એણે કાટો કાઢીને મને દઇ દીધું ફૂલ
હું તો છાતીમાં સંઘરીને લાવી બુલબુલ…
– વિનોદ જોષી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

જીવનના જે વળાંકે આવીને ઊભો છું હું ત્યાંથી બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!
ફગાવી દઈ બધા કિંતુ-પરંતુઓની વરણાગી, બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

મળ્યા જે પણ મને રસ્તામાં એ હરએક પાસેથી વધારે નહીં તો ઓછું પણ સતત મેં લીધે રાખ્યું છે,
જીવનભર ભેગાં કીધાં એ બધાંયે પોટલાંમાંથી બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

કોઈએ ઈર્ષ્યા આપી છે, કોઈએ શંકા ચાંપી છે, કોઈએ દ્રોહ, શ્રદ્ધાભંગ કે અપમાન આપ્યા છે;
કશું નહિ છોડવાની લ્હાયમાં અંતે ગયો થાકી, બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

મળ્યાં જે માન-કીર્તિ, સાચાં-ખોટાં રામ જાણે પણ, અહમ્ પાશેરથી વાધ્યો, થયો તે શેર-તોલો-મણ;
અખા! હલકાથી ભારીની એ તારી શીખને માની બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

વિતાવી છે ઘણી રાતો ઉઘાડી પાંપણો સાથે, કશું હાંસિલ થયું નહિ, બસ, કરચલીઓ પડી માથે;
ચિતાથી ભૂંડી ચિંતાને બનાવી શાથી મેં સાથી? બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

હવે રહીરહીને સમજાયું રહ્યો છું ઠેરનો ઠેર જ, કશે પહોંચી શકાયું ક્યાં ઉપાડી મનમુટાવોને?
રહે ગજગ્રાહમાં જે વ્યસ્ત એ આગળ વધે ક્યાંથી? બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

ગયાં એને નમન છે, ને જે આવ્યાં એને પણ વંદન; દીધાં હો ફૂલ કે પથ્થર – એ સઘળાંને નમું છું હું;
બધા માટે હૃદયમાં એકસરખી લાગણી રાખી બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

અરીસામાં પ્રથમવાર જ સ્વયં સામે નજર માંડી, કહ્યું એણે, ભીતર તો જો, પછી બનજે જગતકાજી;
સ્વીકાર્યું મેં, નમાવ્યું સિર, કહ્યું, ‘હા જી અરીસાજી! બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!’

તું બાવનબા’રો છે એ વાત લાગે છે હવે સાચી, મને પણ બાવને પહોંચ્યા પછી સાચી સમજ લાધી;
ભલે મોડી તો મોડી પણ સમજ જ્યારે ખરી આવી, બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

– વિવેક મનહર ટેલર
(૧૧/૧૬-૦૮-૨૦૨૩)

તિલક કરતાં ત્રેપન વહ્યાં, તંઈ જંઈ આ બ્રહાજ્ઞાન લાધ્યું, અખા!
બધા ગજગ્રાહ છોડી જીવતાં શીખો એ જ સાચું જીવન, સખા…

Comments (3)

(ભાન થવાનું) – વિપુલ માંગરોલિયા ‘વેદાંત’

આજ નહીં તો કાલ થવાનું,
વહેલું મોડું ભાન થવાનું.

અડચણ તો થોડી આવે પણ,
થાય શરૂ જો કામ, થવાનું.

એક અગર થાશું તું ને હું,
સામે આખું ગામ થવાનું.

ત્યાગ અને કષ્ટો જાણીને,
પડતું મૂક્યું રામ થવાનું.

આંખોની મસ્તીથી દિલમાં
થોડું તો રમખાણ થવાનું.

આજ ગમ્યું જે મનને થોડું,
કાલે એ અરમાન થવાનું.

– વિપુલ માંગરોલિયા ‘વેદાંત’

*

એક મુક્તક સાથે આજની વાત માંડવી છે:

સ્નેહ છે અગ્નિના જેવો સાવધાન સદા રહો
અતિ દૂર ન દે ઉષ્મા, દહે અતિ સમીપ તે. (?મનસુખલાલ ઝવેરી)

કવિની ક્ષમાયાચના સાથે આમ કહી શકાય:

સરળતા છે અગ્નિના જેવી, સાવધાન સદા રહો,
અતિ દૂર ન દે ઉષ્મા, દહે અતિ સમીપ તે.

કવિતામાં સરળતા અગ્નિ સમી છે. માફકસર ન હોય તો અસર ન કરે અને વધુ પડતી હોય તો દાહક બની રહે. કવિતા જ ખતમ થઈ જાય. હવે અહીં પ્રસ્તુત ગઝલ જોઈએ. માફકસરના સરળ શબ્દો અને સહજ શૈલીમાં કવિએ સ-રસ કેવી મજાની ગઝલ કહી બતાવી છે! રચના સહજસાધ્ય હોવાથી એના વિશે વિશેષ કહેવાની આવશ્યકતા અનુભવાતી નથી.

Comments (11)

(અનુભવનું રોકડું નીકળ્યું) – રઈશ મનીઆર

આ ખાલી ખિસ્સાને ખંખેરતાં ઘણું નીકળ્યું
સિલક સફરની, અનુભવનું રોકડું નીકળ્યું

મરી જવાનું થયું મન, એ ક્ષણ વિતાવી લીધી
પછીની ક્ષણમાં ઘણું જીવવા સમું નીકળ્યું

તળાવ થઈ તું પહાડોની ભીંસમાં જીવ્યો
મળ્યો જો ઢાળ તો તારું નદીપણું નીકળ્યું

ભલે હું કંઈ જ ઉમેરી શક્યો ન મારામાં
છતાં જે ઘર કરી બેઠું’તું, એ ઘણું નીકળ્યું

અમીર દોસ્ત! આ પૈસાના ઢગની નીચેથી,
ખમીર તારું જો નીકળ્યું, ગરીબડું નીકળ્યું

– રઈશ મનીઆર

પાંચશેરી જેવા પાંચ શેરની દમદાર ગઝલ. કયા શેર પર આંગળી મૂકવી અને કયા પર નહીં એ નક્કી કરવું દોહ્યલું થઈ પડે એ જ ઉત્તમ ગઝલનું લક્ષણ. હળવે હાથે દરેકેદરેક શેર ખોલવા જેવા અને ગૂંઠે બાંધી રાખવા જેવા.

Comments (24)

મધ્યાહ્ને કોયલ – નંદિતા મુનિ

મારી બારીએ ઝૂકેલી ડાળી ૫૨ બેસીને
બપ્પોરે કોયલનું બોલવું-
એ મધની મીઠાશ, અરે મદની મીઠાશનું
મૂલ મારે કેમ કરી તોલવું

ધીખતા બપો૨માં સળગે સૂનકાર,
ચૂપ થૈ બેઠી ધરતી આ આખી,
સૂરજની આણ બસ કોયલ-ગુલમ્હો૨-
આ બન્ને બાગીએ નથી રાખી-
કોયલ તો ગાતી કંઠ મોકળો મૂકીને,
મૂંગા ગુલમ્હોરે રંગોનું બોલવું,
એ મધની મીઠાશ, અરે મદની મીઠાશનું
મૂલ મારે કેમ કરી તોલવું

મળે એક પીંછું કે પાંખડી, તો હુંય કરું
સૂરજની સામે ધીંગાણું,
કહી દઉં કે તું તારે તપી લે તપાય એવું,
મારી પાસ ગુલમ્હોરી ગાણું
રંગ લૈ, સૂર લૈ, રાગ લૈ આગમાં
મારે તો ફક્કડ કલ્લોલવું,
એ મધની મીઠાશ, અરે મદની મીઠાશનું
મૂલ મારે કેમ કરી તોલવું

– નંદિતા મુનિ

ઉનાળો આંગણે આવીને ઊભો છે. થોડા દિવસોમાં સૂરજદાદા આગ ઓકવું આરંભશે અને ધીખતી બપોરે ગામો અને શહેર બધે કેવળ સૂનકાર સળગતો દેખાશે. પણ આવી બળબળતી બપ્પોરે એક કોયલ અને એક ગુલમહોર – આ બે જ બાગીઓ સૂરજની આણ સ્વીકારતા નથી. કોયલ પાસે તો કંઠ છે એટલે એ નફકરી થઈ મોકળા સ્વરે ગાય છે, અને ગુલમહોર પાસે કંઠના સ્થાને રંગ છે, એટલે એ જેમ સૂરજ વધુ તપે એમ વધુને વધુ ખીલે છે. કવયિત્રીની બારી પર ઝૂકેલી ડાળ ઉપર બપોરે કોયલ જે ટહુકા કરે છે એની મદભરી મીઠાશનું મૂલ તોલી શકાય એમ નથી, કારણ આ ‘કૉમ્બિનેશન’ એમના માટે પ્રરણાદાયી સિદ્ધ થયું છે. કેવળ કોયલનું એક પીંછું કે ગુલમહોરની એક પાંખડી પણ મળી જાય તો તેઓ સૂરજ સામે ધીંગાણું માંડવા તૈયાર છે.

Comments (6)

બાકી છે – રીનલ પટેલ

હજીયે આ તરફની ભીંત બાકી છે,
હજી થોડી ઘણી ઉમ્મીદ બાકી છે.

હજી રમવાને આવે કહાન ગોકુળમાં,
હજી રાધા-રમણની પ્રીત બાકી છે.

અમે છેડ્યો છે એ આલાપ છે કેવળ,
અમારે ગાવું છે એ ગીત બાકી છે.

મળી છે હાર જીવનમાં અનેકોવાર,
હજી હાર્યા પછીની જીત બાકી છે.

કદી આવેશમા બોલ્યા નથી સામે,
હજીયે મૌનમાં એક ચીસ બાકી છે.

– રીનલ પટેલ

ભીંત હોય તો તૂટવાની શક્યતા પણ હોય. કદાચ એટલે જ વધુ નહીં તોય થોડી ઘણી આશા હજી બચી રહી છે એમ કવયિત્રીને લાગી રહ્યું છે. આલાપ અને ગીતવાળો શેર તો શિરમોર થયો છે. જે ઘડીએ આપણને એમ લાગે કે આપણે આપણું શ્રેષ્ઠ આપી દીધું છે, એ ઘડીએ આપણો વિકાસ સ્થગિત થઈ જાય છે. “લખાવ્યે રાખે છે કાયમ મને બસ, આ જ એક અહેસાસ- ‘જે કહેવું છે એ આજે પણ હું ફરમાવી નથી શક્તો.’

Comments (3)

(ના ગઈ) – લિપિ ઓઝા

રોજની માફક એ આજે ના ગઈ,
સાંજની પળ સાંજ સાથે ના ગઈ.

જાણ થઈ એને ઘણાં વર્ષો પછી,
ટ્રેન ખાલી ગઈ હતી,એ ના ગઈ.

