મોત સામે આ તે કેવી જંગ છે ?
માણસોની જિંદગી ખર્ચાય છે.
મેગી આસનાની

અજાણ્યા ભાવ – પ્રીતિ સેનગુપ્તા

અજાણ્યા શહેરના સ્ટેશન પર
નિયત સ્થળે જતા જનપ્રવાહની વચ્ચે
એકલી અટવાતી હોઉં:
નવી જગ્યાના નકશાની ગલીઓ પર
અચોક્કસ આંગળી ફેરવી
રસ્તો શોધવા મથતી હોઉં;
ભાંગ્યાતૂટયા ફ્રેન્ચ કે સ્પેનિશમાં
સમજાવવા – સમજવાની
ચેષ્ટા કરતી હોઉં :
મિત્રોની વચમાં–
જાણીતી ગલીઓમાં–
રોજિંદી ભાષામાં–
મારી પોતાની સાથે પણ–
કોઈ વાર
આવા ભાવ થાય છે.

– પ્રીતિ સેનગુપ્તા

અજાણ્યા સ્થળે અજાણ્યા લોકો વચ્ચે અજાણી ભાષાના કારણે પ્રવાસી જે અસમંજસ અને લાચારીની અવસ્થા અનુભવે એ સમજી શકાય એમ છે. આસપાસનો સમસ્ત જનપ્રવાહ નિયત દિશામાં પાણીના રેલાની જેમ સડસડાટ વહેતો હોય પણ નક્શા પર ગોથાં ખાતી ‘અચોક્કસ’ આંગળીઓની જેમ આપણે અટવાતા હોઈએ અને કોઈ વાર્તાલાપ કામ ન આવે ત્યારે જે પારાવાર પરવશતા અનુભવાય એ આપણે સહુએ જીવનના કોઈને કોઈ તબક્કે અનુભવી જ છે. પણ કવયિત્રીનું નિશાન તો સાવ અલગ જ છે. જાણીતા લોકો, જાણીતા સ્થળો અને જાણીતી ભાષા હોવા છતાં ક્યારેક આપણને કશું જ જાણીતું ન હોવાનો ભાસ થઈ આવતો હોય છે. ઘણીવાર તો આપણે સ્વયંને પણ ઓળખી શકતાં નથી, સ્વયં સાથે સંવાદ પણ સાધી શકતા નથી… સર્વસામાન્ય પર્યટન અનુભૂતિના મિષે કવયિત્રીએ ‘આઇડેન્ટિટી ક્રાઇસિસ’ને કેવી અદભુત વાચા આપી છે!

(મોબાઇલ અને ગૂગલ મેપ હાથવગાં થયાં એ પહેલાંની, લગભગ ચાળીસેક વર્ષ પહેલાંની આ રચના છે, એટલે નક્શાનો સંદર્ભ એ રીતે સમજવો!)

6 Comments »

  1. Ramesh Maru said,

    January 18, 2025 @ 11:42 AM

    વાહ…

  2. શૈલેશ ગઢવી said,

    January 18, 2025 @ 12:13 PM

    વાહ

  3. Jigisha Desai said,

    January 18, 2025 @ 2:40 PM

    Vahh

  4. Varij Luhar said,

    January 21, 2025 @ 11:38 PM

    વાહ..

  5. Kishor Ahya said,

    April 7, 2025 @ 12:01 AM

    પ્રિતી સેન ગુપ્તા નું આ અછાંદસ કાવ્ય સમજવા જેવું છે.અજાણી જગ્યાએ આપણને કોઈ શેરી ગલી શોધવી અઘરી પડે અને તૂટી ભાંગ્લી ભાષામાં કોઈને પૂછીએ કે નકશો જોઈએ ત્યારે એકલતા જેવું લાગે એ સ્વભાવિક છે.પણ કવિયિત્રી ને કોઈવાર મિત્રો સાથે હોય ત્યારે પણ આવા અનુભવ થાય છે. અહી કાવ્ય પૂરું થાય છે.

    આમ જુઓ તો આ કાવ્ય સામાન્ય પ્રકારનું લાગે કેમકે આવા અનુભવો દરેક ને થતા હોય છે. કવિયિત્રી ને આવી લાગણી નું રહસ્ય જાણવું છે એટલે આ પ્રશ્ન મૂકી કવિતા પૂર્ણ કરી છે.

    મનુષ્ય બ્રહ્મ ના ગર્ભમાં થી એકલો આવ્યો છે અને મૃત્યુ પછી ત્યાં એકલો જ જવાનો છે ,વચ્ચેના થોડા સમયમાં મનુષ્ય ને મળેલ કુદરતી પ્રેમ લાગણીઓ ની ભેટ ને કારણે તેને એવું લાગે છે કે તે અહી એકલો નથી બધા મારી સાથે જ છે.પણ આ માત્ર ભ્રમ છે એ વાત મનુષ્ય થોડી સમજણ આવતાં જ જાણી જાય છે અને મિત્રો ની વચ્ચે વાતો કરતા કરતા પણ તેને પોતાની આ એકલતા યાદ આવી જાય છે.આ એકલતા ના ઘણા બધા કારણો છે જેમાં મનુષ્યનું વધતું જતું દંભી જીવન, સાચી પ્રેમ લાગણી નો અભાવ, પદ અને ધન દોલત નો અહંકાર અથવા બીજાની સરખામણી માં ગરીબાઈ, શારીરિક તકલીફો, લઘુતા ગ્રંથી, ગુરુતા ગ્રંથી વગેરે સાંસારિક બાબતોના સુખ દુઃખ આવા ઘણા કારણો છે જેનું સમાધાન મનુષ્ય પાસે નથી અને તે આ સમસ્યા થી પીડાય છે તે કારણે તે દુઃખી છે ઉદાસ છે અને ઉદાસ થઇ જતાં જ એકલતાનો અનુભવ થાય છે. મનુષ્ય એકલતા શોધતો નથી પણ એકલતા મનુષ્યને શોધી જ લે છે. આવી એકલતા કઇ રીતે દૂર થઈ શકે?

    આજકાલ તો લોકો આવા પ્રશ્નો લઈને ડોક્ટર પાસે જાય છે ક્યાંય ગમતું નથી ડિપ્રેશન લાગે છે!

    જ્યાં સુધી મનુષ્ય એકલતા ના મૂળ કારણો શોધી તેને દૂર કરે નહિ ત્યાં સુધી એકલતા દૂર થતી નથી.એકલતા દૂર કરવાનો બીજો એક ઉપાય એકાંત છે, એકલતા અને એકાંત અલગ બાબત છે. જ્યારે મનુષ્યને પોતાનો હોવાપણાનો અહેસાસ થાય ત્યારે એકાંત જન્મે છે જ્યાં સ્વયંમ ના બોધ સિવાય બીજું કશું હોતું નથી. આવા એકાંત ને પામવા ભગવાન શ્રીકૃષ્ણ એ અર્જુનને ગીતામાં છે તે ઉપદેશ આપ્યો ,જેમાં જ્ઞાન ,કર્મ, અને ભક્તિ એવા માર્ગો બતાવ્યા છે .સાક્ષી થવું એ પણ એક માર્ગ જ્ઞાનીજનો એ બતાવ્યો છે. આદ્યાત્મિકતા એટલે પોતાની ઓળખાણ.આવી ઓળખાણ થઈજાય પછી કોઈ એકલતા રહેતી નથી.

    પ્રતિસાદ થોડો લાંબો થઇ ગયો છે પણ કામનો હોય ટુકાવ્યો નથી.અછાંદસ રચના ટૂંકી છે પણ કીમતી છે.કવિયત્રીને રચના બદલ અભિનંદન. આસ્વાદ પણ મજાનો લખ્યો છે વાહ!
    🌹

  6. Kishor Ahya said,

    April 7, 2025 @ 12:10 AM

    કવીયિત્રી નું નામ પ્રિતી સેનગુપ્તા છે. ટાઈપ ભૂલ થી પ્રિતી સેન ગુપ્તા લખાયું છે તે અંગે દિલગીર છું.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment