ફૂલ તો સાચાં જ ગોઠવ્યાં છતાં,
કાં બહારો આવી નહિ ફૂલદાનમાં ?
– નિનાદ અધ્યારુ

હૈયા હાર્યે – પાર્ષદ પઢિયાર

શરણાઈ છેડે ગમ-સા-સારે-
શમણાં રુવે અંતર-દ્વારે.

આંસુ ખૂટયાં આંખ્યુંમાંથી
આહ! નિસાસા! આવો વ્હારે!

સપનાં જેવું સગપણુ રાખી-
સાથે રમવું તારે-મારે.

ઇચ્છાઓનું ટોળું હાલ્યું-
નાતો તોડી હૈયા હાર્યે.

– પાર્ષદ પઢિયાર

આવી ગઝલ હાથ ચડે ત્યારે કવિ ચાર શેર કહીને અટકી ગયા હોવાનો વસવસો અવશ્ય થાય. પણ સાથોસાથ સંયમને દાદ પણ દેવી રહી, કારણ આવી જ ક્ષમતાવાળા બીજા શેર આવવાના ન હોય તો આગળ વધવાથી ગઝલને જ નુકશાન થાય. સંગીતના સાત સૂરો –સારેગમપધનિ-ને તો ઘણા કવિઓએ પ્રયોજ્યા હશે. પણ અહીં જે કમાલ છે એ કમાલની છે. શરણાઈ સારેગમસા સૂર છેડવાના વદલે ગમ-સા-સારે સૂર છેડી રહી છે. કન્યાવિદાયના ટાણે આંખો આંસુ સારે એ રીતે શરણાઈ ‘ગમ’ ‘સારે’ છે એવો શ્લેષ અહીં સર્જાયો છે. રડતાં રડતાં આંખો ખાલી થઈ જાય પછી? આંખોનું રડવાનું પૂરું થાય એ પછી દિલના રડવાનો વારો છે. એટલે જ કવિ આહ અને નિસાસાઓને પોતાની વહારે આવવા આહ્વાન દે છે. કેવો અદભુત શેર! આખી ગઝલને કન્યાવિદાયની ગઝલ ગણી લઈએ તો બાપ-દીકરી, મા-દીકરી કે બે સહેલીઓ હવે સપનાંમાં જ રમવાને ભેળાં થઈ શકશે એ અર્થઘટન ગમી જાય એવું છે, અંતિમ શેર પણ એ પરિપ્રેક્ષ્યમાં આસ્વાદી શકાય. ચારેય શેરને સ્વતંત્ર રીતે પણ માણી શકાય. અંતિમ શેરમાં હાર્યેના સ્થાને હારે કારીને કાફિયાચૂક ટાળવામાં હોત તો ગઝલ અનવદ્યપણે આસ્વાદ્ય થઈ હોત.

Leave a Comment