મારા કાવ્યો માત્ર મારાં હો, પ્રભુ!
ભૂલથી પણ કોઈની પરછાઈ ન હો.
-મેહુલ પટેલ ‘ઈશ’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for શબ્દસુમન

શબ્દસુમન શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




શબ્દસુમન : ચંદ્રકાન્ત શેઠ – ૦૫ – આવતીકાલે સૂરજ ઊગશે જ

આંખ તો એમ જ થઈ જાય છે ભીની ભીની,
ને પછી તો બધું જ લાગવા માંડે છે ભારે ભારે, સજળ!
બારીઓમાં બગાસાં
દીવાલોમાં ઊંડી ઊંડી સુસ્તી,
પવન સાવ પડેલો, હતાશ શઢ-શો.
ને તડકો સાવ ખરવાપાત્ર પીળાશ-શો.

થાય છે : આજની હવામાં
.               હું નહીં ઊગું, નહીં વિસ્તરું, નહીં ફળું.
.               ભલે હું કોડિયામાં ડૂબેલો રહું માખ-શો.
.                                                     હું નહીં ઊડું.

મારે નથી પહોંચવું ક્યાંય,
નથી પહોંચાડવાં કોઈનેય ક્યાંય…..
ભલે ઝૂમખાંનાં ઝૂમખાં ચાવીઓ પડી રહે, કાટ ખાતી,
મારે નથી ઉઘાડવાં કોઈ તાળાં, કોઈ સંચ.

ભલે આકાશ પોઢેલું રહે, આઠે પહોર,
મારે નથી જગાડવા કોઈ સૂરજ કે ચંદ.

ભલે અટકી જતાં અજવાળાં,
.               મારી આંખ સુધી પહોંચવા જતાં જ અધવચાળે.
ભલે અટકી જતાં મોજાં મારા દરિયાનાં,
.                                                    એકાએક હલેસું જોતાં.

ભલે પીરસેલાં ભાણાં રહે અકબંધ,
.                              ને ઉજાગરાએ ધીકતા રહે છત્રપલંગ.
ભલે વેદનાના કંપે ખળભળતા રહે
.                              મારા અંદરના અને બહારના સૌ લોક.
.        મારે કશુંય કરવું નથી આ અકાળે હવાયેલી જિંદગીમાં.

ડહોળાવાનું ભલે ડહોળાતું,
તણાવાનું ભલે તણાતું,
ભલે તૂટતાં લંગર
.               ને ભલે વછૂટતાં વહાણ આડેધડ ખડકો ભણી.
.               આજ ભલે ડૂબતી, પણ આવતીકાલ તો છે જ.

આવતીકાલે સૂરજ ઊગશે જ.
ને ઘણું ઘણું તપશે ને તપી તપીને હલકું થશે;
ઘણું ઘણું પામશે ઉઘાડ હૂંફાળો હૂંફાળો;
ને ત્યારે આજનો આપણો મોકૂફ રહેલો કાર્યક્રમ
ફરીથી ગતિમાન થશે, શાનદાર રીતે સૂરજની સાથે.
.               ચોમાસું કંઈ બારે માસનું તો હોતું જ નથી.

– ચંદ્રકાન્ત શેઠ

‘એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી.’ (પ્રભુલાલ દ્વિવેદી) ખરું ને? કોઈક કારણોસર આજે કથકની આંખે ચોમાસું બેઠું છે. કવિ કહે છે કે આંખો આજે ‘એમ જ’ ભીની ભીની થઈ છે. કારણ જે હોય એ, પણ આંખો ભીની થવાના કારણે બધું જ ભારઝલ્લું સજળ લાગવા માંડે છે. હતાશાનો ભાવ ચોકોરથી કથક ફરતે ભરડો લઈ બેઠો છે. બારી, દીવાલ, પવન, તડકો- બધું જ ઉદાસીનતાના રંગે રંગાઈ ગયું છે. કશું જ કરવાની ઇચ્છા બચી નથી. સ્વયં માટે કે અવર માટે થઈને પણ કશું કરવાની આજે તો તમા નથી. કોઈ તાળાં કે ખજાના ઊઘાડવાનું આજે મન થતું નથી. અકાળે હવાઈ ગયેલી જિંદગીમાં કથકને કંઈ કરતાં કંઈ જ કરવા-કારવવાની ઝંખના થતી નથી. જીવનને જેટલું ડહોળાવું હોય, ડહોળાઈ લે; જેટલું તણાઈ જવા માંગતું હોય, ભલે તણાઈ જાય; ભલે બધા જ જહાજ ખડકોમાં ફળાઈને તૂટી જવા દોટ કેમ ન મૂકે, કથકની આજ મરી પરવારી છે, આશ નહીં. આજ મરી પરવારે એ ચાલે, પણ આશ મરી પરવારવી ન જોઈએ. આજ જશે તો કાલ આવશે પણ આશ જશે તો જીવનમાં કદી હાશ નહીં આવે… આજ ભલે ડૂબી મરતી, કાલ તો ઊગશે જ ને! કાલે ફરીથી ભરોસાનો સૂરજ ઊગવાનો જ છે અને જીવનચક્રના આરા પુનઃ ગતિમાન થવાના જ છે. કારણ ચોમાસું ગમે એટલું વિનાશકારી અને લાંબુ કેમ ન હોય, બારે માસનું તો નથી જ હોવાનું!

આ આશા જ આ કાવ્યનો પ્રાણ છે…

Comments (2)

શબ્દસુમન : ચંદ્રકાન્ત શેઠ – ૦૪ – રસ

યદા તુજ દૃગે ભમે ગરલવર્ણ ઈર્ષ્યા, તદા
પુરાણ નગરી તણા વિજન ક્યાંક ખંડેરમાં,
ભમંત સુણું કોક ડાકણનું હાસ – જે સાંભળ્યે
ખરે નભથી તારકો, રુદન થૈ જતું શ્વાનથી!

પ્રકોપ તવ નેત્રમાં અનલવર્ણ ઊઠે, તદા
નિહાળું છલકંત ખપ્પર વિશાળ પાંચાલીનું,
અનેક સમરાંગણો કણકણે ભર્યાં રક્તનાં,
અસંખ્ય ડૂબતા, મરે અસુરવૃત્તિ દુઃશાસનો.

દૃગે પ્રણયસિક્ત ને કુમુદવર્ણ નર્તે સ્મિત,
તદા મનુજ-ઉત્સવ! દ્યુતિ લસંત આનંદનો
શશી હૃદયમાં દ્રવી અમૃત ઉલ્લસાવી રહે
ચકોર નયનો મહીં પ્રણયની નરી માધુરી!

ધરી વિવિધ રૂપ જે રસ રમે ઉઘાડાં ચખે,
નિમીલિત ચખે થઈ પરમ શાંતિ તે શો ખીલે!

– ચંદ્રકાન્ત શેઠ

સદ્ અને અસદ્ –માનવજીવનના સિક્કાની બે બાજુ છે. જે રીતે અલગ અલગ સાત રંગ ભેગા થઈ શ્વેત રંજ નિપજાવે છે, એ જ રીતે ઈર્ષ્યા, શોક, ક્રોધ, વેર, અસુરવૃત્તિ જેવા દુર્ભાવ અને પ્રણય, આનંદ, ઉલ્લાસ જેવા મધુર સદ્ભાવ ભેગાં થઈ શાન્તરસનું સર્જન કરે છે એ બાબત પ્રસ્તુત સૉનેટમાં બહુ સરસ રીતે રજૂ થઈ છે. સૉનેટની પ્રથમ આઠ પંક્તિઓમાં કવિએ મહાભારતનો સંદર્ભ લઈને અલગ-અલગ દુર્ભાવની અને એની અસરોની વાત કરી છે. પછીની ચાર પંક્તિઓમાં પ્રણય અને આનંદોલ્લાસની વાત કરી છે. આપણે મનુષ્યો આ અલગ-અલગ રસોમાં રત રહી જીવન વીતાવી દઈએ છીએ, પણ બુદ્ધ જેવા કોઈક મહાપુરુષ નિમીલિત નયને આ તમામ રસ અને ભાવોનું સંગોપન કરીને પરમ શાંતિ પ્રાપ્ત કરે છે.

(ગરલ= વિષ; અનલ= અગ્નિ; દ્યુતિ= તેજ; લસંત= શોભતું; ચખ= આંખ: નિમીલિત=અર્ધખુલી અર્ધબીડી)

Comments (2)

શબ્દસુમન : ચંદ્રકાન્ત શેઠ – ૦૩ – તું ચલવે ને…

તું ચલવે ને હું અહીં ચાલું, દાવ અજબ એ ખેલી જા;
જે કંઈ તારે પાલવ ગાંઠ્યું, બધું દાવમાં મેલી જા.

હાર-જીતના હિસાબ તે શા? રમાય એની રહે મજા;
રમતાં રમતાં ગૂંચ પડે તો, તક છે, તુરત ઉકેલી જા.

કેટકેટલા ચાંદ-સિતારા એક જ તારા ચ્હેરામાં!
એ સૌ આડે પડદા શેના? સત્વર સૌ સંકેલી જા.

સોનેરી સપનાંને ઝુમ્મર નીંદર મારી ઝળાંઝળાં;
રાતરાણીની સરહદ પરથી સુગંધ અહીંયાં રેલી જા.

જ્યારે તારો ઉઘાડ નીકળે, તારો પાયલ-પંથ ખૂલે;
બંધ બારણું મારી અંદર, તે હળવેથી ઠેલી જા.

– ચંદ્રકાન્ત શેઠ

સામાન્યરીતે છંદોબદ્ધ કવિતા, અછાંદસ અને ગીતોથી જાણીતા કવિ ગઝલોના ચલણથી પરે રહી શક્યા નથી. ગઝલ જેમના રક્તસંસ્કાર ન હોય એવા કવિ જ્યારે ગઝલમાં ખેડાણ કરે ત્યારે ગીત-સૉનેટની બાની ગઝલમાં આવી જવાની વકી પૂરેપૂરી, પણ સદનસીબે ચંદ્રકાન્ત શેઠની મોટાભાગની ગઝલો આમ થવાથી બચી ગઈ છે. ઊલટું, એમનું કવનસામર્થ્ય ગઝલને ઉપકારક નીવડતું જણાય છે. પ્રસ્તુત રચનાને આ દાવા માટેની દલીલ ગણી શકાય. ખરું ને?

Comments (4)

શબ્દસુમન : ચંદ્રકાન્ત શેઠ – ૦૨ – નથી મળાતું

બે પંખીને મળવું છે, પણ નથી મળાતું.
એક વળાંકે વળવું છે, પણ નથી વળાતું! –

એક પંખી છે પિંજરપૂર્યું,
પગ પણ બાંધ્યા પાશે;
અવર પંખી તે છિન્ન-પાંખ છે,
ઊડતાં કેમ ઉડાશે?
બે પંખીને ઊંચે જવું છે, નથી જવાતું;
જોડે રહીને,
જલ પીવું છે એક ઝરણનું, નથી પિવાતું! –

એક પંખીને દિવસ મળ્યો છે,
અવર પંખીને રાત,
એક કથે ને અવર સુણે એ,
કેમ બને રે વાત?
બે પંખીને,
એક ડાળ પર ઝૂલવું છે, પણ નથી ઝુલાતું
એકબીજામાં ખૂલવું છે, પણ નથી ખુલાતું. –

– ચંદ્રકાન્ત શેઠ

પૂરી ન થતી ઇચ્છાઓ મનુષ્યજીવનની દુર્નિવાર્ય હકીકત છે. ઇચ્છાપૂર્તિની કામના કેટલાક જીવનનું ચાલકબળ બની રહે છે, તો કેટલાક માટે જીવનભરનું દર્દ. પ્રસ્તુત ગીતરચનામાં ઇચ્છાનદીના બે અલગ-અલગ કાંઠે જીવવા મજબૂર બે જીવોની વેદનાને પંખીના પ્રતીકની મદદથી કવિએ વાચા આપી છે. સરળ બાની અને પ્રવાહી લયના કારણે આ રચના વાંચતા, સોરી, ગણગણતાવેંત સ્પર્શી જાય છે. મળવું હોય પણ મળી ન શકાતું હોય, જીવનના વળાંકે સાથ નિભાવવો હોય પણ નિભાવી ન શકાતો હોવાની લાચારીની પીડા ગીતની દરેક કડીઓમાંથી સુપેરે વ્યક્ત થઈ છે. એક પંખી પિંજરામાં તો કેદ છે જ, પગ પણ બંધાયેલ છે; તો બીજાની પાંખ કપાયેલી છે. ન ઊડી શકાય, ન ઊંચે વિહાર કરી શકાય, ન સાથે મળીને એક ઝરણનું જળ પી શકાય. દુન્યવી જવાબદારીઓનું પિંજરુ, ફરજના પાશ અને સામાજિક નિયમોએ કાપી લીધેલી પાંખના કારણે ઉન્નતિની અસંભવ બનતી ઉડાણ અને જીવનજળ અને સહવાસથી વંચિત રહેવાની વાસ્તવિક્તા કવિએ જે રીતે આલેખી છે, એ આપણા હૈયામાં દર્દની ઊંડી રેખા કંડારી રહે છે. બે જણનો સમય પણ એક થઈ શકતો નથી, પરિણામે સહજીવનના સ્વપ્નને વાસ્તવની ડાળનો સ્પર્શ સંભવ બનતો નથી.

Comments (6)

શબ્દસુમન : ચંદ્રકાન્ત શેઠ – ૦૧ – ક્યાં છો ચંદ્રકાન્ત?

ક્યાં છો ચંદ્રકાન્ત? તમે ક્યાં છો? ક્યાં છો?
તમારા આ બોલાયેલા — લખાયેલા શબ્દો,
.                              – એમાં તમે નથી, તમારી છે છાયા;
.                              – જેને તમારુ ના સ્હેજે અભિજ્ઞાન.
ચંદ્રકાન્ત!
તમોને ભુલાવી દેતા તમારા અરીસા
.                              – એને તોડીફોડી કેમ નથી દેતા?
તમારી જ આરતીને સહી લો છો શાને?
.                              – કેમ ફૂંક મારી હોલવી ના દેતા?
તેજના તમિસ્રમાંથી નીકળો રે બ્હાર,
તમારું જે રૂપ, જુઓ તમારીયે પાર!
શ્વાસથી ઉચ્છવાસના ઝૂલાએ રોજ ઝૂલો,
.                              કદી અંતરાલે માંડી ખરી મીટ?
કોનો લય, કોની ગતિ, કોનું રૂપ
.          —જેનો આમ નિષ્પદં શો છંદ ઊંડો નસે નસે ચાલે?
ફૂલ જેમ હસો છો ને કરો છો કલ્લોલ!
તમે જાણેા છે?
—અનતમાં જે અંતે તમે ઝૂલો
.                              એ કાળના તરુની કોણ ડાળ?
‘ચંદ્રકાન્ત’ નામની ધજાએ જ્યાં ચઢાવી
.                              એ જ મંદિરે ના જાણે કોઈ ‘ચંદ્રકાન્ત’ કોણ!
ચદ્રકાન્ત તમોએ જે ઉછેર્યું છે ઘર
.                              એ જ જાણે નહિ ‘ચદ્રકાન્ત’ કોણ!
‘ચંદ્રકાન્ત’ નામના જે રાજપથે ચાલે
.                              એને તમારાં ના પગલાંની જાણ.
ઢગઢગ ફૂલોએ જે પામ્યા તમે માન,
.                              એમાં તમારા જ સ્મિતની ના શાન.
‘ચંદ્રકાન્ત’ નામની દીવાલો ઓઢી ઓઢી
.                              તમે શ્વાસે શ્વાસે મમી થતા ચાલ્યા!
‘ચંદ્રકાન્ત’ — એ જ તમે એમ માની – ચાલી,
.                              ભલા ખુદનેય દૂર ઠીક રાખ્યા!
‘ચંદ્રકાન્ત’ નામ પઢ્યા પોપટની જેમ
તોય,
મરચાના જેટલીયે,
ચાંચને તમારી પૂછો,
.                      ‘ચંદ્રકાન્ત’ નામની પિછાન છે કે કેમ?
‘ચંદ્રકાન્ત’ નામ માટે
.                      શબ્દોના મિનારા ચણ્યા,
.                      સંબંધોનાં જાળ વણ્યાં,
.                      પરઘેર પાણી ભર્યાં,
.                      રંગલાના વેશ કર્યાં,
.                      સાત સાત પૂછડાં ઉગાડ્યાં ને કપાવ્યાં કર્યાં!
કેટલાયે કૅમેરાની આંખો પ્હેરી,
.                      અધકારો આંજી આંજી,
.                      પ્રકાશોથી રંગી રંગી,
.                      પ્લેટોમાં ઠાંસી ઠાંસીને,
.                      ચંદ્રકાન્તો ચારે કોર મૂકી મૂકી જોયા,
.                      ચદ્રકાન્ત પાના જેવા સાવ કોરા!
ચારેકોર ચંદ્રકાન્તો
.                      ખીચોખીચ
.                      કીડિયારાં રચી રચી જીવે,
.                            – એમાં હું જ હોઉં એવો સાચો
.                                        એક તો બતાવો મને
.                                             ચંદ્રકાન્ત ક્યાં છે?
.                                                           કયાં છે?
.                                                           કયાં છે?

– ચંદ્રકાન્ત શેઠ

જન્મે ત્યારે દરેક માણસ કોરી પાટી જેવો હોય છે, પણ પછી સમાજ એના ઉપર એક નામનું સ્ટિકર લગાડી આપે છે. અને પછી માણસ માણસ મટીને એક સ્ટિકર બનીને રહી જાય છે. પોતાના નામને ‘રોશન’ કરવા માટે મનુષ્ય આજીવન એ રીતે મથતો રહે છે કે, જીવવાનું પણ ભૂલી જાય. પ્રસ્તુત રચનામાં કવિ આ સ્ટિકરની પેલી પારની જાતને શોધવા જે મથામણ કરે છે એ ચિરસ્મરણીય બની છે. અછાંદસ જેવો ઘાટઘૂટ ધરાવતી આ રચના હકીકતે મનહર છંદમાં રચેલ છંદોબદ્ધ કાવ્ય છે. લય સાથે મોટેથી વાંચશો તો વધુ મજા આવશે.

કવિ ચંદ્રકાન્ત વ્યક્તિ ચંદ્રકાન્તની શોધમાં છે. શીર્ષક અને કાવ્યનો ઉઘાડ –બંને આ શોધથી જ થાય છે- ક્યાં છો ચંદ્રકાન્ત? પોતાના બોલ યા લખાણમાં પોતે નહીં, પોતાની છાયા જ હોવાથી આ સર્જક અભિજ્ઞાત છે. જગતના અરીસાઓમાં જે દેખાય છે એય બિંબ જ છે, મૂળ નથી એ જાણવા છતાં આત્મરતિમાં રત મનુષ્ય આ અરીસાઓ તોડીફોડી શકતો નથી. પોતાની પ્રસંશા કરતી આરતીઓને હોલવી પણ નથી શકાતી. તેજના અંધકારમાંથી બહાર આવીએ તો જ સાચું વ્યક્તિત્વ પામી શકાય. શ્વાસથી ઉચ્છવાસના હીંચકા પર હીંચ્યે રાખતો માનવી એ બે વચ્ચેના અંતરાલ પર મીટ માંડતો જ નથી. એ માંડીએ તો આ નિષ્પંદ છંદ કોના પ્રતાપે છે એ કળી શકાય. આપણા નામની તક્તીઓ જ્યાં જ્યાં લગાવાઈ છે, ત્યાં કોઈ જ આપણને ઓળખતું નથી હોતું. કારણ કે નામની આ તક્તીઓ એ ખરી વ્યક્તિ હોતી જ નથી. મનુષ્ય નામ માટે શું શું નથી કરતો? લાંબીલચ્ચ યાદી આપીને અંતે કવિ કહે છે કે કોઈપણ યાદીમાં સમાઈ ન શકનાર ચંદ્રકાન્ત પાના જેવા સાવ કોરા છે. કીડિયારું ઊભરાય એમ છલકાતા એકસમાન મનુષ્યોની ખીચોખીચ ભીડમાં મનુષ્યની સાચી ઓળખાણ મેળવવાનું દોહ્યલું છે એ વાત ‘ક્યાં છે’ સવાલની ત્રિરુક્તિ સાથે અધોરેખિત કરી કવિ વિરમે છે. કવિતાની શરૂઆત જ્યાંથી થઈ હતી, અંત પણ ત્યાં જ આવે છે એ પણ સૂચક છે…

Comments (8)

શબ્દસુમન : ચંદ્રકાન્ત શેઠ

ગુજરાતી સાહિત્યજગતના એક દિગ્ગજ સર્જક થોડા દિવસો પૂર્વે આપણે ગુમાવ્યા…

કોઈ પણ સર્જકના સાચા પોંખણાં એમના સર્જનમાંથી પસાર થઈને જ કરી શકાય. લયસ્તરો પર આ આખું સપ્તાહ કવિશ્રીને શબ્દસુમન અર્પીને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપીએ…

ચંદ્રકાન્ત ત્રિકમલાલ શેઠ

(જન્મ: ૦૩-૦૨-૧૯૩૮, કલોલ, પંચમહાલ : નિધન: ૦૨-૦૮-૨૦૨૪, અમદાવાદ)

કવિ. નિબંધકાર, વિવેચક, સંપાદક.
તખલ્લુસ: નંદ સામવેદી, આર્યપુત્ર, બાલચંદ્ર, દક્ષ પ્રજાપતિ.
વ્યવસાયે અધ્યાપક હતા. નિવૃત્તિ પછી ગુજરાતી વિશ્વકોશ ટ્ર્સ્ટમાં સક્રિય રહ્યા. કુમારચંદ્રક, નર્મદચંદ્રક, ઉમાસ્નેહરશ્મિ પારિતોષિક, રણજિતરામ સુવર્ણચંદ્રક, નરસિંહ મહેતા એવૉર્ડ, પ્રેમાનંદ સુવર્ણચંદ્રક, સવ્યસાચી સારસ્વત ઍવૉર્ડ સાહિત્યગૌરવ પુરસ્કાર, અને સાહિત્ય અકાદમી જેવા અનેકાનેક પુરસ્કારોથી પુરસ્કૃત. ચૌદ કાવ્યસંગ્રહ, તેર નિબંધસંગ્રહ, એક આત્મકથનાત્મક સંસ્મરણ, એક એકાંકીસંગ્રહ, એક વાર્તાસંગ્રહ, પાંચ ચરિત્રાત્મક લેખસંગ્રહ, હાસ્યકથા તથા બાળસાહિત્યનાં સાતેક પુસ્તકો; વિવેચન-સંશોધનના ત્રીસેક ગ્રંથો, સંપાદનના ચાલીસેક ગ્રંથો, અને અનુવાદ/રૂપાંતરના છ સંગ્રહ તેમની પાસેથી મળ્યાં છે.

કવિની મોટાભાગની જાણીતી રચનાઓ આપને અહીં મળી રહેશે…
ક્લિક કરો: https://layastaro.com/?cat=59
શબ્દસુમન શ્રેણીમાં લયસ્તરો પર અગાઉ પોસ્ટ થઈ ગયેલ રચનાઓ મૂકીશું નહીં…

Comments (2)