નથી જઈ શકાતું ઉપરવટ, સ્વયંથી
અને આખરે, એ જ બાબત નડે છે !
ડૉ. મહેશ રાવલ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for સંજુ વાળા

સંજુ વાળા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




સવા શેર : ૧૦ : વાણીનું સમ્યક ઋણ – સંજુ વાળા

વાણીનું સમ્યક ઋણ ના ફેડી શકે, એ થાય હર જન્મે કવિ!
તો હે કવિતા! લાવ આ જન્મે જ સઘળું ચૂકવી દઉં માગણું!
– સંજુ વાળા

કવિતાનું અગત્યનું લક્ષણ છે Paradox. કવિ નિશાન કંઈક સાધતા હોવાનું દેખાય અને નિશાન કંઈ બીજું જ સધાતું હોય એ વિરોધાભાસ કવિતાને ખૂબ માફક આવે છે. વળી, આ કવિની તો આ ખાસિયત છે. સંજુ વાળાની કલમેથી કંઈક સીધુંસટ કે શીરાની જેમ ગળે ઉતરી જાય એવું પ્રાપ્ત ભાગ્યે જ થશે. આ કવિ કવિતાના મર્મને પામી જઈ, કંઈક અલગ અને સાવ મૌલિક કામ કરવાના પથના પ્રવાસી છે. એમની કવિતા પૂરતી ભાવકસજ્જતા માંગી લેતી કવિતા છે. ક્યારેક એમની કવિતા ભાષા અને અર્થની સીમાપાર વિહરતી પણ લાગે, પણ સરવાળે પુરુષાર્થ કર્યા પછી કશું પ્રાપ્ત ન થાય એવો અનુભવ પણ ભાગ્યે જ કરાવે છે.

સૃષ્ટિના તમામ જીવોમાં કેવળ મનુષ્યને જ વાણીનો આશીર્વાદ મળ્યો છે. વાણીનું ઋણ પૂરેપૂરું ન ફેડી શકે એ માણસ જન્મજનમ કવિ થાય છે એવી અંગત માન્યતા ધરાવતા કવિ આ જન્મમાં જ પોતાનું સમગ્ર કવિતાના ચરણમાં સમર્પી દઈ, પોતાની કારયિત્રી પ્રતિભાનો અંશેઅંશ નિચોવી દઈ, સઘળું માગણું ચૂકવી દઈ ભવાટવિના ફેરામાંથી આઝાદ થવાની, મોક્ષપ્રાપ્તિની અભ્યર્થના કરે છે. હવે પ્રશ્ન થશે કે બંને પંક્તિ સીધી હરોળમાં ચાલે છે, તો ઉપર ઇંગિત કર્યો એ વિરોધાભાસ ક્યાં છે? ખમો થોડી વાર, ભઈલા!

એક તરફ કવિ કહે છે કે ભાષાનું સંપૂર્ણ કરજ ચૂકવવામાં નિષ્ફળ થવાની સજા જન્મોજનમ કવિ થવું એ છે, પણ વાસ્તવિક્તા એ છે કે સૂંઠના ગાંગડે કવિ થવાતું નથી. જે માણસ સમાજ પાસેથી શીખેલ ભાષાનો નિચોડ સમગ્રતયા કાઢી શકવાને સમર્થ હોય એ જ તો કવિ બની શકે છે. કવિનો શબ્દ અને લોકવ્યવહારના શબ્દ વચ્ચે આમ જુઓ તો કોઈ તફાવત જ નથી. કવિની ભાષા લોકભાષામાંથી જ જન્મી છે અને અલગ પણ નથી. પણ કવિનો શબ્દ જવાબદારીનો શબ્દ છે. કવિ ભાષાનો પ્રથમ અને સર્વોત્તમ પ્રહરી છે. કવિ કવિતામાં શબ્દ વાપરે છે ત્યારે એમાં એની જિંદગીભરની સમજ અને વિચારને પૂરી સૂઝબૂઝ સાથે વાપરે છે. પરિણામે કવિનો શબ્દ વ્યવહારમાંથી જ આવ્યો હોવા છતાં વ્યવહારથી ઉફરો અને ઊંચો તરી આવે છે. ભાષાનો સો ટકા અર્ક કાઢી શકનાર જ કવિ બને છે એની સામે એ અર્ક અપૂરતો કાઢી શકનારને જ કવિ બનવાની સજા મળતી હોવાની વાત કેવો માર્મિક અને છૂપો વિરોધાભાસ જન્માવે છે.

બીજી પંક્તિમાં કવિતાને સંબોધીને કવિ જનમજનમના કવિફેરામાંથી બચવા માંગતા હોય એમ આ જ જનમમાં સઘળું લેણું અદા કરી દેવાની વાત કરે છે ત્યારે પ્રથમદર્શી ખ્યાલ એ આવે કે કવિ કવિ બનવામાંથી છૂટકારો ઇચ્છે છે. પણ હકીકત એ છે કે કવિ હોવું એ પરમ સૌભાગ્યની વાત છે એનાથી કવિ સુપેરે વાકિફ છે. અને અપ્રગટ વિરોધાભાસ જન્માવીને કવિ એ જ વાતને અધોરેખિત કરે છે કે કવિ બનવાની એકમાત્ર શરત છે ભાષાના ચરણે અને શરણે સંપૂર્ણ સમર્પણ. કશું અડધું-અધૂરું કવિતામાં ચાલી શકે જ નહીં. સમાજ તરફથી આપણને જે ભાષા અને વાણી મળ્યાં છે, એનું દેવું પૂરેપૂરું ચૂકવવું એ દરેકેદરેક કવિની પરમ ફરજ છે.

સમ્યક શબ્દની અર્થચ્છાયા પર પણ એક બીજો લેખ લખી શકાય. પણ એ ફરી ક્યારેક.

Comments (1)

રળિયામણું… રળિયામણું – સંજુ વાળા

કહેવું હતું જે કૈં તે કહેવાઈ ગયું, ઉપરાંત કહેવાશે ઘણું,
કારણ: ગઝલના પિંડમાં રસછોળ થઈ છલકાય છે મબલખપણું.

બોલે-લખે નહિ કોઈ કે પ્રતિભાવ પણ આપે નહીં, ઉત્તમ ગણું,
કિન્તુ હવે નહિ કોઈ અધકચરું કે ઉચ્ચારે જરાપણ વામણું.

એવું થયું કે એક દિ’ આવ્યું નદીને સ્વપ્ન એક્ સોહામણું,
બસ ત્યારથી નિરખ્યાં કરે છે આભને રળિયામણું, રળિયામણું.

તું હંસ હો તો તારી આંખો પર ભરોસો પણ તને હોવો ઘટે!
ઓ રે મહાપંડિત! તું કોને પૂછશે: ‘હું શું ચણું શું ના ચણું?’

હું જાત, જગ કે જીવને તતકાળ તરછોડીને છૂટી જાઉં પણ-
કરવું શું એનું જે સતત સાથે રહે થઈને નર્યું સંભારણું.

વાણીનું સમ્યક ઋણ ના ફેડી શકે, એ થાય હર જન્મે કવિ!
તો હે કવિતા! લાવ આ જન્મે જ સઘળું ચૂકવી દઉં માગણું!

– સંજુ વાળા

મત્લામાં કવિ વાત ગઝલના અક્ષયપાત્રની માંડે છે, પણ હકીકતે એ વાત કવિતાસમગ્રને સ્પર્શે છે. જે જે વાત કવિતામાં કરી શકાય, કરવી જોઈએ એ તમામ વાત કહેવાઈ ગઈ હોવા છતાં હજી એનો અંત આવ્યો નથી કે આવનાર પણ નથી, એનું કારણ આપતાં કવિ કહે છે કે ગઝલના પિંડમાં રસની છોળ થઈને મબલખપણું છલકાઈ રહ્યું છે. કવિ અંતિમવાદી છે. ક્યાં ગઝલને પૂરી પ્રમાણો અથવા બિલકુલ મૌન રહો. ગઝલ બાબતે કોઈ અધકચરી કે ઉતરતી વાત કરે એના કરતાં ગઝલ વિશે કોઈ કશું બોલે-લખે નહીં કે પ્રતિભાવ પણ નહીં આપે એને કવિ ઉત્તમ ગણે છે. છેલ્લો શેર પણ કવિતા સંબંધી જ છે. સૃષ્ટિના તમામ જીવોમાં કેવળ મનુષ્યને જ વાણીનો આશીર્વાદ મળ્યો છે. વાણીનું સમ્યક ઋણ ફેડી ન શકે એ માણસ જન્મજનમ કવિ થાય છે એવી અંગત માન્યતા ધરાવતા કવિ આ જન્મમાં જ પોતાનું સમગ્ર કવિતાના ચરણમાં સમર્પી દઈ, પોતાની કારયિત્રી પ્રતિભાનો અંશેઅંશ નિચોવી દઈ, સઘળું ઋણ ચૂકવી દઈ ભવાટવિના ફેરામાંથી આઝાદ થવાની, મોક્ષપ્રાપ્તિની અભ્યર્થના સાથે વિરમે છે.

Comments (12)

મ્હેણું – સંજુ વાળા

વ્હાલે માર્યું જબરું મ્હેણું!
મને કહે: તું ખમતીધર, હું તારા પગની રેણું

ચંદ્રકિરણની લૂમ કહી ઉજમાળી અરધી કાળપ
અરધી રહી તે નઝરટીલડી થઈ ચોંટી ગઈ ચપ
પામી કાંચનયોગ હરખતું હું માટીનું ગ્હેણું
વ્હાલે માર્યું જબરું મ્હેણું!

અદેખાઈથી બળી-ઝળીને થૈ સખીઓ અધમૂઈ
સમૂહમાંથી જ્યારે ચૂંટી મને કહીને જૂઈ
જીવતરની ચુંદડીએ ટાંક્યું રતન મહા લાખેણું
વ્હાલે માર્યું જબરું મ્હેણું!

– સંજુ વાળા

લયસ્તરો પર કવિના નવ્યસંગ્રહ ‘અદેહી વીજ’નું સહૃદય સ્વાગત!

સંગ્રહમાંના ‘વ્હાલાપંચક’ ગુચ્છમાંથી એક ગીતરચના આપ સહુ માટે. મજબૂત લય અને સીધી હૈયામાંથી ઉતરી આવી હોય એવી સહજ બાનીને લઈને રચના વાંચતા, સૉરી, ગણગણતાવેંત દિલમાં ઊતરી જાય એવી બળકટ થઈ છે. (પ્રવાહી લયને લઈને વાંચવું તો શક્ય જ નથી!) પ્રિયાને ખમતીધર લેખાવી પોતે તો કેવળ ચરણરજ છે એમ જ્યારે વહાલો કહે છે, ત્યારે સમર્પિતાને આ સમર્પણને મહેણું કહી ઓળખાવે છે. જો કે એના આ છણકામાં મહેણાંનો કોઈ ભાવ નથી જ નથી. વાત તો કેવળ વહાલની જ છે અને એ તો ગીતના ઉપાડના પહેલા શબ્દથી જ કવિએ સ્પષ્ટ કરી દીધી છે. આખું ગીત સહજ-સાધ્ય છે. ગાતાં-ગાતાં માણીએ…

Comments (4)

રોજ ઊઠીને દળવું – સંજુ વાળા

રોજ ઝઘડવું, છુટ્ટું પડવું, રડવું, પાછું મળવું,
આ તે કેવું દળણું જેને રોજ ઊઠીને દળવું

કહેવું ને સાંભળવું યાને
બેઉં સમાન્તર પાટા,
બન્ને વચ્ચે ઊગે ઓગળે
સૂસવાટા સન્નાટા.

એ ય ખરું કે દિવસે-રાતે વધવું બળવું ઝળવું
આ તે કેવું દળણું જેને રોજ ઊઠીને દળવું

હું કહું : આ આવું, ત્યારે
તું કહે : ના તેવું
તાણીતૂંસી તાલ મેળવ્યે
સોરાવું ને સ્હેવું

વળી વાતમાં વળાંક આવે લઈ ગાતરનું ગળવું.
રોજ ઝઘડવું, છુટ્ટું પડવું, રડવું, પાછું મળવું

– સંજુ વાળા

 

જિબ્રાન યાદ આવી જાય – ” સાથે ગાજો,નાચજો અને હર્ષથી ઉભરાજો, પણ એકમેક વચ્ચે એક અંતર જરૂર રાખજો ”

– કદાચ સંબંધ કોહવાઈ જવા પાછળ આ જ મુખ્ય કારણ હશે….

Comments (4)

આસપાસ – સંજુ વાળા

અણબૂઝ કામનાઓ અડાબીડ આસપાસ
ઘેરી વળી છે જુગજૂની પીડ આસપાસ

ઘરમાં હળી ગયેલ અભાવોનાં આક્રમણ
કરકોલે ધીરે-ધીરે બની તીડ આસપાસ

તારી ઉદાસ આંખને જોતાં જ લાગ્યું કે
વેરાન ઊગી નીકળ્યું છે નીડ આસપાસ

શ્યામે કહ્યું કે જૂઈ છે, આદિલ કહે: છે ઘાસ
વાસ્તવમાં આપ છો ને છે ઑર્કિડ આસપાસ

દિલચસ્પ કેવા હોય શરૂઆતના સ્તરે!
વિરમે દરેક ભાવ સખત ચીડ આસપાસ

ગળપણ ગઝલ કે કોફીમાં ઝાઝું હો શું મઝા?
બહુ બોલકાપણું તો કરે ભીડ આસપાસ

– સંજુ વાળા

પૂરી ન થયેલ ઇચ્છાઓ આપણને સહુને યુગો જૂની પીડાનો અહેસાસ કરાવતી ઘેરામાં બાંધી રાખે છે. આપણા સહુનું ધ્યાન વિશેષતર શું પામ્યા કરતાં શુ ન પામ્યા તરફ જ જીવનભર રહે છે. આ અભાવો જે રીતે તીડના ટોળાં ઊભા પાકને કરકોલી ખાય એ રીતે આપની સાથે હળીમળી જઈને આપણને કોતરી ખાયે રાખે છે. શ્યામ સાધુ અને આદિલ મન્સૂરીને સ્મરતો શેર ઓર્કિડ પ્રાસપ્રેરિત હોય એમ વધુ અનુભવાય છે, એ એક શેરને બાદ કરતાં બાકીના પાંચેય શેર અદભુત થયા છે. ગમે એટલી ગમતી કેમ ન હોય, દરેક વસ્તુનો અતિરેક છેવટે તો અણગમામાં જ પરિણમે છે એ વાત છેલ્લા બે શેરમાં સુપેરે પ્રકટ થઈ છે. શરૂઆતમાં દિલચસ્પ લાગતી વાત છેવટે ચીડમાં વિરમે છે અને ગઝલ હોય કે કોફી, ગળપણ વધુ નાંખો તો સાચા ભાવકો એનાથી દૂર જ ભાગશે…

Comments (4)

હોવાપણાં લગ – સંજુ વાળા

ઓરડેથી ઓસરી ને ઓસરીથી આંગણા લગ
વાત ડમરાઈને અટકી બેઉનાં હોવાપણાં લગ

ચોક–શેરીનું કુતૂહલ આવી ઊભું બારણા લગ
પ્લીઝ માની જા નહીં તો પ્હોંચી જાશે આપણાં લગ

કાલે અનરાધાર ત્રાટક્વાની છે સંભાવના
જાણતલનું કહેવું છે : આવી ગયો મે ઠામણાં લગ

તું કહે છે : ‘રામરટણા’નાં અનુષ્ઠાનોમાં રત છે
હું કહું છું : કસરતો સૌ પહોંચવા રળિયામણા લગ

હું તને સુંદર, અનુપમ લેખું એ જો ઓછું છે તો
તારી મેળે પહોંચી જા તું ‘કોડિલા– કોડામણા’ લગ

પહેલાં ફરકી આંખ, મલક્યા હોઠ, માન્યું મન, પછીથી
કોળી ઊઠી કામના ને વિસ્તરી ઓવારણાં લગ

આવતાં – જાતાં સ્મરણ પર જો તને શ્રદ્ધા નથી તો
હે હૃદય! તું વાટ જોજે કાયમી પધરામણાં લગ

– સંજુ વાળા

હળવે હાથે ઉકેલવાની રચના. મત્લામાં ‘લેટ-ગો’ નહીં કરી શકાયેલ ‘ઇગો’ કઈ રીતે સ્વથી સર્વ સુધીની બદનામી તરફ લઈ જાય છે એની વાત છે, તો એને જ અનુષંગિક બીજા શેરમાં સમય પર ‘ઇ’ ને ‘ગો’ નહીં કહી શકાય તો દુનિયા(સર્વ)ની આપણી(સ્વ) અંગત બાબતમાં ચંચુપાત કરવાની તત્પરતા સરસ રીતે રજૂ થઈ છે.

Comments (5)

મનમોજી – સંજુ વાળા

અમે અમારા મનના માલિક મસ્ત મિજાજી મોજી.
જૂઈ મોગરા પ્હેરી-બાંધી
.             ભરી બજારે નીકળવામાં શું લાગે બટ્ટો જી?

કરું વાયરા સાથે વાતો
ચડે અંગ હિલ્લોળ તો થોડું હીંચું,
કિયા ગુનાના આળ, કહો
ક્યાં લપસ્યો મારો પગ તે જોવું નીચું ?
તેં એને કાં સાચી માની
.             વા-વેગે જે ઉડતી આવી અફવા રોજબરોજી.

અમે અમારા મનના માલિક મસ્ત મિજાજી મોજી.

મંદિરના પ્રાંગણમાં
ભીના વાળ લઈને નીકળવાની બાબત.
રામધૂનમાં લીન જનો પર
ત્રાટકતી કોઈ ખૂશબૂ નામે આફત.
સાંજે બાગ-બગીચે નવરાધૂપ બેસતા
.             નિવૃતોની હું એક જ દિલસોજી

અમે અમારા મનના માલિક મસ્ત મિજાજી મોજી.

– સંજુ વાળા

મનમોજી લલનાનું ગીત… ઊઠાવ જ કેવો પ્રભાવક થયો છે, જુઓ! અમે-અમારામાં ‘અ’ અને ‘મ’ની વર્ણસગાઈથી સરસ ઉપાડ સાથે ગીત પ્રારંભાય છે અને ‘મ’ની વર્ણસગાઈ તો અહીંથી વિસ્તરીને મન-માલિક-મસ્ત-મિજાજી-મોજી અને મોગરા સુધી લંબાય છે. ‘મ’નો આ રણકો ગીતના રમતિયાળ સ્વભાવને અદભુત રીતે માફક આવ્યો અનુભવાય છે.

સ્ત્રીને આપણો પુરુષપ્રધાન સમાજ પરાપૂર્વથી મર્યાદાના ચશ્માંમાંથી જ જોવા ટેવાયેલો છે. એટલે કોઈ સ્ત્રી સમાજે નિર્ધારિત કરેલી રેખા વળોટીને ચાલતી દેખાય કે તરત એની અગ્નિપરીક્ષા લેવા સમાજ તૈયાર થઈ જાય. પણ આપણી કાવ્યનાયિકા તો ‘નિજાનંદે રહેજે બાલ મસ્તીમાં મજા લેજે’નો ગુરુમંત્ર પચાવી ચૂકી છે. એ એના મનની માલિક છે અને આ હકીકતની પૂર્ણતયા જાણતલ પણ છે. એને મન પડે તો એ જૂઈ-મોગરા પહેરીને-બાંધીને ભરી બજારે નીકળેય ખરી. લોક ગમે તે કહે એને આમાં કોઈ બત્ટો લાગવાની ભીતિ નથી. વાયરાના તાલે અંગ હિલ્લોળતી એ ચાલે છે. એને પોતાને ખબર છે કે એનો પગ ક્યાંય લપસ્યો નથી એટલે એ કોઈ ગુનાનું આળ માથે ઓઢવા તૈયાર નથી. પોતાના માટે લોકો જાતભાતની અફવાઓ છો ને ઊડાડે, લોકનિંદાના ડરે પોતાના તોરતરીકા બદલવાની એની લગરિક તૈયારી નથી. એ ભીનેવાન મંદિર જાય ત્યારે રામધૂનમાં લીન હોવાનો ડોળ કરતા બગભગતોનું ધ્યાન રામમાં ઓછું અને ‘કામ’માં વધારે છે એની એને જાણ છે જ. નવરા લોકો જ્યાં-ત્યાં એની જ જિંદગીની કિતાબ ખોલી બેસે છે એ જાણતી હોવા છતાં એ તો એની મસ્તીમાં જ મોજ માણે છે અને માણશે…

દુનિયા પોતાનો નજરિયો બદલવા તૈયાર ન હોય, તો આપણે શા માટે આપણી જાતને બીજાને વશવર્તીને પલોટવી જોઈએ?

Comments (15)

વાંધો છે કંઈ ? – સંજુ વાળા

અંદર અંદર સળવળતી એક ઘટનાથી શરૂઆત કરું
તો તમને એમાં વાંધો છે કંઈ?
ઠરી ગયેલી ફૂંક ફરી પેટાવી ઝંઝાવાત કરું
તો તમને એમાં વાંધો છે કંઈ ?

આજે સ્હેજ છાતીની અંદર શું દુ:ખે છે
એને જાણી લેવાનું મન થઈ આવ્યું છે
એ કારણસર છાતી ઉપર થોડો ચંચુપાત કરું
તો તમને એમાં વાંધો છે કંઈ ?

સમય નામના ડસ્ટરથી ભૂંસાઈ જવાના
ડરની મારી છાને ખૂણે જઈ બેઠી જે
એવી બિલકુલ અંગત કોઈ વાત અહીં સાક્ષાત કરું
તો તમને એમાં વાંધો છે કંઈ ?

જ્યારે પણ ઉપસી આવે છે લમણાંની કોઈ નસ
તો એનો સ્પર્શ હંમેશા હોય છે હાજર
વ્હાલપની એ મૂર્તિ માટે જીવની હું બિછાત કરું
તો તમને એમાં વાંધો છે કંઈ ?

જાણું છું કે આપ તો સાંગોપાંગ રસિક છો
હે શ્રૌતાજન ! નમન આપની રસવૃત્તિને –
કિન્તુ હું પણ આંસુની છાલકથી ઉલ્કાપાત કરું
તો તમને એમાં વાંધો છે કંઈ ?

પાણીના એક ટીપાનો વિસ્તાર કરે જે સહસા
એને જડશે પાણીદાર રહસ્યો
એવું કોઈ એક ટીપું લઈને એના સમદર સાત કરું
તો તમને એમાં વાંધો છે કંઈ ?

કબીર નરસિંહ મીરાં નામે ખળખળતી એક નદી
આપની અંદર વ્હેતી મેં ભાળી છે
સ્હેજ આપની પડખે બેસી હું ય જાત રળિયાત કરું
તો તમને એમાં વાંધો છે કંઈ ?

– સંજુ વાળા

 

સાંગોપાંગ મજબૂત રચના ! સરળ ભાષામાં બળકટ રજૂઆત… ખાસ કોઈ સમજૂતીની જરૂર નથી….મસ્ત મમળાવવાની રચના….

Comments (3)

ભૂલી ગયો છે – સંજુ વાળા

ગરબડ ‘ને ગોટાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે
માણસ ધોળા-કાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે

ગલી ગલીનું બચ્ચેબચ્ચું પોપટ પોપટ કહી પજવે છે
કોઇ બિચારો માળામાંથી બ્હાર નીકળવું ભૂલી ગયો છે

ઘરથી મંદિર, મંદિરથી ઘર; સર્કિટ જેવું જીવ્યા કરે છે
એ માણસ કુંડાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે

રાતું – પીળું ગાતા એક ફકીરનું નિદાન થયું કે –
ગુલમ્હોર – ગરમાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે

જોશી-જાદૂગરના ચરણે પરખ-પાસવર્ડ શોધે છે, એ-
ભીતર ભીડ્યા તાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે

નથી જવાતું ઉપર કે ના પાછો નીચે ફરી શકે છે
વિકટ કોઇ વચગાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે

પદ-પ્રતિષ્ઠા, જ્ઞાન-ગરથના સામે પલ્લે ગઝલ મૂકી, તું
સમજણ નામે શાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે

ખબરદાર, આ ચેતવણી છે : સ્હેજે ના અનુસરશો એને
સંજુ, સંજુ વાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે

– સંજુ વાળા

આમ તો ગઝલ માત્ર ગાવા માટે જ હોય છે, પણ અહીં બોલચાલની ભાષામાં અષ્ટકલના ચાર અવર્તનોની પસંદગીના કારણે ગઝલમાં મજાની મૌસિકી ઉમેરાઈ ગઈ છે. છંદની પ્રવાહિતા ઉપરાંત આ માટે જવાબદાર વધુ એક ગુનેગાર લગભગ બધા જ શેરમાં જોવા મળતી વર્ણસગાઈ (alliteration) છે. જુઓ, ગરબડ-ગોટાળા, ગલી ગલી, બચ્ચે-બચ્ચુ, પોપટ-પોપટ, ઘર-મંદિર-મંદિર-ઘર, ગુલમ્હોર-ગરમાળા, જોશી-જાદુગર, પરખ-પાસવાર્ડ, ભીતર-ભીડ્યા, વિકટ-વચગાળા વગેરે… આ સિવાય શબ્દયુગ્મકો પણ આ માટે નિમિત્ત બન્યા છે: ધોળા-કાળા, ગલીગલી, બચ્ચેબચ્ચુ, પોપટપોપટ, રાતુંપીળું, પદ-પ્રતિષ્ઠા, જ્ઞાન-ગરથ, સંજુ-સંજુ વગેરે…

લગભગ બધા જ શેર ધ્યાનાર્હ અને મનનીય થયા છે… કોઈ એક શેર પર આંગળી મૂકવી શક્ય બનતું નથી… બધા જ શેર ગહન-ગંભીરા છે…

Comments (13)

બોલે ! – સંજુ વાળા

ના બોલે તો ચાલે કિન્તુ બોલીને કાં બીજું બોલે ત્રીજું બોલે !
નામસ્મરણમાં રત રહેનારો, કાં તું આજે તીણું બોલે તીખું બોલે !

જંગલમાં એક ઝાડ પડે
તો કોને કેવું લાગે વળગે ?
નખમાં પણ જ્યાં થાય ઘસરકો
ત્યાંથી રહીએ આઘે અળગે.

ધ્યાન-બહેરી દુનિયાને શું ફરક પડે કોઈ ધીમું બોલે ભીનું બોલે !

સાહેબ, અહીંના રિવાજ મુજબ
સૌ નિજની છાયામાં મ્હાલે,
ભવિષ્યની ચિંતામાં મૂકે
આજ લટકતી અધ્ધરતાલે.

રંગબિરંગી બોલીને ભરમાવે જાણે : લીલું બોલે પીળું બોલે !
ના બોલે તો ચાલે કિન્તુ બોલીને કાં બીજું બોલે ત્રીજું બોલે !

– સંજુ વાળા

 

એક બહુ જ સરસ ઉક્તિ વાંચી હતી કશેક – ” જયારે તમારા શબ્દો તમારા મૌનને અતિક્રમી શકે ત્યારે જ બોલવું ” !!

Comments (3)

કાચો નીંભાડો – સંજુ વાળા

સમુદ્રો હો તરવા ‘ને ચડવા હો પ્હાડો,
ન બાંધી શકે એની વૃત્તિને વાડો.

વહી આવ, ખુલ્લાં મૂક્યાં છે કમાડો,
પવન! તારે ગણવાનાં શું રાત-દાડો?

નહીં ઝીંક ઝીલી શકે કોઈ કાળે,
મળ્યાં કાચી માટી ‘ને કાચો નીંભાડો.

કદી તૂટવાનો અનુભવ કર્યો છે?
કહી શકશે, કોને કહે છે તિરાડો?

સરળ સીધા રસ્તા જ ના હોય યાત્રી!
સ્વીકારી લે ભીષણ ખડક, નદ, કરાડો

ખૂણે બેસી સંભારું છું સાંભળે તો;
હું જાહેરમાં તો નહીં પાડું ત્રાડો.

અમીદૃષ્ટિ પડતાં જ મહામંત્ર લાધ્યો,
ટળી સૌ દ્વિધાઓ, મટ્યો ગૂંચવાડો.

– સંજુ વાળા

સાદ્યંત સુંદર રચના… વાંચતાવેંત ગમી જાય એવી…

Comments (6)

થઈને રહીએ લીટી – સંજુ વાળા

સળવળ સળવળ સરતી ફરતી વૃતિ કહેતાં કીડી કહેતાં ચીંટી
ચાલ, બધીએ ગૂંચ-વળાંકો છોડી – છાંડી થઈને રહીએ લીટી

એક્કે એવું નહીં જોવાનું સપનું
જેમાં આકાશી ફૂલોની હો સુગંધ,
વીજળીઓનાં તોરણ બાંધી શણગાર્યા હો ઘર
પરંતુ હોય બારણાં બંધ,

ભલો આપણો કૂબો જેમાં ભાર ઝીલવા હોય અધીરી ખીંટી,
ચાલ, બધીએ ગૂંચ-વળાંકો છોડી – છાંડી થઈને રહીએ લીટી

ઝીણેરું ઝિલાય તો એને મોતી કહીએ
પણ, મબલખ ને શું કહેવું એ કહો !
ગુપ્ત વહો કે લુપ્ત રહો પણ હે સરસત્તી
દિવસ-રાત કાં મૃગજળ થઈને દહો ?

શું પહેરાવું? શું ઓઢાડું? કઈ જાતરમાં જઈ પધરાવું વીંટી ?
ચાલ, બધીએ ગૂંચ-વળાંકો છોડી – છાંડી થઈને રહીએ લીટી

– સંજુ વાળા

 

The greatest truths in the world are the simplest.

Comments (1)

શું સમજાવું ! – સંજુ વાળા

બહુ બહુ તો એક્ કરું ઈશારો બીજું તો હું શું સમજાવું ?
બની રહે જે ધોરણ – ધારો બીજું તો હું શું સમજાવું ?

હું વણજારો – તું વણજારો બીજું તો હું શું સમજાવું ?
વણજ વિના નહીં આરો-વારો બીજું તો હું શું સમજાવું ?

ઘૂમરાતું ચગડોળ જગત આ તું ‘ને હું સરખા સહેલાણી
ચડ-ઊતર છે નિયમ નઠારો બીજું તો હું શું સમજાવું ?

પોત હશે પાણીનું તારું તો જ શક્યતા બરફ થવાની
નાહક ના વેડફ જન્મારો બીજું તો હું શું સમજાવું?

શબદબીજને શબદનું સિંચન શબદ નીપજ ‘ને સાળ શબદની
શબદ રંગ ‘ને ખુદ રંગારો બીજું તો હું શું સમજાવું?

ચતુર્મુખ ત્રિગુણા ભગવતી હે ભાષા ! તું ભેરે રહેજે
ભીડ પડ્યે સાચો સધિયારો બીજું તો હું શું સમજાવું ?

ઇચ્છાઓ આડી ઊભી છે વળગણથી બોઝિલ છે પાંખો
એમ નહીં સીઝે સંથારો બીજું તો હું શું સમજાવું ?

– સંજુ વાળા

ચોથો શેર જુઓ !! આમ તો બધા જ મજબૂત છે પણ ચોથો સવિશેષ વેધક છે….

Comments (3)

ત્રુઠા.. ત્રુઠા – સંજુ વાળા

વિચારને વલોવી કરે પ્રયત્ન જૂઠા
એ તીર હોય તો પણ છે જન્મજાત બૂઠાં

જરાંક ઝીણવટથી તું કાન માંડી જો, તો
તને ય સંભળાશે બબડતાં બેઉં પૂઠાં

જગત છે કાચનું ઘર, સૌ ચીજ કાચની આ-
છે પોત તારું – મારું ય કાચ મુઠ્ઠેમૂઠા

હો પાંખની પ્રતીતિ ‘ને આભ માટે ઝંખા
હું શોધવાને આવ્યો છું પંખી એ અનૂઠાં

સ્વભાવગત્ ફકીરી મિજાજનો મહોત્સવ
એ રેવડી ય પામીને બોલે ત્રુઠા… ત્રુઠા

– સંજુ વાળા

કવિતા હોય કે વિચાર, જે સહજ આવે એ જ ઉત્તમ. વિચારોને વલોવી વલોવીને ખૂબ ઉમદા ભાષામાં પંડિતોય બે ઘડી માથું ખંજવાળતાં થઈ જાય એવું લખાણ કેમ ન કર્યું હોય, એ એટલું અસરદાર બનતું નથી, જેટલી અસરકારકતા સહજ અભિવ્યક્તિમાં જોવા મળે છે. આયાસવાળા વિચાર જન્મજાત બૂઠાં તીર જેવા હોય છે. છેલ્લા શેરમાં રેવડી પામીનેય પ્રસન્નતાની ડબલ રિસિપ્ટ આપતા ફકીરના મિજાજનો મહોત્સવ પણ સામેલ થવા જેવો છે. એકતરફ સ્વભાવગત ફકીરી છે અને એના મિજાજનો વળી મહોત્સવ- સમર્થ કવિને ભાષા વશવર્તી ચાલે છે તે આનું નામ…  અરે હા! વચ્ચેના ત્રણ શેર? એ બધાય સવાશેર છે… મમળાવી મમળાવીને માણો અને કહો કે ત્રુઠા.. ત્રુઠા…

Comments (4)

કબીર – સંજુ વાળા

ઘટ ઘટ રામ તિહારો
અરધ પોતડી જર્જર પહેરણ વચ્ચે મ્હાલે ન્યારો…
ઘટ ઘટ રામ તિહારો…

તિનકે તિનકે તરુ જગાડ્યા કંકર કંકર પહાડ
વાળીછોળી અણસમજણની સૌ વિખેરી વાડ

બાંધ્યો ના બંધાય તું, છાપ-તિલકની પાર
પટ ભીતર, પટ બહારનો તેં સમજાવ્યો સાર

તાણે-વાણે ગહનગુંજનો ઈલમી વણ્યો ઈશારો
અરધ પોતડી જર્જર પહેરણ વચ્ચે મ્હાલે ન્યારો
ઘટ ઘટ રામ તિહારો…

તલમાં ચીંધ્યા તેલને, ચકમક ચીંધી આગ
દરિયા દાખ્યા બુન્દમાં ભાખ્યો બુન્દ અતાગ

ભક્તન કે મન ભજન બડો કાજી કહે અજાન
તેં બન્ને પલ્લે રહી, પરખ્યા એક સમાન

પૂરણ પ્રગટ્યો સધ્ધુકડીમાં વાણીવચ રણુંકારો
ઘટ ઘટ રામ તિહારો…

– સંજુ વાળા

કવિ સંજુ વાળાએ મધ્યયુગીન સંતોના કેટલાક શબ્દચિત્રો દોર્યાં છે. એમાનું એક તે કબીર.  ગીતની પહેલી જ કડીમાં કવિ કબીરને સાંગોપાંગ આપણી સમક્ષ સફળતાપૂર્વક લઈ આવે છે- ઘટ ઘટ રામ તિહારો- તારા રોમ-રોમમાં, અંગેઅંગમાં રામ છે! આથી અદકી બીજી કઈ ઓળખ હોય સંતની? આગળ કબીરના જાણીતા દોહાઓની આંગળી ઝાલીને કવિ એમની આગવી શૈલીમાં સંતનું શબ્દચિત્ર પૂરું કરી આપે છે.

Comments (7)

હેડકી – સંજુ વાળા

અંતરથી ઉપડી રે હેડકી
તાલાવેલીનું કોઈ તાગે ના તળ
એવી માંહ્ય માંહ્ય ઉમટે ઉફૈડકી

અધખીલી કળી માથે ફૂદું મંડરાય
એમ આવે – જાય મળવાના મોકા
સાંભળું ને પારખું ત્યાં જાતા વિલાઈ
દૂર વગડામાં હીરકચા ટૌકા
અડધી મિચાય આંખ એજ ઘડી
પાંપણમાં ખૂંચે પગરખાંની ચૈડકી
અંતરથી ઉપડી રે હેડકી

ઝાડવાંને હોય એની ભોં પર ભરોસો
‘ને પાંદડાંને વ્હાલ હોય શાખ પર
એને જોઈ મારામાં ઊગે ને આથમે રે
કંઈ કંઈ વરતારાઓ રાતભર
કહીએ કહીએ રે તોય માને ના કોઈ
એવી કામનાઓ થઈ બેઠી તેડકી
અંતરથી ઉપડી રે હેડકી

-સંજુ વાળા

કલ્પનો તો મૌલિક છે જ, પરંતુ અમુક શબ્દો પણ તદ્દન નવા છે – જેમ કે ઉફૈડકી, પગરખાંની ચૈડકી……કવિસહજ છૂટછાટનો ચતુર ઉપયોગ કઠતો નથી,રસવૃદ્ધિ કરે છે….

