- કે કાગળ હરિ લખે તો બને
અવર લખે તો એકે અક્ષર નથી ઊકલતા મને.
રમેશ પારેખ

દેખ કબીરા રોય – લલિત ત્રિવેદી

જરકશ ભોગવિલાસને દેખ કબીરા રોય
લલિતિયા લિબાસને દેખ કબીરા રોય!

અબરખિયા ઉલ્લાસને દેખ કબીરા રોય!
ઝાકમઝોળ આવાસને દેખ કબીરા રોય!

હંસા, ક્યાં એ બેસણાં ક્યાં મનસરની પાળ
પાણી પાણી પ્યાસને દેખ કબીરા રોય!

ઈ ગાઉના ગાઉ ને ઈ પાણાની સેજ
રાસ ભયા વનવાસને દેખ કબીરા રોય!

ક્યાં પરસાદી થૈ ગયેલાં ભૂખ તરસ ને તાપ
મનરંજનના દાસને દેખ કબીરા રોય!

ક્યાં રે એ તલ્લીન ને ક્યાં રે રાગાધીન
તેં ખોયા અભિયાસને દેખ કબીરા રોય!

લલિત ત્રિવેદી

ગઈકાલે આપણે એક ગરબા-ગઝલનો આસ્વાદ કર્યો.. આજે એક દોહા-ગઝલ માણીએ. કબીરના પદમાંથી ’देख कबीरा रोया’ ઉધાર લઈને કવિએ એને ગઝલની રદીફ તરીકે સ્થાપી છે. જરકશી જામા અને ભોગવિલાસની જિંદગીને જોઈને ભીતરનો કબીર વ્યથિત છે. આપણો ઉલ્લસ પણ અબરખ જેવો છે, ચમકીલો પણ બરડ અને ભંગુર. આપણા શાસ્ત્રોમાં જીવને હંસનું પ્રતીક આપવામાં આવ્યું છે. હંસ અને માનસરોવર વચ્ચેનો અવિનાભાવી સંબંધ પણ જાણીતો છે. પણ કવિ લાવ્યા છે મનસરની પાળ… માનસરોવરના ઇંગિતને જાળવી રાખીને મનના સરોવરને કવિએ હાથ ઝાલ્યું છે. સદૈવ અતૃપ્ત રહેતી તરસ-તૃષ્ણાને દેખીને માંહ્યલો રડી રહ્યો છે એ શેર હાંસિલે ગઝલ કહી શકાય. બાકીના શેર ખોલવાનું કામ લયસ્તરોના સક્ષમ વાચકવર્ગ માટે બાકી રાખું છું…

Leave a Comment