પાનું કોરું જોઈને કોઈ કબીર,
અક્ષરો વણતો રહ્યો ચાદર ગણી.
અંકિત ત્રિવેદી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for પ્રકીર્ણ

પ્રકીર્ણ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




લયસ્તરોની ઓગણીસમી વર્ષગાંઠ પર…

૦૪-૧૨-૨૦૦૪ના રોજ આરંભાયેલી આ કાવ્યયાત્રાને આજે ઓગણીસ વર્ષ પૂરાં થયાં એ અમારા માટે નાનીસૂની વાત નથી. સૉશ્યલ મિડિયાના અતિક્રમણ સામે અમે હજી ટકી રહ્યા છીએ એનો આનંદ છે. એક તરફ કવિતા અમને પ્રાણવાયુ પૂરો પાડી રહી છે, તો બીજી તરફ સર્જકો તથા ભાવકોનો અખૂટ સ્નેહ ચાલકબળ પૂરું પાડી રહ્યો છે. પ્રતિદિન પાંચસોથી વધુ મુલાકાતીઓ લયસ્તરોની મુલાકાત લે છે અને દરેક મુલાકાતી સરેરાશ પ્રતિદિન ત્રણથી-ચાર પાનાં ઉથલાવે છે. અને છેલ્લા ચાર વરસથી આ આંકડામાં એકધારી વૃદ્ધિ નોંધાઈ રહી છે. વરસમાં એકવાર આ આંકડા તરફ ધ્યાન આપીએ ત્યારે સમજાય કે ગુજરાતી કવિતાના અહર્નિશ પ્રેમીઓ અમારા સિવાય પણ અનેક છે. જીવે કવિતા! જીવે ગુજરાતી!

છેલ્લા ઓગણીસ વરસમાં અમને અગિયારસોથી વધુ કવિઓની ચોપ્પનસોથી વધુ કવિતાઓને ચાહવા મળી છે, એથી વિશેષ સદભાગ્ય બીજું શું હોઈ શકે! આ કવિતાઓનો અમારા ઘડતરમાં અમૂલ્ય ફાળો છે. આ કવિતાઓ અને કવિઓના અમે સદૈવ ઋણી રહીશું.

વળી, કાવ્ય અને કાવ્યાસ્વાદની આ યાત્રા આપ સહુ વાચકમિત્રોના એકધારા સ્નેહ અને સદભાવ વિના કદી શક્ય જ નહોતી…. આપ સહુનો આવો જ પ્રેમ અમને આ જ રીતે સદાકાળ મળતો રહેશે એવી આશા સાથે આપ સહુનો હૃદયપૂર્વક આભાર..

ધવલ – તીર્થેશ – મોના –વિવેક
ટીમ લયસ્તરો

દર વખતની જેમ વર્ષગાંઠ નિમિત્તે અમારા માનવંતા ને જાનવંતા વાચકોને અમે કંઈક અનૂઠું પીરસવાના છીએ. આ વખતની ઉજવણીનો વિષય છે –
પ્રેરણાપુંજ – રાહ ચીંધતી કવિતાઓ… એવી કવિતાઓ જે જિંદગી જીવવાનું બળ પૂરું પાડે. વિલિયમ અર્નેસ્ટ હેન્લીની ‘ઇન્વિક્ટ્સ’ નામની નાનકડી કવિતાએ નેલ્સન મંડેલાને સત્તાવીસ વર્ષના કારાવાસમાં ટકી રહેવાનું બળ પૂરું પાડ્યું હતું. કેવી મોટી વાત! લયસ્તરો પર આવતીકાલથી થોડા દિવસ સુધી અમે આવી જ પ્રેરણાદાયી કવિતાઓ પીરસવાના છીએ… રોજેરોજ મુલાકાત લેવાનું ચૂકાય નહીં એ ખાસ જોજો.

લયસ્તરો પર આગળના વર્ષોની ઉજવણીમાં પણ આપ સમયની અનુકૂળતાએ જોડાઈ શકો છો:

Comments (13)

નયનનાં મોતી

 

બંને આંખ મીંચી હાથ ઊંચે લંબાવીને કાવ્યપાઠ કરે ત્યારે લૌકિકમાંથી અલૌકિક બની જતા આ માણસનો અવાજ પણ આ દુનિયાની પેલે પારના કોઈક અગોચર પ્રદેશમાંથી આવતો લાગે. મુશાયરાનું સંચાલન કરતા આ માણસને જેણે જોયો નથી, એણે કદી કોઈ મુશાયરાને માણ્યો નથી! એમના મુખે કવિતા સાંભળવાની ઘટના પોતે જ એક કવિતા હતી. કવિતાની અંદર ઓગળી જઈને પ્રગટતો આવો કવિ ભાગ્યે જ જોવા મળશે.

નયન હ. દેસાઈ.

જન્મ- ૨૨ ફેબ્રુઆરી ૧૯૪૬, નિધન- ૧૨ ઓક્ટોબર, ૨૦૨૩.

જન્મભૂમિ વાલોડ પણ કર્મભૂમિ સુરત. કદકાઠીએ ટૂંકા પણ આદમી મુઠ્ઠીઊંચેરા. તમને મળે અને તમારા નામથી તમને ન ઓળખે કે ખભે હાથ મૂકીને તમારા અસ્તિત્ત્વને પ્રેમના દરિયામાં ડૂબાડી ન દે તો એ નયન દેસાઈ નહીં. અભ્યાસ માત્ર SSc સુધીનો પણ કવિતામાં જાણે કે ડૉક્ટરેટ. વેદનાત્રસ્ત અને વેદનાગ્રસ્ત મનુષ્ય એમની કવિતાનું કેન્દ્રબિંદુ. પ્રકૃતિ એમની કવિતાનો વ્યાસ. જીવનની શરૂઆતમાં હીરા ઘસતા તે આજીવન કાચા હીરા જેવા કેટલાય કવિઓને પાસા પાડતા રહ્યા. ગીત અને ગઝલમાં પ્રયોગો કરવાની જાદુઈ હથોટી. પ્રયોગશીલતા ક્યારેક પ્રયોગખોરી પણ બની રહેતી. પણ ગીત-ગઝલમાં જેટલું વૈવિધ્ય એ એકલા હાથે લઈ આવ્યા એટલું જવલ્લે જ કોઈ કવિ લાવી શકે. નયન દેસાઈએ ગુજરાતી કવિતારાણીને જેટલા અછોઅછોવાનાં કર્યાં છે એટલા બહુ ઓછા કવિઓએ કર્યા છે. ઉર્દૂના પણ ઉસ્તાદ. નયનભાઈને તમે એકલા મળો કે કવિસંમેલનમાં કે સભામાં- આ માણસ હવાની જગ્યાએ કવિતા શ્વસતો હોવાની ખાતરી થયા વિના નહીં રહે.

રમેશ પારેખની જેમ એમનું નામ પણ છ અક્ષરનું જ. અને ર.પા.ની જેમ જ એમના ખોળામાં પણ ગુજરાતી કવિતા ખૂબ રમણે ચડી હતી, પણ કમનસીબે તળગુજરાતના આ ઓછા કદના કવિ ગુજરાતી કવિતામાં મોખરાનું સ્થાન છતી લાયકાતે પામી શક્યા નહીં… આ કમનસીબ તે નયન દેસાઈનું નહીં, ગુજરાતી કવિતાનું જ.

લયસ્તરો પર એક અઠવાડિયા સુધી નયન દેસાઈની કવિતાની અલગ અલગ મુદ્રાઓથી પરિચિત થઈએ અને કવિને ભેગા મળીને યથોચિત શબ્દાંજલિ આપીએ.

Comments (10)

ચિત્રલેખા : ‘૫૧ ગૌરવવંતા ગુજરાતી’

ગમતાંનો ગુલાલ… …કારણ કે આ સફર આપ સહુના સ્નેહ વિના સંભવ જ નહોતી…

‘ચિત્રલેખા’ના ૭૨મા વાર્ષિક અંકની વિશેષ પૂર્તિમાં ‘૫૧ ગૌરવવંતા ગુજરાતી’માં સ્થાન પામવા બદલ સમસ્ત ચિત્રલેખા પરિવારનો હૃદયપૂર્વક આભાર.

Comments (3)

લયસ્તરોની અઢારમી વર્ષગાંઠ પર…

*

છોકરું અઢાર વરસનું થાય એટલે એક તો એને પુખ્ત નાગરિકત્વ પ્રાપ્ત થાય અને બીજું, એને મતાધિકાર પણ મળે.

ગુજરાતી કવિતા અને કાવ્યાસ્વાદની સર્વપ્રથમ અને સહુથી વિશાળ વેબસાઇટ આજે અઢાર વર્ષ પૂરાં કરી પુખ્ત બની છે એ નિમિત્તે બે’ક વાત…

૦૪-૧૨-૨૦૦૪ના રોજ ધવલ શાહે લયસ્તરો વેબ્લોગની શરૂઆત કરી, અને કાળક્રમે હું, મોના નાયક (અમેરિકા) અને તીર્થેશ મહેતા સંપાદકમંડળમાં જોડાયા… વાચકમિત્રો અને કવિમિત્રોનો અપ્રતિમ પ્રેમ અમને અહીં સુધી લઈ આવ્યો –

૧૮ વરસ
૧૧૦૦ થી વધુ કવિઓ
૫૨૫૦ થી વધુ કૃતિઓ
૪૦૦૦૦ જેટલા પ્રતિભાવો
૨૦૦૦ જેટલા મુલાકાતીઓ દરરોજ

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વૉટ્સએપના વાવંટોળ વચ્ચે પણ લયસ્તરો પર પ્રતિદિન લગભગ બે હજાર જેટલી ક્લિક્સ થતી રહે છે, એ લયસ્તરો માટેના આપ સહુના અનવરત પ્રેમ અને ચાહનાની સાબિતી છે. આગળ જતાં પણ આપનો આ સ્નેહ અને સદભાવ બરકરાર રહે એવી અમારી દિલી ઇચ્છા છે…

ગુજરાતમાં અત્યારે ચૂંટણીનો માહોલ છે. બે તબક્કાની ચૂંટણીના વચગાળામાં લયસ્તરોની અઢારમી વર્ષગાંઠ આવી છે, એટલે તમારા બધાની સાથોસાથ લયસ્તરો પણ મતદાન કરવા તૈયાર છે… અઢારમી વર્ષગાંઠ નિમિત્તે ચાલો, આપણે રાજકારણ વિશેની થોડી કવિતાઓ માણીએ…

disclaimer : લયસ્તરો પર ‘રાજકારણપર્વ’ નિમિત્તે પૉસ્ટ કરાતી રાજકારણ વિશેની કવિતાઓ જે-તે કવિની અંગત ઉક્તિ છે. સંપાદકોની ટિપ્પણી કેવળ કવિતા-અનુલક્ષી છે. લયસ્તરો વેબસાઇટ કોઈપણ રાજકીય પાર્ટીનું કોઈપણ પ્રકારનું સમર્થન કે ખંડન કરતી નથી.

– ટીમ લયસ્તરો

*

લયસ્તરો પર આગળના વર્ષોની ઉજવણીમાં પણ આપ સમયની અનુકૂળતાએ જોડાઈ શકો છો:

Comments (12)

સમણાંનું ગીત – પ્રીતમ લખલાણી

આવું છું હું હમણાં…
એમ કહેતાં દૂર દૂર ક્યાં સરી ૨હ્યાં છે સમણાં?

બંધ હોઠમાં ઝૂરે છે બસ અહીંયા એક સવાલ,
આંખ્યું કોરી તોય હાથમાં ભીનો કેમ રૂમાલ?
ખુલ્લા દ્વારે કોઈ ગયાની મનમાં રહી ગઈ ભ્રમણા,
એમ કહેતાં દૂર દૂર ક્યાં સરી ૨હ્યાં છે સમણાં?

સાંજ ઢળ્યે દીવાની સગમાં રાત કરે કલશોર!
રહી રહીને રુદિયે ત્રોફ્યા ટહુકે છે કંઈ મો૨!
ઢળી ઢોલિયે પાંપણ ખૂલતાં લવકારા હો બમણાં,
એમ કહેતાં દૂર દૂર ક્યાં સરી ૨હ્યાં છે સમણાં?
આવું છું હું હમણાં…

– પ્રીતમ લખલાણી

મનનો માણીગર પાસે ન હોય ત્યારે પ્રોષિતભર્તૃકાનો એકમાત્ર સધિયારો એની યાદ અથવા એનાં સપનાં જ બની રહે છે. પણ વિરહસંતપ્ત આંખોમાં ઊંઘ આવે તો શમણાં આવે ને! હમણાં આવું છું કહીને દૂર દૂર સરી રહેલાં શમણાંના પ્રતીકની મદદથી કવિએ જે રીતે અનિદ્રાની વાત કરી છે એ કવિકર્મ સાચે જ ધ્યાનાર્હ છે. રૂમાલ ભીનો પણ આંખ કોરીવાળું કલ્પન પણ સહસા ધ્યાન ખેંચે છે. રૂમાલ ભીનો છે, મતલબ આંસુ તો આંખમાં નિરંતર આવી જ રહ્યાં છે. પણ તે છતાં કવિ આંખો કોરી હોવાની વાત કરે છે એનો સંદર્ભ પ્રિયજન અને/અથવા એના સ્વપ્નો આંખમાં આવતાં ન હોવા સાથે જોડાયેલ અનુભવાય છે.

Comments (6)

લયસ્તરોની સત્તરમી વર્ષગાંઠ પર…

*

ગુજરાતી કવિતા અને કાવ્યાસ્વાદની સર્વપ્રથમ અને સહુથી વિશાળ વેબસાઇટની આજે સત્તરમી વર્ષગાંઠ…

૦૪-૧૨-૨૦૦૪ના રોજ અમેરિકામાં ગુજરાત અને ગુજરાતી સાથે લુપ્ત થઈ ગયેલું અનુસંધાન સાધવા ધવલ શાહે લયસ્તરો વેબ્લોગની શરૂઆત કરી… સત્તર વર્ષની અવિરત યાત્રા બાદ આજે અગિયારસોથી વધુ કવિઓની ૫૦૦૦થીય વધુ રચનાઓ ગુજરાતી કાવ્યસાહિત્યપ્રેમીઓની સેવામાં આજે ઉપલબ્ધ છે… લયસ્તરો આજે ઑનલાઇન ગુજરાતી કવિતાનું પ્રતિષ્ઠિત સરનામું બની શક્યું છે એનો હર્ષ હૈયામાં સમાતો નથી.

સોશ્યલ મિડીયાઝની આંધી વચ્ચે ગઈકાલ બનતી જતી વેબસાઇટ્સ ક્યાં સુધી ઝીંક ઝીલી શકશે એ તો સમય જ કહેશે પણ હજી સુધી લયસ્તરોના ચાહકોનો સ્નેહ ઢાલ બનીને રક્ષણ કરી રહ્યો હોવાથી અમારો ઉત્સાહ હજી ટકી રહ્યો છે.. આ ઉત્સાહ આગળ જતાં પણ બરકરાર રહે એ માટે અમને આપ સહુના સ્નેહ-સાથની સતત જરૂર રહેશે… આપ અમારી સાથે ને સાથે જ રહેશો ને?

મહંમદ પયગંબરે કહ્યું હતું: ‘તારું સ્વર્ગ તારી માતાનાં ચરણોની નીચે છે.’ તો ચાલો, આ વરસે લયસ્તરોની વર્ષગાંઠની ઉજવણીના નિમિત્તે માતૃમહિમાના કાવ્યોના માધ્યમથી આ સ્વર્ગની થોડા વધુ નજીક સરીએ…

લયસ્તરો પર આગળના વર્ષોની ઉજવણીમાં પણ આપ સમયની અનુકૂળતાએ જોડાઈ શકો છો:

– ડૉ. ધવલ શાહ, મોના નાયક, ડૉ તીર્થેશ મહેતા, ડૉ. વિવેક ટેલર
(ટીમ લયસ્તરો)

Comments (49)

તથા કુરુ – રાજેન્દ્ર શુક્લ

વદી વદી વદ્યા ગરુ, યથેચ્છસિ તથા કુરુ.
ભર્યો છે ભીતરે ચરુ, યથેચ્છસિ તથા કુરુ.

ન ખોટું કે નથી ખરું, યથેચ્છસિ તથા કુરુ.
જે સૂઝ્યું તે કર શરૂ, યથેચ્છસિ તથા કુરુ.

નથી સરલ ન આકરું, યથેચ્છસિ તથા કુરુ,
થશે બધુંય પાધરું, યથેચ્છસિ તથા કુરુ.

ન ઘેરશે તને ધરું, યથેચ્છસિ તથા કુરુ.
ટકી શકે ન છાપરું, યથેચ્છસિ તથા કુરુ.

ભલે ન મન કહ્યાગરું, યથેચ્છસિ તથા કુરુ,
થવાનું એય પાંસરું, યથેચ્છસિ તથા કુરુ.

સખત છતાંય ફોતરું, યથેચ્છસિ તથા કુરુ,
પલક મહીં થશે પરું, યથેચ્છસિ તથા કુરુ.

સુદૂર છો અરુપરુ, યથેચ્છસિ તથા કુરુ,
સ્વયં થશે હરુભરુ, યથેચ્છસિ તથા કુરુ.

– રાજેન્દ્ર શુક્લ

ગઈકાલે આપણે કવિશ્રી વિરલ શુક્લની ‘યથેચ્છસિ તથા કુરુ’ રદીફવાળી ગઝલ માણી. કવિમિત્ર પ્રણવ પંડ્યાએ તરત જ એમની યાદદાસ્તના ગજવામાં હાથ નાંખીને આ ગઝલની એક પંક્તિની ચબરખી મોકલી આપી, અને ગુજરાતી સાહિત્ય અકાદમી (યુકે)ના ફેસબુક પેજ પરથી આખી રચના પણ મળી ગઈ.

કવિવરે જો કે ચુસ્ત કાફિયા સાથે સાત શેરની સળંગ મત્લા ગઝલ રચી છે.

શિષ્ય ગુરુ પાસે જ્ઞાન ઝંખે છે પણ ગુરુ (ગરુ) કહી કહીને એ જ કહે છે કે તારી ઇચ્છા મુજબ તું કર. ગુરુ જાણે છે કે સર્વેશ્વરની મરજી વિના પાંદડું પણ હલવાનું નથી અને પોતે ગમે એટલું જ્ઞાન કેમ ન આપે, શિષ્ય પણ અંતે તો ઈશ્વર આપેલી બુદ્ધિ અને એના જ ઈશારાને પોતાની મરજી ગણીને પોતાની રીતે જ બધું કરશે. ઈશ્વરરુપી ચરુ આપણા સહુની અંદર છે જ. એમાંથી આપણે આપણી ઇચ્છા મુજબ ગ્રહણ કરવાનું છે. દુનિયામાં કશું ખરું-ખોટું નથી, ઈશ્વરકૃપાથી જે સૂઝે એ જ શરૂ કરવાનું છે. એની કૃપાથી બધું પાધરું થશે અને કહ્યામાં ન હોય એવું મન પણ પાંસરું થશે.

અરુંપરું નો અર્થ આમ તો આડુંઅવળું કે અહીંતહીં થાય છે પણ કવિએ અનુસ્વાર ન વાપર્યા હોવાથી સાની મિસરાના સંદર્ભમાં અરુ એટલે અન્ય કે વિશેષ અને પરુ એટલે સ્વર્ગ એમ વધુ સમજાય છે, ભલેને બીજું કે વિશેષ સ્વર્ગ સુદૂર કેમ ન હોય, એ સ્વયં જ રૂબરૂ (હરુભરુ) થશે.

Comments (5)

રામરાજ્ય – લોકશાહી કે રોકશાહી?

આપણે ત્યાં લોકશાહી છે કે રોકશાહી?

એક કવયિત્રી, નામે પારુલ ખખ્ખરે કોરોનાકાળમાં શાસનતંત્રની નિષ્ફળતાને ચાબખા મારતું મરશિયું લખ્યું અને રાતોરાત ગુજરાતીઓની જનચેતના ઢંઢોળી નાંખી. ગુજરાતી સાહિત્યમાં આ અગાઉ કોઈ કવિતા આ હદે વાઇરલ થવાનો કોઈ કિસ્સો સ્મરણમાં આવતો નથી. આ કવિતાની જ સિદ્ધિ હતી કે એના ચાહકો અને તીકાકારો –બંનેમાંથી કોઈ એના તરફ દુર્લક્ષ સેવી ન શક્યું. કવયિત્રી પર ચારેતરફથી પુષ્પવર્ષાની સાથે જબરદસ્ત પથ્થરવર્ષા પણ થઈ. અમરેલીની સિંહણે પોતાની વૉલ પરથી કવિતા હટાવી લેવાની ફરજ પડી એ ગુજરાતી સાહિત્યની સૌથી મોટી કમનસીબ ઘટના લેખી શકાય. ભાગ્યે જ કોઈ નામી સાહિત્યકાર અને કવિઓ આ યુગપ્રવર્તક રચના અને રચનાકારના ટેકામાં આગળ આવ્યા એ એનાથીય મોટી કમનસીબી.

કવિતાને કવિતાની નજરથી જોવાનું આપણે ક્યારે શીખીશું? કવિનું કામ કવિતા કરવાનું છે, સમાજસેવા કરવાનું નહીં. પહેલાના જમાનામાં યુદ્ધમેદાનોમાં ભાટ-ચારણોનું આગવું સ્થાન રહેતું. ભાટ-ચારણો કવિતા લલકારીને સૈન્યને પોરસ ચડાવતા. પણ ભાટ-ચારણોએ તલવાર લઈને યુદ્ધમેદાનમાં ઝંપલાવવું નહોતું પડતું. કવિ અને સૈનિક વચ્ચેનો ભેદ એ જમાનાના અલ્પશિક્ષિત સમાજમાં પણ સુસ્પષ્ટ હતું, પણ આજના બહુશિક્ષિત બુદ્ધિજીવીઓ આ ભેદ સમજવામાં નિષ્ફળ રહ્યા છે. કવિએ જનજાગૃતિ માટે સાહિત્યસર્જન કરવું પણ જરૂરી નથી પણ કોઈ કવિ આ કામ કરે તો એની મૂલવણી કળાની દૃષ્ટિએ જ કરવી ઘટે. કવિતા ભલે રાજકારણ વિષયક હોય, પણ કવિતાના નામે રાજકારણ રમાવું ન જ જોઈએ.

તમને કવિતા ગમી છે? તો તમારું સ્વાગત છે.
તમને કવિતા નથી ગમી? તો તમારું સ્વાગત છે.

પણ પથ્થરમારો તો ન કરીએ…

આ કવિતા વિશે મને ગમેલા બે’ક અભિપ્રાયો:

ગુજરાતીમાં આવી કવિતા લખાય છે એ ખૂબ મોટી ઘટના છે. આ એક કવયિત્રીનો અવાજ નથી. આ અનેક ગુજરાતીઓનો અવાજ છે. મને લાગે છે કે ગુજરાતી ભાષામાં આ કવિતાનો અવાજ લાંબા સમય સુધી પડઘાયા કરશે.
– બાસુ

સિંહાસન ઉથલાવવાની તાકાત ધરાવતી કવિતા !!! શબ્દની-સાહિત્યની આ જ તાકાતથી સત્તાધીશો ધ્રૂજે છે ! પ્રલંબ સમયાવકાશ બાદ આવો ધિંગો કવિસ્વર સાંભળ્યો જે અચેતનને ઝંઝોટીને મૂકી દે ! પથ્થરમાં પ્રાણ પૂરે ! કવયિત્રીનો ઇરાદો સત્તાને ઝાટકા સાથે જાગ્રત કરવાનો છે કે હવે રાજધર્મ નિભાવો બાપા ! પ્રજાની વેદના સુણો અને ગલીએ ગલીએ ઉતરીને નાગરિકનારાયણની સેવા કરો ! સમય કઠિન છે પણ કઠિન સમયે જ પ્રજા રાજા પાસે ગુહાર પોકારે ને !!!! અત્યારે રાજા કૌવત ન બતાવે તો પ્રજા ક્યાં જશે !!?? સાચો રાજા આ કાવ્ય-ત્રાડથી સફાળો જાગી પોતાનો ધર્મ નિભાવે…..આ પ્રચંડ નાદને પોતાની અવમાનના ન ગણે !
– ડૉ. તીર્થેશ મહેતા

રાતોરાત આ કવિતાના હિંદી-મરાઠી અને અંગ્રેજી અનુવાદો પણ થયા છે. મૂળ રચનાની સાથોસાથ એ અનુવાદોને પણ આવકારીએ…

એક અવાજે મડદાં બોલ્યાં ‘સબ કુછ ચંગા-ચંગા’
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

રાજ, તમારા મસાણ ખૂટયા, ખૂટયા લક્કડભારા,
રાજ, અમારા ડાઘૂ ખૂટયા, ખૂટયા રોવણહારા,
ઘરેઘરે જઈ જમડાંટોળી કરતી નાચ કઢંગા
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

રાજ, તમારી ધગધગ ધૂણતી ચીમની પોરો માંગે,
રાજ, અમારી ચૂડલી ફૂટે, ધડધડ છાતી ભાંગે
બળતું જોઈ ફીડલ વગાડે ‘વાહ રે બિલ્લા-રંગા’!
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

રાજ, તમારા દિવ્ય વસ્ત્ર ને દિવ્ય તમારી જ્યોતિ
રાજ, તમોને અસલી રૂપે આખી નગરી જોતી
હોય મરદ તે આવી બોલો ‘રાજા મેરા નંગા’
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

– પારુલ ખખ્ખર

***
गुजराती में से अनुवाद: इलियास

एक साथ सब मुर्दे बोले ‘सबकुछ चंगा – चंगा’,
सा’ब तुम्हारे रामराज में शब-वाहिनी गंगा.
ख़तम हुये समशान तुम्हारे, ख़तम काष्ठ की बोरी,
थके हमारे कंधे सारे, आंखे रह गई कोरी
दर-दर जाकर यमदूत खेले
मौत का नाच बेढंगा
सा’ब तुम्हारे रामराज में शब-वाहिनी गंगा.
नित्य निरंतर जलती चिताएं
राहत मांगे पलभर
नित्य निरंतर टुटे चूड़ियां
कुटती छाती घर घर
देख लपटों को फ़िडल बजाते वाह रे ‘बिल्ला-रंगा’,
सा’ब तुम्हारे रामराज में शब-वाहिनी गंगा.
सा’ब तुम्हारे दिव्य वस्त्र, दिव्यत् तुम्हारी ज्योति,
काश असलियत लोग समझते, हो तुम पत्थर, ना मोती.
हो हिम्मत तो आके बोलो
‘मेरा साहब नंगा’
सा’ब तुम्हारे रामराज में शब-वाहिनी गंगा.

– इलियास

***

मराठी अनुवाद : सारनाथ आगले

एक मुखाने शव बोलले सब कुछ चंगा चंगा,
राजा, तुझ्या रामराज्यात, शव वाहिनी गंगा.

राजा,राज्यात स्मशान खुटले,संपले लाकडी भारे,
राजा,आमचे आसु आटले, खुंटले सोबत रडणारे.

घरोघरी जाऊन राजकारणाचा,नाच करती कढंगा.
राजा, तुझ्या रामराज्यात शव वाहिनी गंगा.

राजा,तुमची धगधग जोती थोडी उसंत मागे.
राजा,आमची कांकण फुटली. धडधड छाती भांगे

जळतं बघुन फिडल वाजती,येथे रंगा बिर्ला.
राजा तुझ्या रामराज्यात शव वाहिनी गंगा.

राजा तुझे दिव्य वस्र नी दिव्य तुझी ज्योती.
राजा तुला असली रुपात पुरी नगरी बघते.

मर्द कूणी असेल खरा म्हण, राजा मेरा नंगा.
राजा, तुझ्या रामराज्यात शव वाहिनी गंगा

– सारनाथ आगले

***

English Translation : Dr.G.K.Vankar

‘Everything is fine!’ the dead In a chorus nod their head,
O king, in your rule of Rama, the Ganges bears the dead.

O king, the crematoriums are scarce, so are the wood for pyre.;
Our mourners are scares and so are our weepers.
The messengers of Yama , dance so bad on every door,
O king, in your rule of Rama, the Ganges bears the dead.

O king, your chimneys ceaselessly shaking their heads long for rest.
O king, our bangles break, and we beat our chests to shreads,
Seeing it on fire, they fiddle, the duo ‘Billa and Ranga’,
O king, in your rule of Rama, the Ganges bear the dead.

O king, your royal dress is so divine, the aura so auspicious,
O king, in your original form The whole city watches you
Bewitched,in your original form.
If manly, I dare you shout, ‘ my king is nude’
O king, in your Ramarajya, the Ganges bear the dead

– Dr.G.K.Vankar

****
English Translation : Salil Tripathi (Grandson of Goverdhanram Tripathi)

Don’t worry, be happy, in one voice speak the corpses
O King, in your Ram-Rajya, we see bodies flow in the Ganges

O King, the woods are ashes,
No spots remain at crematoria,
O King, there are no carers,
Nor any pall-bearers,
No mourners left
And we are bereft
With our wordless dirges of dysphoria

Libitina enters every home where she dances and then prances,
O King, in your Ram-Rajya, our bodies flow in the Ganges

O King, the melting chimney quivers, the virus has us shaken
O King, our bangles shatter, our heaving chest lies broken

The city burns as he fiddles, Billa-Ranga thrust their lances,
O King, in your Ram-Rajya, I see bodies flow in the Ganges

O King, your attire sparkles as you shine and glow and blaze
O King, this entire city has at last seen your real face

Show your guts, no ifs and buts,
Come out and shout and say it loud,
“The naked King is lame and weak”
Show me you are no longer meek,
Flames rise high and reach the sky, the furious city rages;
O King, in your Ram-Rajya, do you see bodies flow in the Ganges?

– Salil Tripathi (Grandson of Goverdhanram Tripathi)

Comments (6)

હાસ્યમેવ જયતે : ૧૪ : તમારા ગયા પછી – ચંદ્રકાન્ત અંધારિયા ‘બદમાશ’

આપે ન કો’ ઉધાર, તમારા ગયા પછી,
આવે છે લેણદાર, તમારા ગયા પછી !

દરરોજ જોઉં છું હું ફિલમ ત્રીજા ખેલમાં,
ના કોઈ ટોકનાર, તમારા ગયા પછી !

તેજીમાં કાલ જે હતી મંદીમાં આવી ગઈ,
શૃંગારની બજાર, તમારા ગયા પછી !

ઘર-કામ કાજ વહેલો હું ઉઠતો’તો પણ હવે,
મોડી પડે સવાર, તમારા ગયા પછી !

‘બદમાશ’, ચોર, ગુંડા, લફંગા મળી બધા,
ઘરમાં રમે જુગાર, તમારા ગયા પછી !

– ચંદ્રકાન્ત અંધારિયા ‘બદમાશ’

પત્ની પિયર જાય એની પાછળ પતિના રંગ-રૂપ-ઢંગ કેવા પલટો લે છે એ નિર્દેશતી મજાની હઝલ! ગુજરાતી હાસ્યવ્યંગ્ય સાહિત્યમાં આવી શુદ્ધ અને ઉત્કૃષ્ટ રચનાઓ જવલ્લે જ જોવા મળે છે. સરળ ભાષામાં કવિએ સટિક વાત કરી છે, પણ ખરી મજા મક્તામાં છે. કવિએ જે બાહોશીથી તખલ્લુસને શેરમાં દૂધમાં સાકરની જેમ એકરસ કરી દીધું છે, એ શૂન્ય અને બેફામ જેવા સિદ્ધહસ્ત કવિઓની યાદ અપાવે છે.

Comments (4)

લયસ્તરોની સોળમી વર્ષગાંઠ પર…

*

ગુજરાતી કવિતા અને કાવ્યાસ્વાદની સર્વપ્રથમ અને સહુથી વિશાળ વેબસાઇટ આજે ષોડશી થઈ…

સોળ વર્ષ પહેલાં આજના દિવસે અમેરિકામાં ધવલ શાહે આ વેબ્લોગની શરૂઆત કરી… એક-એક કરતાં આજે એક હજારથી વધુ કવિઓની ૪૮૦૦ જેટલી રચનાઓ ગુજરાતી કવિતાપ્રેમીઓને અમે પીરસી શક્યાં છીએ એનો આનંદ… વિશેષ આનંદ એ વાતનો છે કે સાહિત્યરસિક મિત્રોની સાથોસાથ સિદ્ધહસ્ત કવિઓએ પણ અમારા આ પુરુષાર્થને મોકળા મને બિરદાવ્યો છે. લયસ્તરો આજે ઑનલાઇન ગુજરાતી કવિતાનું પ્રતિષ્ઠિત સરનામું બની શક્યું છે એનો હર્ષ હૈયામાં સમાતો નથી.

સોશ્યલ મિડીયાઝની ભરમાર વચ્ચે વેબસાઇટ્સ ગઈ ગુજરી બનવાને આરે હોવા છતાં લયસ્તરોના ચાહકો આજ સુધી અમારી પડખે ને પડખે જ રહી અવિરત હૂંફ પૂરી પાડી રહ્યા હોવાથી અમારું અસ્તિત્ત્વ હજી ટકી રહ્યું છે… સ્વીટ સિક્સ્ટીનના આ નવલા-નાજુક વળાંકે અમે સહુ આપ સહુનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ…

૨૦૨૦નું આખું વર્ષ કોરોના ૧૯ના વૈશ્વિક રોગચાળાની નાગચૂડમાં વેડફાઈ ગયું. વૈશ્વિક મહામારી વૈશ્વિક નિરાશા પણ લઈને આવી છે… તો આવા સમયે સોળમી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે કોરોના રોગચાળાની ઉદાસી વ્યક્ત કરતી કાજળકાળી કવિતાઓ રજૂ કરવાના બદલે અમે હાસ્ય-વ્યંગ્યની હળવી રચનાઓનો રસથાળ લઈને રવિવારથી આપ સહુ સમક્ષ ઉપસ્થિત થઈશું… કારમા કોરોનાકાળમાં પળભર માટે પણ આ કવિતાઓ આપના ચહેરા પર થોડી પ્રસન્નતા આણી શકે તો અમારું સદભાગ્ય…

કાવ્ય અને કાવ્યાસ્વાદની આ યાત્રા આપ સહુ વાચકમિત્રોના એકધારા સ્નેહ અને સદભાવ વિના શક્ય જ નહોતી…. આપ સહુનો પ્રેમ આ જ રીતે મળતો રહેશે એવી આશા સાથે આપ સહુનો સહૃદય આભાર..

-ડૉ. ધવલ શાહ, મોના નાયક, ડૉ તીર્થેશ મહેતા, ડૉ. વિવેક ટેલર
(ટીમ લયસ્તરો)

Comments (93)

આજે લયસ્તરોની પંદરમી વર્ષગાઠ

લયસ્તરો દ્રારા કવિતાના આનંદનો ગુલાલ કરવાના ઉદ્યમને આજે 15 વરસ પુરા થાય છે. કવિતાની હુંફમાં આટલો પસાર કરવાનો અવસર થયો એ ઈશ્વરનો ઉપકાર જ ગણાય. આ અવસરે હું લયસ્તરોની ટીમ – મોના, તીર્થેશ, વિવેક અને મારા – તરફથી સઘળા કવિઓ, સ્નેહીજનો અને વાચકોનો આભાર માનું છું.

મા ગુજરાતીને ઇન્ટરનેટ પર પ્રસરતી જોવાનો આનંદ બહુ મોટો છે. ગુજરાતી કવિતા રોજે રોજ બદલાઈ રહી છે અને વિસ્તરી રહી છે. વધુને વધુ લોકો પોતાના સાંસ્કૃતિક (અને સાહિત્યિક) મૂળિયાંની શોધમાં ગુજરાતી ભાષા તરફ પાછા ફરી રહ્યા છે. ગુજરાતી સાહિત્ય, નાટકો, ફિલ્મો બધું ઓસરવાને બદલે ઉભરાતું જાય છે. ઉમદા કામ કરવા સક્ષમ એવું નવું લોહી ગુજરાતી ભાષાપ્રવાહમાં ઉમેરાતું જાય છે. આ બધું એક ચમત્કારથી ઓછું નથી.

દર વર્ષે લયસ્તરોની વર્ષગાંઠ કંઈક નવું કરીને ઉજવવાનો ક્રમ અમે આ વખતે પણ ચાલુ રાખીશું. આવતું અઠવાડિયું આપણે સૂફી કવિતાઓની સાથે પસાર કરીશું. એનો પહેલો મણકો આવતી કાલે આવશે. તો આજે શું? આજે લયસ્તરોની પંદરમી વર્ષગાઠ નિમિત્તે હું તમારી સાથે કવિતાની મને ગમતી પંદર વ્યાખ્યાઓ રજુ કરું છું, ‘કવિતા એટલે શું?’ એ અનુત્તરણીય પ્રશ્નનો જવાબ શોધવામાં એ હાથવાગી થશે એવી આશા સાથે 🙂

કવિતા માનવીનો પોતાના હોવાપણાની સામેનો વિદ્રોહ છે. – જેમ્સ બ્રાન્ચ કાબેલ

કવિતા એક પડઘો છે જે એક પડછાયાને નાચવા માટે આમંત્રિત કરે છે. – કાર્લ સેન્ડબર્ગ

જે અનુવાદમાં ખોવાઈ જાય છે એ કવિતા હોય છે. – રોબર્ટ ફ્રોસ્ટ

કવિતા એટલે હકીકતની વ્યાખ્યા. – ઇડિથ સીટવેલ

કવિતા કે ગીત એ તમે સમજી શકો એવી ચીજ નથી, એ એવી ચીજ છે જે તમને સમજી શકે છે. – વિન્ની ધ પૂ(એ.એ. મિલ્ને)

કવિતા એ રોજનીશી છે જમીન પર રહેતા જળચરોની, જે હવામાં ઉડવાની ઈચ્છા રાખે છે. – કાર્લ સેન્ડબર્ગ

ખરી કવિતા એ જે સમજાતા પહેલા જ સમજાઈ જાય. – ટી. એસ. ઇલિયટ

કવિતા અવાજના આશીર્વાદથી જન્મેલું ચિત્ર છે. – સિમોનિડીસ

કવિતા મૌનનું અનાથ બાળક છે જેને શબ્દોએ દત્તક લીધેલું છે. – ચાર્લ્સ સિમિક

મારું માથું કોઈએ વાઢી લીધું હોય એવું લાગે, ત્યારે હું માનું કે એ કવિતા છે. – એમિલી ડીકીનસન

કવિતા એ જિંદગીનો પુરાવો છે. એ બળતી જિંદગીની ખરતી રાખ માત્ર છે. – લેનાર્ડ કોહન

જીવનમાં યાદ રાખવા જેવું જે કશું છે એ કવિતા છે. – વિલિયમ હાઝલીટ

કવિતા એ સુખ અને સત્યનું ચોખટુ બેસાડવાની કળા છે. – સેમ્યુઅલ જ્હોનસન

કવિતા એટલે જિંદગીને ગળચીથી પકડી લેવાની કરામત. – રોબર્ટ ફ્રોસ્ટ

કવિતા એટલે આત્માની માતૃભાષા. – ઉમાશંકર જોશી

લોહીનું  શ્યાહી  માં  રૂપાંતર  એટલે  કવિતા. – હરીન્દ્ર  દવે (આભાર: કેતન યાજ્ઞિક)

Comments (54)

સુખ તો એવું લાગતું…..- દિલીપ જોશી

સુખ તો એવું લાગતું જાણે પાંદડા ઉપર પાણી.
ઉક્કેલવી એ કેમ કરી આ પરપોટાની વાણી ?

આંખ ખોલું તો મોસૂઝણું
ને આંખ મીંચું તો રાત
ખૂલવા ને મીંચવા વચ્ચે
આપણી છે ઠકરાત

પળમાં પ્રગટે ઝરણાં જેવી કોઈની રામકહાણી.
સુખ તો એવું લાગતું જાણે પાંદડા ઉપર પાણી.

ટહુકો નભમાં છલકી ઊઠે
એટલો હો કલરવ
સાંજનો કૂણા ઘાસ ઉપર
પથરાયો પગરવ

લીંપણ કોઈ ગાર-માટીનું સહુને લેતું તાણી.
સુખ તો એવું લાગતું જાણે પાંદડા ઉપર પાણી.

  • દિલીપ જોશી

Comments (1)

માંડ રે મળી છે….- હરીન્દ્ર દવે

માંડ રે મળી છે અલ્યા, ઉજ્જડ આ સીમ
આમ અળગો અળગો તે શીદ ચાલે,
આંકડિયા ભીડી લે લજ્જાળા છેલ !
ભલે એકલદોકલ કોક ભાળે…

મૈયરનો મારગડો મેલી દીધો છે હવે
મોકળું મૂકીને મન ફરીએ,
આંખનો હિલોળે ઝૂલી લઇએ વ્હાલમ,
થોડું નેહના નવાણ મહીં તરીએ…

સાંજ ક્યાં નમી છે ? હજી આટલી ઉતાવળ શું ?
વેળ થ્યે લપાઈ જાશું માળે…

હમણા વંકાશે વાટ સાસરિયે જાવાની
થંભી જશે થનગનતી પાની,
નીચાં ઢાળીને નેણ ચાલીશું રાજ
અમે લાજ રે કાઢીશું વ્હેતા વા’ની;

મોકો મળે તો જરા ગોઠડી કરશું
ચોરી છૂપીથી આંખડીના ચાળે…

  • હરીન્દ્ર દવે

સિદ્ધહસ્ત કલમની સિદ્ધહસ્ત કલમની તાકાત એકીનજરે પારખી જવાય….ગણગણતા જ રહીએ આ ગીત એવું મન થાય….

Comments (3)

ઉદાસી – વિરલ દેસાઈ

કોઈ કળી શક્યું ના આ દ્વારની ઉદાસી
એને ગળી ગઈ છે ઘરબારની ઉદાસી

ઉંચા વિચાર,શેરો ને ફિલસૂફી જીવનની
કંઈ કેટલું દઈ ગઈ પળવારની ઉદાસી

જુદી-જુદી કરી છે મારી સરળતા માટે
અજવાસની ઉદાસી,અંધારની ઉદાસી

આખું જગત બનાવી હેરાન થઈ ગયો છે
કેવી વિશાળ મળશે કરતારની ઉદાસી

અવસરના જોશ કરતાં એ હોય છે વધારે
અવસર પત્યા પછીના સુનકારની ઉદાસી

  • વિરલ દેસાઈ

કવિનો ઝાઝો પરિચય નથી, પણ વાતમાં દમ છે…..

Comments (6)

ફૂલ કેવળ એ જ વિશ્વાસે ઊગે – રમેશ પારેખ

ફૂલ કેવળ એ જ વિશ્વાસે ઊગે
કે સૂર્ય સાંખી લેશે મારું ઊગવું
શીશ હું ઉંચકીશ તો આકાશ
બેઅદબી કે ગુનો નહીં ગણે….

ફૂલ કેવળ એ જ વિશ્વાસે ઊગે
કે હું ઝૂલું તો ઝૂલવા દેશે પવન-
ડારા નહીં દ્યે,
બોજ મારી મ્હેકનો તો
સ્હેજ પણ એને નહીં લાગે.

ફૂલ કેવળ એ જ વિશ્વાસે ઊગે
કે પછી હું થાકું ને ટપ દઈને ખરું
તો ધૂળ
એની વ્હાલસોયી ગોદમાં
ક્યારે ય ખરવાની મનાઈ નહીં કરે….

-રમેશ પારેખ

ફૂલ……બાળક……

Comments (3)

મૃગજળ વગેરે – ભગવતીકુમાર શર્મા

રેત – ડમરી – મૃગ – તરસ – મૃગજળ વગેરે…
મન – મરણ – શ્વાસો – અનાદિ છળ વગેરે…

છે – નથી – હોઈ શકે – અથવા – કદાચિત;
હું – તું – આ – તે – તેઓની સાંકળ વગેરે…

ત્યાં – અહીં – પેલી તરફ – પાસે ક્ષિતિજ પર,
ધૂળ – ધુમ્મસ – માવઠું – જાળસ્થળ વગેરે…

આ – વિકલ્પો – તે – અગર પેલું – વિકલ્પે;
સ્મિત – અશ્રુ – મોતી કે ઝાકળ વગેરે…

‘જો’ અને ‘તો’ – ‘પણ’ અને ‘બણ’ કે પછી
કોણ? – કોઈ – કઈ – કશું – નિષ્ફ્ળ વગેરે…

કાલ – હમણાં – અબઘડી – કાલે પરમ દિ’;
કાળ – યુગ – સૈકા – વરસ પળપળ વગેરે…

શ્વાસ – ધબકા – હૃદય -લોહી – શિરાઓ;
લાગણી – ડૂસકું – ચિતા બળબળ વગેરે…

-ભગવતીકુમાર શર્મા

અર્થની ફીકર ના કરતા… આખી એબસ્ટ્રેક્ટ ગઝલ એક-શ્વાસે વાંચી જજો … એ અનુભુતીમાંથી પસાર થઇ જજો … અર્થના એક પછી એક પડ ઉઘડતા જશે એની મારી ગેરેન્ટી !

Comments (6)

લયસ્તરો – ચિત્રલેખાના પાને…

‘ચિત્રલેખા’ જેવું માતબર ગુજરાતી સામયિક ગુજરાતી કવિતાઓની સૌથી વિશાળ વેબસાઇટની વિગતવાર નોંધ લે ત્યારે હર્ષોલ્લાસની લાગણી તો જન્મે જ ને…! અને આ ગૌરવવંતી પળ આપ જેવા વાચકોના સ્નેહ વિના શક્ય જ નહોતી એટલે આ પળે ચિત્રલેખા, પત્રકાર ફયઝલ બકીલી તથા આપ સહુનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ…

– ધવલ, વિવેક, તીર્થેશ, મોના

(ટીમ લયસ્તરો)

Comments (10)

ચૌદમી વર્ષગાંઠ પર… : અછાંદસોત્સવ

લયસ્તરોની વર્ષગાંઠ પર દર વર્ષે વાચકોને કંઈક નવીન આપવાની અમારી નેમ રહેતી હોય છે. આ રહ્યો વીતેલા વર્ષોનો હિસાબ… જે તે પ્રકાર પર ક્લિક કરીને આપ જે તે પ્રકારની રચનાઓનો પુનઃઆસ્વાદ પણ લઈ શકશો..

આ વર્ષે અછાંદસ કવિતાઓનો રસથાળ માણીએ…

વિશ્વામિત્ર સાહિત્યદર્પણના પ્રથમ પરિચ્છેદમાં જ લખે છે: ‘वाक्यं रसात्मकं काव्यम्’ (જેમાં રસ પડે એ વાક્ય કવિતા છે) છંદના બંધન ફગાવવાની મથામણ દરેક અભિવ્યક્તિની અનિવાર્યતા છે. એટલે જ દરેક ભાષામાં છાંદસ અને અછાંદસ કાવ્યપ્રકાર અસ્તિત્વમાં આવ્યા છે.

અછાંદસ કવિતા સૌથી સરળ ભાસતી પણ વાસ્તવમાં સૌથી કઠિન કાવ્યપ્રકાર છે. કમનસીબે ગુજરાતી ભાષામાં બહુ ઓછા કવિઓ સાચા અર્થમાં ઉત્તમ અછાંદસ કવિતા આપવામાં સફળ રહ્યા છો. મોટાભાગના કવિઓ ચાટુક્તિસભર અને ચોટસભર ગદ્યલખાણને જ અછાંદસ કવિતા ગણીને ચાલે છે અને ગુજરાતી વાચકોને પણ આ પ્રથા માફક આવી ગઈ હોઈ એમ લાગે છે, કેમકે ક્યાંય કોઈ વિરોધ છે જ નહીં. હશે, આપણે તો અહીં મજા કરવા માટે ભેગાં થયાં છીએ એટલે ઉત્તમ કે શ્રેષ્ઠ નહીં, પણ માણવાની મજા પડે એવા અછાંદસ કાવ્યોનો રસથાળ અત્રે પીરસવું શરૂ કરીએ છીએ…

આપના પ્રતિભાવ જ અમારું ખરું ચાલકબળ છે, એટલે પ્રતિભાવ આપવામાં કચાશ કે કંજૂસાઈ ન કરશો…

Comments (7)

લયસ્તરોની ચૌદમી વર્ષગાંઠ પર….

ગુજરાતી કવિતાની સૌપ્રથમ અને સૌથી વિશાળ વેબસાઇટ લયસ્તરોએ ૦૪-૧૨-૦૨૦૧૮ના રોજ ચૌદ વર્ષનું સીમાચિહ્ન સર કર્યું. ૧૪ વર્ષ, ૯૫૦થી વધુ કવિઓ અને ૪૩૦૦થી વધુ પૉસ્ટ્સ…

ચૌદ વર્ષે તો રામનો વનવાસ પણ ખતમ થઈ ગયો હતો… પણ લયસ્તરો પર ચાલતો આ કવન-વાસ કદી પૂરો ન થાય એમ અમે ઇચ્છીએ છીએ…

કાવ્ય અને કાવ્યાસ્વાદની આ યાત્રા આપ સહુ વાચકમિત્રોના એકધારા સ્નેહ અને સદભાવ વિના શક્ય જ નહોતી…. આપ સહુનો પ્રેમ આ જ રીતે મળતો રહેશે એવી આશા સાથે આપ સહુનો હૃદયપૂર્વક આભાર..

-ડૉ. ધવલ શાહ, ડૉ તીર્થેશ મહેતા, ડૉ. વિવેક ટેલર, મોના નાયક
(ટીમ લયસ્તરો)

Comments (16)

પહોંચવું છે… – ભગવતીકુમાર શર્મા

અધ:માં છું ને ઊર્ધ્વે પહોંચવું છે,
તળેટીથી યે શિખરે પહોંચવું છે.

કોઈ રીતે સમીપે પહોંચવું છે,
‘હું’ -’તું’ – ‘તે’ ના અભેદે પહોંચવું છે.

હતો, છું, ને હઈશ કેવળ નદીમાં,
કહ્યું કોણે કે કાંઠે પહોંચવું છે?

બધે રસ્તેથી હું પાછો વળ્યો છું,
ફક્ત એનાં જ દ્વારે પહોંચવું છે.

છે રણમાં સૂર્યની શિરમોર સત્તા,
આ નદી મૃગજળની, તીરે પહોંચવું છે.

કોઈ તારાને ખરતો રોકવાને,
મળે જો પાંખ આભે પહોંચવું છે.

ઢળી છે સાંજ, ઈંધણ ભીનાં ભીનાં,
ઉતાવળ છે, ચિતાએ પહોંચવું છે.

– ભગવતીકુમાર શર્મા

Comments (1)

હું તો લજામણીની ડાળી – તુષાર શુક્લ

ઓ મારા મન ઉપવનના માળી હું તો લજામણીની ડાળી.

મહિયરમાં મસ્તીમાં ઝૂમી મનગમતું મરજીથી ઘૂમી;
વગર ઓઢણે શેરી પાદર પવન પજવતો ચૂમી ચૂમી;
આજ હવે અણજાણ્યે આંગણ પ્રીત બની ગઈ પાળી.

મહિયરની માટીમાં મ્હોરી, શ્રાવણ ભીંજીમ, ફાગણ ફોરી;
કૈંક ટહુકતાં સ્મરણો ભીતર, ચૂનરી છોને કોરી કોરી;
સપનાં જેવી જિંદગી જાતે ગાળી અને ઓગાળી.

એક ક્યારેથી બીજે ક્યારે રોપાવું ને ઊગવું મારે;
મહિયરની માટી સંગાથે આવી છું હું આંગણ તારે;
સ્નેહથી લે સંભાળી સાજન વ્હાલથી લે જે વાળી.

– તુષાર શુક્લ

 

પરંપરાગત ગીત છે પણ માવજત અફલાતૂન છે……

Comments (2)

નોટબુકના પાનાંથી શાળાના પાઠ્યપુસ્તક સુધી…

કવિતા લખવાનું તો છેક પાંચમા ધોરણમાં સાડા નવ વર્ષની વયે જ શરૂ કરી દીધું હતું એટલે ગુજરાતી વાચનમાળામાં નરસિંહ-મીરાં, અખો-દયારામ, નર્મદ-ન્હાનાલાલ, ઉ.જો.-સુન્દરમની હારોહાર ક્યારેક મારું નામ પણ આવશે એવું સ્વપ્ન પણ સેવ્યું હતું… આજે આપ સહુ મિત્રો-સ્નેહીઓ સાથે ખુશીના આ સમાચાર વહેંચતા અત્યંત હર્ષોલ્લાસની લાગણી અનુભવું છું કે મહારાષ્ટ્ર રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના ધોરણ દસમાના પાઠ્યપુસ્તક “ગુજરાતી સાહિત્યભારતી”માં મારી ગીતરચનાનો પાઠ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે…

ગુજરાતી ભાષાની સર્વપ્રથમ સ્વરચિત કાવ્યોની વેબસાઇટ – vmtailor.com પરથી આગળ વધીને પાઠ્યપુસ્તક સુધીની આ મુસાફરી આપ જેવા મિત્રોના એકધારા સ્નેહ અને લગાતાર પ્રોત્સાહન વિના શક્ય જ નહોતી… એટલે પાઠ્યપુસ્તક મંડળની સાથોસાથ આપ સહુ પ્રિયજનોનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું…

Comments (11)

(જખમ લઈને) – બરકત વીરાણી ‘બેફામ’

ખબર તો પડશે – જઈએ ચાલ સૌ પાસે જખમ લઈને;
ઊભા છે કોણ દુનિયામાં નમક લઈને, મલમ લઈને!

ભલા આ બોજ મારો ઊંચકે કોઈ બીજા કયાંથી?
ફરું છું હું જ ખુદ માથે બીજાનાં દર્દ-ગમ લઈને.

વિધાતા, હાથમાં મારા આ રેખા કે તિરાડો છે?
જીવું છું કેમ દુનિયામાં હું ફૂટેલાં કરમ લઈને?

અજાણી વાટે એક કરતાં ભલા બે – એમ સમજી ને ,
હું નીકળ્યો છું ખુદાની શોધમાં સાથે સનમ લઈને.

હસીને આવકાર્યો તેં, હસીને તેં વિદાય આપી,
હું આવ્યો’તો ભરમ લઈને, હું જાઉં છું ભરમ લઈને.

મેળે સાચો કોઈ દાતાર તો એને જ આપી દઉં,
હું ભટકું ક્યાં સુધી આ માગનારાની શરમ લઈને?

જઈશ હું સ્વર્ગમાં તો સૌ જીવોને એ જ કહેવાનો,
કે દુનિયામાં ન જાશો કોઈ માનવનો જનમ લઈને.

કલમને વેચી દેવાનોય આવે છે વખત બેફામ,
બહુ કપરું છે જીવન જીવવું કરમાં કલમ લઈને.

– બરકત વીરાણી ‘બેફામ’

Comments (6)

“શબ્દો છે શ્વાસ મારા”ની બારમી વર્ષગાંઠ પર…

શું આપ ગુજરાતી ભાષાને ચાહો છો? તો અત્યારે જ ક્લિક કરો….

http://vmtailor.com/archives/4625

ગુજરાતી ભાષાની સર્વપ્રથમ સ્વરચિત કાવ્યોની વેબસાઇટ – શબ્દો છે શ્વાસ મારા (vmtailor.com) આજે નિયમિત બ્લૉગિંગના એક-બે નહીં, ૧૨-૧૨ વર્ષ પૂરાં કરી આજથી તેરમા વર્ષમાં શુભપ્રવેશ કરે છે… ૧૨ વર્ષ, ૫૭૦ જેટલી પૉસ્ટ્સ, અને ૧૩૦૦૦થી વધુ પ્રતિભાવોની આ મુસાફરી આપ સહુના સ્નેહ વિના શક્ય જ નહોતી… તો આવો, આજે ફરી એકવાર આપના પ્રેમની વર્ષા કરવા ભૂલ્યા વિના સમય ફાળવીને મારા આંગણે પુનઃ પધારો…

આપના આશીર્વચન અને સ્નેહકામનાઓની પ્રતીક્ષામાં…
-વિવેક

Comments (11)

‘લયસ્તરો’ની સફર ના તેર વર્ષ પૂરા

‘લયસ્તરો’ની સફરને આજે તેર વર્ષ પૂરા થાય છે.

તેર વર્ષ એટલે ૪૭૦૦થી ઉપર દીવસો. એટલા દીવસોમાં વહેંચી ૪૦૦૦થી વધારે કવિતાઓ.’લયસ્તરો’ની આ સફર કલ્પનાતીત છે. ગુજરાતી કવિતાને – અરે ગુજરાતીને જ- વેબ પર કોણ પૂછવાનું એવું કહેવા વાળા ઘણા હતા. એની સામે કવિતાને દિલોજાનથી ચાહનારા ને માણનારા ઓછા હતા. પણ જે હતા એ બધા દિલદાર હતા. એ ચંદ લોકોના પ્રેમથી પોષઇને ‘લયસ્તરો’નો છોડ ઉછરી ગયો જે આજે તો વટવૃક્ષ થયો છે. તહેદિલથી અમે એ બધા શુભેચ્છકો, વાંચકો, કવિઓ અને મિત્રોનો આભાર માનીએ છીએ.

માર્ક ટ્વેને એક વાર કહેવુ પડેલું, “The reports of my death are greatly exaggerated.” ગુજરાતી ભાષાના ગુજરી જવાના સમાચાર એવી જ રીતે ખોટા પડ્યા છે એનો સૌથી વધારે આનંદ છે. લાયબ્રેરીઓના ઘૂળીયા કબાટોમાં છેલ્લા શ્વાસ લેતી ગુજરાતી આજે ષોડશીના જોમ સાથે વેબ અને વોટ્સએપ પર વટથી ફરી રહી છે એ પણ કંઇ ચમત્કારથી ઓછી વાત નથી.

અણગણિત કવિઓ -અને ખાસ કરીને નવી પેઢીના કવિઓ- રોજેરોજ મા ગુર્જરીને જે જતનથી નિતનવીન નૈવેદ્ય અર્પણ કરી રહ્યા છે એ ગર્વની વાત છે. ગુજરાતી કવિતામાં નવા પ્રયોગો ખૂબ થઈ રહ્યા છે. બીજી ભાષાઓ સાથે આદાન-પ્રદાન પણ વધતું જાય છે. આ બધુ જોઇને ગુજરાતી હોવાનો કેફ એટલો વધારે ચડે છે.

દર વર્ષે ‘લયસ્તરો’ની વર્ષગાંઠની ઉજવણી કશુંક અલગ કરીને કરવાનો ક્રમ આ વખતે પણ ચાલુ રાખવાનો પ્રયાસ છે. આ વખતે આપણા લોકગીતોના ખજાનામાંથી થોડા રત્નો એક અઠવાડિયા સુધી રોજ રજુ કરવાનો વિચાર છે. સામુહિક ચેતનાથી ઘડાયેલા લોકગીતોની તો પોતાની જ આગવી મઝા અને મીઠાશ છે. તો આવતી કાલે મળીશુ આપણા લોકગીતોની સફરના પહેલા મુકામ સાથે.

Comments (24)

નૂતન વર્ષાભિનંદન…

Comments (10)

પાંડોબા અને મેઘધનુષ્ય – ઉદયન ઠક્કર

દૃશ્ય :

મુંબઈના ત્રીજા ભોઈવાડામાં ‘હરિનિવાસ’ મકાનની અગાસી. ખૂણાની મોરી પાસે એક આધેડ વયસ્ક વ્યક્તિ ધડાધડ વાસણો સાફ કરે છે. વરસાદનાં ફોરાં પડવાં શરૂ થયાં છે.

નેપથ્યે :

પાંડુ કાંબળે લબ્ધ-પ્રતિષ્ઠિત, ખાતરીવાળો રામો છે
જેના હાથમાં મોટાં મોટાં કુટુંબનો પાયજામો છે
કપડાં-વાસણનું પ્રતિમાસે ત્રીસ નગદનું ભથ્થું છે
પાંડોબાનું કાર્યક્ષેત્ર, ભોઈવાડામાં, એકહથ્થુ છે
(પાનસભર) મોઢાને એ ક્યાં સમ ખાવા પણ ખોલે છે?
પાંડોબા વર્ષોથી ચુપ છે, વાસણ-કપડાં બોલે છે…

આકાશમાં સાત રંગો કોળી રહ્યા છે. તાજા જ ખીલેલા મેઘધનુષ્યની નજર ‘હરિનિવાસ’ પર પડે છે. કોણ જાણે કેમ, મેઘધનુષ્યને પાંડોબા પર વ્હાલ ઊપજે છે.

મેઘધનુષ્ય :

ઉહ્ ઉહ્ (પાંડોબાનું ધ્યાન આકર્ષવા ખાંસી ખાય છે.)

પાંડોબા :

ઘસર ઘસર (વાસણો ઉજ્જવળ કરે છે.)

મેઘધનુષ્ય :

સદા કાર્યરત આંખો વચ્ચે ચપટીક વિસ્મય આંજીને
રે પાંડોબા, અહીં પણ જોજો, એલ્યુમિનિયમ માંજીને

કેટકેટલાં વર્ષો પહેલાં, યાદ છે? આપણે મળ્યાં હતાં?
આછા તડકામાં, જ્યારે ખેતરના શ્વાસો ભળ્યા હતા
કપોલ પર જલશીકરના અનવરત પ્રહારો થતા હતા
તારા હાથોમાં, બીજા પણ કોક હાથ ખળખળ્યા હતા!

બે પારેવાં જેવાં, મેં વર્ષામાં તમને દીઠેલાં
મૌન થયેલાં, મૂંઝાયેલાં, એકમેકને અડકેલાં…

તને સાત રંગોની ઇર્ષા થઈ કે નહીં, એ ખબર નથી
ઓષ્ઠ વગરનાં મારા આયુષ, મને તે ક્ષણે ખટકેલાં!

પાંડોબા :

વાસણ બાજુએ કરે છે, હાથ પરની રાખ ખંખેરે છે, મેઘધનુષ્ય તરફ જુએ છે.

મેઘધનુષ્ય :

ખેતર જેને ટૂંકાં પડતાં—આજે ચાર દીવાલોમાં
યથાશક્તિ રોમાન્સ કરે છે, ભોઈવાડાની ચાલોમાં.
શું છે ભોઈવાડાથી મોટું? ચણિયા કરતાં રંગીન પણ?
ના સમજ્યો તેથી વેડફાયો, પાંડોબા નામે એક જણ
ભલે જીવીએ સ્હેજ, તોય જીવીએ ઝળહળમાં, પાંડોબા
વાસણ મૂકી ક્વચિત્ નીકળી પડો સકળમાં, પાંડોબા

પાંડોબા ઊભા થાય છે. હાથ લંબાવીને મેઘધનુષ્યને પકડે છે.
આકાશથી ઉતારે છે.
‘501 બાર’ સાબુથી એને ધુએ છે, નીચોવે છે,
પછી ધોળાધબ્બ થયેલા મેઘધનુષ્યને,
ક્લીપ લગાડીને આકાશે ટાંગી દે છે.

આ જોઈને ‘હરિનિવાસ’ના બીજા માળે રાખેલો
એક પોપટ પિંજરામાંથી બોલે છે કે,
‘પગાર તીસ રૂપયડી હોય,
ત્યારે ભલભલાં મેઘધનુષ્યો પણ ધોળાંધબ્બ થઈ જતાં હોય છે,
સીતારામ.’

– ઉદયન ઠક્કર

એક નવતર પણ બળકટ પ્રયોગ….વાતમાં વજન છે !

Comments (6)

બંધ છે જે કમાડ – નીરવ વ્યાસ

બંધ છે જે કમાડ, ભીતરથી,
સંત, એને ઉઘાડ, ભીતરથી.

છેક પહોંચે ત્વચાને ચીરીને,
રંગ એવા ઉડાડ ભીતરથી.

આમ એણે અડયો નથી, કિન્તુ,
થઈ ગઈ છેડછાડ, ભીતરથી.

વાદ્ય ફિક્કાં બધાં પડી જાશે,
ગીતનો લે ઉપાડ, ભીતરથી.

ચિત્ત-ભ્રામક બધાં ત્યજી ઔષધ;
દર્દ મારું મટાડ, ભીતરથી.

– નીરવ વ્યાસ

મજાની ગઝલ. રદીફ તંતોતંત નિભાવી હોય એવી ગઝલો આમેય ઓછી જોવા મળે છે.

Comments (9)

ઈર્શાદગઢ : ચિનુ મોદી અને ‘ખારાં ઝરણ” વિષે…

આજે શ્રી ચિનુ મોદી આપણી વચ્ચે નથી રહ્યા… પંદરમી ઑગસ્ટ, ૨૦૧૬ના રોજ ચિનુકાકા વિશે અને એમના સંગ્રહ “ખારાં ઝરણ”વિશે લખેલો એક સમીક્ષાત્મક લેખ આજે પ્રસ્તુત છે:

આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?
ઇચ્છાને હાથ-પગ છે, એ વાત આજે જાણી.

સ્વર્ગની લાલચ ન આપો, શેખજી !
મોતનો પણ એક મોભો હોય છે.

એક જણ સાચું રડે તો બહુ થયું,
મૌન ક્યાં આખી સભાનું જોઈએ ?

મુસીબત પડી એ તો સારું થયું,
સ્વજનને તો સરવાનો મોકો મળ્યો.

– આમાંથી કોઈ પણ શેર કવિના હસ્તાક્ષરનો મહોતાજ નથી. ગુજરાતી ગઝલ પરંપરાના આ અમર શેર કોઈ આપણી સામે વાંચે કે તરત જ આપણી નજર સમક્ષ ગુજરાતી ગઝલનો એક મજબૂત અને અડીખમ યુગસ્તંભ આવી ઊભો રહી જાય.

જી હા. ચિનુ ચંદુલાલ મોદી. ઈર્શાદ. મહેસાણામાં વિજાપુર ગામમાં ૩૦-૦૯-૧૯૩૯ના રોજ જન્મેલા ચિનુ મોદી વિજાપુર, ધોળકા અને અમદાવાદ ખાતે ભણ્યા. બી.એ., એમ.એ, એલ.એલ.બી., અને પી.એચ.ડી. ચિનુ મોદીના સ્વભાવમાં બળવાખોરી પહેલેથી જ આમેજ હતી. પિતાજી ઇચ્છતા કે એ આઇ.એ.એસ. બને, પણ સાહેબ બન્યા ગુજરાતી શિક્ષક. પહેલા લગ્ન ૧૯૫૮માં જ્ઞાતિ બહાર. બીજા લગ્ન ૧૯૭૭માં હિંદુ છોકરી સાથે. ગુજરાતી કવિતાને સાવ શીર્ષાસન સમો કાયાકલ્પ કરાવનાર ‘રે’ મઠના પાયામાંના એક.

‘રે’મઠના અન્ય સાહસિકોની જેમ જ ચિનુ મોદી ‘ઈર્શાદ’ નો ગુજરાતી ગઝલના નવોન્મેષમાં અમૂલ્ય ફાળો છે. ગઝલને બીબાઢાળ બનતી અટકાવનાર સજાગ પ્રહરીઓમાં એ મોખરે આવે. ગઝલો ઉર્દૂમાં પણ લખે પરંતુ બે ભાષા પરની હથોટી કદી સીમા વળોટતી ન ભાસે એ એમની સિદ્ધહસ્તતા. ચીલાચાલુ રદીફ-કાફિયાથી દૂર રહી, આડંબરી ભાષાથી હટીને, લપસણા વિશેષણોમાં લપસ્યા વિના, પુનરાવર્તન અને પુનરોક્તિના ભયસ્થાનોથી અળગા ચાલતા ચિનુ મોદીની ગઝલો એ ગુજરાતી ભાષાની સવારની ચા સમી તાજગી છે. ગઝલમાં તસ્બી અને ક્ષણિકા જેવા કાવ્યપ્રકારોના એ સર્જક છે.

સિદ્ધ સર્જક કદી જમાનાએ નક્કી કરેલા રસ્તે આંખ મીંચીને ચાલતો નથી. ચાલુ રચનાની વચ્ચે જ ચિનુ મોદી આપણી ધારણાને જમીનદોસ્ત કરતી ગુંલાટી મારી શકે છે… શોભિત દેસાઈ કહે છે, ‘રદીફ-કાફિયા અથવા શે’રની ગૂંથણી કે અન્ય નક્કર છાપ ઊભી કરવાના સજાગ પ્રયાસને લીધે ગઝલ પર નજર પડતાંની સાથે કવિની ‘બ્રાંડ’ પકડાઈ જતી હોય ત્યારે ચિનુ મોદી ‘ઈર્શાદ’ કોઈની પણ અસર; અરે ! ખુદ પોતાની પણ અગાઉની ગઝલોની અસર ન ઝીલતા હોવાને કારણે કાયમ નવી જ બાની લઈ આવે છે. સતત આશ્ચર્ય આપવા એ ઈર્શાદની ગઝલનો સ્વભાવ રહ્યો છે.’ પ્રયોગ અને પરંપરાનું એ મજાનું ફ્યુઝન કરી જાણે છે… જાણીતા અભ્યાસુ-વિવેચક-સંપાદક શકીલ કાદરી ચિનુ મોદી વિશે કહે છે, ‘પ્રયોગશીલ કવિઓમાં ચિનુ મોદીનું પ્રદાન નોંધપાત્ર ગણાવી શકાય એમ છે. એમણે ગઝલોમાં વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. પરંપરાગત ઉર્દૂ-ફારસી છાપવાળી ગઝલોથી મુક્ત એવી ભાષા દ્વારા એમણે કાફિયા-રદીફના ચુસ્ત બંધન અને સચોટ ધારદાર અભિવ્યક્તિથી ગઝલનો મિજાજ જાળવ્યો છે.’

જોકે ગઝલસમ્રાટ તરીકેની ઓળખ ભૂલાવે એવાં બળકટ ગીતો પણ કવિએ આપ્યાં છે. ઉદયન ઠક્કરનો જાણીતો શેર ‘ગઝલ ને ગીતને એ વારાફરતી પહેરે છે, કવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે?’ ચિનુ મોદી જેવા વિરાટ કવિને સ્પર્શી શકે એમ નથી. કવિતાના સ્વરૂપોના ખેડાણની બાબતમાં ચિનુ મોદીની સમકક્ષ એમની સમકાલીન ગઈકાલ કે આજની પેઢીના કોઈ પણ કવિ ઊભા રહેવાનું વિચારી પણ નહીં શકે. ગઝલ, સૉનેટ, છંદોબદ્ધ, અછાંદસ, ગીત, દીર્ઘ કાવ્ય, ખંડ કાવ્ય, પારંપારિક આખ્યાન, આધુનિક આખ્યાન, પદ્ય નાટકો, પદ્યસભર વાર્તાઓ – કવિએ જે સફળતા અને સાહજિકતાથી નાનાવિધ કાવ્યસ્વરૂપોમાં હૃદયંગમ સ્વૈરવિહાર કર્યો છે એ ન ભૂતો, ન ભવિષ્યતિ છે.

લબ્ધપ્રતિષ્ઠ કવિ-વિવેચક ચન્દ્રકાન્ત શેઠ લખે છે, ‘ચિનુભાઈની કવિતા એટલે ચાંચલ્યની કવિતા, પણ એમાં ગાંભીર્ય ને ગહરાઈ પ્રચ્છન્ન રીતે રહેલાં સહૃદયને તુરત જ પકડાય –પરખાય !’

એક વિહંગાવલોકન કરીએ કવિના સર્જન પર :

કાવ્યસંગ્રહ: વાતાયન, ઊર્ણનાભ, શાપિત વનમાં, દેશવટો, ક્ષણોના મહેલમાં, દર્પણની ગલીમાં, ઈર્શાદગઢ, બાહુક, વિ-નાયક, કાલાખ્યાન, અફવા , ઈનાયત, એ, સૈયર, શ્વેત સમુદ્રો, નકશાનાં નગર, પર્વતને નામે પથ્થર, હથેળી

નાટક – ડાયલનાં પંખી, કોલબેલ, હુકમ માલિક, જાલકા, અશ્વમેઘ

નવલકથા– શૈલા મજમુદાર (આત્મકથાનક) , ભાવચક્ર, લીલા નાગ, હેંગ ઓવર, ભાવ અભાવ, પહેલા વરસાદનો છાંટો

વાર્તાસંગ્રહ – ડાબી મૂઠી, જમણી મૂઠી

વિવેચન – મારા સમકાલીન કવિઓ, બે દાયકા ચાર કવિઓ, ખંડકાવ્ય સ્વરૂપ અને વિકાસ

ચરિત્ર – કૃષ્ણલાલ શ્રીધરાણી

સંપાદન – ગુજરાતી પ્રતિનિધી ગઝલો, ચઢો રે શિખર રાજા રામના, ગમી તે ગઝલ

અનુવાદ– વસંતવિલાસ ( મધ્યકાલીન ફાગુકાવ્યોનો અનુવાદ)

ચિનુ મોદી કેવી બહુમુખી પ્રતિભા છે એ આ યાદી પર નજર નાંખતાવેંત સમજી શકાય છે.

‘બાહુક’ આધુનિક ખંડકાવ્ય છે તો ‘વિ-નાયક’ શિખરિણી છંદમાં પચાસ ષટકસ્વરૂપે લખાયેલું ત્રણસોપંક્તિનું દીર્ઘ કાવ્ય છે. ‘કાલાખ્યાન’ પ્રેમાનંદની આખ્યાનશૈલીનો સાદ્યંત સફળતાથી કરવામાં આવેલો સાક્ષાત્કાર છે. ‘ડાયલનાં પંખી’ પદ્યમાં લખેલા એબ્સર્ડ એકાંકી નાટકોનો સંગ્રહ છે. ‘ડાબી મૂઠી, જમણી મૂઠી’ પદ્ય-સભર વાર્તાઓ છે.

ગઝલની સાથે કવિનો ઘરોબો કંઈક આકસ્મિક રીતે થયો છે. પ્રારંભિક કવિજીવનમાં છંદોબદ્ધ સૉનેટ્સ અને ક્યારેક ગીતો એ જ એમનું લક્ષ્ય હતું. ચિનુ મોદી કહે છે, ‘ગઝલ સાથે નિકટવર્તી સંબંધ બંધાવાનાં બે નિમિત્ત કારણ: મનહર અને આદિલ. મનહર મોદીએ કોલેજમાં મુશાયરો રાખ્યો હતો ત્યારે સહજભાવે કવિને કહ્યું હતું: ‘તું પણ ગઝલ લખ ને.’ અને એમ ચિનુ મોદી ગઝલ સાથે મનમાં પણ નહોતું ને અવિનાભાવી સંબંધાયા.

ચિનુ મોદીની ગઝલોનો પોતીકો જ અવાજ છે. એમના શેર જેટલા સરળ ભાસે છે એટલા જ એ ઊંડા પણ હોય છે. ચિનુભાઈ ગઝલ નથી લખતા, જિંદગી લખે છે માટે જ એમના શેર દરેકને પોતાની આત્મકથાના પાનાં જેવા લાગે છે. એમના જ શબ્દોમાં કહીએ તો, ” ગઝલ એ હું આત્મકથાની અવેજીમાં લખું છું એટલું જ નહીં, ગઝલના રદીફ-કાફિયા મારે માટે શ્વાસ અને ઉચ્છવાસ જેટલા જ સહજ અને અ-નિવાર્ય બન્યા છે. હજી પણ પ્રત્યેક ગઝલ શરૂ થાય ત્યારે કાબો લૂંટી જશે એવો ડર લાગે છે. ગઝલથી વધારે છેતરામણું સ્વરૂપ ન સોનેટ છે, ન ખંડકાવ્ય છે. અ-છાંદસ, ગીત અને ગઝલ મને સૌથી છેતરામણાં કાવ્ય સ્વરૂપ લાગ્યાં છે.”

રમેશ પુરોહિત કહે છે, “ગઝલના આંતર-બાહ્ય તત્ત્વને સમજીને, ગઝલના રંગના ખુમારને જાણીને, ગઝલના મુલાયમ મિજાજને પિછાનીને, ગઝલના બયાનને પચાવીને, શબ્દોની છટકબારીઓ વાસીને, ચમત્કૃતિઓના શણગારોને નવાં રૂપ આપીને સભાનતાપૂર્વક નવી ગઝલોથી ગુર્જરીગિરાના અસબાબને અભિવ્યક્તિના નવોન્મેષોથી ચાર ચાંદ લગાવી દેનારા શાયરોમાં મોખરાનું નામ છે ચિનુ મોદી.”

એ સાચી વાત કરે છે અને ચેતવે પણ છે કે આ વાતો સાચી છે એટલે એ સારી હોવાની શક્યતા ઓછી છે.

આપણા માટે સમજદારી નથી
મારી વાતો સાચી છે, સારી નથી.

પોતાની ગઝલો વિશે ચિનુ મોદી પોતે કહે છે, ‘શ્રી ચિનુ મોદીની ગઝલો બે ભાગમાં વહેંચાય છે : ‘ઈર્શાદ’ થયા પહેલાં અને પછી.’ જાણીતા કવિ-વિવેચક હેમંત ધોરડા એમના બહુચર્ચિત પુસ્તક ‘તાણાવાણા’માં ઈર્શાદ થયા પહેલાંના અને પછીના કવિને તાણા અને વાણા અલગ કરીને રસસ્પદરીતે રજૂ કરે છે.

આટલી પૂર્વભૂમિકા પછી ચિનુ મોદીના ઇનામી ગઝલસંગ્રહ “ખારાં ઝરણ’ તરફ વળીએ. સંગ્રહ વિશે વાત કરતાં પહેલાં આટલી પ્રસ્તાવના એ માટે જરૂરી લાગી કે આ સંગ્રહ ચિનુ મોદીની ખરી ઓળખ નથી. ઈર્શાદ થયા પહેલાંની અને પછીની ગઝલોના બે તબક્કા પૂરા થાય છે એ પછીનો આ ત્રીજો નવતર તબક્કો છે. આ ગઝલો નથી ચિનુ મોદીની, નથી ઈર્શાદની, આ ગઝલો છે ચિનુ મોદી ઈર્શાદની. એકંદરે ડાબા હાથે લખવામાં આવી હોવાનો ભાસ કરાવતી આ રચનાઓની મજબૂતી બહુધા કવિના બહોળા અનુભવ અને કસબને આધારિત છે.

“ખારાં ઝરણ” ગઝલસંગ્રહમાં સિત્તેર ગઝલો સામેલ છે. ગાલગાગાના વત્તા ઓછા આવર્તનોને રમલ છંદ તરીકે ગણીએ તો સિત્તેરમાંથી 52 ગઝલો માત્ર રમલ છંદમાં છે. રમલ સિવાયના છંદો પર નજર કરીએ તો બાકીની રચનાઓમાં કવિએ લગભગ આઠ જેટલા જ છંદોમાં નહિવત્ ખેડાણ કર્યું છે. કવિના અગાઉના સંગ્રહોનું પણ પૃથક્કરણ કરીએ તો માલુમ પડે છે કે બે તૃત્યાંશથી પણ વધુ ગઝલોમાં કવિને રમલ જ માફક આવ્યો છે, જે રીતે સંસ્કૃત વૃત્તોમાં શિખરિણી ફાવ્યો ને ફળ્યો હતો એ જ રીતે. કવિની સિદ્ધિ અને શક્તિ જોતાં એ કદાચ ગુજરાતી ગઝલનું કમનસીબ લાગે છે.

છંદબાહુલ્ય કે એક જ છંદ પ્રત્યેની પ્રીતિને બે રીતે જોઈ શકાય. એક, કે કવિને અલગ અલગ છંદોની ચેલેન્જ બહુ માફક આવતી નથી. બીજું, કવિની જે-તે છંદમાં માસ્ટરી છે. ચિનુ મોદીના કેસમાં કદાચ બંને વાત સાચી છે. પણ જો માત્ર ખારાં ઝરણની વાત કરીએ તો કદાચ પહેલી પૂર્વધારણા જ વધુ સાચી જણાય છે. કેમકે આખા સંગ્રહમાં અમર થવા સર્જાયેલા શેર નહિવત જ હાથ ચડે છે. એક જ છંદમાં કવિ પક્ષપાતપૂર્વક ખેડાણ કરતા હોય ત્યારે એ છંદની તમામ શક્યતાઓ એ ચકાસી જુએ, છંદની બંને હાથે પરીક્ષા લે અને અગાઉ જોવા મળ્યાં ન હોય એવા કાફિયા કે એવી અનૂઠી રદીફો સાથે કામ લઈ વાંચતાવેંત કે વિચારતાવેંત આફરીન પોકારી જવાય એવી રચનાઓ કવિ આપે એ સહજે અપેક્ષિત છે પણ ખારાં ઝરણમાં આ અપેક્ષા સાંગોપાંગ પાર પડતી જણાતી નથી.

“ખારાં ઝરણ”માંથી પસાર થતી વખતે મકરન્દ દવેએ ગઝલ માટે જરૂરી જે ચાર પરિબળ – આગવી અભિવ્યક્તિ (અંદાજે-બયાઁ), સૌન્દર્યબોધ (હુસ્ને-ખયાલ), સંગીતમયતા (મૌસિકી) તથા આધ્યાત્મિકતા (મારિફત) – ગણાવ્યા હતા એ ડગલે ને પગલે વેરાયેલાં નજરે ચડે છે.

એકાક્ષરી કે વાતચીતના કાકુ ધરાવતી રદીફો આ સંગ્રહમાં ધ્યાનાર્હ છે. કેટલાક ઉદાહરણ જોઈએ:

યાદ આવે તું જ વારંવાર, હોં,
છે બધું મારી સમજની બ્હાર, હોં.
વય વધે છે એમ વધતી જાય છે,
તન અને મનની જૂની તકરાર, હોં.

આ જ રદીફ પર, આજ મીટરમાં એક બીજી ગઝલના શેર પણ જોઈએ:

છે ધધખતું પણ ઉપરથી શાંત, હોં,
વૃદ્ધ બનતાં પ્રાપ્ત આ એકાંત, હોં.
કંઈક એ જોઈ ગયો છે ત્યારથી,
ચિત્ત-ચક્ષુ બેય સરખાં શાંત, હોં.

બીજી એક એકાક્ષરી રદીફ:

રોજ મારામાં રહીને,
દિનબદિન મોટા થતા ભૈ.

શું ટકોરા માર ખુલ્લા દ્વાર પર ?
તું કરે છે ઠીક શિષ્ટાચાર, લે.

સપનાં આવે, આંસુ લાવે,
આંખોને ક્યાં જાણ છે, વ્હાલા ?
આ કાંઠે વરસોથી હું છું,
સામે કાંઠે વહાણ છે, વ્હાલા.

જેમ ટૂંકીટચરક અને બોલકી રદીફ કવિને માફક આવી છે એમ જ ટૂંકી બહેરની સાંકડી ગલીમાં પણ કવિનો વિહાર અદભુત રહ્યો છે:

અંગને સંકોચ, વહાલા,
આ ગલી તો સાંકડી છે.

થોડા બીજા ઉદાહરણ જોઈએ:

આભની અદૃશ્ય સીડી,
પંખીની નજરે ચડી છે.
– બહેર ટૂંકી પણ કવિની દૃષ્ટિ કેવી વિશાળ !

છેદ કરી હોડીમાં આવ્યું,
એ પાણી, પાણીમાં નાખું ?

કોણ હલેસે હોડીને ?
વાયુ કૈં ઓછો દેખાય ?

ઓછા શબ્દોમાં મોટી વાત કરવાના ખરા કિમિયાગર છે કવિ. જુઓ:

શહેરની શેરી હતી,
સ્તબ્ધતા પહેરી હતી.
બંધ ઘરની બારીઓ,
દૃશ્યની વેરી હતી.

અને આ એક કલ્પન તો ખાસ ધ્યાન આપીને જોવા જેવું છે. એકદમ ઝીણું કાશ્મીરી પશ્મીના જેવું પોત – વીંટીમાંથી આખી સાડી પસાર થઈ જાય એવું અદભુત ! સાંભળો :

કેવળ રહી છે યાદો,
તકદીરનો તકાદો.

આંખનાં પાણી તું પા,
આ ધરા પડતર નથી.
બે ઘડી તો રાજી થા,
છો કશો અવસર નથી.

જોઈ તપાસી શ્વાસો લો,
એ ખોટા સિક્કા પધરાવે.

ચિનુ મોદીની કલમની વાત કરતાં હોઈએ અને મૃત્યુ નજર સામે ન આવે એ બને ? એમના અન્ય તમામ સંગ્રહની જેમ પ્રસ્તુત સંગ્રહમાં પણ મૃત્યુ પાને-પાને જીવતું નજરે ચડે છે. પત્ની હંસાબેનની મૃત્યુતિથિ પર લખાયેલી ગઝલ પરથી જ “ખારાં ઝરણ” નામકરણ કરવામાં આવ્યું છે.

રાતભરનાં જાગરણ તેં ક્યાં મૂક્યાં?
આંખમાં ખારાં ઝરણ તેં ક્યાં મૂક્યાં?

તેલુગુ કવિ ડૉ. એન. ગોપી કહે છે: “To the poets death is poetic. If it were to be touched, would know it is hell.” પણ મૃત્યુનો સાક્ષાત્કાર થયા બાદ કોઈ પરત ફરતું નથી એ કહેવા માટે કે એ પોએટિક છે કે હેલ. એટલે જીવતેજીવ અફર અટળ અને અકળ મૃત્યુને શા માટે રળિયામણું ન કરી રાખીએ? આપણે ત્યાં બરકત વિરાણી ‘બેફામ’ મક્તાના ઉત્તમોત્તમ શેરોમાં મૃત્યુને સતત જીવતાં જોવા મળે છે. મૃત્યુ ચિનુ મોદીનો પણ સર્જન વિશેષ રહ્યું છે. સંગ્રહની પ્રસ્તાવનામાં કવિ કહે છે, “મારી ગઝલોમાં વિચ્છેદની વ્યથા છે, તો, આવનાર નિર્ણિત મૃત્યુ સાથેની બાથ ભીડવાની અનેકવિધ સંવેદનકથા છે.” સંગ્રહમાંની આવી કેટલીક મૃત્યુ વિષયક સંવેદનકથાઓનું આચમન કરીએ:

જાય છે, એ જાય છે, ક્યાં જાય છે ?
આ બધું જાણ્યા વગર મરવું નથી.

કવિ કહે છે કે મને મૃત્યુએ જીવતેજીવત ઓછું દુઃખ નથી દીધું.

શ્વાસને ‘ઇર્શાદ’ એક જ ડર હતો,
મોત પાછું ફાવશે તો શું થશે ?

માંગ તે બધું જ છે, પણ, વ્યર્થ છે,
દેહ શણગારું શું ધબકારા વગર ?

અને આ એક કમાલનું કલ્પન તો માણો, સાહેબ:

રોજ ચલાવી ક્યાં પહોંચ્યો છે ?
અટકાવી દે શ્વાસનો સંચો.

મૃત્યુને છેટું રાખે, ‘ઇર્શાદ’ છે ને દાદો ?!

વરસો જૂની હવેલી ક્યારેક તો પડત, પણ,
તારે લીધે બધુંયે સત્વર બની ગયું છે.

અને આ એક શેર પર તો કુરબાન કુરબાન પોકારી ઊઠાય એમ છે :
જીવ માટે દેહ એ,
પારકી પંચાત છે.

એમને છટકી જવું છે,
શ્વાસ શોધે લાગ, બાળક.
– મૃત્યુની કેવી સરળ પરિભાષા ! બાળકને સંબોધન કરીને કેવી બાળસાહજિકતાથી કવિ જીવનની સૌથી મોટી ફિલસૂફી સાત જ શબ્દોમાં આપી દે છે. આ છે ખરા ચિનુ મોદી ઈર્શાદ…

બધો વૈભવ ત્યજીને આવશું તારે ઘરે, કિંતુ,
મરણના દેવ ! શ્વાસોનો નિકટવર્તી સગો ક્યાં છે ? – નિકટવર્તી સગો જેવો શબ્દપ્રયોગ આટલી સ્વાભાવિક્તાથી ફક્ત ઈર્શાદ જ પ્રયોજી શકે.

ખૂબ જ નિરાંતે દેહમાં બેઠેલ જીવને,
ગાંડું થયેલું શ્વાસનું ટોળું ભગાડતું.

અને છેલ્લે આ શ્વાસના પૂરમાં તણાઈ જતા શરીરની દાસ્તાન તો સાંભળો :
પછી શ્વાસનું પૂર એવું ચઢ્યું,
અમે સાચવેલી મઢૂલી ગઈ.

સિદ્ધહસ્ત કવિ ક્યારેક પોતાને મનગમતા પોતાના જ શેરનું પણ અનુકરણ કરી બેસતા હોય છે. ચિનુ મોદી પણ આમાં અપવાદ નથી. એક શેર જોઈએ:

કોઈ પણ ઇચ્છા હજી બાકી ખરી ?
હોય તો પહેલાં પ્રથમ બાકાત કર.

– કહો તો, કયો શેર યાદ આવ્યો ?
કોઈ ઇચ્છાનું મને વળગણ ન હો,
એ ય ઇચ્છા છે, હવે એ પણ ન હો.

ઇચ્છા વિશેનો જ એક બીજો લાક્ષણિક શેર માણીએ:

અંગ આખું ઝેરથી ‘ઇર્શાદ’ લીલું થાય છે,
સર્વ ઇચ્છાઓ, અરે રે ! સાપની ભારી હતી.

ચિનુ મોદી મિજાજના કવિ છે. ખુમારી એમની બિમારી નથી, સ્વભાવ છે, સહજ ભાવ છે. જો કે એમની દાદાગીરી વહાલી લાગે એવી છે. કડક નારિયેળની અંદર રહેલી મલાઈ જેવી એ નરમ, ભીની અને મીઠી છે. એની એક મજા છે ને એટલે જ આટઆટલા દાયકાઓથી લખતા હોવા છતાં અને આટઆટલી પેઢીઓ સાથે કાર્યરત રહ્યા હોવા છતાં ચિનુ મોદી દરેક દાયકાના લોકપ્રિય અને નોંધનીય કવિ રહ્યા છે. કોઈ પણ પૂર્વભૂમિકા વિના કેટલાક શેરોનું આચમન કરીએ:

એક એવો પણ સમય ક્યારેક હોવો જોઈએ,
જે ક્ષણોનો માત્ર તું માલેક હોવો જોઈએ.

સાવ ખાલીખમ થયો ‘ઇર્શાદ’ તું,
ખાલીને એકાંતથી ભરવું નથી.

તું યાદ આવે એ ક્ષણો,
નમણી છે, ભીનેવાન છે.

તું કહે છે કે હવે હું જાઉં છું,
હું કહું છું, દોસ્ત ! હું ભૂસાઉં છું.
કોઈ છે ‘ઇર્શાદ’ કે જેને લીધે,
છૂટવા ઇચ્છું અને બંધાઉં છું.

મેં લુછેલાં આંસુ સાચકલાં હશે, હાથ જો ને ગંગા ગંગા થૈ ગયાં.

પાંચ જણને પૂછ કે ક્યાં હોય છે ?
સ્વર્ગ ના જડશે તો ક્યાં ફરશો પરત ?

રંગબેરંગી બગીચો, વૃક્ષ, વેલી, પાંદડાં,
કૈંક ખૂટે છે કે બુલબુલ તે છતાં ગાતું નથી.
છેક તળિયે હોય માની ડૂબકી ઊંડે દીધી,
મન છતાં ચાલાક કે ‘ઇર્શાદ’ પકડાતું નથી.

એક તરફ કવિ મનની ચાલાકી અને હાથચાલાકીથી અવગત કરે છે તો બીજી તરફ પવનના સંદર્ભમાં પોતાનું પારાપણું પણ અભિવ્યક્ત કરે છે:

તું પવનની જાત છે ‘ઇર્શાદ’ કે,
મુઠ્ઠી વાળી નાસતો ફરતો રહ્યો ?

ચિનુ મોદી સંભાવનાઓ અને શક્યતાના કવિ છે. ગમે એવી વિપરિત પરિસ્થિતિમાં પણ એ હામ નથી હારતા, નથી હારવા દેતા. જુઓ, થીજીને બરફ થઈ ગયેલી નદીને એ કેવી ઉશ્કેરે-પ્રેરે છે ? –

તું ભલે થીજી ગઈ છે પણ સ્વભાવે છે નદી,
આ બરફ તોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

અને નદીના જ રૂપકથી સંભાવનાઓની પોઝિટિવિટિને એ આ રીતે હાકલ કરે છે:

પહાડથી છૂટો પડ્યો છે, યાદ છે ?
તું નથી પથ્થર, નદીનો નાદ છે.

આદિલની નદીની રેતમાં રમતું નગર યાદ આવી જાય એવો અને એવો જ ઉત્તમ શેર ચિનુ મોદી પણ આપણને આપે છે:

માત્ર સરનામું નથી ‘ઇર્શાદ’નું, ‘ શ્વાસ ને ઉચ્છ્વાસ અમદાવાદ છે.

આ એક શેર જુઓ. વક્રોક્તિ અને કટાક્ષ અહીં ચરમસીમા પર છે. શેર પર ધ્યાન આપજો. પહેલી નજરે ખુલે છે એના કરતાં એ અનેકગણો વધુ ગહનગંભીર છે:

કૈંક વરસોથી ચલણમાં ના રહ્યું,
સત્યનો ચળકાટ ક્યાંથી કમ પડે ?

સમસામયિકતા પણ કવિને હાથવગી છે. સમયની સાથે એ તાલમાં તાલ મિલાવી જાણે છે. અંગ્રેજી ભાષા આજે આપણા રોજિંદા વ્યવહારમાં દૂધમાં સાકર ભળે એમ ભળી ગઈ છે. ભાષાની આ વેલકમ પ્રવાહિતાને ચિનુ મોદી પણ ખુલ્લા હાથે અને મોકળા મને આવકારે છે. બે’ક ઉદાહરણ જોઈએ:

હાથે ચડી ગયું છે રિમોટનું રમકડું,
એ જણ મનુષ્યમાંથી ઈશ્વર બની ગયું છે.

લાખ સ્ક્રિનિંગ બાદ પત્તો ક્યાં મળે ?
ભલભલાને છેતરે છે, જીવ છે.

અંતે થોડા બીજા ચોટદાર શેરોનો આસ્વાદ લઈએ:

સાંકડું ને સાંકડું ઘર થાય છે વરસોવરસ,
વૃદ્ધ બનતા શ્વાસને લાંબો પટારો જોઈશે. સાવ કોરી આંખની એક જ હતી બસ માંગણી,
છો થવાનું થાય, પણ અશ્રુ વધારો જોઈશે.

– આ અશ્રુવધારો પ્રયોગ જે રીતે કવિએ કોઇન કર્યો છે એ આફરીન પોકારાવી દે છે. પગારવધારો એ સાંપ્રત સમયની સાર્વત્રિક માંગ રહી છે. એને બદલે અશ્રુવધારો સંયોજીને કવિએ જે સંવેદનાની કમાલ કરી છે એ તો બસ, વાહ વાહ ને વાહને જ કાબિલ છે.

થોડા બીજા શેર જોઈએ:

શહેર, શેરી, ઘર તો ઓળંગી ગયા,
પણ, મને આ એક પડછાયો નડ્યો.
સ્વસ્થ મનથી તું વિચારી જો ફરી,
છેક છેલ્લીવાર તું કયારે રડ્યો ?

એમ તો જીવાય છે તારા વગર,
તું હશે ને ક્યાંક તો મારા વગર ?
શ્વાસ ચાલે છે અને છોલાય છે,
પોઠ ચાલી જાય વણઝારા વગર.

અને છેલ્લે બે મક્તા માણીએ:

ઝીણી ઝીણી છાંટ છે વરસાદની,
વહાલની આ રીત છે ‘ઇર્શાદ’ની.

મ્યાન કર ‘ઇર્શાદ’ તું તલવારને,
ક્યારના શિર વાઢીને બેઠા છીએ.

કવિના ભાથામાંનુ ભલે આ બાણ સર્વશ્રેષ્ઠ નથી, પણ નિઃશંક ઉત્તમ તો છે જ. કવિનો કસબ કળા સાથે હાથમાં હાથ મેળવીને નિશાન તો ઊંચુ જ તાકે છે અને આ સંગ્રહ એ વાતની પ્રતીતિ છે કે જીવનની આથમતી સંધ્યાએ પણ કવિ નિવૃત્તિ કરતાં પ્રવૃત્તિને જ પ્રાધાન્ય આપે છે. ભલે ક્યારના શિર વાઢીને બેઠા હોવાની વાત કેમ ન કરતા હોય, કવિએ કલમ હજી મ્યાન કરી નથી. સંગ્રહમાં કવિ કહે છે કે, “મને જાણ છે, મારો હાથ સમય ઓગાળી નાંખશે અને એટલે નાસ્તિ મૂલો, કૃત શાખા? પણ, એથી હું હાથ નહીં ઓગળે ત્યાં સુધી તલવાર મ્યાન કરવાનો નથી.” કવિની અનવરત અનવરુદ્ધ કલમને ‘ઈર્શાદ’, ‘ઈર્શાદ’, ‘ઈર્શાદ’ કહેવાની સાથે આપણે એ જ પ્રાર્થના કરી શકીએ: अल्लाह करे जोरे कलम और ज्यादा|

– વિવેક મનહર ટેલર
(૧૫-૦૮-૨૦૧૬)

Comments (7)

કેકટસની કુંડળી – પંકજ વખારિયા

કેકટસની કાઢ કુંડળી, કંઈ જોષ જોઈએ,
પુષ્પિત થવામાં શો નડે છે દોષ, જોઈએ !

પિત્તળનો છે કે હેમનો એ ચર્ચા છોડીને
ગૂંજે છે કેવો ઘંટથી અનુઘોષ, જોઈએ.

એના અકળ અનુક્તનો તારવવો હોય અર્થ,
ભાષાથી પર વિશેષ કોઈ કોષ જોઈએ.

પ્હોંચાડવા પ્રણયની તલબને ચરમ હદે,
બીજી બધી જ વાતમાં સંતોષ જોઈએ.

ચાતક સમી તપસ્વી તરસ પાળવી પડે,
સિંધુ સમો જો બિંદુથી ૫રિતોષ જોઈએ.

– પંકજ વખારિયા

પ્રવતમાન પેઢીના દસ ઉત્તમ ગઝલકારોના નામ લેવા હોય તો પંકજ વખારિયાનું નામ અવગણી ન શકાય. મત્લા તો જુઓ સાહેબ ! કેકટસ ઉપર ચુસ્ત કાફિયા સાથે આવો દમદાર મત્લા મળવો અશક્ય છે. બીજો શેર પણ એવો જ મજાનો. માણસ કઈ જ્ઞાતિ, ધર્મ કે કુળનો છે એ જોવાને બદલે એનો સ્વભાવ, એનાં કર્મ જોવા જોઈએ. અને પ્રિયતમના મૌનને દુન્યવી શબ્દકોષથી તો કેમ સમજાવી શકાય! ભૂખે ભજન ન હોય ગોપાલા… બાકીની બધી જ વાતમાં સંતુષ્ટિ હોય તો અને તો જ તમારી તરસ ચરમસીમાએ પહોંચી શકે. અને જે રીતે મત્લા અભૂતપૂર્વ થયો છે એ જ રીતે આખરી શેર પણ અમર થવા સર્જાયો છે. ચાતકની તપસ્વી સમકક્ષ તરસની ચરમસીમા અને બિંદુમાં સિંધુની સૂક્તિને કવિ જે રીતે નહીં સાંધો, નહીં રેણની કળાથી સંગોપીને અર્થની ચમત્કૃતિ સર્જી છે એ સાચે જ શબ્દાતીત છે…

Comments (10)

(ચાલવાનું છે) – વિપુલ માંગરોલીયા ‘વેદાંત’

એમ તો ક્યાં કશું થવાનું છે?
થાય એ કોણ રોકવાનુ છે?

એમ લઈ જાય ના કશે રસ્તો
તારે પણ થોડું ચાલવાનું છે.

ના મળે ભેખ ભગવા કપડાથી,
સૌ પ્રથમ ખિસ્સું કાપવાનું છે.

મન ભરી એમાં તો તું નાચી લે,
કોણ સપનામાં ટોકવાનું છે?

આપવો કેમ દોષ સૂરજને?
એને પણ રોજ દાઝવાનું છે.

કર મદદ થોડી તુંય વરસીને,
અશ્રુને મારે ઢાંકવાનું છે.

હોય મંદિરમાં ચાહે મસ્જિદમાં
ફૂલ તો તોય ફોરવાનુ છે.

– વિપુલ માંગરોલીયા ‘વેદાંત’

કર્મે પેથોલોજીસ્ટ પણ ધર્મે કવિ વિપુલ માંગરોલિયા સુરતથી ગુજરાતી ગઝલાકાશે ઊભરી રહેલો નવો પણ સત્વશીલ અવાજ છે. કવિના પ્રથમ ગઝલસંગ્રહ “ક્ષિતિજ પર ઝાકળ”નું લયસ્તરોના આંગણે સુસ્વાગતમ્. ભાષા સરળ પણ વાત ઊંડી એ આ કવિની સાચી ઓળખ છે. ટૂંકી બહેરની એક મજબૂત ગઝલ આજે માણીએ.

Comments (8)

…તો ગનીમત – મનસૂર કુરેશી

દુઆઓ અમારી ફળે તો ગનીમત,
જીવનમાં હવે એ મળે તો ગનીમત.

ઉપેક્ષાઓ એની બધીએ ભૂલીને
હૃદય એ તરફ જો ઢળે તો ગનીમત.

ઘણા દૂર નીકળી ગયા છે પરંતુ
સુણી સાદ, પાછા વળે તો ગનીમત.

વિરહની ઉદાસી તો ઘેરી વળી છે,
મિલનની ખુશાલી ભળે તો ગનીમત.

જીવનભર રહી વાટ ‘મનસૂર’ જેની,
કબર પર એ આવી મળે તો ગનીમત.

– મનસૂર કુરેશી

ગનીમત જેવી મજાની રદીફનો અદભુત ઉપયોગ… વાહ કવિ !

Comments (4)

“શબ્દો છે શ્વાસ મારા”ની અગિયારમી વર્ષગાંઠ પર…

લયસ્તરોની સમાંતર ચાલતી મારી પોતાની વેબસાઇટ પર પધારવા આજે આપ સહુ વાચકમિત્રોને નેહનિમંત્રણ…

ગુજરાતી ભાષાની સર્વપ્રથમ સ્વરચિત કાવ્યોની વેબસાઇટ “શબ્દો છે શ્વાસ મારા” આજે નિયમિત બ્લૉગિંગના અગિયાર વર્ષ પૂરાં કરી બારમા વર્ષમાં પ્રવેશે છે… આ પ્રસંગે મારી આ યાત્રામાં ડગલે ને પગલે સાથ અને પ્રોત્સાહન આપતા રહેનાર સૌ સ્નેહીમિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું છું. આગળ ઉપર પણ આપ સહુ આ વેબસાઇટની નિયમિત મુલાકાત લેતા રહી ઉત્સાહિત કરતા રહેશો એવી વિનમ્ર અપેક્ષા…

ક્લિક કરો: http://vmtailor.com/archives/4228

બે મિનિટ જેટલો સમય ફાળવીને આપના પ્રતિભાવ વેબસાઇટ ઉપર જ આપશો તો વધુ આનંદ…

આભાર,
વિવેક

Comments (12)

યાદગાર મુક્તકો : ૦૦ : બાર – બાર યે દિન આયે…

૧૨   ૧૨   યે દિલ ગાયે…
૧૨   ૧૨   યે દિન આયે…

‘લયસ્તરો.કોમ’ની બારમી વર્ષગાંઠે આ યાત્રામાં સદૈવ અમારી સાથે રહેલા કવિમિત્રો અને વાચકમિત્રોનો ખૂબ ખૂબ આભાર…

દર વર્ષગાંઠ ઉપર કંઈક નવું આપવાની અમારી ઇચ્છાના પરિપાકરૂપે અત્યારસુધી કરેલ ઉજવણીની એક ઝલક :

જે-તે કેટેગરીના નામની ઉપર ક્લિક કરવાથી આપ જે-તે વર્ષની ઉજવણીમાં ફરી એકવાર સામેલ થઈ શકશો… પણ હા, એક શરત છે- આપના પ્રતિભાવ આપવા ભૂલશો નહીં.

  1. 2005 – ~~~
  2. 2006 – શબ્દોત્સવ (7 કાવ્યપ્રકારો) (ગઝલ, ગીત, અછાંદસ, સૉનેટ, હાઇકુ, ભજન, મુક્તક)
  3. 2007 – વિશ્વકવિતા (વિદેશી+ભારતીય)
  4. 2008 – યાદગાર ગઝલો
  5. 2009 – યાદગાર ગીતો
  6. 2010 – અંગત-અંગત (વાચકોની પસંદગીની કવિતા અને આસ્વાદ)
  7. 2011 – પરમ સખા મૃત્યુ (મૃત્યુવિષયક કવિતાઓ)
  8. 2012 – મૌનનો પડઘો (ઝેન કવિતા)
  9. 2013 – સવા-શેર (યાદગાર શેર)
  10. 2014 – बज़्म-ए-उर्दू  (ઉર્દૂ રચનાઓ)
  11. 2015 – मधुशाला (હિંદી કવિતાઓ)
  12. 2016 – યાદગાર મુક્તકો – આવતીકાલથી શરૂ….

Comments (9)

આજે ‘લયસ્તરો’ને બાર વર્ષ પુરા!

layastaro_12

બાર વર્ષ બહુ લાંબો સમય છે. બાર વર્ષમાં તો એક આખી જીંદગી જીવી શકાય.

વર્ષોવર્ષ ગુજરાતી કવિતાને ચાહકો સુધી પહોંચાડવાનુ આ કામ ‘લયસ્તરો’ શરુ કર્યુ ત્યારથી આજ સુધીમાં ગુજરાતી અને ગુજરાતી કવિતા બન્ને ઘણા બદલાયા છે. કવિતા વધારે ને વધારે પ્રસરી રહી છે. ગુજરાતી ભાષાના ભાવિ વિશે ચિંતા સતત ખોટી ઠરી છે. વધુને વધુ ગુજરાતી સાહિત્ય અને કવિતા નેટના માધ્યમથી પ્રસરી રહ્યા છે.આ બધામાં ગુજરાતી કવિતાના સૌથી વિશાળ સંગ્રહ તરીકે ‘લયસ્તરો’ પોતાની ભૂમિકા ભજવી શક્યું છે એ બહુ ગૌરવની વાત છે.

દર વર્ષગાંઠ પર કંઇક નવુ કરવાની પરંપરા આ વખતે પણ આગળ ચલાવવાનો વિચાર છે. આ વખતે મનને ગમી ગયેલા અને દિલમાં વસી ગયેલા મુક્તકો આવનારા દિવસોમાં પ્રસ્તુત કરીશું. તો, આવતી કાલે મળીએ – મુક્તકોના રસથાળ સાથે!

– ધવલ – વિવેક – તીર્થેશ – મોના
ટીમ લયસ્તરો

Comments (51)

never be for or against – Sen-t’san

The Perfect Way is only difficult
for those who pick and choose;
Do not like, do not dislike;
all will then be clear.
Make a hairbreadth difference,
and Heaven and Earth are set apart;
If you want the truth to stand clear before you,
never be for or against.
The struggle between “for” and “against”
is the mind’s worst disease.

– Sen-t’san [ eighth century Chinese zen master ]

સરળ ઈંગ્લીશ છે તેથી અનુવાદ નથી કર્યો. આ કાવ્ય મૂકવાનું ખાસ પ્રયોજન એ કે ઝેનગુરુની વાત તો સાચી, પણ વ્યવહારનું શું !!?? રોજબરોજની જીંદગીમાં આ ફિલોસોફી કેટલીક applicable !!?? વ્યવહારમાં તો પ્રત્યેક ક્ષણે પક્ષ લેવો પડે છે ! કાયમ મારું અંગત મંતવ્ય લખ્યા કરું એના કરતા આ વખતે એવું કરીએ કે સૌ ભાવકો પોતપોતાના મંતવ્યો આપે તો કેવું ? સૌને હાર્દિક આમંત્રણ છે કે પોતપોતાના વિચારો પ્રગટ કરે…..

Comments (3)

લા.ઠા. આજે નાઠા !

Labhshankar-Thakar

કવિ લાભશંકર ઠાકરનું આજે અવસાન થયું છે.

કોઇ બીજા કવિના મૃત્યુ માટે ‘નાઠા’ શબ્દ વાપરો તો ખરાબ લાગે. પણ લા.ઠા. માટે ‘નાઠા’ને બદલે બીજો કોઇ ‘ડાહ્યો’ શબ્દ વાપરો તો ખરાબ લાગે!

ખાલી ‘લા.ઠા.’ના નામથી ઓળખાતા આપણી ભાષાના તોફાની કવિ એક આગવું વ્યક્તિત્વ હતા.આધુનિક ગુજરાતી કવિતાને ઘડવામાં એમનો મોટો હાથ. ‘વહી જતી પાછળ રમ્યઘોષા’થી શરુ થયેલી એમની કાવ્યયાત્રા સમય જતા અમૂર્ત કવિતા તરફ જતી રહેલી. વીસ ઉપર કાવ્યસંગ્રહો. એક એકથી ચડિયાતા પ્રયોગો એમણે કર્યા. અમૂર્તને શબ્દમા અવતરવાની કોશિશ છેલ્લા વર્ષો સુધી ચાલુ રહી. એમની કવિતામાં એક જ નિયમઃ કવિતામાં કોઈ નિયમ ન હોય. એટલે જ એમની કવિતામાં બીજુ ભલે કંઇ સમજ પડે કે પડે, પણ ચાંદીની જેમ ચમકતી સચ્ચાઇ તરત જ દેખાઇ આવે.

આખી જીંદગી એમણે કાળજી રાખેલી કે રખેને પોતે એક સંસ્થા ન બની જાય. એ હેતુસર એમણે દરેક નિયમને તોડવાની સતત કોશિશ કરેલી. આદિલ મન્સૂરી અને બીજા મિત્રો સાથે ‘રે મઠ’માં સાહિત્યિક તોફાનોની આખી વણઝાર સર્જેલી. એક તબક્કે પુરસ્કારો સ્વીકારવાનું એમણે બંધ કરેલું. પછી લાગ્યું કે પુરસ્કારનો અસ્વીકાર કરવાની પણ પરંપરા બની જશે એટલે પુરસ્કાર સ્વીકારવાનું ચાલુ કરેલું.

કવિ ઉપરાંત અવ્વલ દરજ્જાના નાટ્યકાર. ‘પીળું ગુલાબ’ અને ‘બાથટબમાં માછલી’ એટલું જ કર્યુ હોત તો ય ઘણુ હતું. પણ લા.ઠા.એ એનાથી ઘણુ ઘણુ વધારે સર્જન કર્યુ. ઉત્તમ નવલકથાઓ અને નિબંધો પણ લખ્યા.

સદા અણીશુદ્ધ ચેતનાની શોધમાં વ્યસ્ત લા.ઠા. એ પોતાની જાત માટે એક કવિતામાં લખેલુંઃ

વધારાનું છે, સર.
દૂર કરવું છે, સર.
અતિશય અતિશય છે, સર.
ધૂન છે, ધામધૂમ છે, સર.

આમ
અર્થયુકત હોવું તે વધારાનું છે, સર.

આજે લા.ઠા. ખરેખર અર્થથી આગળ વધી ગયા છે.

*** ***

એમની કવિતાઓ લયસ્તરો પર.
– કવિને અંજલી ઃ બકુલ ટેલર (મુંબઇ સમાચાર),
– ગુજરાતી સાહિત્ય અકાદમીએ બનાવેલી એમના પરની એક નાનકડી ફિલ્મઃ

Comments (5)

no-mind

From where did the Buddha come,
To where did the Buddha go?
If the Buddha is still around,
Where can be the Buddha found?      – Shun-tsung

From non-activity the Buddha came
To non-activity the Buddha disappeared.
Cosmic reality his spiritual body is,
In no-mind the Buddha will appear.      – Ju-man

Great mountains, rivers and seas,
Heaven and earth, sun and moon.
Who says there is no birth and death?
For even these meet their end soon.       -Shun-tsung

Birth is also before birth,
Death is also before death.
If you have attained no-mind,
Naturally there will be nothing left.        -Ju-man

આ એક ચીનના રાજા અને ઝેન મહાત્મા વચ્ચેનો સંવાદ છે. આશરે 1500 વર્ષ પહેલાનો આ સંવાદ ઝેનસાહિત્યમાં ખૂબ જાણીતો છે. પ્રથમ દ્રષ્ટિએ માત્ર contradictory statements હોય એવી છાપ ઊભી કરતો આ સંવાદ ઘણીબધી વાર વાંચ્યા પછી ઊઘડે છે.

સૌપ્રથમ ખૂબ જ ટૂંકમાં ઝેન બુધ્ધીઝ્મ વિષે થોડી મૂળભૂત વાત કરું તો તેમાં મૌન,અનુભૂતિ અને અનુભવ – આ જ મુખ્ય પદ્ધતિઓ છે જે દ્વારા ઝેન માસ્ટર પોતાની પ્રજ્ઞા શિષ્ય સુધી પહોંચાડે છે. કોઈ પ્રવચન અથવા તો વિશાળ ગ્રંથાભ્યાસ હોતો નથી. કોઈકવાર ગુરુ એક જ વાક્ય બોલે જેના ઉપર શિષ્ય આખી જિંદગી વિચાર કરે !!!!!! આવું કરવા પાછળનો હેતુ મુખ્યત્વે એ હોય છે કે સ્વ-અધ્યાય વિનાનું સર્વ વ્યર્થ છે.

પ્રથમ પ્રશ્ન સ્પષ્ટ છે – અહીં કોઈ શારીરિક આવાગમનની પૃચ્છા નથી. વાત બુદ્ધત્વની છે. ઉત્તરમાં વપરાયેલા ત્રણ શબ્દો મહત્વના છે – non-activity, cosmic reality અને no-mind. ત્રણે શબ્દની વિસ્તૃત સમજૂતી ખૂબ લાંબી થઇ જવાનો ડર છે, તેથી ટૂંકમાં – non-activity એટલે સંપૂર્ણપણે કર્તૃત્વભાવ વિનાનું-સંપૂર્ણ સહજ અસ્તિત્વ. cosmic reality એટલે અદ્વૈતની સહજ સ્વીકૃતિ. no-mind એટલે એ અવસ્થા જ્યાં વિચાર અને વિચારકનું દ્વૈત શમી જાય છે. [ આ અત્યંત જ સંક્ષિપ્ત ભાવાર્થ છે ].

બીજા પ્રશ્નનો ઉત્તર અદભૂત છે – પ્રત્યેક ક્ષણ નૂતન છે. ગ્રીક ફિલોસોફર હેરાકલિટસનું અમર સૂત્ર છે – ‘ one can never step into the same river twice.’ પ્રતિક્ષણ ધસમસતું વહેતું પાણી એ નદી છે. ક્ષણ વીતી ગઈ-પાણી વહી ગયું-નદી બદલાઈ ગઈ ! એ જ રીતે જીવન સતત – ક્ષણે ક્ષણે જન્મ લે છે અને ક્ષણે ક્ષણે મૃત્યુ પામે છે…. સાતત્યનો ભાસ ઊભું કરનાર તત્વ છે mind . જેવું mind ને અતિક્રમીને ‘no-mind’ અવસ્થામાં જીવન પ્રવેશે છે તેવું તરત જ જન્મ-મૃત્યુનું પરંપરાગત જ્ઞાન બાષ્પીભૂત થઇ જાય છે.

આ બધી વાતો લાગે તો રોચક, પરંતુ વ્યવહારનું શું !?? એ જ્ઞાન શું કામનું કે જે વ્યવહારમાં નેપથ્યમાં ધકેલાઈ જાય !! ભગવાન બુદ્ધે વ્યવહારઉપયોગી વાત સિવાય કોઈ વાત કદી કરી જ નથી. તેઓ એક માત્ર એવા મહાત્મા હતા જેઓએ કદીપણ ‘સ્વર્ગ’ અથવા ‘નર્ક’ શબ્દોનો ઉલ્લેખ સુદ્ધાં કર્યો નહોતો. તેઓ કહેતા કે જિંદગી એ પહેલા શ્વાસ અને છેલ્લા શ્વાસ વચ્ચેનો ખેલ છે. ન તો એ પહેલા કશું હોય છે કે ન તો એ પછી. [ આથી જ હિંદુ ધર્મ અને બૌદ્ધ ધર્મ ભિન્ન ધર્મ છે ]. તેઓએ સતત જીવન અને તેની વિષમતાઓની જ વાત કરી છે. જીવનને સમજતા જેમ ઊંડાણમાં ઉતરતા જઈએ તેમ એક એવી અવસ્થા આવે છે-એવા પ્રશ્નો ઉદભવે છે કે જેનું સમાધાન ઉપરોક્ત કાવ્યમાં આલેખાયું છે.

Comments (6)

ટહુકો.કોમ પર એક નવતર પ્રયોગ

ગુજરાતી કવિતા-સંગીતના ચાહકો માટે ટહુકો.કોમ નામ અજાણ્યું હોય એવું ખબર પડે તો મારા જેવાને કદાચ હાર્ટ-એટેક આવી જાય. ઉત્તમ કવિતાઓ અને ગુજરાતી સંગીતના ખજાનાના એક-એકથી ચડિયાતાં અને દુર્લભ-અણમોલ રત્નો જયશ્રી વરસોથી ટહુકો.કોમ પર પીરસતી આવી છે…

આ વખતે એક સાવ નવતર ખ્યાલ સાથે ટહુકો આપણી સમક્ષ કવિતા અને કાવ્યાસ્વાદને વિડિયો સ્વરૂપમાં લઈને આવે છે. એટલે વાંચવાની ઝંઝટ નહીં. જેમને ગુજરાતી વાંચતા આવડતું ન હોય એવા ગુજરાતીઓ માટે તો આ નવતર પ્રયોગ વરદાન સાબિત થવાનો.

હા, જો કે આ પ્રયોગ નિમિત્તે કેટલાંક સૂચન કરવાનું મન જરૂર થાય.

  • એક જ વ્યક્તિ બધા આસ્વાદ કરાવે એના કરતાં અલગ-અલગ વ્યક્તિઓ આ કામ ઉપાડે તો વૈવિધ્ય જળવાઈ રહે.
  • બધા વિડિયો પોણા કલાકથી બધુ લાંબા છે. વિડિયોની લંબાઈ નોંધનીય રીતે ઓછી કરી શકાય તો પ્રયોગ વધુ આસ્વાદ્ય બની શકે.
  • સાતત્ય જળવાઈ રહે.

વધુ ને વધુ ગુજરાતીઓ આ નવતર પ્રયોગનો લાભ ઉઠાવે એ ઇચ્છનીય છે.

Comments (6)

બદામઘર – મનહર મોદી

ઘટનાનો આકાર છે ગોળ
કપડામાં પાણીને બોળ

ફિક્કુ ખા કે તીખું છોડ
સરવાળે સઘળું ઓળઘોળ

જાતઅનુભવ ભીનો છે
દરિયો સર્જે એક જ છોળ

સરનામું છે એનું એ
ખાટી પોળ કે તીખી પોળ

ડોલે છે ને દોડે છે
મનહર મોદીની ચગડોળ

ચોખ્ખેચોખ્ખું જોખી લે
મારામાં તારાને બોળ

બદામઘર છે યુએસએ
હિન્દુસ્તાની આંખો ચોળ

– મનહર મોદી

Comments (4)

ઍટલાન્ટામાં ડો.રઇશ મનીઆર સાથે હાસ્ય અને કવિતાના સંગમ સમી સાંજ

આ શુક્રવારે સાંજે ૮ વાગ્યે, ઍટલાન્ટામાં પહેલીવાર, ડો.રઇશ મનીઆર સાથે હાસ્ય અને કવિતાના સંગમ સમી સાંજ. એટલાન્ટા નિવાસી મિત્રો, આ પોસ્ટને આપના દોસ્તો સાથે અને ફેસબૂક પર જરૂરથી ‘શેર’ કરશો.

raeeshbhai-atlanta

Comments (1)

ભિક્ષુક – વિપિન પરીખ

મંદિર બ્હાર
ભિક્ષુક,ભીતર હું,
ફર્ક કેટલો?

[ મંદિરની બહાર ઊભેલો ભિખારી તો ભિખારી છે જ – જગ જાણે છે એ વાત, કિન્તુ મંદિરની અંદર પેસતો હુંય શું ભિખારી નથી !!?? હું ક્યાં મંદિરની અંદર નિ:સ્વાર્થ ભાવે જાઉં છું !!?? ]

માંગવાનું કહે છે તો માંગી રહું છું આ પ્રભુ!
દઈ દે મન એવું કે માંગે એ કશું નહી !

-વિપિન પરીખ

Comments (8)

ગઝલ – પરાજિત ડાભી

ભાવ બદલ્યો, અભાવ બદલ્યો છે,
દોસ્ત, મેં પણ સ્વભાવ બદલ્યો છે.

ના પવન, ના દિશાઓ બદલાણી,
મેં જ મારો પડાવ બદલ્યો છે.

નાવ છે એ જ, નાખુદા પણ એ જ,
પણ નદીએ બહાવ બદલ્યો છે.

જે હતું એ જ છે જગત આખું,
માણસોએ લગાવ બદલ્યો છે.

મોત સીધું, સરળ, રહ્યું કાયમ,
જિંદગીએ જ દાવ બદલ્યો છે.

– પરાજિત ડાભી

બદલાવ વિશેની મજાની ગઝલ…

Comments (9)

ગઝલ- નેહા પુરોહિત

વાંક તારો નથી, ન મારો છે,
એ જ સધિયારો છે, ને સારો છે.

સ્વપ્નમાં, શ્વાસમાં, વિચારોમાં,
પ્રિયનો કેટલો પથારો છે !

જે દીવાલો મેં તોડવા ચાહી,
આજ એનો જ બસ સહારો છે.

કેમ આજે બહુ સતાવે મને ?
મેં હજી ક્યાં કહ્યું, “તું મારો છે !”

ભીતરે વ્યસ્તતા વધી ત્યારે,
અર્થ છોડો, મરમનો મારો છે.

– નેહા પુરોહિત

આ ગઝલ વાંચો અને પાકિસ્તાનથી પરવીન શાકિર ગુજરાતમાં આવી ઊતરી હોય એવું ન લાગે તો કહેજો…

આ ગઝલમાં છે એવા ઉત્તમ મત્લા આપણે ત્યાં બહુ જોવા મળતા નથી. સરળમાં સરલ કાફિયા, સરળમાં સરળ છંદ, સરળમાં સરળ શબ્દો વાપરીને બે જ પંક્તિમાં ચાર કાફિયાના ઇન્ગ્રેડિયન્ટ્સ વાપરીને કવયિત્રી જે વાનગી આપણને પીરસે છે એનો સ્વાદ શબ્દાતીત છે…

Comments (11)

ગઝલ – સુનીલ શાહ

દર્દભીનાં આંસુ શાને પાંપણે શણગારવાનાં ?
જેટલા શ્વાસો મળ્યા, એને હૃદયથી માણવાના.

જે હકીકતમાં કદી પહેરી શકો નહીં જિંદગીભર,
આંખની ખીંટી ઉપર એ સ્વપ્ન શાને ટાંગવાનાં ?

રોજ મનની વ્હાલસોયી ડાળખી પર ફરફરે છે,
એ સ્મરણનાં પાંદડાંને શી રીતે અટકાવવાનાં ?

અન્ય ભાષાને ભલે પંપાળવા નીકળી પડ્યા સહુ,
પણ, અમે તો ગુર્જરીમાં લાગણી કંડારવાના.

જો ! ગઝલનું ગાંડપણ કેવી દશા સર્જી રહ્યું છે,
મારું મન સોગંદ લે છે, દર્દને વિસ્તારવાના !

– સુનીલ શાહ

દર્દથી શરૂ થઈને દર્દ પર પૂરી થતી ગઝલમાં કવિ સ્વપ્ન, સ્મરણ અને ભાષાની મજાની યાત્રા કરાવે છે.

Comments (10)

ગઝલ – કરસનદાસ લુહાર

આંખમાં આકાશને પ્રસરાવ મા !
વ્યર્થ હે વિશાળતા, લલચાવ મા !

ચિત્રમાં દરિયા બતાવીને પછી –
ભવ્યતાના અર્થને ભરમાવ મા !

ના ભલે આંબો ઉગાડે એક પણ –
બીજ બાવળનાં કદાપિ વાવ મા !

આવી છે લઈને ઉદાસી રેશમી,
સાંજને ચૂંગી મહીં સળગાવ મા !

આગ મારામાં અને તું બાગ છે,
ધીમે ધીમે પણ નિકટ તું આવ મા !

મન હજી મુશાયરા જેવું નથી,
દોસ્ત ! હમણાં તું ગઝલ સંભળાવ મા !

– કરસનદાસ લુહાર

કેવી મજાની ગઝલ ! છેલ્લો શેર વાંચતા જ હેમેન શાહ યાદ આવી જાય: તો દોસ્ત ! હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે

Comments (1)

ગઝલ – હેમેન શાહ

પંખી પાસે આવ્યું બોલ્યું કાનમાં
આ ઋતુ આવી તમારા માનમાં.

પૃથ્વીએ પડકાર વાદળને કર્યો,
પાણી હો તો આવી જા મેદાનમાં.

ખીલવાનો કૈં નશો એવો હતો,
પાંદડાં ખરતાં, ન આવ્યા ધ્યાનમાં !

સત્ય ક્યાં છે એક સ્થળ પર કે સતત ?
ઓસ વેરાયું બધે ઉદ્યાનમાં.

કિમતી પળ આપીને સોદો કર્યો,
હું કમાયો પણ રહ્યો નુકસાનમાં !

સાબિતી કે તારણોમાં શું મળે ?
જો હશે તો એ હશે અનુમાનમાં.

મોંઘી ને રંગીન કંઈ ચીજો હતી
માત્ર મેં કક્કો લીધો સામાનમાં !

– હેમેન શાહ

ગઝલનો પહેલો જ શેર પહેલી બોલ પરના છગ્ગા જેવો. જો કે ખીલવાના નશાની વાત અને કિમતી પળોના સોદાની વાત બધામાં શિરમોર છે.

Comments (4)

‘લયસ્તરો’ : ૧૦મી વર્ષગાંઠ !

b97879

મારા માટે માનવું અઘરું છે કે લયસ્તરો આજે દસ વર્ષ પૂરા કરે છે. જે સફરમાં જ આનંદ હોય એમાં પછી પડાવનું મહત્વ ઓછું જ રહેતું હોય છે. પણ છતાંય… દસ વર્ષ ! બહુ લાંબો સમય છે દસ વર્ષ !

દસ વર્ષ પહેલા ઈન્ટરનેટ પર ગણી ગાંઠી ગુજરાતી વેબસાઈટ હતી. તો એમા કવિતાની વેબસઈટ તો ક્યાંથી હોય? બીજી વેબસાઇટ પર ગુજરાતી કવિતા ભાગ્યે જ વાંચવા મળે. ને વાંચવા મળે તો વતનથી દૂર આંખ ભરાઈ આવે અને મનઆનંદનો દરિયો થઈ જાય. આવા વખતે ‘લયસ્તરો’ની શરૂઆત કરેલી.

ધીરે ધીરે કરતા ‘લયસ્તરો’ એક વ્યસન થઇ ગયું. ચારે બાજુથી ગમતી કવિતાઓ શોધી શોધીને રજૂ કરવાનો નશો થતો ગયો. કવિતાનુ ઋણ ઓછુ કરવાનો આનાથી સારો કોઈ રસ્તો દેખાતો નહોતો. એટલે એ જ રસ્તે ચાલતો ગયો.

ને પછી તો ‘લયસ્તરો’ મહેફીલ થઇ ગઇ. દોસ્તો જોડાયા. વિવેક ‘લયસ્તરો’માં જોડાયો તે બહુ મોટું પગલું હતું. હું કવિતાનો માત્ર કાનસેન પણ વિવેક તો પોતે તાનસેન. એ પોતે કવિ. અને એનો લાભ ‘લયસ્તરો’ને અઢળક મળ્યો. પછી તો મોના જોડાઇ જે પણ પોતે કવિ. અને છેલ્લે તીર્થેશ પણ જોડાયો. ‘લયસ્તરો’ની ટીમ સધ્ધર થઈ ગઈ. કવિતા + દોસ્તો = અઢળક જલસો : આ સમીકરણ પર ‘લયસ્તરો’ તર થઇ ગયું.

ચાર વર્ષ પહેલા ઈન્ડિયાની ટ્રીપ પર વડોદરામાં એક બૂકસ્ટોરમાં હું ચોપડીઓ જોતો’તો. મારી પાછળ બે જણા વાત કરતા’તા. એક ભાઈને કોઇ કારણોસર અનિલ જોશીના શ્રેષ્ટ હોય એવા ચાર-પાંચ ગીતો જોઈતા હતા. એ માટે એ બીજા ભાઇને પૂછતો હતો. બીજા ભાઈએ એને જે જવાબ આપ્યો એ સાંભળીને મને આનંદ આનંદ થઈ ગયો બીજા ભાઇએ કહ્યું ‘લયસ્તરો.કોમ’ પર જાવ સારામાં સારા ગીતો તરત જ મળી જશે !

આજે ૩૨૦૦થી વધારે કવિતાઓ લયસ્તરોની મંજૂષામાં સચવાયેલી છે ને દુનિયાના ગમે તે ખૂણામાં હાથવગી છે. લોકો પ્રેમથી કવિતા માણે છે – મનભરીને માણે છે – કવિને દાદ આપે છે અને વતનથી દૂર પણ મા ગુર્જરીને સલામ કરી લે છે. એ બહુ મોટી વાત છે.

અત્યારે બધા કવિઓનો આભાર ન માનુ તો નગુણો જ ઠરું. શરૂઆતમાં લોકોએ ‘કોપીરાઇટ’ની વાત કરીને બહુ ડરાવેલો. વહેલા મોડા બધા કવિઓ આવીને તમારી ગરદન પકડશે એવું કહેતા. પણ કવિઓને સલામ કે દસ વર્ષમાં એક પણ કવિએ પોતાના રચના વહેંચવા માટે કદી ના નથી પાડી. કવિઓનું આ બહું મોટું ઋણ છે. આજે આ અવસરે બધાય ગુજરાતી કવિઓનો અમે ‘લયસ્તરો’ તરફથી અઢળક આભાર માનીએ છીએ.

દર વખતે ‘લયસ્તરો’ની વર્ષગાંઠ કંઇક નવું કરીને ઉજવીએ છે. આ વખતે પણ એવો જ વિચાર છે. આ વખતે એક અઠવાડિયું ઉર્દુ કવિતાનો આસ્વાદ કરીને ‘લયસ્તરો’ની વર્ષગાંઠ ઉજવવી છે. તો આવતી કાલથી શરૂ કરીશું એ સફર. ત્યાં સુધી અલવિદા !

Comments (30)

નરસિંહ મહેતાની સમગ્ર કવિતા આપને પોકારે છે….

નરસિંહ મહેતાની સમગ્ર કવિતાના આગોતરા ગ્રાહક બનવાની વાત થોડા દિવસો પહેલાં અમે લયસ્તરોના આંગણે લઈ આવ્યા હતા… એ વખતે કેટલાક વાચકમિત્રોએ કેટલાક સવાલ ઊઠાવ્યા હતા. આશા રાખીએ કે આ સાથેની માહિતી આપના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં સહાયભૂત થશે…

સ્વાભાવિક રીતે જ આપણા આદિકવિની સમગ્ર કવિતાનો ખજાનો આપણા સહુના ઘરમાં હોવો જ જોઈએ… દરેક ગુજરાતી કાવ્યપ્રેમીને અમારી નમ્ર અપીલ છે કે આ અમૂલ્ય ખજાનો રાહત દરે મેળવવાની તકથી વંચિત ન રહે… મેં મારા માટે પાંચ પ્રત બુક કરાવી છે… આપ કેટલી નકલ મેળવશો?

*

Narsinh Mehta

Comments (1)

ધુલામન્દિર – રવીન્દ્રનાથ ઠાકુર – અનુ. નગીનદાસ પારેખ

ભજન,પૂજન,સાધના,આરાધના – આ બધું પડ્યું રહેવા દે.
તું શું કરવા બારણાં કરીને દેવાલયના ખૂણામાં પડી રહ્યો છે ?
અંધકારમાં છુપાઈને
તું એકલો એકલો કોને પૂજી રહ્યો છે ?
આંખ ખોલીને જો તો ખરો,
ઓરડામાં દેવ તો છે નહીં !

તે તો
ખેડૂતો જ્યાં માટી ભાંગીને ખેડ કરી રહ્યા છે,
મજૂરો જ્યાં પથ્થર ફોડીને રસ્તો બનાવી રહ્યા છે,
ત્યાં ગયા છે,
અને તડકામાં ને વરસાદમાં
બારેમાસ
તેમની સાથે મહેનત મજૂરી કરે છે,
તેમને બે હાથે ધૂળ લાગી છે.
તેમની પેઠે પવિત્ર વસ્ત્ર કાઢી નાખીને તું પણ ધરતીની ધૂળમાં ચાલ્યો આવ.

મુક્તિ ?
અરે મુક્તિ ક્યાં મળવાની હતી, મુક્તિ છે જ ક્યાં ?
પ્રભુ પોતે જ સૃષ્ટિનાં બંધનથી આપણી સૌની સાથે બંધાયેલા છે.
રહેવા દે તારું ધ્યાન અને પડી રહેવા દે તારી ફૂલની છાબને.
વસ્ત્ર ફાટે તો ભલે ફાટતાં,
ધૂળ-માટી લાગે તો ભલે લગતી.
તું તારે કર્મયોગમાં તેમની સાથે થઈ જા,
અને માથાનો પસીનો પગે ઊતરવા દે.

-રવીન્દ્રનાથ ઠાકુર – અનુ. નગીનદાસ પારેખ

‘ મુક્તિ ? અરે મુક્તિ ક્યાં મળવાની હતી, મુક્તિ છે જ ક્યાં ? પ્રભુ પોતે જ સૃષ્ટિનાં બંધનથી આપણી સૌની સાથે બંધાયેલા છે. ‘ – આ પંક્તિઓ આખા કાવ્યનું હાર્દ છે….. તત્વમસિ…….

Comments (5)