સાવ જ નવું હો સ્થળ ને છતાં એમ લાગતું,
પહેલાંય આ જગાએ હું આવી ગયેલ છું.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

ના જાઓ – -અજ્ઞાત (અનુ.: મકરંદ દવે)

(શાર્દૂલવિક્રીડિત)

‘ના જાઓ!’ વચનો અમંગળ, ન હેતાળ ‘લ્યો, આવજો!’
રોક્યે મોટપ, ને ‘ગમે ત્યમ કરો!’ એમાં ઉદાસીનતા;
‘જો જો હો! નહિ જીવશું તમ વિના’ — એ તો બને ના બને
તેથી કૃષ્ણ, ખરાં વિદાયવચનો જાતાં મને શીખવો.

-અજ્ઞાત
(સંસ્કૃતમાંથી અનુવાદ : મકરંદ દવે)

ચાર પંક્તિનું નાનકડું મુક્તક અને એમાંય સૉનેટમાં જેમ આખરી પંક્તિમાં આવીને ચોટ લાગે એમ છેક છેલ્લી પંક્તિમાં જઈને ખબર પડે કે ગોકુળ છોડીને જતા કૃષ્ણ સાથેનો રાધાનો આ એકતરફી સંવાદ છે. કૃષ્ણ પોતાને છોડીને જઈ રહ્યા છે અને એને કઈ રીતે રોકવા એ રાધાને સમજ નથી પડતી. કોઈને ના જાઓ એમ કહેવું એ તો અમંગળ ન ગણાય? લ્યો, આવજો કહીએ એમાં પ્રેમનો અભાવ વર્તાય છે. રોકી દઈએ તો એમાં જનારની સામે પોતાની મોટાઈ દેખાઈ આવે, અને કૃષ્ણથી મોટા દેખાવું એ તો કેવળ અહંકારનો આવિર્ભાવ નહીં?! તમને જેમ ઠીક લાગે એમ કરો એવું કહીએ તો એમાં સામા તરફની પોતાની ઉદાસીનતા છલકાતી અનુભવાય. કશું ન સૂઝે અને જો જો, અમે તમારા વગર જીવી નહીં શકીએ એમ કહી દઈએ પણ સામાના ચાલ્યા ગયા બાદ જીવી ગયા તો એ વચન ખોટું ન પડે? તો કરવું શું? ખરી કવિતા તો છેલ્લી પંક્તિમાં છે, જ્યાં રાધા કૃષ્ણને જ કહે છે, કે તમને શું કહીને રોકી શકાય એ તમે જાતે જ અમને શીખવાડો… યે બાત! સદીઓ જૂના કોઈક સંસ્કૃત શ્લોકનો સિદ્ધ કવિ મકરંદ દવે એ કરેલ આ અનુવાદ છે…

લયસ્તરોના સૌથી નિયમિત વાચક પ્રજ્ઞાજુએ મૂળ સંસ્કૃત શ્લોક શોધી આપ્યો છે, જે આભાર સહ અહીં પૉસ્ટ કરું છું:

मा गच्छ!’ वचनाः अशुभाः, न उपक्रमिताः आगच्छ!’ इति।
रोक्ये मोताप, ’यथेच्छसि तथा कुरु॑ इति उदासीनता;
‘यदि एव ! नहि जीवशु तं विना ‘-तत् शक्य न शक्य
अतः श्री कृष्ण, मे सत्य विदाई शिक्षित ।।

8 Comments »

  1. સપન પાઠક said,

    May 20, 2022 @ 1:23 PM

    કેટલું સુંદર !!

  2. Sandip said,

    May 20, 2022 @ 2:41 PM

    Wah..

    Shlok gotavo padshe

  3. Harihar Shukla said,

    May 20, 2022 @ 3:44 PM

    ચાર ચાર વિકલ્પ છોડીને રાધા કૃષ્ણ પાસે પાંચમો વિકલ્પ માગી એહી છે! છે કૃષ્ણ પાસે પાંચમો વિકલ્પ?👌💐

  4. pragnajuvyas said,

    May 21, 2022 @ 3:11 AM

    રાધા-કૃષ્ણનો પ્રેમ જેમ અમર રહ્યો એમ એમના વિરહના સંજોગો પણ કાયમી જ રહ્યા. આવી રાધાની મનોસ્થિતિ, એની વેદના, વ્યાકુળતાને સિદ્ધ કવિ મકરંદ દવેના ચાર પંક્તિના અનુવાદ મુક્તકમા- રાધાની વિરહ પહેલાની વેદના અદ ભુત રીતે વર્ણવી છે.
    તેનો આસ્વાદ ડૉ વિવેકે ખૂબ સ રસ કર્યો.
    રાધાના વિરહની વ્યથા અત્યંત ભાવવાહી રીતે શબ્દોમાં ઢાળી છે.શ્રી કૃષ્ણની આહ્લાદિની શક્તી તે રાધા. રાધા એક એવું નામ કે જેના વગર કૃષ્ણ પણ અધૂરા લાગે એવી રાધાને એણે કેમ છોડી, ક્યારે છોડી એ પ્રશ્ન જ આમ જોવા જઈએ તો એટલે અસ્થાને છે કે સૌ જાણે છે કે ક્યારેય કૃષ્ણ મનથી તો રાધાથી અળગા રહી શક્યા જ નહોતા તો રાધાના દરેક શ્વાસની આવન-જાવન પર કૃષ્ણનું ય નામ હતું જ. સનાતન કાળથી અદેહી જોડાયેલા રહ્યા પરંતુ એ દૈહિક રીતે તો અલગ જ રહ્યા ને? પાસે હોવાના, નજરની સામે હોવાના, જરા હાથ લંબાવીને એને સ્પર્શી લેવાના સુખથી તો એ વંચિત જ રહ્યા ને?
    તે અનુવાદનો શ્લોક યાદ છે તે પ્રમાણે આ છે…
    ॑मा गच्छ!’ वचनाः अशुभाः, न उपक्रमिताः आगच्छ!’ इति।
    रोक्ये मोताप, ’यथेच्छसि तथा कुरु॑ इति उदासीनता;
    ‘यदि एव ! नहि जीवशु तं विना ‘-तत् शक्य न शक्य
    अतः श्री कृष्ण, मे सत्य विदाई शिक्षित ।।

  5. Vineschandra Chhotai 🕉 said,

    May 21, 2022 @ 6:25 AM

    સુંદર રચના

    રજૂઆત ♥️ અભિનંદન

    કવિ માત્ર આવી વાતો

    કરી શકે

  6. યામિની વ્યાસ said,

    May 21, 2022 @ 3:30 PM

    વાહ
    ખૂબ સરસ

  7. વિવેક said,

    May 21, 2022 @ 5:41 PM

    @ પ્રજ્ઞાજુ:

    વાહ! ખૂબ ખૂબ આભાર…

    ક્યાંથી શોધી લાવ્યા આ શ્લોક? કયા પુસ્તકમાંથી મળ્યો? કે યાદ જ છે આખો?
    એના કર્તા વિશે કોઈ જાણકારી ખરી?

  8. Charu said,

    May 22, 2022 @ 9:51 AM

    ખૂબજ સુંદર રચના 🙏

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment