જો! – દાન વાઘેલા
જોવું જ હોય તો, તું હવાની જ ગંધ જો!
અફવાની લાશ લઈ જતા ફૂલોના સ્કંધ જો!
દૃશ્યોની લૂંટમાર કરે છે પતંગિયાં;
શંકા ઓઢીને ઊગતા આ સૂર્ય અંધ જો!
એ વાત છે અલગ કે હૃદય બંધ થાય છે;
આઘાત – લાગણીનો પરસ્પર સબંધ જો!
લે પાણી, પૈસો, પાન પણ તુલસીનું ને આ ધૂળ;
છે જીવની તૃષાનો આ છેલ્લો પ્રબંધ… જો!
– દાન વાઘેલા
સૌંદર્યબોધ આ ગઝલના મત્લાનું મધ્યબિંદુ છે, પણ કવિ ભાવક પાસે ઇન્દ્રિયવ્યુત્ક્રમની અપેક્ષા પણ રાખે છે. દુનિયામાં જોવા જેવું તો ઘણું બધું છે, પણ કવિ આહ્વાન કરે છે કે જોવું જ હોય તો હવાની ગંધ જો. નાકથી કરવાનું કામ આંખથી કર. સુગંધને વહેતી કરનાર ફૂલોના સુકોમળ સ્કંધ અફવાની લાશનું પણ વહન કરે છે એ વાત સહેજ સંદિગ્ધ રહી જાય છે. બીજો શેર સાધારણ છે અને ‘ઓઢીને’માં છંદ પણ તૂટે છે. પણ ગઝલની ખરી મજા ત્રીજા-ચોથા શેરમાં છે. પ્રિયજને આઘાત આપ્યો, એના પ્રત્યાઘાતમાં કથકનું હૃદય બંધ થઈ રહ્યું છે, એ સામાન્ય બનાવને આઘાત-લાગણીના પરસ્પર સંબંધ સાથે જોડીને કવિએ કેવો મજાનો શેર કહી દીધો! અંતિમ શેરમાં ચિત્રણ તો મૃત્યુનું છે, પણ મૃત્યુસમયના રિવાજોને જીવની તરસના છેલ્લા પ્રબંધ તરીકે ઓળખાવીને કવિએ શેરને ચિરસ્મરણીય બનાવી દીધો. કેમકે અંતિમ શ્વાસ સુધી મનુષ્યની તૃષા-લાલસાઓનો અંત આવતો નથી.

