હશે ક્યાંક છિદ્રોમાં કોઈ પુરાણ જ,
કદી વાંસળી આ બરાબર ન વાગી.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for રવીન્દ્રનાથ ઠાકુર

રવીન્દ્રનાથ ઠાકુર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




પ્રેરણાપુંજ : ૧૧ : વાચકોની કલમે… : ૦૧

જયશ્રી ભક્ત (ટહુકો ડોટ કોમ) લખે છે-

અમે રાખમાંથીયે બેઠા થવાના,
જલાવો તમે તોયે જીવી જવાના.
ભલે જળ ન સીંચો તમે તે છતાંયે,
અમે ભીંત ફાડીને ઊગી જવાના.
(હર્ષ બ્રહ્મભટ્ટ)

આ ગઝલનું તો પોસ્ટર બનાવીને મારા ઘરમાં મૂકવાની ઇચ્છા થાય છે. દરેક પંક્તિમાં એવી ખુમારીની વાતો છે કે મન જો કશે જરા નબળું પડ્યું હોય તો જુસ્સો પાછો આવી જાય. જિંદગીની આંખોમાં આંખ પરોવીને પૂછવાની ઇચ્છા થાય, ‘બોલ, શું જોઇએ છે તારે ? ‘

રાજકોટથી લયસ્તરોના એક અનામી ચાહક લખે છે-

કાચી ઉંમરે કરેલો પહેલો પ્રેમ ક્યારેક જ પૂરો થાતો હોય છે, અને અધૂરા પ્રેમ ની મજા તો મોટા થઈએ ત્યારે શીખીએ પણ તે ઉમર માં તો એવું જ લાગે કે દુનિયાભરના તમામ કવિઓ , દરેક ભાષામાં , વિયોગ ની , બ્રેક-અપની કવિતાઓ માત્ર ને માત્ર તમારા માટે જ લખે છે! you start relating everything with you! ગોવિંદે જે આપ્યું હતું , જે થોડો સમય તમારી પાસે રહ્યું ને તમે હવે એ જ પાછું સોંપી રહ્યા છો તો પણ માલિકી ભાવ , દુઃખ , ઈગો હર્ટ , રીસ , ગુસ્સો બધું જ આવે ! (રેફ: ત્વદિયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પ્યતે ) And the toughest and the best decision then and even now is to “LET GO” to let your love GO ! set him free on a good note, with the heart right in place , without any hard feelings ! અને ત્યારે મને શ્રી મનોજ ખંડેરિયાનો એક શેર ખુબ કામ લાગ્યો-
“મારો અભાવ મોરની માફક ટહુકશે,
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઈશ”

બસ આ શેરના કારણે હું એ પહેલા પ્રેમને સરળતાથી , સુકામનાઓ આપી જવા દઈ શકી !

હિમલ પંડ્યા લખે છે –

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
એ જ હોય પગની તળે – એમ પણ બને;
જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં
મન પહોંચતાં જ પાછું વળે – એમ પણ બને.

કવિશ્રી મનોજ ખંડેરિયાની ગઝલના આ બે શેરના પરિચયમાં તરુણાવસ્થામાં જ આવવાનું થયેલું. ત્યારથી જ જીવનની અને મનની અવસ્થાઓનો વાસ્તવિક ચિતાર દર્શાવતી આ પંક્તિઓ બહુ કામ લાગી છે. આપણી ઇચ્છાઓ, આપણી તૃષ્ણાઓ કેટલી ક્ષણભંગુર છે! કશુંક પામવાની ખેવના જ્યાં સુધી એ હાથવગું નથી હોતું ત્યાં સુધી જ તીવ્ર હોય છે. તો સાથોસાથ જે સુખની, કે ખુશીઓની આકાંક્ષા હોય એ ઘણીવાર જીવાતાં જીવનની નાની-નાની ઘટનાઓ અને પ્રસંગોમાં સમાયેલી હોય છે.

વિપુલ માંગરોલિયા વેદાંત લખે છે-

વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે
તરણું ઊખડી જાય તો કે’જે મને
જિંદગી તારાથી હું થાક્યો નથી
તું જો થાકી જાય તો કે’જે મને
(ખલીલ ધનતેજવી)

ખલીલ સાહેબની આ પંક્તિઓ ખરેખર એટલી ખુમારી દર્શાવે છે કે કોઈપણ નાસીપાસ થયેલા વ્યક્તિને ફરીથી બેઠાં થવા મજબૂર કરી દે. જીવનમાં ઘણીવાર આવા ઉતાર ચઢાવ આવ્યા ત્યારે આ પંક્તિઓ ખરેખર કામમાં આવી. લયસ્તરો નો આભાર કે એમણે મને આ પંક્તિઓ થી રૂબરૂ કરાવ્યો.

કવિતા શાહ લખે છે-

તારી જો હાક સુણી કોઈ ના આવે, તો એકલો જાને રે …
– ટાગોર.
(‘જોદી તોર ડાક શુની કેઉ ના આશે તોબે એકલા ચલો રે …’ બંગાળી)

‘નોબેલ’ પુરસ્કૃત અને ‘સર’ની પદવી પ્રાપ્ત તેમજ એશિયાનાં બંને ભારત અને બાંગ્લાદેશને રાષ્ટ્રગીતની ભેટ આપનાર કવિ શ્રી રવિન્દ્રનાથ ટાગોરનું પ્રયાણ ગીત એટલે કે આ ‘ માર્ચ સોંગ ‘ મને ખુદનો સૂરજ ખુદ બનવા આહવાન કરે છે.

કપરા સમયમાં, એકલા પડી ગયાની પીડા વખતે આ ગીતની આ એક લીટી જ આપણને આપણે જ આપણા ઉદ્ધારક બનવાનો જુસ્સો પૂરો પાડે છે. કોઈ રાહબર બને ના બને, પથ પર પ્રકાશ ઘરે ના ધરે, કોઈ તારો પોકાર સુની આવે ના આવે તો અટકી ન જતાં એકલા નીકળી પડવાનું જોમ ભરે છે.
હતાશા ખેરવી દેતું આ ગીત કાયમ મને હાથ પકડી ટેકો પૂરો પાડે છે. ભરોસામંદ ભેરુ છે મારો.

પૂજ્ય બાપુ લખે છે-

અબ મેં ક્યાં કરું મેરે ભાઈ? મૃગલા ગયા ખેત સબ ખાઈ…
પાંચ મૃગ, પચીસ મૃગલી, રહેવે ઈસ વન માંહીં…
યે વનમે હૈં ખેત હમારા, સો વ્હૈ ચરી ચરી જાઈ…
(ગોરખનાથ)

આમ તો દરેક કવિતાને માણવી અને પ્રમાણવી ખૂબ ગમતું કામ છે પણ ગોરખનાથજીની આ કવિતા એવી તો અડી ગઈ કે વાત ના પૂછો. આ પંક્તિ પછી મને શબદગંગા ની પ્રેરણા મળી. અને મનની સ્થિરતા માટે આધ્યાત્મનો એક નવો રસ્તો પણ ખૂલી ગયો.

નાથ પરંપરાના સિદ્ધ યોગી એવા ગોરખનાથજીના આ શબદ સમજાય તો આપણું ખેતર ઉજ્જડ થતાં બચી જાય. અહીં ખેતર એ મન છે અને વન એ મનનું વિશાળ, અફાટ ક્ષેત્ર છે. પાંચ મૃગ એ ઇચ્છાના પ્રકાર છે તો પચીસ મૃગલી અવિનય, અક્રિયા, અજ્ઞાન, સંશય, અધર્મ,અશ્રદ્ધા વગેરે (જૈનધર્મ જેને પચ્ચીસ પ્રકારના મિથ્યાત્વ તરીકે ઓળખાવે છે.) મનની ખેતી માટે તો સ્થિરતાનું સિંચન જોઈએ. જો એને બાંધી શકાય તો ભક્તિનો મબલખ પાક લઈ હરિચરણે ભોગ ધરી શકાય…

ડૉ. પુષ્પક ગોસ્વામી (વડનગર) લખે છે-

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.
(આદિલ મન્સૂરી)

જ્યારે આદિલ મન્સૂરી સાહેબની આ ગઝલ વાંચી ત્યારે હું અમદાવાદ રહેતો હતો. શહેરની ઝાક ઝમાળ વચ્ચે શાંતિની શોધમાં શાંતિ ખોઈ બેસેલો હું જ્યારે ગામડામાં જતો, ત્યારે એક અલગ જ પ્રકારની શાંતિ અને આત્મીયતાનો આનંદ મળતો. એક દિવસ ખેતરના શેઢે બેઠા બેઠા આ ગઝલ સાંભળી અને મને થયું કે ખરેખર હું જે નથી તે મેળવવાની લ્હાયમાં, જે છે તેવું ઘણુંબધું ગુમાવી રહ્યો છું. અંતે મેં મારા વતન પરત ફરવાનો નિર્ણય કર્યો અને આજે હું વતનમાં ખૂબ ખુશ છું.

મિત્ર રાઠોડ લખે છે-

હું બહુ નાનો માણસ છું એવું માનતો હતો પરંતુ બરકત વિરાણી ‘બેફામ’ સાહેબની “થાય સરખામણી” ગઝલ વાંચી ત્યારથી નાનો માણસ સૌને કેટલો કામ આવી શકે છે એ વાત પર ધ્યાન ગયું અને બીજાને નાના મોટા દરેક કામમાં હું કામ આવતો ગયો. જેના કારણે આજે હું સૌનો “મિત્ર” બની શક્યો છું.

થાય સરખામણી તો ઊતરતા છીએ
તે છતાં આબરૂ અમે દીપાવી દીધી.
એમના મહેલ ને રોશની આપવા
ઝુંપડી પણ અમારી જલાવી દીધી.
(બરકત વિરાણી ‘બેફામ’)

જોરુભા ખાચર વડોદરાથી લખે છે-

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની આ અણમોલ કાવ્ય પંકતિ હાડોહાડ હ્રદયમાં ધ્રોપટ આરપાર નીકળી ગઈ અને સમગ્ર મેઘાણી સાહિત્ય વાંચવા પ્રેર્યો

“અગર બહેતર ભૂલી જાજો અમારી યાદ ફાની !
બૂરી યાદે દુભવજો ના સુખી તમ જિંદગાની;
કદી સ્વાધીનતા આવે-વિનંતી,ભાઈ,છાનીઃ
અમોનેય સ્મરી લેજો જરી, પળ એક નાની !

તનસુખ શાહ ‘સ્વપ્નિલ’ લખે છે-

તારાં સ્વપ્નોમાં છું એવો લીન કે,
તું જગાડે તોય હું જાગું નહીં,
તારા સ્મરણોનાં મળે જો ફૂલ તો,
હું સદેહે પણ તને માંગું નહીં.
(ભગવતીકુમાર શર્મા)

કોલેજકાળ દરમ્યાન કવિશ્રીનો ગઝલ સંગ્રહ ‘સંભવ’ ખરીદીને વાંચેલો.એમાંથી પસાર થતાં કવિશ્રી મારા માટે પ્રેરણારૂપ બન્યા.. જે વરસો બાદ 2019 માં મારા પ્રથમ ગઝલ સંગ્રહ ‘આ શેઢે ગરમાળો’ ના પ્રાગટ્ય માટે કારણરૂપ બન્યા.

Comments (9)

પ્રેરણાપુંજ : ૦૮ : એકલો જાને રે! – રવીન્દ્રનાથ ઠાકુર (અનુવાદ–મહાદેવભાઈ દેસાઈ)

તારી જો હાક સૂણી કોઈ ના આવે, તો એકલો જાને રે !
એકલો જાને, એકલો જાને, એકલો જાને રે ! – તારી જો …

જો સૌનાં મ્હોં શીવાય,
ઓ રે ઓ રે ઓ અભાગી ! સૌનાં મ્હોં શીવાય,
જયારે સૌએ બેસે મ્હોં ફેરવી, સૌએ ફરી જાય,
ત્યારે હૈયું ખોલી, અરે તું મ્હોં મૂકી,
તારા મનનું ગાણું, એકલો ગાને રે ! – તારી જો …

જો સૌએ પાછાં જાય,
ઓ રે ઓ રે ઓ અભાગી ! સૌએ પાછાં જાય,
જયારે રણવગડે નીસરવા ટાણે, સૌ ખૂણે સંતાય,
ત્યારે કાંટા રાને, તું લોહી નીકળતે ચરણે
ભાઈ એકલો ધા ને રે ! – તારી જો …

જ્યારે દીવો ના ધરે કોઈ,
ઓ રે ઓ રે ઓ અભાગી ! દીવો ના ધરે કોઈ,
જયારે ઘનઘોર તુફાની રાતે બાર વાસે તને જોઈ,
ત્યારે આભની વીજે સળગી જઈ,
સૌનો દીવો તું એકલો થાને રે !

  • – રવીન્દ્રનાથ ઠાકુર
    ( અનુવાદ – મહાદેવભાઈ દેસાઈ )

પ્રેરણાદાયી કાવ્યોની વાત હોય અને આ કાવ્ય ન હોય એમ બને ???
ચીલો ચાતરનારાઓનું તો આ જીવનકાવ્ય કહી શકાય ! કંઈ કેટલીય વખત આ કાવ્યએ હિંમત આપી છે….

Comments (2)

પ્રેરણાપુંજ : ૦૧ : અંતર મમ વિકસિત કરો – રવીન્દ્રનાથ ટાગોર

 

અંતર મમ વિકસિત કરો, અંતરતર હે-
નિર્મલ કરો, ઉજ્જવલ કરો, સુંદર કરો હે.

જાગૃત કરો, ઉદ્યત કરો, નિર્ભય કરો હે,
મંગલ કરો, નિરલસ નિઃસંશય કરો હે.

યુક્ત કરો હે સબાર સંગે, મુક્ત કરો હે બંધ,
સંચાર કરો સકલ કર્મે શાંત તોમાર છંદ.

ચરણપદ્મે મમ ચિત્ત નિઃસ્પંદિત કરો હે,
નંદિત કરો, નંદિત કરો, નંદિત કરો હે.

– રવીન્દ્રનાથ ટાગોર
(મૂળ બંગાળી પાઠ અહીં ગુજરાતી લિપિમાં મુક્યો છે. મોટા ભાગના શબ્દો સરખા છે એટલે ગુજરાતી જાણતો માણસ તરત સમજી શકે એમ છે. નિરલસ=આળસ વિનાનું, સબાર=સૌના, બંધ=બંધન, છંદ=લય, નિઃસ્પંદિત=સ્થિર, અવિચળ)

*

હે અંતરતર (ભીતરથી વધુ ભીતર) મારા અંતરને
વિકસિત કરો. નિર્મલ ઉજ્જવલ કરો.
જાગ્રત કરો, કામકાજમાં પ્રવૃત્ત કરો, નિર્ભય કરો.
મંગલ, આળસ વિનાનું, સંશયરહિત કરો.
સર્વ સાથે એને જોડી, એનાં બંધન છોડો.
મારા સકલ કર્મોમાં તમારા શાંત લયનો સંચાર કરો.
તમારાં ચરણકમળમાં મારું ચિત્ત હાલ્યાચાલ્યા
વગર લીન થાય એમ કરો,
એને આનંદિત આનંદિત કરી મૂકો.

– રવીન્દ્રનાથ ટાગોર (અનુવાદ ઉમાશંકર જોશી)

ગુજરાતીમાં એટલી બધી પ્રેરણા આપતી કવિતાઓ છે જે તમને જિંદગી જીવવાનો અને જીતવાનો રસ્તો બતાવે. આ બધી કવિતાઓમાંથી કઈ પસંદ કરવી એ મૂંઝવણનું કામ છે. એટલે કવિતાની પસંદગીમાં મેં દુષ્યંતકુમારની સલાહને અનુસરવાનું નક્કી કર્યું છે: मैं जिसे ओढ़ता-बिछाता हूँ / वो ग़ज़ल आपको सुनाता हूँ. જે કવિતા મારી જિંદગીમાં ખરેખર કામ લાગી છે એ જ હું અહીં મુકું છું.

આજની કવિતા ખરું કહું તો મને વારસામાં મળેલી કવિતા છે. રવીન્દ્રનાથ ટાગોરે લખેલી આ કવિતા મારા પપ્પાની અતિ પ્રિય કવિતા. અને એમના થકી આ કવિતાનો પ્રેમ મને વારસામાં મળેલો. રવિબાબુ તો કવિઓના ય કવિ અને આ વળી એમની ય શ્રેષ્ઠ રચનાઓમાં એક.

આ કવિતામાં પોતાની જાતને ઉન્નતિના ઊંચા સોપાન પર કેવી રીતે લઇ જવી એના બધા પગલાં સમાવી લીધા છે. કવિ પોતાની જાતને નિર્મળ, ઉજ્જવળ, સુંદર, જાગૃત, ઉદ્યમી, નિર્ભય, મંગળ, આળસથી ઉપર અને સંશયથી રહિત કરવા માગે છે. પોતાની જાતને (સ્વાર્થના) બંધનમાંથી છોડીને સકળ વિશ્વ સાથે જોડવા ચાહે છે. પોતાના બધા કર્મમાં ‘અંતરતર’ના શાંત લયનો છાંયો ઈચ્છે છે અને એના જ પગે ચિત્તની સ્થિરતાને પામવા માંગે છે. આ સ્થિતિ છે છલોછલ આનંદની સ્થિતિ !

સરળ ભાષામાં આ ગીત આખી જિંદગીને ઉલ્લાસપૂર્ણ અને સાર્થક કરી નાખવાનો કીમિયો બતાવી દે છે. પ્રેમ, પવિત્રતા અને પુરુષાર્થ ત્રણેનું અહીં એકસાથે આવાહન છે.

છેલે એક વાત ‘અંતરતમ’ શબ્દ માટે. અંતરતમ શબ્દનો શાબ્દિક અર્થ થાય ‘અંતરનીય અંદર વસેલું’. એનો સામાન્ય અર્થ ઈશ્વર થાય (એ અર્થમાં આ પ્રાર્થના છે ) પણ એનો બીજો અર્થ પ્રિયજન (એ અર્થમાં આ ઉન્નત પ્રેમગીત છે) કે પછી પોતાનો આત્મા (એ અર્થમાં આ સ્વયંસિધ્ધિનું બુલંદ ગીત છે ) પણ લઇ શકાય.

Comments (2)

ધુલામઁદિર – રવીન્દ્રનાથ ઠાકુર – અનુ – નગીનદાસ પારેખ

ભજન પૂજન સાધન આરાધના સમસ્ત થાક પડે.
રુદ્ધદ્વારે દેવાલયેર કેણે કેન આછિસ એારે !
અલ્પકારે લુકિયે આપન-મને
કાહારે તુઈ પૂજિસ સંગોપને,

નયન મેલે દેખ દેખિ તુઈ ચેયે–દેવતા નાઈ ઘરે.

તિનિ ગેછેન યેથાય માટિ ભેડે કરછે ચાષા ચાષ—
પાથર ભેડે કાટછે યેથાય પથ, ખાટછે બારે માસ.

રૌદ્ર જલે આછેન સબાર સાથે,
પણ ધુલા તtહાર લેગેછે દુઈ હાતે—
તૉરિ મતન શુચિ બસન છાડિ આય રે ધુલાર’પરે.

મુક્તિ ? ઓરે, મુક્તિ કોથાય પાબિ, મુક્તિ કોથાય આછે ?
આપનિ પ્રભુ સૃષ્ટિબાંધન પ’રે બાંધા સબાર કાછે.
રાખો રે ધ્યાન, થાકે રે ફુલેર ડાલિ,
છિ ડુક વસ્ત્ર લાગુક ધુલાબાલિ–
કર્મયોગે તાર સાથે ઍકે હયે ધર્મ પડુક ઝરે.

– રવીન્દ્રનાથ ઠાકુર

‘ભજન, પૂજન, સાધન, આરાધના—બધું પડયું રહેવા દે.
તું શું કરવા બારણાં બંધ કરીને દેવાલયના ખૂણામાં પડી રહ્યો છે?
અંધકારમાં છુપાઈને તું એકલો એકલે કોને પૂજી રહ્યો છે ?
આંખ ખોલીને જો તો ખરો,
ઓરડામાં દેવ તો છે નહિ.

તે તો ખેડૂતો જ્યાં માટી ભાંગીને ખેડ કરી રહ્યા છે,
મજૂરો જ્યાં પથ્થર ફોડીને રસ્તો બનાવી રહ્યા છે,
ત્યાં ગયા છે,
અને તડકામાં ને વરસાદમાં બારે માસ તેમની સાથે મહેનત મજૂરી કરે છે.
તેમને બે હાથે ધૂળ લાગી છે.
તેમની પેઠે પવિત્ર વસ્ત્ર કાઢી નાખીને
તું પણ ધરતીની ધૂળમાં ચાલ્યો આવ.

મુક્તિ? અરે મુક્તિ ક્યાં મળવાની હતી,
મુક્તિ છે જ ક્યાં ?
પ્રભુ પોતે જ સૃષ્ટિનાં બંધનથી આપણી સૌની સાથે બંધાયેલા છે.
રહેવા દે તારુ ધ્યાન અને પડી રહેવા દે તારી ફૂલની છાબને.
વસ્ત્ર ફાટે તે ભલે ફાટતાં,
ધૂળ માટી લાગે તો ભલે લાગતી.
તું તારે કર્મચાગમાં તેમની સાથે થઈ જા.
અને માથાને પસીનો પગે ઊતરવા દે.

– અનુ – નગીનદાસ પારેખ

” પ્રભુ પોતે જ સૃષ્ટિનાં બંધનથી આપણી સૌની સાથે બંધાયેલા છે. ” – આ પદ આખા કાવ્યનું હાર્દ છે. વધુ કોઈ ટિપ્પણીની જરૂર જ નથી….

Comments (5)

ગીતાંજલિ: ૨૧ : – રવીન્દ્રનાથ ઠાકુર (અનુ.: નગીનદાસ પારેખ)

અવ આ હોડી દઉં મુજ છોડી;
તીરે બેઠાં સમય વહ્યો બહુ, આવે શરમ ન થોડી

કુસુમ સકલને ખીલવી દઈને વસંત જો આ ચાલી,
શું કરવું મારે લઈને આ ખર્યાં કુસુમની થાળી?

જલ આ છલક-છલક છલકાતાં, મોજાં ઝોલે ચડતાં,
વિજન તરુને મૂળે મરમર મર્મર-પત્રો ખરતાં.

શૂન્યમને તું ક્યાં ભાળે છે, કંપન ઊઠ્યું જાગી,
આકાશે વાયુમાં સઘળે પારની બંસી વાગી.

– રવીન્દ્રનાથ ઠાકુર
(અનુ.: નગીનદાસ પારેખ)

*
હોડી કાંઠા પર ગમે એટલી સુરક્ષિત કેમ ન હોય, એનું ગંતવ્ય છે જળયાત્રા. માનવજીવન મળ્યાને સમય વીતી ગયો પણ હજી સુધી ધ્યેયપ્રાપ્તિ માટે, ઈશ્વરપ્રાપ્તિ માટે આપણે શરૂઆત જ કરી નથી. કાંઠો ન છોડી શકવાની નિર્માલ્યતા પર હવે તો શરમ પણ આવે છે. જીવનની વસંત પણ આવી, ફૂલોને ખીલવીને ચાલી પણ ગઈ. હવે હાથમાં પાનખરની ડાળી પકડીને, શક્યતાશૂન્ય ક્યાં લગ બેસી રહેવાનું? એકતરફ જળ હજીય છલકાઈ રહ્યાં છે, મોજાં પણ ઇજન આપી રહ્યાં છે તો બીજી તરફ નિર્જન વૃક્ષના પાંદડાંઓ હવે એક પછી એક ખરવાં માંડ્યાં છે. જાગવાની ખટઘડી આવી ચૂકી છે. હવે શૂન્યમનસ્ક બેસી રહેવાનું, અર્થહીનતામાં તાકવાનું છોડીને સામે પારથી વાગી રહેલી વાંસળીની ધૂન સાંભળવાનો સમય આવી ચૂક્યો છે… ઊઠ મનવા! હોડી તરતી મેલ ને સામે કાંઠે બંસીધર ભણી પ્રયાણ કરે…

*
XXI

I MUST LAUNCH out my boat. The languid hours pass by on the shore-Alas for me!

The spring has done its flowering and taken leave. And now with the burden of faded futile flowers I wait and linger.

The waves have become clamorous, and upon the bank in the shady lane the yellow leaves flutter and fall.

What emptiness do you gaze upon! Do you not feel a thrill passing through the air with the notes of the far away song floating from the other shore?

– Rabindranath Tagore

Comments (3)

મીઠડું લાગે – રવીન્દ્રનાથ ઠાકુર અનુ- મકરન્દ દવે

પ્રભુ, નેણાં તમ સું જાગે ;
ભાળું નહીં મુખ રૂપાળું,
બેઠી બેઠી પંથ નિહાળું
એય મુંને મીઠડું લાગે.

ધૂળમાં બેસી બા’રે
ભિખારી હૈયું આ રે
તમારી કરુણા માંગે
કૃપા ન ચાહું, તમને ચાહું,
એય મુંને મીઠડું લાગે.

ભર્યા આ ભવમાં આજે
કંઈ સુખ લાભને કાજે
સરી ગયા સઘળા આગે,
સૂના આ સમે, ગમતા તમે
એય મુંને મીઠડું લાગે.

ચારે કોર અમી-રસાળી
ભોમકા તલસે કાળી,
રડાવી દે અનુરાગે
ક્યાં છો સાથીડા ! પામતી પીડા ;
એય મુંને મીઠડું લાગે.

– રવીન્દ્રનાથ ઠાકુર અનુ- મકરન્દ દવે

દિપોત્સવી પર્વ એ આ મધુરી સ્નેહભરી સ્તુતિ….. ” કૃપા ન ચાહું, તમને ચાહું…”- પંક્તિ બધું જ કહી દે છે.

Comments (5)

ન્યાય-દંડ – રવીન્દ્રનાથ ઠાકુર [ અનુ – નગીનદાસ પારેખ ]

તારો ન્યાયનો દંડ પ્રત્યેકના હાથમાં
તેં પોતે અર્પણ કરેલો છે.
પ્રત્યેકની ઉપર હે રાજાધિરાજ !,
તેં શાસનભાર નાખેલો છે.
એ તારા મોટા સન્માનને, એ તારા કઠણ કાર્યને,
તને નમસ્કાર કરીને વિનયપૂર્વક શિરોધાર્ય કરું;
તારા કાર્યમાં કદી કોઈથી ન ડરું.

હે રુદ્ર ! ક્ષમા જ્યાં ક્ષીણ દુર્બળતા ગણાય
ત્યાં હું તારા આદેશથી નિષ્ઠુર થઈ શકું.
તારા ઇશારાથી મારી જીભ પર સત્યવાકય
તીક્ષ્ણ ખડ્ગની પેઠે ઝળહળી ઊઠે.
તારા ન્યાયાસન ઉપર પોતાનું સ્થાન લઈને તારું માન રાખું.

અન્યાય જે કરે છે,
અને અન્યાય જે સહે છે,
તેને તારી ઘૃણા ઘાસની પેઠે બાળી નાખે છે.

– રવીન્દ્રનાથ ઠાકુર [ અનુ – નગીનદાસ પારેખ ]

ગુરુદેવ જાણે કે વાચકની પરીક્ષા લે છે ! સત અને અસતની લડાઈ માનવજાત જેટલી જૂની છે. ઘણીવાર અન્યાયનો ભોગ બનનાર વ્યક્તિ અથવા વ્યક્તિ-સમૂહ હિંમતભેર અન્યાયનો સામનો કરવાને બદલે એ કામ પ્રારબ્ધ ઉપર છોડી દે છે – ‘ આતતાયીને સજા ઉપરવાળો કરશે ‘ – એમ મન મનાવે છે. કાવ્યના પ્રથમ અર્ધમાં કવિ એ માનસિકતા સામે લાલબત્તી ધરે છે.

ક્ષમા કોણ આપી શકે ? – જયારે સત્યમાર્ગી એવી શક્તિશાળી પરિસ્થિતિમાં હોય કે જ્યાંથી એકીઝાટકે તે આતતાયીનો વધ કરી શકે તેમ હોય, ત્યારે જો એ આતતાયીને ક્ષમા આપવાનો નિર્ણય કરે તો તે સાચી ક્ષમા. બાકી ગૅસચૅમ્બરના ઊંબરે ઊભેલો લાચાર યહૂદી કહે કે -‘ હું હિટલરને ક્ષમા આપું છું ‘ – તો તે આત્મવંચનાથી વિશેષ કંઈ જ નથી. આથી જ સન્માર્ગીઓનું અનિવાર્ય કર્તવ્ય છે કે સંગઠિત થઈને આતતાયીનો વધ કરવો.

અંતિમ ચરણમાં સંદેશ તો સ્પષ્ટ છે કિન્તુ ઈશ્વરને ઘૃણાના કર્તા તરીકે આલેખ્યો છે. ઈશ્વરની પરિક્લ્પનામાં તેને સ્નેહ-ઘૃણાથી પર કલ્પવામાં આવે છે. આ ગુત્થી હું સુલઝાવી શકતો નથી.

Comments

ગીતાંજલિ – 21 -રવીન્દ્રનાથ ઠાકુર

I must launch out my boat.
The languid hours pass by on the shore—Alas for me!

The spring has done its flowering and taken leave.
And now with the burden of faded futile flowers
I wait and linger.

The waves have become clamorous,
and upon the bank in the shady lane
the yellow leaves flutter and fall.

What emptiness do you gaze upon!
Do you not feel a thrill passing through the air
with the notes of the far-away song
floating from the other shore?

~ Rabindranath Tagore

મારે નાવ લઇ નીકળી પડવું જ રહ્યું.
મારી કમબખ્તી ! – ….કે કિનારે સુસ્ત સમય વીતતો જાય છે
વસંત પોતાનો નિખાર ફેલાવી ને ચાલી ગઈ.
અને હવે હું મુરઝાયેલા-વ્યર્થ ફૂલોના ભાર સહ
રાહ જોઉં છું, વ્યર્થ વિલંબ કર્યા કરું છું.

મોજાંઓ હવે ગરજી રહ્યા છે
અને કિનારે છાંયામાં
પીળા પર્ણો ખડખડી અને ખરી રહ્યા છે.

તું કયા ખાલીપાને તાકી રહ્યો છે !
નથી અનુભવી શકતો તું વાયરામાં વહેતો રોમાંચ
દૂરસુદૂરના ગીતના સૂરો સાથેનો
અન્ય કિનારેથી પ્રતરતો ?

-રવીન્દ્રનાથ ઠાકુર

કાવ્યનું માધુર્ય તો અસીમ છે જ કિન્તુ અર્થગહનતા જુઓ ! ભૂતકાળને વળગીને નિ;સાસા નાખતા રહેવું કે એ બધું ખંખેરીને ઉત્સાહભેર આગળ વધવું તે આપણાં જ હાથમાં છે. નિષ્કર્મણ્યતા,અવૈજ્ઞાનિકતા અને અંધશ્રદ્ધા ભારતવર્ષના અત્યંત જૂના અને હઠીલા રોગ છે…..

Comments (1)

રવીન્દ્રનાથ ઠાકુર – ગીતાંજલિ – 14

My desires are many and my cry is pitiful,
but ever didst thou save me by hard refusals;
and this strong mercy has been wrought into my life through and through.

Day by day thou art making me worthy of the simple,
great gifts that thou gavest to me unasked—this sky and the light, this body and the
life and the mind—saving me from perils of overmuch desire.

There are times when I languidly linger
and times when I awaken and hurry in search of my goal;
but cruelly thou hidest thyself from before me.

Day by day thou art making me worthy of thy full acceptance by
refusing me ever and anon, saving me from perils of weak, uncertain desire.

– Rabindranath Thakur

 

મારી ઈચ્છાઓ ઘણી છે અને આર્તનાદ હ્રદયદ્રાવક,
પરંતુ હંમેશા તેં મને તારા કઠોર અસ્વીકારથી બચાવ્યો છે;
અને તારી આ પ્રબળ કરુણાએ મને ઘડ્યો છે
વારંવાર.

પ્રતિદિન તું મને લાયક બનાવે છે
વણમાંગે તેં મને આપેલા સાદા,ભવ્ય ઉપહારો માટે-
આ વ્યોમ અને આ પ્રકાશ, આ દેહ અને જીવન અને મન –
રક્ષે છે મને અત્યાભિલાષાના જોખમોથી.

કોઈકવાર હું સુસ્તીથી આળસ્યા કરું છું
અને ક્યારેક હું જાગૃત થઈને ઉતાવળે મારા ધ્યેયને ખોળું છું;
કિન્તુ ક્રુરતાથી તું છૂપી જાય છે મારાથી.

પ્રતિદિન તું મને તારા પૂર્ણતય: સ્વીકાર માટે યોગ્યતર બનાવતો રહે છે
મને વખતોવખત અસ્વીકૃત કરીને,
બચાવતો રહે છે મને તું નબળી અને ધૂંધળી ઇચ્છાઓના જોખમોથી.

– રવીન્દ્રનાથ ઠાકુર

 

ગીતાંજલિનું આ ચૌદમું કાવ્ય ગુરુદેવની અગાધ પ્રજ્ઞાનું પ્રતિક છે…….

Comments (4)

નહીં રહે ?? -રવીન્દ્રનાથ ઠાકુર અનુ- ઉમાશંકર જોશી

અલ્પ લઈને રહું છું,
તેથી જ
મારું જે જાય છે
તે ચાલ્યું જાય છે,- ક્ભણર પણ
જો ખોવાઈ જાય તો
તો તેને માટે પ્રાણ ‘હાય હાય’ કરી ઉઠે છે.

નદીતટની પેઠે સતત
વૃથા જ
પ્રવાહને જકડી રાખવા ચાહું છું.
એક પછી એક
લહરીઓ હૈયા પર આઘાત કરીને
ક્યાંય ચાલી જાય છે.

જે જાય છે અને જે કંઈ રહે છે
તે બધું તમને સોંપી દઉં,
તો પછી ઘટવાનું નથી,
બધું જ તારા મહામહિમામાં જાગતું રહેશે .
તારામાં કેટલાય ચંદ્ર-સૂરજ રહેલા છે,
કદી અણુ-પરમાણુ પણ ખોવાતું નથી !!
મારું તુચ્છ ખોવાયેલું ધન તે શું તારા ચરણે નહીં રહે ??

-રવીન્દ્રનાથ ઠાકુર અનુ- ઉમાશંકર જોશી

ગુરુદેવના દરેક કાવ્યની એક ખાસિયત હોય છે જે મોટેભાગે કાવ્યને બે થી ત્રણ વાર વાંચતા બરાબર સમજાય છે – ઈશ્વરભક્તિના તેઓના તમામ કાવ્ય ભલે પહેલી નજરે સરખા જેવા જ લાગે, પરંતુ દરેકમાં એક સૂક્ષ્મ ભાવવિશ્વ આકાર લે છે. જેમ કે આ કાવ્યમાં તેઓએ પોતાની વિહવળતાનું કારણ પ્રસ્થાપિત કર્યા બાદ જાણે સ્વોક્તિ કરતા હોય તેમ ઇશાવાસ્ય ઉપનિષદના પ્રથમ શ્લોક-

ॐ ईशावास्यं इदं सर्वं यत् किञ्च जगत्यां जगत।
तेन त्यक्तेन भुञ्जिथाः मा गृधः कस्य स्विद् धनम् ।।

-ને સ્મરીને જાતનું સમાધાન કરે છે.

Comments (2)

હિંસક રાત્રિ – રવીન્દ્રનાથ ઠાકુર – અનુ – નગીનદાસ પારેખ

હિંસક રાત્રિ ચુપચાપ આવે છે,
બળ જેનું ચાલ્યું ગયું છે
એવા
શરીરના શીથીલ આગળા ભાંગી નાખીને
અંતરમાં પ્રવેશ કરે છે,
જીવનના ગૌરવનું રૂપ હર્યા કરે છે.
કાલિમાના આક્રમણથી મન હારી જાય છે,
એ પરાભવની લજ્જા, એ અવસાદનું અપમાન
જયારે ઘનીભૂત બની જાય છે,
ત્યારે એકાએક દિગંતમાં સ્વર્ણકિરણની
રેખા આંકેલી દિવસની પતાકા દેખા દે છે;
જાણે
આકાશના કોઈ દૂરના કેન્દ્રમાંથી ‘મિથ્યા મિથ્યા’ કહેતો
ધ્વનિ ઊઠે છે.
પ્રભાતના પ્રસન્ન પ્રકાશમાં જીર્ણ દેહદુર્ગના શિખર ઉપર
પોતાની દુઃખ-વિજયીની મૂર્તિ જોઉં છું.

-રવીન્દ્રનાથ ઠાકુર – અનુ – નગીનદાસ પારેખ

કોઈકવાર આજકાલ જે ગરમ ભજીયાની જેમ વેચાય છે તેવી કહેવાતી ‘સેલ્ફ હેલ્પ’ ની બુક્સ ઉથલાવવાનું બને છે ત્યારે અત્યંત આઘાત સાથે એ હકીકત નજરે ચડે છે કે આવી ઘણી ચોપડીઓમાં હળાહળ negative emotions ને બિન્ધાસ્ત ઉત્તેજન આપવામાં આવતું હોય છે જેમ કે – ‘ તમારાથી સફળ વ્યક્તિની ઈર્ષ્યા તમારે માટે વિકાસનું ઇંધણ સમાન હોય છે.’ ‘પ્રત્યેક વ્યક્તિમાં jealousy હોય જ છે.’ ‘ પોતાની સિદ્ધિ માટે અભિમાન હોવું સ્વાભાવિક છે.’ ‘ સમાજ આગળ તમારી સિદ્ધિઓને જેટલી અસરકારક રીતે રજૂ કરશો તેટલા તમે વધુ સફળ’ ‘ સાચા હોવું એટલું મહત્વનું નથી કે જેટલું મહત્વનું સાચા લાગવું મહત્વનું છે’ ‘વ્યક્તિ જેટલી વધુ competitive હોય તેટલી તે વધુ ક્રોધી જ હોય’ etc etc etc !!!!!

negative emotions નું આવું ભયાનક અને જઘન્ય glorification કોણ જાણે કેટલા immature માનસમાં ઝેર ભરી દેશે ! આ કાવ્યમાં negative emotioms સામેના સંઘર્ષની વાત છે. પ્રત્યેક પળે જે જાગૃત છે, watchful છે, તે જ બચી શકશે .

