વર્ષા – પ્રહલાદ પારેખ
વર્ષાની ધારના કોણે આકાશથી
અવનિને ઉર આ તાર સાંધિયા?
અંગુલિ વીજની કોણે આ ફેરવી,
શુષ્કતા વિદારતાં ગીત છેડિયાં? -વર્ષા0
ગીતે એ થનથન નાચે છે મોરલા,
ટહુકારે વન વન વ્યાપી રહ્યાં;
રૂમઝૂમ રૂમઝૂમ ઝરણાંઓ નાચતાં,
પર્વતના બંધ સૌ તૂટી ગયાં. -વર્ષા0
ચારે તે આરે ભેટે સરોવર,
નદીઓને હાથ ના હૈયાં રહ્યાં;
ગીતે એ વન વન સમૃદ્ધિ સાંપડી,
શુષ્કતા-ભુજંગપાશ તૂટી ગયા. -વર્ષા0
ગીતે એ આભમાં નાચે છે વાદળી,
પોઢ્યા અંકુર સૌ ઊભા થયા;
પૃથ્વીના પ્રાણનાં થંભેલાં વ્હેણ સૌ
તાલે એ ગીતના વ્હેતાં થયાં. -વર્ષા0
– પ્રહલાદ પારેખ
ક્યારેક સમજવી કઠિન થઈ પડતી હોવા છતાં કવિતા આપણને ગમે છે. જે લોકોને પ્રકટપણે કવિતા નથી ગમતી એ લોકો પણ ફિલ્મી ગીતો, ભજન-કવ્વાલી, નવરાત્રિના રાસગરબા કે સૉશ્યલ મિડિયાની શેરોશાયરીના માધ્યમથી કવિતા સાથે ક્યાંકને ક્યાંક અને કોઈકને કોઈક રીતે તો જોડાયેલ જ છે. કવિતા આપણને કેમ ગમે છે એના અનેક કારણોમાંનું એક એ કે તે રોજબરોજનાં અનુભવો, દૃશ્યો, વસ્તુઓ કે પ્રસંગોને એ બિલકુલ અલગ અને તરોતાજા વાઘાં પહેરાવીને રજૂ કરે છે. વરસાદનો અનુભવ તો કોણે ન કર્યો હોય? વરસાદ પડે ત્યારે વાદળ ગાજે અને વીજળી કડાકે એય આપણે સહુએ સેંકડોવાર માણેલી ઘટના… પણ આ ગીત જુઓ… આ ગીત વાંચતાવેંત આપણને ગમી જાય છે, કારણ? કારણ કે હજારોવાર અનુભવેલ વરસાદ-વીજળીને એ આપણી સમક્ષ બિલકુલ નવાનકોર દૃષ્ટિકોણથી રજૂ કરે છે.
આકાશમાંથી ધરતી પર એકધારા પડી રહેલ વરસાદમાં કવિને કોઈક અદૃશ્ય કારીગરની કળા નજરે ચડે છે. ધરતી નહીં, ધરતીના હૈયાને કોઈક વર્ષાની ધારના તારથી આકાશ સાથે સાંધી-બાંધી રહ્યું છે. તાપમાં તપીને બેહાલ થયેલી ધરતી વરસાદ આવતાં લીલીછમ થઈ જાય એમાં કવિને અવનિનું ઉર નજરે ચડ્યું છે. આ કડીમાંથી ‘ઉર’ કાઢી લેવામાં આવે તો આની આ વાત સામાન્ય થઈ જાય. હવે બીજી પંક્તિ જુઓ… આકાશથી ધરતી સુધી લાંબા તાર તો કોઈકે બાંધી દીધા… હવે આ તાર ઉપર વીજળીની આંગળી ફરી રહી હોવાથી વરસાદ નામના ‘વાદ્યતંતુ’માંથી શુષ્કતા દૂર કરી દે એવાં ગીતો જન્મે છે… છે ને અદભુત કલ્પન!
વરસાદના વાદ્યતંતુ ઉપર સર્જનહારે છેડેલા ગીતની આંગળી પકડીને આખા ગીતનો વિહાર કરીશું?

