પુષ્પ પર ડાઘો પડે એ બીકથી,
જીવવાની જીદ્દ ઝાકળ ના કરે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

દશાવતારની ગઝલ – ડૉ. હર્ષદેવ માધવ

(મત્સ્ય)
સાત દરિયામાં સંબંધો વિસ્તરે
સર્વ તટ એને હવે ટૂંકા પડે

(કચ્છપ)
હું ભુવન મારી ધુરાવશ થૈ ધરું
ધરણીધરની કાંકરી ખૂંચે મને?

(વરાહ)
હે તિમિરિ! પેટાળને ખુલ્લાં કરો
એક પરપોટેય માયા ફૂટશે

(નૃસિંહ)
લોહી ઊગ્યું નખની ડાળે પુષ્પવત્
હિંસ્રતા અડધી ક્લેવરનાં વને

(વામન)
હેય! નક્ષત્રો છે મારી પાનીએ
ક્યાં ઉપાડેલું ચરણ મૂકું હવે?

(પરશુરામ)
શસ્ત્રધારા આંખમાં સળગી અને
વક્ષ વડવાનલ બનીને ઊછળે

(રામ)
વાસનાને શિર દસ, શત હાથ છે
ક્ષાર જલ આ ચોરફ બસ ઘૂઘવે….

(કૃષ્ણ)
ક્યાંય વૃંદાવન નથી, ગોકુલ નથી
દ્વારિકાવત્ જીવ શેમાં ડૂબશે?

(બુદ્ધ)
નિષ્ક્રમણ પૂરું નથી થાતું અહીં
શૂન્ય પણ શોધ્યા કરે છે શૂન્યને

(કલ્કિ)
આવવું પાછું ફરી…. પાછું ફરી….
ખાંધ પર ઊંચકી જવા કયા ભારને?

– ડૉ. હર્ષદેવ માધવ

કવિ દશાવતારને ગઝલાવતાર આપવાનું વિચારે ત્યારે પુરાણના સંદર્ભો અને સાંપ્રત સમય વચ્ચે સાયુજ્ય ન સાધી શકાય તો ગઝલ ગઝલ ન રહેતાં, પુરાણકથા બનીને રહી જાય. સાવ અલગ પ્રકારની ગઝલમાં અદભુત કવિકર્મ કરીને કવિએ આપણને યાદગાર ગઝલ આપી છે.

• મત્સ્ય અવતાર: સત્યવ્રત રાજા (મનુ વૈવસ્વત)ને હાથ લાગેલ મત્સ્ય ક્રમશઃ સમુદ્ર જેટલું વિરાટ થઈ જાય છે, એમ માનવસંબંધોમાં અપેક્ષાઓ સાત દરિયાય નાના પડે છે.
• કચ્છપ (કૂર્મ) અવતાર: સમુદ્રમંથન વખતે કચ્છપે મંદરાચળને પીઠ પર ધારણ કર્યો હતો એમ દરેક માણસ વિપદાઓની કાંકરીઓના ખૂંચવાની ફરિયાદ કર્યા વિના પોતપોતાના સંસારનો ભાર ઊઠાવીને જીવી રહ્યો છે,
• વરાહ અવતાર: વરાહ ભગવાને અંધકારમય જળના પેટાળમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કર્યો હતો, એમ મોહમાયાના પરપોટાને ફોડી પેટાળમાંથી પ્રકાશ/સત્ય બહાર લાવવાની વાત છે.
• નૃસિંહ અવતાર: અર્ધ નર- અર્ધ સિંહ (હિંસ્રતા) બનીને નૃસિંહના નખની ડાળે પુષ્પવત્ ઊગતું લોહી પ્રેમ અને રક્ષણની ભાવાભિવ્યક્તિ છે.
• વામન અવતાર: સાચા કવિની વિરાટ ચેતના નક્ષત્રોય પગ નીચે આવી જાય એ હદે વિસ્તરતી હોય છે,
• પરશુરામ અવતાર: પરશુરામના ક્રોધાગ્નિની જેમ અહીં આંખોમાં શસ્ત્રધારા અને છાતીમાં વડવાનલ જેવો આક્રોશ ઊછળે છે. અહીં શેરિયતનો અભાવ ખલે છે.
• રામ અવતાર: દસ માથાં અને સો હાથવાળા રાવણ સમી વાસનાની ચોતરફ કેવળ ક્ષારયુક્ત દુઃખનો દરિયો ઘૂઘવે છે.
• કૃષ્ણ અવતાર: ગામડાંની નૈસર્ગિક્તા અને પ્રેમ શહેરોની ભૌતિકતામાં ક્યાં મળવાની? આ જીવ હવે શેમાં ડૂબશે?
• બુદ્ધ અવતાર: મહાભિનિષ્ક્રમણ કરો કે ન કરો, આ જગતમાં માનવનો આંતરિક શોધનો પ્રવાસ ક્યારેય પૂરો થતો નથી.
• કલ્કિ અવતાર: ઈશ્વરને પણ વારંવાર અવતાર લેવા પડે છે અને આપણાં તો ચોર્યાસી લાખ ફેરા લખાયેલા જ છે. સંસારનો એવો તે કયો ભાર છે, જેને ઊંચકી જવા માટે વારંવાર પાછા આવવું પડે છે?

Leave a Comment