Comments (5)

પ્રભાવ કહું – સંજુ વાળા

ભાવ સમજુ ‘ને હાવભાવ કહું
કે, ઉમળકાનો ઘન ચઢાવ કહું ?

ના હું બદલાઉં, ના બનાવ કહું
આવનારા તને શું ‘આવ’ કહું ?

આજ એકાંત અઘરું લાગે છે –
એને તારી અસર કે તાવ કહું ?

સાવ પાસે જઈને અટકી જવું
વિઘ્ન સમજું, સહજ પ્રભાવ કહું ?

વાતમાં બીજી વાત ગૂંથીને –
ચાલું રાખું કે ‘રૂક્જાવ’ કહું ?

આંખ બેઠી છે દૃશ્યના ટેકે
દૃશ્યને આંખનો લગાવ કહું ?

આ કહ્યા સાંભળ્યાની આડશ લઈ
માત્ર અંગત અનોખી રાવ કહું !

– સંજુ વાળા

આંખ બેઠી છે દૃશ્યના ટેકે……..-વાહ !!!!!

Comments (4)

પડકાર ફેંકે છે – સંજુ વાળા

કદી સ્થિતિ, કદી સમજણ નવો પડકાર ફેંકે છે,
કદી ભીતરની અકળામણ નવો પડકાર ફેંકે છે.

નિરંતર કાળની કતરણ નવો પડકાર ફેંકે છે,
ક્ષણેક્ષણ આવનારી ક્ષણ નવો પડકાર ફેંકે છે.

અચાનક એક લક્કડખોદ આવી છાતી પર બેઠું,
શરીરે ઉપસી આવ્યા વ્રણ નવો પડકાર ફેંકે છે.

કબૂતર જેવી મારી લાગણીને ચણ બતાવીને,
અજાણ્યા મ્હેલનું પ્રાંગણ નવો પડકાર ફેંકે છે.

ઉખેડી મૂળથી વાચા પછી આદેશ આપ્યો : ‘ગા’
આ શસ્ત્રોહીન સમરાંગણ નવો પડકાર ફેંકે છે.

હવે એકેય લીલું પાંદડું બાકી બચ્યું છે ક્યાં?
છતાં આ ભોમનું વળગણ નવો પડકાર ફેંકે છે.

હજુ નવનાથ, દામોકુંડ, કેદારો, તળેટી-ટૂક..
હજુ કરતાલની રણઝણ નવો પડકાર ફેંકે છે.

– સંજુ વાળા

ગઝલ કાવ્યપ્રકારની ખાસિયત એ છે કે એ બે પંક્તિના મકાનમાં આખી દુનિયા વસાવી આપે છે. સંજુ વાળાની ગઝલોમાં તો આ ખાસિયત ખાસ ઉપસી આવે છે. ખૂબ મજાની રદીફવાળી મજાની ગઝલ કવિ લઈ આવ્યા છે. દરેક શેર ખૂબ ધીમે રહીને ઊઘાડવાલાયક…

Comments (2)

તાપણાં – સંજુ વાળા

સળગે છે
સમગ્ર સૃષ્ટિ અજવાળવાનાં સારત્વ સાથે
ચોરફ.

હુંફ આપે એટલાં
દૂર
અને દઝાડે એટલાં નજીક.

સોનું સોનું થઈ ઉઠેલી માટી
મુઠ્ઠી ભરતાં જ નક્કર વાસ્તવ

ગજબ છે જ્વાળાઓનું અટ્ટહાસ્ય
લીલી છાલનો તતડાટ,
શરીર પર ઉપસી આવતી
ઝીણી ઝીણી ફોલ્લીઓમાં ભરાયેલાં પાણી
ઠારશે કદાચ.

વાંસ થઈ ફૂટી નીકળતો
આછો ભૂરો ધુમાડો
ઘડીના છઠ્ઠાભાગમાં તો-
બધી ધારણાઓ પર
કાળવીગંધની કુલડીઓ ઢોળી દઈ
પડતા મૂકી દે અધવચ્ચે
બપોરવેળાના સ્વપ્ન જેમ.
બિલકુલ માયાવી લાગે છે આ તાપણાં
દૂરના હુંફ આપી શકતા નથી
નજીકનાંને
ફોલ્લીઓનું પાણી ઠારી શકતું નથી.
ત્યારે સાંભળેલી વાતો સ્વરૂપ બદલે છે.
એમ તો,
એવું પણ સાંભળ્યું છે :
હકીકત દ્વિમુખી હોય છે
ડરનો ચહેરો સાવ નજીકથી જોયા પછી
સ્થિર
એટલાં વધુ સલામત.

– સંજુ વાળા

કવિની લાક્ષણિકતા જ એ છે કે તેઓ એક થી વધુ અર્થ અભિપ્રેત હોય તેવી રચના સર્જે છે….તાપણાં એટલે અંગત સંબંધ મૂકીને જુઓ-જે અણગમતો પણ હોઈ શકે, તાપણાં એટલે કટુસત્ય મૂકીને જુઓ, તાપણાં એટલે prejudicial દ્રઢ ભ્રામક માન્યતાઓ અથવા desires મૂકીને જુઓ…..

Comments (1)

મારામાંથી છટકીને – સંજુ વાળા

મારામાંથી છટકીને તું
મને પરાયો ગણે !

ઓળખ નામે ચિહ્ન હતું ત્યાં મૂક્યું મોટું મીંડું
તે દિવસથી પડવા લાગ્યું મારાપણામાં છીંડું
હું અહીંથી ત્યાં આવું પણ
તું પણે નો પણે… મને પરાયો ગણે !

બની બ્હાવરા ચપટી આંખે તાક્યું આખ્ખું આભ
પગપાનીથી પાંપણ પર્યન્ત આભ પછીથી ડાભ
ઝાંય ઝાંય જન્મોની ડાળો
કોરીકટ રણઝણે… મને પરાયો ગણે !

છળ તરંગો છળની ઘટના છળવત માણી મજા
છળમય થઈને છળથી અળગા રહેવાની આ સજા
છળપણાનો જીવ પછીથી
ફૂટતો ક્ષણે… ક્ષણે… મને પરાયો ગણે !

-સંજુ વાળા

એકથી વધુ રીતે કાવ્યાર્થ કરી શકાય – કો’ક પ્રિયજનની પણ વાત હોઈ શકે….. આત્મશોધનના યાત્રીને આમાં અનહદનો સૂર સાંભળી ચૂકેલો અંતરાત્મા દીસે કે જે હવે ચર્મદેહમાં વસવા તૈયાર નથી…..સત્યની શોધમાં નીકળેલા મુસાફરને ગેબી ઈશારો સતાવતો હોય એવું પણ ભાસે….જેવી જેની પ્રજ્ઞા……

Comments (6)

અસમંજસનું ગીત – સંજુ વાળા

સ્પર્શ આંધળી આંગળીઓમાં સળવળતો થરકાટ
ઉગમણેથી…….આથમણેથી
આલ્લાંલીલ્લાં પાથરણેથી
સીમ ભરીને લાવ્યું કોઈ ઉચાટ

હાથવેંતનાં પગપગથારે લજામણીમન રમતું અડકો-દડકો
થડકારો ચૂકીને ઝીલ્યો પાંચિકાને બદલે કાચો તડકો
અહીંથી ઝાલો…તહીંથી ઝાલો
આરપાર અટકળથી ઝાલો
નવતર જાગ્યો ખરી પડે ફફડાટ
સ્પર્શ આંધળી આંગળીઓમાં સળવળતો થરકાટ

કૈ વરસે ભાળેલી પળનાં તળિયે ઊમટે મૂંઝારાનું વ્હેણ
નોધારા ચકરાવા લેતાં મનને વાગે ઠેસ, ચડાવે ફેણ
આઘા ડૂબે…ઓરા ડૂબે
ધોધમાર હેલ્લારા ડૂબે
ફીણ ફીણ થઈ ફેલે રે.. ચચરાટ
સ્પર્શ આંધળી આંગળીઓમાં સળવળતો થરકાટ.

– સંજુ વાળા

કાવ્યના શીર્ષકમાં જ કાવ્યના અર્થની ચાવી છે. જાણે કે પ્રિયજનને મનની વાત કહેવાતી નથી અથવા તો કહી દીધા પછી પ્રત્યુત્તરની પ્રતિક્ષાની ઘડી છે…….

Comments (2)

છોડી ઝંઝટ – સંજુ વાળા

સૌ વ્યવહારો ચોખ્ખાચટ
તોય હાથ કાં મેલામટ?

કાળ કઠણ ‘ને પળ પોચટ
વાહ વખા ! તારી ચોખટ

નામ નથી હોતું લંપટ
અંદરની સઘળી ખટપટ

વચગાળાની લઇ ચોવટ
ડહોળી વરસોની ઘરવટ

ઘેન વધારે થાતું ઘટ
નિરખીને નાગણ શી લટ

તું કે’ તો અજમાવું પણ
વટ માથે શું પડશે વટ ?

ઓળખ અળપી* બેઠો છે
મનમાં ઊછળતો મરકટ

આ સૌ નિરાંતજીવી પણ
નાચી-નાચી થાક્યા નટ

જોઈ તને હું દોટ મૂકું
તુંય ઉપાડે પગ ઝટઝટ

તક શોધીને તાક્યું છે
નક્કી નીકળશે સોંપટ

સરસ્વતીનું વ્હેણ નથી તું
હું પણ ક્યાં છું ગંગાતટ ?

કવિતા જેવી છાંય મળી
કેમ કહું ફેરો ફોગટ ?

ભભૂત, કંથા,જપ-તપ,ધ્યાન..
કહી ગઝલ, છોડી ઝંઝટ

– સંજુ વાળા

ટૂંકી બહેરની લાંબી ગઝલ… બધા જ શેર ધ્યાનાર્હ અને મનનીય. રાજેન્દ્ર શુક્લ જેવું કાફિયાવૈવિધ્ય અને સર્જકની ઊંડી વિચારક્ષમતા અને સર્જન-સજ્જતા ઊડીને આંખે વળગે છે.

(*અળપી=છૂપાવી)

Comments (5)

(શતતંતી જંતર આ જીવતર) – સંજુ વાળા

જાતાં પૂજ્યાં ડુંગર – કોતર
વળતાં ઝાંખર- ઝાડ જી
તારે આંગણ આવીને મેં
માણ્યો મનનો ઉઘાડ જી

શતતંતી જંતર આ જીવતર
મેળ મળે ના સ્હેજે
તું ચીંધાડે કળ કોઈ તો
તરીએ એના તેજે
લુખ્ખા સુક્કા જીવને બીજું
કોણ લડાવે લાડ જી
તારે આંગણ આવીને મેં
માણ્યો મનનો ઉઘાડ જી

વિના કારણે મારા પર હું
રીંસ કરું ને લડું
કોઈ ના જાણે એવા ખૂણે
જઇ જઇને હું રડું
મારામાં આ શું ઊગ્યું જે
ભીતર પાડે ધાડ જી
તારે આંગણ આવીને મેં
માણ્યો મનનો ઉઘાડ જી

-સંજુ વાળા

સંજુ વાળા ક્યારેક દુર્બોધ લાગે પરંતુ એ સમર્થ કવિ છે ને શબ્દો સમર્થ કવિને વશવર્તી હોય છે એ અહીં જોઈ શકાય છે. રવીન્દ્રનાથ ટાગોરની ગીતાંજલિ જેવો સૂર ગીતમાંથી ઊઠતો સંભળાય છે. ઈશ્વરને આંગણે આવ્યા પછી, શરણે ગયા પછી જ મનનો ઉઘાડ પામી શકાય છે, એ પહેલાંનું મન ગોરંભાયેલું, અસ્પષ્ટ જ હોવાનું. પ્રભુશરણમાં જઈ જીવતરનો અર્થ પામવાની સ્વીકૃતિની આ કવિતા છે.

બીજું કંઈ જ ન લખતાં માત્ર શતતંતી જંતર જ લખ્યું હોય તોય કવિને ફૂલ માર્ક્સ આપવા પડે એમ મને લાગે છે… આ એક જ શબ્દપ્રયોગ પરથી સમજી શકાય છે કે આ કવિએ ભાષાને આજીવન પ્રાણવાયુની જેમ શ્વસી છે. આવા સશક્ત કવિઓ આજે આપણી ભાષામાં કેટલા? શતતંતી જંતર એટલે સો તંતુઓવાળું વાજિંત્ર. જીવતરને શતતંતી જંતર કહીને કવિ ઓછામાં ઓછા શબ્દોમાં જીવનની કેવી અદભુત વ્યાખ્યા કરે છે! એક-બે તાર હોય તો વગાડવા સહેલાં પડે પણ સો-સો તાર?! સો-સો તારવાળા વાજિંત્રને સૂરમાં વગાડવામાં જો એ કોઈ કળ ન આપે તો આપણો મેળ પડે ખરો? એ જ આવું સંકુલ વાજિંત્ર બનાવે અપણા જીવતરને, એ જ સૂર-લયમાં વગાડવા માટેની ચાવી આપે ને એ જ લાડ લડાવે…

બીજા અંતરામાં પણ નરસિંહ-મીરા જેવી પ્રેમલક્ષણા ભક્તિ અહીં નજરે ચડે છે. કાવ્યનાયક ભાવવશ અકારણ પોતાની જાત સાથે જ રિસામણા-મનામણા કરે છે. માણસને એકાંત ખૂણામાં જઈને દુનિયાથી છૂપાઈને રડવાની ચાહ કદી હોતી નથી. ખરે તો માણસને રડવાની ચાહ જ મૂળે હોતી નથી પણ પોતાની અંદર આ કંઈક ઊગ્યું છે જેણે પોતાના હોંશહવાસ, પોતાના મન-આત્મા બધાંને જાણે કે ધાડ પાડીને એવા લૂટી લીધાં છે કે નાયક પોતાના કાબૂમાં રહ્યો નથી… પોતાની સાથે જ ન કરવા જેવું કરે છે-લડે-ઝઘડે-રડે છે. આ જે ઊગ્યું છે એ ઈશ્વરીય ચેતના હોઈ શકે, ભક્તિની ચરમસીમા હોઈ શકે યા સમર્પણ પણ હોઈ શકે પણ એણે નાયકના અસ્તિત્વ પર સર્વાંગ કબ્જો જમાવી દીધો છે…

Comments (11)

ઓળધોળ ડહોળાતાં કારણ – સંજુ વાળા

સમજણની પાર કૈક ઓળધોળ ડહોળાતાં કારણ
છમ્મકછમ પગલાંની આંધી રે ઊઠી કે
ઘુમ્મરિયે આખ્ખું યે આંગણ
સમજણની પાર કૈક ઓળધોળ ડહોળાતાં કારણ

ઊંડે રે ઊંડે થી સંભળાતી શરણાયું
ધ્રિબાંગ – ધ્રિબાંગ મન નાચે
આડશમાં બારણાની ઊભી રહી એકલડી
કોરાકટ કાગળિયા વાંચે
ખરબચડાં સ્પંદનમાં છળી ઊઠી છાતી તે
ઝરમરતો આરપાર શ્રાવણ
સમજણની પાર કૈક ઓળધોળ ડહોળાતાં કારણ

તોફાને ચડ્યું હોય અષાઢી આભ
એન મનમાં રઘવાટ ના મા’તો
ડેલીની ભીડેલી ભોગળને કોણ જાણે
આંખ સાથે કેવો છે નાતો
બારસાખે ચોડેલા ચાકળાનાં આભલાંમાં
છલ્લોછલ છલકાતાં કામણ
સમજણની પાર કૈક ઓળધોળ ડહોળાતાં કારણ.

-સંજુ વાળા

પ્રેમને કારણો સાથે સંબંધ કાંઈ યે નથી, કારણ પ્રીતિનું પ્રીતિ-પ્રેમીની લક્ષ્મી તેહ બધી……- કલાપી યાદ આવી જાય…..

Comments (3)

સખ્ય – સંજુ વાળા

દદડે દસ – દસ ધારથી રસ નીતરતું વ્હેણ
ઝીલો તો જળધાર બને લખીએ તો લાખેણ.

ચૌદ કળાએ ચંદ્ર, તો સોળ કળાએ આંખ
વ્હાલપ ફૂટે વૃક્ષને, શરીરે ફૂટે શાખ

તારામાં તું ઓતપ્રોત, હું મારામાં લીન
ઘરની જર્જર ભીંત પર મૂક લટકતું બીન

તું ચૈતરની ચાંદની, તું મંત્રોના જાપ
સ્પર્શું, ચાખું, સાંભળું, સઘળે તારો વ્યાપ

મારા મદીલ ‘સા’ ઉપર તું પંચમની ટીપ
લય સંધાયો જોગ-નો ઝળહળ પ્રગટ્યા દીપ

ઝળઝળિયાં-ની જોડ તું, તું ઘનઘેરી સાંજ
નેહે તન-મન કોળતા, વ્રેહે હૈયે દાઝ

ગહન ગૂફના ગોખમાં, તેં પ્રગટાવી જ્યોત
અંધારું લઇ પાંખમાં, ઉડ્યાં અંધ કપોત

– સંજુ વાળા

લગભગ પચ્ચીસસો વર્ષ પહેલાં ગ્રીક ફિલસૂફે કહ્યું હતું, ‘change is the only constant.’ આ અફર સાર્વત્રિક નિયમથી ગુજરાતી કવિતા પણ કેમ બચી શકે? સમયની સાથે-સાથે મહાકાવ્ય, ખંડકાવ્ય, આખ્યાનકાવ્ય, સૉનેટ અને દોહા -જેવા કાવ્યપ્રકારો ક્રમશઃ લુપ્ત થઈ જઈ રહ્યાં છે. સંજુ વાળા દોહાની વિસરાતી જતી પ્રણાલિનો હાથ ઝાલીને દોસ્તીના દોહા લઈને આવ્યા છે. એક-એક દોહા ખૂબ ધીમે ધીમે મમળાવવા લાયક…

Comments (8)

ધારણા તૂટી પડી – સંજુ વાળા

સ્વપ્ન સોનેરી થવાની ધારણા તૂટી પડી
આંખ ખૂલી ગઈ તો છાની ધારણા તૂટી પડી

આપની હે સ્વપ્નજ્ઞાની ધારણા તૂટી પડી
માંગતા મળતી મઝાની ધારણા તૂટી પડી

આભ ગોરંભે ચડયું, સંકેત સૌ ડૂબી ગયા
‘ને ઉપરથી ખારવાની ધારણા તૂટી પડી

જોઈ લો, સંજોગ કેવા મૂડ બદલે છે નવા
મન હતું પણ માળવાની ધારણા તૂટી પડી

જીવતા માણસને જ્યાં ફોડાય છે શ્રીફળ ગણી
એ વધુ કઈ કરશે હાની ? ધારણા તૂટી પડી

શહેરી બત્તીઓનું ટોળું તેજના દરબારમાં
જઈ પહોંચ્યું તો દીવાની ધારણા તૂટી પડી

તથ્યની પડખે ઉછરતી વાયકા ચર્ચામાં છે
ત્યારથી સૌ સત્યતાની ધારણા તૂટી પડી

– સંજુ વાળા

અનુમાન બાંધવા એ મનુષ્યમાત્રનો સ્વભાવ છે અને અનુમાન પ્રમાણે જિંદગી વળાંક ન લે તો હતાશ થવું એય આપણો સ્વ-ભાવ છે. આપણા અખ્તિયારમાં હોય કે ન હોય, આપણે દરેક ચીજ માટે ધારણા તો બાંધી જ લેતા હોઈએ છીએ. કવિ આજ વાતને કેન્દ્રમાં રાખીને ભ્રમનિરસનની મજાની ગઝલ લઈ આવ્યા છે… અહીં ભલભલી ધારણા તૂટી પડતી નજરે ચડશે પણ સારી ગઝલ મળવાની ધારણા છેલ્લા શેર સુધી અડીખમ રહે છે…

Comments (3)

જાણ્યું એવું જડ્યું નહિ કંઈ – સંજુ વાળા

જાણ્યું એવું જડ્યું નહિ કંઈ,
બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહિ કંઈ.

વનમાં ઝાઝા વાંસ વાયરા શિષ ધુણાવી વાતા,
લળકઢળક સૌ ડાળ ઘાસને ચડે હિલોળા રાતા,
બધું બરાબર કિન્તુ સ્વરમાં ચડ્યું નહિ કંઈ,
બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહિ કંઈ…

શુષ્ક સરોવર, સાંજ નહિ કોઈ ગલ-હંસો રઢિયાળા,
રડવાનું એક સુખ લેવા ત્યાં, પહોંચ્યા સંજુ વાળા,
આંખ, હૃદયને કર જોડ્યા પણ રડ્યું નહિ કંઈ,
બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહિ કંઈ…

જાણ્યું એવું જડ્યું નહિ કંઈ,
બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહિ કંઈ…

–સંજુ વાળા

શું ન જડ્યું ? – સંબંધમાં ઉષ્મા ન જડવાની વાત છે ? કે પછી અગોચરની શોધમાં મરાયેલા વ્યર્થ ફાંફાની વાત છે ? ડહાપણ [ wisdom ] શોધતા માનવીની જ્ઞાનના આડબીડ જંગલે અટવાઈ પડવાની વાત છે ?

Comments (6)

નરાતાળ વા’-ના – સંજુ વાળા

કહ્યું કોઈનું એ નથી માનવાના
ચણે જેઓ કિલ્લા નરાતાળ વા’ -ના

પ્રગટવું હશે તેઓ પ્રગટી જવાના
ભલે સામે છેડે મથે લાખ વાના

ઊડી ગઈ જો કોયલ તો છોને ઊડી ગઈ
ઘણા અન્ય મિત્રો હશે ઝાડવાના

સપાટી ઉપર જેનું અંજળ હો આવ્યું
ઝરણમાં ડૂબી એ તરણ ઝાલવાના

હજુ કાં વીતકને કચકડે મઢે છે ?
હજુ યત્ન બાકી છે ઉગારવાના ?

ભવોભવનું ભાથું સ્મરણ એક-બે છે
અને એક – બે રંગ ઉમેરવાના

કર્યા સ્હેજ કવિતા સમજવાના યત્નો
દિવસ એટલા બસ મળ્યા જીવવાના

– સંજુ વાળા

હવામાં કિલ્લા ચણનાર શેખચલ્લીઓની પોતાની જ દુનિયા હોય છે. એને કશું કહી શકાય નહીં. અખો યાદ આવે:

સસાશીંગનું વહાણ જ કર્યું, મૃગતૃષ્ણામાં જઈને તર્યું;
વંધ્યાસુત બે વા’ણે ચઢ્યા, ખપુષ્પ વસાણાં ભર્યાં;
જેવી શેખસલીની ચાલી કથા, અખા હમણાં ને આગળ એવા હતા.

આમ તો આખી જ ગઝલ મનનીય થઈ છે પણ આખરી શેર એક કવિની સાચી આત્મકથા છે.

Comments (3)

તમને એમાં વાંધો છે કંઈ ? – સંજુ વાળા

અંદર અંદર સળવળતી એક ઘટનાથી શરૂઆત કરું તો તમને એમાં વાંધો છે કંઈ?
ઠરી ગયેલી ફૂંક ફરી પેટાવી ઝંઝાવાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?

આજે સ્હેજ છાતીની અંદર શું દુ:ખે છે એને જાણી લેવાનું મન થઈ આવ્યું છે
એ કારણસર છાતી ઉપર થોડો ચંચુપાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?

સમય નામના ડસ્ટરથી ભૂંસાઈ જવાના ડરની મારી છાને ખૂણે જઈ બેઠી જે –
એવી બિલકુલ અંગત કોઈ વાત અહીં સાક્ષાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ?

જ્યારે પણ ઉપસી આવે છે લમણાંની કોઈ નસ તો એનો સ્પર્શ હંમેશા હોય છે હાજર
વ્હાલપની એ મૂર્તિ માટે જીવની હું બિછાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ?

જાણું છું કે આપ તો સાંગોપાંગ રસિક છો હે શ્રોતાજન ! નમન આપની રસવૃત્તિને –
કિન્તુ હું પણ આંસુની છાલકથી ઉલ્કાપાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?

પાણીના એક ટીપાનો વિસ્તાર કરે જે સહસા એને જડશે પાણીદાર રહસ્યો
એવું કોઈ એક ટીપું લઈને એના સમદર સાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?

કબીર નરસિંહ મીરાં નામે ખળખળતી એક નદી આપની અંદર વ્હેતી મેં ભાળી છે
સ્હેજ આપની પડખે બેસી હું ય જાત રળિયાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?

– સંજુ વાળા

એક તો ગઝલ લાંબી બહેરની ને રદીફ પણ લાંબી એટલે ગઝલમાં કવિતાના નામે વૃથા પ્રલાપ અને ભરતીના શબ્દોની ભરમાર થઈ જવાની સંભાવના પૂરેપૂરી પણ સંજુ વાળા સજાગ કવિ છે. શબ્દ સાથેની એમની નિસ્બત ભક્તની ભગવાન સાથે હોય એવી સંપૂર્ણ છે. ખૂબ આરામથી ખોલવા જેવી ગઝલ.

Comments (14)

(જો) – સંજુ વાળા

નદીનું નામ લઈ જળજોગ જાણી જો,
સપરમી પળ મળી છે તો પ્રમાણી જો.

સમય તું સાચવે, પાળે વચન કિન્તુ
થવાની હોય ત્યાંથી પણ કમાણી જો.

પ્રથમ ચશ્માંના લેન્સિસ સાફ કર બંધુ,
પછીથી ગંધ જો, ને રાતરાણી જો.

અહીં છે ઊગવું, આથમવું સઘળું એક,
સમય શું ચીજ છે એ પણ પિછાણી જો.

ૠતુઓનો કશોએ અર્થ ક્યાં સરતો?
નથી થાતી અવસ્થાની ઉજાણી જો.

ઘણુંએ આપમેળે લયમાં આવી જાય,
પ્રમાણી હોય રસભર આર્દ્રવાણી જો.

જરા ખંખેરી નાખું ખેસથી ખેપટ,
પછી તું ભાત, રંગો, પોત, પાણી જો.

બચે તો માત્ર એક જ શબ્દ બચવાનો,
બધુંયે થઈ જવાનું ધૂળધાણી જો.

– સંજુ વાળા

સંજુ વાળાની રચનાઓ મહેરામણ જેવી છે. જેટલા ઊંડા ઉતરો એટલી મોતી હાથ આવવાની શક્યતા વધી જાય.

Comments (4)

પ્રપંચનો પહાડ – સંજુ વાળા

પ્રપંચનો પહાડ પાર થાય તો પ્રગટ કરું,
ઝીણું અમસ્તું રેતકણ હું કોની સામે વટ કરું?

ન રાખું કૈં જ ગુપ્ત, ન કશીય ચોખવટ કરું,
રહસ્ય એ જ ઘેન હો તો ઘૂંટી- ઘૂંટી ઘટ કરું.

બહુ જ ગોળ ગોળ લાંબુલચ ક્થ્યા કરે છે તું
કરું હું સાવ અરધી વાત, કિન્તુ ચોખ્ખીચટ કરું.

લે, ચાલ સાથે ચાલીએ મુકામ શોધીએ નવા,
નિભાવ સાથ તું, તો તારા સાથનું શકટ કરું.

અમેય થોડા ભીતરે અજંપ ધરબી રાખ્યા છે-
ચડ્યો છે કાટ કેવો જોઉં, કે ઉલટપુલટ કરું ?

હું એ જ કારણે રહું સ્મરણની હદથી દૂર..દૂર..
છે ઠંડી ઠંડી આગ એ, વધારે શું નિકટ કરું ?

છે ભાવમય, તું શબ્દની સપાટીએ ના સાંપડે,
હો પથ્થરોનું શિલ્પ તો હું શું કરું ? કપટ કરું ?

– સંજુ વાળા

આ શાયર સતત સફર કરતા રહે છે, તેઓને સતત પ્રશ્નો પીડતા રહે છે. જેને પ્રશ્ન થાય તે જ જવાબ શોધે. જવાબ ન મળે અને અજંપો મળે એવું ઘણીવાર બને. એ અજંપામાંથી ગઝલ બને…..

Comments (9)

ભીતરથી ભાવમય – સંજુ વાળા

ભવરણ તરી જે જાય તે ભીતરથી ભાવમય
બસ દૂરથી નિહાળી રહે નિજનો ક્ષય વિલય

જે ઓળખી જશે તે સદાકાળ હો અજય
રમવું દે સાથ તો રમે વક્તા અને વિષય

ભ્રમણા નથી રહી કે નથી ભાન પણ રહ્યું
કચડાય રોજ પગ તળે નિયતિ,નવા નિશ્ચય

દેખાઉં હેમખેમ એ બાહિક સ્વભાવ છે
અંદર ઉઠી રહ્યા છે કૈં આંસુભીના પ્રલય

સિગ્નલ ખુલ્યું હો એમ ખૂલે છે ભવિષ્ય પણ
ત્યારે જ આંબી જાય છે પૂરૂં થયેલ વય

ટ્રાફિકમાં ગૂંચવાય ગયો હે મહારથી !
સક્ષમ છે પાર કરવા તું વર્તુળ ‘ને વલય

દુર્ભાગ્ય આપણા કે સ્વીકારી શક્યા નહીં
નહિતર તો હાથવેંતમાં કાયમ રહે છે જય

– સંજુ વાળા

પ્રત્યેક શેરમાં ઊંડાણ છે – માત્ર એક ઉદાહરણ જોઈએ – ત્રીજો શેર – પ્રત્યેક વ્યક્તિ ઘણાબધા ‘હું – I ‘ નો બનેલો હોય છે. વ્યવહારમાં જ્યારે આપણે આપણી જાત માટે ‘ હું ‘ પ્રયોજતા હોઈએ છીએ ત્યારે તે એક ભ્રમણા હોય છે કે આપણે એક unified વ્યક્તિ છીએ. આપણી અંદર અસંખ્ય ભિન્ન ‘હું’ વસે છે અને સમયે સમયે વિભિન્ન ‘હું’ સપાટી ઉપર આવતા હોય છે. આ સંદર્ભ સાથે આ શેરનો આસ્વાદ કરવા વિનંતી….

Comments (1)

આપણી આ વાર્તા – સંજુ વાળા

આપણી આ વારતાને આદી ના અંત
સંકેલો તેમથી કે આમથી ઉકેલો
પણ લંબાતા એકએક તંત

બે બત્તા બે નો જો સરવાળો પાંચ
પાંચ સાચા કે સાચું ગણિત
એવું કોઇ પૂછે તો થઇ જાતા
આપણામાં બેઠેલા ઇશ્વર ભયભીત

કોઇ સાવ ઘગઘગતો લાવા કહેવાય
તો કોઇ નર્યા હોય શકે સંત

જાહેર પોતાનો પડછાયો પાડવાની
ફરમાવી સખ્ખત મનાઈ
એટલે તો સૂરજને છત્રીમાં છાવરીને
વિહરવા ને નીકળે છે સાંઈ

છત્રી તો એવું આકાશ જેના આ સળમાંથી
યાતનાઓ ખૂલે અનંત

આપણી આ વારતાને આદી ના અંત
સંકેલો તેમથી કે આમથી ઉકેલો
પણ લંબાતા એકએક તંત

-સંજુ વાળા

અસ્તિત્વની વાત છે. મર્યાદિત ઇન્દ્રિયજ્ઞાન દ્વારા ઇન્દ્રિયાતીતને સમજવાની મથામણ કરતા પામર જીવની વાત છે….છત્રી સૂર્યના પ્રખર તાપથી કદાચ બચાવે છે પરંતુ તે સત્ય [ સૂર્ય ] અને વ્યક્તિ વચ્ચે એક આડશ ઊભી કરી દે છે જેમાંથી પારાવાર યાતના જન્મે છે. ઈશ્વરની એક માનવસર્જિત પરિકલ્પના સાથે જયારે વ્યવહારિક જીવનના અવલોકનોનો તાળો ન મળે ત્યારે તે પરિકલ્પના ભયભીત થઇ ઉઠે છે અને પારાવાર મૂંઝવણો-દ્વંદ્વો ઉદ્ભવે છે.

Comments (9)

સખીરી – સંજુ વાળા

સખીરી, કેમ ઉકેલું લિપિ જળની
તરંગ લિસોટે પડી છાપ તો
ઘટના પળ બે પળની
સખીરી, કેમ ઉકેલું લિપિ જળની

પરપોટાનું પોત : પવનનાં પગલાં
તરતાં નર્યા સપાટી ઉપર જી.. રે
સ્પર્શે ઊગે – સ્પર્શે ડૂબે
નહીં રે તળને લેણદેણ કે જાણ લગીરે
પરગટ પારાવાર – ને નીંભર
ટેવ પડી ટળવળની
સખીરી, કેમ ઉકેલું લિપિ જળની

સુસવાટાનો નાદ સાંભળી, ખળખળતું
એકાન્ત ટકોરા મારે લીલા
જળરાશિનું નામ હવેથી પ્રગટ રહીને
કહેવાશે અટકળિયા ચીલા
ભાવગત આ અક્ષરિયત – ને
છળમય ભાષા તળની
સખીરી, કેમ ઉકેલું લિપિ જળની

[નીંભર – મૂંઝાઈ ગયેલું, મૂઢ ]

– સંજુ વાળા

ઊંડી વાત છે. કવિની શબ્દગૂંથણી તો અદભૂત છે જ, પરંતુ પ્રત્યેક શબ્દ કાવ્યને આગળ ધપાવે છે અને અનિવાર્ય છે. ખૂબ ટૂંકમાં કહું તો નિત્ય-અનિત્યના ભેદની વાત છે. realisation ની તક અત્યંત અલ્પજીવી – વીજળીના ઝબકારા જેવી હોય છે. જળ પર પડતી ભાતની તળને કશી તમા નથી. જળ ઉપર થતી તમામ પ્રવૃત્તિ અનિત્ય છે. અક્ષરજ્ઞાન કામનું નથી, ગેબી સંકેત છળમય છે અને તેને ઉકેલવાનું ગજું નથી…..કશું સમજાતું નથી….

Comments (3)

સમજી જા – સંજુ વાળા

તક નિરાળી મળી છે સમજી જા
રમ્ય ક્ષણ સાંપડી છે સમજી જા

વૃત્તિ તો વાંઝણી છે સમજી જા
પીડ એની જણી છે સમજી જા

સૌ ચળકતાં ચટા-પટા, ટપકાં
ક્ષણજીવી કાંચળી છે સમજી જા

સ્ફોટ શું એ તને ખબર ક્યાં છે ?
જાત દીવાસળી છે સમજી જા

શક્ય છે પળમાં થંભી જાય હવે
તર્ક તો વા-ઝડી છે સમજી જા

તારા નખ પર છે ડાઘ એના હજુ
લાગણી કોઈ ખણી છે સમજી જા

માત્ર મુઠ્ઠી જુવારના માલિક !
એની તો વાવણી છે સમજી જા.

– સંજુ વાળા

ભાવક પાસે ઉચ્ચ કક્ષાની સજ્જતાની વણકથી ‘ડિમાન્ડ’ કરતા સંજુ વાળા પાસેથી પ્રથમ પ્રયાસે ઉઘડી જાય એવી રચના મળે એ ફેબ્રુઆરીના ઓગણત્રીસમા દિવસ જેવી ઘટના છે. પણ આ સંજુ વાળાની રચના છે. સરળ અને સહજ લાગતા શેરમાં પણ ઊંડે ઊતરી શોધશો તો છીપમાંના મોતી જેવો ખજાનો જડશે એની ગેરંટી.

Comments (9)

(અવળી ચાલ, અજાયબ કેડા) – સંજુ વાળા

અવળી ચાલ, અજાયબ કેડા
એક જ ડગલે માપી લીધા ત્રણે કાળના છેડા.

ભાતભાતનાં ભાવભોજથી તસતસતાં તરભાણાં,
અબૂધની આગળ મૂકેલાં અઘરાં કોઈ ઉખાણાં;
ચાખે એ સહુ નાચે લઈને માથે નવ નવ બેડાં,
અવળી ચાલ, અજાયબ કેડા.

ધખધખતી એક ધૂન ચડાવી લખીએ લખ સન્દેસા.
પગ થઈ જાતા પવનપાવડી, હાથ બન્યા હલ્લેસાં;
મીટ-અમીટે એ જગ જોવા, વિણ વાયક વિણ તેડાં,
અવળી ચાલ, અજાયબ કેડા.

– સંજુ વાળા

જમાનો એનો છે જે પોતાની રાહ પોતે કંડારે છે. બીજાની ચાલ કે બીજાએ ચાતરેલી કેડી નહીં પણ જરા અવળું કરી શકો તો ભૂત, વર્તમાન ને ભવિષ્ય – બધું જ તમારું છે. પંક્તિ-દર પંક્તિમાં છવાયેલો વર્ણાનુપ્રાસ (alliteration) કવિતાના નિર્મિત સંગીતની ભીતર એક બીજું સંગીત ઉમેરે છે, જાણે કે શરણાઈની પછીતે ઝાંઝરી !

Comments (9)

ના તરછોડો – સંજુ વાળા

અધવચ ના તરછોડો
કોઈ કંઠનો હાર બનીને છોને મ્હાલે
.                 અમે રહીશું થઈને પગનો તોડો.
.                         જી…અધવચ ના તરછોડો

છોને ખૂણે પાળી-પોષી અમે ઉછેર્યું મબલખ,
એ મબલખની માથે ઊગ્યાં અણધાર્યાં આ દઃખ.
કેમ છોડીએ વાળે વાળે વાત પરોવી
.                    કચકચાવી બાંધ્યો જે અંબોડો !
.                         રે…અધવચ ના તરછોડો !

હજુ લોહીમાં રણઝણ થાતાં હાથ મળ્યાનાં કંપન,
એ કંપનના શરમશેરડા થયા આંખનું અંજન
ભરી તાંસળી દો છુટકારો એ જ હાથથી
.                      વહાલું, એ હાથે જો ડોક મરોડો.
.                         પણ…અધવચ ના તરછોડો !

– સંજુ વાળા

મીરાંબાઈ કૃષ્ણભક્તિનું કોઈ પદ લખે એ આરતથી સંજુ વાળા પ્રણયગીત આલેખે છે. ભલે પગનો તોડો બનાવીને રાખો, ભલે કોઈ બીજું ગળાનો હાર બની જાય પણ અમને અધવચ્ચેથી તરછોડશો નહીં. એક-એક વાળમાં પરોવેલી વાત અને જાતનું કલ્પન તથા આ પાર યા ઓ પારની ધંખા કવિતાને વધુ આસ્વાદ્ય બનાવે છે.

 

Comments (8)

વરતારો – સંજુ વાળા

કૈં તો દ્યો વરતારો
વાત વાતમાં વળ ચડાવ્યે કેમ આવશે આરો ?

તમે નરી મસ્તીમાં અમને ક્યાંય પડે ના ચેન,
એવાં તે ક્યાં કારણ જેનાં ઘમ્મર ચડતાં ઘેન,
જેવું અમેય ધારી બેઠા, એવું તમેય ધારો !
કૈં તો દ્યો વરતારો

હરીફરીને એક જ રટણા સરખી રોજ વિમાસણ,
એક નામની આંટી વાળી પાડ્યું જીભે આંટણ.
કાં સહુ હા-માં હા કહી દો, કાં સામે પડકારો !
કૈં તો દ્યો વરતારો

કોઈ પાતળી એંધાણી કે ચીંધો નક્કર ખૂબી,
નહીંતર ભોળી આંખો જાશે ભવાટવિમાં ડૂબી.
છેવટ, અમથી હૈયાધારણ દઈને તો પસવારો !
કૈં તો દ્યો વરતારો

– સંજુ વાળા

તડ ને ફડ… બસ, કવિને આ જ અભિપ્રેત છે. કોઈ સીધો ઇશારો જ ન કરો ને દરેક વાતે વળ જ ચડાવતા રહો તો આરો કેમનો આવે? ડર એ છે કે પ્રિયપાત્ર નાનો-મોટો, કોઈ પણ પ્રકારનો વરતારો ન આપે તો સંસારની સમસ્યાઓમાં કઈ ઘડીએ ડૂબી જવાય એ નક્કી નથી…

Comments (4)

મૂકી – સંજુ વાળા

સોળવલ્લી ચૂપકીદીની અમસ્તી આણ મૂકી
હોઠ ઉપર આસમાની રંગની રસલ્હાણ મૂકી

અબઘડી એ નિસર્યા આવાગમનની જાણ મૂકી
ખૂશ્બૂઓ રમણે ચડી હો એવું કચ્ચરઘાણ મૂકી

છો હીરા-માણેકનું હો, કિન્તુ યે બાજાર હૈ ના ?
મૂલ્ય અંકાતા અહીં સૌ સામે પલ્લે પહાણ મૂકી

કૈં યુગોથી આ તુસાદી અશ્વ હણહણતા નથી, ને-
કૈં યુગોથી વિનવું છું નિત નવા જોગાણ મૂકી

તેં તગઝ્ઝુલમાં જરા પરફ્યુમની મસ્તી ઉડાડી
તો તરન્નુમમાં અમે લોબાન જેવી ઘ્રાણ મૂકી

એવું તે શું વૃક્ષના આ છાંયડાઓ પાથરે છે ?
કેમ ખેંચે છે મને બેસી જવા પરિત્રાણ મૂકી ?

જલપરીઓની કથા જેવાં હતાં જે ભાવવિશ્વો-
એમાં ઉમેરણ કર્યું લ્યો ! વ્યાપ ‘ને ઊંડાણ મૂકી

ચંદ્રનું સત ઓગળ્યું, જળ ચાંદી ચાંદી થઈ ઊઠ્યાં, તો-
મેં ય મરજીવાઓ પાછળ જંપલાવ્યું વહાણ મૂકી

[ જોગાણ – ઘોડા, બળદ વગેરેને ખાવા આપવાનું અનાજ; ચંદી. ]

-સંજુ વાળા

નાવીન્યપૂર્ણ ગઝલ……

Comments (6)

સાધુ છે સાહેબ… – સંજુ વાળા

તમસ ને તેજ તો સિક્કાની બેઉ બાજુ છે સાહેબ,
સમજ હો એવી એ જન આશિખાનખ સાધુ છે સાહેબ.

ખરેખર વ્યક્ત થાવું એ જ તો અજવાળું છે સાહેબ,
મઝા પડવી ના પડવી તો રૂપાળા જાદુ છે સાહેબ.

દિશાઓ ચારે ખુલ્લી હો અને નભ કોરુંકટ્ટ તો પણ –
હૃદયરસના છલકવાની ઋતુ : ચોમાસું છે સાહેબ.

જુદા સંજોગવશ ના આપણે આવી શક્યા નજદીક
વસો છો આપ જ્યાં એ મારું પણ ઠેકાણું છે સાહેબ.

સવા ગજ ઊંચું ચાલે છે તો એમાં શું અચંબો છે ?
કવિના શબ્દના પરમાણવાળું ગાડું છે સાહેબ.

– સંજુ વાળા

આપણે તો, સાહેબ, આ આશિખાનખ શબ્દ પર જ ઓળઘોળ થઈ ગયા. કેવો મજાનો શબ્દ કવિએ ‘કૉઇન’ કર્યો છે ! આપણે ‘આકંઠ’ કહીએ છીએ એ રીતે માથાની ચોટલી (શિખા)થી લઈને નખ સુધી- ‘આશિખાનખ’ શબ્દ કવિ લઈને આવે છે ત્યારે ગઝલમાં આગળ જવાનું મન જ થતું નથી…

કયા શેર પર આંગળી મૂકવી અને કયા પર નહીં એ પ્રશ્ન થાય એવી ગઝલ. પણ હું ફક્ત યુધિષ્ઠિરનો સંદર્ભ ઇંગિત કરતા આખરી શેર પર જ અટકીશ. ધર્મરાજ સત્યનિષ્ઠ યુધિષ્ઠિરનો રથ. કહે છે કે જમીનથી ચાર આંગળા અદ્ધર ચાલતો હતો.. પણ સાહેબ… કવિના શબ્દથી પ્રમાણિત થયેલા ગાડાંનો કમાલ તો જુઓ… એ તો સવા ગજ ઊંચું ચાલે છે.. યે બાત !!

Comments (10)

કવિ (ગઝલ ત્રિપદી) – સંજુ વાળા

ધરબી શકે જો પાછો
બંદૂકમાં ભડાકો
ત્યારે કવિ તું પાકો

વીંધે, પરોવે, પ્હેરે
નિઃશબ્દનો ઇલાકો
ત્યારે કવિ તું પાકો

નેવાંનાં પાણી મોભે
વાળીને પાડે હાંકો
ત્યારે કવિ તું પાકો

હો ફાટ્યું થાકી, હારી
એ વસ્ત્રને લે ટાંકો
ત્યારે કવિ તું પાકો

ઉઝેરવા હો ઉત્સુક
નિત દૂઝતો સબાકો
ત્યારે કવિ તું પાકો

તરકીબ ને તરીકા
છાંડી જમાવે છાકો
ત્યારે કવિ તું પાકો

– સંજુ વાળા

જેમ મનુષ્ય પોતાના અસ્તિત્વનો એમ કવિ પોતાના કવિપણાનો તાગ સતત લેતો આવ્યો છે. કવિમિત્ર સંજુ વાળા ગઝલ ત્રિપદીના સ્વરૂપમાં અહીં પાકા કવિના લક્ષણ તાગવાની મથામણ કરે છે…

Comments (8)

પતંગિયાંઓ સળવળે – સંજુ વાળા

કોઈ બોલે છે ને કોઈ સાંભળે છે
તે છતાં ક્યાં કોઈને કોઈ મળે છે

છેક મનનાં મૂળમાં જે ઓગળે છે
એજ કૂંપળ જેમ ફૂટી નીકળે છે

સુખનું સામ્રાજ્ય ચાલે પાંસળીમાં
ને પીડાઓ આંગળીથી ઊખળે છે

આમ તો બુઝુર્ગ છે આ શખ્શિયત પણ-
લોહીમાં તો પતંગિયાંઓ સળવળે છે

સ્થિર થઈ બેઠા છે એ આજે પરંતુ
ચોતરફ એના જ દીવા ઝળહળે છે

ઓથમાં છુપાઈ રહ્યાં છે તણખલાંની
આખ્ખુયે બ્રહ્માંડ જેના પગ તળે છે.

-સંજુ વાળા

Comments (6)

ડહાપણ દાખો – સંજુ વાળા

રહીએ, જેમ તમે જી ! રાખો !
કાં અબોલા અમથી આવા, કૈ તો ડહાપણ દાખો !

વરત – આખડી સૌ મૂકી દઉં, ના કોઈ પૂજું દેવ
પૂછી બીડું પલક, ખીંટીએ ટાંગુ સઘળી ટેવ
ત્યાં જ ઉડીએ , જ્યાં ઉડાડે તમે દીધેલી પાંખો !
રહીએ, જેમ તમે જી ! રાખો !

મેં ક્યાં માંગ્યું ? સોને-રૂપે માંઝી દો મનસૂબા
ઝળઝળિયાં દો, તો પણ મારે રતન-છલોછલ કૂબા
ધૂળધફોયા ખોળે જરાંક, અમી નઝર તો નાખો !
રહીએ, જેમ તમે જી ! રાખો !

