પરખાઈ ગયા – દિનેશ ડોંગરે ‘નાદાન’
આયના તૂટી ગયા ને બિંબ તરડાઈ ગયાં;
એકમાં છે કેટલા ચહેરાઓ, પરખાઈ ગયા.
બીજનો હો કે પૂનમનો ચંદ્રમા તો એ જ છે;
વાસ્તવિકતા એ જ કેવળ રૂપ બદલાઈ ગયાં.
જિંદગીભર કાંઈ ના સમજી શકાયું એટલે;
અંતવેળાની નજરના અર્થ સમજાઈ ગયા.
એમ આવ્યાં, એમ બેઠાં, એમ ઊઠીને ગયાં;
ભાવ અંતરના બધા વર્તનમાં દેખાઈ ગયા.
એમની વાચાળતાનો છે અલગ અંદાઝ આ;
એ કશું બોલ્યાં નહીં ને મૌન પડઘાઈ ગયાં.
આખરે ‘નાદાન’ કંઈપણ વ્યક્ત ના થઈ શક્યું;
ભેદ ભીતરના, ભીતરમાં જ ધરબાઈ ગયા.
– દિનેશ ડોંગરે ‘નાદાન’
ગઝલનો મત્લા વાંચીએ ત્યારે સાહિર લુધિયાનવી લિખિત દાગ ફિલ્મના ગીતનું મુખડું માનસપટ પર ઝબકે:
जब भी जी चाहे नई दुनिया बसा लेते हैं लोग
एक चेहरे पर कई चेहरे लगा लेते हैं लोग
પ્રસ્તુત ગઝલનો મત્લા પણ મનુષ્યના એક ચહેરામાં અનેક ચહેરાઓ સંતાયેલ હોવાની જ વાત કરે છે, પણ સાહિરે અનુમાનથી જે વાત કરી હતી, દિનેશ ડોંગરે એને પ્રમાણ આપીને કહે છે. આયનો તૂટીને ટુકડેટુકડા થઈ જાય ત્યારે દરેક ટુકડામાં આપણો ચહેરો નજરે ચડે છે. જે ચહેરો આખા આયનામાં આખો દેખાતો હતો, એ કોઈપણ ટુકડામાં આખો દેખાઈ શકતો નથી અને દરેક ટુકડામાં ચહેરાના અલગ અલગ ભાગ નજરે ચડે છે. એક ચહેરો તરડાઈ જઈને અનેકમાં વિભાજિત થઈ જાય છે. અહીં આયનો એકવચનમાં નથી. વાત આયનાઓની છે એટલે જોનાર પણ વ્યક્તિ નહીં, વ્યક્તિઓ છે. આયનાનું બહુવચન કરીને કવિએ કોઈ એક વ્યક્તિના પ્રતીકથી સમાજની વાત કરવાના બદલે આખેઆખા સમાજને જ વરુણીમાં લઈ લીધો. બધા જ શેર વાંચતાવેંત ગમી જાય એવા છે. હા, મક્તામાં બંને મિસરામાં છંદ ખોટકાયો છે એ ટાળી શકાયું હોત તો સારું થાત.

