શહેરનો ઈતિહાસ થઈને રહી ગયા,
ગામનો વડલો અને ઝૂલો હવે.

જાતને સળગાવવી એ શક્ય છે,
કેમનો સળગાવવો ચૂલો હવે ?
અંકિત ત્રિવેદી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for અછાંદસ

અછાંદસ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




અનિલ વિશેષ : ૦૫ : ગદ્યકાવ્ય – એક ક્ષણ

 

બોરસલ્લીના ઝાડ ઉપર બેસીને ઝૂલતા પીળક પંખીમાં સમેટાઈ ઘનીભૂત થતી જતી એક સાંજે મારું કાદવથી ખરડાયેલું શરીર જંગલની ભૂખરી કેડીઓ પાસેથી આડાઅવળા વળાંક ખરીદતું ખરીદતું ડાંગરની ક્યારી પાસે આવીને અટકી પડ્યું. અટક્યું ત્યાં તો મારું આસપાસ બનીને ચક્કર ચક્કર ફરતી સૃષ્ટિ કોઈ રંગીન પતંગિયાની માફક ઊડવા લાગી. અરે, સારા સારા કવિઓને પણ વાચાળ કરી મૂકે એવાં મકાઈનાં લીલ્લાં લીલ્લાં ખેતરો—ધોરિયા વાટે ખળખળ વહેવા લાગ્યાં. ઘાસની પીળચટ્ટી ગંજીઓમાં વેરાઈ પડેલા સાંજના તડકાને ઊંચકવા મથતા રખડું પવનના સુસવાટાઓ તો રમૂજ ઉત્પન્ન કરવા લાગ્યા. અને ખિસ્સામાં ઠાંસીઠાંસીને ભરી લેવાનું મન થાય એવી આ ડાંગરની ક્યારીઓ પાસે મારું હોવું મને પૂરતું લાગ્યું. આ ક્ષણે અચાનક મારા ખમીસ પર આવીને બેસી જતું અટ્ટાપટ્ટા રંગવાળું પતંગિયું જો હિલ્લોળા લેતું તળાવ હોત તો હું નિર્વસ્ત્ર બનીને એટલું નાહ્યો હોત… એટલું નાહ્યો હોત… એટલું નાહ્યો હોત… એટલું….

– અનિલ જોશી

બંધન કદી કોઈને રાસ આવતું નથી. વિશ્વની દરેક ભાષામાં કાવ્યસર્જનનો પ્રારંભ છંદોબદ્ધ કવિતાઓથી જ થયો છે. સમયનાં વહેણ સાથે કાવ્યના આકાર અને કદ અવશ્ય બદલાયા, પણ છંદ ટકી રહ્યા. પણ ઇતિહાસ સાક્ષી છે કે સમય સાથે દરેક ભાષાના કવિઓએ છંદ સામે બળવો કરી મુક્તવિહાર કર્યો જ છે. ગુજરાતી ભાષામાં પણ અછાંદસ કાવ્ય અને પરિચ્છેદકાવ્યની પ્રણાલિ સમાંતરે વિકસતી નજરે પડે છે. પંક્તિઓને તોડીને અનિયત આકાર સાથે લખાતા અછાંદસ કાવ્યથી વિપરિત ગદ્યફકરાની જેમ જ આલેખાતા પરિચ્છેદકાવ્ય કે ગદ્યકાવ્ય માટે કોઈ સંજ્ઞા નિયત થઈ છે કે કેમ એ બાબતે જાણકાર મિત્રો પ્રકાશ ફેંકી શકે. સમય સાથે આ રીતે અછાંદસ કવિતા લખવાનો ચાલ ઓસરતો ગયો છે. પણ અનિલ જોશીની કલમે આવાં કેટલાંક કાવ્ય અવતર્યાં છે, જેમાંનું એક અત્રે રજૂ કરીએ છીએ…

Comments (7)

અનિલ વિશેષ : ૦૪ : અછાંદસ – કવિનું અકાળે મૃત્યુ

સમુદ્રના ખારા પવનથી
ચિક્કાર ભરેલા દીવાનખાનામાં
પિયાનોની કાળી અને ધોળી ચાલનાં પગથિયાં ઊતરતી
પીળી આંગળીઓ એકાએક અટકી પડી.

કાનમાં સન્નાટો ભરાઈ ગયો
અમે બે મિનિટની દાબડીમાં
મૌન ગોઠવીને ઊભા રહ્યાં.

પણ શબ્દ સરોવરના હંસ!
તમે ક્યાં ચાલ્યા? બેસો. બેસો.

આ તો રાજાબાઈ ટાવરના કાંટા ઉપર
કબૂતર બેઠું ને સાડા પાંચ વાગ્યા.

– અનિલ જોશી

માછલી જે રીતે પાણીમાંસરકતી હોય એ રીતે કવિની કલમ ગીતોમાં સરતી રહી હોવા છતાં એમણે અછાંદસ અને છંદોબદ્ધ કાવ્યોમાં પણ પ્રમાણમાં ઠીકઠાક કહી શકાય એવું ખેડાણ અને એય અધિકારપૂર્વક કર્યું છે. સારો કવિ એ જે એક શબ્દથી કામ ચાલી જતું હોય ત્યાં સવા શબ્દ પણ ન વાપરે. પ્રસ્તુત રચના એનું એક ઉદાહરણ ગણી શકાય. વાત એક કવિના મૃત્યુની છે અને એનું આલેખન પણ એક કવિ જ કરી રહ્યા છે. બ્લેક એન્ડ વાઇટ જિંદગીના પિયાના પર ખરતા પાન જેવી પીળી આંગળીઓ ફરતી નથી, પણ પગથિયાં ઊતરી રહી છે એટલામાં જ ઘણું સમજાઈ જાય છે. મૃતક પાછળા પળાતું બે મિનિટના મૌનમાં સાહજિકતા ઓછી અને ખોખલો શિષ્ટાચાર વધુ હોય છે એ વાત બે મિનિટની દાબડીમાં મૌન ગોઠવવાના રૂપક વડે કવિએ કેવી સ-રસ રીતે રજૂ કરી છે! શબ્દ સરોવરના હંસ જેવો કવિ અકાળે ચાલ્યો જાય એ વાત હજી ગળે ન ઊતરતી હોવાથી કથક એને ચાલ્યા ન જતાં એમ કહીને બેસવાની તાકીદ કરે છે કે રાજાબાઈ ટાવરના કાંટામાં સાડા પાંચ થવાને આમ તો વાર હતી, પણ કબૂતરના કાંટા પર બેસવાથી સાડા પાંચ થોડા વહેલા વાગી ગયા છે… મુંબઈનો સુપ્રસિદ્ધ રાજાબાઈ ટાવર મુંબઈ વિશ્વવિદ્યાલયના પટાંગણમાં આવ્યો છે. સાડા પાંચે ટકોરા વાગે અને વિદ્યાર્થીઓ ક્લાસ અને કેમ્પસ છોડી પોતાના ઘરે જવા હડી કાઢે એ ઘટનાને કવિએ પ્રાણપંખેરુ ઊડી જવા સાથે આબાદ સાંકળી લીધી છે.

Comments (8)

સપનું – નેહા પુરોહિત

રાત્રિના છેલ્લા પહોરે એક સપનું આવ્યું
ને
સપનામાં આવ્યો સૂરજ!
મધરો મધરો મલકે મારી સામે.
કહેઃ
‘ચાલ, મારું ચિત્ર બનાવ.’
મેં કહ્યું, ‘પહેલા સવારની ચા તો બનાવી લઉં..’
કહે – ‘તથાસ્તુ!’
થોડીવાર પછી કહે,
‘આપણી મુલાકાત પર એક કવિતા લખ.’
મેં કહ્યું, ‘નાસ્તો તૈયાર કરું છું. એમને ઓફિસ મોકલી દઉં પછી…’
કહે – ‘તથાસ્તુ!’
થોડીવાર રાહ જોઈ કહે:
‘મંડલા આર્ટ તો ફટાફટ થઈ જાય ને! એમાં મારું ચિત્ર કરી દે તો?’
મેં કહ્યું: ‘સાસુ-સસરાને ભૂખ લાગી હશે. રસોઈ કરી દઉં?’
એની માંગણી તો ચાલુ ને ચાલુ.
પણ બપોરે પહેલાં સફાઈ યાદ આવી, ને પછી વાસણ.
પછી આવ્યો કપડાંનો વારો ને પછી કચરાંપોતાંનો ને ફરી સાંજની ચાનો ને ફરી રાતની રસોઈનો.
એ તો કેવળ મધરો મધરો મલકાતો જ રહ્યો,
ને કહેતો રહ્યો,
તથાસ્તુ!
આજે જરા સમય મળ્યો તો થયું,
લાવ, કવિતાય બનાવી દઉં ને ચિત્ર પણ.
દેવતા કહેવાય એ તો.
ક્યાં સુધી વાટ જોવરાવવી?
બહુ કોશિશ કરી,
ઊભી થવા ગઈ
તો ધ્રુજતા હાથથી
લાકડી પણ છટકી ગઈ
ને…

– નેહા પુરોહિત

આજે વિશ્વ મહિલા દિવસ. આમ તો અંગત રીતે હું આ દિવસનો પ્રખર વિરોધી છું, કારણ કે વરસની ત્રણસો ચોંસઠ ચોકલેટ પોતાના ખિસ્સામાં રાખી સ્ત્રીઓને એક ચોકલેટ આપી રાજી રાખવાની પુરુષોની આ ચાલ મને પસંદ નથી. સ્ત્રી-પુરુષ સમાનતા તો રામાયણ-મહાભારતમાં પણ જોવા નથી મળતાં. લક્ષ્મણરેખા-અગ્નિપરીક્ષા-ઘરનિકાલ અને વસ્ત્રાહરણ ત્યારે પણ પુરુષો માટે નહોતાં અને આજે પણ નથી. પ્રસ્તુત રચના સીધી રીતે તો સ્ત્રી-પુરુષ અસમાનતાની વાત નથી કરતી, પણ બહુ સરસ અને વેધક રીતે ઘરમાં સ્ત્રીના નીચલા સ્થાનને ચાક્ષુષ કરે છે. રાતના છેલ્લા પહોરે જોયેલું સપનું કવયિત્રી આપણને બતાવે છે. કહે છે કે વહેલી સવારનું સપનું સાચું પડતું હોય છે. આપણને પણ સમજાય છે કે જે છે, એ નક્કર હકીકતથી જરાય ઓછું નથી.

નાનકડી માંગણીના બદલામાં સૂરજદાદા વરદાન આપવા તત્પર થયા છે, પણ સ્ત્રીનો આખો જન્મારો ઘરનું વૈતરું કરવામાં જ પસાર થઈ જાય છે. મોટા શહેરોમાં કંઈક અંશે પરિસ્થિતિ બદલાઈ છે એની ના નહીં, પણ હજી આજે પણ મોટાભાગના ભારતીય સમાજમાં પુરુષોની તુલનાએ સ્ત્રીઓએ જ ઘર સંભાળવું પડતું હોય છે. કવિતાના અંતે અચાનક ઘડપણનો અણસાર આપી ધ્રુજતા હાથમાંથી છટકે જતી લાકડી સાથે ‘ને…’ કહીને કવયિત્રીએ કાવ્ય અધૂરું છોડી દઈ સ્ત્રીની વેદનામાં સમભાગી થવા ઈજન આપ્યું છે…

Comments (11)

ગંધ – બ્રિજેશ પંચાલ

આજે મૂડ નહોતો,
બંને કીકીઓને બહાર કાઢીને-
લખોટીઓ રમવા માંડ્યો.
વાળને હવામાં ખુલ્લા મૂકી દીધા.
હોઠને મૌન શું છે
એ શોધવા મોકલ્યા…
કાનને નકરા ઘોંઘાટ વચ્ચેથી
ટાંકણીનો અવાજ શોધી લાવવા કહ્યું.
હાથને એકબીજા સાથે બાંધી દીધા,
પગને ખીંટી ઉપર ટાંગી દીધા.
પેટને ભૂખમાં ઓગાળી દીધું.
ત્યાં મારા નાકને પાંપણ ઢળી ગયાની ગંધ આવી!
પણ,
હું કંઈ કરું એ પહેલાં જ કોઈએ મને—
ચંદન વચ્ચે સુવાડી ધુમાડો બનાવી દીધો.

– બ્રિજેશ પંચાલ

લયસ્તરો પર કવિના પ્રથમ કાવ્યસંગ્રહ ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’નું સ્વાગત…

જીવન જીવવાના મૂડના અભાવનું બીજું નામ મૃત્યુ. આમ તો આવાં મૂડ-ઑફ મૃત્યુ આપણે હજારોવાર જીવતાં હોઈએ છીએ, પણ કવિએ આખરી મૂડ-ઑફની કવિતા કરી છે. સામાન્યરીતે મન ઉદાસીન હોય અને કશામાં લાગતું ન હોય એ પળે આપણે કાચબો સ્વયંને કોચલામાં સંકોરી લે એમ આપણા અસ્તિત્ત્વને બને એટલું સંકોરી લેતાં હોઈએ છીએ, પણ અહીં આથી સાવ વિપરીત ક્રિયાઓ થઈ રહી છે. કીકીઓને આંખના ગોખલામાંથી બહાર કાઢી કથક લખોટીઓ રમવા માંડે છે. જેનું કામ બોલવાનું છે એને ન બોલવાનું શોધવા માટે મોકલી દેવાય છે, અને કાનને ઘાસની ગંજી જેવા અવાજના ખડકલામાંથી ટાંકણીનો અવાજ શોધવાનું અશક્યવત્ કામ સોંપવામાં આવે છે. હાથ-પગ-પેટ બધા જ અવયવોને નિષ્ક્રિયતાની સજા આપવામાં આવી છે… સ્વયંનું મૃત્યુ થવાની ગંધ નાકને આવે એ પહેલાં તો મૃતદેહ ચંદનની ચિતા પર ભડભડ બળી રહે છે… પ્રસ્તુત કાવ્ય બિનજરૂરી વાણીપ્રલાપથી દૂર રહી શક્યું છે એ આપણું સદનસીબ. સરવાળે, આ કાવ્ય અનુભૂતિનું કાવ્ય છે. સામાન્ય ગુજરાતી અછાંદસોથી એ અલગ તરી આવે છે.

Comments (4)

રુદિયે – રમણીક અગ્રાવત

આખા દેશમાંથી
હૃદય સુધી કોઈ પહોંચ્યું હોય તો
ત્રણ ગોળીઓ જ.

– રમણીક અગ્રાવત

ગાંધીજીના હૃદયમાં ઉતરી ગયેલી ત્રણ ગોળીઓની જેમ વાંચતાવેંત આપણા હૃદયમાં ઉતરી જતી ત્રણ નાની-નાની પંક્તિઓ અને ચિરકાળ માટે અસર મૂકી જાય એવા કેવળ એક જ વાક્યની આ કવિતા માટે વધુ કશું જ કહેવાની જરૂર નથી… બે મિનિટનું મૌન રાખીએ અને સ્વયંને અવલોકીએ…

Comments (4)

ક્ષિતિજ – રવીન્દ્ર પારેખ

વાત તો આટલી જ હતી
કે આપણે મળીએ
પણ ન મળ્યાં
વચ્ચે કેટલાં બધાં ફૂલો ખીલ્યાં
કેટલાં બધાંએ

એકબીજાને આપ્યાં
કેટલું બધું પાણી હેતની જેમ વહ્યું
ને
કેટલાં બધાંએ એકબીજાને પાયું
કેટલાં બધાંએ એકબીજાનાં સપનાં જોયાં
ને એકબીજાને બતાવ્યાં
કેટલાં બધાંએ આશ્લેષમાં લઈ એકબીજાનું આકાશ ભર્યું
સૂર્ય એક જ હતો
પણ દરેકના સૂર્યોએ એકબીજાને હૂંફ આપી
ચંદ્ર પણ એકબીજાને
ચાંદની આપતો રહ્યો
કેટલી બધી ઋતુઓ એકબીજા વચ્ચે બદલાઈ
આટલું બધું થયું
વચ્ચે
પણ આપણે ન મળ્યાં
એક પણ વાર…

– રવીન્દ્ર પારેખ

કવિતાના શીર્ષક ‘ક્ષિતિજ’ પરથી ખ્યાલ આવે કે આકાશ અને ધરતીની જેમ ક્ષિતિજે ભેગા થયેલ ભાસતા પણ સદાકાળ એકબીજાથી અળગા જ રહેવાનું જેમના ભાગ્યમાં નિર્માયું હશે એવા બે પ્રિયજનની આ વાત છે. રચના તો સાવ સરળ છે, પણ જે મજા છે એ વાતની પ્રસ્તુતિ અને માવજતમાં છે. પ્રકૃતિના અહર્નિશ ફર્યે રાખતા ઋતુચક્રમાંથી જ કવિએ કેટલાક ઘટકત્ત્વોની પસંદગી કરી છે પણ નદીનું પાણી હેતની જેમ વહી જાય કે એકમેકને આશ્લેષમાં લઈ એકબીજાનું આકાશ ભરવાની વાત જેવી ભાષાની અનૂઠી સારવારના કારણે રચનામાં કાવ્યત્વ ઘટ્ટ બન્યું છે. સરવાળે, વાંચવા બેસીએ તો અડધી મિનિટથીય ઓછા સમયમાં વંચાઈ જાય પણ વાંચી લીધા બાદ અડધો દિવસ ચિત્તતંત્રમાં રણઝણ થયે રાખે એવી છે આ કવિતા…

Comments (7)

અજાણ્યા ભાવ – પ્રીતિ સેનગુપ્તા

અજાણ્યા શહેરના સ્ટેશન પર
નિયત સ્થળે જતા જનપ્રવાહની વચ્ચે
એકલી અટવાતી હોઉં:
નવી જગ્યાના નકશાની ગલીઓ પર
અચોક્કસ આંગળી ફેરવી
રસ્તો શોધવા મથતી હોઉં;
ભાંગ્યાતૂટયા ફ્રેન્ચ કે સ્પેનિશમાં
સમજાવવા – સમજવાની
ચેષ્ટા કરતી હોઉં :
મિત્રોની વચમાં–
જાણીતી ગલીઓમાં–
રોજિંદી ભાષામાં–
મારી પોતાની સાથે પણ–
કોઈ વાર
આવા ભાવ થાય છે.

– પ્રીતિ સેનગુપ્તા

અજાણ્યા સ્થળે અજાણ્યા લોકો વચ્ચે અજાણી ભાષાના કારણે પ્રવાસી જે અસમંજસ અને લાચારીની અવસ્થા અનુભવે એ સમજી શકાય એમ છે. આસપાસનો સમસ્ત જનપ્રવાહ નિયત દિશામાં પાણીના રેલાની જેમ સડસડાટ વહેતો હોય પણ નક્શા પર ગોથાં ખાતી ‘અચોક્કસ’ આંગળીઓની જેમ આપણે અટવાતા હોઈએ અને કોઈ વાર્તાલાપ કામ ન આવે ત્યારે જે પારાવાર પરવશતા અનુભવાય એ આપણે સહુએ જીવનના કોઈને કોઈ તબક્કે અનુભવી જ છે. પણ કવયિત્રીનું નિશાન તો સાવ અલગ જ છે. જાણીતા લોકો, જાણીતા સ્થળો અને જાણીતી ભાષા હોવા છતાં ક્યારેક આપણને કશું જ જાણીતું ન હોવાનો ભાસ થઈ આવતો હોય છે. ઘણીવાર તો આપણે સ્વયંને પણ ઓળખી શકતાં નથી, સ્વયં સાથે સંવાદ પણ સાધી શકતા નથી… સર્વસામાન્ય પર્યટન અનુભૂતિના મિષે કવયિત્રીએ ‘આઇડેન્ટિટી ક્રાઇસિસ’ને કેવી અદભુત વાચા આપી છે!

(મોબાઇલ અને ગૂગલ મેપ હાથવગાં થયાં એ પહેલાંની, લગભગ ચાળીસેક વર્ષ પહેલાંની આ રચના છે, એટલે નક્શાનો સંદર્ભ એ રીતે સમજવો!)

Comments (4)

અને નદી વહેતી રહી – રાજેશ્વર વશિષ્ઠ (હિન્દી) (અનુ.: ભગવાન થાવરાણી)

નદીમાં નાવ હાંકતા ખારવાને ઘણીવાર લાગતું
કે એ હલેસાંથી નાવ નહીં
નદી હંકારી રહ્યો છે.
નદી ચૂપ રહેતી
ક્યારેય કશું બોલતી નહિ
વર્ષાઋતુમાં નદી છલકાતી
તો એ એને ચિડાઈને સમજાવતો
આ બરાબર નથી
નદીની એક ગરિમા હોય
આ શું ?
કિનારે ઊભેલાં વૃક્ષ પણ તને
ઝૂકીને સ્પર્શી રહ્યાં છે.
નદી સંભાળપૂર્વક વહેવા લાગતી
ઉનાળામાં નદી સંકોચાઈ જતી
તો એ બૂમ પાડતો – ક્યારેક મારા વિષે પણ વિચાર કરજે
સૂર્યની દૃષ્ટિથી બાષ્પિત ન થા
એ જળ છે જે નદીને નદી બનાવે છે
નદી કશું ન કહેતી
બસ ધસતી જાતી સમુદ્ર તરફ
દરેક મોસમમાં ખારવાની ચિત્ર – વિચિત્ર સૂચનાઓ હોય
એને ક્યારેક આ ન ગમતું
તો ક્યારેક તે
નદી અવનવાં ગીત ગણગણતાં વહેતી જ જાતી
સુનેત્રા,
નદી સ્ત્રી હતી કે નહીં એ તને વધારે ખબર
પરંતુ હું આશ્વસ્ત છું
કે ખારવો તો પુરુષ જ..

– રાજેશ્વર વશિષ્ઠ
(હિન્દી પરથી અનુવાદ: ભગવાન થાવરાણી)

એ સાચું કે હિન્દી કવિતા ગુજરાતી અનુવાદની મહોતાજ નથી, ને એય ખરું કે અનુવાદ ન કરાયો હોત તો આ રચના લયસ્તરો સુધી પહોંચી જ ન હોત. ગુજરાતી કવિતામાં અછાંદસ એટલે સીધીસાદી પૂર્વભૂમિકા અને કાવ્યાંતે એક ચોટ, બસ! પણ અહીં જુઓ… સારી અછાંદસ કવિતા કોને કહેવાય એની વિભાવના આ રચના સુપેરે સમજાવી શકે એમ છે. આખી રચના કાવ્યાત્મક વાક્ય અને નાની-નાની કવિતાઓથી ભરી પડી છે- ‘ખારવાને લાગતું કે એ નાવ નહીં, નદી હંકારી રહ્યો છે…’ ‘આ શું કે કિનારે ઊભેલાં વૃક્ષો પણ નદીને સ્પર્શી રહ્યાં છે!…’ ‘એ જળ છે જે નદીને નદી બનાવે છે…’ કાવ્યાંતે સ્ત્રી-પુરુષના સ્વભાવનો તફાવત ઉપસાવીને કવિએ કાવ્યને વધારાની ધાર કાઢી છે, એ કદાચ ન કાઢી હોત તોય કવિતા સંપૂર્ણ જ ગણાત…

કવિની અન્ય રચનાઓમાંથી પસાર થતાં ખ્યાલ આવ્યો કે એ પોતાની દરેક અછાંદસ રચનાઓમાં અંતે સુનેત્રાને સંબોધીને વાત પૂરી કરે છે. રમેશ પારેખની સોનલ ને અસીમની લીલા તરત યાદ આવી જાય.

*

।। और नदी बहती रही ।।

नदी में नाव खेते हुए मल्लाह को अक्सर लगता था कि वह अपने चप्पू से नाव को नहीं नदी को चला रहा है।
नदी शांत ही रहती, कभी कुछ नहीं कहती।
बरसात के दिनों में नदी उफनती तो वह उसे चिढ़ कर समझाता – यह ठीक नहीं है। नदी की एक गरिमा होती है। यह क्या है, किनारे के पेड़ तक तुम्हें झुक कर छू रहे हैं।
नदी संभल कर बहने लगती।
गर्मी में नदी सिकुड़ जाती तो वह चिल्लाता – कभी मेरे बारे में भी सोच लिया करो। मत वाष्पित हुआ करो सूर्य की दृष्टि से। जल ही नदी को नदी बनाता है।
नदी कुछ नहीं कहती, चलती जाती समुद्र की ओर।
हर मौसम में मल्लाह की अजीब-अजीब हिदायतें होतीं, उसे कभी कुछ पसंद नहीं आता तो कभी कुछ और।
नदी नए नए गीत गुनगुनाते हुए बहती ही चली जाती।
सुनेत्रा,
नदी स्त्री थी या नहीं तुम बेहतर जानती होगी।
पर मैं आश्वस्त हूँ, मल्लाह पुरुष ही था।

– राजेश्वर वशिष्ठ

Comments (10)

પિતૃવિશેષ: ૦૭ : મને જવાબ આપો….- કરસનદાસ લુહાર

ભાગવતના આદિ જળમાં
છાતીબૂડ ઊભા રહી સૂર્યને અર્ધ્ય આપતો,
ગીતાના જર્જરિત પૃષ્ઠોની નિશામાં ઘોરતા
ગૃહસ્થીઓની આંખોમાં જાગતો…
નિદ્રસ્થોને શાપતો,
સવાર-બપોર, સાંજ, રાત…
માળા, પૂજા, ધ્યાન, આરતીમાં વ્યાપતો
અષ્ટંપષ્ટં પ્રલાપતો…
ભારેખમ મોં,
ઝગારા મારતું વિદ્વાન કપાળ-કપાળમાં મોટું ત્રિપુંડ
ખભે જનોઈનું ઝૂંડ
ગળામાં રુદ્રાક્ષની માળા
ચરણમાં શ્યામ પાદુકા
દક્ષિણી પાઘડીમાં સંતાઈને પણ

શ્લોક સાથે લયબદ્ધ ફગફગતી શિખા
–આ બધી નિશાનીઓના

વાંકાચૂકા રસ્તાપર હું ચાલી રહ્યો છું,
એને ગોતવા.
એ પ્રકાંડ પંડિત મારો બાપ હોવાની
મને ચોક્કસ બાતમી મળી છે!
હાલકડોલક છું ત્યારનો.
કહેવાય છે કે :
એક સવારે છાણ વિણવા જતી
અછૂત કન્યાનો પડછાયો પગને સ્પર્શી જતા
આ પુણ્યાત્માએ ત્રણ દિવસના ઉપવાસ
અને સાત નદીઓનાં જળ મંગાવીને
સ્નાન કરેલું!
અવર્ણ કન્યાપર
ટોળાબંધ હાથોના સવર્ણ આકાશમાંથી
વરસેલા પથ્થરોના ધોધમાર વરસાદની વાત
પછી સૂકાઈ ગઈ’તી.
હું ગોતું છું મારા એ પુણ્યશાળી બાપને!
મળે તો મારે
આટલું જ પૂછવું છે :
એક મેઘલી સાંજે,
નદી કાંઠે ખખડધજ શિવાલયનાં
અવાવરુ એકાંતમાં
ફૂટડાં અંગોવાળી
એ જ અછૂત કન્યાનાં
કુંવારા ઉદરમાં ઝનૂનપૂર્વક

મને વાવ્યા પછી તમે–
કેટલા દિવસના ઉપવાસ કરેલા?
કેટલી નદીઓનાં પાણી
તમારી સવર્ણ કાયા પર ઠાલવેલાં??
બોલો, બાપુ બોલો…
મને જવાબ આપો!
મને જવાબ…!
મને…!!!
મ……!!!!

– કરસનદાસ લુહાર

નિ: શબ્દ કરી મૂકતી રચના…

કોઈ જ ટિપ્પણીની જરૂર જ નથી….

Comments (9)

પિતૃવિશેષ: ૦૪ : કેટકેટલીવાર – મેરી હૉવે (અનુ. વિવેક મનહર ટેલર)

ન જાણે કંઈ કેટકેટલીવાર કોશિશ કરવા છતાંય હું કેમે કરીને મારા પિતાને
રોકી શકતી નથી મારી બહેનના રૂમમાં જતા

અને અહીંથી જ વાંકા વળીને હું એમની આંખોમાં જોવાનો પ્રયત્ન કરું છું,
પણ કંઈ ખાસ જોઈ શકાતું નથી. હૉલમાં અંધારું છે

અને બધા ઊંઘી રહ્યા છે. આ એ ભૂતકાળ છે
જ્યાં બધું પહેલેથી જ પરિપૂર્ણ છે અને કશું જ બદલાતું નથી,

જ્યાં પાણીનો ગ્લાસ બાથરૂમની ફર્શ પર પડે છે
અને તૂટતા પહેલાં એકવાર ઊછળે છે.

કશું જ નથી. પડખું બદલતી વેળા મારી બહેન કાઢે છે
એ નાનો અવાજ પણ નહીં, કૂતરાની પૂંછડીનો ધીમો અવાજ પણ નહીં

જ્યારે એ એક આંખ ઊઘાડી જુએ છે એમને નશામાં ચૂર,
થોડા મૂંઝાયેલા, લડખડાતા પોતાની પથારી તરફ પરત ફરતા.

આ બિલકુલ એવું જ છે જેવું હું જાણતી હતી કે થશે.
અને હું તેણીનું નામ ફુસફુસાવું છું, ચેતવણી ફુત્કારતા,

જે હું વરસોથી કરતી આવી છું, અને કૂતરો પણ
ચોંકે જ છે અને ઘુરકેય છે જ્યાં સુધી એ જોતો નથી

કે એ તો અમારા પિતા જ છે,અને હજીય દરવાજો ખૂલે છે, અને તેણી
પેલો નાનો ઊંહકારો ભરે છે, પાસું બદલતાં બદલતાં.

– મેરી હૉવે
(અનુ. વિવેક મનહર ટેલર)

પિતૃવિશેષ શૃંખલામાં આજે સંવેદનતંત્રમાં હડકંપ સર્જે અને ગળેથી ઉતારતા પારાવાર તકલીફ થાય એવી એક કવિતા જોઈએ. આપણે ગુજરાતીઓને સુષ્ઠુ સુષ્ઠુ રચનાઓ વાંચવાની આદત પડી ગઈ છે, પણ દુનિયા ગુલાબની પથારી ઓછી અને કાંટાની સેજ વધારે છે. સાવકા બાપ દીકરી સાથે યૌન સંબંધ બાંધે એવા સમાચારોની વચ્ચે ઘણીવાર સગો બાપ વર્ષો સુધી સગે દીકરીનું યૌનશોષણ કરી એને ગર્ભવતી બનાવે એવા ચોંકાવી દેતા સમાચારો પણ ગુજરાતી અખબારોમાં આવે જ છે.

પ્રસ્તુત રચના ઇન્સેસ્ટ (incest) વિશેની છે, ઇન્સેસ્ટ અર્થાત્ ગૌત્રગમન એટલે કુટુંબના નજીકના સગાઓ વચ્ચે થતો વ્યભિચાર. મા-બાપના પોતાનાં જ સંતાનો સાથેના અનૌરસ સંબંધને દુનિયાની કોઈ જ સંસ્કૃતિએ કદી પણ બહાલી આપી નથી. પણ આ અવૈધ સંબંધ પણ કદાચ માનવજાત જેટલો જ જૂનો છે. ઝેનોફોનના ‘મેમરાબિલિયા’માં સોક્રેટિસ હિપિયાસને કહે છે કે ઈશ્વરના આ વણલખ્યા નિયમમાંથી જેઓ ચ્યુત થાય છે, તેઓ ખરાબ સંતતિ સ્વરૂપે સજા પામે છે. પ્લેટો પણ ‘લૉઝ’માં એક એથેન્સવાસી દલીલ કરે છે કે વણલખ્યો કાનૂન અને લોકમતની તાકાત મા-બાપને સંતતિ સાથે સૂતાં અટકાવે છે.

આ રચનામાં પણ એક સગો બાપ ઘરના બધા સભ્યો ઊંઘી ગયાં હોય ત્યારે દારૂના નશામાં દીકરીના રૂમમાં જઈને એના પર બળાત્કાર કરે છે. આ ઘરેલુ હિંસા વર્ષોથી ચાલતી આવી છે. દારૂડિયા કામી બાપ માટે દીકરી દીકરી નહીં, બાથરૂમની ફર્શ પર પડીને તૂટતાં પહેલાં એકવાર ઊછળતો ગ્લાસ બનીને રહી ગઈ છે. નાની બહેન લાખ કોશિશો કરવા છતાંય રોજ રાતે આંખો સામે થતા આ દુરાચારને અટકાવી શકતી નથી. ઘરનો વફાદાર કૂતરો પણ રાતે એક રૂમમાંથી બીજા રૂમમાં જતો ઈસમ ઘરનો માલિક જ છે એ જોઈને સહેજ ઘર્રાઈને, સહેજ પૂંછડી થપકારીને ચૂપ રહે છે.

How Many Times

No matter how many times I try I can’t stop my father
from walking into my sister’s room

and I can’t see any better, leaning from here to look
in his eyes. It’s dark in the hall

and everyone’s sleeping. This is the past
where everything is perfect already and nothing changes,

where the water glass falls to the bathroom floor
and bounces once before breaking.

Nothing. Not the small sound my sister makes, turning
over, not the thump of the dog’s tail

when he opens one eye to see him stumbling back to bed
still drunk, a little bewildered.

This is exactly as I knew it would be.
And if I whisper her name, hissing a warning,

I’ve been doing that for years now, and still the dog
startles and growls until he sees

it’s our father, and still the door opens, and she
makes that small oh turning over.

—Marie Howe

Comments (7)

પિતૃવિશેષ: ૦૧ : મથુરાદાસ જેરામ – ઉદયન ઠક્કર

મથુરાદાસ જેરામ નામનો એક શખ્સ (ઉંમર વર્ષ ત્રેપન)
સંખ્યાબંધ લોકોની આંખ સામે
ધોળે દહાડે
ઈસ્પિતાલ જેવા જાહેર સ્થળે
મરવાનું અંગત કાર્ય કરી ગયો
એને આજે વરસો થયાં.

હવે સમય પાકી ગયો છે કે
હું એને અંજલી આપું;
એની કરુણભવ્ય ગાથા રચું;
જેથી કેટલાક વધુ માણસો જાણે
કે મથુરાદાસ કોણ હતો, કેવું જીવ્યો.
ભડનો દીકરો હતો એ,
તડ ને ફડ હતો એ,
મને એકંદરે ગમતો.

શરૂઆતરૂપે હું કહી શકું કે
મથુરાદાસને ધરતીનો લગાવ હતો.
એ વિધવિધ સુંદર ફૂલોને રોપતો, ઉછેરતો,
મન મૂકીને ખડખડ હસતો,
તક મળ્યે બહારગામ જઈ
રોજના વીસ-તીસ માઈલ પેદલ રખડી નાખતો,
ઝનૂની ઘોડાઓ પલાણતો,
અને ઉનાળાની રાત્રિએ ધાબા પર જઈ
તારાઓની નિકટમાં સૂઈ જતો.

( ના, ના, આ કંઈ જોઈએ એટલી ભવ્ય વાત ન થઈ શકી
જુઓને, થોરો નામનો એક ફિલસૂફ શહેર મૂકી દઈ
છેક કોઈ એકાંત સરોવર-તીરે વસતો.
એના કુદરતપ્રેમ સામે આપણો મથુરાદાસ
તો બિચારો ફિક્કો ફિક્કો પડી જશે.)

પણ હા, મથુરાદાસ વેપારી બળુકો, હોં.
ત્રીસ વરસ સુધી રોજ દરરોજના દહ-દહ કલાક
પોતાની પેઢી ઉપર રચ્યોપચ્યો’રે.
દેશ-દેશાવરની મુસાફરી, પછાત વસ્તારમાં
ફેકટરી નાખવી, ત્યાં રેતીવાળા રોટલા
ખાઈને પડી રે’વું.
કોરટ-વકીલો, મંદી-તેજી, અળસી-એરંડૉ,
ફિકર ફિકર, પ્રમાણિકતા, ઝઘડા, મહત્વાકાંક્ષા.
બધે અજવાળું વિખેરાતું હતું, જાણે.
– મથુરાદાસનું કોડિયું બબ્બે વાટે બળતું જતું હતું.

(તમે કદાચ ઈમ્પ્રેસ નહિ થાઓ.
કદાચ તમારી ઓફિસનો બોસ
સાવ સામાન્ય ગુમાસ્તામાંથી
આજે કરોડોના વેપાર સુધી પહોંચ્યો હોય.
તમે કહેશો કે યાર, સફળતા તો એને કહેવાય.
મથુરાદાસનું તો જાણે… સમજ્યા.)

જોકે મારે ઉમેરવું જોઈએ કે
પાછલાં વરસોમાં મથુરાદાસ સામે
અસહકારનું આંદોલન ઉપાડ્યું હતું
એના શરીરે.
તેનાં એક પછી એક અંગ ખોટાં પડતાં જતાં હતાં.
વગડાઉં કાગડાનો પગ તૂટી જાય,
પછી તે ન તો વનમાં સ્વચ્છન્દાચાર કરી શકે,
ન તો પિંજરે બેસીને લોકોનું મનોરંજન,
એવી કપરી સ્થિતિ એની થઈ હતી.
પણ લાચારીને એણે મુદ્દલ ન સ્વીકારી, મુસ્તાક રહયો.
આ મોત સાથેનો પ્રવાસ હતો,
અને હંમેશા તેણે એ સહપ્રવાસીની
ઠેકડી ઉડાવી.

(માળું આયે તમને નહિ જામે.
કેટકેટલી ફિલ્મો તમે જોઈ નાંખી છે
જેમાં અસાધ્ય કેન્સરથી ગ્રસ્ત હીરો
હસતો-હસાવતો મોતને ભેટતો હોય છે.
ના, હવે આ ફોર્મ્યુલા તમને નહિ ચાલે.)

તો માફ કરજે ભાઈ મથુરાદાસ જેરામ,
હું તારે માટે કોઈ કીર્તિસ્મારક રચી શકતો નથી.
વાતચીત કે વર્ણનોથી હું એક્કેય
વાઙમયમંદિર ચણી શકતો નથી,
કે જેમા તારી સ્મૃતિની પ્રતિષ્ઠા થઈ શકે
શબ્દોનાં હૂંફાળાં પીંછાઓ ઓઢાડી શકતો નથી
તારા સંદર્ભના નગ્ન ડિલ પર.
એક પ્રામાણિક વેદના સિવાય હું કશું આપી શકતો નથી,
ઓ મથુરાદાસ, મારા પિતા, મારા મૃત પિતા.

– ઉદયન ઠક્કર

“પિતૃવિશેષ”ના પહેલા પગલે ઉદયન ઠક્કરની રચના થકી પિતા નામની ઘટનાને સલામ કરીએ. આ કવિતા બહુ વર્ષોથી વાંચું છું. દર વખતે થોડી થોડી વધારે સમજાય છે. કવિતા વાંચીને કોઇક વાર રડી નાખું છું અને કોઈક વાર છાની સલામ કરી લઉં છું. એક પિતા તમારે માટે શું હતો એ સમજવામાં આપણને બધાને બહુ મોડું થઇ જાય છે. એ ઘટના જ એટલી વિશાળ છે કે એનું મુલ્ય સમજાતા બહુ વાર લાગી જાય છે. અહીં કવિ કહે છે એમ ‘પ્રામાણિક વેદના’ સિવાય બહુધા આપણે એને ખાસ કશું આપી શકતા નથી. અને એટલું ય આપી શકીએ તો ઘણું. 

Comments (8)

ભુજ શહેર-સ્થળમાં : એક વૃત્તાન્ત – ધીરેન્દ્ર મહેતા

ભુજને
કાંડું-પંજો અને આંગળીઓ પણ
ફૂટવા માંડી છે;
અને આંગળીઓએ સળવળી સળવળીને
વિસ્તરવા માંડ્યું છે…
સ્નાયુની જેમ ઊપસેલો ભુજિયો
એ જ નથી ભુજની શોભા હવે;
પાંચે આંગળીએ પહેરેલી
અનેક વીંટીના નંગ સમી
શોભવા લાગી છે સોસાયટીઓ…
અને પાંચે આંગળીઓએ
ભીંસાઈ ભીંસાઈને
કેટકેટલું લેવા માંડયું છે મૂઠીમાં!
આ ભીંસથી
એની નસોમાં ફરતું લોહી
કાળું પડવા માંડયું છે.
એનાં નસકોરાંમાંથી નીકળતો ધુમાડો જોઈ
મને હતું
કાળું પડતું જશે
આ આખું શહેર;
૫ણ જોઉં છું,
આ નગરની એક આંખ
(જે ઓળખાતી હમીરસરને નામે)
ફરી પાછી છલકાઈ ઊઠી છે
અને તરવા લાગી છે
એની લખોટા જેવી કીકી.
એના ખાલીપા નીચે
ધરબાઈ ગયેલાં
આ નગરનાં સ્વપ્નોએ
વૃક્ષો બનીને
ફરી પાછું
આકાશને તાકવા માંડ્યું છે.
વીતી ગયેલા એક સ્વપ્ન જેવો મહાલય
એને પોપચે ઊભો રહીને
ફરી જાણે આ
આંખમાં પ્રવેશવા મથે છે.
જલપ્રવાહની આવમાં ખેંચાઈ આવેલાં
મત્સ્યોની જેમ એમાં
ફરી પાછું
કશુંક સળવળવા માંડયું છે
અને
સુકાઈ ગયેલા આંસુની ધાર જેવો રસ્તો
ફરી પાછો
રેલો બનીને
લે, આ તારા ચરણ લગી આવી પહોંચ્યો છે.
આ ભુજ
હાથ બનીને–આંગળીઓ બનીને–નહોર બનીને
આ આંખને ફોડી નાંખે
એ પહેલાં
ચાલ, જોઈ લઈએ,
એમાં તરતાં મત્સ્યો,
એમાં તરતાં સ્વપ્નો!

– ધીરેન્દ્ર મહેતા

નગરકાવ્યો આપણી સાહિત્યસમૃદ્ધિનું અગત્યનું પાસું છે. પ્રસ્તુત રચનામાં ભુજ કેન્દ્રસ્થાને છે. ભુજમાં પ્રચંડ ભૂકંપ આવ્યો એના પંદર-સોળ વર્ષ પહેલાં લગભગ ૧૯૮૫ની આસપાસમાં આ રચના લખાઈ છે, પણ ચાળીસેક વર્ષ પૂર્વે શહેરીકરણનો રાક્ષસ જેટલો પ્રભાવી અને વિકરાળ જણાતો હતો એટલો જ આજે પણ લાગતો હોવાથી રચના આજેય એટલી જ પ્રસ્તુત લાગે છે. બંધ મુઠ્ઠી ખૂલે અને આંગળીઓના પ્રસારને લઈને પંજાનો વિસ્તાર વધતો જાય એ રીતે ભુજ પણ વિસ્તરી રહ્યું છે. નગરમધ્યે વિરાજમાન ભુજિયો ડુંગર ભુજની એકમાત્ર શોભા નથી રહ્યો પણ શહેરમાં ફૂલીફાલી રહેલી સોસાયટીઓ વીંટીના નંગ સમી શોભી રહી છે એમ કહીને કવિએ વેધક કટાક્ષ કર્યો છે. પ્રદૂષણનો કાળોતરો આખા ભુજને ગળી જશે એવી ભીતિના કાળાં વાદળોમાં કવિને ફરી એકવાર છલકાવા લાગેલ હમીરસર તળાવ નામની સોનેરી કોર નજરે ચડે છે. પાંખા વરસાદવાળા વિસ્તારની સમૃદ્ધિ સ્વાભાવિકપણે જળની આવને આભારી જ હોવાની. હમીરસર તળાવના ભરાવાથી નગરનાં સ્વપ્નોને વૃક્ષ બની મહોરવાની તક સાંપડી છે. ઔદ્યોગિકીકરણનો રાક્ષસ નગરને ભરખી જાય, એ પૂર્વે જીવી લેવાના આહ્વાન સાથે કવિ વાત પૂરી કરે છે ત્યારે આપણી ચેતનામાં સળવળાટ શરૂ થાય છે…

Comments (2)

ડચૂરો – કાનજી પટેલ

સાંજના ગાડામાં
ભર્યો શિયાળો.
સીમની કરોડ પર ચાલે ગાડાવાટ.
ઊડતી ધૂળ કિરણોમાં થાય સોનું.
સૂરજ કાળા ઘડામાં પુરાય.
લબકારા લે કુહાડો જંગલ પર.
ઢળી પડે સીમ.
ગાડાવાળાની છાતીમાં ડચૂરો.
ઝણઝણે એની કરોડ.
નસોનું તાપણું તતડે.
ચાલે અંધારિયા પેટાળમાં આગિયાનાં ઝરણ.
બહુ દૂર નથી છાપરું.
આઘે નથી હોકો.
નથી છેટો ચૂડલો.
ને કરાંઠીનો ચળકતો અગ્નિ.

– કાનજી પટેલ

શિયાળો ઋતુઓના દરવાજે આગળિયો ખૂલવાની રાહ જોતો ઊભો હોય એ સમયે આવી રચનાની હૂંફ મેળવવાથી ચડિયાતો ઉપક્રમ બીજો કયો હોઈ શકે? શિયાળાની સાંજે સૂર્યાસ્ત પણ વહેલો થાય અને ભારી હવાના કારણે વાતાવરણ પણ થોડું વધારે બોઝિલ લાગે.રોજિંદો રચનાક્રમ અને રોજિંદુ અંતર જ કાપવાનું હોવા છતાં શિયાળો નિર્ધારિત મજલનેય લાંબી બનાવી દે છે. શિયાળો સીમની કરોડ પર ચાલતા સાંજના ગાડામાં બેસીને આવ્યો હોવાના અનૂઠા કલ્પના સાથે કાવ્યનો ઉઘાડ થાય છે. આથમતા સૂર્યના કિરણો શિયાળામાં વધુ સોનેરી હોવાથી હવામાં ઊડતી ધૂળા સોનામાં પરિવર્તિત થતી દેખાય છે. નાના નાના વાક્યોમાં કવિએ નવ્યકલ્પનો એ રીતે જમા કર્યા છે,જાણે કોઈએ તાપણું પેટાવવા સાંઠીકડા ભેગાં ન કર્યાં હોય! સાંજના ગાડામાં બેસીને આવતા શિયાળાનું દૃશ્યચિત્ર અને બદલાતા વાતાવરણના કારણે માનવહૈયામાં થતી ઉથલપાથલ કવિએ બહુ ઓછા શબ્દોમાં બહુ અસરદાર રીતે ઉપસાવી છે. ધારવા કરતાં વહેલી ઉતરી આવતી રાતના અંધારામાં ઘરે પરત ફરતા કોઈક ખેડૂતની છાતીમાં ડચૂરો ભરાય છે. ડચૂરો ભરાવા પાછળનું કોઈ દેખીતું કારણ કવિએ આપ્યું ન હોવા છતાં ભાવક પણ એની અનુભૂતિથી બચી શકતો નથી એ કવિ અને કવિતા ઉભયની ઉપલબ્ધિ ગણાય.

Comments (3)

વૃદ્ધની પ્રાર્થના – વજેસિંહ પારગી

એકાકી વૃદ્ધ
બેઠો છે
સુકાઈ ગયેલા વૃક્ષ નીચે
વૃદ્ધ જુએ છે-
ઘડીકમાં વૃક્ષ સામે
ઘડીકમાં જાત સામે
ને મનોમન પ્રાર્થે છે:
ક્યાંકથી કઠિયારો આવે
ને વૃક્ષભેળો મનેય કાપી જાય.

– વજેસિંહ પારગી

સ્વયંસિદ્ધ… પીડાની પરાકાષ્ઠા… સહનશક્તિની અંતિમ સરહદ…

Comments (11)

ફરી ગામડે – રાજેશ પંડ્યા

આ રસ્તો
મારા ગામ તરફ જાય છે.
જોકે હું એના પર ચાલતો નથી અત્યારે
હું બેઠો છું અહીં
અને બેઠો બેઠો પહોંચી ગયો છું ગામને પાદર.
વડલાની ડાળે હીંચકા ખાતો પવન પડી ગયો છે,
શીતળાઈની ધજા ફરફરતી નથી જરાય
મસાણમાં અડધી બાળેલી ચિતા ધૂંધવાય છે,
ને પડખે વહેતી નદીનાં ઊકળતાં પાણીમાં પરપોટા થાય છે
શંકરની દેરીનો પોઠિયો ગળતી ભણી ઉઘાડે મોં ઊંચું જુએ
તો કૂવાનાં જળ ગરેડીથી તળિયા લગ ઘૂમચકરડી ફરતાં દેખાય.
સામેની નિશાળના ખાલીખમ મેદાનમાં
કોઈ છોકરો એક પગે ઠેકે છે
એનો લંગડી દા ઊતર્યો નથી હજીય
પછી
ક્યાંથી એ દોડીને પહોંચી શકે વતનને ગામ!
ભલેને એને લઈ જતો આ રસ્તો
આંખ સામે જ પથરાઈને પડ્યો હોય અફાટ
જેના પર આખી રાત
સપનામાં ચાલ્યા કરવાનાં પગલાં પડ્યાં હોય ખીચોખીચ.

– રાજેશ પંડ્યા

વતનઝૂરાપાના અનેકાનેક અમર કાવ્યોથી વિશ્વસાહિત્ય ભર્યું પડ્યું છે. કવિએ ‘ફરી ગામડે’ શીર્ષક હેઠળ એકાધિક કાવ્ય કર્યાં છે, એમાંનું એક અહીં રજૂ કરીએ છીએ. ગામ તરફ લઈ જતો રસ્તો નજર સામે જ પડ્યો હોવા છતાં શહેર ત્યજીને એ રસ્તે ચાલીને ગામ જવાનું સંભવ બનતું નથી. કવિના મનની આંખો સમક્ષ ગામ તાદૃશ થઈ ઊઠે છે. બહુ સ-રસ રીતે કવિએ વતનવિયોગની વેદનાને વાચા આપી છે.

Comments (6)

કાગળની હોડી – વજેસિંહ પારગી

દરિયો તો
દુનિયા ડૂબાડી દે એવો
ને કવિતા તો
કાગળની હોડી.

કવિતા બહુ બહુ તો
આંગણામાં ભરાયેલા ખાબોચિયામાં
દરિયાનો અહેસાસ કરાવી શકે
કે હોડી તરતી મૂકતા બાળકનો વિસ્મય
આંખમાં આંજી શકે.

જો તરી જવાની મંછા ન હોય
ને ડૂબી જવાની ચિંતા ન હોય
તો કાગળની હોડીમાં બેસો!

– વજેસિંહ પારગી

કવિતાના રહસ્યમયી કેલિડોસ્કૉપમાંથી નજરે ચડતું પળેપળ બદલાતું ભાતીગળ દર્શન મનુષ્યજાતને પરાપૂર્વથી આકર્ષતું રહ્યું છે. સમુદ્ર અને જમીન તો સૃષ્ટિના આરંભથી જ સહોપસ્થિતિ ધરાવે છે, પણ દરિયો કંઈ દુનિયાને ડૂબાડી દેતો નથી એ હકીકત કોરાણે મૂકીને કવિ જ્યારે એમ કહે કે દરિયો તો દુનિયાને ડૂબાડી દે એવો છે, ત્યારે આપણને સહેજ નવાઈ લાગે. પણ કવિતાની ખરી કરામત જ આ છે. એ કહે કંઈ અને બતાવે કંઈ. બીજી જ પંક્તિમાં દુનિયાને ડૂબાડી દે એવા દરિયાને તરવા માટે કવિતા નમની કાગળની હોડીની વાત કવિ કરે છે, ત્યારે આપણી ભાવકચેતનામાં તત્ક્ષણ ચમકારો થાય છે- અરે! આ દુનિયા એટલે તો આપણું અંગત ભાવવિશ્વ અને આસપાસનું જગત અને જગતની ઉપાધિઓ એ એને ડૂબાડી દેતો દરિયો! દુનિયાનો દરિયો આપણી અંગત દુનિયાને ડૂબાડી દે એવો છે, અને એને પાર કરવો હોય તો નાજુક તો નાજુક પણ કવિતા જ એકમાત્ર સાધન છે. વાહ! કેટલા ઓછા શબ્દોમાં કેવી મજાની વાત!

કવિએ આ નાનકડી રચનાને ત્રણ ભાગમાં વહેંચી છે, પણ મને એમ લાગે છે કે વચ્ચેની પાંચ પંક્તિઓ કાઢી લીધી હોય તોય રચનાને ઉમદા કાવ્ય ગણી શકાઈ હોત. ખરી કવિતા તો પહેલા અને ત્રીજા બંધની સાત પંક્તિઓમાં જ છે!

Comments (11)

દહાડીનો અંધકાર – વજેસિંહ પારગી

દહાડીનો દહાડી ઊગે છે સૂરજ
ધરતી પરથી હટે છે અંધકાર
હુંયે પ્રકાશ આંજીને
નીકળી પડું છું કરવા દહાડી.
દહાડાના પ્રકાશમાંયે
આંખ સામે છવાય છે
આજ દહાડી નંઈ મળે તો- નો અંધકાર.
ને અંધકારમાં અટવાતી રહે છે આશા.
કોઈ દહાડો એવો નથી ઊગ્યો
કે દહાડીની વાતે
મારા મનમાં ફેલાયો હોય પ્રકાશ!

– વજેસિંહ પારગી

આપણે બધા તો ખાધેપીધે સુખી કાવ્યરસિકો છીએ. પેટ ભરાયેલું છે અને ભરાતું જ રહેવાનું છે એની નિશ્ચિતતા આપણને કવિતા-ફવિતાના શોખ પૂરા કરવાની પરવાનગી અને મોકળાશ આપે છે, પણ દુનિયામાં એવાય લોકો છે, જેમના માટે સૂરજ ઊગે અને પ્રકાશ ફેલાવો શરૂ થાય ત્યારે સૌથી મોટો પ્રાણપ્રશ્ન મને દહાડીએ રાખવાવાળો કોઈ શેઠિયો આજે મળશે કે નહીં? મારા ઘર પાસેન ચાર રસ્તા પર રોજ સવારે માણસોનું કીડિયારું ઊભરાય છે. આજીવિકા રળવા માટેના સાધનો લઈને સેંકડો લોકો હમણાં કોઈ આવશે અને આજના દહાડા પૂરતું કોઈક કામ આપશે અને ઘરે સાંજે ચૂલા પર કશુંક ચડાવી શકાશેની આશામાં ઊભા હોય છે. એમાંના ઘણાને ખાલી હાથે જ દૂરની ફૂટપાથ પરના પોતાના નિવાસે જવું પડતું હશે. દહાડી પર નભતા આવા લોકોની રોજનીશીને કવિએ બહુ ઓછા શબ્દોમાં આબાદ ચરિતાર્થ કરી બતાવી છે.

Comments (11)

શબ્દસુમન : ચંદ્રકાન્ત શેઠ – ૦૫ – આવતીકાલે સૂરજ ઊગશે જ

આંખ તો એમ જ થઈ જાય છે ભીની ભીની,
ને પછી તો બધું જ લાગવા માંડે છે ભારે ભારે, સજળ!
બારીઓમાં બગાસાં
દીવાલોમાં ઊંડી ઊંડી સુસ્તી,
પવન સાવ પડેલો, હતાશ શઢ-શો.
ને તડકો સાવ ખરવાપાત્ર પીળાશ-શો.

થાય છે : આજની હવામાં
.               હું નહીં ઊગું, નહીં વિસ્તરું, નહીં ફળું.
.               ભલે હું કોડિયામાં ડૂબેલો રહું માખ-શો.
.                                                     હું નહીં ઊડું.

મારે નથી પહોંચવું ક્યાંય,
નથી પહોંચાડવાં કોઈનેય ક્યાંય…..
ભલે ઝૂમખાંનાં ઝૂમખાં ચાવીઓ પડી રહે, કાટ ખાતી,
મારે નથી ઉઘાડવાં કોઈ તાળાં, કોઈ સંચ.

ભલે આકાશ પોઢેલું રહે, આઠે પહોર,
મારે નથી જગાડવા કોઈ સૂરજ કે ચંદ.

ભલે અટકી જતાં અજવાળાં,
.               મારી આંખ સુધી પહોંચવા જતાં જ અધવચાળે.
ભલે અટકી જતાં મોજાં મારા દરિયાનાં,
.                                                    એકાએક હલેસું જોતાં.

ભલે પીરસેલાં ભાણાં રહે અકબંધ,
.                              ને ઉજાગરાએ ધીકતા રહે છત્રપલંગ.
ભલે વેદનાના કંપે ખળભળતા રહે
.                              મારા અંદરના અને બહારના સૌ લોક.
.        મારે કશુંય કરવું નથી આ અકાળે હવાયેલી જિંદગીમાં.

ડહોળાવાનું ભલે ડહોળાતું,
તણાવાનું ભલે તણાતું,
ભલે તૂટતાં લંગર
.               ને ભલે વછૂટતાં વહાણ આડેધડ ખડકો ભણી.
.               આજ ભલે ડૂબતી, પણ આવતીકાલ તો છે જ.

આવતીકાલે સૂરજ ઊગશે જ.
ને ઘણું ઘણું તપશે ને તપી તપીને હલકું થશે;
ઘણું ઘણું પામશે ઉઘાડ હૂંફાળો હૂંફાળો;
ને ત્યારે આજનો આપણો મોકૂફ રહેલો કાર્યક્રમ
ફરીથી ગતિમાન થશે, શાનદાર રીતે સૂરજની સાથે.
.               ચોમાસું કંઈ બારે માસનું તો હોતું જ નથી.

– ચંદ્રકાન્ત શેઠ

‘એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી.’ (પ્રભુલાલ દ્વિવેદી) ખરું ને? કોઈક કારણોસર આજે કથકની આંખે ચોમાસું બેઠું છે. કવિ કહે છે કે આંખો આજે ‘એમ જ’ ભીની ભીની થઈ છે. કારણ જે હોય એ, પણ આંખો ભીની થવાના કારણે બધું જ ભારઝલ્લું સજળ લાગવા માંડે છે. હતાશાનો ભાવ ચોકોરથી કથક ફરતે ભરડો લઈ બેઠો છે. બારી, દીવાલ, પવન, તડકો- બધું જ ઉદાસીનતાના રંગે રંગાઈ ગયું છે. કશું જ કરવાની ઇચ્છા બચી નથી. સ્વયં માટે કે અવર માટે થઈને પણ કશું કરવાની આજે તો તમા નથી. કોઈ તાળાં કે ખજાના ઊઘાડવાનું આજે મન થતું નથી. અકાળે હવાઈ ગયેલી જિંદગીમાં કથકને કંઈ કરતાં કંઈ જ કરવા-કારવવાની ઝંખના થતી નથી. જીવનને જેટલું ડહોળાવું હોય, ડહોળાઈ લે; જેટલું તણાઈ જવા માંગતું હોય, ભલે તણાઈ જાય; ભલે બધા જ જહાજ ખડકોમાં ફળાઈને તૂટી જવા દોટ કેમ ન મૂકે, કથકની આજ મરી પરવારી છે, આશ નહીં. આજ મરી પરવારે એ ચાલે, પણ આશ મરી પરવારવી ન જોઈએ. આજ જશે તો કાલ આવશે પણ આશ જશે તો જીવનમાં કદી હાશ નહીં આવે… આજ ભલે ડૂબી મરતી, કાલ તો ઊગશે જ ને! કાલે ફરીથી ભરોસાનો સૂરજ ઊગવાનો જ છે અને જીવનચક્રના આરા પુનઃ ગતિમાન થવાના જ છે. કારણ ચોમાસું ગમે એટલું વિનાશકારી અને લાંબુ કેમ ન હોય, બારે માસનું તો નથી જ હોવાનું!

આ આશા જ આ કાવ્યનો પ્રાણ છે…

Comments (2)

એક લોકકથા શાહીના ઘસરકાની – હરીશ મીનાશ્રુ

પંચાયતના ચોપડે
એ સપરિવાર વર્ગીકૃત હતો અમુક રેખાની નીચે,
જ્યારે બિલોરી કાચ વડેય જડતી નહોતી તમુક રેખા
એના હાથમાં, ફૂટપાથિયા જ્યોતિષીને.
એ ગરીબ હતો, અર્થશાસ્ત્રીય વ્યાખ્યા મુજબ;
પણ ગુજરાતીનો એક હંગામી અધ્યાપક
એને દરિદ્ર ગણતો હતો, ભદ્ર ભાષાશાસ્ત્રીય વ્યાખ્યા મુજબ.
જોકે એ નારાયણ નહોતો, ગાંધીજીની વ્યાખ્યા મુજબનો.
માત્ર એનું નામ હતું: નારણ. એની અભદ્ર છતાં
સાચી જોડણી હતી : નાય્ણ્યો.

પાંચ વરસે એ થોડા દડાહા પાંચમાં પુછાતોઃ
ધોની, કાર્તિક કે કોહલીની જેમ એનો ભાવ પડતોઃ
દસબાર દહાડા ભૂસાંભજિયાંનાં પડીકાં, એક શીશો દેશી,
ને ચાર જાંબલી નોટો,
ને હા, બધું પતી જાય ત્યારે, ઝૂંટવેલું ઝંડાનું કાપડ
(જેમાંથી સહેલાઈથી એકાદ અંડરવેર – ઝંડરવેર તો સિવડાવી જ શકાય).

પૂરા પાંચ વરસની મૂઠ મરાવવા માટે
કોક ભૂવા જાગરિયા પાસે જતો હોય એમ એ ઊભો થયો,
એનું ઊભું થવું આમ જોતાં તાંત્રિક હતું,
પણ છાપાંવાળાઓની વ્યાખ્યા મુજબ લોકતાંત્રિક હતું.
એ બહાર નીકળ્યો, સજોડે, સાચવીને, ટટ્ટીમાં પગ ના લબદાય એમ.

ઝૂંપડપટ્ટીની બહાર, નવાઈની વાત,-
(ગાંધીજીની વ્યાખ્યા મુજબના) કોઈ ગરુડને બદલે
પાંખો ફફડાવતાં એની રાહ જોતાં હતાં
વાંકી અણિયાળી ચાંચોવાળાં બેચાર ગીધ.
એ જુગતે જોડાને હંકારી એ હાંકી ગયા એક ડબ્બા સુધી.

અંગૂઠા આંગળાં સમેત એના હાથ સાબૂત હતા.
અત્યાર સુધી એ શાહી પર અંગૂઠો ઘસતો હતો
આજે કોકે ઘસી નાખી શાહી એની આંગળી પર.
હું હિન્દી કવિ હોત તો મારે લખવું પડ્યું હોતઃ
આજ કિસી ને કાલિખ પોત દી ઉસકી ઉંગલી પે.
ને એ તિલસ્મી રીતે પુરાઈ ગયો ડબ્બામાં

ઉત્તેજનાભરી આખી પ્રક્રિયા પતી ગઈ કેવળ બે મિનિટમાં.
જોકે પોલિટિકલ પંડિતો માટે એ નક્કી કરવું અઘરું હતું કે
આ સદ્ય સ્ખલન હતું કે સ્તંભન પાંચ વર્ષનું…

– હરીશ મીનાશ્રુ

લોકશાહીની ચૂંટણી હમણાં જ ગઈ, અને આજે પંદરમી ઓગસ્ટ. આજના દિવસે આથી વધુ સાર્થક રચના મને જડી નથી જડતી. ચિત્ર રંગોથી જ બને, પણ બહુ ઓછા ચિત્રકાર રંગો પાસેથી એવું કામ લઈ શકે છે જે અનનુભૂત લાગે. ચિત્રો માટે જેમ રંગ એમ કવિતા માટેનું ઉપાદાન ભાષા છે. પણ મારા સહિત મોટાભાગના કવિઓ પ્રચલિત ભાષાસંસ્કારથી ઉપર ભાગ્યે જ ઊઠી શકે છે. હરીશ મીનાશ્રુ ભાષા પાસેથી સામર્થ્યવાન ચિત્રકારની જેમ જે રીતે કામ કઢાવી શકે છે એ સાચે જ કાબિલે-દાદ છે. પ્રસ્તુત રચનામાં ડગલે ને પગલે એમની ભાષારમણા અ વાતની પ્રતીતિ કરાવતી જોવા મળશે. લોકશાહીની જે વરવી વાસ્તવિક્તા કવિએ રજૂ કરી છે, એનાથી આપણે સહુ બહુ સારી રીતે અવગત છીએ, પણ અહીં ખરી મજા રજૂઆત અને શબ્દક્રીડાની છે. કશું જ અપરિચિત ન હોવા છતાં કવિતા આપણું લોહી થીજાવી દે એવી પ્રભાવક થઈ છે…

Comments (8)

ધારાવસ્ત્ર – ઉમાશંકર જોશી

કોઈ ઝપાટાભેર ચાલ્યું જાય,
ક્યાંથી, અચાનક…
સૂર્ય પણ જાણે
ક્ષણ હડસેલાઈ જાય.
ધડાક બારણાં ભિડાય.
આકાશમાં ફરફરતું ધારાવસ્ત્ર
સૃષ્ટિને લેતું ઝપટમાં
ઓ…પણે લહેરાય.
પૃથ્વી-રોપ્યાં વૃક્ષ એને ઝાલવા
મથ્યાં કરે — વ્યર્થ હાથ વીંઝ્યાં કરે.

– ઉમાશંકર જોશી

સંક્ષિપ્ત આસ્વાદ કવિશ્રી સંજુ વાળાની કલમે માણીએ:
સંપૂર્ણ આસ્વાદ માટે અહીં ક્લિક કરો.

પરમ પ્રકૃતિપુરુષની રમ્ય-રૌદ્ર લીલા

કવિને પ્રિય એવા કોઈ વર્ષાકાળે થયેલા અગમ્ય અને વિસ્મયભર્યા નભદર્શનથી સર્જાયેલું આ કાવ્ય છે. રસરાગી અને ચૈતન્યભાગી આપણા આ કવિના દર્શનમાં વર્ષાજળ વરસાવતાં, વિહરતાં વાંદળાં મેઘપુરુષનો ખેસ લહેરાતો હોય એવાં ભાસે અને કવિ એને ‘ધારાવસ્ત્ર’ કહે. માત્ર બે-ત્રણ શબ્દોની એક એવી દસ જ પંક્તિમાં કવિ વિરાટ, ભવ્ય અને આશ્ચર્યચકિત કરનાર ચિત્ર આ કાવ્ય રજૂ કરે છે. એટલે આ નાના કદનું પણ વિરાટ રહસ્યગર્ભે વિસ્તરતું કાવ્ય છે. પાંચેક જેટલા ક્રિયાપદો કાવ્યને ગતિ આપે છે જે ધારાવસ્ત્ર ઊડતું, ફરફરતું હોવાની પ્રતીતિ કરાવે છે. અને તેની ઉચિતતા પણ સ્થાપે છે.

કાવ્યના ઉઘાડની પંક્તિઓ જ કેવી રહસ્યમય અને વિસ્મિત કરનારી છે ! કોઈ પ્રચંડ અસ્તિત્વ આકાશવિહારે નીકળ્યું છે એની ચાલ કેવી તો કહે ‘ઝપાટાભેર’ એના આગળ-પાછળ થતા અજાનબાહુથી પવન સૂસવાટા મારતો હશે. આકાશ થોડું થરથર્યું હશે. એટલે જ તો દેવાધિદેવ સૂર્ય પણ બાજુ પર ખસ્યો નથી હડસેલાઈ ગયો છે. આ સાદ્શ્ય હજી તો માંડ પ્રત્યાયન પામે ત્યાં એક સાથે દૃષ્ટિ અને શ્રવણેન્દ્રિયને જગાડતી પંક્તિ સંભળાય છે : ‘ધડાક બારણાં ભિડાય.’ આ પ્રચંડ ધડાકાથી બારણા બિડાયાં કે બારણા બિડાવાનો આ ઘોરઘોષ (અવાજ) હતો ? મેઘગર્જન હશે ? પર્જન્યપુરુષના નભવિહારની કેવી રૌદ્ર નિષ્પત્તિ છે આ ? પરંતુ કવિ એના વિશે ચોખવટ કરે તો તો એ કવિ કરતા નિબંધકાર સાબિત થાય. જર્મન ઓથર ટોમસ માનની ઉક્તિ સંભળાય છે :’The real artist never talk about the main things.’

કાવ્યની છેલ્લી બે પંક્તિઓમાં આકાશમાં થતી વિશાળ અને વિશિષ્ટ હલચલની પૃથ્વીસ્થિત પ્રતિક્રિયા અથવા સહોપસ્થિતિ છે. અહીં ધ્યાન ખેંચે છે તે બન્ને ક્રિયાપદ- ‘મથ્યાં કરે, હાથ વીંઝ્યાં કરે.’ આ ક્રિયા જે કરે છે તેને કવિએ વૃક્ષ તો કહ્યાં, પાછા હાથ પણ દીધા. એટલે આપણા આંખ-કાન ચમક્યાં. વળી એક રહસ્યમય વાત પ્રગટી. આ હાથાળ વૃક્ષોને ઝીલવું તો છે પેલું ‘ધારાવસ્ત્ર’ પણ…! કવિએ એક જ વિશેષણથી કેવું સમાધાન આપી દીધું? ‘વ્યર્થ.’ ‘કરે’ ક્રિયાપદથી આ પ્રાપ્તિની મથામણ તો ચાલુ જ છે પણ વ્યર્થ. હવે રહે છે તો માત્ર ધારાવસ્ત્ર. પેલો પુરુષ કે અસ્તિત્વ પણ ઓગળી ગયું. છે તો માત્ર સૃષ્ટિ અને આકાશ અને.. બેઉને જોડતું આ અનુપમ, અદ્ભુત કે અલૌકિક ‘ધારાવસ્ત્ર.’

રસાસ્વાદ: સંજુ વાળા

Comments (2)

ત્રણ સૌથી વિચિત્ર શબ્દો – વિસ્વાવા શિમ્બોર્સ્કા (પોલિશ) (અનુ: વિવેક મનહર ટેલર)

જ્યારે હું ‘ભવિષ્ય’ શબ્દનું ઉચ્ચારણ કરું છું,
એટલીવારમાં તો એનો પ્રથમ શબ્દાંશ ભૂતકાળ બની ચૂક્યો હોય છે.

જ્યારે હું ‘મૌન’ શબ્દનું ઉચ્ચારણ કરું છું,
હું એને જ નષ્ટ કરી દઉં છું.

જ્યારે હું ‘કંઈ નહીં’ શબ્દનું ઉચ્ચારણ કરું છું,
હું કંઈક એવું સર્જી બેસું છું જે કોઈપણ અનસ્તિત્વ ઝાલી નહીં શકે.

– વિસ્વાવા શિમ્બોર્સ્કા
(અંગ્રેજી પરથી અનુ: વિવેક મનહર ટેલર)
[Wisława Szymborska: vʲisˈwava ʂɨmˈbɔrska = viˈswa.va ʃɨmˈbɔr.ska – vi-SWAH-vah shihm-BOR-ska]

*

ઓછામાં ઓછા શબ્દોમાં ધાર્યું પ્રત્યાયન સાધી શકે એ કવિતા ઉત્તમ. પ્રસ્તુત રચનામાં ભાષા અને અસ્તિત્વમાં નિહિત વિરોધાભાસી પ્રકૃતિનું અત્યંત લાઘવપૂર્ણ પણ અસરદાર નિરૂપણ કર્યું છે. પૉલિશ કવયિત્રીએ બહુ જ સરળ શબ્દોમાં ગહન ચિંતનોત્તેજક કૃતિ આપણને આપી છે. ‘કંઈ નહીં’ બોલતવેંત આપણે કશાકનું સર્જન કરી બેસીએ છીએ, અને ‘કંઈ નહીં’ એ કંઈ નહીં રહેતું નથી. સમયની ક્ષણભંગુરતા, મૌનની નજાકત અને શૂન્યતાના અસ્તિત્વગત નિહિતાર્થો ભાવકમનને વિચારતું કરી દે છે.

*

The Three Oddest Words

When I pronounce the word Future,
the first syllable already belongs to the past.

When I pronounce the word Silence,
I destroy it.

When I pronounce the word Nothing,
I make something no non-being can hold.

– Wislawa Szymborska (Polish)
(Translated by Stanislaw Baranczak & Clare Cavanagh)

Comments (6)

ભૂખની આગ – વજેસિંહ પારગી

ભૂખની આગ
કંઈ બળતો ડુંગર નથી
કે ગામ આખાને દેખાય.
ભૂખની આગ તો
પેટમાં ઉકળતો લાવા.
જેના પેટમાં હોય
એ અંદર ને અંદર ખાક.

– વજેસિંહ પારગી

દાહોદ જિલ્લાના ભીલ જાતિના ખેતમજૂર દંપતીના ઘરે કવિનો જન્મ. ગુજરાત એટલે જેમના મન ખેડા, વડોદરા અને અમદાવાદ જિલ્લો હોય એવા દારુણ ગરીબીમાં સબડતા દલિત આદિવાસીજીવનના શિકાર કવિના માટે વિધાતાએ પણ ‘રોઝિઝ રોઝિઝ ઑલ ધ વે’ના સ્થાને ‘અક્કરમીનો પડ્યો કાણો,’ ‘દુકાળમાં અધિકમાસ’ અને ‘દાઝ્યા પર ડામ ને પડ્યા પર પાટુ’ જેવી કહેવતો જ સર્જી હતી. વતનના ગામ ઇટાવામાં કોઈક ધિંગાણા વખતે અકસ્માતે એક ગોળી એમના મોંના ભાગે વાગી અને છ-સાત વર્ષમાં એક પછી એક ચૌદવાર શસ્ત્રક્રિયાઓ કરાવીને દેવાદાર થઈ આગળ ઈલાજ કરાવવાનું અને અધ્યાપક થવાના સ્વપ્નોનું એમણે નાછૂટકે પડીકું વાળી દેવું પડ્યું. પ્રૂફરીડર બન્યા પણ એમાંય સતત જાતિવાદનો ભોગ બનતા રહ્યા. છેવટે એમના જ શબ્દોમાં ‘જિંદગીનો લય ખોરવાઈ ગયો છે. કશું સમજાતું નથી. બધું અર્થહીન લાગે છે. ઓછી પીડાવાળું જીવન ઝંખ્યું પણ જીવવું પડે છે પીડાથી ભરચક’ કહીને એમણે સાંઠ વર્ષની આયુમાં ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ વિદાય લીધી.

એમના મરણોત્તર સંગ્રહ ‘ડાગળે દીવો’માંથી વાંચતાસોત ઊભાને ઊભા ચીરી મૂકે એવું એક લઘુકાવ્ય અહીં રજૂ કરીએ છીએ…

રામબાણ તો વાગ્યા હોય એ જાણે… ખરું ને? એ જ રીતે પેટની આગ પણ જેણે વેઠી હોય એ જ જાણી શકે… પણ કવિતા એક એવો જાદુ છે, જે ન વાગેલ રામબાણની પીડા કે ન વેઠેલ આગની તકલીફ પણ અનુભવાવી શકે…

Comments (7)

શાહીનું ટીપું – રમણીક સોમેશ્વર

ટપાક્. શાહીનું ટીપું. તગતગતું નીકળે બહાર. પરથમ તો આળસ મરડી ખાય બગાસું. પછી સૂંઘે પવનને. થોડું અડી લે આકાશને. મૂછમાં હસતું જોઈ લે ઝાડ-પાન-ફૂલને. થોડા ટહુકા વીણી મૂકી દે કાનમાં. પછી ચડી જાય વિચારે. વિચારમાં ને વિચારમાં દદડવા લાગે રેલો, તે રેલો ક્યાં લગ પૂગ્યો તેનુંય ભાન ન રહે. પણ રેલો ઈ તો રેલો. ભીનાશ બધી શોષાઈ જાય રેતીમાં ત્યારે જ એની ખબર પડે. પછી હાળું ટીપું, રેતીના કણ થઈને ઊડે ને ભરાય મારી આંખમાં. આંખ ચોળતો, ઝાંખ વચ્ચે હું લખવા માંડું કવિતા. વાત તો આટલી જ કે શાહીનું ટીપું ટપાક્ દઈને નીકળે બહાર. દરિયો માની પોતાને માળું ઉછાળે મોજાં ક્યારેક, ને ક્યારેક સૂરજનું સંતરું લઈને રમતે ચડે સાંજે તે કાળું ટપકું થઈને થીજી જાય પાછું. ઊંઘમાં ને ઊંઘમાં લવારે ચડે તો ગજવે વનનાં વન હૂ ડૂ ડૂ ડૂ પવન થઈને. હેં! ગવન થઈને ઊડવું ગમે પાછું એને. ને ચાળે ચડે તો ‘રાસ રમંતાં મારી નથણી ખોવાણી…’ ના, ના, વાત તો અમથી આટલી જ કે ટપાક્ દઈને ટીપું શાહીનું ધસી આવે બહાર -ટોચે. ટોચે ઝગમગતું ટીપું– આદમનો અવતાર, ઈવનો વિસ્તાર. હાળું જીવ લઈને જન્મ્યું તે ભરી દીધી પરથમી આખીને; અને હવે તાકે આકાશ સામે ટગરટગર. ગ્રહો—નક્ષત્રોને લે ઊંડણમાં ને ખેંચે સમદરને તળિયેથી બધો ભેજ. તેજ—ભેજના તાંતણાં વણી સજાવે સેજ. એ જ… એ જ…
એ જ તો કહેવું છે મારે..
ટીપું શાહીનું ટપાક્…

– રમણીક સોમેશ્વર

છંદોબદ્ધ કાવ્યો લખી લખીને થાકેલા કવિઓએ મુક્ત ગગનમાં ઉડ્ડયન કરવું નિર્ધાર્યું એ દિવસે અછાંદસ કવિતાનો જન્મ થયો. વિશ્વની તમામ ભાષાઓએ વહેલોમોડો છંદમુક્તિનો સ્વાદ માણ્યો. આપણે ત્યાં અછાંદસ કાવ્ય લખાતા થયા ત્યારે એના નામાભિધાન વિશે પણ ચર્ચાઓ ચાલી હતી. એક સમય એવો આવ્યો જ્યારે અત્યારે પ્રચલિત સ્વરૂપસંવિધાનના સ્થાને પરિચ્છેદ તરીકે જ ગદ્યકાવ્ય લખવામાં આવતા. રમણીક સોમેશ્વરનું આ કાવ્ય પણ પરિચ્છેદ સ્વરૂપે લખાયેલ ગદ્યકાવ્ય જ છે.

શાહીના ટીપાંની મિષે કવિએ અદભુત અને અનૂઠી રીતે કવિતાની વિભાવના વ્યક્ત કરી છે. ઇન્કપેનમાંથી વધારાની શાહીનું ટીપું તગતગતું બહાર આવે અને ટપાક્ કરતું નીચે પડે એ ‘ટપાક્’ શબ્દ સાથે કાવ્યારંભ થાય છે. કવિ એક શબ્દચિત્ર દોરવાની શરૂઆત કરે છે, પણ પ્રારંભ કરે છે ધ્વનિથી. કવિતામાં આદમ-ઈવનો પણ ઉલ્લેખ છે. એટલે કાવ્યચેતના આદિમથી આજ સુધીના પ્રલંબ પટ પર વિસ્તરી હોવાનું સમજાય છે. ભાષા અને લિપિના અસ્તિત્વના હજારો વર્ષ પૂર્વે બોલીનો જન્મ થયો હતો. કદાચ એટલે જ કવિએ કાવ્યારંભ ધ્વનિ-શ્રુતિથી કર્યો હોઈ શકે.

ઊંઘમાંથી ઊઠીને માણસ બગાસું ખાઈ આળસ મરડીને દિવસની શરૂઆત કરે, એ જ રીતે શાહીનું ટીપું પણ બહાર આવીને આળસ મરડે છે, બગાસું ખાય છે, પવનને સૂંઘે છે, આકાશને ‘થોડું’ અડી લે છે અને મૂછમાં હસતાં હસતાં ઝાડ-પાન-ફૂલને જુએ છે. થોડા ટહુકાય ગુંજે ભરી લે છે. વિચારે ચડીને દદડવા માંડતું ટીપું આખાય બ્રહ્માંડને ઊંડણમાં લઈ લે છે એ જોઈને ઉમાશંકર જોશીની વાત યાદ આવે: ‘ગામથી શબ્દ લઈને નીકળ્યો હતો. શબ્દ ક્યાં ક્યાં લઈ ગયો?’

નાના અમથા શાહીના ટીપાંમાં ભરી પડી અસીમ સંભાવનાઓનો તાગ કાઢવાની આ કવાયત આખરે તો કવિસિસૃક્ષા જ છે.

Comments (4)

શબ્દસુમન: હર્ષદ ચંદારાણા : ૦૩ : પીડાની ક્રીડાઓ

બધાં જળનો
કૈં બરફ થતો નથી.

મારી પાસે છે પાત્ર
અને છે
એટલું જ કારણ માત્ર
હું જળ ભરું છું
ને બરફ કરું છું

પણ જળ ખૂટતું નથી
કે જળ છૂટતું નથી

બધું જળ
કૈં બરફ થતું નથી

*

ને નથી થતો
બધીય હવાનો વંટોળ
હવાને લાવી લાવી
છાતીની ધમણ ફુલાવી
ફૂંક મારું છું

હવાનાં સાંસાં પડે છે
છતાંય ફૂંક મારું છું
ને અંતે હું હારું છું

પણ નથી થતી
બધીય હવા વંટોળ

*

કે નથી સર્જાતાં
જમીન માત્રમાં જંગલો

કયારેક હળથી
કયારેક પળથી….…ખેડી લઉં

ક્યારેક બીજથી
કયારેક વીજથી…વાવી લઉં

કયારેક પાણીથી
કયારેક વાણીથી…..સીંચી લઉં

ક્યારેક ફળને
કયારેક છળને………વેડી લઉં

હા, નથી સર્જાતાં
જમીન માત્રમાં જંગલો.

*

કેમ બધો અવકાશ
ભરી શકાતો નથી?

બાથ ભરું કે ભરું બાચકો
ખાલી… ખાલી… ખાલી…
.                            રહે ધ્રાસકો.

કેમ બધોય અવકાશ,
કશાથી,
ક્યારેય
ભરી શકાતો નથી?

*

આગ-
હોય છે, દેખાતી નથી
જાતે જ પ્રગટે છે, થાતી નથી
ચૂલો છે ચૂલો; છાતી-
.                            છાતી નથી.

*

કેટલાંક સુખની
.           કવિતા કરવી નથી.
કેટલાંક દુ:ખની
.           કવિતા થઈ શકતી નથી.

– હર્ષદ ચંદારાણા

હર્ષદ ચંદારાણાની કવિતાઓ સામાન્યપ્રવાહથી વિષયવસ્તુની પસંદગી અને માવજતને લઈને અલગ તરી આવે છે. ગઝલ હોય, ગીત હોય કે અછાંદસ- એમની શબ્દપસંદગી અને રૂપકવિન્યાસ તરત જ ઊડીને આંખે વળગે છે. આ અછાંદસ રચના જુઓ. કવિએ રચનાને પંચમહાભૂતના પાંચ ખંડોમાં વહેંચી છે – જળ, વાયુ, પૃથ્વી, આકાશ અને અગ્નિ –એમ પાંચેય ઘટકતત્ત્વની સાપેક્ષે એમણે પીડાની ક્રીડાઓ તાગવાની કોશિશ કરી છે. અછાંદસ રચના હોવા છતાં કવિએ કૃતિમાં મોટાભાગની પંક્તિઓ વચ્ચે જે રીતે પ્રાસગુંફન કર્યું છે એનાથી એક અનૂઠો લય તો સર્જાય જ છે, કૃતિને રોચક પ્ર-વેગ અને પ્રવાહિતા પણ સાંપડે છે.

કરવાની ઇચ્છા હોય એ કરી ન શકાવાની પીડાને કવિએ પાંચેય ઇન્દ્રિયોની ક્રીડાઓ થકી વારાફરતી વ્યક્ત કરી છે. કવિને જળનો બરફ કરવો છે અને ફૂંક મારીને હવાનો વંટોળ કરવો છે. જમીન માત્રને જંગલોથી ભરી દેવી છે અને અવકાશના ખાલીપાને સભર કરવો છે. છાતીમાં જે આગ છે એના કાબૂ બહાર હોવાનીય પીડા છે. ટૂંકમાં, દુન્યવી નજરે જે કામ અશક્ય કે અસાધ્ય લાગે એ બધું કવિને કરવું છે. કાવ્યાંતે કવિ કેટલાંક સુખની કવિતા કરવી નથી અને કેટલાંક દુઃખની કવિતા થઈ શકતી નથી એમ કહીને વાત આટોપી લે છે ત્યારે ખ્યાલ આવે છે કે આ આખી મથામણ, સઘળી પીડા પંચેન્દ્રિયો મારફતે થતી અનુભૂતિને યથાતથ અભિવ્યક્ત ન કરી શકાવા બદલની હોવી જોઈએ.

Comments (4)

ભાઈચારો – ઑક્ટાવિયો પાઝ (સ્પેનિશ) (અનુ.: વિવેક મનહર ટેલર)

ક્લૉડિયસ ટૉલેમીને શ્રદ્ધાંજલિ

હું એક મનુષ્ય છું: મારી હયાતિ છે ક્ષણભંગુર
અને રાત છે પ્રલંબ.
પણ હું ઉપર જોઉં છું:
તારાઓ લખી રહ્યા છે.
સમજ્યા વિના જ હું સમજું છું:
હુંય એક લખાણ જ છું
અને આ ક્ષણે
કોઈ મને ઉકલી રહ્યું છે.*

– ઑક્ટાવિયો પાઝ
(અંગ્રેજીમાંથી અનુ.: વિવેક મનહર ટેલર)

વિદેશી ભાષાના અંગ્રેજી અનુવાદોમાંથી ગુજરાતી અનુવાદ તો અનેક કર્યા, પણ પાઝની આ કવિતા મને ઇન્ટરનેટ પર લટાર મારતી વખતે મૂળ સ્પેનિશ ભાષામાં મળી. એનો અંગ્રેજી અનુવાદ શોધવાના સ્થાને મેં આ વખતે ચેટજીપીટી (એ.આઇ.) તથા ગૂગલ ટ્રાન્સલેટને કામે લગાડ્યા અને જાતે જ અંગ્રેજી અનુવાદ તૈયાર કર્યો. આ પછી નેટ પરથી આ જ રચનાના અંગ્રેજી અનુવાદ પણ શોધ્યા. એ.આઇ.ભાઈનો અનુવાદ યોગ્ય લગતાં મેં એને જ સ્વીકારીને એનો ગુજરાતી અનુવાદ કર્યો છે. આગલ જતાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ શું શું કરતબ દેખાડશે એ તો ભવિષ્ય જ કહેશે, પણ હમણાં આ ક્ષણે આ અનુવાદ આપ સહુ માટે…

કવિએ ગ્રીકો-રોમન ગણિતશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી અને ભૂગોળશાસ્ત્રી ક્લાઉડિયસ ટોલેમીને આ કવિતા વડે શ્રદ્ધાંજલિ આપી છે, જેઓ બ્રહ્માંડના ભૂકેન્દ્રીય મોડેલ પરના તેમના કાર્ય માટે જાણીતા છે. ટોલેમીનું આહ્વાન કરીને, પાઝે ટબૂકડી કવિતાને વ્યાપક ઐતિહાસિક અને દાર્શનિક સંદર્ભમાં રજૂ કરી બતાવી છે. બ્રહ્માંડમાં પોતાનું સ્થાન શું છે એ સમજવાની કોશિશ મનુષ્ય અનાદિકાળથી કરતો આવ્યો છે. માનવી સમજે છે કે વિશાળ સૃષ્ટિના ઉપલક્ષમાં સ્વયંનું સ્થાન ક્ષણભંગુર ટપકાંથી વિશેષ કશું જ નથી. કવિતા અસ્તિત્વવાદ અને અર્થની શોધના વિષયોને સ્પર્શે છે. વક્તા માનવીય સમજણની મર્યાદાઓને સ્વીકારે છે પરંતુ એમ વિચારીને આશ્વાસન મેળવે છે કે એક પોતે એક વિશાળ યોજનાનો જ એક અવિભાજ્ય ભાગ છે, ભલે એ તેને સંપૂર્ણ રીતે સમજી ન શકે. જીવન અને બ્રહ્માંડ વચ્ચેનું આ પરસ્પર જોડાણ –ભાઈચારો- જ આ કવિતાનો કેન્દ્રસ્થ વિચાર છે.

Brotherhood

Homage to Claudius Ptolemy

I am a man: little do I last
I am a man: I last but a moment
and the night is immense.
But I look up:
the stars are writing.
Without understanding, I comprehend:
I am also a script
and at this very moment
someone is spelling me out.

– Octavio Paz (Spanish)
(Eng. Trans.: AI – Chat GPT)

HERMANDAD

Homenaje a Claudio Ptolomeo

Soy hombre: duro poco
y es enorme la noche.
Pero miro hacia arriba:
las estrellas escriben.
Sin entender comprendo:
también soy escritura
y en este mismo instante
alguien me deletrea.

– Octavio Paz (Spanish)

Comments (2)

હીંચકો – મનીષા જોશી

આજે તો બગીચાની
લીલીછમ લોન પર ચાલવાનું
૫ણું નથી ગમતું.
ચમેલીની વેલ પાસેથી ૫સાર થતાં
એની સુગંધ નાકને અડી જાય છે
૫ણ ત્યાંયે વધુ વાર ઊભવું નથી ગમતું.
બેન્ચ પર બેસીને
સમયને મારતા બે નિવૃત્ત વૃદ્ધો
અને એક ખૂણો શોધી લઈ
ગુફતેગૂ કરતા બે પ્રેમીઓ વચ્ચે પણે
ધ્યાન આકર્ષિત કરે છે
તો એકમાત્ર હીંચકો!
પેલી છોકરીના ઊતરી ગયા પછી પણ
ચિચાટિયા અવાજે
ખાલી ખાલી હાલ્યા કરતો એ હીંચકો!
અને હું,
અચાનક જ દોડી જઈને
અત્યંત ઉશ્કેરાટથી
એને હાથથી અટકાવી દઉં છું.

– મનીષા જોશી

હીંચકો પ્રતીક છે અસ્થિર માનસિકતાનું… સતત ગતિમાં રહેવા છતાંય હીંચકો હોય ત્યાંથી આગળ પણ વધી શકતો નથી ને પાછળ પણ જઈ શકતો નથી. હીંચકાનું પ્રતીક લઈને કવયિત્રીએ આવી જ મનોદશા બહુ સ-રસ રીતે અહીં આલેખી છે. કોઈક કારણોસર કાવ્યનાયિકા આજે વ્યથિત છે. ‘આજે તો’થી કવિતાનો ઉપાડ થાય છે, એના પરથી ખ્યાલ આવે છે કે જે ક્રિયાઓની અહીં વાત છે એ રોજબરોજની ક્રિયાઓ છે, પણ આજે હૈયું વ્યગ્ર હોવાના કારણે નથી લોન પર ચાલવાનું મન થતું, કે નથી સુગંધ માણવા ઊભા રહેવાનું મન થતું. નિવૃત્ત વૃદ્ધો કે પ્રવૃત્ત પ્રેમીઓ પણ આજે નાયિકાનું ધ્યાન આકર્ષી શકતા નથી. કોઈક છોકરીના ઉતરી ગયા પછી પણ હીંચકો ચિચાટિયા અવાજે હજીયે ખાલી ખાલી હાલ્યા કરે છે એ નાયિકાને વધુ વિહ્વળ કરે છે. હીંચકો પોતાની જ અસ્થિર માનસિકતાને પ્રતિબિંબિત કરતો હોવાથી નાયિકા એને આજે ખમી શકતી નથી. અચાનક દોડી જઈને અત્યંત ઉશ્કેરાટથી એ એને હાથથી અટકાવી દે છે. ‘અચાનક’ ‘અત્યંત’ અને ‘ઉશ્કેરાટ’ – આ ત્રણ શબ્દોના કારણે કાવ્ય વધુ અસરદાર બન્યું છે.

Comments (9)

કવિતાનો પરિચય – બિલી કોલિન્સ (અનુ.: વિવેક મનહર ટેલર)

હું એમને કહું છું કે એક કવિતા લો
અને એને પ્રકાશ સામે ધરો
રંગીન કાચના ટુકડાની જેમ

અથવા એના છત્તા સાથે કાન માંડી જુઓ.

હું કહું છું કે એક ઉંદરને કવિતામાં નાંખી દો
અને એ કઈ રીતે બહાર આવે છે એ નિહાળતા રહો,

અથવા કવિતાના ઓરડામાં પ્રવેશ કરો
અને બત્તીની ચાંપ શોધવા માટે દીવાલોને ફંફોસો.

હું ઇચ્છું છું કે તેઓ કવિતાની સપાટી ઉપર
વોટર સ્કી કરતાં કરતાં
કિનારા પરના લેખકના નામ તરફ હાથ લહેરાવે.

પરંતુ તેઓ તો બસ આ જ ઇચ્છે છે
કે કવિતાને એક દોરી વડે ખુરશી સાથે બાંધી દેવામાં આવે
અને એને યાતના આપવામાં આવે કબૂલાત કઢાવવા માટે.

તેઓ એને ચાબુક વડે પીટવા માંડે છે
એ શોધવા માટે કે હકીકતમાં એનો અર્થ શો છે.

– બિલી કોલિન્સ
(અનુ.: વિવેક મનહર ટેલર)

કવિતામાંથી અર્થ કાઢવાની કવાયત તો પરાપૂર્વથી ચાલતી આવી છે અને ચાલુ જ રહેવાની છે. મારીમચડીને કવિતામાંથી અર્થ કાઢી તો લઈએ, પણ શું એ અર્થ જ કવિ કે કવિતાનું ખરું લક્ષ્ય હશે એમ કહી શકાય ખરું? કવિતા ઉપર બળાત્કાર કરવાના બદલે કવિતાનો વિશુદ્ધ આનંદ લેતા શીખીએ એ કદાચ વધુ યોગ્ય ન કહેવાય? હકીકતમાં, કવિતામાં અર્થ કરતાં અનુભૂતિનું મહત્ત્વ વધારે છે. ભાષા કરતાં ભાવ વધુ અગત્યનો છે. શબ્દ અર્થનું વાહન બની રહેવાના બદલે કવિહૃદયના સંવેદન ભાવક સાથે સહિયારવાનું ઉપાદાન બની રહે ત્યારે ખરો કાવ્યાનંદ પ્રાપ્ત થાય અને કવિકર્મ સાર્થક થયું ગણાય. બિલી કોલિન્સની આ કવિતા અદભુત પ્રતીકોની મદદથી આપણને આ વાત સફળતાપૂર્વક સમજાવે છે. આ સંદર્ભમાં આ સાથે રાવજી પટેલની “ઠાગા ઠૈયા” કવિતા પણ અવશ્ય વાંચવી જોઈએ.

Introduction to Poetry

I ask them to take a poem
and hold it up to the light
like a color slide

or press an ear against its hive.

I say drop a mouse into a poem
and watch him probe his way out,

or walk inside the poem’s room
and feel the walls for a light switch.

I want them to waterski
across the surface of a poem
waving at the author’s name on the shore.

But all they want to do
is tie the poem to a chair with rope
and torture a confession out of it.

They begin beating it with a hose
to find out what it really means.

– Billy Collins

Comments (8)

દરવાજો – મિરોસ્લાફ હોલુપ (અનુ.: વિવેક મનહર ટેલર)

જાઓ અને દરવાજો ઉઘાડો.
કદાચ બહાર કંઈ હોય
એક ઝાડ, અથવા એક જંગલ,
એક બગીચો
અથવા કોઈ જાદુઈ નગરી.

જાઓ અને દરવાજો ઉઘાડો.
કદાચ કોઈ કૂતરો ખાંખાખોળા કરતો હોય.
કદાચ તમને કોઈ ચહેરો દેખાય,
અથવા એક આંખ,
અથવા કોઈ ચિત્રનું
ચિત્ર.

જાઓ અને દરવાજો ઉઘાડો.
જો બહાર ધુમ્મ્સ હશે
તો એ વિખેરાઈ જશે.

જાઓ અને દરવાજો ઉઘાડો.
ભલે ત્યાં કેવળ અંધકાર જ
ટિક ટિક કેમ ન કરતો હોય,
ભલે બહાર કેવળ
ખોખલો પવન જ હોય,
ભલે
બહાર
કંઈ જ ન હોય, તો પણ
જાઓ અને દરવાજો ઉઘાડો.

કમ સે કમ
બહાર
ઠંડી હવાનું એક ઝોકું તો હશે.

– મિરોસ્લાફ હોલુપ
(અનુ.: વિવેક મનહર ટેલર)

*

પ્રયાસો, નિષ્ઠા અને દિશા ખોટાં ન હોય તો જીવનના કોઈપણ કૂટપ્રશ્નનો ઉત્તર મળ્યા વિના રહેતો નથી. ઘણીવાર તો દરવાજો આપણી નજરની સામે જ હોય છે, આગળ વધીને એને ઉઘાડવાનો જ હોય છે! હા, દરવાજો ખોલતાં સામે શું સાંપડશે એ રહસ્ય વિધાતાની મુઠ્ઠીમાં બંધ હોય છે. પણ દરવાજો ખોલ્યા વિના તો એને નહીં જ પમાય, ખરું ને? ચાલો, આજે સાથે મળીને કવિતાનો દરવાજો ઉઘાડીએ.

રચનાના વિશદ આસ્વાદ માટે અહીં ક્લિક કરો.

*

The Door

Go and open the door.
Maybe outside there’s
a tree, or a wood,
a garden,
or a magic city.

Go and open the door.
Maybe a dog’s rummaging.
Maybe you’ll see a face,
or an eye,
or the picture
of a picture.

Go and open the door.
If there’s a fog
it will clear.

Go and open the door.
Even if there’s only
the darkness ticking,
even if there’s only
the hollow wind,
even if
nothing
is there,
go and open the door.

At least
there’ll be
a draught.

– Miroslav Holub

Comments (9)

ખરી છે વાંસની પાંદડી! – પ્રદીપ સંઘવી

વાંસની પાંદડી ખરી પડી,ખુશ છે.
ઊડી, ખુશ છે.
કરોળિયાના જાળામાં ફસાણી,
ત્યાં યે નાચે છે.
કરોળિયાએ પાસે આવી,સૂંઘી,
ફેંકી દીધી.ખુશ છે.
ધૂળમાં આળોટે છે,ખુશ.
વાંસની પાંદડી ખરી પડી,
ખરી છે વાંસની પાંદડી!

– પ્રદીપ સંઘવી

આસ્વાદ : ઉદયન ઠક્કરની કલમે –

વાંસની પાંદડીનું આયુષ્ય અલ્પ હોય, માત્ર એક વર્ષ. કવિ કલ્પે છે કે તે પ્રત્યેક સ્થિતિમાં રાજી રહે છે. ખરે,ઊડે, ફસાય, ફેંકાય,આળેટે, તોય ખુશની ખુશ.વાંસની પાંદડીના પ્રતીક વડે કવિ સૂચન કરે છે કે આપણે સદા ય હસતા રહેવું જોઈએ. એ ખરું કે કરોળિયાના જાળામાં ફસાયેલી પાંદડી નાચતી લાગે, આનંદમાં છે તેમ કલ્પી શકાય. પણ ખરતી, ફેંકાતી કે આળોટતી વખતે પાંદડી ખુશ છે કે નહિ, તે આપણે જાણી ન શકીએ. કવિ તેની ઉપર આનંદના ભાવનું જાણે કે આરોપણ કરે છે. બહુ બહુ તો એમ કહી શકાય કે વાંસની પાંદડી ખરવાની વેળા આવે ત્યાં સુધી લીલીની લીલી રહે છે, ફિક્કી-પીળી પડતી નથી, માટે જાણે ખુશ રહે છે.

ગિજુભાઈની બાળવાર્તાઓ કોણે ન સાંભળી હોય? આનંદી કાગડાને રાજા સાથે વાંકું પડ્યું. રાજાએ શિક્ષા કરી, ‘ઊકળતા તેલમાં નાખો!’ કાગડો હરખાઈને ગાવા માંડ્યો, ‘તેલમાં ડૂબકાં ખાઈએ છીએ,ભાઈ ખાઈએ છીએ!’ રાજા કહે, ‘એમ નહિ માને, કાનમાં કાણાં પાડો!’ પેલો ખુશ થઈ ગાતો રહ્યો, ‘કૂણા કાન વિંધાવીએ છીએ,ભાઈ વિંધાવીએ છીએ!’ કંટાળીને રાજાએ આનંદી કાગડાને ઉડાડી મૂક્યો. સદા પ્રસન્નચિત્ત રહેવું સહેલું નથી, માટે કવિના મુખેથી ઉદ્ ગાર સરી પડે છે, ‘ખરી છે વાંસની પાંદડી!’ અહીં ‘ખરી છે’ પદ વડે શ્લેષ કરાયો છે.

-ઉદયન ઠક્કર

Comments (2)

બીજરેખા – જયદેવ શુક્લ

દરિયો
હમણાં જ હણહણ્યો.
ખડક સાથે
અથડાઈ
ભૂરો કાચ
ચૂરેચૂરા.
દૂર ઊભેલાં વહાણ
મેઘધનુષી વાછંટથી
ઉભરાય.
ખૂલી ગઈ બારી.
ખારી હવા ને દરિયો
વીંઝાયાં.
બીજરેખા
હલેસા વિના
તરતી રહી
ભરપૂર!

– જયદેવ શુક્લ

ક્યારેક કવિતા વિશેષ કશું ન કરતાં કોરા કેનવાસ ઉપર બે-ચાર લિસોટાની મદદથી સરસ મજાનું ચિત્ર દોરી આપે છે. વધુમાં વધુ છ જ શબ્દોથી બનેલ છ જ વાક્યોની મદદથી કવિએ અદભુત ચિત્ર દોરી બતાવ્યું છે. દરિયાના મોજાંના અવાજને હણહણાટ સાથે સાંકળીને કવિએ દરિયાને વેગ અને તોફાન બંને સાથે સાંકળી લીધો. કવિતાપ્રેમીઓના સ્મરણપટ ઉપર આ ઉપમા વાંચીને શ્રીધરાણીનું અમર સોનેટ ‘ભરતી’ તરવરી આવી શકે. ભૂરો દરિયો કાંઠાના ખડક પર અથડાઈને ફીણફીણ થઈ જાય એમાં કવિને ભૂરો કાચ ચૂરેચૂરા થતો દેખાય છે. બંધ બારી ખૂલી ગઈ એ વાતમાંથી અનેક અર્થાધ્યાસ સાંપડી શકે. નાની અમથી બારી સમગ્ર પ્રકૃતિ સાથે કથકને સાંકળી લેતું માધ્યમ બની રહે છે. આમ તો ઊડતી વાછંટને લઈને રચાતું મેઘધનુષ સૂર્યની હાજરી વિના સંભવ નથી, પણ એબ્સ્ટ્રેક્ટ ચિત્રની જેમ જ પોએટિક લિબર્ટી ક્યારેક સમયના બે ભિન્ન બિંદુઓને પણ એક સાથે સીવી દેવાનું નિમિત્ત બની શકે. બારીમાંથી દરિયો અને વિશાળ આકાશ બંને રાતના અંધારામાં એકાકાર થયેલા દેખાતા હોવાથી બીજનો ચાંદ હલેસા વિના એ કેનવાસમાં તરતો હોવાની પ્રતીતિ થાય છે. દરિયાના ચૂરેચૂરા થવાની સાપેક્ષે બીજરેખાનું ભરપૂર તરવાનો વિરોધાભાસ સમૂચા ચિત્રને વધુ આસ્વાદ્ય બનાવે છે.

જોગાનુજોગ આજે કવિની વર્ષગાંઠ પણ છે. કવિને લયસ્તરો તરફથી અઢળક મબલખ સ્નેહકામનાઓ…

Comments (4)

તો વાત આમ છે – નાઝમ હિકમેત (તુર્કી) (અનુ: નંદિતા મુની)

આગળ વધતા ઉજાસમાં ઊભો છું
ક્ષુધાભર્યા છે હાથ મારા, ને આ સૃષ્ટિ સૌંદર્યભરી.

વૃક્ષો નિહાળીને ધરાતી જ નથી‌ મારી આંખો-
કેટલાં આશાભર્યાં, કેવાં લીલાં!

શેતૂરનાં વૃક્ષો વચ્ચેથી પસાર થાય છે એક તડકાભર્યો રસ્તો,
ને હું જેલના દવાખાનાની બારીએ છું.

દવાની વાસ નથી આવતી મને-
નક્કી આસપાસમાં ફૂલ ખીલ્યાં હશે.

તો વાત આમ છે:
કોઇ કેદ કરી લે એ વાત મહત્વની નથી,
મહત્વ એ વાતનું છે કે તમે શરણ નથી થયા.

– નાઝમ હિકમેત (તુર્કી) (Turkish: [naːˈzɯm hicˈmet]
(અંગ્રેજી પરથી ગુજ. અનુ: નંદિતા મુની)

*

1938ની સાલમાં તુર્કી આર્મી વોર અકાદમીના વિદ્યાર્થીઓમાં અપપ્રચાર કરવાના આરોપસર કવિને યુદ્ધ અકાદમી અને નૌસેના તરફથી પંદર વત્તા વીસ –એમ કુલ પાંત્રીસ વરસની કેદ કરવામાં આવી હતી. પણ 1950માં ડેમોક્રેટ પાર્ટી સત્તામાં આવ્યા બાદ બુદ્ધિજીવીઓના આંદોલન અને કવિની ભૂખ હડતાળ સામે નમતું મૂકીને કવિને મુક્ત કરવામાં આવ્યા. તેર વરસના આ કારાવાસ દરમિયાન કવિએ જે રચનાઓ કરી હતી, એમાંની આ એક રચના છે.

કારાવાસની અંદર રચાયેલ આ કવિતામાં પહેલી પંક્તિમાં જ કવિએ ઘણું બધું કહી નાંખ્યું છે. શરૂઆત ‘આઇ’થી થાય છે. છત્રીસ વર્ષની વયે પાંત્રીસ વર્ષની કેદ થઈ હોય તોય ‘હું’ અડીખમ રહી શક્યો છે એ કવિના મજબૂત મનોબળની નિશાની છે. બીજો શબ્દ છે ‘સ્ટેન્ડ.’ એય કવિના અણનમ જુસ્સાને અધોરેખિત કરી આપે છે. કવિ આગળ વધતા ઉજાસમાં ઊભા છે. ઊભા છે, તૂટી નથી પડ્યા, મતલબ પ્રકાશની જેમ આગળ વધવાની આશા પણ કવિની જોડાજોડ હજી અણનમ ઊભી છે. કવિ જેલખાનાની બારીએ ઊભા છે અને બહારની ખૂબસૂરત દુનિયા તરફ એમના ભૂખ્યા હાથ લંબાયેલા છે. આ ભૂખ સૃષ્ટિના સૌંદર્યને પામવાની છે, આશાભર્યાં લીલાં વૃક્ષોને આંખોમાં ભરવાની છે. ’કેટલાં આશાભર્યા’ શબ્દપ્રયોગ પણ કવિતાની પાર્શ્વભૂમાં ધ્યાનાર્હ બને છે. જેલના દવાખાનાની બારી જેટલી નાનકડી જગ્યાથી સમગ્ર સૃષ્ટિ સાથે અનુસંધાન અનુભવતા કવિને દવાની વાસ પણ આવતી નથી, બલકે ફૂલોની ખુશબૂ અનુભવાય છે. મતલબ, કારાવાસના અત્યાચારો એમના સુધી પહોંચતા જ નથી, એમને કોઈ અસર કરી શકતા નથી. છેલ્લી બે પંક્તિ તો સૉનેટમાં આવતી ચોટ જેવી બળકટ થઈ છે.

*

It’s This Way

I stand in the advancing light,
my hands hungry, the world beautiful.

My eyes can’t get enough of the trees–
they’re so hopeful, so green.

A sunny road runs through the mulberries,
I’m at the window of the prison infirmary.

I can’t smell the medicines–
carnations must be blooming nearby.

It’s this way:
being captured is beside the point,
the point is not to surrender.

– Nazim Hikmet
(Eng. Trans. by Randy Blasing and Mutlu Konuk (1993))

Comments (5)

(जानना) – विनोद कुमार शुक्ल

हताशा से एक व्यक्ति बैठ गया था
व्यक्ति को मैं नहीं जानता था
हताशा को जानता था

इसलिए मैं उस व्यक्ति के पास गया
मैंने हाथ बढ़ाया
मेरा हाथ पकड़कर वह खड़ा हुआ
मुझे वह नहीं जानता था
मेरे हाथ बढ़ाने को जानता था

हम दोनों साथ चले
दोनों एक दूसरे को नहीं जानते थे
साथ चलने को जानते थे।

– विनोद कुमार शुक्ल

અનુવાદની આવશ્યક્તા ન હોવાથી મૂળ કવિતા જ રજૂ કરું છું. સારી કવિતા જટિલ શબ્દાડંબરની જરાય મહોતાજ હોતી નથી. સીધી દિલથી નીકળેલી વાત યથાતથ બીજા દિલ સુધી પહોંચાડી શકે એ સાચી કવિતા. અનુવાદ તો અપ્રસ્તુત જણાય જ છે, પિષ્ટપેષણ પણ બિલકુલ અનાવશ્યક લાગે છે. પણ એટલું જરૂર કહીશ કે આ રચના એકવાર વાંચીને આગળ વધી જવાને બદલે ત્રણ-ચારવાર એમાંથી પસાર જરૂર થજો અને પછી મને કહેજો કે કેવું લાગ્યું!

Comments (7)

બાળક યાદ કરે છે – અગ્નિશેખર (હિન્દી) (અનુ. સિતાંશુ યશશ્ચન્દ્ર)

શું થયું હતું એ બાવરી બાવરી હવામાં
આપણા પરિવારનું, બાપુ!
આખું ગામ કેવું ડરી ગયું હતું,
નદી પણ ભાગી ગઈ હતી
રામભરોસે છોડીને ચિનારનાં ઝાડને.

શેરીઓમાં હજારો કાગડાઓનું બુમરાણ મચ્યું હતું
ને આપણે હતાં
છાપરા વગરના ઘરમાં.
કોઈ વેલી પર બચેલા
લીલી દ્રાક્ષના આખરી ઝૂમખા જેવાં.

રોતી’તી મા,
રોતી’તી દાદી,
નાનકો પણ રોતો’તો,
રોતી’તી કાકી,
ને તમે હાથ જોડીને બધાંને ચૂપ રહેવા કહેતા’તા

દીવા બધા ઓલવી નખાયા હતા,
ચુપકીદી છવાઈ ગઈ હતી,
ગલીઓમાં જાણે કોઈ ખૂબ બધા ફટાકડા ફોડતું હોય
એવા અવાજો આવતા હતા, ત્યારે.

બાપુ, ગઈ કાલે “દૂરદર્શન’ પર બતાડતા હતા
કાશ્મીરને!
બરફભર્યા પહાડો, સરોવરો, ઝરણાં, લીલાંછમ મેદાનો…

ત્યારે, મને થયું, કે આપણે,
પીળાં પાંદડાં છીએ, ઝાડુના એક ઝાટકે
ઉસેટાઈ ગયેલાં,
ઠલવાયેલાં આ કૅમ્પોમાં.

બાપુ, અહીંથી પણ આપણને
ઉડાવી લઈ જશે હવા?

– અગ્નિશેખર (હિન્દી)
(અનુ. સિતાંશુ યશશ્ચન્દ્ર)

કેટલીક રચનાઓ આસ્વાદની મહોતાજ હોતી નથી. આ કવિતા શેના વિશેની છે અને શું કહી રહી છે એવું કશું અલગથી કહેવાની જરૂર જણાય છે? કવિતાના શબ્દ-શબ્દેથી જે પીડા નીંગળે છે એ આપણને ઘાયલ ન કરી જાય તો જ નવાઈ…

Comments (9)

(સ્વીકાર) – ગૌતમ બુદ્ધ

હું તમને કહું છું તે ભૂતકાળમાં કહેવાયું હતું તે કારણે માનશો નહીં;
પરંપરાથી ઊતરી આવ્યું છે તે કારણે માનશો નહીં;
આમ જ હોય એવું માનીને તેનો સ્વીકાર કરશો નહીં;
પવિત્ર ધર્મગ્રંથોમાં છે તેથી તેને માનશો નહીં;
અનુમાનથી તે પુરવાર કરી શકાય છે તેથી તેને માનશો નહીં;
એમાં વ્યવહારુ ડહાપણ છે એવું માનીને સ્વીકારશો નહીં;
એ સંભવિત લાગે છે તેથી તેને સ્વીકારશો નહીં;
પ્રખ્યાત અને પવિત્ર સાધુએ કહ્યું છે તેથી તેને માનશો નહીં;
પરંતુ તે જો તમારા વિવેકને અને અંતરાત્માને સુખકર અને શ્રેયસ્કર લાગતું હોય
તો જ તેનો સ્વીકાર કરજો અને તેને લાયક બનજો.

– ગૌતમ બુદ્ધ

ગાંધીજીમા ‘હિંદુ ધર્મનું હાર્દ’ પુસ્તક (સંપાદક: વિશ્વાસ બા. ખેર)માંથી આ લખાણ મળી આવ્યું. આમ તો લયસ્તરો પર કવિતા સિવાયની પોસ્ટ ભાગ્યે જ મૂકીએ છીએ પણ આપણે ત્યાં તો પરાપૂર્વથી ગદ્ય અને પદ્ય –ઉભયને કાવ્ય તરીકે સ્વીકૃતિ સાંપડી છે. काव्यं गद्यं पद्यं च तद्विधा। (ભામહ) પ્રસ્તુત લખાણ કોઈ સમજૂતિનું મહોતાજ નથી. આમેય બુદ્ધે પોતાની વાત હંમેશા સરળતમ શબ્દોમાં જ કહી છે. આવી એકાદ વાત જીવનમાં ઉતરે તો જીવન નંદનવન બને.

Comments (6)

સાંત્વના – ક્લેરિસા સ્કૉટ ડેલેની (અનુ.: વિવેક મનહર ટેલર)

મારી બારી બહાર ઝાડી તરફ ખુલે છે
અને ડાળીઓ તથા આકાશથી બનેલી
એ નાનકડી જગ્યામાંથી
હું જોઉં છું કે પસાર થતી ઋતુઓ
કોમળ હરિયાળીને ગાઢા ભરાવદાર પાંદડાઓ માટે
માર્ગ પ્રશસ્ત કરતી નીરખે છે.
શરદ ઋતુનો ખરો મહિમા ત્યારે પ્રકટ થાય છે
જ્યારે સૌમ્ય તડકામાં તરબોળ
નાજુક, સોનેરી પાંદડાઓ
નિરભ્ર ભૂરા આકાશની પશ્ચાદ્ભૂ સામે
બપોરના જાદુ સામે ટકી રહે છે
અને પછી અનિચ્છાએ તૂટી જાય છે
અને શેરીને સોનાથી મઢી દેવા માટે
બધે પથરાઈ વળે છે.
પછી ઉઘાડી, ભૂખરી શાખાઓ
ડિસેમ્બરના ઠંડા આકાશની સામે
સ્વયંને ઊંચે ઊઠાવે છે
ક્યારેક ગુલાબ અને સમીસાંજના આથમતા ઓળામાં
એક જાળ ગૂંથતી તો
ક્યારેક એ ગાઢા ભૂરા આકાશ પર સવાર થતા
નૂતન શીર્ણ ચંદ્ર
અને તેજસ્વી તારા સામે,
જે ભારઝલ્લી રાત ઊતરી આવે, અથવા તારાઓ
આકાશને ભૂરકીથી ભરી દે એ પહેલાં દૃષ્ટિગોચર થવા માંડે છે.
હવાઓ આ વૃક્ષો સાથે ટકરાય છે;
વસંતનો ઠંડો, પરંતુ હળવો વરસાદ
એમને મૃદુતાથી સ્પર્શે છે;
ઉનાળાની ઝડીઓ
એમને પ્રકોપિત કરવાના
અને એમને તોડી નાંખવાના પ્રયાસો કરે છે-
પરંતુ તેઓ અડીખમ ઊભાં રહે છે.
મારી જિંદગી વિહ્વળ છે
અને એક બેચેની, ક્યારેક ક્યારેક
એક પીડા- ફરીથી એક અસ્પષ્ટ
અને ચોંકાવનાર અસંતોષ
મારા પર હાવી થઈ જાય છે.
હું આભારી છું મારા હિસ્સાના આકાશ
અને વૃક્ષો માટે, અને ઋતુઓના
બદલાતા તમાશા માટે.
આવી સુંદરતાથી હૃદય પર છવાઈ જાય છે
એક શાતા.
આ પ્રકારના શાશ્વત પરિવર્તન અને સ્થાયીતા
તમામ ઉથલપાથલમાંથી એક અર્થ ગ્રહણ કરે છે
અને રહી જાય છે કેવળ શાંતતા
જે કોઈ પીડાને જાણતી નથી.

– ક્લેરિસા સ્કૉટ ડેલેની
(અનુ.: વિવેક મનહર ટેલર)

વિકાસની કાતર વડે શહેરોએ મનુષ્યોને પ્રકૃતિ સાથે જોડતી નાળ કાપી નાંખી છે. જીવનની આપાધાપી અને ઉથલપાથલો વચ્ચે શાંતિ અને સુખ પ્રાપ્ત કરવાનો એકમેવ ઉપાય છે પ્રકૃતિ સાથેની કપાઈ ગયેલી ગર્ભનાળ સાથે પુનર્સંધાન કરવું. કુદરતની કિતાબમાં જીવનના તમામ રહસ્યો અને એનો ઉકેલ લખેલો જ છે, એને વાંચતા શીખી લે એ જ બુદ્ધત્વ પામી શકે. સોએક વર્ષ પહેલાં માત્ર ચાર જ કવિતા લખીને છવ્વીસ વર્ષની વયે આ દુનિયાને બાય-બાય કરી જનાર કવયિત્રીની એક રચના આજની ગ્લૉબલ કવિતામાં આસ્વાદીએ…

રચનાનો વિશદ આસ્વાદ માણવા અહીં ક્લિક કરશો.

Solace

My window opens out into the trees
And in that small space
Of branches and of sky
I see the seasons pass
Behold the tender green
Give way to darker heavier leaves.
The glory of the autumn comes
When steeped in mellow sunlight
The fragile, golden leaves
Against a clear blue sky
Linger in the magic of the afternoon
And then reluctantly break off
And filter down to pave
A street with gold.
Then bare, gray branches
Lift themselves against the
Cold December sky
Sometimes weaving a web
Across the rose and dusk of late sunset
Sometimes against a frail new moon
And one bright star riding
A sky of that dark, living blue
Which comes before the heaviness
Of night descends, or the stars
Have powdered the heavens.
Winds beat against these trees;
The cold, but gentle rain of spring
Touches them lightly
The summer torrents strive
To lash them into a fury
And seek to break them—
But they stand.
My life is fevered
And a restlessness at times
An agony—again a vague
And baffling discontent
Possesses me.
I am thankful for my bit of sky
And trees, and for the shifting
Pageant of the seasons.
Such beauty lays upon the heart
A quiet.
Such eternal change and permanence
Take meaning from all turmoil
And leave serenity
Which knows no pain.

– Clarissa Scott Delany

Comments

મૃત્યુ આજે મારી સન્મુખ છે – અજ્ઞાત (ઇજિપ્ત) (અનુ.: વિવેક મનહર ટેલર)

મૃત્યુ આજે મારી સન્મુખ છે
જે રીતે બિમાર માણસ સાજો થાય,
જે રીતે લાંબી પથારી બાદ બહાર જવા મળે.

મૃત્યુ આજે મારી સન્મુખ છે
જાણે કે હીરાબોળની સુગંધ,
જાણે કે હવાદાર દિવસે સઢ નીચે બેસવું.

મૃત્યુ આજે મારી સન્મુખ છે
જેમ કે કમળની સુગંધ,
જેમ કે નશાના કિનારે બેસવું.

મૃત્યુ આજે મારી સન્મુખ છે
એમ જાણે કે એક બહુખેડી કેડી,
એમ જાણે કે યુદ્ધથી ઘર પરત ફરતો માણસ.

મૃત્યુ આજે મારી સન્મુખ છે
જેમ આકાશ અનભ્ર થાય,
જેમ કે જ્યારે એક માણસને ખબર પડે કે એણે શું અવગણ્યું હતું.

મૃત્યુ આજે મારી સન્મુખ છે
એમ જેમ વરસોવરસ કેદમાં સબડ્યા પછી
ઘર જોવા તરસતો માણસ.

– અજ્ઞાત (ઇજિપ્શન)
અંગ્રેજી અનુ.: મિરિઅમ લિચથાઇમ
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)

આજે એક એવી કવિતાની વાત કરવી છે જેની અને આપની વચ્ચે એક તરફ ચાર હજાર વરસનું અંતર છે અને બીજી તરફ ચાર હજાર કિલોમીટરનું… ઇજિપ્તના કોઈ ખૂણામાં વસતા કોઈક માણસે ૪૦૦૦ વર્ષ પહેલાં લખેલી આ કવિતા આજે પણ એવી તરોતાજા લાગે છે, જાણે આજે સવારે જ ન લખાઈ હોય! ચાર હજાર વર્ષ પહેલાંની આ રચના આડકતરી રીતે આપણને એ પણ સમજાવે છે કે મનુષ્યનો સ્વભાવ શરૂથી જ ચિંતનાત્મક રહ્યો છે. જીવન અને મૃત્યુ વિશે મનુષ્ય અનાદિકાળથી વિચારતો આવ્યો છે.

રચનાનો વિશદ આસ્વાદ આપ અહીં માણી શકશો.

Death is before me today

Death is before me today
Like a sick man’s recovery,
Like going outdoors after confinement.

Death is before me today
Like the fragrance of myrrh,
Like sitting under sail on breeze day.

Death is before me today
Like the fragrance of lotus.
Like sitting on the shore of drunkenness.

Death is before me today
Like a well-trodden way,
Like a man’s coming home from warfare.

Death is before me today
Like the clearing of the sky.
As when a man discovers what he ignored.

Death is before me today
Like a man’s longing to see his home
When he has spent many years in captivity.

– Miriam Lichtheim
(Translation from Egyptian to English)

Comments (1)

ગોઝારી વાવ – મનીષા જોષી

હાં, હાં, એ માણસ જીવે છે હજી, એના ઘ૨માં, સુખેથી.
પણ મરી ગયો છે એ મારા માટે.
અને એટલે જ હું રોજ એના નવા નવા
મૃત્યુની કલ્પના કરું છું.
રસ્તા પર ચાલતા ટ્રકનાં પૈડાં એના પર ફરી વળે છે
અને હું બાજુમાં શાંત રાહદારીની જેમ પસાર થતી હોઉં છું.
તો ક્યારેક એની લાશ રેલવેના પાટા વચ્ચે મળી આવે છે
અને હું એના મૃતદેહ ૫૨થી પસાર થતી ટ્રેનમાં
મુસાફરી કરતી હોઉં છું.
ક્યારેક હું મારી સાડીના પાલવને ગાંઠ મારતી હોઉં છું
અને એના ગળામાં ફાંસો હોય છે.
હું મંદિરમાં દીવા પ્રગટાવતી હોઉં છું
અને એનું આખું શરીર સળગતું હોય છે.
ક્યારેક એ કોઈ ગોઝારી વાવના તળિયે પડ્યો હોય છે
અને હું એ વાવમાંથી પાણી ભરતી હોઉં છું.

રોજ રાત્રે યમરાજ આવે છે
પેલા કાળમુખા પાડા પર બેસીને.
કરગરે છે, એને લઈ જવા માટે,
પણ હું એને રજા નથી આપતી.

– મનીષા જોષી

એકદમ સરળ અને સહજસાધ્ય ભાષામાં કવયિત્રીએ નારીવેદનાની પરાકાષ્ઠા અભૂતપૂર્વ રીતે આલેખી છે. કવિતા સ્ત્રી સર્જકે લખી છે, એટલે નારીવેદના શબ્દ વાપર્યો નથી, પણ પુરુષોના શબ્દકોશમાં આ પ્રકારની લાગણી ભાગ્યે જ છપાયેલી જોવા મળતી હોવાથી એ સમાસ સહેતુક પ્રયોજ્યો છે. બે જણ અલગ થઈ ગયા છે અને બંને પોતપોતાના ઘરમાં જીવે છે. પુરુષ એના ઘરમાં સુખેથી જીવે છે એ વાતને સુખેથી શબ્દને મૂલ વાક્યથી અલગ તારવીને સર્જકે સાયાસ અધોરેખિત કર્યો છે. પણ હવે એ પુરુષ નાયિકા માટે મૃત્યુ પામ્યો છે અને નાયિકા રોજેરોજ આ પુરુષના અલગ-અલગ પ્રકારના મૃત્યુની અને એ મૃત્યુ પરત્વેની પોતાની લાગણીશૂન્યતાની કલ્પનાઓ કરતી રહે છે. પુરુષ છેડો ફાડી લે પછી એ ‘સુખેથી’ રહેવા માંડે છે, પણ સ્ત્રી છેડો ફાડીનેય છેડો ફાડી શકતી નથી. પુરુષના નિતનવીન મૃત્યુઓની રોજેરોજ કલ્પના કરવી પડે છે, કારણ એ પુરુષને અને એના અત્યાચારોને આ જનમમાં કદાચ એક પળ માટેય ભૂલી શકે એમ નથી. કવિતાના ઉત્તરાર્ધમાં સાવિત્રીનું પ્રતિક પ્રયોજીને સર્જકે ઉમદા કવિતા સિદ્ધ કરી બતાવી છે. સાવિત્રી યમરાજ પાસેથી સત્યવાનને પરત લઈ આવી હતી, એથી બિલકુલ વિપરીત આધુનિક યુગની આ સાવિત્રી યમરાજને પુરુષને લઈ જવાની રજા આપતી નથી. યમરાજ પણ પુરુષ જ છે અને એમના માટે ‘કરગરવું’ ક્રિયાપદ વાપરીને કવયિત્રીએ કવિતાને વધુ ધાર કાઢી છે. પુરુષનું મૃત્યુ હકીકતમાં થઈ જાય તો રોજેરોજ એના મૃત્યુની કલ્પના કરવાથી બદલો લીધો હોવાનો જે સંતોષ મળે છે એનુંય મૃત્યુ ન થઈ જાય?

Comments (18)

હીંચકો, કૉફી અને હું – તુષાર શુક્લ

નવરાશ જ નવરાશ છે.
કૉફી સંગે ઝૂલવું, જમવું, ઝોકું ખાઈ લેવું,
પુનઃ કૉફી સંગે ઝૂલવું.
આખા ઘરમાં આ ગેલેરી ગમતો પ્રદેશ છે.
આમ ઘરમાં ને આમ બ્હાર.
ઓરડામાં જ રહેવાના સમયનું આકાશ સાથે અનુસંધાન રચે છે ગેલેરી.
ગમે છે મને અહીં.

અત્યારે તો બપોર છે.
પણ તડકે સારું લાગે છે.
વિચાર કરું છું કે
ગ્રીષ્મના આવા મધ્યાહ્ને આમ બેસાય કે?
કમાલ છે ને!
હું,
ઝૂલો,
ગેલેરી,
ઘડિયાળમાં સમય પણ એ જ,
ને આ સૂરજ મહાશય પણ એ જ હશે;
માત્ર કેલેન્ડરમાં મહિનો જૂદો,
ઋતુ જૂદી.
ને કેવું બધું બદલાઇ જાય છે!
હશે,
હાલ તો બેસાય છે તો બેસવું
તડકાનો નાનેરો ટુકડો ચગળું બેઠા બેઠા
કૉફી આવે ત્યાં સુધી.

– તુષાર શુક્લ

જરૂરી નથી કે અઘરા અઘરા શબ્દો અને વજનદાર પ્રતીકો વાપરીએ તો જ સારી કવિતા બને. સારી કવિતા તો ફકત લખાય છે દિલની જુબાનમાં. શહેરોએ વિકાસની કાતર વડે મનુષ્યોને પ્રકૃતિ સાથે જોડતી નાળ કાપી નાંખી છે. સિમેન્ટ-કૉંક્રિટના જંગલોની વચ્ચે ગેલેરી જ એક એવી ચીજ છે, જે કંઈક અંશે તો કંઈક અંશે પણ પ્રકૃતિ સાથે આપણું પુનઃસંધાન કરી આપે છે… જો કે જેમની અંદર થોડી સંવેદના બચી ગઈ છે, એવા લોકોના ઘરમાં જ ગેલેરી કપડાં સૂકવવા સિવાયના કામમાં પણ વપરાય છે. મકાનની ગેલેરીમાં મૂકેલા હીંચકા પર બેસીને એક કપ કૉફીની પ્રતીક્ષા શું કહી રહી છે એ સાંભળવા જેવું છે…. ગેલેરીમાં હીંચકે બેસી ઝૂલવું, કૉફી પીવું અને ઝોકું સુદ્ધાં ખાઈ લેવું કથકની મનગમતી પ્રવૃત્તિ છે, કારણ કે ગેલેરી જ આકાશ સાથેનું અને એ મિષે કુદરત સાથે તાદાત્મ્ય સાધવામાં નિમિત્ત બને છે. પણ કથકના વિચાર કેવળ હીંચકો, કૉફીઅને જાત પૂરતા સીમિત ન રહેતા ઋતુચક્ર સુધી પણ વિસ્તરે છે. બની શકે કે શિયાળાની બપોરે જે ગેલેરીમાં બેસી શકાય છે, એ જ ગેલેરીમાં ભરઉનાળે ન પણ બેસાય. બનવાજોગ છે, પણ ખરી કવિતા અત્યારે જે ક્ષણ સાંપડી છે એને પૂર્ણપણે જીવી લેવામાં છે. Carpe Diem નો નાદ સંભળાય છે?!

Comments (4)

વાત રંગની છે – ચંદન યાદવ

વાત કપડાંની નથી –
વાત રંગની છે

હું ઘણીવાર કપડાં ધોઉં છું
અમુક કપડામાંથી રંગ નીકળે છે
આપણે કહીએ છીએ કે
રંગ કાચો છે.

પણ એ રંગ સાથે રહેલા બીજા કપડામાં લાગી જાય છે
એવો કે સાલ્લો નીકળે જ નહીં
જાણે કે રંગને હવે એ નપાવટ મળ્યું
કે જેના પર એને લાગવું હતું.

રંગ કાચા નથી હોતા
આપણને જે કાચા લાગે છે
એમને સાચું પાત્ર નથી મળ્યું હોતું
કે જેના પર સરખું લાગી શકાય

વ્હેલા મોડા આપણને પણ પોતાનો રંગ મળશે
ને જ્યારે એ મળશે ત્યારે એ છૂટશે નહિ

– ચંદન યાદવ (ભાવાનુવાદ : યાજ્ઞિક વઘાસિયા)
(સૌજન્ય – ટહુકો.કોમ )

 

એટલી સ્પષ્ટ કવિતા છે કે અર્થ સીધો કાળજે ભોંકાય છે….

Comments

(મારો શાકવાળો) – ધીરુબહેન પટેલ

મારો શાકવાળો
ખરેખર બહુ સારો માણસ છે.
એ રોજ સવારે મને હસીને ‘જે શી ક્રષ્ણ’ કહે છે
મારો દિવસ સારો જાય એવી શુભેચ્છા પણ આપે છે.
પછી જ અમારી ભાવતાલની રકઝક શરૂ થાય.
ક્યારેક એના વટાણા સડેલા હોય
ને ટામેટાં વધારે પડતાં પાકી ગયેલાં –
એનાં ત્રાજવાંનાં કાટલાંનુંયે બહુ ઠેકાણું નથી હોતું.
પણ એ મને એના સંસારની વાતો કરે છે
અને મૃદુતાથી જાણી લે છે કે
મારું પણ બધું ઠીકઠાક ચાલે છે ને!
એના ચહેરામોહરા માટે કે
એની સુઘડ રીતભાત માટે જ
એ મને ગમે એવું નથી
એ મને ગમે છે કારણ કે
ભાવતાલની ભાંજગડમાં
હું હંમેશ એને હરાવી શકું છું
અને મારું પ્રત્યેક પ્રભાત
વિજયના સ્મિત સાથે શરૂ થાય છે.

– ધીરુબહેન પટેલ

ન બોલીને બોલે એ ખરી કવિતા. કવિતામાં કવિ ઘણીવાર જે લખ્યું હોય એ નહીં, પણ જે ન લખ્યું હોય એ કહેવા માંગતા હોય એમ બને. આપણને બે પંક્તિ વચ્ચેનો અવકાશ વાંચતા આવડવું જોઈએ. ‘કિચન પોએમ્સ’ ધીરુબહેનના દિવાનનો એક ખાસ હિસ્સો છે. પોતાના ઘરમાં દરેક મોરચે પરાજિત થતી કે પહેલા ક્રમ સિવાયના સ્થાનની જ હકદાર થતી ગૃહિણીને એનો રોજિંદો શાકવાળો શાકની ખરાબ ગુણવત્તા અને તોલમાપની બેઈમાની છતાં ગમે છે, કારણ કે એ એની સાથે સ્મિતથી વાતો પણ કરે છે અને ભાવતાલના યુદ્ધમાં હાર સ્વીકારવાનો દેખાવ પણ કરે છે. પોતાના પરિવારમાં બધું ઠીકઠાક જ ચાલે છે એવું કાછિયા સાથેની વાતચીતના સંદર્ભમાં કવયિત્રીએ કહ્યું તો છે, પણ શાકવાળા સાથેના સંબંધના નેપથ્યમાં બિટવીન ધ લાઇન્સ આપણને એનો ઘરસંસાર દીવા જેવો સાફ નજરે ચડે છે.

Comments (8)

નયનનાં મોતી : ૦૪ : કેન્ડલલાઈટ ડીનર – નયન દેસાઈ

*

અજવાળું એક અહેસાસ છે,
દોસ્તો ! એ ખાઈ શકાતું નથી.
મીણબત્તીનું અજવાળું એ કંઈ બેંક બૅલેન્સ નથી,
કે નથી ફ્લેટ કે નવી કારનું મૉડેલ,
એને વેચી કે વટાવી શકાતું નથી,
ખડખડતી ચમચીઓનો અવાજ મોટો ને મોટો થતો જાય છે.
કાળી ડિબાંગ રાત્રે જંગલમાં,
-મારા ગામના જંગલમાં વાગતા આદિવાસીના ઢોલની જેમ,
દોસ્તો ! હું ભૂલથી આવી ગયો છું અહીં
મને માફ કરો !
ફ્લડલાઈટ્સના આ ધોધમાર પ્રકાશમાં,
વહી નીકળ્યા છે બધા જ ચહેરા.
મેકઅપ – સ્માઈલ – સ્માર્ટ નેસવાળા ચહેરા,
વચ્ચે વચ્ચે અંગ્રેજી બોલતા ચહેરા.
દરેક આંખમાં પોતાનું જ એન્લાર્જડ પ્રતિબિંબ,
દરેક હાથ પર શેઈકહેન્ડની બોગનવેલિયા,
ક્યાં છે રોટલા ટીપીને રાહ જોતી એ આંખોનો ભાવ?
ક્યાં છે એક મુઠ્ઠી ભૂખને પંપાળતા હાથ ?
સાંજનું જાઝ વાગી રહ્યું છે,
એના ધ્રુજતા વર્તુળાતા ઘેન – ગુલાબી લયમાં
ગુલાબજાંબુની આછી ગંધ,
(વાડામાં ગુલાબનો છોડ મરી ગયો ત્યારે કેટલું રડ્યો હતો હું !)
સાંજ નસેનસમાં કોતરી રહી છે ઉન્માદના રાફડા
(નર્તકીની ઊછળતી છાતી પર સમુદ્રનો કોલાહલ)
અને સળગતા ડેફોડિલ્સના રંગ જેવાં કપડાંમાં સજ્જ
ભણેલગણેલ એટીકેટીવાળા પડછાયા,
ઊંચી ઓલાદના,
ગોઠવાય છે ચપોચપ ટેબલો પર
તૂટી પડે છે પડછાયાનાં હાથ, નાક, કાન આંખ,
ધીમે ધીમે સંભળાય છે ભગાના ઢોલનો
‘ધબ ધબ થ્રિબાન્ગ ધબ, થ્રિબાન્ગ ધબ’ નો અવાજ,
ગાડામાં ફણગી ઊઠેલ ગીત,
અડધા અડધા થઈ જતા માણસો,
સાચ્ચેસાચ્ચા માણસો –
જાનનો ઉતારો, નવી દોસ્તીના રંગ,
પણ બળદના ઘૂઘરાએ જાઝ નહીં,
એની વાત જુદી, એનો લય જુદો
ડ્રમ્સ એક સાથ બજી ઊઠે.
પછી બૉન્ગો,
પછી ઈલેક્ટ્રિક ગિટાર,
ને વચ્ચે વચ્ચે ફલ્યૂટની મુરકીભરકી મીઠાશ,
મીણબત્તી સાથે જ ઓગળી રહી છે સાંજ ધીમે ધીમે.
બધું જ ઓગળતું જાય છે,
દોસ્તો ! મીણબત્તીના ગઠ્ઠાનું પછી શું કરો છો ?

– નયન દેસાઈ

ગીત-ગઝલના સમ્રાટ નયનભાઈની કલમ ક્યારેક છંદોલયના બંધન ફગાવી આઝાદ નિર્બંધ કાવ્યવિહારે પણ નીકળે. જો કે એમના ખજાનામાં અછાંદસ કાવ્યો નહિવત્ માત્રામાં જ જોવા મળે છે.

એંસીના દાયકામાં પ્રગટ થયેલ સંગ્રહમાંનું આ કાવ્ય છે. આજની પેઢીને કેન્ડલ લાઇટ ડિનરની નવાઈ ન લાગે, પણ એ જમાનામાં આ વિચાર કેટલો નવતર લાગતો હશે એ કલ્પી શકાય. મીણબત્તીના ઉજાસથી કવિતાનો ઉઘાડ થાય છે. પહેલી પંક્તિથી જ નયનભાઈનો સંસ્પર્શ વર્તાય છે. કેન્ડલ લાઇટ ડીનર છે, પણ કેન્ડલ લાઇટનું ડીનર નથી એટલે આ નામકરણ પર હળવો કટાક્ષ કરતા હોય એમ કવિ મીણબત્તીનું અજવાળું અહેસસ છે, એને ખાઈ શકાતું નથી કહીને વાત માંડે છે. આ ડીનર ભલે પૈસાથી ખરીદાયું હોય, પણ એનો જે અહેસાસ છે એની કોઈ કિંમત આંકી ન શકાય. ખખડતી ચમચીઓનો અવાજ કવિને પોતાના ગામના જંગલ સુધી લઈ જાય છે. પોતે આ સ્થળે મિસફિટ હોવાનો અહેસાસ થતાંવેંત એ માફી માંગે છે.

અચાનક પ્રકાશનું પરિમાણ બદલાય છે. મીણબત્તીના આછા અજવાળાંના સ્થાને ફ્લડલાઇટ્સનો ધોધમાર પ્રકાશ કવિતામાં ફૂટી નીકળે છે. કવિને પોતાને કોઈ રેસ્ટોરન્ટમાં થયેલ અનુભવ એમણે આલેખ્યો છે કે કેમ એ તો હવે કેમ ખબર પડે, પણ પ્રકાશના આ અણધાર્યા વૈષમ્યમાં કવિ આધુનિકતાના રંગે રંગાયેલ શહેરીજનોને જુએ છે. દરેક જણ સામી વ્યક્તિમાં પોતાની જાતને જ છે એથી વધુ મોટી કરીને જોવા ટેવાયેલ છે. મળતાવેંત શેઇકહેન્ડ તો થાય છે પણ આ હસ્તધૂનનમાં પ્રતીક્ષારત્ માનો સ્નેહભાવ પણ નથી અને ભલે મુઠ્ઠીભર પણ સાચુકલી ભૂખ પણ નથી. આ રેસ્ટોરન્ટ કોઈક સમુદ્રકિનારે (દમણ?) હોવી જોઈએ. સરસ! પ્રકાશના બે સાવ ભિન્ન સ્વરૂપોની કવિતામાં આકસ્મિક ટાપશી પુરાયાનો તાળો અહીં જઈને મળે છે. સમુદ્રકિનારાની હોટલોમાં કેન્ડલલાઇટ દીનર, ફ્લડલૈટ્સ, અને લાઇવ લાઉડ સંગીત-નૃત્યની હાજરી આપણે સહુએ પ્રમાણી છે. નસોમાં ઉન્માદ વધી રહ્યો છે. એટીકેટવાળા નામ વગરના પડછાયાઓની ભૂતાવળ સમા શહેરીજનોથી ટેબલો ઝડપભેર ભરાઈ રહ્યા છે.

કવિના અહેસાસમાં એમના ગામડાંના સાચુકલા માણસો અને એમના થકી અનુભવેલું જીવનસંગીત ફણગાય છે, જ્યારે બીજી તરફ નજર સમક્ષ નાનાવિધ વાદ્યોના સમન્વયથી જાઝ સંગીત ગૂંજી ઊઠે છે. બંનેની વાત અને લય નોખા હોવા છતાં કવિ આધુનિક સંગીતની મીઠાશનો પણ સ્વીકાર કરે છે. મીણબત્તીની સાથોસાથ સાંજ ઓગળી રહી છે, રાત ગાઢી થઈ રહી છે. બધું ઓગળતું જણાય છે. પ્રકાશ-સંગીત-સમુદાય-સ્મરણ : બધું જ મીણબત્તીના મીણની જેમ અસ્તિત્ત્વમાં અજવાળું પાથરતાં પાથરતાં ક્રમશઃ ઓગળી રહ્યું છે, પણ ભીતર જે ગઠ્ઠો બાકી રહી જાય છે એનું શું કરવું એ અસમંજસનો કવિ પાસે ઉત્તર નથી. મીણબત્તી આખી બળી જાય તો તો શાંતિ, કશું બચે જ નહીં, પણ મીણબત્તી બળે ત્યારે અંતે પીગળતાં પીગળતાં મીણનો જે ગઠ્ઠો બચી જાય એવી અકથ્ય પીડા ભૂત અને વર્તમાનના સંધિકાળ પર ઊભેલા કવિની સહનશક્તિ બહાર છે. મિસફિટ માણસો શહેરમાં કઈ રીતે ફિટ થાય, કહો તો !

Comments (7)

મરવું હમુન ગમતું નથ – વજેસિંહ પારગી

ખાહડા જેતરું પેટ ભરતાં ભરતાં
ડુંગોર ઘહાઈ ગ્યા
કોતેડાં હુકાઈ ગ્યાં
વગડો થાઈ ગ્યો પાદોર
હૂંકળવાના અન કરહાટવાના દંન
ઊડી ગ્યા ઊંસે વાદળાંમાં
અન વાંહળીમાં ફૂંકવા જેતરી
રઈં નીં ફોહબાંમાં હવા
તેર મેલ્યું હમુઈ ગામ
અન લીદો દેહવટો

પારકા દેહમાં
ગંડિયાં શેરમાં
કોઈ નીં હમારું બેલી
શેરમાં તો ર્‌યાં હમું વહવાયાં

હમું કાંક ગાડી નીં દીઈં શેરમાં
વગડાવ મૂળિયાં
એવી સમકમાં શેરના લોકુએ
હમારી હારું રેવા નીં દીદી
પૉગ મેલવા જેતરી ભૂંય

કસકડાના ઓડામાં
હિયાળે ઠૂંઠવાતા ર્‌યા
ઉનાળે હમહમતા ર્‌યા
સુમાહે લદબદતા ર્‌યા
પણ મળ્યો નીં હમુન
હમારા બાંદેલા બંગલામાં આસરો

નાકાં પર
ઘેટાં-બૉકડાંની જેમ બોલાય
હમારી બોલી
અન વેસાઈં હમું થોડાંક દામમાં

વાંહા પાસળ મરાતો
મામાનો લંગોટિયાનો તાનો
સટકાવે વીંસુની જીમ
અન સડે સૂટલીઈં ઝાળ

રોજના રોજ હડહડ થાવા કરતાં
હમહમીને સમો કાડવા કરતાં
થાય કી
સોડી દીઈં આ નરક
અન મેલી દીઈં પાસા
ગામના ખોળે માથું
પણ હમુન ડહી લેવા
ગામમાં ફૂંફાડા મારે સે
ભૂખમરાનો ભોરિંગ
અન
મરવું હમુન ગમતું નથ.

– વજેસિંહ પારગી
(જન્મ: ૨૩-૦૪-૧૯૬૩ – નિધન: ૨૩-૦૯-૨૦૨૩)

થોડા દિવસ પહેલાં જ ગુજરાતી ભાષાના અચ્છા જાણકાર કવિ શ્રી વજેસિંહ પારગી આપણને છોડી ગયા. લયસ્તરો તરફથી એમને એક નાનકડી શબ્દાંજલિ…

ગામમાં ખાંસડા જેવડું પેટ ભરવામાં ડુંગર ઘસાઈ ગયા, કોતરો સૂકાઈ ગઈ અને પાદર વગડો થઈ ગયું. હોંકારા દેવાના ને કિકિયારી કરવાના દિવસો વરાળ થઈ વાદળમાં ઊડી ગયા. જ્યારે ફેફસામાં વાંસળીમાં ફૂંક મારવા જેટલી હવાય ન બચી ત્યારે ગામ છોડવું પડ્યું. દેશવટો લીધો. પારકા દેશની ગંડુનગરીમાં આવા હલકી જાતના નિર્વાસિતોનું બેલી કોણ થાય? ઊલટું, ગામડેથી આવેલ આ લોકો શહેરમાં પોતાનાં મૂળિયાં ઊંડે ન ઉતારી દે, કાયમી સ્થાન મેળવી ન લે એ ડરથી શહેરીજનોએ એમના માટે પગ મૂકવા જેટલી ભોંય પણ રહેવા ન દીધી. કચકડા જેવા કાચા ઓરડામાં આ દલિત નિર્વાસિતો મરવાના વાંકે શિયાળામાં ઠૂંઠવાય છે, ઉનાળે સમસમે છે અને ચોમાસે લથપથ થતા રહે છે, પણ પોતે જ બાંધી આપેલ બંગલાઓમાંય એમને આશરો મળતો નથી.

ઘેટાંબકરાંની જેમ ગલીના નાકે રોજ એમની બોલી લાગે છે, રોજ તેઓ મામૂલી દામે વેચાય છે. પીઠ પાછળ કોઈ મામો કે લંગોટિયો કહીને વીંછીના ચટકા જેવા ટોણા મારે ત્યારે પગથી લઈને માથાની ચોટલી સુધી ઝાળ ચડી જાય છે. આ રીતે રોજેરોજ હડહડ થઈ સમસમીને સમય પસાર કરવાનો આવે ત્યારે મન તો એવું થાય કે આ નરક છોડી દઈને ફરી ગામના ખોળે માથું મૂકી દઈએ, પણ ગામમાં ભૂખમરાનો ભોરિંગ ફૂંફાડા મારી રહ્યો છે અને પોતાને મરવું પસંદ નથી એટલે આ રોજેરોજ મરીમરીને જીવવાની શહેરી જિંદગીનો ત્યાગ પણ કરી શકાતો નથી…

સમાજના ગરીબ દલિત-આદિવાસી વ્યક્તિની વ્યથા અને દુવિધાને કવિએ ભીલી બોલીમાં એવાં તો મર્મસ્પર્શી રીતે રજૂ કર્યાં છે કે આપણી પૂંઠે સદીઓના આપણા ગેરવર્તાવનો વીંછી કરડતો હોય એવો દાહ અનુભવાય છે.

(પ્રસ્તુત રચનાના કેટલાક શબ્દોના અર્થ સમજવા માટે શ્રી કાનજી પટેલ અને શ્રી બાબુ સંઘાડાનો સહકાર સાંપડ્યો છે. બંને મિત્રોનો હૃદયપૂર્વક આભાર.)

Comments (15)

તાડનાં વૃક્ષ – ચાર્લી સ્મિથ (અનુ.: વિવેક મનહર ટેલર)

એ દિવસે એલ.એ.માં સૂર્ય અસ્તાચળે જતો હતો, ત્યારે હું ભાડાની કાર હંકારી રહ્યો હતો
સનસેટ બુલેવર્ડ ખાતે પૂર્વ દિશામાં,
અંતહીન આંતરિક મારપીટથી થાકીને ઠૂસ થઈને,
અને મેં પાછળ જોયું પ્રખર વ્યાપક બળબળતા સમુદ્રી પ્રકાશ,
તથા ચિત્રિત શહેર ઉપર ઝળુંબી રહેલ હવામાંની ધૂળને જોવા માટે
જે પ્રકાશને સ્પષ્ટ અને સુંદર બનાવતી હતી,
અને મેં જોઈ લોખંડી વેલબુટ્ટાથી ગંઠાયેલી ભાંગીતૂટી નાની-નાની દુકાનો,
અને જોઈ સાંકડી ગલીઓ જે દૂર ભાગતા પાગલોની પેઠે
તળેટી તરફ ફૂટતી હતી, અને એક ટીલો હતો જેણે સૂર્યને અવરોધ્યો હતો,
પીળી માટીની એક ગોબરી તૂટી-ફૂટી દીવાલ જેના મથાળે એકમેકથી દૂર, વિસંગત દેખાતાં,
કેટલાક નાનાં-નાનાં ઘર હતાં, જો કે એમની નીચેની તરફ
નજીકમાં જ જૂથબંધ ઝૂંપડીઓ હતી
અને એક શેરી જે વિલો અને બોગનવેલના ગુચ્છાઓ વચ્ચે થઈને પસાર થતી હતી;
અને ટીલો, જે સડેલ અસહનીય પ્રકાશ વડે
સ્પષ્ટ રૂપથી પરિભાષિત થતો હતો, એના પર કેટલાક તાડનાં વૃક્ષ હતાં,
જે તે પળે પવનની લહેરોથી અછૂતા હતા જેને લઈને એમનાં તાલાં
લબડી પડ્યાં હતાં; એને એ બધા લોસ એન્જેલિસના વિશાળ આકાશ સામે
કાળાં દેખાતા હતા, જાણે નાનાનાના કાળા વિચારોને કારણોના જાડા દોરડાઓના છેડે
સામટા બાંધી ન દીધા હોય, અને લટકી રહ્યા હોય ત્યાં નિષ્પ્રયોજન એકાંતમાં,
રેસ્ટોરન્ટના અસ્તવ્યસ્ત કાઉન્ટર પછીતે ઊભેલ માણસના વિચારોની માફક,
જે અંગ્રેજી બોલી શકતો નથી, જેણે માંસ લપેટવાના કાગળની બનેલી ટોપી પહેરી છે,
જે પોતાની નાનકડી દીકરીને તમાચા પર તમાચા મારે છે, જ્યાં સુધી બંને જણ સહમી ન જાય,
નાસમજ અને નિઃસહાય, પોતાના જીવનથી વિહ્વળ.

– ચાર્લી સ્મિથ
(અનુ.: વિવેક મનહર ટેલર)

આપણી આસપાસના વાતાવરણ અને વ્યક્તિ સાથે આપણે કઈ રીતે જોડાઈએ છીએ એનો મુખ્ય આધાર આપણા અંતરના અરીસા પર જે-તે સમયે એમની છબી કેવી પડે છે એના પર છે. આસપાસનું વાતાવરણ આપણને જે પરિસ્થિતિમાં મૂકે છે, એવો જ આકાર આપણે આસપાસના વાતાવરણનો પણ ઘડી કાઢીએ છીએ… પ્રસ્તુત કવિતાનો પ્રધાન સૂર આ જ છે. રચનાના વિશદ અભ્યાસ તથા રસાસ્વાદ માટે આ પંક્તિ ઉપર ક્લિક કરવા વિનંતી.

The Palms

When the sun went down in L.A. that day I was driving
a rental car east on Sunset Boulevard,
worn down by the endless internal battering,
and looked back to see the vivid capacious burned oceanic light,
the dust in the air that made the light palpable and beautiful
hanging over the pastel city, and saw the crunched little stores
with their brocades of steel locking them up
and the narrow streets springing downhill like madmen
running away; and there was a ridge that blocked the sun,
a scruffy torn wall of yellow earth with a few small houses on top,
widely spaced, disconnected-looking, though down from them
there was a neighborhood of bunched-up shacks
and a street that wound through patches of willow and bouganvillea;
and on the ridge that was sharply defined by the
rotted unmanageable light, there were a few palm trees,
untouched at that moment by breeze so that their tops
hung limply; and they seemed, black against the huge sky
of Los Angeles, like small dark thoughts tethered
at the end of reason’s thick ropes, hanging there in gratuitous solitude,
like the thoughts of a man behind a cluttered restaurant counter,
who speaks no English, wearing a hat made of butcher paper,
who slaps and slaps his small daughter, until they both are stunned,
stupid and helpless, overwhelmed by their lives.

– Charlie Smith

Comments (4)

આકાશમાં કવિતા – પ્રદીપ ખાંડવાલા

સાંજે
બાલ્કનીમાં બેઠો બેઠો
સૂર્યાસ્તને જોતો હતો
આકાશમાં કશુંક ધૂંધળું જોયું.
વધુ ધ્યાનથી જોયું
અક્ષરના મરોડ જોયા
ચિહ્નવિરામો જોયાં
શબ્દો અને પંક્તિઓ?

એમને ઝાલવા
હાથ લંબાવ્યા
પણ આકાશ સુધી
તે કેમ કરીને પહોંચે ?

બારીકાઈથી જોવા
ચશ્માં પહેર્યાં
દૂરબીન પણ અજમાવ્યું,
મેં જોયું કે ત્યાં શબ્દો હતા
પણ અર્થ ન સમજાયો
શબ્દો વચ્ચે વચ્ચે
શૂન્યો હતા
જે પ્રભાવક લાગ્યા
ઉમદા લાગ્યા
આ તો કાવ્ય જ હોઈ શકે
કોઈ પવિત્ર ભાષામાં.

પછી કાવ્ય બોલ્યું:
મને માણવું હોય તો
ઉપર આવ
આકાશનું પહેલું પગથિયું ચઢ
પછી નિસરણી મળી જશે
શબ્દો તો પ્રાચીન છે
નહીં ઊકલે
પણ અર્થ માણી શકીશ!

– પ્રદીપ ખાંડવાલા

મોનાલિસાનું ચિત્ર જોતી વખતે આપણને ચિત્રકારે વૉટર કલર વાપર્યા હશે કે ઓઇલ કલર, સાદો કેનવાસ પેપર વાપર્યો હશે કે કોઈ બીજો વગેરે વિચાર આવતા નથી. આપણે ચિત્રનો આસ્વાદ કરીએ છીએ ત્યારે ચિત્ર બનાવવામાં કામ લેવાયેલ સાધનો વિશે વિચારતાં નથી. વાદ્યસંગીત કે શાસ્ત્રીય ગાયકી પણ શબ્દોની અનુપસ્થિતિમાં આપણને અકલ્પનીય આનંદનો અનુભવ કરાવી શકે છે. એ જ રીતે કવિતાનું ઉપાદાન સાધન છે પણ સાચી કવિતા એ જ, જે વાંચતી વખતે ભાવકનું ધ્યાન કવિએ પ્રયોજેલા શબ્દો પર ન જતાં ભાવક કવિના ભાવપ્રદેશમાં વિહરણ કરવા માંડે.

પ્રસ્તુત રચનામાં કાવ્યનાયક બાલ્કનીમાં સૂર્યાસ્ત હોવા બેઠા છે. આજના નગરજીવનમાં એક તો મોટાભાગની બાલ્કનીમાંથી સૂર્યાસ્ત કે સૂર્યોદયના દર્શન નહીં થાય અને થતાં હોય તો આપણી પાસે સમય નથી પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધવાનો. પ્રકૃતિ સાથેના ‘કનેક્શન’થી કાવ્યારંભ થાય છે એ વાત સૂચક છે. સૂર્યાસ્ત ટાંકણે આકાશમાં કશુંક અસ્પષ્ટ નજરે ચડે છે. ધ્યાનથી જોતાં કવિને એમાં કોઈક જાતનું લખાણ નજરે ચડે છે. લખાણ ઉકેલવા માટે કવિ શક્ય ઉપાય અજમાવે છે, પણ શબ્દોનો અર્થ સમજાતો નથી. ઊલટું શબ્દો વચ્ચે જે અવકાશ પ્રકૃતિએ છોડ્યો છે એ કવિને વધુ રોચક અને ઉમદા લાગે છે. ખરી વાત છે, ખરી કવિતા હંમેશા બે શબ્દો વચ્ચેની જગ્યા- between the lines- જ રહેલી હોય છે. કવિતા ખુદ કવિતાને પામવાનો રસ્તો પણ સૂચવે છે. એક ડગલું કવિતાની દિશામાં ભરવામાં આવે તો કવિતાને પામવાનો રસ્તો આપોઆપ જડી આવશે. શરત બસ એ જ કે કવિતાને પામવાના નિર્ધાર સાથે પહેલું ડગલું ભરવું પડે. સાચી કવિતા આપોઆપ સમજાઈ જતી હોય છે.

Comments (1)

છોકરી – ગ્રેસ – અનુ.- જગદીશ જોષી

આયુષ્ય નકારવાનો અને સ્વીકારવાનો
આ પ્રશ્ન નથી.
રેતીમાંના પાણી માટે તો નાનકડાં ઘર હોય છે.
તે બંધાવાં જોઈએ; પૂરી સમજદારીથી ફરી વાર
તેની રેતી એકઠી કરીને
રાખવી.
હું કેરળમાં હતો ત્યારે એક છોકરી મળી ગઈ.
એ વેળા જૂના ચર્ચનું દુરસ્તીનું કામ
ચાલુ હતું. ઇટાલિયન સંગેમરમ૨ના એક
ટુકડા પાસે તે ઊભી હતી.
ફૂલ તોડો; ઋતુના આવિર્ભાવોમાં ઘણા
સૂક્ષ્મ પલટાની નોંધ લો.
બસ, એટલું જ.
એક દિવસ કોઈ પણ પૂર્વ-એંધાણી આપ્યા વગર
તે મરી ગઈ.
સીધુંસાદું છે આટલું જ!

– ગ્રેસ – અનુ.-જગદીશ જોષી

એક પ્રચલિત ફિલોસોફિકલ થિયરી છે – LIFE IS RANDOM. અર્થાત્ – ન તો જીવનનો કોઈ અર્થ છે ન તો કોઇ હેતુ. જે થાય છે તેનું કોઈ કારણ નથી. આ થિયરી એટલી નિષ્ઠુર છે કે લોકો એને માનવાથી ડરે છે….અને ધર્મ તો તેને લગીરે સ્વીકારવા રાજી ન જ હોય – સ્વાભાવિક છે. બસ, આ કાવ્યને આ થિયરી સંદર્ભે માણો…

Comments (1)

મૃત્યુ – ફેહમીદા પાચા

ઢાંકી દો એનાં ખૂબસૂરત ચહેરાને ઢાંકી દો
કેટલો શાંત અને સુંદર ચહેરો છે
શુભ્ર સફેદ ચાદર ઓઢાડી દો
નહિ તો એને આપણી નજર લાગશે

જિંદગીમાં એણે ભરપૂર પ્રેમ કર્યો હતો
લખલૂંટ પ્રેમ લોકોએ આપ્યો હતો
એટલે જ મૃત્યુમાં આટલી સુંદર લાગે છે
વેદનાની એકે રેખા ચહેરા પર નથી

લાગે છે મૃત્યુનો દેવ એના પ્રેમમાં હતો
ચૂપચાપ આવી એનું અપહરણ કરી ગયો
અને એ પણ કશું બોલ્યા વિના ચાલી ગઈ
કોઈને ખબર ન પડી અને એ વિદાય થઈ

કે પછી ઈશ્વર એના વિના રહી ના શક્યો
સર્જનહારે એના સર્જનને કંકોતરી મોકલી
દેવોના ભર્યા દરબારમાં અપ્સરાની કમી હતી
કુમકુમ પત્રિકા આવી અને ચાલી નીકળી

– ફેહમીદા પાચા (મે ૧૯૯૩)

(જીવનકાળ : ૦૫/૦૫/૧૯૩૩ – ૦૧/૦૯/૨૦૦૬) કપડવંજમાં જન્મેલા સર્જકનું જીવન મુંબઈમાં વીત્યું. સાંઠ વર્ષની વયે એમણે પહેલીવાર કલમ ઉપાડી અને કાવ્યો રચ્યાં, જે એમનાં મૃત્યુપર્યંત ‘સો કવિતાનું સરવૈયું’ સંગ્રહ તરીકે પ્રગટ થયાં. કવિતાની એરણ પર મૂલવવા બેસીએ તો કદાચ એમનાં કાવ્યો ઉમદાની કક્ષામાં નહીં આવે, પણ એમની કવિતાઓમાં પાસા પાડ્યા વિનાના કાચા પણ સાચા હીરાની ચમક ઠેરઠેર વિખરાયેલ નજરે પડે છે.

પ્રસ્તુત રચના જુઓ. કેવી સબળ અભિવ્યક્તિ! સાવ સાદી વાત છે, પણ રજૂઆત કેવી મજાની! પ્રેમ એકમાત્ર પરિબળ છે જે સૃષ્ટિ સમગ્રને સુંદર બનાવે છે. મૃતકે જિંદગીમાં ભરપૂર પ્રેમ કર્યો હતો, પરિણામે લોકોએ પણ એને લખલૂંટ પ્રેમ આપ્યો હતો. પ્રેમ સંતુષ્ટિ બક્ષે છે. પરિણામે મૃતકના ચહેરા પર વેદનાની રેખા સુદ્ધાં દેખાતી નથી અને એ મૃત્યુ બાદ પણ આટલી સુંદર લાગે છે. મૃત્યુનો દેવ શું કે શું સાક્ષાત્ ઈશ્વર – બધા જ એના પ્રેમમાં હતા. જિંદગીને ચાહનારી મૃત્યુને પણ ચાહ્યા વિના ન રહી શકી. મરણ આપ્યું તો પ્રતિકારનો એક શબ્દ સુદ્ધાં ઉચ્ચાર્યા વિના એ કોઈનેય ખબર પડવા દીધા વિના ચાલી નીકળી. આખરી ચાર પંક્તિ કવિતાને વધુ પડતી મુખર બનાવે છે, એ ન હોત તો કવિતા કદાચ વધુ આસ્વાદ્ય બની હોત.

એમની અન્ય એક રચનાની ચાર પંક્તિઓ પણ જુઓ:

મનના કોઈ અગોચર અને અવાવરુ ખૂણામાં
જઈ એક દીવડો પેટાવ
અને પછી જો સૂર્યના અહંકારને ઓગાળી નાંખે
એવો ઉજ્જવળ ઉજાસ પથરાઈ જશે.

Comments (8)

ઢળતા મધ્યાહ્નોમાં ઝૂકીને – પાબ્લો નેરુદા ( અનુ – હરીન્દ્ર દવે )

ઢળતા મધ્યાહ્નોમાં ઝૂકીને હું મારી ઉદાસ જાળને
તારાં સાગરનેત્રોની દિશામાં પાથરું છું.

ત્યાં સર્વોચ્ચ ઉજાસમાં મારું એકાંત લંબાઈને પ્રજ્વળી ઊઠે છે,
ડૂબતા માણસની જેમ તેના હાથ તરફડે છે.

સાગર કે દીવાદાંડી પાસેના કિનારા જેવી ગંધવાળી
તારી અવિદ્યમાન આંખોની આરપાર હું
પાઠવું છું રક્તિમ સંકેતો.

તું રાખે છે માત્ર ગહન અંધકાર, ઓ મારી અતીતની સંગિની,
તારા આદરમાંથી કવિચત્ છલકે છે ત્રસ્ત કિનારો.

ઢળતા મધ્યાહ્નોમાં ઝૂકીને, હું તારાં સાગરનેત્રોમાંથી છલકતા દરિયામાં ફેંકું છું મારી ઉદાસ જાળોને.

હું તને પ્રેમ કરતો હોઉં એ ક્ષણના અમારા અંતરાત્મા
માફક ચમકતા પ્રથમ તારાઓને
રાત્રિનાં પંખીઓ ચાંચથી ટોચે છે.

રાત્રિ તેની છાયાઘોડલી ૫૨ સવા૨ થઈ
રેવાલ ગતિએ ચાલે છે.
ભૂરી પર્ણ-ઝૂલોને ખેરતી.

– પાબ્લો નેરુદા ( અનુ – હરીન્દ્ર દવે )

પાબ્લો નેરુદના પ્રણયકાવ્યો સમગ્ર વિશ્વમાં સુખ્યાત ! અંગત રીતે મને ગમતો કવિ, પણ તેઓની રાજકીય વિચારધારા જરાપણ ન સમજાય… હશે…આપણી નિસ્બત કવિતા સાથે છે…

વિદેશી ભાષાની કવિતાઓનો સમજાવી થોડી મુશ્કેલ હોય છે-તેનું ક્લેવર આપણી કવિતા કરતાં ખાસું નોખું હોય છે. સામાન્ય રીતે તેઓ કોઈ સ્પષ્ટ સંદેશ આપવા અથવા તો કોઈ કેન્દ્રીય વિચાર ને વ્યક્ત કરવા માંગતા હોય તેવું નથી હોતું, પણ તેઓ એક ભાવવિશ્વ સર્જે છે અને તેમાં ભાવક પોતાની રીતે તરબોળ થઈ શકે. અહીં ઢળતી સાંજે સાગરતટે બેઠેલો એક કલાન્ત નિરાશ પ્રેમી બહાર જે જુએ છે અને અનુભવે છે તેને પોતાના આંતરિક જગતના પરિપ્રેક્ષ્યમાં કવિતામાં કહે છે….તર્કસંગતતા ન પણ હોય, અમુક ઉદ્ગાર મને નથી સમજાતાં, પણ કવિ સાથે એક ભાવનાત્મક ઐક્ય હું અનુભવી શકું છું……

Comments (3)

ફુલ્લકુસુમિત – ટોઇ ડેરહકોટ (અનુ.: વિવેક મનહર ટેલર)

મારા શ્વાસમાં
ફુલ્લકુસુમિત વસંતનો શ્વાસ
ભેળવવા
હું વાંકી વળી.

ત્યાં ફોટોગ્રાફર્સ પણ હતા:
મમ્મીઓ તેમના બાળકોને
ગાંઠદાર જરઠ ઝાડોને ટેકે
બેસાડી રહી છે;
એક યુગલ, આલિંગનબદ્ધ,
પાસેથી પસાર થતા એક રાહદારીને
આ જ મુદ્રામાં
પોતાનો ફોટો લેવા કહે છે,
જેથી કરીને એમનો પ્રેમ
હરહંમેશ માટે જકડાયેલ રહે
બે દોસ્તી વચ્ચે:
આપણી અને
ચેરીના વૃક્ષો વચ્ચેની દોસ્તી.

ઓ ચેરી,
મારાં કાવ્યો શા માટે
આટલાં સુંદર ન હોઈ શકે?

રૂંછાદાર કોટમાં સજ્જ એક નવયૌવના
સજાવે છે પત્તા રમવાનું ટેબલ,
ચાદર બિછાવે છે, ઉપર મૂકે છે મીણબત્તી,
પિકનિક માટેની છાબડી અને વાઇન.
એક પિતા
છોકરાની વ્હીલચેર પાછળ તરફ નમાવે છે
જેથી એ નિહાળી શકે
ડાળીઓમાં ખીલેલા
સ્વર્ગને.
.           અમારી ચોતરફ
પુષ્પો
સપાટાભેર ખરતાં ખરતાં
ગુસપુસ કરી રહ્યાં છે,

.            ધીરજ ધર
તારી પાસે એક પુરાતન સૌંદર્ય છે.

.                                             ધીરજ ધર,
              તારી પાસે એક પુરાતન સૌંદર્ય છે.

– ટોઇ ડેરહકોટ
(અનુ.: વિવેક મનહર ટેલર)

*
82 વર્ષનાં અમેરિકન કવયિત્રી ટોઇ ડેરહકોટની આ કવિતા વસંતોત્સવ અને જીવનોત્સવની કવિતા છે. પોતાના શ્વાસમાં ફુલ્લકુસુમિત વસંતનો શ્વાસ ભેળવવા કવયિત્રી વાંકી વળે છે. ચેરી બ્લૉસમ્સનો એક અલગ જ જાદુ હોય છે. આખાને આખા વૃક્ષો પર પાંદડાંઓના સ્થાને કેવળ ફૂલોના જ ગુચ્છેગુચ્છા નજરે ચડે એ દૃશ્ય નીરસમાં નીરસ વ્યક્તિને પણ બે ઘડી થોભી જવા મજબૂર કરી દે એવું સશક્ત હોય છે. કવયિત્રી કેવળ પોતાના શ્વાસમાં ચેરી બ્લૉસમ્સની સુગંધ ભેળવવા માંગતાં હોત તો વાત સામાન્ય બનીને રહી જાત, પણ કવયિત્રી પોતાના શ્વાસમાં વસંતનો શ્વાસ ભેળવવા માંગે છે ત્યાં કવિતા સર્જાય છે. વૃત્તિ પ્રકૃતિનો આસ્વાદ મણવાની નહીં, પ્રકૃતિ સાથે એકાકાર થઈ જવાની, પ્રકૃતિમાં ઓગળી જવાની છે.

સર્જકનો કેમેરા એક પછી એક દૃશ્યો ઝીલે છે. આવા સ્થળો સહેજે પિકનિક-સ્પૉટ્સ બની જતાં હોય છે એટલે ત્યાં ફોટોગ્રાફર્સ પણ હતા. માતાઓ બાળકોને જૂના ગાંઠદાર ઝાડોને ટેકે બેસાડે છે. આલિંગનબદ્ધ થયેલ એક યુગલ એ જ સ્થિતિમાં પોતાનો ફોટો પાડી આપવા એક રાહદારીને થોભાવે છે. હેતુ એ કે પ્રેમની આ ક્ષણ ફોટોગ્રાફમાં કેદ થઈને ચિરંજીવી બની રહે. ચેરી બ્લૉસમ પણ કાયમે એનથી અને આલિંગન પણ હંગામી જ હોવાનું. પ્રેમ પણ સમય સાથે બદલાશે. પણ શાશ્વતીની કામના, ક્ષણને જીવી લેવાની અને જીવતી રાખવાની કામના મનુષ્યને ચાલકબળ પૂરું પાડે છે. રૂંછાદાર કોટમાં સજ્જ એક નવયૌવના પિકનિક માટે ટેબલ સજાવે છે અને પોતાનો અપંગ પુત્ર આ સ્વર્ગીય નજારો માણવાથી વંચિત ન રહી જાય એ આશયથી એના પિતા વ્હીલચેરને પાછળ તરફ નમાવે છે.

સર્જક વૃક્ષને સવાલ કરે છે કે પોતાનાં કાવ્યો આટલા સુંદર કેમ નથી? વાત પણ સાચી જ છે ને! કુદરતની કવિતાથી ચડિયાતું તો બીજું શું હોઈ શકે? પણ કુદરત કદી લઈને બેસી રહેતી નથી. સપાટાભેર ખરી રહેલ પુષ્પોને લઈને જે હળવી મર્મર જન્મે છે. આ મર્મર મારફતે પ્રસંશાના પુષ્પથી નવાજાઈ રહેલ પ્રકૃતિ જાણે કહી રહી છે, ધીરજ ધર. તું પણ પુરાતન સૌંદર્યની સ્વામિની છે. સૌંદર્ય માટે પુરાતન વિશેષણ કદાચ એટલા માટે પ્રયોજાયું છે કે જૂની વસ્તુઓ આપણને હંમેશા વધુ આકર્ષે છે. પ્રાચીન કિલ્લાઓના ખંડેર પણ આપણે પૈસા ખર્ચીને જોવા જઈએ છીએ. અને આ અંતિમ બે પંક્તિઓની પુનરોક્તિ સૌંદર્ય જોનારની દૃષ્ટિ પોતે એક ઉત્તમ કવિતા હોવાની વાતને દૃઢીભૂત કરે છે.

અછાંદસ કાવ્યસ્વરૂપ અને કાવ્યાંતે હાલડોલ થતી જણાતી પંક્તિઓની રચના ઉભય વૃક્ષથી ખરતાં પુષ્પોની આભા સર્જવામાં નદદરૂપ થાય છે. ઇટાલિક્સનો પ્રયોગ પણ સાયાસ કરવામાં આવ્યો છે એય સમજાયા વિના રહેતું નથી.

*

Cherry blossoms

I went down to
mingle my breath
with the breath
of the cherry blossoms.

There were photographers:
Mothers arranging their
children against
gnarled old trees;
a couple, hugging,
asks a passerby
to snap them
like that,
so that their love
will always be caught
between two friendships:
ours & the friendship
of the cherry trees.

Oh Cherry,
why can’t my poems
be as beautiful?

A young woman in a fur-trimmed
coat sets a card table
with linens, candles,
a picnic basket & wine.
A father tips
a boy’s wheelchair back
so he can gaze
up at a branched
heaven.
.                  All around us
the blossoms
flurry down
whispering,

.        Be patient
you have an ancient beauty.

.                                          Be patient,
.                                  you have an ancient beauty.

– Toi Derricotte (pronounced DARE-ah-cot)

Comments (7)

You are there…. – Erica Jong – અનુ. ડો. નેહલ વૈદ્ય

તમે ત્યાં છો.
તમે હંમેશાંથી ત્યાં (જ) છો.
(બરાબર) એ વખતે જ્યારે તમે વિચારતા હતા
કે તમે (ચઢાણ) ચઢી રહ્યા છો
તમે ખરેખર (તો ત્યાં ) પહોંચી ચૂક્યા હતા
ત્યારે તમે હાંફી રહ્યા હોવા છતાં આરામમાં હતા
એ સમયે એ સ્પષ્ટ હતું કે તમે ત્યાં હતા.
એ સમજવું આપણી (માનવ) પ્રકૃતિમાં નથી કે ‘યાત્રા’ શું છે અને ‘પહોંચવું’ એટલે શું !
અને જો આપણે જાણી પણ ગયા હોઈએ
તો એ સત્ય સ્વીકારીએ નહીં
(અને ખરેખર આખી) જીંદગી જીવી ગયા પછી
(પણ) આપણે એવું વિચારીએ કે
આપણે હમણાં (જ) અસ્તિત્વમાં આવ્યા છીએ
(ખરેખર) જીવવું એટલે
અનિશ્ચિત રહેવું
સ્પષ્ટતા (તો) અંતમાં
આવે છે.

~એરિકા જોંગ

You are there.

You have always been
there.
Even when you thought
you were climbing
you had already arrived.
Even when you were
breathing hard,
you were at rest.
Even then it was clear
you were there.

Not in our nature
to know what
is journey and what
arrival.
Even if we knew
we would not admit.
Even if we lived
we would think
we were just
germinating.

To live is to be
uncertain.
Certainty comes
at the end.
~ Erica Jong ( From 'Poetry Of Presence' An Anthology Of Mindfulness Poems )

આ એક અનોખી યાત્રાની વાત છે. આપણાંમાંથી ઘણાંના અંતર મનમાં પ્રગટપણે કે ઘણીવાર ઊંડાણમાં અપ્રગટ રૂપે ચાલ્યા કરે છે. અને આ ‘હોવું’ અને ‘પહોંચવું’ પણ સ્થૂળ રીતે નહીં પણ સમગ્ર માનવજાતના અંતિમ ગંતવ્ય એવા નિર્વાણ, મુક્તિ કે પછી આત્મજ્ઞાન કહો, એ અવસ્થાએ પહોંચવાની વાત છે.
એ પરમ તત્ત્વ આપણને “તદ્ દૂરે તદ્ અન્તિકે” જણાય છે, આપણા ઉપનિષદોના સારતત્ત્વ જેવી આ કવિતા પહેલી લીટીમાં જ એ સત્ય જણાવી દે છે કે તમે ત્યાં છો, એ જ સત્ય પર ભાર મૂકવા બીજી લીટીમાં એનું પુનરાવર્તન કરતાં કવિ કહે છે કે તમે ત્યાં હંમેશાંથી છો. આપણે આપણું સમગ્ર જીવન જેની શોધમાં વિતાવી દઈએ, જે અંતિમ સત્યને પામવા જ્ઞાનમાર્ગ, ભક્તિમાર્ગ અપનાવીએ, જપ-તપ, મંત્ર-તંત્ર, ધ્યાન-આરાધનામાં વર્ષો ગાળી નાંખીએ; એ લક્ષ્ય આપણે પામી ચૂક્યા છીએ, જો આપણને એ સત્ય જોતાં આવડે તો.
કવિ આગળ કહે છે કે જ્યારે તમારી કપરાં ચઢાણ ચઢવા જેવી યાત્રા ચાલુ હતી, તમે હાંફી રહ્યા હતા અને આ રસ્તો ક્યારે પૂરો થશે એવું અનુભવતા હતા, એ આખો વખત તમે તમારી મંઝિલ પર જ હતા અને આરામમાં હતા. આપણે આપણું તન-મન-ધન, સમગ્ર ઊર્જા, બધો જ પુરુષાર્થ હરિના માર્ગે ચાલવામાં લગાવી દઈએ, ત્યારે ખરેખર તો આપણે એ વિશ્વનિયંતાના ખોળે બેઠેલા હોઈએ છીએ. એવું કહેવાય છે કે સંત રૈદાસના પદ સાંભળવા ભગવાન કૃષ્ણ સ્વયં આવીને બેસતા. ભગવદ ગીતામાં પણ ભગવાન કૃષ્ણ કહે છે કે સૃષ્ટિમાં એવું કોઈ સ્થાન નથી જ્યાં મારો વાસ ન હોય, છતાંય આપણે ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ તીર્થયાત્રાઓ કર્યા કરીએ છીએ.
આપણી મનુષ્યની પ્રકૃતિ માટે એ સમજવું બહુ અઘરું છે કે આ ‘યાત્રા’ શું છે અને એ ગંતવ્ય સ્થાને ‘પહોંચવું’ એટલે શું? આપણા પૂર્વજો જે જે માર્ગે ચાલ્યા એ જ માર્ગે આપણે પણ ચાલી નીકળીએ છીએ પણ આ તો દરેકની પોતાની આગવી સફર છે. અને બીજાઓના અનુભવો સાથે આપણી અનુભૂતિઓને સરખાવ્યા કરવાથી કોઈ ફાયદો થવાનો નથી. જ્યારે આપણે જાણી ચૂક્યા હોઈએ તેમ છતાં એ સત્ય સ્વીકારી નથી શકતા કે જેની શોધમાં છીએ તે અહીં જ છે, આ પળમાં જ છે. આખી જીંદગી જીવી લીધા પછી પણ આપણે હજુ શરૂઆત કરી રહ્યા છીએ એવું માનીએ છીએ. ‘માઈન્ડફૂલનેસ’ થી જીવીએ (પ્રત્યેક ક્ષણ જાગૃતીથી જીવીએ) તો બધા ગ્રંથોનો સાર આ પળ છે, જે પરમ સત્ય છે તે આ પળ છે, અહીં જ છે, જો પળનું સત્ય સમજી જઈએ તો ક્યાંય જવાનું નથી, ક્યાંય પહોંચવાનું નથી.
પણ જીવન જીવવાનું બીજું નામ અનિશ્ચિતતા છે, સત્યની સ્પષ્ટતા તો જીવનના અંતે જ આવે છે.
છેલ્લી બે લીટીનો એક બીજો અર્થ પણ નીકળે છે કે વર્તમાનની પ્રત્યેક પળને સજગતાથી જીવવું એટલે અનિશ્ચિતતાને અપનાવવી. જે ક્ષણે તમે નિશ્ચિતતા તરફ જવા જાઓ છો ત્યારે ક્યાં તો તમે ભૂતકાળના કોઈ અનુભવ પર આધાર રાખો છો અથવા ભવિષ્યની કલ્પનામાં રાચવા લાગો છો અને એ ક્ષણે વર્તમાનની પળનો, સજગતાનો અંત આવી જાય છે.

~ નેહલ ( https://inmymindinmyheart.com/ )

Comments (2)

વિરહ – રવીન્દ્ર પારેખ

તું નથી ત્યારે
તારાં નહીં વહેલાં આંસુઓ
વહેંચવા નીકળ્યો છું
એક ટીપું કાલે ઊગનારી કળીએ લઈ લીધું
ને બીજી સવારે એ સૂર્યકિરણમાં ચમકયું
પાંખડીઓ પર !
એક ટીપું સૂકાં સરોવરે માંગ્યું
ને સવારે તો તે
કમળોથી છલછલી ઊઠ્યું !
સાતે સમુદ્રો પાસે તેમનાં આંસુ તો હતાં જ !
તોય તારાં આંસુ અનેક છીપમાં સંઘર્યાં
પછી તો મોતીઓ વેરાયા વૈશ્વિક ચોકમાં
વાદળોએ પણ માંગ્યાં તારાં આંસુઓ
ને રાત ભર એટલાં ટીપાં
વરસ્યાં કે
ઉઘાડ નીકળતાં જ લીલાશ લહેરાઈ ગઈ પૃથ્વી પર !
આકાશે કહ્યું કે હું નહીં સાચવી શકું એને
ને તેણે ઉછાળી મૂક્યાં આંસુઓ બ્રહ્માંડમાં
એ પછી રોજ તારાં આંસુઓ
તારાઓ થઈને ચમકે છે
તું નથી એનું દુઃખ હતું
પણ હવે થાય છે કે
ક્યાં નથી તું…!

– રવીન્દ્ર પારેખ

વિરહવિરહની ચરમસીમા એટલે સ્તબ્ધતા…..કવિ કાવ્યના અંત તરફ કહે છે કે – “ ક્યાં નથી તું…” – પણ કાવ્યનો કેન્દ્રીયભાવ એક ખાલીપાજન્ય સ્તબ્ધતાને છે….

Comments (1)