રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા
મનોજ ખંડેરિયા

પક્ષીતીર્થ (તિરુકલુકુન્ડરમ્) – ચન્દ્રકાન્ત ટોપીવાળા

ક્યારેક ખડક જ અદશ્ય થઈ ગયો છે
ખડક જો દેખાયો છે તો
પગથિયાં અદશ્ય થઈ ગયાં છે.
પગથિયાં દેખાયાં છે તો ખડક ચઢી
શકાયો નથી.
ખડક ચઢી ગયો છું તો અધવચ
અટકી ગયો છું.
ને પાછો ઊતરી ગયો છું.

ખડક ચઢી પણ ગયો છું તો મન્દિર
જડ્યું નથી.
મન્દિર જડ્યું છે તો બપોર જડી નથી.
બપોર જડી છે તો કહેવાયું છે કે
હમણાં જ પંખી આવીને ઊડી ગયું..…
હમણાં જ…
પંખી તો અવશ્ય આવે જ છે,
પણ હું દરવખતે પંખીને ચૂકી ગયો છું.

– ચન્દ્રકાન્ત ટોપીવાળા

ચેન્નાઈ પાસે મહાબલિપુરમથી પંદરેક કિલોમીટરના અંતરે તિરુકલુકુન્ડરમ્ અથવા તિરુકાઝાકુન્ડરમ્ આવ્યું છે. ત્યાં ટેકરી પર એક શિવમંદિર છે. કહે છે કે બપોરના સમયે શાપ પામવાથી ગરુડ બની ગયેલ બે ઋષિ રોજ બપોરે પ્રસાદી લેવા ત્યાં આવતા અને પૂજારી રોજ એમને નૈવેદ્ય ધરાવતો. કલિયુગનો આરંભ થતાં જ આ પક્ષીઓ આવવું બંધ કરી દેશે એવી એક વાયકા હતી. આજે આ સ્થળે બપોરે આ દૈવી પક્ષીઓ આવતાં ન હોવાથી કલિયુગનો આરંભ થઈ ચૂક્યો હોવાનું માનવામાં આવે છે. પક્ષીતીર્થ વિશેની આટલી જાણકારી કાવ્યપ્રવેશ માટે આવશ્યક છે.

પ્રથમ દૃષ્ટિએ એમ લાગે કે કવિને પક્ષીતીર્થની ટેકરી ચડીને મંદિર પાસે આવતાં દિવ્ય પક્ષીઓનો સાક્ષાત્કાર કરવો છે, પણ મંઝિલ હંમેશ બે કદમ દૂર રહી જાય છે ને નસીબ બે ડગલાં ટૂંકું પડે છે. ખડક, પગથિયાં ને મંદિર તો જ્યાં છે ત્યાં જ હરહંમેશ રહેવાનાં છે, પણ ધુમ્મસનો પ્રતાપ હોય કે સંનિષ્ઠ પ્રયાસ અને કટિબદ્ધતાનો અભાવ હોય કે બીજું કંઈ હોય, સરવાળે ધ્યેયપ્રાપ્તિથી વંચિત જ રહી જવાય છે, હકીકતમાં પક્ષીતીર્થની આ યાત્રા બાહ્ય ઓછી અને ભીતરી વધુ છે એ સમજવાની જરૂર છે. મનવાંછિત વસ્તુઓની પ્રાપ્તિ કરવામાં નડતા અવરોધો અને વિસંગતિઓની આ વાત છે. દેખાવું-ન દેખાવું, ચડાવું-ન ચડાવું,વધવું-અટકવુંના આગળ વધી વધીને પાછળ આવી અંતે ત્યાંને ત્યાં જ રહી જતી હીંચકાગતિનું આબાદ ચિત્રણ કવિએ કર્યું છે.

7 Comments »

  1. Vrajesh Mistri said,

    June 13, 2026 @ 11:43 AM

    વાહ.. મજા આવી… છેલ્લી ત્રણ લાઈન વિવેચનની સરસ આલેખી છે આપે…

  2. વિજય રાજ્યગુરુ said,

    June 13, 2026 @ 3:44 PM

    ભીતરીયાત્રા અને પ્રાપ્તિઅપ્રાપ્તિની વાત ગમી

  3. Kishor Ahya said,

    June 13, 2026 @ 5:08 PM

    કવિ શ્રી ચન્દ્રકાન્ત ટોપીવાળની રચના પક્ષીતીર્થ ભીતરી ખોજ કરનારના મનની ગતિ આલેખતી આબાદ રચના છે. ક્ષિતજ જોતા આ રહી,સામે જ છે પણ ચાલીએ તો ચાલતાજ રહીએ! અનેક મુશ્કેલીઓ ભીતરી યાત્રાની છે એની વાત ખડક પર ચડવું,બપોરનું ન હોવું ,પક્ષીનું ચાલી જવું ,.ધ્યેય પ્રાપ્તિ ચૂકી જેવી વગેરે વાત પક્ષીતીર્થ ના માધ્યમથી કવિએ સરસ શબ્દોમાં વ્યક્ત કરી છે..થોડે અંશે બાહ્ય જગત માટે પણ જરૂર લાગુ પડી શકે તેવી વાત છે. શ્રી વિવેકભાઈએ આસ્વાદમા પક્ષીતીર્થની પૂરી વાત મૂકી સરસ આસ્વાદ આપ્યો છે..

    🌹🌹🌹🌹

  4. Vrajlal Savaliya said,

    June 13, 2026 @ 8:55 PM

    ગુઢાર્થ સમજાવતી ખુબ સરસ કવિતા

  5. Pragna vashi said,

    June 14, 2026 @ 10:49 AM

    કવિ શ્રી ચંદ્રકાંત ટોપીવાળાની સરસ રચના . અનેક પ્રયત્નો બાદ પણ ધ્યેય ચૂકી જવાની વેદનાનું ચિત્ર સરસ રીતે કવિએ ઉપસાવ્યું . ભીતરી યાત્રાની વાત પણ સુચક બની રહી છે . સરસ રચના વાહહહ.

  6. Pragna vashi said,

    June 14, 2026 @ 10:51 AM

    કવિ શ્રી ચંદ્રકાંત ટોપીવાળાની સરસ રચના . અનેક પ્રયત્નો બાદ પણ ધ્યેય ચૂકી જવાની વેદનાનું ચિત્ર સરસ રચના વાહહહ. .

  7. વિવેક said,

    June 15, 2026 @ 10:54 AM

    સમય ફાળવીને ટોપ્પણી કરનાર તમામ સહૃદય મિત્રોનો ખૂબ ખૂબ આભાર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment