નથી તું ચાંદ તોયે રોશની તારી ફળી તો છે,
અમાસી રાતને જેવી રીતે તારા ફળે એમ જ!
સંદીપ પૂજારા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for સૂફી

સૂફી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




સૂફીનામા : ૦૭ : જો તુમ તોડો, પિયા! – મીરાંબાઈ

જો તુમ તોડો, પિયા! મૈં નહિ તોડું,
તો સોં પ્રીત તોડ, મૈં! કૌન સંગ જોડું?

તુમ ભયે તરુવર, મૈં ભઈ પંખિયા,
તુમ ભયે સરોવર, મૈં તેરી મછિયા.

તુમ ભયે ગિરિવર, મૈં ભઈ મોરા,
તુમ ભયે ચંદા, મૈં ભઈ ચકોરા.

તુમ ભયે મોતી હમ ભયે ધાગા;
તુમ ભયે સોના, હમ ભયે સોહાગા.

મીરાં કહે: પ્રભુ! વ્રજ કે વાસી!
તુમ મેરે ઠાકુર, મૈં તેરી દાસી.

– મીરાં

ઈસ્લામિક રહસ્યવાદ તસવ્વુફ તરીકે ઓળખાય છે. અરબી ભાષામાં તસવ્વુફ એટલે ઊનના વસ્ત્રો પહેરવાં. એ જમાનામાં મુસ્લિમ દરવેશો ઊનના વસ્ત્રો પહેરતાં હતાં એ પરથી આ શબ્દ ઊતરી આવ્યો હોઈ શકે. ઓગણીસમી સદીના પ્રારંભમાં પાશ્ચાત્ય જગતે તસવ્વુફને ‘સૂફી’ નામથી ઓળખવાનું શરૂ કર્યું. સૂફી શબ્દ ‘સૂફ’ પરથી ઊતરી આવ્યો છે, જેનો અર્થ પણ ઊન થાય છે. સૂફીવાદનો ઇતિહાસ મહંમદ પયગંબર સુધી લંબાયેલો છે, પણ આજે જેને આપણે ખરા અર્થમાં સૂફીવાદ કહીએ છીએ એની શરૂઆત સાતમી-આઠમી સદીમાં થઈ હતી. મુસ્લિમોએ જેને સૂફીવાદ કહ્યો, એ આપણી સંસ્કૃતિમાં પ્રેમલક્ષણા ભક્તિના નામે સદીઓથી પ્રચલિત હતો જ. આપણે ત્યાં શ્રીમદ્ ભાગવતમાં પણ કૃષ્ણ તરફની ગોપીઓની આસક્તિ પ્રકટ થઈ જ છે. નરસિંહના પ્રભાતિયાંઓ અને મીરાંના પદોમાં પણ આ પ્રેમલક્ષણા ભક્તિ જોવા મળે છે. ઈસ્લામિક સૂફીવાદથી સાવ અણજાણ આપણી ભોમકા પરના ભક્તકવિઓએ પણ ઈશ્વરને પોતાની માશૂકા-માશૂક ગણીને, પોતાની જાત એને અર્પણ કરી દેવાની તત્પરતામાં જીવનનું સાફલ્ય સમજ્યું હતું.

મીરાંબાઈનું આ લોકપ્રિય પદ લતા મંગેશકરે અમર કરી દીધું છે, પણ એ બાદ કરતાં કવિતાની દૃષ્ટિએ એને મૂલવીએ તો આ રચના આત્મસમર્પણની શ્રેષ્ઠતમ કવિતાઓમાંની એક છે.

Comments (1)

સૂફીનામા : ૦૬ : વ્હાલમ! આવો મારે ઘેર – કબીર

વ્હાલમ! આવો મારે ઘેર રે,
તમ બિન દુઃખી તન ઢેર રે.

સૌ કહે હું નારી તારી,
મને જ આ સંદેહ રે;
એક મેક થઈએ, સંગ ન સૂઈએ
ત્યાં લગી કેવો સ્નેહ રે?

અન્ન ન ભાવે, ઊંઘ ન આવે,
ઘર વન ધરે ન ધીર રે,
જેમ કામીને કામિની પ્યારી
જેમ તરસ્યાને નીર રે.

છે કોઈ એવો પરોપકારી
પ્રિયને કહી સંભળાવે રે,
‘કબીર’ હવે બેહાલ થયા છે
વણદેખ્યે જીવ જાવે રે.

– કબીર
(અનુ.: વિવેક મનહર ટેલર)

સૂફીવાદ અથવા તસવ્વુફ શબ્દ બોલતાંની સાથે આપણી નજર સામે માથે ઊંચી સફેદ ટોપી અને શરીરે લાંબો-ખુલતો સફેદ ચોગો પહેરીને નિજાનંદમાં ગોળ ગોળ ફર્યે રાખતા દરવેશની છબી આવી ઊભે. અથવા આબિદા પરવીન, નુસરત ફતેહ અલી ખાન જેવા ગાયકોનું સ્મરણ થાય. સાહિત્યમાં થોડોઘણો પણ રસ હોય એની નજર સામે અમીર ખુશરો, રૂમી, ગુલામ ફરીદ, મન્સુર, રાબિયા જેવા કવિઓ તરવરી ઊઠે. માન્યું કે પ્રવર્તમાન સૂફીવાદના મૂળ ઈસ્લામમાં પડેલાં છે અને સૂફી કલામ મુસ્લિમ ધર્મમાંથી લંબાયેલી ડાળ છે, પણ ભારતીય સાહિત્યનો ઇતિહાસ ચકાસીએ તો આપણે ત્યાં ઘણાં કવિઓની કલમ સૂફીવાદની વિચારધારાને મળતી આવે છે.

સૂફી વિચારધારાના મુખ્ય સિદ્ધાંત આ મુજબ છે:

૧) રુઢિચુસ્ત ઈસ્લામ ધર્મ બાહ્યાચાર અને ધાર્મિક વિધિઓના આંધળા પાલનનું સમર્થન કરે છે, જ્યારે સૂફી દરવેશ આંતરિક આંતરિક શુદ્ધિની આરત રાખે છે.
૨) સૂફી દરવેશ ઈશ્વરને પોતાની માશૂકા ગણે છે અને માશૂક તરીકે એને ભજીને એની સાથે એકાકાર થવાની ઝંખના ધરાવે છે.
૩) પ્રેમ અને સમર્પણ ઈશ્વર સુધી પહોંચવાનો એકમાત્ર માર્ગ છે.
૪) સૂફીવાદમાં સૌથી ઊંચુ સ્થાન ગુરુ (મુર્શીદ/પીર)નું છે.
૫) સમર્પણ નમાઝ અને રોજાથીય ઊંચું સ્થાન ધરાવે છે.
૬) સૂફીવાદ જાતિ વ્યવસ્થામાં માનતો નથી.
૭) સૂફીવાદ સાદા-સરળ જીવનનો હિમાયતી છે.

આપણે ત્યાં જયદેવ, વલ્લભાચાર્ય, આણ્ડાળ, વિદ્યાપતિ, કબીર, લાલ દીદ, નરસિંહ, મીરાં જેવા અનેકાનેક કવિઓ થઈ ગયા છે, જેમની રચનાઓ અને જીવનશૈલીમાં આ તમામ સિદ્ધાંતો વણાયેલા જોવા મળે છે. એટલે એમ કહી શકાય કે ઈસ્લામિક દેશોમાં અને આપણે ત્યાં સૂફીવાદી ભક્તિવિચારધારાઓનો સમાંતરે અને સ્વતંત્રપણે વિકાસ થયો છે.

કબીરની આ રચનામાંથી પણ સૂફીના ઊંડા પડઘા ઊઠતા સંભળાય છે. પ્રભુને વહાલમ કહીને એ ઘરે બોલાવે છે, કેમ કે એના વિના આ કાયા દુઃખી દુઃખી છે. લોકોના કહેવા મુજબ કબીર ઈશ્વરની પત્ની છે પણ કબીરને આ વાત પર શંકા છે કેમ કે જ્યાં સુધી બે જણ એક ન થાય, સાથે એક સેજ પર સૂઈ ન જાય ત્યાં સુધી સ્નેહસંબંધ વળી કેવો? કેવી ચતુરાઈથી ઈશ્વરને પોતાને એકરૂપ કરી દેવા માટે કબીર ઉકસાવે છે! પ્રભુના પ્રેમમાં નથી અન્ન ભાવતું, નથી ઊંઘ આવતી, ઘરમાં રહે કે વનમાં, ધીરજ ખૂટી રહી છે અને જેમ કામીને સ્ત્રી પ્યારી હોય અને તરસ્યાને પાણી, બરાબર એ જ તીવ્રતાથી કબીરને પ્રભુની આરત છે. હવે તો કોઈ પરોપકારી મળે અને ઈશ્વરને કબીરના બેહાલ હાલની વાત કહી સંભળાવે તો ઠીક, બાકી કબીરના પ્રાણ પ્રભુદર્શન ન થવાના લઈને નીકળવા પર છે.

*

बालम आवो हमारे गेह रे,
तुम बिन दुखिया देह रे।

सब कोई कहै तुम्हारी नारी
मो कों यह संदेह रे;
इक मिक होये सेज न सोये
तब लग कैसो स्नेह रे।

अन्न न भावै नींद न आवै
गृह बन धरै न धीर रे,
ज्यों कामी को कामिनी प्यारी
ज्यों प्यासे को नीर रे।

है कोई ऐसा पर-उपकारी
पिय से कहै सुनाय रे,
अब तो बेहाल ‘कबीर’ भये हैं
बिन देखे जिया जाय रे।

– कबीर

Comments (5)

સૂફીનામા : ૦૫ : ઓળખ, તિલક- બધુ છીનવ્યું રે -અમીર ખુશરો

મારી છબી બનાવીને હું જો પિયાની પાસે ગઈ,
એની છબી જોઈને હું તો મારી ભૂલી જ ગઈ.

ઓળખ, તિલક- બધુ છીનવ્યું રે, આંખમાં આંખ પરોવીને,
વાત નટખટ (હલકી) કહી દીધી રે, આંખમાં આંખ પરોવીને.

વારિ વારિ જાઉં હું તો તને રંગ-રસિયા,
તારા જ રંગે રંગી રે, આંખમાં આંખ પરોવીને.

પ્રેમ-ભઠ્ઠીનો રસ પાઈને, મતવારી કરી દીધી રે,
આંખમાં આંખ પરોવીને.

ગોરા ગોરા હાથ અને લીલી લીલી બંગડી,
હાથ પકડીને ઘરમાં ખેંચી રે, આંખમાં આંખ પરોવીને.

‘ખુશરો’ ‘નિજામ’ ને વારી વારી જાયે,
મને સોહાગણ કરી દીધી રે, આંખમાં આંખ પરોવીને.

-અમીર ખુશરો (અનુવાદઃ મોના નાયક ‘ઊર્મિ’)

ફારસીના જ્ઞાતા, ઉત્તમ શાયર અને ઇતિહાસકાર અમીર ખુશરો દહેલવી, ઇ.સ. ૧૨૫૩થી ૧૩૨૫ દરમિયાનના સમયના કવિ, સંગીતકાર, સંશોધક, તત્ત્વજ્ઞાની અને ભાષાશાસ્ત્રી ગણાય છે. ઉત્તર ભારતીય શાસ્ત્રીય સંગીતના ખયાલની રચનાની શરૂઆત કરવાનો યશ અમીર ખુશરોને ફાળે જાય છે. તેમણે ધ્રુપદમાં સુધારા કરીને તેમાં પર્શિયન મેલડીઝ અને તાલ ઉમેરીને ખયાલની રચના કરી હતી. સામાન્ય રીતે જોઇએ તો ખયાલ મૂળ તો કવ્વાલીમાંથી ઊભર્યો છે, જેને તેમણે ભજનરૂપે પણ રચના કરીને ગાયો હતો. તેઓ પર્શિયન ભાષામાં તથા હિન્દવીમાં કવિતાઓ લખતા. પાછળથી તેઓ હિન્દી અને ઉર્દૂમાં લખતા થયા હતા. ઉપરાંત તેઓ અરેબિક ભાષા પણ જાણતા. તેમની મોટા ભાગની કવિતાઓ આજે પણ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં બંદીશો તરીકે ઉપયોગમાં લેવાય છે અને તેમની ગઝલો ગઝલગાયકો ગાય છે. તેઓ ઉર્દૂ ભાષાના સ્થાપક હતા અને પ્રથમ ઉર્દૂ કવિ પણ હતા. તેમને કવ્વાલીના જનક કહેવાય છે. કવ્વાલી એ ભારતીય સૂફીઓનું ભક્તિસંગીત ગણાય છે. તેમણે શાસ્ત્રીય સંગીતમાં તરાનાનો ઉદ્ભવ કર્યા પછી શરૂઆતના રાગો પણ પરંપરાગત રિધમિક રીતે કમ્પોઝ કર્યા હતા. ભારતીય તબલાની શોધ પણ તેમણે કરી હતી. તેમણે સંગીતની સાથે માર્શલ આર્ટસ અને ઘોડેસવારી પણ શીખ્યા હતા. ખુશરો દિલ્હીના અલ્લાઉદ્દીન ખીલજીથી ગયાસુદ્દીન તઘલખ સુધીના સાત રાજાઓના દરબારમાં જાણીતા સંગીતકાર હતા.

અમીર ખુશરો કોમીએકતા, હિન્દુ-મુસ્લિમ સંવાદિતા, સામાજીક જોડાણ અને સાંપ્રદાયિક એકતાનું પ્રતિક ગણાય છે. અમીર ખુશરોએ ભારતીય સંસ્કૃતિના સદ્‌ભાવનાના મૂલ્યોને “ખિદમત-એ-ખલ્ક” એટલેકે માનવતાની સેવાથી આગળ વધાવ્યો છે. તેમણે “સુલ્હ-એ-કુલ” પ્રથા એટલે કે સમાધાનની પ્રથાની પણ શરૂઆત કરી જેના અનુસાર ઈશ્વર એ લોકોનું દામન થામે છે જે માનવતા માટે તેનાથી પ્રેમ કરે છે અને તેથી જ સમગ્ર માનવતા તેનાથી પ્રેમ કરે છે. આજના સમયમાં અમીર ખુશરોની નજ્મો-કવિતા અને શિક્ષાઓ કોમી એકતા, સહનશીલતા, આધ્યાત્મિકતાને મજબૂત કરવા ઉપયોગી બને છે.

ખુશરો સૂફી વિચારના ચિશ્તી પરંપરાના જાણીતા સંત હઝરત મુહંમદ નિઝામુદ્દીન ઓલિયાના વિચારોથી પ્રભાવિત થઈ તેમના શિષ્ય બની ગયા, જે તેમના આધ્યાત્મિક ગુરુ પણ હતા. પાંચ હજાર દોહા અને શાયરીનાં પાંચ પુસ્તકો લખનાર અમીર ખુસરોની રચનાઓમાં સૂફી વિચારોનો અર્ક માણવા મળે છે. તેમના ગુરુ નિઝામુદ્દીન ઓલિયાના અવસાનના સમાચાર તેમને ઘણા મોડા મળેલા અને સમાચાર મળતાં જ અમીર ખુસરો તેમની દરગાહ પર જઇ ચોધાર આંસુએ રડેલા અને ત્યારે તેમની અંદરનો કવિ બોલી ઊઠેલો,

‘ખુસરો રૈન સોહાગ કી, જાગી પી કે સંગ
તન મોરો મન પિઉ કો, દાઉ ભયે એક સંગ
ગોરી સોવે સેજ પર, મુખ પર ડારે કેસ
ચલ ખુસરો ઘર અપને, રૈન ભઈ ચહું દેસ’

આ દોહા સાથે ખુસરો ગુરુની મઝાર પાસે બેભાન થઈ ગયેલા. આવા ગહન વિચારને સરળ શબ્દોમાં સાકાર કરનાર ખુસરોની પ્રખ્યાત રચનાઓમાં ‘ખ્જૈન- અલ -ફતહ’ અને ‘તારીખ-એ – અલાય’ છે. જ્યારે ઐતિહાસિક રચનાઓમાં ‘નૂહ સિફિર’ અને ‘તુગલખનામ’ જાણીતી છે. ઈ .સ. ૧૩૨૫માં તેમનું અવસાન થયું. તેમની અંતિમ ઈચ્છા મુજબ તેમને તેમના ગુરુ નિઝામુદ્દીન ઓલિયાની કબર પાસે જ દફ્નાવાવમાં આવ્યા.

Source: WikiPedia અને અન્ય

*
अपनी छवि बनाय के जो मैं पी के पास गई
जब छवि देखी पीहू की तो अपनी भूल गई

छाप तिलक सब छीनी रे मोसे नैनाँ मिलाय के
बात अधम कह दीन्हीं रे मोसे नैनाँ मिलाय के

बल-बल जाऊँ मैं तोरे रंग-रेजवा
अपनी सी रंग दीन्हीं रे मोसे नैनाँ मिलाइ के

प्रेम-भटी का मदवा पिलाय के मतवारी कर दीन्हीं रे
मोसे नैनाँ मिलाइ के

गोरी गोरी बइयाँ हरी हरी चूड़ियाँ
बईयाँ पकर धर लीन्हीं रे मोसे नैनाँ मिलाय के

‘ख़ुसरव’ ‘निजाम’ के बल-बल जइए
मोहे सुहागन कीन्हीं रे मोसे नैनाँ मिलाइ के

Comments (4)

સૂફીનામા : ૦૪ : પ્રેમમાં – ફરીદુદ્દીન અટ્ટાર

પ્રેમમાં યુવાન અને વૃદ્ધ એક સમાન છે
પ્રેમમા ખોટ અને નફો એક સમાન છે
પ્રેમમાં દુનિયાના બધા રંગ એક સમાન છે
પ્રેમમાં વસંત અને પાનખર એક સમાન છે
પ્રેમમાં ઊંચું અને નીચું એક સમાન છે
પ્રેમમાં ધરતી અને સ્વર્ગ એક સમાન છે
પ્રેમનું સ્થાનક વર્તુળાકાર છે
એના પરનું દરેક બિંદુ એક સમાન છે
પ્રિયતમનું વ્હાલ ને આક્રોશ એક સમાન છે
પ્રેમની પરંપરામાં મૃત્યુ ને અમરત્વ એક સમાન છે

-ફરીદુદ્દીન અટ્ટાર

પ્રેમ માત્ર સાધન નથી સાધ્ય છે: આ જરા જેટલા વિચારમાં આખી દુનિયાને ક્ષણાર્ધમાં સરળ કરી નાખવાની તાકાત છે.

Comments (2)

સૂફીનામા : ૦3: ખાલી શ્વાસ – રૂમી

ન ઇસાઇ કે યહૂદી કે મુસ્લિમ,
ન હિન્દૂ કે સૂફી કે ઝેન.
ન કોઈ ધર્મ કે ન કોઈ સંસ્કૃતિ.

ન હું પૂર્વથી કે પશ્ચિમથી.
ન સાગરમાંથી કે ન ધરતી પરથી,
ન પાર્થિવ કે ન અપાર્થિવ,
નથી બન્યો હું તત્વોથી.

હું હોવામાં નથી.
હું નથી આ દુનિયાનો કે નથી બાજુની દુનિયાનો,
નથી હું આદમ-ઇવથી જન્મ્યો કે સ્વર્ગથી ઉતારી આવ્યો.

મારું સ્થાન સ્થાનરહિત છે, પગેરાવિહીન પગેરું .
ન આત્મા ન શરીર.

હું મારા પ્રિયતમનો છું ને જોયા છે એમાં
બે જગતને એક થઇ જતા જેને હું પોકારું છું અને જાણું છું.
એ જ પહેલો અને છેલ્લો, એ જ બાહરનો અને અંદરનો,
ખાલી એ શ્વાસ લેતો માનવ.

– રૂમી (કોલમેન બાર્કસના અનુવાદના આધારે)

સૂફીવાદની વાત નીકળે તો પહેલો રૂમી યાદ આવે. એની રહસ્યવાદી કવિતાઓ આજે લગભગ હજાર વર્ષ પછી પણ એટલી જ પ્રસ્તુત લાગે છે. એની હજારો કવિતાઓ છે અને એકે એક ઉમદા છે.

સુફીમાર્ગમાં ‘ફિત્ર’ની વાત છે. ફિત્ર એટલે નિર્દોષ અને નિર્મળ સ્થિતિ. દરેક માનવ જન્મે આ જ સ્થિતિમાં હોય છે. સંસારના રંગે ના રંગાય ત્યાં સુધી. બીજે બધે વાત છે વધારે જ્ઞાન મેળવીને આગળ જવાની, અહીં વાત છે બિનજરૂરી આવરણો ઉતારીને શુદ્ધ થવાની. બધું પોતાની અંદર છે જ. માત્ર શોધવાની જ વાર છે.

અહીં રૂમી પોતાની જાતને એક પછી એક આવરણમાંથી મુક્ત કરતા જાય છે. પોતાના પરથી જાણે એક પછી એક ‘લેબલ’ ઉખાડતા જતા હોય એમ. કવિને ધર્મ કે સંસ્કૃતિ ખપતા નથી. નથી એમને શરીરનો ભાર ખપતો. પોતાના અસ્તિત્વનું પોત કવિને એટલું પાતળું કરી દેવું છે કે એ શબ્દ વાપરે છે – ‘સ્થાનરહિત સ્થાન’ અને ‘પગેરાવિહીન પગેરું.’ કવિ આત્મા અને શરીર બંનેથી આગળ વધી જવા માંગે છે. એમનુ ગંતવ્ય છે પ્રિયતમ. પોતાના પ્રિયતમમાં એમને બંને જહાન એક થતા દેખાય છે. છેલ્લે રહી જાય છે ખાલી એક શ્વાસ લેતો માનવ. કોઈની પણ આટલી ઓળખાણ પર્યાપ્ત હોય છે. એનાથી વધારેના કોઈ પણ આવરણો આખરે તો અડચણ જ બની રહેતા હોય છે.

Comments (2)

સૂફીનામા : ૦૨ : અનાયાસે – મન્સૂર

I do not cease swimming
in the seas of love,
rising with the wave,
then descending;
now the wave sustains me,
and then I sink beneath it;
love bears me away
where there is no longer any shore.

Al Hallaj Mansoor

પ્રેમસિંધુઓ મહીં
તરવું બંધ કરતો નથી.
ઉપર જતો મોજા સાથે,
પછી નીચે.
હમણા મોજું મને ટકાવે છે
ને પછી હું એની નીચે ડૂબું છું.
કિનારાના તો ઓછાયામાત્રથી
પ્રેમ મને આઘો રાખે છે.

– મન્સૂર

આ મારો સૌથી પ્રિય માથાનો ફરેલો સૂફી છે. અંગત રીતે મને આ સંત સૌથી હિમતવાન અને નીડર લાગે છે. એને સત્ય સિવાય કશાનો ખપ પણ નહોતો અને ખોફ પણ નહોતો. એ સારી પેઠે જાણતો હતો કે એના વિચારો પ્રગટ કરવાનો અર્થ શું હતો અને અંત શું હતો,છતાં એણે ડંકાની ચોટ પર એલાન કરેલું – ‘ અનલહક ‘ – અર્થાત ‘ હું જ સત્ય છું ‘ – બીજા શબ્દોમાં – “અહં બ્રહ્માસ્મિ”…… રૂઢિચૂસ્તો આ ગુસ્તાખી માટે એના એક પછી એક અંગો છેદતા ગયા અને તેને પોતાનો અભિપ્રાય બદલવાનો મોકો આપતા ગયા, પણ તે ટસનો મસ ન થયો. અંતે ગળા પર તલવાર મૂકાઈ ત્યારે પણ એનો સૂર દ્રઢ રહ્યો. તેની હત્યા આખા ઇસ્લામને હચમચાવી ગઈ. હૃદયથી બધા જ એની સામે નતમસ્તક થયા. ખાનગીમાં તે ઇસ્લામનો મહાનાયક કહેવાયો.

કાવ્ય સરળ છે…..જયારે કર્તા અદ્રશ્ય થાય છે ત્યારે જે રહી જાય છે તે છે અદ્વૈત….. આ જ વાત જિબ્રાન,રવીન્દ્રનાથ અને જે.કૃષ્ણમૂર્તિ ભિન્નભિન્ન શબ્દોમાં કહે છે…..

Comments (2)

સૂફીનામા : ૦૧ : વાસ્તવિકતા – રાબિયા

પ્રેમમાં કશું જ હોતું નથી હ્ર્દય-હૃદય વચ્ચે.
વાણી જન્મે છે વિરહમાંથી,
હૂબહૂ વર્ણન જન્મે છે સાચા સ્વાદમાંથી.
જે ચાખી ચૂક્યો છે, તે જાણકાર;
જે માત્ર વર્ણવે તે ખોટ્ટાડો.
જે હજરાહજૂર થતા તમારું અસ્તિત્વ જ નામશેષ થઈ જાય
તેનું મૂળ સ્વરૂપ તમે કઈ રીતે વર્ણવી જ શકો ?
વળી તમારું અસ્તિત્વ હજુ જેના સ્વ માં છે (તેનું મૂળસ્વરૂપ તમે કઈ રીતે વર્ણવી શકો) ?
વળી જે તમારી યાત્રાની નિશાનીરૂપે જીવંત છે (તેનું મૂળસ્વરૂપ તમે કઈ રીતે વર્ણવી શકો) ?

– રાબિયા

In love, nothing exists between heart and heart.
Speech is born out of longing,
True description from the real taste.
The one who tastes, knows;
the one who explains, lies.
How can you describe the true form of Something
In whose presence you are blotted out?
And in whose being you still exist?
And who lives as a sign for your journey?

-Rabia al-Adawiyya

મંદિરમાં જેમ ગર્ભગૃહ, મહાભારતમાં જેમ ગીતા તેમ ઇસ્લામમાં સૂફી. ઉત્તમ ઉદાહરણ આપવું હોય તો જે સ્થાન ઝેનનું બૌદ્ધપંથમાં છે તે જ સ્થાન સૂફીનું ઇસ્લામમાં છે. ઇસ્લામનો પાયો અદ્વૈત નથી. સૂફીમાં અદ્વૈતનો ઈશારો છે. ‘અનલહક’ એ અદ્વૈતનો ઉદ્દગાર છે. અદ્વૈતની ઉદ્દઘોષણા છે. સૂફીની કોઈ સ્પષ્ટ મર્યાદિત વ્યાખ્યા નથી. ઈશ્વરને પ્રિયતમ સ્વરૂપે અનુભવવો, માશૂક સરીખો સંવાદ સાધવો, સખાભાવે ઝઘડવું-રૂઠવું-રીઝવું… આ બધા સૂફીના સ્વભાવ-સ્વરૂપ. જયારે કોઈક સાધક ઈશ્વરના પ્રચલિત ખ્યાલને વીંધીને ઈશ્વર-તત્વનું ચિંતન કરે ત્યારે તે સૂફી-ભોમકામાં પદાર્પણ કરે. જલાલુદ્દીન રૂમીએ સૂફી પરંપરામાં એવું મોટું સિમાચિહ્ન સર્જ્યું છે કે ત્યાર બાદના તમામ સૂફીપરંપરાના સર્જનો એ જ માપદંડે મપાય છે. અસંખ્ય સાધકોએ આ પરંપરામાં અદભૂત સર્જન આપ્યા છે.

પ્રસ્તુત રચના એક લાક્ષણિક સૂફી કાવ્ય છે- સંપૂર્ણપણે અદ્વૈતનું ગાન !! એક ગુલામડી તરીકે યુવાન થનાર બહેન ઇસ્લામની પૂજ્ય સંત બને છે સાતમી સદીના અતિરૂઢીચૂસ્ત સમાજમાં. તેઓએ પરમતત્વને આત્મસાત કર્યું હતું, અને સ્પષ્ટ કહે છે કે “પ્રેમમાં કશું જ હોતું નથી હ્ર્દય-હૃદય વચ્ચે” – દ્વંદ્વ શમે છે ત્યારે પ્રેમ જ રહી જાય છે, બીજું કશું હોતું નથી. કિરણ અને સૂર્ય અલગ નથી, બૂંદ અને મોજું અને સાગર અલગ નથી. અલગતાની જનની ભ્રમણા છે. ઈશ્વરને શોધવો નરી મૂર્ખતા છે.

Comments (2)