સ્વપ્નમાં ફૂલો બધાં ઊડી ગયાં,
એક કળી રહી ગઈ સવારે, ના ગઈ.

કોઈ અંગત દૂર થઈને થાય ના,
ગઈ પનોતી એમ જાણે ના ગઈ.

સ્ત્રી ખરી ને! એટલે રોકાઈ ગઈ,
‘સ્તબ્ધતા’ સાથે સ્મશાને ના ગઈ.

ભૂલકાનો ભોગ લેવાયો પછી,
તે નદી ક્યારેય કાંઠે ના ગઈ.

અંધતા સીમિત નથી આંખો સુધી,
છે કયું એ અંગ જ્યાં તે ના ગઈ!

– લિપિ ઓઝા

એક સજ્જ કવયિત્રીની સશક્ત રચના આજે મહિલા દિવસના ઉપક્રમે માણીએ…

Comments (5)

સાંત્વના – ક્લેરિસા સ્કૉટ ડેલેની (અનુ.: વિવેક મનહર ટેલર)

મારી બારી બહાર ઝાડી તરફ ખુલે છે
અને ડાળીઓ તથા આકાશથી બનેલી
એ નાનકડી જગ્યામાંથી
હું જોઉં છું કે પસાર થતી ઋતુઓ
કોમળ હરિયાળીને ગાઢા ભરાવદાર પાંદડાઓ માટે
માર્ગ પ્રશસ્ત કરતી નીરખે છે.
શરદ ઋતુનો ખરો મહિમા ત્યારે પ્રકટ થાય છે
જ્યારે સૌમ્ય તડકામાં તરબોળ
નાજુક, સોનેરી પાંદડાઓ
નિરભ્ર ભૂરા આકાશની પશ્ચાદ્ભૂ સામે
બપોરના જાદુ સામે ટકી રહે છે
અને પછી અનિચ્છાએ તૂટી જાય છે
અને શેરીને સોનાથી મઢી દેવા માટે
બધે પથરાઈ વળે છે.
પછી ઉઘાડી, ભૂખરી શાખાઓ
ડિસેમ્બરના ઠંડા આકાશની સામે
સ્વયંને ઊંચે ઊઠાવે છે
ક્યારેક ગુલાબ અને સમીસાંજના આથમતા ઓળામાં
એક જાળ ગૂંથતી તો
ક્યારેક એ ગાઢા ભૂરા આકાશ પર સવાર થતા
નૂતન શીર્ણ ચંદ્ર
અને તેજસ્વી તારા સામે,
જે ભારઝલ્લી રાત ઊતરી આવે, અથવા તારાઓ
આકાશને ભૂરકીથી ભરી દે એ પહેલાં દૃષ્ટિગોચર થવા માંડે છે.
હવાઓ આ વૃક્ષો સાથે ટકરાય છે;
વસંતનો ઠંડો, પરંતુ હળવો વરસાદ
એમને મૃદુતાથી સ્પર્શે છે;
ઉનાળાની ઝડીઓ
એમને પ્રકોપિત કરવાના
અને એમને તોડી નાંખવાના પ્રયાસો કરે છે-
પરંતુ તેઓ અડીખમ ઊભાં રહે છે.
મારી જિંદગી વિહ્વળ છે
અને એક બેચેની, ક્યારેક ક્યારેક
એક પીડા- ફરીથી એક અસ્પષ્ટ
અને ચોંકાવનાર અસંતોષ
મારા પર હાવી થઈ જાય છે.
હું આભારી છું મારા હિસ્સાના આકાશ
અને વૃક્ષો માટે, અને ઋતુઓના
બદલાતા તમાશા માટે.
આવી સુંદરતાથી હૃદય પર છવાઈ જાય છે
એક શાતા.
આ પ્રકારના શાશ્વત પરિવર્તન અને સ્થાયીતા
તમામ ઉથલપાથલમાંથી એક અર્થ ગ્રહણ કરે છે
અને રહી જાય છે કેવળ શાંતતા
જે કોઈ પીડાને જાણતી નથી.

– ક્લેરિસા સ્કૉટ ડેલેની
(અનુ.: વિવેક મનહર ટેલર)

વિકાસની કાતર વડે શહેરોએ મનુષ્યોને પ્રકૃતિ સાથે જોડતી નાળ કાપી નાંખી છે. જીવનની આપાધાપી અને ઉથલપાથલો વચ્ચે શાંતિ અને સુખ પ્રાપ્ત કરવાનો એકમેવ ઉપાય છે પ્રકૃતિ સાથેની કપાઈ ગયેલી ગર્ભનાળ સાથે પુનર્સંધાન કરવું. કુદરતની કિતાબમાં જીવનના તમામ રહસ્યો અને એનો ઉકેલ લખેલો જ છે, એને વાંચતા શીખી લે એ જ બુદ્ધત્વ પામી શકે. સોએક વર્ષ પહેલાં માત્ર ચાર જ કવિતા લખીને છવ્વીસ વર્ષની વયે આ દુનિયાને બાય-બાય કરી જનાર કવયિત્રીની એક રચના આજની ગ્લૉબલ કવિતામાં આસ્વાદીએ…

રચનાનો વિશદ આસ્વાદ માણવા અહીં ક્લિક કરશો.

Solace

My window opens out into the trees
And in that small space
Of branches and of sky
I see the seasons pass
Behold the tender green
Give way to darker heavier leaves.
The glory of the autumn comes
When steeped in mellow sunlight
The fragile, golden leaves
Against a clear blue sky
Linger in the magic of the afternoon
And then reluctantly break off
And filter down to pave
A street with gold.
Then bare, gray branches
Lift themselves against the
Cold December sky
Sometimes weaving a web
Across the rose and dusk of late sunset
Sometimes against a frail new moon
And one bright star riding
A sky of that dark, living blue
Which comes before the heaviness
Of night descends, or the stars
Have powdered the heavens.
Winds beat against these trees;
The cold, but gentle rain of spring
Touches them lightly
The summer torrents strive
To lash them into a fury
And seek to break them—
But they stand.
My life is fevered
And a restlessness at times
An agony—again a vague
And baffling discontent
Possesses me.
I am thankful for my bit of sky
And trees, and for the shifting
Pageant of the seasons.
Such beauty lays upon the heart
A quiet.
Such eternal change and permanence
Take meaning from all turmoil
And leave serenity
Which knows no pain.

– Clarissa Scott Delany

Comments

યુગલ ગીત – ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’

તમે નથી ઝાકળનાં ટીપાં
તમે અમારા દરિયા
સજની! અમે ભીતરમાં ભરિયા…

કમળફૂલની સૌરભ જેવાં
અજવાળાં પાથરિયાં
રસિયા! ભીતર તમે ઊતરિયા…

ફરફરતા મખમલી પવનમાં કેશ ઘટાઓ ફરકે
પાંપણની પરસાળે સજની! ટપટપ નીંદર ટપકે

સપનામાં સંતાઈ જઈને
મધરાતે પરહરિયા
રસિયા! કીકીમાં તરવરિયા…

કળીએ કળીએ ચાંદલિયાનું રેશમિયું જળ ઓઢ્યું
સરવરના તળિયે જઈ રસિયા! મૌન રૂપાળું પોઢ્યું

મેઘધનુની ચૂંદડી ઓઢી
અચરજ શું ઝરમરિયા
સજની! ઝાકળમાં અવતરિયા…

– ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’

મજાનું યુગલ ગીત. દરેક બંધમાં આવતા ‘રસિયા’ અને ‘સજની’ના સંબોધનને લઈને કોણ કોને સંબોધી રહ્યું છે એ તુર્ત જ સમજાય છે. પ્રેમી માટે એની પ્રેયસી ઝાકળના ટીપાં જેવી સીમિત નહીં, પણ દરિયા (તેય બહુવચનમાં, હં કે!) સમી અસીમ અનંત છે, જેને પ્રેમીએ પોતાની ભીતર સમાવ્યા છે. તો સામા પક્ષે સજની પણ રસિયાને ઠેઠ પોતાની ભીતર વસતો અનુભવે છે, અને એનું ભીતર રસિયાએ પાથરેલ સુગંધના અજવાળાંથી જ વળી રોશન થયું છે. આખું ગીત બહુ મજાનું થયું છે. બે જણ વચ્ચેનો સમ-વાદ અને એકમેકને મોટા કરવાની ચેષ્ટામાંથી પ્રણયની તીવ્રતર અનુભૂતિ જન્મે છે, જે આપણને ગીત વાંચતાવેંત સ્પર્શી જાય છે.

Comments (11)

નિર્મિશાંજલિ :૦૩: મલે નીં મલે – નિર્મિશ ઠાકર

નડીની રેલમાં ટરટું નગર મલે નીં મલે,
ફરી આ ડ્રસ્ય સ્મૃતિપટ ઉપર મલે નીં મલે.

અરે કાડવ ઠહે ટો ઉગહે એમાં બી કમર,
પછી આ માટીની ભીની અસર મલે નીં મલે.

પરિચિટોને ડઘાઈને જોઈ લેવા ડેવ,
એ કરડાં ઠોબડાં, ટ્રાંસી નજર મલે નીં મલે.

બઢા ડૂબી ગીયાં રસ્ટાઓ, બારીઓ, ભીંટો,
ટમે બી ડૂબહો પછી આ ઘર મલે નીં મલે.

ઉટરહે પૂર, પછી ફાટવાનો પ્લેગ ટરટ,
પછી કોઈને કોઈની કબર મલે નીં મલે.

ટને બી લૈ ડૂબે – એવાની આંગરી નીં પકડ,
બચી જહે ટું, ભલે હમસફર મલે નીં મલે.

વટનમાં હું મલે કે માઠું ભરી ડેઉં ‘નિમ્મેસ’?
ટને કાદવ જે મયલો, ઉમ્રભર મલે નીં મલે.

– નિર્મિશ ઠાકર

દિવંગત કવિને શબ્દસુમન અર્પવાના ઉપક્રમમાં આજે ત્રીજું અને હાલ પૂરતું આખરી સુમન. હાસ્યવ્યંગ અને પ્રતિકાવ્યો બાબતે ગુજરાતી ભાષામાં એમનો જોટો જડે એમ નથી. ગુજરાતી કવિઓને ભાગ્યે જ નસીબ થાય એવા અદકેરા કદ-કાઠીના સ્વામી નિર્મિશભાઈના વ્યંગકાવ્યો જેટલા પોંખાવા જોઈએ એટલા પોંખાયાં નહીં. કદાચ એ કારણે જ કે ગુજરાતી સાહિત્યનો હાસ્ય સાથેનો સંબંધ સદાકાળ પાણીપાતળો જ રહ્યો છે. એમાંય પ્રતિકાવ્યો તરફ તો આપણું વલણ એને ઉતરતાં ગણીને હડે-હડે કરવા જેવું જ રહ્યું છે. પ્રતિકાવ્યનું સર્જન પોતે મૂળ રચનાની ઉત્તમતા અને પ્રસિદ્ધિનો સહૃદય સ્વીકાર છે. મૂળકાવ્ય અદભુત થયું છે એટલે જ એનું પ્રતિકાવ્ય રચાયું છે. મૂળ કાવ્યની મશ્કરી કરવાનો સર્જકનો હેતુ હોતો નથી એ આપણે સહુએ સમજવા જેવું છે. આદિલ મન્સૂરીની અમર ગઝલ ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે’નો હાથ ઝાલીને કવિએ આપણને પ્યૉર હુરટી બોલીમાં ઉમદા પ્રતિકાવ્ય આપ્યું છે, એનો આનંદ લઈએ.