ભગવાન બુદ્ધને આનંદે પૂછ્યું હતું- આપ તો બુદ્ધ છો, તો હજુ પણ આપ સતત શેનું ધ્યાન ધરતા હો છો ? – બુદ્ધે કહ્યું હતું – બુદ્ધત્વ પ્રત્યેક ક્ષણે અર્જિત કરવાનું હોય છે,એક વાર પ્રાપ્ત કરી લેવાથી કંઈ કામ પતી નથી જતું. સભાનતામાં જો જરાપણ શિથીલતા આવે તો ક્ષણાર્ધમાં જ desires ની નાગચૂડમાં હું ફસાઈ શકું છું.

Comments (6)

મધુર આશીર્વાદ – રવીન્દ્રનાથ ઠાકુર – અનુ- ઉમાશંકર જોશી

આ જીવનમાં હું સુંદરના મધુર આશીર્વાદ
પામ્યો છું.
મનુષ્યના પ્રીતિપાત્રમાં એની સુધાનો
આસ્વાદ પામું છું.
દુ:સહ દુઃખના દિવસે
મને
અક્ષત અને અપરાજિત આત્માની ઓળખ
થઈ છે.
પાસે આવી રહેલા મૃત્યુની છાયાનો
જે દિવસે અનુભવ કર્યો છે તે દિવસે
ભયને હાથે દુર્બળ પરાજય થયો નથી,
શ્રેષ્ઠ પુરુષોના સ્પર્શથી હું વંચિત થયો નથી.
તેઓની અમૃતવાણી
હૃદયમાં મેં સંચિત કરી છે.
જીવન-વિધાતા તરફથી મને જીવનમાં
જે અનુકૂળતાઓ સાંપડી છે
તેની
સ્મરણલિપિ
કૃતજ્ઞમનથી
મેં આંકી રાખી છે.

– રવીન્દ્રનાથ ઠાકુર – અનુ- ઉમાશંકર જોશી

ગુરુદેવની આ પ્રાર્થના સાથે આપને નવવર્ષને વધાવીએ……….

Comments (3)

પ્રતિજ્ઞા – રવીન્દ્રનાથ ઠાકુર અનુ-નગીનદાસ પારેખ

હું તાપસ નહિ થાઉં , નહિ થાઉં ,નહિ થાઉં ,
જેને જે કહેવું હોય તે કહે.
જો તપસ્વિની ન મળે તો હું જરૂર તાપસ નહિ થાઉં.
મેં
કઠિન પ્રતિજ્ઞા કરી છે કે જો બકુલ વન ન મળે,
જો મન જેવું મન જીતવા ન પામું,
તો હું તાપસ નહિ થાઉં ,નહિ થાઉં ,
જો તે તપસ્વિની ન મળે તો.

હું ઘર છોડીને બહાર નહિ જાઉં, હું ઘર નહિ છોડું,
ઉદાસીન સંન્યાસી થઈને બહાર નહિ જાઉં.
જો ઘરની બહાર કોઈ જ વિશ્વને લોભાવનારું હાસ્ય ન હસે.
મધુર વાયુથી ચંચલ એવું નીલાંચલ જો ન ઊડે,
કંકણ અને નૂપુર જો રુમઝુમ ન વાગે,
જો તપસ્વિની ન મળે તો,
હું તાપસ નહિ થાઉં , નહિ થાઉં ,નહિ થાઉં.

તારા સમ, હું તાપસ નહિ થાઉં.
જો એ તપને જોરે નવીન હૃદયમાં
જો હું નવું વિશ્વ રચી ન શકું,
જો હું વીણાના તાર ઝંકારીને કોઈના મર્મના દ્વાર તોડીને,
કોઈ નવીન આંખનો ઇશારો ન સમજી લઉં,
જો તપસ્વિની ન મળે તો હું તાપસ નહિ થાઉં , નહિ થાઉં.

– રવીન્દ્રનાથ ઠાકુર અનુ-નગીનદાસ પારેખ

…………..ઉનકો ખુદા મિલે, હૈ ખુદા કી જિન્હેં તલાશ; મુઝકો તો બસ ઇક ઝલક મેરે દિલદાર કી મિલે…….. ઈશ્વર પ્રત્યે તો જો અદમ્ય પ્રીત હોય તો હોય, ન હોય તો તેને જાત ઉપર ઠોકી ન બેસાડાય . પ્રેમતત્વમાં શ્રદ્ધા રાખવી ઘટે, કદાચ ઐહિક પ્રેમ જ અલૌકિક પ્રેમ તરફ દોરી જશે ……

Comments (4)

મુક્તિ – – રવીન્દ્રનાથ ઠાકુર – અનુ-રમણલાલ સોની

મુક્તિ ક્યાં છે, અને હું મુક્તિ કોને કહું છું એ
મને પૂછશો મા .
હું કંઈ સાધક નથી, હું ગુરુ નથી,
હું કવિ છું .
ધરતીની ખૂબ નજીક છું, આ કિનારાના નૌકાના ઘાટ પર !
સામે પ્રાણની નદી ભરતીઓટ કરતી અંધારું અને અજવાળું,
સારું અને ખોટું, વહી જવા જેવું કંઈ કેટલુંયે,
અને લાભહાનિ તથા રુદાનહાસ્યના કંઈ કેટલાયે ઢગલે ઢગલા લઈને
નિત્ય વહી રહી છે-
એક કાંઠો ભાંગીને બીજો કાંઠો ઊભો કરે છે ;
એ જ પ્રવાહની ઉપર ઉષા લાલ લાલ બની જાય છે .
અને ચંદ્રમાના પ્રકાશની રેખા માતાની આંગળીના જેવી પડે છે;
અંધારી રાતે બધા તારા ધ્યાનમંત્રનો જપ કરે છે;
આથમતો સૂરજ લાલ ઉત્તરીય પસવારીને ચાલ્યો જાય છે;
એ તરંગમાં માધવી-મંજરી માધુર્યની છબી વહાવે છે,
અને પંખીઓ પોતાનાં ગીત ઢોળે છે .

એ તરંગના નૃત્યના છંદમાં જયારે ચિત્ત આ વિશ્વપ્રવાહમાં
પોતાના સંગીતની સાથે વિચિત્ર ભંગિમાં નૃત્ય કરે છે,
ત્યારે
એ છંદમાં મારું બંધન છે,
મારી મુક્તિ પણ એમાં જ છે .
હું કશું રાખવા ઈચ્છતો નથી, કે કશાને વળગી રહેવા ચાહતો નથી;
હું તો વિરહ-મિલનની ગ્રંથિને ખોલી નાખીને,
નૌકાના સઢને ભાગેડુ પવનમાં ચડાવીને
સૌની સાથે વહેતો રહેવા ચાહું છું .

હે મહાપથિક, તારી દશે દિશાઓ ખુલ્લી છે .
તારે નથી મંદિર,
નથી સ્વર્ગધામ;
કે નથી અંતિમ પરિણામ .
તારે પગલે પગલે તીર્થધામ છે .
તારી સાથે ચાલી ચાલીને હું મુક્તિ પામું છું,
ચાલવાની સંપદમાં,
ચંચલના નૃત્યમાં અને ચંચલના ગાનમાં,
ચંચલના સર્વ કાંઈ ભૂલી જનારા દાનમાં-
અંધકારમાં પ્રકાશમાં,
સર્જનના પ્રત્યેક પર્વમાં
અને પ્રલયની પ્રત્યેક ક્ષણમાં .

– રવીન્દ્રનાથ ઠાકુર – અનુ-રમણલાલ સોની

જરા ધૈર્યથી એકથી વધુ વાર વાંચવું પડે તેવું કાવ્ય છે … મૂળભૂત ધ્વનિ મુક્તિના વિચારમાંથી મુક્ત થવાનો છે …. જેને જે. કૃષ્ણમૂર્તિ ‘ total freedom ‘ કહે છે તે મુક્તિની વાત છે . જીવનસરિતાના અસ્ખલિત પ્રવાહને એકાત્મ થતા જ બંધન અને મુક્તિનું દ્વન્દ્વ જ રહેતું નથી .

Comments (9)

ખાલી ખુરશી – રવીન્દ્રનાથ ઠાકુર

જનહીન બપોરની વેળાએ તડકાનો તાપ ધખે છે,
ખાલી ખુરસી તરફ જોઉં છું,
ત્યાં સાન્ત્વનાનો લેશ પણ નથી.
તેના હૃદયમાં ભરેલી હતાશાની ભાષા
જાણે હાહાકાર કરે છે.
કરુણાથી ભરેલી શૂન્યતાની વાણી ઊઠે છે
તેનો મર્મ પકડતો નથી.
માલિક ગુમાવેલો કૂતરો જેમ કરુણ દ્રષ્ટિએ જુએ છે,
તેમ અબૂઝ મનની વ્યથા હાય હાય કરે છે;
શું થયું, કેમ થયું, કંઈ સમજતી નથી.
દિનરાત વ્યર્થ આંખે ચારેકોર શોધે છે.
ખુરસીની ભાષા જાણે એથીય કરુણ અને કાતર છે.
શૂન્યતાની મૂક વ્યથા પ્રિયહીન ઘરને વ્યાપી વળે છે.

-રવીન્દ્રનાથ ઠાકુર – અનુ- નગીનદાસ પારેખ

આ કાવ્ય ગુરુદેવે પોતાના દીર્ઘ આયુષ્યના અંતિમ વર્ષે લખ્યું હતું . આ કાવ્યના બે થી ત્રણ અર્થઘટન શક્ય છે . ઘૂંટાયેલી વેદના તો સ્પષ્ટ છે જ… શેની વેદના છે – કોની વિદાય આટલી વસમી છે તે બાહ્યજગતના સંદર્ભે પણ સમજી શકાય તેમ જ આંતર્જગતના સંદર્ભે પણ….

Comments (5)

બંદી – રવીન્દ્રનાથ ઠાકુર – અનુ- નગીનદાસ પારેખ

‘ બંદી, કોણે બાંધ્યો છે તને,
આટલી સખ્ત રીતે ?’

‘ માલિકે મને વજ્ર જેવા સખ્ત
બંધનથી બાંધ્યો છે.
મનમાં મારે હતું-
સૌ કરતાં હું મોટો થઈશ.
રાજાનું ધન મેં મારા ઘરમાં
ભેગું કર્યું હતું.
ઊંઘ આવતાં માલિકની પથારી પાથરી
હું સૂઈ ગયો હતો.
જાગીને જોઉં છું તો સ્વ-સંચિત ભંડારમાં
હું બંધાયેલો છું.’

‘ ઓ બંદી, વજ્ર જેવું બાંધણ કોણે ઘડ્યું છે ?’

‘ મેં પોતે જ બહુ જતનપૂર્વક
એ ઘડ્યું છે.
મેં ધાર્યું હતું કે મારો પ્રતાપ
જગતને ગ્રસશે,
હું એકલો જ સ્વાધીન રહીશ,
બધા જ દાસ થશે.
એટલે મેં રાત-દિવસ લોઢાની સાંકળ ઘડી હતી-
-કેટલી આગ,કેટલા ઘા તેનું કંઈ ઠેકાણું નથી.
ઘડવાનું જયારે પૂરું થયું ત્યારે જોઉં છું-
તો
મારી એ સખ્ત અને કઠોર સાંકળે
મને જ બંદી બનાવ્યો છે.’

-રવીન્દ્રનાથ ઠાકુર
અનુ- નગીનદાસ પારેખ

અહીં લૌકિક બંધનની વાત નથી. આપણે પોતે જ્ન્મપશ્ચાત આપણી પોતાની જાતને – જેને આપણે ‘મન’ કહીએ છીએ – અસંખ્ય જડ પૂર્વગ્રહો અને અર્ધદગ્ધ જાણકારીઓ [ જેને આપણે ‘જ્ઞાન’ કહીએ છીએ ] વડે રચાતી નાગચૂડમાં જકડાઈ જવા દઈએ છીએ. આ નાગચૂડમાં સંપૂર્ણપણે ગ્રસ્ત થયા બાદ આપણે વિવિધ ધર્મ-સંપ્રદાય-માર્ગ-ગુરુ-ફિલોસોફી ઈત્યાદીમાં આ નાગચૂડમાંથી મુક્ત થવાનો માર્ગ શોધીએ છીએ જેને કારણે આપણને ગ્રસ્ત કરનાર નાગચૂડનો માત્ર પ્રકાર બદલાય છે – real freedom , સાચી મુક્તિ જોજનો દૂરની જોજનો દૂર જ રહે છે. વળી આ બધા તરફડીયાને લીધે આપણે સાચા માર્ગથી વધુને વધુ અળગા થતા જઈએ છીએ. પછી આત્મવંચનાનો ભયાનક તબક્કો આવે છે. અંતે બચે છે માત્ર huge Ego……

Comments (5)

મરીચિકા – રવીન્દ્રનાથ ઠાકુર – અનુ-નગીનદાસ પારેખ

પાગલ હઇયા વને વને ફિરિ આપન ગન્ધે મમ
કસ્તુરીમૃગસમ ;
ફાલ્ગુન રાતે દક્ષિણ બાયે કોથા દિશા ખુંજે પાઇ ના –
યાહા ચાઇ તાહા ભૂલ કરે ચાઇ, યાહા પાઇ તાહા ચાઇ ના.

