એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે,
હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના.
અમૃત ‘ઘાયલ’

પંથ – હરીન્દ્ર દવે

પંથ હજી ઊભરાય,
હજીયે સાંભળતો
આ કેટકેટલાં પગલાં
પાસે આવે,
ડૂબી જાય.

પાનખરે સોનેરીપીળાં પર્ણ વેરતા
વૃક્ષ સમો હું
હૃદય મહીં જે શેષ રહ્યું એ વ્હાલ
રહ્યો વરસાવી.

હજી કોઈના ચરણ જરા સ્પર્શે ત્યાં
વાતી વળી ધૂળની ડમરી,
સરતી
સોડ મહીં સંતાડી વહેતો કાળ.

બધી આવતી કાલ
આવી
ને
ગઈ.

પંથ હજી ઊભરાય
હજીયે સાંભળતો
આ કેટકેટલાં પગલાં
પાસે આવે
ડૂબી જાય.

– હરીન્દ્ર દવે

જીવનના પંથ પર – દુનિયામાં અનેકાનેક લોકોની આવજાવ એકધારી ચાલતી રહે છે. નિતનવાં લોકો મળતાં રહે છે અને મળનારાઓમાંથી ઘણાં કાયમી વિદાય લઈ કાયમ માટે જતાં પણ રહે છે. આપણું કામ છે વહાલ વરસાવવાનું… જે મળે એ સૌને સ્નેહ કરવાનું…. જીવન ક્ષણભંગુર છે. કોઈનો સ્નેહસ્પર્શ પૂરેપૂરો વર્તાય-ન વર્તાય ત્યાં તો કાળ એને છીનવી લેશે એમાં કોઈ મીનમેખ નથી. આપણી પાસે જે છે એ કેવળ આજ જ છે. બધી જ આવતીકાલ આવશે એ જ રીતે જતી પણ રહેવાની. આજમાં જીવીએ. આજને ઉજવીએ અને જ્યાં જઈએ, જેને મળીએ, બસ વહાલ વરસાવતાં રહીએ… આમ કરીશું તો જીવનની પાનખરે ખરતાં પર્ણ પીળાં નહીં, સોનેરી પીળાં હોવાનું અનુભવાશે.

અને હા! રખે આ કાવ્યને અછાંદસ ગણી લેવાની ભૂલ કરી બેસતા… પ્રસ્તુત કાવ્ય વિશુદ્ધ કટાવ છંદમાં લખાયેલ છે. જુઓ:

પંથ હજી ઊભ /રાય, હજીયે /સાંભળતો આ / કેટકેટલાં / પગલાં પાસે /આવે, ડૂબી / જાય.
ગાલલગાગા / ગાલલગાગા / ગાલલગાગા /ગાલગાલગા/ ગાગાગાગા / ગાગાગાગા /ગાલ

5 Comments »

  1. Kishor Barot said,

    June 11, 2026 @ 11:37 AM

    સરસ 👌

  2. Vrajesh Mistri said,

    June 11, 2026 @ 11:37 AM

    સરસ… સરસ…

  3. અગન રાજ્યગુરુ said,

    June 11, 2026 @ 11:40 AM

    વાહ..વાહ..

  4. Varij Luhar said,

    June 11, 2026 @ 12:13 PM

    વાહ ખૂબ સરસ કાવ્ય અને આસ્વાદ.. આજમાં જીવવાની વાત સરસ રીતે વ્યક્ત થઈ છે.. બધી આવતીકાલ આવીને ગઇ. એ બાબત સૌને અનુભવાય જ છે પરંતુ અહીં કવિની ટકોર ધ્યાનમાં લેવા જેવી છે.

  5. વિરલ વ્યાસ said,

    June 11, 2026 @ 1:18 PM

    સરસ. કટાઉ છંદન વિષે જાણવા મળ્યું. “પંથ હજી ઉભરાય” પ્રારંભ જ જોરદાર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment