સંતુષ્ટ? – પ્રજારામ રાવળ
સંતુષ્ટ છું, જગતથી; સહુ આજુબાજુના
સંબંધીઓ થકી, સગાંથી અને સખાથી;
વૃક્ષોથી, વેલીથકી, પુષ્પથકી, ફળોથી;
આકાશ, વાયુ, અગનિ, જલથી, ધરાથી;
ઠંડીથી, ગ્રીષ્મથકી, ને વરસાદ-ધારથી,
સર્વે પ્રસંગથકી, જે બનતા અહીં, તહીં;
હું જાઉં છું જહીં, નદી સમ ત્યાં રહું વહી:
જોકે, કદીક બનતું, નહિ જે શકું સહી!
રે કિન્તુ, તુષ્ટ ન કદી મુજથી; ન તુષ્ટ હું:
રહે બાળતી સતત આગ દિને, નિશાએ:
સર્વે સુખો-તળ રહે ધગતું જ દુઃખ!
આસ્વાદતાં સકલ સૃષ્ટિ, ન જાય ભૂખ!
તું આવી આગ, પણ આવી ઘણી અધૂરી;
રે આવ, આવ; મુજ જાત જલાવ પૂરી!
– પ્રજારામ રાવળ
મનુષ્ય જાતની ખરી વિડંબનાનું સૉનેટ. પહેલી આઠ પંક્તિઓમાં કવિ સ્વયંની સંતુષ્ટિની આલબેલ પોકારે છે. લાં….બીલચ્ચ યાદીની મદદથી તેઓ પોતાનો સંતોષ એ રીતે પ્રતિપાદિત કરે છે, જાણે સંસારના સૌથી સંતોષી વ્યક્તિ ન હોય! સગાવહાલાંઓ, મિત્રો, સૃષ્ટિના નાનાવિધ ઘટકતત્વો, ઋતુઓ અને જીવનમાં ઘટતા પસંગો-બધાથી કવિને પૂરેપૂરો સંતોષ છે. પણ અષ્ટક પછીના ષટકમાં સૉનેટને અભિપ્રેત પલટો (volta) આવે છે, જેમાં કવિ નિખાલસપણે એકરાર કરે છે કે ક્યારેક એવું પણ બને છે જે પોતે સહી શકતા નથી. આસપાસની તમામ ઘટા-વ્યક્તિ-સૃષ્ટિથી જે માણસ સંત જેવી સંતૃપ્તિ અનુભવે છે, એ સ્વયંથી તુષ્ટ નથી. એક આગ કવિને રાતદિવસ બાળતી રહે છે અને તમામ સુખની તળે ધગધગતું રહેતું દુઃખ કવિને પ્રજ્વાળ્યા કરે છે. બધું આસ્વાદવા છતાં અંદરની ભૂખ શમતી નથી. અંતે દેહ ચિતા પર ઢળ્યો છે અને અગ્નિ દેવાઈ ચૂક્યો છે ત્યારે કવિ આગને આહ્વાન આપે છે કે આખું જીવન અડધી અધૂરી આગમાં બળતા રહેવામાં જ વીત્યું છે. માટે હે ચિતાગ્નિ! આવ અને મને પૂરેપૂરો સળગાવ… અંતટાણે તો અધૂરું બળતા રહેવાથી છૂટી શકાય!
*************************
છંદમાં રસ હોય એવા મિત્રો માટે:
કવિએ એ અહીં છંદોનું મિશ્રણ કર્યું છે.
(૧) વસંતમૃદંગ અથવામૃદંગ અથવા અહિમણિ છંદ: (૧૫ અક્ષર) ગાગાલગા લલલગા લલગા લગાલગા
પંક્તિક્રમાંક: ૧, ૫, ૬, ૭, ૮, ૯, ૧૦,
(૨) વસંતતિલકા છંદ: (૧૪ અક્ષર) ગાગાલગા લલલગા લલગા લગાગા
પંક્તિક્રમાંક: ૨, ૩, ૪. ૧૧, ૧૨, ૧૩, ૧૪

