જોઈ કુબેરી ભાગ્ય હથેળીમાં ખુશ ન થા,
સંભવ છે ખાલી હાથનો કિસ્સો ફરી બને.
શૂન્ય પાલનપુરી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ઉમાશંકર જોશી

ઉમાશંકર જોશી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ફાગણ ફોરમતો આવ્યો રે…. રંગછોળ : ૦૨

ગઈકાલે આપણે ફાગણવિષયક કાવ્યકડીઓની પ્રથમ રંગછોળથી રંગાયા… આજે ધૂળેટીના દિવસે વારો છે બીજી રંગછોળથી ભીંજાવાનો-રંગાવાનો…

ફાગણમાં પ્રકૃતિ તો અવનવા રંગે રંગાય જ છે, મનુષ્યો પણ હોળી-ધૂળેટીના બહાને રંગોથી રંગાવાનું ચૂકતા નથી. કહો કે, માનવ આ રીતે કુદરત સાથે બે’ક ઘડી તાદાત્મ્ય સાધી લે છે. ઝવેરચંદ મેઘાણીના બે કાવ્યોના અંશ માણીએ-

આજ ફાગણને ફાગ, રુમઝૂમતી રમવા નીસરી;
આજ ગલ ને ગુલાલ છાંટન્તી રમવા નીસરી;
રમવા નીસરી, મુખ રાતાં કરી રે.

ફાગણ આયો, ફાગણ આયો, ફાગણ આયો રે!
ઋતુઓ કેરો રાજન આયો- ફાગણ આયો રે!

દેશળજી પરમાર જેવા કવિ પણ વસંતની હોરીથી કિનારો કરી શક્યા નથી-

પિય, આવી વસંતની હોરી;
નિજ લાવી અધર-કટોરી.

બધા તહેવારોમાં હોળીનો તહેવાર શ્રેષ્ઠ છે એ વાત રા. વિ. પાઠક હોળીના રમતિયાળ હળવા હાસ્યવિનોદ સાથે કેવી સરસ રીતે સમજાવે છે! કાવ્યાંશ માણીએ-

બ્રાહ્મણ ગાતા વેદ, બળેવને દિન નાહી ધોઈ;
પણ નાતજાતના ભેદ: હોળીથી હેઠા બધા!
સૌ સૌએ તહેવાર, એક લાલ ટપકું ભાલે ધરે,
આ તો રેલે અબીલ ગુલાલ : હોળીથી હેઠા બધા!

બાલમુકુંદ દવેના ગીતોમાં ફાગણ સોળે કળાએ ખીલતો દેખાય છે. એક કાવ્યમાં વહેલા-મોડા બધા જ આ રંગોમાં રંગાયા વિના રહી શકવાના જ નથીનો કુદરતનો કાનૂન આલેખે છે તો બીજા કાવ્યમાં જરા બારી ઉઘાડી નથી કે ફાગણવાયુના કમાલનો શિકાર થયા નથીની ચીમકી એ આપે છે-

ફાગણ ફટાયો આયો, કેસરિયા પાઘ સજાયો
વરણાગી મન લુભાયો, રંગ છાયો રંગ છાયો રે.
કો રંગ ઊડે પિચકારીએ, કેસૂડે કામણ ઘોળ્યા
કોઈ ના કોરૂ રહી જશે, જી કોઈ મોડા કોઈ વ્હેલા!

દિલદડૂલો સમાલજે ગોરી!
ફાગણવાયુ કમાલ છે હોરી!
બા’ર જો ડોકાશે બારી ઉઘાડી,
વાગશે કો’કના નેણની ગેડી!’

નિનુ મજમુદારની રચનામાં પોતાને છોડીને અન્ય સ્ત્રીના રંગે રંગાતા દિલફેંક પિયુની વાત કેવી નજાકતથી રજૂ થઈ છે એ જોવા જેવું છે-

સઘળા રંગો મેં રોળ્યા દિલના રંગની સાથ
તોય પીયુની પાઘડીએ પડી કોઈ અનોખી ભાત

બધા જ કવિ ફાગણના રંગે રંગાતા હોય તો ઉમાશંકર જોશી કંઈ બાકાત રહે? જુઓ આ-

ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય કે ચૈતર કોણે દીઠો રે લોલ;
વ્હાલા મોરા, જોબન ઝોલાં ખાય કે ઝૂલણો લાગે મીઠો રે લોલ.

બહેકે જૂઈ ચમેલડી, બહેકે મલયસમીર
ફરકે મઘમય મ્હેંકતા વનદેવીના ચીર
પલાશ પુષ્પિત શોભતો જાણે દવની ઝાળ
વન વન આંચ લગાડતો ફાગણ ભરતો ફાળ

‘ફાગ ખેલો! રાગ રેલો! આજ આવી ફાગણી!’
હવા ગાતી ફરે ઘર ઘર મઘુરમદીલી રાગણી

વિશ્વનો આનંદ ઢૂંઢતી જોગણ ફાગણી આવી
ચાંદની એનો અંચળો શોભન ફાગણી આવી

ફાગણ ફૂલ્યો ફુલડે, જાણે સુહાગી ફાગ
કંઠે આવી ઉછળે હરદમ ભર્યો જે રાગ

હવા મહીં કો’ વેરતું આછો અબીલગુલાલ
હસી ઉઠે, છંટાય ત્યાં, હૈયા લાલમલાલ

રાજેન્દ્ર શાહ તો જાણે ફાગણ વેચવા ન નીકળ્યા હોય એમ કોઈ ફાગણ લ્યોની આહલેક જગાવતા નીકળી પડ્યા છે… એમના ત્રણેક કાવ્યોના રસિકાંશ માણીએ-

હે જી ફાગણ આયો ફાંકડો કોઈ ફાગણ લ્યો
એના વાંકડિયો છે લાંક રે કોઈ ફાગણ લ્યો

હો સાંવર થોરી અંખિયનમેં જોબનિયું ઝૂકે લાલ,
મોરી ભીંજે ચુંદરિયા, તું ઐસો રંગ ન ડાલ
હો સાંવર લીની કેસર ઝારી, મૈને લીનો ગુલાલ

દુનિયા કેરા ચોકમાં આજે કોણ છોરી કોણ છેલ?
ગાનમાં ઘેલાં, રંગમાં રોળ્યાં રમતાં રે અલબેલ!
આવી સુખ સુહાગન વેળ, ચારિ ઓર લાલ ઉડાયો રી.
ફાગુન આયો રી!

નિરંજન ભગત જેવા ગંભીર પ્રકૃતિના કવિ પણ વસંતના રંગથી બચી શક્યા નથી-

વસંતરંગ લાગ્યો! કુંજ કુંજ પલ્લવને પુંજ પ્રાણ જાગ્યો!

તો સામા પક્ષે વેણીભાઈ પુરોહિત તો જીવ જ રંગ અને રસના… ફાંકડો ફાગણ એમની કલમે સિરસ્થાન ન પામે તો જ નવાઈ કહેવાય, ખરું ને?

ફાગણ લાવ્યો ફૂલડાં ને વસંત લાવી રંગ:
ફાગણ ફાંકડો.
લડાવે પિચકારીના પેચ,
કરે છે લોચનિયાં લે-વેચ,
ખુશીની ચાલે ખેંચા-ખેંચ-
રંગમાં રંગ મટોડી
રમે રૂદિયામાં હોળી!
ફાગણ ફાંકડો.

સુન્દરમ્ સંતોષી જીવ છે. એમને આખી દુનિયાનો ખપ જ નથી…. કામણગારા કેસૂડાનું એક જ ફૂલ મળે એટલામાંય એમનું ચિત્ત તો રાજી રાજી…

મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરા
કેસૂડો કામણગારો જી લોલ.

જયન્ત પાઠકના એક ખૂબ મજાના ગીતનો ઉપાડ જોવા જેવો છે:

વસંતને ક્હેજો કે એકલી ના’વે:
પલ્લવના પાલવમાં મઘમઘતી એકબે
મંજરીઓ લીમડાની લાવે
કે એકલા હૈયાને ઓછું ના આવે!

હોળીમાં રંગ લઈને નીકળતા ઘેરૈયા હવે તો આપણી લોકસંસ્કૃતિનો ભૂતકાળ બનવા આવ્યા છે. ગામડાંઓમાં હજી આ પ્રથા ક્યાંક ક્યાંક જોવા મળે છે. હોળીના ઘેરૈયાની અડોઅડ સૃષ્ટિના ઘેરૈયાને મૂકીને કવિ પ્રહલાદ પારેખના ઉત્તમ સર્જન ‘ઘેરૈયા’ની આખરી બે પંક્તિઓ જોઈએ-

અમે ઘેરૈયા સૌ બહુ બહુ ઘૂમી શોધ કરતા,
કહીં ઘેરૈયો એ, કહીં છૂપવિયો રંગનિધિ આ?

જગદીશ ધનેશ્વર ભટ્ટની મજાની રચનાનો અંશ પણ પ્રમાણવા જેવો છે-

શો ફાગણ કેરો લટકો!
મઘમઘતી કળીઓની સંગે રમતો અડકો દડકો
ખળખળ વહેતા મૌન વચાળે કોણ ભરે રે ચટકો!
શો ફાગણ કેરો લટકો!

રંગ અવધૂત જેવા સંત પણ ફાગણમાં વિરહી નારનું પ્રતીક લઈને ઈશ્વર માટેની આરત પ્રગટ કરવાથી બચ્યા નથી. ફુલ્લકુસુમિત કેસુડાથી બગીચો ખીલી ઊઠ્યો હોય અને સખીસહેલી હોળી રમવામાં મગ્ન હોય તોય જેના મનમાં વિરહની હોળી સળગે છે એને તો તન ખાખ થઈ રહ્યું હોવાની અનુભૂતિ જ થાય ને! પ્રેમની ભભૂતિ અંગે ચોળીને એ પિયુ પિયુની માળા જપી રહી છે.

કુસુમાકર કેસૂડે ખીલ્યો, ભર પિચકારી માર;
સખી સાહેલી હોળી ખેલે, એકલડી હું નાર!
ઘર ઘર હોળી કાષ્ઠ જલાવે, મન હોળી તન ખાખ,
પ્રેમ-ભભૂતી ચોળી અંગે, ‘પિયુ પિયુ’ ફેરું માળ.

Comments (16)

મળી માતૃભાષા મને ગુજરાતી…

આજે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે. બાંગલાદેશ જ્યારે પૂર્વ-પાકિસ્તાન હતું ત્યારે ઉર્દૂ ભાષાને રાષ્ટ્રભાષા તરીકે માથા પર મારી બેસાડવાની આજના પાકિસ્તાનની ચેષ્ટા સામે 1952ની સાલમાં આજના દિવસે હજારો વિદ્યાર્થીઓ અને ભાષાશાસ્ત્રીઓ-પ્રેમીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. પોલિસે કરેલ અંધાધૂંધ લાઠીમાર અને ગોળીબારમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા પણ આ ઘટનાનો પડઘો આખી દુનિયામાં પડ્યો. બંગાળી બાંગ્લાદેશની માતૃભાષા બની અને બાંગ્લાપ્રજાએ પોતાની ભાષા માટે દાખવેલ અપ્રતિમ પ્રેમના માનમાં 2000ની સાલથી યુનેસ્કોએ આજના દિવસને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું.

આજે લયસ્તરો પર માતૃભાષાનો મહિમા અને ચિંતા કરતી કેટલીક કાવ્યકડીઓ વડે આપણે પણ આપણી ભાષાના સંવર્ધન માટે પ્રતિબદ્ધ અને કટિબદ્ધ થઈએ… પણ પહેલાં કેટલીક પ્રતિજ્ઞા લઈએ-

• ઘરમાં અને રોજમરોજના વ્યવહારમાં ગુજરાતી ભાષાના પ્રયોગને પ્રાધાન્ય આપીશું. ખાસ કરીને બાળકો સાથે ફક્ત માતૃભાષામાં જ વાત કરીશું અને એમને પણ આપણી સાથે માતૃભાષામાં જ વાત કરવાની ટેવ પાડીશું.

• રોજ ઓછામાં ઓછો અડધો કલાક સત્વશીલ ગુજરાતી સાહિત્યનું વાંચન કરીશું. વૉટ્સએપિયા અને ફેસબુકિયા સાહિત્યનો પ્રયોગ વિવેકબુદ્ધિથી કરીશું

• મોબાઇલમાં ઓનલાઇન ગુજરાતી શબ્દકોશો અને જોડણીકોશોની એપ ડાઉનલોડ કરી એનો નિયમિત વપરાશ કરવાની આદત કેળવીશું. (ભગ્વદગોમંડલ, ગુજરાતી લેક્સિકોન અને સાર્થ ગુજરાતી જોડણીકોશ)

• મોબાઇલ પર ગુજરાતી ભાષામાં લખતી વખતે ભાષાશુદ્ધિ તરફ ખાસ ધ્યાન આપીશું

હવે થોડી કાવ્યકણિકાઓ:

દલપતરામે મહારાજા ખંડેરાવ પાસે ગુજરાતી ભાષાના પુસ્તકાલય માટે હિંમતભેર ધા નાંખી ધાર્યું કરાવ્યું હતું… બે’ક કડી જોઈએ:

આવ ગિરા ગુજરાતી તને, અતિ શોભિત હું શણગાર સજાવું;
જાણની પાસ વખાણ કરાવું, ગુણી જનમાં તુજ કીર્તિ ગજાવું;
દાખે દલપતરામ ખુદાવંદ ખંડેરાવ,
રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું.

વાત ગુજરાતી ભાષાની હોય અને ઉમાશંકર જોશીને યાદ ન કરીએ એ કેમ ચાલે?:

સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગુજરાતી.

ઉમાશંકરે જ બહુ તાર્કિક સવાલ પણ કર્યો છે-

એ તે કેવો ગુજરાતી
જે હો કેવળ ગુજરાતી ?
હિંદભૂમિના નામે જેની ઊછળે ના છાતી?

વિનોદ જોશીએ બહુ માર્મિક જવાબ આપ્યો-

હું એવો ગુજરાતી જેની;
હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી….
હું સાવજની ત્રાડ, હું જ ગરવી ભાષા લચકાતી…
હું ગિ૨નારી ગોખ, દ્વારિકા હું જ સુધા૨સ પાતી….

અરદેશર ખબરદારની ઉક્તિ તો કહેવત બની એક-એક ગુજરાતીનો હૃદયધબકાર બની રહી છે-

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
જ્યાં જ્યાં ગુજરાતી બોલાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત.

ઉશનસ્ શું કહી ગયા એય સાંભળીએ:

સહજ, સરલ મુજ માતૃભાષા, મા સમ મીઠી-વ્હાલી,
જેનાં ધાવણ ધાવી ધાવી અંગ અંગ મુજ લાલી,
જેના ઉદગારે ઉદગારે ઊછળતી મુજ છાતી,
ધન્ય ગિરા ગુજરાતી, મારી ધન્ય ગિરા ગુજરાતી.

તો ખલીલ ધનતેજવીનો હુંકાર પણ કંઈ જેવો તેવો નથી-

વાત મારી જેને સમજાતી નથી;
એ ગમે તે હોય ગુજરાતી નથી.!

તુષાર શુક્લ પણ આ જ વાત કહે છે, પણ મિજાજ પોતાના સ્વભાવ મુજબ જ ઋજુ રાખીને:

શબ્દ એક પણ લખી બોલી ના બિરદાવું ગુજરાતીને
ગુજરાતીનો મહિમા, શાને સમજાવું ગુજરાતીને!

વિશ્વપ્રવાસી રઈશ મનીઆરે પણ વિશ્વસાહિત્યના આચમન બાદ પણ પોતાના ધબકારાની ભાષા બદલાઈ ન જાય એની તકેદારી રાખી છે:

મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે.
ભૂંસાવા કયાં દીધો કક્કો, હજી પાટીમાં રાખ્યો છે.
મલક કંઈ કેટલા ખૂંદયા, બધાની ધૂળ ચોંટી પણ,
હજુ પણ મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે.

તો રઈશ મનીઆરે જ ભાષા માટે અદકેરી ચિંતા અને આવનારી પેઢી સામેના પડકારને ગાગરમાં સાગર પેઠે શબ્દસ્થ કર્યો છે:

પુત્રમાં શોધું છું ગુજરાતીપણું, શું મેં વાવ્યું ને હવે હું શું લણું?
આ વસિયત લે લખી ગુજરાતીમાં પુત્ર એ વાંચી શકે તોયે ઘણું.

રઈશ મનીઆરની ચિંતામાં વિકી ત્રિવેદી પણ સૂર પૂરાવે છે-

એથી આશા ઘાયલ થઈ છે,
મારી ભાષા ઘાયલ થઈ છે.

પણ રમેશ આચાર્યને આવી પરિસ્થિતિમાં કાળા વાદળની કોરે સોનેરી આભા વર્તાય છે:

હું છું અને મારી ભાષા છે;
કૈક થશે એવી આશા છે!

આવી જ કંઈક આશા પીયૂષ ભટ્ટ પણ સેવી રહ્યા છે-

કેવળ એ અભિલાષા,
સકળ જગતને ખૂણે ખૂણે પહોંચે મારી ભાષા.

કેશુભાઈ દેસાઈની અભિલાષા પણ મનોરમ્ય છે:

ત્રિલોકમાં ને નવે ખંડ તુજ ફોરમ રહો છવાતી,
તું ઘણું જીવો ગુજરાતી

હરીશ જસદણવાળા લિપિની વિશિષ્ટતાને ખપમાં લઈ મજાનું ભાષાકર્મ કરી બતાવે છે:

વાંચે કાનો, બોલે રાધા,
છે એવી ગુજરાતી ભાષા!

પણ આજે હાલત એવી છે કે આજની પેઢીને ઉમાશંકર-સુંદરમ-મુનશી-પન્નાલાલ વગેરે મૂર્ધન્ય સાહિત્યકારોની ગુજરાતી પરદેશની ભાષા જેવી અજાણી લાગવા માંડી છે. હરદ્વાર ગોસ્વામી આપણને આ બાબતે અજરામર શેર આપે છે:

એના કરતાં, હે ઈશ્વર! દે મરવાનું,
ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું!

અદમ ટંકારવી આંગ્લભાષા સામે વિલાઈ જતી ગુજરાતીનો ખરખરો કેવો હૃદયંગમ રીતે કરે છે-

આંગ્લકન્યા જોઈ વિલાઈ ગયું
ગુર્જરીનું રૂપ નજરાઈ ગયું
સોળ શણગારો સરર સરકી ગયા
સેંથીનું સિંદૂર ભૂંસાઈ ગયું

પન્ના નાયક એમના એક લઘુકાવ્યની પ્રારંભે માતૃભાષાની સર્ળ પણ મજાની વ્યાખ્યા આપે છે:

આપણને
જે ભાષામાં સપનાં આવે

આપણી માતૃભાષા.

રવીન્દ્ર પારેખે પણ એ જ રીતે ગુજરાતી ભાષાની દુર્દશા પર લખેલ કવિતાના પ્રારંભે માતૃભાષાની સ-રસ વ્યાખ્યા કરી છે:

જન્મનું નિમિત્ત પિતા છે
પણ જન્મ આપે છે માતા
એ દૂધ નથી પાતી
ત્યારે ભાષા પાય છે
એ પાય છે તે
તળની ભાષા છે.

તો વિપિન પરીખ એક કાવ્યના અંતે પોતાને માતૃભાષા ગમવાનું પ્રમુખ કારણ છતું કરે છે:

બા નવી નવી ‘ડીશ’ શીખવા ‘Cooking Class’માં ગઈ નહોતી.
છતાં ઇંગ્લિશ નામ ખડક્યા વગર એ થાળીમાં જે મૂકતી
તે બધું જ અમૃત બની જતું.
મને મારી ભાષા ગમે છે.
કારણ મને મારી બા ગમે છે.

ડૉ. મનોજ જોશી ‘મન’ પણ મજાનું મુક્તક આપે છે:

પ્રેમ, ખુશી ને પીડમાં કાયમ વ્હારે ધાતી;
ક્રોધ, વિવશતા, ચીડમાં સ્હેજે ના શરમાતી;
દુનિયાનાં આ નીડમાં ટહુકા કરતી! ગાતી;
ભાષાઓની ભીડમાં નોખી છે ગુજરાતી!

શબનમ ખોજા પણ શબનમ જેવો તાજો-મુલાયમ શેર કહે છે:

મારા લોહીનું એ ગુજરાતીપણું
ટેરવાની ટોચ પર કક્કો ફૂટે!

ભાવિન ગોપાણી અમદાવાદના અને અમદાવાદીથી સારો વ્યવહારુ ગુજરાતી બીજો કોણ હોય? જુઓ તો-

ઈશારાથી કીધું બચાવો તો સમજ્યું ન કોઈ,
જો ભાષાના શરણે ગયો તો બચાવ્યો છે સૌએ.

જગદીપ નાણાવટી પણ દેશદેશાવરમાં આપણી ભાષાનો સિક્કો પાડવા કૃતનિશ્ચયી જણાય છે:

ચટ ને પટ, કે ક્રોસ-કિંગ હો, દુનિયાને હર ખૂણે
જ્યાં પણ પડશે, પડશે મારી ગુજરાતીનો સિક્કો

અંતે માતૃભાષાની સમસ્યા અને ઉકેલ બંનેને રજૂ કરતા વિવેક મનહર ટેલરના થોડા શેર માણીએ વિરમીએ-

આડે-અવળે નહીં, સીધા સામા મળો,
દિલ સુધી પહોંચો એ આશામાં મળો;
‘હાય-હેલ્લો’ છોડો, પૂછો- ‘કેમ છો?’
મળવું છે? તો માતૃભાષામાં મળો.

માતૃભાષાની દશા પર દિલ દ્રવે,
કેટલું ને ક્યાં સુધી રડવું હવે?
આ તરફ રંગમંચ છે, ત્યાં બ્રોડ-વે,
જોઉં, દીકરો કોને કેટલું સાચવે?

પહોંચીશું બધા ઘરમાં અમે નેટના રસ્તે,
મા ગુર્જરીનું એમ જીવતદાન બનીશું.

– વિવેક મનહર ટેલર

Comments (10)

પિતૃવિશેષ: ૦૨ : પિતાનાં ફૂલ – ઉમાશંકર જોશી

અમે જેની ખાંધે વજન ફિકરોનું થઈ ફર્યા
બધે આયુર્માર્ગે, જગની ગલીકૂંચી વિવિધમાં,
ચડાણે, ઊંડાણે શિરવિટમણાઓ થઈ ભમ્યા;
અમે લાવ્યા એ રે શરીર નિજ ખાંધે ઊંચકીને,
અહીં લાવ્યા એ રે શરીર નિજ ખાંધે જનકનું.

અને જેનાં હાડે પૂરવજદીધી પ્રાણસરણી
પુરાણી પોષાઈ વહી અમ મહીં કૌતુકવતી,
અમે આવ્યા એ રે નિજ જનકના હાડઢગની
પડી સાનીમાંથી અગનબચિયાં ફૂલ વીણવા.

ભરી વાળી સાની ધખ ધખ થતી ટોપલી મહીં,
અને પાસે વ્હેળો ખળળ વહતો ત્યાં જઈ જળે
ડબોળી, ટાઢોળી, જરીક હલવી, ને દૂધ સમા
પ્રવાહે સ્વર્ગંગાજલ થકી શકે તારક વીણ્યા!

વીણ્યા તારા, ફૂલો જગનું બધું યે સુંદર વીણ્યું,
ન લાધે સ્હેજે જે, શિવ સકલ આજે મળી ગયું;
શમ્યા મૃત્યુશોકો, અમર ફરકંતી નીરખીને
પિતાનાં ફૂલોમાં ધવલ કલગી વિશ્વક્રમની…

– ઉમાશંકર જોશી

“પિતૃવિશેષ”નું બીજું પગલું ઉમાશંકરની કલમે. જે પિતા તમારી જવાબદારી આખી જિંદગી પોતાના ખભે રાખી હોય એ જ પિતાને આખરે એક દિવસ ખભે ઊંચકીને લઇ જવાનો વારો આવે છે. અંતિમસંસ્કાર પછી અસ્થિના ફૂલમાં કવિને વિશ્વક્રમના દર્શન થાય છે. પિતાએ એમના પિતાને આ જ રીતે વિદાય આપી હશે અને એક દિવસ મારો પુત્ર પણ મને આ જ રીતે વિદાય આપશે. આ ક્રમ સમજાતા મૃત્યુનો શોક શમી જાય છે. આમ પિતા પોતાના અસ્થિ દ્વારા પણ પુત્રને એક આખરી સમજ આપતા જાય છે.

આ કવિતામાં મનને શાતા આપવાની અદભુત શક્તિ છે.  

મારા પોતાના માટે આ કવિતા બહુ ખાસ છે. મારા દાદા જ્યારે ગયા ત્યારે પપ્પાએ મારી સાથે બેસી આ કવિતા વાંચી સમજાવેલી. ગયા વર્ષે જયારે મારા પપ્પા ગયા ત્યારે મેં મારા દીકરા સાથે બેસીને ફરી આ જ કવિતા વાંચેલી. એવી આશા કરું છું કે એક દિવસ જ્યારે મારે જવાનું થાય ત્યારે અમેરિકા દેશમાં ઢચુપચુ ગુજરાતી સમજતો મારો દીકરો એનાથી ય ઓછું ગુજરાતી સમજતા એના દીકરાને આ કવિતાની મદદથી વિશ્વક્રમની ઓળખાણ કરાવશે. 

Comments (3)

લાઠી સ્ટેશન પર – ઉમાશંકર જોશી

દૈવે શાપી
તેં આલાપી
.             દ્વય હૃદયની સ્નેહગીતા કલાપી !

દૂરેઽદૂરે
હૈયાં ઝૂરે
.             ક્ષિતિજ હસતી નવ્ય કો આત્મનૂરે.

તે આ ભૂમિ
સ્નેહે ઝૂમી,
.             સદય દૃગથી આજ મેં ધન્ય ચૂમી.

– ઉમાશંકર જોશી

(લાઠી સ્ટેશન, ૧૬-૧૦-૧૯૪૮)

અમેરેલી જઈએ અને ર.પા.ને યાદ ન કરીએ એ જેમ ન બને એ જ રીતે લાઠી ગયા હોઈએ અને કલાપી યાદ ન આવે એ કેમ બને? લાઠીના રેલવે સ્ટેશન પર સ્વાભાવિકપણે જ ઉ.જો.ને કલાપી યાદ આવ્યા હશે. એકબીજા સાથે જોડાયેલ બે હૃદયોની સ્નેહગીતાને નસીબનો શાપ મળ્યો હોવા છતાં જેણે આલાપી હતી એ કલાપીને એમના નગરના જ રેલવે સ્ટેશન ઉપર બેઠા બેઠા ઉમાશંકરે ચિરસ્મરણીય કાવ્યાંજલિ આપી છે. મંદાક્રાન્તા છંદના પ્રથમ ચાર ગુરુને બે પંક્તિઓમાં બેવડાવીને ખંડા મંદાક્રાન્તા છંદમાં ગુજરાતી કવિતાના એક શિખરે ગુજરાતી કવિતાના એક અગત્યના માઇલસ્ટોનને કેવી સ-રસ રીતે બિરદાવ્યો છે!

Comments (6)

ધારાવસ્ત્ર – ઉમાશંકર જોશી

કોઈ ઝપાટાભેર ચાલ્યું જાય,
ક્યાંથી, અચાનક…
સૂર્ય પણ જાણે
ક્ષણ હડસેલાઈ જાય.
ધડાક બારણાં ભિડાય.
આકાશમાં ફરફરતું ધારાવસ્ત્ર
સૃષ્ટિને લેતું ઝપટમાં
ઓ…પણે લહેરાય.
પૃથ્વી-રોપ્યાં વૃક્ષ એને ઝાલવા
મથ્યાં કરે — વ્યર્થ હાથ વીંઝ્યાં કરે.

– ઉમાશંકર જોશી

સંક્ષિપ્ત આસ્વાદ કવિશ્રી સંજુ વાળાની કલમે માણીએ:
સંપૂર્ણ આસ્વાદ માટે અહીં ક્લિક કરો.

પરમ પ્રકૃતિપુરુષની રમ્ય-રૌદ્ર લીલા

કવિને પ્રિય એવા કોઈ વર્ષાકાળે થયેલા અગમ્ય અને વિસ્મયભર્યા નભદર્શનથી સર્જાયેલું આ કાવ્ય છે. રસરાગી અને ચૈતન્યભાગી આપણા આ કવિના દર્શનમાં વર્ષાજળ વરસાવતાં, વિહરતાં વાંદળાં મેઘપુરુષનો ખેસ લહેરાતો હોય એવાં ભાસે અને કવિ એને ‘ધારાવસ્ત્ર’ કહે. માત્ર બે-ત્રણ શબ્દોની એક એવી દસ જ પંક્તિમાં કવિ વિરાટ, ભવ્ય અને આશ્ચર્યચકિત કરનાર ચિત્ર આ કાવ્ય રજૂ કરે છે. એટલે આ નાના કદનું પણ વિરાટ રહસ્યગર્ભે વિસ્તરતું કાવ્ય છે. પાંચેક જેટલા ક્રિયાપદો કાવ્યને ગતિ આપે છે જે ધારાવસ્ત્ર ઊડતું, ફરફરતું હોવાની પ્રતીતિ કરાવે છે. અને તેની ઉચિતતા પણ સ્થાપે છે.

કાવ્યના ઉઘાડની પંક્તિઓ જ કેવી રહસ્યમય અને વિસ્મિત કરનારી છે ! કોઈ પ્રચંડ અસ્તિત્વ આકાશવિહારે નીકળ્યું છે એની ચાલ કેવી તો કહે ‘ઝપાટાભેર’ એના આગળ-પાછળ થતા અજાનબાહુથી પવન સૂસવાટા મારતો હશે. આકાશ થોડું થરથર્યું હશે. એટલે જ તો દેવાધિદેવ સૂર્ય પણ બાજુ પર ખસ્યો નથી હડસેલાઈ ગયો છે. આ સાદ્શ્ય હજી તો માંડ પ્રત્યાયન પામે ત્યાં એક સાથે દૃષ્ટિ અને શ્રવણેન્દ્રિયને જગાડતી પંક્તિ સંભળાય છે : ‘ધડાક બારણાં ભિડાય.’ આ પ્રચંડ ધડાકાથી બારણા બિડાયાં કે બારણા બિડાવાનો આ ઘોરઘોષ (અવાજ) હતો ? મેઘગર્જન હશે ? પર્જન્યપુરુષના નભવિહારની કેવી રૌદ્ર નિષ્પત્તિ છે આ ? પરંતુ કવિ એના વિશે ચોખવટ કરે તો તો એ કવિ કરતા નિબંધકાર સાબિત થાય. જર્મન ઓથર ટોમસ માનની ઉક્તિ સંભળાય છે :’The real artist never talk about the main things.’

કાવ્યની છેલ્લી બે પંક્તિઓમાં આકાશમાં થતી વિશાળ અને વિશિષ્ટ હલચલની પૃથ્વીસ્થિત પ્રતિક્રિયા અથવા સહોપસ્થિતિ છે. અહીં ધ્યાન ખેંચે છે તે બન્ને ક્રિયાપદ- ‘મથ્યાં કરે, હાથ વીંઝ્યાં કરે.’ આ ક્રિયા જે કરે છે તેને કવિએ વૃક્ષ તો કહ્યાં, પાછા હાથ પણ દીધા. એટલે આપણા આંખ-કાન ચમક્યાં. વળી એક રહસ્યમય વાત પ્રગટી. આ હાથાળ વૃક્ષોને ઝીલવું તો છે પેલું ‘ધારાવસ્ત્ર’ પણ…! કવિએ એક જ વિશેષણથી કેવું સમાધાન આપી દીધું? ‘વ્યર્થ.’ ‘કરે’ ક્રિયાપદથી આ પ્રાપ્તિની મથામણ તો ચાલુ જ છે પણ વ્યર્થ. હવે રહે છે તો માત્ર ધારાવસ્ત્ર. પેલો પુરુષ કે અસ્તિત્વ પણ ઓગળી ગયું. છે તો માત્ર સૃષ્ટિ અને આકાશ અને.. બેઉને જોડતું આ અનુપમ, અદ્ભુત કે અલૌકિક ‘ધારાવસ્ત્ર.’

રસાસ્વાદ: સંજુ વાળા

Comments (2)

બળતાં પાણી – ઉમાશંકર જોશી

(શિખરિણી)

નદી દોડે, સોડે ભડભડ બળે ડુંગરવનો;
પડે ઓળા પાણી મહીં, સરિત હૈયૈ સળગતી,
ઘણું દાઝે દેહે, તપી તપી ઊડે બિંદુ જળનાં.
વરાળો હૈયાંની પણ મદદ કૈં ના દઈ શકે.
જરી થંભી જૈને ઉછળી, દઈ છોળો તટ પરે
પહાડોને છાંટી શીતળ કરવાનું નવ બને.
અરે! જે પ્હાડોએ નિજ સહુ નિચોવી અરપીયું
નવાણોમાં, તેને સમય પર દૈ બુંદ ન શકે.

કિનારાની આંકી જડ કઠણ માઝા ક્યમ કરી
ઉથાપી- લોપીને સ્વજન દુઃખને શાંત કરવું?
નદીને પાસેનાં સળગી મરતાંને અવગણી
જવું સિંધુ કેરા અદીઠ વડવાગ્નિ બૂઝવવા!
પછી ત્યાંથી કો દી જળભર ભલે વાદળ બની,
વહી આવી આંહિ ગિરિદવ શમાવાનું થઈ ર્‌હે!
અરે! એ તે ક્યારે? ભસમ સહુ થૈ જાય પછીથી?

– ઉમાશંકર જોશી

હજી તો એપ્રિલ માંડ શરૂ થયો છે ને ગરમીએ તો માઝા મૂકી છે. ડુંગરમાંથી જન્મેલી ડુંગરપુત્રી નદી દોડી રહી છે. એની આજુબાજુના ડુંગરો અને વનો તાપમાં ભડભડ શેકાઈ રહ્યાં છે ને ઓળા નદીના પાણીમાં પડે છે. નદીનું હૈયું તો સળગે જ છે, કાયા પણ ગરમીના કારણે દાઝી રહી છે. જે પહાડોએ એને પોતાનું સર્વસ્વ નિચોવીને જન્મ આપ્યો છે, એ પહાડોને તટ ઉપર છોળો ઉછાળી પાણી છાંટી શીતળ કરવાનું નદીના ભાગ્યમાં નથી. કિનારાએ જે જડ મર્યાદામાં એને બાંધી દીધી છે એને ઉથાપી-લોપીને સ્વજનોના દુઃખને એ શાંત કરી શકતી નથી. જે પાસેનાં છે એ સહુને સળગી મરતાં છોડીને એણે જે કદી જોયો નથી એવા દરિયાના પેટાળમાં ભડભડતા અગ્નિને ઠારવા જવું પડે છે. દરિયામાંથી વરાળસ્વરૂપ ધારીને વાદળ બનીને ક્યારેક આ તરફ આવીને પર્વતો પર લાગેલી આગ બૂઝાવવાનું સૌભાગ્ય જ્યારે એને સાંપડશે તો ખરું પણ બધું તાપથી બળીને ખાક થઈ જાય પછી એ સૌભાગ્ય સૌભાગ્ય કહેવાય કે દુર્ભાગ્ય?

એક પંક્તિ ઓછી કરીને કવિ ચૌદ પંક્તિનું સૉનેટ આપી શક્યા હોત, પણ જડ કાંઠાના નિયમોને ઉથાપી ન શકતી નદીથી વિપરિત હૃદયોર્મિના વેગને કાવ્યાકારના કાંઠાઓમાં બાંધવું યોગ્ય ન ગણીને કવિએ કદાચ સૉનેટ કહેવાનો મોહ જતો કર્યો હોઈ શકે. વધુ તો જાણકારો જ કહી શકે.

Comments (5)

પ્રેરણાપુંજ : ૧૦ : મુક્તકો

પ્રેરણાપુંજ – રાહ ચીંધતી કવિતાઓની શ્રેણીમાં આજે આ આખરી કડી…

ઘણીવાર આખી કવિતા ઉપરાંત નાની-નાની કાવ્યકણિકાઓ પણ હૈયામાં કાયમી મુકામ કરી જતી હોય છે અને ટાણેટાંકણે આ કણિકાઓ સ્મરણપટ પર આપોઆપ ઉપસી આવતી હોય છે. જીવનના અલગ-અલગ વળાંકો પર, મનોદશાના અલગ-અલગ પડાવો પર આવી અલગ-અલગ કાવ્યકણિકાઓ આપોઆપ આગળ આવીને આપણો હાથ ઝાલી લેતી હોય છે, અને આવો હૂંફાળો સાથ મળ્યા બાદ આગળ ડગ માંડવાનું થોડું આસાન બની રહેતું હોય છે. અહીં જે મુક્તકો હું આપ સહુ સાથે સહિયારી રહ્યો છું, એ બધાએ ડગલેપગલે વફાદાર પ્રેમિકાની જેમ મારો સાથ નિભાવ્યો છે. આમ તો માબાપે આપેલ જીવન પ્રમાણમાં ખાસ્સું સરસ જ રહ્યું છે, પણ નાનીમોટી તકલીફો અને ઘણુંખરું પેટ ચોળીને ઊભાં કરેલ શૂળ ઈમાનદારીથી મને હંફાવવાની કોશિશ કરતાં આવ્યાં છે. આવા દરેક કપરા સમયમાં આ કવિતાઓએ મને ફરીફરીને બેઠો કર્યો છે. હજારોવાર આ પંક્તિઓને મોટેમોટેથી મેં મનમાં લલકારી છે. (ધવલે શેખાદમનું ‘અમને નાંખો જિંદગીની આગમાં’ મુક્તક પૉસ્ટ કરી દીધું છે એટલે એનું પુનરાવર્તન કરતો નથી.)

આવી જ કોઈ કવિતાઓ આપના માટે ‘પ્રેરણાપુંજ – રાહ ચીંધતી કવિતાઓ’ બની હોય તો કમેન્ટ વિભાગમાં જરૂર સહિયારજો.

*

અફસોસને આસન કદી જો આપશું,
જે રહ્યું થોડુંય તે લૂંટી જાશે;
જો ગુમાવ્યાની ગણત્રીમાં પડયા,
ફૂલ ઊઘડતુંય એ ચૂંટી જશે.
– મકરંદ દવે

કોક દિન ઇદ અને કોક દિન રોજા
ઊછળે ને પડે નીચે જિંદગીનાં મોજાં.
– મકરંદ દવે

ઉરની સાંકલડી શેરીના પંથ વિશાળ રચાવો,
હૈયાનાં ઝરણાં નાનાને સાગર જેવું બનાવો.
– સુન્દરમ્

નથી ઇચ્છા કે કિનારા થઈને પડ્યા રહીશું,
નાનું તોયે ઝરણું થઈને વહેતા રહીશું.
– ?

જીવવું છે, ઝૂરવું છે, ઝૂઝવું છે, જાનેમન !
થોડી અદાઓ ફાંકડી, થોડી ફિતૂરી રાખવી.
બાજ થઈને ઘૂમવું અંદાજની ઊંચાઈ પર,
ઇશ્ક ખાતર બુલબુલોની બેકસૂરી રાખવી
– વેણીભાઈ પુરોહિત

હાથની રેખા પ્રમાણે ચાલનારા છે ઘણા,
ચાલ તારાઓની બદલે એ જ શક્તિમાન છે.
– શેખાદમ આબુવાલા

મને એ નાખુદા પર છે ખુદા કરતાં વધુ શ્રદ્ધા,
કિનારો જોઈ જે પાછો વળી જાયે સમંદરમાં.
– શૂન્ય પાલનપુરી

કદમ અસ્થિર હો એને કદી રસ્તો જડતો નથી,
અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી;
તમારા મનને જીતી લો તો હું માનું. ‘સિકંદર છો’,
નહીંતર દિગ્વિજય ઉચ્ચારવામાં શ્રમ નથી પડતો.
– શૂન્ય પાલનપુરી

ઝુલ્ફ કેરા વાળ સમ છે ભાગ્યની ગૂંચો બધી,
માત્ર એને યત્ન કેરી કાંસકી ઓળી શકે.
– શૂન્ય પાલનપુરી

જિંદગી જીવવાની ફિલસૂફી સમજી લીધી,
જે ખુશી આવી જીવનમાં, આખરી સમજી લીધી.
– મરીઝ

જિગર પર જુલ્મે કે રહેમત, ઘટે જે તે કરી જોજો,
તમારા મ્હેલના મહેમાનની સામું ફરી જોજો;
કટોરા ઝેરના પીતાં કરું છું એ વફાદારી,
કસોટી જો ગમે કરવી, બીજું પ્યાલું ધરી જોજો.
– કપિલરાય ઠક્કર ‘મજનૂ’

ફરીથી વિશ્વને જોવા મળે પુરુષાર્થની સિદ્ધિ,
ફરીથી ભાગ્યરેખાઓ બધી ગૂંચવાઈ જાવા દ્યો.
– ‘દિલહર’ સંઘવી

સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી,
ચણાયેલી ઇમારત એના નક્શામાં નથી હોતી.
– બરકત વિરાણી ‘બેફામ’

મને મળી નિષ્ફળતા અનેક,
તેથી થયો સફળ કૈંક હું જિંદગીમાં
– ઉમાશંકર જોશી

Comments (6)

પ્રેરણાપુંજ : ૦૧ : અંતર મમ વિકસિત કરો – રવીન્દ્રનાથ ટાગોર

 

અંતર મમ વિકસિત કરો, અંતરતર હે-
નિર્મલ કરો, ઉજ્જવલ કરો, સુંદર કરો હે.

જાગૃત કરો, ઉદ્યત કરો, નિર્ભય કરો હે,
મંગલ કરો, નિરલસ નિઃસંશય કરો હે.

યુક્ત કરો હે સબાર સંગે, મુક્ત કરો હે બંધ,
સંચાર કરો સકલ કર્મે શાંત તોમાર છંદ.

ચરણપદ્મે મમ ચિત્ત નિઃસ્પંદિત કરો હે,
નંદિત કરો, નંદિત કરો, નંદિત કરો હે.

– રવીન્દ્રનાથ ટાગોર
(મૂળ બંગાળી પાઠ અહીં ગુજરાતી લિપિમાં મુક્યો છે. મોટા ભાગના શબ્દો સરખા છે એટલે ગુજરાતી જાણતો માણસ તરત સમજી શકે એમ છે. નિરલસ=આળસ વિનાનું, સબાર=સૌના, બંધ=બંધન, છંદ=લય, નિઃસ્પંદિત=સ્થિર, અવિચળ)

*

હે અંતરતર (ભીતરથી વધુ ભીતર) મારા અંતરને
વિકસિત કરો. નિર્મલ ઉજ્જવલ કરો.
જાગ્રત કરો, કામકાજમાં પ્રવૃત્ત કરો, નિર્ભય કરો.
મંગલ, આળસ વિનાનું, સંશયરહિત કરો.
સર્વ સાથે એને જોડી, એનાં બંધન છોડો.
મારા સકલ કર્મોમાં તમારા શાંત લયનો સંચાર કરો.
તમારાં ચરણકમળમાં મારું ચિત્ત હાલ્યાચાલ્યા
વગર લીન થાય એમ કરો,
એને આનંદિત આનંદિત કરી મૂકો.

– રવીન્દ્રનાથ ટાગોર (અનુવાદ ઉમાશંકર જોશી)

ગુજરાતીમાં એટલી બધી પ્રેરણા આપતી કવિતાઓ છે જે તમને જિંદગી જીવવાનો અને જીતવાનો રસ્તો બતાવે. આ બધી કવિતાઓમાંથી કઈ પસંદ કરવી એ મૂંઝવણનું કામ છે. એટલે કવિતાની પસંદગીમાં મેં દુષ્યંતકુમારની સલાહને અનુસરવાનું નક્કી કર્યું છે: मैं जिसे ओढ़ता-बिछाता हूँ / वो ग़ज़ल आपको सुनाता हूँ. જે કવિતા મારી જિંદગીમાં ખરેખર કામ લાગી છે એ જ હું અહીં મુકું છું.

આજની કવિતા ખરું કહું તો મને વારસામાં મળેલી કવિતા છે. રવીન્દ્રનાથ ટાગોરે લખેલી આ કવિતા મારા પપ્પાની અતિ પ્રિય કવિતા. અને એમના થકી આ કવિતાનો પ્રેમ મને વારસામાં મળેલો. રવિબાબુ તો કવિઓના ય કવિ અને આ વળી એમની ય શ્રેષ્ઠ રચનાઓમાં એક.

આ કવિતામાં પોતાની જાતને ઉન્નતિના ઊંચા સોપાન પર કેવી રીતે લઇ જવી એના બધા પગલાં સમાવી લીધા છે. કવિ પોતાની જાતને નિર્મળ, ઉજ્જવળ, સુંદર, જાગૃત, ઉદ્યમી, નિર્ભય, મંગળ, આળસથી ઉપર અને સંશયથી રહિત કરવા માગે છે. પોતાની જાતને (સ્વાર્થના) બંધનમાંથી છોડીને સકળ વિશ્વ સાથે જોડવા ચાહે છે. પોતાના બધા કર્મમાં ‘અંતરતર’ના શાંત લયનો છાંયો ઈચ્છે છે અને એના જ પગે ચિત્તની સ્થિરતાને પામવા માંગે છે. આ સ્થિતિ છે છલોછલ આનંદની સ્થિતિ !

સરળ ભાષામાં આ ગીત આખી જિંદગીને ઉલ્લાસપૂર્ણ અને સાર્થક કરી નાખવાનો કીમિયો બતાવી દે છે. પ્રેમ, પવિત્રતા અને પુરુષાર્થ ત્રણેનું અહીં એકસાથે આવાહન છે.

છેલે એક વાત ‘અંતરતમ’ શબ્દ માટે. અંતરતમ શબ્દનો શાબ્દિક અર્થ થાય ‘અંતરનીય અંદર વસેલું’. એનો સામાન્ય અર્થ ઈશ્વર થાય (એ અર્થમાં આ પ્રાર્થના છે ) પણ એનો બીજો અર્થ પ્રિયજન (એ અર્થમાં આ ઉન્નત પ્રેમગીત છે) કે પછી પોતાનો આત્મા (એ અર્થમાં આ સ્વયંસિધ્ધિનું બુલંદ ગીત છે ) પણ લઇ શકાય.

Comments (2)

અમે મેળે ગ્યાં’તાં – ઉમાશંકર જોશી

Umashankar4

અલકમલક ભેળો થાય,
અમે મેળે ગ્યાં’તાં.
ગામ ગામ આવી ઠલવાય,
અમે મેળે ગ્યાં’તાં.

હૈયું ન હાથ રહ્યું ઊભી બજારમાં;
શોધું હવે ક્યાં હું માનવી હજારમાં?

એ આગળ, હું પાછળ,
અમે મેળે ગ્યાં’તાં,
એ પાછળ, હું આગળ,
અમે મેળે ગ્યાં’તાં.

એ રહ્યો મૂંગો ને હું રહી માનમાં;
સમજ્યાં બંનેમાંથી એકે ના સાનમાં.

એ ગયો પૂરવ, હું પચ્છમ,
અમે મેળે ગ્યાં’તાં;
હું ગઈ ઉત્તર, એ દખ્ખણ,
અમે મેળે ગ્યાં’તાં.

સત્તરે ચૂક્યાં તે સિત્તેરે શોચતાં,
એની એ ભૂલ તોય હજારો કર્યે જતાં.

કરવાને છેલ્લા જુહાર,
અમે મેળે ગ્યાં’તાં.
ફરી હવે ક્યાંથી એ દીદાર?
અમે મેળે ગ્યાં’તાં.

– ઉમાશંકર જોશી

આજે એકવીસમી જુલાઈના રોજ કવિશ્રીના જન્મદિવસે એક ગીત માણીએ.

મેળો શબ્દ કાને પડતાવેંત ઇન્દ્રિયો સતેજ થઈ જાય. મેળો, મેળામાંનો માનવમહેરામણ અને જાતભાતની ચકડોળો તથા ખાણીપીણી-ખરીદીની દુકાનોનું ચિત્ર અલગ જ સંવેદન જન્માવે છે. કાવ્યનાયિકા અને નાયક પણ મેળામાં ગામેગામથી આવીને ઊભરાતી માનવમેદનીનો એક હિસ્સો છે. મેળામાં તે કોનું હૈયું હાથ રહે તે નાયિકાનું રહે? પણ નાયક હોઠ ખોલવાની હિંમત કરી ન શક્યો અને નાયિકા સ્ત્રીસહજ માનના તોરમાં રહી ગઈ. હૈયાંની વાત સમય પર સમજવામાં અને સહિયારવામાં ઉભય નિષ્ફળ નીવડ્યાં. બંનેની દિશા કે ગતિ સદૈવ પરસ્પરથી વિરુદ્ધ જ રહી, પરિણામે જીવનની ઢળતી સાંજે એકમેકને આખરી જુહાર બંને ફરી મેળે જાય છે, પણ હવે એ જૂનાં દર્શન તો ક્યાંથી થાય? મેળો તો ભર્યોભાદયો છે, પણ હૈયાં ખાલીખમ રહી ગયાં. મેળો તો રંગરંગીન છે, પણ હૈયે સ્નેહરંગ પૂરાયો જ નહીં. લોકગીતની ઢબમાં લખાયેલ આ ગીત લયપલટાને લઈને મેળાની ચકડોળનો આનંદ પણ આપે છે.

Umashankar5

Comments (4)

An exile – ઉમાશંકર જોશી

I wonder how this little soul
Was smuggled into life.
Not that I dread the fact of being.
That men misname as strife.

From birth to death the mortals roam,
I seek the way from death to birth;
I have wandered and will wander still
An exile on this earth.

– Umashankar Joshi

દેશવટે

આશ્ચર્ય મોટું મુજને, ઠગાઈ
આ હંસલેા ઘટ મહીં ઝટ શેં પુરાયો !
ન જાણશો કે ડરું જિન્દગીથી,
જેને જનો કલહ નામ દઈ નવાજે.

સૌ મર્ત્યને ભમવું જન્મથી મૃત્યુ યાવત્.
હું મૃત્યુથી જનમનો નવપથ શેાધુ.
ભમ્યાં કર્યું છે વળી ને ભમીશ
પૃથ્વી પરે દેશવટે ગયા સમો,

– ઉમાશંકર જોશી

ઉ.જોની ૧૧૧મી જન્મજયંતી નિમિત્તે ગઈ કાલે આપણે એમણે લખેલી સંસ્કૃત કવિતા માણી. આજે માણીએ અંગ્રેજી કવિતા. પ્રસ્તુત રચના કવિએ પહેલાં અંગ્રેજીમાં લખી હતી જે ૧૯૩૫ની સાલમાં ‘ધિ એલ્ફિન્સ્ટોનિયન’માં છપાઈ હતી. પછી કવિએ જાતે જ એનું ગુજરાતી ભાષાંતર પણ કર્યું. મૂળ અંગ્રેજી કવિતામાં કવિએ બેલડ મીટર પ્રયોજ્યું છે. બેલડ એટલે ચાર-ચાર પંક્તિના બંધથી બનેલી રચના. પહેલી અને ત્રીજી પંક્તિ આયમ્બિક ટેટ્રામીટર અને બીજી-ચોથી પંક્તિ આયમ્બિક ટ્રાઇમીટરમાં હોય છે, તદુપરાંત પહેલી અને ત્રીજી પંક્તિમાં પ્રાસ મેળવેલો હોય એને બેલડ મીટર કહેવાય. (અહીં છઠ્ઠી પંક્તિમાં જો કે છંદ જળવાયો નથી.) ગુજરાતી અનુવાદમાં કવિએ સંસ્કૃત વૃત્તોને ખપમાં લીધા છે. પહેલી, ત્રીજી, સાતમી પંક્તિ ઇન્દ્રવજ્રામાં, બીજી, ચોથી- પાંચમી, છઠ્ઠી વસંતતિલકામાં અને છેલ્લી પંક્તિ ઇન્દ્રવંશા છંદમાં છે.

આત્મા કઈ રીતે ઠગાઈને શરીરના પિંજરામાં પૂરાઈ ગયો એ કવિને મન મોટું આશ્ચર્ય છે. લોકો જેને ઝઘડો કહે છે એ જિંદગીથી કવિ ડરતા નથી. આખી દુનિયાની ગતિ જન્મથી મૃત્યુ તરફની છે, પણ કવિ મૃત્યુથી જન્મ તરફનો નવતર પંથની શોધમાં છે. મૃત્યુની પેલે પાર વિકસતા-વિલસતા વિશ્વ સાથે સાક્ષાત્કાર કરવાની તેઓ મંશા રાખે છે. કોઈએ દેશવટો આપ્યો હોય અને પૃથ્વી પર ભટકવા છોડી દીધા હોય એમ નિર્વાસિતની જેમ આજીવન તેઓ મૃત્યુપર્યંતના જીવનની શોધમાં ભટકતા રહ્યા છે અને હજીય ભટકતા રહેવાની નેમ ધરાવે છે.

ગુર્જરીગિરાની સર્વોચ્ચ ચોટીએ બિરાજમાન કવિના ભાષાપ્રભુત્વ વિશે વાત કરવામાં મારો પનો તો સાવ ટૂંકો પડે, પણ આ કવિતા બાબતે મારો નમ્ર અને અંગત અભિપ્રાય છે કે વિદેશી ભાષામાં સ્વતંત્ર રચના કરવામાં અને પછી એનો અનુવાદ કરવામાં કવિ ક્યાંક નાનકડી થાપ ખાઈ બેઠા છે. ‘Being’નો અનુવાદ કવિએ જિંદગી કર્યો છે. હકીકતમાં બીઇંગ એટલે હોવું, અથવા અસ્તિત્વ. આજ રીતે જિંદગીને લોકોએ કલહ યાને ‘strife’ કહીને નવાજે છે, એમ કવિ કહે છે. અહીં ‘strife’ શબ્દ કેવળ ‘life’ સાથે પ્રાસ મેળવવાના હેતુથી પ્રયોજાયો હોવાની સંભાવના વધુ છે, કારણ કે જિંદગીને ઝઘડાનું ખોટું નામ આપીને લોકો સંબોધતા હોવાની વાત શું હકીકતથી વેગળી નથી?

Comments (7)

કાં કૃપણતા? – ઉમાશંકર જોશી

न ते मृत्युप्रायां
तमःकृष्णच्छायां न खलु सलिलं प्रार्थय इह ।
तडित्तेजोयुक्तं जलद ! विकटं गर्जितमथ
तदेकं याचेऽहं तदनवरतं गर्ज कुपितम्
.                      अयि वरद ते घर्घररवम् ॥
सुधाऽऽस्वादं यत्ते
स्मितं नाहं याचे तदभिलषिताः सन्तु बहवः ।
कृते भ्रूभङ्गानां मम तु भवति प्रार्थितमहो
कटाक्षैर्युक्तानामयि हृदयमूर्ते ! कुरु कृपाम्
.                      सुलभविषये किं कृपणता ॥

– उमाशंकर जोशी

કાં કૃપણતા?

અરે કૃષ્ણચ્છાય
નર્યું મૃત્યુપ્રાય પ્રથિત જલનું વર્ષણ તવ
જરીયે વાંછું ના, પણ જલદ હે ! મુક્ત મનડે
તડિત્-નૃત્યેાલ્લાસે ગહન જગવી મંથન નભે,
.                      વરદ, કુપિતો ગર્જ તુજ જે.
સુધાસ્વાદપ્રેર્યાં
સ્મિતો હું યાચું ના; સ્મિતવલખતા કૈંક, ન મણા.
તવ ભ્રૂભંગાર્થે સતત, દયિતે, પ્રાર્થન મમ.
કટાક્ષેા વર્ષંતી અયિ, હૃદયમૂર્તે, કર કૃપા.
.                      સુલભ વિષયે કાં કૃપણતા ?

– ઉમાશંકર જોશી

આજે ઉ.જોની ૧૧૧મી જન્મજયંતીએ એક સાવ અલગ જ પ્રકારનું કાવ્ય…

બહુ ઓછા મિત્રોને ખબર હશે કે ઉ.જો. સંસ્કૃતમાં પણ કાવ્યો લખતા. પહેલાં ગુજરાતીમાં લખી લીધા બાદ એનો સંસ્કૃતમાં અનુવાદ કર્યો હોય એવુંય નહીં. અઢાર વર્ષની કૂમળી વયે લખેલું આ કાવ્ય ગુજરાત કૉલેજ મૅગેઝીનમાં છપાયું હતું. મૂળ સંસ્કૃતમાં રચાયેલ આ કાવ્યનો કવિએ જાતે જાન્યુઆરી ૧૯૩૦માં ગુજરાતી અનુવાદ પણ કર્યો હતો. બંને કાવ્ય ખંડ શિખરિણીમાં લખાયેલ છે.

વાત તો પ્રણયની જ છે, પણ રજૂઆત મજાની છે. કવિ પોતાની શ્યામવર્ણા પ્રિયાને કહે છે કે આંખેથી વરસતાં આંસુઓ થકી વ્યક્ત થતો પ્રેમ બહુ જાણીતો છે, પણ મને એ મૃત્યુસમાન લાગે છે અને મને એની જરાય ઇચ્છા નથી. કવિને મન તો વીજળી નૃત્યોલ્લાસ કરી આકાશમાં ગહન મંથન જગવે અને ક્રોધિત આકાશ જે રીતે ગર્જના કરે એવા ઉત્તમ મુક્ત મનના પ્રેમની અભિલાષ છે. કૈંક લોકો પ્રિયપાત્રના સ્મિત માટે વલખતાં હોય છે એની ના નથી, પણ કવિને અમૃતનો સ્વાદ આપે એવા સ્મિત પણ જોઈતાં નથી. કવિને તો પોતાની પ્રિયાને સતત ભવાં ચડેલાં રહે એવી પ્રાર્થના કરે છે. પોતાના હૃદય પર કટાક્ષો વરસાવીને કૃપ કરવાનું પ્રિયાને ઇજન આપતાં કહે છે કે સ્ત્રીઓને માટે તો આ વિષય –રીસ-ગુસ્સો વગેરે ખૂબ જ સુલભ છે, તો એ બાબતે કંજૂસાઈ શીદ આચરવી?

નાની અમસ્થી વાત. પણ વિષયવસ્તુની માવજત અને છંદોવિધાનન કારણે મૂળ સંસ્કૃત કાવ્ય અને કવિએ પોતે કરેલ ગુજરાતી અનુવાદ –ઉભય નખશિખ આસ્વાદ્ય બન્યા છે.

Comments (6)

-અંત એ કલિચક્રનો? – ઉમાશંકર જોશી

યમુનાને તટે જન્મી, ખેલી, દુષ્ટ જનો દમી,
સ્થાપ્યાં સ્વ-ભૂમિથી ચ્યુત સ્વજનો અન્ય દેશમાં;
અને ભારતના યુદ્ધે નિઃશસ્ત્ર રહીને સ્વયં,
હસ્તિનાપુરમાં સ્થાપ્યો ધર્મ, ને ધર્મરાજને
લોકકલ્યાણનાં સૂત્રો સોંપી, પોતે પ્રભાસમાં
યથાકાળે પુણ્ય સિંધુતીરે સૌરાષ્ટ્રમાં શમ્યા
પારધીશર ઝીલીને ધર્મગોપ્તા નરોત્તમ.
અને આતુર ઊભેલો પ્રવર્ત્યો ત્યાં કલિયુગ.

જન્મી સૌરાષ્ટ્રના સિંધુતીરે, સ્વભૂમિભ્રષ્ટ સૌ
સ્વદેશીજનને સ્થાપ્યાં ગૌરવે પરદેશમાં;
દુષ્ટતા દુશ્ચરિતતા દમી સર્વત્ર, ભારતે
નિઃશસ્ત્ર યુદ્ધ જગવી, કરે ધારી સુ-દર્શન-
ચક્ર શ્રી-સ્મિત-વર્ષંતું, સ્થાપી હૃદયધર્મને
હસ્તિનાપુર-દિલ્હી-માં, ધર્મસંસ્થાપના-મચ્યા
ઝીલી સ્વજનની ગોળી યમુનાતટ જૈ શમ્યા.
હજીયે આવશે ના કે અંત એ કલિચક્રનો?

– ઉમાશંકર જોશી

કવિતાથી મોટો કોઈ જાદુ નથી. કવિતા અશક્યને શક્ય બનાવવાની કળા છે. મોહન અને મોહનદાસ જેવી બે સાવ વિઅપ્રિત વિભૂતિઓને એક જ રંગે રંગવાનું કામ કવિતા સિવાય શક્ય જ નથી. એક ભાગમાં મોહન અને બીજામાં મોહનદાસ –એમ બે ભાગમાં કવિએ આ બે યુગપુરુષો વચ્ચેની સામ્યતાઓ juxtapose કરી આપી છે. સમયના બે અલગ-અલગ બિંદુએ થઈ ગયેલા બે મહામાનવોને એકસૂત્રે બાંધીને કવિ ઉમાશંકર જોશી આજની ગ્લૉબલ કવિતામાં રજૂ કરે છે.

સવિસ્તાર વિશ્લેષણ અને આસ્વાદ માટે અહીં ક્લિક કરવા વિનંતી છે.

Comments

નખી સરોવર ઉપર શરત્ પૂર્ણિમા – ઉમાશંકર જોશી

પેલી આછા ધૂમસ મહીંથી શૃંગમાલા જણાય,
નામી નીચાં તટતરુ ચૂમે મંદ વારિતરંગ
વ્યોમે ખીલ્યાં જલઉર ઝીલે અભ્રનાં શુભ્ર રંગ,
સૂતું તોયે સરઉદરમાં ચિત્ર કાંઈ વણાય.
વીચીમાલા સુભગ હસતી જ્યાં લસે પૂર્ણ ચંદ;
શીળી મીઠી અનિલલહરી વૃક્ષની વલ્લરીમાં
સૂતી’તી તે ઢળતી જલસેજે મૂકે ગાત્ર ધીમાં
સંકોરીને પરિમલ મૃદુ પલ્લવપ્રાન્ત મંદ.

ત્યાં તો જાણે જલવિધુ તણાં ચારુ સંયોગમાંથી,
હૃત્તંત્રીને કુસુમકુમળી સ્પર્શતી અંગુલિ કો.
અર્ધાં મીંચ્યાં નયન નમતાં ગાન આ આવ્યું ક્યાંથી ?
એકાન્તોમાં પ્રકૃતિ કવતી મંજુ શબ્દાવલિ કો.
એવે અંત:શ્રુતિપટ પરે ધન્ય એ મંત્ર રેલે :
સૌન્દર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે.

– ઉમાશંકર જોશી
(ઑક્ટોબર, ૧૯૨૮)

માત્ર સત્તર વર્ષની વયનો લબરમૂછિયો છોકરો એની જિંદગીની પહેલી કવિતા લખે એ કેવી હોય, કહો તો! મોટાભાગના કવિઓ આ વયે કવિતાના સ્થાને કવિતડાં જ રચતા હોય છે. જ્યારે કેટલાક જન્મજાત ‘ગિફ્ટેડ’ હોય છે. ઉમાશંકરે ૧૭ વર્ષની વયે પહેલી કવિતા લખી, એ પણ મંદાક્રાન્તા છંદમાં સૉનેટ. અને જિંદગીની પહેલી કવિતાની છેલ્લી પંક્તિમાં એમણે સાહિત્યસર્જન માટેનો જે મંત્ર આપ્યો, એ અમર થઈ ગયો…

બ. ક. ઠાકોરે ૧૮૮૮માં ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ સૉનેટ લખ્યું, જે આજદિનપર્યંતનુ સર્વશ્રેષ્ઠ સૉનેટ પણ ગણાય છે. બંને સૉનેટમાં થોડીઘણી સામ્યતા નજરે ચડે છે. પચાસ વર્ષ પહેલાં લખાયેલ ઠાકોરના સફળ સૉનેટની લબરમૂછીયા કવિની કવિતા પર અસર હોય એ નકારી ન જ શકાય. બંને સૉનેટ મંદાક્રાન્તામાં લખાયેલા છે, બંને સૉનેટમાં અષ્ટક-ષટક પ્રમાણે વિભાજન થયેલું છે, બંને સૉનેટ કાવ્યસર્જનની પ્રક્રિયાના રહસ્યોનો તાગ મેળવવા મથે છે. બંનેનો પ્રારંભ ધુમસમાં થઈને દેખાતી પ્રકૃતિથી થાય છે. બંનેમાં શાંત જળની વાત છે, હળુ-હળુ વાતા પવનની વાત છે, ચાંદની અને પુષ્પોની સુવાસની વાત પણ છે. બેંને સૉનેટના ષટકની શરૂઆત ‘ત્યાં’ શબ્દથી થાય છે. બંનેમાં નાયક અર્ધનિમિલિત નેત્રે સૂતો છે અને અનાયાસે બંનેના હૃદયમાંથી કાવ્યસ્ફુરણ થાય છે. બ.ક.ઠા. કાવ્યસર્જનના પિંડમાં કુદરતની રમણીયતાના ભણકારાઓ કેવી રીતે ભાગ ભજવે છે એ સમજાવે છે, તો ઉ.જો. પ્રકૃતિ સૌંદર્યનું યથાર્થ પાન કરવામાં આવે તો હૈયું આપમેળે ગીત ગાશે એ સમજાવે છે.

બે સૉનેટની સમાનતાની સરખામણી કરવા પાછળનો હેતુ બેમાંથી એકેયને એક-બીજાથી ચડિયાતાં કે ઉતરતાં સાબિત કરવાનો નથી, ફક્ત બે પ્રથમની વચ્ચે રહેલ સામ્ય તરફ ધ્યાન દોરવું એ જ છે. બંને કૃતિ પોતપોતાના સ્થાને ઉત્તમ જ છે અને બંનેની પોતપોતાની મજા છે…

Comments (2)

સાતે રવિવાર – ઉમાશંકર જોશી

સા તે  ર વિ વા ર
.            મારે સાતે રવિવાર,
આખા અઠવાડિયામાં
.            સાતે રવિવાર.

.            ચાલ્યો હું એક સવારે
.            નગરીની ભરી બજારે.
.            સામે મળિયો ત્યાં મુજને ક્યાંથી રવિવાર!
.            બોલે: ‘જોતો નથી? છે આજે રવિવાર!’
.                                             મારે સાતે રવિવાર.

.            બોલું હું: ‘ભાઈ, આજે
.            પેલી જો ગુજરી ગાજે
.            શુક્રની, હમણાં હું આવું, લાગે નહીં વાર.’
.                                             મારે સાતે રવિવાર.

.            ‘જગની ગુજરી આ જોવા
.            ચાલ! સમય છે ક્યાં રે ખોવા?
.            જીવતર લાધ્યું છે કે ફરી લાધે બીજી વાર!
.                                             ભાઈ, સાતે રવિવાર.

.            ‘આળસનો સોમ રસ પી,
.            જંગલમાં મંગલ નીરખી,
.            બુધની ના રાખ સૂધ તું સાંજ કે સવાર,’
.                                             ભાઈ, સાતે રવિવાર.

.            ‘શિષ્યોને ગુરુ કરે જો,
.            તારો શુક્રવાર વળે તો,
.            શનિને રવિ કરી દઈ વક્રતા નિવાર.’
.                                             ભાઈ, સાતે રવિવાર.

સા તે  ર વિ વા ર
.            મારે સાતે રવિવાર,
આખા અઠવાડિયામાં
.            સા તે  ર વિ વા ર.
.                 રવિ છે સૌ માનવકુળનો સાચો કવિવાર.
.                                             ભાઈ, સાતે રવિવાર,
.                                             મારે સાતે રવિવાર.

 

– ઉમાશંકર જોશી

ઉમાશંકર જોશી જેવા અતિગંભીર પ્રકૃતિના કવિ પાસેથી આવું રમતિયાળ ગીત મળે એની મજા જ અલગ.  આ ગીત કવિતાના માઇક્રોસ્કોપની નીચે મૂકીને એનું ડિસેક્શન કરવા માટેનું નથી.જીવનમાં ક્યારેક તો દરેકને સોમવાર જાની દુશ્મન જેવો લાગ્યો જ હશે. રોજ રવિવાર હોય તો કેવી મજા એવું સ્વપ્ન કદી જોયું ન હોય એવો કોઈ માણસ હશે ખરો? જો કે ઉમાશંકર મસ્તીના મૂડમાં હોય તોય કવિતાને બાજુએ ભાગ્યે જ મૂકી શકે છે.  સાતેય વારોના વ્યવહારુ અર્થોને કવિતામાં પ્રયોજવાનું કવિ ચૂક્યા નથી.  ‘સાતે રવિવાર’ના સ્થાને ‘સા તે  ર વિ વા ર’ -એમ વચ્ચે એક-એક ખાલી જગ્યા મૂકીને રજાનો અવકાશ શબ્દાનુભૂતિથી કવિ કેવો બખૂબી ચાક્ષુષ કરાવે છે!

Comments

હું ગુલામ? – ઉમાશંકર જોશી

હું ગુલામ?
સૃષ્ટિ–બાગનું અતૂલ ફૂલ માનવી ગુલામ?

સ્વચ્છંદ પંખી ઊડતાં, સ્વતંત્ર પુષ્પ ખીલતાં
હલાવતાં સુડાળ ઝાડ, ના કહેતું કોઈ ના;

સરે સરિત નિર્મળા, નિરંકુશે ઝરે ઝરા;
વહે સુમંદ નર્તનો, ન કોઈ હાથ દેતું ત્યાં;

સિંધુ ઘૂઘવે કરાળ. ઊછળે તરંગમાળ,
ગાન કોઈ રોકતું ન, નિત્ય ગીત ગાજતા;

સ્વતંત્ર પ્રકૃતિ તમામ,
એક માનવી જ કાં ગુલામ?!

-ઉમાશંકર જોશી

 

એક ક્લાસિક રચના….

Comments (5)

શું શું સાથે લઈ જઈશ હું? – ઉમાશંકર જોશી

શું શું સાથે લઈ જઈશ હું?

કહું ?

લઈ જઈશ હું સાથે
ખુલ્લા ખાલી હાથે
પૃથ્વી પરની રિદ્ધિ હૃદયભર-

વસન્તની મ્હેકી ઉઠેલી ઉજ્જ્વલ મુખશોભા જે નવતર,
મેઘલ સાંજે વૃક્ષડાળીઓ મહીં ઝિલાયો તડકો,
વિમળ ઊમટ્યો જીવનભર કો અઢળક હૃદય-ઉમળકો,
માનવજાતિ તણા પગમાં તરવરતી ક્રાન્તિ
અને મસ્તકે હિમાદ્રિશ્વેત ઝબકતી શાન્તિ,
પશુની ધીરજ, વિહંગનાં કલનૃત્ય, શિલાનું મૌન ચિરંતન,
વિરહ-ધડકતું મિલન, સદા-મિલને રત સંતન
તણી શાન્ત શીળી સ્મિતશોભા,
અંધકારના હૃદયનિચોડ સમી મૃદુ કંપિત સૌમ્ય તારકિત આભા,
પ્રિય હૃદયોનો ચાહ
અને પડઘો પડતો જે ‘આહ!’
મિત્રગોઠડી મસ્ત, અજાણ્યા માનવબંઘુ
તણું કદી એકાદ લૂછેલું અશ્રુબિન્દુ,
નિદ્રાની લ્હેરખડી નાની-કહો એક નાનકડો
સ્વપ્ન-દાબડો,
(સ્વપ્ન થજો ના સફળ બધાં અહીંયા જ)
– અહો એ વસુધાનો રસરિદ્ધિભર્યો બસ સ્વપ્ન-સાજ!-

વઘુ લોભ મને ના
બાળકનાં કંઈ અનંત આશ-ચમકતાં નેનાં
લઈ જઈશ હું સાથે
ખુલ્લા બે ખાલી હાથે
ખુલ્લા બે ‘ખાલી’ હાથે ?

– ઉમાશંકર જોશી

જવાનો સમય આવી ગયો છે. સવાલ છેઃ સાથે શું લઈ જવું? સિકંદર ખાલી હાથે ગયેલો. પોતાની સંપત્તિમાંથી કશું સાથે નહોતો લઈ જઈ શકેલો. કવિ પણ ખાલી હાથે જ જવાનું મુકરર કરે છે. પણ શહેનશાહ અને કવિમાં એક ફરક છે – કવિ ખાલી હાથ સાથે પણ પોતિકી બધી ય સંપત્તિ સાથે લઇ જવા સમર્થ છે. કારણ કે કવિની સંપત્તિ જ અલગ જાતની છે. કવિની સંપત્તિનું મોહક વર્ણન વાંચીને તમને પણ એક વાર મરવા તૈયાર થઈ જાવાનું મન ન થઈ જાય તો પૈસા પાછા !

(તસ્વીર સૌજન્યઃ વેલરી એવરેટ)

Comments (7)

હેમન્તનો શેડકઢો – ઉમાશંકર જોશી

હેમન્તનો શેડકઢો તડકો સવારનો
પીતાં હતાં પુષ્પ.
પીતાં હતાં ઘાસતૃણો
હીરાકણીશાં હિમચક્ષુએ મૃદુ
ને ચક્ષુની
અબોલ હૈયાચમકે કહી રહ્યાં :
.          છે ક્યાંય ગ્લાનિ
.          કે લાગણીની અસંતોષ-અતિતોષ-મ્લાનિ ?
ડોકું હલાવી રહી સંમતિમાં
પુષ્પો ફોરે સૌરભપ્રશ્ન મૂક :
.          પૃથ્વીજાયાં તોય પ્રસન્ન શાં અમે !
.          કેમ છો તમે ?

સરી ગયો બાગ થકી ત્વરા-ભર્યો,
પૂંઠે રહું અનુભવી, નવ હોય જાણે
ભોંકાતી શું સ્વર્ગજાસૂસ પુષ્પો
કેરી આંખો.

– ઉમાશંકર જોશી

હેમન્ત ઋતુના સવારના તડકાનું, બાગનું, પુષ્પોનું અને સૌંદર્યપાન કરતા કવિનું એક સુંદર ચિત્ર કવિ દોરી આપે છે પણ ચિત્ર જ દોરીને અટકી જાય એ ઉમાશંકર શાના? પૃથ્વીજાયાં શબ્દથી કવિ પ્રકૃતિના અન્ય તમામ સજીવો અને મનુષ્યો વચ્ચેની ભેદરેખા પીડાજનકરીતે, આપણી સંવેદનાઓને આરપાર ભોંકાય એ રીતે ઉપસાવી આપે છે. ફૂલો (અને પ્રકૃતિના અન્ય સજીવ ત્તવો) પણ પૃથ્વીના જ સંતાન છે, આપણી જેમ પણ એ લોકોમાં ક્યાંય અસંતોષ કે અતિસંતોષ કે દુઃખ-દર્દની છાયા જોવા મળતી નથી. એ લોકો કાયમના પ્રસન્ન. અને આપણે? ફોરમસ્વરૂપે પુષ્પો આ પ્રશ્ન જેવો રમતો મૂકે છે કે કવિએ બાગ ત્યજીને ભાગવું પડે છે પણ એ પલાયન પણ પાછળ જાણે પુષ્પોની આંખ જાસૂસની જેમ ભોંકાતી કેમ ન હોય એવું તકલીફદેહ છે. સ્વર્ગ વિશેષણ વાપરીને કવિ પુષ્પ ાને આપણી વચ્ચેના તફાવતને સાફ કરી આપે છે.

Comments (5)

ધોબી, કવિ અને વિજ્ઞાની – ઉમાશંકર જોશી

ટહેલતાં સાબરને કિનારે
વિજ્ઞાનશાસ્ત્રી, કવિ, -બે જઈ ચડ્યા
ધોબી કને, જે કપડાં પછાડતાં
મહાજનો કોણ ન એ લહી શક્યો.

કહે કવિ, ‘આ કપડાં ધુએ છે
ત્યાંથી ઊડંતા જળબિંદુશીકરે,
હૈયું કૂદે, ઇન્દ્રધનુષ ન્યાળી.
જન્મ્યો હતે જો શતવર્ષ પૂર્વે
તો પામતે હું પદ વર્ડ્‌ઝવર્થનું.’

વિજ્ઞાની ક‌્હે, ‘ન્યૂટનની પહેલાં
પાક્યો ન ધોબી પણ કોઈ એવો,
જે વાત સાદી સમજી શક્યો આ
કે તેજ પાણીકણ આરપાર
જતાં, જુદું થાય જ સાત રંગમાં?!’

વદે કવિ, ‘ધોબીજનોય આ ને?’
રામા! -કહીને પછી બૂમ પાડી,
પૂછ્યું, ‘અલ્યા! કામઠું જે તણાય
છાંટા ઊડે તે મહી રંગ સાતનું,
તે ઉમંગે નીરખે કદી કે?’

ધોબી બિચારો થઈ મૂઢ, ફાંફા
મારે, નિહાળી જન આ મહાનને
વાતે વળેલા નિજ ક્ષુદ્ર સંગમાં.

વિજ્ઞાની બોલે, ‘તુજ પીઠ સૂર્યની
બાજુ ધરી ધો કપડાં, અને જો
છાંટા મહીં અદ્ભુત સાત રંગને.’

‘માબાપ! એવા કરું જો હું ચાળા,
ઘરે બિચારાં મરી જાય છોકરાં!’

કહે કવિ, ‘સુન્દરતા પિછાનવા
ઘડીક તો રંગલીલા નિહાળી લે!’

‘એ જોઉં તો આ ઢગ ધોઉં ક્યારે?’

મંડ્યો પછી એ કપડાં પછાડવા
ઘાલી ઊંધું, ને બચવા જ છાંટથી
વિજ્ઞાનશાસ્ત્રી ખસી મર્મમાં હસ્યા,
‘જો બાપડો ન્યૂટન વ્યર્થ જીવ્યો;
થૈ શોધ કે ના, – સરખું જ આને!’

હસે કવિ, ‘ના ઉર આનું નાચે,
જીવ્યું અરે ફોગટ વર્ડ્‌ઝવર્થનું!’

– ઉમાશંકર જોશી

કવિ ઉમાશંકર જોશી માટે કહેવાતું કે તેઓ હસે તો છાપામાં સમાચાર આવે ! તેઓ પાસેથી આવું નખશિખ વ્યંગ-કાવ્ય મળે એટલે ધન્ય ધન્ય !!!!!

Comments (3)

માનવીના હૈયાને – ઉમાશંકર જોશી

માનવીનાં હૈયાને નંદવામાં વાર શી
માનવીના હૈયાને….

અધ બોલ્યા બોલડે
થોડે અબોલડે

પોચા શા હૈયાને પીંજવામાં વાર શી
માનવીનાં હૈયાને નંદવામાં વાર શી
માનવીના હૈયાને…..

સ્મિતની જ્યાં વીજળી
જરી શી ફરી વળી

એના એ હૈયાને રંજવામાં વાર શી
એવા તે હૈયાને નંદવામાં વાર શી

માનવીનાં હૈયાને નંદવામાં વાર શી
માનવીના હૈયાને….

– ઉમાશંકર જોશી

classic ……..

Comments (4)

નહીં રહે ?? -રવીન્દ્રનાથ ઠાકુર અનુ- ઉમાશંકર જોશી

અલ્પ લઈને રહું છું,
તેથી જ
મારું જે જાય છે
તે ચાલ્યું જાય છે,- ક્ભણર પણ
જો ખોવાઈ જાય તો
તો તેને માટે પ્રાણ ‘હાય હાય’ કરી ઉઠે છે.

નદીતટની પેઠે સતત
વૃથા જ
પ્રવાહને જકડી રાખવા ચાહું છું.
એક પછી એક
લહરીઓ હૈયા પર આઘાત કરીને
ક્યાંય ચાલી જાય છે.

જે જાય છે અને જે કંઈ રહે છે
તે બધું તમને સોંપી દઉં,
તો પછી ઘટવાનું નથી,
બધું જ તારા મહામહિમામાં જાગતું રહેશે .
તારામાં કેટલાય ચંદ્ર-સૂરજ રહેલા છે,
કદી અણુ-પરમાણુ પણ ખોવાતું નથી !!
મારું તુચ્છ ખોવાયેલું ધન તે શું તારા ચરણે નહીં રહે ??

-રવીન્દ્રનાથ ઠાકુર અનુ- ઉમાશંકર જોશી

ગુરુદેવના દરેક કાવ્યની એક ખાસિયત હોય છે જે મોટેભાગે કાવ્યને બે થી ત્રણ વાર વાંચતા બરાબર સમજાય છે – ઈશ્વરભક્તિના તેઓના તમામ કાવ્ય ભલે પહેલી નજરે સરખા જેવા જ લાગે, પરંતુ દરેકમાં એક સૂક્ષ્મ ભાવવિશ્વ આકાર લે છે. જેમ કે આ કાવ્યમાં તેઓએ પોતાની વિહવળતાનું કારણ પ્રસ્થાપિત કર્યા બાદ જાણે સ્વોક્તિ કરતા હોય તેમ ઇશાવાસ્ય ઉપનિષદના પ્રથમ શ્લોક-

ॐ ईशावास्यं इदं सर्वं यत् किञ्च जगत्यां जगत।
तेन त्यक्तेन भुञ्जिथाः मा गृधः कस्य स्विद् धनम् ।।

-ને સ્મરીને જાતનું સમાધાન કરે છે.

Comments (2)

મધુર આશીર્વાદ – રવીન્દ્રનાથ ઠાકુર – અનુ- ઉમાશંકર જોશી

આ જીવનમાં હું સુંદરના મધુર આશીર્વાદ
પામ્યો છું.
મનુષ્યના પ્રીતિપાત્રમાં એની સુધાનો
આસ્વાદ પામું છું.
દુ:સહ દુઃખના દિવસે
મને
અક્ષત અને અપરાજિત આત્માની ઓળખ
થઈ છે.
પાસે આવી રહેલા મૃત્યુની છાયાનો
જે દિવસે અનુભવ કર્યો છે તે દિવસે
ભયને હાથે દુર્બળ પરાજય થયો નથી,
શ્રેષ્ઠ પુરુષોના સ્પર્શથી હું વંચિત થયો નથી.
તેઓની અમૃતવાણી
હૃદયમાં મેં સંચિત કરી છે.
જીવન-વિધાતા તરફથી મને જીવનમાં
જે અનુકૂળતાઓ સાંપડી છે
તેની
સ્મરણલિપિ
કૃતજ્ઞમનથી
મેં આંકી રાખી છે.

– રવીન્દ્રનાથ ઠાકુર – અનુ- ઉમાશંકર જોશી

ગુરુદેવની આ પ્રાર્થના સાથે આપને નવવર્ષને વધાવીએ……….

Comments (3)

શું છે ત્યાં આજે, જ્યાં વૃક્ષ હતું… – ઉમાશંકર જોશી

શું છે ત્યાં આજે,
જ્યાં વૃક્ષ હતું
એક વાર ?
અવકાશ શૂન્ય ?
હવા પારદર્શક ?
ના.

ચાલ્યો સીધો જાઉં.
ઓ ભટકાયો – એવું મનને
ભાસે કાંઈ સઘન, માર્ગમાં.

પેલું આવે શરગતિએ કો વિહંગ….
એ ય તે
ખમચાયું ક્ષણ શૂન્યવચાળે
ડાળે જાણે બેઠું ?
બેઠું-ના-બેઠું જાણે
ને વૃક્ષ-આકૃતિ અંકિત કરતું ગયું શૂન્યમાં.

વિશ્વ કોઈ મુજ,
નીડ બનીને
ઝૂલ્યા કરશે હવે ચિરંતન
એ આકૃતિની લઘુ હથેળીમાં.

– ઉમાશંકર જોશી

જમીન અને સ્મૃતિ – બંને પર અડિંગો જમાવી બેઠેલ કોઈ વૃક્ષ અચાનક કપાઈ જાય ત્યારે ? કવિ મજાનાં સંવેદન-ચિત્રો દોરી આપે છે. વસ્તુ શૂન્ય થઈ શકે પણ સ્મૃતિ ?

અને આ શું માત્ર વૃક્ષચ્છેદન પછીના સંવેદનની જ વાત છે કે કોઈ સંબંધવિચ્છેદની પણ ?

Comments (4)

મૃત્યુફળ – ઉમાશંકર જોશી

મારે બારણે એક ઝાડ સુકાઈ રહ્યું છે.
હું ચિત્રકાર નથી તેનો અફસોસ મને આટલો કદી ન હતો
નર્યું રેખાઓનું માળખું છે એ.

એને ચરણેથી એને જોઉં છું.
પીધું લીધું દીધું તે બધુંય જાણે ખંખેરીને ઊભું ન હો !

અટારીથી રાત્રિઓના આછા ઘેરા ઉજાસમાં ઝાંખી લઉં છું,
વ્યક્તિત્વની ભિન્નભિન્ન અદાઓ એની:

મૌન ગૌરવ, બરછટ શુષ્કતા, મમતા આ ધરતીની…
શાખા બાહુ વચ્ચે એણે છાતી સરસું ઝાલી રાખ્યું છે જાણે
મૃત્યુફળ.

– ઉમાશંકર જોશી

હું ચિત્રકાર નથી એવી કેફિયત આપીને કવિ સૂકાતા વૃક્ષનું સર્વાંગસંપૂર્ણ ચિત્ર બખૂબી દોરી આપે છે. કવિ હરીન્દ્ર દવે આ કવિતા વિશે શું કહે છે એ જુઓ:

કવિ કયા વૃક્ષની વાત કરે છે અને કયા ફળની વાત કરે કરે ? આ સંસ્કૃતિની કથા છે ? આ મૂલ્યોની વાત છે ? આ જીવનની ઝંખવાતી જતી દીપ્તિની વ્યથા છે ?

– તમે એનો કોઈ પણ અર્થ કાઢી શકો, પણ છેલ્લા શબ્દ આગળ કંપી ગયા પછી પ્રથમ પંક્તિના ક્રિયાપદ ‘રહ્યું છે’ પર આશ્વાસનની નજર મંડાઈ રહી છે. કદાચ આ વિરક્ત સ્થિતિમાંથી કોઈક નવી વસંત આવશે અને એમાં કદાચ સુકાઈ રહ્યું છે એ વૃક્ષ મહોરી પણ ઊઠે – એના શાખા-બાહુઓ વિસ્તરી ઊઠે, એને ભીંસી રાખેલું મૃત્યુફળ સરી પણ પડે – પણ કદાચ જ…!

Comments (11)

રૂપ-નારાનેર કૂલે – રવીન્દ્રનાથ ઠાકુર – અનુ.- ઉમાશંકર જોશી

રૂપ-નારાનેર કૂલે
જેગે ઉઠિલામ ;
જાનિલામ એ જગત
સ્વપ્ન નય.
રક્તેર અક્ષરે દેખિલામ
આપનાર રૂપ;
ચિનિલામ આપનારે
આઘાતે આઘાતે
વેદનાય વેદનાય;
સત્ય યે કઠિન,
કઠિનેરે ભાલોબાસિલામ-
સે કખનો કરે ન વંચના.
આમૃત્યુર દુઃખેર તપસ્યા એ જીવન-
સત્યેર દારુણ મૂલ્ય લાભ કરિબારે,
મૃત્યુતે સકલ દેના શોધ ક’રે દિતે.

રૂપનારાન[નદીનું નામ] ના કિનારા પર
હું જાગી ઊઠ્યો.
જાણ્યું કે આ જગત
સ્વપ્ન નથી.
રક્તના અક્ષરોમાં નિહાળ્યું
મેં પોતાનું રૂપ;
પોતાની જાતને ઓળખી
પ્રત્યેક આઘાતમાં
એકેએક વેદનામાં;
સત્ય તો કઠિન છે,
કઠિનને મેં પ્રેમ કર્યો-
તે ક્યારેય છેતરપિંડી કરતું નથી.
સત્યનું દારુણ મૂલ્ય પામવા માટેની,
મૃત્યુમાં સકલ દેણું પતાવી દેવા માટેની,
મરણ પર્યંતની દુઃખની તપસ્યા – આ જીવન.

– રવીન્દ્રનાથ ઠાકુર – અનુ.- ઉમાશંકર જોશી

 

‘ સત્ય ‘ એક એવો વિષય છે જે અનાદિકાળથી વિચારના કેન્દ્રસ્થાને રહ્યો છે. પૌરાણિક સાહિત્યનો અભ્યાસ કરીએ તો સત્ય શું છે તે સમજવું મુશ્કેલ બની જાય. વાલી-વધનું સત્ય આજ સુધી સમજાયું નથી. કૃષ્ણ તો સત્ય અને અસત્ય વચ્ચેની ભેદરેખા ઉપર ચાલતા એક નટ જેવા લાગે ! કોઈ કહે છે-‘સત્ય સાપેક્ષ હોય છે.’ કોઈ કહે છે-‘સત્ય અચળ અને નિરપેક્ષ હોય છે.’ ગાંધીજીનું સત્ય જુદું,ભગતસિંહનું જુદું,સુભાષબાબુનું  જુદું. કવિ કહે છે આ જીવન એ એક નિતાંત સત્યની ખોજ સિવાય કંઈ નથી…..

Comments (5)

પ્રશ્ન – રવીન્દ્રનાથ ઠાકુર – અનુ.ઉમાશંકર જોશી

પ્રથમ દિનના સૂર્યે
પ્રશ્ન કર્યો હતો
સત્તાના નૂતન આવિર્ભાવે
કોણ તું ?
મળ્યો ના ઉત્તર.
વર્ષ વર્ષ વીતી ગયાં
દિવસના શેષ સૂર્યે
શેષ પ્રશ્ન કર્યો
પશ્ચિમ સાગર તીરે
નિસ્તબ્ધ સંધ્યાયે
કોણ તું ?
પામ્યો ના ઉત્તર.

 

maturity brings brevity. કોઈ સિદ્ધહસ્ત કવિ જ આટલા ટૂંકા કાવ્યમાં માનવજાતને નિરંતર મૂંઝવતા પ્રશ્નને અનોખી રીતે રજૂ કરી શકે.

Comments (6)

ઉમાશંકર વિશેષ :૧૮: પીંછું

uj2

જેવો કો નભતારલો ગરી જતો અંધારમાં પાથરી
ઝીણી પાતળી તેજ પિચ્છ-કલગી, દૃષ્ટિ પડે ના પડે,
ઓચિંતો તહીં જાય ડૂબી તિમિરે; જેવું લીલા વિસ્તરી
સોણું નીંદરમાં ઠરી ક્ષણ, સરે, જોવા પછી ના જડે;
ને જેવી કવિતા અખંડ ઉરની આરાધના તર્પવા
એક્લાએક છતી થઈ હૃદયમાં કો કલ્પના ખેરવી
ઊડી જાય, ન દે સમો શબદની શ્રદ્ધાંજલિ અર્પવા –
ક્યાંથી ક્યાં ગઈ ના લહે નજર એ, રહે માત્ર હૈયે છવી.

એવું એક મીઠા પ્રભાત સમયે કો પંખી આવ્યું ઊડી,
જોયું ને અણદીઠ એક પળમાં તો ક્યાંક ચાલ્યું ડૂબી;
એને તારકતેજરેખ સરખું, કે સ્વપ્નલીલા સમું,
કે મોંઘી કવિતાકુમાશ ઝરતું ના ગીત ગાવું ગમ્યું.
કૈં અસ્પર્શ્ય ન એવી સ્મૃતિ રાખી જવાને રૂડી
પીંછું ખેરવીને ગયું, ઊડી ગયું.
.                                        ના ગીત મૂકી ગયું.
પોતે ના કંઈ ગાયું, કિંતુ મુજને ગાતો કરીને ગયું.

– ઉમાશંકર જોશી

ઉમાશંકર જોશી જન્મ શતાબ્દિ પર્વ ઉજવણી આ કવિતા સાથે અહીં પૂરી કરીએ છીએ.

પ્રસ્તુત કાવ્યનો આસ્વાદ આજે જૂનાગઢના તબીબ-કવિ શ્રી ઉર્વીશ વસાવડાની કલમે માણીએ:

કવિશ્રી ઉમાશંકરનું સોનેટ સ્વરૂપનું (પંક્તિઓ સંખ્યા 15 છે) આ કાવ્ય આમ તો ખૂબ સરળતાથી કહેવાયું છે અને તેમ છતાં એના શીર્ષકને અનુરૂપ ખૂબ જ બારીક અને નખશિખ કલામયતાથી સભર છે.   બે જુદા જુદા ભાગમાં વિભાજીત કાવ્યના પ્રથમ ભાગમાં કુદરતની એવી ઘટનાઓનો ઉલ્લેખ છે જે હોય છે તો ક્ષણજીવી પણ તેની અસર ક્યારેક માનસ પટલ પર ચિરંજીવ રહી જાય છે. એ કોઈક ખરી જતો નભતારલો હોય કે ક્ષણાર્ધ માટે ઝબકેલું સોણલું હોય, એની સ્મૃતિ આપણી ભીતર અમાપ સ્પંદનો પેદા કરે છે.

આ વાતને સમાંતરે ચાલતી ઘટના એ એક પંખીના આગમનની છે. પ્રભાતે એ આવે છે, કવિ એ સમયે કદાચ ઉપર કહેલી વાતના વિચારોમાં વ્યસ્ત છે. એનું આગમન પોંખાય, ના પોંખાય ત્યાં તો એ અચાનક ગગનગામી થઈ જાય છે. આંખથી ઓઝલ થઈ જાય છે. નિજાનંદમાં વ્યસ્ત છે. એને અત્યારે ગીત ગાવાનો કોઈ ઉમળકો જ નથી. એ તો ઊડી ગયું, એક નાનકડું પીંછું ખેરવીને.

અવી ઘટના આમ તો ઘણીવાર થતી હોય છે. કવિ સાથે પણ થઈ હશે. પણ કવિના કોમળ સંવેદનો પર આજે કંઈક જુદી અસર થઈ છે. પંખીએ તો ન ગાયું પણ કવિને ગાતો કરી દીધો.  આ ચમત્કાર એ જ કવિ અને કવિતાની ઉપલબ્ધિ, અને આ વાત કવિતામાં કેટલી સહજ રીતે અને નજાકતતાથી અહીં આવી છે !

Comments (5)

ઉમાશંકર વિશેષ :૧૭: જઠરાગ્નિ

UJoshi

(ઉપજાતિ છંદ, સ્વતંત્ર સૉનેટ રચના)

રચો, રચો અંબરચુંબી મંદિરો,
ઊંચા ચણો મ્હેલ, ચણો મિનારા !
મઢો સ્ફટિકે, લટકાવો ઝુમ્મરો,
રંગે ઉડાવો જળના ફુવારા !

રચો, રચો ચંદનવાટિકાઓ,
રાચો, રચી કંચનસ્થંભમાળા !
ઊંડા તણાવો નવરંગ ઘુમ્મટો
ને કૈંક ક્રીડાંગણ, ચંદ્રશાળા
રચો ભલે !
.                 અંતરરૂંધતી શિલા
એ કેમ ભાવિ બહુ કાળ સાંખશે ?
દરિદ્રની એ ઉપહાસલીલા
સંકેલવા, કોટિક જીભ ફેલતો
ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે;
ખંડેરની ભસ્મકણી ના લાધશે !

– ઉમાશંકર જોશી

આજે કવિશ્રીની વર્ષગાંઠ અને એમના જન્મ શતાબ્દિ વર્ષની પૂર્ણાહૂતિ.

પ્રસ્તુત સૉનેટ ગાંધીવિચારધારાનું પ્રતિનિધિ સૉનેટ છે. અહીં પુણ્ય પ્રકોપ છે પણ કોઈ એક વ્યક્તિ માટે નહીં પણ આખા સમાજમાં પ્રવર્તતા વર્ગભેદ અને પુંજીવાદ સામે છે. માટે કવિતામાં ભલે કવિનો આક્રોશ નજરે ચડતો હોય, અહીં હિંસા નથી… ચેતવણી છે… અને એની આખરી બે કડીઓ તો જાણે રૂઢિપ્રયોગ બની ગઈ છે.

01

(આપ સહુને રવિવારે સુરત પધારવા આમંત્રણ છે…)

Comments (7)

ઉમાશંકર વિશેષ :૧૬: થોડો એક તડકો

UJ with Devika Dhruv
(1966-67માં કોલેજ (SY BA)ના વાર્ષિકોત્સવ નિમિત્તે યોજાયેલ કાવ્યપઠન સ્પર્ધામાં તૃતીય વિજેતા નીવડેલ શ્રીમતિ દેવિકાબેન ધ્રુવનું કવિશ્રી ઉમાશંકર જોશીના વરદ હસ્તે સન્માન)

*

થોડોએક તડકો ઢોળાઈ ગયો આભથી.

કાળાં ભમ્મર હતાં વાદળાં છવાયાં,
છૂપા હતા દૂર દૂર રવિરાયા,
સાંજની ઢળી હતી ઘનઘેરી છાયા,
ઓચિંતી આવી વાયુલહરી કહીંયથી,
થોડોએક તડકો ઢોળાઈ ગયો આભથી.

તરુઓની ડાળીઓએ પડતો એ ઝીલ્યો,
પાંદડાની લીલી કટોરીઓમાં ખીલ્યો.
ઊડતાં પંખીની પાંખ કહે : કો ભરી લ્યો !
કૈંક મારે હૈયે ઝીલ્યો મેં મથી મથી.
થોડોએક તડકો ઢોળાઈ ગયો આભથી.

– ઉમાશંકર જોશી
(તા. 31 ઓગષ્ટ, 1947)

*

કવિ શ્રી ઉમાશંકર જોશીના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણીની વધુ એક કડી… બ્લૉગજગતમાં જાણીતા શ્રીમતિ દેવિકાબેન ધ્રુવના આલ્બમમાંથી એક તસ્વીર અને સાથે જ એમણે મોકલાવેલ કવિશ્રીની એમની પસંદગીની એક રચના આજે સાથે સાથે માણીએ…

Comments (13)

ઉમાશંકર વિશેષ :૧૫: ભારત

UJo

ભારત નહિ નહિ વિન્ધ્ય હિમાલય,
.                             ભારત ઉન્નત નરવર;
ભારત નહિ ગંગા, નહિ યમુના,
.                             ભારત સંસ્કૃતિનિર્ઝર.
ભારત નહિ વન, નહિ ગિરિગહ્વર,
.                             ભારત આત્મની આરત;
ભારત તપ્ત ગગન કે રણ નહિ,
.                            જીવનધૂપ જ ભારત.
ભારત તે રતનાગર રિદ્ધિ ન,
.                            ભારત સંતતિરત્ન;
ભારત ષડ્ ઋતુ ચક્ર ન, ભારત
.                           અવિરત પૌરુષયત્ન.
ભારત ના લખચોરસ કોશો
.                           વિસ્તરતી જડભૂમિ,
ભારત મૃદુ માટીથી ઘડ્યા ભડ-
.                           વીર પ્રાણની ઊર્મિ.
ભારત એકાકી અવધૂત ન,
.                            કે ચિરનિરુદ્ધ કારા;
ભારત જગની જમાત વચ્ચે
.                            મનુકુલ-મનનની ધારા.

– ઉમાશંકર જોશી

‘લયસ્તરો’ તરફથી સહુ કાવ્ય રસિક મિત્રોને સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ !!

કવિવર્ય શ્રી ઉમાશંકર જોશીના જન્મ શતાબ્દીવર્ષની ઉજવણીના અનુસંધાનમાં આજના દિવસનું ઔચિત્ય ધરાવતી કૃતિ.  આઝાદીના ત્રેંસઠ વર્ષ પછી પણ શું આપણે સાચા અર્થમાં સમજી શક્યા છીએ કે ભારત શું છે ?

(ગિરિગહ્વર = પર્વત અને ગુફા, રતનાગર= રત્નોની ખાણ, સમુદ્ર; ચિરનિરુદ્ધ = લાંબા સમય સુધી રોકી ન શકાય એવું)

Comments (12)

ઉમાશંકર વિશેષ :૧૪: હાઈકુ અને મુક્તક

UJ3

કવિ
(સદગત પ્રિયકાન્તની સ્મૃતિમાં)

લોહીવ્હેણમાં
ઊછળે નાયાગરા,
કીકીમાં કાવ્ય.

* * *

શબ્દ

મૌન, તારો તાગ લેવા
શબ્દ થઈ દઉં કાળજળમાં
.                            ડૂબકી.

– ઉમાશંકર જોશી

ઉમાશંકર માત્ર દીર્ઘ કાવ્ય જ લખતા એમ કહીએ તો એમની કવિપ્રતિભાને હાડોહાડ અન્યાય થાય. લઘુકાવ્યો, મુક્તક અને કવચિત્ હાઈકુમાં પણ એમની કલમ ખૂબ છટાદાર ચાલી છે.

***

સાથે કવિના જીવનના બે યાદગાર પ્રસંગો મમળાવીએ:

એક વાર મુબઈમાં બસમાં જતો હતો. આગલી બેઠક ઉપરના વૃદ્ધે મને બોલાવ્યો. મારા એક વખતના અર્થશાસ્ત્રના પ્રોફેસર ! વંદન કર્યાં. આશ્ચર્ય વ્યક્ત કર્યું કે ભલો મને ઓળખ્યો. ‘કેમ ન ઓળખું?’ પછી કહે, ‘તારે પોતાનો કાવ્યસંગ્રહ પાઠ્યપુસ્તક તરીકે ભણવાનો આવ્યો હતો ને?’ ઉમાશંકરે સમજાવ્યું કે બી.એ.ના છેલ્લા બે વર્ષો તો એ અર્થશાસ્ત્રના વિદ્યાર્થી હતા એટલે એમનો સંગ્રહ બીજા વિદ્યાર્થીઓને ભણવાનો થયો હતો, પોતાને નહીં. પણ પ્રોફેસર માન્યા નહીં. કવિ કહે છે, એક કથા (લીજેન્ડ) તરીકે કોઈ કવિને પોતાનો જ કાવ્યસંગ્રહ ભણવાનો આવે તો કેવું ? – એ કૌતુક એવું મનગમતું છે કે એનો નાશ કરવાનો કવિને પોતાને પણ કશો હોવો જોઈએ નહિ !

કવિ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે કામ કરતા હતા ત્યારે મજાની બીના બની. કવિ કહે છે, અમારા કર્મચારી બંધુઓ એકવાર હડતાળ ઉપર ઊતરેલા ને મારી તરફ આવી રહ્યા હતા. આગળ ચાલતા નાયકનો સૂત્રોચ્ચાર ગાજતો હતો : ‘ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ…’ આખું મંડળ એકઅવાજે ત્યાં બોલતું હત્યું: ‘જાગશે !’

***

આજે આ ઉમાશંકર વિશેષ સપ્તાહ પૂર્ણ થાય છે પણ ઉમાશંકરના કાવ્યોનો રસથાળ આખા વર્ષ દરમિયાન પીરસાતો રહેશે…

Comments (10)

ઉમાશંકર વિશેષ :૧૩: મહાપ્રસ્થાન

Umashankar3

યુધિષ્ઠિર       :       હિમાદ્રિ હે ! ભવ્ય તારાં શિખરોથી ભવ્યતર,
.                            ઉચ્ચતર, શુભ્રતર ચારિત્ર્યલક્ષ્મી વડે જે,
.                            ક્યાં છે તે સૌ પુરુષોમાં પુરુષોત્તમ, પ્રબુદ્ધ ?
.                          ક્યાં છે તે મહામનીષી ? ક્યાં છે કૃષ્ણ ?

અન્ય સૌ       :                                               કૃષ્ણ ? કૃષ્ણ !

પડઘા          :       કૃષ્ણ ! !

યુધિષ્ઠિર       :     કેવા કૃષ્ણ હવે ?

અર્જુન          :                                  કૃષ્ણ હવે અન્તર્યામી…
.                           કૃષ્ણલૂખું જીવન જે, એ જ મૃત્યુ.

સહદેવ         :                                       મૃત્યુયાત્રી,
.                              ચલો, જયેષ્ઠબંધુ પૂઠે, હિમશય્યા મૃત્યુશીળી
.                              પ્રતીક્ષા કરી છે રહી.

ભીમ           :                       કોણ, કોઈ પડ્યું ? થયો
.                                શાનો આ અવાજ ?

યુધિષ્ઠિર       :       અરે પાંચાલી !

ભીમ           :                       થાકી ગઈ કે ?
.                               ઊંચકી લઉં આ સ્કંધે ?… નથી અરૈ ઊચલાતી…

યુધિષ્ઠિર       :       ભીમ, લાક્ષાગૃહે થકી જનેતા સમેત ચાર
.                            બંધુને ઉપાડી દોડ્યો ભોંયરે તું એકશ્વાસે,
.                             હતો એયે સમય, આ સમય છે જુદો, ભાર
.                             સ્વ-કર્મનો ઊઠાવીને ચાલી શકે એ જ આજે
.                             ઘણું તારે માટે. ઊઠો, પાંચાલી, યાત્રા છે શેષ…

દ્રૌપદી         :       હશે તે તમારે માટે, મારી તો આ પૂરી થઈ
.                          તમારી આંખોની અમી-છાયા નીચે પાંચેયની.
.                          વિદાય આપો અને લો. જીવનમાઅં પીધું-પાયું
.                          સ્મરણ તેનું કરી લો. અગ્નિજા હું હતી ક્યારે-
.                         ક્યારે અગ્નિજિહ્વાળી, ને તપ્ત વેણ સ્હેવાં પડ્યાં
.                          હશે ધર્મરાજનેયે, ક્ષમા તેની આપો અને
.                         પાંચેના જીવનમાં હું પ્રવેશી, પુરુષવરો,
.                         તે પૂર્વે હતા પ્રવાસી તેમ હવેયે પ્રવાસ
.                         આગે ચલાવો તમારો…

સહદેવ         :       પાંચ આંગળીઓ જેવા
.                                           હતા પાંચેય પાંડવ;
.                            વળી જે મુક્કી તે કિંતુ
.                                          દ્રૌપદીના પ્રભાવથી.

– ઉમાશંકર જોશી

કવિ તરીકે ઉમાશંકર સબળ તો હતા જ, સજાગ પણ હતા. ગુજરાતી કવિતાનું માથું વૈશ્વિક સ્તરે ઊંચું રહે એ માટે ગુજરાતી કવિતાનું ખેડાણ જે ક્ષેત્રમાં ઓછું અથવા નહિવત્ થયું હોય એ ક્ષેત્રમાં પણ એ ઝંપલાવતા. કવિ કહે છે, ‘નાટ્યકવિતા (રંગભૂમિ પર ટકી શકે એવી) દુનિયાના સાહિત્યમાં વિરલ છે. નાટ્યકવિતા એ કવિત્વશક્તિને આહ્વાનરૂપ છે. ગુજરાતી કવિતાએ પણ એ આહ્વાનનો પ્રતિશબ્દ પાડવાનો રહે છે જ.’ એમણે લગભગ ચૌદ પદ્યનાટક લખ્યા. એમાંના એક નાટક મહાપ્રસ્થાનનો એક અંશ અહીં રજૂ કર્યો છે. મહાભારતના યુદ્ધ અને કૃષ્ણના નિર્વાણ પછી પાંડવો મહાપ્રસ્થાન કાજે હિમાલયમાં  જાય છે. દ્રૌપદી સહુથી પહેલી ઢળી પડે છે એટલો ભાગ અહીં લીધો છે.  છે નાટક પણ કવિતા સતત ઊભરાતી રહે છે. ચાર ભાઈ અને માતાને ખભે ઊંચકીને લાક્ષાગૃહમાંથી દોડેલો ભીમ આજે દ્રૌપદીને પણ ઊઠાવી નથી શક્તો ત્યારે યુધિષ્ઠિર કહે છે કે સ્વ-કર્મનો બોજ ઊંચકાય તોય ઘણું… સહદેવ કહે છે કે પાંચ પાંડવ પાંચ આંગળી સમા હતા પણ દ્રૌપદી જ એમની ખરી તાકાત, મુઠ્ઠી હતી…

Comments (5)

ઉમાશંકર વિશેષ :૧૨: ચાલને, ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ – ઉમાશંકર જોશી

UJ

(પ્રવચન કરતાં ઉમાશંકર જોશી સાથે બચુભાઈ રાવત, સ્નેહરશ્મિ, નગીનદાસ પારેખ, વિ.)

ચાલને ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ.
લહરી ઢળકી જતી,
વનવનોની કુસુમસૌરભે મત્ત છલકી જતી,
દઈ નિમંત્રણ અમસ્તી જ મલકી જતી,
સ્વૈર પથ એહનો ઝાલીએ,
ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ,
ચાલને !

વિરહસંત્રપ્ત ઉર પર સરે મિલનનો
સ્પર્શ સુકુમાર, એવો ઝરે નભ થકી ચંદ્રનો
કૌમુદીરસ અહો !
અવનિના ગ્રીષ્મહૈયા પરે પ્રસરી કેવો રહ્યો !
ચંદ્રશાળા ભરી ઊછળે,
આંગણામાં ઢળે,
પેલી કેડી પરે લલિત વનદેવીસેંથા સમો ઝગમગે,
દૂર સરવર પટે મંદ જળના તરંગો પરે તગતગે.
અધિક ઉજ્જવળ કરંતો જ તુજ ભાલને, ગાલને.
સોમ એ હ્રદયભર પી ઘડી મ્હાલીએ,
ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ,
ચાલને !

-ઉમાશંકર જોશી

ચાંદનીના સથવારે ચાલવાની વાતમાં જીવનરસને જીવ ભરીને પી લેવાની ઈચ્છા વણાયેલી છે. ચાલવું … મ્હાલવું… છલકવું… ભળવું… બે મટી એક થવું…  અનંત થવું !

Comments (2)

ઉમાશંકર વિશેષ :૧૧: પ્રશ્નો – ઉમાશંકર જોષી

umashankar

કાવ્ય, સમયની ચીસ શાશ્વતી અર્થે ?
પ્રણય હ્રદયનો અર્ધ્ય અદયને તર્પે ?

મૈત્રી, બિંદુ બે મથંત બનવા રેખા ?
કર્મ, તિમિર-પટ પર વિદ્યુતલિપિરેખા ?

સત્તા, આત્મવિશ્વાસ તણી હરરાજી ?
કીર્તિ, કાળને મુખે થતી પતરાજી ?

દયા, અધિકતા છુપાવતું અવગુંઠન ?
ત્યાગ, વામ કરથી દક્ષિણને અર્પણ ?

મુક્તિ, વળી નવતર બંધનની માયા ?
સત્ , અંતે અંતરતમ પુરુષની છાયા ?

– ઉમાશંકર જોશી

ઉમાશંકરના કવ્યોમાં વ્યંગ ભાગ્યે જ જોવા મળે. અને આ તો આખું કાવ્ય જ વ્યંગથી ભરેલું. જોકે કવિની કુશળતા જુઓ કે આ બધા ચાબખા એમણે કેવા શિષ્ટતમ ભાષામાં છુપાવ્યા છે !

(અદય=નિષ્ઠુર, ક્રૂર, અર્ધ્ય=આરતી, પતરાજી=શેખી, ડંફાસ, અવગુંઠન=બુરખો, લાજ, વામ= ડાબો, દક્ષિણ=જમણો, અંતરતમ=અત્યંત પોતાનું, નજીકનું)

Comments (4)

ઉમાશંકર વિશેષ :૧૦: ભોમિયા વિના -ઉમાશંકર જોશી

umashankar-joshi-and-jhaverchand-meghani

(ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી સાથે…)

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,
રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી.

સૂના સરવરિયાની સોનેરી પાળે
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે
અંતરની વેદના વણવી હતી.

એકલા આકાશ તળે ઊભીને એકલો,
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
અકલો અટૂલો ઝાંખો પડ્યો.

આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજકુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.

-ઉમાશંકર જોશી

સ્વર – સંગીત : અજિત શેઠ

[audio:http://tahuko.com/gaagar/layastaro/Bhomiyaa Vinaa Maare Bhamvaa Taa-Umashankar Joshi.mp3]

સંગીત : શ્યામલ – સૌમિલ મુન્શી
સ્વર : ઉદય મઝુમદાર

[audio:http://urmisaagar.com/saagar/audio/bhomiya vina maare bhamavata dungraa – Umashankar Joshi]

Wanderlustને ચરિતાર્થ કરતું ઉમાશંકરનું અમર ગીત.

Comments (7)

ઉમાશંકર વિશેષ :૦૯: માઈલોના માઈલો મારી અંદર – ઉમાશંકર જોશી

with Agney

(હિન્દી સાહિત્યસમ્રાટ અજ્ઞેય સાથે…)

*

umashankar joshi
(કવિના હસ્તાક્ષ્રર એમની પ્રિય પંક્તિ સાથે, પરિષદટાણે, સૂરત)

માઇલોના માઇલો મારી અંદર પસાર થાય છે.
દોડતી ગાડીમાં હું સ્થિર, અચલ.
પેલા દૂર ડુંગર સરી જાય અંદર, -ડૂબી જાય
મજ્જારસમાં, સરિતાઓ નસોમાં શોણિતના
વહેણમાં વહેવા માંડે, સરોવરો
પહોળી આંખોની પાછળ આખાં ને આખાં
ડબક ડબક્યાં કરે. લહેરાતાં
ખેતરોનો કંપ અંગેઅંગે ફરકી રહે.
જાણે હથેલીમાં રમે પેલાં ઘરો,
ઝૂંપડીઓ, – આંગણાં ઓકળી-લીંપેલાં,
છાપરે ચઢતો વેલો… ત્યાં પાસે કન્યાના ઝભલા પર
વેલબુટ્ટો થઇ બેઢેલું પતંગિયું…
સ્મૃતિને તાંતણે એટલુંક ટીંગાઇ રહે.
માઇલોના માઇલો મારી આરપાર પસાર થયાં કરે.

વિશ્વોનાં વિશ્વો મારી આરપાર પસાર થાય છે.
ઘૂમતી પૃથ્વી ઉપર હું માટીની શૃંખલાથી બદ્ધ.
એકમેકની આસપાસ ચકરાતા ક્વાસાર, નિહારિકાઓ,
આકાશગંગાઓ, નક્ષત્રોનાં ધણ, -ચાલ્યાં આવે.
હરણ્ય મારી ભીતર કૂદી. પૂંઠે વ્યાધ, લાંબોક વીંછુડો…
અવકાશ બધો પીધાં કરું, તરસ્યો હું. ઝંઝાના તાંડવ,
ઘુર્રાતાં વાદળ, વીંઝાતી વિદ્યુત, ઉનાળુ લૂ,
વસંતલ પરિમલ – અંદર રહ્યું કોઇ એ બધુંય ગટગટાવે.
અનંતની કરુણાનો અશ્રુકણ ? – કોઇ ખરતો તારો;
ધરતીની દ્યુતિ-અભીપ્સા ? – કોઇક ઝબૂકતો આગિયો; –
સ્મૃતિના સંપુટમાં આટલીક આશા સચવાઇ રહે.
વિશ્વોનાં વિશ્વો મારી આરપાર પસાર થયાં કરે.

– ઉમાશંકર જોશી

કવિનું જગત તો આમેય સ્મૃતિવરણું જ હોય. એનાથી ય આગળ જઈને કવિ તો એ સ્મૃતિઓ કેવી રીતે પોતાના શરીરના એક એક કણમાં વસી ગઈ છે એ વર્ણવે છે. અને એ સ્મરણના સહારે કવિ આખા વિશ્વ સાથે એકાત્મ અનુભવિ રહે છે. ‘હું’ અને ‘અ-હું’ એકબીજાની અંદર કદી છૂટા ન પાડી શકાય એમ ભળી જાય, ઝબકી જાય, છલકી જાય અને અનંત એકરાગિતા સર્જી જાય એ સ્થિતીની વાત કવિ પોતાની આગવી અદાથી કરે છે. વિશ્વોના વિશ્વો મારી આરપાર પસાર થયા કરે…. એ કલ્પના જ એટલી બળુકી છે કે સ્મૃતિપટને રણકાવી જાય છે !

(શોણિત=લોહી, ઓકળી=લીંપણની એક જાતની ભાત, ક્વાસાર=quasar, આકાશગંગાની નાભિ, દ્યુતિ=તેજ, અભીપ્સા=ઈચ્છા)

Comments (3)

ઉમાશંકર વિશેષ :૦૮: આગ અને હિમ

Munshi
( કનૈયાલાલ મા. મુનશી સાથે ઉમાશંકર જોશી)

*

કોઈ કહે : દુનિયાનો થાશે પ્રલય આગ થકી.
કહે કોઈ : હિમથી.
મને કાંઈ જે સ્વાદ કામના તણો મળ્યો તે પરથી
સાચા લાગે આગ પક્ષના નકી.
પણ બે વાર પ્રલય દુનિયાનો થાવો હોય કદી,
તો મુજને થતું પરિચય દ્વેષનો મને એટલો છે
કે કહી શકું : લાવવા અંત
હિમ પણ છે પ્રતાપવંત
ને પૂરતું નીવડશે.

– રોબેર્ટ ફ્રોસ્ટ
(અનુ. ઉમાશંકર જોશી, ૨૭-૧૧-૧૯૭૧)

આસ્વાદ શ્રી ઉમાશંકરના શબ્દોમાં –

.                       ‘ફ્રોસ્ટે લખ્યું છે- ” કવિતા આહલાદમાં આરંભાય અને પૂર્ણાહુતિ પામે શાણપણમાં.” આ કૃતિ તે વિધાનની યથાર્થતાની સાબિતી છે. ફ્રોસ્ટની ભાષા બહુધા સાદી હોય છે. છંદ કે લય બહુ આગળ પડી આવતા નથી. પરંતુ કૃતિની સુરેખતા હમેશા જળવાઈ રહે છે. શબ્દોનો કરકસરપૂર્વકનો ઉપયોગ કલાને વધુ નિખારે છે.

.                     કાવ્ય દ્વન્દ્વના બંને છેડો કેટલા કાતિલ હોય છે તેની વાત કરે છે-ઉષ્ણ અને શીત,રાગ અને દ્વેષ. પૃથ્વીના ઈતિહાસમાં હિમપ્રલય,જળપ્રલય ની વાત છે પરંતુ આગથી થયેલ પ્રલય જાણમાં નથી. મહત્વ એ વાત નું છે કે દ્વન્દ્વનો કોઈપણ છેડો પ્રલય લાવવા સક્ષમ છે. આ ઉપરાંત પણ અર્થ છુપાયેલા છે જે ભાવકની શુદ્ધિબુદ્ધિ ઉપર છોડાયેલ છે.’

Comments (7)

ઉમાશંકર વિશેષ :૦૭: કવિની ઇચ્છા

Dhumketu
(ધૂમકેતુ અને ઉમાશંકર જોશી)

*

વર્તમાન જયારે મારા આ ધ્રૂજતા આયખા પર આગળા ભીડી દે,
અને ફાલ્ગુન માસ હરિયાળા ખુશહાલ પાંદડાં ફફડાવી રહે
નવા કાંતેલ રેશમ શી નાજુક-જાળિયાળી પાંખો શાં, ત્યારે
પડોશીઓ કહેશે વારુ કે
‘એ હતો માનવી, આવી વસ્તુઓ જોવાની અચૂક ટેવ હતી જેને’ ?
બને કે સાંજુકી વેળા,જેમ નીરવ પડે પલક આંખની
તેમ ઊતરી આવે ઝાકળ-ઘડીએ બાજ, છાયાઓ પાર,જંપવા જરી
ઉપલાણે પવન-અમળાયેલ કાંટ્ય પર; એ બધું જોઈ રહેલા ત્યારે
થશે કો માનવીને શું : ‘એને તો ખસૂસ આ દ્રશ્ય પરિચિત
હશે જ હશે’?
હું કોઈ ફૂદાં-ભરેલી ઉષ્માભરી શ્યામલતામાં વિચરું રાત્રિલોકની,
જયારે ઘાસ પર પથ કાપતો શેળો ફરુરર કરતો જાય સરકી,
કોઈ કહેય તે : ‘આવા નિર્દોષ પ્રાણીને ન ઈજા કશી થવા
પામે તે માટે તે મથ્યો,
પણ તે જૂજ જ કાંઈ કરી શખ્યો તેઓ કાજે;અને હવે તો તે ગત થયો.’
જો સૌ ઊભે મુજ દ્વારે,અંતે હું શમી ગયો – એ સમાચારે,
પૂર્ણનક્ષત્રમય નભ ન્યાળીને – જે શિયાળાને જ જોવા મળે.
મારો ચહેરો નીરખવાના નથી જે,મનમાં તેઓના ઊગશે શું
વિચાર આ કે
‘તે હતો એવો,જેને નજર હતીસ્તો આવીક રહસ્યમયતાઓ
માટે’ ?
મારી ચિર વિદાયની ઘંટા જયારે રણકી ઊઠે અંધકારે
અને વાયુલહર આડી ફરી એના તરંગપ્રવાહને કાપે ક્ષણ માટે,
થંભેલા સ્વર ફરી પાછા ઊભરે,થયો હો ઘંટરવ નવો જાણે ના !
કહેશે ત્યારે તેઓ શું : ‘નથી આ સુણતો એ,પણ આવું આવું
હમેશ ધ્યાનમાં આવતું એના’ ?

– ટોમસ હાર્ડી
(અનુ. ઉમાશંકર જોશી, તા ૨૭-૧૧-૧૯૭૧)

કવિશ્રી ઉમાશંકરે આ કાવ્યનો આસ્વાદ પણ કરાવ્યો છે જેનો ટૂંક સાર આ પ્રમાણે છે-
‘ એક પછી એક પાંચ ચિત્રો થકી કવિ પોતાના વિષે પોતાના દેહાવસાન બાદ શું શું કહેવાશે તેની કલ્પના રજૂ કરે છે….-કવિને ઓળખનારા તેની પાંચ લાક્ષણિકતાઓને વાગોળશે-

૧- વસંતવૈભવમાં કુદરતની સૂક્ષ્મ કારીગરી જોઈ શકનારી સૌન્દર્યદ્રષ્ટિ
૨- આતતાયી એવા બાજ પક્ષી માટે પણ તે કુદરતના ચક્રનું એક અભિન્ન અંગ છે તેવી વહાલભરી સમદ્રષ્ટિ.
૩- કરુણાવૃત્તિ
૪- આકાશ ભરી દેતા નક્ષત્રલોકથી ચિત્તમાં ઉદબુદ્ધ થતી રહસ્યદર્શિતા
૫- સૌંદર્ય તેમ જ જીવનની ધારાવાહિતામાં વચમાં ભંગ થાય અને અને નવીનતાનો ભાસ ઊપજે તેને લીધે એકસાથે નવીનતા અને એકસૂત્રતા – બંનેનો અનુભવ કરતી દ્રષ્ટિની અખિલાઈ.

અહી કવિનું સૂક્ષ્મ સૂચન એ છે કે કોઈપણ કવિમાં આ લાક્ષણિકતાઓ સામાન્ય હોય છે-અહી કવિ સાથે અસંમત થઇ શકાય પરંતુ કાવ્યવિષય વ્યક્તિગત નથી જ નથી. આખી કૃતિ ઉચ્ચ કક્ષાની સર્જકતાની પ્રતીતિ કરાવતા કલ્પનો અને ચિત્રણોથી માતબર છે પરંતુ ઉત્તમ ચિત્રણ અને મૌલિકતાની પરાકાષ્ઠા છેલ્લી કડીમાં નિષ્પન્ન થાય છે- ઘંટાનાદનો પ્રવાહ વાયુની લહેર આડી આવતા ક્ષણભર માટે કપાય છે – અને ક્ષણાર્ધમાં પાછો સંધાઈ જાય છે….ઘંટારવ ફરી સંભળાય છે -જાણે નવો જ ન થયો હોય ! ‘

Comments (5)

ઉમાશંકર વિશેષ :૦૬: રહ્યાં વર્ષો તેમાં –

UJ1

Rahya varsho tema

રહ્યાં વર્ષો તેમાં હૃદયભર સૌન્દર્ય જગનું
ભલા પી લે; વીલે મુખ ફર રખે, સાત ડગનું
કદી લાધે જે જે મધુર રચી લે સખ્ય અહીંયાં;
નથી તારે માટે થઈ જ નિરમી ‘દુષ્ટ’ દુનિયા.
– અહો નાનારંગી અજબ દુનિયા ! શે સમજવી ?
તને ભોળા ભાવે કરું પલટવા, જાઉં પલટી;
અહંગર્તામાં હા પગ, ઉપરથી, જાય લપટી !
વિસારી હુંને જો વરતું, વરતે તું મધુરવી –

મને આમંત્રે ઓ મૃદુલ તડકો, દક્ષિણ હવા,
દિશાઓનાં હાસો, ગિરિવર તણાં શૃંગ ગરવાં;
નિશાખૂણે હૈયે શશિકિરણનો આસવ ઝમે;
જનોત્કર્ષે–હ્રાસે પરમ ૠતલીલા અભિરમે.
–બધો પી આકંઠ પ્રણય ભુવનોને કહીશ હું –
મળ્યાં વર્ષો તેમાં અમૃત લઈ આવ્યો અવનિનું.

– ઉમાશંકર જોશી

21 જુલાઈ, 1952ના રોજ પોતાની 41મી વર્ષગાંઠે કવિએ ‘ગયાં વર્ષો-’ લખ્યું અને એ જ દિવસે આ સૉનેટ પણ લખ્યું. બંનેમાં કવિનો જીવન અને પ્રકૃતિ તરફનો નિરર્ગળ નિતાંત પ્રેમ જ વ્યક્ત થાય છે.

વીલે મોઢે જીવવાને બદલે લગ્નના સાત ફેરા ફરી જગ આખાનું સૌંદર્યપાન કરવા આહ્વાન કરે છે. દુઃખીજનને કાયમ એવું જ અનુભવાતું હોય છે કે આખી દુનિયા મારી જ દુશ્મન છે. હકીકત એવી નથી. પોતાના ‘હું’ને વિસારીને વરતીએ તો દુનિયા વધુ મીઠી લાગશે. જે વર્ષો રહ્યાં છે તેમાં અવનિના કણ-કણમાં વસેલું સૌંદર્ય શા માટે આકંઠ ન પીવું !

**

કવિના શબ્દો, ‘સર્જક કલાકાર તરીકે મને હમેશ લાગ્યાં કર્યું છે કે કવિતા પોતાનું ઘણું કામ લય દ્વારા કાઢી લેતી હોય છે. શબ્દના અર્થ-અંશ કરતાં નાદ-અંશનું મહત્ત્વ ઓછું નથી. એ નાદ-અંશ, કવિતા કાનની કળા હોઈ, અર્થ-અંશનો આધાર તો છે જ, પણ અર્થ-અંશને પ્રસ્તુત કરીને એ વિદાય લેતો નથી, કૃતિના સમગ્ર પિંડનો સ્વયં આવશ્યક ભાગ બની રહે છે. કવિતામાં શબ્દનો નાદ-અંશ અનુપ્રાસ, કાકુ, શબ્દક્રમ આદિની મદદથી અર્થના આરોહ-અવરોહમાં અનુપ્રવેશ સાધતો સમગ્ર સંદર્ભના – આખી કલાકૃતિના અવયવવિન્યાસના જ નહીં, અર્થવિન્યાસના બલકે રહસ્યવિન્યાસના હિલ્લોલ રૂપે, લય રૂપે પ્રતીત થાય છે. લય અંગેની આ વાત જેટલી ગીત અને છંદ અંગે સાચી છે તેટલી જ ગીત અને છંદ કરતાં વધુ મુશ્કેલ (કેમકે ગીત અને છંદની પહોંચમાં ન આવી શક્તા કશાકને પકડવા મથનાર) ‘અછાન્દસ’ માટે સાચી છે.’

Comments (5)

ઉમાશંકર વિશેષ :૦૫: ગયાં વર્ષો –

Umashankar1

Gaya varsho

ગયાં વર્ષો તે તો ખબર ન રહી કેમ જ ગયાં !
ગયાં સ્વપ્નોલ્લાસે, મૃદુ કરુણહાસે વિરમિયાં !
ગ્રહ્યો આયુર્માર્ગ સ્મિતમય, કદી તો ભયભર્યો;
બધે જાણે નિદ્રા મહીં ડગ ભરું એમ જ સર્યો !
ઉરે ભારેલો જે પ્રણયભર, ના જંપ ક્ષણ દે.
સ્ફુર્યો કાર્યે કાવ્યે, જગમધુરપો પી પદપદે
રચી સૌહાર્દોનો મધુપટ અવિશ્રાંત વિલસ્યો.
અહો હૈયું ! જેણે જીવવતર તણો પંથ જ રસ્યો.

ન કે નાવ્યાં માર્ગે વિષ, વિષમ ઓથાર, અદયા
અસત્ સંયોગોની; પણ સહુય સંજીવન થયાં.
બન્યા કો સંકેતે કુસુમ સમ તે કંટક ઘણા.
તિરસ્કારોમાંયે કહીંથી પ્રગટી ગૂઢ કરુણા.
પડે દૃષ્ટે, ડૂબે કદીક શિવનાં શૃંગ અરુણાં –
રહ્યો ઝંખી, ને ના ખબર વરસો કેમ જ ગયાં !

– ઉમાશંકર જોશી

‘ગયાં વર્ષો-’ અને ‘રહ્યાં વર્ષો તેમાં-’ આ બે સૉનેટ કવિ ઉમાશંકરની કલમની ઓળખ આપી શકે એવાં છે. ઉમાશંકર સિક્કાની બંને બાજુને સમાનપણે ચાહી શક્તા. સ્વાભાવિકપણે ચડાવ એમને વહાલો હતો તો ઉતાર પણ એમને વર્જ્ય નહોતો. જે વર્ષો વીતી ગયાં છે એનો વસવસો આ સૉનેટમાં ક્યાંય નજરે ચડતો નથી કેમકે કવિ એને પણ બિનશરતી ચાહે છે ! સમય પસાર થાય છે ત્યારે એ માંડમાંડ વિતતો હોવાનું અનુભવાય છે પણ વીતેલા વખત પર નજર માંડીએ ત્યારે આટલો સમય કેમનો વીતી ગયો હશેનું આશ્ચર્ય જ અનુભવાય છે. કદી તો એવું લાગે છે જાણે ઊંઘમાં ચાલતાં ન હોઈએ એમ વરસો વીતી ગયાં. હૈયામાં જે પ્રણયોર્મિ છલોછલ હતી એ જ ડગલે ને પગલે જીવાડતી હતી. માર્ગમાં મુસીબતો પણ આવી પણ કો’ક અકળ સંકેતે જાણે કાંટા પણ ફૂલ બની બેઠાં…

**

કવિ પોતે શબ્દ વિશે શું કહે છે, જાણીએ? :’ગામથી શબ્દ લઈને નીકળ્યો હતો. શબ્દ ક્યાં ક્યાં લઈ ગયો ? સત્યાગ્રહ છાવણ્રીઓમાં, જેલોમાં, વિશ્વવિદ્યાલયમાં, સંસદમાં, દેશના મૂર્ધન્ય સાહિત્યમંડળમાં, રવીન્દ્રનાથની વિશ્વભારતીમાં, વિદેશના સાંસ્કૃતિક સમાજોમાં, – એટલે કે વિશાળ કાવ્યલોકમાં, માનવ હોવાના અપરંપાર આશ્ચર્યલોકમાં, તો ક્યારેક માનવમૂલ્યોના સમકાલીન સંઘર્ષોની ધાર પર, કોઈક પળે બે ડગલાં એ સંઘર્ષોના કેન્દ્ર તરફ પણ. …     … પ્રામાણિકપણે કહી શકું કે શબ્દનો વિસારો વેઠ્યો નથી….   …શબ્દને વીસરવો શક્ય નથી. વરસમાં એક જ કૃતિ (જેવી ‘અમે ઈડરિયા પથ્થરો’ છે) રચાઈ હશે ત્યારે પણ નહીં, બલકે ત્યારે તો નહીં જ.’

Comments (1)

ઉમાશંકર વિશેષ :૦૪: આજ મારું મન માને ના

UJ

(ચિત્રકાર : રજની વ્યાસ)

*

આજ મારું મન માને ના.
કેમ કરી એને સમજાવું,
આમ ને તેમ ઘણું ય રીઝાવું;
રેઢું મૂકી આગળ શેં જાવું ?
વાત મારી લે કાને ના.
આજ o

ચાલ, પણે છે કોકિલ સારસ,
આવ, અહીં છે મીઠી હસાહસ;
દોડ, ત્યાં લૂંટીએ સાહસનો રસ.
સમજતું કોઈ બાને ના.
આજ o

ના થઈએ પ્રિય છેક જ આળા,
છે જગમંડપ કંઈક રસાળા;
એ તો જપે બસ એક જ માળા,
કેમ મળે તું આને ના.
આજ o

– ઉમાશંકર જોશી

સંગીત : શ્યામલ-સૌમિલ મુન્શી
સ્વર : શ્રેયા ઘોષાલ

[audio:http://urmisaagar.com/saagar/audio/aaj maaru mann mane naa – Umashankar Joshi]

શ્રી ઉમાશંકરજીની કવિતામાં વિષયનું ખૂબ જ વૈવિધ્ય જોવા મળે છે.  એમનાં કાવ્યો આપણને પ્રણય, પ્રકૃતિ, માણસ અને વતનથી માંડીને છેક માનવીનાં મન સુધી લઈ જાય છે.  પોતાના ચંચળ અને અડબંગ મનને વારંવાર સમજાવવું એ આપણા સૌનો નિત્ય અનુભવ છે.  જેને કવિએ અહીં ખૂબ જ સ-રસ રીતે આ ગીતમાં કંડાર્યો છે.  પોતાના મનની સાથે સંવાદ કરવો એનું નામ જ કવિતા !

Comments (11)

ઉમાશંકર વિશેષ :૦૩: ગાણું અધૂરું -ઉમાશંકર જોશી

Umashankar-Joshi8

ગાણું અધૂરું મેલ મા,
.          . ‘લ્યા વાલમા,
. ગાણું અધૂરું મેલ મા.

હૈયે આયેલું પાછું ઠેલ મા,
.               . ‘લ્યા વાલમા,
.                     . હોઠે આયેલું પાછું ઠેલ મા.   ગાણું અધૂરું o

હૈયા સંગાથે ભૂંડા ખેલ મા,
.              . ‘લ્યા વાલમા,
.                 . ભોળા સંગાથે ભૂંડું ખેલ મા.  ગાણું અધૂરું o

ઓરાં બોલાવી ધકેલ મા,
.                 . ‘લ્યા વાલમા,
.                       .છાતીથી છેટાં ધકેલ મા.  ગાણું અધૂરું o

છાતીથી છેટાં મેલ મા,
. ..          . ‘લ્યા વાલમા,
હૈયા સંગાથે ભૂંડા ખેલ મા.

અરધે અધૂરું મેલ મા,
.           . ‘લ્યા વાલમા,
.હોઠે આયેલું પાછું ઠેલ મા.
.                       . ગાણું અધૂરું મેલ મા.

– ઉમાશંકર જોશી

ગાણું અધૂરું મેલવાની વાત એટલે હૈયાનાં પ્રગટેલા હેતને પાછું ધકેલવાની વાત; અને હોઠે આવેલું પાછું ઠેલવાની વાત એટલે પ્રેમનું મધુરું ગાણું અધૂરું મેલવાની વાત.  આખા ગીતમાં અલગ અલગ રીતે ગોળ ગોળ ફેરવીને કવિ આ જ વાતનું સતત પુનરાવર્તન કરે છે… અને પોતાના ‘વાલમા’ને પ્રીતનું ગાણું અધૂરું ન રાખવા વારંવાર વિનવે છે.  અહીં ‘વાલમા’ એ કોઈ પ્રિયજન પણ હોઈ શકે અથવા પોતાનો માંહ્યલો પણ હોઈ શકે… અહીં ઉમાશંકર જોશીના જ બીજા એક ગીતની એક પંક્તિ યાદ આવે છે: કોઈ અભાગી અધરે લાગી હૃદય કટોરી ફોડે… કોઈ જોડે કોઈ તોડે પ્રીતડી…

Comments (9)

ઉમાશંકર વિશેષ :૦૨: મારું જીવન એ જ સંદેશ – ઉમાશંકર જોશી

Umashankar-Joshi5

મારું જીવન એ જ મારી વાણી, બીજુ એ તો ઝાકળ પાણી,
મારા શબ્દો ભલે નાશ પામો, કાળ ઉદર માંહી વિરામો.
મારું જીવન o

મારા કૃત્ય બોલી રહે તો ય, જગે કેવળ સત્યનો જય !
મારો એ જ ટકો આચાર, જેમાં સત્યનો જયજયકાર !
મારું જીવન o

સત્ય ટકો, છો જાય આ દાસ, સત્ય એ જ હો છેલ્લો શ્વાસ,
એને રાખવાનું કોણ બાંધી, એને મળી રહેશે એના ગાંધી;
જન્મી પામવો મુક્ત સ્વદેશ, મારું જીવન એ જ સંદેશ.
મારું જીવન o

– ઉમાશંકર જોશી

સંગીત અને સ્વર : પરેશ ભટ્ટ

[audio:http://urmisaagar.com/saagar/audio/Maarun Jivan Ej Maari Vaani-paresh bhatt.mp3]

સંગીત : શ્યામલ-સૌમિલ મુન્શી
સ્વર : શ્યામલ મુન્શી

[audio:http://urmisaagar.com/saagar/audio/maru jivan te mari vaani – Umashankar Joshi.mp3]

ગાંધીયુગનાં આ અગ્રણી કવિશ્રી ઉમાશંકરજીની ઘણી કવિતાઓ અને ગીતો ગાંધીજીને કેન્દ્રમાં રાખીને લખાયેલ છે.  ગાંધીવિચારનો પ્રભાવ એમની ગાંધી-કવિતામાં પૂરની માફક ઊમટે છે, જે ભાવકને છે…ક વિશ્વપ્રેમ સુધી પહોંચાડે છે.  શબ્દને ‘ગાંધી’ નામની સ્યાહીમાં ઝબોળીને કવિ ક્યારેક સ્વયં ગુજરાતને પૂછે છે કે ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ? , તો ક્યારેક આપણને એટલે કે ‘ગુજરાતી’ને વિશ્વગુર્જરી બનવાનો સંકેત આપતો પ્રશ્ન પણ પૂછે છે કે ‘એ તે કેવો ગુજરાતી, જે હો કેવળ ગુજરાતી?’

Comments (10)

ઉમાશંકર વિશેષ :૦૧: શ્રાવણ હો ! -ઉમાશંકર જોશી

Umashankar_Joshi-311

શ્રાવણ હો !
. અરધી વાટે તું રેલીશ મા !
. મારી ભરી ભરી હેલ, છેડીશ મા !
. અરધી વાટે તું રેલીશ મા !

ઝોલાં લે ઘન ગગનમાં, સરવર ઊછળે છોળ;
છાલક જરી તુજ લાગતાં હૈયું લે હિલ્લોળ.
. અરધી વાટે…

આછાં  છાયલ  અંગનાં  જોજે  ના  ભીંજાય,
કાચા  રંગનો  કંચવો  રખે  ને  રેલ્યો  જાય.
. અરધી વાટે…

શ્રાવણ ! તારાં સરવડાં, મોરી અખિયન-ધાર;
તું વરસીને રહી જશે, એના બારો માસ નિતાર.
. અરધી વાટે તું રેલીશ મા,
. શ્રાવણ હો !

– ઉમાશંકર જોશી

શ્રાવણને અડધી રાતે અને અડધી વાટે નહીં રેલાવાની ઘેલી વિનંતી કરતું ઉમાશંકરજીનું એક ઋજુ કાવ્ય… શ્રાવણને ન વરસવાનું કહીને અંતે કવિ એને પોતાનાં જ નયનો સાથે સરખાવે છે કે શ્રાવણ તો મોસમ પૂરતો જ વરસીને રહી જશે પરંતુ એમનાં નયનોમાં તો બારેમાસ શ્રાવણનો નિતાર રહેવાનો જ છે; એના માટે ‘શ્રાવણ’નાં આવવાની રાહ જોવી પડતી નથી.  શ્રી ઉમાશંકરજીનું બીજું એક વિવિધ ઋતુઓ વિશેનું  યુગ્મગીત ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય પણ ફરી ફરીને માણવા અને સાંભળવા જેવું છે.

Comments (7)

ઉમાશંકર વિશેષ: જન્મ શતાબ્દી મહોત્સવ

Umashankar
(ઉમાશંકર જોશી…      …૨૧-૦૭-૧૯૧૧ થી ૧૯-૧૨-૧૯૮૮)

*

ગુજરાતી કવિતાના રવીન્દ્ર શ્રી ઉમાશંકર જોશીનું જન્મ શતાબ્દી વર્ષ આજથી પ્રારંભ થાય છે. નેટ-ગુર્જરી પર લયસ્તરો.કોમ આ ઉજવણીના શ્રી ગણેશ કરે છે પરિણામે આવનાર આખું વર્ષ કવિશ્રીની કવિતાઓનો મેહુલો લયસ્તરોના વાદળ થકી તમારા હૃદયના કાગળ અનરાધાર ભીંજવતો રહેશે.

ગુજરાતમાં ના જન્મ્યા હોત તો આખા વિશ્વે એમની નોંધ સગર્વ લીધી હોત અને એ સમગ્ર વિશ્વના મોખરાના કવિ લેખાયા હોત. ઉમાશંકર સાચા અર્થમાં માનવ નહીં, વિશ્વમાનવ હતા. એમની કવિતાઓ સચરાચર પ્રકૃતિના તમામ ઘટકની વેદના અને સંવેદનાની સંવાહક છે. મનુષ્ય સ્વભાવનો તળસ્પર્શી અભ્યાસ અને પ્રકૃતિના કણ-કણ માટેનો બિનશરતી પ્રેમ એમના સર્જનનો ખરો આત્મા છે.

સાહિત્યના જે આયામને એમની લેખિનીનો પારસ અડ્યો એ સોનું થઈ ગયો. કવિતા, નવલિકા, નાટક, પદ્યનાટક, નિબંધ, આસ્વાદ, વિવેચન, અનુવાદ, પ્રવાસ લેખન, સંશોધન, સંપાદન અને ‘સંસ્કૃતિ’ના તંત્રી. પણ કવિ ઉમાશંકર બધામાં શ્રેષ્ઠ. સાડા પાંચ દાયકાની એમની વિશાળ સર્જનયાત્રા એમની સંનિષ્ઠતા અને સમર્પિતતાની આરસી છે.

પ્રથમ કાવ્ય સંગ્રહ ‘વિશ્વ શાંતિ’ના પહેલા કાવ્યની પહેલી લીટી ‘ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો’ અને આખરી કાવ્યસંગ્રહ ‘સપ્તપદી’ની આખરી કવિતાની આખરી લીટી ‘ છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે’ની વચ્ચે એમણે સતત શબ્દને પોંખ્યો છે અને શબ્દે સતત એમને. સર્જક તરીકે એ સતત વિકાસ પામતા રહ્યા. અનુકરણ અને અનુરણનના બે મસમોટાં જોખમોથી એ સદા બચીને ચાલ્યા, બીજાથી તો ખરું જ, પોતાથી પણ. પરિણામે એમની દરેક કવિતામાં આપણને નવા ઉમાશંકર મળ્યા. એમની કવિતા એકાંગી નથી. એ સારાંને પણ સ્વીકારે છે, નરસાંને પણ ભેટે છે. ઉમાશંકરના હૃદયકોશમાં રાત એટલે અંધારું નહીં પણ અજવાળાનો પડછમ. એમની કવિતા ઝેર પચાવીને પણ અમૃતનો ઓડકાર ખાય છે. એમની કવિતા કાળાતીત છે. એ જગત આખાને અઢેલીને બેઠી છે. એમની કવિતામાં વિશ્વ છે અને એમના વિશ્વમાં કવિતા છે.

સૉનેટ, અછાંદસ, છાંદસ, ગીત, ખંડકાવ્ય, પદ્યનાટક, મુક્તક – કવિતાના બધા પ્રકાર એમણે સપૂરતી સમજણ અને સજાગતાથી ખેડ્યા છે.  ગાંધીયુગ અને અનુગાંધીયુગ, પરંપરા અને આધુનિક્તા, વ્યક્તિ અને સમષ્ટિ – એમની કલમ બધાયને સમાનભાવે અડી છે.

સાબરકાંઠાના બામણા ગામમાં જન્મ. એમ.એ. સુધીનો અભ્યાસ. ગુજરાત વિદ્યાસભા (૧૯૩૯ થી ૧૯૪૬) અને પછી ગુજરાત યુનિવર્સિટી (૧૯૫૪થી) માં અધ્યાપક. ગુજરાત યુનિવર્સિટી  અને બાદમાં વિશ્વભારતી(૧૯૭૯ થી ૧૯૮૧) ના કુલપતિ. દિલ્હી સાહિત્ય અકાદમી(૧૯૭૮) ના પ્રમુખ પણ બન્યા. નાનાવિધ પુરસ્કારો અને સન્માનથી અભિષિક્ત.

ગુજરાતી કવિતાના આકાશમાં પ્રકાશેલા એ સર્વશ્રેષ્ઠ સૂર્ય હતા એમ કહીએ તો એમાં કશું ખોટું નથી ‘વિશ્વશાંતિ’, ‘ગંગોત્રી’, ‘નિશીથ’, ‘પ્રાચીના’, ‘આતિથ્ય’, ‘વસંતવર્ષા’, ‘મહાપ્રસ્થાન’, અભિજ્ઞા’, ‘ધારાવસ્ત્ર’, ‘સપ્તપદી’ જેવા દસ સશક્ત કાવ્યસંગ્રહો. ‘સમગ્ર કવિતા’માં આ તમામ સમાવિષ્ટ.

(આવતીકાલથી એક અઠવાડિયા સુધી રોજ ઉ.જો.ની બે કવિતાઓ જન્મ શતાબ્દીની ઉજવણી નિમિત્તે)

Comments (24)

એ તે કેવો ગુજરાતી – -ઉમાશંકર જોશી

એ તે કેવો ગુજરાતી
જે હો કેવળ ગુજરાતી ?
હિંદભૂમિના નામે જેની ઊછળે ના છાતી ?
મહારાષ્ટ્ર દ્રવિડ બંગાળ બિહાર – બધે અનુકૂલ.
જ્યાં પગ મૂકે ત્યાંનો થઈને રોપાયે દૃઢમૂલ.
સેવાસુવાસ જેની ખ્યાતિ;
તે જ બસ નખશિખ ગુજરાતી.

ના, ના, તે નહિ ગુજરાતી,
જે હો કેવળ ગુજરાતી.
એ તે કેવો ગુજરાતી,
જે હો કેવળ ગુજરાતી,
ભારતભક્તિ દેશવિદેશ ન જેની ઊભરાતી ?

સાગરપાર આફ્રિકા એડન લંકા સિંગાપુર
મોરિશ્યસ ફિકી ન્યૂઝીલૅન્ડ જાપાન બ્રિટન અતિ દૂર.
કાર્યકૌશલ-આતિથ્ય સુહાતી
બધે ઉર-મઢૂલીઓ ગુજરાતી.

તે નહિ નહીં જ ગુજરાતી,
જે હો કેવળ ગુજરાતી.

એ તે કેવો ગુજરાતી,
હિંદભૂમિના નામે જેની ઊછળે ના છાતી ?
ભારતભક્તિ દેશવિદેશ મ જેની ઊભરાતી,
એ તે કેવો ગુજરાતી ?

– ઉમાશંકર જોશી
(૨૯-૦૪-૧૯૬૦)

અલગ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ એના બે દિવસ પૂર્વે ઉમાશંકર જોશીએ લખેલું કાવ્ય આજે પણ એટલું જ પ્રસ્તુત લાગે છે.  ગુજરાત સ્થપાયું એ પહેલાંથી કવિને વિશ્વગુર્જરીની વ્યાખ્યા અભિપ્રેત હતી. જે કેવળ ગુજરાતી હો એ તે વળી કેવો ગુજરાતી? ખરો ગુજરાતી તો ન કેવળ ભારત પણ વિદેશમાંય ક્યાંય જઈ વસે તો ત્યાંય અનુકૂલન સાધીને દૃઢમૂલતાથી રહી શકે. ખરો ગુજરાતી તો એ જ જેના હૃદયની મઢૂલીઓ કાર્યકુશળતા અને આતિથ્યભાવથી જ શોભતી હોય. સાચો ગુજરાતી તો એ જ જેની છાતી દેશપ્રેમથી છલકાતી હોય…

આજે ગુજરાત સ્થાપના દિને વિશ્વભરના ગુજરાતીઓને એમનું ગુજરાતીપણું વધુ ને વધુ વિસ્તરતું રહે એવી શુભકામનાઓ…

Comments (16)

સૉનેટ – ઉમાશંકર જોશી

કહું કે ચાહું છું જગ સકલમાં એક જ તને,
રખે માને વ્હાલી ઇતર પ્રણયો ના મુજ ઉરે;
રખે વાંછે,ભોળી,ઇતર પ્રણયો ના ટકી શકે
ઉરે મારે, તારા અનુભવ પછીયે સુમૃદુલ!
બિછાવે છોને સૌ પ્રણયની જગે રમ્ય ભ્રમણા,
અનન્યાસક્તિની વિતથ કરી વાતો પ્રિય કને.
સખી, હૈયાની જે અમિત ધબકો ઊઠી શમતી,
કહે શું ખોટું જો કદીક મળી કોને મહીંથી બે ?

કહું સાચ્ચું વ્હાલી,મુજ હૃદય જાગ્યા અણગણ્યા,
હજી જાગે,જાગ્યા હજીય કરશે કૈંક પ્રણયો,
અજાણી કો બાલા સ્મિત દઈ ગઈ,કો દૃગ મૃદુ,
અમી શબ્દો,સૂરો ક્યમ કરી સહુ એ ભૂલી જવું ?
ગણું સૌનો એવો તું પણ સખી અહેસાન ગણજે,
રહસ્યો તારાં હું લહું પરમ એ સર્વ થકી તો.

– ઉમાશંકર જોશી.
[1937]

પ્રણયની ચરિતાર્થતા શેમાં ? વ્યક્તિનિષ્ઠ પ્રણય એ સમષ્ટિનિષ્ઠ પ્રણય ના માર્ગની બાધા બને તે કવિને રુચતું નથી. શું વ્યક્તિ એક જ પાત્રને ચાહી શકે ? માની લો કે બીજા પાત્ર માટે પ્રણયની તીવ્ર લાગણી થાય તો આત્મવંચના કરી પ્રથમ પાત્ર માટે જ પ્રેમ છે તેવું સેલ્ફ-હિપ્નોસીસ કરવું , કે ખુલ્લા દિલે વાસ્તવિકતાનો સ્વીકાર કરવો ? પ્રશ્નોના સર્વસ્વીકાર્ય ઉત્તર કદાચ ન હોઈ શકે – તુંડે: તુંડે: મતિ: ભિન્ના: …… પરંતુ પ્રશ્ન અત્યંત પ્રસ્તુત છે. જાતને છેતરવાનો આસાન રસ્તો લેવો કે ચીલો ચાતરવાની તૈયારી સાથે road less travelled ઉપર ચાલી નીકળવું તે દરેક વ્યક્તિની ફિતરત ઉપર છોડવાની વાત છે……

Comments (17)

જાન્યુઆરી ૩૦ – ઉમાશંકર જોશી

વર્ષમાં ઋતુ હોય શિયાળો,
શિયાળામાં માસ જાન્યુઆરી,
અને જાન્યુઆરીમાં તારીખ ત્રીસમી,
તયેં ઠંડીગાર પકડ હૃદયથી
નિચોવે છે ટપ-
કું રક્તનું,
વિશ્વ જેવડું વિશાળ
પ્રેમસ્વરૂપ પરમાત્માને પ્રતિબિંબતું.

– ઉમાશંકર જોશી

આજે ત્રીસમી જાન્યુઆરીએ ગાંધી નિર્વાણ દિન -શહીદ દિન- નિમિત્તે લયસ્તરો તરફથી એ યુગપુરુષને નાનકડી શબ્દાંજલિ.

એક નાનું અમથું કાવ્ય જ્યારે આકાશથીય વિશાળ સાક્ષાત્ પ્રેમસ્વરૂપ પરમાત્માને વામનના ત્રણ પગલાંની જેમ માપી શકે ત્યારે શબ્દની તાકાત ખરેખર શું છે એ ખબર પડે છે. સાચું અછાંદસ કોને કહેવાય એ જાણવું હોય તો આ કવિતા ચૂકવી ન જ જોઈએ. શિયાળાની ઋતુમાં શરીર નિચોવી નાંખતી ઠંડી જાણે ત્રીસમી જાન્યુઆરીના દિવસે હૃદય નિચોવતી હોય એમ કવિ અનુભવે છે કેમકે આ દિવસ ભારતના ઇતિહાસનું સહુથી કાળું પાનું છે. વાત એક સંવેદનાસિક્ત લોહીના ટીપાંની જ છે પણ કવિ ‘ટપકું’ શબ્દને ‘ટપ’ અને ‘કું’માં વહેંચી દઈને જાણે અમૂર્તને મૂર્ત કરે છે એમાં જ આ કવિતાની ખરી કમાલ છે… પણ આ ટપકું ગાંધીના હૃદયમાં વાગેલી ગોળીના કારણે નીકળ્યું છે.. એ વિશ્વ જેવું વિશાળ છે અને એમાં સાક્ષાત્ પરમાત્મા પ્રતિબિંબિત થાય છે…

ગાંધી કદાચ મનુષ્યદેહમાં જન્મેલા ઈશ્વર જ હતા ને !!

Comments (5)

યાદગાર ગીતો :૦૫: ગીત અમે ગોત્યું -ઉમાશંકર જોશી

અમે સૂતા ઝરણાંને જગાડ્યું,
ઉછીનું ગીત માગ્યું,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે વનવનનાં પારણાંની દોરે,
શોધ્યું ફૂલોની ફોરે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે ગોત્યું વસંતની પાંખે;
ને વીજળીની આંખે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે શોધ્યું સાગરની છોળે,
વાદળને હિંડોળે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે ગોત્યું કંઇ સેંથીની વાટે,
લોચનને ઘાટે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે ખોળ્યું શૈશવને ગાલે,
કે નેહ-નમી ચાલે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે જોઇ વળ્યાં દિશદિશની બારી;
વિરાટની અટારી,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

ઉરે આંસુ પછવાડે હીંચતું,
ને સપનાં સીંચતું,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

-ઉમાશંકર જોશી

(જન્મ: ૨૧-૭-૧૯૧૧, મૃત્યુ: ૧૯-૧૨-૧૯૮૮)

સંગીત : અજીત શેઠ
સ્વર : નિરૂપમા શેઠ અને કોરસ

[audio:http://tahuko.com/gaagar/layastaro/Geet Ame Gotyun Gotyun.mp3]

ઉમાશંકર જોશીનો પહેલો સંગ્રહ ‘વિશ્વશાંતિ’ પ્રગટ થયો ત્યારે એમની ઉમ્મર હતી માત્ર વીસ વર્ષ ! એ પછીના પચાસ વર્ષ સુધી એ સતત ગુજરાતી સાહિત્ય પર છવાયેલા રહ્યા. એમણે નાટકો, વાર્તાઓ, નિબંધો, અનુવાદ, વિવેચન બધું કર્યુ છે. ઉત્તમ રીતે કર્યું છે. પણ કવિતા એમનો પહેલો પ્રેમ હતી અને છેવટ સુધી રહી. એમનું શ્રેષ્ઠ પ્રદાન કવિતામાં જ જોવા મળે છે. ( કાવ્યસંગ્રહો : વિશ્વશાંતિ, નિશીથ, ગંગોત્રી, ધારાવસ્ત્ર, અભિજ્ઞા, સપ્તપદી, સમગ્ર કવિતા )

ઉમાશંકરે એકથી એક ચડિયાતા એવા સરસ ગીત આપ્યા છે કે એમનું ગીત પસંદ કરવાનું કામ બહુ સહેલું છે. આ ગીત પસંદ કરવાનું ખાસ કારણ એ કે આ ગીતમાં એમના કોમળ લય અને કલ્પનના સુંદર ઉદાહરણ સમાન છે. આ ગીતમાં કવિ ગીત શોધવા નીકળે છે ! કવિ ગીત શોધવાની શરૂઆત ઝરણાંથી કરે છે. પ્રકૃતિના વિવિધ અંગો – વન, વીજળી, સાગર – પાસે જઈને એ ગીત શોધવાની કોશિશ કરે છે. પણ કશેય એમને ગમતું ગીત મળતું નથી. એ પ્રિયજનની આંખો અને સેંથીમાંય જોઈ આવે છે. ને બાળકના ગાલમાં ગીત શોધી જુએ છે. પણ એમને ક્યાંય ગીત જડતું નથી. છેવટે ગીત એમને પોતાની અંદર જ – આંસુની પછવાડે ને સપનાં સીંચતું – મળી આવે છે.

ગીત એટલે તો લયનો ટહુકો. લય તો દરેક જણે પોતાનો  જાતે જ – પોતની અંદરથી જ – શોધવો જરૂરી છે, એ કોઈનીય પાસે ઉછીનો લઈ શકાય નહીં. કવિએ આ વાત બહુ કોમળ રીતે – એક ગીત દ્વારા જ – અવિસ્મરણીય રીતે કરી છે.

Comments (8)

ગાંધી-વિશેષ:૩: ગાંધીજયંતી – ઉમાશંકર જોશી

માર્ગમાં કંટક પડ્યા
સૌને નડ્યા
બાજુ મૂક્યા ઊંચકી
તે દી નકી
જન્મ ગાંધી બાપુનો.
– તિથિ ન જોશો ટીપણે
ગાંધીજયંતિ તે દિને

-ઉમાશંકર જોશી

ફૉરેન્સિક મેડિસીન માં લેટિન ભાષાનો એક રુઢિપ્રયોગ વપરાય છે, જે આ કવિતા માટે વાપરવાનું મન થાય છે:  Res ipsa loquitar – It speaks for itself.

અને હા, પહેલી નજરે અછાંદસ ભાસતું આ કાવ્ય પણ “ગાલગાગા”ના નિયમિત આવર્તન મઢ્યું છંદબદ્ધ કાવ્ય છે યાને કે મુક્તપદ્ય.

Comments (12)

૧૫મી ઑગસ્ટ, ૧૯૪૭ – ઉમાશંકર જોશી

લયસ્તરોના વાચકમિત્રોને સ્વાતંત્ર્ય દિનની હાર્દિક શુભકામનાઓ !

*

જે દિવસની અમે રાહ જોતા હતા તે તું છે ? આવ.
જેની ઉષાનો પાલવ દૂધમલ શહીદો તણા
પવિત્ર રક્તથી થયો રંજિત, તે તું છે ? આવ.
જેની પ્રભાત-લહરી મહીં અમ સ્વપ્નભરી
આશાઓની ખુશ્બો જઈ વસી છે, તે તું જ ? આવ.
આવ હે સુદિન અમ મુક્તિ તણા !

ઊગેલો જે સૂર્ય આર્ય-ગોત્રો પરે,
ગાયત્રીમંત્રની શુચિ વંદનાને પામેલો જે,
હોમાગ્નિના સુગંધી ધૂપે જે સદા સ્પર્શાયેલો;
સિંધુતટ ઉપરના પાતાલ-વિલીન મહા
હડપ્પા આદિ પ્રાચીન નગરોની અગાશીએ
હાસ્યના ફુવારા નિત્ય ઉડાવી રમેલો જેહ;
કુરુક્ષેત્રમાં ક્યારેક સુભટોના ધનુષ્યોના
ટંકારે જાગ્રત થયો, કૈંક વાર ફેલાયેલી
સર્વભક્ષી ખડ્ગજિહ્વાઓ પરે જે નર્તી રહ્યો;
શક દૂણો ક્ષત્રપો ને ગુર્જરોનાં –
અરબો પઠાણો તુર્ક મુઘલોનાં –
રેલ્યાં પૂર, તેનાં મહાતરંગોમાં
ડોલતો આકાશ થકી મલક્યા કરતો જે હતો;
કૃષ્ણ મહાવીર બુદ્ધ રાજર્ષિ અશોક હર્ષ
અકબ્બરના ખમીર વડે જે તેજસ્વી હતો;
ધૂંધળો રહેલો બે શતક જે,
ધૂંધવાયો પૂરો એક શતક જે,
એ જ કે પ્રકાશવાનો સૂર્ય આજે ?

ઊગે તું નિષ્પ્રભ ભલે આજે મેઘાચ્છન્ન નભે,
પુરુષાર્થના પ્રખર પ્રતાપે મધ્યાહ્ન તારો
દીપો ભવ્ય તપોદીપ્ત !
હે સુદિન મુક્તિ તણા !
રાહ જોતા હતા જેની, તે જ તું આવ્યો છે ? આવ.

– ઉમાશંકર જોશી

આજના જ દિવસે- પંદરમી ઑગસ્ટે બાંસઠ વર્ષ પૂર્વે જ્યારે લગભગ બસો વર્ષની ગુલામી અને સોએક વર્ષની લડત બાદ આપણો ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે લોકોમાં જે જુસ્સો અને ઉમંગ હતો એ અવર્ણનીય અને કદાચ અનિર્વચનીય હતો. છતાં કવિઓએ એ દિવસને કાવ્યદેહે કંડારવાની મથામણ તો કરી જ.

સવાર પડે ત્યારના આકાશની લાલિમામાં કવિને મોઢેથી ધાવણ સૂકાયું ન હોય એવા યુવાન શહીદોનું લોહી નજરે ચડે છે. સવારના પહેલા પવનમાં જે સુગંધ છે એ જાણે ભારતવાસીઓની આશાની ન હોય !

જે સૂર્ય આર્યાવર્ત પર પ્રકાશ્યો હતો, વેદકાળના ઋષિઓના હોમ-હવનનો સ્પર્શ પામ્યો હતો, સિંધુતટની પ્રાચીન સંસ્કૃતિનો સાક્ષી હતો, કુરુક્ષેત્ર જેવી ભીતરની લડાઈથી માંડીને શક, હૂણ, આરબ, મુઘલો જેવા બાહ્યાક્રમણોથી સંક્રાંત થયા પછી પણ જેનું હાસ્ય વિલોપાયું નહોતું, જે સૂર્યે કૃષ્ણ, મહાવીર, બુદ્ધ જેવા મહર્ષિઓના ખમીરગાન ગાયા છે એ જ સૂર્ય બબ્બે સદીઓની ગુલામી અને એક સદીની લડાઈના અંતે આજે પ્રકાશવાનો છે કે શું ? આજે ઑગસ્ટ મહિનાના ચોમાસાચ્છાદિત આકાશમાં કદાચ એ નજરે ન પણ ચડે, પણ પુરુષાર્થના આકાશમાં તો એ સદૈવ મધ્યાહ્ને જ તપવાનો ને ?

કવિતાની શરૂઆતમાં અને અંતે એમનો સાશંકિત પ્રશ્ન દોહરાવ્યે રાખે છે કે જે મુક્તિદિવસની અમે રાહ જોતા હતા એ જ સાચે આવ્યો છે ? અને મુક્તિનું આગમન કેવું હોય ? એમાં કોઈ શરત કે ઉપાલંભ ક્યાંથી હોય ? એના આગમનમાં કોઈ વૃથા શબ્દાડંબર પણ કેમ શોભે ? મુક્તિ તો જ્યારે અને જે સ્વરૂપે મળે, એ માત્ર આવકાર્ય જ હોવાની. અને એટલે જ કવિ એના સ્વાગત કાવ્યારંભે ત્રણવાર અને અંતે ફરીથી એકવાર માત્ર એક જ શબ્દથી કરે છે – આવ.

Comments (7)