(મારો શાકવાળો) – ધીરુબહેન પટેલ
મારો શાકવાળો
ખરેખર બહુ સારો માણસ છે.
એ રોજ સવારે મને હસીને ‘જે શી ક્રષ્ણ’ કહે છે
મારો દિવસ સારો જાય એવી શુભેચ્છા પણ આપે છે.
પછી જ અમારી ભાવતાલની રકઝક શરૂ થાય.
ક્યારેક એના વટાણા સડેલા હોય
ને ટામેટાં વધારે પડતાં પાકી ગયેલાં –
એનાં ત્રાજવાંનાં કાટલાંનુંયે બહુ ઠેકાણું નથી હોતું.
પણ એ મને એના સંસારની વાતો કરે છે
અને મૃદુતાથી જાણી લે છે કે
મારું પણ બધું ઠીકઠાક ચાલે છે ને!
એના ચહેરામોહરા માટે કે
એની સુઘડ રીતભાત માટે જ
એ મને ગમે એવું નથી
એ મને ગમે છે કારણ કે
ભાવતાલની ભાંજગડમાં
હું હંમેશ એને હરાવી શકું છું
અને મારું પ્રત્યેક પ્રભાત
વિજયના સ્મિત સાથે શરૂ થાય છે.
– ધીરુબહેન પટેલ
ન બોલીને બોલે એ ખરી કવિતા. કવિતામાં કવિ ઘણીવાર જે લખ્યું હોય એ નહીં, પણ જે ન લખ્યું હોય એ કહેવા માંગતા હોય એમ બને. આપણને બે પંક્તિ વચ્ચેનો અવકાશ વાંચતા આવડવું જોઈએ. ‘કિચન પોએમ્સ’ ધીરુબહેનના દિવાનનો એક ખાસ હિસ્સો છે. પોતાના ઘરમાં દરેક મોરચે પરાજિત થતી કે પહેલા ક્રમ સિવાયના સ્થાનની જ હકદાર થતી ગૃહિણીને એનો રોજિંદો શાકવાળો શાકની ખરાબ ગુણવત્તા અને તોલમાપની બેઈમાની છતાં ગમે છે, કારણ કે એ એની સાથે સ્મિતથી વાતો પણ કરે છે અને ભાવતાલના યુદ્ધમાં હાર સ્વીકારવાનો દેખાવ પણ કરે છે. પોતાના પરિવારમાં બધું ઠીકઠાક જ ચાલે છે એવું કાછિયા સાથેની વાતચીતના સંદર્ભમાં કવયિત્રીએ કહ્યું તો છે, પણ શાકવાળા સાથેના સંબંધના નેપથ્યમાં બિટવીન ધ લાઇન્સ આપણને એનો ઘરસંસાર દીવા જેવો સાફ નજરે ચડે છે.