– સંજુ વાળા

આ ગીત તો જુઓ… ગીત છે કે સૉનેટ? સૉનેટમાં જેમ કાવ્યાંતે ચોટ આવે એમ કવિએ અહીં છેલ્લી લીટીમાં કમાલ કારીગરી કરી છે.  આખા ગીતમાં એમ જ લાગે કે અબોલા લઈ બેસનાર પ્રિયતમને મનાવવા નાયિકા અછોવાનાં કરી રહી છે.. વ્રત-પૂજા-આખડી, બધી જાતની ટેવ-કુટેવ બધું જ છોડી દેવા તૈયાર છે, એના જ આપેલા આકાશમાં માપસરનું ઊડવા તૈયાર છે… આંખમાં સહવાસના ઝળઝળિયા આપે તોય જેને સોના-રૂપાથી વિશેષ લાગે છે એ નાયિકા પત્ની છે અને પ્રિયતમ પતિ છે એ વાત તો સા…વ છેલ્લી કડીમાં ખાલી ખોળાને પૂરવા માટે પગલીનો પાડનાર માંગવાની વાત આવે છે ત્યારે છતી થાય છે… છે ને સૉનેટની મજા!!

Comments (11)

ઊગેલી પાંખને – સંજુ વાળા

સાવ સામે આવી ઊભાં હો અને…
શક્ય છે હું ઓળખું ના આપને !

સાંભરણ, સંબંધના ઊંડાણને
તાગતાં અડકી જવાતું આભને !

કેટલા પાછળ લિસોટા પાડવા ?
એની ક્યાં કંઈ પણ ખબર છે સાપને !

ખૂલ્લું છે આકાશ, પણ મન બંધ છે –
કેમ ફફડાવું ઊગેલી પાંખને ?

પ્હોંચવું, પામી જવું, તરછોડવું
એ જ ઘટનાક્રમ મળ્યો તમને- મને !

જે કહું એ જ પાછું સાંભળું
સાંભળ્યું જે, એ જ કહેવાનું બને !

છાંયે બેસે એની છાયા ઓગળે
તડકે ચાલે એ ગુમાવે ઝાડને !

– સંજુ વાળા

સંજુ વાળા એ આજની ગુજરાતી કવિતાનો અલાયદો અવાજ છે. એમની રચનાઓ રુઢગતિથી નથી ચાલતી. એ ન ખેડાયેલી કેડી પર પોતીકા ચીલા ચાતરે છે એના કારણે ક્યારેક એ દુઃસાધ્ય પણ અનુભવાય છે. પણ એમની આ ગઝલ જુઓ. એક-એક શેર ખૂબ હળવેથી ખોલી જુઓ અને જુઓ કે તમારી આંખ
સાનંદાશ્ચર્યથી પહોળી થઈ જાય છે કે નહીં ! કેટલાક શેર તરત પ્રત્યાયિત થાય છે તો કેટલાક ambiguous જણાય છે.

Comments (19)

ક્યાંથી લાવીએ ? – સંજુ વાળા

તાપસને તપનું હોય એવું ભાન ક્યાંથી લાવીએ ?
અથવા તો સહૃદયીના જેવી તાન ક્યાંથી લાવીએ ?

ભીતરથી આરંભાઈ ‘ને પહોંચાડે પાછાં ભીતરે,
અનહદ અલૌકિક આગવું પ્રસ્થાન ક્યાંથી લાવીએ ?

પોતે જ આવીએ, ને પોતે આવકારીએ વળી-
હરરોજ ઘરના ઉંબરે મહેમાન ક્યાંથી લાવીએ ?

સંવેદનાઓ સઘળી થઈ ગઈ છે ઠરીને ઠીકરું,
ત્સુનામી જેવું લોહીમાં તોફાન ક્યાંથી લાવીએ ?

ના, કોઈ પણ રંગો મને એની પ્રતીતિ દઈ શક્યા,
એ મુખડું રમણીય ભીનેવાન ક્યાંથી લાવીએ ?

ખીલા તો શું એકેય સાચું વેણ સહેવાતું નથી,
સમતા જ આભૂષણ બને એ કાન ક્યાંથી લાવીએ ?

પરભાતિયાં તો આપણે પણ આજ લગ ગાયાં કર્યાં,
કિન્તુ એ નમણાં નામનું સંધાન ક્યાંથી લાવીએ ?

-સંજુ વાળા

Comments (11)

વાતમાં ને – સંજુ વાળા

વાતમાં ને વાતના વળાંક પર
અણધાર્યા ઊખળતા આવે કાંઈ….
એક એક સણસણતી ઘટનાના થર
વાતમાં ને વાતના વળાંક પર….

ફૂગ્ગો ફૂટે તો એમ લાગતું કે આરપાર
ફૂટ્યો પ્રચંડ કોઈ તર્ક,
ઝીલ્યો ઝિલાય નહીં સ્હેજ પણ ખોબામાં
પથ્થરને પીડાનો ફર્ક ;
છાતીમાં સંઘરેલા સૂરજને સળગાવીને
કરવાનું હોય શું સરભર ?
વાતમાં ને વાતના વળાંક પર…

મનને વાગેલ ઠેશ ધરબી દઈ ભીતરમાં
ઉપરથી રહેવાનું રાજી,
પાળી-પંપાળીને જીવ જેવી ક્ષણ બધી
રાખવાની છેક સુધી તાજી,
ઓગળી ના જાય એમ આછા અણસારાને
ઉછેરું અંદરને અંદર !
વાતમાં ને વાતના વળાંક પર….

-સંજુ વાળા

અત્યંત નાજુકાઈથી તીવ્ર વેદનાની વાત થઇ છે આ કાવ્યમાં. ખૂબ જ બારીકીથી આ કાવ્યને ગૂંથવામાં આવ્યું છે. કોમળ શબ્દો દ્વારા ચોકસાઈપૂર્વકના શરસંધાન કરાયા છે…

Comments (11)

જળઘાત -સંજુ વાળા

પાણીને પરસેવો અથવા જળને આવ્યાં
ઝળઝળિયાંની ખબર પડે શી રીતે ?
તાણ ઘૂમરી તરફડિયાં તલસાટ તૂટામણ
ચગડોળાતું શું શું એના ચિત્તે ?

પડે કાંકરી ધ્રુસાંગ, પડઘે ગિરિ કંદરા ગાજે
લયવલયમાં જળઝાંઝરિયાં ઝીણું ઝીણું લાજે
સમથળ માથાબૂડ ભર્યા ભરપૂર ઓરડે
જળ રઘવાયું પટકે શિર પછીતે
તાણ ઘૂમરી તરફડિયાં તલસાટ તૂટામણ
ચગડોળાતું શું શું એના ચિત્તે?

જળમાથે ઝૂકેલી ડાળી લળે; જળ છળે ફરી…
એક થવાને ઝૂઝે શાપિત યક્ષ અને જળપરી
જળઘાત લઈ જન્મેલું જળ, પળી પાવળે
વહેંચાઈ, વેચાય નજીવાં વિત્તે
તાણ ઘૂમરી તરફડિયાં તલસાટ તૂટામણ
ચગડોળાતું શું શું એના ચિત્તે?

– સંજુ વાળા

જળની કવિતા તમે હાથમાં લો અને તમારી આંખ-કાન-મન સામે જળનો ખળખળાટ ખળખળાટ ખળખળાટ કરી દે એ કવિ સાચો… આ ગીત વાંચીએ… જળનો ઘુઘવાટ નજરે પણ ચડે છે, કાને પણ સંભળાય છે અને ભીંજાતા હોવાની સાહજિક અનુભૂતિ પણ થાય છે…

તાણ ઘૂમરી તરફડિયાં તલસાટ તૂટામણ ચગડોળાતું – એક શ્વાસે વાંચી જુઓ તો…
ડાળી લળે જળ છળે જળપરી જળઘાત જળ પળી પાવળે – જળનો ‘ળ’ સંભળાયો?

ઇન્દ્રિયોને અડી શકે એ કવિતા…

Comments (12)

રંગીન માછલી છે – સંજુ વાળા

ઝાંખા ઉજાસ વચ્ચે તેં જે કથા કહી છે,
સાંભળજે કાન દઈને એની જ આ કડી છે.

પળને બનાવે પથ્થર, પથ્થરને પારદર્શક,
તાકી રહી છે કોને, આ કોની આંગળી છે.

કાજળ બનીને આવો કે જળ બની પધારો,
પાંપણથી નમણી બીજી ક્યાં કોઈ પાલખી છે ?

નખ હોય તો કપાવું દ:ખ હોય તો નિવારું,
ભીતરને ભેદતી આ મારી જ પાંસળી છે.

ઈચ્છાના કાચઘરમાં એ કેદ થાય અંતે :
માણસનું નામ બીજું રંગીન માછલી છે.

– સંજુ વાળા

જોડાયેલા ભૂતકાળની વાતથી ગઝલ શરૂ થાય છે.  ક્ષણને પથ્થર જેવી ભારે બનાવી દે અને પથ્થરને પારદર્શક કરી દે એવી કઈ આંગળીની વાત કવિ કરે છે ? – મારા મતે તો પોતાના અંતરઆત્માના અવાજની વાત છે.  ત્રીજો શેર તો પરાણે ગમી જાય એવો નખશિખ નમણો શેર છે. ચોથો  શેર વાંચતી વખતે યાદ કરજો કે ઈવનું સર્જન આદમની પાંસળીમાંથી થયેલું.  કાચ સામાન્ય રીતે એક રંગી પ્રકાશમાંથી બધા રંગો અલગ પડે છે. એનાથી ઉલટું,  અહીં (ઈચ્છાના) કાચઘરમાં રંગીન માછલી કેદ થવાની વાત આવે છે.

Comments (22)

ભવ્ય ગઝલ ગુજરાતી – સંજુ વાળા

રૂપ – અરૂપા હે શતરૂપા ભવ્ય ગઝલ ગુજરાતી
તું જ છલકતા અમિયલ કૂપા ભવ્ય ગઝલ ગુજરાતી

તું કેદારો, તું મંજીરા, તું જ ચદરિયા ઝીની
રે ભજનોની નિત્ય અનૂપા ભવ્ય ગઝલ ગુજરાતી

બાળાશંકર, સાગર-શયદા, મરિઝ-ઘાયલ, આદિલ
મનોજ, મોદી, શ્યામ, સરૂપા ભવ્ય ગઝલ ગુજરાતી

તું ચંદા, તું સનમ, છાંદાસી તું ગીરનારી ગૂહા
સૂફીઓમાં તું સ્પંદન છૂપાં ભવ્ય ગઝલ ગુજરાતી

અર્થા, વ્યર્થા, સદ્ય સમર્થા, તું રમ્યા, તું રંભા
તું મારી ભાષામાં ભૂપા ભવ્ય ગઝલ ગુજરાતી

– સંજુ વાળા

ગઝલની આરાધના પણ ગઝલ દ્વારા જ 🙂

(અમિયલ કૂપા=અમૃતના પ્યાલા, અનૂપા=શ્રેષ્ઠ,અપૂર્વ, ભૂપા=રાજકુંવરી)

Comments (17)

કોણ ભયો સંબંધ – સંજુ વાળા

ખુલ્લી આંખે અંધ
વાતાયનમાં વ્યાપ્ત રહે પણ
ના પકડાતી ગંધ…

કાયાના કયા ખૂણે વહેતી તિલસ્માતની ધારા
રોમ રોમ દીપમાળ જલે પણ ખૂટે ના અંધારાં
કિહાઁ સાઁસ-ઉસાઁસ સમાગમ ?
કોણ ભયો સંબંધ…
ખુલ્લી આંખે અંધ…

છાતી પ્રગટ નિજ-મંદિર જેના સૌ દરવાજે તાળાં
ચાર ઘડી ચોઘડિયાં વાજે ઘડી-ઘડી ઘડિયાળા
નિસદિન નામ-નિશાન જરાજર
રચે ઋણાનુબંધ
ખુલ્લી આંખે અંધ…

– સંજુ વાળા

ઘણા લાંબા સમયથી આ કાવ્ય મેં ટાઇપ કરીને મૂકી રાખ્યું હતું. દર વખતે ટિપ્પણી લખવા જાઉં અને શબ્દો ન સૂઝે. આમને આમ કેટલાય અઠવાડિયા વીતી ગયા. આજે પણ ટિપ્પણી લખવા વિચારું છું ત્યારે શબ્દો નથી જડતા… ખુલ્લી આંખે અંધ ? ના પકડાતી ગંધ ?

Comments (12)