મૈત્રીના વર્તુળોમાં જનારાની ખૈર હો,
નીકળી નહીં એ નાવ જે પહોંચી ભંવર સુધી.
બરકત વિરાણી 'બેફામ'

કરો રક્ષા વિપદમાંહી – રવીન્દ્રનાથ ઠાકુર

કરો રક્ષા વિપદમાંહી , ન એવી પ્રાર્થના મારી.
વિપદથી ના ડરું કો’દી, પ્રભુ એ પ્રાર્થના મારી.

ચહું દુઃખ તાપથી શાંતિ, ન એવી પ્રાર્થના મારી.
સહુ દુઃખો શકું જીતી, પ્રભુ એ પ્રાર્થના મારી.

સહાયે કો ચડે આવી, ન એવી પ્રાર્થના મારી.
તૂટે ના આત્મબળ દોરી, પ્રભુ એ પ્રાર્થના મારી.

મને છળ હાનિથી રક્ષો, ન એવી પ્રાર્થના મારી.
ડગું ના આત્મ પ્રતીતિથી, પ્રભુ એ પ્રાર્થના મારી.

પ્રભુ તું પાર ઊતારે, ન એવી પ્રાર્થના મારી.
તરી જવા ચહું શક્તિ, પ્રભુ એ પ્રાર્થના મારી.

તું લે શિરભાર ઉપાડી, ન એવી પ્રાર્થના મારી.
ઉઠાવી હું શકું સહેજે, પ્રભુ એ પ્રાર્થના મારી.

સુખી દિને સ્મરું ભાવે, દુઃખી અંધાર રાત્રીએ
ન શંકા તું વિશે આવે, પ્રભુ એ પ્રાર્થના મારી.

– રવીન્દ્રનાથ ઠાકુર

ભારતના મહાકવિની આ રચના બહુ જ જાણીતી છે. પણ અનુવાદ કોણે કરેલો છે તે ખબર નથી.

Leave a Comment