પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર !
તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે..
નરસિંહ મહેતા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for વર્ષગાંઠ

વર્ષગાંઠ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




પ્રેરણાપુંજ : ૦૩ : અંદર તો એવું અજવાળું -માધવ રામાનુજ 

અંદર તો એવું અજવાળું, અજવાળું
સળવળતી હોય આંખ જેને જોવાને,એ મીંચેલી આંખેય ભાળું.
અંદર તો એવું અજવાળું, અજવાળું

ઊંડે ને ઊંડે ઊતરતાં જઇએ, ને તો ય લાગે કે સાવ અમે તરીએ.
મરજીવા મોતીની મુઠ્ઠી ભરે ને એમ ઝળહળતા શ્વાસ અમે ભરીએ.
પછી આરપાર ઉઘડતાં જાય બધાં દ્વાર, નહીં સાંકળ કે ક્યાંય નહીં તાળું
અંદર તો એવું અજવાળું

સૂરજ કે છીપમાં કે આપણમાં આપણે જ ઓતપ્રોત એવાં તો લાગીએ,
ફૂલને સુવાસ જેમ વાગતી હશે ને તેમ આપણને આપણે જ વાગીએ.
આવું જીવવાની એકાદ ક્ષણ જો મળે તો એને જીવનભર પાછી ના વાળું.
અંદર તો એવું અજવાળું

– માધવ રામાનુજ

ખરી પ્રેરણા અને જીવંદિશા પ્રાપ્ત કરવા બહાર ક્યાંય ફાંફા મારવાની કોઈ જરૂર નથી. આપણો ગુરુ, આપણી પ્રેરણા, આપણું અજવાળું આપણી અંદર જ વિદ્યમાન છે. અજવાળાનો ઈતિહાસ નક્કી અંધારું જ હોવું જોઈએ. અંધારા વિના અજવાળાની ઓળખ હોઈ શકે?! પછી એ અંધારું-અજવાળું બહારનું હો કે અંદરનું. ઘોર નિરાશા-હતાશા કે દારુણ દુઃખનું અંધારું ભલે બહારના કારણથી આવ્યું હોય પણ એ પ્રગટે છે અંદરથી જ.  અને એને દૂર કરનારું પ્રેરણાપુંજરૂપી અજવાળું પણ બહાર ક્યાંય નથી હોતું, આપણી ભીતર જ હોય છે. આપણી ભીતરનો ફાયર ઓફ ડિઝાયર જો પ્રબળ હોય તો એ બીજાના અંધારાને દૂર કરનાર સ્પાર્ક પણ બની શકે છે.

હસ્તાક્ષર આલ્બમમાં શુભા જોષીનાં અવાજમાં શ્યામલ-સૌમિલનાં સંગીતમાં આ અજવાળું જાણે આપણા કાનને સ્પર્શતું હોય એવું લાગે છે.  ભીતરનાં આ અજવાળાની અનુભૂતિ માણો, ટહુકો.કૉમ પર.

Comments (1)

લયસ્તરોની ઓગણીસમી વર્ષગાંઠ પર…

૦૪-૧૨-૨૦૦૪ના રોજ આરંભાયેલી આ કાવ્યયાત્રાને આજે ઓગણીસ વર્ષ પૂરાં થયાં એ અમારા માટે નાનીસૂની વાત નથી. સૉશ્યલ મિડિયાના અતિક્રમણ સામે અમે હજી ટકી રહ્યા છીએ એનો આનંદ છે. એક તરફ કવિતા અમને પ્રાણવાયુ પૂરો પાડી રહી છે, તો બીજી તરફ સર્જકો તથા ભાવકોનો અખૂટ સ્નેહ ચાલકબળ પૂરું પાડી રહ્યો છે. પ્રતિદિન પાંચસોથી વધુ મુલાકાતીઓ લયસ્તરોની મુલાકાત લે છે અને દરેક મુલાકાતી સરેરાશ પ્રતિદિન ત્રણથી-ચાર પાનાં ઉથલાવે છે. અને છેલ્લા ચાર વરસથી આ આંકડામાં એકધારી વૃદ્ધિ નોંધાઈ રહી છે. વરસમાં એકવાર આ આંકડા તરફ ધ્યાન આપીએ ત્યારે સમજાય કે ગુજરાતી કવિતાના અહર્નિશ પ્રેમીઓ અમારા સિવાય પણ અનેક છે. જીવે કવિતા! જીવે ગુજરાતી!

છેલ્લા ઓગણીસ વરસમાં અમને અગિયારસોથી વધુ કવિઓની ચોપ્પનસોથી વધુ કવિતાઓને ચાહવા મળી છે, એથી વિશેષ સદભાગ્ય બીજું શું હોઈ શકે! આ કવિતાઓનો અમારા ઘડતરમાં અમૂલ્ય ફાળો છે. આ કવિતાઓ અને કવિઓના અમે સદૈવ ઋણી રહીશું.

વળી, કાવ્ય અને કાવ્યાસ્વાદની આ યાત્રા આપ સહુ વાચકમિત્રોના એકધારા સ્નેહ અને સદભાવ વિના કદી શક્ય જ નહોતી…. આપ સહુનો આવો જ પ્રેમ અમને આ જ રીતે સદાકાળ મળતો રહેશે એવી આશા સાથે આપ સહુનો હૃદયપૂર્વક આભાર..

ધવલ – તીર્થેશ – મોના –વિવેક
ટીમ લયસ્તરો

દર વખતની જેમ વર્ષગાંઠ નિમિત્તે અમારા માનવંતા ને જાનવંતા વાચકોને અમે કંઈક અનૂઠું પીરસવાના છીએ. આ વખતની ઉજવણીનો વિષય છે –
પ્રેરણાપુંજ – રાહ ચીંધતી કવિતાઓ… એવી કવિતાઓ જે જિંદગી જીવવાનું બળ પૂરું પાડે. વિલિયમ અર્નેસ્ટ હેન્લીની ‘ઇન્વિક્ટ્સ’ નામની નાનકડી કવિતાએ નેલ્સન મંડેલાને સત્તાવીસ વર્ષના કારાવાસમાં ટકી રહેવાનું બળ પૂરું પાડ્યું હતું. કેવી મોટી વાત! લયસ્તરો પર આવતીકાલથી થોડા દિવસ સુધી અમે આવી જ પ્રેરણાદાયી કવિતાઓ પીરસવાના છીએ… રોજેરોજ મુલાકાત લેવાનું ચૂકાય નહીં એ ખાસ જોજો.

લયસ્તરો પર આગળના વર્ષોની ઉજવણીમાં પણ આપ સમયની અનુકૂળતાએ જોડાઈ શકો છો:

Comments (13)

લયસ્તરોની અઢારમી વર્ષગાંઠ પર…

*

છોકરું અઢાર વરસનું થાય એટલે એક તો એને પુખ્ત નાગરિકત્વ પ્રાપ્ત થાય અને બીજું, એને મતાધિકાર પણ મળે.

ગુજરાતી કવિતા અને કાવ્યાસ્વાદની સર્વપ્રથમ અને સહુથી વિશાળ વેબસાઇટ આજે અઢાર વર્ષ પૂરાં કરી પુખ્ત બની છે એ નિમિત્તે બે’ક વાત…

૦૪-૧૨-૨૦૦૪ના રોજ ધવલ શાહે લયસ્તરો વેબ્લોગની શરૂઆત કરી, અને કાળક્રમે હું, મોના નાયક (અમેરિકા) અને તીર્થેશ મહેતા સંપાદકમંડળમાં જોડાયા… વાચકમિત્રો અને કવિમિત્રોનો અપ્રતિમ પ્રેમ અમને અહીં સુધી લઈ આવ્યો –

૧૮ વરસ
૧૧૦૦ થી વધુ કવિઓ
૫૨૫૦ થી વધુ કૃતિઓ
૪૦૦૦૦ જેટલા પ્રતિભાવો
૨૦૦૦ જેટલા મુલાકાતીઓ દરરોજ

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વૉટ્સએપના વાવંટોળ વચ્ચે પણ લયસ્તરો પર પ્રતિદિન લગભગ બે હજાર જેટલી ક્લિક્સ થતી રહે છે, એ લયસ્તરો માટેના આપ સહુના અનવરત પ્રેમ અને ચાહનાની સાબિતી છે. આગળ જતાં પણ આપનો આ સ્નેહ અને સદભાવ બરકરાર રહે એવી અમારી દિલી ઇચ્છા છે…

ગુજરાતમાં અત્યારે ચૂંટણીનો માહોલ છે. બે તબક્કાની ચૂંટણીના વચગાળામાં લયસ્તરોની અઢારમી વર્ષગાંઠ આવી છે, એટલે તમારા બધાની સાથોસાથ લયસ્તરો પણ મતદાન કરવા તૈયાર છે… અઢારમી વર્ષગાંઠ નિમિત્તે ચાલો, આપણે રાજકારણ વિશેની થોડી કવિતાઓ માણીએ…

disclaimer : લયસ્તરો પર ‘રાજકારણપર્વ’ નિમિત્તે પૉસ્ટ કરાતી રાજકારણ વિશેની કવિતાઓ જે-તે કવિની અંગત ઉક્તિ છે. સંપાદકોની ટિપ્પણી કેવળ કવિતા-અનુલક્ષી છે. લયસ્તરો વેબસાઇટ કોઈપણ રાજકીય પાર્ટીનું કોઈપણ પ્રકારનું સમર્થન કે ખંડન કરતી નથી.

– ટીમ લયસ્તરો

*

લયસ્તરો પર આગળના વર્ષોની ઉજવણીમાં પણ આપ સમયની અનુકૂળતાએ જોડાઈ શકો છો:

Comments (12)

લયસ્તરોની સત્તરમી વર્ષગાંઠ પર…

*

ગુજરાતી કવિતા અને કાવ્યાસ્વાદની સર્વપ્રથમ અને સહુથી વિશાળ વેબસાઇટની આજે સત્તરમી વર્ષગાંઠ…

૦૪-૧૨-૨૦૦૪ના રોજ અમેરિકામાં ગુજરાત અને ગુજરાતી સાથે લુપ્ત થઈ ગયેલું અનુસંધાન સાધવા ધવલ શાહે લયસ્તરો વેબ્લોગની શરૂઆત કરી… સત્તર વર્ષની અવિરત યાત્રા બાદ આજે અગિયારસોથી વધુ કવિઓની ૫૦૦૦થીય વધુ રચનાઓ ગુજરાતી કાવ્યસાહિત્યપ્રેમીઓની સેવામાં આજે ઉપલબ્ધ છે… લયસ્તરો આજે ઑનલાઇન ગુજરાતી કવિતાનું પ્રતિષ્ઠિત સરનામું બની શક્યું છે એનો હર્ષ હૈયામાં સમાતો નથી.

સોશ્યલ મિડીયાઝની આંધી વચ્ચે ગઈકાલ બનતી જતી વેબસાઇટ્સ ક્યાં સુધી ઝીંક ઝીલી શકશે એ તો સમય જ કહેશે પણ હજી સુધી લયસ્તરોના ચાહકોનો સ્નેહ ઢાલ બનીને રક્ષણ કરી રહ્યો હોવાથી અમારો ઉત્સાહ હજી ટકી રહ્યો છે.. આ ઉત્સાહ આગળ જતાં પણ બરકરાર રહે એ માટે અમને આપ સહુના સ્નેહ-સાથની સતત જરૂર રહેશે… આપ અમારી સાથે ને સાથે જ રહેશો ને?

મહંમદ પયગંબરે કહ્યું હતું: ‘તારું સ્વર્ગ તારી માતાનાં ચરણોની નીચે છે.’ તો ચાલો, આ વરસે લયસ્તરોની વર્ષગાંઠની ઉજવણીના નિમિત્તે માતૃમહિમાના કાવ્યોના માધ્યમથી આ સ્વર્ગની થોડા વધુ નજીક સરીએ…

લયસ્તરો પર આગળના વર્ષોની ઉજવણીમાં પણ આપ સમયની અનુકૂળતાએ જોડાઈ શકો છો:

– ડૉ. ધવલ શાહ, મોના નાયક, ડૉ તીર્થેશ મહેતા, ડૉ. વિવેક ટેલર
(ટીમ લયસ્તરો)

Comments (49)

લયસ્તરોની સોળમી વર્ષગાંઠ પર…

*

ગુજરાતી કવિતા અને કાવ્યાસ્વાદની સર્વપ્રથમ અને સહુથી વિશાળ વેબસાઇટ આજે ષોડશી થઈ…

સોળ વર્ષ પહેલાં આજના દિવસે અમેરિકામાં ધવલ શાહે આ વેબ્લોગની શરૂઆત કરી… એક-એક કરતાં આજે એક હજારથી વધુ કવિઓની ૪૮૦૦ જેટલી રચનાઓ ગુજરાતી કવિતાપ્રેમીઓને અમે પીરસી શક્યાં છીએ એનો આનંદ… વિશેષ આનંદ એ વાતનો છે કે સાહિત્યરસિક મિત્રોની સાથોસાથ સિદ્ધહસ્ત કવિઓએ પણ અમારા આ પુરુષાર્થને મોકળા મને બિરદાવ્યો છે. લયસ્તરો આજે ઑનલાઇન ગુજરાતી કવિતાનું પ્રતિષ્ઠિત સરનામું બની શક્યું છે એનો હર્ષ હૈયામાં સમાતો નથી.

સોશ્યલ મિડીયાઝની ભરમાર વચ્ચે વેબસાઇટ્સ ગઈ ગુજરી બનવાને આરે હોવા છતાં લયસ્તરોના ચાહકો આજ સુધી અમારી પડખે ને પડખે જ રહી અવિરત હૂંફ પૂરી પાડી રહ્યા હોવાથી અમારું અસ્તિત્ત્વ હજી ટકી રહ્યું છે… સ્વીટ સિક્સ્ટીનના આ નવલા-નાજુક વળાંકે અમે સહુ આપ સહુનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ…

૨૦૨૦નું આખું વર્ષ કોરોના ૧૯ના વૈશ્વિક રોગચાળાની નાગચૂડમાં વેડફાઈ ગયું. વૈશ્વિક મહામારી વૈશ્વિક નિરાશા પણ લઈને આવી છે… તો આવા સમયે સોળમી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે કોરોના રોગચાળાની ઉદાસી વ્યક્ત કરતી કાજળકાળી કવિતાઓ રજૂ કરવાના બદલે અમે હાસ્ય-વ્યંગ્યની હળવી રચનાઓનો રસથાળ લઈને રવિવારથી આપ સહુ સમક્ષ ઉપસ્થિત થઈશું… કારમા કોરોનાકાળમાં પળભર માટે પણ આ કવિતાઓ આપના ચહેરા પર થોડી પ્રસન્નતા આણી શકે તો અમારું સદભાગ્ય…

કાવ્ય અને કાવ્યાસ્વાદની આ યાત્રા આપ સહુ વાચકમિત્રોના એકધારા સ્નેહ અને સદભાવ વિના શક્ય જ નહોતી…. આપ સહુનો પ્રેમ આ જ રીતે મળતો રહેશે એવી આશા સાથે આપ સહુનો સહૃદય આભાર..

-ડૉ. ધવલ શાહ, મોના નાયક, ડૉ તીર્થેશ મહેતા, ડૉ. વિવેક ટેલર
(ટીમ લયસ્તરો)

Comments (93)

આજે લયસ્તરોની પંદરમી વર્ષગાઠ

લયસ્તરો દ્રારા કવિતાના આનંદનો ગુલાલ કરવાના ઉદ્યમને આજે 15 વરસ પુરા થાય છે. કવિતાની હુંફમાં આટલો પસાર કરવાનો અવસર થયો એ ઈશ્વરનો ઉપકાર જ ગણાય. આ અવસરે હું લયસ્તરોની ટીમ – મોના, તીર્થેશ, વિવેક અને મારા – તરફથી સઘળા કવિઓ, સ્નેહીજનો અને વાચકોનો આભાર માનું છું.

મા ગુજરાતીને ઇન્ટરનેટ પર પ્રસરતી જોવાનો આનંદ બહુ મોટો છે. ગુજરાતી કવિતા રોજે રોજ બદલાઈ રહી છે અને વિસ્તરી રહી છે. વધુને વધુ લોકો પોતાના સાંસ્કૃતિક (અને સાહિત્યિક) મૂળિયાંની શોધમાં ગુજરાતી ભાષા તરફ પાછા ફરી રહ્યા છે. ગુજરાતી સાહિત્ય, નાટકો, ફિલ્મો બધું ઓસરવાને બદલે ઉભરાતું જાય છે. ઉમદા કામ કરવા સક્ષમ એવું નવું લોહી ગુજરાતી ભાષાપ્રવાહમાં ઉમેરાતું જાય છે. આ બધું એક ચમત્કારથી ઓછું નથી.

દર વર્ષે લયસ્તરોની વર્ષગાંઠ કંઈક નવું કરીને ઉજવવાનો ક્રમ અમે આ વખતે પણ ચાલુ રાખીશું. આવતું અઠવાડિયું આપણે સૂફી કવિતાઓની સાથે પસાર કરીશું. એનો પહેલો મણકો આવતી કાલે આવશે. તો આજે શું? આજે લયસ્તરોની પંદરમી વર્ષગાઠ નિમિત્તે હું તમારી સાથે કવિતાની મને ગમતી પંદર વ્યાખ્યાઓ રજુ કરું છું, ‘કવિતા એટલે શું?’ એ અનુત્તરણીય પ્રશ્નનો જવાબ શોધવામાં એ હાથવાગી થશે એવી આશા સાથે 🙂

કવિતા માનવીનો પોતાના હોવાપણાની સામેનો વિદ્રોહ છે. – જેમ્સ બ્રાન્ચ કાબેલ

કવિતા એક પડઘો છે જે એક પડછાયાને નાચવા માટે આમંત્રિત કરે છે. – કાર્લ સેન્ડબર્ગ

જે અનુવાદમાં ખોવાઈ જાય છે એ કવિતા હોય છે. – રોબર્ટ ફ્રોસ્ટ

કવિતા એટલે હકીકતની વ્યાખ્યા. – ઇડિથ સીટવેલ

કવિતા કે ગીત એ તમે સમજી શકો એવી ચીજ નથી, એ એવી ચીજ છે જે તમને સમજી શકે છે. – વિન્ની ધ પૂ(એ.એ. મિલ્ને)

કવિતા એ રોજનીશી છે જમીન પર રહેતા જળચરોની, જે હવામાં ઉડવાની ઈચ્છા રાખે છે. – કાર્લ સેન્ડબર્ગ

ખરી કવિતા એ જે સમજાતા પહેલા જ સમજાઈ જાય. – ટી. એસ. ઇલિયટ

કવિતા અવાજના આશીર્વાદથી જન્મેલું ચિત્ર છે. – સિમોનિડીસ

કવિતા મૌનનું અનાથ બાળક છે જેને શબ્દોએ દત્તક લીધેલું છે. – ચાર્લ્સ સિમિક

મારું માથું કોઈએ વાઢી લીધું હોય એવું લાગે, ત્યારે હું માનું કે એ કવિતા છે. – એમિલી ડીકીનસન

કવિતા એ જિંદગીનો પુરાવો છે. એ બળતી જિંદગીની ખરતી રાખ માત્ર છે. – લેનાર્ડ કોહન

જીવનમાં યાદ રાખવા જેવું જે કશું છે એ કવિતા છે. – વિલિયમ હાઝલીટ

કવિતા એ સુખ અને સત્યનું ચોખટુ બેસાડવાની કળા છે. – સેમ્યુઅલ જ્હોનસન

કવિતા એટલે જિંદગીને ગળચીથી પકડી લેવાની કરામત. – રોબર્ટ ફ્રોસ્ટ

કવિતા એટલે આત્માની માતૃભાષા. – ઉમાશંકર જોશી

લોહીનું  શ્યાહી  માં  રૂપાંતર  એટલે  કવિતા. – હરીન્દ્ર  દવે (આભાર: કેતન યાજ્ઞિક)

Comments (54)

ચૌદમી વર્ષગાંઠ પર… : અછાંદસોત્સવ

લયસ્તરોની વર્ષગાંઠ પર દર વર્ષે વાચકોને કંઈક નવીન આપવાની અમારી નેમ રહેતી હોય છે. આ રહ્યો વીતેલા વર્ષોનો હિસાબ… જે તે પ્રકાર પર ક્લિક કરીને આપ જે તે પ્રકારની રચનાઓનો પુનઃઆસ્વાદ પણ લઈ શકશો..

આ વર્ષે અછાંદસ કવિતાઓનો રસથાળ માણીએ…

વિશ્વામિત્ર સાહિત્યદર્પણના પ્રથમ પરિચ્છેદમાં જ લખે છે: ‘वाक्यं रसात्मकं काव्यम्’ (જેમાં રસ પડે એ વાક્ય કવિતા છે) છંદના બંધન ફગાવવાની મથામણ દરેક અભિવ્યક્તિની અનિવાર્યતા છે. એટલે જ દરેક ભાષામાં છાંદસ અને અછાંદસ કાવ્યપ્રકાર અસ્તિત્વમાં આવ્યા છે.

અછાંદસ કવિતા સૌથી સરળ ભાસતી પણ વાસ્તવમાં સૌથી કઠિન કાવ્યપ્રકાર છે. કમનસીબે ગુજરાતી ભાષામાં બહુ ઓછા કવિઓ સાચા અર્થમાં ઉત્તમ અછાંદસ કવિતા આપવામાં સફળ રહ્યા છો. મોટાભાગના કવિઓ ચાટુક્તિસભર અને ચોટસભર ગદ્યલખાણને જ અછાંદસ કવિતા ગણીને ચાલે છે અને ગુજરાતી વાચકોને પણ આ પ્રથા માફક આવી ગઈ હોઈ એમ લાગે છે, કેમકે ક્યાંય કોઈ વિરોધ છે જ નહીં. હશે, આપણે તો અહીં મજા કરવા માટે ભેગાં થયાં છીએ એટલે ઉત્તમ કે શ્રેષ્ઠ નહીં, પણ માણવાની મજા પડે એવા અછાંદસ કાવ્યોનો રસથાળ અત્રે પીરસવું શરૂ કરીએ છીએ…

આપના પ્રતિભાવ જ અમારું ખરું ચાલકબળ છે, એટલે પ્રતિભાવ આપવામાં કચાશ કે કંજૂસાઈ ન કરશો…

Comments (7)

લયસ્તરોની ચૌદમી વર્ષગાંઠ પર….

ગુજરાતી કવિતાની સૌપ્રથમ અને સૌથી વિશાળ વેબસાઇટ લયસ્તરોએ ૦૪-૧૨-૦૨૦૧૮ના રોજ ચૌદ વર્ષનું સીમાચિહ્ન સર કર્યું. ૧૪ વર્ષ, ૯૫૦થી વધુ કવિઓ અને ૪૩૦૦થી વધુ પૉસ્ટ્સ…

ચૌદ વર્ષે તો રામનો વનવાસ પણ ખતમ થઈ ગયો હતો… પણ લયસ્તરો પર ચાલતો આ કવન-વાસ કદી પૂરો ન થાય એમ અમે ઇચ્છીએ છીએ…

કાવ્ય અને કાવ્યાસ્વાદની આ યાત્રા આપ સહુ વાચકમિત્રોના એકધારા સ્નેહ અને સદભાવ વિના શક્ય જ નહોતી…. આપ સહુનો પ્રેમ આ જ રીતે મળતો રહેશે એવી આશા સાથે આપ સહુનો હૃદયપૂર્વક આભાર..

-ડૉ. ધવલ શાહ, ડૉ તીર્થેશ મહેતા, ડૉ. વિવેક ટેલર, મોના નાયક
(ટીમ લયસ્તરો)

Comments (16)

‘લયસ્તરો’ની સફર ના તેર વર્ષ પૂરા

‘લયસ્તરો’ની સફરને આજે તેર વર્ષ પૂરા થાય છે.

તેર વર્ષ એટલે ૪૭૦૦થી ઉપર દીવસો. એટલા દીવસોમાં વહેંચી ૪૦૦૦થી વધારે કવિતાઓ.’લયસ્તરો’ની આ સફર કલ્પનાતીત છે. ગુજરાતી કવિતાને – અરે ગુજરાતીને જ- વેબ પર કોણ પૂછવાનું એવું કહેવા વાળા ઘણા હતા. એની સામે કવિતાને દિલોજાનથી ચાહનારા ને માણનારા ઓછા હતા. પણ જે હતા એ બધા દિલદાર હતા. એ ચંદ લોકોના પ્રેમથી પોષઇને ‘લયસ્તરો’નો છોડ ઉછરી ગયો જે આજે તો વટવૃક્ષ થયો છે. તહેદિલથી અમે એ બધા શુભેચ્છકો, વાંચકો, કવિઓ અને મિત્રોનો આભાર માનીએ છીએ.

માર્ક ટ્વેને એક વાર કહેવુ પડેલું, “The reports of my death are greatly exaggerated.” ગુજરાતી ભાષાના ગુજરી જવાના સમાચાર એવી જ રીતે ખોટા પડ્યા છે એનો સૌથી વધારે આનંદ છે. લાયબ્રેરીઓના ઘૂળીયા કબાટોમાં છેલ્લા શ્વાસ લેતી ગુજરાતી આજે ષોડશીના જોમ સાથે વેબ અને વોટ્સએપ પર વટથી ફરી રહી છે એ પણ કંઇ ચમત્કારથી ઓછી વાત નથી.

અણગણિત કવિઓ -અને ખાસ કરીને નવી પેઢીના કવિઓ- રોજેરોજ મા ગુર્જરીને જે જતનથી નિતનવીન નૈવેદ્ય અર્પણ કરી રહ્યા છે એ ગર્વની વાત છે. ગુજરાતી કવિતામાં નવા પ્રયોગો ખૂબ થઈ રહ્યા છે. બીજી ભાષાઓ સાથે આદાન-પ્રદાન પણ વધતું જાય છે. આ બધુ જોઇને ગુજરાતી હોવાનો કેફ એટલો વધારે ચડે છે.

દર વર્ષે ‘લયસ્તરો’ની વર્ષગાંઠની ઉજવણી કશુંક અલગ કરીને કરવાનો ક્રમ આ વખતે પણ ચાલુ રાખવાનો પ્રયાસ છે. આ વખતે આપણા લોકગીતોના ખજાનામાંથી થોડા રત્નો એક અઠવાડિયા સુધી રોજ રજુ કરવાનો વિચાર છે. સામુહિક ચેતનાથી ઘડાયેલા લોકગીતોની તો પોતાની જ આગવી મઝા અને મીઠાશ છે. તો આવતી કાલે મળીશુ આપણા લોકગીતોની સફરના પહેલા મુકામ સાથે.

Comments (24)

આજે ‘લયસ્તરો’ને બાર વર્ષ પુરા!

layastaro_12

બાર વર્ષ બહુ લાંબો સમય છે. બાર વર્ષમાં તો એક આખી જીંદગી જીવી શકાય.

વર્ષોવર્ષ ગુજરાતી કવિતાને ચાહકો સુધી પહોંચાડવાનુ આ કામ ‘લયસ્તરો’ શરુ કર્યુ ત્યારથી આજ સુધીમાં ગુજરાતી અને ગુજરાતી કવિતા બન્ને ઘણા બદલાયા છે. કવિતા વધારે ને વધારે પ્રસરી રહી છે. ગુજરાતી ભાષાના ભાવિ વિશે ચિંતા સતત ખોટી ઠરી છે. વધુને વધુ ગુજરાતી સાહિત્ય અને કવિતા નેટના માધ્યમથી પ્રસરી રહ્યા છે.આ બધામાં ગુજરાતી કવિતાના સૌથી વિશાળ સંગ્રહ તરીકે ‘લયસ્તરો’ પોતાની ભૂમિકા ભજવી શક્યું છે એ બહુ ગૌરવની વાત છે.

દર વર્ષગાંઠ પર કંઇક નવુ કરવાની પરંપરા આ વખતે પણ આગળ ચલાવવાનો વિચાર છે. આ વખતે મનને ગમી ગયેલા અને દિલમાં વસી ગયેલા મુક્તકો આવનારા દિવસોમાં પ્રસ્તુત કરીશું. તો, આવતી કાલે મળીએ – મુક્તકોના રસથાળ સાથે!

– ધવલ – વિવેક – તીર્થેશ – મોના
ટીમ લયસ્તરો

Comments (51)

અગિયારમી વર્ષગાંઠ… ૩૫૦૦ પૉસ્ટ…

11th Birthday

3500

“લયસ્તરો ડોટ કોમ”ની કાવ્યયાત્રા શરૂ થઈ એ વાતને આજે એક એક કરતાં અગિયાર વર્ષ પૂરાં થયાં. ધવલ શાહે ફુરસદના સમયમાં આદરેલી આ સફરમાં વરસેક પછી હું જોડાયો. વચ્ચે થોડો વખત સુરેશ જાની અને મોના નાયક પણ જોડાયા. હાલ ઘણા સમયથી ઓર્થોપેડિક સર્જન તીર્થેશ મહેતા પણ નિયમિતપણે કાવ્યો-કાવ્યાસ્વાદો પીરસી રહ્યા છે.

જેમ એક એક કરતાં અગિયાર થયાં એમ એક એક કરતાં આજે ૯૦૦થી વધુ કવિઓની ૩૫૦૦થી વધુ રચનાઓ કમ્પ્યુટરની ક્લિક પર આપની સેવામાં હાજર છે. આજે લયસ્તરો ગુજરાતી કવિતાની સૌથી વિશાળ વેબસાઇટ હોવાનું ગૌરવ ધરાવે છે એ આપ સહુના અનવરત સ્નેહ વિના શક્ય જ નહોતું.

અગિયાર વર્ષ અને પાંંત્રીસસો રચનાના બેવડા માઇલસ્ટોનને આંબતી વખતે અમે સહુ ગૌરવાન્વિત હર્ષ અનુભવી રહયા છીએ. આપ સહુના એકધારા અપાર પ્રેમ વિના આ કાવ્ય-યાત્રાનું એક પગલું પણ શક્ય નથી એ વાસ્તવિક્તાના સહજ સ્વીકાર સાથે અમે આપ સહુનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને આવનારા સમયમાં પણ આપ આવા જ સ્નેહાશિષ વરસાવતા રહેશો એ જ અાશા…..

લિ.
ટીમ લયસ્તરો

Comments (39)