લોકો એમના પ્રેમ વિશે વિચાર્યે રાખે છે.
મારો પ્રેમ? હું ભૂલી જઈશ.
હું ભૂલવાની જેટલી વધારે કોશિશ કરું છું, એટલું જ તને વધારે વિચારું છું.
એમ વિચારીને, ‘કે કદાચ ભૂલી જઈ શકાય,’ હું વિચારવા મથું છું.
હું તને ભૂલવાની કોશિશ કરું છું, તો તારા વિચાર આવે છે,
વિચારું છું, મતલબ ભૂલ્યો નથી.
શું કરું? તને ભૂલવાનો કે વિચારવાનો પ્રયાસ જ ન કરું?
એ આખી વાત એમ જ છોડી દઉં- ભૂલવાનું પણ ને વિચારવાનું પણ?
પણ કાન આમથી પકડું કે તેમથી, બંને જ અશક્ય છે.
અંતહીન વિચારોમાં- વિચાર પર વિચાર-
ફક્ત અને ફક્ત પ્રાણપ્રિય જ છે. હું કરું તો શું કરું?
જો મારો ઉદ્દેશ્ય કેવળ ભૂલવાનો જ હોત,
તો એવું કંઈ નથી કે હું ભૂલી ન શક્યો હોત, પણ…
એ તો માત્ર નિદ્રા અથવા મૃત્યુ જ.
અશક્ય જ, જ્યાં સુધી પ્રિય છે.
રે! રે! ભૂલી ન શકાતા વિચારો કરતાં પણ
ભૂલી જવાની ઇચ્છા જ વધુ પીડાદાયક છે.
આજથી બરાબર સો વર્ષ પહેલાં ૧૯૨૬ની સાલમાં લખાયેલી આ કવિતા આજે સો વરસ પછી પણ કાગળ પરથી શાહી સિક્કે ભૂંસાઈ ન હોય એટલી તરોતાજા લાગે છે. કોરિઅન કવિ હાન યોન્ગ ઉન કવિ હોવા ઉપરાંત બૌદ્ધ સુધારક, અને કોરિયા પર જાપાની સાંસ્થાનિક શાસન સામેના અગ્રિમ સ્વતંત્રતા સેનાની પણ હતા. એમનાં પ્રેમકાવ્યોની પ્રેમિકા ક્યારેક ખરેખરી સ્ત્રી હોય છે, ક્યારેક એ ઈશ્વર હોય છે તો ક્યારેક એમનો દેશ! કાવ્યારંભે પોતાના પ્રિયપાત્રને ભૂલી જવાનો જે આત્મવિશ્વાસ છલકી રહ્યો છે એ કાવ્યાંતે પહોંચતા સુધીમાં નદારદ થઈ જાય છે. આ બે અંતિમો વચ્ચેની શબ્દયાત્રા કવિતાને મજેદાર બનાવે છે…
મૂળ કોરિઅન કવિતા અને ઉપલબ્ધ અંગ્રેજી અનુવાદ વચ્ચે સામંજસ્ય પૂરતું ન જણાતાં, અંગ્રેજી અનુવાદ ઉપરાંત શબ્દકોશ, ગૂગલ ટ્રાન્સલેટ તેમજ એકાધિક એ.આઈ. ચેટબોટની મદદથી કવિતાનો અંગ્રેજી અનુવાદ પણ આ વખતે મેં જાતે જ કર્યો છે, જેથી મૂળ કવિતાની બને એટલા નજીક રહી શકાય. આશા છે કે મિત્રોને ગમશે.
*
I would forget
Others would think of their loves.
My love I would forget.
The more I try to forget, the more I think of you.
Thinking, ‘perhaps it might be forgotten,’ I tried thinking.
If I try to forget, I think of you,
If I think, it is not forgotten.
Shall I try neither forgetting nor thinking?
Shall I try leaving it alone—whether forgetting or thinking?
But even so, it does not work.
In ceaseless thoughts—thought upon thought—
there is only the Beloved. What am I to do?
If I insist on forgetting,
It is not that I cannot forget, but…
it would be only sleep and death.
I cannot, while the Beloved remains.
Ah, ah, more than thoughts that are not forgotten,
That very wishing-to-forget is more tormenting.
– Han Yong-un
(Translated from the Korean by help of various AI tools)
એણે એક કાગળ પર
અડખેપડખે મૂકી બે કવિતા
જમણે મહમૂદ દારવિશ
ડાબે યેહૂદા અમીચાઈ
ને શબ્દો તો વિચરતી જાતિ
માંડ્યા ભટકવા
આ તરફથી પેલી તરફ
જ્યાં લગી પંક્તિઓ તૂટીફૂટી ન ગઈ
જ્યાં લગી છંદ વીખરાઈ ન ગયા
જ્યાં લગી બધાય પ્રાસ
ઓળખાય પણ નહીં એટલા એકધારા થઈ ન ગયા
જ્યાં લગી એ બધા છિન્નભિન્ન ને લોહિયાળ ન થઈ ગયા
જ્યાં લગી મારા ભેજામાં એક નઠારું યુદ્ધ ચાલુ ન થઈ ગયું
જ્યાં લગી મેં એક ફૂટપટ્ટી પકડીને
ખેંચી ન કાઢી
એક સીધી જાડી લીટી
વચ્ચોવચ ત્યાં લગી.
હવે મારું મન જરી શાંત છે.
– પ્રતિષ્ઠા પંડ્યા
(* ‘એતદ્’નો ડિસેમ્બર ૨૦૨૩નો અંક વાંચતાં…)
એક કાગળ પર બે કવિતા અડખેપડખે મૂકવામાં આવી છે. આમ તો સર્જક કોઈ પણ બે કવિને પસંદ કરી શક્યા હોત પણ એમણે જે બે કવિઓ પર પોતાની પસંદગીનો કળશ ઢોળ્યો છે એ યેહૂદા અમીચાઈ (https://layastaro.com/?cat=404) અને મહમૂદ દારવિશ (https://layastaro.com/?cat=1376) – બંને વીસમી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયેલ ઉત્તમ કવિ હતા. અમીચાઈ ઇઝરાઈલના કવિ. ભાષા હિબ્રૂ અને દારવીશ પેલેસ્ટાઇનના કવિ, ભાષા અરેબિક. બંને દેશ વચ્ચેના યુદ્ધથી આપણે વાકેફ છીએ. આ બે કવિઓએ વીસમી સદીની કવિતાનો નવોન્મેષ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. બંને કવિની કવિતાઓએ ઇશ્વને વિચારતું કરી દીધું હતું. કદાચ સર્જક અહીં એ જ આપણને સમજાવવા ઇચ્છે છે. બીજું કોઈ કારણ હોય તો એ સમજવા માટે ‘એતદ્’નો ડિસેમ્બર ૨૦૨૩નો અંક વાંચવો પડે. અરસપરસ મૂકેલી બંને કવિતા થોડીવારમાં જ મૂર્તતામાંથી અમૂર્તતા સાધે છે… શબ્દો, પંક્તિઓ, છંદોપ્રાસ –બધું જ એમના અર્થ અને સંદર્ભ ગુમાવી બેસે છે. કેવળ કવિતા અને કવિતાનો ભાવ જ બચ્યા છે. કથકના મનોમસ્તિષ્કમાં તુમુલ યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે. સમગ્ર કવિતાની ભાષાની પંગતમાં આગંતુક લાગે એવા બે સહદો સર્જક અહીં પ્રયોજે છે – ભેજું અને નઠારું…. આ બે શબ્દો આપણને બે ઘડી અટકવા મજબૂર કરે છે. અટકીએ,જેથી લડાઈની ભીષણતા જોઈ-સમજી-અનુભવી શકાય. ઇચ્છા-અનિચ્છાએ પણ સર્જક કવિતાના અર્જિત કરેલ તમામ સંસ્કાર છિન્નભિન્ન થઈ જાય એવા લોહિયાળ યુદ્ધનું અવિભાજ્ય અંગ બની જાય છે. બે કવિની કવિતાઓ વચ્ચે ફૂટપટ્ટી વડે જાડી સીધી લીટી ખેંચી લીધા બાદ જ કવિમન સહેજ (વધુ કે પૂરેપૂરી નહીં, હંઅઅ) શાતા અનુભવે છે.
સર્જકને શું અભિપ્રેત હશે એ તો સર્જક જકહી શકે, પણ મને લાગે છે કે તેઓ આપણને કવિતા સાથે રૂબરૂ થવાનો કીમિયો શીખવાડે છે. કવિના સર્જનસમયના ભાવવિશ્વમાં પ્રવેશી શકાય તો જ કવિતા પામી શકાય. અને કવિસંવેદનની ધારથી લોહીલુહાણ થઈ ન જવાય ત્યાં સુધી કવિતા સાચા ભાવકને શાંતિનો શ્વાસ જ લેવા ન દે…
* * *
કવિતા ભાવકે ભાવકે નવાં વાઘાં પહેરે… સર્જકને શું અભિપ્રેત છે એ જાણીએ? આ રચના વિશે સુશ્રી પ્રતિષ્ઠા પંડ્યા કહે છે: “એક કવિનો શબ્દ છે જે સરહદો ને ઓળખની વાડથી વિહ્વળ થાય છે ઘવાય છે ને તો યે એને ઓળંગવાનું સાહસ ધરાવે છે. અને એક આપણું મન છે જે કવિતાના શબ્દોને પણ લીટીઓ દોરી દોરીને છૂટા પાડ્યા કરે છે. આ યહૂદી, આ અરબ, આ પેલેસ્ટાઇન, આ ઇઝરાઇલ, આ ભારતીય, આ પાકિસ્તાની…. આપણને વાડ ગમે છે ને જ્યાં સુધી એક સીધી લીટી દોરી ન નાખીએ આપણને ચેન નથી પડતું, ખરું ને?!“
એકવાર:
એક ઓરડો
એક ટાઇપરાઇટર
એક નોકરી
એક અલાર્મઘડિયાળ
એક એકલતા
એક આશા
હવે:
એક એપાર્ટમેન્ટ
એક સમરહાઉસ
વસ્તુઓ
એક પતિ
ત્રણ બાળકો
દરજ્જો
મિત્ર
પ્રેમી
કામવાળી
ઉપેક્ષિત
કબરો
હેરડ્રેસર
મનોચિકિત્સક
પૈસા
મડાગાંઠ
ખુશીનો
અભાવ
સારી વસ્તુઓ એમને મળે છે
જેઓ રાહ જુએ છે
મારી માતાએ કહ્યું હતું
ઝંખના અને
સમજણ
એમને બહુ મોડેથી
લાધ્યાં હતાં.
એમનું મૃત્યુ
નર્સિંગ હોમમાં થયું
જ્યાં એ કોઈને
ઓળખતી નહોતી.
લોકો મોટાભાગે
એકબીજા માટે
ગેરસમજણ જ ધરાવતા હોય છે.
તેણીના હાથ
બહુ જ સુંદર હતા.
ધ્યાન બહાર
જિંદગી સરકી ગઈ.
– ટૉવે ડિટ્લેવ્સેન
(અંગ્રેજી અનુવાદ પરથી અનુ.: વિવેક મનહર ટેલર)
હિસાબ કરવો એ માનવપ્રકૃતિનો અંતર્નિહિત ભાગ છે. પૈસા હોય કે સંબંધ, વ્યવહાર હોય કે લાગણી –આપણે શું ગુમાવ્યું ને શું મેળવ્યુંનો રોજમેળ મેળવ્યા વિના રહેતા નથી. પણ જીવનની ખાતાવહીના જમા-ઉધાર અલગ પ્રકારના હોય છે. આવકના લેખાજોખા કઈ રીતે કરવા એ તો શીખી-શીખવાડી શકાય છે, પણ જીવનના હિસાબકિતાબ તો જાતઅનુભવે જ શીખવા પડે છે. આવી જ કોઈક ગણતરીની ફળશ્રુતિ એટલે ટૉવે ડિટ્લેવ્સેન લિખિત આ કાવ્ય.
શરૂઆત ‘એકવાર’થી થાય છે. જીવનનો એ સમય આર્થિક સંકડામણનો સમય હતો. રહેવાને ઘર નહીં, કેવળ એક ઓરડો હતો. અને ઓરડામાં હતું એક ટાઇપરાઇટર. રહેવા માટે ઘરના નામે કેવળ ઓરડો જ હોય એ માણસ ટાઇપરાઇટર શા માટે વસાવે? ટાઇપરાઇટર એટલે સાહિત્યસર્જન. યાદીનો ક્રમ પણ નોંધનીય છે. પહેલાં માથા પરની છત, પછી કળા અને એ પછી નોકરી. પહેલાં સરસ્વતી, પછી લક્ષ્મી. આખી કવિતા આ રીતે માણી શકાય. જે મિત્રોને કવિતાનો વિશદ આસ્વાદ માણવો હોય તેઓ અહીં ક્લિક કરીમાણી શકે છે.
January 10, 2026 at 7:42 AM by વિવેક · Filed under અછાંદસ, અનિલ જોશી
મારી છત્રીનો કાગડો
ક્રાઉક્રાઉક્રાઉ બોલી ઊઠ્યો.
પીપળા જેવો હું
ધ્રૂજી ગયો.
મહેમાન થઈને ચાંદરણું આવ્યું
બેઠું
સરક્યું
ને ચાલ્યું.
હું એકલો પડી ગયો.
હું ખોટો પડું એટલી હદ સુધી
સાચું બોલતો થઈ ગયો.
હવે હું દીવો નથી
પણ દીવો સળગાવતાં ઠરી ગયેલી
દીવાસળીની ટોચ ઉપર પડેલું અંધારું છું.
હવે હું ઈસુ નથી
પણ ક્રૉસ છું
જેના પર માણસજાત
પોતાની તમામ ભૂલો ટિંગાડી શકે છે.
– અનિલ જોશી
શીર્ષક ઘણીવાર કવિતામાં અવિનાભાવી ઘટક બની રહે છે. એઝરા પાઉન્ડની સુખ્યાત કવિતા ‘ઇન અ સ્ટેશન ઑફ ધ મેટ્રો’ શીર્ષક વિના અપૂર્ણ જ રહી જાય. એ જ રીતે આ કવિતામાં પણ શીર્ષક કવિતાનું અવિભાજ્ય અંગ છે. આખી રચનામાં ક્યાંય સાંજનો ઉલ્લેખ નથી, પણ શીર્ષક આપણને કહે છે કે ‘એક સાંજે’ જે થયું છે એની જ આ કવિતા છે. સાંજ સંધિકાળનો સમય છે… અજવાળું-આશાના ગમન અને અંધારું-નિરાશાના આગમનના એંધાણ લઈને આવતી સાંજ સરવાળે વિષાદ અને વિયોગનું પ્રતીક છે. ‘એક સાંજ’ના દોરામાં ભાવ અને પ્રતીકોના મોતી પરોવી કવિએ સ-રસ કાવ્યમાળા રચી છે. કાયમ નહીં, પણ કોઈ એક સાંજે જે થયું એની યાદી કવિ આપે છે. છત્રી નહીં, છત્રીનો કાગડો બોલી ઊઠે છે. ઘરના મોભારે કાગડો બોલે તો મહેમાન આવવાના શુકન થાય, પણ આ તો છત્રીનો કાગડો છે. એટલે મહેમાન પણ અલગ પ્રકારના જ હોવાના ને! છત્રી કાગડો થાય ત્યારે એનો મૂળ હેતુ ગુમાવી બેસે છે, એ વરસાદથી બચાવી શકતી નથી. જીવનના સંદર્ભમાં સ્વયંની લાચાર અને આઉટ-ઓફ-કોન્ટેક્સ્ટ પરિસ્થિતિનું આથી સશક્ત વર્ણન બીજી શી રીતે કરી શકાય? દરેક સંદર્ભને આ રીતે વારાફરતી હળવા હાથે ખોલી શકાય, પણ એ કામ ભાવકક્ષમતા પર છોડી દઈ હું અહીં અટકું…
January 9, 2026 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, ગોપી દેસાઈ
યાદ છે કૃષ્ણ
તું ગોકુળની ગાયો પાછળ ભમતો
ને હું તારી પાછળ.
રાસ તો આજે પણ રમું છું
પણ તારા વગર
વાંસળી નહીં, ડીજેની ધૂન પર
યાદ છે કૃષ્ણ
એક દિવસ બપોરે મેં કહ્યું,
“મારે તારી સાથે રહેવું છે”
તેં કહ્યું કર્મ કર કર્મ
બસ…
વહેલી સવારે ઊઠી
ગાયો દોહી, છાશ વલોવી, માખણ કાઢી…
ક્યારેક ઘી પણ…
છાણાં વીણું, વાસીદુ વાળું,
ચૂલો અને ચાકરી…
કોની?
ઘરવાળો અને છોકરા
તારી જેમ ઓછું છે છડેછડા
જે ગમે એની હારે પ્રેમ કરવાનો
કાંઈ તુક્કો સુઝે તો મન મુજબ
મસ્ત બની નીકળી જવાનું
હવે તો ગોકુળ, વૃંદાવન, મથુરા
બધ્ધે મસ્ત પેકિંગમાં નાના-મોટા ડબ્બામાં
દૂધ, છાશ,માખણ, ઘી બધું મળે છે
મંગાવી લઉં છું
કેટલા વલોણા વલોવ્યા કરું?
ખાલી તારી તારી યાદ ના વલોણા…
એકદમ silent …
વલોણું ફરે પણ અવાજ નહીં
ખાલી આંસુ પડે…
આંસુ પણ એકદમ silent…
યાદ છે કૃષ્ણ
એકવાર યમુનાજીમાં તરવા પડેલી હું
તું મારા કપડાં ચોરી સંતાઈ ગયેલો.
હવે તો Blinkit , Swiggy કરું
દસ મિનિટમાં કપડાં હાજર
તું તારે સંતાઈ રહે કદમ્બની ડાળે
તને ડીક્કો
તું મારું સર્વસ્વ
અને હું માત્ર એકલી અટૂલી ગોપી
સમજાયું મને
“Blood is thicker than water”
હા- પછી ખબર પડી કે
પાંડવો તારા કઝિન્સ હતા
ઇંગ્લિશ તને ક્યાંથી આવડે?
Cousins – પિતરાઈ ભાઈઓ
જીતાડી દીધા કઝિન્સને મહાભારતમાં …
વાહ…વાહ…
સમજાયું મને
“Blood is thicker than…
મારા ગોકુળનાં દૂધ, છાશ, અને માખણ કરતાં…
સારું એટલું કહે
“રાધા કે રુક્મણીના touchમાં છું?”
Reels જોઉં છું એ લોકોની ઇન્સ્ટા પર…
આ ગોકુળની ગોપી હવે આવું બધું બોલે
તને નહીં સમજાય
તને કાંઈ ટપ્પી નહીં પડે
નહીં સમજાય તને
ગોકુળમાં હજી મલ્ટિપ્લેક્સ નથી
ગોકુળ Religious Town છે
– ધાર્મિક ધામ છે
એટલે મથુરા ગઈ હતી
Book My Show પર ટિકિટ બુક કરાવીને ‘લાલો’ જોવાસ્તો…
લે તને ખબર નથી
100 કરોડ ઉપર બિઝનેસ કર્યો
હા નહીં…
તને તો કરોડ શું ? રૂપિયા શું?
કેટલા રૂપિયા કશું ક્યાં ખબર હોય…
ક્યાં છો ડાકોરમાં? કે દ્વારિકામાં?
કે હજુ પાંડવો સાથે India ની Tour જ કરી રહ્યો છું?
ખબર છે વેનેઝુએલાના પ્રેસિડન્ટને ટ્રમ્પ રાત્રે એના ઘરમાંથી ઉપાડી ગયો…
ટ્રમ્પ તેલ લેવા જાય…
હું તો બહુ diet conscious છું
તેલ નો ખપે…
ટ્રમ્પ ની જેમ તું મને ઉપાડી જાને
તારી સાથે રહીશ
કોઈ ડિમાન્ડ નહીં
કેટલાં વલોણાં વલોવ્યાં કરું?
તારી યાદનાં વલોણાં…
– ગોપી દેસાઈ
લયસ્તરો પર આજે જય વસાવડાની ચહેરાપોથી પરથી સીધેસીધું કોપી-પેસ્ટ… જાણીતા અભિનેત્રી અને દિગ્દર્શિકા ગોપી દેસાઈ કવિતા, સારી કવિતા પણ કરી શકે છે એ જાણી-જોઈ સાનંદાશ્ચર્ય થયું. કૃષ્ણ અને ગોપીના સંબંધ વિશે અસંખ્ય કવિઓ અસંખ્ય કવિતા કરી ગયા છે, પણ જે રીતે સર્જકે સમયના બે અંતિમોને નહીં સાંધો-નહીં રેણની કાબેલિયતથી જોડી રચના કરી છે એ સાચે જ કાબિલ-એ-દાદ છે. નિઃશંકપણે રચના થોડી લાંબી થઈ છે, પણ વિશ્વાસ રાખો, સહેજપણ ભારઝલ્લી લાગશે નહીં…
મારી નિશાળની નોટબુકો પર,
મારા ટેબલ અને વૃક્ષો પર,
પોચા બરફ પર
હું તારું નામ લખું છું
મેં વાંચેલા પૃષ્ઠો પર
બધા કોરા પાનાઓ પર
પથ્થર, લોહી, કાગળ કે રાખ પર
હું તારું નામ લખું છું
સોનેરી ચિત્રો પર
યોદ્ધાઓના હથિયારો પર
રાજાના મુકુટ પર
હું તારું નામ લખું છું
જંગલ અને રણ પર
પંખીના માળા અને ઝાંખરા પર
મારા બાળપણના પડઘા પર
હું તારું નામ લખું છું
મારા ભૂરા રૂમાલ પર
સૂર્યપ્રકાશિત ખાબોચિયા પર
ચાંદનીના જીવંત સરોવર પર
હું તારું નામ લખું છું
ખેતરો પર, ક્ષિતિજ પર
પક્ષીઓની પાંખો પર
અને પડછાયાઓની હારમાળા પર
હું તારું નામ લખું છું
૫રોઢની દરેક લહેરખી પર
દરિયા પર, હોડીઓ પર
ઉન્માદી પર્વતના શિખર પર
હું તારું નામ લખું છું
વાદળના ગાભા પર
વાવાઝોડાની વાછટ પર
મુસળધાર વરસાદ અને સપાટ જમીન પર
હું તારું નામ લખું છું
ઝબકતા આકારો પર
રંગબેરંગી ઘંટડીઓ પર
કુદરતી સત્ય પર
હું તારું નામ લખું છું
ઊંચી પગદંડીઓ પર
ઉભરાતા માર્ગો પર
ભીડથી ભરેલા ચોક પર
હું તારું નામ લખું છું
પ્રગટાવેલા દીવા પર
ઓલવાયેલા દીવા પર
મારા એકજૂટ વિચારો પર
હું તારું નામ લખું છું
બે ભાગમાં કપાયેલા ફળ પર
મારા અરીસા અને મારા ઓરડા પર
મારી ખાલી પથારી પર
હું તારું નામ લખું છું
મારા દીલદાર અને લોભી કુતરા પર
તેના સરવા કાન પર
તેના ભુલકણા પંજા પર
હું તારું નામ લખું છું
મારા દરવાજાના આગળા પર
તે જાણીતી વસ્તુઓ પર
આગની જ્વાળાઓ પર
હું તારું નામ લખું છું
દેહના તાલ-મેલ પર
મારા મિત્રોના ચહેરા પર
દરેક લંબાયેલા હાથ પર
હું તારું નામ લખું છું
આશ્ચર્યની બારી પર
રાહ જોતા હોઠ પર
મૌનથી પણ ઊંડી અવસ્થા પર
હું તારું નામ લખું છું
મારી જીર્ણ છુપવાની જગ્યાઓ પર
મારી ડૂબેલી દીવાદાંડી પર
મારી દીવાલો અને મારી ઉદાસી પર
હું તારું નામ લખું છું
ઈચ્છા વગરના અમૂર્ત ભાવ પર
નગ્ન એકાંત પર
મૃત્યુના પગલાં પર
હું તારું નામ લખું છું
અને એક શબ્દ ખાતર
હું મારું જીવન ફરી શરૂ કરું છું
કારણ કે હું તને જાણવા જ જન્મ્યો હતો
તારું નામ લેવા માટે :
આઝાદી.
– પોલ એલ્યુર્ડ
(અનુવાદઃ ધવલ શાહ)
(Paul Éluard, 1895–1952)
Liberté કવિતા એક સરળ અને લયબદ્ધ માળખા પર રચાયેલી છે જેથી તેને યાદ રાખવી અત્યંત સરળ બને છે—જે યુદ્ધ દરમિયાન કવિતાનાં મૌખિક પ્રસારણ માટે એક નિર્ણાયક પાસું હતું. પ્રાર્થના અને ગીત જેવી શૈલીવાળી (Litany) આ કવિતામાં ૨૧ કડીઓ (quatrains) હોય છે. દરેક કડીની પ્રથમ ત્રણ પંક્તિઓ કોઈ સ્થાન (મૂર્ત અથવા અમૂર્ત)નું વર્ણન કરે છે, અને ચોથી પંક્તિ એ ટેક છે “J’écris ton nom” (હું તારું નામ લખું છું). કવિતા નિર્દોષ બાળપણની છબીઓ (“મારી સ્કૂલની નોટબુક્સ”, “મારું ડેસ્ક”)થી લઈને કુદરત (“વરસાદ”, “વાદળો”), અને પછી પુખ્ત વય અને યુદ્ધની ઘેરી છબીઓ (“યોદ્ધાના શસ્ત્રો”, “નાશ પામેલા ઘરો”) તરફ આગળ વધે છે, અને અંતે “લિબર્ટી” (સ્વતંત્રતા) નામના વિસ્ફોટક ઘટસ્ફોટ સાથે સમાપ્ત થાય છે. સાવ સરળ લાગતી આ કવિતામાં દર ત્રણ પંક્તિ પછી પુનરાવર્તિત થતી રહેતી પંક્તિનો સ્વર અંત તરફ જતા વધુ ને વધુ ઘેરો બની અંતિમ પંક્તિમાં સ્વતંત્રતાની ઈચ્છાને ચરમસીમાએ લઈ જાય છે, કવિતાને સર્વોચ્ચ કક્ષાએ લઈ જાય છે.
Liberté એ પોલ એલ્યુર્ડની બીજા વિશ્વયુદ્ધ સમયની French Resistance (પ્રતિકાર) ની સૌથી પ્રખ્યાત કવિતા છે. આઝાદીની આ એક એવી ઉત્કૃષ્ટ કૃતિ છે કે જેમાં પ્રેમની કવિતાની અંગત ભાષા અત્યાચાર વિરુદ્ધ વિશ્વવ્યાપક યુદ્ધના નાદમાં પરિવર્તિત થાય છે. આ કવિતાએ બૌદ્ધિક વર્ગ અને સામાન્ય લોકો વચ્ચેનું અંતર ઘટાડ્યું હતું કારણ કે તેની છબી દરેક જણ માટે સુલભ હતી. ૧૯૪૨માં ફ્રાંસના જર્મન કબ્જાના સૌથી અંધકારમય દિવસો દરમિયાન આ કવિતા લખવામાં આવી હતી. તે સૌપ્રથમ Poésie et Vérité 1942 (કવિતા અને સત્ય ૧૯૪૨) નામના ગુપ્ત પુસ્તકમાં પ્રકાશિત થઈ હતી. સેન્સરશીપ ટાળવા માટે, એ પુસ્તકનું વિતરણ ઘણીવાર ખોટા કવર અથવા ખોટી તારીખો સાથે કરવામાં આવતું હતું. આ કવિતાને કબજા હેઠળના ફ્રાન્સમાંથી લંડન (જનરલ દ ગૌલના ફ્રી ફ્રેન્ચ દળોનું મુખ્ય મથક) અને અલ્જિયર્સમાં છૂપી રીતે મોકલવામાં આવી હતી. આ કવિતા સાથે જોડાયેલી સૌથી મહત્વપૂર્ણ ઐતિહાસિક ઘટના એ હતી કે ૧૯૪૩માં બ્રિટિશ રોયલ એર ફોર્સ (RAF) એ હજારો પત્રિકાઓ પર આ કવિતા છાપીને વિમાનો દ્વારા કબજા હેઠળના ફ્રાન્સ પર આ પત્રિકાઓ ફેંકી હતી. હવે આ દ્રશ્યની કલ્પના કરો- નાઝી શાસન હેઠળ જીવતા ફ્રેન્ચ નાગરિકો સવારે જાગે છે અને જુએ છે કે આકાશમાંથી હજારો કાગળના ટુકડાઓ વરસી રહ્યા છે, જેમાં કોઈ લશ્કરી આદેશો નથી, પરંતુ સ્વતંત્રતાના પુનરાગમનનું વચન આપતી એક કવિતા છે. જે કવિતા વાંચીને આજે પણ આપણા રૂંવાડા ઊભા થઈ જાય છે તે કવિતાએ ત્યારે નાગરિકોનાં ગુલામ બની ગયેલા માનસને સ્વતંત્રતાની ઈચ્છા જગાડવા માટે કેટલી હદે ઝંઝોળ્યું હશે!
પોલ એલ્યુર્ડ અતિવાસ્તવવાદી (Surrealist) ચળવળના સ્થાપકોમાંના એક હતા. યુદ્ધ પહેલાં, તેઓ સપના, અર્ધજાગ્રત મન અને તીવ્ર રોમેન્ટિક પ્રેમના અન્વેષણ માટે જાણીતા હતા. જો કે, જ્યારે બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું અને ફ્રાન્સ નાઝી જર્મનીના હાથમાં ગયું, ત્યારે એલ્યુર્ડ ત્યાંથી ભાગ્યા નહીં. તેઓ પેરિસમાં રહ્યા અને તેમની કવિતાનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો. તેઓ ફરીથી કોમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાયા (જે તેમણે અગાઉ છોડી દીધી હતી) અને ગેસ્ટાપો (નાઝી પોલીસ) ની નજર હેઠળ ગુપ્ત સાહિત્ય પ્રકાશિત કરવામાં મદદ કરીને બૌદ્ધિક પ્રતિકારમાં કેન્દ્રિય વ્યક્તિ બન્યા.
જેમ ‘વંદે માતરમ‘ને ભારતનું બિનસત્તાવાર રાષ્ટ્રગીત ગણવામાં આવે છે, તેમ “લિબર્ટી”ને ઘણીવાર રેઝિસ્ટન્સનું બિનસત્તાવાર રાષ્ટ્રગીત માનવામાં આવે છે.
કેવું ટબુકડું કાવ્ય! ગણીને ચૌદ જ શબ્દનું બનેલ એક વાક્ય, બસ! પહેલી નજરે, બીજી નજરે ને કદાચ ત્રીજી નજરે પણ માથું જ ખંજવાળતા રહી જવાય એવી કવિતા. સફેદ મરઘીઓની બાજુમાં વરસાદના કારણે ચમકી રહેલ લાલ રંગના એકચક્રી ઠેલા પર ઘણું બધું આધાર રાખે છે – શું છે આ ઘણું બધું? ક્યાં આપણી સુષ્ઠુ સુષ્ઠુ સંવેદનાઓને પંપાળ્યા કરતાં ગુજરાતી અછાંદસ અને ક્યાં આ શરૂ થતાં પહેલાં જ પૂરો થઈ જતો વીજચમકારો? મરઘીઓના સફેદ રંગ અને વરસાદના કારણે ચમકતા ઠેલાના લાલ રંગમાં કાવ્યપ્રકાશ ક્યાં છે એ સમજવું અઘરું છે, પણ આ કવિતાનો પથપ્રવર્તક કવિતાઓની યાદીમાં સમાસ કેમ કર્યો છે એ પહેલાં સમજીએ.
વિલિયમ કાર્લોસ વિલિયમ્સ કોલેજમાં તેઓ આધુનિક કવિતા અને ઇમેજિઝમના પ્રણેતા એઝરા પાઉન્ડના સહપાઠી હતા પણ પછી તબીબ બની ન્યૂ જર્સી, અમેરિકામાં સ્થાયી થયા. ઢગલાબંધ હોમવિઝિટ અને સંખ્યાબંધ પ્રસૂતિઓની વચ્ચે પ્રિસ્ક્રીપ્શન પેડ પર લખાતી રહેતી નાનકી કવિતાઓ એમની આગવી ઓળખ બની. એઝરા પાઉન્ડે ઇમેજિસ્ટ પોએમ (દૃશ્યકાવ્ય)ને જન્મ આપ્યો પણ કવિતાને આધુનિક અને સાચા અર્થમાં અમેરિકન બનાવવાનું શ્રેય વિલિયમને ફાળે જાય છે. ટી. એસ. એલિયટ જ્યારે અમેરિકી કવિતાને અઘરી અને સમયચક્રમાં પાછળ તરફ લઈ જઈ રહ્યા હતા, ત્યારે એમના પ્રખર વિરોધી વિલિયમે કવિતામાં સમસામયિક અમેરિકી રીતભાત-બોલી અને રોજિંદા વિષયવસ્તુઓને કવિતાના તાણાવાણા બનાવી આધુનિક્તાના સ્વાંગે સજાવી બતાવી. આજથી સો વર્ષ પૂર્વે ૧૯૨૩માં પ્રગટ થયેલ આ કવિતાએ આખા વિશ્વના કવિઓ અને કાવ્યરસિકોને દિગ્મૂઢ કરી દીધા હતા. વીસમી સદીની અમેરિકી કવિતાની કાયાપલટ કરવામાં એનો સિંહફાળો છે. કેવળ અમેરિકા જ નહીં, વીસમી સદીનાં આધુનિક કવિતા, મુક્તપદ્ય તેમજ શાળાઓમાં કાવ્યશિક્ષણપદ્ધતિનો નવોન્મેષ કરવામાં આ રચના અગ્રેસર ગણાય છે. આ સીમાચિહ્નરૂપ કવિતાની અસર હજી આજેય કવિઓ અને કવિતાઓ પર વર્તાય છે.
એક વાક્યના ચાર ભાગ. દરેક ભાગમાં બે પંક્તિ. ચારેય ભાગમાં પહેલી પંક્તિ લાંબી પણ બીજી પંક્તિમાં એક જ શબ્દ –એકચક્રી ઠેલાનું શબ્દચિત્ર જ જાણે! વિદ્વાનોએ આ કવિતાને ‘મિનિમાલિસ્ટિક માસ્ટરપીસ’ કહી છે. બીજી પંક્તિમાં એક શબ્દ જાળવવા માટે કવિએ Wheelbarrow તેમજ Rainwater શબ્દના ટુકડા કરી દઈ કવિતાની ગતિમાં આરોહ-અવરોહ પણ જન્માવ્યા છે. આ કવિતાની શક્તિ શબ્દ-ભાષા કે રૂપકોની જટિલતામાં નહીં, પણ આપણું સમગ્ર ધ્યાન સમયસાગરની કોઈ એક જ પળ ઉપર કેન્દ્રિત થાય છે એમાં છે- વરસાદ પછીના ખેતર કે વાડાનું એક શાંત દૃશ્ય! એકચક્રી ઠેલો પ્રતિક બની જાય છે, રોજિંદા જીવનનિર્વાહ માટે અનિવાર્ય ક્ષુલ્લક કે સામાન્ય ચીજોનું, જે નજર સામે જ હોવા છતાં કદી આપણાં ધ્યાનમાં આવતી નથી. હકીકતે આપણું જીવન આવી નાની નાની રોજમરોજની ચીજો પર જ ટકેલું છે. એટલે જ કવિએ ‘ઘણું બધું નિર્ભર છે’ કહ્યું છે.
આ કવિતા આપણને કવિતા વાંચતા-સમજતા પણ શીખવાડે છે. એ કહે છે કે જોતાં શીખો, અર્થઘટન કે વિવેચના નહીં. કારણ કે કાવ્યસત્યાર્થ ઘણીવાર શબ્દો કે રૂપકમાંથી નહીં, પણ છબીની સટિકતા અને શુદ્ધતામાંથી સ્ફુટ થતો હોય છે.
તારા દુઃખોથી ઘવાયેલા અંતરના ઊંડાણથી
મને તારો હાથ આપ.
તું હવે આ પથ્થરની કિલ્લેબંધીમાંથી પાછો નહીં ફરે.
તું હવે આ સમયના ભૂગર્ભમાંથી બહાર નહીં આવે.
તારો તૂટેલો અવાજ પાછો નહીં આવે,
ને તારી ફૂટી ગયેલી આંખો ફરી નહીં ઉઘડે.
ધરતીના તળિયેથી મારી સામે જો,
ખેતરના ખેડનાર, વણકર, નરમ ભરવાડ,
કુળપ્રતીક ગાયોના પાલક,
જોખમી પાલખ પર ઉભેલા કડિયા,
એન્ડીઝના આંસુ ખાળનાર,
રુક્ષ આંગળીઓવાળા ઝવેરી,
રોપાઓ વચ્ચે બેચેન ખેડૂત,
પોતાની માટીમાં ઓગળી ગયેલા કુંભાર—
આ નવજીવનના પ્યાલામાં
તારા પ્રાચીન દફન થયેલા દુઃખો ભરી દે.
મને તારું લોહી અને તારો ચાસ બતાવ;
મને કહે: અહીં મને કોડા મારવામાં આવ્યા હતા
કારણ કે રત્ન જરા ઝાંખું હતું અથવા તો ધરતીએ
ધર્માદો ભરવા જેટલા ય પાક કે પથ્થર ન આપ્યા.
મને એ પથ્થર બતાવ જેના પર ઠોકર ખાઈને તું પડ્યો હતો,
અને એ ક્રોસ બતાવ જેના પર તેમણે તારા શરીરને જડી દીધું હતું.
જૂનાં ચકમક ઘસીને સળગાવ પુરાણા દીવાઓને, સળગાવ સદીઓથી ઘા પર
ચોંટેલા ચાબુકને અને સળગાવ લોહીથી ચમકતી કુહાડીઓને.
હું તમારા મૃત મુખ વતી બોલવા આવ્યો છું.
આખી ધરતી પરના
મૃત હોઠોને એકઠા કરો,
આ લાંબી રાતને મારી બાજુમાં એવી ગોઠવો
જેથી લાગે કે હું તમારી સાથે જ અહીં લંગર નાખીને પડ્યો છું.
અને કહો મને બધી કથા, સાંકળ દર સાંકળ,
કડી દર કડી, અને પગલે દર પગલે;
એ છરીઓની ધાર કાઢો જે તમે છુપાવી રાખી હતી,
તેમને મારી છાતીમાં અને મારા હાથમાં ભોંકી દો,
સૂર્યકિરણોના ધાડાની જેમ,
ધસમસતા મૃત દીપડાઓની જેમ,
અને મને રડવા દો: કલાકો સુધી, દિવસો સુધી, વર્ષો સુધી,
અંધ યુગો સુધી, યુગાંતરો સુધી.
અને આપો મને મૌન, આપો મને પાણી, આપો આશા.
મને સંઘર્ષ આપો, લોઢું આપો, જ્વાળામુખી આપો.
તમારા શરીરોને ચુંબકની જેમ મારા શરીર સાથે ચોંટી જવા દો.
ઝડપભેર મારી નસોમાં અને મારા મુખ સુધી આવો.
બોલો મારા શબ્દોથી, અને મારા લોહીથી બોલો.
– પાબ્લો નેરુદા
(અનુવાદઃ ધવલ શાહ)
આજે પથપ્રવર્તક રચનાઓમાં બીજી પસંદગી હું ચીલી દેશના મેઘાવી કવિ પાબ્લો નેરુદાની શિરમોર રચના ‘માચુ પિચ્ચુની ઊંચાઈઓ’ની કરું છું.
આ કવિતા સમજવા માટે પહેલા આપણે નેરુદા અને એમના સમય-સ્થાનને સમજવા રહ્યા.
પાબ્લો નેરુદાએ એમના લેખનની શરૂઆત ઉત્કટ પ્રેમ કવિતાઓથી કરી. એમનો પ્રેમકાવ્યોનો પહેલો જ સંગ્રહ એવો તો અદભુત હતો કે આજે પણ એમની પ્રેમ-કવિતાઓ વંચાય, વખણાય અને જીવાય છે. (એ કવિતાઓનો જાદુ સમજવા માટે રસિકોને Il Postino: The Postman ફિલ્મ જોવા ભલામણ છે.)
પણ સમય જતા અને દુનિયાને જોવાના અનુભવમાંથી પસાર થતા (નેરુદાએ દસ વર્ષથી વધુ સમય એશિયા અને યુરોપના વિવિધ દેશોમાં ચિલીની દૂતાવાસોમાં કાઢેલો) કવિ ધીરે ધીરે રાજકીય વિચારો તરફ ખેંચાતા ગયા અને સામ્યવાદના રંગે રંગાતા ગયા.
1940ના દાયકાની શરૂઆતમાં કવિ માચુ પિચ્ચુની મુલાકાતે ગયા. માચુ પિચ્ચુ એ પંદરમી સદીમાં ઈન્કા સંસ્કુતિના લોકોએ એન્ડિઝના ઊંચા શિખરોની ઉપર બનાવેલું શહેર છે. પથ્થરમાં જાણે કવિતા રચી છે એમ કહી શકો. આ શહેર ચાર સદીઓ સુધી ભુલાઈ ગયેલું અને 1911માં ફરી મળી આવેલું.
માચુ પિચ્ચુની સફર નેરુદા મારે પ્રસવપીડા સમાન નીવડી.
નેરુદા એક તો દુનિયા જોઈને માણસાઈથી હાથ ધોવા પર આવી ગયેલા. શહેરોમાં વસતા માણસોની એકલાતા અને પીડા એમના મનમાં ઘૂમતી હતી. સામે સામ્યવાદી વિચારધારા એમને બીજી બાજુ ખેંચાતી હતી. આ બધાની વચ્ચે માચુ પિચ્ચુની પાષાણ-દુનિયાની યાત્રા એમના પર સિદ્ધાર્થની નગરયાત્રા જેવી અસર કરી ગઈ.
થોડા સમય પછી એમણે ‘માચુ પિચ્ચુની ઊંચાઈઓ’ નામનું દીર્ઘ કાવ્ય પ્રગટ કર્યું. એના બાર સર્ગ છે. શરૂઆતમાં કવિ આધુનિક નાગરોના ખાલીપા, નૈતિક અધઃપતન, માણસને મારી નાખરી એકવિધતા અને એક માત્ર વિકલ્પ મૃત્યુની વાત કરે છે. માચુ પિચ્ચુને જોતા જ એ એના પ્રેમ પડી જાય છે. પહેલા એ નગરનો અને પછી એ નગરના નિવાસીઓનો વિચાર કરવા માંડે છે. એમને ધીમે ધીમે ખ્યાલ આવે છે કે આ નગર કોઈ રાજાનું નગર નથી. આ તો ત્યાંની સ્થાનિક પ્રજાનું સર્જન છે જેને ઇતિહાસ સંપૂર્ણપણે ભૂલી ગયો છે.
અને કવિતાની ચરમસીમા એના બારમા સર્ગમાં આવે છે જેને અહીં રજુ કર્યો છે.
પેહેલી જ પંક્તિમાં કવિ માચુ પિચ્ચુના ભૂલાયેલા સ્થાનિક લોકોને આવાહન કરે છે: ‘ઊઠ મારી સાથે જન્મ લે, મારા ભાઈ.’ કવિ પોતાનો નવો જન્મ થતો જુવે છે અને સાથે જ ભુલાયેલી પ્રજાને પણ ફરી જન્મ લેવા કહે છે.
ધરતીના ઊંડાણમાંથી, સમયની ગર્તમાંથી, પથ્થરની કેદમાંથી એ ભુલાયેલી પ્રજાને બહાર આવવા માટે સમજાવે છે. એ રાજાને નથી બોલાવતા પણ ખરી પ્રજા – ખેડૂત, વણકર, ભરવાડ, કડિયા, ઝવેરી, કુંભાર – ને બોલાવે છે. એ એમના દુઃખો અને એમના પાર થયેલા સીતમોમાં ભાગીદાર થવા માંગે છે.
કવિ ઈચ્છે છે કે મૃત લોકો એમના મોઢા દ્વારા ફરી બોલે. અને શું બોલે? એમની ભુલાયેલી કથા બોલે. એક એક ઘા ની કથા બોલે. સાંકળોની વચ્ચે જીવાયલી એમની જિંદગીની વ્યથાઓ બોલે. એમની એક એક પીડાઓ બોલે. અને કવિ આ પીડાને યુગો સુધી જીવ્યા કરે.
કવિના માટે આ યુગોની પીડામાંથી ફરી ને ફરી પસાર થવાની સફર છે. એટલે જ એ છેલ્લી પંક્તિમાં લખે છે: “બોલો મારા શબ્દોથી, અને મારા લોહીથી બોલો.”
કવિ પોતે ભુલાઈ ગયેલી સ્થાનિક પ્રજાની પીડાને પ્રગટ કરવાનું સાધન માત્ર બની જાય છે.
કવિતા પ્રગટ થતા જ આ પ્રચંડ અનુભવના વિશાળ પડઘા ચારે તરફ પડ્યા. આ કવિતા -અને એને સમાવતા આખા સંગ્રહ Canto General (‘સાર્વત્રિક ગીત’)- એ લેટિન અમેરિકાના લોકોની સામુહિક ચેતનાને જગાડી દીધી. અત્યાર સુધી લેટિન અમેરિકન પ્રજા પોતાને colonial નજરથી જ જોવા ટેવાયેલી હતી. આ કવિતાએ એમને પોતાની સંસ્કૃતિને માન આપતા શીખવાડ્યું. દેશની સીમાઓ તોડીને લેટિન અમેરિકા એક ખંડ તરીકે સાથે ઉભો રહેતો થયો. એ યુરોપિયન ઘૂસ્ણખોરોએ ભેટ આપેલી લઘુતાગ્રંથીમાંથી બહાર આવીને પોતાની એક ઓળખાણ ઉભી કરી શક્યો.
થોડા લોકો પર અસર કરી શકે તો ય કવિતાનું જીવન સિધ્ધ થયું ગણાય. અને આ કવિતાએ તો એક ઝાટકે એક આખા ખંડની દિશા બદલી નાખી.
જ્યારે નેરુદાને નોબેલ પારિતોષિક મળ્યું ત્યારે નોબેલ કમીટીએ નોંધેલું: “….a poetry that with the action of an elemental force brings alive a continent’s destiny and dreams.”
નીચતાએ નીચ લોકોને મળેલો પરવાનો છે,
ઉમદાપણું એ ઉમદા લોકોનો સમાધિ-લેખ છે.
જુઓ, આ સોનામઢયું આકાશ કેવું ઘેરાયેલું છે,
મૃતકોના તરતા બેડોળ પડછાયાઓથી.
હિમયુગ હવે વીતી ગયો છે,
તો પછી ચારેબાજુ બરફ કેમ છે?
‘કેપ ઓફ ગુડ હોપ’ શોધાઈ ગઈ છે,
તો પછી હજારો વહાણો મૃત સમુદ્રમાં કેમ ઝઝૂમે છે?
હું આ દુનિયામાં આવ્યો છું,
માત્ર કાગળ, દોરડું અને પડછાયો લઈને,
ચુકાદા પહેલાં એ અવાજની ઘોષણા કરવા,
જેને પહેલેથી જ દોષિત ઠેરવવામાં આવ્યો છે:
સાંભળી લે, ઓ દુનિયા,
હું—માનતો—નથી!
જો તારા પગ નીચે હજારો પડકારનારાઓ કચડાયેલા પડ્યા હોય,
તો મને ગણજે એક હજાર ને એકમો.
હું નથી માનતો કે આકાશ ભૂરું છે;
હું નથી માનતો ગાજવીજના પડઘાઓમાં;
હું નથી માનતો કે સપનાઓ જુઠ્ઠા હોય છે;
હું નથી માનતો કે મૃત્યુનો કોઈ બદલો નથી હોતો.
જો સમુદ્ર કિનારાની પાળ તોડવા જ સર્જાયો હોય,
તો ભલે બધું ખારું પાણી મારા હૃદયમાં ભરાઈ જાય;
જો જમીન ઊંચે આવવા જ સર્જાઈ હોય,
તો માનવજાતને અસ્તિત્વ માટે ફરી કોઈ શિખર પસંદ કરી લેવા દે.
એક નવો સંયોગ અને ટમટમતા તારલાઓ
હવે ખુલ્લા આકાશને શણગારે છે;
એ પાંચ હજાર વર્ષની ચિત્રલિપીઓ છે,
એ આવનારી પેઢીઓની ચાંપતી નજર રાખતી આંખો છે.
– બેઈ દાઓ
(અનુવાદઃ ધવલ શાહ)
જગતનો ઇતિહાસ બદલવામાં ચાવીરૂપ કવિતાઓમાં આ પહેલી પસંદગી છે ચીનના વિદ્રોહી કવિ બેઈ દાઓની સૌથી જાણીતી રચના.
ટિઆનનમેન સ્કવેરમાં જ્યારે દેખાવો થાય હતા ત્યારે હજારો લોકો આ કવિતાની ધ્રુવપંક્તિ “”સાંભળી લે, ઓ દુનિયા, હું—માનતો—નથી!”ના પોકારો કરતા નીકળી પડેલા. આખી દુનિયા ક્રાંતિના પડઘમને બહુ આશાભરી નજરથી જોઈ રહી હતી. કમનસીબે એ ક્રાંતિને ચીનની સરકારે દાબી દીધી. હજારો લોકોનું લોહી વહ્યું અને તો ય સ્વતાંત્રતાનું સપનું તો વાંઝણું જ રહ્યું.
એના પરિણામે, બેઈ દાઓએ વર્ષો સુધી દેશ છોડી દેવો પડ્યો. આ બધા છતાં બેવતન કવિએ પોતાનો અવાજ કદી મોળો પાડવા દીધો નથી.
આ તો વાત થઇ પૃષ્ઠભુમીની. હવે વાત કરીએ કવિતાની.
આ કવિતા લખાયેલી છેક 1976માં એપ્રિલ 5ની ચળવળના અનુસંધાનમાં. (એ ચળવળના ઇતિહાસમાં ઊંડો ઉતરવાનું અહીં અસ્થાને છે) આ કવિતાએ ચીનમાં એક નવી જાતના કવિતા પ્રકારને -જેને ‘ધુમ્મસની કવિતા’ કે ‘અમૂર્ત કવિતા’ કહેવાય છે – જન્મ આપ્યો. આ કવિતામાં વિદ્રોહ અને મુક્તિની વાત રૂપકોની મદદથી કહેવાઈ છે.
કવિ શરૂઆત કરે છે કે નીચતાએ નીચ લોકોને નીચ કામ કરવાનો જાણે પરવાનો છે. જ્યારે ઉમદાપણું એ ઉમદા લોકોની કબર પરનો સમાધિ-લેખ છે એટલે કે એમને પોતાને જ દબાવી રાખે છે. સરકારે બતાવેલા સપના માટે કવિ સોનામઢયું આકાશ એવો શબ્દ વાપરે છે પણ એમાં એમને મૃતકોના પડછાયા દેખાય છે.
કવિ કહે છે કે હિમયુગ વીતી ગયો છે અને ‘કેપ ઓફ ગુડ હોપ’ શોધાઈ ગઈ છે – એટલે કે કહેવાતી ‘ક્રાંતિ’ થઇ ગઈ છે તો પછી હજુ પણ કેમ ચારે બાજુ બરફ છે અને લોકો હજુ દિશા વિહોણા છે?
કવિ એવા અવાજને વાચા આપવા માંગે છે જેને ચુકાદા પહેલાં જ દોષી જાહેર કરવામાં આવ્યો છે.
અને પછી આવે છે કવિતાની ધ્રુવપંક્તિ :
“સાંભળી લે, ઓ દુનિયા,
હું—માનતો—નથી!”
એ આકાશના ભૂરા હોવા જેવી વાત પણ માનવાનો ઇન્કાર કરે છે. એ પણ માનવાનો ઇન્કાર કરે છે કે ગાજવીજના પડઘા એટલે કે અત્યાચારનું પુનરાવર્તન થશે. એ સપનાઓની સચ્ચાઈ અને અત્યાચારના બદલામાં પોતાની માન્યતા જાહેર કરે છે.
જો અત્યાચારનો સાગર પાળ તોડીને આવવાનો જ હોય તો કવિ પોતાના હૃદયમાં એ ખારું પાણી ભરી લેવા તૈયાર છે. (અહીં વિષ પી જવા તૈયાર શંકર ભગવાન યાદ આવે છે) અને સાથે માનવજાતને આવાહન કરે છે કે એણે પોતે જ નવું શિખર શોધી કાઢવું પડશે જ્યાં અત્યાચારી સાગર પહોંચી શકે નહીં.
કવિ છેલ્લે આશા ભરી વાત કરે છે. એ આ નવા સંજોગને આવકારે છે. તારાભર્યાં આકાશમાં એમને એકસાથે પાંચ હજાર વર્ષોની ચિત્રલિપી (ચીનની આદિ સંસ્કૃતિ) અને આવનારી પેઢીઓની ચાંપતી નજર બંને એક સાથે દેખાય છે.
હજુ સુધી બેઈ દાઓને નોબેલ પુરસ્કાર મળ્યો નથી. પણ મારું માનવું છે કે નજીકના ભવિષ્યમાં જ એમને એ પુરસ્કાર અવશ્ય મળશે.
એ ભીતર જ છે, જે બહાર પ્રગટે છે, જ્યારે હું એમને
ત્યાં ભરતડકામાં ખંતપૂર્વક મધ્યપશ્ચિમી લૉન કાપતા
વિચારું છું. મારી પાસે બચી છે કેવળ કેટલીક નોંધ,
એક વસૂકાઈ ગયેલ કલમ, અને બારીમાં આવતી ડુંગળીના
પુષ્પોની સુગંધની સ્મૃતિ. ચિંતન જ મારું જન્મજાત માધ્યમ છે.
હું ક્યારેય પહોંચતી નથી, બસ ક્ષણિક સંવાદ સાધુ છું સ્વયં
અને અન્યો વચ્ચેની વસ્તુગત સ્થિતિઓ પર. મારો દેશ
મને પ્રેમથી, કાળાંતરે પ્રતિરક્ષિત કરી રહ્યો છે. મારો દેશ જકડી રહ્યો છે
મને ઇચ્છાની પેઠે. અગર આપ અનુરોધ કરશો તો હું આપને દેખાડીશ મારાં
પ્રમાણ, યાને કે મારી જીવંત વ્યાખ્યા. આ રહ્યાં અમે, મારા પિતા
અને હું, ન કોઈ વિરોધ, ન ટકરાવ, બસ, એક નાનકડી ભેટ: જીવનમાં જ્યારે
થોડી ઉપલક આવકનો સમાસ થાય છે, ત્યારે નિષ્પ્રયોજન કપાયેલ પુષ્પો
રસોડાના મેજ પર ઊગી આવે છે. હજીય સંભવ છે. શું હું સાચે જ જીવી રહી છું? શું હું
પુનરીક્ષણનો મારા દેવતા અને ઉદ્ધારક તરીકે અંગીકાર કરું છું?
હા, હું કરું છું, અને હું છું, અને મારા ચીની પિતાના નામ પર, જે હવે ઓજારો સમેટીને
ભીતર લાવી રહ્યા છે, માથે પરિશ્રમનું તેજ, પણ હોઠો પર કાયમી સ્મિત,
શ્રદ્ધાહીન પરંતુ સતર્ક– એ સમયના સંરક્ષણાર્થે, જેમાં હજીય હું કંઈક
બની શકું, આમીન.
ચીનથી અમેરિકા આવીને સ્થાયી થવા છતાં વતન સાથે જોડાઈને જીવતાં પિતા-પુત્રીના સંબંધનું ગણિત દીકરી માંડે છે. ભરતડકે ઘરનું રોજિંદુ કામ કરતાં પિતાને નિહાળતાં નિહાળતાં દીકરીનું અંતસ્તત્વ પ્રગટ થાય છે. એનું વર્તમાન અને ભાવિ બંને અવઢવમાં છે. સિલકમાં કેટલીક નોંધ, રાઇટર્સ બ્લૉકના શરણે જઈ ચડેલ કલમ અને કેટલીક યાદો જ બચ્યાં છે. પણ વતનપ્રેમ અને વતનનાં સંસ્કાર એને નવા દેશ અને સ્વયં- બંને સામે રક્ષણ આપે છે. રહી રહીને પોતાના અસ્તિત્વ અંગે શંકા પણ જન્મે છે, અને પોતાના ભવિષ્ય માટે સતત સતર્ક અને પ્રયત્નશીલ પિતાને જોઈને એનું આપોઆપ નિવારણ પણ થઈ જાય છે.
Looking at My Father
It’s the inside which comes out, as I contemplate
him there half in sunlight, weeding diligently
a Midwestern lawn. On my persons, I have only notes
and a drying pen, the memory of onion blossoms
scenting in a window. Reflection is my native medium.
I am never arriving, only speaking briefly on material
conditions between myself and others. My country
inoculates me lovingly, over time. My country grasps me
like desire. I will show you my credentials, which is to say
my vivid description, if you ask. Here we are, my father
and I, never hostile, a small offering: pointless cut flowers
appear on the kitchen table when one finally arrives
into disposable income. Still possible. Am I living? Do I
accept revision as my godhead and savior?
I do and I am, and in the name of my Chinese father now
dragging the tools back inside, brow shining but always
a grin, faithless except to protect whatever I still have time
to become, Amen.
લઘુકાવ્યની એક આખી અલગ જ દુનિયા છે. ઇમેજિસ્ટ પોએટ એઝરા પાઉન્ડે દોઢ જ પંક્તિમાં અજરામર કાવ્ય આપ્યું -‘ઇન અ સ્ટેશન ઑફ ધ મેટ્રો!’ ગુજરાતી કવિઓય કંઈ પાછા પડે એમ નથી. સુન્દરમે દોઢ જ પંક્તિમાં પ્રેમનો આખેઆખો ઉપનિષદ આપ્યો છે –તને મેં ઝંખી છે… તો રાજેન્દ્ર શાહે પણ બે પંક્તિમાં સંકુચિતતાના ત્યાગનો મહિમા વર્ણવ્યો છે- ઘરને ત્યજી જનારને… લઘુકાવ્ય એટલે જાણે કે હાઇકુ. પીંછીના ઓછામાં ઓછા લસરકે સર્જક આખેઆખું ચિત્ર કે મનોભાવ તાદૃશ કરી બતાવે. પ્રસ્તુત કાવ્ય પણ આવું જ મજાનું લઘુકાવ્ય છે. કોઈપણ પ્રકારની સરખામણી કર્યા વિના જ કહી શકાય કે દોઢ જ પંક્તિમાં કવિએ અલ્ઝાઇમરની બિમારીનું સુવાંગ ચિત્રાંકન સફળતાપૂર્વક કરી બતાવ્યું છે. બાહોશ ફોટોગ્રાફર કોઈ મનહર દૃશ્યને આખેઆખું આબાદ ઝડપી લે એ જ કુશળતાથી દોઢ જ પંક્તિમાં કવિએ બિમારીને ઝીલી બતાવી છે…
તારી યાદથી
જેકરંદાને ફૂલ ખીલે છે
ને જાંબુડી પર બેસે છે
ભૂખરાં ફળ.
તારા હસવાથી
થઈ પાણી વહે છે
શરીરની તમામ સરહદો
તારી કસ્તૂરીનજર
દોડતાં કરી મૂકે છે
મારી અંદર મૃગલાઓને
કોઈ અજાણી શોધમાં.
તારો અવાજ
ભરી દે છે શ્વાસમાં
ભીની માટી, સુક્કાં બીજ,
ને માદક સાલનાં ફૂલોની
ઓળઘોળ થઈ જતી સુવાસને
તું કોણ છે જે ઊઘડે છે આમ
મારામાં થઈને વનરાજી?
– પ્રતિષ્ઠા પંડ્યા
પરમેશ્વર, પ્રકૃતિ અને પ્રણય –વિશ્વની દરેક ભાષાની કવિતાઓના કેન્દ્રમાં રહ્યા છે. પ્રસ્તુત રચનામાં પ્રકૃતિને માધ્યમ બનાવીને સર્જકે પ્રણયની પરમોત્કૃષ્ટ પળ આલેખી છે. યાદ રહે, અહીં કેવળ પ્રિયતમની યાદ, હાસ્ય, નજર અને અવાજથી નાયિકાના તનમનમાં થતા જાદુની જ વાત છે. સ્પર્શ, આલિંગન કે ચુંબનને તો હજી કાવ્યપ્રવેશનું સુખ પણ મળ્યું નથી. સ્પર્શ પહેલાં જ શરીરની તમામ સરહદો પાણી પાણી થઈ જાય છે, કાંઠાઓ ઓગાળી વહી નીકળે છે… પ્રણયનો આ કેવો ઉચ્ચ તબક્કો હશે, જ્યાં એક પાત્ર બીજી પાત્રમાં સમસ્ત વનરાજી થઈને ઉઘડતી હશે!
(જેકરંદા અને સાલનાં વૃક્ષથી અજાણ મિત્રો માટે ગૂગલદેવતાની મદદથી મેળવેલ ફોટોગ્રાફ્સ હાજર છે.)
વર્ષોની શબ્દસાધનાથી
ખુશ થઈ
વહેલી સવારે મા શારદા પ્રગટ થયાં.
એમણે કહ્યું, “માગ માગ, માગે તે આપું’
મેં કહ્યું, ‘કલ્પવૃક્ષ’.
માએ કહ્યું, “તથાસ્તુ”.
બીજી ક્ષણે તો હું કલ્પવૃક્ષ પાસે.
એવું કહેવાય છે કે,
‘કલ્પવૃક્ષની નીચે બેસીએ તો બધી ઇચ્છા પૂર્ણ થઈ જાય છે’
હું એની નીચે બેસવા જાઉં ત્યાં જ
કલ્પવૃક્ષ બોલી ઊઠ્યું…
‘આવો કવિરાજ,
તમે અહીં
અમારું સદભાગ્ય.
આજે ચોથા પહોરમાં મને સપનામાં
મા શારદા આવ્યાં અને કહ્યું કે,
“જા તને કલમવૃક્ષ નીચે બેસવા મળશે”
હજુ તો આંખ ખોલું ત્યાં સામે તમે…
બાય ધ વે…
તમે કેમ આ બાજુ પધાર્યા?
કોઈ ઇચ્છા હોય તો બોલો
તુરંત પૂર્ણ થશે.’
મેં સંકોચાતાં કહ્યું,
‘કોઈ ઇચ્છા નહીં,
અમસ્તો આ બાજુ આંટો મારવા નીકળ્યો.’
– હરદ્વાર ગોસ્વામી
દેવો અને દાનવોએ મળીને સમુદ્રમંથન કર્યું ત્યારે અમૃત હાથ લાગતા પહેલાં જે ચૌદ રત્નો નીકળ્યાં એમાંનું એક તે કલ્પવૃક્ષ. એવું માનવામાં આવે છે કે આ વૃક્ષ નીચે બેસીને જે કોઈ ઇચ્છા કરવામાં આવે એની પૂર્તિ થાય છે. કલ્પવૃક્ષને કેન્દ્રમાં રાખીને કવિએ કલમવૃક્ષ નામે સરસ મજાની સહજસાધ્ય રચના કરી છે…
અમે ખૂબ વરણાગિયા જાતિના લોકો છીએ –
અમારા વડવા તો
ત્રણ બાંયનું ખમીસ પહેરતા હતા.
એમના વડવાના વડવા તો
કફનને જ કામળીની જેમ અંગે વીંટાળતા હતા.
એમના વડવાના વડવાના વડવા તો
નરી ચામડીને જ ઓઢીને ફરતા હતા.
હુંય કાંઈ ઓછો વરણાગિયો નથી –
સી. જી. રોડના શૉ રૂમ સામેની ફૂટપાથ વાળતો હતો
ને શેઠે આપ્યું
કાંઠલા વગરનું, બટન વગરનું, બાંય વગરનું એક બાંડિયું.
તે સલમાન ખાનની જેમ છાતી કાઢીને ફરું છું
ને સંજય દત્તની જેમ બાવડાં બતાવું છું સવર્ણાઓને.
જાતવાન જુવાનિયા તો
મારા લિબાસનું લેબલ જોવા અધીરા થઈ ઊઠે છે.
બિચ્ચારા…
મારી અસ્પૃશ્ય બોચીને અડક્યા વિના કેમ કરી ઓળખે
કે આ તો ઑડ-સાઈઝનું પીટર ઈંગ્લૅન્ડ છે!
અમે તો ખૂબ વરણાગિયા કોમ છીએ.
– નીરવ પટેલ
કવિતા વાંચી ત્યારે ત્રણ બાંયના ખમીસે ખૂબ ગૂંચવાડો સર્જ્યો. ત્રણબાંયવાળું ખમીસ કોઈ પ્રકારનું રૂપક હશે કે સાચે જ એવા ખમીસ કોઈક જમાનામાં અસ્તિત્વમાં હશે કે પછી આ કોઈ પ્રકારનો રુઢિપ્રયોગ હશે? મુરબ્બી કાનજી પટેલે દલપત ચૌહાણ જેવા કવિઓ સુધી પહોંચ લંબાવી બે-ત્રણ સંપર્કોના આધારે તારણ આપ્યું કે, દલિત બંડી સીવે ત્યારે બે હાથ માટે બે બાય, અને વધારામાં પીઠ પર ત્રીજી લટકતી બાય રાખવી પડતી. જેથી પાછળથી પણ દલિત ઓળખાઈ જાય. દલિતો માટે શહેરમાં તો પરિસ્થિતિ થોડી સુધરી છે, પણ અંતરિયાળ ગમાડાઓમાં કદાચ આજેય અસ્પૃશ્યતાનો અજગર જનમાનસને ભરડો લઈ ગૂંગળાવી રહ્યો છે. એક જમાનામા દલિતોએ જાહેરમાં જવાનું થાય ત્યારે પાંચ વાનાં ધારણ કરવાં પડતાં- ૧) માથે કાચા સૂતરની આંટી પાઘડી તરીકે બાંધવાની રહેતી, ૨) પીઠે ત્રીજી બાંય હોય એવી બંડી કે ખમીસ પહેરવાનાં રહેતાં, ૩) થૂંકવા માટે ગળામા કુલડી લટકાવી રાખવાની રહેતી, ૪) જમીન પર પોતાનાં જે પગલાં પડે એને સતત ભૂંસતા રહેવા માટે કમરે ઝાંખરાં લટકાવવાના રહેતા, અને ૫) સવર્ણ વ્યક્તિ ભૂલથી પણ પોતાને અડી ન લે એ માટે મોટેથી પોશ પોશ બોલતા રહેવું. નેટવિહાર કરવાનું ચાલુ રાખતાં અંતે કવિએ પોતે લખેલ પાદટીપ પણ જડી આવી: In medieval Gujarat, untouchables, now known as dalits, were forced to wear 3-sleeved shirt so that caste-Hindus could identify them easily and keep away from them. The local dalit folklore has a hero called Mayo Dhed who sacrificed his life for doing away with such humiliating practice.
The Song Of Our Shirt – Neerav Patel
We are a fashionable caste
Or tribe you may call :
Our forefather Mayo Dhed
Had a shirt of 3 sleeves,
His father had a shroud as his shirt
And his father wore a shirt of his own skin.
I am no less fashionable –
Just got a pocketless, sleeveless, buttonless
Peter England, the second
From the pavements I sweep.
Every passerby is tempted to pay his respects
To the label of the lords
But without touching my collar-bone.
Our shirt has a song to sing.
Of bizarre fashions.
– Neerav Patel
(Eng. Translation from Gujarati by poet himself)
September 19, 2025 at 11:16 AM by વિવેક · Filed under અછાંદસ, કમલ વોરા
એક વૃદ્ધ અને
સરખામણીએ થોડો ઓછો વૃદ્ધ
ક્યારના
પાસપાસે મૂંગેમૂંગા બેઠા છે
હવે
કહેવા-સાંભળવાનું કંઈ બચ્યું નથી
અમથી અમથી આડીઅવળી વાતો
હોઠોને ફફડાવે તે અગાઉ તો
ઓસરી જાય છે
વૃદ્ધો ખાલી નજરથી
એકમેકને સતત જોયા કરે છે
એમને એ
વસ્તી ઉચાળા ભરી ગઈ હોય તે પછીના
વેરાન જેવી લાગે છે
ક્યારેક કંપ—વાથી ધ્રૂજતો એક હાથ આગળ વધી
બીજો હાથ હાથમાં લેવા જાય છે
એટલું જ
પાસપાસે બે ખડક પડ્યા હોય એમ
બન્ને બેસી રહે છે
થોડી વારે
એક વૃદ્ધ બીજાને પથારી સુધી
દોરી જાય છે
માથે હાથ પસવારતો કોઈ ગીત ગણગણે છે
ઘેરા અંધારામાં
નિસ્તેજ આંખો
બિડાવા માટે મથ્યા કરે છે
– કમલ વોરા
ગુજરાતી સાહિત્યજગતમાં કેટલીક ઘટનાઓ એમની અભૂતપૂર્વતાના કારણે નોંધનીય બની છે, એમાંની એક તે કવિનો ‘વૃદ્ધશતક’ નામે અછાંદસસંગ્રહ. સંગ્રહમાં વૃદ્ધ અને વૃદ્ધત્વને કેંદ્રમાં રાખીને લખાયેલ એક-બે નહીં, સો-સો રચનાઓ છે. સમજી શકાય એવી વાત છે કે કવિએ વૃદ્ધાવસ્થાના તમામ પાસાંઓને બે પૂઠા વચ્ચે આવરી લેવાની કોશિશ કરી હશે. સંગ્રહમાંથી એક રચના અહીં રજૂ કરીએ છીએ. રચના વિશે એકેય શબ્દ મારે કહેવો નથી. રચના આપના ભાવવિશ્વને જે રીતે સ્પર્શે એ જ કવિની અને આપની –ઉભયની ઉપલબ્ધિ!
મા, સાવ નાનકડા ઘરમાં
-અરે ઘર શાનું? ઝૂંપડું જ-
એમાં કોઈ કબાટ, તિજોરી, પેટી વગર
વ્યવસ્થાના અભાવને અવગણીને
માત્ર ઘર ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને
તું શું કરી શકે છે એના ઉપર ધ્યાન આપીને
ઘરના બધા જ સભ્યોનો સામાન
વ્યવસ્થિત ગોઠવવાની તારી જે સૂઝ હતી
એ મને કામ આવી
હું પણ હવે પીડાને અવગણીને
અભાવોને નજરઅંદાજ કરીને
માત્ર હું શું કરી શકું છું એના ઉપર ધ્યાન આપીને
જેના ફકરાના ફકરા ભરાઈ શકે
એવા વિચારોને માત્ર બે લીટીમાં ગોઠવી શકું છું!
– વિકી ત્રિવેદી
લયસ્તરો પર આજે કવિના અછાંદસ સંગ્રહ ‘સંવેદનાનો વેદ’ને પોંખીએ…
નાનું અમથું પણ સ્વયંસ્પષ્ટ કાવ્ય. ગઝલના શેરની બે લીટીના ઘરમાં જે કવિને માફક આવી ગયું છે, એ પોતાની આવડતના મૂળ સાથે આપણો પરિચય કરાવવા માટે નાનકડા પણ મજાના અછાંદસનું માધ્યમ પ્રયોજે છે…
હું હજી આંખ ખોલતી નથી
એક સપનું ચાલ્યા કરે છે મનમાં
આંખના કમાડ પર હલ્લો બોલતી
કાળીડિબાંગ રાતોને સાવ અવગણીને
એ ભર્યે રાખે છે
ઝીણીઝીણી ટીલડીઓ
ફાટેલા આકાશમાં
રાતને અંદર ધસી આવતી રોકવા
ધણધણતા કમાડ પર પીઠ ટેકવીને ઊભી છું
ઊંડા શ્વાસ ભરતી રાહ જોઉં છું
પણ રાત મૂકતી નથી છેડો
ચાંપે છે અંધારાભરી મશાલ
મારા ઘરના છાપરા પર
એની કાળી જ્વાલાઓની લપેટમાં
ઇચ્છે છે મને ભસ્મ કરવા
નરસિંહના હાથની જેમ બળું છું
આખેઆખી મશાલ ભેગી
ને તોય જોયે રાખું છું સપનાં
કોઈ ઝાંખા અજવાળાનાં
જેમાં જોવાં મારે પરવાળાં ખીલતાં
મારા બાળની આંખોમાં.
– પ્રતિષ્ઠા પંડ્યા
લયસ્તરો પર આજે કવયિત્રીના નવ્ય સંગ્રહ ‘નરસંહારના સમયમાં પ્રેમ’ને સ્નેહપૂર્વક આવકારીએ…
સ્ત્રી અને પુરુષ સર્જકોને અલગ વિભાગમાં ન વહેંચીએ, તોય સુશ્રી પ્રતિષ્ઠા પંડ્યાનું કવિકર્મ નોખી નિજી તરેહ પાડતું અને હાંસિયામાં ધકેલી ન શકાય એવું બળકટ છે. જે સંગ્રહમાંથી આજની રચના ઉદ્ઘૃત કરી છે, એ સંગ્રહમાંથી પસાર થતાં મારે નવ નેજાં પાણી ઉતર્યાં છે. માનવસ્વભાવની કાળી બાજુ અને શોષણખોરીને હળવા પણ મક્કમ હાથે મીઠામાં બોળેલ ચાબખા મારતાં આ કાવ્યો એકી બેઠકે વાંચવા શક્ય જ ન બને. વારંવાર છાતીમાં ભરાઈ આવતો ડચૂરો પુસ્તકને બાજુમાં મૂકાવીને જ જંપે. આ કવિતા જ જુઓ ને…
सोचती हूँ कि तुम्हें एक घर तोड़ने का इल्ज़ाम दूँ
या कि उस पुरुष के कहीं रिक्त रह गए हृदय को भरने का श्रेय
जो घर गृहस्थी के झमेलों में
शायद मेरे प्रेम को ठीक से ग्रहण नहीं कर पाया था,
तुम्हारे और मेरे मध्य
एक दूसरे से बँधने के कई कारण थे
हम उसी पुरुष से जुड़े थे
जो मुझे रिक्त कर
तुममें ख़ुद को ख़ाली कर रहा था
तुम्हारे पास जो आया था
वह मेरे प्रेम का शेष था
हमारे संबंध की बची रह गई
इच्छाओं का प्रेत,
यह कितना कठिन रहा होगा
कि तमाम समय मुझ-सा नहीं होने की चेष्टा में
मैं मौजूद रहती होऊँगी तुम्हारे अंदर
और उसकी सुनाई कहानियों के साये
आ जाते होंगे तुम्हारे बिस्तर तक
तुम मुझसे अधिक आकर्षक
अधिक स्नेहिल
अधिक गुणवती होने की अघोषित चेष्टा में
ख़ुद को खोती गईं
और मुझसे मेरा जब सब छिन गया
मैं ख़ुद को खोजने निकली
हमने जी भर कर एक दूसरे को कोसा
एक दूसरे के मरने की दुआएँ माँगीं,
हमारे मध्य एक पुरुष के प्रेम का ही नहीं
घृणा का भी अटूट रिश्ता था
मेरे पास था
एक प्रेम का अतीत
एक बीत गई उम्र
और एक बीतती जा रही देह के साथ
उसके प्रणय का प्रतीक
एक और जीवन
तुम्हारे पास था
एक प्रेम का वर्तमान
यौवन का उन्माद
देह का समर्पण
अपने रूप का अभिमान
और मेरे लिए एक चुनौती
लेकिन अपना भविष्य तो हम दोनों ने
किसी और को सौंप रखा था
यह होता कि तुमने मेरा अतीत
और मैंने तुम्हारे वर्तमान का
साझा दुःख पढ़ा होता
काश कि हमें दुखों ने भी बाँधा होता
– रश्मि भारद्वाज
વિવિધ ભાષાની મજાની કવિતાઓનો અનુવાદ કરી ગુજરાતી વાચકવર્ગ સમક્ષ રજૂ કરવું મને ગમે છે, પણ હિંદી કવિતાએ મને કાયમ મૂંઝવ્યો છે. હિંદી ભાષા આપણા વ્યવહારમાં એ રીતે અને એ હદે રચી-બસી છે કે હિંદીમાં સમજ ન પડતી હોય એવો ગુજરાતી કદાચ સપનામાં જ મળે. એમાંય આ કવિતામાં ભાષા તો કેવળ હૃદયની લાગણીઓના વહન કરવા પૂરતી જ ખપમાં લેવાઈ છે. એટલે આટલી સરળ કવિતાનો અનુવાદ કરવાના બદલે રચનાને યથાતથ આસ્વાદીએ એમાં જ ખરી મજા છે.
જે દિવસે લગ્નસંસ્થાની રચના થઈ હશે, કદાચ એ જ દિવસથી લગ્નેતર સંબંધની શરૂઆત પણ થઈ હશે. એક પત્ની પોતાના પતિની પ્રેમિકાને સંબોધવાને મિષે પોતાનું હૃદય ખાલી કરે છે એની આ રચના છે. લાખ અનિચ્છા છતાં પત્ની સ્વીકારે છે કે પોતે અને આ પરકીયા – બંને કોઈક રીતે એકમેક સાથે બંધાયેલા છે. પ્રથમ દૃષ્ટિએ બંને સ્ત્રીને બાંધનાર લઘુત્તમ સામાન્ય અવયવ એ પુરુષ છે જે કથકનો પતિ છે અને અવર સ્ત્રીનો પ્રેમી છે. પ્રેમિકા માટે પણ આ સંબંધ આસાન નથી, કારણ પ્રતિપળ સ્વયંને પુરુષની પત્નીથી ચડિયાતી સિદ્ધ કરવાની કોશિશ એને પ્રેમીની પત્ની સાથે બાંધી જ રાખે છે. પ્રેમીપત્નીથી શ્રેષ્ઠ હોવાના પ્રયત્નોમાં એ ખુદને ગુમાવે છે. બંને સ્ત્રી એકમેક સાથે ઘૃણાના બંધને પણ જોડાયેલ છે. બંને સ્ત્રી પોતાના ભવિષ્યની દોર એક જ પુરુષના હાથમાં દોંપી હોવાના તાંતણે પણ પરસ્પર સાથે સંપૃક્ત છે. બંને સ્ત્રીઓ કોઈકને કોઈક રીતે દુઃખી જ છે, પણ એકમેક સાથે નફરતથી જોડાવાના બદલે દુઃખોની ભાગીદારીથી જોડાઈ હોત તો જિંદગી કદાચ બંને માટે સહ્ય બની હોત એ સ્વીકાર આખી વાતને કવિતાની ઊંચાઈએ લઈ જાય છે.
જાણીતા લેખિક અને અનુવાદક શરીફાબેન વીજળીવાળાના કંઠે આ રચનાનું પઠન-
August 29, 2025 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, જયા મહેતા
જતાં પહેલાં બધું આવું કેમ થતું હશે?
શ્વાસ ઊંડા ઊતરવા માંડે
આંખે નિસ્તેજ થતી જાય
જીભ થોથવાવા માંડે
શરીર આખું શિથિલ થઈ જાય..
આવું બધું થાય એ પહેલાં..
અહીંથી વિદાય ન લઈ શકાય?
ગુલાબની પાંદડીઓ પરથી
ઝાકળ હળવેથી અદૃશ્ય થાય…એમ
દૂધમલ બાળક ખિલખિલ હસતું જાગે
ને નિદ્રા સરી જાય…એમ
નવીનવી પાંખો ફફડાવતું
પંખીબાળ માળામાંથી ઊડી જાય…એમ
કોશેટાના તાંતણા વીંધી
રંગસભર પતંગિયું
બહાર નીકળી જાય એમ…
નૂરજહાનના કંઠમાંથી સરતા સૂર
ધીરેધીરે હવામાં વિલીન થાય…એમ
બધું વિવર્ણ થાય એ પહેલાં…
– જયા મહેતા
(૧૬-૦૮-૧૯૩૨ ૨૭-૦૮-૨૦૨૫)
૯૩ વર્ષનું દીર્ઘાયુષ્ય ભોગવી ખ્યાતનામ સર્જક – કવિ, અનુવાદક અને વિવેચક જયા મહેતાનો ક્ષર દેહ પોતાની પાછળ અ-ક્ષરદેહ મૂકીને પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો. એમના ગદ્ય કૃતિઓના અને ખાસ તો વિશ્વકવિતાઓના અનુવાદોએ મને કાયમ આકર્ષ્યો છે. ઘરે રિનોવેશનના કામ સબબ તમામ પુસ્તકો ૨૦-૨૫ ખોખાઓમાં કેદ હોવાથી કમનસીબે કવિ ઉદયન ઠક્કરની ફેસબુક વૉલ પરથી મળેલ આ એક જ કવિતા એમને સ્મરણાંજલિ આપવા માટે રજૂ કરી શકાઈ છે. મૃત્યુની – સોરી, ભારતીય સંસ્કાર મુજબ આત્મા એક શરીર છોડી બીજું શરીર ધારણ કરે એ ટ્રાન્સમાઇગ્રેશનની પ્રક્રિયા કવિએ કેવી સરળતમ ભાષામાં આલેખી છે!
અમે
એકબીજાની જાતની અદલાબદલી કરી.
હું એનું જીવન જીવવા લાગ્યો
અને એ મારું.
બહુ સારું લાગ્યું.
એની જાતમાં હું રમમાણ હતો.
મારા સિવાય એની હયાતીમાં કોઈ બીજું નામ ન હતું.
મારા ઘરના બધા લોકો માટે પણ
એને સદ્ભાવ અને સમભાવ હતો.
‘ઈગો’ને બદલે ‘લેટ ગો’ને પ્રાધાન્ય આપ્યું.
હું એનો આશિક હતો
પણ આ અદલાબદલી પછી તો
સાત જનમનો દીવાનો થઈ ગયો.
આજે અમારે જાત બદલવાની હતી
હું એને ચોખ્ખું કહેવાનો છું કે
તારી જાત પાછી નહીં આપું.
એ મળી
હું કંઈ કહું એ પહેલાં તો
એણે ફટાફટ જાત બદલાવી
અને
જતાં જતાં કહેતી ગઈ
સાત જનમ સુધી ન મળતા…
સ્ત્રી-પુરુષના સ્વભાવ અને વ્યક્તિત્વની વિસંગતતા વિશે ઘણું લખાયું છે, પણ અહીં જે કુમાશથી આખી વાત રજૂ થઈ છે એ અલગ જ છે. સરળતમ ભાષામાં કવિએ જે કવિકર્મ કરી બતાવ્યું છે એ કાબિલ-એ-દાદ છે. પતિ અને પત્ની બંને મનમરજીથી જાતની અદલાબદલી કરે છે. પુરુસઃ સ્ત્રીનું જીવન જીવવું શરૂ કરે છે અને સ્ત્રી પુરુષનું. પુરુષને એ તો ખ્યાલ આવે છે કે સ્ત્રી એકીસાથે કેટકેટલા મોરચા સાચવતી હતી અને કેટકેટલા સંબંધોમાં પ્રાણ સીંચતી હતી. પુરુષ પહેલાં પણ એનો દીવાનો હતો જ. સ્ત્રીના આંતરમનના પ્રવાસ બાદ આ દીવાનગી પરાકાષ્ઠાએ પહોંચી ગઈ, પણ પુરુષ આ તબક્કે પણ પોતાની મર્યાદાઓ, પોતાની ખામીઓ, પોતાની ખરાબીઓને ઓળખી શકતો નથી એ વિડંબના શબ્દોની વચ્ચેની ખાલી જગ્યામાં સફળતાપૂર્વક છૂપાવી દઈને કવિએ મુખર લાગતી કવિતાના કાવ્યતત્ત્વને સુપેરે ઉજાગર કરી બતાવ્યું છે. કવિતાનો અંત કોઈપણ સંવેદનશીલ પુરુષને (જો એ સંવેદનશીલ હોય તો!) હચમચાવી દેવા માટે સક્ષમ છે.
June 7, 2025 at 12:30 AM by ઊર્મિ · Filed under અછાંદસ, વિપિન પરીખ
જેના હાથમાં આપણે
દિવસે અને રાતે, કૂદકે ને ભૂસકે,
મોટા થયા
તે
આપણા જ હાથમાં
ક્ષણે ક્ષણે, સંકોડાતી સંકોડાતી
નાની થતી જાય
અને એક દિવસ
ડૂસકાં ભીના ખાલી હાથ
પાછળ મૂકી
અલોપ થઈ જાય.
– વિપિન પરીખ
માખણના લોંદામાં છરી ઉતરી જાય એમ વાંચતાવેંત આપણી સોંસરવી ઉતરી જતી નાનકડી રચના…
કાગળની હોડી લઈને
તને મળવા નીકળ્યો છું.
અફવાઓ તો એવી છે કે,
આપણી વચ્ચેના દરિયા તો રેતીના છે.
પ્રકૃતિએ જ મને પ્રેમ શીખવ્યો હતો
મૃગજળમાં જ મારા શબ્દોની હોડીઓ
હરણ બની બનીને મરણ-શરણ થઈ
તેં મને વસંત આપવાનું વચન આપેલું –
એ ક્યાં છે?
મને પાનખર તો આપ
જેથી હું ખરી શકું…
હું તરી શકું એટલાં આંસુઓ તો
મારે માટે કોણ વહાવે હવે?
હું જાણું છું કે – પ્રવાહ બદલતી નદીને રોકી શકાતી નથી
ને તોષી શકાતી નથી તરસ લોહીની!
છતાં
કાગળની હોડી લઈને નીકળ્યો છું તને મળવા –
એ અફવા નથી
તું ડુબાડી આપ મારી હોડીઓ
મારે તરતાં શીખવું છે.
– મણિલાલ હ. પટેલ
‘કાગળની હોડી’ આટલું વાંચતાવેંત નજર સમક્ષ બાળપણ, વરસાદ અને કાગળની હોડીઓની રમત તાદૃશ થઈ ઊઠે, પણ ભાવક બાળપણની ગલીઓમાં ઝડપથી પાછા ન ફરી શકાય એટલે ઊંડે ઊતરી જાય એ પહેલાં જ કવિ એને આંચકા સાથે યૌવનની કગારે પરત લઈ આણે છે. કાગળની નાવ લઈને નાયિકાને મળવા નીકળ્યા હોવાની વાત પળાર્ધમાં જ આખી વાતની અર્થચ્છાયા અને પૃષ્ઠભૂ બંને બદલી દે છે. સમજાય છે કે બાળકોના સપનાં ઝીલે એવી આ કાગળની નાવ નથી. આ નાવમાં બેસીને નાયક નાયિકા સુધીનું અંતર કાપવા ઇચ્છે છે. કાગળની હોડી એટલે કવિતા, એમ પણ સમજી શકાય. પણ અફવાઓ (અફવા નહીં, હં) એવી છે કે બે જણ વચ્ચે જે દરિયા (દરિયો નહીં, હં) પથરાઈ પડ્યા છે એ રેતીના છે. હોડી કાગળની, અને સમુદ્રો રેતીના – સાધન તકલાદી અને ચઢાણ એવરેસ્ટ જેવું! પણ કવિ મુશ્તાક છે, કેમ કે પ્રેમના પદાર્થપાઠ એમને પ્રકૃતિએ શીખવ્યા છે. પ્રેમરસ પીધો હોય એને તો તત્ત્વનું ટૂંપણું પણ તુચ્છ લાગે, તો રેતસંમદરો વળી શી મોટી ચીજ છે! ભર્યાભાદર્યા જીવનનું વચન આપીને ફરી ગયેલી નાયિકા પાસે નાયક પાનખર માંગે છે, જેથી ખીલી ન શકાય તો ભલે, પણ ખરી તો શકાય.
બેવફાઈની આંધીઓની વચ્ચે ટકી રહેલ આશાના દીવડાના અજવાળામાં આ અછાંદસનું પોત બંધાયું હોવાથી પ્રવર્તમાન અછાંદસોની સાપેક્ષે એ મુઠી ઉંચેરું અનુભવાય છે.
‘તું કેટલી ડાહી દીકરી છે!”
વ્હિસ્કીવાળો ખાટો શ્વાસ મારા ગાલ પર ફરી વળે છે.
“તને આ જોઈએ છે ને?”
શ્વાસ લેવા મથતી, હું માથું ધુણાવું છું, ચિલ્લાવા ચાહું છું ના! મને નથી જોઈતું!
“હા, તને જોઈએ છે, મારી ડાહી દીકરી”
ના, મને નથી જોઈતું!
“તું મારી ડાહી દીકરી બનશે ને?”
હું વચન આપું છું કે હું તમારી ડાહી દીકરી બનીને રહીશ, વચન આપું છું, બસ, ફરી આ નહીં કરતા.
“તું મારી ડાહી દીકરી છે.”
પપ્પા, પ્લીઝ નહીં.
– એલિઝા ટોરિસ
(અનુ.: વિવેક મનહર ટેલર)
ડાહીડાહી વાતોથી ટેવાઈ ગયેલી ગુજરાતી કવિતાઓમાં જીવનની વરવી કડવી વાસ્તવિક્તાઓ પ્રમાણમાં ઓછી જ નજરે ચડે છે. લયસ્તરો પર પિતૃવિશેષ શ્રેણી પ્રગટ કરી હતી, ત્યારથી આ એક નાનકડી રચના મનમાં ઘુમરાયા કરતી હતી. આપણને માતા-પિતાને હંમેશા ભગવાનના સ્થાને મૂકીને પૂજવાની ટેવ પડી ગઈ છે, પણ હકીકત એ છે કે આ રચનામાં રજૂ છે એવા પિતા (માતા પણ!) આપણા સમાજમાં ઉપસ્થિત છે જ. સગા મા-બાપ પોતાના જ સંતાનો માટે શા માટે હેવાન બનતાં હશે એ સવાલ મને સતત પીડી રહ્યો છે. જવાબ પણ અંદરથી જ પ્રાપ્ત થાય છે – ઉછેર, પરિ-આવરણ, સંજોગો અને જનીન –આમાંથી જ એકાધિક પાસા અવળા પડતા હશે ને!
કવિતાના શીર્ષકનો અનુવાદ કરવું મને ઉચિત નથી લાગ્યું. ‘Daddys Bed Girl’ માં ‘Bed’ એટલે આમ તો ‘શય્યા’ જ પણ દસ પંક્તિની નાનકડી રચનામાં પાંચ-પાંચવાર ‘ડાહી’ શબ્દનું પુનરાવર્તન કરાયું હોવાથી ‘ખરાબ’નો કાકુ પણ સતત ધ્વનિત થતો અનુભવાય છે. દીકરીને ખરાબ ગણી લીધી હશે ત્યારે જ બાપ દુષ્કૃત્ય કરવા પ્રેરાતો હશે ને!
Daddys Bed Girl
“you’re such a good girl.”
Sour whiskey breath spread against my cheek.
“do you want this?”
I shook my head, trying to breath, to scream the words no! I don’t!
“yes, you do, my good girl”
no, I don’t!
“will you be my good girl?”
I promise I will be your good girl, I promise, just please don’t do it again.
“you’re my good girl.”
daddy, please stop
April 15, 2025 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, લતા હિરાણી
ચટ્ટાનો ખુશ છે
ખુશ છે પાણા પથ્થર
વધી રહી છે એની વસ્તી
ગામ, શહેર, નગર…
પેલી પર્વતશિલા હતી કેવી
જંગલ આડે સંતાયેલી
હવે આખે આખ્ખો પર્વત
નાગોપૂગો બિચ્ચારો
ફાટી આંખે જોઈ રહ્યો ને રોઈ રહ્યો
કોઈ નથી એનું તારણ
હારી ગયા ને હરી ગયા
ઝાડ, પાન ને જંગલ
ખુશ છે પાણા પથ્થર
વિશ્વાસ છે એમનો જબ્બર
કરશું અમે તો રાજ અહીં
વાર હવે ક્યાં?
આમ જુઓ
આ માણસનાયે પેટે હવે
પાકી રહ્યા છે પથ્થરો.
વધતા જતા શહેરીકરણ અને જંગલોના વિનાશની વ્યથાની સમતુલિત રજૂઆત કરતી રચના. રચના સ્વયંસ્પષ્ટ હોવાથી વિશેષ ટિપ્પણીની આવશ્યક્તા જણાતી નથી. પણ કવયિત્રીના સંગ્રહમાંથી પસાર થતાં એક બાબતે મારું સવિશેષ ધ્યાન ખેંચ્યું. કવયિત્રીએ સમગ્ર સંગ્રહમાં અલ્પવિરામ, ઉદગારચિહ્ન, અવતરણચિહ્ન તથા પ્રશ્નચિહ્ન બાબતે જેટલી સજગતા દાખવી છે, એટલી જ ઉદાસીનતા પૂર્ણવિરામ બાબત સેવી છે. આ ટિપ્પણી અત્રે કરવા પાછળનો પ્રમુખ હેતુ કેવળ એ જ છે કે આજકાલ ગુજરાતી કવિઓમાં વિરામચિહ્નો અને જોડણી સહિત ભાષાશુદ્ધિ બાબતે ખાસ્સી નીરસતા પ્રવર્તે છે. હમણાં એક જાણીતા કવિએ ‘પહેરણ’ માટે ‘તૂટવું’ ક્રિયાપદ પ્રયોજ્યું હતું. એમનું ધ્યાન એ તરફ દોર્યું તો એમની પાસે વ્યાકરણના નિયમોના આધારના બદલે કેવળ એક જ દલીલ હતી કે બીજાઓએ પણ આ ક્રિયાપદ પહેરણ માટે વાપર્યું છે. પણ પોતાની વાતના સમર્થન માટે તેઓ કથિત ઉદાહરણો રજૂ ન કરી શક્યા. સામાન્ય ગદ્યમાં નિયમાનુસાર પ્રયોજાતા વિરામચિહ્નો જ્યારે કવિતામાં પ્રયોજાય, ત્યારે ઘણીવાર કવિ નિયમોને ચાતરીને ચાલતો નજરે ચડે છે. પણ આવું કવિ ત્યારે જ કરે જ્યારે એ કવિતાને ઉપકારક નીવડવાનું હોય. ફ્રેન્ક ઓ’ હારાની એક અંગ્રેજી કવિતાનું દૃષ્ટાંત લઈએ-
Lana Turner has collapsed!
I was trotting along and suddenly
it started raining and snowing
and you said it was hailing
but hailing hits you on the head
hard so it was really snowing and
raining and I was in such a hurry
to meet you but the traffic
was acting exactly like the sky
and suddenly I see a headline
LANA TURNER HAS COLLAPSED!
there is no snow in Hollywood
there is no rain in California
I have been to lots of parties
and acted perfectly disgraceful
but I never actually collapsed
oh Lana Turner we love you get up
સત્તર પંક્તિની આ કવિતામાં કવિતાનું શીર્ષક કાવ્યારંભે અને કાવ્યમધ્યે પુનરોક્તિ પામે છે, ત્યાં ઉદગારચિહ્નવાપરવા સિવાય કવિએ આખી રચનામાં એકેય વિરામચિહ્ન વાપર્યા નથી. આના કારણે કવિ સ્વયં જે ગડમથલ અને નિરવરુદ્ધ વિચાર-વાવંટોળના શિકાર બન્યા છે, એનો ભાવકને યથાતથ સાક્ષાત્કાર કરાવવામાં સફળ થાય છે.
બોરસલ્લીના ઝાડ ઉપર બેસીને ઝૂલતા પીળક પંખીમાં સમેટાઈ ઘનીભૂત થતી જતી એક સાંજે મારું કાદવથી ખરડાયેલું શરીર જંગલની ભૂખરી કેડીઓ પાસેથી આડાઅવળા વળાંક ખરીદતું ખરીદતું ડાંગરની ક્યારી પાસે આવીને અટકી પડ્યું. અટક્યું ત્યાં તો મારું આસપાસ બનીને ચક્કર ચક્કર ફરતી સૃષ્ટિ કોઈ રંગીન પતંગિયાની માફક ઊડવા લાગી. અરે, સારા સારા કવિઓને પણ વાચાળ કરી મૂકે એવાં મકાઈનાં લીલ્લાં લીલ્લાં ખેતરો—ધોરિયા વાટે ખળખળ વહેવા લાગ્યાં. ઘાસની પીળચટ્ટી ગંજીઓમાં વેરાઈ પડેલા સાંજના તડકાને ઊંચકવા મથતા રખડું પવનના સુસવાટાઓ તો રમૂજ ઉત્પન્ન કરવા લાગ્યા. અને ખિસ્સામાં ઠાંસીઠાંસીને ભરી લેવાનું મન થાય એવી આ ડાંગરની ક્યારીઓ પાસે મારું હોવું મને પૂરતું લાગ્યું. આ ક્ષણે અચાનક મારા ખમીસ પર આવીને બેસી જતું અટ્ટાપટ્ટા રંગવાળું પતંગિયું જો હિલ્લોળા લેતું તળાવ હોત તો હું નિર્વસ્ત્ર બનીને એટલું નાહ્યો હોત… એટલું નાહ્યો હોત… એટલું નાહ્યો હોત… એટલું….
– અનિલ જોશી
બંધન કદી કોઈને રાસ આવતું નથી. વિશ્વની દરેક ભાષામાં કાવ્યસર્જનનો પ્રારંભ છંદોબદ્ધ કવિતાઓથી જ થયો છે. સમયનાં વહેણ સાથે કાવ્યના આકાર અને કદ અવશ્ય બદલાયા, પણ છંદ ટકી રહ્યા. પણ ઇતિહાસ સાક્ષી છે કે સમય સાથે દરેક ભાષાના કવિઓએ છંદ સામે બળવો કરી મુક્તવિહાર કર્યો જ છે. ગુજરાતી ભાષામાં પણ અછાંદસ કાવ્ય અને પરિચ્છેદકાવ્યની પ્રણાલિ સમાંતરે વિકસતી નજરે પડે છે. પંક્તિઓને તોડીને અનિયત આકાર સાથે લખાતા અછાંદસ કાવ્યથી વિપરિત ગદ્યફકરાની જેમ જ આલેખાતા પરિચ્છેદકાવ્ય કે ગદ્યકાવ્ય માટે કોઈ સંજ્ઞા નિયત થઈ છે કે કેમ એ બાબતે જાણકાર મિત્રો પ્રકાશ ફેંકી શકે. સમય સાથે આ રીતે અછાંદસ કવિતા લખવાનો ચાલ ઓસરતો ગયો છે. પણ અનિલ જોશીની કલમે આવાં કેટલાંક કાવ્ય અવતર્યાં છે, જેમાંનું એક અત્રે રજૂ કરીએ છીએ…
પણ શબ્દ સરોવરના હંસ!
તમે ક્યાં ચાલ્યા? બેસો. બેસો.
આ તો રાજાબાઈ ટાવરના કાંટા ઉપર
કબૂતર બેઠું ને સાડા પાંચ વાગ્યા.
– અનિલ જોશી
માછલી જે રીતે પાણીમાંસરકતી હોય એ રીતે કવિની કલમ ગીતોમાં સરતી રહી હોવા છતાં એમણે અછાંદસ અને છંદોબદ્ધ કાવ્યોમાં પણ પ્રમાણમાં ઠીકઠાક કહી શકાય એવું ખેડાણ અને એય અધિકારપૂર્વક કર્યું છે. સારો કવિ એ જે એક શબ્દથી કામ ચાલી જતું હોય ત્યાં સવા શબ્દ પણ ન વાપરે. પ્રસ્તુત રચના એનું એક ઉદાહરણ ગણી શકાય. વાત એક કવિના મૃત્યુની છે અને એનું આલેખન પણ એક કવિ જ કરી રહ્યા છે. બ્લેક એન્ડ વાઇટ જિંદગીના પિયાના પર ખરતા પાન જેવી પીળી આંગળીઓ ફરતી નથી, પણ પગથિયાં ઊતરી રહી છે એટલામાં જ ઘણું સમજાઈ જાય છે. મૃતક પાછળા પળાતું બે મિનિટના મૌનમાં સાહજિકતા ઓછી અને ખોખલો શિષ્ટાચાર વધુ હોય છે એ વાત બે મિનિટની દાબડીમાં મૌન ગોઠવવાના રૂપક વડે કવિએ કેવી સ-રસ રીતે રજૂ કરી છે! શબ્દ સરોવરના હંસ જેવો કવિ અકાળે ચાલ્યો જાય એ વાત હજી ગળે ન ઊતરતી હોવાથી કથક એને ચાલ્યા ન જતાં એમ કહીને બેસવાની તાકીદ કરે છે કે રાજાબાઈ ટાવરના કાંટામાં સાડા પાંચ થવાને આમ તો વાર હતી, પણ કબૂતરના કાંટા પર બેસવાથી સાડા પાંચ થોડા વહેલા વાગી ગયા છે… મુંબઈનો સુપ્રસિદ્ધ રાજાબાઈ ટાવર મુંબઈ વિશ્વવિદ્યાલયના પટાંગણમાં આવ્યો છે. સાડા પાંચે ટકોરા વાગે અને વિદ્યાર્થીઓ ક્લાસ અને કેમ્પસ છોડી પોતાના ઘરે જવા હડી કાઢે એ ઘટનાને કવિએ પ્રાણપંખેરુ ઊડી જવા સાથે આબાદ સાંકળી લીધી છે.
રાત્રિના છેલ્લા પહોરે એક સપનું આવ્યું
ને
સપનામાં આવ્યો સૂરજ!
મધરો મધરો મલકે મારી સામે.
કહેઃ
‘ચાલ, મારું ચિત્ર બનાવ.’
મેં કહ્યું, ‘પહેલા સવારની ચા તો બનાવી લઉં..’
કહે – ‘તથાસ્તુ!’
થોડીવાર પછી કહે,
‘આપણી મુલાકાત પર એક કવિતા લખ.’
મેં કહ્યું, ‘નાસ્તો તૈયાર કરું છું. એમને ઓફિસ મોકલી દઉં પછી…’
કહે – ‘તથાસ્તુ!’
થોડીવાર રાહ જોઈ કહે:
‘મંડલા આર્ટ તો ફટાફટ થઈ જાય ને! એમાં મારું ચિત્ર કરી દે તો?’
મેં કહ્યું: ‘સાસુ-સસરાને ભૂખ લાગી હશે. રસોઈ કરી દઉં?’
એની માંગણી તો ચાલુ ને ચાલુ.
પણ બપોરે પહેલાં સફાઈ યાદ આવી, ને પછી વાસણ.
પછી આવ્યો કપડાંનો વારો ને પછી કચરાંપોતાંનો ને ફરી સાંજની ચાનો ને ફરી રાતની રસોઈનો.
એ તો કેવળ મધરો મધરો મલકાતો જ રહ્યો,
ને કહેતો રહ્યો,
તથાસ્તુ!
આજે જરા સમય મળ્યો તો થયું,
લાવ, કવિતાય બનાવી દઉં ને ચિત્ર પણ.
દેવતા કહેવાય એ તો.
ક્યાં સુધી વાટ જોવરાવવી?
બહુ કોશિશ કરી,
ઊભી થવા ગઈ
તો ધ્રુજતા હાથથી
લાકડી પણ છટકી ગઈ
ને…
– નેહા પુરોહિત
આજે વિશ્વ મહિલા દિવસ. આમ તો અંગત રીતે હું આ દિવસનો પ્રખર વિરોધી છું, કારણ કે વરસની ત્રણસો ચોંસઠ ચોકલેટ પોતાના ખિસ્સામાં રાખી સ્ત્રીઓને એક ચોકલેટ આપી રાજી રાખવાની પુરુષોની આ ચાલ મને પસંદ નથી. સ્ત્રી-પુરુષ સમાનતા તો રામાયણ-મહાભારતમાં પણ જોવા નથી મળતાં. લક્ષ્મણરેખા-અગ્નિપરીક્ષા-ઘરનિકાલ અને વસ્ત્રાહરણ ત્યારે પણ પુરુષો માટે નહોતાં અને આજે પણ નથી. પ્રસ્તુત રચના સીધી રીતે તો સ્ત્રી-પુરુષ અસમાનતાની વાત નથી કરતી, પણ બહુ સરસ અને વેધક રીતે ઘરમાં સ્ત્રીના નીચલા સ્થાનને ચાક્ષુષ કરે છે. રાતના છેલ્લા પહોરે જોયેલું સપનું કવયિત્રી આપણને બતાવે છે. કહે છે કે વહેલી સવારનું સપનું સાચું પડતું હોય છે. આપણને પણ સમજાય છે કે જે છે, એ નક્કર હકીકતથી જરાય ઓછું નથી.
નાનકડી માંગણીના બદલામાં સૂરજદાદા વરદાન આપવા તત્પર થયા છે, પણ સ્ત્રીનો આખો જન્મારો ઘરનું વૈતરું કરવામાં જ પસાર થઈ જાય છે. મોટા શહેરોમાં કંઈક અંશે પરિસ્થિતિ બદલાઈ છે એની ના નહીં, પણ હજી આજે પણ મોટાભાગના ભારતીય સમાજમાં પુરુષોની તુલનાએ સ્ત્રીઓએ જ ઘર સંભાળવું પડતું હોય છે. કવિતાના અંતે અચાનક ઘડપણનો અણસાર આપી ધ્રુજતા હાથમાંથી છટકે જતી લાકડી સાથે ‘ને…’ કહીને કવયિત્રીએ કાવ્ય અધૂરું છોડી દઈ સ્ત્રીની વેદનામાં સમભાગી થવા ઈજન આપ્યું છે…
આજે મૂડ નહોતો,
બંને કીકીઓને બહાર કાઢીને-
લખોટીઓ રમવા માંડ્યો.
વાળને હવામાં ખુલ્લા મૂકી દીધા.
હોઠને મૌન શું છે
એ શોધવા મોકલ્યા…
કાનને નકરા ઘોંઘાટ વચ્ચેથી
ટાંકણીનો અવાજ શોધી લાવવા કહ્યું.
હાથને એકબીજા સાથે બાંધી દીધા,
પગને ખીંટી ઉપર ટાંગી દીધા.
પેટને ભૂખમાં ઓગાળી દીધું.
ત્યાં મારા નાકને પાંપણ ઢળી ગયાની ગંધ આવી!
પણ,
હું કંઈ કરું એ પહેલાં જ કોઈએ મને—
ચંદન વચ્ચે સુવાડી ધુમાડો બનાવી દીધો.
– બ્રિજેશ પંચાલ
લયસ્તરો પર કવિના પ્રથમ કાવ્યસંગ્રહ ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’નું સ્વાગત…
જીવન જીવવાના મૂડના અભાવનું બીજું નામ મૃત્યુ. આમ તો આવાં મૂડ-ઑફ મૃત્યુ આપણે હજારોવાર જીવતાં હોઈએ છીએ, પણ કવિએ આખરી મૂડ-ઑફની કવિતા કરી છે. સામાન્યરીતે મન ઉદાસીન હોય અને કશામાં લાગતું ન હોય એ પળે આપણે કાચબો સ્વયંને કોચલામાં સંકોરી લે એમ આપણા અસ્તિત્ત્વને બને એટલું સંકોરી લેતાં હોઈએ છીએ, પણ અહીં આથી સાવ વિપરીત ક્રિયાઓ થઈ રહી છે. કીકીઓને આંખના ગોખલામાંથી બહાર કાઢી કથક લખોટીઓ રમવા માંડે છે. જેનું કામ બોલવાનું છે એને ન બોલવાનું શોધવા માટે મોકલી દેવાય છે, અને કાનને ઘાસની ગંજી જેવા અવાજના ખડકલામાંથી ટાંકણીનો અવાજ શોધવાનું અશક્યવત્ કામ સોંપવામાં આવે છે. હાથ-પગ-પેટ બધા જ અવયવોને નિષ્ક્રિયતાની સજા આપવામાં આવી છે… સ્વયંનું મૃત્યુ થવાની ગંધ નાકને આવે એ પહેલાં તો મૃતદેહ ચંદનની ચિતા પર ભડભડ બળી રહે છે… પ્રસ્તુત કાવ્ય બિનજરૂરી વાણીપ્રલાપથી દૂર રહી શક્યું છે એ આપણું સદનસીબ. સરવાળે, આ કાવ્ય અનુભૂતિનું કાવ્ય છે. સામાન્ય ગુજરાતી અછાંદસોથી એ અલગ તરી આવે છે.
આખા દેશમાંથી
હૃદય સુધી કોઈ પહોંચ્યું હોય તો
ત્રણ ગોળીઓ જ.
– રમણીક અગ્રાવત
ગાંધીજીના હૃદયમાં ઉતરી ગયેલી ત્રણ ગોળીઓની જેમ વાંચતાવેંત આપણા હૃદયમાં ઉતરી જતી ત્રણ નાની-નાની પંક્તિઓ અને ચિરકાળ માટે અસર મૂકી જાય એવા કેવળ એક જ વાક્યની આ કવિતા માટે વધુ કશું જ કહેવાની જરૂર નથી… બે મિનિટનું મૌન રાખીએ અને સ્વયંને અવલોકીએ…
વાત તો આટલી જ હતી
કે આપણે મળીએ
પણ ન મળ્યાં
વચ્ચે કેટલાં બધાં ફૂલો ખીલ્યાં
કેટલાં બધાંએ
એ
એકબીજાને આપ્યાં
કેટલું બધું પાણી હેતની જેમ વહ્યું
ને
કેટલાં બધાંએ એકબીજાને પાયું
કેટલાં બધાંએ એકબીજાનાં સપનાં જોયાં
ને એકબીજાને બતાવ્યાં
કેટલાં બધાંએ આશ્લેષમાં લઈ એકબીજાનું આકાશ ભર્યું
સૂર્ય એક જ હતો
પણ દરેકના સૂર્યોએ એકબીજાને હૂંફ આપી
ચંદ્ર પણ એકબીજાને
ચાંદની આપતો રહ્યો
કેટલી બધી ઋતુઓ એકબીજા વચ્ચે બદલાઈ
આટલું બધું થયું
વચ્ચે
પણ આપણે ન મળ્યાં
એક પણ વાર…
– રવીન્દ્ર પારેખ
કવિતાના શીર્ષક ‘ક્ષિતિજ’ પરથી ખ્યાલ આવે કે આકાશ અને ધરતીની જેમ ક્ષિતિજે ભેગા થયેલ ભાસતા પણ સદાકાળ એકબીજાથી અળગા જ રહેવાનું જેમના ભાગ્યમાં નિર્માયું હશે એવા બે પ્રિયજનની આ વાત છે. રચના તો સાવ સરળ છે, પણ જે મજા છે એ વાતની પ્રસ્તુતિ અને માવજતમાં છે. પ્રકૃતિના અહર્નિશ ફર્યે રાખતા ઋતુચક્રમાંથી જ કવિએ કેટલાક ઘટકત્ત્વોની પસંદગી કરી છે પણ નદીનું પાણી હેતની જેમ વહી જાય કે એકમેકને આશ્લેષમાં લઈ એકબીજાનું આકાશ ભરવાની વાત જેવી ભાષાની અનૂઠી સારવારના કારણે રચનામાં કાવ્યત્વ ઘટ્ટ બન્યું છે. સરવાળે, વાંચવા બેસીએ તો અડધી મિનિટથીય ઓછા સમયમાં વંચાઈ જાય પણ વાંચી લીધા બાદ અડધો દિવસ ચિત્તતંત્રમાં રણઝણ થયે રાખે એવી છે આ કવિતા…
અજાણ્યા શહેરના સ્ટેશન પર
નિયત સ્થળે જતા જનપ્રવાહની વચ્ચે
એકલી અટવાતી હોઉં:
નવી જગ્યાના નકશાની ગલીઓ પર
અચોક્કસ આંગળી ફેરવી
રસ્તો શોધવા મથતી હોઉં;
ભાંગ્યાતૂટયા ફ્રેન્ચ કે સ્પેનિશમાં
સમજાવવા – સમજવાની
ચેષ્ટા કરતી હોઉં :
મિત્રોની વચમાં–
જાણીતી ગલીઓમાં–
રોજિંદી ભાષામાં–
મારી પોતાની સાથે પણ–
કોઈ વાર
આવા ભાવ થાય છે.
– પ્રીતિ સેનગુપ્તા
અજાણ્યા સ્થળે અજાણ્યા લોકો વચ્ચે અજાણી ભાષાના કારણે પ્રવાસી જે અસમંજસ અને લાચારીની અવસ્થા અનુભવે એ સમજી શકાય એમ છે. આસપાસનો સમસ્ત જનપ્રવાહ નિયત દિશામાં પાણીના રેલાની જેમ સડસડાટ વહેતો હોય પણ નક્શા પર ગોથાં ખાતી ‘અચોક્કસ’ આંગળીઓની જેમ આપણે અટવાતા હોઈએ અને કોઈ વાર્તાલાપ કામ ન આવે ત્યારે જે પારાવાર પરવશતા અનુભવાય એ આપણે સહુએ જીવનના કોઈને કોઈ તબક્કે અનુભવી જ છે. પણ કવયિત્રીનું નિશાન તો સાવ અલગ જ છે. જાણીતા લોકો, જાણીતા સ્થળો અને જાણીતી ભાષા હોવા છતાં ક્યારેક આપણને કશું જ જાણીતું ન હોવાનો ભાસ થઈ આવતો હોય છે. ઘણીવાર તો આપણે સ્વયંને પણ ઓળખી શકતાં નથી, સ્વયં સાથે સંવાદ પણ સાધી શકતા નથી… સર્વસામાન્ય પર્યટન અનુભૂતિના મિષે કવયિત્રીએ ‘આઇડેન્ટિટી ક્રાઇસિસ’ને કેવી અદભુત વાચા આપી છે!
(મોબાઇલ અને ગૂગલ મેપ હાથવગાં થયાં એ પહેલાંની, લગભગ ચાળીસેક વર્ષ પહેલાંની આ રચના છે, એટલે નક્શાનો સંદર્ભ એ રીતે સમજવો!)
નદીમાં નાવ હાંકતા ખારવાને ઘણીવાર લાગતું
કે એ હલેસાંથી નાવ નહીં
નદી હંકારી રહ્યો છે.
નદી ચૂપ રહેતી
ક્યારેય કશું બોલતી નહિ
વર્ષાઋતુમાં નદી છલકાતી
તો એ એને ચિડાઈને સમજાવતો
આ બરાબર નથી
નદીની એક ગરિમા હોય
આ શું ?
કિનારે ઊભેલાં વૃક્ષ પણ તને
ઝૂકીને સ્પર્શી રહ્યાં છે.
નદી સંભાળપૂર્વક વહેવા લાગતી
ઉનાળામાં નદી સંકોચાઈ જતી
તો એ બૂમ પાડતો – ક્યારેક મારા વિષે પણ વિચાર કરજે
સૂર્યની દૃષ્ટિથી બાષ્પિત ન થા
એ જળ છે જે નદીને નદી બનાવે છે
નદી કશું ન કહેતી
બસ ધસતી જાતી સમુદ્ર તરફ
દરેક મોસમમાં ખારવાની ચિત્ર – વિચિત્ર સૂચનાઓ હોય
એને ક્યારેક આ ન ગમતું
તો ક્યારેક તે
નદી અવનવાં ગીત ગણગણતાં વહેતી જ જાતી
સુનેત્રા,
નદી સ્ત્રી હતી કે નહીં એ તને વધારે ખબર
પરંતુ હું આશ્વસ્ત છું
કે ખારવો તો પુરુષ જ..
– રાજેશ્વર વશિષ્ઠ
(હિન્દી પરથી અનુવાદ: ભગવાન થાવરાણી)
એ સાચું કે હિન્દી કવિતા ગુજરાતી અનુવાદની મહોતાજ નથી, ને એય ખરું કે અનુવાદ ન કરાયો હોત તો આ રચના લયસ્તરો સુધી પહોંચી જ ન હોત. ગુજરાતી કવિતામાં અછાંદસ એટલે સીધીસાદી પૂર્વભૂમિકા અને કાવ્યાંતે એક ચોટ, બસ! પણ અહીં જુઓ… સારી અછાંદસ કવિતા કોને કહેવાય એની વિભાવના આ રચના સુપેરે સમજાવી શકે એમ છે. આખી રચના કાવ્યાત્મક વાક્ય અને નાની-નાની કવિતાઓથી ભરી પડી છે- ‘ખારવાને લાગતું કે એ નાવ નહીં, નદી હંકારી રહ્યો છે…’ ‘આ શું કે કિનારે ઊભેલાં વૃક્ષો પણ નદીને સ્પર્શી રહ્યાં છે!…’ ‘એ જળ છે જે નદીને નદી બનાવે છે…’ કાવ્યાંતે સ્ત્રી-પુરુષના સ્વભાવનો તફાવત ઉપસાવીને કવિએ કાવ્યને વધારાની ધાર કાઢી છે, એ કદાચ ન કાઢી હોત તોય કવિતા સંપૂર્ણ જ ગણાત…
કવિની અન્ય રચનાઓમાંથી પસાર થતાં ખ્યાલ આવ્યો કે એ પોતાની દરેક અછાંદસ રચનાઓમાં અંતે સુનેત્રાને સંબોધીને વાત પૂરી કરે છે. રમેશ પારેખની સોનલ ને અસીમની લીલા તરત યાદ આવી જાય.
*
।। और नदी बहती रही ।।
नदी में नाव खेते हुए मल्लाह को अक्सर लगता था कि वह अपने चप्पू से नाव को नहीं नदी को चला रहा है।
नदी शांत ही रहती, कभी कुछ नहीं कहती।
बरसात के दिनों में नदी उफनती तो वह उसे चिढ़ कर समझाता – यह ठीक नहीं है। नदी की एक गरिमा होती है। यह क्या है, किनारे के पेड़ तक तुम्हें झुक कर छू रहे हैं।
नदी संभल कर बहने लगती।
गर्मी में नदी सिकुड़ जाती तो वह चिल्लाता – कभी मेरे बारे में भी सोच लिया करो। मत वाष्पित हुआ करो सूर्य की दृष्टि से। जल ही नदी को नदी बनाता है।
नदी कुछ नहीं कहती, चलती जाती समुद्र की ओर।
हर मौसम में मल्लाह की अजीब-अजीब हिदायतें होतीं, उसे कभी कुछ पसंद नहीं आता तो कभी कुछ और।
नदी नए नए गीत गुनगुनाते हुए बहती ही चली जाती।
सुनेत्रा,
नदी स्त्री थी या नहीं तुम बेहतर जानती होगी।
पर मैं आश्वस्त हूँ, मल्लाह पुरुष ही था।
વાંકાચૂકા રસ્તાપર હું ચાલી રહ્યો છું,
એને ગોતવા.
એ પ્રકાંડ પંડિત મારો બાપ હોવાની
મને ચોક્કસ બાતમી મળી છે!
હાલકડોલક છું ત્યારનો.
કહેવાય છે કે :
એક સવારે છાણ વિણવા જતી
અછૂત કન્યાનો પડછાયો પગને સ્પર્શી જતા
આ પુણ્યાત્માએ ત્રણ દિવસના ઉપવાસ
અને સાત નદીઓનાં જળ મંગાવીને
સ્નાન કરેલું!
અવર્ણ કન્યાપર
ટોળાબંધ હાથોના સવર્ણ આકાશમાંથી
વરસેલા પથ્થરોના ધોધમાર વરસાદની વાત
પછી સૂકાઈ ગઈ’તી.
હું ગોતું છું મારા એ પુણ્યશાળી બાપને!
મળે તો મારે
આટલું જ પૂછવું છે :
એક મેઘલી સાંજે,
નદી કાંઠે ખખડધજ શિવાલયનાં
અવાવરુ એકાંતમાં
ફૂટડાં અંગોવાળી
એ જ અછૂત કન્યાનાં
કુંવારા ઉદરમાં ઝનૂનપૂર્વક
મને વાવ્યા પછી તમે–
કેટલા દિવસના ઉપવાસ કરેલા?
કેટલી નદીઓનાં પાણી
તમારી સવર્ણ કાયા પર ઠાલવેલાં??
બોલો, બાપુ બોલો…
મને જવાબ આપો!
મને જવાબ…!
મને…!!!
મ……!!!!
ન જાણે કંઈ કેટકેટલીવાર કોશિશ કરવા છતાંય હું કેમે કરીને મારા પિતાને
રોકી શકતી નથી મારી બહેનના રૂમમાં જતા
અને અહીંથી જ વાંકા વળીને હું એમની આંખોમાં જોવાનો પ્રયત્ન કરું છું,
પણ કંઈ ખાસ જોઈ શકાતું નથી. હૉલમાં અંધારું છે
અને બધા ઊંઘી રહ્યા છે. આ એ ભૂતકાળ છે
જ્યાં બધું પહેલેથી જ પરિપૂર્ણ છે અને કશું જ બદલાતું નથી,
જ્યાં પાણીનો ગ્લાસ બાથરૂમની ફર્શ પર પડે છે
અને તૂટતા પહેલાં એકવાર ઊછળે છે.
કશું જ નથી. પડખું બદલતી વેળા મારી બહેન કાઢે છે
એ નાનો અવાજ પણ નહીં, કૂતરાની પૂંછડીનો ધીમો અવાજ પણ નહીં
જ્યારે એ એક આંખ ઊઘાડી જુએ છે એમને નશામાં ચૂર,
થોડા મૂંઝાયેલા, લડખડાતા પોતાની પથારી તરફ પરત ફરતા.
આ બિલકુલ એવું જ છે જેવું હું જાણતી હતી કે થશે.
અને હું તેણીનું નામ ફુસફુસાવું છું, ચેતવણી ફુત્કારતા,
જે હું વરસોથી કરતી આવી છું, અને કૂતરો પણ
ચોંકે જ છે અને ઘુરકેય છે જ્યાં સુધી એ જોતો નથી
કે એ તો અમારા પિતા જ છે,અને હજીય દરવાજો ખૂલે છે, અને તેણી
પેલો નાનો ઊંહકારો ભરે છે, પાસું બદલતાં બદલતાં.
– મેરી હૉવે
(અનુ. વિવેક મનહર ટેલર)
પિતૃવિશેષ શૃંખલામાં આજે સંવેદનતંત્રમાં હડકંપ સર્જે અને ગળેથી ઉતારતા પારાવાર તકલીફ થાય એવી એક કવિતા જોઈએ. આપણે ગુજરાતીઓને સુષ્ઠુ સુષ્ઠુ રચનાઓ વાંચવાની આદત પડી ગઈ છે, પણ દુનિયા ગુલાબની પથારી ઓછી અને કાંટાની સેજ વધારે છે. સાવકા બાપ દીકરી સાથે યૌન સંબંધ બાંધે એવા સમાચારોની વચ્ચે ઘણીવાર સગો બાપ વર્ષો સુધી સગે દીકરીનું યૌનશોષણ કરી એને ગર્ભવતી બનાવે એવા ચોંકાવી દેતા સમાચારો પણ ગુજરાતી અખબારોમાં આવે જ છે.
પ્રસ્તુત રચના ઇન્સેસ્ટ (incest) વિશેની છે, ઇન્સેસ્ટ અર્થાત્ ગૌત્રગમન એટલે કુટુંબના નજીકના સગાઓ વચ્ચે થતો વ્યભિચાર. મા-બાપના પોતાનાં જ સંતાનો સાથેના અનૌરસ સંબંધને દુનિયાની કોઈ જ સંસ્કૃતિએ કદી પણ બહાલી આપી નથી. પણ આ અવૈધ સંબંધ પણ કદાચ માનવજાત જેટલો જ જૂનો છે. ઝેનોફોનના ‘મેમરાબિલિયા’માં સોક્રેટિસ હિપિયાસને કહે છે કે ઈશ્વરના આ વણલખ્યા નિયમમાંથી જેઓ ચ્યુત થાય છે, તેઓ ખરાબ સંતતિ સ્વરૂપે સજા પામે છે. પ્લેટો પણ ‘લૉઝ’માં એક એથેન્સવાસી દલીલ કરે છે કે વણલખ્યો કાનૂન અને લોકમતની તાકાત મા-બાપને સંતતિ સાથે સૂતાં અટકાવે છે.
આ રચનામાં પણ એક સગો બાપ ઘરના બધા સભ્યો ઊંઘી ગયાં હોય ત્યારે દારૂના નશામાં દીકરીના રૂમમાં જઈને એના પર બળાત્કાર કરે છે. આ ઘરેલુ હિંસા વર્ષોથી ચાલતી આવી છે. દારૂડિયા કામી બાપ માટે દીકરી દીકરી નહીં, બાથરૂમની ફર્શ પર પડીને તૂટતાં પહેલાં એકવાર ઊછળતો ગ્લાસ બનીને રહી ગઈ છે. નાની બહેન લાખ કોશિશો કરવા છતાંય રોજ રાતે આંખો સામે થતા આ દુરાચારને અટકાવી શકતી નથી. ઘરનો વફાદાર કૂતરો પણ રાતે એક રૂમમાંથી બીજા રૂમમાં જતો ઈસમ ઘરનો માલિક જ છે એ જોઈને સહેજ ઘર્રાઈને, સહેજ પૂંછડી થપકારીને ચૂપ રહે છે.
How Many Times
No matter how many times I try I can’t stop my father
from walking into my sister’s room
and I can’t see any better, leaning from here to look
in his eyes. It’s dark in the hall
and everyone’s sleeping. This is the past
where everything is perfect already and nothing changes,
where the water glass falls to the bathroom floor
and bounces once before breaking.
Nothing. Not the small sound my sister makes, turning
over, not the thump of the dog’s tail
when he opens one eye to see him stumbling back to bed
still drunk, a little bewildered.
This is exactly as I knew it would be.
And if I whisper her name, hissing a warning,
I’ve been doing that for years now, and still the dog
startles and growls until he sees
it’s our father, and still the door opens, and she
makes that small oh turning over.
મથુરાદાસ જેરામ નામનો એક શખ્સ (ઉંમર વર્ષ ત્રેપન) સંખ્યાબંધ લોકોની આંખ સામે ધોળે દહાડે ઈસ્પિતાલ જેવા જાહેર સ્થળે મરવાનું અંગત કાર્ય કરી ગયો એને આજે વરસો થયાં.
હવે સમય પાકી ગયો છે કે હું એને અંજલી આપું; એની કરુણભવ્ય ગાથા રચું; જેથી કેટલાક વધુ માણસો જાણે કે મથુરાદાસ કોણ હતો, કેવું જીવ્યો. ભડનો દીકરો હતો એ, તડ ને ફડ હતો એ, મને એકંદરે ગમતો.
શરૂઆતરૂપે હું કહી શકું કે મથુરાદાસને ધરતીનો લગાવ હતો. એ વિધવિધ સુંદર ફૂલોને રોપતો, ઉછેરતો, મન મૂકીને ખડખડ હસતો, તક મળ્યે બહારગામ જઈ રોજના વીસ-તીસ માઈલ પેદલ રખડી નાખતો, ઝનૂની ઘોડાઓ પલાણતો, અને ઉનાળાની રાત્રિએ ધાબા પર જઈ તારાઓની નિકટમાં સૂઈ જતો.
( ના, ના, આ કંઈ જોઈએ એટલી ભવ્ય વાત ન થઈ શકી જુઓને, થોરો નામનો એક ફિલસૂફ શહેર મૂકી દઈ છેક કોઈ એકાંત સરોવર-તીરે વસતો. એના કુદરતપ્રેમ સામે આપણો મથુરાદાસ તો બિચારો ફિક્કો ફિક્કો પડી જશે.)
પણ હા, મથુરાદાસ વેપારી બળુકો, હોં. ત્રીસ વરસ સુધી રોજ દરરોજના દહ-દહ કલાક પોતાની પેઢી ઉપર રચ્યોપચ્યો’રે. દેશ-દેશાવરની મુસાફરી, પછાત વસ્તારમાં ફેકટરી નાખવી, ત્યાં રેતીવાળા રોટલા ખાઈને પડી રે’વું. કોરટ-વકીલો, મંદી-તેજી, અળસી-એરંડૉ, ફિકર ફિકર, પ્રમાણિકતા, ઝઘડા, મહત્વાકાંક્ષા. બધે અજવાળું વિખેરાતું હતું, જાણે. – મથુરાદાસનું કોડિયું બબ્બે વાટે બળતું જતું હતું.
(તમે કદાચ ઈમ્પ્રેસ નહિ થાઓ. કદાચ તમારી ઓફિસનો બોસ સાવ સામાન્ય ગુમાસ્તામાંથી આજે કરોડોના વેપાર સુધી પહોંચ્યો હોય. તમે કહેશો કે યાર, સફળતા તો એને કહેવાય. મથુરાદાસનું તો જાણે… સમજ્યા.)
જોકે મારે ઉમેરવું જોઈએ કે પાછલાં વરસોમાં મથુરાદાસ સામે અસહકારનું આંદોલન ઉપાડ્યું હતું એના શરીરે. તેનાં એક પછી એક અંગ ખોટાં પડતાં જતાં હતાં. વગડાઉં કાગડાનો પગ તૂટી જાય, પછી તે ન તો વનમાં સ્વચ્છન્દાચાર કરી શકે, ન તો પિંજરે બેસીને લોકોનું મનોરંજન, એવી કપરી સ્થિતિ એની થઈ હતી. પણ લાચારીને એણે મુદ્દલ ન સ્વીકારી, મુસ્તાક રહયો. આ મોત સાથેનો પ્રવાસ હતો, અને હંમેશા તેણે એ સહપ્રવાસીની ઠેકડી ઉડાવી.
(માળું આયે તમને નહિ જામે. કેટકેટલી ફિલ્મો તમે જોઈ નાંખી છે જેમાં અસાધ્ય કેન્સરથી ગ્રસ્ત હીરો હસતો-હસાવતો મોતને ભેટતો હોય છે. ના, હવે આ ફોર્મ્યુલા તમને નહિ ચાલે.)
તો માફ કરજે ભાઈ મથુરાદાસ જેરામ, હું તારે માટે કોઈ કીર્તિસ્મારક રચી શકતો નથી. વાતચીત કે વર્ણનોથી હું એક્કેય વાઙમયમંદિર ચણી શકતો નથી, કે જેમા તારી સ્મૃતિની પ્રતિષ્ઠા થઈ શકે શબ્દોનાં હૂંફાળાં પીંછાઓ ઓઢાડી શકતો નથી તારા સંદર્ભના નગ્ન ડિલ પર. એક પ્રામાણિક વેદના સિવાય હું કશું આપી શકતો નથી, ઓ મથુરાદાસ, મારા પિતા, મારા મૃત પિતા.
– ઉદયન ઠક્કર
“પિતૃવિશેષ”ના પહેલા પગલે ઉદયન ઠક્કરની રચના થકી પિતા નામની ઘટનાને સલામ કરીએ. આ કવિતા બહુ વર્ષોથી વાંચું છું. દર વખતે થોડી થોડી વધારે સમજાય છે. કવિતા વાંચીને કોઇક વાર રડી નાખું છું અને કોઈક વાર છાની સલામ કરી લઉં છું. એક પિતા તમારે માટે શું હતો એ સમજવામાં આપણને બધાને બહુ મોડું થઇ જાય છે. એ ઘટના જ એટલી વિશાળ છે કે એનું મુલ્ય સમજાતા બહુ વાર લાગી જાય છે. અહીં કવિ કહે છે એમ ‘પ્રામાણિક વેદના’ સિવાય બહુધા આપણે એને ખાસ કશું આપી શકતા નથી. અને એટલું ય આપી શકીએ તો ઘણું.
ભુજને
કાંડું-પંજો અને આંગળીઓ પણ
ફૂટવા માંડી છે;
અને આંગળીઓએ સળવળી સળવળીને
વિસ્તરવા માંડ્યું છે…
સ્નાયુની જેમ ઊપસેલો ભુજિયો
એ જ નથી ભુજની શોભા હવે;
પાંચે આંગળીએ પહેરેલી
અનેક વીંટીના નંગ સમી
શોભવા લાગી છે સોસાયટીઓ…
અને પાંચે આંગળીઓએ
ભીંસાઈ ભીંસાઈને
કેટકેટલું લેવા માંડયું છે મૂઠીમાં!
આ ભીંસથી
એની નસોમાં ફરતું લોહી
કાળું પડવા માંડયું છે.
એનાં નસકોરાંમાંથી નીકળતો ધુમાડો જોઈ
મને હતું
કાળું પડતું જશે
આ આખું શહેર;
૫ણ જોઉં છું,
આ નગરની એક આંખ
(જે ઓળખાતી હમીરસરને નામે)
ફરી પાછી છલકાઈ ઊઠી છે
અને તરવા લાગી છે
એની લખોટા જેવી કીકી.
એના ખાલીપા નીચે
ધરબાઈ ગયેલાં
આ નગરનાં સ્વપ્નોએ
વૃક્ષો બનીને
ફરી પાછું
આકાશને તાકવા માંડ્યું છે.
વીતી ગયેલા એક સ્વપ્ન જેવો મહાલય
એને પોપચે ઊભો રહીને
ફરી જાણે આ
આંખમાં પ્રવેશવા મથે છે.
જલપ્રવાહની આવમાં ખેંચાઈ આવેલાં
મત્સ્યોની જેમ એમાં
ફરી પાછું
કશુંક સળવળવા માંડયું છે
અને
સુકાઈ ગયેલા આંસુની ધાર જેવો રસ્તો
ફરી પાછો
રેલો બનીને
લે, આ તારા ચરણ લગી આવી પહોંચ્યો છે.
આ ભુજ
હાથ બનીને–આંગળીઓ બનીને–નહોર બનીને
આ આંખને ફોડી નાંખે
એ પહેલાં
ચાલ, જોઈ લઈએ,
એમાં તરતાં મત્સ્યો,
એમાં તરતાં સ્વપ્નો!
– ધીરેન્દ્ર મહેતા
નગરકાવ્યો આપણી સાહિત્યસમૃદ્ધિનું અગત્યનું પાસું છે. પ્રસ્તુત રચનામાં ભુજ કેન્દ્રસ્થાને છે. ભુજમાં પ્રચંડ ભૂકંપ આવ્યો એના પંદર-સોળ વર્ષ પહેલાં લગભગ ૧૯૮૫ની આસપાસમાં આ રચના લખાઈ છે, પણ ચાળીસેક વર્ષ પૂર્વે શહેરીકરણનો રાક્ષસ જેટલો પ્રભાવી અને વિકરાળ જણાતો હતો એટલો જ આજે પણ લાગતો હોવાથી રચના આજેય એટલી જ પ્રસ્તુત લાગે છે. બંધ મુઠ્ઠી ખૂલે અને આંગળીઓના પ્રસારને લઈને પંજાનો વિસ્તાર વધતો જાય એ રીતે ભુજ પણ વિસ્તરી રહ્યું છે. નગરમધ્યે વિરાજમાન ભુજિયો ડુંગર ભુજની એકમાત્ર શોભા નથી રહ્યો પણ શહેરમાં ફૂલીફાલી રહેલી સોસાયટીઓ વીંટીના નંગ સમી શોભી રહી છે એમ કહીને કવિએ વેધક કટાક્ષ કર્યો છે. પ્રદૂષણનો કાળોતરો આખા ભુજને ગળી જશે એવી ભીતિના કાળાં વાદળોમાં કવિને ફરી એકવાર છલકાવા લાગેલ હમીરસર તળાવ નામની સોનેરી કોર નજરે ચડે છે. પાંખા વરસાદવાળા વિસ્તારની સમૃદ્ધિ સ્વાભાવિકપણે જળની આવને આભારી જ હોવાની. હમીરસર તળાવના ભરાવાથી નગરનાં સ્વપ્નોને વૃક્ષ બની મહોરવાની તક સાંપડી છે. ઔદ્યોગિકીકરણનો રાક્ષસ નગરને ભરખી જાય, એ પૂર્વે જીવી લેવાના આહ્વાન સાથે કવિ વાત પૂરી કરે છે ત્યારે આપણી ચેતનામાં સળવળાટ શરૂ થાય છે…
October 27, 2024 at 11:30 AM by વિવેક · Filed under અછાંદસ, કાનજી પટેલ
સાંજના ગાડામાં
ભર્યો શિયાળો.
સીમની કરોડ પર ચાલે ગાડાવાટ.
ઊડતી ધૂળ કિરણોમાં થાય સોનું.
સૂરજ કાળા ઘડામાં પુરાય.
લબકારા લે કુહાડો જંગલ પર.
ઢળી પડે સીમ.
ગાડાવાળાની છાતીમાં ડચૂરો.
ઝણઝણે એની કરોડ.
નસોનું તાપણું તતડે.
ચાલે અંધારિયા પેટાળમાં આગિયાનાં ઝરણ.
બહુ દૂર નથી છાપરું.
આઘે નથી હોકો.
નથી છેટો ચૂડલો.
ને કરાંઠીનો ચળકતો અગ્નિ.
– કાનજી પટેલ
શિયાળો ઋતુઓના દરવાજે આગળિયો ખૂલવાની રાહ જોતો ઊભો હોય એ સમયે આવી રચનાની હૂંફ મેળવવાથી ચડિયાતો ઉપક્રમ બીજો કયો હોઈ શકે? શિયાળાની સાંજે સૂર્યાસ્ત પણ વહેલો થાય અને ભારી હવાના કારણે વાતાવરણ પણ થોડું વધારે બોઝિલ લાગે.રોજિંદો રચનાક્રમ અને રોજિંદુ અંતર જ કાપવાનું હોવા છતાં શિયાળો નિર્ધારિત મજલનેય લાંબી બનાવી દે છે. શિયાળો સીમની કરોડ પર ચાલતા સાંજના ગાડામાં બેસીને આવ્યો હોવાના અનૂઠા કલ્પના સાથે કાવ્યનો ઉઘાડ થાય છે. આથમતા સૂર્યના કિરણો શિયાળામાં વધુ સોનેરી હોવાથી હવામાં ઊડતી ધૂળા સોનામાં પરિવર્તિત થતી દેખાય છે. નાના નાના વાક્યોમાં કવિએ નવ્યકલ્પનો એ રીતે જમા કર્યા છે,જાણે કોઈએ તાપણું પેટાવવા સાંઠીકડા ભેગાં ન કર્યાં હોય! સાંજના ગાડામાં બેસીને આવતા શિયાળાનું દૃશ્યચિત્ર અને બદલાતા વાતાવરણના કારણે માનવહૈયામાં થતી ઉથલપાથલ કવિએ બહુ ઓછા શબ્દોમાં બહુ અસરદાર રીતે ઉપસાવી છે. ધારવા કરતાં વહેલી ઉતરી આવતી રાતના અંધારામાં ઘરે પરત ફરતા કોઈક ખેડૂતની છાતીમાં ડચૂરો ભરાય છે. ડચૂરો ભરાવા પાછળનું કોઈ દેખીતું કારણ કવિએ આપ્યું ન હોવા છતાં ભાવક પણ એની અનુભૂતિથી બચી શકતો નથી એ કવિ અને કવિતા ઉભયની ઉપલબ્ધિ ગણાય.
એકાકી વૃદ્ધ
બેઠો છે
સુકાઈ ગયેલા વૃક્ષ નીચે
વૃદ્ધ જુએ છે-
ઘડીકમાં વૃક્ષ સામે
ઘડીકમાં જાત સામે
ને મનોમન પ્રાર્થે છે:
ક્યાંકથી કઠિયારો આવે
ને વૃક્ષભેળો મનેય કાપી જાય.
September 28, 2024 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, રાજેશ પંડ્યા
આ રસ્તો
મારા ગામ તરફ જાય છે.
જોકે હું એના પર ચાલતો નથી અત્યારે
હું બેઠો છું અહીં
અને બેઠો બેઠો પહોંચી ગયો છું ગામને પાદર.
વડલાની ડાળે હીંચકા ખાતો પવન પડી ગયો છે,
શીતળાઈની ધજા ફરફરતી નથી જરાય
મસાણમાં અડધી બાળેલી ચિતા ધૂંધવાય છે,
ને પડખે વહેતી નદીનાં ઊકળતાં પાણીમાં પરપોટા થાય છે
શંકરની દેરીનો પોઠિયો ગળતી ભણી ઉઘાડે મોં ઊંચું જુએ
તો કૂવાનાં જળ ગરેડીથી તળિયા લગ ઘૂમચકરડી ફરતાં દેખાય.
સામેની નિશાળના ખાલીખમ મેદાનમાં
કોઈ છોકરો એક પગે ઠેકે છે
એનો લંગડી દા ઊતર્યો નથી હજીય
પછી
ક્યાંથી એ દોડીને પહોંચી શકે વતનને ગામ!
ભલેને એને લઈ જતો આ રસ્તો
આંખ સામે જ પથરાઈને પડ્યો હોય અફાટ
જેના પર આખી રાત
સપનામાં ચાલ્યા કરવાનાં પગલાં પડ્યાં હોય ખીચોખીચ.
– રાજેશ પંડ્યા
વતનઝૂરાપાના અનેકાનેક અમર કાવ્યોથી વિશ્વસાહિત્ય ભર્યું પડ્યું છે. કવિએ ‘ફરી ગામડે’ શીર્ષક હેઠળ એકાધિક કાવ્ય કર્યાં છે, એમાંનું એક અહીં રજૂ કરીએ છીએ. ગામ તરફ લઈ જતો રસ્તો નજર સામે જ પડ્યો હોવા છતાં શહેર ત્યજીને એ રસ્તે ચાલીને ગામ જવાનું સંભવ બનતું નથી. કવિના મનની આંખો સમક્ષ ગામ તાદૃશ થઈ ઊઠે છે. બહુ સ-રસ રીતે કવિએ વતનવિયોગની વેદનાને વાચા આપી છે.
દરિયો તો
દુનિયા ડૂબાડી દે એવો
ને કવિતા તો
કાગળની હોડી.
કવિતા બહુ બહુ તો
આંગણામાં ભરાયેલા ખાબોચિયામાં
દરિયાનો અહેસાસ કરાવી શકે
કે હોડી તરતી મૂકતા બાળકનો વિસ્મય
આંખમાં આંજી શકે.
જો તરી જવાની મંછા ન હોય
ને ડૂબી જવાની ચિંતા ન હોય
તો કાગળની હોડીમાં બેસો!
– વજેસિંહ પારગી
કવિતાના રહસ્યમયી કેલિડોસ્કૉપમાંથી નજરે ચડતું પળેપળ બદલાતું ભાતીગળ દર્શન મનુષ્યજાતને પરાપૂર્વથી આકર્ષતું રહ્યું છે. સમુદ્ર અને જમીન તો સૃષ્ટિના આરંભથી જ સહોપસ્થિતિ ધરાવે છે, પણ દરિયો કંઈ દુનિયાને ડૂબાડી દેતો નથી એ હકીકત કોરાણે મૂકીને કવિ જ્યારે એમ કહે કે દરિયો તો દુનિયાને ડૂબાડી દે એવો છે, ત્યારે આપણને સહેજ નવાઈ લાગે. પણ કવિતાની ખરી કરામત જ આ છે. એ કહે કંઈ અને બતાવે કંઈ. બીજી જ પંક્તિમાં દુનિયાને ડૂબાડી દે એવા દરિયાને તરવા માટે કવિતા નમની કાગળની હોડીની વાત કવિ કરે છે, ત્યારે આપણી ભાવકચેતનામાં તત્ક્ષણ ચમકારો થાય છે- અરે! આ દુનિયા એટલે તો આપણું અંગત ભાવવિશ્વ અને આસપાસનું જગત અને જગતની ઉપાધિઓ એ એને ડૂબાડી દેતો દરિયો! દુનિયાનો દરિયો આપણી અંગત દુનિયાને ડૂબાડી દે એવો છે, અને એને પાર કરવો હોય તો નાજુક તો નાજુક પણ કવિતા જ એકમાત્ર સાધન છે. વાહ! કેટલા ઓછા શબ્દોમાં કેવી મજાની વાત!
કવિએ આ નાનકડી રચનાને ત્રણ ભાગમાં વહેંચી છે, પણ મને એમ લાગે છે કે વચ્ચેની પાંચ પંક્તિઓ કાઢી લીધી હોય તોય રચનાને ઉમદા કાવ્ય ગણી શકાઈ હોત. ખરી કવિતા તો પહેલા અને ત્રીજા બંધની સાત પંક્તિઓમાં જ છે!
દહાડીનો દહાડી ઊગે છે સૂરજ
ધરતી પરથી હટે છે અંધકાર
હુંયે પ્રકાશ આંજીને
નીકળી પડું છું કરવા દહાડી.
દહાડાના પ્રકાશમાંયે
આંખ સામે છવાય છે
આજ દહાડી નંઈ મળે તો- નો અંધકાર.
ને અંધકારમાં અટવાતી રહે છે આશા.
કોઈ દહાડો એવો નથી ઊગ્યો
કે દહાડીની વાતે
મારા મનમાં ફેલાયો હોય પ્રકાશ!
– વજેસિંહ પારગી
આપણે બધા તો ખાધેપીધે સુખી કાવ્યરસિકો છીએ. પેટ ભરાયેલું છે અને ભરાતું જ રહેવાનું છે એની નિશ્ચિતતા આપણને કવિતા-ફવિતાના શોખ પૂરા કરવાની પરવાનગી અને મોકળાશ આપે છે, પણ દુનિયામાં એવાય લોકો છે, જેમના માટે સૂરજ ઊગે અને પ્રકાશ ફેલાવો શરૂ થાય ત્યારે સૌથી મોટો પ્રાણપ્રશ્ન મને દહાડીએ રાખવાવાળો કોઈ શેઠિયો આજે મળશે કે નહીં? મારા ઘર પાસેન ચાર રસ્તા પર રોજ સવારે માણસોનું કીડિયારું ઊભરાય છે. આજીવિકા રળવા માટેના સાધનો લઈને સેંકડો લોકો હમણાં કોઈ આવશે અને આજના દહાડા પૂરતું કોઈક કામ આપશે અને ઘરે સાંજે ચૂલા પર કશુંક ચડાવી શકાશેની આશામાં ઊભા હોય છે. એમાંના ઘણાને ખાલી હાથે જ દૂરની ફૂટપાથ પરના પોતાના નિવાસે જવું પડતું હશે. દહાડી પર નભતા આવા લોકોની રોજનીશીને કવિએ બહુ ઓછા શબ્દોમાં આબાદ ચરિતાર્થ કરી બતાવી છે.
આંખ તો એમ જ થઈ જાય છે ભીની ભીની,
ને પછી તો બધું જ લાગવા માંડે છે ભારે ભારે, સજળ!
બારીઓમાં બગાસાં
દીવાલોમાં ઊંડી ઊંડી સુસ્તી,
પવન સાવ પડેલો, હતાશ શઢ-શો.
ને તડકો સાવ ખરવાપાત્ર પીળાશ-શો.
થાય છે : આજની હવામાં
. હું નહીં ઊગું, નહીં વિસ્તરું, નહીં ફળું.
. ભલે હું કોડિયામાં ડૂબેલો રહું માખ-શો.
. હું નહીં ઊડું.
મારે નથી પહોંચવું ક્યાંય,
નથી પહોંચાડવાં કોઈનેય ક્યાંય…..
ભલે ઝૂમખાંનાં ઝૂમખાં ચાવીઓ પડી રહે, કાટ ખાતી,
મારે નથી ઉઘાડવાં કોઈ તાળાં, કોઈ સંચ.
ભલે આકાશ પોઢેલું રહે, આઠે પહોર,
મારે નથી જગાડવા કોઈ સૂરજ કે ચંદ.
ભલે પીરસેલાં ભાણાં રહે અકબંધ,
. ને ઉજાગરાએ ધીકતા રહે છત્રપલંગ.
ભલે વેદનાના કંપે ખળભળતા રહે
. મારા અંદરના અને બહારના સૌ લોક.
. મારે કશુંય કરવું નથી આ અકાળે હવાયેલી જિંદગીમાં.
ડહોળાવાનું ભલે ડહોળાતું,
તણાવાનું ભલે તણાતું,
ભલે તૂટતાં લંગર
. ને ભલે વછૂટતાં વહાણ આડેધડ ખડકો ભણી.
. આજ ભલે ડૂબતી, પણ આવતીકાલ તો છે જ.
આવતીકાલે સૂરજ ઊગશે જ.
ને ઘણું ઘણું તપશે ને તપી તપીને હલકું થશે;
ઘણું ઘણું પામશે ઉઘાડ હૂંફાળો હૂંફાળો;
ને ત્યારે આજનો આપણો મોકૂફ રહેલો કાર્યક્રમ
ફરીથી ગતિમાન થશે, શાનદાર રીતે સૂરજની સાથે.
. ચોમાસું કંઈ બારે માસનું તો હોતું જ નથી.
– ચંદ્રકાન્ત શેઠ
‘એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી.’ (પ્રભુલાલ દ્વિવેદી) ખરું ને? કોઈક કારણોસર આજે કથકની આંખે ચોમાસું બેઠું છે. કવિ કહે છે કે આંખો આજે ‘એમ જ’ ભીની ભીની થઈ છે. કારણ જે હોય એ, પણ આંખો ભીની થવાના કારણે બધું જ ભારઝલ્લું સજળ લાગવા માંડે છે. હતાશાનો ભાવ ચોકોરથી કથક ફરતે ભરડો લઈ બેઠો છે. બારી, દીવાલ, પવન, તડકો- બધું જ ઉદાસીનતાના રંગે રંગાઈ ગયું છે. કશું જ કરવાની ઇચ્છા બચી નથી. સ્વયં માટે કે અવર માટે થઈને પણ કશું કરવાની આજે તો તમા નથી. કોઈ તાળાં કે ખજાના ઊઘાડવાનું આજે મન થતું નથી. અકાળે હવાઈ ગયેલી જિંદગીમાં કથકને કંઈ કરતાં કંઈ જ કરવા-કારવવાની ઝંખના થતી નથી. જીવનને જેટલું ડહોળાવું હોય, ડહોળાઈ લે; જેટલું તણાઈ જવા માંગતું હોય, ભલે તણાઈ જાય; ભલે બધા જ જહાજ ખડકોમાં ફળાઈને તૂટી જવા દોટ કેમ ન મૂકે, કથકની આજ મરી પરવારી છે, આશ નહીં. આજ મરી પરવારે એ ચાલે, પણ આશ મરી પરવારવી ન જોઈએ. આજ જશે તો કાલ આવશે પણ આશ જશે તો જીવનમાં કદી હાશ નહીં આવે… આજ ભલે ડૂબી મરતી, કાલ તો ઊગશે જ ને! કાલે ફરીથી ભરોસાનો સૂરજ ઊગવાનો જ છે અને જીવનચક્રના આરા પુનઃ ગતિમાન થવાના જ છે. કારણ ચોમાસું ગમે એટલું વિનાશકારી અને લાંબુ કેમ ન હોય, બારે માસનું તો નથી જ હોવાનું!
પંચાયતના ચોપડે
એ સપરિવાર વર્ગીકૃત હતો અમુક રેખાની નીચે,
જ્યારે બિલોરી કાચ વડેય જડતી નહોતી તમુક રેખા
એના હાથમાં, ફૂટપાથિયા જ્યોતિષીને.
એ ગરીબ હતો, અર્થશાસ્ત્રીય વ્યાખ્યા મુજબ;
પણ ગુજરાતીનો એક હંગામી અધ્યાપક
એને દરિદ્ર ગણતો હતો, ભદ્ર ભાષાશાસ્ત્રીય વ્યાખ્યા મુજબ.
જોકે એ નારાયણ નહોતો, ગાંધીજીની વ્યાખ્યા મુજબનો.
માત્ર એનું નામ હતું: નારણ. એની અભદ્ર છતાં
સાચી જોડણી હતી : નાય્ણ્યો.
પાંચ વરસે એ થોડા દડાહા પાંચમાં પુછાતોઃ
ધોની, કાર્તિક કે કોહલીની જેમ એનો ભાવ પડતોઃ
દસબાર દહાડા ભૂસાંભજિયાંનાં પડીકાં, એક શીશો દેશી,
ને ચાર જાંબલી નોટો,
ને હા, બધું પતી જાય ત્યારે, ઝૂંટવેલું ઝંડાનું કાપડ
(જેમાંથી સહેલાઈથી એકાદ અંડરવેર – ઝંડરવેર તો સિવડાવી જ શકાય).
પૂરા પાંચ વરસની મૂઠ મરાવવા માટે
કોક ભૂવા જાગરિયા પાસે જતો હોય એમ એ ઊભો થયો,
એનું ઊભું થવું આમ જોતાં તાંત્રિક હતું,
પણ છાપાંવાળાઓની વ્યાખ્યા મુજબ લોકતાંત્રિક હતું.
એ બહાર નીકળ્યો, સજોડે, સાચવીને, ટટ્ટીમાં પગ ના લબદાય એમ.
ઝૂંપડપટ્ટીની બહાર, નવાઈની વાત,-
(ગાંધીજીની વ્યાખ્યા મુજબના) કોઈ ગરુડને બદલે
પાંખો ફફડાવતાં એની રાહ જોતાં હતાં
વાંકી અણિયાળી ચાંચોવાળાં બેચાર ગીધ.
એ જુગતે જોડાને હંકારી એ હાંકી ગયા એક ડબ્બા સુધી.
અંગૂઠા આંગળાં સમેત એના હાથ સાબૂત હતા.
અત્યાર સુધી એ શાહી પર અંગૂઠો ઘસતો હતો
આજે કોકે ઘસી નાખી શાહી એની આંગળી પર.
હું હિન્દી કવિ હોત તો મારે લખવું પડ્યું હોતઃ
આજ કિસી ને કાલિખ પોત દી ઉસકી ઉંગલી પે.
ને એ તિલસ્મી રીતે પુરાઈ ગયો ડબ્બામાં
ઉત્તેજનાભરી આખી પ્રક્રિયા પતી ગઈ કેવળ બે મિનિટમાં.
જોકે પોલિટિકલ પંડિતો માટે એ નક્કી કરવું અઘરું હતું કે
આ સદ્ય સ્ખલન હતું કે સ્તંભન પાંચ વર્ષનું…
– હરીશ મીનાશ્રુ
લોકશાહીની ચૂંટણી હમણાં જ ગઈ, અને આજે પંદરમી ઓગસ્ટ. આજના દિવસે આથી વધુ સાર્થક રચના મને જડી નથી જડતી. ચિત્ર રંગોથી જ બને, પણ બહુ ઓછા ચિત્રકાર રંગો પાસેથી એવું કામ લઈ શકે છે જે અનનુભૂત લાગે. ચિત્રો માટે જેમ રંગ એમ કવિતા માટેનું ઉપાદાન ભાષા છે. પણ મારા સહિત મોટાભાગના કવિઓ પ્રચલિત ભાષાસંસ્કારથી ઉપર ભાગ્યે જ ઊઠી શકે છે. હરીશ મીનાશ્રુ ભાષા પાસેથી સામર્થ્યવાન ચિત્રકારની જેમ જે રીતે કામ કઢાવી શકે છે એ સાચે જ કાબિલે-દાદ છે. પ્રસ્તુત રચનામાં ડગલે ને પગલે એમની ભાષારમણા અ વાતની પ્રતીતિ કરાવતી જોવા મળશે. લોકશાહીની જે વરવી વાસ્તવિક્તા કવિએ રજૂ કરી છે, એનાથી આપણે સહુ બહુ સારી રીતે અવગત છીએ, પણ અહીં ખરી મજા રજૂઆત અને શબ્દક્રીડાની છે. કશું જ અપરિચિત ન હોવા છતાં કવિતા આપણું લોહી થીજાવી દે એવી પ્રભાવક થઈ છે…
કવિને પ્રિય એવા કોઈ વર્ષાકાળે થયેલા અગમ્ય અને વિસ્મયભર્યા નભદર્શનથી સર્જાયેલું આ કાવ્ય છે. રસરાગી અને ચૈતન્યભાગી આપણા આ કવિના દર્શનમાં વર્ષાજળ વરસાવતાં, વિહરતાં વાંદળાં મેઘપુરુષનો ખેસ લહેરાતો હોય એવાં ભાસે અને કવિ એને ‘ધારાવસ્ત્ર’ કહે. માત્ર બે-ત્રણ શબ્દોની એક એવી દસ જ પંક્તિમાં કવિ વિરાટ, ભવ્ય અને આશ્ચર્યચકિત કરનાર ચિત્ર આ કાવ્ય રજૂ કરે છે. એટલે આ નાના કદનું પણ વિરાટ રહસ્યગર્ભે વિસ્તરતું કાવ્ય છે. પાંચેક જેટલા ક્રિયાપદો કાવ્યને ગતિ આપે છે જે ધારાવસ્ત્ર ઊડતું, ફરફરતું હોવાની પ્રતીતિ કરાવે છે. અને તેની ઉચિતતા પણ સ્થાપે છે.
કાવ્યના ઉઘાડની પંક્તિઓ જ કેવી રહસ્યમય અને વિસ્મિત કરનારી છે ! કોઈ પ્રચંડ અસ્તિત્વ આકાશવિહારે નીકળ્યું છે એની ચાલ કેવી તો કહે ‘ઝપાટાભેર’ એના આગળ-પાછળ થતા અજાનબાહુથી પવન સૂસવાટા મારતો હશે. આકાશ થોડું થરથર્યું હશે. એટલે જ તો દેવાધિદેવ સૂર્ય પણ બાજુ પર ખસ્યો નથી હડસેલાઈ ગયો છે. આ સાદ્શ્ય હજી તો માંડ પ્રત્યાયન પામે ત્યાં એક સાથે દૃષ્ટિ અને શ્રવણેન્દ્રિયને જગાડતી પંક્તિ સંભળાય છે : ‘ધડાક બારણાં ભિડાય.’ આ પ્રચંડ ધડાકાથી બારણા બિડાયાં કે બારણા બિડાવાનો આ ઘોરઘોષ (અવાજ) હતો ? મેઘગર્જન હશે ? પર્જન્યપુરુષના નભવિહારની કેવી રૌદ્ર નિષ્પત્તિ છે આ ? પરંતુ કવિ એના વિશે ચોખવટ કરે તો તો એ કવિ કરતા નિબંધકાર સાબિત થાય. જર્મન ઓથર ટોમસ માનની ઉક્તિ સંભળાય છે :’The real artist never talk about the main things.’
કાવ્યની છેલ્લી બે પંક્તિઓમાં આકાશમાં થતી વિશાળ અને વિશિષ્ટ હલચલની પૃથ્વીસ્થિત પ્રતિક્રિયા અથવા સહોપસ્થિતિ છે. અહીં ધ્યાન ખેંચે છે તે બન્ને ક્રિયાપદ- ‘મથ્યાં કરે, હાથ વીંઝ્યાં કરે.’ આ ક્રિયા જે કરે છે તેને કવિએ વૃક્ષ તો કહ્યાં, પાછા હાથ પણ દીધા. એટલે આપણા આંખ-કાન ચમક્યાં. વળી એક રહસ્યમય વાત પ્રગટી. આ હાથાળ વૃક્ષોને ઝીલવું તો છે પેલું ‘ધારાવસ્ત્ર’ પણ…! કવિએ એક જ વિશેષણથી કેવું સમાધાન આપી દીધું? ‘વ્યર્થ.’ ‘કરે’ ક્રિયાપદથી આ પ્રાપ્તિની મથામણ તો ચાલુ જ છે પણ વ્યર્થ. હવે રહે છે તો માત્ર ધારાવસ્ત્ર. પેલો પુરુષ કે અસ્તિત્વ પણ ઓગળી ગયું. છે તો માત્ર સૃષ્ટિ અને આકાશ અને.. બેઉને જોડતું આ અનુપમ, અદ્ભુત કે અલૌકિક ‘ધારાવસ્ત્ર.’
ઓછામાં ઓછા શબ્દોમાં ધાર્યું પ્રત્યાયન સાધી શકે એ કવિતા ઉત્તમ. પ્રસ્તુત રચનામાં ભાષા અને અસ્તિત્વમાં નિહિત વિરોધાભાસી પ્રકૃતિનું અત્યંત લાઘવપૂર્ણ પણ અસરદાર નિરૂપણ કર્યું છે. પૉલિશ કવયિત્રીએ બહુ જ સરળ શબ્દોમાં ગહન ચિંતનોત્તેજક કૃતિ આપણને આપી છે. ‘કંઈ નહીં’ બોલતવેંત આપણે કશાકનું સર્જન કરી બેસીએ છીએ, અને ‘કંઈ નહીં’ એ કંઈ નહીં રહેતું નથી. સમયની ક્ષણભંગુરતા, મૌનની નજાકત અને શૂન્યતાના અસ્તિત્વગત નિહિતાર્થો ભાવકમનને વિચારતું કરી દે છે.
*
The Three Oddest Words
When I pronounce the word Future,
the first syllable already belongs to the past.
When I pronounce the word Silence,
I destroy it.
When I pronounce the word Nothing,
I make something no non-being can hold.
ભૂખની આગ
કંઈ બળતો ડુંગર નથી
કે ગામ આખાને દેખાય.
ભૂખની આગ તો
પેટમાં ઉકળતો લાવા.
જેના પેટમાં હોય
એ અંદર ને અંદર ખાક.
– વજેસિંહ પારગી
દાહોદ જિલ્લાના ભીલ જાતિના ખેતમજૂર દંપતીના ઘરે કવિનો જન્મ. ગુજરાત એટલે જેમના મન ખેડા, વડોદરા અને અમદાવાદ જિલ્લો હોય એવા દારુણ ગરીબીમાં સબડતા દલિત આદિવાસીજીવનના શિકાર કવિના માટે વિધાતાએ પણ ‘રોઝિઝ રોઝિઝ ઑલ ધ વે’ના સ્થાને ‘અક્કરમીનો પડ્યો કાણો,’ ‘દુકાળમાં અધિકમાસ’ અને ‘દાઝ્યા પર ડામ ને પડ્યા પર પાટુ’ જેવી કહેવતો જ સર્જી હતી. વતનના ગામ ઇટાવામાં કોઈક ધિંગાણા વખતે અકસ્માતે એક ગોળી એમના મોંના ભાગે વાગી અને છ-સાત વર્ષમાં એક પછી એક ચૌદવાર શસ્ત્રક્રિયાઓ કરાવીને દેવાદાર થઈ આગળ ઈલાજ કરાવવાનું અને અધ્યાપક થવાના સ્વપ્નોનું એમણે નાછૂટકે પડીકું વાળી દેવું પડ્યું. પ્રૂફરીડર બન્યા પણ એમાંય સતત જાતિવાદનો ભોગ બનતા રહ્યા. છેવટે એમના જ શબ્દોમાં ‘જિંદગીનો લય ખોરવાઈ ગયો છે. કશું સમજાતું નથી. બધું અર્થહીન લાગે છે. ઓછી પીડાવાળું જીવન ઝંખ્યું પણ જીવવું પડે છે પીડાથી ભરચક’ કહીને એમણે સાંઠ વર્ષની આયુમાં ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ વિદાય લીધી.
એમના મરણોત્તર સંગ્રહ ‘ડાગળે દીવો’માંથી વાંચતાસોત ઊભાને ઊભા ચીરી મૂકે એવું એક લઘુકાવ્ય અહીં રજૂ કરીએ છીએ…
રામબાણ તો વાગ્યા હોય એ જાણે… ખરું ને? એ જ રીતે પેટની આગ પણ જેણે વેઠી હોય એ જ જાણી શકે… પણ કવિતા એક એવો જાદુ છે, જે ન વાગેલ રામબાણની પીડા કે ન વેઠેલ આગની તકલીફ પણ અનુભવાવી શકે…
ટપાક્. શાહીનું ટીપું. તગતગતું નીકળે બહાર. પરથમ તો આળસ મરડી ખાય બગાસું. પછી સૂંઘે પવનને. થોડું અડી લે આકાશને. મૂછમાં હસતું જોઈ લે ઝાડ-પાન-ફૂલને. થોડા ટહુકા વીણી મૂકી દે કાનમાં. પછી ચડી જાય વિચારે. વિચારમાં ને વિચારમાં દદડવા લાગે રેલો, તે રેલો ક્યાં લગ પૂગ્યો તેનુંય ભાન ન રહે. પણ રેલો ઈ તો રેલો. ભીનાશ બધી શોષાઈ જાય રેતીમાં ત્યારે જ એની ખબર પડે. પછી હાળું ટીપું, રેતીના કણ થઈને ઊડે ને ભરાય મારી આંખમાં. આંખ ચોળતો, ઝાંખ વચ્ચે હું લખવા માંડું કવિતા. વાત તો આટલી જ કે શાહીનું ટીપું ટપાક્ દઈને નીકળે બહાર. દરિયો માની પોતાને માળું ઉછાળે મોજાં ક્યારેક, ને ક્યારેક સૂરજનું સંતરું લઈને રમતે ચડે સાંજે તે કાળું ટપકું થઈને થીજી જાય પાછું. ઊંઘમાં ને ઊંઘમાં લવારે ચડે તો ગજવે વનનાં વન હૂ ડૂ ડૂ ડૂ પવન થઈને. હેં! ગવન થઈને ઊડવું ગમે પાછું એને. ને ચાળે ચડે તો ‘રાસ રમંતાં મારી નથણી ખોવાણી…’ ના, ના, વાત તો અમથી આટલી જ કે ટપાક્ દઈને ટીપું શાહીનું ધસી આવે બહાર -ટોચે. ટોચે ઝગમગતું ટીપું– આદમનો અવતાર, ઈવનો વિસ્તાર. હાળું જીવ લઈને જન્મ્યું તે ભરી દીધી પરથમી આખીને; અને હવે તાકે આકાશ સામે ટગરટગર. ગ્રહો—નક્ષત્રોને લે ઊંડણમાં ને ખેંચે સમદરને તળિયેથી બધો ભેજ. તેજ—ભેજના તાંતણાં વણી સજાવે સેજ. એ જ… એ જ…
એ જ તો કહેવું છે મારે..
ટીપું શાહીનું ટપાક્…
– રમણીક સોમેશ્વર
છંદોબદ્ધ કાવ્યો લખી લખીને થાકેલા કવિઓએ મુક્ત ગગનમાં ઉડ્ડયન કરવું નિર્ધાર્યું એ દિવસે અછાંદસ કવિતાનો જન્મ થયો. વિશ્વની તમામ ભાષાઓએ વહેલોમોડો છંદમુક્તિનો સ્વાદ માણ્યો. આપણે ત્યાં અછાંદસ કાવ્ય લખાતા થયા ત્યારે એના નામાભિધાન વિશે પણ ચર્ચાઓ ચાલી હતી. એક સમય એવો આવ્યો જ્યારે અત્યારે પ્રચલિત સ્વરૂપસંવિધાનના સ્થાને પરિચ્છેદ તરીકે જ ગદ્યકાવ્ય લખવામાં આવતા. રમણીક સોમેશ્વરનું આ કાવ્ય પણ પરિચ્છેદ સ્વરૂપે લખાયેલ ગદ્યકાવ્ય જ છે.
શાહીના ટીપાંની મિષે કવિએ અદભુત અને અનૂઠી રીતે કવિતાની વિભાવના વ્યક્ત કરી છે. ઇન્કપેનમાંથી વધારાની શાહીનું ટીપું તગતગતું બહાર આવે અને ટપાક્ કરતું નીચે પડે એ ‘ટપાક્’ શબ્દ સાથે કાવ્યારંભ થાય છે. કવિ એક શબ્દચિત્ર દોરવાની શરૂઆત કરે છે, પણ પ્રારંભ કરે છે ધ્વનિથી. કવિતામાં આદમ-ઈવનો પણ ઉલ્લેખ છે. એટલે કાવ્યચેતના આદિમથી આજ સુધીના પ્રલંબ પટ પર વિસ્તરી હોવાનું સમજાય છે. ભાષા અને લિપિના અસ્તિત્વના હજારો વર્ષ પૂર્વે બોલીનો જન્મ થયો હતો. કદાચ એટલે જ કવિએ કાવ્યારંભ ધ્વનિ-શ્રુતિથી કર્યો હોઈ શકે.
ઊંઘમાંથી ઊઠીને માણસ બગાસું ખાઈ આળસ મરડીને દિવસની શરૂઆત કરે, એ જ રીતે શાહીનું ટીપું પણ બહાર આવીને આળસ મરડે છે, બગાસું ખાય છે, પવનને સૂંઘે છે, આકાશને ‘થોડું’ અડી લે છે અને મૂછમાં હસતાં હસતાં ઝાડ-પાન-ફૂલને જુએ છે. થોડા ટહુકાય ગુંજે ભરી લે છે. વિચારે ચડીને દદડવા માંડતું ટીપું આખાય બ્રહ્માંડને ઊંડણમાં લઈ લે છે એ જોઈને ઉમાશંકર જોશીની વાત યાદ આવે: ‘ગામથી શબ્દ લઈને નીકળ્યો હતો. શબ્દ ક્યાં ક્યાં લઈ ગયો?’
નાના અમથા શાહીના ટીપાંમાં ભરી પડી અસીમ સંભાવનાઓનો તાગ કાઢવાની આ કવાયત આખરે તો કવિસિસૃક્ષા જ છે.
મારી પાસે છે પાત્ર
અને છે
એટલું જ કારણ માત્ર
હું જળ ભરું છું
ને બરફ કરું છું
પણ જળ ખૂટતું નથી
કે જળ છૂટતું નથી
બધું જળ
કૈં બરફ થતું નથી
*
ને નથી થતો
બધીય હવાનો વંટોળ
હવાને લાવી લાવી
છાતીની ધમણ ફુલાવી
ફૂંક મારું છું
હવાનાં સાંસાં પડે છે
છતાંય ફૂંક મારું છું
ને અંતે હું હારું છું
પણ નથી થતી
બધીય હવા વંટોળ
*
કે નથી સર્જાતાં
જમીન માત્રમાં જંગલો
કયારેક હળથી
કયારેક પળથી….…ખેડી લઉં
ક્યારેક બીજથી
કયારેક વીજથી…વાવી લઉં
કયારેક પાણીથી
કયારેક વાણીથી…..સીંચી લઉં
ક્યારેક ફળને
કયારેક છળને………વેડી લઉં
હા, નથી સર્જાતાં
જમીન માત્રમાં જંગલો.
*
કેમ બધો અવકાશ
ભરી શકાતો નથી?
બાથ ભરું કે ભરું બાચકો
ખાલી… ખાલી… ખાલી…
. રહે ધ્રાસકો.
કેમ બધોય અવકાશ,
કશાથી,
ક્યારેય
ભરી શકાતો નથી?
*
આગ-
હોય છે, દેખાતી નથી
જાતે જ પ્રગટે છે, થાતી નથી
ચૂલો છે ચૂલો; છાતી-
. છાતી નથી.
*
કેટલાંક સુખની
. કવિતા કરવી નથી.
કેટલાંક દુ:ખની
. કવિતા થઈ શકતી નથી.
– હર્ષદ ચંદારાણા
હર્ષદ ચંદારાણાની કવિતાઓ સામાન્યપ્રવાહથી વિષયવસ્તુની પસંદગી અને માવજતને લઈને અલગ તરી આવે છે. ગઝલ હોય, ગીત હોય કે અછાંદસ- એમની શબ્દપસંદગી અને રૂપકવિન્યાસ તરત જ ઊડીને આંખે વળગે છે. આ અછાંદસ રચના જુઓ. કવિએ રચનાને પંચમહાભૂતના પાંચ ખંડોમાં વહેંચી છે – જળ, વાયુ, પૃથ્વી, આકાશ અને અગ્નિ –એમ પાંચેય ઘટકતત્ત્વની સાપેક્ષે એમણે પીડાની ક્રીડાઓ તાગવાની કોશિશ કરી છે. અછાંદસ રચના હોવા છતાં કવિએ કૃતિમાં મોટાભાગની પંક્તિઓ વચ્ચે જે રીતે પ્રાસગુંફન કર્યું છે એનાથી એક અનૂઠો લય તો સર્જાય જ છે, કૃતિને રોચક પ્ર-વેગ અને પ્રવાહિતા પણ સાંપડે છે.
કરવાની ઇચ્છા હોય એ કરી ન શકાવાની પીડાને કવિએ પાંચેય ઇન્દ્રિયોની ક્રીડાઓ થકી વારાફરતી વ્યક્ત કરી છે. કવિને જળનો બરફ કરવો છે અને ફૂંક મારીને હવાનો વંટોળ કરવો છે. જમીન માત્રને જંગલોથી ભરી દેવી છે અને અવકાશના ખાલીપાને સભર કરવો છે. છાતીમાં જે આગ છે એના કાબૂ બહાર હોવાનીય પીડા છે. ટૂંકમાં, દુન્યવી નજરે જે કામ અશક્ય કે અસાધ્ય લાગે એ બધું કવિને કરવું છે. કાવ્યાંતે કવિ કેટલાંક સુખની કવિતા કરવી નથી અને કેટલાંક દુઃખની કવિતા થઈ શકતી નથી એમ કહીને વાત આટોપી લે છે ત્યારે ખ્યાલ આવે છે કે આ આખી મથામણ, સઘળી પીડા પંચેન્દ્રિયો મારફતે થતી અનુભૂતિને યથાતથ અભિવ્યક્ત ન કરી શકાવા બદલની હોવી જોઈએ.
હું એક મનુષ્ય છું: મારી હયાતિ છે ક્ષણભંગુર
અને રાત છે પ્રલંબ.
પણ હું ઉપર જોઉં છું:
તારાઓ લખી રહ્યા છે.
સમજ્યા વિના જ હું સમજું છું:
હુંય એક લખાણ જ છું
અને આ ક્ષણે
કોઈ મને ઉકલી રહ્યું છે.*
વિદેશી ભાષાના અંગ્રેજી અનુવાદોમાંથી ગુજરાતી અનુવાદ તો અનેક કર્યા, પણ પાઝની આ કવિતા મને ઇન્ટરનેટ પર લટાર મારતી વખતે મૂળ સ્પેનિશ ભાષામાં મળી. એનો અંગ્રેજી અનુવાદ શોધવાના સ્થાને મેં આ વખતે ચેટજીપીટી (એ.આઇ.) તથા ગૂગલ ટ્રાન્સલેટને કામે લગાડ્યા અને જાતે જ અંગ્રેજી અનુવાદ તૈયાર કર્યો. આ પછી નેટ પરથી આ જ રચનાના અંગ્રેજી અનુવાદ પણ શોધ્યા. એ.આઇ.ભાઈનો અનુવાદ યોગ્ય લગતાં મેં એને જ સ્વીકારીને એનો ગુજરાતી અનુવાદ કર્યો છે. આગલ જતાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ શું શું કરતબ દેખાડશે એ તો ભવિષ્ય જ કહેશે, પણ હમણાં આ ક્ષણે આ અનુવાદ આપ સહુ માટે…
કવિએ ગ્રીકો-રોમન ગણિતશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી અને ભૂગોળશાસ્ત્રી ક્લાઉડિયસ ટોલેમીને આ કવિતા વડે શ્રદ્ધાંજલિ આપી છે, જેઓ બ્રહ્માંડના ભૂકેન્દ્રીય મોડેલ પરના તેમના કાર્ય માટે જાણીતા છે. ટોલેમીનું આહ્વાન કરીને, પાઝે ટબૂકડી કવિતાને વ્યાપક ઐતિહાસિક અને દાર્શનિક સંદર્ભમાં રજૂ કરી બતાવી છે. બ્રહ્માંડમાં પોતાનું સ્થાન શું છે એ સમજવાની કોશિશ મનુષ્ય અનાદિકાળથી કરતો આવ્યો છે. માનવી સમજે છે કે વિશાળ સૃષ્ટિના ઉપલક્ષમાં સ્વયંનું સ્થાન ક્ષણભંગુર ટપકાંથી વિશેષ કશું જ નથી. કવિતા અસ્તિત્વવાદ અને અર્થની શોધના વિષયોને સ્પર્શે છે. વક્તા માનવીય સમજણની મર્યાદાઓને સ્વીકારે છે પરંતુ એમ વિચારીને આશ્વાસન મેળવે છે કે એક પોતે એક વિશાળ યોજનાનો જ એક અવિભાજ્ય ભાગ છે, ભલે એ તેને સંપૂર્ણ રીતે સમજી ન શકે. જીવન અને બ્રહ્માંડ વચ્ચેનું આ પરસ્પર જોડાણ –ભાઈચારો- જ આ કવિતાનો કેન્દ્રસ્થ વિચાર છે.
Brotherhood
Homage to Claudius Ptolemy
I am a man: little do I last
I am a man: I last but a moment
and the night is immense.
But I look up:
the stars are writing.
Without understanding, I comprehend:
I am also a script
and at this very moment
someone is spelling me out.
– Octavio Paz (Spanish)
(Eng. Trans.: AI – Chat GPT)
HERMANDAD
Homenaje a Claudio Ptolomeo
Soy hombre: duro poco
y es enorme la noche.
Pero miro hacia arriba:
las estrellas escriben.
Sin entender comprendo:
también soy escritura
y en este mismo instante
alguien me deletrea.
June 13, 2024 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, મનિષા જોષી
આજે તો બગીચાની
લીલીછમ લોન પર ચાલવાનું
૫ણું નથી ગમતું.
ચમેલીની વેલ પાસેથી ૫સાર થતાં
એની સુગંધ નાકને અડી જાય છે
૫ણ ત્યાંયે વધુ વાર ઊભવું નથી ગમતું.
બેન્ચ પર બેસીને
સમયને મારતા બે નિવૃત્ત વૃદ્ધો
અને એક ખૂણો શોધી લઈ
ગુફતેગૂ કરતા બે પ્રેમીઓ વચ્ચે પણે
ધ્યાન આકર્ષિત કરે છે
તો એકમાત્ર હીંચકો!
પેલી છોકરીના ઊતરી ગયા પછી પણ
ચિચાટિયા અવાજે
ખાલી ખાલી હાલ્યા કરતો એ હીંચકો!
અને હું,
અચાનક જ દોડી જઈને
અત્યંત ઉશ્કેરાટથી
એને હાથથી અટકાવી દઉં છું.
– મનીષા જોશી
હીંચકો પ્રતીક છે અસ્થિર માનસિકતાનું… સતત ગતિમાં રહેવા છતાંય હીંચકો હોય ત્યાંથી આગળ પણ વધી શકતો નથી ને પાછળ પણ જઈ શકતો નથી. હીંચકાનું પ્રતીક લઈને કવયિત્રીએ આવી જ મનોદશા બહુ સ-રસ રીતે અહીં આલેખી છે. કોઈક કારણોસર કાવ્યનાયિકા આજે વ્યથિત છે. ‘આજે તો’થી કવિતાનો ઉપાડ થાય છે, એના પરથી ખ્યાલ આવે છે કે જે ક્રિયાઓની અહીં વાત છે એ રોજબરોજની ક્રિયાઓ છે, પણ આજે હૈયું વ્યગ્ર હોવાના કારણે નથી લોન પર ચાલવાનું મન થતું, કે નથી સુગંધ માણવા ઊભા રહેવાનું મન થતું. નિવૃત્ત વૃદ્ધો કે પ્રવૃત્ત પ્રેમીઓ પણ આજે નાયિકાનું ધ્યાન આકર્ષી શકતા નથી. કોઈક છોકરીના ઉતરી ગયા પછી પણ હીંચકો ચિચાટિયા અવાજે હજીયે ખાલી ખાલી હાલ્યા કરે છે એ નાયિકાને વધુ વિહ્વળ કરે છે. હીંચકો પોતાની જ અસ્થિર માનસિકતાને પ્રતિબિંબિત કરતો હોવાથી નાયિકા એને આજે ખમી શકતી નથી. અચાનક દોડી જઈને અત્યંત ઉશ્કેરાટથી એ એને હાથથી અટકાવી દે છે. ‘અચાનક’ ‘અત્યંત’ અને ‘ઉશ્કેરાટ’ – આ ત્રણ શબ્દોના કારણે કાવ્ય વધુ અસરદાર બન્યું છે.