મારા વિષાદનાં ગુલાબો મ્હેકતા રહો,
હું તો આ બારમાસી ફૂલે ઝરમર્યા કરું.
– શ્યામ સાધુ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ગીત

ગીત શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ત્યક્તાનું ગીત – ગોપાલ ધકાણ

અઢળક દરિયા છે ચોપાસ, અમારી આંખ્યુંમાં ભીનાશ, અમે તો તોય તરસીએ
ખીલ્યો લુમ્બોઝુમ્બો ફાગ, અમારો બેસૂરો છે રાગ, અમે શું કોને કહીએ?

જડતર ઝીલે ઓઢણીયું ને પડતી પીડા માંહ્ય, જમાનો કોરી ખાશે,
ખળખળ વહેતાં ઝરણાઓને આજ નહીં તો કાલ, સમંદર દોરી જાશે,
સૌએ ચાંદે જોયો ડાઘ, અમારો એમાં છે શું વાંક, હવે શું છાતી ચીરીએ?

ખળભળ ગઢની રાંગ, અમારી એકલવાયી સાંજ, અટૂલી કેમ કપાશે?
તમરાં ભાંગે રાત, અમારી પાંપણ ઉપર ભાર સવારે વધતો જાશે,
વડછડ આઘી મેલી આજ, સાંકળ ખખડાવો ને રાજ, અમે લો તરત ખોલીએ

– ગોપાલ ધકાણ

વ્યક્તિ વ્યક્તિને ત્યાગી શકે પણ એના દિલમાંથી પોતાના માટેના સ્નેહને થોડો મિટાવી શકે? કાવ્યનાયિકાને એના પ્રિયજને ત્યાગી દીધી છે, પણ નાયિકાનું હૈયું તો હજીયે પળપ્રતિપળ એને જ ઝંખી રહ્યું છે. ફાગણ પૂરબહારમાં હોય પણ જીવતરનો રાગ બેસૂરો થઈ ગયો હોય તો કોને કહેવા જવાય? ઓઢણીમાં જડતર કરવા જતાં પીડા જ સિવાઈ જાય છે. પોતે બેકસૂર છે એ સાબિત કરવા હવે શું છાતી ચીરીને પ્રતીતિ કરાવવાની? પથ્થર જેવા પથ્થરને પણ ફાગણમાં ખળભળનું સુખ નસીબ થાય છે, પણ નાયિકાની તો સાંજ જ પથ્થર થઈ ગઈ છે. એ એકલા એકલા કેમ કપાશેનો પ્રશ્ન ભાર બનીને પાંપણો પર તોળાઈ રહ્યો છે.

Comments (4)

સમજો – નીતિન વડગામા

સમજો સાચું શરણું.
હોડી છોડી કેમ પકડતાં તમેય પોકળ તરણું!

તરણાંના શરણાથી કેવળ પદ કે પદવી મળે.
થપાટ મારે કાળ જરા ત્યાં સઘળુંયે ખળભળે!

પવન આવતાં ઊડી જાશે હલકું અંગ-ઉપરણું !
સમજો સાચું શરણું.

એક પાઘડી માથા પર મણમણનો નાખે ભાર.
પરપોટાનો નહિ, સાચો છે પાણીનો આધાર.

નાહક દોડાદોડ કરી જંગલમાં હાંફે હરણું !
સમજો સાચું શરણું.

પંડિત ભારેખમ ભાષામાં ગમતા પાઠ ભણાવે.
એક દાંત દેખાડે, પાછા બીજા દાંતથી ચાવે !

શરણાગતનો મહિમા સમજો તો જ પામશો ઝરણું.
સમજો સાચું શરણું.

– નીતિન વડગામા

સુરતમાં થોડા દિવસ પહેલાં જ પુસ્તકમેળો યોજાઈ ગયો. એના થોડા સમય પહેલાં અમદાવાદમાં. શહેર કોઈ પણ હોય, પુસ્તકમેળામાં સેલ્ફ-હેલ્પના પુસ્તકો જ સૌથી વધુ માત્રામાં દેખાતા અને વેચાતા જોવા મળે છે. પણ સેલ્ફહેલ્પના આ પુસ્તકો ડૂબતા માણસ માટે તરણાના શરણાથી વિશેષ કશુ નથી. તરવું હોય તો પાણીના આધારે જ તરી શકાય, પરપોટો ઝાલીને નહીં. જીવનમાં જે કંઈ ઉપલક મેળવવામાં આવ્યું હશે એ તો કાળનો પવન આવતાંવેંત ઊડી જશે. શરણ્ય અને શરણાગત ઉભયનો મહિમા જ્યાં સુધી સમજવામાં નહીં આવે ત્યાં સુધી સુખનું નિર્મળ ઝરણું પ્રાપ્ત નહીં થાય. કવિની અન્ય રચનાઓની સરખામણીમાં આ રચના છાશ લેવા જવું હોય તો દોણી ક્યાં સંતાડવીના ન્યાયને અનુસરતી હોય એમ થોડી વાચાળ થઈ છે એ અલગ વાત છે.

Comments (7)

ઘેરૈયાનો ઘેરો – વેણીભાઈ પુરોહિત

ચકલામાં ચેતીને ચાલો, નવાઈલાલ!
હોળીનો પૈસો આલો, નવાઈલાલ!

આજે છે રંગ રંગ હોળી, નવાઈલાલ!
આવી ઘેરૈયાની ટોળી, નવાઈલાલ!

ખાવાં છે સેવ ને ધાણી, નવાઈલાલ!
દાણ માગે છે દાણી, નવાઈલાલ!

આવ્યાં નિશાળિયા દોડી, નવાઈલાલ!
શાહીની શીશીઓ ઢોળી, નવાઈલાલ!

ઝાલી છે હાથમાં ઝોળી, નવાઈલાલ!
સિકલ તમારી છે ભોળી, નવાઈલાલ!

જૂની પોતડી પ્હેરી, નવાઈલાલ!
લાગો છો રસિયા લ્હેરી, નવાઈલાલ!

ભારે હિમ્મત તમે લીધી, નવાઈલાલ!
ભાભીએ કિમ્મત કીધી, નવાઈલાલ!

ઊંધી તે પ્હેરી ટોપી, નવાઈલાલ!
હસશે ગામની ગોપી, નવાઈલાલ!

ચશ્માની દાંડી વાંકી, નવાઈલાલ!
આંખોની આબરૂ ઢાંકી, નવાઈલાલ!

ચાલોને ઘેરમાં ફરશું, નવાઈલાલ!
નદીએ નાવણિયાં કરશું, નવાઈલાલ!

કોરા રહેવાની વાત મૂકો, નવાઈલાલ!
આજે દિવસ નથી સૂકો, નવાઈલાલ!

મૂછોમાં બાલ એક ધોળો, નવાઈલાલ!
કાળા કલપમાં બોળો, નવાઈલાલ!

કૂવાકાંઠે તે ના જાશો, નવાઈલાલ!
જાશો તો ડાગલા થાશો, નવાઈલાલ!

આજે સપરમો દા’ડો, નવાઈલાલ!
લાવો ફાગણનો ફાળો, નવાઈલાલ!

ચકલામાં ચેતીને ચાલો, નવાઈલાલ!
હોળીનો પૈસો આલો, નવાઈલાલ!

– વેણીભાઈ પુરોહિત

ફાગણ ફટાણાં ગાવાની ઋતુ છે. આજેય હોળી એમનેમ નથી સળગતી, ને પહેલાંય એમનેમ નહોતી સળગતી. હોળી માટે ફાળો ઉઘરાવવાની પ્રથા શરૂથી જ ચાલી આવી છે. ને એમાંય ઘેરૈયાઓ ખેલ આદરે એટલે એ લોકો પોતાના માટે સિરપાવ ઇચ્છે એ તો વળી અલગ જ. ગામમાં કે શહેરમાં ચકલો હોય ત્યાં હોળી પ્રગટાવવામાં આવે છે. ઘેરૈયાઓની ટોળી નવાઈલાલ સાથે એકપક્ષી સંવાદાત્મક શૈલીમાં વાત કરતા હોય એ ઢબે આખી રચના થઈ છે. ગુજરાતીમાં હળવી કવિતાઓ બહુ ઓછી લખાઈ છે. એમાંય આવી સરસ નર્મ-મર્મ કવિતા તો જવલ્લે જ જોવા મળે. કોણ છે આ નવાઈલાલ? નવાઈલાલ એ વેણીભાઈ પુરોહિતનો ‘કોમન મેન’ છે. ‘ભોલી સૂરત દિલ કે ખોટે’ જેવા આ નવાઈલાલને ઘરૈયાઓ ચકલામાં થઈને ચાલતા અટકાવે છે, અને સેવ-ધાણી ખાવા માટે એની પાસે દાણ માંગે છે. જુવાનિયાઓ એ સમયગાળામાં ગામના ટોલનાકા જેવા હતા. એમને વટાવીને આગળ જવું હોય તો ટોલ તો ચૂકવવો જ પડે. કવિએ નવાઈલાલનું રસિક વર્ણન પણ કર્યું છે: ભોળી સિકલ, ખભે ઝોળી, પોતડી જૂની, ઊંધી ટોપી ને વાંકી દાંડીવાળા ચશ્માં! ભાભી કિંમત કરે કે ગામની ગોપીઓ હસે, એનાથી એ ડરતા નથી. પૈસા આપવામાં નવાઈલાલ નક્કી આનાકાની કરતા હોવા જોઈએ, એટલે જ તો ઘેરૈયાઓ એમને ઘેરમાં ફરવા માટે ને પછી નદીમાં જઈને નહાવા માટે લલચાવે છે. એ રંગાવા તૈયાર નથી, પૈસા દેવા તૈયાર નથી ને ઘેરૈયાઓ કેડો મૂકવા. આજના દિવસે કંઈ કોઈ કોરું રહી શકે? યાદ આવે: ‘એન્ની માનું કોરું નહીં જાય કોઈ બાકી…’ (ર.પા.)

Comments (6)

ફાગુન આયો રી – રાજેન્દ્ર શાહ

.                 ફરી ફરી ફાગુન આયો રી
મલય કેરે વાયરે વાયો
.                 ફાગુન આયો રી !

મંજરીની ગંધ,
.                 પેલાં કિંશુકનો રંગ,
કોકિલ કેરો કંઠ
.                 મને સહુનો લાગ્યો છંદ;
.                 હોજી મારો જીવ લુભાયો રી !

દુનિયા કેરા ચોકમાં આજે
.                 કોણ છોરી કોણ છેલ ?
ગાનમાં ઘેલાં, રંગમાં રોળ્યાં
.                 રમતાં રે અલબેલ !
આવી સુખ સુહાગન વેળ,
.                 ચારિ ઓર લાલ ઉડાયો રી.

– રાજેન્દ્ર શાહ

હોળી-ધૂળેટી પર્વમાં આજે ગ્રહણના કારણે ખાલી દિવસ છે, પણ કવિતા માટે તો કોઈ દિવસ ખાલી ન જ હોય ને! સારી અને સાચી કવિતાના રંગથી તો ગમે તેને ગમે ત્યારે ને ગમે એટલીવાર રંગી શકાય ને!

ગુજરાતમાં શિયાળા દરમિયાન ઉત્તર-પૂર્વીય દિશામાંથી આવતો પવન ફાગણ શરૂ થતાં દક્ષિણ તરફથી ફૂંકાવો શરૂ થાય છે. દક્ષિણ ભારતના પશ્ચિમ ઘાટની પર્વતમાળામાં આવેલ મલય પર્વત એક જમાનામાં ચંદનનાં વનોથી ભર્યોભાદર્યો હતો. રામાયણ અને મહાભારતમાં પણ આ પર્વતનો ઉલ્લેખ છે, સુગંધિત ચંદનની વિશેષતાને કારણે તે પૌરાણિક કથાઓ અને કાવ્યોમાં વધુ અમર થઈ ગયો છે. ફાગણ આવતાં દક્ષિણથી વાવા શરૂ થયેલ વાયરાને કવિ મલય પર્વત પરથી આવતો કલ્પે છે. ફાગણ આવતાં જ સૃષ્ટિમાં નવ્યપ્રાણ ફૂંકાય છે. આંબે મંજરીઓ મહેંકી રહી છે તો પલાશના ઝાડોને કેસૂડો રંગોથી ભરી દે છે. એક ઘ્રાણેન્દ્રિયને તર કરે છે, તો બીજું દૃશ્યેન્દ્રિયને. બાકી હોય એમ કોયલ શ્રવણેન્દ્રિયને તુષ્ટ કરે છે. ધૂળેટી સ્પર્શેન્દ્રિયનું સુખ બનીને આવે છે. આવા ચેપી વાતાવરણનો છંદ ન લાગે ને જીવ લોભાય નહીં તો જ નવાઈ. દુનિયાના ચોકમાં ગાનમાં ઘેલાં થઈ સ્ત્રી-પુરુષ લિંગભેદ ભૂલી એકાકાર થઈ રંગે રમી રહ્યાં છે…. આવી મજાની સુખ સુહાગનવેળામાં ચારે તરફ લાલ રંગ ઉડાડવામાં ને રંગાવામાં આપ પણ જોડાવ છો ને?

Comments (2)

(હોળી રમે રાધા ગોરી) – મીરાં

હોળી રમે રાધા ગોરી, રાધા ગોરીશી નવલ કિશોરી હો. ધ્રુ૦

હની હો નૌતમ ઓઢ્યાં ઓઢણાં,
.                      પ્હેર્યાં ચીર ચરણાં ને ચોલી હો.     ૦૧

હની હો ચૂવા ચંદન ઘોળિયાં,
.                      કેસર ચંદન છીરકત ગોરી હો.      ૦૨

હની હો હાથમાં થાળ કનક તણા,
.                      કુંકુમ લીધાં ઘોળી હો.               ૦૩

હની વનરા તે વનની કુંજગલનમાં,
.                      રાધા મોહન ખેલે હોળી હો.         ૦૪

હની હો બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
.                      પિયા પ્યારીની બની જોડી હો.      ૦૫

– મીરાં

લયસ્તરોના તમામ ભાવકો, ચાહકો અને સહયોગી સર્જકોને હોળીપર્વના રંગબેરંગી વધામણાં…

હોળી પર્વ નિમિત્તે ભક્ત કવિ મીરાંબાઈનું એક ભક્તિપદ પ્રસ્તુત છે. રચના સહજસાધ્ય હોવાથી વિશેષ ટિપ્પણી અનાવશ્યક બની રહે છે. પણ આજની પેઢી માટે અમુક શબ્દો અજાણ્યા હોઈ, એમના શબ્દાર્થ અહીં મૂકીએ છીએ.

નૌતમ= નવતમ; તદ્દન નવું; અનુત્તમ;
ચરણાં = ચણિયો
ચૂવા= એક પ્રકારનું સુગંધી દ્રવ્ય; અગરનો અર્ક. તે જુદી જુદી જાતનાં ગંધદ્રવ્યોને એકઠાં કરી ગરમી આપી ટપકાવીને કાઢવામાં આવે છે. આનો ચંદન સાથે, લેપમાં તેમ જ મર્દનમાં ઉપયોગ થાય છે.
છીરકત = છાંટે છે
કનક = સોનું
કુંજગલન=કુંજગલી

Comments (2)

મુરલિયાં બાજે રે! – લાભશંકર ઠાકર

તુષારના ટીપામાં મોટો કમરો રે
એ કમરામાં બેઠા મારા કાન
મુરલિયાં બાજે રે!

કાન મહીં અંધારું ચમકે લીલું રે
એ લીલાશે ઊઘડે તૂરાં ગાન
મુરલિયાં બાજે રે!

તૂરાં ગાને ઊભા પગના ઓળા રે
ઝીણું ઝીણું હલતાં આઘે રાન
મુરલિયાં બાજે રે!

રાન મહીં ટીંગાતું ક્ષણનું ટીપું રે
ટટળે નીચે પલ પલ મારા પ્રાણ
મુરલિયાં બાજે રે!

તુષારના ટીપામાં મોટો કમરો રે
એ કમરામાં શોધું મારું ભાન
મુરલિયાં બાજે રે!

– લાભશંકર ઠાકર

થોડા વરસો પૂર્વે એક ગઝલ લખી હતી. એનો એક શેર આ ગીત વાંચતા સ્મરણપટલ પર તાજો થયો-

તમે કહો છો ભલે બુંદ પણ અમે કહીશું,
તરી રહી છે સકળ કાયનાત ફૂલો પર. (વિમટે)

પ્રસ્તુત રચના તો આ ગઝલ લખાયાના ઘણા વરસો પહેલાંની છે, પણ ઝાકળબુંદમાં એક કવિને કાયનાત નજરે ચડી તો એક કવિને એમાં મોટો કમરો દેખાયો. કમરામાં બેઠા છે મોરલી વગાડતા કાનજીકુંવર. ઘાસ કે ફૂલની પાંખડી પર પડેલ તુષારના ટીપા તરફ સામાન્યજનનું તો કદાચિત ધ્યાન પણ ન જાય, પણ કવિની નજર સૌંદર્યાનુરાગી હોય છે. એ રુઢમાંથી પણ અરુઢ ખોળી લે. કવિને ટીપામાં કૃષ્ણ દેખાયો ને કૃષ્ણની ભીતર લીલું અંધારું ચમકતું દેખાયું. રાતના અંધારા અને કૃષ્ણના વાન આ બંને કાળાં. કવિને બંને અર્થ પણ અભિપ્રેત હોઈ શકે. અંધારું લીલું એટલા માટે છે કે ઘાસનો રંગ ઓસબુંદમાં ઝીલાઈ રહ્યો છે. લીલાશમાં તૂરાં ગાન ઊઘડે છે. એકીસાથે દૃશ્યેન્દ્રિયનો સ્વાદેન્દ્રિય અને શ્રવણેન્દ્રિય –એમ બેવડો વ્યત્યય થયો. પોતાના પગના ઓળા પણ કદાચ આ બુંદમાં ઝીલાઈ રહ્યા છે અને હવાની સાથે થતા ઘાસ કે ફૂલના ડોલન સાથે એ ઝીણું ઝીણું હલતા દેખાય છે. ઝાકળના પડું પડું થતું ટીપું હવે ક્ષણનું ટીપું બની ગયું છે અને એની નીચે કવિના પ્રાણ પળ પળ ટટલી રહ્યા છે… હમણાં પડશે, હમણાં પડશે… ને જીવતર પૂરું થશે. ઝાકળનું એ ટીપું એ આપણું ક્ષણભંગુર આયખું છે, જે હમણાં આખી સૃષ્ટિ સમાવી બેઠું હોય એમ પ્રતીત થાય છે, ને હમણાં ધૂળમાં પડીને ધૂળમાં ભળી પણ જઈ શકે છે. આપણે જે શોધવાનું છે એ છે આપણું ભાન. ભાન જડી જાય તો જીવતરના આ મોટા કમરામાં ઈશ્વર પણ સાથે જ બેઠા છે-મુરલિયાં બજવતા…

Comments (9)

ઢળતાં ઢળતાં ઢળી – ચંદ્રકાન્ત શેઠ

ઢળતાં ઢળતાં ઢળી
.                              આંખ આ કયા ઊંડાણે વળી? –

નહીં અજવાળાં, નહીં અંધારાં
નહીં તલ, નહીં કિનારા,
સતત ઊછળતાં મોજાં વચ્ચે
એણે કર્યા ઉતારા,
.                              મોતીની રઢ ફળી ! –

હર શ્વાસે સમદરને વીંટતો,
ઉકેલતો ઉચ્છ્વાસે,
ગગન આખુંયે રોમ રોમમાં
લખ લખ અકળ ઉજાશે,
.                              હદ અનહદમાં ગળી! –

– ચંદ્રકાન્ત શેઠ

ગાગરમાં સાગર જેવું ગીત. સમાધિ લાગી છે પણ એ કંઈ એમનેમ નથી લાગી ગઈ… ‘કરતાં જાળ કરોળિયો’ માફક લાગતાં લાગતાં લાગી છે. અંતર્ચક્ષુ ખૂલતાં આંખ જે નવ્ય ઊંડાણોને તાકી-તાગી રહી છે એનું સહેજ વિસ્મય પણ થાય છે, જેને કવિએ પ્રશ્નાર્થની મદદથી કંડાર્યું છે. પ્રથમ પંક્તિની વર્ણસગાઈનું સંગીત પણ કેવું મજાનું છે! ગીતને ઉપાડ લેતાવેંત એના કારણે જે પ્રવાહિતા સાંપડે છે એ આખી રચનાને વધુ આસ્વાદ્ય બનાવે છે…

આ એવી જગ્યા છે જ્યાં અજવાળું પણ નથી ને અંધારું પણ નથી; તળિયું પણ નથી ને કિનારોય નથી. બધા અંતિમ ઓગળી ગયાં છે અને અંતિમો ઓગળી જાય ત્યારે સતત ઊછળતાં મોજાં વચ્ચે પ્રભુકૃપાનું મોતી હાથ લાગે. સમાધિની પરા અવસ્થામાં શ્વાસોચ્છ્વાસની સ્થૂળ ક્રિયા પણ પ્રાણાયમ બની રહે છે… અને પ્રાણાયામેય કેવો! જ્યાં દરેક શ્વાસે સમંદર વીંટળાય અને ઉચ્છવાસે ઉકેલાય. રોમેરોમમાં સમસ્ત ગગન અકળ ઉજાસે ઝળહળી રહ્યું છે… સમુદ્ર-ગગન-અખિલાઈ… વયષ્ટિ સમષ્ટિ સાથે એકત્વ સાધે છે. તમામ હદ અનહદમાં ઓગળી રહે છે… દ્વૈત અદ્વૈતમાં એકાકાર થઈ ચૂક્યું છે. આ છે સમાધિની ચરમ અવસ્થાનું પરમ ગાન!

Comments (11)

વિરહઘેલી બ્હાવરીનો તલસાટ – હર્ષદ ચંદારાણા

સોના વેલણ ને રૂપા પાટલી રે
દનડાં વણતાં રે ગોરાંદે;
વ્હાલા, દરિયો વળોટી વ્હેલા આવજો.

સોના બાજઠ ને રૂપા વીંઝણો રે
રાત્યું વીંઝતાં રે ગોરાંદે;
વ્હાલા, વગડો વળોટી વ્હેલા આવજો.

સોના થાળી ને રૂપા વાટકી રે
ઠાલાં ઠાલાં રે ગોરાંદે;
વ્હાલા, ડુંગર વળોટી વ્હેલા આવજો.

સોના લેખણ ને રૂપા કાગળ રે
ટપકે અંધારાં રે ગોરાંદે;
વ્હાલા, રણને વળોટી વ્હેલા આવજો.

– હર્ષદ ચંદારાણા

ગીતની પહેલી કડી વાંચતા જ આપણા સ્મૃતિપટ પર મધમીઠા ટહુકાઓ રેલવા લાગે- ‘સોના ઇંઢોણી રૂપા બેડલું રે નાગર, ઊભા રો’ રંગરસિયા…’ ‘સોનલાનું બેડલું તારી રૂપાની ઈંઢોણી, કોના તે ઘરના ભરીશ પાણી, રાજ રાજવણ.’ આ ગીતો મારી અને મારી આગળની પેઢીઓના લોહીમાં સીંચાયેલા છે. પ્રસ્તુત રચનામાં કવિએ આ જ રક્તસંસ્કારને વધુ અજવાળીને રજૂ કર્યા છે. ઢાળ અને ઢાંચો તો લોકગીતનો જ છે, પણ કવિકસબે એને આધુનિક ગીતોની હરોળમાં હકપૂર્વક બેસી શકે એવા જરકશી જામા પહેરાવ્યા છે. વેલણ અને પાટલી પર ગોરાંદે રોટલી નહીં, દિવસો વણી રહ્યાં છે. દિવસો જલ્દી જલ્દી વણાઈ જાય તો જ દરિયાપાર ગયેલ મનના માણીગર સાથે વેળાસર મુલાકાત સંભવે ને? બાજઠ અને વીંઝણો છે, પણ એકલા એકલા વિતાવવી પડતી રાતોને વીંઝવી છે. સોનાની થાળી અને રૂપાની વાડકી છે, પણ ગોરાંદે સાવ ખાલી છે… દરિયો-વગડો-ડુંગર-રણને વળોટીને વહાલો વહેલો આવે તો અંધારાં ટપકતાં અટકે ને સ્નેહનાં અજવાળાં રેલાય… ખરું ને?

Comments (6)

આશા – નંદકુમાર પાઠક

પથ રે લાંબો ને ટૂંકું આયખું હોજી.

ગગને ગોરંભાયો મેહુલો
.           વરસી વાદળી જાયજી;
શામાં રે ઝીલું હું પાણી બાવરો,
.           ખોબે છલકાતું જાયજી;
.           પથ રે લાંબો ને ટૂંકું આયખું હોજી.

ખીલતી વસંતની વાડીએ,
.           આવ્યો ફૂલડાંનો ફાલજી;
કેમ રે ચૂટું હું ફૂલ આવડાં,
.           છલકે ધરતીની છાબજી;
.           પથ રે લાંબો ને ટૂંકું આયખું હોજી.

ઘૂઘવે સાગર કાળી રાત આ,
.           દૂર ઊઘડે ઉજાશજી;
શઢ રે તૂટ્યા ને ડૂબે નાવડી,
.           તૂટે તોયે ના આશજી;
.           પથ રે લાંબો ને ટૂંકું આયખું હોજી.

– નંદકુમાર પાઠક

સરળ પણ સંતર્પક ગીતરચના… અનિલ ચાવડાનો શેર યાદ આવે:

અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે,
તું ચમચી લઈને ઊભો છે દરિયો માંગવા માટે?

પ્રકૃતિનું ઔદાર્ય આપણી ક્ષમતા અને સમજ બહારનું છે. એ જે આપે છે, અઢળક ને અપાર આપે છે, પણ આપણો ખોબો જ નાનો પડે છે. આપણે કેવળ આશા ટકાવી રાખવાની છે… એ જ આપણને કાજળકાળી રાતમાંય ઉજાસ સુધી લઈ જશે.

Comments (4)

ક્રોમળ – સ્નેહલ જોષી

આવું તે કોણ હોય કોમળ,
તાજા કપાસમાંથી ફૂટ્યું હો રૂ કે પછી વરસ્યાં વિનાનું કોઈ વાદળ!

અડકો તો લાગે કે હમણાં કરમાઈ જશે
જાણે લજામણીનો છોડ,
દૃષ્ટિ પડતાં જ એના ધબકારા જાણે
એક સામટી મૂકી દે છે દોટ!
ગાલને હથેળી પર એ રીતે ટેકવ્યા, પાંદડી પર બેઠું હો ઝાકળ!

એને તો એની કંઈ પરવાય નંઈ
એ તો એના જ હોય સાત સૂરમાં,
ક્યારેક વિચારોના વંટોળે હોય
અને ક્યારેક હો કલ્પનના પૂરમાં.
હળવેથી કાન પાસે હોઠને લઈ જાવ અને કહેવાનું એટલું કે સાંભળ-
આવું તે કોણ હોય કોમળ!

– સ્નેહલ જોષી

કવિતા કંઈ દર વખતે મોટી મોટી વાત જ કરે એ જરૂરી નથી. કવિતા માનવસંબંધોની આંટીઘૂંટી સમજવા-ઉકેલવામાં મદદ કરે એય આવશ્યક નથી. ક્યારેક એક સાવ નાનકડો વિચારતંતુ લંબાઈને કાવ્યમાળા બની જાય એમ પણ બને. પોતાની ચાહનાથી પાણીમાંના કમળ પેઠે જે સાવ જ અનભિજ્ઞ છે, એવી નાયિકાને નાયક બસ એટલું જ કહેવા માંગે છે કે સમસ્ત સંસારમાં એનાથી કોમળ બીજું કોઈ નથી. બસ, આ એક તાંતણા પર કવિતાના મોતી પરોવીને કવિએ પ્રસ્તુત કર્યાં છે. વાત નવી નથી, પણ રજૂઆતની નજાકત એને મજેદાર બનાવે છે. ગીત નિઃશંકપણે સહેજ કાચું લાગે, પણ ગીતની છેલ્લી કડીને અધૂરી રાખી જે રીતે ધ્રુવ પંક્તિ સાથે બાંધી દઈ વાત પૂરી કરી બતાવી છે એ સવિશેષ ગમી જાય છે.

Comments (18)

અબોલા – ઉષા ઉપાધ્યાય

તમે કહ્યું ‘રે ચૂપ!’ સજન લો
.                         બંધ હોઠથી ઝરશે ના કોઈ ગીત…

હોઠ બંધ આ નૈન બંધ પણ
.                         અરવ કંઠથી હવા મહીં જે સરતું,
તાતા શબ્દતીરને જે ના ગણતું
.                         રે સાજન! કેમ કરીને રોકીશ મારું ગીત!

રોષ રકત તુજ નૈન રિકત પણ
.                         અરવ કંઠથી હૃદય થકી જે ઝરતું,
રોમ-રોમ મુજ ચંદન થૈ જે ઠરતું
.                         રે સાજન! કેમ કરીને રોકીશ તારું ગીત!

– ઉષા ઉપાધ્યાય

લયસ્તરો પર સર્જકના નૂતન સંગ્રહ ‘તેજનો તરાપો લઈને’નું સહૃદય સ્વાગત છે…

બે વાસણ સાથે ને સાથે જ હોય તો ક્યારેક તો ખખડે જ… કોઈક કારણોસર બે જણ વચ્ચે કંઈક રકઝક થઈ હશે ને પરિણામ સ્વરૂપે પુરુષે સ્ત્રીને ચૂપ થઈ જવાનો આદેશ આપ્યો છે. અને સ્ત્રીએ બદલામાં પોતાના હોઠેથી હવે કોઈ ગીત સરશે નહીંની ખાતરી પણ આપી દીધી છે. જો કે આ ‘ચૂપ’ આદેશાત્મક ઓછો અને પ્રતીકાત્મક વધારે છે, કેમ કે આગળ ‘રે’ ઉમેરાયો છે. સારા સર્જક શબ્દો પાસે કેવી કરામતથી ધાર્યું કામ કઢાવી લે છે એનું આ સબળ દૃષ્ટાંત કહી શકાય. ગીતમાંથી પસાર થતાં ટાગોરનું ભાવવિશ્વ સાદૃશ થતું પણ અનુભવાય છે. એકના એક શબ્દો અને શબ્દસમૂહની પુનરુક્તિ સાથે કેવળ કથનકેન્દ્રમાં પરિવર્તન કરી કવિએ સરસ ગીત નિપજાવ્યું છે. ચૂપ થઈ જવાના ફરમાનને વશ થયાની પ્રતીતિ કરાવવા નાયિકાએ હોઠ સાથે આંખો પણ બીડી દીધી છે. પણ નાયકના તાતા શબ્દતીરને જે ગણનામાં જ લેનાર નથી એ મૌન કંઠના ગાનને સાજન કોઈ કાળે રોકી શકનાર નથીનો વિશ્વાસ પ્રથમ બંધમાં પ્રકટ થાય છે. ખોટુકડો ગુસ્સો દેખાડતા નાયકના હૃદયથી સરીને નાયિકાના રોમેરોમને ચંદનલેપની શીતળતા બક્ષતા ગાનને નાયક કેમેય અટકાવી શકનાર નહીં હોવાનો આત્મશ્રદ્ધાનો રણકો રચનાને વધુ રૂડી બનાવે છે.

Comments (7)

મજા – સંજુ વાળા

છેક શિખરની મજા,
હોય માણવી એણે જાતે થઈ જાવાનું ધજા..

ક્યાંથી પગલું પહેલું ભરીએ? ગરવા હે શ્રીગણેશ
એ મારગ દેખાડો જેમાં ક્યાંય ના વાગે ઠેસ
અથવા આપો, અંદર અંદર રણઝણવાની રજા…

અણજોયાને જોયું કરવું અણઘડ ઘડવા ઘાટ
ચાલ ના જાણી તોયે માંડી જગજાહેર ચોપાટ
કપાળ જાણી કરવાં તિલ્લક જેવાં જેનાં ગજાં…

ચડવું ’ને ઊતરવું દીધું અણથક દીધી એષ
બેઉ હાથથી ઉલેચો પણ રહે શેષનું શેષ
એવાં અંતરિયાળપણાં, જ્યાં ના છત્તર ના છજાં…

છેક શિખરની મજા,
હોય માણવી એણે જાતે થઈ જાવાનું ધજા.

– સંજુ વાળા

શિખર એટલે ઊંચાઈ, ટોચ… એવું સ્થાન જેની ઉપર એનાથી ઊંચું બીજું કશું જ ન હોય… એક શબ્દમાં કહેવું હોય તો સર્વોચ્ચ! શિખરની ખરી મજા લેવાની રીત કવિ આપણને સમજાવે છે. જીવનમાં સર્વોચ્ચતા, સર્વોપરિતાની ખરી મજા માણવી હોય તો ધજા બનવું પડે… ધજા એટલે વજનહીનતા… સ્વયંને ઓગાળીને હલકા થયા હોઈએ તો જ આછા પવનમાં પણ લહેરાઈ શકાય. કોઈપણ સારા કામની શરૂઆત આપણે ગણેશને સ્મરીને કરીએ છીએ. પહોંચવાનું તો છેક શિખરે છે, પણ એ માટે પહેલું ડગલું તો ભરવું પડશે ને? માર્ગમાં ક્યાંય ઠેસ ન વાગે એવો માર્ગ તો શ્રી ગણેશ જ દેખાડશે ને? અને એ ન થઈ શકે તો બીજો વિકલ્પ ભીતર રણઝણવાની રજા માંગવાનો છે. ક્યાં શિખરે ફરફરીએ, ક્યાં તો ભીતર રણઝણીએ… વચ્ચેનું કશું અધકચરું કેમ ખપે? જીવનમાં ચડાવ ને ઉતાર છે. પાર પાડો પાડો ને તોય થાકે જ નહીં એટલી અપાર ઇચ્છાઓ છે તો સામા પક્ષે બંને હાથે ઉલેચો તોય ઉલેચવો બાકી જ રહે એવો પરવરદિગારનો ખજાનો પણ છે. પછી બાકી શું રહે?

Comments (8)

એ પળ હજી… – વિનોદ જોશી

એ પળ હજી ન ભાળી,
હોઈ શકે એ મેઘધનુષી, હોઈ શકે છે કાળી!

વરસોથી બેઠું પગ વાળી વાદળમાં ચોમાસું,
ઊભી ધાર ન ફાવે એને હોય વરસવું ત્રાંસું;
ખરબચડી આખી આવરદા ખોટુકલી પંપાળી!

ઘાસ રાતભર ખમે હવાના હણહણતા હડદોલા,
પછી સવારે ગણે ઝીણકા ઝાકળના ફરફોલા;
ટહુકા જેવું રોજ કશું ચુપચાપ વીણતો માળી!

– વિનોદ જોશી

રવીન્દ્રનાથ ટાગોરને કોઈએ પ્રશ્ન કર્યો કે તમારી શ્રેષ્ઠ કવિતા કઈ? કવિવરે જવાબ આપ્યો કે મારી શ્રેષ્ઠ કવિતા હજી લખવાની બાકી છે, તેથી જ હું લખતો રહું છું. જીવનમાં દરેક વ્યક્તિને કોઈકને કોઈક વસ્તુની પ્રતીક્ષા હોય છે. પ્રસ્તુત ગીતરચનામાં પણ કાવ્યનાયક આવી જ કોઈક અનાગત પળની સમતોલ પ્રતીક્ષામાં છે. સમતોલ એ રીતે કે કથક એ વાતથી સુપેરે અવગત છે કે અનાગત પળ મેઘધનુષી પણ હોઈ શકે છે અને કાળી પણ. જીવનના ઉભય અંતિમના સમ્યક સ્વીકાર સાથેની આ પ્રતીક્ષા હોવાથી ગીત ચીલાચાલુ પ્રાસાવલિ ન રહેતાં સુમધુર કવિતામાં પરિણમે છે.

જે પળ હજી આવવી બાકી છે એ જો ચોમાસું હોય તો એ ત્રાંસી ધારે જ વરસવુંની ગાંઠ મારી પગ વાળી વાદળમાં બેસી ગયેલ છે. રાત આખી હવાના હડદોલા ખાઈ ખાઈને ઘાસના ડિલે ઝાકળના ફરફોલા ઉપસી આવે છે… ખરબચડી જિંદગીને ખોટેખોટી પંપાળ્યે રાખવાના રંજરંજિત ભૂતનો બોજ ખભે ઊઠાવી વર્તમાન ભાવિ તરફ આંખ માંડી બેઠો છે. ગત-અનાગત વચ્ચે ભીંસાતી આજનો એક શેર યાદ આવે છે-

ગત-અનાગત બેયનો ફાળો હશે,
લોહીઝાણ એથી શું વચગાળો હશે? (વિમટે)

પેલી પળ તો જ્યારે એને ભાવિ લઈને આવશે ત્યારે આવશે… આજનું કામ છે ઘાસ વચ્ચે વેરાયેલ ટહુકા ચુપચાપ વીણતા રહેવું… ખરબચડા જીવનને ટહુકાના સૂરની સુંવાળપથી જ સંવારી શકાય…

Comments (10)

નદીયું તો… – હર્ષદ ચંદારાણા

જોજનના જોજનની ખેપું ખેડું ને
.                તોય નદીયું તો આઘી ને આઘી
.       હો ભાઈ મારા, નદીયું તો આઘી ને આઘી

પાણીનું નામ જેને આપી શકાય
.                એવું કૈં યે નથી મારી સાથમાં
નકશાઓ પાથરું તો ઠેરઠેર નીકળે
.                વાંસવન સુક્કાં આ હાથમાં
એ સળગે કે કેમ એને ઠારું કે
.                સાવ પછી બળતાંને લઉં પાછાં બાંધી
.             હો ભાઈ મારા, નદીયું તો આઘી ને આઘી

વગડાની વાટોમાં, બાવળની કાંટ્યોમાં,
.                સૂસવતા પવનોના રાગે
પડઘાના પહાડોમાં, ખીણોની ત્રાડોમાં,
.                “ખળખળ”ના ભણકારા વાગે
મૃગજળ, જો હોત હું ય ભૂવો ભરાડી
.                     લેત નદીયુંને લાવવાનું સાધી
.           હો ભાઈ મારા, નદીયું તો આઘી ને આઘી

– હર્ષદ ચંદારાણા

ગમે એટલી ખેપ ખેડો, ગમે એટલા હાથપગ હલાવો, પણ ઇચ્છાની નદીઓ કાયમ આઘી ને આઘી જ રહે છે…

Comments (5)

બહુ એકલવાયું લાગે… – વિનોદ જોશી

ઝાડ એકલું અમથું અમથું જાગે,
.                             બહુ એકલવાયું લાગે…

પવન પાંદડું સ્હેજ હલાવી પૂછે ખબર પરોઢે,
બપોર વચ્ચે બખોલનો બંજર ખાલીપો ઓઢે;
બંધ પોપચાં મીઠ્ઠાં શમણાં માગે,
.                             બહુ એકલવાયું લાગે…

દળી દળી અજવાળું સૂરજ દડે ખીણમાં સાંજે,
હડી કાઢતી હવા ડાળ પર બેસી ટહુકા આંજે;
એક લ્હેરખી ઊંડા તળને તાગે,
.                             બહુ એકલવાયું લાગે…

અભણ આગિયા અંધારાને પાડે પછી ઉઝરડા,
અદ્ધર આભે ઝગમગ ઝીણા ફરતા રહે ભમરડા;
રોજ માંહ્યલું જંતર ઝીણું વાગે,
.                             બહુ એકલવાયું લાગે…

– વિનોદ જોશી

૨૦૨૬ની શરૂઆત થઈ ચૂકી છે… લયસ્તરોના તમામ ભાવક અને સર્જકોને નવા વર્ષના અભિનંદન! નવ્યવર્ષનો પ્રારંભ સરસ મજાની ગીતરચનાથી કરીએ…

સમર્થ કવિ કેવળ માનવમનના અતળ ઊંડાણો તાગવા સુધી સીમિત ન રહે, એ તો પ્રકૃતિના તમામ ઘટકતત્ત્વોની અનુભૂતિને આત્મસાત કરે અને પછી સહુ સાથે સહિયારે. પ્રસ્તુત રચનામાં કવિ ઝાડની સંવેદનાના મૂળ સુધી પહોંચે છે. ઝાડની એકલતા અને ચોવીસે કલાક કાર્યરત રહેવાની પ્રકૃતિનો કોઈ જોડ નથી. આ અજોડ વિલક્ષણતાને કેન્દ્રમાં રાખી કવિ એની ફરતે નિસર્ગના નાનાવિધ ઘટકોને કલ્પનસૂત્રોના તાણાવાણાથી બાંધે છે. દિ’ આખો અજવાળું દળીને ખીણમાં દડી જતો સૂરજ, હવા વડે ટહુકાનું આંજન કરવાની ક્રિયા, અભણ આગિયા વડે અંધારાના ડિલે પડતા ઉઝરડા તથા આભમાં ઝબૂક ઝબૂક કરતા તારામાં ભમરડા ફરતા દેખાય વગેરે કલ્પનોની નજાકત અને બારીકી રચનાને વધુ હૃદ્ય બનાવે છે. કવિએ આગિયાને અભણ કહ્યા એ જોયું? ભણેલા હોય એ સીધી લીટીમાં લખે,પણ આગિયા તો સ્વૈરવિહારી… આગિયાના ઉડ્ડયનથી હવામાં અજવાળાના કે લિસોટા પડે એમાં આકાર કે અક્ષર હોતા નથી… કદાચિત આ કારણે કવિએ આગિયાને અભણ કીધા છે… પણ આવા અનૂઠા કલ્પનોને જે રીતે કવિએ વર્ણસગાઈના તાલ સાથે આલેખ્યા છે, એના કારણે સર્જાતું સંગીત ગીતને વધુ આસ્વાદ્ય બનાવે છે.

Comments (12)

સહજ – નીતિન વડગામા

સહજ મળે તે સાચું.
કરી ઉધામા કૈંક પામીએ એ સઘળુંયે કાચું.

વરસે વ્હાલો ધોધમાર, છલકે જીવતરની ઝોળી.
મહેકી ઊઠે એમ પછી તો રુદિયાની રંગોળી.

આપે અપરંપાર પછી હું નાહક શાને યાચું ?
સહજ મળે તે સાચું.

પંથ ઉપર પાડેલું પગલું ઊડી આભમાં પૂગે.
સમય સાચવી સૂખનો સૂરજ આપોઆપ જ ઊગે.

ભાર બધો ભૂલીને હું તો રામનામમાં રાચું.
સહજ મળે તે સાચું.

– નીતિન વડગામા

ભાવક સુધી એ જ કવિતા પહોંચે જે સહજતાથી આવી હોય… મથી મથીને શબ્દોના પાટિયાં ગમે એટલી કુશળતાથી કેમ ન બેસાડ્યાં હોય, સહૃદયી ભાવક કૃતકતા પકડી જ લે છે. જીવનમાં પણ જે સહજ અને સ્વાભાવિક હોય એ જ સાચું છે… એ સિવાયનું બધું નકામું.

Comments (12)

ગઢની ભીંતે – અરવિંદ ભટ્ટ

હાલ્યને સૈયર ગઢની ભીંતે થાપવા જઈએ છાણાં

ભીંતને ટેકે ભીંતની માફક હુંય તે ઊભી રઈશ
વરસો જૂની થઈશ છતાં આમ એવી ને એવી હઈશ
કેટલાયે રોજ–રોજ ભલેને ખરતાં રહે પાણા

કો’ક તો વટેમારગુ તારા આંગળાઓની છાપને જોશે
કો’ક દી વટેમારગુ લીલી ભાત સુકાવી જોઈને મો’શે
પછી પરગામનો કેડો ભીંતની માફક જોઈને વાશે વા’ણાં.

– અરવિંદ ભટ્ટ

પોતાનાં ઘર તો કાચાં હોય, એટલે છાણાં થાપવા ગામડાની સ્ત્રીઓ ગઢની દીવાલનો ઉપયોગ કરતી… સહિયરને સાથે લઈને નાયિકા ગઈ છે તો છાણાં થાપવા, પણ અરમાન ગઢની ભીંતે કાયા ટેકવીને પ્રતીક્ષાની ભીંત બની જવાનાં છે. કારણ? સમયના મારથી ગઢના કાંગરા ખરે તોય ગઢ તો વરસોવરસ અડીખમ જ રહે… અણનમ અણથક અનવરત ઇંતેજારને ચાક્ષુષ કરવા માટે આથી સારું રૂપક કયું હોઈ શકે? મનનો માણીગર ક્યારેક તો આ રસ્તેથી પસાર થશે, આંગળાઓની છાપ જોઈને મોહિત થશે ને રાહ જોવું લેખે લાગશે… આખું ગીત સ-રસ થયું છે પણ એક વાત ન સમજાઈ… વાત નાયિકાના વાટ જોવાની હોય તો વટેમાર્ગુ ‘તારા આંગળાઓની છાપ જોશે’ એમ આવવું જોઈએ કે ‘મારા આંગળાઓની છાપને જોશે’ એ વધુ ઉચિત પ્રયોગ ગણાય? કે પછી બીજા બંધમાં સૈયર નાયિકાને સંબોધી રહી છે? પહેલા બંધ કરતાં બીજા બંધમાં ચાર માત્રા વધારે છે અને બીજા બંધા કરતાં એની પૂરકપંક્તિમાં વળી ચાર માત્રા વધારે છે… ઇંતેજારી વધી રહી છે એટલે?

Comments (6)

પથપ્રવર્તક કાવ્યો: ૦૪ : વંદે માતરમ્ – બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય

National identity behind national flag | PPT | Hinduism | Religion ...

વંદે માતરમ્
સુજલામ્ સુફલામ્ મલયજ શીતલામ્
સસ્ય શ્યામલામ્ માતરમ્ ॥વંદે॥ ૧*

શુભ્રજ્યોત્સ્ના પુલકિતયામિનીમ્
ફુલ્લકુસુમિત દ્રુમદલ શોભિનીમ્
સુહાસિનીમ્ સુમધુર ભાષિણીમ્
સુખદામ્ વરદામ્ માતરમ્ ॥વંદે॥ ૨*

કોટિકોટિ કંઠ કલકલ નિનાદકરાલે
દ્વિસપ્ત કોટિ ભુજૈર્ધૃત ખરકરવાલે
કે બોલે મા તુમિ અબલે
બહુબલ ધારિણીમ્  નમામિ તારિણીમ્
રિપુદલવારિણીમ્ માતરમ્ ॥વંદે॥ ૩

તુમિ વિદ્યા તુમિ ધર્મ તુમિ હૃદિ તુમિ મર્મ
ત્વં હિ પ્રાણાઃ શરીરે
બાહુતે તુમિ મા શક્તિ હૃદયે તુમિ મા ભક્તિ
તોમારૈ પ્રતિમા ગડિ મંદિરે મંદિરે ॥વંદે॥ ૪

ત્વં હિ દુર્ગા દશપ્રહરણધારિણી
કમલા કમલદલ વિહારિણી
વાણી વિદ્યાદાયિની
નમામિ ત્વામ્
નમામિ કમલામ્ અમલામ્ અતુલામ્
સુજલામ્ સુફલામ્ માતરમ્ ॥વંદે॥ ૫

શ્યામલામ્ સરલામ્ સુસ્મિતામ્ ભૂષિતામ્
ધરણીમ્ ભરણીમ્ માતરમ્ ॥વંદે॥ ૬

– બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય

આ વર્ષ ભારતના રાષ્ટ્રગાન ‘વંદેમાતરમ્’નું સાર્ધ શતાબ્દી વર્ષ છે. ૭ નવેમ્બર ૧૮૭૫ના દિવસે રચાયેલ ‘વંદે માતરમ્’ ગીતને ૧૫૦ વર્ષ પૂરાં થયાં એની ઉજવણી માટે કેન્દ્ર સરકારે આખું વર્ષ દેશભરમાં વિવિધ અને વિશેષ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. સંસદમાં હાલ આ ગીતના નામે જે ફારસ ચાલી રહ્યું છે એ અશોભનીય પણ છે અને અપ્રસ્તુત પણ. જો કે આ ઉજવણી અને વિવાદના કારણે ગીત ફરી ચર્ચાના ચોતરે ચડ્યું એય એક હકીકત છે.

કહેવાય છે કે જ્યારે બંકિમચંદ્રની નાનકડી દીકરીએ ‘માતૃભૂમિ કેવી છે?’ એવો પ્રશ્ન એમને પૂછ્યો ત્યારે તેના પ્રત્યુત્તરમાં પિતાએ આ કાવ્યની રચના કરી હતી. ગીતના પ્રથમ બે છંદ સરળ, બોધગમ્ય અને માતૃભૂમિની સૌમ્ય સ્તુતિ માટે સમર્પિત છે, પરંતુ ત્યારબાદના છંદ દેવી દુર્ગાની દિવ્ય શક્તિને રાષ્ટ્રરક્ષાના પ્રતીક તરીકે પ્રસ્તુત કરે છે. ભારતમાતાની રૂપકાત્મક છબીને આકાર અપાયો છે. માતૃભૂમિને એમાં શાંતિ, શાન અને સમૃદ્ધિના પ્રતિનિધિ તરીકે બતાવવામાં આવી છે. ગીતના શબ્દો માત્ર ભૌગોલિક ખૂણાઓ અને નદી-સરોવર માટે જ નહીં, પરંતુ ભારતની સંસ્કૃતિ અને આત્માને પણ અંજલિ આપે છે. આ ગીતે મંત્ર બનીને ગુલામીની અંધારી રાતોમાં ભારતીયોના હૃદયમાં ક્રાંતિની જ્વાળા પ્રગટાવી હતી. અને બ્રિટિશ સામ્રાજ્યને ભયભીત કર્યું હતું.

ભારતીય સ્વતંત્રતાની ચળવળનો આત્મા બની ગયેલી ક્રાંતિકારી રચના ‘વંદે માતરમ’નો ઇતિહાસ ખૂબ જ વિવાદાસ્પદ રહ્યો છે. ૧૮૭૫માં એ સૌપ્રથમ બંગદર્શન પત્રિકામાં પ્રકાશિત થયું. ‘વંદે માતરમ્’ના માધ્યમથી કવિએ સંદેશ આપ્યો કે માતૃભૂમિ જ સર્વોચ્ચ દેવી છે જે ભારતીય રાષ્ટ્રવાદનો વૈચારિક પાયો બન્યો. ૧૮૭૫માં વંદે માતરમ ગીતનાં પ્રથમ બે છંદ મૂળ સંસ્કૃત ભાષામાં લખાયા હતા. ૧૮૮૨માં જ્યારે બંકિમચંદ્રએ સત્યઘટના પર આધારિત પોતાની પ્રસિદ્ધ બંગાળી નવલકથા ‘આનંદમઠ’માં એને સંમિલિત કર્યું ત્યારે બીજા ચાર છંદ બંગાળી ભાષામાં ઉમેર્યા. આમ, એક જ ગીતમાં સંસ્કૃત અને બંગાળી –બેય ભાષાનું સંમિશ્રણ થયું. ‘આનંદમઠ’માં આ ગીતનો ઉપયોગ સંઘર્ષગાન અને માતૃવંદના રૂપે થયો અને ત્યારે લોકોનું ધ્યાન એના તરફ ખેંચાયું. વંદે માતરમ્ રચાયું તે પહેલાં ભારતમાતાનું કોઈ ચિત્ર જ નહોતું. વંદે માતરમ્ ગીતમાં ભારતમાતાનું એવું સુંદર શબ્દચિત્ર આલેખાયેલું હતું કે અનેક ચિત્રકારોને આ ગીત પરથી ભારતમાતાનું ચિત્ર બનાવવાની પ્રેરણા મળી.

૧૮૯૬માં કલકત્તા કોંગ્રેસ અધિવેશનમાં આ ગીત સાર્વજનિક રૂપે સૌપ્રથમવાર રવીન્દ્રનાથ ટાગોરે ગાયું. ૧૯૦૫ના બંગાળ વિભાજનનાં ‘બંગભંગ’ આંદોલન દરમિયાન એ આઝાદીનો નારો બની ગયું. લોકો રસ્તાઓ પર ઉતરી આવીને “વંદે માતરમ્”ના જયઘોષથી બ્રિટિશ શાસનને પડકારવા લાગ્યા હતા. ૧૯૦૬માં અંગ્રેજોએ ગીત પર પ્રતિબંધ મૂક્યો, પણ ત્યાં સુધીમાં ગીત દરેક આંદોલનનો આત્મા, દરેક ભારતવાસીનો અવાજ અને ક્રાંતિકારીઓનો પ્રેરણાસ્ત્રોત બની ચૂક્યુ હતુ. પ્રતિબંધે ગીતને વધુ લોકપ્રિય બનાવ્યું. ૭ ઑગસ્ટ ૧૯૦૬ના રોજ સુરેન્દ્રનાથ બૅનરજીએ કોલકાતા ખાતે જે ભારતીય રાષ્ટ્રીય ધ્વજ ફરકાવેલો, તેમાં વચ્ચેના પીળા રંગના પટ્ટા પર ‘વંદે માતરમ’ શબ્દો દેવનાગરી લિપિમાં અંકિત થયેલા હતા. સુભાષચંદ્ર બોઝને એ કૂચ ગીત તરીકે એટલું પ્રિય થઈ ગયેલું કે આઝાદ હિંદ ફોજના રેડિયો પરથી એ દૈનિક પ્રસારિત થતું. વંદે માતરમ્ એ માત્ર ગીત જ નહી, દેશભક્તો માટે અભિવાદન અને અભિપ્રેરણાનું સૂત્ર પણ બની ગયું હતું. સ્વાતંત્ર્ય સેનાનીઓ, જેમ કે સરદાર વલ્લભભાઈ, એકબીજાને પત્રો લખતા કે મળતા ત્યારે અચૂક ‘વંદે માતરમ’થી શરૂ કરી ‘વંદે માતરમ’થી જ પૂર્ણ કરતા. ૧૯૪૦ પછી આ અભિવાદનનું સ્થાન ‘જય હિંદ’ એ લઈ લીધેલું. આઝાદીની લડતમાં લોકજાગૃતિ લાવવા અને ભારતવાસીઓનાં મનમાં આત્મગૌરવ તથા સ્વરાજ્યની મહત્તાની પ્રેરણા પૂરી પાડવાના હેતુથી લખાયેલું ભારતભક્તિના સ્રોત સમું આ ગીત એક અમોઘ શસ્ત્ર સાબિત થયેલું.

૧૯૨૦માં જ્યારે આ ગીતનો ઘણી ભાષાઓમાં અનુવાદ થયો ત્યાર સુધીમાં એ રાષ્ટ્ર્ગાનની લાયકાત મેળવી ચૂક્યું હતું. પરંતુ હિન્દુ-મુસ્લિમ સંબંધો અંગે ચકમક ઝરતા એ વિરોધનું નિશાન પણ બન્યું. મુસ્લિમ લીગે ગીતમાં મૂર્તિ પૂજાને પ્રોત્સાહન અપાયું હોવાનું કહીને એને બિન-ઈસ્લામિક ગણાવ્યું. વળી, જે બંકિમચંદ્રનાં ‘આનંદમઠ’ ઉપન્યાસથી એ પ્રસિદ્ધ થયું, એમાં મુસલમાનોને દેશનાં દુશ્મન બતાવવામાં આવ્યા હતા. ૧૯૩૭માં કોંગ્રેસ કમિટી (રવીન્દ્રનાથ ટાગોર, સુભાષચંદ્ર બોઝ, અબ્દુલ કલામ આઝાદ, જવાહરલાલ નહેરુ) દ્રારા વંદે માતરમનાં છેલ્લા ચાર છંદને હટાવી લેવાયા. વંદે માતરમની રાજનૈતિક વિવાદની આગમાં અંગ્રેજોએ હિંદુ-મુસ્લિમ વિભાજનનો રોટલો બરાબર શેક્યો.

૧૫મી ઑગસ્ટ ૧૯૪૭થી આકાશવાણીના કાર્યક્રમોનો શુભારંભ ‘વંદે માતરમ્’ના ગાનથી શરૂ થયેલો, જે પરંપરા હજી પણ આકાશવાણી અને બાદમાં દૂરદર્શન દ્વારા જાળવવામાં આવી છે. ૧૯૫૦માં બંધારણ સભાએ સર્વાનુમતે વંદે માતરમને ભારતનું રાષ્ટ્રીય ગાન જાહેર કર્યું તેમજ એને રાષ્ટ્રગીત જનગણમન સમકક્ષ સન્માન આપવાનું નક્કી થયું. ૧૯૭૬માં શતાબ્દી વર્ષ નિમિત્તે ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી. સતત વિરોધ અને વિવાદો વચ્ચે આજેય ‘વંદે માતરમ્’ ગીત દરેક ભારતીયના હૃદયમાં ગુંજે છે, ધબકે છે અને સતત યાદ અપાવે છે કે ભારતની શક્તિ તેની એકતા અને સંસ્કૃતિમાં રહેલી છે.

Comments (18)

(આજ મારાં નેણાં રે) – નરસિંહ મહેતા

આજ મારાં નેણાં રે સફળ થયાં, નાથ જોયા મેં નીરખી. (ટેક)
સુંદર વન નિહાળતાં, મારા હૃદયામાં હરખી. આજ૦

જે મારા મનમાં હતું, તે મારે વા’લેજીએ કીધું;
પ્રેમેથી પિયુજી પધાર્યા, આલિંગન દીધું. આજ૦

જોગી રે જંગમ રે સેવડા, તેના સ્વપ્નામાં ના આવે;
ભલાં વ્રજનારનાં, હરિને લાડ લડાવે. આજ૦

ધન ધન ગોકુળ ગામડું, ધન ધન વ્રજનો વાસ;
ધન ધન આ ભૂમિને જ્યાં વહાલો રમિયા છે રાસ. આજ૦

અંતરિક્ષથી દેવતા, સહુ ત્યાં જોવાને આવે;
થાળ ભર્યો સગ મોતીએ, નાગર નરસિંહ વધાવે. આજ૦

– નરસિંહ મહેતા

ઈશ્વરદર્શનની ઝંખના પૂર્ણ થયાનું ભક્તિપદ. જોગીઓ અને સંતોને જે સ્વપ્નમાં પણ નથી આવતા, એ હરિ વ્રજવાસીઓને લાડ લડાવે છે. ‘જોગી રે જંગમ રે સેવડા’વાળી પંક્તિએ મનમાં કુતૂહલ જગાવ્યું તો ગૂગલદેવતાએ મોજ કરાવી દીધી-

જોગી જંગમ સંન્યાસી સેવડા, તપસી ને બ્રહ્મચારી;
તા તે અવિગત્ય અગમ અગોચર, અપરંપાર અપારી. સંતો.
– સત્ કુબેરદાસ

જોગી જંગમ સેવડા ઔર સંન્યાસી દરવેશ,
બીના પ્રેમ પહુચે નહી દુર્લભ સતગુરૂ કા દેશ..
– સંત કબીર

(જંગમ= એક જાતનો ફકીર, શૈવ પંથી; સેવડા= જૈન સાધુ)

* * *
સંજોગોવશાત્ આજે નરસિંહ મહેતાની ૫૭૦મી હારમાળા જયંતિ પણ છે. કહે છે કે જૂનાગઢના રાજા રા’માંડલિકે દામોદર આવીને હાર પહેરાવશે તો જ મુક્તિ મળશે એમ કહી કારાવાસમાં પૂર્યા હતા. પણ કેદારો તો મહેતાએ ગિરવે મૂક્યો હતો અને એ ગાયા વિના તો ઈશ્વર આવે નહીં. એટલે ભગવાને જાતે જઈ ઉધારી ચૂકવી કેદાર રાગ છોડાવ્યો. નરસૈંયાએ કેદારો ગાયો અને ગળામાં હાર આવી પડ્યો. પરિણામે આજના માગશર સુદ સાતમના દિવસને હારમાળા જયંતિ તરીકે ઉજવવામાં આવે છે.

Comments (11)

પથ – પ્રિયકાન્ત મણિયાર

પથ એવો તો જાય છે સીધો,
પગલું મૂકતાં ઘડીક હું તો બીધો.

આટલી ડોલતી ડાળ, એને પણ એક ના વાંક-વળાંક,
જેમ વહું તેમ હરખભર્યો ચડતો વ્હાલો થાક;
નેન ભરીને નીરખું નદી તેમ તે એને પીધો… પથ0

જલમાં તર્યો, આભમાં ઊડયો, લસર્યો રેશમી ઢાળ,
પગલું ધરું હું જ હવે કે પવન ભરતો ફાળ?
કોઈ અજાણ્યા જનને જાવું? સ્હેજ ઈશારો કીધો!

પથ એવો તો જાય છે સીધો,
પગલું મૂકતાં ઘડીક હું તો બીધો.

– પ્રિયકાન્ત મણિયાર

માથે મુસીબતોના પહાડ તૂટી પડે ત્યારે તો એક જ ઝંખના હોય કે જીવનમાં એકેય મુસીબત જ ન હોય તો કેવું સારું! પણ roses roses all the way તો કોના નસીબમાં હોય? અનવરુદ્ધ શાશ્વત સુખની કામના નામના સિક્કાની બીજી બાજુ એ છે કે જીવન સાવ સીધુંસટ જતું હોય ત્યારેય આપણે વિહવળ થઈ જઈએ છીએ. નજર સામેના માર્ગને વળવળાંક વિનાની ડાળની જેમ એકદમ સીધોસટ જતો જોઈ પગલું મૂકતા પહેલાં કાવ્યનાયક ઘડીભર માટે તો ડરી જાય છે. જીવનપથ વધુ પડતો સ્પષ્ટ, સીધો અને સરળ હોય ત્યારે આ સરળતા પાછળનું સત્ય સમજાતું ન હોવાના કારણે ભય લાગવો સ્વાભાવિક છે.

હશે, પણ ભાગ્યનો અને આ સીધા મળેલા માર્ગનો સ્વીકાર કરી કથક આનંદભર્યા થાકનેય આવકારે છે અને કોઈ પ્રકૃતિપ્રેમી ધરાઈને નદીને જોયા કરે,એ જ રીતે આ પરિસ્થિતિનું આકંઠ સેવન કરે છે. માર્ગ એટલો સરળ છે કે તરવું-ઊડવું-લસરવું બધું જ શક્ય છે. જીવન આ ક્ષણે સંપૂર્ણતયા મુક્ત, હળવું અને તમામ બંધનોથી પર છે. કથકના માર્ગમાં તો કોઈ વળાંક નથી, પણ અંતિમ બે પંક્તિમાં કવિતા નિરાળો વળાંક લે છે. કથકને સવાલ થાય છે કે આ પથ પર સ્વયંની ઇચ્છાશક્તિથી ડગલું ભરી રહ્યો છે કે પછી પવન-નિયતિ એને આગળ ધકેલી રહ્યાં છે? કોઈ અજાણ્યા જનને આ માર્ગ પર જવું હોય તો એને નાયક ઈશારો કરે છે એમ કવિ કહે છે ત્યાં અગમનિગમનો માર્ગ સ્પષ્ટ થાય છે. ઈશ્વર સુધી લઈ જતા માર્ગ પર વધુ નહીં, સ્હેજ ઈશારોય પૂરતો છે. પ્રભુમિલનનો ખરો માર્ગ તો સાવ સીધો અને સરળ જ છે. કર્મકાંડીઓ જ એને મુશ્કેલ ચિતરી ચિતરીને આપણને સદીઓથી ભરમાવતા આવ્યા છે.

Comments (6)

શ્રીયુત ફરિયાદશંકરનું ગીત – શેલ સિલ્વરસ્ટીન (અનુ.: વિવેક મનહર ટેલર)

સઘળું જ છે ખોટું અહીંયા તો,
દિવસો બેહદ લાંબા લાંબા,
પવન વળી હદપાર જોરુકો
સૂરજની ગરમી છે તોબા.
વાદળ છે વધુ પડતાં પોચાં,
અનહદ લીલું લીલું ઘાસ,
જમીન છે કે ધૂળના લોચા,
ચાદર વધુ પડતી છે સાફ.
બેસુમાર ચમકીલા તારા,
ચાંદો હદ બહાર છે ઊંચે,
વધુ સરકીલી જળની ધારા,
રેતનું સુક્કાપણુંય ખૂંચે.
પથરા વધુ પડતા છે ભારી,
પીંછા અસીમ અપાર છે હલકાં,
બાળક સૌ અતિશય ઘોંઘાટી,
વધુ પડતાં છે તંગ પગરખાં.
હદથી વધારે ખુશ છે લોકો
ગાઈ રહ્યાં છે ખુશીનાં ગીતો,
જોતાં નથી શું, આ છે ધોકો?
સઘળું છે ખોટું જ અહીં તો,

– શેલ સિલ્વરસ્ટીન (અંગ્રેજી)
(અનુ.: વિવેક મનહર ટેલર)

કેટલાક લોકોને દરેક વાતમાં અને વાતે વાતે વાંકું પડતું હોય છે. દુર્ભાવ જ એમનો ખરો સ્વ-ભાવ! આવા વક્રદર્શીઓના શરીરમાં ઈશ્વર વખાણનું હાડકું મૂકવાનું જ ભૂલી ગયો હોય છે. પ્રસ્તુત રચનામાં હળવા વ્યંગ અને બાળસહજ સરળતાથી આવા ફરિયાદશંકરોની ગહન મનોવૈજ્ઞાનિક અંતર્દૃષ્ટિ આલેખવામાં આવી છે. કવિતાનો વિશદ આસ્વાદ આપ અહીં ક્લિક કરીને મારા ફેસબુક પેજ પર માણી શકો છો.

Mr. Grumpledump’s Song

Everything’s wrong,
Days are too long,
Sunshine’s too hot,
Wind is too strong.
Clouds are too fluffy,
Grass is too green,
Ground is too dusty,
Sheets are too clean.
Stars are too twinkly,
Moon is too high,
Water’s too drippy,
Sand is too dry.
Rocks are too heavy,
Feathers too light,
Kids are too noisy,
Shoes are too tight.
Folks are too happy,
Singin’ their songs.
Why can’t they see it?
Everything’s wrong!

– Shel Silverstein

Comments (4)

વ્હાલમ, આવોને પળવાર! – પ્રહલાદ જાની ‘તન્હા’

તમે અમારા તિમિર ઘૂંટેલાં નયણાંનો ઝબકાર,
.                                         વ્હાલમ, આવોને પળવાર!
તમે અમારા તરસ મઢેલા કંઠ તણો ચિત્કાર,
.                                         વ્હાલમ, આવોને પળવાર!

તમે કહો તો પળભર જીવતા ઝાકળ થઈને ગાશું,
તમે કહો તો પગલે પગલે ધૂળ બની પથરાશું;
આવો નહિ તો આપો અમને આવ્યાનો અણસાર,
.                                         વ્હાલમ, આવોને પળવાર!

સાંકળ ભેગી છાતી ખખડે, પ્રગટી ઉઠે પ્રાણ,
પછી અજંપો બાથ ભીડીને રોજ થતો મહેમાન;
આંખ્યું અંતે પથ્થર થાશે, અમે થશું પગથાર…
.                                         વ્હાલમ, આવોને પળવાર!

– પ્રહલાદ જાની ‘તન્હા’

વાંચતાવેંત અસ્તિત્વને અજગરભરડો લઈ ક્યાંય સુધી કેદ રાખે એવું મજાનું ગીત. વાત તો સદીઓ જૂની છે… કાવ્યનાયિકા એના વહાલમને આવવા આર્દ્રસ્વરે વિનવણી કરી રહી છે, પણ ખરી કવિતા વાતની રજૂઆતમાં છે. નાયિકાની માંગ કંઈ બહુ મોટી નથી… મનનો માણીગર જીવનભર માટે કદાચ નહીં જ મળે એ અણગમતી પરિસ્થિતિના સ્વીકાર સાથે એ કેવળ પળવાર માટેનો સાથ ઝંખી રહી છે. કારણ? કારણ કે નાયિકાની આંખોમાં વરસોના વિયોગ અને પ્રતીક્ષાના અંધારા ઘૂંટાયેલ છે અને નાયક જ એના તિમિરઘૂંટ્યાં નયણાંનો ઝબકાર અને તરસમઢ્યા કંઠનો ચિત્કાર છે…

કવિએ દરેક પ્રતીક સમજણપૂર્વક પ્રયોજ્યા છે, અને સમજણપૂર્વક એને ઉકેલીશું તો સુવાંગ સંપૂર્ણ કાવ્યરસની અનુભૂતિ થશે.

Comments (14)

કેડીનું ગીત – મણિલાલ હ. પટેલ

સૈ હું તો વગડામાં વહી જાતી કેડી… !
રૂપ મારું વાયરાની લ્હેરખી :
હોય જાણે વાંસળીએ કોક ધૂન છેડી
સૈ હું તો આઘા મલકની કેડી… !

મારગ મેલીને હું તો ફંટાતી ચાલતી
સીમાડે સીમાડે મસ્તીમાં મ્હાલતી
ડુંગરની કેડે વિંટળાઉં અને
ઘાટીલી ટેકરીઓ લે મને તેડી
સૈ હું તો હૈયાં બ્હેલાવતી કેડી… !

કેટલાંય ગામોનાં પાદર બોલાવતાં
સુંવાળા રસ્તાઓ શમણાંમાં આવતા
જાય મારી બલ્લા! જયાં પથ્થરમાં
કોરેલાં હોય બધાં માઢ અને મેડી
સૈ હું તો ભવભવની કેડી… !

– મણિલાલ હ. પટેલ

વગડાની કેડી એટલે રોડ લેસ ટ્રાવેલ્ડ. ખેતર-પાદર વચ્ચેની મુખ્ય કેડીથી એ અલગ તરી આવે. કાવ્યનાયિકા સ્વયંને વગડામાં વહી જતી કેડી કહી ઓળખાવે છે, ત્યારે એનું અલ્લડ અળગાપણું છતું થાય છે. આ કેડી કેવળ પાદરની કેડી નથી, એ આઘા મલકની પણ છે… મતલબ એ ગામના યુવાનોને હાથવગી નથી, અથવા તો આઘા મલકમાં કોઈને એ હૈયાદાન કરી ચૂકી છે. એ ધોરી મારગ મેલીને મસ્તીમાં ફંટાતી ચાલે છે. ગામેગામના યુવાનો એના પર નિછાવર થવા તત્પર છે, પણ એને પથ્થરમાં કોરેલ માઢ-મેડી જેવા ચીલાચાલુ યુવાનોમાં રસ નથી… એ તો ભવોભવ સાથ નિભાવે એવા સુંવાળા રસ્તાઓના શમણાં જુએ છે…

Comments (6)

ગબડું અને પકડું — મનહર મોદી

ગબડું! ઓ ગબડું!
પકડું! ઓ પકડું!

તારું અસલ નામ તે શું?
હોજી અસલ નામ તે શું?
ગબડું! ઓ પકડું!

તને જાણીએ
અને માણીએ
આછું અમથું તો પણ લાગે ભરચક ભારે ભૂ         ગ.

ક્યાંથી આવ્યો?
કેવો ભાવ્યો?
ઝળહળ અંધારાની અટકળ પળ પળ કરતો છૂ!         ગ.

ઘડીક આછું
ઘડીક પાછું
વાદળ તડકે તડાક તૂટ્યું ઐસા બોલે ક્યું?         ગ.

ઉંદર છે ડુંગરનું સપનું
જંગલ મોટું વૃક્ષ વખતનું
પડઘાઓ પોતાને પૂછે અહીં આપણું શું?         ગ.

ચાર દિશા ચોસઠ બાજુ છે
સવા શેર આદૂ ખાધું છે
આંખ મહીં અધમણ ઊકળ્યું છે લીલું ચોમાસું.         ગ.

ધડાક ધડ ધડ
ફડાક ફંડ ફડ
કોણ ઉકેલે પડ પડ મારી ભીતસું ચાંદરણું.         ગ.

મારા મનમાં કલબલ ઊગ્યું
ને અધ્ધર આકાશે પૂગ્યું
એક ઝાપટે એક સપાટે વિસ્તરતો તે તું?         ગ.

અમે શોધીએ
અમે ખોદીએ
ગત સમયનું ઘણું ગયું પણ બાકી રહે છે ‘હું’         ગ.

– મનહર મોદી

કવિતાને વરસોવરસ ઘાણીના બળદની જેમ એક જ ઘરેડમાં ચાલ્યા કરતી જોઈ થાકી-પાકી ગયેલ કેટલાક સર્જકોએ આઝાદી પછી નવી કવિતાનો રાહ પકડ્યો હતો, એમાંના એક તે મનહર મોદી. શબ્દોના પરંપરાગત અર્થમાળખાને તોડીફોડીને કવિ ઘણીવાર ધ્વનિ અને સંવેદનની નવ્યલીલા રચી ચેતન અને અસ્તિત્ત્વના મૂળ સુધી પહોંચવા મથતા જણાય છે. પ્રસ્તુત રચના પણ રૂપકાત્મક અસ્પષ્ટતા અને ભાષાક્રીડાથી ભરપૂર એબ્સ્ટ્રેક્ટ ગીતરચના છે. ગબડું અને પકડું –બે ઘડી માથું ખણતાં કરી દે છે. ગબડું કદાચ પ્રતીક છે અરાજકતા, ગડમથલ અને પતનનું, અને પકડું કદાચિત રૂપક છે નિયંત્રણ અને નિશ્ચિતતાનું. આ બેની વચ્ચેના ટગ-ઑફ-વૉરમાં કથક પોતાના અસલ નામ અને ઓળખની શોધ કરતા જણાય છે. ટુ બી ઓર નોટ ટુ બી જેવી આ દ્વિધાને આછી અમથી જાણીએ-માણીએ તોય ભારે ભરચક લાગે છે. એના મૂળની શોધની યાત્રા નાની નાની ચોટદૂક પંક્તિઓ અને ધડાક ધડ ધડ જેવા રવાનુકારી શબ્દોની મદદથી આગળ વધે છે. ‘મારા મનમાં કલબલ ઊગ્યું /ને અધ્ધર આકાશે પૂગ્યું’ –અવચેતન માનસની કોસ્મિક વિસ્તરણ તરફની ગતિ નિર્દેશે છે. ગમે એટલી શોધખોળ કેમ ન કરીએ, ‘હું’ યાને અસ્તિત્ત્વનું મૂળ તો અવિનાશી જ છે…

Comments (8)

સાહેબ તેરા સાઈ! – દાન વાઘેલા

સાહેબ તેરા સાઈ!
માલા બિચ બના ધાગાઃ જ્યમ ફૂલ મેં સુગંધ સમાઈ!
.                                     ૦ સાહેબ તેરા સાઈ…!

જ્ઞાન-ધ્યાન મેં ખુદ અલગારી!
હૃદયસ્થિત હરપલ હિતકારી!
કાગજ કલમ બિન કર લેતા વો ઢાઈ અક્ષર કી કમાઈ!
.                                 ૦ સાહેબ તેરા સાઈ…!

પલ પ્રવાહ જબ ‘દાન’ કો ડારે;
નાભિસ્થંભ રહે મૂલાધારે!
જલ પર તલ કી નાવ ચલા કે કુછ ના લે ઊતરાઈ!
.                                ૦ સાહેબ તેરા સાઈ…!

– દાન વાઘેલા

ભક્તિમાર્ગના ગીતો પ્રારંભથી જ ગુજરાતી કવિતાનો મુખ્યસ્તંભ રહ્યો છે. વળી, હરિભક્તિની વાતો કરવા કાજ આપણા કવિઓએ ઘણીવાર ખડી બોલી, વ્રજ, તથા હિન્દીનેય ખપમાં લીધી છે. હેતુ તો એક જ છે, હૈયાની આરત ગાવાનો… પછી ભાષાના વાઘાંને શું કરવા? કવિ દાન વાઘેલાની આ રચના પણ આ ખજાનામાં ઉમેરો કરે છે. પ્રથમ બંધ સામાન્ય થયો છે, પણ મુખડું અને બીજો બંધ બાજી મારી જાય છે.

Comments (16)

કડવાં કારેલાં – સુન્દરમ્

કડવાં કારેલાંના ગુણ ન હોય કડવા હો,
કડવાં વચન ન હોય કડવાં હો રે.

છીણી છેદે ધાતુ કરવા ઘાટુડી,
કાતર કાપે ફરી સાંધવા હો રે,
સોની તાવે શુદ્ધ સુવરણ કરવા,
કુંભારી ગૂંદે માટી બાંધવા હો રે.           કડવાં૦

તપતા સૂરજ ખારાં જળ મીઠાં કરવા,
ચઢતા વંટોળ મેઘ ભરવા હો રે,
ધરતી ધૂણે હલકી કાયાને કરવા,
ધરમી કોપે પાપ હરવા હો રે.             કડવાં૦

દુનિયાના રોગદોગ દુઃખ મારે દિલ વસ્યાં,
માનવીના મેલ ઝાઝા નીરખ્યા હો રે.
કોયો ભગત કાઢે કડવાં વચન, ભાઈ!
કડવું સુણીને કોક હરખ્યા હો રે.       કડવાં૦

– સુન્દરમ્

આપણામાંથી મોટાભાગનાઓને શાળાના પાઠ્યપુસ્તકમાં આ રચના ભણવામાં આવી હશે. કવિના પ્રથમ કાવ્યસંગ્રહ ‘કોયા ભગતની કડવી વાણી અને ગરીબોનાં ગીતો‘ (૧૯૩૩)માંની આ રચના અલગ-અલગ ચીજોથી લઈને મનુષ્યના સ્વભાવ અને વર્તનના દાખલાઓની મદદથી દેખીતી ખરાબ વસ્તુઓ બધી ખરાબ હોય એ જરૂરી ન હોવાની વિભાવના સુપેરે સમજાવે છે. કારેલાંની જેમ જ કોઈને પણ કડવું કહી દેવાના બદલે એની કડવાશ પાછળના હેતુને ઓળખતા શીખી જવાય, તો સાચેસાચ જીવનમાંથી ઘણીબધી કડવાશ દૂર થઈ જાય.

Comments (4)

હે દીવા! તને પ્રણામ… – રમેશ પારેખ

હે દીવા! તને પ્રણામ…
અંધારામાં કરતો તું તો સૂર્ય-ચન્દ્રનું કામ

તારાં મૂઠીક કિરણોનું કેવું અલગારી તપ!
પથભૂલ્યાને પ્રાણ પાઈને કહેતાં – આગળ ધપ,
ગતિ હશે પગમાં તો મળશે કદીક ધાર્યું ધામ.
હે દીવા! તને પ્રણામ…

જાત પ્રજાળીને ઝૂઝવાનું તેં રાખ્યું છે વ્રત,
હે દીવા! તું ટકે ત્યાં સુધી ટકે દૃષ્ટિનું સત!
તું બુઝાય તે સાથ બુઝાઈ જાતી ચીજ તમામ
હે દીવા! તને પ્રણામ…

– રમેશ પારેખ

લયસ્તરો તરફથી તમામ સર્જકમિત્રો તેમજ ભાવકમિત્રોને દીપોત્સવી પર્વ નિમિત્તે અઢળક મબલખ વધામણાં….

Comments (1)

કાયમી જુદાઈ – અનિલ જોશી

કાયમી જુદાઈના ચડતાં વંટોળિયામાં રજકણની જેમ હું તો જીવું.

ચૈતરના આકરા તડકા પડ્યાં ને તૂટ્યા નદિયું ને આભના સંબંધ
આસોપાલવના સળવળતા છાંયડે ડૂબી ગૈ ઝાડની સુગંધ
સહરાની રેતીમાં વાયરાએ ચીતરેલાં મોજાંની જેમ હું તો જીવું.
કાયમી જુદાઈના ચડતાં વંટોળિયામાં રજકણની જેમ હું તો જીવું.

વાટ જોઈ થાકેલા ગતિહીન પોપચાનું અંધારું રોજ મને તોડે
ઓસરીમાં આવીને દીવો પેટાવતાંક અંજવાળું સસલું થઈ દોડે.
તમરું બોલે ને મારી ફાટી બે આંખમાંથી ખરતું એકાંત હું તો જીવું.
કાયમી જુદાઈના ચડતાં વંટોળિયામાં રજકણની જેમ હું તો જીવું.

– અનિલ જોશી

ગુજરાતી ગીતકાવ્યસૃષ્ટિમાં અનિલ જોશીનું નામ ધ્રુવતારક સમું છે, જે દિશા ભૂલેલ મુસાફરને મંઝિલે પહોંચડવામાં સહાયભૂત થાય. ગઝલમાં દર બે પંક્તિએ ભાવવિશ્વ બદલાઈ જાય અને દર બે પંક્તિમાં એ સંપૂર્ણ પણ થઈ જાય. સૉનેટમાં પહેલાં પશ્ચાદભૂ સર્જાય અને પછી ભાવપલટો અને અંતે ચોટ. અછાંદસનું પોત વળી સાવ જ નોખું. એ સઘન ભાવવિશ્વ પણ રચી શકે, એક ચિત્ર પણ દોરી શકે અને ચોટ પણ જન્માવી શકે. ગીત મોટાભાગના કાવ્યપ્રકારો કરતાં અલગ તરી આવતું ઊર્મિકાવ્ય છે. ગીતકાવ્યનો કેન્દ્રસ્થ ભાવ એના મુખડામાં જ વ્યક્ત થઈ જાય છે. કવિને જે કહેવું હોય એ મુખડામાં જ કહી દે છે. બાકીનું ગીત તો સામાન્યતઃ એનું ઘનીકરણ અથવા વિસ્તૃતિકરણ જ હોય. સુરેશ દલાલ કહેતા કે ખરું ગીત મુખડામાં શરૂ થઈ મુખડામાં જ પૂરું થઈ જાય છે. આ વાત શીખવી-સમજવી હોય એવા નવોદિત અને અભ્યાસુ કવિઓ માટે અનિલ જોશીનું આ કાવ્ય માર્ગદર્શક બની શકે એમ છે. ચૈતરના આકરા તડકા પડતાં જે રીતે સૂકાયેલ નદી અને ખાલીખમ આભ વચ્ચેનો પાણીદાર સંબંધ તૂટી જાય છે, એ રીતે બે જણ અલગ થાય ત્યારે હૈયામાં કંઈ નહીં તોય અષાઢના આવવાની આશા અને પ્રતીક્ષા તો હોવાનાં… પણ અહીં બે જણ અલગ તો થયાં છે, પણ કાયમ માટે. બે જણ વચ્ચેનો વિયોગ કાયમી હોવાની પ્રતીતિના સ્વીકાર સાથે ગીત શરૂ થાય છે. પણ ખરી કવિતા ચડતા વંટોળિયામાં છે. વિયોગનો વંટોળ હજી ઊઠી થઈ રહ્યો છે, મતલબ હજી તો જોર-એ-કલમ ઔર જિયાદા! અને આ વિશાળ વાવંટોળમાં કથકનું સ્થાન શું? છે ને અદભુત મુખડું! આખું ગીત જ જાનદાર છે…

Comments (8)

કોઈ ન જાણે! – રમેશ પારેખ

ગામ ચોમાસા હેઠ ભીંજાતું હોય એવા વરસાદના ટાણે
તમને તમે ગમવા માંડ્યા હો તે બીજું કોઈ ન જાણે!

ફૂગ્ગો ફૂલે એમ ઝીણું ખાબોચિયું ફૂલે જોતજોતામાં, જોતજોતામાં ફૂટે,
શેરીએ બૂમો પાડતા રેલા નીસરે એને આંબવા નદી છબિયુંમાંથી છૂટે;
ટીપાં, છાંટા, ચૂવા, વાછંટ,ધાર, ધધૂડા, ધોરિયા, ધોધંધોધા આખા ગામનું ગજું નાણે!

જળની હેબત વાઘરી જેવા મનને થાપો મારતી કેવી ગારમાટીના કૂબે,
તમને તમે કેટલું ગમ્યા, કેમ ગમ્યા-એ કોયડાસોતું છિછરું માથું ડૂબે;
જળના આવા ઘોંચપરોણા સાંભળે, જુએ, સમજે, સહે જીવ એે પ્હેલાં દરિયો તેગું તાણે!

-રમેશ પારેખ

ઓણસાલ વરસાદ કંઈ અલગ જ અડીંગો જમાવીને બેઠો છો… જાઉં જાઉં કરે છે ને અચાનક હાઉકલી કરતોક વળી છત્રી વગરના આત્માઓને રંગે હાથ ઝડપી તરબતર કરી ભાગી જાય છે… આવામાં ર.પા.નું આ ગીત ક્યાંકથી હાઉકલી કરતુંકને આવી ચડ્યું અને મને ટીપાં, છાંટા, ચૂવા, વાછંટ,ધાર, ધધૂડા, ધોરિયા, ધોધંધોધા વડે ગળાબૂડ પાણીમાં ડૂબાડી ગયું… તમારે પણ ડૂબવું છે? તો ચાલો… પણ રહો! એક શરત છે… આ ગીત વાંચીને નહીં, મોટેથી લલકારીને વાંચવું…

Comments (8)

બંધ હોય ખડકી ને બંધ હોય બારી… – વિનોદ જોશી

બંધ હોય ખડકી ને બંધ હોય બારી,
પણ ધારી લે, છાપરેથી કૂદીને કોઈ તને કહી દે કે, આજથી તું મારી, તો?

