ચીતરું છું એનું નામ હથેળી ઉપર ‘મરીઝ’,
વિશ્વાસ મુજને મારા મુકદ્દર ઉપર નથી.
મરીઝ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ઉશનસ્

ઉશનસ્ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




એટલા દૂર ન જાઓ – ઉશનસ્

વિનવું: એટલા દૂર ન જાઓ,
કે પછી કદી યે યાદ ના આવો;

માનું, અવિરત મળવું અઘરું,
માગ્યું કોને મળતું સઘળું?
કગરુંઃ એટલા ક્રૂર ન થાઓ,
કે પછી ક્દી યે યાદ ન આવો…વિનવું…..

જાણું: નવરું એવું ન કોઈ
કેવળ મુજને રહે જે જોઈ;
તો યે આવા નિષ્ઠુર ન થાઓ,
કે પછી ક્દી યે યાદ ન આવો…વિનવું….

રાહ જોઈ જોઈ ખોઈ આંખ્યું,
પણ શમણું તમ સાચવી રાખ્યું;
છેલ્લું એ હરી નૂર ન જાઓ
કે પછી ક્દી યે યાદ ન આવો…વિનવું…..

આ વેલ મુજ અંસવન ટોઈ,
રહી ફળની આશ ન કોઈ;
પણ છેક ન નિર્મૂળ થાઓ.
કે પછી ક્દી યે યાદ ન આવો,

વિનવું, એટલા દૂર ન જાઓ
કે પછી ક્દી યે યાદ ન આવો.

– ઉશનસ્

बेशक मंदिर-मस्जिद तोड़ो,बुल्लेशाह ये कहता
पर प्यार भरा दिल कभी न तोड़ो,इस दिल में दिलबर रहता

 

Comments (3)

એ તારે ઘર આવ્યો તેડે – ઉશનસ્

એ તારે ઘર આવ્યો તેડે, ચાહીને તવ યાર,
અભાગણી, જોજે પાછી તું રાખે બંધ દુવાર;

આ પળ તારે ભાયગ,
જે આવે છે કોક જ વાર,
જેને કા૨ણ જોગીજતીઓ
લે છે લખ અવતાર;
શું શોચે છે? આંગણ આવ્યાં વરી લે, દૈ વરમાળ.      એ૦

એ પોતે તવ આંગણ આવ્યો,
પછી શું ઘર ને બ્હાર?
એહની સંગે નીકળી પડવા
તું છે કે તૈયાર?
પ્હેર્યે વસને, વણશણગારે, વણહુંપદને ભાર?      એ૦

જરીય મોં ફેરવીને પાછી
જોઈશ મા તું અતીતે,
એ છોડ્યું તે છોડ્યું,
જોડવું મન જો મનના મીતે;
ખુલ્લું એમ જ ઘર મૂકી જા, જા નવલે સંસાર.      એ૦

છતછાપરુંયે આડશ અમથી
આડશ ભીંત-કમાડ,
સૌ સોંસરવી નીકળી જા તું,
ઠેકી જા સૌ વાડ;
તક છે છેલ્લી, મળી કે મળશે, નીકળી જા નિજ પાર.      એ૦

– ઉશનસ્

સાક્ષાત્ ઈશ્વર અભાગણીને તેડવા એના ઘરે ચાહીને આવ્યો હોવાથી કવિ એને દ્વાર બંધ ન રાખવા તાકીદ કરે છે. જીવનમાં ક્યારેક જ આવતી આ પળ પામવા જોગીઓ અને જતિઓ લાખ-લાખ અવતાર લે છે અને આવામાં નાયિકાને વિચારમગ્ન જોઈ કવિ વળી એને ચીમકી દેતા કહે છે કે આંગણે આવેલ પ્રભુને વરમાળ આપીને એની સાથે લગ્ન કરી લે. ઈશ્વર આંગણે પધારે ત્યારે અંદર-બહાર બધું એકસમાન થઈ જાય છે. આપણે એ વિચારવાનું છે કે પહેર્યે કપડે, કોઈ પણ જાતના સાજશણગાર વિના અને હુંપદનો ભાર ત્યજીને આપણે એની સાથે નીકળી પડવા તૈયાર છીએ કે કેમ? મનમીત સાથે નવલો સંસાર માંડતી વખતે નથી અતીત તરફ મોં ફેરવીને જરાય જોવાની જરૂર કે નથી ઘર વાખવાની કોઈ આવશ્યકતા. ભૂત અને વર્તમાન –ઉભયને છોડીને ભાવિના પંથે ચાલી નીકળવાનું છે. છત-છાપરાં-ભીંત-કમાડ –આ તમામ આ ક્ષણે આડશ સમા લાગશે. જીવનને બાંધી રાખતી તમામ પળોજણોની વાડ ઠેકીને ખુદની પણ પાર નીકળી જવાનું છે, કેમકે આજે જે આ તક જીવનમાં આવી છે, એ આખરી તક છે.

સૉનેટ અને ઊર્મિકાવ્યોના સ્વામી ગીતનો હાથ ઝાલે છે ત્યારે મકરંદ કે હરીન્દ્ર દવે જેવી મુલાયમતાના સ્થાને તળ ગુજરાતની ખરબચડી બાની અછતી રહેતી નથી. પણ ઉત્તમ કવિના હાથમાં કાવ્યસ્વરૂપની માવજત થોડી બરછટ થાય તોય કાવ્યતત્ત્વ તો નિરવદ્ય જ રહે છે એની પ્રતીતિ અહીં થયા વિના રહેતી નથી.

Comments (4)

જોઈએ – દુષ્યન્તકુમાર (અનુ. ઉશનસ્)

થૈ ગઈ છે પીડ પર્વતશી – પીગળવી જોઈએ,
આ હિમાલયથી કોઈ ગંગા નીકળવી જોઈએ.

આજ આ દીવાલ, પડદા જેમ લાગી હાલવા,
પણ શરત એવી હતી, બુનિયાદ હલવી જોઈએ.

હર સડક પર, હર ગલીમાં, હર નગર, હર ગામમાં,
હાથને લ્હેરાવતી હર લાશ પળવી જોઈએ.

માત્ર હંગામો મચવવો, હેતુ એ મારો નથી,
મારી કોશિશ છે કે આ સૂરત બદલવી જોઈએ.

મારી છાતીમાં નહીં તો તારી છાતીમાં, ભલે;
ક્યાંક હો એ આગ, પણ આગ જલવી જોઈએ.

– દુષ્યન્તકુમાર
(અનુ. ઉશનસ્)

દુષ્યન્તકુમારની આ ગઝલ હકીકતમાં ગુજરાતી અનુવાદની મહોતાજ નથી કેમકે આપણી રગોમાં ગુજરાતી જો રક્તકણ બની વહે છે તો હિંદી શ્વેતકણ બનીને. પણ સાક્ષાત્ યુગપુરુષ ઉશનસ્ જેવા પરંપરાના કવિ ગઝલની ચેતનાથી સરાબોળ ભીંજાઈને આ રચનાનો અનુવાદ કરે ત્યારે અનુવાદની ગુણવત્તા કરતાં એનું ઐતિહાસિક મહત્ત્વ વધી જાય છે. ગઝલ તો સ્વયંસ્પષ્ટ જ છે પણ ઉશનસનો અનુવાદ આપણા માટે વધારાના પુરસ્કાર સમો છે…

हो गई है पीर पर्वत-सी पिघलनी चाहिए,
इस हिमालय से कोई गंगा निकलनी चाहिए।

आज यह दीवार, परदों की तरह हिलने लगी,
शर्त लेकिन थी कि ये बुनियाद हिलनी चाहिए।

हर सड़क पर, हर गली में, हर नगर, हर गाँव में,
हाथ लहराते हुए हर लाश चलनी चाहिए।

सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं,
सारी कोशिश है कि ये सूरत बदलनी चाहिए।

मेरे सीने में नहीं तो तेरे सीने में सही,
हो कहीं भी आग, लेकिन आग जलनी चाहिए।

– दुष्यन्त कुमार

Comments

થાક લાગ્યા છે! – ઉશનસ્

વગર ચાલ્યે જ, શય્યામાં જ જાણે પગ ભાંગ્યા છે
વીતેલા લાખ ભવના સામટા કંઇ થાક લાગ્યા છે.

ખરું કહું? છેક આદિથી ખડે પગે ઊંચકી પૃથ્વી
સૂરજની લાયમાં છાયા વગરના થાક લાગ્યા છે!

ગયા જન્મેય ‘માણસ’ નામની જાતે હું જન્મયો હઇશ
નહીં તો આવડા તે હોય, આ જે થાક લાગ્યા છે!

બહુ વપરાય લાગે ઢીલાઢસ તાર જંતરના,
પ્રણય જેવા પ્રણયમાંયે હ્રદયને થાક લાગ્યા છે!

ભલા, ખુદ ચાલવાથી શું ચરણને થાક લાગે કે?
અરે ચાલ્યું ગયું કોઇ અને અહીં થાક લાગ્યા છે!

તમે મનરથ લઇ ખોડાઇ ઊભા રહી જુઓ ઉમરે,
નર્યા હોવાપણાના ચાકમાં આ થાક લાગ્યા છે!

નહીં તો કેટલા હળવા હવાના શ્વાસ? પણ ઉશનસ્
બિચારે બે’ક લીધા, ના લીધા ત્યાં થાક લાગ્યા છે!

– ઉશનસ્

સાચું કહુંને તો આ ગઝલમાં મને કંઈક ખૂટતું હોય એવું લાગે છે….દરેક શેર પરાણે બેસાડ્યો હોય એવું લાગે છે, સહજતાથી સર્જન થયું હોય એમ નથી લાગતું. હું ખોટો પણ હોઉં…. છતાં ગઝલ મૂકવાનું કારણ એ કે દરેક શેરનો કેન્દ્રવર્તી વિચાર ખરેખર મજબૂત છે. ઘડામણ વધુ સારું થઇ શક્યું હોત પરંતુ સોનું તો સાચું જ છે.

Comments (3)

એટલા દૂર ન જાઓ – ઉશનસ

વિનવું : એટલા દૂર ન જાઓ
કે પછી ક્યારેય યાદ ન આવો…

માનું : અવિરત મળવું અઘરું
માગ્યું કોને મળતું સઘળું?
કગરું, એટલા ક્રૂર ન થાઓ
કે પછી ક્યારેય યાદ ન આવો

જાણ્યું : નવરું એવું ન કોઇ
કેવળ મને જ રહે જે જોઇ;
તો ય લ્યો, આમ નિષ્ઠુર ન થાઓ
કે પછી ક્યારેય યાદ ન આવો

રાહ જોઇ જોઇ ખોઇ આખ્યું
શમણું એક તમ સાચવી રાખ્યું
એટલું એ હરી નૂર ન જાઓ
કે પછી ક્યારેય યાદ ન આવો

આ વેલ તો મેં આંસુથી રોઇ
પણ ફળની આશા ન કોઇ
પણ સમૂળા નિર્મૂળ ના થાઓ
કે પછી ક્યારેય યાદ ના આવો.

– ઉશનસ

Comments (2)

૧૫મી ઑગસ્ટ – ૧૯૫૮ – ઉશનસ્

ઓગણીસસો અઠ્ઠાવન;
ઉજ્જડ શાન્ત તપોવન;
હવનવેદીઓ હવડ અનુજ્જ્વલ,
રાખ વિશે નહિ ગરમી – હે અગસ્ટની પંદરમી !

એક સમય જે દિલ્લીતણું દુર્લભ ઇન્દ્રાસન,
પૂર્વ પરિશ્રમ ઉતારવાનું આજે તો નિદ્રાસન.
સહજ વાયુને ઝોલે
(કોઈ તપસ્વીને નહિ કારણ) અમથું અમથું ડોલે,
સતત સખત તપ સેવા કેરી હવે જરૂર કૈં ખાસ ન;
પૂરતી પક્ષ, સંબંધી, રુશ્વત, પરિચય, શરમાશરમી
.                                            – હે અગસ્ટની પંદરમી !

કોઈ નથી અહીં અલસ ઝમેલે લોકશિવે સત્કરમી ?
લઘુક લઘુક વાડાથી ઉફરો વિશ્વવિશાળો ધરમી ?
એક પ્રશ્ન પૂછું : ઉત્તર તું દેશે ?
સદીઓ પછીથી સ્વતંત્રતાના ગૌરવવેશે
અવતરી તું અહીં કણ્વાશ્રમ શા પુરાણદેશે,
તો ભરતગોત્રમાં સર્વદમન કો જનમ ન લેશે ?
કાલપુરુષની કઈ વ્યંજના વ્યક્ત કરે તું મરમી ?
.
– હે અગસ્ટની પંદરમી !

– ઉશનસ્

આઝાદીને માત્ર અગિયાર જ વર્ષ થયા હતા એ સમયની આ કવિતા આજે આઝાદીના સડસઠ વર્ષ પછી પણ લગરિક વાસી લાગતી નથી. આઝાદીના અગિયાર જ વર્ષમાં ભારતભૂમિનું તપોવન ઉજ્જડ અને શાંત થઈ ગયું. હવનવેદીઓ પણ ઉજ્જડ અને તેજસ્વિતાથી વિરક્ત. ઠંડી પડી ગયેલી રાખ. અંગ્રેજો પાસેથી પરત મેળવવું દોહ્યલું લાગતું દિલ્લીનું સિંહાસન નિદ્રાસન બની ગયું. હવે મહેનત કે લાયકાતની જરૂર નથી. ઓળખાણ અને રુશવતનો સિક્કો જ અહીં ચલણમાં છે. કવિ પ્રશ્ન તો પૂછે છે પણ ભીતરથી જાણે જ છે કે સદીઓ પછી પણ કણ્વઋષિના આ દેશમાં કોઈ સર્વદમન અવતરવાનો નથી.

