સમય જન્મ્યો નથી તો મૃત્યુ પણ ક્યાં થઈ શકે એનું
સમયની બહાર જે નીકળે સમાધિ બસ મળે ત્યાં છે
રાજેશ રાજગોર

You are there…. – Erica Jong – અનુ. ડો. નેહલ વૈદ્ય

તમે ત્યાં છો.
તમે હંમેશાંથી ત્યાં (જ) છો.
(બરાબર) એ વખતે જ્યારે તમે વિચારતા હતા
કે તમે (ચઢાણ) ચઢી રહ્યા છો
તમે ખરેખર (તો ત્યાં ) પહોંચી ચૂક્યા હતા
ત્યારે તમે હાંફી રહ્યા હોવા છતાં આરામમાં હતા
એ સમયે એ સ્પષ્ટ હતું કે તમે ત્યાં હતા.
એ સમજવું આપણી (માનવ) પ્રકૃતિમાં નથી કે ‘યાત્રા’ શું છે અને ‘પહોંચવું’ એટલે શું !
અને જો આપણે જાણી પણ ગયા હોઈએ
તો એ સત્ય સ્વીકારીએ નહીં
(અને ખરેખર આખી) જીંદગી જીવી ગયા પછી
(પણ) આપણે એવું વિચારીએ કે
આપણે હમણાં (જ) અસ્તિત્વમાં આવ્યા છીએ
(ખરેખર) જીવવું એટલે
અનિશ્ચિત રહેવું
સ્પષ્ટતા (તો) અંતમાં
આવે છે.

~એરિકા જોંગ

You are there.

You have always been
there.
Even when you thought
you were climbing
you had already arrived.
Even when you were
breathing hard,
you were at rest.
Even then it was clear
you were there.

Not in our nature
to know what
is journey and what
arrival.
Even if we knew
we would not admit.
Even if we lived
we would think
we were just
germinating.

To live is to be
uncertain.
Certainty comes
at the end.
~ Erica Jong ( From 'Poetry Of Presence' An Anthology Of Mindfulness Poems )

આ એક અનોખી યાત્રાની વાત છે. આપણાંમાંથી ઘણાંના અંતર મનમાં પ્રગટપણે કે ઘણીવાર ઊંડાણમાં અપ્રગટ રૂપે ચાલ્યા કરે છે. અને આ ‘હોવું’ અને ‘પહોંચવું’ પણ સ્થૂળ રીતે નહીં પણ સમગ્ર માનવજાતના અંતિમ ગંતવ્ય એવા નિર્વાણ, મુક્તિ કે પછી આત્મજ્ઞાન કહો, એ અવસ્થાએ પહોંચવાની વાત છે.
એ પરમ તત્ત્વ આપણને “તદ્ દૂરે તદ્ અન્તિકે” જણાય છે, આપણા ઉપનિષદોના સારતત્ત્વ જેવી આ કવિતા પહેલી લીટીમાં જ એ સત્ય જણાવી દે છે કે તમે ત્યાં છો, એ જ સત્ય પર ભાર મૂકવા બીજી લીટીમાં એનું પુનરાવર્તન કરતાં કવિ કહે છે કે તમે ત્યાં હંમેશાંથી છો. આપણે આપણું સમગ્ર જીવન જેની શોધમાં વિતાવી દઈએ, જે અંતિમ સત્યને પામવા જ્ઞાનમાર્ગ, ભક્તિમાર્ગ અપનાવીએ, જપ-તપ, મંત્ર-તંત્ર, ધ્યાન-આરાધનામાં વર્ષો ગાળી નાંખીએ; એ લક્ષ્ય આપણે પામી ચૂક્યા છીએ, જો આપણને એ સત્ય જોતાં આવડે તો.
કવિ આગળ કહે છે કે જ્યારે તમારી કપરાં ચઢાણ ચઢવા જેવી યાત્રા ચાલુ હતી, તમે હાંફી રહ્યા હતા અને આ રસ્તો ક્યારે પૂરો થશે એવું અનુભવતા હતા, એ આખો વખત તમે તમારી મંઝિલ પર જ હતા અને આરામમાં હતા. આપણે આપણું તન-મન-ધન, સમગ્ર ઊર્જા, બધો જ પુરુષાર્થ હરિના માર્ગે ચાલવામાં લગાવી દઈએ, ત્યારે ખરેખર તો આપણે એ વિશ્વનિયંતાના ખોળે બેઠેલા હોઈએ છીએ. એવું કહેવાય છે કે સંત રૈદાસના પદ સાંભળવા ભગવાન કૃષ્ણ સ્વયં આવીને બેસતા. ભગવદ ગીતામાં પણ ભગવાન કૃષ્ણ કહે છે કે સૃષ્ટિમાં એવું કોઈ સ્થાન નથી જ્યાં મારો વાસ ન હોય, છતાંય આપણે ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ તીર્થયાત્રાઓ કર્યા કરીએ છીએ.
આપણી મનુષ્યની પ્રકૃતિ માટે એ સમજવું બહુ અઘરું છે કે આ ‘યાત્રા’ શું છે અને એ ગંતવ્ય સ્થાને ‘પહોંચવું’ એટલે શું? આપણા પૂર્વજો જે જે માર્ગે ચાલ્યા એ જ માર્ગે આપણે પણ ચાલી નીકળીએ છીએ પણ આ તો દરેકની પોતાની આગવી સફર છે. અને બીજાઓના અનુભવો સાથે આપણી અનુભૂતિઓને સરખાવ્યા કરવાથી કોઈ ફાયદો થવાનો નથી. જ્યારે આપણે જાણી ચૂક્યા હોઈએ તેમ છતાં એ સત્ય સ્વીકારી નથી શકતા કે જેની શોધમાં છીએ તે અહીં જ છે, આ પળમાં જ છે. આખી જીંદગી જીવી લીધા પછી પણ આપણે હજુ શરૂઆત કરી રહ્યા છીએ એવું માનીએ છીએ. ‘માઈન્ડફૂલનેસ’ થી જીવીએ (પ્રત્યેક ક્ષણ જાગૃતીથી જીવીએ) તો બધા ગ્રંથોનો સાર આ પળ છે, જે પરમ સત્ય છે તે આ પળ છે, અહીં જ છે, જો પળનું સત્ય સમજી જઈએ તો ક્યાંય જવાનું નથી, ક્યાંય પહોંચવાનું નથી.
પણ જીવન જીવવાનું બીજું નામ અનિશ્ચિતતા છે, સત્યની સ્પષ્ટતા તો જીવનના અંતે જ આવે છે.
છેલ્લી બે લીટીનો એક બીજો અર્થ પણ નીકળે છે કે વર્તમાનની પ્રત્યેક પળને સજગતાથી જીવવું એટલે અનિશ્ચિતતાને અપનાવવી. જે ક્ષણે તમે નિશ્ચિતતા તરફ જવા જાઓ છો ત્યારે ક્યાં તો તમે ભૂતકાળના કોઈ અનુભવ પર આધાર રાખો છો અથવા ભવિષ્યની કલ્પનામાં રાચવા લાગો છો અને એ ક્ષણે વર્તમાનની પળનો, સજગતાનો અંત આવી જાય છે.

~ નેહલ ( https://inmymindinmyheart.com/ )

2 Comments »

  1. વિવેક said,

    January 11, 2023 @ 7:05 PM

    અદભુત કવિતા… અનુવાદ પણ અત્યંત સૂઝપૂર્વકનો… મૂળ અંગ્રેજીનું ગુજરાતીકરણ કરતી વખતે મૂળ ભાષામાં અનુપસ્થિત પરંતુ ગુજરાતી ભાષા માટે જરૂરી શબ્દોનો કૌંસમાં વિનિયોગ કરવાની તરકીબ ખૂબ ગમી… આસ્વાદ પણ સરસ.

  2. pragnajuvyas said,

    January 12, 2023 @ 1:00 AM

    એરિકા જોંગની સુંદર રચના
    ડૉ નેહલનો સરસ અનુવાદ
    ડૉ તીર્થેશ નો ખૂબ સ રસ આસ્વાદ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment