ઉમાશંકર જોશી કંઈ બાકાત રહે? જુઓ આ-
ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય કે ચૈતર કોણે દીઠો રે લોલ;
વ્હાલા મોરા, જોબન ઝોલાં ખાય કે ઝૂલણો લાગે મીઠો રે લોલ.
તો સામા પક્ષે વેણીભાઈ પુરોહિત તો જીવ જ રંગ અને રસના… ફાંકડો ફાગણ એમની કલમે સિરસ્થાન ન પામે તો જ નવાઈ કહેવાય, ખરું ને?
ફાગણ લાવ્યો ફૂલડાં ને વસંત લાવી રંગ:
ફાગણ ફાંકડો.
લડાવે પિચકારીના પેચ,
કરે છે લોચનિયાં લે-વેચ,
ખુશીની ચાલે ખેંચા-ખેંચ-
રંગમાં રંગ મટોડી
રમે રૂદિયામાં હોળી!
ફાગણ ફાંકડો.
સુન્દરમ્ સંતોષી જીવ છે. એમને આખી દુનિયાનો ખપ જ નથી…. કામણગારા કેસૂડાનું એક જ ફૂલ મળે એટલામાંય એમનું ચિત્ત તો રાજી રાજી…
મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરા
કેસૂડો કામણગારો જી લોલ.
જયન્ત પાઠકના એક ખૂબ મજાના ગીતનો ઉપાડ જોવા જેવો છે:
વસંતને ક્હેજો કે એકલી ના’વે:
પલ્લવના પાલવમાં મઘમઘતી એકબે
મંજરીઓ લીમડાની લાવે
કે એકલા હૈયાને ઓછું ના આવે!
હોળીમાં રંગ લઈને નીકળતા ઘેરૈયા હવે તો આપણી લોકસંસ્કૃતિનો ભૂતકાળ બનવા આવ્યા છે. ગામડાંઓમાં હજી આ પ્રથા ક્યાંક ક્યાંક જોવા મળે છે. હોળીના ઘેરૈયાની અડોઅડ સૃષ્ટિના ઘેરૈયાને મૂકીને કવિ પ્રહલાદ પારેખના ઉત્તમ સર્જન ‘ઘેરૈયા’ની આખરી બે પંક્તિઓ જોઈએ-
રંગ અવધૂત જેવા સંત પણ ફાગણમાં વિરહી નારનું પ્રતીક લઈને ઈશ્વર માટેની આરત પ્રગટ કરવાથી બચ્યા નથી. ફુલ્લકુસુમિત કેસુડાથી બગીચો ખીલી ઊઠ્યો હોય અને સખીસહેલી હોળી રમવામાં મગ્ન હોય તોય જેના મનમાં વિરહની હોળી સળગે છે એને તો તન ખાખ થઈ રહ્યું હોવાની અનુભૂતિ જ થાય ને! પ્રેમની ભભૂતિ અંગે ચોળીને એ પિયુ પિયુની માળા જપી રહી છે.
March 7, 2025 at 11:27 AM by વિવેક · Filed under ગીત, નીતિન વડગામા
જેવી જેની મોજ.
કોઈ કરે છે ખાંખાંખોળાં, કોઈ કરે છે ખોજ.
કોઈ હજી હાંકે છે જાણે એમ હવામાં હોડી.
પાર ઊતરવા કરતાં કેવી ફોગટ દોડાદોડી!
મનથી માણસ ગાંગો તેલી, મનથી રાજા ભોજ.
જેવી જેની મોજ.
કોઈ જુએ છે પરપોટાના મૂળમાં રહેતું પાણી,
કાળમીંઢ પથ્થરમાં વહેતી દેખે છે સરવાણી.
દિલનો દીવો દિવાળી ઊજવતો રોજેરોજ.
જેવી જેની મોજ.
– નીતિન વડગામા
તુંડે તુંડે મતિ ભિન્ના:। હાથની બે આંગળી સરખી ન હોય એમ બે માણસ અને બે માણસની પસંદગી પણ એકસમાન ન જ હોય એ સ્વાભાવિક છે. કોઈને કેવળ ખાંખાખોળા કરવામાં, વ્યર્થ ઉત્પાત મચાવવામાં મોજ પડતી હોય તો કોઈકને સાચી ખોજ કરવામાં મજા પડતી હોય એ બનવાજોગ છે. માણસ મનથી જ ગરીબ પણ હોય ને તવંગર પણ. કોઈ પરપોટાના સૌંદર્યને- વજનશૂન્યતા, આકાર, પાણી-પ્રકાશની લીલાથી રચાતા મેઘધનુષનું સૌંદર્ય માણવાના બદલે એના બંધારણના પિષ્ટપેષણમાં રત રહે છે તો કોઈ કાળમીંઢ પથ્થરમાં પણ સરવાણી જુએ છે. આવા માણસ માટે તો રોજેરોજ દિવાળી… ખરું ને!
સાચી ખોજ અને ઉપલક ખાંખાખોળા વચ્ચે ભેદરેખા આંકીને ભીતરી મોજ માટે આહ્વાન આપતું મસ્ત મજાનું ગીત…
એવો કવિ તો ક્યાંથી ગોતવો જેણે ફાગણનાં ગીતો ન ગાયાં હોય! ફાગણ માટેની આતુરતા તો દરિયા જેવી અસીમ-અપાર છે. પણ એની વધામણી ચપટીક કંકુચોખાથી ચાલી જશે… વામન અને વિરાટ વચ્ચેના આ વિરોધાભાસ, અને ઉભયને વળી અડખેપડખે રાખી આગળ વધતું હોવાથી ગીત પ્રારંભે જ આપણને ગમી જાય છે. એકદમ લાઘવ સાથે સરળ પ્રતીકો અને સહજ બાનીમાં રજૂ થયું હોવાથી ગીત વાંચી લીધા બાદ પણ લાંબા સમય સુધી આપણી ભીતર ક્યાંક રણઝણતું રહી જાય છે…
March 1, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગીત, પ્રજારામ રાવળ
શિશિર તણે પગલે વૈરાગી,
વસંત આ વરણાગી !
એક ખેરવે વસ્ત્ર પુરાતન
બીજો મખલમ ઓઢે
એક ઊભો અવધૂત દિગંબર,
અન્ય પુષ્પમાં પોઢે!
શીતલ એક હિમાલય સેવી
અન્ય જગત અનુરાગી! વસંત આ વરણાગી!
એક મુનિવ્રત ભજે અવર તો
પંચમ સ્વરથી બોલે;
અરપે એક સમાધિ જગતને,
અન્ય હૃદયદલ ખોલે!
સ્પંદે પૃથિવીહૃદય વળી
વળી રાગી ને વૈરાગી! વસંત આ વરણાગી!
– પ્રજારામ રાવળ
શિશિર અને વસંત – ઋતુચક્રમાં પરસ્પર અડોઅડ હોવા છતાં સાવ ભિન્ન! વૈરાગી શિશિરના પગેરું ચાંપીને વરણાગી વસંત હળુ હળુ પ્રવેશે છે, પણ કવિને કોઈ એકની સ્તુતિ કરવાના બદલે પ્રકૃતિના આ બે અંતિમો વચ્ચેના વિરોધાભાસને ઉપસાવવામાં વિશેષ રસ છે. પ્રવાહી લય અને મસૃણ પ્રતિકોના યથોચિત પ્રયોગના કારણે ગીત વાંચતાવેંત હૃદયને સ્પર્શી જાય છે. શિયાળામાં જૂનાં પાંદડાં ખરી જતાં દિગંબર અવધૂતનો વેશ ધારતાં વૃક્ષો વસંત આવતાં જ જાણે કે મખમલની લીલી ચાદર ઓઢી પુષ્પોથી છલકાવા માંડે છે. શિશિરમાં મૌનવ્રત ધારી લેતાં પંખીઓ વસંત આવતાં જ પંચમ સ્વરે ગાન આલાપે છે. શિશિરમાં સમાધિસ્થ જણાતી વૈરાગી પ્રકૃતિ વસંતમાં પુષ્પોથી લચી પડતાં ઝાડવાંઓથી જાણે હૃદયના પડળો ન ખોલતી હોય એવી રાગી ભાસે છે.
ઉનાળાએ માઝા મૂકી હોય ત્યારે તપતી માટીની એકમેવ આરદા વરસાદ પડે એ જ હોય. જળાશય સૂકાઈ જતાં દેખાવા લાગતું તળિયું સાબદું થઈ ઊંચે આભમાં ઝાંખી રહ્યું હોવાનું કલ્પન ગરમીની તીવ્રતા અને વરસાદની અનિવાર્યતાને કેવી સ-રસ રીતે અધોરેખિત કરે છે! ઘેઘૂર આભ ગોરંભે ચડ્યું છે. જંગલમાં સિંહ ડણક દેતો હોય અને એના પડધા કોતરોને ભરી દેતા હોય એવું વાતાવરણ ઘેરાયેલા આકાશમાં સર્જાયું છે. વીજળીના ચમકારા તબકી-ઝબકીને જાગતી તલવાર જેવા ઝળકે છે, પણ વરસાદ એના વાયદા પાળશે કે તોડશે એનો સહેજ પણ અણસારો આવતો નથી. ઊગવા આથમવા ટાણે આકાશને રંગોથી ભરી દેતો સૂરજ પણ આ વાદળોના કારણે દેખાતો ન હોવાથી એ ક્યાંથી ઊગશે અને ક્યાં આથમશે એય કળાતું નથી. જળનો સ્વયંવર યોજાયો હોય અને પ્રકૃતિ અક્ષત-કંકુ લઈ ઊભી હોય એવું મનોરમ્ય ટાણું કવિએ રચ્યું છે. કંકોતરી લખતી વેળા બે પક્ષ સામસામે બેસીને લેખાંજોખાં કરી, મોંઘા મૂલે કરિયાવર મૂલવી લીધા બાદ જ કંકોતરી પર અક્ષર પાડે એ લોકરિવાજને કવિએ મેઘરાજાના સ્વાગતમાં બખૂબી વણી લીધો હોવાથી ગીત વધુ આસ્વાદ્ય બન્યું છે. અંતે એ પણ સમજવાનું છે કે આ સંજુ વાળાનું ગીત છે. તરસી ધરતી અને વરસું વરસું કરવા છતાં ન વરસતા મેઘ એ ઈશ્વરને કાજ તરસતા આત્મા અને દર્શન-દુર્લભ પરમાત્માના સંદર્ભે પણ જોઈ શકાય. જે પ્રકારે કવિએ અનૂઠા લયને સાદ્યંત જાળવી રાખ્યો છે એય સારા કવિકર્મની સાહેદી પૂરે છે…
સાચો પ્રેમ કોઈ જ આડંબરના આલંબન સ્વીકારતો નથી. પ્રેમ એટલે દિલની વાત અને દિલ તો દુનિયાના પ્રપંચોથી પરે જ હોવાનું. એટલે જે વાત દિલથી નીકળી હોય એ સરળ અને સહજ જ હોવાની. મીરાંનો પ્રેમ સમર્પણનો પ્રેમ હતો. કૃષ્ણને મેળવવાની કોઈ જ અબળખા રાખ્યા વિના એણે સ્વયંને પૂર્ણસમર્પિત કરી દીધી હતી… આપવું એ જ એના માટે પ્રેમની એકમાત્ર વ્યાખ્યા હતી. પોતે શ્રીકૃષ્ણના પ્રેમમાં ઘાયલ થઈ હોવાનો એકરાર કરતી વખતે સાવ નાની અમથી પંક્તિઓમાં ચાર-ચારવાર પોતાને વાગેલી કટારી પ્રેમની હોવાની વાતની એ પુનરુક્તિ કરે છે. આ પુનરુક્તિ કવિતાનો પ્રાણ છે. માથે સોનાની ગાગર લઈ જમુનાજળ ભરવા ગયેલ મીરાં કાચા તાંતણે બંધાઈ જઈ હરિ જેમ ખેંચે એમ ખેંચાય છે. સોનાની ગાગર અને કાચા તાંતણા વચ્ચેનો આ વિરોધાભાસ રાજરાણીની દોમદોમ સમૃદ્ધિ વચ્ચે પણ મીરાંએ કરેલ સાદગીના સ્વીકારને કેવો સ-રસ રીતે અધોરેખિત કરે છે!
શ્યામ મને ચૂમ્યો વસંતમાં,
પાનખરમાં લક્ષ્મણ,
નીરવે કેવળ જોયે જ રાખી,
ચૂમ્યો નહીં કદી પણ.
એકનું ચુંબન ગુમ ગમ્મતમાં,
બીજાનું થઈ ક્રીડા;
પણ નજરોનું ચુંબન દે છે
રાત’દી હજીય પીડા.
– સારા ટિસડેલ
(અનુ.: વિવેક મનહર ટેલર)
સાવ ટબૂકડું ગીત, પણ કેવું પ્રભાવક! જીવન ગમે એટલું ભર્યુંભાદર્યું હોય કે સાવ જ ખાલીખમ–પરિસ્થિતિ કોઈપણ હોય, શારીરિક સ્પર્શ કે સંસર્ગ તો ક્ષણજીવી જ હોવાના… પણ નજર નજર સાથે ગુફ્તેગૂ માંડીને છે…ક ભીતર સુધી જે સ્પર્શ કરી શકે છે એ કોઈ કાળે વિસ્મૃતિની ગર્તામાં લુપ્ત થઈ શકે નહીં…. દૈહિક ઉપર ઐહિકની મહત્તા કવયિત્રીએ કેવી બખૂબી પ્રસ્થાપિત કરી બતાવી છે!
*
The Look – Sara Teasdale
Strephon kissed me in the spring,
Robin in the fall,
But Colin only looked at me
And never kissed at all.
Strephon’s kiss was lost in jest,
Robin’s lost in play,
But the kiss in Colin’s eyes
Haunts me night and day.
પાણીનું હોય પાઉચ એમ જ પવન પડીકાંમાં વેચાતો
હોય એમ શું નથી?
ભરબપ્પોરે સૂરજ ફરતું મેઘધનુ જોયું હોય એને
અચરજ જેવું નથી!
પ્રમાણનો પરપોટો છે, પણ-
શ્વાસ ઉલેચી રેતીનો વિશ્વાસ કર્યો એ ભીનપનું પણ
ક્યાંથી છૂટે વળગણ! 0 રણ તો…
– દાન વાઘેલા
કેટલીક તરસ તરસાવનાર સાથે પણ નાતો તોડવા નથી દેતી… જે વાદળ લૂ સાથે કરારનામું કરી નહીં વરસવાનું પણ લઈ બેઠાં હોય એની સાથે પણ સગપણ તોડી ન શકે એવી પ્રીતનું સ-રસ ગીત કવિ લઈ આવ્યા છે.
કવિનું મૂળ નામ જોરુભા ગીડા. ગામ જસદણ. કવિએ નામ અને અટકના પહેલા અક્ષર અને ગામનું નામ સાંકળી લઈને જોગી જસદણવાળા તરીકે આગવી ઓળખ ઊભી કરી… પણ પછી અચાનક આધ્યાત્મના રસ્તે વળી ગયા અને હવે તેઓ પોતાને પૂજ્ય બાપુ તરીકે ઓળખાવે છે…
ગુરુ બિન જ્ઞાન નહીં, હે સાધો… સાચી વાત છે. સાચા ગુરુ અને સાચો ગુરુમંત્ર જેને સાંપડે એનું જીવતર તો અડધી ઘડીમાં આશિખાનખ બદલાઈ જાય. ભીતરના ગોખલા ઝળહળવા માંડે અને હૈયે હરિનો વાસ અનુભવાય એ ઘડીએ એક પળ અને એક મન્વંતર વચ્ચેનો ભેદ પણ ભૂંસાઈ જાય છે. નુરત-સુરત આધ્યાત્મની પરિભાષામાં સામાન્યરીતે એકસાથે પ્રયોજાતા જોવા મળે છે. બહુ ઊંડી વ્યાખ્યાઓમાં ન જઈએ તો કદાચ એમ કહી શકાય કે ખુલ્લી આંખે ધ્યાન ધરવું તે નૂરત અને બંધ આંખે દર્શન કરવા તે સુરત. પરમેશ્વર સાથે સુરતા લાગી જાય તો ચોર્યાસી લાખ ફેરાની આવનજાવન ટળી જાય… સાત જનમોના આવરણ હટી જાય ત્યારે જીવ અને શિવ વચ્ચેનું અંતર પણ નાબૂદ થઈ જાય… સરવાળે, આધ્યાત્મિક રચનાઓની પંગતમાં અલગ સ્થાન મેળવી શકે એવી રચના…
(મન્વંતર = એક મનુની કારકિર્દીનો સમય; 306,720,000 વર્ષ; સુરત = બ્રહ્મ સાથે એકતાર થવું તે; નૂરત=પ્રકાશ; અનહત નાદ= પ્રણવનાદ, યોગીઓને સંભળાતો અંતર્નાદ)
હડફ કરીને ઊતરી હેઠી, મોભાનો રંગ રાખ્યો રે;
માંડ ચડી મોભારે મેં તો ગળે ગાળિયો નાખ્યો રે.
– બાબુ નાયક
લયસ્તરો પર કવિના સંગ્રહ ‘ઝાકળભીનો સૂરજ’નું હૃદયપૂર્વક સ્વાગત…
દકિયાનૂસી વિષયોમાં કેદ ગીતકવિતાને ક્યારેક આવા અલગ વિષયોનું આકાશ સાંપડતું જોવામાં આવે તો કેવી રાહત થાય! ઘર આખાની છત જેના આધારે ટકી હોય એ મોભારા પર જ દોરડું બાંધીને નવપરિણીતા આત્મહત્યા કરવા માટે તૈયાર થઈ છે એ વિરોધાભાસ ગીતના પ્રારંભને વધુ ધારદાર બનાવે છે. જીવનયંત્રનો તાર અસૂરો વાગી રહ્યો છે. કેમ એ તો નાયિકા કહેતી નથી. કવિતા આમેય જવાબ આપવા બંધાયેલી નથી હોતી. પણ કડવી વાસ્તવિક્તા એ છે કે પટારામાં જે પાનેતર મૂકાયું છે એના સળ હજી પૂરા ભંગાયા નથી, મતલબ દામ્પત્યજીવનનું આકાશ હજી મધ્યાહ્નનો પ્રકાશ જોવાથી વંચિત છે. કાંડેથી મહેંદીનો રંગ પણ હજી ઊડ્યો નથી, તોય એ અડવાં લાગવા માંડ્યાં છે. દરિયા જેવું દુઃખ બોર જેવાં આંસુઓમાં ટપકી રહ્યું છે.
આત્મહત્યાનું વિજ્ઞાન એમ કહે છે કે આવેશમાં આવીને જીવ લેવા તૈયાર થયેલ વ્યક્તિ આવેશની એક પળ કોઈક રીતે જીરવી જાય તો એ કદાચ આત્મહત્યા કરવાનું માંડી વાળે. અણી ચૂક્યો વરસો જીવે. અહીં પણ કંઈક એવી જ પરિસ્થિતિ છે. મેંદીની ભાત અને માથેથી તાજેતરમાં જ છોડેલ મોડ વેલની જેમ વીંટળાઈ વળતાં આપઘાતનો વિચાર ત્યાગીને નવોઢા મોભાનો રંગ રાખતી હડફ કરતીકને નીચે ઉતરી આવે છે.
કરુણતા અને લાચારીની આસપાસ ગૂંથાયેલ આ રચના એના હેપ્પી એન્ડિંગના કારણે કદાચ વધુ હૃદયંગમ થઈ છે.
કહે છે કે કવિતા કહે ઓછું અને છૂપાવે વધુ. મુખરતાને કાવ્યાનુભૂતિમાં વ્યવધાન ગણવામાં આવી છે, પણ આ ગીત જુઓ… કવિએ કશું જ મોઘમ રાખ્યા વિના જે કહેવું છે એ પાંદડાને પ્રતીક બનાવી સીધેસીધું જ કહ્યું છે. પરંતુ પ્રવાહી લય અને સુસ્પષ્ટ બયાનીના કારણે કેવો અલગ જ ઊઠાવ આવ્યો છે! સીધી બાત, નો બકવાસનું પણ આગવું સૌંદર્ય છે, ખરું ને! ટૂંકમાં કહી શકાય કે તમામ સ્થાપિત નિયમોને ચાતરીને આગળ વધી જાય એ કવિતા…
લયસ્તરો પર કવયિત્રીના ગીતસંગ્રહ ‘વાલામુઈ વેળા’નું સહૃદય સ્વાગત… કેટલાંક ગીતો અગાઉના સંગ્રહમાંથી અહીં પુનર્મુદ્રિત કરાયાં છે, પણ આપણને તો કવિતાના આનંદ સાથે મતલબ છે… સંગ્રહમાંથી એક ગીત માણીએ… ઉનાળો તો વર્ષમાં એકવાર આવે, પણ પ્રિયજનનો તાપ એટલે તો જાણે ગરમાળામાંથી જડતું કેસર અને ગુલમહોરની જેમ રંગે-કદે ફૂલેલાં-ફાલેલાં ઘેલાં વન… એટલે ઉનાળો રોજેરોજનો હોય એવી ઝંખના ન થાય તો જ નવાઈ… ઉનાળાની ઋતુના નાનાવિધ કલ્પનોને બારમાસી પોત આપીને માણવાનાં છે એ યાદ રહે…
પ્રિય પપ્પા! હવે તો તમારા વગર,
મનને ગમતું નથી, ગામ ફળિયું કે ઘર.
આ નદી જેમ હું પણ બહુ એકલી,
શી ખબર કે હું તમને ગમું કેટલી.
આપ આવો તો પળ બે રહે છે અસર,
જાઓ તો લાગે છો કે ગયા ઉમ્રભર.
યાદ તમને હું કરતી રહું જેટલી,
સાંજ લંબાતી રહે છે અહીં એટલી.
વ્હાલ તમનેય જો હો અમારા ઉપર,
અમને પણ લઈને ચાલો તમારે નગર.
– મુકુલ ચોક્સી
કોઈપણ કવિના જન્મદિવસને વધાવવા માટે એમની કવિતા વાંચવા-સહિયારવાથી વિશેષ ઉત્તમ ઉપક્રમ બીજો કોઈ હોઈ શકે ખરો? આજે કવિશ્રી મુકુલ ચોક્સીને એમના પ્રાકટ્યપર્વ ઉપર અઢળક મબલખ વધાઈ આપવા સાથે એમની એક મજાની ગીતરચના માણીએ…
લયસ્તરો પર થોડા દિવસો પહેલાં જ આપણે ‘પિતૃવિશેષ’ શ્રેણી માણી… આજે એક હળવુંફૂલ ગીત માણીએ. મને ખ્યાલ છે ત્યાં સુધી ‘પ્રિય પપ્પા’ નાટક માટે મુકુલભાઈએ આ ગીત લખ્યું હતું. કોઈપણ ભારઝલ્લી વાત, અઘરા રૂપકો, ઝળાંહળાં કરી દે એવાં વિશેષણો કે પિતાનું સૌને કોઠે પડી ગયેલ માહાત્મ્ય વિના દીકરી ફક્ત પોતાના હૈયાની વાત જ ગીતસ્વરૂપે આપણી સાથે સહિયારે છે… અને એટલે જ ગીત વાંચતાવેંત આંખોના ખૂણે ભેજ તરવરી ઊઠે છે…
ગામના મોઢે ગળણું ન બંધાય એ કહેવત પહેલાં જેટલી સાચી હતી એથી અનેકગણી વધારે પ્રસ્તુત આજે સૉશ્યલ મિડિયાના જમાનામાં લાગે છે. કોણે, ક્યારે અને શું બોલવું એ વિવેક સાવ જ વિસારે પાડી દેવાયો છે. વચનવિવેક જ સાચો એવી કવિની ટકોર આજે જેટલી સાચી અને માર્મિક જણાય છે, એટલી કદાચિત ક્યારેય નહોતી. બોલવામાં વિવેક ન જળવાવાથી જ પીડા આડેધડ ઊગી નીકળે છે. વીણાજેવા મધુર અને ઝાકળ જેવા ભીનપવાળા શબ્દો માનવહૈયાને છેક તળિયે જઈને સ્પર્શે છે. સાથે જ કવિ નાનકડી પણ આવશ્યક ચીમકી પણ આપે છે. કવિ કહે છે કે ભલે ને રોજેરોજ મીઠા ને તાજા વેણ જ કહો, પણ જરૂર પડ્યે મૌનનાં બધાં જ તાળાં ખોલી નાંખીને જે વાત હાસ્યની તાજગી પાછળ સંતાડી રાખી છે, એ કહી દેવાની તૈયારી પણ રાખજો જ. ક્યારેક વચનવિવેક વળોટવો પણ રહ્યો. કેમ કે આખરે તો સત્યની મહેક જ કાળાતીત છે…
પાણા જેવા પાણા ભીતર ભીનું ને હુંફાળું,
પપ્પા મારા આયખાનું ઝગમગતું અજવાળું!
પપ્પા સહુના જીવતરનો
મોંઘેરો કોઈ મોભ,
પપ્પાએ કોઈ લાગણીઓનો
ક્યાં રાખ્યો છે લોભ?
આકાશ જેવું ખુલ્લમ-ખુલ્લું, ના રાખે કોઈ તાળું,
પપ્પા મારા આયખાનું ઝગમગતું અજવાળું,
ઝળહળ ઝળહળ દીવો થઈને
પપ્પા ઘરમાં રહેતા,
ભૂલ પડે ત્યાં આંગળી પકડી
મારગ કાઢી દેતા,
એમનું હોવું લાગે જાણે ઉજળું ને ઉજમાળું,
પપ્પા મારા આયખાનું ઝગમગતું અજવાળું.
પપ્પાની એ કરડી આંખે
થરથરથર સહુ કાંપે,
પણ હેત ભરેલું વાવાઝોડું
બેઠું કાયમ ઝાંપે,
હોય એ ત્યાં અંધારે પણ સાફ સઘળું ભાળું,
પપ્પા મારા આયખાનું ઝગમગતું અજવાળું.
-હિરેન મહેતા
આ ગીત જ્યારે પ્રથમવાર વાંચ્યું ત્યારે લાગ્યું કે આ તો મારા પપ્પા માટે જ લખાયું છે. અનુભૂતિથી કહું તો પપ્પા બિલકુલ નાળિયેર જેવા હોય છે. બહારથી પાણા જેવા ભાસતા પપ્પા અંદરથી સાવ ભીના અને હૂંફાળા હોય છે. હું નાની હતી ત્યારે ઘરનાં મોંઘેરા મોભ જેવા મારા પપ્પાથી લગભગ કુટુંબનાં બધા જ સભ્યો ડરતા હતા, કારણકે ગુસ્સો એમના નાક પર જ રહેતો. પરિણામે પપ્પાના કડક સ્વભાવની ખોખલી દીવાલની બીજી તરફ ફૂંકાતું હેતનું વાવાઝોડું જાણબહાર રહી જતુ. સાચું કહું તો પપ્પાની હાજરી જ એક સૂરજ જેવી હતી, જેની હાજરીથી વાતાવરણ ગરમ તો રહેતું, પણ એ ના હોય ત્યારે અંધારું છવાઈ જતું. જેઓ એમની ગેરહાજરીના અંધારાને અનુભવી શકતા, એમને માટે તેઓ માર્ગદર્શક અને પ્રેરણાસ્ત્રોત હતા. નરી આંખે નજરે ન પડતા પ્રેમ, સમર્પણ અને ત્યાગથી પપ્પાને મેં સાચ્ચે જ એમના નાના ભાઈભાંડુઓનાં આયખાને અજવાળતા જોયા છે. જેમ દરેક પુત્રના પ્રથમ સુપર હીરો એના પપ્પા જ હોય છે, એમ દરેક દીકરીનો પ્રથમ પ્રેમ પણ એના પપ્પા જ હોય છે. મારા પપ્પા એટલે સાચે જ મારા આયખાનું ઝગમગતું અજવાળું… ભગવાન કરે એ લાંબા સમય સુધી ઝગમગતું અને ઝળહળતું રહે!
November 29, 2024 at 12:30 AM by વિવેક · Filed under અર્પણ ક્રિસ્ટી, ગીત
છોકરીની નજરોએ કર્યું જ્યાં ‘સ્માઈલ’ ત્યાં છોકરાને ફૂટી ગઈ પાંખો,
છોકરાના સ્પર્શે સીંચાઈને છોકરીમાં મઘમઘ્યો બાગ આખેઆખો.
આંખોની સામે એ છોકરી ના હોય તોય છોકરાને દેખાતી આખી,
છોકરાનું નામ લેતાં છોકરીને લાગે કે જીંદગીને એણે છે ચાખી.
બંનેની નજરો મળે ત્યારે થઈ જાતી ‘લવ લેટર’ બંનેની આંખો.
છોકરીની નજરોએ કર્યું…….
છોકરાની છાતીમાં છોકરીનું રાજ અને છોકરાને લાગે ‘હું રાજા’,
અંગોમાં છોકરીનાં ઊગે છે છોકરો આ, થઈને ફૂલો રોજ તાજાં.
કોરીકટ ધરતી પર તેઓની વરસી હો જાણે કે વાદળીઓ લાખો…
છોકરીની નજરોએ કર્યું….
-અર્પણ ક્રિસ્ટી
છોકરા-છોકરીનાં ગીત કાને પડતાવેંત ર.પા.ની યાદ આવે. પણ ખરી મજા તો ત્યારે આવે, જ્યારે ર.પા. જેવા પૂર્વસૂરીના ખભે ઊભો હોવા છતાં સર્જક પોતાની વાત પોતાની રીતે કહી શકે. પ્રસ્તુત રચના આ વિશેષતા તુર્ત જ અનુભવાય છે. ગીત કોઈ પ્રકારની ટિપ્પણીનું મહોતાજ નથી. સહજસાજ ભાષામાં કવિએ છોકરા-છોકરીની દ્વિપક્ષી પ્રણયકથાને પ્રવાહી લયના તાંતણે બખૂબી વણી લીધી હોવાથી ગીત સાચા અર્થમાં મનનીય થયું છે.
કવિ સમાજનો ખરો પ્રહરી અને કવિતા ખરો આયનો છે. જે તે સમય અને પ્રદેશની કવિતાઓમાંથી જે તે સમયની સભ્યતાનો સાચુકલો ક્યાસ કાઢી શકાય છે. ઇતિહાસ તો રાજકારણીઓ અને વિજેતાઓ લખે, એને તથ્ય સાથે સંબંધ હોય જ એ જરૂરી નથી. જુગારમાં ભાઈઓ અને પત્નીને હારી જાય અને પત્નીના જાહેરસભામાં ચીરહરણ સમયે આંખો બંધ કરી બેસી રહે એને આપણે ધર્મરાજ કહીએ કારણ એ વિજેતા થયા. દુર્યોધનની જેમ હારેલાઓએ લખેલો ઇતિહાસ જોવામાં આવતો નથી. પણ સાહિત્યકાર રાજકારણ અને હારજીતના ભાવથી મુક્ત હોવાથી સમાજનું સાચું અને પ્રામાણિક આલેખન જોવું હોય તો એ ઇતિહાસ કરતાં વધારે સાહિત્યમાં જ જોવા મળશે. પ્રસ્તુત રચના એનું એક નાનકડું ઉદાહરણ છે. કવિએ ઝાલાવાડનો મિજાજ કેવો સુપેરે પકડી બતાવ્યો છે એ જુઓ. કઠિનમાં કઠિન પરિસ્થિતિમાં પણ જળવાઈ રહેતી સૌરાષ્ટ્રવાસીઓની દરિયાદિલી કવિએ બખૂબી ઝીલી છે.
લયસ્તરો પર આજે એક રમતિયાળ ગીત સાથે યુવાકવિ ગોપાલ ધકાણના ગીતસંગ્રહ ‘અજવાળું દીઠ્યું મધરાતે’નું સહૃદય સ્વાગત કરીએ.
જતી વયે પીપળાને મેકઓવર કરાવીને ફેર જુવાન થવાના ઓરતા જાગ્યા હોવાના કલ્પનને કવિએ બખૂબી રમાડ્યું છે. વાયરો વાત વહે એ વાતને ખપમાં લઈને પીપળો પોતાના મનની વાત વાયરાના કાનમાં કહે છે, જેથીમહેંદી, કેતકી અને માલતી સુધી સંદેશો બરાબર પહોંચી જાય. ગીતનું મુખડું અને પ્રથમ બંધ બંનેમજાનાથયા છે, પણ ખરી મજા તો બીજા બંધમાં છે. એક તરફ પીપળો ડાયેટિંગ કરીને વજન ઘટાડવા માંગે છે તો બીજી તરફ બારમાસી સાથેના અફેરને છૂપાવેલો પણ રાખવા માંગે છે. હૈયું પ્રેમમાં તરબતર છે અને કાયા ભડભડ બળી રહી છે… પુરુષસહજ વાર્ધક્યવૃત્તિને કવિએ પીપળાના પ્રતીકથી કેવી ખીલવી-ખેલવી છે, નહીં!
સારી કવિતા એ જે ઓછામાં ઓછા શબ્દોમાં કવિસંવેદનને વ્યક્ત કરી ભાવક સુધી સફળતાપૂર્વક પહોંચાડી શકે. પ્રસ્તુત ગીત જુઓ. આનાથી નાની ઇબારતના ગીત આપણી ભાષામાં જૂજ જ જડશે. ગીતની ભાષા પણ એકદમ સહજ અને સરળ છે. પંડિતાઈનું લેશમાત્ર પણ પ્રદર્શન કર્યા વિના કવિ અદભુત કરકસર સાથે દિલની વાત આપણી સમક્ષ યથાતથ મૂકી શક્યા છે. કવિહૃદયની ભીતર છોળ ઉછળી રહી છે. શેની છોળ અને કેમ એ વિશે ફોડ પાડ્યા વિના કવિએ એને કોણ ઝીલશે એ પ્રાણપ્રશ્ન રજૂ કર્યો છે. મુખડાના આરંભે અને અંતે ‘કોણ ઝીલે?’નો સવાલદોહરાવીને કવિએ એ વાત અધોરેખિત કરી છે, કે ભીતર છોળ ઉછળે છે એના કરતાંવધારે અગત્યની વાત એને ઝીલવાની છે. જીવનના અલગ અલગ તબક્કે આપણે સહુ અલગ અલગ પ્રકારની લાગણીઓના ફુવારા ભીતર ફૂટતા અનુભવીએ જ છીએ, પણ વધુ અગત્યનું એ છે કે એ ફુવારા તરફ આપણે કેટલા સચેત રહીએ છીએ અને એમાં ભીંજાવાનો લહાવો લૂંટીએ છીએ કે એને નજરઅંદાજ કરીને ઘાણીના બળદની જેમ કાયમના ચકરાવાઓમાં જ રત રહીએ છીએ! વાત સ્વયંની ભીતર ઉતરવાની છે,પણ સીડીના સહારે નહીં. સીધો ધુબાકો જ મારવાનો છે. અને પછી છબ્બાક કરતાંકને જે જળ ઉછળે એને ઝીલવાનાં છે. સ્વયંને ખીલવવાનું છે, પણ એય ખટ્ટાક કરીને… મતલબ અનાયાસ… પ્રયત્નપૂર્વક નહીં… અને પછી ફટ્ટાક કરતી જે ફોરમ ફૂટે એને પીવાની છે… આખા ગીતમાં ધ્રુવપંક્તિના ‘કોણ?’નો સવાલ ગૂંજ્યા કરે છે… આ કોણનો જવાબ મળી જાય તો જીવન સાર્થક થઈ જાય, ખરું ને?
ભેંત્યની તેડ્ય તો ગારાથી હોંધીએ
. માંયલીન ચ્યમ કરી હોંધવી!
ઊંઘનારું લોંબું ન પશેડી ટૂંકી
. ઓંમ ટૂંટીયે તે રાત ચ્યંમ કાઢવી!!
તોય મનં ઈમ કો’ક ઉપા કરીએ
. જો થોડા ઘણા ફેર કાંય થાય
(પણ) એટલામાં તેડ્ય તો બાકોરું થઈ જઈ,
. મું હં નાખું તો એ પુરાય!
દનિયોના કીધ તારો રાશ્યો ભરૂંહો
. અવ તનજ લાજ જોઈય આવવી.
હૌના તો લેખ તમે લખો લલાટે
. પણ મારા લસ્યા તમે ઓંશ્યે
ન – કાપાય પાસા એવા પાડ્યા
. ક – મારઅ ચોમાહા રે’હે બારમાશે
ઓંશ્યોનાં પોંણી તો પાતાળે ઠેલ્યાં
. એ આવ એવી રાશ ચ્યોંથી લાવવી.
હારી થાચીન મીં તો મનનું મનાયું
. ક – આપણ જ આપણાં ફોડવાં
પણ આ બધું ગન્યાંન તો ઘડી બે ઘડી
. પસ મંન હાથે માથાં રોજ ફોડવાં
કાઠ્ઠાં થઈ પીડ્યા માં ભોમાં ભંડારી
. તોય દેખાય તો ચ્યમની હંતાડવી?
. ભેંત્યની તેડ્ય તો…
– પ્રશાંત કેદાર જાદવ
કવિ શ્રી પ્રશાંત કેદાર જાદવને આપણે સહુ ‘ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય…’, ‘જોડે રહેજો રાજ’, ‘સાજણ તારા સંભારણાં’ જેવા અનેક લોકપ્રિય ફિલ્મી ગીતો તથા ‘કુમકુમનાં પગલા પડ્યાં, માડીના હેત ઢળ્યા’, ‘કુમકુમ પગલે માડી પધારો રે’, ‘સનેડો’, ‘મેં તો થોડો પીધો ને’, ‘હમ્બો હમ્બો વિંછુડો’ તથા’વણઝારા તુ વહેલો આવજે’ જેવા અનેક ગરબાઓથી ઓળખીએ છીએ. ‘જેનું ધાવણું છોકરું રૂએ તોપણ સૂરમાં રૂએ’ એવી મનોરંજન કરાવનારી તુરી જાતિના ફરજંદ, વડગામ તાલુકાના કોદરામ ગામના વતની અને દૂરદર્શન કેન્દ્ર અમદાવાદમાં નિર્માતા અને પ્રોડયુસર તરીકે ફરજ બજાવતા કવિની આ રચનાઓ સિવાય એક અલગ ઓળખ પણ છે. આજની રચનાની મદદથી આ ઓળખ સાથે આજે મુખામુખ થઈએ.
કવિતાનું ઉપાદાન ભાષા છે, પણ ભાષાની તો લીલા જ ન્યારી. મા એક પણ દીકરા હજાર. ભાષા તો એક જ, પણ બોલી તો બાર ગાઉએ બદલાય. પ્રશિષ્ટ ભાષા અને તળપદી બોલીની રચનાઓના સેંકડો દાગીનાઓથી આપણો કાવ્યખજાનો સમૃદ્ધ છે, પણ બહુ ઓછા કવિઓ લોકબોલીનો વિનિયોગ કવિતાને ઉપકારક નીવડે એ રીતે કરી શકે છે. પ્રસ્તુત રચનામાં કવિએ કવિવેદનાને વાચા આપવા માટે ઉત્તર ગુજરાતની તળપદી બોલીને એ રીતે કામે લગાડી છે કે આની આ વાત શિષ્ટ ભાષામાં રજૂ થઈ હોત તો કવિતાનું પોત જ ખતમ થઈ ગયું હોત… બોલી અહીં મુખ્યનાયકની ભૂમિકામાં છે.
કવિતા સ્વયંસ્પષ્ટ હોવાથી આજે માત્ર બોલીનું સરળીકરણ જ કરીએ. ભીંતની તિરાડ તો માટીથી સાંધી શકાય, પણ માંહ્યલાને કઈ રીતે સાંધવો એ અવઢવ કવિને પીડી રહી છે. પગ કરતાં ચાદર ટૂંકી હોય એવા ટાંચા સંજોગોમાં જીવન કેમ કરી પસાર કરવું? હજી તો કવિ આ બાબતે કંઈક ઉપાય કરવાનું વિચારી રહ્યા છે, એટલામાં તડ બાકોરું બની ગઈ. શું નાંખીએ તો આ બાકોરું ભરાય એ જ પ્રાણપ્રશ્ન છે. દુનિયાના કહેવાથી જેનો ભરોસો રાખીને બેઠા હતા, એ ભગવાનને આ બદલ લાજ ન આવવી જોઈએ? સૌના લેખ એણે લલાટે લખ્યા, પણ ગરીબોના લેખ આંખોમાં લખ્યા. અને રેખાય એવી પાડી કે નસીબે બારેમાસ રડવાનું જ રહે. રડી રડીને સૂકાઈ ગયેલી આંખોનાં પાણી પાતાળે ઉતરી ગયાં છે, એને ખેંચીને બહાર આણી શકે એવું દોરડું ક્યાંથી લાવવું એ વિમાસણ કવિને સતાવે છે. અંતે હારી થાકીને કવિ મનને મનાવે છે કે કોઈ આપણું કશું કરનાર નથી, આપણે જાતે જ જાતનું ફોડી લેવું પડશે, પણ આ બધું જ્ઞાન તો ઘડી બે ઘડીભર સાંત્વના આપી શકે, રોજેરોજનું શું? ભીતરની પીડાને કવિએ કાઠા થઈ ભોંયમાં ભંડારી તો ખરી, પણ તોય એ દેખાઈ જાય તો પછી એને કઈ રીતે સંતાડવી?
આપણી સંવેદના બધિર થઈ જાય એવો કઠોર વજ્રાઘાત કરતી આવી વેદનાસિક્ત રચનાઓ સાચા અર્થમાં આપણી ભાષાનાં મહામૂલાં ઘરેણાં છે.
રમતિયાળ લયગૂંથ્યું રમતિયાળ ગીત! હૈયાના ચોરને નઠારો કહેવાની પ્રેમોક્તિ નવી નથી, પણ વાત જે મજાથી રજૂ થઈ છે, એની જ અહીં ખરી મજા છે. નાયિકાનું હૃદય આવા ‘નઠારા’ સંગ લાગી ગયું છે. ધ્રાંગધ્રાની ફલકુ નદીમાંથી પાણી ભરી એ પરત ફરતી હતી એ સમે નાયકે એનો માર્ગ આંતર્યો. કાવ્યારંભે જે નઠારો હતો એ આટલીવારમાં તો રૂપાળો લાગવા માંડ્યો છે. ગાય-ભેંસ ને વધુ દૂર જતાં રોકવા બે પગ વચ્ચે જે દોરી બાંધવામાં આવે એને દામણ કહે છે, અને દહીં વલોવવા માટે વપરાતી દોરીને નેતરું. નાયિકાનો આરોપ છે કે નાયકે વાતોમાં ભોળવીને પોતાને છેતરી છે અને દામણ દઈને એની ગતિ મર્યાદિત કરી દીધી છે, અથવા નેતરી દઈને (પ્રેમના) ધંધે વળગાડી દીધી છે. જે કર્યું હોય એ, પણ નાયકે નાયિકાને ચોતરફથી વેતરીને પોતાના માપની કરી દીધી છે. નાયકના ટેરવાના ટેભે નાયિકા એ રીતે સીવાતી ગઈ છે કે હવે એનો પોતાનો છેડોય જડ્યો જડે એમ નથી. ભોળી ન હોવા છતાં કથકના નેણઉલાળે એ વશ થઈ છે ને એને એનો ટેસડો લાગી ગયો છે. પાંપણ ભારી થઈ જવા છતાં રાતના ઉજાગરાભર્યાં અંધારા મધમીઠા લાગે છે, ને સવારે પ્રિયતમની મહેંકથી મેડો મઘમઘતો થઈ ગયેલો અનુભવાય છે…
કાગારોળ કરી કરી ઢળી પડી જીભ અને
ઝૂરી ઝૂરી પાક્યાં પાંચે આંગળીનાં ટેરવાં
બાવડાં તો દીધાં પણ બળ એમાં પૂર્યાં નહીં
સામે તાણ ચડતા ભીનારા કેમ ઝેરવા?
કોને જઈ પૂછીએ ને કાઢીએ પિછાણ ક્યાં?
. કેટલે પહોચાડે કોઈ નકશાના કેડા?
. તમાશાને મોકલ્યાં રે તેડાં
– સંજુ વાળા
માતૃભાષા દિન આવ્યો? લખો કવિતા… મધર્સ ડે આવ્યો? લખો કવિતા… વસંતપંચમી? લખો કવિતા… પહેલો વરસાદ? અતિવૃષ્ટિ? ઓછો વરસાદ? –લખો કવિતા… સૉશ્યલ મિડિયા પર પ્રસંગ પ્રમાણે રચનાઓ રેલાવતા સર્જકોનો લીલો દુકાળ છે… પ્રસ્તુત રચના જાણે કે આવા સર્જકો માટે જ લખાઈ છે! નામઠામ વગરના નેડા જોડીને સપરમો દહાડે કવિતા કરવા બેસી જવું એટલે તમાશાને તેડાં આપવાં. વિલિયમ વર્ડ્ઝવર્થે ૧૮00ની સાલમાં કહ્યું હતું: કવિતા બળકટ લાગણીઓનો સ્વયંસ્ફુર્ત ઊભરો છે: તે પ્રશાંતાવસ્થામાં ભાવના અનુસ્મરણમાંથી ઉદભવે છે.
સર્જનશક્તિનો સ્રોત સૂકાઈ ગયો હોય તો શાંત ચિત્તે હાથ જોડી સરસ્વતીની આરાધના કરવી જોઈએ. ઇયત્તાના મહાસાગરની પેલે પારની ગુણવત્તાને પામવા સાધના કરવી જોઈએ. કવિતા એટલે તો તણખામાં દાવાનળ, બુંદમાં સાગર અને બીજમાં વૃક્ષ! બિનમતલબી પથારો સંકેલતાં ન આવડે એ કવિતડાં કરી શકે, કવિતા નહીં. કવિતા બળનું નહીં, સામે તાણ ચડતા ભીનારાને, ઊર્મિઓના દુર્દમ્ય ઊભરાને ઝેરવવાનું કામ છે. કવિતાના ક્ષેત્રમાં માર્ગદર્શન તો કેવળ ઉપલક સહાય છે, આ યાત્રા તો આપબળે ને આપમેળે, પોતાની કેડી પોતે કંડારીને જ કરવાની છે… કવિતા એટલે રોડ લેસ ટ્રાવેલ્ડ પર મુસાફરી કરવાની કળા…
ગીતસંરચનામાં જેમને રસ હોય એમને આ ગીતના લયમાં પણ મજા આવશે. સામાન્ય રીતે ગીતો માત્રામેળ છંદોમાં લખાય છે, પણ કવિએ અહીં અક્ષરમેળ વૃત્ત- મનહર છંદ પ્રયોજ્યો છે. બીજા બંધમાં પહેલી બે પંક્તિમાં છલકાતી વર્ણસગાઈ ઉપરાંત ‘કરી કરી ઢળી પડી’ની લચક તથા ‘કરી,’ ઝૂરી’ની પુનરોક્તિ ગીતના લયને વધુ લવચિક બનાવે છે…
August 31, 2024 at 11:06 AM by વિવેક · Filed under ગીત, હર્ષદ ચંદારાણા
ફૂલો ઉપર ફૂલો ખડકી બાંધ્યું છે એક ગામ
વસ્તીમાં તો એક જ જણ કે સુગંધ જેનું નામ
ઝાકળનાં ટીપેટીપામાં સૂરજ સૂરજ થાય
પીગળી જાતી અંધકારની પથ્થર જેવી કાય
સીમ દીમના રસ્તા વરસે ગમ્મે ત્યારે આવી
ખોબે ખોબે મર્મર ઢોળે વનવગડેથી લાવી
સમી સાંજરે દશે દિશાથી હવા ઉઠાવી આવે
ચૂંટી-ચૂંટીને બાગબાગના સમાચાર લઈ આવે
રાત પડે ને રાસે રમતાં દેહ વગરનાં નામ
અને ઢોલના તાલે અઢળક હિલ્લોળાતું ગામ
– હર્ષદ ચંદારાણા
બબ્બે પંક્તિઓની પ્રાસસાંકળીના હિંચકે લય હિલ્લોળતું મજાનું ગીત. ગીતના પ્રથમ બંધનું કલ્પન જ કેવું પ્રસન્નકર છે! ઢગલાબંધ ફૂલોના સમૂહને કવિએ ગામનું નામ દીધું છે અને ફૂલો પર ફૂલો ખડકાતાં રચાયેલ આ ગામમાં એક જ જણની વસ્તી છે અને તે છે સુગંધ, આવા મજાના હલકાફુલકા પ્રકૃતિકાવ્યોએ જ ગુજરાતી કવિતાને મઘમઘતી રાખી છે.
કેટલીક રચનાઓ અંતરની અનુભૂતિમાંથી સીધેસીધી અક્ષરદેહ ધારણ કરી અવતરતી હોય છે. પ્રસ્તુત ગીત એવી જ એક રચના છે. રાત અને દિવસ જેમ એકમેકને કદી મળી શકતા નથી એ જ રીતે ક્યારેક જીવનમાં કોઈક સંબંધ એવોય આવે છે કે પારાવાર લાગણી હોવા છતાં જેના બે છેડા કદી એક કરી ન શકાય. અલગ અલગ પ્રતીકોના ગુંફનથી કવિએ મળવા તલસતા પણ મળી ન શકતા પ્રિયજનોની વેદનાને બખૂબી ધાર કાઢી રજૂ કરી છે. આ રચના વાંચીએ અને કવિ શ્રી વિનોદ જોશીની આ રચના યાદ ન આવે એય સંભવ નથી. અહીં ક્લિક કરો.
બે પંખીને મળવું છે, પણ નથી મળાતું.
એક વળાંકે વળવું છે, પણ નથી વળાતું! –
એક પંખી છે પિંજરપૂર્યું,
પગ પણ બાંધ્યા પાશે;
અવર પંખી તે છિન્ન-પાંખ છે,
ઊડતાં કેમ ઉડાશે?
બે પંખીને ઊંચે જવું છે, નથી જવાતું;
જોડે રહીને,
જલ પીવું છે એક ઝરણનું, નથી પિવાતું! –
એક પંખીને દિવસ મળ્યો છે,
અવર પંખીને રાત,
એક કથે ને અવર સુણે એ,
કેમ બને રે વાત?
બે પંખીને,
એક ડાળ પર ઝૂલવું છે, પણ નથી ઝુલાતું
એકબીજામાં ખૂલવું છે, પણ નથી ખુલાતું. –
– ચંદ્રકાન્ત શેઠ
પૂરી ન થતી ઇચ્છાઓ મનુષ્યજીવનની દુર્નિવાર્ય હકીકત છે. ઇચ્છાપૂર્તિની કામના કેટલાક જીવનનું ચાલકબળ બની રહે છે, તો કેટલાક માટે જીવનભરનું દર્દ. પ્રસ્તુત ગીતરચનામાં ઇચ્છાનદીના બે અલગ-અલગ કાંઠે જીવવા મજબૂર બે જીવોની વેદનાને પંખીના પ્રતીકની મદદથી કવિએ વાચા આપી છે. સરળ બાની અને પ્રવાહી લયના કારણે આ રચના વાંચતા, સોરી, ગણગણતાવેંત સ્પર્શી જાય છે. મળવું હોય પણ મળી ન શકાતું હોય, જીવનના વળાંકે સાથ નિભાવવો હોય પણ નિભાવી ન શકાતો હોવાની લાચારીની પીડા ગીતની દરેક કડીઓમાંથી સુપેરે વ્યક્ત થઈ છે. એક પંખી પિંજરામાં તો કેદ છે જ, પગ પણ બંધાયેલ છે; તો બીજાની પાંખ કપાયેલી છે. ન ઊડી શકાય, ન ઊંચે વિહાર કરી શકાય, ન સાથે મળીને એક ઝરણનું જળ પી શકાય. દુન્યવી જવાબદારીઓનું પિંજરુ, ફરજના પાશ અને સામાજિક નિયમોએ કાપી લીધેલી પાંખના કારણે ઉન્નતિની અસંભવ બનતી ઉડાણ અને જીવનજળ અને સહવાસથી વંચિત રહેવાની વાસ્તવિક્તા કવિએ જે રીતે આલેખી છે, એ આપણા હૈયામાં દર્દની ઊંડી રેખા કંડારી રહે છે. બે જણનો સમય પણ એક થઈ શકતો નથી, પરિણામે સહજીવનના સ્વપ્નને વાસ્તવની ડાળનો સ્પર્શ સંભવ બનતો નથી.
ગોધરામાં મરાઠી બ્રાહ્મણના ઘરે ૨૧-૧૧-૧૮૯૮ના રોજ જન્મેલ પાંડુરંગ કોલેજના છેલ્લા વર્ષનો અભ્યાસ છોડીને ગાંધીજીના અસહકાર આંદોલનમાં જોડાયા. પછી ગુજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક પણ થયા. ‘ગંજેરી’ તખલ્લુસથી કટારલેખન કર્યું. આખરે આત્મખોજની અનવરત લત એમને નારેશ્વર ખેંચી લાવી. આજે આપણે સૌ એમને રંગ અવધૂત તરીકે ઓળખીએ છીએ. પ્રખર દત્તસાધક. અજાતવાદ-અદ્વૈતવાદના હિમાયતી. નિધન: ૧૯૬૮.
પ્રેમલક્ષણા ભક્તિનું આ પદ વાંચતા મીરાંબાઈ અચૂક યાદ આવે. રંગ અવધૂતના આ પદે મીરાંબાઈના ‘બંસીવાલા, આજો મોરા દેશ’ પદના સંસ્કાર ઝીલ્યા હોય એય સંભવ છે. જો કે એ એક વાક્યખંડ સિવાય બંને પદ વચ્ચે અન્ય કોઈ સામ્ય નથી.
પ્રિયતમના વિયોગમાં જેની યુવાની વેડફાઈ રહી છે એવી પ્રોષિતભર્તૃકાની મિલન-આરતનું આ પદ છે. રાત્રે ઊંઘ આવતી નથી, અને દરેક પલક યુગ જેવી લાંબી લાગે છે. સૂની સેજ આંસુઓથી ભીની થઈ રહી છે. લોકો પણ ટોણાં દે છે. ફુલ્લકુસુમિત કેસુડાથી બગીચો ખીલી ઊઠ્યો છે અને સખીસહેલી હોળી રમવામાં મગ્ન છે, પણ જેના મનમાં વિરહની હોળી સળગે છે એને તો તન ખાખ થઈ રહ્યું હોવાની અનુભૂતિ જ થાય ને! પ્રેમની ભભૂતિ અંગે ચોળીને એ પિયુ પિયુની માળા જપી રહી છે. વિયોગિનીની સન્યાસી જેવી દશા જોઈને કામદેવ પ્રસન્ન થાય છે, પણ નાયિકા તો હૃદયકમળની સેજ બિછાવી, સોહંના પંખાથી જાતને પવન નાંખતી વસ્ત્રો પરહરીને દિનરાત અનવરત રાહ જોઈ રહી છે… વસ્ત્રત્યાગીને પ્રતીક્ષા કરવાની વાત રચનાને કવિતાની ઊંચાઈએ લઈ જાય છે. પ્રિયતમ આવી ચડે તો દ્વૈતમાંથી અદ્વૈત સ્થપાવામાં એક ક્ષણ પણ કેમ વેડફવી?
પણ શરૂમાં કહ્યું એમ આખી રચના પ્રેમલક્ષણા ભક્તિનું પદ છે એટલે અદ્વૈતવાદી સંતકવિનો આ ગોપીભાવ સચરાચરના સ્વામી માટે છે એ આપણે વિસારે પાડવાનું નથી.
July 27, 2024 at 12:30 AM by વિવેક · Filed under ઉદયન ઠક્કર, ગીત
મારો ઝાંપો વાસેલો હોય, પણ
એની ઉપરવટ ચરકલડીબાઈ
પણે તડકી ને છાંયડી વેરાઈ
જાણે જાર અને બાજરીના કણ
મારો ઝાંપો વાસેલો હોય, પણ
એને કુદાવીને ક્હે શિશુ,
‘એ…ઈ, આંખોને કાઢે છે શું?
આંખ મીંચીને દસ સુધી ગણ…’
મારો ઝાંપો વાસેલો હોય, પણ
નારિયેળીએ ચાંદ ઊગી જાય
ચાર ચીકુડી વાયરામાં ન્હાય
ખૂલતું જાય વાતાવરણ
મારો ઝાંપો વાસેલો હોય, પણ
ક્યાં સુધી સોરવાતો રહે?
વનવગડામાં જાવા ચહે
ડાહીનો ઘોડો: એક, બે, ત્રણ…
– ઉદયન ઠક્કર
ગુજરાતી ગીત-ગઝલના મેળામાં ઉદયન ઠક્કર અલગ ચોતરો માંડીને બેઠા છે. આમ જુઓ તો આ ગીત મુખડા અને પૂરક પંક્તિ વગરનું ચાર બંધનું ગીત છે, પણ આમ જુઓ તો ચારેય મુખડાની પહેલી પંક્તિ એક જ હોઈ એ ધ્રુવકડીનો ભાગ ભજવતી હોય એમ લાગે. અ-બ-બ-અ પ્રકારના પ્રાસગુંફન અને પંક્તિઓના સીમિત કદકાઠીના કારણે ગીતનું કલેવર પ્રવર્તમાન રચનાઓમાં એમ જ નોખું તરી આવે છે. પણ આ તો થઈ ઉપલક વાતો. જેને કવિતા માણવામાં રસ હોય એને તે મમમમ સાથે કામ હોય કે ટપટપ સાથે?
ચારેય બંધનો આરંભ ‘મારો ઝાંપો વાસેલો હોય, પણ’થી જ થતો હોઈ કવિમનોરથને પુનરોક્તિનું યથોચિત ચાલક બળ સાંપડે છે. આ ઝાંપો કેવળ ઘરનો ઝાંપો નથી, એ આપણા બંધિયાર વિચારો, આપણી કુંઠિત મનોવૃત્તિનો દ્યોતક પણ છે. જીવનમાં તડકી-છાંયડી તો આવતી રહેવાની, પણ જે રીતે ચકલી જુવાર અને બાજરીના ચણથી જીવનનિર્વાહ કરે છે એમ એને ભોગવતાં આવડવું જોઈએ. બાળસહજ નિર્દોષતાથી આપણા પૂર્વગ્રહોને વટી જતાં આવડવું જોઈએ. આપણો ઝાંપો બંધ હોય પણ એથી કંઈ પ્રકૃતિ પર તાળું લાગી જતું નથી. નારિયેળીના માથે ચાંદ ઊગવાને ઘટના કે ચીકુડીના વાયરામાં ડોલવાની ઘટના આપણા બંધત્વને અનુસરતી નથી. આપણો ઝાંપો બંધ હોય તોય વાતાવરણને ખૂલતું અટકાવી શકાતું નથી. આજની પેઢીને પરિચય નહીં હોય, પણ આપણી અને આપણી અગાઉની પેઢીઓ ‘એન ઘેન દીવા ઘેન’ જેવાં ગીતો પીને ઉછરી છે. આ બાળગીત જેને યાદ હશે એને ખાઈ-પીને ભાગી છૂટતો ડાહીનો ઘોડો પણ યાદ હશે જ. ડાહીનો ઘોડો એટલે બાળકોની રમત એવું અર્થઘટન પણ કરી શકાય. કથકના ઘરનો કે મનનો ઝાંપો વાસેલો છે પણ ડાહીનો ઘોડો ભીતર સોરવાયા કરે એવો નથી, એ તો વનવગડામાં જઈને જ ઝંપશે. બંધનની વિભાવનાને પુનરોક્તિથી અધોરેખિત કરતી આ રચના હકીકતે તો આઝાદીની આલબેલ જ પોકારે છે.
July 25, 2024 at 12:30 AM by વિવેક · Filed under કૃષ્ણ દવે, ગીત
મુંબઈમાં ધોધમાર દીધે રાખો છો ને કોરુંધાકોર મારું શ્હેર છે!
કહો, અમદાવાદ સાથે શું વેર છે?
બેડાં ભરે ને પાછાં કાંઠે ઠલવી દે છે, વાદળીયુંય આળસુની પીર!
અડધા અષાઢમાંય સુરજ ક્યાં જંપે છે? મારે છે તડકાનાં તીર!
વ્હાલની આ વ્હેંચણીના વરસાદી ખાતામાં જોઈ લ્યો ભાઈ, કેવું અંધેર છે!
કહો, અમદાવાદ સાથે શું વેર છે?
લીલી કંકોત્રીઓ લખવામાં આળસું જરાક અમે છઈએ તો છઈએ,
એમાં અકળાઈ તમે ઠલવ્યે રાખો છો, ઈ કેટલો બફારો અમે સહીએ?
સાંબેલાધારે નહીં, ઝરમર થઈ આવો ને, અમને તો તોય લીલાલ્હેર છે.
કહો, અમદાવાદ સાથે શું વેર છે?
– કૃષ્ણ દવે
કૃષ્ણ દવે સાંપ્રત વિષયો પરનાં કાવ્યો માટે જાણીતા છે. અને કવિ તો કોઈની પણ ખબર લઈ પાડે. આ વરસે મેહુલિયો બરાબરનો મંડ્યો છે. તળગુજરાત અને સૌરાષ્ટ્રમાં પૂરની પરિસ્થિતિ છે. મુંબઈ પણ એ રીતે જળબંબાકાર છે કે ગૌરાંગ ઠાકરનો શેર યાદ આવે:
તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચૂલો,
રોટલો આ છત વગરના ઘરમાં શેકાતો નથી.
પરંતુ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત કોરુંધાકોર છે એટલે અમદાવાદના કવિ મુંબઈનો સંદર્ભ લઈને મેઘરાજાનો ઉધડો ન લે તો જ નવાઈ. વરસાદ અમદાવાદ પર મહેર કરશે કે કેમ એ તો વરસાદ જ જાણે પણ આપણને તો નખશિખ સુંદર ગીતરચના સાંપડી એનો જ આનંદ!
પોતાનો તપોભંગ કરાવવા બદલ શંકર ભગવાને કામદેવને રુદ્ર નયનથી ભસ્મીભૂત કરી નાંખ્યો હતો. પણ પછી વિલાપે ચડેલ કામદેવની પત્ની રતિને એમણે સાંત્વના આપી હતી કે સદેહ ન સહી, પણ કામદેવ અનંગ રૂપે સમગ્ર ચૈતન્ય સૃષ્ટિમાં સદાકાળ વ્યાપ્ત રહેશે. કહે છે કે આ દિવસ વસંતપંચમીનો દિવસ હતો. વસંતપંચમી એટલે ઋતુચક્રનું શિશિરથી ગ્રીષ્મ પ્રતિનું પ્રયાણ. આમ તો આ વાતથી લયસ્તરોના મોટાભાગના સુજ્ઞ વાચકો અભિજ્ઞ જ હશે, પણ આટલી પૂર્વભૂમિકા પ્રસ્તુત રચનાને માણતા પૂર્વે જરૂરી છે.
વસંત ઋતુના પ્રારંભે સજીવમાત્રમાં આવિર્ભાવ પામતી પ્રણયોર્મિનું આ ગાન છે. રાગ શબ્દનો શ્લેષ નોંધવા જેવો છે. રાગ એટલે કંઠમાધુર્ય પણ અને પ્રેમ પણ. રતિના ગીતથી અથવા રતિ માટેના સ્નેહને વશ થઈ મન કામદેવની જેમ જાગૃત થાય છે. સાવ ટૂંકા મુખડાની બે પંક્તિઓમાં ર, મ અને જની ત્રિવિધ વર્ણસગાઈ ચુસ્ત પ્રાસનિયોજનાના કારણે કાવ્યારંભે જ મન મોહી લે છે. વસંતના ભપકાના કારણે શીતનિદ્રાલીન મન દેવહૂમા પક્ષીની જેમ પુનર્જીવન પામ્યું હોય એમ જાગે છે. વસંતનો પ્રભાવ જ એવો છે કે એકેએક શ્વાસ વાંસળી વાગતી હોય એવો પ્રતીત થાય છે. ઝાડમાં થઈને ફૂંકાતા પવનનું સંગીત વસંતઋતુનો શ્વાસ છે. વસંતના મૃદુ હાસથી કેસૂડાની અનેકાનેક કળીઓ ખીલી ઊઠે છે અને વન નંદનવન સમું લાગે છે. પ્રથમ બંધની પૂરકપંક્તિને કવિએ મુખડાના પ્રાસ સાથે આદ્યંતે એમ ઉભય સ્થાને બાંધી હોવાથી અષ્ટકલનો લય વધુ લવચિક બન્યો છે, પણ બીજા બંધમાં તો કવિએ હદ જ કરી છે. શ્વાસ-હાસ-વિલાસ, વાંસળીઓ-કળીઓ અને વાગે-જાગેના ત્રિવિધ પ્રાસમાં વન સાથે નંદન અને વનના ધ્વન્યાનુપ્રાસ તથા કેસૂડા-કૈં-કળીઓના વર્ણાનુપ્રાસ મેળવીને કવિએ બાહોશ કવિકર્મની સાહેદી પૂરી છે.
કવિશ્રી હર્ષદ ચંદારાણાએ પ્રયોગો પણ ઘણા કર્યા છે. એક જ વિષય પર એકાધિક રચનાઓથી માંડીને ૧૦૮ શેરોની ગઝલમાળા પણ એમણે રચી છે. પ્રસ્તુત ગીતરચના પણ પ્રયોગની રૂએ અન્ય ગીતરચનાઓથી હટ કે છે. કવિએ પરંપરિત માત્રાગણ વાપરવાના બદલે દોહરા છંદનો વિનિયોગ કર્યો છે, પણ એમાંય ૧૩-૧૧ માત્રાના ચરણ પ્રયોજવાના સ્થાને મોટાભાગની કડીઓમાં ૧૫-૧૧ માત્રાના ચરણ રચ્યા છે. સરવાળે એમ જણાય છે કે દોહરાને મનમાં રાખીને કવિએ નિજ શ્રુતિલયને અનુસરીને આ કાવ્યરચના કરી હોવી જોઈએ. જે હોય તે, આપણને મમમમ સાથે કામ છે કે ટપટપ સાથે?
દોહાકથન કવિતાના કેન્દ્રસ્થાને હોવાથી કવિએ કાવ્યબાની અને કથન પણ એ જ રીતનાં રાખ્યાં છે. સરોરવ અંગેનું આ સ્તવન છે એટલે આઠેય ચરણમાં સરોવરને ધ્યાનમાં રાખીને કાવ્યવિહાર કરવાનો છે. જેમ બુંદ વિના જળ નહીં અને મોતી વિના હંસ નહીં, એમ કમળ વિના સરોવર નહીં અને પુત્ર વિના વંશ નહીં –આ જ પ્રાચીન ગુજરાતી શૈલીમાં આખી રચના હોવાથી એની નોખી ભાત અને અનૂઠો લય નિરવદ્યપણે આસ્વાદ્ય બને છે.
હર્ષદ ચંદારાણાએ ગઝલની સરખામણીમાં ગીતો બહુ ઓછાં લખ્યાં છે, પણ એમનાં ગીતોમાં પણ વિષયવૈવિધ્ય અને ભાષાક્રીડા અછતા રહેતા નથી. જો કે આજે એમને શબ્દસુમન અર્પવાના ઉપક્રમ નિમિત્તે એવા કોઈ રમતિયાળ ગીત પર પસંદગીનો કળશ ઢોળવાના બદલે મને ગમતું એક ગીત રજૂ કરું છું.
મૃત્યુના કિનારે આવીને જીવનદર્શન પામતા મનુષ્યની અનુભૂતિની આ રચના છે. મૃત્યુ ઢૂકડું આવી ઊભું છે, પણ હજી આંખો બીડાવાને વાર હોવાથી અંધારું ગાઢું નહીં, આછું આછું છે. આ આછા આછા અંધકારંબા હાથે સમજણના કે મુક્તિના દ્વાર ખૂલી રહ્યાં છે. જીવનવાદ્ય એકધારું ઝણઝણ ઝણકી રહ્યું છે. તાર તાણીને તંગ કરીને અંધારાનો પીંજારો જીવને તારે તાર પીંજી રહ્યો છે, મતલબ અંત હવે નિકટમાં જ છે. શરૂમાં આછું આછું અંધારું વર્તાતું હતું, હવે આછું આછું અજવાળું વર્તાઈ રહ્યું છે. અજવાસ છે પણ અંધકારના વર્ચસ્વવાળો. આંખોમાં ઝળઝળિયાનું જાળું બાઝ્યું છે, જેના કારણે આછા અજવાળામાં અસ્પષ્ટપણે પૂર્વજન્મના સંસ્કાર પણ વર્તાય છે,
કાકાએ સીંચ્યું, કાકાએ સીંચ્યું ને મારા મામાએ ચડાવ્યું રે સૈ
વીરાએ આંગણ બેડું ફોડિયું રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી
– લોકગીત
કવિશ્રી ઉદયન ઠક્કરની માતબર કલમે આજે આ ગીત માણીએ-
કચ્છનો વાગડ પ્રદેશ એવો સૂકો કે તળાવેથી પાણી સુકાઈ જાય,અને તાળવેથી વાણી.આ લોકગીતમાં સખીઓ (સૈયો) જોડે હમચી ખૂંદતાં (તાલ સાથે ફુદરડી ફરતાં) દીકરી દાદાને (પિતાને) ફરિયાદ કરે છે: મને વાગડમાં કેમ પરણાવી?
સૂરજ ઊગે એ પહેલાં પાણી સીંચવા નીકળવું પડે છે.(બેડું માથા પર જેને ટેકે મુકાય તે ‘ઈંઢોણી.’ કૂવામાં સીંચવાનું દોરડું તે ‘સીંચણિયું.’ પથારીનો પગ તરફનો ભાગ તે ‘પાંગત.’) ઓશિકે ઈંઢોણી અને પાંગતે સીંચણિયું= પગથી માથા સુધી કામ જ કામ. સીંચણિયું ટૂંકું છે, ઘડો બુડે શી રીતે? કેટલાંક એવું સમજાવે છે કે સાસુ જાણી જોઈને દોરડું ટૂંકું આપતી, જેથી વાંકી વળવા જતાં વહુવારુ કૂવે પડી જાય. વાગડ સૂકોભઠ વિસ્તાર હતો- જળની સપાટી ઠેઠ ઊંડે ઊતરી જતી. ઘેરથી કૂવા સુધી એટલા આંટાફેરા કરવા પડતા કે દિવસ આખો (કહો કે જન્મારો આખો) પૂરો થઈ જતો. દીકરી સંદેશો મોકલે છે- હું જિંદગી ટૂંકાવી દઈશ! દાદા કહે છે- થોડા દિવસ ખમી ખાઓ, અમે આણાં લઈને આવીએ છીએ.
અહીં કેટલાંક પદ હેતુપૂર્વક બેવડાવાયાં છે. ‘દાદા હો દીકરી, દાદા હો દીકરી’ (દાદા હોંકારા પર હોંકારા દે.) ‘સૈયો કે હમચી, સૈયો કે હમચી’ (વારે વારે ઘુમરડી લેતી સાહેલીઓ.) ‘દીએ દળાવે મુને, દીએ દળાવે મુને’ (એટલું બધું દળાવે કે એક વાર કહેવાથી ન સમજાય.) ‘ઓશીકે ઈંઢોણી વહુ, ઓશીકે ઈંઢોણી વહુ’ (કામ બે વાર ન ચીંધે તો સાસુ શાની?) ‘ઘડો બુડે નહિ, ઘડો બુડે નહિ’ (કૂવાકાંઠે નિસાસા પર નિસાસા.) ‘ઊડતા પંખીડા વીરા, ઊડતા પંખીડા વીરા’ (કાકલૂદી.) ‘કૂવે ન પડજો દીકરી, કૂવે ન પડજો દીકરી’ (દાદાને પડતા ધ્રાસ્કા.)
ગીત કરુણરસનું હોવા છતાં દરેક કડીમાં ‘સૈયો કે હમચી, સૈયો કે હમચી’ એવું ઉમંગે હમચી ખૂંદવાનું પદ મુકાયું છે. આવા વિરોધ (કોન્ટ્રાસ્ટ)થી કરુણરસ ઘેરો ઘુંટાય છે. ‘અંજવાળી તે આઠમનાં આણાં આવશે રે’- અંધારી રાતો હવે પૂરી થઈ, એવા આશાવાદ સાથે ગીત પૂરું થાય છે.
‘ઓ છેલ’ સંબોધન પરથી ખ્યાલ આવે છે કે કાવ્યનાયિકા એના મનના માણીગરને સંબોધીને આ વાત કહી રહી છે. પ્રસ્તુત રચનામાં ઝીલ એટલે ચોમાસામાં છલકાઈ આવેલ સરોવર છે કે ખૂબ પાણી વરસવાના કારણે ઝીલ જેવી થઈ ગયેલી ધરતી એ કળવું જરા કઠિન છે, પણ એના પિષ્ટપેષણમાં પડવાના બદલે ગીતનો જ સાગમટે આનંદ લેવામાં ખરી મજા છે. વિશાળ ઝીલ અથવા ઝીલ બની ગયેલી ધરતીની સ્થિર જળસપાટી બપોરના ભૂરા આકાશને બાથમાં લેતી ભાસે છે. ઝગારા મારતા લીસા અરીસા જેવા સ્થિર જળપથારમાં માછલીય હળવેથી સરકતી હોવાનો અણસારો વર્તાતો નથી. આકાશમાં ઊંચે ઊડતી એકલદોકલ સમડી સિવાય કોઈ નજરે ચડતું નથી. કાવ્યનાયિકાને કાને દક્ષિણ દિશા તરફ ધીમે ધીમે જતાં ઘુઘરિયાળ ગાડાનો રણકાર તો પડે છે, પણ નાયિકા જ્યાં ઊભી છે, ત્યાંથી એ જોઈ શકાતું નથી. ગાડું વધુ દૂર જતાં એ અવાજ પણ શાંત થઈ જાય છે.
ચોમાસાની ઢળતી બપોરનો તડકો પણ મીઠો અને ધીમી ગતિના કારણે અલસભર્યો વર્તાય છે. ઝીલના કાંઠે ઊગેલ બરુ આ નીરવ સુખને ધરાઈને માણતાં હોય એમ પાણી તરફ ઢળી રહ્યાં છે. સૃષ્ટિ આખીની વાત કરી લીધા બાદ ચતુર કાવ્યનાયિકા નાયકને ઉઘાડા ડિલે ટાઢા જળમાં આડા પડીને સંગાથનું સુખ માણવા આમંત્રે છે ત્યારે ખ્યાલ આવે કે ચોમાસુ બપોરના તળાવના સૌંદર્યની વાતો નાયકને ફોસલાવીને પાસે આણવા માટેની તરકીબ જ હતી. વાહ વાહ!
નભથી તાપ નહીં લૂ વરસતી હોય, ખેતરોમાં આગ લાગી હોય એવામાંય પ્રેમી પ્રેમરંગે રંગાયા વિના રહી શકતાં નથી. રોમેરોમે ઝાળ જાગે છે અને હૈયું પણ પ્રેમાગ્નિમાં ભડભડ સળગી રહ્યું છે, પણ ફાગણની પિચકારી અને કેસૂડાની ક્યારી ભલભલી અગન ભૂલાવી દે એવાં છે. હોળીનો અગ્નિ સપનાંઓ ફળવાની આશા લઈને આવ્યો છે. મુખડા વિનાના ચાર બંધમાં પ્રકૃતિથી પ્રિયતમ સુધીની ક્રમિક ગતિ કેવી મજાની થઈ છે!
વીસમી સદીના પ્રારંભિક દાયકાઓમાં થઈ ગયેલા કવિ તરફથી આજે માણીએ પ્રેમના પરિમલનું પાણીદાર ગીત. ગીતમાં ઉતરતા પહેલાં ગીતની બાંધણી આપણું ધ્યાન આકર્ષે છે. મુખડા અને પૂરકપંક્તિઓનો અભાવ અને બે-ત્રણ નહીં, છ-છ બંધની સંરચના ગીતને પ્રચલિત ગીતોથી અલગ તારવી આપે છે. બીજું, આખાય ગીતની તમામ બેકી કડીઓનો ઉપાડ ‘સખિ’ સંબોધનથી થાય છે, (સાચી જોડણી ‘સખી’. કવિએ કદાચ ‘સખિ’ શબ્દનું વજન ત્રણ માત્રાભારના સ્થાને ગીતમાં બે માત્રા જેટલું છે, એ સૂચવવા હૃસ્વ ઇ પ્રયોજ્યો હોય એ શક્ય છે, કારણ એ સમયના કવિઓમાં છંદની જરૂરિયાત મુજબ લઘુ-ગુરુ અક્ષરોમાં લિપિભેદ કરવાનું ચલણ હતું.)
‘સખી’ સંબોધન જીવનસાથી અને કથક વચ્ચેના સ્નેહસંબંધને ઉજાગર કરી આપે છે. આઠ-નવ દાયકા પહેલાંના ભારતમાં સ્ત્રી-પુરુષ વચ્ચે આવું સહિયરપણું સાહજિક નહોતું. પત્ની અથવા પ્રેયસી જવે સાથે ન હોવાનો સંકેત કવિ લોક-વિલોકે જઈ બેઠી કહીને આપણને આપે છે. બે શરીર વચ્ચેના દૂરત્વ વચ્ચે પણ પ્રણયની સૌરભ કેવી પ્રસરે છે એ વાત અલગ-અલગ રીતે કરતું આ ગીત સાચે જ મનહર થયું છે.
April 26, 2024 at 11:33 AM by વિવેક · Filed under ગીત, જયંતી પટેલ
વાડામાં કૂતરી વિયાઈ
. છાણાં લેવાય નૈ.
ડેલીનો ડાઘિયો હાંફે બજારમાં એમ બેઠી’તી ચૂલાની મોર્ય,
ટાણું છાંડીશ તો તાડૂકશે બાઈજી કહેશે કે ટાંટિયો ઓર્ય,
રૂંવે રૂંવે મને લાગી છે લ્હાય,
. આવું મ્હેણું તો સ્હેવાય નૈ;
વાડામાં કૂતરી વિયાઈ
. છાણાં લેવાય નૈ.
પાદરમાં બેઠી છે પંચાયત ગામની કરીએ તો કરીએ શું રાવ?
હું રે ભોળુડી કંઈ બોલું ના બોલું ત્યાં કહેશે કે સાબિતી લાવ,
ઘૂંઘટ ઉપાડું તો ચહેરો દેખાય,
. અંદરના ડામ કૈં દેખાય નૈ;
વાડામાં કૂતરી વિયાઈ,
. છાણાં લેવાય નૈ.
– જયંતી પટેલ
સારી કવિતાની એક વિશેષતા એ છે કે સમસ્ત જનસમાજની વેદનાને એકદમ હળવાશથી વાચા આપી શકે છે. હળવીફૂલ લાગતી રચનામાંથી પસાર થઈએ અને કાવ્યાંતે હૃદયમાં કવિતામાં વ્યક્ત થયેલ પીડા ફાંસ બનીને ઘર કરી જાય એમાં જ કવિતાનું સાફલ્ય ગણાય. જુઓ આ રચના –
તાજી વિયાયેલ કૂતરીની નજીક જઈએ તો કરડી ખાય. ચૂલો પેટાવવા માટેનાં છાણાં જ્યાં પડ્યાં છે, એ વાડામાં જ કૂતરીએ બચ્ચાં આપ્યાં છે એટલે છાણાં લેવા જવું શી રીતે? ડેલીનો ડાઘિયો કૂતરો બજારમાં નવરો બેઠો કેવળ હાંફ્યે રાખે એ રીતે વહુરાણી ચૂલા પાસે બેસી રહી છે, પણ રાંધી નહીં સ્ઝકાય તો સારુ તારા ટાંટિયા ચૂલામાં કેમ ન ઓર્યા કહીને તાડૂકશે એ એ ડર એને સતાવી રહ્યો છે. પાદરમાં પંચાયત બેઠી છે એમ કાવ્યનાયિકા આપણને કહે છે ત્યારે પંચાયત શબ્દમાં પંચાતનો રણકો સંભળાયા વિના રહેતો નથી. સાસરીમાં વહુવારુઓને પડતાં દુઃખ નાની અમથી વાતના મિષે કેવી સાહજિકતાથી વ્યક્ત થયાં છે!
April 19, 2024 at 12:30 AM by વિવેક · Filed under ગીત, હરીશ મીનાશ્રુ
પૃથ્વીના ગોળાને કોણ રે નિચોવે આમ ગળચટ્ટા સંતરાની જેમ
રસની પિયાલી ઢીંચી મત્ત બને કોણ, કોણ ફેંકાતું છોતરાની જેમ
ખાય અન્નદાતા તો રૈયતને ઓડકાર
ખાવાનાં નીકળ્યાં ફરમાન ઘણી ખમ્મા હો
થૂલીને ગણવો કંસાર અને કુશકીને
રાજીખુશીથી ગણો ધાન ઘણી ખમ્મા હો
ગંગુ તેલી ને હતો એક રાજા ભોજ રે
વેળા વીતે ને વધે વારતાનો બોજ રે
વેંઢાર્યે જાવ આવા ઇશ્વરને જીવતરમાં ભારે સંપેતરાની જેમ
પૃથ્વીના ગોળાને કોણ રે નિચોવે આમ ગળચટ્ટા સંતરાની જેમ
ખેતર તોળાઈ ગયાં દાણીને ત્રાજવે
ને ધરમીને ઘેર પડી ધાડ ઘણી ખમ્મા હો
આગિયાને તાપણે ટોળે વળીને લોક
હેમાળે ગાળે છે હાડ ઘણી ખમ્મા હો
ઠેકાણે લાવવાને કક્કાની સાન રે
સંતરીના પહેરાની હેઠળ જબાન રે
રાંકનાં તે ગીત કેમ ગાવાં, ભાષા તો પડી ઊંધા છબોતરાંની જેમ
પૃથ્વીના ગોળાને કોણ રે નિચોવે આમ ગળચટ્ટા સંતરાની જેમ
– હરીશ મીનાશ્રુ
(*સ્મરણપુણ્ય : પોપ ફ્રાન્સિસ)
ત્રણ-ચાર વર્ષ પહેલાં પોપ ફ્રાન્સિસે એક વક્તવ્યમાં પૃથ્વી અને પર્યાવરણ પર તોળાઈ રહેલા ખતરાથી બચવા માટે પૃથ્વીને સંતરાની જેમ નિચોવ્યા કરવાનું બંધ કરવાનો વિશ્વવ્યાપી સંદેશો આપ્યો હતો. કવિ એ સંદેશાને ધ્રુવકડીમાં સાંકળી લઈને કેવું મજાનું વ્યંગગીત રચે છે એ જોવા જેવું છે. ગીતમાંથી પસાર થતી વખતે કરસનદાસ માણેકની ‘મને એ જ સમજાતું નથી કે શાને આવું થાય છે’ ગઝલ અવશ્ય યાદ આવશે.
વીસ ટકા અમીરો દુનિયાના એંસી ટકા સંસાધનો વાપરે છે. બાકીના વીસ ટકા ગરીબોને તો દોઢ ટકો સંસાધન પણ નસીબ થતાં નથી. વધારે ચોંકાવનારો આંકડો તો પ્રદૂષણ બાબતનો છે. દુનિયાના એક જ ટકો અમીરો દુનિયાના બે તૃત્યાંશ પ્રદૂષણ માટે જવાબદાર છે. આ શુષ્ક આંકડા કાવ્યસ્વરૂપ ધારે તો આવું ગીત લખાય.
શબ્દ બે ધારી તલવાર છે. યોગ્ય રીતે વાપરવામાં આવે તો જંગ જીતી શકાય અને અયોગ્ય રીતે વાપરો તો જીતેલી બાજી પણ હારી જવાય. પોતાના જ શબ્દોનો માર ખાધેલ બે પ્રિયજનની સમ-વેદનાનું આ સહિયારું ગાન છે. વાતને ઝરૂખે એક લાગણી ઝૂરી રહી છે. કોની? તો કે આપણી. મુખડાની બીજી પંક્તિમાં પરંપરા મુજબ આખું વાક્ય વાપરવાના બદલે કવિએ માત્ર એક જ શબ્દ –આપણી- વાપરીને સહિયારાભાવને કેવો અધોરેખિત કરી બતાવ્યો છે! આપણે એકબીજાને જે કહ્યું છે એ વાતો જ આપણને અલગ કરતી વાડ બની ગઈ છે. સંગાથમાં પાણીની જેમ વહેતો સમય હવે થીજી ગયો છે. એક એક પળ પણ પહાડ જેવી વિરાટ ભાસે છે. રાતરાણીની સુગંધને પીઠ પર સવારી કરાવી ગામ આખાને તરબતર કરતો વાયરો સાથમાં હોવા છતાં અભાગણી રાતરાણી એકલી ઝૂરી રહી છે. એના પમરાટનો પાગલ એની સાથે નથી ને! પડછાયા એટલે અંધારું. હોઠેથી આયખું અજવાળે એવા શબ્દોના સ્થાને પડછાયાઓ પથરાઈ રહ્યા છે. આંખોની મરણપથારી પર કદી સાથે જોયાં હશે એ સ્વપ્નો આખરી શ્વાસ લઈ રહ્યાં છે. આગિયાની પાંખ પર બેઠેલો સૂરજ મારગની માંગણી કરે એ પ્રતીક મને પૂરું સમજાતું નથી. કવિ વાતનું વતેસર થયાની વાત કરે છે કે કંઈ બીજું એ બાબતે કોઈ કવિમિત્ર કે વાચકમિત્ર વધુ પ્રકાશ પાડશે તો આનંદ થશે.
સાવ ટબૂકડું પણ કેવું મજાનું ગીત! રાત્રે આકાશમાં તારાઓને ટમટમતાં આપણે સહુ જોઈએ છીએ. આ તો રોજેરોજનું દૃશ્ય છે, પણ કવિની તો દૃષ્ટિ જ અલગ. કવિના લેન્સમાંથી હજારોવાર જોયેલી વસ્તુ પણ અચંબો થાય એવી નવીન લાગે. પ્રસ્તુત રચના એનું બળકટ દૃષ્ટાંત છે. સાંજ આકાશના કોડિયાઓમાં લાલ-કેસરી રંગોનું તેલ પૂરીને આભઅટારીને શણગારે છે. સાંજના ધીમે ધીમે ઢળવા અને રાતના ધીમે ધીમે રેલાવાની ક્રિયાને કવિ રાત શરમાતી શરમાતી આવે છે એમ કહીને નવું જ પરિમાણ બક્ષે છે. અંધારું થાય નહીં ત્યાં સુધી તારાઓ ચમકતા દેખાય નહીં એ તથ્યમાં કવિને શર્મિલી વહુ નવલખ જ્યોતિ પ્રગટાવતી નજરે ચડે છે. સામાન્યરીતે વાયુ વાય એટલે દીવાની જ્યોત થથરવા માંડે અને બુઝાઈ પણ જાય. ઝબુક ઝબુક કરતા પણ ગાયબ ન થતા તારાઓમાં કવિને આ દૃશ્ય દેખાય છે. હવે તો નવરાત્રિમાં માથે ગરબો મેલીને રમવાની પ્રથા નામશેષ થવા આવી છે, પણ જે સમયે આ ગીત રચાયું હતું એ સમયે એવું નહોતું. ગરબો એટલે ઘણાબધાં કાણાંવાળું માટલું, જેની અંદર દીવડો મૂક્યો હોય અને એને માથે લઈને સ્ત્રી માતાની મૂર્તિ કે તસવીર સમક્ષ રાસ રમે. (આજે આપણે આ ક્રિયાને જ ગરબો કહેવા માંડ્યા છીએ.) આખું અંબર એક ગરબો હોય, મીઠાં તેજ વરસાવતા તારાઓ એમાં કરાયેલ નવલખ છિદ્રો હોય અને સ્વયં આદ્યાશક્તિ એને માથે મેલીને રાસ રમતી હોય એ કલ્પન ધ્યાનમાં રાખીને રાત્રે આકાશમાં મીટ માંડજો. કવિએ કેવી કમાલ કરી છે એ સમજાશે. જે રીતે ગરબામાં કરાયેલ છિદ્રોમાંથી તેજ ઝમતું તો નજરે ચડે છે, પણ તેજ રેલાવનાર દીવો નજરે ચડતો નથી એ જ રીતે નજરે ચડતા આકાશની પેલે પાર દુનિયાના આધાર સમી જ્યોત ઝબૂકી રહી છે એમ કહીને ઈશ્વર તરફ અંગૂલિનિર્દેશ કરીને કવિ ગીતને નવી જ ઊંચાઈ બક્ષે છે.
નીર નદીમાં હોય નહીં ને ગામ તણાઈ જાય…
પવન નેવકો થીર હોય ને જંગલ ઝોલાં ખાય…
દીવાસળીના ડીંટે અગની
. સાવે સૂનમૂન બેઠો,
સમજણની પટ્ટી પર ઘસવા
. નથી કોઈને નેઠો.
સાવ તણખલાં જેવી વાતે ભારે ભડકો થાય…
પવન નેવકો થીર હોય ને જંગલ ઝોલાં ખાય…
– ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’
દેખીતા વિરોધાભાસનું ગીત. ગીતનો ઉપાડ જ અનિવાર્ય કારણના લોપથી થાય છે. પવન સાવ જ સ્થિર હોય ત્યારે જંગલના ઝાડપાન કઈ રીતે ઝોલાં ખાઈ શકે? પણ અહીં એવું કૌતુક કવિએ સર્જ્યું છે. ષકટનો ભાર શ્વાન તાણે કહેવતને આપણા આદિ કવિ નરસિંહ મહેતા સાથે સાંકળીને કવિએ હાથ કંગન કો આરસી ક્યા જેવો આ સ્વયંસ્પષ્ટ વિરોધાભાસ આજકાલનો નહીં પણ પરાપૂર્વથી ચાલતો આવ્યો હોવાની વાતને પણ અધોરેખિત કરી બતાવી છે. વા વાયો ને નળિયું ખસ્યું જેવી વાતમાં આખું ગામ તણાઈ જાય ને તણખલાં જેવી વાતે ભારે ભડકો થાય એ વક્રતા પણ કવિએ ભારોભાર વ્યંગ સાથે રજૂ કરી છે. દીવાસળીના પોટાશમાં ભારેલો અગ્નિ બેઠો જ છે, પણ સમજણની પટ્ટી ઉપર એને ઘસવામાં આવે તો અજવાળું થાય અને પ્રકાશ રેલાય. પણ એટલું ભાન હવે કોનામાં બચ્યું છે?
ખેર, આ તો થઈ કવિએ ગીતમાં શું પીરસ્યું છે એની વાત. ગીત કેવી રીતે પીરસાયું છે એ તરફ પણ ધ્યાન દેવા જેવું છે. લયની પ્રવાહિતા સિવાય ગીતની બાની અને શબ્દપસંદગી પણ કાબિલે-દાદ છે. બહુ ઓછા કવિઓ તળપદી બોલી આટલી પ્રભાવકતાથી પ્રયોજી શકે છે.
સ્વની માયા ન હોય એ જ માણસ પરમાર્થે જોડાઈ શકે. આભના મિષે આ વાત કવિએ કેવી સરસ રીતે કહી છે એ જોવા જેવું છે. આભને આભની પોતાની માયા નથી હોતી. માયા હોય તો એ સ્વને ત્યાગીને વેરાન હોય કે વન, આવળબાવળ હોય કે લોકો, એ પોતાની સોનલવરણી છાયા સૌ પર એકસમાન હેતથી પાથરે નહીં ગીતોમાં સામાન્યરીતે જોવા મળતાં આવર્તનો કરતાં એક આવર્તન વધુ ગૂંથીને કવિએ લયને પણ લહેકાવ્યો છે. સરવાળે આખું ગીત સુપથ્ય બની રહે છે.
સાંજ પડી ને અનામ પંખી અભિનવ અવાસ શોધે,
જીર્ણ પિંજરને પરહરીને નવતર ની શું ખોજે?
સાંજ પડી…
– રણજીતભાઈ મો. પટેલ ‘અનામી’
વીસમી સદીના પ્રારંભકાળમાં થઈ ગયેલા અને ઓછા જાણીતા થયેલા કવિની કલમે એક સાંધ્યચિત્ર આજે માણીએ. કોઈપણ પ્રકારના પાંડિત્ય કે ભાષાડંબર વિના કવિ ઢળતી સાંજના નાનાવિધ આયામોને કવિતાના કેનવાસ પર આલેખે છે. રોજ સાંજ પડતાં પોતપોતાના માળામાં પરત ફરતાં પંખીઓને જોઈને કવિને કૌતુક થાય છે, આકાશમાં તો કોઈ કેડી કંડારાયેલ નથી, તો તેઓ કઈ ‘ગૂગલ મેપ્સ’ના આધારે પોતાનો માર્ગ જોઈ શકતાં હશે! સુરતના કવિશ્રી હરીશ ઠક્કરનો એક શેર આ ટાંકણે યાદ આવે: ‘પંખીનાં કદી આભમાં પગલાં નથી પડતાં, તેથી જ બીજાં પંખીઓ ભૂલાં નથી પડતાં.’
કવિનું નામ પહેલવહેલીવાર સાંભળ્યું, પણ ગીત વાંચતાવેંત મનમાં વસી ગયું. સરળતમ બાની, પ્રવાહી લય અને રસાયેલ લાગણીઓની સહજાભિવ્યક્તિના કારણે ગીત વધુ આસ્વાદ્ય બન્યું છે. મનના માણીગરને દિલનો હાલ લખી મોકલવાની ઝંખામાંથી ગીત જન્મ્યું છે, પણ પ્રણયમાં સ્ત્રીસહજ સંકોચ પ્રારંભથી જ વર્તાય છે. કાગળ તો લખવો છે, પણ કોરેકોરો અને અમથે અમથો. કોરો કાગળ વાંચી શકે એ જ સાચો પ્રેમ. જીવનમાં તો અભાવનાં અંધારાં ઊતરી આવ્યાં છે. આવામાં કશાનું અજવાળું હોય તો તે કેવળ યાદોનું જ. ખેતર-વગડાથી લઈને મનની મેડી સુધી બધે જ સૂનકાર પ્રવર્તે છે. હૃદય ઝીણો ઝીણો મૂંઝારો અનુભવે છે ને આંખો ચૂઈ રહી છે, કાજળ વહી રહ્યું છે તો ભીનાં ભીનાં કાજળથી જ પ્રેમપત્ર લખીએ ને!
તમારે આ સોળમું વરસ ચાલ્યું જાય
એમાં શણગારો સોળ ઉમેરાય
પછી બત્રીસ લખણાઓ જો આવે
તો ખોટું શું? સરવાળો સાચો કહેવાય
અલ્લડપણાની આજુબાજુમાં બેસીને, તોતડાઓ કવ્વાલી ગાતા,
લહેરખીને રાતી ને પીળી કરી જાતા,
તરસ મારી બાઘી
તે શિયાવિયા થઈને બેઠી છે જરી આઘી
નથી એટલુંયે એને સમજાતું કે છાંટવાનાં પાણી નથી રે પિવાતાં
આજ એવાં કૌતુક અમે દીઠાં
ચાખીને જોયા, તો મોટા મોટા શેઠિયાઓ
માણસ જેવા જ લાગે મીઠા
એક તો પતંગિયાંઓ પાક્કાં પિયક્કડ, ને પાંખડીએ પાંખડીએ પીઠાં
– ઉદયન ઠક્કર
લયસ્તરોના તમામ ચાહક કવિમિત્રો અને ભાવકમિત્રોને હોળી પર્વની શુભેચ્છાઓ..
પરંપરિત ગીત સ્વરૂપથી સહેજ અલગ ચીલો ચાતરતું મજાનું હોળી ગીત આજે માણીએ. મુખડા અને પૂરકપંક્તિ વિનાનું ગીત ચાર બંધથી બન્યું છે. ત્રીજો બંધ પાંચ પંક્તિનો છે અને પહેલા અને છેલ્લા બંધ સિવાય કવિએ ચુસ્ત પણ ઉન્મુક્ત પ્રાસનિયોજના સ્વીકારી છે. પ્રચલિત ગીતની ભાષા કરતાં ભાષાની રુએ પણ આ રચના ઉફરી તરી આવે છે. અને ગીતની છેલ્લી પંક્તિ તો સ્વયં એક કવિતા છે..