જો કે, ઝાડ હજી ખિસકોલી જેવડું જ હોય ત્યારે અઘરું છે હીંચકાને બાંધવો,
જો કે, અઘરું છે ધોધમાર વાદળના ભારથી જ બટકેલા ટહુકાને સાંધવો;

પણ ધારી લે, ધારદાર શમણાં વાઢીને કોઈ ફળિયામાં ઠાલવી દે ભારી, તો?
કોઈ તને કહી દે કે, આજથી તું મારી, તો?

જો કે, અંધારું એકલું જ પૂરતું છે આમતેમ આથડતો પડછાયો ઢાંકવા,
જો કે, ઢોલિયામાં સૂતેલાં અજવાળાં કોઈવાર અણધાર્યાં માંડે છે પાકવા;

પણ ધારી લે, કોઈ પછી ફાનસમાં ઓલવાતી વાત જરા વાંચી લે તારી, તો?
કોઈ તને કહી દે કે, આજથી તું મારી, તો?

– વિનોદ જોશી

કોઈ જ પહોંચી ન શકે એ રીતે ભીતરને સજ્જડ તાળું મારીને આપણે બેઠા હોઈએ, એવામાં કોઈક હાઉકલી કરતુંકને સામે આવી ચડે તો? સ્વયંને પુરુષ કે પ્રેમને તાબે ન થવા દેવાની ગાંઠ મનમાં મારીને બેઠેલ નવયૌવનાને ડારો દેતી સહેલીનું રમતિયાળ ગીત આજે માણીએ. જો કે સવાલ કરનાર કથક સહેલી પણ હોઈ શકે અને સ્વયં કાવ્યનાયિકા જાતની ઉલટતપાસ કરતી હોય એય બનવાજોગ છે. સવાલ એ છે કે ભલે ખડકી બંધ કરી, બારીય વાખી દીધી, પણ ધાર કે કોઈ છાપરું ઠેકીને આવી ચડે અને તું આજથી મારી એમ દાવો કરે તો તું શું કરવું?

કવિ નિજની ઊર્મિઓ ભાવક સુધી પહોંચાડવા એકમાત્ર ઉપલબ્ધ ઉપાદાન શબ્દોનો સહારો લે એ બરાબર પણ અન્ય કાવ્યપ્રકારોથી વિપરીત ગીતનું પ્રમુખ ધ્યેય ભાવકને કે શબ્દાર્થ નહીં, ભાવાર્થ સુધી લઈ જવાનું છે. કવિએ જે પ્રતીકો અને પદ પ્રયોજ્યા છે, એનો સ્થૂળાર્થ કરવા કરતાં ભાવ પકડવા મથીશું તો રચના દિલની વધુ નજીક અનુભવાશે. ઝાડનું કદ ખિસકોલી જેવડું જ હોય ત્યારે આપણે એને છોડ તરીકે ઓળખીએ છીએ, પણ કવિ ઝાડ કહે છે. કારણ, જે પ્રેમી છાપરું કૂદીને નાયિકા ઉપર માલિકીભાવ જમાવી શકવાની આશંકા છે, એના માટે નાયિકાના મનમાં તો પ્રણયનો છોડ વૃક્ષની જેમ ફૂલીફાલી ચૂક્યો છે. પણ વાત હજી સાવ પ્રારંભિક તબક્કે હોય ત્યારે સંબંધનો હીંચકો તો બાંધી ન બેસાય ને? અને એવા ટાણે ધોધમાર વરસવા આતુર હૈયાના ભારથી પ્રેમગાનનું સંધાન સાધવાની ઉતાવળ પણ ન થાય. નાયિકા તો આ સમજે છે, પણ નાયક ધારદાર શમણાંની ભારી ફળિયામાં ઠાલવી સામો આવી જાય તો? ગીતમાં આખી મજા જ ડગલે ને પગલે ધારવાની અને તોના ધારદાર સવાલની છે…

Comments (9)

વૃદ્ધ મજૂરનું ગીત – અશોક ચાવડા ‘બેદિલ’

બીડીના એક ઠૂંઠે તમને સંભારું શામળિયા.

સાંજ પડે ને ઝાલરટાણે તારે મંદિરીયેથી છોને નીકળવાનું થાતું!
મારી સામું તું જુએ ના, તારી સામે નત મસ્તકથી મારે ના જોવાતું.
આંખ જરા જો બારી લગ પહોંચે તો ખાલી નજરે પડતા રંગબેરંગી સળિયા…
બીડીના એક ઠૂંઠે તમને સંભારું શામળિયા.

મારા પગ પર ઊભા રે’વું મારાથી ના બનતું, કેવો થાક લઈને જીવું!
મારી ઉપર રોજે આખું આભ તૂટે છે, જન્મારાનો વાંક લઈને જીવું;
જાત ગળાતાં વાર હવે શી, હોવાનો અણસાર લઈને અરમાનો ઓગળિયા…
બીડીના એક ઠૂંઠે તમને સંભારું શામળિયા.

– અશોક ચાવડા ‘બેદિલ’

સમાજના લલાટે અસ્પૃશ્યતાનું કલંક પહેલાં જેટલું ઘાટું હતું, એટલું આજે નથી રહ્યું, પણ હજીય નાનાં-નાનાં ગામડાના અંતરિયાળ વિસ્તારોમાં આ દૂષણ લગભગ એમનું એમ પ્રવર્તમાન છે. સમાજના આ તિરસ્કૃત વર્ગ માટે આજેય ઘણી જગ્યાએ મંદિરપ્રવેશ વર્જ્ય છે. મંદિર પાસેથી પસાર થતી વેળા એમણે ફરજિયાતપણે મસ્તક નમાવીને ચાલવું પડે, જેથી એમની નજર મંદિર કે મંદિરમાં બિરાજમાન મૂર્તિ પર ન પડે. કાવ્યોચિત વક્રોક્તિ એ છે કે બીડીના ઠૂંઠે શામળિયાને યાદ કરતા ભક્તને ખબર છે કે એ તો સામાજિક કુરિવાજના પ્રતાપે ઈશ્વર સામે નથી જ જોઈ શકતો, પણ ઈશ્વર સુદ્ધાં એમની સામે જોતો નથી. ભગવાન જો જોતો હોત, તો આ હાલત હોત? બીડીનું એક ઠૂંઠૂં –મને તો આ વાત પણ સ્પર્શી ગઈ… ગરીબ માણસ પાસે આખી બીડી તો ક્યાંથી હોય? અમીર માણસોએ ફેંકી દીધેલ ઠૂંઠા પર જ એમણે તો ગુજારો કરવાનો હોય ને!

Comments (9)

નથી – પારુલ ખખ્ખર

અર્થ વગરની આવન-જાવન પારુલને મંજૂર નથી,
તમને લાગે છો મનભાવન, પારુલને મંજૂર નથી.

હોય ન જેમાં આંસુ-પીડા, હોય ન જેમાં વિરહ સજનનો,
એવા ફિક્કા ફિક્કા સાવન પારુલને મંજૂર નથી.

રાસે રમતાં ગોપ-ગોપીકા, હોય ભલેને બંસીના સૂર,
કૃષ્ણ નથી જ્યાં એ વનરાવન પારુલને મંજૂર નથી.

સાથે ડૂબી, તરતાં શીખવે, પાર ઉતારે – એ છે સાચા,
તીર ઉભેલા પતિત-પાવન પારુલને મંજૂર નથી.

એવું કંઈક લખાવો, સ્વામી! જેની કિંમત કોટિ કોટિ,
ક.ખ.ગ.ના ફદિયા બાવન પારુલને મંજૂર નથી.

– પારુલ ખખ્ખર

ગીતનું ધ્રુવપદ હોય કે ગઝલની રદીફ, સર્જકને હરહંમેશ કંઈક નવીન, કંઈક અનૂઠાની તલાશ રહે છે. ઘણીવાર સર્જક પોતાના નામને જ અવનવી રીતે કવિતાના તારમાં વણી લઈને ભાવકને સાનંદાશ્ચર્યાની ભાવાનુભૂતિ પણ કરાવતો હોય છે. સુરતના નયન દેસાઈએ પોતાના નામને ખૂબ લાડ લડાવ્યા છે: ‘નયન દેસાઈ એસ.એસ.સી.’, ‘ચાલ નયન. એક ચા મંગાવ.’ ‘C/o નયન દેસાઈ’ ચાર ફૂટ ને પાંચ ઈંચનો આ નયન, લોહી વચ્ચેથી નીકળીને નાઠો ‘નયન’ નાગડો પૂગડો, સાંભળીને લોક વદે બોલો, હે ‘નયનરામ’. અમરેલીના પારુલ ખખ્ખરની રચનાઓમાં પણ ક્યારેક આ પ્રકારની વિધા નજરે ચડે છે- ‘પારુલને મંજૂર નથી,’ ‘પારુલ ખખ્ખર! જવાબ આપો,’  ‘પારુલદે મરશિયાં ગાય…,’ ‘પારુલદેનાં ચશ્મા તડાક્ દઈ તૂટયા’

પારુલને મંજૂર નથી કહીને સર્જક પોતાની અપેક્ષાઓની યાદી આપણને આપે છે, ત્યારે એ વૈયક્તિક નથી રહેતી. સ્વાનુભૂતિ સર્વાનુભૂતિ બની જાય છે, પરિણામે રચના વાંચતાવેંત ગમી જાય છે. બધા જ શેર ઉમદા થયા છે, પણ મને કખગના બાવન ફદિયા કોટિ કોટિ કિંમતનો શેર લાગ્યો.

મત્લા સિવાય ગઝલના તમામ ઉલા મિસરામાં એક ગુરુ વધારાનો છે એ મને અંગત ધોરણે બહુ ન રુચ્યું એ અલગ વાત છે.

(ફદિયું = ચાર પાઈ, જૂનો પૈસો; કોટિ = કરોડ)

Comments (11)

જળ માનીને ડૂબકી દીધી… – ચંદ્રકાન્ત શેઠ

જળ માનીને ડૂબકી દીધી, જળમાં લાગી ઝાળ;
ડુંગર માની ઊપડ્યા, આવી આડે ખીણ કરાળ! —

ક્યાં ચઢવાનું? ક્યાં ઊડવાનું?
.                    એક જાળમાં બંધ;
લાખ પેટવો દીવા, અહીં તો
.                    દરેક જ્યોતિ અંધ!
પગલી દેખી પગલું માંડ્યું, લપસ્યા અવળે ઢાળ!
ડાળે બેઠા માળો કરવા, અધવચ ફસડી ડાળ! —

ટીપે ટીપે કાંઠો તૂટે,
.                    મોજે મોજે નાવ;
શઢના લીરે લીરે કેવા
.                    ઝંઝાનિલના ઘાવ!
મોતીની જ્યાં માયા રૂઠી, રેત બની ગૈ રાળ;
જેમ વરસવા ઊંચે ઊઠ્યા, અંદર થયા વરાળ! —

– ચંદ્રકાન્ત શેઠ

જીવનમાં કશું જ ધાર્યું ન થતું હોય એવી પળોનું ગીત. ગીતની દરેકેદરેક પંક્તિમાં એક નવીન રુપકને ખપમાં લઈને કવિએ બદનસીબી અને નિષ્ફળતાની હૈયાવરાળને બરાબર ઘૂંટી છે. અને આ કવિતા છે. કવિતા ક્યારેક સમસ્યા સૂચવે, ક્યારેક વળી ઉદાર થઈને સમસ્યાનો ઇલાજ પણ બતાવી દે; પણ સંસારની સમસ્યાઓનો ઈલાજ આપવાની જવાબદારીનો કાયમી બોજો ખભે લઈને તો એ કદી ચાલે નહીં. એરિસ્ટોટલે ‘પોએટિક્સ’માં ‘catharsis’નો જે સિદ્ધાંત વર્ણવ્યો છે એનું આ ઉત્તમ દૃષ્ટાંત છે. કદાચ એટલે જ કેવળ અને કેવળ જીવનમાં ડગલે ને પગલે નડતી અડચણોની જ વાત હોવા છતાં આ ગીત વાંચી લેવાયા બાદ પણ ક્યાંય સુધી મનમાં રણઝણતું રહે છે…

(કરાળ = વિશાળ, વિકરાળ; ઝંઝાનિલ = વંટોળિયો)

Comments (6)

ગજું – નીતિન વડગામા

જેવું જેનું ગજું.
ગજા પ્રમાણે સૌ પોતાની જાત કરે છે રજૂ.

કોઈ અભણ આંખો કોરા કાગળના અક્ષર વાંચે.
કોઈ ભણેલો હાથ જુઓને કક્કો ઘૂંટી નાચે!

કોઈ આશરો છતનો પામે કોઈ પામતાં છજું.
જેવું જેનું ગજું.

ક્યાંક નદીનાં નીર સામટાં આવી ચરણ પખાળે.
ક્યાંક ઝરણને કાજ અભાગી જીવ વીરડા ગાળે!

એક કહે કે તજું, બીજો કહે હું તો ભાવે ભજું.
જેવું જેનું ગજું.

– નીતિન વડગામા

કેવું સુંદર ગીત!

Comments (15)

આવો અગર ન આવો – નિરંજન ભગત

આવો અગર ન આવો જેવી તમારી મરજી,
જો કે સદાય આવો એવી અમારી અરજી!

આવ્યા અનેક વેળા, આનંદ શોય એથી
કે ‘આવશો સદા’ એ સપનું ગયા છે સરજી!

ને જો હવે ન આવો તો શું થશે અમારું?
કેવી રીતે જીવાશે? -એવા અમે ન ગરજી!

આવો અગર ન આવો જેવી તમારી મરજી,
જો કે સદા ય આવો એવી અમારી અરજી!

– નિરંજન ભગત
(મે ૧૯૫૭)

ગુજરાતી કવિતામાં એક યુગ નિરંજન-રાજેન્દ્રનો ગણાય છે. કવિતાની નીચે નિરંજન ભગત જેવા યુગપ્રવર્તક કવિનું નામ લખ્યું હોય ત્યારે ભાવક સહેજે સાવધ થઈ કાવ્યપ્રવેશ કરે. પણ મોટા ગજાના કવિનેય ગાંઠે તો એ વળી કવિતા શાની? આ સંદર્ભમાં કાવ્યસર્જનની પ્રક્રિયા વિશે સિતાંશુ યશશ્ચંદ્રનું સ્મરણ થાય છે: “કવિતા કઈ રીતે રચાઈ છે એની કવિને જરા જેટલી જ ખબર હોય છે. પહેલા પાંચ પંદર શબ્દો એની કલમમાંથી ટપકી પડે એની બીજી જ ક્ષણથી કવિતા એનો કબજો લઈ લે છે ને ‘બૅકસીટ ડ્રાઈવિંગ’ કરીને એને દોરી જાય છે, કાવ્યની યદૃચ્છાગતિ આગળ કવિની પૂર્વનિર્ધારિત યોજના અવળી પડી જાય છે. પ્રવાસરેખા- બિલકુલ કોન્ફિડેન્શિયલ હોય છે જેની જાણકારી હોય તો હોય છે કેવળ કવિતાને, કવિને તો નહીં જ. એટલું નક્કી. એ માન્યતા ભૂલ ભરેલી છે કે કવિ કવિતા compose કરે છે, ખરેખર તો કવિતા જ કવિને compose કરે છે.”

સાચે જ, હૃદયની ઊર્મિ કવિના મગજને કોરાણે મૂકીને સીધી કાગળ પર જ ઢોળાઈ જાય ત્યારે અને ફક્ત ત્યારે જ આવું સહજ-સાધ્ય ગીત આપોઆપ લખાઈ જાય. કવિએ ગીત લખવા માટે ગઝલનો દ્વિખંડી છંદ પ્રયોજ્યો છે એ વાત પણ ધ્યાનાર્હ છે.

Comments (14)

બંસીવાલા, આજો મોરા દેશ! – મીરાંબાઈ

બંસીવાલા, આજો મોરા દેશ! તારી શામળી સૂરત હદવેશ.

આવન-આવન કહ ગયે, કર ગયે કોલ અનેક;
ગણતાં-ગણતાં ઘસ ગઈ જીભાં, હારી આંગળીઓની રેખ.

એક બન ઢૂંઢી સકલ બન ઢૂંઢી, ઢૂંઢયો સારો દેશ;
તોરે કારણ જોગન હોઊંગી, કરુંગી ભગવો વેશ.

કાગદ નહિ મારે સાહી નાહિ, કલમ નાહિ લવલેશ;
પંખીનો પરવેશ નાહિ, કિન સંગ લખું સંદેશ ?

મોરમુગટ શિર છત્રા બિરાજે, ઘુંઘરવાળા કેશ;
મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ, આવોની એણે વેશ.

– મીરાંબાઈ

આજે જન્માષ્ટમીના પાવન પર્વ પર એક મજાનું ભક્તિપદ.

Comments (2)

કોને કહું? – નિરંજન ભગત

કોને કહું? છું એકલો!
રૂપની રંગત બધી જોઈ રહું છું એકલો!

લાલી ઉષાના ઉરથી
.           ઊઘડે અને લાજી રહે,
સંધ્યા તણા સિંદૂરથી
.           હું આંખડી આંજી રહું;
સ્નેહની આ સ્વપ્નલીલા હું લહું છું એકલો!

રુદ્રનું લેાચન દહે
.           કયારેક તો મધ્યાહ્નમાં,
મુગ્ધ મારુ મન રહે
.           ત્યારે રતિના ગાનમાં;
આભ જેવા આભનો રે ભાર વહું છું એકલો!
કોને કહું છું એકલો?

– નિરંજન ભગત
(૧૯૫૦)

સરસ મજાનું ગીત

Comments

ખમ્મા! વીરાને – ન્હાનાલાલ

ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ :
મોંઘામૂલો છે મ્હારો વીર જો!
ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ.

એક તો સુહાગી ગગનચાંદલો રે લોલ :
બીજો સુહાગી મ્હારો વીર જો!
ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ.

રાજ તો વિરાજે રાજમન્દિરે રે લોલ :
પારણે વિરાજે મ્હારો વીર જો!
ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ.

ચંપો ખીલે છે ફૂલવાડીમાં રે લોલ :
ફૂલમાં ખીલે છે મ્હારો વીર જો!
ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ.

આંગણે ઉજાસ મ્હારે સૂર્યનો રે લોલ :
ઘરમાં ઉજાસ મ્હારો વીર જો!
ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ.

એક તો આનન્દ મારા ઉરને રે લોલ :
બીજો આનન્દ મ્હારો વીર જો!
ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ.

દેવે દીધી છે મ્હને માવડી રે લોલ :
માડીએ દીધો મ્હારો વીર જો!
ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ.

– ન્હાનાલાલ કવિ

દુનિયાની દરેક ભાષામાં એક તરફ સરળતમ કવિતાઓ છે, જે સદીઓથી લોકમુખે જીવતી આવી છે અને બીજી તરફ અત્યંત કઠીન રચનાઓ છે, જે સામાન્ય જનમાનસની સમજણની પરે હોય છે… બાકીની કવિતાઓ આ બે અંતિમો વચ્ચે ક્યાંક ને ક્યાંક સ્થાન મેળવે છે. ન્હાનાલાલની આ રચના પણ બાળગીત જેવી સરળતા અને સાહજિકતાના કારણે દાયકાઓથી લોકજીભે રમતી આવી છે. અંગ્રેજી ભાષાનું ધાવણ પીને મોટી થયેલી આજની પેઢીએ કદાચ આ ગીત એમની મમ્મી કે મોટી બહેનના મોઢે સાંભળ્યું પણ નહીં હોય અને/અથવા શાળેય અભ્યાસક્રમમાં ભણવાનું પણ નહીં આવ્યું હોય… પણ આ ગીત આપણી અમર વિરાસતનું એક બહુમૂલ્ય મોતી છે, જેને રજૂ કરવા માટે આજના દિવસથી વધુ ઉપયુક્ત દિવસ અવર કયો હોઈ શકે, કહો તો?

Comments (8)

હવે – હરિકૃષ્ણ પાઠક

હવે અમારે શું ગમતું-અણગમતું?
ભાવ-શૂન્ય આ ભવસાગરમાં નાવ ભલે ને રમતું!
હવે અમારે શું ગમતું-અણગમતું?

સઢના દોર કહીં નહિ બાંધ્યા,
.               નહીં હલેસાં હાથે;
કાળ-પ્રવાહે વહ્યે જવું-બસ
.               અંધ સમયની સાથે.
ક્ષિતિજ વિષે ધ્રુવ તારક હો કે આભ શૂન્યતા ઝમતું!
હવે અમારે શું ગમતું-અણગમતું?

રટણા નહિ મઝધાર તણી
.               નહિ પાર જવાની લગની
જેવી શીત સપાટી-
.               એવો વડવાનલનો અગની.
અમે પંડથી અળગા : આ બ્રહ્માંડ ભલે ને ભમતું!
હવે અમારે શું ગમતું-અણગમતું?

– હરિકૃષ્ણ પાઠક

કેવું સુંદર ગીત! જીવનમાં બધી ધમાલ જ ભાવની છે… ભાવશૂન્યતા… અભાવ નહીં,હં! બેમાં બહુ મોટો ફરક છે… એકવાર ભાવશૂન્યતાની સ્થિતિ પ્રાપ્ત થઈ જાય, પછી શું ગમતું ને શું અણગમતું? આખી રચના એટલી મજબૂત અને મજાની થઈ છે કે એના વિશે કંઈ પણ બોલવું એટલે કવિરચિત સંઘેડાઉતાર ભાવવિશ્વમાં ખલેલ પહોંચાડવી…

Comments (13)

ઊડી જાઓ, પંખી – દુલા ભાયા કાગ

ઊડી જાઓ પંખી! પાંખુંવાળા…જી,
વડલો કહે છે, વનરાયું સળગી, મૂકી દિયો જૂના માળા.

આભે અડિયાં સેન અગનનાં, ધખિયાં આ દશ ઢાળાં જી,
આ ઘડીએ ચડી ચોટ અમોને, ઝડપી લેશે જ્વાળા.
બોલ તમારા હૈયામાં બેઠા, રૂડાને રસવાળા જી;
કોક દી આવી ટૌકી જાજો, મારી રાખ ઉપર રૂપાળા…

આશરે તારે ઈંડાં ઉછેર્યાં, ફળ ખાધાં રસવાળાં જી,
મરવા વખતે સાથ છોડી દે, એ મોઢાં મશવાળા.
ભેળાં મરશું, ભેળાં જન્મશું, તારે માથે કરશું માળા જી;
‘કાગ’ કે આપણે ભેળાં બળશું, ભેળાં ભરશું ઉચાળા…

– દુલા ભાયા કાગ

[વનમાં આગ લાગી છે. એક વડલા પર પોપટ—પોપટીનું જોડલું ઘણાં વર્ષોથી વસતું. તેને વડલો કહે છે: “હે પક્ષીઓ! તમે ઊડી જાઓ, કારણ કે જંગલમાં લાગેલો દાવાનળ મને હમણાં બાળી મૂકશે. મારે તો પાંખો નથી, માટે બળી જઈશ. પણ તમે તમારા પ્રાણ બચાવો. હે પક્ષીઓ, ઘણાં વર્ષો સુધી તમારાં સુંદર ગાયનો સાંભળ્યાં, તે હૈયામાં વસી ગયેલ છે, જેથી અહીં મારી રાખ પર આવી કદીક એકાદ ટૌકો કરી જજો.” ત્યારે બંને પક્ષી બોલે છેઃ “હે વડરાજ! તારા આશરે અમે ઘણાં વર્ષો આનંદથી રહ્યાં, તારાં મીઠાં ફળો ખાધાં અને આજે મરણ વખતે અમે તારો સાથ છોડી દઈએ તો તો અમારાં મોઢાં કાળાં થાય. હવે તો આપણે સાથે જ મરશું, સાથે જ ફરી જન્મશું અને તારે માથે, તું મોટો થઈશ ત્યારે, અમે માળો બાંધશું.” આ તો લોકકલ્પનાની જૂની વાત છે. એનો એક દુહો છે કેઃ

‘પત્ર બિગાડે ફળ ડસે, બેઠે શીતળ છાંય;
તુમ જલો અમે ઊડીએ, જીવન કા ફલ નાંય.”] (સાભાર: ‘કાગવાણી’માંથી)

કાગની રચના વિશે શ્રી સુરેન ઠાકર ‘મેહુલ’ શું કહે છે તે પણ સાથે જ જોઈએ:
‘કવિ કાગના કાવ્યો છપાયાં પહેલાં જ પાંખો આવી જાય છે. પુસ્તકાકારે પ્રસિદ્ધ થતાં પહેલાં તો એ કાવ્યો પ્રજાની જીભે ચડી જાય છે અને દૂર-સુદૂરનાં ગામડાંમાં ગુંજવા લાગે છે.’

Comments (8)

બાજત શબદ મૃદંગા – રાહુલ તુરી

બાજત શબદ મૃદંગા,
સુર તાલ લય વિલય થતાં જ્યાં સત્ત ખડા સરભંગા.

હાલ ચાલ સબ ખાલ ભાલ પર અજબ તેજ અંબાર,
અલખ ખલક સબ ફલક ઉપર આ નિરખત નૈન અપાર.
અટલ અવિચળ નાદ અનાહદ અનહદ હે આનંદા…

રવ અરવ સબ હોત ગરક જ્યાં થતા નહીં થડકારા,
રોમ વ્યોમ અરુ ભોમ હોમ ત્યાં સકળ શુન્ન સંસારા.
અકળ અગોચર એક અડિખમ અચરજ ભરા અભંગા…

– રાહુલ તુરી

મિશ્ર બોલીમાં રચાયેલ આ ગીત એના શ્રુતિસૌંદર્યને કારણે વાંચતા, સોરી, ગણગણતાવેંત આકર્ષી લે છે. પ્રવાહી લયોપરાંત પંક્તિએ-પંક્તિએ આંતર્પ્રાસાવલિ અને વર્ણસગાઈના રણકારના કારણે એક વાચ્યચિત્ર આંખો સમક્ષ ખડું થાય છે.

હું આધ્યાત્મમાર્ગનો અભ્યાસી નથી એટલે કાવ્યમાં રજૂ થયેલ આધ્યાત્મ-ફિલસફીની ગુણવત્તા વિશે કશું કહી શકવાને સમર્થ નથી, પણ જે વાચ્યાર્થ મને સમજાયો છે તે આ મુજબ છે: શબ્દને આપણે ત્યાં બ્રહ્મ ગણવામાં આવ્યો છે. એથી જ શબ્દનું મૃદંગ વાગતાવેંત સુરતાલ અને લય બધાનો વિલય થઈ જાય છે. માણસનાં હાલચાલ અને કાયા ઉપર અજબ તેજનો અંબાર છવાઈ જાય છે. ત્રિલોકને તાગી શકે એવી અપાર દિવ્ય દૃષ્ટિ સાંપડે છે. અટલ, અવિચળ અનાહતનાદ ગૂંજતા અનહદ આનંદાનુભૂતિમાં માનવમન સરી પડે છે. અવાજ અને મૌન –બંને નાશ પામે, હૃદયના થડકારા પણ સ્થિર થઈ જાય એવી સમાધિની અવસ્થામાં અસ્તિત્વના રૂંવેરૂંવા આકાશ બની રહે અને ધરતી યજ્ઞ બની રહે છે. સંસાર શૂન્ય બની રહે છે. જે પરાપૂર્વથી અકળ અને અગોચર રહ્યો છે એવા અડીખમ અચરજ સમા ઈશ્વરના સાક્ષાત્કારની આ ક્ષણે શબ્દના મૃદંગ અને અનહદ આનંદ સિવાય કશું જ બચતું નથી.

(સરભંગા=સર્વાંગી; બધામાં મળી જાય તેવું; ખલક=દુનિયા; ફલક=આકાશ, સ્વર્ગ; અરુ=અને)

Comments (14)

સૂરજમુખી – ચંદ્રકાન્ત શાહ

ત્રણ ને દસની સ્ટૅમ્પ લગાડી પોસ્ટ કરું છું
સ્ટૅમ્પ જોઈને ધાર, હશે આ કાગળમાં શું?

ત્રણ ને દસમાં આવે આખો ગ્રંથ
ઘણા ફોટાઓ બ્લૅક ઍન્ડ વ્હાઇટ
શું બૉક્સમાં તાજી-માજી કુકીઝ
આવે પાર્સલ પિન્ક રિબન બાંધેલું ટાઇટમ્ ટાઇટ

બીજી થોડી વધુ સ્ટૅમ્પ ચોંટાડી, આ લે, હું આવું છું—

સૂરજમુખી થઈ કાગળમાં આવે ક્યારેક
સહિયારો સોનેરી કૂણો સમય સાવ અકબંધ
કોકો શનેલ જેવી આવે
તું આવ્યાની કાચી પાકી સુગંધ

કાગળ લખવા જેટલું અંતર કાપી, ત્રણ ને દસની કોફી પીશું
સ્ટૅમ્પ જોઈને ધાર, હશે આ કાગળમાં શું?

– ચંદ્રકાન્ત શાહ

એક જમાનો હતો જ્યારે આપણે પત્ર લખતા હતા કોઈનો પત્ર આવશે એ આશામાં રોજ ટપાલીની કાગડોળે રાહ પણ જોતા હતા. પણ આજે આપણી વચ્ચે એક એવી પેઢી શ્વાસ લઈ રહી છે, જેણે જીવનમાં એકેય ટપાલ લખી જ ન હોય. ચંદુના હુલામણા નામથી જાણીતા ડાયાસ્પોરા કવિ ચંદ્રકાન્ત શાહ રુઢ કાવ્યધારાથી સદૈવ ઉફરા ચાલ્યા છે. પ્રસ્તુત ગીત એનો એક દાખલો છે. ત્રણ ને દસની ટિકિટ ચોડીને કવિએ પત્ર તો મોકલ્યો છે, પણ સામા પાત્રને આહ્વાન પણ આપ્યું છે કે ટિકિટ જોઈને અંદર શું હશે એ ધારી બતાવ. એક જાણીતો શેર યાદ આવે: ‘आदमी पहचाना जाता है क़याफ़ा देख कर, ख़त का मज़मूँ भाँप लेते हैं लिफ़ाफ़ा देख कर।‘ ત્રણ ડોલર ને દસ સેન્ટમાં બીજું શું શું થઈ શકે એની યાદીની સમાંતરે કવિએ મજાના ગીતની ગૂંફણી કરી છે… ગીતની અડખેપડખે બેસીને ભાવની કોફી પીતાં પીતાં કવિતાની કાચી પાકી સુગંધથી તર થઈએ…

Comments (10)

ચિત્રમાનાં પંખીઓને – નયન હ. દેસાઈ

(મનહર ગીત)

કેમ સાવ મૂંગામૂંગા બેસી રહ્યાં, બોલો કાંઈ
લાગી ગયો મૌન તણો જાણે હડદોલો કાંઈ
રિસાયા છો કઈ વાતે
વાત કરો મારી સાથે

તમારી તો મીઠી મીઠી વાણીની મીઠાશ માણું
શબદોના સ્વરને ને વ્યંજનાને હું પ્રમાણું
ટહુકા વેરો પ્રભાતે
વાત કરો મારી સાથે

કોઈ નહીં બોલાવે તો આમ મૂંગા થૈ જવાનું?
રેખાઓમાં કેદ ક્યાંથી પાંખ ફફડાવવાનું
બે ઘડી તો વ્હાલાં વ્હાલાં પંખીડાઓ ડોલો કાંઈ
કેમ સાવ મૂંગા મૂંગા બેસી રહ્યાં બોલો કાંઈ
કોઈ પરિચયને નાતે
વાત કરો મારી સાથે…

– નયન હ. દેસાઈ

કવિ ઉદયન ઠક્કરે કેવળ ગીત અને ગઝલમાં રાચતા આજના કવિઓ પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, “ગઝલ કે ગીતને એ વારાફરતી પહેરે છે, કવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે?” આવું જ ગીતના લય બાબતે પણ કહી શકાય. મોટાભાગના ગીતકારો ષટક્લ અને અષ્ટકલ -એમ બે જ લયમાં ગીતવિહાર કરતા દેખાય છે. આજે આ મહેણું ભાંગતી એક રચના માણીએ…

નયન દેસાઈ એટલે સતત કંઈ નવું કરવા મથ્યા કરતો કવિ. દલપતરામે લોકપ્રિય બનાવેલ મનહર છંદમાં આપને ત્યાં પ્રમાણમાં ઓછું કામ થયું હોવાથી એ ખોટની ભરપાઈ કરવા કવિએ મનહર છંદમાં આખેઆખો કાવ્યસંગ્રહ આપ્યો. આ સંગ્રહમાં ગઝલ, ગીતો ઉપરાંત બાળગીતો પણ છે – બધું જ મનહર છંદમાં. પ્રસ્તુત રચનાનો લય રુઢ લય ષટકલની નજીક નજીકનો છે, પણ એને ચુસ્ત ષટકલકરાર આપી શકાય એમ નથી. વળી, મનહર છંદની રવાનીમાં પઠન કરવાની જે મજા છે એ કદાચ ષટકલના રુઢ લયથી બે આંગળી ઊંચે છે.

ચિત્રમાંના પંખી તો મૂંગા જ હોવાનાં ને! પણ કવિ કોને કહે? એ તો એમની સાથે પણ વાર્તાલાપ સાધે છે, અને એમને કોઈને કોઈ બહાને જીવંત થઈ વાત કરવા ઈજન આપે છે… સરળ બાનીમાં કેવું સહજ ગીત!

Comments (6)

એમ થાતું કે- – માધવ રામાનુજ

વન વચોવચ ખેતર ઊભાં ગામ વચોવચ મેડી,
એમ થાતું કે સ્હેજ ઝૂકીને ખીણ આખી લઉં તેડી.

