મે ચાહી જિંદગીને, મોતનોયે દબદબો રાખીશ,
મને મૃત્યુ સમીપે લઈ જતી હર ક્ષણનો ૠણી છું.
– સંદીપ પુજારા

અસમંજસનું ગીત – સંજુ વાળા

સ્પર્શ આંધળી આંગળીઓમાં સળવળતો થરકાટ
ઉગમણેથી…….આથમણેથી
આલ્લાંલીલ્લાં પાથરણેથી
સીમ ભરીને લાવ્યું કોઈ ઉચાટ

હાથવેંતનાં પગપગથારે લજામણીમન રમતું અડકો-દડકો
થડકારો ચૂકીને ઝીલ્યો પાંચિકાને બદલે કાચો તડકો
અહીંથી ઝાલો…તહીંથી ઝાલો
આરપાર અટકળથી ઝાલો
નવતર જાગ્યો ખરી પડે ફફડાટ
સ્પર્શ આંધળી આંગળીઓમાં સળવળતો થરકાટ

કૈ વરસે ભાળેલી પળનાં તળિયે ઊમટે મૂંઝારાનું વ્હેણ
નોધારા ચકરાવા લેતાં મનને વાગે ઠેસ, ચડાવે ફેણ
આઘા ડૂબે…ઓરા ડૂબે
ધોધમાર હેલ્લારા ડૂબે
ફીણ ફીણ થઈ ફેલે રે.. ચચરાટ
સ્પર્શ આંધળી આંગળીઓમાં સળવળતો થરકાટ.

– સંજુ વાળા

કાવ્યના શીર્ષકમાં જ કાવ્યના અર્થની ચાવી છે. જાણે કે પ્રિયજનને મનની વાત કહેવાતી નથી અથવા તો કહી દીધા પછી પ્રત્યુત્તરની પ્રતિક્ષાની ઘડી છે…….

2 Comments »

  1. chetan shukla said,

    July 11, 2018 @ 12:45 AM

    આલ્લાંલીલ્લાં ….હેલ્લારાનુ અફ્લાતુન ગીત્

  2. SARYU PARIKH said,

    July 12, 2018 @ 10:25 PM

    અનોખી ભાતનું કાવ્ય.
    સરયૂ પરીખ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment