(વીતે ન એક ઘડીથી ઘડી એક ક્ષણથી ક્ષણ) – હેમંત ધોરડા
વીતે ન એક ઘડીથી ઘડી એક ક્ષણથી ક્ષણ
હું ઓગળી ન જાઉં અને રાત પણ કઠણ.
સુક્કા અધર ઉપર ન કોઈ શબ્દ કલરવે
ઊડી ન જાય ખુલ્લાં નયનથી કોઈ વલણ.
પથરાળ ટેરવામાં કોઈ સ્પર્શ ના વહે
ને વિસ્તરે ઉદાસ હથેળીમાં રણનાં રણ.
અંતર કદી રુવાંથી રુવાંનું તૂટે નહીં
લીરા કરી ત્વચાના ઊડાવે ન કોઈ વ્રણ
ટપકે ન આંખથી કે એ છલકે ન લિંગથી
અવગત રુધિરને ન મળે કોઈ ઘાવ પણ.
– હેમંત ધોરડા
રાતની વાત છે, પણ રાત શેની છે એ વાત કવિએ અધ્યાહાર રાખી છે. ગઝલનો મિજાજ આપણને કહે છે કે આ રાત વિયોગની-વેદનાની રાત છે. અને એટલે જ આ રાત અકાટ્ય બની રહી છે. ઘડી તો દૂરની વાત છે, ક્ષણ પણ અટકી પડી છે. નથી સ્વયંનું અસ્તિત્ત્વ ખતમ થતું, નથી રાત ખતમ થતી. રાત માટેનું ‘કઠણ’ વિશેષણ સમયના જડત્વ-સ્થૈર્યની પરાકાષ્ઠા નિર્દેશે છે. લકવાગ્રસ્ત સંવેદના સૂકાયેલ હોઠેથી તો નથી જ ટહુકતી, ખુલ્લી આંખોથીય વ્યક્ત થવાને સક્ષમ નથી રહી. પથ્થર જેવા બધિર થઈ ગયેલ ટેરવાં સ્પર્શની ભીનાશ અનુભવી શકે એમ નથી. સતત વિસ્તરતા જતાં રણ જેવી ઉદાસીએ અસ્તિત્ત્વ પર કબ્જો કરી લીધો છે. રુવાંથી રુવાંના અંતરવાળો શેર પ્રથમ નજરે સહેજ દુર્બોધ લાગે. પીડાના ‘मुश्किलें मुझ पर पडी इतनी’ના ન્યાયે કોઠે પડી જવાની આ વાત છે. હવે કોઈ વેદના બૉમ્બની જેમ અસ્તિત્ત્વના લીરેલીરાં ઊડાવી શકતી નથી એ વાત બે રુંવાડા વચ્ચેનું અંતર ‘તૂટતું’ ન હોવાના રૂપકની મદદથી કવિએ કહી છે. વેદનાના અવિર્ભાવનો અભાવ અંતિમ શેરમાં સ્ફુટ થયો છે. વેદના ક્યાં તો આંખોથી વહી નીકળે, ક્યાં તો જાતિય આવેગ થઈને સ્ફોટ પામે. પણ થીજી ગયેલા લોહીને વહેતું કરી શકે એવો કોઈ ઘા અવગતિએ ગયેલા જન્મારાને નસીબ થતો નથી. આંખથી રુધિરના ન ટપકવાની વાતે મિર્ઝા ગાલિબ અવશ્ય યાદ આવે:
रगों में दौड़ते फिरने के हम नहीं क़ाइल,
जब आँख ही से न टपका तो फिर लहू क्या है।

