વધી વધીને બસ, એક કાન કે ખભો દઈ દે,
વધુ તો હોય શું કરવાનું, બોલો, આપ્તજને?
- વિવેક મનહર ટેલર

કવિતા વિશે અલ્પ જલ્પ – જયંત પાઠક

શું પંડિતનું પાઘડું પહેર્યે મોટુંમસ?
બે અક્ષર આનન્દના પાડી શકું તો બસ.

Π

કલ્પવૃક્ષ ને કામગૌ મર રહે અમરાપરી,
માગ્યું મળતું થાય તો કોણ કરે કવિતા ફરી!

Π

રમતા આવે વાયરા, રમતા હાલ્યા જાય,
વેહ વગરના વાંસ તે કેમ કરીને ગાય!

Π

મોતી પાકે છીપમાં, પાકે ઉદરે ગર્ભ,
કવિતા પાકે કાળજે : ત્રણેય સેવ્યે દર્દ.

Π

વેંત જીભ ને મોકળું ગળું વદે બહુ વાણ,
મરમાળું પણ ગાન તો ઝમે મૌનને હાણ.

– જયંત પાઠક

આનંદ અનેક પ્રકારના હોય અને અનેકવિધ વૃત્તિ-પ્રવૃત્તિઓ થકી એ મેળવી શકાય, પણ કવિતાના ભાવસેવનથી જે આનંદ મળે છે એને અલૌકિક -‘બ્રહ્માનંદ સહોદર’- આનંદ ગણવામાં આવ્યો છે. આ જ કારણ છે કે કવિઓ સતત કવિતાના મૂળ સુધી જવાની મથામણ કરતા રહે છે. પ્રસ્તુત દોહાઓમાં પણ કવિએ કાવ્યતત્ત્વને આળખવા-ઓળખવાની તજવીજ કરી છે. જ્ઞાની હોવામાત્રથી કાવ્યપદાર્થ હાથ ન આવે, ખરી કવિતા નિર્ભેળ આનંદની અભિવ્યક્તિમાં છે. કવિતા એ અતૃપ્ત કામનાનું સંતાન છે. ઇચ્છ્યું ને માંગ્યું બધું મળી રહેતું હોય એવી અમરાપુરી જેવી દુનિયામાં કવિતા કોણ કરે? આત્મામાં છિદ્રપડ્યા હોય-વેદના વેઠી હોય તો અનુભૂતિનો પવન વાંસળીના સૂર- કવિતા બનીને રેલાય. છિદ્ર વગરના વાંસમાંથી પસાર થતો પવન સૂર ન રેલાવી શકે. ટૂંકમાં દર્દ સેવ્યા વિના કવિતા પાકતી નથી. કવિતા વાચાળતામાંથી નથી જન્મતી, એ તો મૌનમાંથી ઝમે છે.

પાંચેય દોહા ખૂબ સ-રસ થયા છે. પણ એક વાતની નોંધ લેવી જરૂરી જણાય છે. કવિએ દોહરા (દુહા) છંદ વાપર્યો છે પણ પહેલા બંને દોહામાં દોષ થયો છે. દોહા એટલે અનુક્રમે ૧૩અને ૧૧ માત્રાના બબ્બે ચરણવાળી બે પંક્તિ. (છંદઅન્વય: દાદા દાદા દાલદા, દાદા દાદા દાલ) પહેલા દોહામાં બંને કડીમાં વાક્યાંતે અનિવાર્ય લઘુ અક્ષરની અનુપસ્થિતિ કઠે છે, જ્યારે બીજા દોહામાં ૧૩-૧૧ માત્રાના સ્થાને કવિએ બંને ચરણમાં ૧૩-૧૩ માત્રા પ્રયોજી છે. સમર્થ કવિ પણ ક્યારેક આવી ચૂક કરી બેસતા હોય છે.

1 Comment »

  1. Amin Kanchan said,

    June 9, 2026 @ 12:21 PM

    કવિની કવિતાના મૂળ પર્યંત પ્હોચવાના. સરસ દો-છીપમોતીવાંસ વેહ દ્વારા દર્દની મહતા મૂળ છે.- સરસ-દોહા-

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment