ત્યક્તાનું ગીત – ગોપાલ ધકાણ
અઢળક દરિયા છે ચોપાસ, અમારી આંખ્યુંમાં ભીનાશ, અમે તો તોય તરસીએ
ખીલ્યો લુમ્બોઝુમ્બો ફાગ, અમારો બેસૂરો છે રાગ, અમે શું કોને કહીએ?
જડતર ઝીલે ઓઢણીયું ને પડતી પીડા માંહ્ય, જમાનો કોરી ખાશે,
ખળખળ વહેતાં ઝરણાઓને આજ નહીં તો કાલ, સમંદર દોરી જાશે,
સૌએ ચાંદે જોયો ડાઘ, અમારો એમાં છે શું વાંક, હવે શું છાતી ચીરીએ?
ખળભળ ગઢની રાંગ, અમારી એકલવાયી સાંજ, અટૂલી કેમ કપાશે?
તમરાં ભાંગે રાત, અમારી પાંપણ ઉપર ભાર સવારે વધતો જાશે,
વડછડ આઘી મેલી આજ, સાંકળ ખખડાવો ને રાજ, અમે લો તરત ખોલીએ
– ગોપાલ ધકાણ
વ્યક્તિ વ્યક્તિને ત્યાગી શકે પણ એના દિલમાંથી પોતાના માટેના સ્નેહને થોડો મિટાવી શકે? કાવ્યનાયિકાને એના પ્રિયજને ત્યાગી દીધી છે, પણ નાયિકાનું હૈયું તો હજીયે પળપ્રતિપળ એને જ ઝંખી રહ્યું છે. ફાગણ પૂરબહારમાં હોય પણ જીવતરનો રાગ બેસૂરો થઈ ગયો હોય તો કોને કહેવા જવાય? ઓઢણીમાં જડતર કરવા જતાં પીડા જ સિવાઈ જાય છે. પોતે બેકસૂર છે એ સાબિત કરવા હવે શું છાતી ચીરીને પ્રતીતિ કરાવવાની? પથ્થર જેવા પથરને પણ ફાગળમાં ખળભળનું સુખ નસીબ થાય છે, પણ નાયિકાની તો સાંજ જ પથ્થર થઈ ગઈ છે. એ એકલા એકલા કેમ કપાશેનો પ્રશ્ન ભાર બનીને પાંપણો પર તોળાઈ રહ્યો છે.

