સંદર્ભનો દરિયો તરીને – વારિજ લુહાર
એક ભીના સ્પર્શનો દરિયો તરીને.
આવ! પીળા અર્થનો દરિયો તરીને.
રાહ જોતી શૂન્યતા ઉભી કિનારે,
આવ! કો’ સંદર્ભનો દરિયો તરીને.
ફૂલથી કોમળ છવિ મેં સાચવી છે,
આવ! મબલખ ગંધનો દરિયો તરીને.
પાંપણોમાં પીગળી જાશે પહાડો,
આવ! થીજયા બર્ફનો દરિયો તરીને.
શક્યતા છે ભીંતને નડશે તિરાડો,
આવ! સઘળી શર્તનો દરિયો તરીને
– વારિજ લુહાર
આમ તો ગઝલ પણ એક પ્રકારનું ઊર્મિકાવ્ય જ છે, પણ ગઝલમાં ઊર્મિઓ ઉપરાંત ચિંતન-વિચાર. અવલોકન વગેરેને પણ અવકાશ રહેલો છે. સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે સર્જન સમયનું કવિસંવેદન ભાવક યથાતથ અનુભવી શકે એ જ કવિતાનું સાર્થક્ય. પણ ગઝલમાં કેવળ ભાવસંવેદન જ પ્રત્યાયિત થવા આવશ્યક નથી. ગઝલને વિશુદ્ધ ભાવ કરતાં ભાવાર્થ કદાચ વધારે અભિપ્રેત છે. વિચારપ્રધાન ગઝલો શીઘ્ર પ્રત્યાયન સાધે એ જરૂરી નથી. સહેજ હળવા હાથે એમને ઉઘાડવી પડે. આ ગઝલ જુઓ. દરેક શેરના સાની મિસરાની શરૂઆત ‘આવ’થી થતી હોવાથી ગઝલની રદીફ ‘આવ’ અને ‘દરિયો તરીને’ -એમ દ્વિભાજિત થયેલી પ્રતીત થાય છે. દરિયો તરીને આવવા માટેનું ઇજન છે, મતલબ બે જણ વચ્ચે દરિયાભરનું અંતર પડી ચૂક્યું છે. અને ભીતરના હનુમાનને જગાવીને એ પાર કરવાનું છે. મિલન માટે આતુર તો છે, પણ સ્વંય દરિયો તરીને જવા તૈયાર નથી. જે ગયું છે એણે જ દરિયા તરીને આવવાનું છે. કથક પ્રતીક્ષામાં શૂન્યવત થઈ, હૃદયમાં ફૂલશી સુકોમળ છબી સાચવીને, પાંપણોના પહાડ ઓગાળવા ને સઘળી શરતોને વિસારે પાડવા આ કાંઠે તૈયાર ઊભો છે. એ મિલન માટે આતુર તો છે, પણ સ્વંય દરિયો તરીને જવા તૈયાર નથી. જે ગયું છે એણે જ દરિયા તરીને આવવાનું છે. કવિ સ્પર્શ માટે ‘ભીનો’ વિશેષણ પ્રયોજે છે, ત્યારે સ્પર્શ ઉપલક કે ઔપચારિક ન રહેતાં લાગણીભર્યો ને ભીતરનો બની રહે છે. પણ બીજી પંક્તિમાં જે દરિયો તરવાનો છે એ પીળા અર્થનો છે, ઉદાસીનતાનો છે. ક્યારેક જે સ્પર્શ લાગણીભીના હતા એ હાલમાં ગ્લાનિની પીળાશ બની ગયા છે… નાયિકા હવે દરિયા પાર કરીને આ તરફ આવે તો જ સંદર્ભોઅને મબલખ ગંધના દરિયા સજીવન થાય.