ચારને ભારે લચક લચક થાઉં ને મૂઆં ઝાડવાં નફટ આંખ ફાડીને જોઈ રહે, મારી ઝાંઝરીયુંનું રણકી જોબન વાયરે ઊડ્યું જાય;
હાય રે, મારા પગને ભૂંડી ધૂળની લાગે નજર,મારાં પગલાં સૂંઘી પાછળ પાછળ આવતા ચીલા દોડતા આગળ થાય.
ગામને ઝાંપે આઘું ઓઢી ઘરની ભૂલું કેડી.
એમ થાતું કે સ્હેજ ઝૂકીને ખીણ આખી લઉં તેડી

બારીએ બેઠી હોઉં ને ખોળો ખૂંદતી કોમળ પગલીયુંના ખિલખિલાટે ઊછળે છાતી : છલછલોછલ બે કાંઠે ઊભરાય નદીનાં વ્હેણ;
ઉંબરે ઊભી હોઉં ને વાટે ગાડેગાડાં સીમની કૂણી સાંજ ભરીને સાહ્યબો આવે, દનના ડુંગર ઊતરી આવે રાતનાં અબોલ કહેણ.
ઊંઘની આંબાડાળ : ટપોટપ સોણલિયાં લઉં વેડી.
વન વચોવચ ખેતર ઊભાં ગામ વચોવચ મેડી.

– માધવ રામાનુજ

દામ્પત્ય જીવનમાં પ્રસન્નતાનો પ્રસવ થાય ત્યારે આવું ગીત લખાય. ગીત ઉઘડતાં જ ચોકોર પર્વતોની વચ્ચેના ખીણપ્રદેશમાં વન, ગામ અને ખેતરો એકમેકને અઢેલીને શ્વસતાં હતાં એવો કોઈ સમય તાદૃશ થઈ આવે. મજા તો ત્યાં છે જ્યાં નાયિકાને આ આખેઆખા સૌંદર્યપ્રદેશને સહેજ ઝૂકીને તેડી લેવાના ઓરતા જાગે છે… આ પ્રકારની લાગણી એક સ્ત્રીના મનમાં જ જન્મે કારણ કે સ્ત્રી માત્રમાં એક માતા જીવતી હોય છે, અને પ્રસ્તુત રચનાનો તો છેડો જ માતૃત્વ સુધી લંબાયેલો છે. આઠ-આઠ માત્રાના આવર્તનોમાં લયબદ્ધ વિહાર કરતું આ ગીત એના બંને બંધના લાંબા કદ-કાઠીના લીધે વધુ મનનીય બન્યું છે. માથે ચારાનો ભાર હોવાના કારણે નાયિકાની ચાલમાં જે લચક આવે છે એવી જ લચક લાંબીલચ્ચ પંક્તિના પઠનના કારણે જન્મે છે. દિવસના ડુંગર પરથી રાતનાં અબોલ કહેણ ઊતરી આવે એ કલ્પન જ કેવું રોચક છે! અને ઊંઘની આંબાડાળ પરથી સપનાંઓ વેડી લેવાનેઇજન આપતો ગીતનો અંત પણ એવો જ હૃદ્ય થયો છે.

Comments (7)

કહીં ગયા? કહીં આવ્યા? – પ્રિયકાન્ત મણિયાર

મઘમઘ ડોલે મોગરો એને જૂઈની આવે મ્હેંક,
વન આ વ્હાલું લાગતું પણ મન આ લેતું ઠેક.

આંજી જેવી આંખડી નભમાં ઊગ્યો ચંદ,
જલમાં રૂવે પોયણી એનો છલછલ છલક્યો છંદ.

સમીરણ સાંભળ આટલું પૂછીશ નહીં એ પાન,
કળપે કાળજ કેટલું ઓલી કોયલડીનું ગાન.

ઊડતાં ઊડતાં આભલે થઈ પયોધર-પ્રીત,
વરસી ક્યાં ગઈ વાદળી? એનું ગાવું મારે ગીત.

વસંત માંડી ચાલવા વળવાની મા ભૂલ!
ખરી ગયેલી ડાળ પર તુજ ફૂંકથી ફૂટે ફૂલ!

કહીં ગયા? કહીં આવિયા? નેણ વિનાની રાત,
‘ઠક’ ‘ઠક’ છેડો જાણતો ધૂળની કેવી ભાત!

– પ્રિયકાન્ત મણિયાર

ગીતલેખનમાં રસ હોય એવા સર્જકમિત્રો માટે ખાસ. કાવ્યસ્વરૂપ પ્રમાણે તો ગીત જ પણ પ્રચલિત છંદોલયના સ્થાને કવિએ અહીં દોહાઓની ગૂંથણી કરી છે. દોહામાં હોય એ મુજબ બંને પંક્તિ બબ્બે ચરણમાં વિભાજિત કરાઈ છે અને બંને પંક્તિમાં પહેલા ચરણના અંતે ‘લગા’ અને બીજા ચરણના અંતે ‘ગાલ’ પ્રમાણે માત્રા પણ કવિએ જાળવી છે. હા, બંને ચરણમાં અનુક્રમે હોવી જોઈતી ૧૩-૧૧ માત્રાઓ બધે જળવાઈ નથી એ અલગ વાત છે, પણ કવિને મન પ્રચલિત દોહા લખવા કરતાં ગીત લખવાનું પ્રાધાન્ય વિશેષ હોવાથી આ નિર્વાહ્ય ગણી શકાય.

Comments (2)

(વ્હાલીનાં વધામણાં લો કે!) – હેમાક્ષી શાહ ‘હેમી’

વીજળીના ચમકારા, ફૂંકાતો વાયરો બારી ને બારણાંઓ ઠોકે,
સાંકળથી જકડેલાં ખડકી-કમાડ તમે ખોલવાનો સંદેશો દો કે!

પીડા છે પાંગરી અંગોમાં, ઉપરથી ટહુકાઓ શૂળ મહી ભોંકે,
વર્ષાની હેલી એ ભીંજાતા હૈયાને ઉંબરની ઠેસ કંઈ રોકે!

દોડીને જાતું એ વાદળની હેઠે કે કોઈ ભલે રોકે કે ટોકે,
નાચી એ ઉઠ્યું છે ઊભી બજારમાં મરજાદા મેલીને ચોકે !

આંસુની બુંદો પર આશાનાં કિરણોથી રંગાતું મેઘધનુષ ઝોંકે,
બાંધીને બેઠો છે માનવ તો માયામાં માળા પણ ધોરીડા ડોકે,

સાદ મને દીધો છે રંગો તરંગોમાં ઉમટીને અણદીઠા કો’કે,
લાગે છે મુજને કે વાદળની ઓથે રહી જોતા છૂપાઈ, તમે છો કે?

પહોંચુ એ દુનિયામાં દૃષ્ટિની પાર, મુજ ઘેલીનું કામ નહિ જો કે,
ખાંગી કરીને પલાળો તો પૂરી ને વરસી વ્હાલીનાં વધામણાં લો કે!

– હેમાક્ષી શાહ ‘હેમી’

કવયિત્રીનું નામ મારા માટે સાવ નવું, પણ દિવ્ય ભાસ્કરની મધુરિમા પૂર્તિમાં આ ગીત વાંચતાવેંત દિલને સ્પર્શી ગયું. બબ્બે પંક્તિના છ યુગ્મક અને બારેબાર પંક્તિમાં સળંગ એક જ ચુસ્ત પ્રાસનિયોજના હોવાના કારણે ગીત વધુ હૃદ્ય બન્યું છે. કેટલીક પંક્તિમાં પ્રાસ આયાસપૂર્વક લવાયો છે એ જો ટાળી શકાયું હોત તો રચના વધુ ઓપી હોત… પણ નવી કલમો પાસેથી આ પ્રકારની જરા હટ કે રચનાઓ સાંપડે છે એ જોઈને ગુજરાતી કવિતાના ભવિષ્ય બાબતે સહેજસાજ નચિંત થઈ શકાય છે એનો આનંદ…

(ધોરીડો=બળદ)

Comments (24)

आषाढस्य प्रथम दिवसे – લાલજી કાનપરિયા

વરસે કોનાં સ્મરણોનો વરસાદ રે આ आषाढस्य प्रथम दिवसे?
જળથી લથબથ કોણ પાડતું સાદ રે આ आषाढस्य प्रथम दिवसे?

મોરપિચ્છના રંગો પહેરી બાળાવેશે કોણ આંગણે આવે પાછું?
ભીના ભીના ટહુકાઓની છાબ ભરીને કોણ આંગણે લાવે પાછું?

મનને ચડતો હરિયાળો ઉન્માદ રે આ आ आषाढस्य प्रथम दिवसे ?
વરસે કોનાં સ્મરણોનો વરસાદ રે આ आषाढस्य प्रथम दिवसे?

હસ્તરેખાઓ બધીય જળના રેલા થઈને વહી જાય અચાનક આજે
મેઘધનુ શી રંગીન વાતો પવન કાનમાં કહી જાય અચાનક આજે.

લોહી સોંસરો ઊઠે છે એક નાદ રે આ आषाढस्य प्रथम दिवसे?
વરસે કોનાં સ્મરણોનો વરસાદ રે આ आषाढस्य प्रथम दिवसे?

– લાલજી કાનપરિયા

આમ તો આ રચના ગઈકાલે પોસ્ટ કરવી જોઈતી હતી… ગઈ કાલે જ અષાઢનો પહેલો દિવસ ગયો.. કવિ કાલિદાસના મેઘદૂતમાંથી ‘आषाढस्य प्रथम दिवसे’ પસંદ કરીને કવિએ કેવું સ-રસ ગીત આપ્યું છે! કાલિદાસનો યક્ષ એની પ્રિયાના સ્મરણોના વરસાદથી ભીંજાતો હતો, પણ આપના કવિ પોતે કોનાં સ્મરણોના વરસાદથી લથબથ થઈ રહ્યા છે એનો ફોડ પાડવા ઇચ્છતા નથી… આખા ગીતમાં આ ‘કોણ’ને ભાવકોની કલ્પના પર છોદી દઈ કવિએ મજાના વળ ચડાવ્યા છે…

Comments (4)

જૂનો આંગડિયો – અનિલ જોશી

વરસાદ ભલે જૂનો આંગડિયો કહેવાય
હું નહીં આપું રે મારી કોઈ અંગત ટપાલ……

ભારેવગાં વાદળાં તો વરસી પડે છાલક છાંટાનો કેટલો આધાર?
ઊંટ ઉપર છેલ્લા તણખલાની જેમ મારે શા માટે મૂકવો કોઈ ભાર?

અરે, છાંટા જેટલોય કોણ રાખે આધાર?
જેની વાયુના સુસવાટે બદલાતી ચાલ!
વરસાદ ભલે જૂનો આંગડિયો કહેવાય
હું નહીં આપું રે મારી કોઈ અંગત ટપાલ……

નહીં ઘરમાં કે બ્હાર ફોતરી ઊંચકે એટલી હવા,
નહીં તડકો નહીં છાંયો વરસે બાફ નીતરે ભવાં.

મુને સંદેશો કહેવાનો ટેમ નથી એટલું
આંખ્યમાંથી વરસે છે વ્હાલ!
વરસાદ ભલે જૂનો આંગડિયો કહેવાય
હું નહીં આપું રે મારી કોઈ અંગત ટપાલ…

– અનિલ જોશી

સામાન્યજન માટે તો વરસાદ એટલે આભેથી વરસે એ પાણી જ માત્ર પણ કવિનો તો વરસાદ પણ અલગ અને વરસાદ સાથેની મગજમારી પણ અલગ. કાલિદાસના મેઘદૂતનો સંદર્ભ કવિના મનમાં રમતો હશે કે કેમ એ તો કવિ જ કહી શકે, પણ વરસાદને જૂના આંગડિયો કહીને કવિ જ્યારે અંગત ટપાલની વાત કરે ત્યારે આપણને તો એ યાદ આવે જ. વાદળ ઘેરાયાં હોય તો ધોધમાર વરસી પડે, પણ છાલક-છાંટા જેવડો નગણ્ય વરસાદ જ પડે તો એનો શો અર્થ! થાકેલા અને વજનથી લદાઈ ગયેલ ઊંટની પીઠ પર છેલ્લે એક તણખલાં જેટલો ભાર પણ વધારાનો મૂકવામાં આવે તો એ ફસકી પડશે. વાયુના સૂસવાટે-સૂસવાટે જેની ચાલ બદલાઈ જાય એવા વરસાદ પર કવિ ઊંટની પીઠે છેલ્લા તણખલાંના ભાર જેટલોય ભરોસો કરવા નથી ઇચ્છતા. આભેથી વરસાદ પડતો ન હોવાના કારણે અને ફોતરી ઊંચકાઈ જાય એટલી હવા પણ ચાલતી ન હોવાથી નર્યો બાફ નીતરી રહ્યો છે. અને વરસાદ હવે પડે તોય એની સાથે મેઘદૂતવાળો સંદેશો મોકલવાનો સમય કવિ પાસે નથી, કેમ કે ખરું ચોમાસું તો કવિની આંખે બેઠું છે…

Comments (3)

લે, આ વરસ્યું જળ – લતા હિરાણી

લે, આ વરસ્યું જળ
વેળ વેળના કાંઠા તોડી ધોધમાર ખળખળ
લે, આ વરસ્યું જળ…

બુંદ—બુંદ, ના ફોરાં-વાછટ, આવ્યું અનરાધાર
વહેળા, નદીયું બે કાંઠે ને ભમ્મરિયા મોઝાર
દોડે, કૂદે, વહે છલકતું કહેતું આવી ભળ
લે, આ વરસ્યું જળ..

દદડે ભાલ પરે ને નેવાં ખોબે ખોબે ખળકે
લથબથ નીતરતા તન પરથી ચળક ચાંદની ચળકે
રહી રહી આકાશ તાગવા ઊંચું થાતું જળ
લે, આ વરસ્યું જળ…

– લતા હિરાણી

કેટલીક રચના પહેલી જ નજરમાં ભાવકને વશીભૂત કરી લે એવી હોય છે. આ ગીત જુઓ… વરસાદ વિશે આપણે ત્યાં સેંકડો કવિતાઓ થઈ હશે, પણ આ ગીત એ તમામની પંગતમાં છાતી કાઢીને મોખરે બેસી શકે એવું બળુકું થયું છે. સાવ જ સરળ અને સાહજિક બાની, નિરવરુદ્ધ પ્રવાહી લય, કદલાઘવ અને સુઘટ્ટ ભાવનિર્વહનના કારણે ગીત ચિરસ્મરણીય બન્યું છે. બે દિવસ પહેલાં ભાવનગરમાં ચોવીસ કલાકમાં દસ ઈંચ પાણી ખાબક્યું હતું ત્યારે જે પરિસ્થિતિ થઈ હશે, એવી જ પરિસ્થિતિ અહીં ચિત્રાંકિત થઈ છે. કાવ્યાંતે પાણીની સપાટી ઊંચી આવતી જાય એ ઘટનાને જળ જાણે આકાશ તાગવા ઊંચું ન થતું હોય એ રૂપક સાથે જોડવામાં આવ્યું હોવાથી ગીતત્વ એની ચરમસીમાએ પહોંચે છે.

Comments (17)

(ચોમાસું બેઠું) – જતીન બારોટ

ઢોલ વગડાવી લાપશીના મૂકો આંધણ, ગોળધાણે મોઢું તે કરો એઠું
કે આજ હવે ચોમાસું બેઠું.

હવે મારી જેમ ખેતરને હાશ થશે હાશ,
અને કૂવાને ઓડકાર આવશે.
કાગળની હોડી ને અબરખની કોડી,
એવા તે દિવસો એ લાવશે.
આભ ફાટીને આજ પડ્યું હેઠું.

કૂવા તો ઠીક હવે બેડાંની સાથસાથ,
નમણી વહુવારુઓ ધરાશે.
બેડાં નહીં ને તું ભીંજવશે છોરીઓ,
તરસ્યા તે છોકરાઓ થાશે.
વરસે છે મધ જેવું મેઠું.

– જતીન બારોટ

સહેજ પણ તરસ ન હોય ત્યારે પાણીની કિંમત શૂન્ય થઈ જાય. નિસર્ગે પણ ઋતુઓની કમાલ ગોઠવણ કરી છે. ચોમાસાને ઉનાળા પછી ગોઠવ્યું છે. ઉનાળાના તાપ-બફારા-ત્રાસ અને પાણીનો અભાવ પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે ચોમાસું શરૂ થતું હોવાથી આપણને એની ખરી કિંમત સમજાય છે. એમાંય જેનું જીવન જ ચોમાસા પર નિર્ભર હોય એને ચોમાસું બેસતાં જે આનંદ અનુભવાય એ તો વળી એથીય અદકેરો હોવાનો. એટલે જ કવિ ઢોલ વગડાવી, લાપસીના આંધણ મૂકાવી, ગોળધાણાથી સૌનું મોઢું મીઠું કરાવવાની નેમ ધરાવે છે. ગીતના ઉપાડમાં લય સહેજ ખોરંભાયો હોવાનું પ્રતીત થાય છે, પણ એ સિવાય આખું ગીત સડેડાટ વરસાદના પાણીના રેલાની જેમ દડતું જાય છે. કલ્પન પણ રોજબરોજની જિંદગીમાંથી જ લેવાયા છે, પણ લયબદ્ધ માવજતના કારણે જે પોત બંધાયું છે એ અદભુત છે.

Comments (9)