Comments (8)

નિર્મિશાંજલિ :૦૨: ત્રણ ટ્રાયોલેટ – નિર્મિશ ઠાકર

૧. ઇતિહાસને પાને

કેદ જેવું થઈ જશે ઇતિહાસને પાને ચડી
નામ મારું થઈ જતું યશવંત, ભૂંસી નાંખજે
ભૂતકાળે હું ન જીવું, હોય ના મારી કડી
કેદ જેવું થઈ જશે ઇતિહાસને પાને ચડી
હું ભૂલાઉં એ જ સારું! કેમ હું આવું જડી?
હોય જો અનિવાર્યતા તો પૃષ્ઠ કોરું રાખજે
કેદ જેવું થઈ જશે ઇતિહાસને પાને ચડી
નામ મારું થઈ જતું યશવંત, ભૂંસી નાંખજે

૨. રૂપાળા સહારા

બધા હાલ પૂછી લીધા મેં તમારા
મને રાહમાં જ્યાં મળી ગઈ હવાઓ
મળ્યા કલ્પનાને રૂપાળા સહારા
બધા હાલ પૂછી લીધા મેં તમારા
હતા કાફલા મ્હેકના એકધારા
હતી દૃશ્યમાં રૂપની કેં સભાઓ
બધા હાલ પૂછી લીધા મેં તમારા
મને રાહમાં જ્યાં મળી ગઈ હવાઓ

૩. તેજરેખા

સૂર્યાસ્ત તો થઈ જશે, જળમાં છતાંયે
રોકાય છે મૃદુલ બે ક્ષણ તેજરેખા.
સૌંદર્ય શું હૃદયમોહક એ વિદાયે
સૂર્યાસ્ત તો થઈ જશે, જળમાં છતાંયે
મૃત્યુ પછી ઘડીક હોઈશ હુંય પાસે,
અશ્રુ મહીં પ્રિય જરીક જ દૈશ દેખા
સૂર્યાસ્ત તો થઈ જશે, જળમાં છતાંયે
રોકાય છે મૃદુલ બે ક્ષણ તેજરેખા.

– નિર્મિશ ઠાકર

ગુજરાતી ભાષામાં ટ્રાયોલેટ લાવવાનું અને આખેઆખો સંગ્રહ આપવાનું શ્રેય કવિશ્રી નિર્મિશ ઠાકરને જાય છે. ગુજરાતી સાહિત્ય આ પ્રયાસ બદલ પણ એમને સદાકાળ યાદ રાખશે. ટ્રાયોલેટ વિશે સમજૂતિ આપતા કવિ કહે છે: “કાવ્યસ્વરૂપ ટ્રાયોલેટ એની વિશિષ્ટ પ્રાસરચનાને કારણે ધ્યાનાકર્ષક બને છે. એમાં કુલ આઠ પંક્તિઓ હોય છે. એની મુખ્ય એટલે કે પ્રથમ પંક્તિ કાવ્યમાં ત્રણ વાર આવે છે, એટલે કદાચ ‘ટ્રાયોલેટ’ નામ પડ્યું હોઈ શકે. એની પ્રથમ પંક્તિ ચોથા અને સાતમા સ્થાને પુનરાવર્તિત થાય છે, એ જ રીતે બીજી પંક્તિ આઠમા સ્થાને ફરીથી આવે છે. ટ્રાયોલેટની વિશિષ્ટ પ્રાસરચના આ રીતે મૂકી શકાય- 1. cat 2. dog 3. bat 4. cat 5. fat 6. hog 7. cat 8. dog.”

Comments (2)

નિર્મિશાંજલિ :૦૧: પુત્રને પહેલીવાર શાળાએ મૂકતી વેળા – નિર્મિશ ઠાકર

(મંદાક્રાન્તા-સૉનેટ)

ના દીવાલો, છત પણ નહીં, ઊડતું જાય આગે,
પાંખોને જે ‘બસ ચલ!’ કહે, આભલું એટલે શું?
શું છે ફૂલો? મઘમઘ થતા વાયરા એટલે શું?
ઊનો ઊનો રવિ અડકતાં ધુમ્મસો કે ભાગે?
ખીણો ભાળી તરત પડતું મેલતી ને ઝિલાતી
મેદાનોમાં, ઝલમલ નદી ખ્વાબ-શી કેમ લાગે?
– પૂછે નાનું વિહગ, કલશોરે સરી વૃક્ષ જાગે,
હું ભાળું આ અચરજભરી વારતાને વિલાતી!
છોડાવી મેં મૃદુલ કરથી આંગળી સખ્ત ઝાંપે,
જ્યાં પ્રશ્નોના નહિ, કદી નહિ, ઉત્તરો હોય સાચા!
જ્યાં ભૂંસાતી ક્ષણ ક્ષણ મહીં વિસ્મયોની જ ભાષા!
દેતો સાદો હજીય મુજને અંશ મારો જ, કાંપે.
ભીનાં પેલાં સગપણ લઉં આંખથી સહેજ લ્હોઈ,
ખોયા એણે કલરવ હવે, વૃક્ષતા મેંય ખોઈ!

