(સ્વીકાર) – ગૌતમ બુદ્ધ
હું તમને કહું છું તે ભૂતકાળમાં કહેવાયું હતું તે કારણે માનશો નહીં;
પરંપરાથી ઊતરી આવ્યું છે તે કારણે માનશો નહીં;
આમ જ હોય એવું માનીને તેનો સ્વીકાર કરશો નહીં;
પવિત્ર ધર્મગ્રંથોમાં છે તેથી તેને માનશો નહીં;
અનુમાનથી તે પુરવાર કરી શકાય છે તેથી તેને માનશો નહીં;
એમાં વ્યવહારુ ડહાપણ છે એવું માનીને સ્વીકારશો નહીં;
એ સંભવિત લાગે છે તેથી તેને સ્વીકારશો નહીં;
પ્રખ્યાત અને પવિત્ર સાધુએ કહ્યું છે તેથી તેને માનશો નહીં;
પરંતુ તે જો તમારા વિવેકને અને અંતરાત્માને સુખકર અને શ્રેયસ્કર લાગતું હોય
તો જ તેનો સ્વીકાર કરજો અને તેને લાયક બનજો.
– ગૌતમ બુદ્ધ
ગાંધીજીમા ‘હિંદુ ધર્મનું હાર્દ’ પુસ્તક (સંપાદક: વિશ્વાસ બા. ખેર)માંથી આ લખાણ મળી આવ્યું. આમ તો લયસ્તરો પર કવિતા સિવાયની પોસ્ટ ભાગ્યે જ મૂકીએ છીએ પણ આપણે ત્યાં તો પરાપૂર્વથી ગદ્ય અને પદ્ય –ઉભયને કાવ્ય તરીકે સ્વીકૃતિ સાંપડી છે. काव्यं गद्यं पद्यं च तद्विधा। (ભામહ) પ્રસ્તુત લખાણ કોઈ સમજૂતિનું મહોતાજ નથી. આમેય બુદ્ધે પોતાની વાત હંમેશા સરળતમ શબ્દોમાં જ કહી છે. આવી એકાદ વાત જીવનમાં ઉતરે તો જીવન નંદનવન બને.