અક્ષરો પડવાની જ્યાં ઘટના બની કાગળ પરે
ત્યાં તરત અફવા ઊડી કે હાથથી કંકુ ખરે
– મનોજ ખંડેરિયા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for મીરાંબાઈ

મીરાંબાઈ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ચાકર રાખોજી – મીરાંબાઈ

મ્હાંને ચાકર રાખોજી,
.         ગિરધારી લાલ, મ્હાંને ચાકર રાખોજી!

ચાકર રહસું, બાગ લગાસૂં,
.         નિત ઊઠ દર્શન પાસૂં;
વૃંદાવન કી કુંજ – ગલનમેં
.         ગોવિંદા – લીલા ગાસૂં રે !
.                                   મ્હાંને ચાકર રાખોજી!

ચાકરી મેં તો દરસન પાઊં,
.         સુમરિન પાઊં ખરચી;
ભાવ–ભગતિ જાગીરી પાઊં,
.         તીનોં બાતાં સરસી રે !
.                                   મ્હાંને ચાકર રાખોજી!

મોર મુકુટ પીતામ્બર સોહે,
.         ગલે બૈજંતી માલા;
વૃન્દાવનમાં ધેનુ ચરાવે,
.         મોહન મૂરલીવાલા રે!
.                                   મ્હાંને ચાકર રાખોજી!

ઊંચે ઊંચે મહલ બનાઊં
.         બિચ બિચ રાખુ બારી;
સાંવરિયા કે દરસન પાઊં
.         પહિર કસુમ્બી સારી રે !
.                                   મ્હાંને ચાકર રાખોજી!

જોગી આયા જોગ કરનકો,
.         તપ કરને સંન્યાસી;
હરિભજન કો સાધુ આયે
.         વૃન્દાવનકે વાસી રે !
.                                   મ્હાંને ચાકર રાખોજી!

મીરાં કે પ્રભુ ગહિર ગંભીરા,
.         હૃદે રહોજી ધીરા;
આધી રાત પ્રભુ દરસન દીજો
.         પ્રેમનદીને તીરા રે!
.                                   મ્હાંને ચાકર રાખોજી!

– મીરાંબાઈ

મિશ્ર ગુજરાતી-રજસ્થાની (મારૂ ગુર્જર) ભાષામાં મીરાંબાઈના પ્રેમલક્ષણા ભક્તિનાં પદો છે..ક એના દિલના તળિયેથી કોઈપણ આયાસ વિના ઉદભવ્યાં હોવાથી આટઆટલા વર્ષોનાં વહાણાં વાઈ જવા છતાંય આપણને મંત્રમુગ્ધ કરતાં રહે છે. એની વાણીમાં અંતરની સચ્ચાઈ અને સર્વાંગ સમર્પિતતા સિવાય બીજું કશું નહીં જડે.

કૃષ્ણને શેઠ તરીકે એ કલ્પે છે એટલે ગિરધારી સાથે ‘લાલ’નો તડકો લગાવે છે. ગિરધારીલાલના ચાકર બનવાની અરજી લઈ મીરાં આપણી સમક્ષ આવે છે. ચાકર બનવા પાછળની એની મંશા તો જુઓ… ચાકર બનશે તો એ બાગનું ધ્યાન રાખશે, કૃષ્ણ રોજ સવારે બાગમાં તો આવશે જ એટલે રોજ ઊઠીને એના દર્શન કરવા મળશે. આ દર્શન એનો પગાર, નામસ્મરણ ખર્ચી; અને ભાવભક્તિ એની જાગીર. પ્રેમનદીના કિનારે અડધી રાત્રે ગહન-ગંભીર શ્રી કૃષ્ણના દર્શન થાય એટલે મીરાંને મન તો ભયો-ભયો…

Comments (7)

होली पिया बिणा लागाँ री खारी – मीराँबाई

होली पिया बिणा लागाँ री खारी।

सूनो गाँव देस सब सूनो, सूनी सेज अटारी।
सूनो बिरहन पिव विण डोलाँ, तज गया पीव पियारी।
विरहा दुःख मारी।

देस बिदेसा णा जावाँ म्हारो अणेशा भारी।
गणताँ गणताँ घिस गयाँ रेखाँ, आँगरियाँ री सारी।
आयाँ णा री मुरारी।

बाज्यो झाँझ मृदंग मुरलिया बाज्याँ कर इकतारी।
आया बसन्त पिया घर णाँरी, म्हारी पीडा भारी।
स्याम मण क्याँरी बिसारी।

ठाडो अरज कराँ गिरधारी, राख्याँ लाज हमारी।
मीराँ के प्रभु मिलव्यो माधो, जनम-जनम री क्वाँरी।
मण लागी दरसण तारी।

– मीराँबाई

મીરાંબાઈના અમર પદોમાં હોળીગીતો પણ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. હોળીના બહાને શ્યામ-સાંવરાને મનાવવાનું-ખીજાવાનું-લાડ લડાવવાનું એ ચૂકતાં નથી. પિયા વિના એમને હોળી અકારી લાગે છે. ગામ, દેશ, સેજ, અટારી- બધું જ પ્રિયતમ વિના સૂનું છે. પિયુના ત્યજી જવાથી સૂની પડેલી વિરહણને વિરહનું દુઃખ ભારી થઈ પડ્યું છે. પ્રિયજનને શોધવા એ ઘર છોડીને દેશ-વિદેશ પણ જઈ શકે એમ નથી કેમકે એને અંદેશો રહે છે કે ક્યાંક હું ઘર બહાર નીકળી એવામાં એ આવીને ચાલ્યો ગયો તો? એ તો બસ, મુરારીની પ્રતીક્ષામાં આંગળીના વેઢે દિવસો ગણી રહી છે અને ગણતાં-ગણતાં બધા વેઢા પણ ઘસાઈ ગયા છે હવે તો! પ્રતીક્ષાની કેવી પરાકાષ્ઠા! કેવી ઉત્કૃષ્ટ કવિતા! ઝાંઝ-મૃદંગ-વાંસળી-એકતારો વાગી રહ્યા છે, કેમ કે વસંત ઋતુ આવી ચડી છે. પણ શ્યામ તો એને વિસરી બેઠો છે. આવતો જ નથી એટલે મીરાંબાઈ અરજ કરતાં કહે છે કે પ્રભુ! મારી લાજ રાખો. તારા દર્શનની આશામાં હું જનમ જનમથી કુંવારી છું…

Comments (5)

સૂફીનામા : ૦૭ : જો તુમ તોડો, પિયા! – મીરાંબાઈ

જો તુમ તોડો, પિયા! મૈં નહિ તોડું,
તો સોં પ્રીત તોડ, મૈં! કૌન સંગ જોડું?

તુમ ભયે તરુવર, મૈં ભઈ પંખિયા,
તુમ ભયે સરોવર, મૈં તેરી મછિયા.

તુમ ભયે ગિરિવર, મૈં ભઈ મોરા,
તુમ ભયે ચંદા, મૈં ભઈ ચકોરા.

તુમ ભયે મોતી હમ ભયે ધાગા;
તુમ ભયે સોના, હમ ભયે સોહાગા.

મીરાં કહે: પ્રભુ! વ્રજ કે વાસી!
તુમ મેરે ઠાકુર, મૈં તેરી દાસી.

– મીરાં

ઈસ્લામિક રહસ્યવાદ તસવ્વુફ તરીકે ઓળખાય છે. અરબી ભાષામાં તસવ્વુફ એટલે ઊનના વસ્ત્રો પહેરવાં. એ જમાનામાં મુસ્લિમ દરવેશો ઊનના વસ્ત્રો પહેરતાં હતાં એ પરથી આ શબ્દ ઊતરી આવ્યો હોઈ શકે. ઓગણીસમી સદીના પ્રારંભમાં પાશ્ચાત્ય જગતે તસવ્વુફને ‘સૂફી’ નામથી ઓળખવાનું શરૂ કર્યું. સૂફી શબ્દ ‘સૂફ’ પરથી ઊતરી આવ્યો છે, જેનો અર્થ પણ ઊન થાય છે. સૂફીવાદનો ઇતિહાસ મહંમદ પયગંબર સુધી લંબાયેલો છે, પણ આજે જેને આપણે ખરા અર્થમાં સૂફીવાદ કહીએ છીએ એની શરૂઆત સાતમી-આઠમી સદીમાં થઈ હતી. મુસ્લિમોએ જેને સૂફીવાદ કહ્યો, એ આપણી સંસ્કૃતિમાં પ્રેમલક્ષણા ભક્તિના નામે સદીઓથી પ્રચલિત હતો જ. આપણે ત્યાં શ્રીમદ્ ભાગવતમાં પણ કૃષ્ણ તરફની ગોપીઓની આસક્તિ પ્રકટ થઈ જ છે. નરસિંહના પ્રભાતિયાંઓ અને મીરાંના પદોમાં પણ આ પ્રેમલક્ષણા ભક્તિ જોવા મળે છે. ઈસ્લામિક સૂફીવાદથી સાવ અણજાણ આપણી ભોમકા પરના ભક્તકવિઓએ પણ ઈશ્વરને પોતાની માશૂકા-માશૂક ગણીને, પોતાની જાત એને અર્પણ કરી દેવાની તત્પરતામાં જીવનનું સાફલ્ય સમજ્યું હતું.

મીરાંબાઈનું આ લોકપ્રિય પદ લતા મંગેશકરે અમર કરી દીધું છે, પણ એ બાદ કરતાં કવિતાની દૃષ્ટિએ એને મૂલવીએ તો આ રચના આત્મસમર્પણની શ્રેષ્ઠતમ કવિતાઓમાંની એક છે.

Comments (1)

નહિ રે વિસારું હરિ… – મીરાંબાઈ

નહિ રે વિસારું હરિ,
અંતરમાંથી નહિ રે વિસારું હરિ.

જલ જમુનાનાં પાણી રે જાતાં
શિર પર મટકી ધરી;
આવતાં ને જાતાં મારગ વચ્ચે
અમૂલખ વસ્તુ જડી. અતંરo

આવતાં ને જાતાં વૃન્દા રે વનમાં
ચરણ તમારે પડી;
પીળાં પીતાંબર, જરકસી જામા,
કેસર આડ કરી. અતંરo

મોરમુગટ ને કાને રે કુંડલ,
મુખ પર મોરલી ધરી;
બાઈ મીરાં કહે પ્રભુ ગિરધરનાં ગુણ,
વિઠ્ઠલવરને વરી. અતંરo

– મીરાંબાઈ

આજન્મ કૃષ્ણઘેલી મીરાં રાધાનો સ્વાંગ લઈને કેવી મજાની રીતથી કૃષ્ણને ચાહે છે! વાંચતાવેંત દિલને સ્પર્શી જાય એવી રચના છે…

Comments

કોની સંગ રમવી રે હોળી? – મીરાંબાઈ (અનુ. વિવેક મનહર ટેલર)

કોની સંગ રમવી હોળી?
ગયા પિયા મને એકલી છોડી.

બાંધી ગળામાં તારી કંઠી,
છોડ્યા સઘળાં માણેક-મોતી,
મહેલ ને ભોજન થયાં અકારાં,
થઈ એકલી હું પિયાને કાજ, ભોળી.
મને દૂર કેમ તરછોડી?

મુજ સંગ પ્રીત કરી ક્યમ પહેલાં?
હવે બીજાની સાથે ક્યમ જોડી?
કેટલા દિવસ થયા, હજીય ન આવ્યા,
થઈ રહી તાલાવેલી,
કેમ દિલમાં આવી હેલી?

શ્યામ વિના આ જીવ મુરઝાતો,
જળ વિણ વેલ શું મહોરી?
મીરાંને પ્રભુ દર્શન આપો,
દાસી જનમ જનમની, હો રી !
દરસ વિના દુઃખિયારી તોરી.

-મીરાંબાઈ
(અનુ. વિવેક મનહર ટેલર)

*

પ્રેમલક્ષણા ભક્તિનું સર્વોત્કૃષ્ટ શિખર છે મીરાં. મીરાંની ભક્તિનું પાનું કાઢી લો તો કૃષ્ણ અધૂરો લાગે. મીરાં કહે છે, કહે છે, ‘फ़ागुन के दिन चार रे, होली खेल मना रे…’ પણ આજે પરિસ્થિતિ સાનુકૂળ નથી. પ્રિયતમ છોડીને ચાલ્યો ગયો છે અને હોળી તો આ માથે આવી ઊભી! હવે રમવું કોની સાથે?રંગોના મેળાની વચ્ચોવચ એકલતાથી વધુ ફિક્કો ને પ્રાણહીન અવર કયો રંગ હોઈ શકે? પ્રેમમાં ફરિયાદ જાયજ છે. મીરાં તો નિતાંત નખશિખ પ્રેયસી છે. એણે મહેલની વાહવા છોડીને ચાહવા સિવાય કશું કામ જ નથી કર્યું. એ ફરિયાદ કરે છે કે બીજાની સાથે જ પ્રીતડી બાંધવી હતી તો પહેલાં મારી સાથે પ્રીત કરી જ કેમ? કૃષ્ણ તો આજન્મ Casanova છે. એણે આખા સંસારને પ્રેયસી બનાવીને પ્રેમ કર્યો છે. પણ મીરાં મનુષ્ય છે. મનુષ્યના પ્રેમમાં માલિકીભાવ તો આવી જ જાય અને આરત તો સમગ્રની જ હોય. મીરાંની તરસ પણ આકંઠ છે. એ કૃષ્ણને અન્યોને ચાહતો જોઈ શકતી નથી. વિરહ અને પ્રતીક્ષાની તાલાવેલી ચરમસીમાએ પહોંચી છે. દિલની તપ્ત જમીન પર દર્શનની નહીં, લગાવ અને અભાવની હેલી વરસી રહી છે. જેમ જળ વિના વેલ મહોરી ન શકે એમ મીરાંનું અસ્તિત્વ શ્યામ વિના કેમ સંભવે? એટલે જ દર્શન વિના દુઃખિયારી મીરાં પ્રભુને ફરી ફરીને દર્શન આપવા કહે છે… દર્શનના રંગે, ભક્તિના રંગે રંગાવું એ જ તો છે સાચી હોળી…

લયસ્તરોના વાચકમિત્રોને હોળી-ધૂળેટીની રંબિરંગી સ્નેહકામનાઓ…

*

केनू संग खेलू होली
पिया त्यज गये है अकेली..!

माणिक मोती सब हम छोडे
गले में पहनी सेली
भोजन भवन भलो नही लागे
पिया कारन भयी रे अकेली
मुझे दुरी क्युँ मेली ?

अब तुम प्रीत अवर सु जोडी
हम से करी क्युं पहेली ?
बहु दिन बीते, अजहुन आये,
लग रही ताला वेली
केनु दिल मा ये हेली ?

श्याम बिना जीयडो मुरझावे,
जैसे जल बिन बेली,
मीरा को प्रभू दरसन दिजो
मै तो जनम जनम की चेली
दरस बिना खडी दुहेली…

– मीरांबाई

Comments (6)

મુખડાની માયા – મીરાંબાઈ

મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા!

મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું,
મન મારું રહ્યું ન્યારું.

સંસારીનું સુખ એવું, ઝાંઝવાનાં નીર જેવું,
તેને તુચ્છ કરી ફરીએ રે.

પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો,
રાંડવાનો ભય ટાળ્યો.

મીરાંબાઈ બલિહારિ, આશા મને એક તારી;
હવે હું તો બડભાગી રે.

– મીરાંબાઈ

Vintage wine !!

Comments (1)

હે રી મૈં તો…. – મીરાંબાઈ

હે રી મૈં તો દરદ દીવાની, મેરો દરદ ન જાણૈ કોય.
ઘાયલકી ગતિ ઘાયલ જાણૈ, જો કોઈ ઘાયલ હોય;
જૌહરકી ગતિ જૌહરી જાણૈ, કી જિન જૌહર હોય.
સૂલી ઉપર સેજ હમારી, સોવણ કિસ બિધ હોય.
ગગનમંડલ પર સેજ પિયાકી, કિસ બિધ મિલણા હોય?
દરદકી મારી બન-બન ડોલું, બૈદ મિલ્યા નહીં કોય;
મીરાંકી પ્રભુ પીર મિટેગી, જબ બૈદ સાંવળિયા હોય.

– મીરાંબાઈ
 

મીરાંબાઈના પદને વળી ટિપ્પણ હોય ? જાતમાં છિદ્રો થાય અને જાત પોતે બંસરી બને ત્યારે આ સૂર નીકળે….

Comments (8)

केनू संग खेलू होली – મીરાંબાઈ

[audio:http://tahuko.com/gaagar/layastaro/Kinu Sang Khelun.mp3]

केनू संग खेलू होली
पिया त्यज गये है अकेली..!

माणिक मोती सब हम छोडे
गले में पहनी सेली
भोजन भवन भलो नही लागे
पिया कारन भयी रे अकेली
मुझे दुरी क्युँ मेली ?

अब तुम प्रीत अवर सु जोडी
हम से करी क्युं पहेली ?
बहु दिन बीते, अजहुन आये,
लग रही ताला वेली
केनु दिल मा ये हेली ?

श्याम बिना जीयडो मुरझावे,
जैसे जल बिन बेली,
मीरा को प्रभू दरसन दिजो
मै तो जनम जनम की चेली
दरस बिना खडी दुहेली…

– મીરાંબાઈ

આજે હોળીના શુભ અવસર પર મીરાંબાઈનું એક અદભુત ભજન લતા મંગેશકરના સ્વરમાં…

(ઑડિયો ટ્રેક સૌજન્ય: મનીષ ચેવલી, સુરત)

Comments (13)

મુજ અબળાને મોટી મિરાત – મીરાંબાઈ

મુજ અબળાને મોટી મિરાત, બાઈ, શામળો ઘરેણું મારે સાચું રે…
વાળી ઘડાવું વિઠ્ઠલવર કેરી, હાર હરિનો મારે હૈયે રે;
ચિત્તમાળા ચતુરભુજ ચૂડલો, શીદ સોની ઘેર જઈએ રે ? … મુજ

ઝાંઝરિયાં જગજીવન કેરાં, કૃષ્ણજી કલ્લાં ને કાંબી રે;
વીછુવા ઘૂઘરા રામનારાયણના, અણવટ અંતરજામી રે… મુજ

પેટી ઘડાવું પુરુષોત્તમ કેરી, ત્રિકમ નામનું તાળું રે;
કૂંચી કરાવું કરુણાનંદ કેરી, તેમાં ઘરેણું મારું ઘાલું રે…મુજ.

સાસરવાસો સજીને બેઠી, હવે નથી કાંઈ કાચું રે;
(બાઈ) મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, હરિને ચરણે જાચું રે…મુજ.

– મીરાંબાઈ

અદભુત અને અનુપમ કહી શકાય એ કક્ષાનું મીરાંબાઈનું આ ભક્તિપદ સ્ત્રીઓ જેના માટે જિંદગીભર મરી ફીટે છે એ જ ઘરેણાંઓના નામનો સહારો લઈ સાચાં ઘરેણાંની વ્યાખ્યા કરે છે. પદની શરૂઆતમાં જ પોતાની જાતને અબળા કહીને સંબોધી મીરાં પોતાની દુન્યવી ગરીબી છતી કરે છે પણ પછી પોતાની પાસેનાં એક પછી એક અલભ્ય ઘરેણાં બતાવીને પોતે કેટલી અમીર છે એવો વિરોધાભાસ સાધી કવિતા સિદ્ધ કરે છે.

Comments (7)

જૂનું તો થયું રે દેવળ – મીરાંબાઈ

જૂનું તો થયું રે, દેવળ જૂનું તો થયું;
મારો હંસલો નાનો ને, દેવળ જૂનું તો થયું.

આ રે કાયા રે હંસા, ડોલવાને લાગી રે;
પડી ગયા દાંત, માંયલી રેખું તો રહી. -મારો૦

તારે ને મારે હંસા, પ્રિત્યું બંધાણી રે;
ઊડી ગયો હંસ, પિંજર પડી રે રહ્યું -મારો૦

બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ;
પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પીઉં-મારો૦

-મીરાંબાઈ

મીરાંબાઈની પ્રેમલક્ષણા ભક્તિનું એક લોકપ્રિય પદ. જીવને જીવન સાથે ગમે એટલી પ્રીત કેમ ન થઈ જાય, દેવળ જૂનું થાય એટલે હંસ તો ઊડી જ જવાનો… જીવન ટૂંકું અને ક્ષણભંગુર છે. શરીર ડોલવા માંડે, મોઢું બોખું થઈ જાય પણ દાંતની નિશાની મહીં રહી જવાની… આપણે તો જવાના પણ ટૂંકા આ જીવતરમાં ગિરિધરના પ્રેમનો પ્યાલો ખુદ પીએ અને સૌને પીવડાવીએ એ જ આપણી નિશાની કાયમ રહી જવાની…

Comments (10)

ઝેર તો પીધાં છે જાણી જાણી – મીરાંબાઈ

ઝેર તો પીધાં છે જાણી જાણી, મેવાડા રાણા !
ઝેર તો પીધાં છે જાણી જાણી.         મેવાડા 0

કોયલ ને કાગ રાણા ? એક જ વર્ણાં રે;
કડવી લાગે છે કાગવાણી.             મેવાડા 0

ઝેરના કટોરા જ્યારે રાણાજી મોકલે રે;
તેનાં બનાવ્યાં દૂધપાણી.              મેવાડા 0

સાધુનો સંગ મીરાં છોડી દિયો રે;
તમને ગણીશું પટરાણી.               મેવાડા 0

બાઇ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ;
મન રે મળ્યાં સારંગપાણિ.            મેવાડા 0

-મીરાંબાઈ

‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ જેવી અમર અને અદ્વિતીય કહેવતકક્ષાની પંક્તિ મીરાં આપણને આ ગીત વડે આપે છે. મીરાંબાઈ ‘ઝેર’ શબ્દનો પણ કેવો સરસ વિનિયોગ કરે છે ! આ ઝેર સંસારનું ઝેર હોઈ શકે, અપમાન, નિંદા કે તિરસ્કારનું પણ હોઈ શકે. એ વાસ્તવિક અર્થમાં પણ ઝેર હોઈ શકે અને જે મીરાંબાઈને વધુ અભિપ્રેત જણાય છે એવું પ્રેમલક્ષણા ભક્તિનું ઝેર પણ હોઈ શકે જેને મીરાંબાઈ અમૃત ગણીને પીવે છે. રાણો શ્યામભક્તિ છોડી દેવા માટે મીરાંને પટરાણીપદની લાલચ પણ આપે છે પણ મીરાં જાણે છે કે કાગડો અને કોયલ બંને એક જ રંગના હોવા છતાં જેમ કાગવાણી કર્કશ અને અપશુકનિયાળ ગણાય છે એમ સંસાર અને હરિ – બંનેમાં પ્રેમ હોવા છતાં હરિવરના પ્રેમ આગળ સંસારનો પ્રેમ કાગવાણી જેવો છે…

Comments (14)

મેરે તો ગિરિધર ગોપાલ – મીરાંબાઈ

મેરે તો ગિરિધર ગોપાલ , દૂસરો ન કોઇ.

જાકે સિર મોર મુકુટ , મેરો પતિ સોઇ;
તાત માત ભ્રાત બંધુ , આપનો ન કોઇ… …મેરે

છોડ દઇ કુળકી કાન , કહા કરિ હૈ કોઇ;
સંતન ઢિંગ બૈઠિ બૈઠિ , લોક લાજ ખોઇ… …મેરે

ચુનરી કે કિયે ટૂક , ઓઢ લીન્હીં લોઇ;
મોતી મૂંગે ઉતાર , બનમાલા પોઇ… …મેરે

અંસુવન જલ સીંચિ સીંચિ , પ્રેમબેલિ બોઇ;
અબ તો બેલ ફૈલ ગઇ , હોની હો સો હોઇ… …મેરે

દૂધકી મથનિયાં , બડે પ્રેમસે બિલોઇ;
માખન જબ કાઢિ લિયો, છાછ પિયે કોઇ… …મેરે

ભગત દેખી રાજી હુઇ, જગત દેખી રોઇ;
દાસી મીરાં લાલ ગિરિધર , તારો અબ મોહી… …મેરે

Comments

ફાગુનકે દિન ચાર – મીરાંબાઈ

ફાગુનકે દિન ચાર, હોલી ખેલ મના રે…
બિન કરતાલ પખાવજ બાજે,
અનહદકી ઝનકાર રે
બિન સૂર-રાગ છતીસોં ગાવૈ,
રોમ રોમ રંગ સાર રે
શીલ સંતોષકી કેસર ઘોલી,
પ્રેમ પ્રીત પિચકારી રે
ઉડત ગુલાલ લાલ ભયે બાદલ,
બરખત રંગ અપાર રે
ઘટકે સબ ઘટ ખોલ દિયે હૈં,
લોકલાજ સબ ડાલ રે
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
ચરણકમલ બલિહાર રે… 
મીરાંબાઈ

મીરાંબાઈ (આશરે 1500-1550) નો જન્મ મેડતા (રાજસ્થાન) અને લગ્ન મેવાડના રાજકુટુંબમાં. કૃષ્ણભક્તિ અને સાધુસંગના પરિગ્રહણના કારણે રાજરાણી મીરાંને મબલખ દુઃખો મળ્યાં જે એણે પ્રહલાદની નિસ્પૃહતા અને ધ્રુવની અવિચળતાથી સહી લીધાં. શંકરની પેઠે વિષનો પ્યાલો ગટગટાવીને, બાળવિધવા મીરાંએ કૃષ્ણને જ પતિ સ્વીકારીને આત્મલક્ષી રીતિમાં ઉત્તમ એવાં ભક્તિશૃંગારનું અમૃત આપ્યું. મીરાં એટલે મધ્યકાલીન ભક્તિયુગનાં ઉત્તમ કવયિત્રી. હોળીના અવસર પર પ્રસ્તુત છે મીરાંબાઈનું એક સુંદર હોળીગીત.

Comments

ગોવિંદો પ્રાણ અમારો – મીરાંબાઈ

ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે.
મને મારો રામજી ભાવે રે, બીજો મારી નજરે ન આવે રે.

મીરાંબાઈના મહેલમાં રે, હરિસંતનનો વાસ;
કપટીથી હરિ દૂર વસે, મારા સંતન કેરી પાસ.

રાણોજી કાગળ મોકલે રે, દેજો મીરાંને હાથ;
સાધુની સંગત છોડીદ્યો તમે, વસોને અમારે સાથ.

મીરાંબાઈ કાગળ મોકલે રે, દેજો રાણાજીને હાથ;
રાજપાટ તમે છોડી રાણાજી, વસો રે સાધુની સાથ.

વિષનો પ્યાલો રાણે મોકલ્યો રે, દેજો મીરાંને હાથ;
અમૃત જાણી મીરાં પી ગયાં, જેને સહાય શ્રી વિશ્વનો નાથ.

મીરાંબાઈ

(મીરાંબાઈ અટલે શ્રીકૃષ્ણપ્રેમ નો અનન્ય પર્યાય. એણે ટેબલ-ખુરશી પર બેસીને ગીતો નથી લખ્યાં. એણે રાણીપદનો ત્યાગ કર્યો હતો એટલે કૃષ્ણના પદ એમને પ્રાપ્ત થયાં. પ્રેમલક્ષણા ભક્તિનું મૂર્ત સ્વરૂપ એટલે મીરાંબાઈ. ગુજરાતી સાહિત્યમાં નરસિંહ અને મીરાં પછી કશું ન લખાયું હોત તો ય એ અધુરૂં ન લેખાત.)

Comments (1)