– નિર્મિશ ઠાકર

(જન્મ: ૧૮ માર્ચ, ૧૯૬૦- નિધન: ૧૪ જાન્યુઆરી, ૨૦૨૪)
લયસ્તરો તરફથી કવિને ત્રણ દિવસની નિવાપાંજલિ….

હાસ્યવ્યંગના કાવ્યો, પ્રતિકાવ્યો, કેરિકેચર કાર્ટૂન્સ તથા ગનપટ હુરટીના કારણે બહુખ્યાત થયેલ નિર્મિશ ઠાકરે આપણને નોંધપાત્ર માત્રામાં ગંભીર અને ઉમદા કવિતાઓ પણ આપી છે. ફ્રેંચ કાવ્ય ટ્રાયોલેટને ગુજરાતીમાં આણનાર પણ તેઓ જ. સ્નેહરશ્મિએ જેમ હાઇકુ સંગ્રહ આપ્યા, એમ નિર્મિશભાઈએ આપણને ટ્રાયોલેટ સંગ્રહ પણ આપ્યો છે. આજે રજૂ કરીએ મંદાક્રાંતા છંદમાં લખેલ એક સૉનેટ. છંદના ચુસ્ત આગ્રહીઓ કદાચ એકાદ-બે યતિભંગ બદલ નાકનું ટેરવુંય ચડાવે અને શુદ્ધ ભાષાપ્રેમીઓને ‘ધુમ્મસો કે ભાગે’ જેવી એકાદી વાક્યરચના કદાચ કઠેય ખરી. પણ આપણે તો ભાવ પકડીએ.

વૃક્ષ પર મજાનું જીવન ગાળતું એક નાનું પંખી એના કલરવ ખોવાને આરે આવ્યું છે. કારણ? પિતાજી એને શાળામાં દાખલ કરવા લઈ જાય છે. બાપને ખબર છે કે સ્કૂલ એટલે અચરજભરી વાર્તાનું વિલયસ્થાન. સ્કૂલ એટલે એવી જગ્યા જ્યાં કોઈ પ્રશ્નોના સાચા ઉત્તર નહીં મળે, કદી નહીં મળે અને જ્યાં વિસ્મયની ભાષા ક્ષણેક્ષણે ભૂંસાતી રહેવાની છે. પણ સમાજવ્યવસ્થા સામે બાંય ચડાવવાની હિંમત ન હોવાથી ભીની આંખે બાપ ખુદ સંતાનને શાળાએ મૂકવા જાય છે.

Comments (4)

મૃત્યુ આજે મારી સન્મુખ છે – અજ્ઞાત (ઇજિપ્ત) (અનુ.: વિવેક મનહર ટેલર)

મૃત્યુ આજે મારી સન્મુખ છે
જે રીતે બિમાર માણસ સાજો થાય,
જે રીતે લાંબી પથારી બાદ બહાર જવા મળે.

મૃત્યુ આજે મારી સન્મુખ છે
જાણે કે હીરાબોળની સુગંધ,
જાણે કે હવાદાર દિવસે સઢ નીચે બેસવું.

મૃત્યુ આજે મારી સન્મુખ છે
જેમ કે કમળની સુગંધ,
જેમ કે નશાના કિનારે બેસવું.

મૃત્યુ આજે મારી સન્મુખ છે
એમ જાણે કે એક બહુખેડી કેડી,
એમ જાણે કે યુદ્ધથી ઘર પરત ફરતો માણસ.

મૃત્યુ આજે મારી સન્મુખ છે
જેમ આકાશ અનભ્ર થાય,
જેમ કે જ્યારે એક માણસને ખબર પડે કે એણે શું અવગણ્યું હતું.

મૃત્યુ આજે મારી સન્મુખ છે
એમ જેમ વરસોવરસ કેદમાં સબડ્યા પછી
ઘર જોવા તરસતો માણસ.

– અજ્ઞાત (ઇજિપ્શન)
અંગ્રેજી અનુ.: મિરિઅમ લિચથાઇમ
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)

આજે એક એવી કવિતાની વાત કરવી છે જેની અને આપની વચ્ચે એક તરફ ચાર હજાર વરસનું અંતર છે અને બીજી તરફ ચાર હજાર કિલોમીટરનું… ઇજિપ્તના કોઈ ખૂણામાં વસતા કોઈક માણસે ૪૦૦૦ વર્ષ પહેલાં લખેલી આ કવિતા આજે પણ એવી તરોતાજા લાગે છે, જાણે આજે સવારે જ ન લખાઈ હોય! ચાર હજાર વર્ષ પહેલાંની આ રચના આડકતરી રીતે આપણને એ પણ સમજાવે છે કે મનુષ્યનો સ્વભાવ શરૂથી જ ચિંતનાત્મક રહ્યો છે. જીવન અને મૃત્યુ વિશે મનુષ્ય અનાદિકાળથી વિચારતો આવ્યો છે.

રચનાનો વિશદ આસ્વાદ આપ અહીં માણી શકશો.

Death is before me today

Death is before me today
Like a sick man’s recovery,
Like going outdoors after confinement.

Death is before me today
Like the fragrance of myrrh,
Like sitting under sail on breeze day.

