રખોપું! – દાન વાઘેલા
આધિ-વ્યાધિ-ઉપાધિનો હિસાબ સઘળો સોપું!
જનમ-મરણની વચ્ચે અનહદ ઇચ્છાના મૂળ રોપું!
મારો રામ કરે રખોપું… મારો રામ કરે રખોપું !
અંતરમાંથી ઓઘ ઉછળે ને રુંવાડાં રણઝણતા;
વાદવિવાદના વંટોળિયા પણ મીણ સમા ઓગળતા!
જળથી ઝગમગ જ્યોત જોઈને ધન્ય સમય સંગોપું!
મારો રામ કરે રખોપું… મારો રામ કરે રખોપું!
મન લોચન પર મેઘ ઝળુંબે હૈયે અમી છલકાય;
ધીરગંભીરા સપનાં નવરંગ રૂપ-અનુપમાં ન્હાય!
વ્યોમ હોય કે ભોમ અવિચળ નિજાનંદ આટોપું!
મારો રામ કરે રખોપું… મારો રામ કરે રખોપું!
– દાન વાઘેલા
શ્રદ્ધાથી મોટી અવર કોઈ શક્તિ નથી. શ્રદ્ધાપૂર્વક સ્વયંનો હવાલો રામને આપી દેવાય પછી શું આધિ, શું વ્યાધિ ને શું ઉપાધિ? હરિશરણમાં જતાં જ રોમહર્ષણ સાથે અંતરમાંથી ફુવારા ફૂટી નીકળે છે, તમામ વાદવિવાદ શમી જાય છે. હરિનામનું કોડિયું મળે તો અસ્તિત્વની જ્યોત ઘી નહીં, જળથી પણ ઝગમગ થાય. આવી ઝળહળ ધન્યતા અનુભવાય એ સમય આ ધરતી પરથી પોતાની લીલાને સંગોપવાનો સમય છે. આખું ગીત સરસ થયું છે, પણ મુખડામાં જનમ મરણની વચ્ચેના જીવનમાં અનહદ ઇચ્છાઓ રોપવાની વાત સહેજ સ્થાને લાગી.. રામનામની તાળી લાગી ગઈ હોય, હૈયું અમીથી છલકાતું હોય અને અવિચળ નિજાનંદ અનુભવાતો હોય એ માણસ ઇચ્છાઓ ત્યાગે કે બીજમાંથી વૃક્ષ બનાવવા પ્રયત્ન કરે? મૂળ રોપવું પ્રયોગ પણ સંદિગ્ધ લાગ્યો. બીજ કે કૂંપળ તો રોપી શકાય, મૂળ શી રીતે રોપી શકાય?
(રખોપું=રક્ષણ; ઓઘ=ધોધ; સંગોપવું= છુપાવી રાખવું; અનુપ= અજોડ)


Jigisha Desai said,
August 14, 2026 @ 12:25 PM
Vahh..
Yogesh Samani said,
August 14, 2026 @ 12:54 PM
અફલાતૂન રચના 👌