Comments (3)

અખિલાઈ-વિભાજનનું દર્દ – ઉશનસ્

(શિખરણી-ગઝલ)

સદા રાત્રે જ્યાં હું બીડું છું ઘરનાં દ્વાર, થતું કે
રહી જાઉં થોડો ખુદ હું ઘરની બ્હાર અચૂકે;

કરી નક્કી જ્યાં હું પથ અમુક કે એક ગ્રહું છું;
અરે, ના લીધો તે પથ પછી ન કેડો મુજ મૂકે;

કર્યાં કોણે આવાં મુજ અખિલનાં બે અડધિયાં ?
અને એ બે વચ્ચે કુણ થઈ વળી આડશ ઝૂકે ?

છૂટાં તત્ત્વો ભેગાં કરી જ બનું છું એકમ, છતાં
વિભાજ્યા અંશે શી અણુ અણુ અખિલાઈ ઝબૂકે !

તૂટ્યો, કિન્તુ છૂટ્ટા કણ કણ મહી દર્દ દૂઝતું
અખિલાઈનું, તે ઉશનસ્, કરી રુઝાય ખરું કે ?

– ઉશનસ્

ગઈકાલે ઉશનસ્ ની ગઝલકવિ તરીકેની મર્યાદાઓ વિશે વાત કરી.  પણ ઊંચા ગજાનો કવિ તો કોઈપણ સ્વરૂપે ઊંચા ગજાનો જ રહેવાનો… કવિના પ્રિય છંદ શિખરિણીમાં કવિની આ ગઝલ આજે માણીએ. ગઝલનું પ્રાણતત્ત્વ વિરોધાભાસ છે. કવિ શીર્ષકમાં જ અખિલાઈ અને વિભાજનને juxtapose કરીને ચમકારો બતાવે છે. ગઝલના અર્થઘટનમાં ન પડતાં હું તો બહિર્રંગની જ વાત કરીશ. સંસ્કૃત વૃત્તોના સ્વામી અહીં હમરદીફ-હમકાફિયા ગઝલ લઈને આવ્યા છે અને પડ્યું પત્તું નખશિખ નિભાવી પણ બતાવે છે. મૂકે, ઝૂકે, ઝબૂકે જેવા કાફિયા તો કોઈપણ ગઝલકાર વાપરી શકે પણ હમરદીફ-હમકાફિયા ગઝલમાં અચૂક પરથી અચૂકે અને ખરું કે કાફિયા વાપરીને કવિ પોતાનું કવિત્વ સિદ્ધ કરે છે.

Comments (6)

તારું બધું સરસ – ઉશનસ્

તારું બધું સરસ, તો સરસને જ પી ગયો,
સુધા-સુરા, પૂછ્યું ન, કળશને જ પી ગયો;

રણની તરસને માપવા સહરા સુધી ગયો,
પણ ઝાંઝવાં મળ્યાં, તો તરસને જ પી ગયો;

મારે નસીબ જામ તો મયનો હતો જ ક્યાં ?
તેં આપિયો જે સ્પર્શ, પરસને જ પી ગયો.

તું, દર્દ ને તેની દવા, બધુંય એકમેક,
પણ ચડસ તારો, તો ચડસને જ પી ગયો;

તેં વળી ક્યારે પૂરો તવ દાખવ્યો ચ્હેરો ?
એક વીજ ઝબકી તો દરસને જ પી ગયો;

તું અને આ જામ મારે નામ ક્યાં જુદાં ?
અંજામ એ કે, જામ ઉશનસ્ ને જ પી ગયો !

– ઉશનસ્

ગઝલ ગુજરાતી સાહિત્યમાં પ્રવેશી અને ઝડપભેર લોકપ્રિય થવા માંડી ત્યારે ભલભલા સાહિત્યસ્વામીઓએ નાક ચડાવીને ખુલ્લેઆમ ગઝલને ઊતારી પાડવામાં કશું બાકી રાખ્યું નહોતું. પણ ગઝલનો જાદુ જ એવો હતો કે સિદ્ધહસ્ત કવિઓ પર પણ ગઝલની લોકપ્રિયતાની ભૂરકી કંઈ એવી ઊડી કે ઉશનસ્ જેવા સૉનેટ-સ્વામીએ “ગઝલની ગલીમાં” નામનો આખો સંગ્રહ આપ્યો. તકલીફ એ કે ગઝલશાસ્ત્રનું ઊંડું જ્ઞાન ન હોવાના કારણે અને ગઝલ અને સૉનેટનો મૂળભૂત તફાવત સમજી શકવામાં નિષ્ફળ જવાના કારણે આખા સંગ્રહમાંથી ગઝલ કહી શકાય એવી કોઈ રચના શોધવી હોય તો પારાવાર મુશ્કેલી પડે છે. ઘણી બધી ગઝલો એમણે એમના પ્રિય શિખરિણી છંદમાં અને અન્ય સંસ્કૃત વૃત્તોમાં લખી છે અને દરેક રચના સાથે એમણે છંદ નિર્દેશ્યો છે. પણ બાકીની તમામ રચનાઓના મથાળે એમણે રચનાના શીર્ષકની નીચેની લીટીમાં છંદના નામની જગ્યાએ “ગઝલ” લખ્યું છે… કવિ શું ગઝલને છંદનું નામ ગણતા હશે? આખું પુસ્તક જ ગઝલસંગ્રહ નથી?

ગઝલનો છંદ નખશિખ જળવાયો હોય એવી રચનાઓ અપવાદરૂપ પણ અહીં જડતી નથી. મતલબ સંસ્કૃત વૃત્તોને પચાવી ગયેલા કવિને ફારસી છંદ પચ્યા નથી. કાફિયા-રદીફ પણ મોટાભાગની રચનામાં જળવાયા નથી.

આ ગઝલમાં પણ પ્રથમ ત્રણ શેર સુધી છંદ બરોબર જળવાયા પછીના શેરોમાં છંદ કડાકાભેર તૂટી પડે છે. ગયો રદીફ કવિ બીજા શેરમાં પણ ઉલા મિસરામાં કાફિયા વગર પ્રયોજે છે જે કઠે છે. એક જ મિસરામાં સ્પર્શ અને એનું જ અપભ્રંશ સ્વરૂપ ‘પરસ’ અડખે-પડખે માત્ર છંદ સાચવવા કવિ પ્રયોજે છે જે પ્રશ્નો ઊભા કરે છે. જો કે આ રચનામાં ગઝલના શેર શેરિયતની જમીન પર મજબૂતીથી ઊભા રહી શક્યા છે એ પ્રસન્નતા !

Comments (13)

વળાવી બા આવી – ઉશનસ્

(શિખરિણી)

રજાઓ દિવાળી તણી થઈ પૂરી, ને ઘર મહીં
દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની.
વસેલાં ધંધાર્થે દૂરસુદૂર સંતાન નિજનાં
જવાનાં કાલે તો, જનકજનની ને ઘરતણાં
સદાનાં ગંગામાસ્વરૂપ ઘરડાં ફોઈ, સહુએ
લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ
નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા,
ઉવેખી એને સૌ જરઠ વળી વાતે સૂઈ ગયાં.
સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઊપડ્યા,
ગઈ અર્ધી વસ્તી, ઘર થઈ ગયું શાંત સઘળું,
બપોરે બે ભાઈ અવર ઊપડ્યા લેઈ નિજની
નવોઢા ભાર્યાઓ પ્રિયવચન મંદસ્મિતવતી;
વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશ:
ગૃહવ્યાપી જોયો વિરહ, પડી બેસી પગથિયે.

– ઉશનસ્

આપણામાંથી મોટા ભાગના લોકો કવિતાના હૃદયસ્વરૂપની સમજણ અને સમાજમાં વડીલોના મોળા પડી ગયેલા સ્થાનની સમજ સાવ કાચી હોય એવે તબક્કે આ સોનેટ શાળામાં ભણી જ ચૂક્યા હશે પણ એક ઉત્તમ કવિતા તરીકે આજે આપણે એને ફરીથી માણીએ…

બાળવિધવા ફોઈ અને મા-બાપથી બનેલા ગામડાના સૂના ઘરમાં દિવાળીના દીવા ત્યારે જ પ્રકાશે છે જ્યારે બાળકો કુટુંબ-કબીલા સાથે વેકેશન ગાળવા આવે છે પણ સંતાનોને વિદાય આપ્યા બાદ ઓસરીથી ઉંબરાનું અંતર કાપવું કેવું દોહ્યલું થઈ પડે છે !

Comments (10)

ધન્ય ભાગ્ય – ઉશનસ્

બાઈ રે, તારાં ભાગ્ય મહાબળવાન:
અમૃતપ્રાશણહાર તે તારાં ગોરસ માગે કહાન !

ઊંચે વ્યોમભવન ખેલંદો ઊતર્યો તારે નેસ,
ગોરસ મિષે પ્રેમપિયાસી યાચત બાળે વેશ,
ધણી થૈ બેસે તોય શું કહીએ, આ તો માગત દાણ.

કંઈક બીજી જો મહિયારીની કોઈ ન ફોડે ગોળી,
રાત દી પી પી પોતે, ગોરસ બગડ્યાં દેતી ઢોળી,
આપણું પીધું તુચ્છ, હરિનું ચાખ્યું બુંદ મહાન.

ગગરી ફોડી ભવ ફેડ્યો ને મહીમાં પ્રીત લૂંટાઈ,
કાનજી જેવો લૂંટણહાર ત્યાં કૈં ન બચાવવું બાઈ !
બચિયું એટલું એળે, અહીં તો લૂંટવ્યું એટલી લ્હાણ !

-ઉશનસ્

કૃષ્ણ-ગોપીની મટકીલીલા લગભગ બધી ભાષાના કવિઓએ અવારનવાર ગઈ છે અને તોય તે એવી ને એવી તાજી જ લાગે છે. કનૈયો મટકી ફોડીને ગોરસ લૂંટી લે એ ન ગમતું હોય, એની ફરિયાદ કરતી હોય એવી ગોપીના માધ્યમથી કવિઓએ કૃષ્ણના ગુણગાન ગાયા છે.

ફરિયાદી ગોપીને અન્ય ગોપી કૃષ્ણ મહિમા સમજાવતાં કહે છે કે આ તો તારાં સદભાગ્ય છે કે જે સદા અમૃત ખાનાર છે એ કાનજી તારી કને ગોરસ માંગી રહ્યો છે. ઊંચે આભમાં રમનાર ખેલાડી આજે તારા આંગણે પોતાનો ઈશ્વરીય વેશ ત્યજીને રમવા ઊતરી આવ્યો છે. ઈ આપણો ધણી બની બેસે તોય આપણે કશું કહી-કરી શકનાર નથી પણ આ ચૌદ ભુવનનો સ્વામી યાચક બનીને આવ્યો છે.

જેની મટકી કાનજી ફોડતો નથી એ આખી રાત ગોરસ પી પી કરે તોય ખૂટવાનું નથી. અંતે ઢોળી દેવું પડે છે. વળી કાનજી એક બુંદ પણ પીએ એનો જ તો ખરો મહિમા છે. એ એક મુઠ્ઠી તાંદુલ સામે મહેલોની ભેટ ધરે છે અને એક વસ્ત્રના ચીરા સામે હજાર વસ્ત્રો પૂરે છે.

જેની ગાગર ફૂટે એનો જ ભવ ફેડાઈ જાય છે. કાનજી જેવો લૂંટારો આવે ત્યારે કશું બચાવવા જવું એ જ મૂર્ખતા છે કેમકે આ લૂંટમાં તો જે બચી જાય છે એ વ્યર્થ છે અને જે લૂંટાઈ જાય છે એ જ સાર્થક છે…

વાત ગોકુળની ગોપીની નથી, આપણા અંતર અને અંદરની ગોપીની જ છે…

Comments (7)

સોહાગ રાત અને પછી – ઉશનસ્

તમે તે પ્રત્યૂષે પરવરી ગયા નાથ! અહીંથી
પથારી છાંડીને પથિક, અરધા સ્વપ્ન સરખા,
અને હું તો સ્વપ્ને સ્થગિત, અધધેને હું પછીયે
તમોને ક્યાં સુધી રહી સઘન સેવંતી પડખે…

તમે તે રાત્રે જે રીતથી રતિથી ગૂઢ ગહને
પ્રવેશ્યા પાતાળો મહીં સકલ અસ્તિત્વ મુજના:
ગર્યું જાણે સ્વાતિસુખદ અમીનું બુંદ છીપમાં,
હજી આનંદે તે વીજપુલકની ના કળ વળે,

હવે વ્હાલા, હું તો નવરી જ નથી ને ક્ષણ પણ:
ન દ્હાડે કે રાતે, દિનભર ગૂંથું ઊનઝભલું
અખંડે અંઢેલી ઘરની ભીંત અર્ધેરી ઊંઘમાં,
ગૂંથું છું રાતોમાં પુલકનું ઝીણું કોઈ સપનું.

અને સાથે વ્હાલા ! ભીતર ગૂંથું છું બાળક તમ
તમારી રેખાઓ લઈ લઈ, કંઈક ભેળવી મમ.

– ઉશનસ્

સુહાગરાતની આફ્ટર-ઇકેક્ટ્સનું આવું કાવ્ય તો કદાચ વિશ્વ સાહિત્યમાં શોધવું પણ દુર્લભ થઈ પડે.

સવારે પતિ પથારી છોડીને નીકળી જાય છે એ પછી પણ નવોઢા તો સુખના એ સ્વપ્નમાં જ સ્થગિત રહે છે અને ક્યાંય સુધી પતિને પડખામાં સેવતી રહે છે. રાત્રે જે રીતે પતિ રતિક્રીડા થકી પત્નીના અસ્તિત્વમાં ઓગળી ગયા એ સ્વાતિ નક્ષત્રના વરસાદનું બુંદ છીપમાં પડવા જેવું સુખદ હતું જેની કળ આટલી જલ્દી તો કેમ વળે ?! અને હવે તો પત્ની પાસે લગરિક પણ ફુરસદ નથી. આખો દિવસ એ આવનાર સંતાન માટે ઊનનું ઝભલું અને રાત્રે સ્વપ્નો ગૂંથતી રહે છે. પણ ઊન અને સ્વપ્ન સિવાય એ થોડી પતિની અને થોડી પોતાની રેખાઓ ભેગી કરીને ગર્ભમાં આવનાર બાળકને પણ ગૂંથી રહી છે…

અહો ! અહો !!

Comments (15)

તારા દૂર દૂરના પ્રવાસે નીકળ્યો હતો હે પૃથ્વી ! – ઉશનસ્

OLYMPUS DIGITAL CAMERA
(આવજો….                               ….મારા કેમેરાની આંખે, સુરત, ૧૦-૦૧-૨૦૦૯)

*

કવિશ્રી નટવરલાલ કુબેરભાઈ પંડ્યા ‘ઉશનસ્’  નામનો એક યુગ આજે અસ્ત થયો. વડોદરાના સાવલી ખાતે ૨૮-૦૯-૧૯૨૦ના જન્મેલા કવિશ્રીએ વલસાડને એમની કર્મભૂમિ બનાવી. ત્યાંની આર્ટ્સ કોલેજમાં આચાર્ય રહ્યા. કવિતાને એમણે ચાહી કે કવિતાએ એમને ચાહ્યા એ કહેવું દોહ્યલું છે.  વિપુલમાત્રામાં વિવિધતાસભર કાવ્યો એમણે આપ્યા. અન્ય યુગપુરુષ કવિઓની જેમ નવા યુગની કવિતા- ખાસ તો ગઝલ સામે નાકનું ટોચકું ચડાવવાને બદલે એમણે પોતાની સ્થિતિસ્થાપકતાનો સબળ પુરાવો આપીને આખો ગઝલ સંગ્રહ પણ આપ્યો… ગઈ કાલ અને આજની વચ્ચે આવું અદભુત સમતુલન જાળવી શકનાર ગુજરાતી કવિ ભાગ્યે જ બીજો કોઈ થયો હશે…

લયસ્તરો ટીમ તરફથી આ યુગપુરુષને સાદર શ્રદ્ધાંજલિ !

*

OLYMPUS DIGITAL CAMERA
(કવિશ્રીના વલસાડના નિવાસ સ્થાને મારા સંગ્રહો સ્વીકારવાની ક્ષણે, ૦૬-૦૩-૨૦૧૧)

*

તારા દૂર દૂરના પ્રવાસે નીકળ્યો હતો હે પૃથ્વી !
ને ચરણ ક્યાં જતાકને અટકીને ઊભા રહ્યા !
ચરણો ચાલી ચાલીને પોતાનાં ઘરઆંગણે
પોતાની સામેસ્તો આવીને ઊભા રહ્યા !
છેવટે તો આ યાત્રા મુખ મુખની સુખયાત્રા હતી !
કેટકેટલાં મુખોને ચૂપચૂપ ચાહવાનું મળ્યું !
અને બધાં જ મુખોમાં તારી જ રેખાના
ઉઘાડની ઓળખ એ તો આ પ્રેમયાત્રાની ફલશ્રુતિ છે.
તારા દૂર દૂરના પ્રવાસે નીકળ્યો હતો, ને હે પૃથ્વી !
ક્યાં આવતોક ને ઊભો રહ્યો ! છેવટે મારી સામે જ !
તને સમજવા નીકળ્યો હતો
ને આવીને ઊભો છું પ્રેમના એક આંસુની આગળ !
– અહંકાર થોડોકે ઓગળ્યો હોય તો સારું.
તને સમજવા નીકળ્યો હતો મોટા ઉપાડે
એક દિવસ જ્ઞાનયાત્રાએ,
ને પ્રેમયાત્રાને અંતે છેવટ ઘેર આવીને ઊભો છું !
તને તો શું સમજી શક્વાનો હતો ?
હું મને થોડોકેય સમજી શક્યો હોઉં તો સારું.

– ઉશનસ્

OLYMPUS DIGITAL CAMERA
(મારા સંગ્રહોમાંથી પસાર થઈ રહેલો ઇતિહાસ…         વલસાડ, ૦૬-૦૩-૨૦૧૧)

Comments (21)

પ્રેમનું તો એમ છે – ઉશનસ્

પ્રેમનું તો એમ છે, ભાઈ !

         એ તો મળે, ના યે મળે,
         – કોઈ ના કશું કળે;
એમનું તો એમ છે,ભાઈ !
          એ કઈ ગમ વળે, કઈ ગમ ઢળે
          -કોઈ કશું ના કળે.
પ્રેમ તો એક લતા છે, ભાઈ !
 એનું નામ જ એકલતા !
          એ તો ફળે, ના ય ફળે,
          -કોઈ કશું ના કળે
પ્રેમ એ તો ભોંયરું છે, ભાઈ !
એ તો ભૂગર્ભમાં જ ભળે
           એ તો ક્યાંથી ક્યાં નીકળે
           -કોઈ કશું ના કળે
પ્રેમ એ તો આભનું બીજ છે, ભાઈ !
કઈ માટીમાં ઊભરે
            કઈ છીપમાં જૈ ઠરે
            -કોઈ કશું ના કળે
પ્રેમ એ તો સિંહણનું દૂધ, ભાઈ !
આપણે તો થવું માત્ર
સ્વરણ- ધાતુ- પત્ર,
             ત્યાં ય એ તો ઝરે, ના ય ઝરે.
             -કોઈ કશું ના કળે.
                               પ્રેમ એ શક્યતાઓ [ અને અશક્યતાઓનો ] પ્રદેશ છે. નિર્બંધતા તેની મૂળભૂત ભૂમિ….unpredictability એની ખાસિયત….
                                લયલા-મજનુંની original આખી રચના વાંચવા જેવી છે-તે મૂળ અરબીમાં ‘નિઝામી’ એ બારમી સદીમાં લખી હતી. તેનું english ભાષાંતર સરળતાથી મળે છે. રૂવાં ઊભા કરી દેતી એ કથા વિશુદ્ધ પ્રેમની જાણે કે ભગવદ્ ગીતા છે.

Comments (6)

ઊઘડતા પ્રભાતનું ગીત – ઉશનસ્

આછા આછા ભાંગતી રાતના ગાળે,
કે આછા આછા ચાંદરણા-અજવાળે
કોણ આ વ્હેલું ઊઠી ગયું છે, ને ઘરઆંગણું વાળે !