Death is before me today
Like the fragrance of lotus.
Like sitting on the shore of drunkenness.

Death is before me today
Like a well-trodden way,
Like a man’s coming home from warfare.

Death is before me today
Like the clearing of the sky.
As when a man discovers what he ignored.

Death is before me today
Like a man’s longing to see his home
When he has spent many years in captivity.

– Miriam Lichtheim
(Translation from Egyptian to English)

Comments

ગોઝારી વાવ – મનીષા જોષી

હાં, હાં, એ માણસ જીવે છે હજી, એના ઘ૨માં, સુખેથી.
પણ મરી ગયો છે એ મારા માટે.
અને એટલે જ હું રોજ એના નવા નવા
મૃત્યુની કલ્પના કરું છું.
રસ્તા પર ચાલતા ટ્રકનાં પૈડાં એના પર ફરી વળે છે
અને હું બાજુમાં શાંત રાહદારીની જેમ પસાર થતી હોઉં છું.
તો ક્યારેક એની લાશ રેલવેના પાટા વચ્ચે મળી આવે છે
અને હું એના મૃતદેહ ૫૨થી પસાર થતી ટ્રેનમાં
મુસાફરી કરતી હોઉં છું.
ક્યારેક હું મારી સાડીના પાલવને ગાંઠ મારતી હોઉં છું
અને એના ગળામાં ફાંસો હોય છે.
હું મંદિરમાં દીવા પ્રગટાવતી હોઉં છું
અને એનું આખું શરીર સળગતું હોય છે.
ક્યારેક એ કોઈ ગોઝારી વાવના તળિયે પડ્યો હોય છે
અને હું એ વાવમાંથી પાણી ભરતી હોઉં છું.

રોજ રાત્રે યમરાજ આવે છે
પેલા કાળમુખા પાડા પર બેસીને.
કરગરે છે, એને લઈ જવા માટે,
પણ હું એને રજા નથી આપતી.

– મનીષા જોષી

એકદમ સરળ અને સહજસાધ્ય ભાષામાં કવયિત્રીએ નારીવેદનાની પરાકાષ્ઠા અભૂતપૂર્વ રીતે આલેખી છે. કવિતા સ્ત્રી સર્જકે લખી છે, એટલે નારીવેદના શબ્દ વાપર્યો નથી, પણ પુરુષોના શબ્દકોશમાં આ પ્રકારની લાગણી ભાગ્યે જ છપાયેલી જોવા મળતી હોવાથી એ સમાસ સહેતુક પ્રયોજ્યો છે. બે જણ અલગ થઈ ગયા છે અને બંને પોતપોતાના ઘરમાં જીવે છે. પુરુષ એના ઘરમાં સુખેથી જીવે છે એ વાતને સુખેથી શબ્દને મૂલ વાક્યથી અલગ તારવીને સર્જકે સાયાસ અધોરેખિત કર્યો છે. પણ હવે એ પુરુષ નાયિકા માટે મૃત્યુ પામ્યો છે અને નાયિકા રોજેરોજ આ પુરુષના અલગ-અલગ પ્રકારના મૃત્યુની અને એ મૃત્યુ પરત્વેની પોતાની લાગણીશૂન્યતાની કલ્પનાઓ કરતી રહે છે. પુરુષ છેડો ફાડી લે પછી એ ‘સુખેથી’ રહેવા માંડે છે, પણ સ્ત્રી છેડો ફાડીનેય છેડો ફાડી શકતી નથી. પુરુષના નિતનવીન મૃત્યુઓની રોજેરોજ કલ્પના કરવી પડે છે, કારણ એ પુરુષને અને એના અત્યાચારોને આ જનમમાં કદાચ એક પળ માટેય ભૂલી શકે એમ નથી. કવિતાના ઉત્તરાર્ધમાં સાવિત્રીનું પ્રતિક પ્રયોજીને સર્જકે ઉમદા કવિતા સિદ્ધ કરી બતાવી છે. સાવિત્રી યમરાજ પાસેથી સત્યવાનને પરત લઈ આવી હતી, એથી બિલકુલ વિપરીત આધુનિક યુગની આ સાવિત્રી યમરાજને પુરુષને લઈ જવાની રજા આપતી નથી. યમરાજ પણ પુરુષ જ છે અને એમના માટે ‘કરગરવું’ ક્રિયાપદ વાપરીને કવયિત્રીએ કવિતાને વધુ ધાર કાઢી છે. પુરુષનું મૃત્યુ હકીકતમાં થઈ જાય તો રોજેરોજ એના મૃત્યુની કલ્પના કરવાથી બદલો લીધો હોવાનો જે સંતોષ મળે છે એનુંય મૃત્યુ ન થઈ જાય?

Comments (18)

નાનકડા કાચબાની કથની – મકરન્દ દવે

ચાલ તારી ચાલજે તું,
ચાલ તારી ચાલજે તું
ચાલ તારી—
કેટલું માએ કહ્યું’તું? હાય, સારી
વાત કાં ભૂલી ગયો? આજે સવારે
જયાં નદીમાંથી જરા કરવા ચડી આવ્યો કિનારે
દૂર સસલું કૂદતું, જોઈ જરા
ઠેકવાનું મન થયુ, ઠેકી લીધું થોડું, ત્વરા
આવી ગઈ પગમાં, જરા ઊંચે નિહાળી
જોઉં તો બગલું ઊડે! કેવુ ઊડે! જાગી સફાળી
પાંખ મારે અંગ ત્યાં તો મા તણી
આવી શિખામણ યાદ, મારાં ઘર ભણી
પગલાં પડે ત્યાં પાંખ ફૂટે
પાંખ ફૂટે ત્યાં વળી પગમાં પડેલ કમાન છૂટે.
આ બપેાર થવા આવ્યો અને
કૂદકો મારું, પડું ઊંધો, તરફડું, ચીસ નાખું, રેતમાં સળગું
શેને હવે વળગું?
કોઈ આવી ઊંચકી લો; ઊંચકો કોઈ મને!

