સસાશીંગનું વહાણ જ કર્યું, મૃગતૃષ્ણામાં જઈને તર્યું;
વંધ્યાસુત બે વા’ણે ચઢ્યા, ખપુષ્પ વસાણાં ભર્યાં;
જેવી શેખસલીની ચાલી કથા, અખા હમણાં ને આગળ એવા હતા.
- અખો

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for અમીર ખુશરો

અમીર ખુશરો શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




સૂફીનામા : ૦૫ : ઓળખ, તિલક- બધુ છીનવ્યું રે -અમીર ખુશરો

મારી છબી બનાવીને હું જો પિયાની પાસે ગઈ,
એની છબી જોઈને હું તો મારી ભૂલી જ ગઈ.

ઓળખ, તિલક- બધુ છીનવ્યું રે, આંખમાં આંખ પરોવીને,
વાત નટખટ (હલકી) કહી દીધી રે, આંખમાં આંખ પરોવીને.

વારિ વારિ જાઉં હું તો તને રંગ-રસિયા,
તારા જ રંગે રંગી રે, આંખમાં આંખ પરોવીને.

પ્રેમ-ભઠ્ઠીનો રસ પાઈને, મતવારી કરી દીધી રે,
આંખમાં આંખ પરોવીને.

ગોરા ગોરા હાથ અને લીલી લીલી બંગડી,
હાથ પકડીને ઘરમાં ખેંચી રે, આંખમાં આંખ પરોવીને.

‘ખુશરો’ ‘નિજામ’ ને વારી વારી જાયે,
મને સોહાગણ કરી દીધી રે, આંખમાં આંખ પરોવીને.

-અમીર ખુશરો (અનુવાદઃ મોના નાયક ‘ઊર્મિ’)

ફારસીના જ્ઞાતા, ઉત્તમ શાયર અને ઇતિહાસકાર અમીર ખુશરો દહેલવી, ઇ.સ. ૧૨૫૩થી ૧૩૨૫ દરમિયાનના સમયના કવિ, સંગીતકાર, સંશોધક, તત્ત્વજ્ઞાની અને ભાષાશાસ્ત્રી ગણાય છે. ઉત્તર ભારતીય શાસ્ત્રીય સંગીતના ખયાલની રચનાની શરૂઆત કરવાનો યશ અમીર ખુશરોને ફાળે જાય છે. તેમણે ધ્રુપદમાં સુધારા કરીને તેમાં પર્શિયન મેલડીઝ અને તાલ ઉમેરીને ખયાલની રચના કરી હતી. સામાન્ય રીતે જોઇએ તો ખયાલ મૂળ તો કવ્વાલીમાંથી ઊભર્યો છે, જેને તેમણે ભજનરૂપે પણ રચના કરીને ગાયો હતો. તેઓ પર્શિયન ભાષામાં તથા હિન્દવીમાં કવિતાઓ લખતા. પાછળથી તેઓ હિન્દી અને ઉર્દૂમાં લખતા થયા હતા. ઉપરાંત તેઓ અરેબિક ભાષા પણ જાણતા. તેમની મોટા ભાગની કવિતાઓ આજે પણ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં બંદીશો તરીકે ઉપયોગમાં લેવાય છે અને તેમની ગઝલો ગઝલગાયકો ગાય છે. તેઓ ઉર્દૂ ભાષાના સ્થાપક હતા અને પ્રથમ ઉર્દૂ કવિ પણ હતા. તેમને કવ્વાલીના જનક કહેવાય છે. કવ્વાલી એ ભારતીય સૂફીઓનું ભક્તિસંગીત ગણાય છે. તેમણે શાસ્ત્રીય સંગીતમાં તરાનાનો ઉદ્ભવ કર્યા પછી શરૂઆતના રાગો પણ પરંપરાગત રિધમિક રીતે કમ્પોઝ કર્યા હતા. ભારતીય તબલાની શોધ પણ તેમણે કરી હતી. તેમણે સંગીતની સાથે માર્શલ આર્ટસ અને ઘોડેસવારી પણ શીખ્યા હતા. ખુશરો દિલ્હીના અલ્લાઉદ્દીન ખીલજીથી ગયાસુદ્દીન તઘલખ સુધીના સાત રાજાઓના દરબારમાં જાણીતા સંગીતકાર હતા.

અમીર ખુશરો કોમીએકતા, હિન્દુ-મુસ્લિમ સંવાદિતા, સામાજીક જોડાણ અને સાંપ્રદાયિક એકતાનું પ્રતિક ગણાય છે. અમીર ખુશરોએ ભારતીય સંસ્કૃતિના સદ્‌ભાવનાના મૂલ્યોને “ખિદમત-એ-ખલ્ક” એટલેકે માનવતાની સેવાથી આગળ વધાવ્યો છે. તેમણે “સુલ્હ-એ-કુલ” પ્રથા એટલે કે સમાધાનની પ્રથાની પણ શરૂઆત કરી જેના અનુસાર ઈશ્વર એ લોકોનું દામન થામે છે જે માનવતા માટે તેનાથી પ્રેમ કરે છે અને તેથી જ સમગ્ર માનવતા તેનાથી પ્રેમ કરે છે. આજના સમયમાં અમીર ખુશરોની નજ્મો-કવિતા અને શિક્ષાઓ કોમી એકતા, સહનશીલતા, આધ્યાત્મિકતાને મજબૂત કરવા ઉપયોગી બને છે.

ખુશરો સૂફી વિચારના ચિશ્તી પરંપરાના જાણીતા સંત હઝરત મુહંમદ નિઝામુદ્દીન ઓલિયાના વિચારોથી પ્રભાવિત થઈ તેમના શિષ્ય બની ગયા, જે તેમના આધ્યાત્મિક ગુરુ પણ હતા. પાંચ હજાર દોહા અને શાયરીનાં પાંચ પુસ્તકો લખનાર અમીર ખુસરોની રચનાઓમાં સૂફી વિચારોનો અર્ક માણવા મળે છે. તેમના ગુરુ નિઝામુદ્દીન ઓલિયાના અવસાનના સમાચાર તેમને ઘણા મોડા મળેલા અને સમાચાર મળતાં જ અમીર ખુસરો તેમની દરગાહ પર જઇ ચોધાર આંસુએ રડેલા અને ત્યારે તેમની અંદરનો કવિ બોલી ઊઠેલો,

‘ખુસરો રૈન સોહાગ કી, જાગી પી કે સંગ
તન મોરો મન પિઉ કો, દાઉ ભયે એક સંગ
ગોરી સોવે સેજ પર, મુખ પર ડારે કેસ
ચલ ખુસરો ઘર અપને, રૈન ભઈ ચહું દેસ’

આ દોહા સાથે ખુસરો ગુરુની મઝાર પાસે બેભાન થઈ ગયેલા. આવા ગહન વિચારને સરળ શબ્દોમાં સાકાર કરનાર ખુસરોની પ્રખ્યાત રચનાઓમાં ‘ખ્જૈન- અલ -ફતહ’ અને ‘તારીખ-એ – અલાય’ છે. જ્યારે ઐતિહાસિક રચનાઓમાં ‘નૂહ સિફિર’ અને ‘તુગલખનામ’ જાણીતી છે. ઈ .સ. ૧૩૨૫માં તેમનું અવસાન થયું. તેમની અંતિમ ઈચ્છા મુજબ તેમને તેમના ગુરુ નિઝામુદ્દીન ઓલિયાની કબર પાસે જ દફ્નાવાવમાં આવ્યા.

Source: WikiPedia અને અન્ય

*
अपनी छवि बनाय के जो मैं पी के पास गई
जब छवि देखी पीहू की तो अपनी भूल गई

छाप तिलक सब छीनी रे मोसे नैनाँ मिलाय के
बात अधम कह दीन्हीं रे मोसे नैनाँ मिलाय के

बल-बल जाऊँ मैं तोरे रंग-रेजवा
अपनी सी रंग दीन्हीं रे मोसे नैनाँ मिलाइ के

प्रेम-भटी का मदवा पिलाय के मतवारी कर दीन्हीं रे
मोसे नैनाँ मिलाइ के

गोरी गोरी बइयाँ हरी हरी चूड़ियाँ
बईयाँ पकर धर लीन्हीं रे मोसे नैनाँ मिलाय के

‘ख़ुसरव’ ‘निजाम’ के बल-बल जइए
मोहे सुहागन कीन्हीं रे मोसे नैनाँ मिलाइ के

Comments (4)