વાસીદામાં ખરિયાં તારકફૂલ વળાતાં વાગે !
ગમાણ-ખાણ-કરે ભરવાડણ કો અડવાણે પાગે !
તેજ તણખલાં વીખર્યાં વાળી-ઝૂડી બાંધતી ભારે ! – આછા0

પાછલી રાતનો ટેટી-ટેટીએ લૂમઝૂમ વડ આકાશે,
તેજ-તાર-કસબ વડવાઈ ઝૂલે આંખની પાસે,
ઝોળી બાંધી, પણ હજી જોને નીડ ઊંઘે છે ડાળે – આછા0

નિહારિકાના ચીલેચીલે ઝોકતું પ્હેલું ગાડું
નીકળ્યું છે, પણ ધૂળ ન ઊડે, હજી છે ઘારણ ગાઢું,
ઊંઘતી ફૂલફોરમ ભરી ગાલ્લે કોણ જાય અત્યારે ! – આછા0

– ઉશનસ્

Comments (5)

આંસુ – ઉશનસ્

(વસંતતિલકા)

આંસુ લઘુતમ સ્વરૂપ સમુદ્ર કેરું :
લાવણ્ય એવું, વડવાગ્નિય કૈંક એવો;
એને રહ્યા મથી યુગોથી અસુર-દેવો;
પામી શક્યા ન તળિયું હજી એનું ઘેરું !

નાનું ટીપું જ, તટ જેવું કશું ન એને,
તોયે ન પાર હજી કોઈ ગયેલ, જાણું;
આ તો નરી જ મઝધાર બધે ! પ્રમાણું,
ઘૂંટાયલી ભરતીનું રૂપ માત્ર જેને;

ના ટેરવું પણ શકે ડૂબી આંગળીનું,
તેમાં ગયાં સકલ વ્હાણ ડૂબી મહારાં;
તેમાં થયાં વિલીન ક્ષુબ્ધ તુફાન સારાં;
ના કો નિશાની શમણાંની ડૂબી તરીનું !
એવું અબોલ ઘન મૌન મુખે ધરીને
બેઠું, યથા શબ્દકોશ પૂરો ગળીને !

– ઉશનસ્

આંસુ ઉપર લખાયેલી કદાચ સર્વશ્રેષ્ઠ ગુજરાતી કવિતા !!

આંસુ જાણે કે સમુદ્રનું જ નાનકડું સ્વરૂપ છે, એ જ સૌંદર્ય અને એ જ એની ભીતરમાં ભારેલો અગ્નિ.. અને સમુદ્ર પણ કેવો! યુગોથી એનું તળિયું કોઈ પામી શક્યું નથી. એને કોઈ કિનારો નથી પણ તોય એવો કોઈ ભડવીર જાણમાં છે જે એને પાર તરી શક્યો હોય? જેમાં આંગળીનું તેરવુંય ન ડૂબે એમાં આખા જ્ન્મારાનાં વહાણ અને તોફાન અને સ્વપ્નાંઓ ડૂબી જાય છે પણ ક્યાંય કોઈ નિશાની જડતી નથી… આંસુ ભલે મૌન હોય પણ એના પેટમાં જાણે કે જીવતરની આખી ભાષા ભરી પડી છે…

Comments (18)

The crescent moon: પ્રતિપદા – ઉશનસ્

In the arid dark space
In such a vast pathlessness
Rises
A tiny fingerlike crescent
which beckons like an arrow-
and reads
‘The Road to Fullmoonness‘.

*

વેરાન ને કાજળ શ્યામ આભમાં
અનંત આ નિષ્પથતા વિશે ઊગી
પ્રતિપદા, દેવની અંગુલિશી,
જે તીરની જેમ અણીથી દાખવે:
વંચાય છે-
‘આ પૂર્ણિમા તરફ જાય વળી વળાંક’.

-ઉશનસ્

કવિ ઉશનસ્.ના આ અંગ્રેજી કાવ્યનો અનુવાદ એમણે પોતે જ કર્યો છે. અને ગુજરાતી કવિતા કરતાં અંગ્રેજી કાવ્ય કદાચ વધુ સહજ-સાધ્ય બન્યું છે. અમાસ પછીની પહેલી રાતે ઘેરું કાળું આકાશ પથહિનતાનો આભાસ કરાવતું હોય તેવામાં નાનકડી આંગળી સમો ચંદ્ર માર્ગદર્શક તીરની જેમ ઊગે ત્યારે આકાશમાં આ રસ્તો પૂર્ણિમા તરફ લઈ જાય છે એવું કવિને વંચાય છે. આ ‘વંચાય છે’ શબ્દપ્રયોગ નાની અમથી આ વાતને ‘કવિતા’ બનાવે છે…

(પ્રતિપદા=હિંદુ મહિનાનાં બે પખવાડિયાંની પહેલી તિથિ, એકમ, પડવો.)

Comments (8)

અષાઢે – ઉશનસ્

અષાઢે તણખલું ના તોડીએ જી,
એ જી, એ તો ફૂટતું ઘાસ,
એમાં ધરતીના શ્વાસ,
એની પત્તીની પીમળમાં પોઢીએ જી. અષાઢે0

પ્રભાતે પછેડિયું ના ઓઢીએ જી,
એ જી, આવ્યાં અજવાળાં જાય,
આવ્યા વાયુયે વળી જાય,
આવ્યા રે અતિથિ ના તરછોડીએ જી. અષાઢે0

તારે આંગણિયે ઊગ્યું એ પરોઢિયે જી,
એ જી, એ તો ફાગણ કેરું ફૂલ,
એમાં એવી તે કઈ ભૂલ ?
પરથમ મળિયા શું મુખ ના મોડીએ જી. અષાઢે0

-ઉશનસ્

એક નાનું અમસ્તું કાવ્ય પણ કેવું મીઠું ! અષાઢથી ફાગણ સુધી લંબાતી આખી વાતમાં કવિ પ્રેમ, વર્ષા અને વસંતને એક જ તાંતણે કેવી હોંશિયારીથી બાંધી દે છે ! ઘાસના તણખલાંમાં તો ધરતીના શ્વાસ કહી એને તોડવાની ના ફરમાવી કવિ ખરેખર શું કરવું જોઈએ એ પણ તુર્ત જ કહી દે છે. અષાઢના ભીના-ભીના ઘાસમાં તો આડા પડીને એની સુગંધ માણવાની હોય. હું તો સુરતી બોલીમાં વપરાતો ‘પીમળ’ શબ્દ ગુજરાતી કવિતામાં પહેલવહેલી વાર વાંચીને જ આ કવિતાના પ્રેમમાં પડી ગયો…

આખા કાવ્યમાં સવારનો જ મહિમા છે. પરોઢની ખટઘડીએ સૂઈ ન રહેવાનું તો આદિ કવિ નરસિંહ મહેતાએ પણ કહ્યું છે. ઉશનસ્ એમની જ વાતમાં સૂર પુરાવતા હોય એમ કહે છે કે પ્રભાતે પછેડી ઓઢીને સૂઈ રહીએ તો પ્રકાશ અને વાયુ બંને પાછાં વળી જઈ શકે છે. આત્માને ઉજાળવો હોય કે શ્વાસને સીંચવો હોય, મનુષ્યનું ‘જાગવું’ ખૂબ જરૂરી છે અને એથી વધુ જરૂરી છે અજ્ઞાનની પછેડી માથેથી હટાવવાનું…

Comments (8)

છાતી ખોલી જોયું તો ? – ઉશનસ

છાતી ખોલી જોયું, મહીં ખીલા હતા !
યુગો પછી પણ એ ભીના-લીલા હતા !

ક્યાં સમયની છે જરા ઘા પર અસર ?
ત્યારે હતા એમ જ ખૂને ખીલ્યા હતા !

હચમચાવી જોયું તો હું ખુદ હાલ્યો !
એ થયા ક્યાં સ્હેજ પણ ઢીલા હતા ?

બ્હાર જોયું તોય ક્યાં છે ફેર કંઈ ?
એ જ ગાડરિયા પુરાણા સિલસિલા હતા.

કંઈક બદલાયું હશે, પણ તે ન મન;
ઊલટું ઊંડા ગયેલા ઊતરી ચીલા હતા !

આજેય ખીલા એ જ હાથે છે ઉગામ્યા;
ક્યાં છે પરંતુ છાતી જેણે ઘાવ એ ઝીલ્યા હતા ?

– ઉશનસ

Comments (4)

મારી જ મુશ્કેલીઓ – ઉશનસ


(કવિશ્રી ઉશનસે સ્વહસ્તે ખાસ લયસ્તરો માટે લખી આપેલ અક્ષુણ્ણ કૃતિ)

(શિખરિણી સૉનેટ)
તમે તો આખું યે ગગન મુજને દૈ મફતમાં
દીધું’તું ! દાખ્યું’તું પ્રીત પરમનું પોત પરમ;
ઉડાઉ પ્રીતિના ધણી ! પણ મહારાં જ કરમ
ફૂટેલાં ને; એનો કરી શકું પૂરો ભોગ ન; ક્ષમા.

જુઓ ને : એને ના ભજી શકું; ન તો ભોગવી શકું;
પડી ર્.હે છે આખું વગર વપરાશે જ અમથું;
તમે તો પૃથ્વીનું ઘર દીધું મને એમ જ દઈ;
પરંતુ મારાંસ્તો કરમ ફૂટલાં છે પ્રથમથી,
તમે આપેલી તે પૃથવી ય પૂરી ભોગવી નથી;
નડયો છે આ નાના કૃપણ મનનો શાપ જ કંઈ.

નહીં તો આપ્યાં’તાં અભિમુખ મને, આંખની કને
પહાડો, મેદાનો, ગગન, વગડો અર્ણવ; મને
તમે તો ઔદાર્યે સકલ જગ વચ્ચોવચ મૂક્યો;
મહારાં ફૂટ્યાં’તાં; હું જ ક્યહીં ન પ્રીતિ કરી શક્યો.

-ઉશનસ
૨૩-૦૯-૨૦૦૭

22મી સપ્ટેમ્બરના રોજ વલસાડ ખાતે શ્રી રમેશભાઈ શાહે લાયન્સ ક્લબ ઑફ વલસાડના ઉપક્રમે ‘ઈન્ટરનેટ પર ગુજરાતી સાહિત્ય અને સંગીત’ પર એક કાર્યક્રમ યોજ્યો હતો. મારે ‘ઈન્ટરનેટ-ગુજરાતી ભાષાનું નવું સરનામું’વિશે અને જયશ્રી ભક્તે ‘ટહુકો.કોમ‘ વિશે બોલવાનું હતું. સાથે જ મારા કાવ્યપઠનનો કાર્યક્રમ પણ હતો. વલસાડ ઉતરીને હું મારા સંબંધીના ઘરે ગયો અને જ્યારે રમેશભાઈને મને કયા સરનામે લેવા આવવું એ સમજાવ્યું તો આકાશમાં એ દિવસે થઈ રહેલી ભારે ગાજ-વીજ અને મુશળધાર વરસાદને પણ ઝાંખા પાડી દે એવો ચમકારો એમણે કર્યો- ‘એટલે ઉશનસના ઘરની સામે?’ હું ચમક્યો. મેં મારા યજમાનને પૂછ્યું અને પાંચ મિનિટમાં હું ગુજરાતી કવિતાની જીવંત દંતકથા સમાન કવિરાજનો ચરણસ્પર્શ કરી રહ્યો હતો. મારા યજમાને કવિ તરીકે મારી ઓળખાણ કરાવી પણ સિંધુ સામે બિંદુની અનુભૂતિ મને થઈ રહી હતી. એમના જ ટેબલ પર પડેલા ‘કુમાર‘નો એક અંક ખોલીને મેં મારી છપાયેલી ગઝલ એમને બતાવી અને એ ખુશ થઈ ગયા. એમના ચહેરા પરની એ ખુશી જ મારા માટે તો મોંઘેરું ઘરેણું હતું પણ હું રહ્યો લોભી જીવડો. મેં ‘લયસ્તરો’ની વાત માંડી અને એમની અપ્રગટ રચના એમના હસ્તાક્ષરમાં માંગી લીધી. બીજા જ દિવસે એમણે આ સૉનેટ ખાસ ‘લયસ્તરો’ માટે લખીને મારા સંબંધી હસ્તક મોકલાવી પણ આપ્યું… કવિવરનો આભાર માનવા માટે અમને હવે શબ્દો ન જડે તો આપ અમને ક્ષમા કરશો ને?


(દિવ્ય ભાસ્કર….                               ….૦૧-૧૦-૨૦૦૭)

Comments (10)

જિંદગી – ઉશનસ્

ઊંચકો, ઊઠવાની છે,
જામ લ્યો, લ્યો જવાની છે.

આમ તો સાવ ફાની છે,
બુદબુદી જ હવાની છે.

દ્રવ્ય છે, ફાંટ ફાટેલી;
નીતરી જ જવાની છે.

ક્યાય એ અટકી જોઈ ?
નામ જેનું રવાની છે.

આ જ છે, આટલી છે, ને
એ ય ક્યાં રુકવાની છે ?

છે ક્ષત્યું, કાકવંઝા છે,
ક્યાં ફરી ફૂટવાની છે ?

ઊંચકો, વાર શાની છે ?
સામટી પી જવાની છે.

– ઉશનસ

બેફામને શોભે એવી મગરૂરીથી લખેલી ગઝલ તરત જ ગમી ગઈ.  બુદબુદી શબ્દ પણ તરત જ દીલમાં વસી ગયો ! ફરી ફરી ગણગણવાની અને ટાંકવાની ગમે એવી ગઝલ થઈ છે.

(કાકવંઝા=એક જ વાર ફળે એવી વનસ્પતિ)

Comments (8)

જો હોય – ઉશનસ્

આવી જ એક ક્ષણ હોય,
સામે અષાઢધન હોય;

ફણગો ફૂટે અડકતાં જ
ભીનોભીનો પવન હોય;

જે તે ચણ્યું ગમે ના,
કાચું પીમળતું વન હોય;

ઊગી જવાય વાડે
જો આ ક્ષણે વતન હોય;

સિમેન્ટમાં ઢુંઢું છું :
એકાદ મીટ્ટીકણ હોય;

ઠરવા ચહે છે આંખો
હરિયાળું ક્યાંક તૃણ હોય;

બોલાવે ઘેર સાંજે
બાના સમું સ્વજન હોય.