વક્ષ હઇતે બાહિર હઇયા આપન વાસના મમ
ફિરે મરીચિકાસમ.
બાહુ મેલિ તારે વક્ષે લઇતે વક્ષે ફિરિયા પાઇ ના.
યાહા ચાઇ તાહા ભૂલ કરે ચાઇ, યાહા પાઇ તાહા ચાઇ ના.

નિજેર ગાનેર બાંધિયા ધરિતે ચાહે યેન બાંશિ મમ
ઉતલા પાગલ-સમ.
યારે બાંધિ ધરે તાર માઝે આર રાગિણી ખુંજિયા પાઇ ના.
યાહા ચાઇ તાહા ભૂલ કરે ચાઇ, યાહા પાઇ તાહા ચાઇ ના.

 

મારી પોતાની ગંધથી પાગલ બનીને હું
કસ્તુરીમૃગની પેઠે વનવનમાં ભટકું છું.
ફાગણની રાતે દક્ષિણના પવનમાં દિશા ક્યાં છે
તે મને શોધી જડતી નથી-
જે ચાહું છું તે ખોટું ચાહું છું,
જે મળે છે તે મને જોઈતું નથી.

છાતીમાંથી બહાર નીકળીને મારી પોતાની વાસના
મરીચિકા[મૃગજળ]ની પેઠે ફરે છે.
હાથ લંબાવીને તેને છાતીસરસી લેવા જતાં
પાછી છાતીમાં લઇ શકતો નથી.
જે ચાહું છું તે ખોટું ચાહું છું,
જે મળે છે તે મને જોઈતું નથી.

જાણે મારી વાંસળી વ્યાકુળ પાગલની પેઠે
પોતાના ગીતને બાંધીને પકડવા માગે છે.
એ જેને બાંધીને પકડે છે તેમાં
રાગિણી શોધી જડતી નથી.
જે ચાહું છું તે ખોટું ચાહું છું,
જે મળે છે તે મને જોઈતું નથી.

-રવીન્દ્રનાથ ઠાકુર

અતિસૂક્ષ્મ વાત છે. કદાચ ગુરુદેવની પ્રજ્ઞા ધરાવતા કવિની આજ ખૂબી હશે ! આત્મસંવાદ છે આ…. હું સ્થૂળ વસ્તુઓના મોહમાં ભટકું છું,તેને મેળવી લઉં છું ત્યારે તે મને કોઈ જ આનંદ કે પરિતૃપ્તિ આપતી નથી. તેમાં મને જેની ખરેખર શોધ છે તે જડતું નથી. – આ મૂળભૂત સૂર છે. એમાં ‘મારી પોતાની ગંધથી પાગલ બનીને હું કસ્તુરીમૃગની પેઠે વનવનમાં ભટકું છું.’ – જેવી અભિવ્યક્તિ દ્વારા કવિ પોતાની મહત્વકાંક્ષા,સ્પર્ધાત્મકતા જેવા ગુણોને ઈંગિત કરે છે. આ વાત સંબંધોને પણ લાગુ પડી શકે છે. અંતિમ ફકરામાં ભગવદ ગીતાની philosophy પડઘાય છે. આ સમગ્ર content ને અત્યંત ખૂબીપૂર્વક ગૂંથવામાં આવ્યો છે. વળી દરેક ફકરે પુનરાવર્તિત થતી પંક્તિઓ – ” જે ચાહું છું તે ખોટું ચાહું છું, જે મળે છે તે મને જોઈતું નથી.”- દ્વારા એક સઘન અનુભૂતિ સર્જાય છે,એક તીવ્ર આત્મમંથન આલેખાય છે.

Comments (5)

પ્રાર્થના – રવીન્દ્રનાથ ઠાકુર – અનુ-નગીનદાસ પારેખ

ચિત્ત યેથા ભયશૂન્ય,ઉચ્ચ યેથા શિર,
જ્ઞાન યેથા મુક્ત, યેથા ગૃહેર પ્રાચીર
આપન પ્રાંગણતલે દિવસશર્વરી
વસુધારે રાખે નાઇ ખણ્ડ ક્ષુદ્ર કરિ,
યેથા વાક્ય હૃદયેર ઉત્સમુખ હતે
ઉચ્છવસિયા ઉઠે, યેથા નિર્વારિત સ્ત્રોતે
દેશે દેશે દિશે દિશે કર્મધારા ધાય
અજસ્ત્ર સહસ્ત્રવિધ ચરિતાર્થતાય
યેથા તુચ્છ આચારેર મરુબાલુરાશિ
વિચારેર સ્ત્રોત:પથ ફેલે નાઇ ગ્રાસિ-
પૌરુષેરે કરેનિ શતધા, નિત્ય યેથા
તુમિં સર્વ કર્મ-ચિન્તા-આનન્દેર નેતા,
નિજ હસ્તે નિર્દય અઘાત કરિ પિત:,
ભારતેરે સેઇ સ્વર્ગે કરો જાગરિત.

ચિત્ત જ્યાં ભયશૂન્ય છે, શિર જ્યાં ઉન્નત રહે છે,
જ્ઞાન જ્યાં મુક્ત છે,જ્યાં ઘર ઘરના વાડાઓએ
રાતદિવસ પોતાના આગણામાં વસુધાના
નાના નાના ટુકડા નથી કરી મૂક્યા,
વાણી જ્યાં હ્રદયઝરણમાંથી સીધી વહે છે,
કર્મનો પ્રવાહ જ્યાં અનિવાર રીતે
દેશે દેશે અને દિશાએ દિશાએ અજસ્રપણે
સહસ્ત્રવિધ સફળતા પ્રતિ ધસે છે,
તુચ્છ આચારની મરુનિ રેતી જ્યાં
વિચારનાં ઝરણાંને ગ્રસી લેતી નથી-
પૌરુષને શતધા છિન્નભિન્ન કરી નાખતી નથી,
હંમેશા તુ જ્યાં સકલ કર્મ,વિચાર અને આનંદનો નેતા છે,
તે સ્વર્ગમાં તારે પોતાને હાથે
નિર્દય આઘાત કરીને,
હે પિતા,
ભારતને જગાડ.

– રવીન્દ્રનાથ ઠાકુર

આ પ્રાર્થના ગુરુદેવના જીવનકાળ દરમ્યાન જેટલી પ્રસ્તુત હતી તેટલી જ – કદાચ વધુ – સાંપ્રત ભારત માટે છે…. Bertrand Russel એ કહ્યું હતું – ભારતની પ્રજા અંગ્રેજોની ગુલામ નથી,એ ગુલામ છે પોતાના ભૂતકાળની.

Comments (8)

વિફલ – રવીન્દ્રનાથ ટાગોર (અનુ. દક્ષા વ્યાસ)

હું તેના હાથ ઝાલું છું
અને
મારી છાતી સરસા ચાંપું છું.

મથું છું
તેના વહાલથી મારી ભૂજાઓને ભરી લેવા,
ચુંબનોથી તેના મધુર સ્મિતને લૂંટી લેવા,
તેનાં કાજળકાળાં નેત્રોના દૃષ્ટિક્ષેપને
નજરથી પી લેવા.

કિન્તુ હાય !
ક્યાં છે એ સઘળું ?
કોણ ખેંચી કાઢી શક્યું છે
આકાશમાંથી આસમાની રંગછાયાને ?

મથું છું
સૌંદર્યને ઝીલવા
અને એ કુશળતાથી છટકી જાય છે
મારા હાથમાં માત્ર એનો સ્થૂળ દેહ મૂકીને.

પાછો ફરું છું હું
વિફલ અને હતાશ થઈ.

જેને માત્ર આત્મા જ સ્પર્શી શકે
તે પુષ્પને
દેહ શી રીતે સ્પર્શી શકે ?

– અનુ. દક્ષા વ્યાસ

*

પ્રેમની ઉત્કટ આત્મીય અનુભૂતિનું કાવ્ય. લતા મંગેશકરનું “સિર્ફ અહેસાસ હૈ યે રુહ સે મહસૂસ કરો” ગીત યાદ આવી જાય…

*

I hold her hands and press her to my breast.
I try to fill my arms with her loveliness,
to plunder her sweet smile with kisses,
to drink her dark glances with my eyes.
Ah, but, where is it?
Who can strain the blue from the sky?
I try to grasp the beauty, it eludes me,
leaving only the body in my hands.
Baffled and weary I come back.
How can the body touch the flower
which only the spirit may touch?

– Ravindranath Tagore

Comments (7)

સુ.દ. પર્વ :૦૧: ગીત – રવીન્દ્રનાથ ઠાકુર – અનુ-સુરેશ દલાલ

images

એક પછી એક અળગા કીધા સઘળા અલંકાર
ગીત મારાને શું હવે શણગાર ? શું અહંકાર ?

ઉરની આપણ આડમાં આવે
અલંકારો કેમ એ ફાવે ?
જાય રે ડૂબી આપણી ઝીણી વાત,એને ઝંકાર,
ગીત મારાને શું હવે શણગાર ? શું અહંકાર ?

પીગળી ગઈ પલમાં મારી,
‘છું કવિ હું’ એની ખુમારી
મહાકવિ! તવ ચરણ કને બંધનનો નહીં ભાર :
ગીત મારાને શું હવે શણગાર ? શું અહંકાર ?

સરળ સીધું,વાંસળી જેવું :
જીવવું મારે જીવન એવું
મધુર મધુર સૂરથી તમે છલકાવો સંસાર :
ગીત મારાને શું હવે શણગાર ? શું અહંકાર ?

-રવીન્દ્રનાથ ઠાકુર – અનુ-સુરેશ દલાલ

Comments (6)

મુક્તિ – રવીન્દ્રનાથ ઠાકુર – અનુ.નગીનદાસ પારેખ

વૈરાગ્યસાધને મુક્તિ, સે આમાર નય.

અસંખ્ય બન્ધન-માઝે મહાનન્દમય
લભિબ મુક્તિર સ્વાદ. એઇ વસુધાર
મૃત્તિકાર પાત્રખાનિ ભરિ વારમ્વાર
તોમાર અમૃત ઢાલિ દિબે અવિરત
નાનાવર્ણગંધમય. પ્રદીપેર મતો
સમસ્ત સંસાર મોર લક્ષ વર્તિકાય
જ્વાલાયે તુલિબે આલો તોમારિ શિખાય
તોમાર મન્દિર-માઝે.

ઇન્દ્રિયેર દ્વાર
રુદ્ધ કરિ યોગાસન,સે નહે આમાર.
યે-કિછુ આનન્દ આછે દ્રશ્યે ગન્ધે ગાને
તોમાર આનન્દ રબે તાર માઝખાને.

મોહ મોર મુક્તિ રૂપે ઉઠિબે જ્વલિયા,
પ્રેમ મોર ભક્તિ રૂપે રહિબે ફલિયા.

 

વૈરાગ્યની સાધના દ્વારા મળતી મુક્તિ મારે માટે નથી.

અસંખ્ય બંધનોમાં જ હું તો મહાનંદમય
મુક્તિનો સ્વાદ પ્રાપ્ત કરીશ.
આ વસુધાના માટીના પાત્રને વારે વારે
નાના વર્ણગંધમય તારું અમૃત
તું અવિરત રેડતો રહેશે.
પ્રદીપની પેઠે મારો સમસ્ત સંસાર
લાખ્ખો વાટોએ
તારી શિખાથી તારા મંદિરમાં
દીવા પેટાવી દેશે.

 

ઇન્દ્રિયોના દ્વાર રૂંધીને યોગાસન જમાવવું
એ મારું કામ નથી.
દ્રશ્યમાં, ગંધમાં, ગીતમાં
જે કાંઈ આનંદ રહેલો છે,
તેમાં તારો આનંદ વ્યાપી રહેશે.

મારો મોહ મુક્તિરૂપે સળગી ઊઠશે,
મારો પ્રેમ ભક્તિરૂપે ફલિત થશે.

-રવીન્દ્રનાથ ઠાકુર – અનુ.-નગીનદાસ પારેખ.