-ઉશનસ્

Comments (4)

પ્રીતનું વર્ણન – ઉશનસ્

પ્રીત તો બે જ પ્રકારે વરતે;
પ્રિયસંમુખ એ ભજે સમાધિ
                      અથવા થનગન નરતે.

પ્રીત તો બે જ પ્રકારે બોલે;
ગહન મૌનથી થાય મુખર વા
                       છલકે ગીત કલ્લોલે.

– ઉશનસ્

પ્રીતને કાંઈ પણ સામાન્ય ન હોય. પ્રીત વિષે જે કાંઈ પણ હોય, છલકતું જ હોય ! ભલે એ સમાધિ જેવી લગની હોય કે અંગેઅંગ નાચી ઊઠે એવો ઉત્સાહ હોય. પ્રેમ મૌનથી પ્રગટ થાય કે પછી ગીતથી પણ એ બન્નેમાં અસિમ ઉત્કટતા હોવાની જ. પ્રેમની રીતને કવિએ સરસ રીતે આલેખી છે.

Comments (1)

પ્રભાત સૂર્યમાં – ઉશનસ્

આપણું પ્રાતના તાપમાં ચાલવું.

કેન્દ્ર લૈ ચરણમાં
ઈન્દ્રધનુ વરણમાં
કો અનાવરણમાં
વ્યોમના વ્યાસના વ્યાપમાં ચાલવું !

તેજ-છાયા-વણી
બિંબ-બિંબોતણી
ચો-ભણી ગૂંથણી,
આપણું કો મહાખાપમાં ચાલવું !

રેખનું ખરી જવું,
રૂપનું ગળી જવું,
આપમાં મળી જવું,
આપણું આપણા આપમાં ચાલવું !
આપણું પ્રાતના તાપમાં ચાલવું.

– ઉશનસ્

થોડા વખતથી બધી ગંભીર રચનાઓ જ મનમાં આવે છે. એટલે આ વખતે ખાસ આ પ્રસન્ન રચના શોધી ! આવું જ એક ગીત ઉમાશંકરનું પણ છે – ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ.

Comments (2)

અકર્મક પ્રેમ વિશે – ઉશનસ્

(વસંતતિલકા સૉનેટ)

પ્રેમને શું કરવો, નવ પીગળે જે;
ને ના વહે દશદિશે થઈને પ્રવાહ ?
ના કોઈની પણ ફળાવી શકે આહ,
એવો અહં શું કરવો, નવ ઓગળે જે ?

પ્રેમનું શું કરવું, નિજમાં જે રહે,
ને કર્મમાં પરિણમે નહીં અન્ય કાજે ?
આટાટલાં અસુખથી જગના લાજે ?
બુંદને શું કરું જે પ્રસરે , ના વહે ?

પ્રીતનું શું કરવું, નવ વિસ્તરે જે
ભૂમા સુધી ? નવ શકે પડી ગાંઠ ખોલી ?
ના જે સહે ધીરજપૂર્વક રહૈ અબોલી
સૌ દુઃખ વિશ્વભરનાં ઊંચકી શિરે જે ?

જો દીપ કો તમસ અન્યનું ના ઉજાળતો
તો અગ્નિ તે, નિજમહીં ખુદને બાળતો.

ઉશનસ્

Comments (5)

નૂતન વર્ષે શાન્તિસૂક્ત – ઉશનસ્

લયસ્તરોની ટીમ તરફથી સર્વ વાચકમિત્રોને દિવાળીની હાર્દિક શુભકામનાઓ અને નૂતન વર્ષની ખૂબ ખૂબ વધાઈ…. નવું વરસ…સૌનું વીતે સરસ…!

ક્યાંય ના જરી ક્લેશ હો; ને ક્યાંય ના જરી ક્લાન્તિ હો;
સર્વને હો તાઝગી પ્રાતઃફૂલોની, શાન્તિ હો.

વ્યોમમાંયે શાન્તિ હો, ને ભોમમાંયે શાન્તિ હો,
વ્યોમભોમની મધ્ય રોમેરોમ સોમ શી શાન્તિ હો.

પૃથ્વી તો કંપે હજી ક્યારેક; એ જંપી નથી,
હો ધરીમાં સ્નિગ્ધતા, ને ક્ષુબ્ધતાને શાન્તિ હો.

એક જે હતું પૂર્ણ તે ખુદ કણકણોમાં ચૂર્ણ છે,
એ પૂર્ણપણમાં હોય તેવી ચૂર્ણકણમાં શાન્તિ હો.

ભવભવાટવિમાં ભટકવું છે લખ્યું જો ભાગ્ય; તો
એ ભાગ્યને પણ શાન્તિ હો, એ ભ્રાન્તિને પણ શાન્તિ હો.

પંચભૂતોની મહીં, ને સર્વ ઋતુઓના ઋતે
સંક્રાન્તિઓને શાન્તિ હો, ને ક્રાન્તિમાંયે શાન્તિ હો.

શપ્ત શાં સંતપ્ત રણ, નિઃસૂર્ય અંધારાં વનો;
એ રણો શાં, એ વનો શાં સૌ મનોમાં શાન્તિ હો.

કેટલું છે દુઃખ ઉશનસ્ ! ચેતનાથી ચિત્તમાં !
એ ચેહનેયે શાન્તિ હો, એ દેહનેયે શાન્તિ હો.

-ઉશનસ્

(સૂક્ત= વેદમંત્રો અથવા ઋચાઓનો સમૂહ, ભવભવાટવિ= જન્મ-જન્માંતરરૂપી વન, ઋતે= સિવાય, સિવાય કે, ચેહ= ચિતા)

Comments (5)

એ જિંદગી – ઉશનસ્

આ તરફ ઉન્મત્ત ધ્વજ ફરકાવતું સરઘસ જતું;
-ના તે નહીં,
એ તરફથી ડાઘુજન ગમગીન ચહેરે આવતું;
– તે યે નહીં.
રસ્તા વિશે એ બે ય ધારા જ્યાં મળે,
તે મેદની છે જિંદગી.

ભરતી વિષે ઉભરાય ખાડી, ખાંજણો યે આકળી;
-ના તે નહીં,
ને ઓટમાં એ હાડપિંજરની ગણી લો પાંસળી યે પાંસળી,
– તે યે નહીં
ઓટ ને ભરતી ઉભય સંધાય જે ક્ષણ;
તે સમુંદર જિંદગી.

ફૂલના જેવું વસંતલ સ્મિત ખીલે જે શૈશવે;
-ના તે નહીં,
ને અષાઢી મેઘ જેવી આંખડી સંતત રુવે,
– તે યે નહીં..
હર આહ કૈં મલકી જતી, હર સ્મિત ભરતું ડૂસકું
તે સંધિક્ષણ છે જિંદગી.
 

-ઉશનસ્   

Comments (5)