 

અત્યંત ક્રાંતિકારી વાત છે – જરાક સૂક્ષ્મતાથી તપાસશો તો રજનીશના ચર્ચાસ્પદ વિધાન ‘સંભોગથી સમાધિ સુધી’ નો ધ્વનિ પ્રતિપાદિત થાય છે ! કોઈ દમનની વાત નથી,કોઈ અકુદરતી ત્યાગના માયાવી મૃગ પાછળની દોટની વાત નથી. વિશ્વમાં જ વિશ્વાત્માના દર્શનની વાત છે….સર્જનમાં જ સર્જકની ઝાંખી કરવાની વાત છે. સર્જન અને સર્જક જુદા નથી,માત્ર આપણી દ્રષ્ટિ સીમિત હોવાથી તે દર્શન આપણને સહજ નથી – આ ધ્વનિ છે……

Comments (6)

પ્રાણ – રવીન્દ્રનાથ ઠાકુર – અનુ.-નગીનદાસ પારેખ

મરિતે ચાહિ ના આમિ સુન્દર ભુવને,
માનવેર માઝે આમિ બાંચીબારે ચાઇ.
એઇ સૂર્યકરે એઇ પુષ્પિત કાનને
જીવન્ત હૃદય-માઝે યદિ સ્થાન પાઇ !

ધરાય પ્રાણેર ખેલા ચિરતરંગિત,
વિરહ મિલન કત હાસિ-અશ્રુમય-
માનવેર સુખે દુઃખે ગાંથિયા સંગીત
યદિ ગો રચિતે પારિ અમર-આલય !

તા યદિ ના પારિ તબે બાંચિ યત કાલ
તોમાદેરિ માઝખાને લભિ યેન ઠાઁઇ,
તોમારા તુલિબે બલે સકાલ બિકાલ
નવ નવ સંગીતેર કુસુમ ફૂટાઈ.
હાસિમુખે નિયો ફુલ, તાર પરે હાય
ફેલે દિયો ફુલ, યદિ સે ફુલ શુકાય.

 

આ સૌંદર્યમય વિશ્વમાં મને મરવાની ઈચ્છા નથી.
હું માનવોમાં જીવવા ઈચ્છું છું.
આ સૂર્યના કિરણોમાં,
આ પુષ્પિત કાનનમાં, અને જીવન્ત હૃદયમાં
હું સ્થાન પામવા ઈચ્છું છું.

ધરતી પર કેટકેટલાં વિરહ અને મિલન-હાસ્ય
અને અશ્રુ-ભરી પ્રાણની લીલા
સદાય લેહરાયા જ કરે છે,
– માનવના સુખદુઃખનાં ગીતો ગૂંથીને
અમર ભૂમિ રચવાની મારી ઇચ્છા છે.

પણ જો તે ન કરી શકું,
તો જ્યાં સુધી જીવું ત્યાં સુધી
તમારી વચ્ચે જ સ્થાન પામું
એમ ઈચ્છું છું.
અને તમે ચૂંટશો એમ કરીને
સવારે અને સાંજે
નવાં નવાં સંગીતના ફૂલો ખીલવ્યા કરીશ.
તમે હસતે મોઢે એ ફૂલ લેજો
અને
ત્યાર પછી હાય, જો એ ફૂલ સુકાઈ જાય
તો ફેંકી દેજો !

-રવીન્દ્રનાથ ઠાકુર

Comments (5)

એક સવારે – રવીન્દ્રનાથ ટાગોર (અનુ. દક્ષા વ્યાસ)

એક સવારે
આવી ફૂલોના ઉદ્યાનમાં
એક અંધકન્યા
અર્પણ કરવા ફૂલમાળા મને
વીટેલી કમલપત્રમાં

ધારણ કરી તેને
મેં મુજ કંઠે
અને
ધસી આવ્યાં આંસુ
મારી આંખોમાં.
ચૂમી લીધી મેં તેને
કહ્યું,
“તું અંધ છો
તેમ જ આ ફૂલોય તે.
ક્યાં ખબર છે તને
કેટલો સુંદર છે
આ ઉપહાર તારો.”

– રવીન્દ્રનાથ ટાગોર
(અનુ. દક્ષા વ્યાસ)

પુષ્પ પોતાની સુંદરતાને કદી જોઈ શકતું નથી. તેનો આનંદ તેના સાહજિક સમર્પણમાં જ હોય છે. પોતે કયા રૂપ-રંગના ફૂલોનો અર્ધ્ય ઈશ્વરને ચડાવી રહી છે તેનાથી અનભિજ્ઞ એવી એક અંધકન્યા ફૂલોના ઉદ્યાનમાં-જ્યાં ફૂલોનો કોઈ તોટો જ નથી- નાનકડી ફૂલમાળ લઈને આવે છે ત્યારે કોઈ સાગરમાં લોટો રેડવા આવતું હોય એવું લાગે પણ ઈશ્વરની નજરથી એનો આ નિઃસ્વાર્થ પ્રેમ અને સમર્પણની ભાવના શી રીતે છૂપી રહી શકે? આ પ્રેમને ઈશ્વર સાનંદાશ્રુ ચૂમે ને આલિંગે નહીં તો જ નવાઈ…

Comments (8)

અંતર મમ વિકસિત કરો

અંતર મમ વિકસિત કરો, અંતરતર હે-
નિર્મલ કરો, ઉજ્જવલ કરો, સુંદર કરો હે.

જાગ્રત કરો, ઉદ્યત કરો, નિર્ભય કરો હે,
મંગલ કરો, નિરલસ નિઃસંશય કરો હે.

યુક્ત કરો હે સબાર સંગે, મુક્ત કરો હે બંધ,
સંચાર કરો સકલ કર્મે શાંત તોમાર છંદ.

ચરણપદ્મે મમ ચિત્ત નિઃસ્પંદિત કરો હે,
નંદિત કરો, નંદિત કરો, નંદિત કરો હે.

– રવીન્દ્રનાથ ટાગોર

રવીન્દ્રનાથની પ્રાર્થનાનો આ અનુવાદ આપણામાંથી મોટાભાગનાએ અનેકવાર સાંભળ્યો હશે. કવિશ્રી સુરેશ દલાલ આ કવિતાને ભગવદ ગીતા સમકક્ષ મૂકે છે.

પ્રસ્તુત કવિતામાં એક પણ શબ્દ ધ્યાન બહાર રાખી શકાય એવો નથી. એકે-એક શબ્દ પર પૂરતું ધ્યાન આપીને વિચારીએ તો જ આ કવિતા કમળ બનીને ભીતર ખુલે. મને જે પંક્તિ સવિશેષ સ્પર્શી ગઈ એ છે, યુક્ત કરો હે સબાર સંગે, મુક્ત કરો હે બંધ.  મને બધાની સાથે જોડો અને મારા બધા બંધનો તોડો… અહીં ‘બધા’ શબ્દ ખૂબ અગત્યનો છે… કવિ ઈશ્વરને પ્રાર્થના કરે છે કે મને સગપણ-લાગણી-સંબંધ અને પૈસા-દરજ્જાની ગણતરી કર્યા વિના સર્વની સાથે સમ્યકભાવે જોડો… હું હું ન રહું, બધામાં ભળી જાઉં.. મારા અને તારા વચ્ચે કોઈ અંતર ન રહે… પણ કવિતાનો ઉત્તમ ભાગ તો બધા બંધનોથી મુક્ત કરોની પ્રાર્થનામાં છે.  બધાની સાથે જોડાઈને પણ બધાથી મુક્ત કરો..  આ વિચાર કલાકો સુધી આપણને અટકાવી દે એવો ગહન છે…

 

Comments (6)

રૂપ-નારાનેર કૂલે – રવીન્દ્રનાથ ઠાકુર – અનુ.- ઉમાશંકર જોશી

રૂપ-નારાનેર કૂલે
જેગે ઉઠિલામ ;
જાનિલામ એ જગત
સ્વપ્ન નય.
રક્તેર અક્ષરે દેખિલામ
આપનાર રૂપ;
ચિનિલામ આપનારે
આઘાતે આઘાતે
વેદનાય વેદનાય;
સત્ય યે કઠિન,
કઠિનેરે ભાલોબાસિલામ-
સે કખનો કરે ન વંચના.
આમૃત્યુર દુઃખેર તપસ્યા એ જીવન-
સત્યેર દારુણ મૂલ્ય લાભ કરિબારે,
મૃત્યુતે સકલ દેના શોધ ક’રે દિતે.

રૂપનારાન[નદીનું નામ] ના કિનારા પર
હું જાગી ઊઠ્યો.
જાણ્યું કે આ જગત
સ્વપ્ન નથી.
રક્તના અક્ષરોમાં નિહાળ્યું
મેં પોતાનું રૂપ;
પોતાની જાતને ઓળખી
પ્રત્યેક આઘાતમાં
એકેએક વેદનામાં;
સત્ય તો કઠિન છે,
કઠિનને મેં પ્રેમ કર્યો-
તે ક્યારેય છેતરપિંડી કરતું નથી.
સત્યનું દારુણ મૂલ્ય પામવા માટેની,
મૃત્યુમાં સકલ દેણું પતાવી દેવા માટેની,
મરણ પર્યંતની દુઃખની તપસ્યા – આ જીવન.

– રવીન્દ્રનાથ ઠાકુર – અનુ.- ઉમાશંકર જોશી

 

‘ સત્ય ‘ એક એવો વિષય છે જે અનાદિકાળથી વિચારના કેન્દ્રસ્થાને રહ્યો છે. પૌરાણિક સાહિત્યનો અભ્યાસ કરીએ તો સત્ય શું છે તે સમજવું મુશ્કેલ બની જાય. વાલી-વધનું સત્ય આજ સુધી સમજાયું નથી. કૃષ્ણ તો સત્ય અને અસત્ય વચ્ચેની ભેદરેખા ઉપર ચાલતા એક નટ જેવા લાગે ! કોઈ કહે છે-‘સત્ય સાપેક્ષ હોય છે.’ કોઈ કહે છે-‘સત્ય અચળ અને નિરપેક્ષ હોય છે.’ ગાંધીજીનું સત્ય જુદું,ભગતસિંહનું જુદું,સુભાષબાબુનું  જુદું. કવિ કહે છે આ જીવન એ એક નિતાંત સત્યની ખોજ સિવાય કંઈ નથી…..

Comments (5)

પ્રશ્ન – રવીન્દ્રનાથ ઠાકુર – અનુ.ઉમાશંકર જોશી

પ્રથમ દિનના સૂર્યે
પ્રશ્ન કર્યો હતો
સત્તાના નૂતન આવિર્ભાવે
કોણ તું ?
મળ્યો ના ઉત્તર.
વર્ષ વર્ષ વીતી ગયાં
દિવસના શેષ સૂર્યે
શેષ પ્રશ્ન કર્યો
પશ્ચિમ સાગર તીરે
નિસ્તબ્ધ સંધ્યાયે
કોણ તું ?
પામ્યો ના ઉત્તર.

 

maturity brings brevity. કોઈ સિદ્ધહસ્ત કવિ જ આટલા ટૂંકા કાવ્યમાં માનવજાતને નિરંતર મૂંઝવતા પ્રશ્નને અનોખી રીતે રજૂ કરી શકે.

Comments (6)

ગીતાંજલિ – પુષ્પ:૦૪: રવીન્દ્રનાથ ટાગોર (અનુ. વિવેક મનહર ટેલર)

Rabindranath Tagore Poems in English

Life of my life, I shall ever try to keep my body pure, knowing that thy living touch is upon all my limbs.

I shall ever try to keep all untruths out from my thoughts, knowing that thou art that truth which has kindled the light of reason in my mind.

I shall ever try to drive all evils away from my heart and keep my love in flower, knowing that thou hast thy seat in the inmost shrine of my heart.

And it shall be my endeavour to reveal thee in my actions, knowing it is thy power gives me strength to act.

– Ravindranath Tagore

*

હે પ્રાણેશ્વર! હું સદા મારા શરીરને વિશુદ્ધ રાખવા પ્રયત્ન કરીશ કેમકે હું જાણું છું કે મારા અંગાંગમાં તારો જીવંત સ્પર્શ છે.

બધા અસત્યોને મારા વિચારથી પણ બહાર રાખવા હું સદા પ્રયત્નશીલ રહીશ કેમકે હું જાણું છું કે એ તારું જ સત્ય છે જેણે મારા માનસમાં કારણનો પ્રકાશ રેલાવ્યો છે.

હું મારા હૃદયમાંથી તમામ અનિષ્ટને હાંકી કાઢવા હંમેશા મથીશ અને  પુષ્પને ચાહીશ કેમકે હું જાણું છું કે તું મારા હૃદયની અંતરતમ બેઠકમાં વિરાજે છે.

અને એ મારી કોશિશ રહેશે કે મારા તમામ કર્મોમાં તું જ દૃશ્યમાન થાય કેમકે હું જાણું છું કે તારી શક્તિ જ મને ચાલકબળ પૂરું પાડે છે.

-અનુ. વિવેક મનહર ટેલર

*

આપણા જીવનનું સાચું ચેતન ખુદ ઈશ્વર જ છે. આપણા અસ્તિત્વના કણકણમાં એનો વાસ છે. આપણે જે કંઈ પણ કરીએ છીએ એ એનાથી અછતું નથી. માટે જ આપણે આપણા વાણી, વિચાર અને વર્તન- બધાને પરિશુદ્ધ રાખવા જોઈએ. અને આપણા બધા જ કૃત્યોમાં એનો સ્નેહ તરવરી ઊઠે એ માટે આપણે સદૈવ પ્રયત્નશીલ રહેવું જોઈએ…

Comments (7)

ગીતાંજલિ – પુષ્પ:૦૩: રવીન્દ્રનાથ ટાગોર (અનુ. વિવેક મનહર ટેલર)

Tagore_1

I know not how thou singest, my master! I ever listen in silent amazement.

The light of thy music illumines the world. The life breath of thy music runs from sky to sky. The holy stream of thy music breaks through all stony obstacles and rushes on.

My heart longs to join in thy song, but vainly struggles for a voice. I would speak, but speech breaks not into song, and I cry out baffled. Ah, thou hast made my heart captive in the endless meshes of thy music, my master!

– Ravindranath Tagore

*

મને ખબર નથી નથી, ઓ મારા માલિક ! તું શી રીતે ગાય છે. હું હંમેશા મૂકાશ્ચર્યથી સાંભળતો રહું છું.

તારા સંગીતનું અજવાળું વિશ્વને ઝળાંહળાં કરે છે. તારા સંગીતનો પ્રાણવાયુ આકાશે આકાશમાં વિસ્તરતો રહે છે. તારા સંગીતનું પવિત્ર ઝરણું ભલભલા પત્થર જેવા અવરોધો ભેદીને પણ અનવરત વહેતું રહે છે.

મારું હૃદય તારા ગીતમાં જોડાવા તો ઝંખે છે પણ અવાજ માટે નિરર્થક પ્રયાસ કરે છે. હું બોલવા તો જાઉં છું પણ મારા બોલ ગીતમાં પરિણમતા નથી, અને હું મૂંઝાઈને રડી પડું છું. આહ, મારા માલિક ! તારા સંગીતની અંતહીન જાળમાં તેં મારા હૃદયને બંદી બનાવ્યું છે.

-અનુ. વિવેક મનહર ટેલર

*

ઈશ્વરના સૂરમાં સૂર પુરાવવાની મંશા કોને ન થાય? પણ એના ગીત-સંગીતની રીત કોણ કળી શકે છે? એનું સંગીત આખા વિશ્વને રોશન કરે છે, બ્રહ્માંડમાં પ્રાણવાયુ થઈ રેલાય છે અને ભલભલા પથ્થર જેવા હૈયાને પણ ભેદી રહે છે. એના સૂરમાં તાલ પુરાવવાની વાત તો દૂર રહી, એમ કરવા જતાં આપણને તો અવાજ માટેય ફાંફા મારવા પડે છે. કારણ? કારણ એ જ કે એના અનંતગાનની જાળમાં આપણું અંતઃકરણ સદા માટે કેદ થયું છે…

Comments (7)

ગીતાંજલિ – પુષ્પ:૦૨: રવીન્દ્રનાથ ટાગોર (અનુ. વિવેક મનહર ટેલર)

tagore

When thou commandest me to sing it seems that my heart would break with pride; and I look to thy face, and tears come to my eyes.

All that is harsh and dissonant in my life melts into one sweet harmony—and my adoration spreads wings like a glad bird on its flight across the sea.

I know thou takest pleasure in my singing. I know that only as a singer I come before thy presence.

I touch by the edge of the far-spreading wing of my song thy feet which I could never aspire to reach.

Drunk with the joy of singing I forget myself and call thee friend who art my lord.

–  Shri Ravindranath Tagore

જ્યારે તું મને ગાવા માટે આજ્ઞા કરે છે ત્યારે મારું હૃદય જાણે ગર્વથી તૂટી જવાનું ન હોય એમ લાગે છે અને હું તારા ચહેરા તરફ જોઉં છું અને મારી આંખોમાં આંસુ આવે છે.

મારા જીવનમાં એ બધું જે કર્ણકટુ અને બેસૂરું છે એ એક મધુર સ્વરસંવાદિતામાં ઓગળી જાય છે અને મારી ભક્તિ સમુદ્ર પાર કરવા નીકળેલ એક ખુશહાલ પક્ષી પેઠે પોતાની પાંખો પ્રસારે છે.

હું જાણું છું કે તું મારા ગાયનમાં આનંદ લે છે. હું જાણું છું કે ફક્ત ગાયક તરીકે જ હું તારી સન્મુખ આવી શકું છું.

મારા ગાનની વિસ્તીર્ણ પાંખોની કિનારી વડે હું તારા ચરણોને સ્પર્શું છું જ્યાં પહોંચવાની અન્યથા હું આકાંક્ષા પણ રાખી શક્તો નથી.

ગાયનની મસ્તીમાં ઘેલો હું મારી જાતને પણ વિસરી જાઉં છું અને તને, જે મારો માલિક છે, હું મારો દોસ્ત કહી બેસું છું.

-અનુ. વિવેક મનહર ટેલર

આપણી પ્રાર્થના કે આપણો અહમ કે આપણી અંદરની ભારોભાર વિસંવાદિતતા નહીં, પણ  આપણી ભીતરથી ઊઠતું પ્રાર્થનાનું સંગીત જ આપણને ઈશ્વર સુધી લઈ જઈ શકે છે. આપણો સૂર જ્યારે ઈશ્વર માટે ઊઠે છે ત્યારે એ ભવસાગર પાર કરવા નીકળેલ પક્ષીના ઉડ્ડયન સમો વિસ્તારિત થાય છે. આત્માના સંગીતથી જ્યારે આપણે નિરાકાર સાથે અદ્વૈત અનુભવીએ છીએ એ ચરમસીમાએ જગતપિતાને દોસ્ત કહી બેસવામાંય કશું ખોટું નથી. મટુકીમાં માધવને વેચવા નીકળેલી ગોપી યાદ છે?

Comments (13)

ગીતાંજલિ – પુષ્પ:૦૧: રવીન્દ્રનાથ ટાગોર (અનુ. વિવેક મનહર ટેલર)

કવિવર રવીન્દ્રનાથ ટાગોર (૦૭-૦૫-૧૮૬૧,૦૭-૦૮-૧૯૪૧)ના જન્મનું આ દોઢ શતાબ્દિ વર્ષ છે. એ નિમિત્તે એમના નોબલ પારિતોષિક વિજેતા ગીતાંજલિનો ભાવાનુવાદ લયસ્તરોના ભાવકો માટે…

tagore1

1

Thou hast made me endless, such is thy pleasure. This frail vessel thou emptiest again and again, and fillest it ever with fresh life.

This little flute of a reed thou hast carried over hills and dales, and hast breathed through it melodies eternally new.

At the immortal touch of thy hands my little heart loses its limits in joy and gives birth to utterance ineffable.

Thy infinite gifts come to me only on these very small hands of mine. Ages pass, and still thou pourest, and still there is room to fill.

– Ravindranath Tagore

 

તેં મને અંતહીન બનાવ્યો છે, એ જ તારી ઇચ્છા છે. આ તકલાદી વાસણને તું ફરી ફરીને ખાલી કરે છે અને ફરી ફરીને નવજીવનથી ભરી દે છે.

વાંસની આ નાનકડી વાંસળીને ઊંચકીને તું પર્વતો અને ખીણોમાં ફર્યો છે અને એમાં શ્વસીને તેં નૂતન શાશ્વતી સૂરાવલિઓ રેલાવી છે.

તારા હાથોના અમૃત્ય  સ્પર્શે મારું નાનકડું હૃદય એની સીમાઓ આનંદમાં ગુમાવી દે છે અને અવર્ણનીય ઉદગારોને જન્મ આપે છે.

તારી અનંત ભેટો માત્ર આ મારા નાનકડા હાથોમાં આવતી રહે છે. યુગો વહી જાય છે, અને છતાં તું ભરતો જ રહે છે અને છતાં હજી એમાં જગ્યા ખાલી જ રહે છે.

-અનુ. વિવેક મનહર ટેલર

*

ઈશ્વરની અસીમ કૃપાઓનું નિરવરત ભક્તિગાન એટલે ગીતાંજલિ. જીવન તો નાશવંત છે છતાં કવિ એને અનંત કહે છે કેમકે મનુષ્યજીવનનું આ વાસણ ઘડી ઘડી ખાલી થાય છે પણ ઈશ્વર એને સદા નવજીવનથી નપવપલ્લવિત કરતો જ રહે છે. જીવનના બધા ઉતાર-ચઢાવ કવિની નજરે ઈશ્વરકૃપાને જ આધીન છે. આપણા સુખ-દુઃખનો ખરો સંગીતકાર એ પોતે જ છે. માટે આપણે સુખ જોઈ છકી ન જવું જોઈએ અને દુઃખ જોઈ ભાંગી પડવું ન જોઈએ. એના હાથોના અમર્ત્ય સ્પર્શનો અહેસાસ થાય ત્યારે આપણે નિરવધિ આનંદની અવર્ણનીય ચરમસીમા અનુભવીએ છીએ. એની ભેટ સ્વીકારવા માટે આપણા હાથ કેવા નાનકડા છે ! છતાં એની કૃપા વરસતી જ રહે છે અને આશ્ચર્ય તો એ વાતનું છે કે આવા નાનકડા વાસણમાં એ સતત કૃપામૃત રેડતો જતો હોવા છતાં વધુ ને વધુ કૃપા માટે સદૈવ જગ્યા રહે જ છે.. એ કદી પૂરાતી જ નથી.

Comments (19)

સ્વર્ગ મારું – રવીન્દ્રનાથ ઠાકુર

સ્વર્ગ મારું
સ્વર્ગ ક્યાં છે જાણે છે તું એ ભાઈ ?
તેનું ઠામઠેકાણું નાહીં.
તેનો આરંભ નાહીં,નહીં રે એનો છેડો,
ઓરે, નહીં રે તેનો કેડો,
ઓરે, નહીં રે એની દિશા
ઓરે નહીં રે દિવસ, નહીં રે તેની નિશા.
ફર્યો છું તે સ્વર્ગે શૂન્યે શૂન્યે
ખાલી છલનાભર્યું ફાનસ,
કૈંક યુગયુગાંતરો ના પુણ્યે
જન્મ્યો છું આજ માટી ઉપર ધૂળ માટીનો માણસ.
સ્વર્ગ આજે કૃતાર્થ મારા દેહે,
મારા પ્રેમે, મારા સ્નેહે,
મારા વ્યાકુળ હૈયે,
મારી લાજે,મારા સાજે,મારાં દુઃખેસુખે.
મારા જન્મમૃત્યુ તરંગે
નિત્યનવી રંગછટાઓ ખેલાવે એ રંગે.
મારા ગાને સ્વર્ગ આજે
કેવું ગાજે !
મારા પ્રાણે સ્થાન પામે એ એનું,
આકાશભર્યા આનંદે એથી જોઈ મને એ રહ્યું.
દિગંગનાના આંગણે એથી બજી ઉઠ્યો આજ શંખ,
સપ્ત સાગર બજવે વિજયડંક;
એથી ફૂટી રહ્યા છે ફૂલ,
વનનાં પાને, ઝરણા ધારે, એથી આ સૌ હલચલ.
સ્વર્ગ મારું જન્મ્યું છે આ ધરતીમાતને ખોળે,
વાયરે એની ખબર છૂટી છે આનંદ-કલ્લોલે.

-રવીન્દ્રનાથ ઠાકુર (‘બલાકા’માંથી)
(અનુવાદ – ઉમાશંકર જોશી)

જીવનોત્સવનો આનંદ માણતા રવિબાબુ આ મધુર કાવ્યમાં દ્રષ્ટિગોચર થાય છે. સ્વર્ગ શોધવા આ ધરતી છોડીને કશે જવાની જરૂર શી ? એથી પણ આગળ વધીને કવિ ગાય છે કે સ્વર્ગ મારા દેહરૂપે મૂર્ત થઇને કૃતાર્થ થયું છે – સ્વર્ગ કૃતાર્થ થયું છે !!! મારા પ્રાણમાં સ્થાન પામેલું સ્વર્ગ આકાશમાં પણ ન સમય તેવડા આનંદથી મને જોઈ રહ્યું છે અને તેની અસર આ પ્રકૃતિ પર કેવી અદભૂત થઇ છે તે નિહાળો… સુખમાં સ્વર્ગ તો સૌને અનુભવાય, કવિને દુઃખમાં પણ ઈશ્વરકૃપા અનુભવાય છે.

(દિગંગના = દિક+અંગના = દિશારૂપી સુંદરી)

Comments (5)

એકલો જાને રે – રવીન્દ્રનાથ ઠાકુર

તારી જો હાક સૂણી કોઈ ના આવે, તો એકલો જાને રે !
એકલો જાને, એકલો જાને, એકલો જાને રે ! – તારી જો …

જો સૌનાં મ્હોં શીવાય,
ઓ રે ઓ રે ઓ અભાગી ! સૌનાં મ્હોં શીવાય,
જયારે સૌએ બેસે મ્હોં ફેરવી, સૌએ ફરી જાય,
ત્યારે હૈયું ખોલી, અરે તું મ્હોં મૂકી, 
તારા મનનું ગાણું, એકલો ગાને રે ! – તારી જો …  

જો સૌએ પાછાં જાય,
ઓ રે ઓ રે ઓ અભાગી ! સૌએ પાછાં જાય,
જયારે રણવગડે નીસરવા ટાણે, સૌ ખૂણે સંતાય,
ત્યારે કાંટા રાને, તું લોહી નીકળતે ચરણે
ભાઈ  એકલો ધા ને રે ! – તારી જો …

જ્યારે દીવો ના ધરે કોઈ,
ઓ રે ઓ રે ઓ અભાગી  ! દીવો ના ધરે કોઈ,
જયારે ઘનઘોર તુફાની રાતે બાર વાસે તને જોઈ,
ત્યારે આભની વીજે સળગી જઈ,
સૌનો દીવો તું એકલો થાને રે !

– રવીન્દ્રનાથ ઠાકુર
( અનુવાદ – મહાદેવભાઈ દેસાઈ )

ગાયક : ભાઈલાલભાઈ શાહ
(આભાર: મેહુલ શાહ)

[audio:http://dhavalshah.com/audio/TariJohak.MP3]

મૂળ બંગાળી રવિન્દ્રનાથના સંગીત સાથે :
ગાયક : કિશોરકુમાર

[audio:http://dhavalshah.com/audio/EkloJane.mp3]

રવિબાબુનું આ કાવ્ય અનિવાર્ય રીતે આકર્ષક છે. શબ્દો કોમળ છે અને દરેક પંક્તિ માં રવીન્દ્રનાથ છલકે છે. અર્થ સ્પષ્ટ છે – મનચાહ્યો  સંગાથ હોવો તો ઘણી સારી વાત છે જ,પરંતુ જયારે આપણે વણખેડાયેલા અથવા જોખમી માર્ગે ધપીએ છીએ ત્યારે સંગાથનો અભાવ આપણા પગની બેડી ન બની જાય તે કાળજી આવશ્યક છે. બાહ્યયાત્રા માટે આ વાત જેટલી સાચી છે તેટલી જ તે અંતરયાત્રા માટે પણ સાચી છે. સાથ ન દેનાર માટે આ કાવ્ય માં કોઈ કટુતા નથી તે આ કાવ્ય ની સુંદરતા છે. 

મૂળ બંગાળીમાં લખાયેલા ગીતનો અનુવાદ પણ ધ્યાનાકર્ષક છે. ગાંધીજી ની વિશેષ પ્રીતિ ને પામેલું આ ગીત Robert Frost ના કાવ્ય – Road  less traveled ની યાદ અપાવે છે.

Comments (7)

(તૈયાર છું) – રવીન્દ્રનાથ ટાગોર, અનુ.: શૈલેશ પારેખ

મને રજા મળી ગઈ છે.
મિત્રો, મને વિદાય આપો.
હું તમને સૌને વંદન કરીને વિદાય લઉં છું
મારા દરવાજાની ચાવી પાછી સોંપું છું
અને મારા ઘર પરના તમામ હક છોડી દઉં છું.
તમારીપાસે માત્ર અંતિમ પ્રેમભર્યા શબ્દો માગું છું.
આપણે ઘણો સમય એકબીજાના સાન્નિધ્યમાં રહ્યા
અને હું આપી શકું તેનાથી વધારે પામ્યો છું.
હવે પરોઢ થયું છે.
અને મારા અંધારા ખૂણાને અજવાળતો દીવો બુઝાઈ ગયો છે.
તેડું આવ્યું છે.
અને હું મારી મુસાફરી માટે તૈયાર છું.

– રવીન્દ્રનાથ ટાગોર
અનુ.: શૈલેશ પારેખ

ગઈકાલે ગાગરમાં સાગર સાઇટ પર રાજેન્દ્ર શાહના અંતિમ શબ્દો વાંચ્યા: “પણ આવતીકાલે હું હોઈશ તો ને ? આ તો ખોળિયું બદલવાનો ઉત્સવ છે. મારા અવસાન પછી કોઈ શોક મનાવશો નહિ. હું બિલકુલ સ્વસ્થતાથી જઈ રહ્યો છું.”

– આ વાંચીને ટાગોરની આ કવિતા યાદ આવી ગઈ. મૃત્યુ અફર છે એ જાણવા છતાં અને પ્રત્યેક શ્વાસ મૃત્યુ તરફની અનવરત ગતિ હોવાનું પૂર્ન જ્ઞાન હોવા છતાં દરેક મનુષ્ય પોતે કદી મરવાનો જ નથી એ જ રીતે જીવતો હોય છે અને મૃત્યુની એંધાણી મળે ત્યારે બહુધા સ્વસ્થ રહી શક્તો નથી. ઋષિકવિ જ મૃત્યુને આવકારી શકે. મરતી વખતે વિદાય લેવાની કવિની આ રીત ખરેખર તો જિંદગીનું ગૌરવગાન છે. ‘હવે પરોઢ થયું છે’ પંક્તિમાં આ કાવ્ય ખરો ઉજાસ પામે છે…

Comments (7)

ગીત મારાને શું હવે શણગાર ? – રવીન્દ્રનાથ ટાગોર (અનુ. સુરેશ દલાલ)

એક પછી એક અગળા કીધા સઘળા અલંકાર :
ગીત મારાને શું હવે શણગાર ? શું અહંકાર ?

ઉરની આપણ આડમાં આવે
અલંકારો એ કેમ ફાવે ?
જાય રે ડૂબી આપણી ઝીણી વાત, એને ઝંકાર,
ગીત મારાને શું હવે શણગાર ? શું અહંકાર ?

પીગળી ગઈ પલમાં મારી,
‘છું કવિ હું’ એની ખુમારી :
મહાકવિ ! તવ ચરણ કને બંધનનો નહીં ભાર :
ગીત મારાને શું હવે શણગાર ? શું અહંકાર ?

સરળ સીધું, વાંસળી જેવું :
જીવવું મારે જીવન એવું.
મધુર મધુર સૂરથી તમે છલકાવો સંસાર :
ગીત મારાને શું હવે શણગાર ? શું અહંકાર ?

– રવીન્દ્રનાથ ટાગોર
(અનુ. સુરેશ દલાલ)

આખી દુનિયા ફરીને માણસ ઘરે આવે ત્યારે જેવો સંતોષ થાય એવો સંતોષ આખી દુનિયાભરની કવિતાઓ વાંચ્યા પછી ટાગોરના ગીતો વાંચતા થાય છે. અને આ ગીતનો અનુવાદ પણ ખૂબ સરસ થયો છે. આટલી ભાવની તીવ્રતા અને શબ્દોની સાદગી બીજે ક્યાં જોવા મળવાની હતી. મૂળ અંગ્રેજી કાવ્ય (ગીતાંજલીમાં સાતમું કાવ્ય) અહીં નીચે મૂકું છું. સરખામણીથી ખ્યાલ આવશે કે ગીતસ્વરૂપે અનુવાદ કેટલો સરસ થયો છે.

My song has put off her adornments. She has no pride of dress and decoration. Ornaments would mar our union; they would come between thee and me; their jingling would drown thy whispers.

My poet’s vanity dies in shame before thy sight. O master poet, I have sat down at thy feet. Only let me make my life simple and straight, like a flute of reed for thee to fill with music.

Comments (1)

Heaven of Freedom – રવીન્દ્રનાથ ઠાકુર

જ્યાં રહે મન નિર્ભય અને
શિર ઉન્નત ને 
હો જ્ઞાન મુક્ત,

જ્યાં સંકુચિત મનોવૃત્તિથી
નથી જગત વિભાજિત
અને સત્યના ઊંડાણેથી
થતા શબ્દ ઉદ્ ભવિત,

જ્યાં સત્યની શોધ
સદા અવિરત, અસ્ખલિત,

જ્યાં તર્કનો શુધ્ધ નિર્ઝર
ન સુકાતો રૂઢિના રણે
અને સદા વિસ્તરતા વિચાર અને
કર્મના ગગને અનુસરે
મન તારા પગલે,

હે, નાથ!
જગવ મુજ દેશને
એ મુક્તિના સ્વર્ગે.

રવીન્દ્રનાથ ઠાકુર

ભાષાંતર – શૈલેશ પારેખ

Where the mind is without fear,
and the head is held high.

Where knowledge is free.

Where the world has not broken up
Into small fragments
by narrow domestic walls.

Where words come out
from the depth of truth.

Where tireless striving stretches
Its arms towards perfection.

Where the clear stream of reason
Hasn’t lost its way,
Into dreary, desert sand of dead habit.

Where the mind is led forward by Thee
Into ever-widening thought and action.

Into that heaven of freedom, O, father!
Let my country awake.

Ravindranath Tagore

ભારતને આઝાદ થયે સાઠ વર્ષ પુરા થશે.
આમાંની કેટલી આઝાદી દેશવાસીઓ પામ્યા?

Comments (1)

કરો રક્ષા વિપદમાંહી – રવીન્દ્રનાથ ઠાકુર

કરો રક્ષા વિપદમાંહી , ન એવી પ્રાર્થના મારી.
વિપદથી ના ડરું કો’દી, પ્રભુ એ પ્રાર્થના મારી.

ચહું દુઃખ તાપથી શાંતિ, ન એવી પ્રાર્થના મારી.
સહુ દુઃખો શકું જીતી, પ્રભુ એ પ્રાર્થના મારી.

સહાયે કો ચડે આવી, ન એવી પ્રાર્થના મારી.
તૂટે ના આત્મબળ દોરી, પ્રભુ એ પ્રાર્થના મારી.

મને છળ હાનિથી રક્ષો, ન એવી પ્રાર્થના મારી.
ડગું ના આત્મ પ્રતીતિથી, પ્રભુ એ પ્રાર્થના મારી.

પ્રભુ તું પાર ઊતારે, ન એવી પ્રાર્થના મારી.
તરી જવા ચહું શક્તિ, પ્રભુ એ પ્રાર્થના મારી.

તું લે શિરભાર ઉપાડી, ન એવી પ્રાર્થના મારી.
ઉઠાવી હું શકું સહેજે, પ્રભુ એ પ્રાર્થના મારી.

સુખી દિને સ્મરું ભાવે, દુઃખી અંધાર રાત્રીએ
ન શંકા તું વિશે આવે, પ્રભુ એ પ્રાર્થના મારી.

– રવીન્દ્રનાથ ઠાકુર

ભારતના મહાકવિની આ રચના બહુ જ જાણીતી છે. પણ અનુવાદ કોણે કરેલો છે તે ખબર નથી.

Comments

ગીતાંજલી – 67 -રવીન્દ્રનાથ ઠાકુર

તું છે આકાશ મારું અને તું જ મારો માળો.

હે સુંદર, માળામાં
તારો પ્રેમ, મારા આત્માને વીંટાળતો નાદમાં, રંગમાં, સુગંધમાં.

દક્ષિણ હસ્તે, સુવર્ણપાત્રે, સૌંદર્યમાલા ધરી,
પધરામણી ત્યાં પ્રભાતની, દેતી ધરતીને વધામણી.

ત્યાં સંધ્યા પથરાતી મેદનીવિહીન મેદાને,
સાથે લાવતી શીતલ, શાંત સમીર, ભરી એના સુવર્ણકળશે.

પણ જ્યાં આત્મા મુક્ત વિચરતો, તે અનંત આકાશે
દશ દિશા ચમકતી નિષ્કલંક, નિરભ્ર, શુભ્ર, તેજપુંજે.
ન દિવસ, ત્યાં ન રાત, ન રંગ ત્યાં ન આકાર,
અને શબ્દનો સદંતર અભાવ.

-રવીન્દ્રનાથ ઠાકુર
અનુવાદ – શૈલેશ પારેખ

ગીતાંજલીના ગુજરાતીમાં નવ અનુવાદ થયા છે. એમાં સૌથી છેલ્લો શ્રી શૈલેશ પારેખે કરેલો અનુવાદ છે. મૂળ અંગ્રેજી (જે પોતે પણ બંગાળી પરથી અનવાદ છે) પરથી કરેલો આ સરળ અને સહજ અનુવાદ તરત મનમાં વસી ગયો. રવીન્દ્રનાથની આ સનાતન કવિતાઓ આમ પણ કાળ અને ભાષાના બંધનોથી ક્યાંય પર છે. એમાં સંઘરાયેલા અર્થ અને વિસ્મય ધીરે ધીરે ખૂલે છે અને તમારા પોતાના મનની સ્થિતિ પ્રમાણે બદલાય પણ છે.
(નિરભ્ર=વાદળાં વિનાનું)

Comments (1)