– મકરન્દ દવે

બાળકાવ્ય ગણી શકાય એવા સરળ નાનકડા કાવ્યમાં સંદેશો તો સ્ફટિક-સ્પષ્ટ જ છે, પણ રજૂઆતની શૈલી વધુ હૃદયંગમ થઈ છે. પહેલી નજરે અછાંદસ ભાસતી આ રચના હકીકતમાં છાંદસ કવિતા છે. કવિએ ખંડ હરિગીત (ગાલગાગા ગાલગાગા) પ્રયોજ્યો છે. ગઝલપ્રેમીઓ રમલ છંદ મુજબ પણ એનું પઠન કરી શકે. મોટેથી લયબદ્ધ પઠન કરશો તો વધુ મજા આવશે.

Comments

કુંજડી સૂતી – વિનોદ જોશી

કુંજડી સૂતી સોનાની ડોક પાથરી
રેશમી ટહુકાની ઓઢી રજાઈ.

માથે ઝળૂંબે એક ઝાડવું
ઝાડ એક વડલાનું ઝાડ,
અડધો ઓછાયો એના ઓરતા
અડધામાં આંસુની વાડ;

પાંદડું પડખું ફરે ને હલે ડાળખી
ડાળખીના અણસારે ઝૂલે વડવાઈ.

કાચી સોડમ કૂણો વાયરો
વાયરામાં તરતી મધરાત,
ઓચિંતાં ફૂલ એકસામટાં
ફાટફાટ મહેકયાં રળિયાત;

આભનો તાકો તૂટયો ને ખર્યું માવઠું
માવઠામાં ધોધમાર વરસી શરણાઈ.

– વિનોદ જોશી

વસંતપંચમી અને વેલેન્ટાઇન પર્વના પ્રેમભર્યાં વધામણાં…

રેશમી ટહુકાની સોનેરી રજાઈ જેવું જ સુંવાળું ગીત. ગીતના કેન્દ્રસ્થાને કુંજડી છે, પણ એને નાયિકાનું પ્રતીક પણ લેખી શકાય. જાત પાથરી દઈશ… હૈયું પાથરી દીધું વિ. રુઢિપ્રયોગો તો આપણે વ્યવહારમાં સાંભળતા આવ્યા છીએ પણ અહીં ડોક પાથરવાની વાત છે. સોનાની ડોક પાથરવાની વાત છે. વાત તો પ્રાણ પાથરવાની જ છે પણ એક તો પક્ષીના પ્રતીકના નિમિત્તે ડોક વધુ સુસંગત લાગે છે અને બીજું, વાત પ્રતીક્ષાની હોવાથી પણ એ વધુ તર્કસંગત લાગે છે. વડના ઝાડની નીચે કુંજડી કુંજના વિરહમાં સૂતી હોય એ દૃશ્ય કવિએ અદભુત ઉપસાવ્યું છે. તડકો હોય ત્યારે છાંયો પડે અને છાંયડો એટલે ઠંડક. પણ અહીં ઝાડનો ઓછાયો અડધો કુંજડીના અરમાનોથી તો અડધો એના આંસુઓથી રચાયો હોવાથી આ છાંયો તડકાથી પણ વધારે દાહક લાગે છે. ગીતકાવ્ય ઊર્મિપ્રવણ કાવ્યપ્રકાર છે અને અહીં સ્ત્રૈણભાવ કેન્દ્રમાં હોવાથી પ્રતીક પણ જેટલા નજાકતભર્યા હોય એટલું ગીત વધુ હૃદ્ય બને. પાંદડું પડખું ફરે એ કલ્પન જ કેટલું ઋજુ છે! પવનથી પાંદડું હલે એમાં કવિને એનું પડખું ફરતું દેખાય છે અને એટલા સળવળાટ માત્રથી ડાળખી હલે છે ને એના અણસારે વડવાઈ ઝૂલે છે… આખી પ્રક્રિયાના એકડા કવિએ ઊંધેથી ઘૂંટ્યા હોવાથી અનુભૂતિ વધુ હૃદયંગમ બને છે. કાચા-કૂણા સંયોગશૃંગારથી છલકાતી પ્રકૃતિથી પુરુષ ક્યાં સુધી અળગો રહી શકે આખરે? વણમોસમે પણ છાતી ફાડીને વરસવા મજબૂર કરી દે એ જ પ્રેમની સાચી તાકાત.

Comments (2)

કવિનું મૃત્યુ – હસમુખ પાઠક

ચોકની વચ્ચે પડેલા
એક ઉંદરના મરેલા
દેહ પર તીણા ઉઝરડા ન્હોરના
થીજી રહ્યા આજ ઠંડા પહોરના.
જોઉં છું હું, જોઉં છું હું.
જોઉં છું – જોતો નથી.
મારી નજર તો સાવ ખાલી,
આંખ જાણે કાચનો કટકો,
અને હું કાળજે કંપું નહીં
ને આ હૃદયમાં ક્યાંય ના ખટકો!
હવે તો બસ કરું.
જંપું અહીં.

– હસમુખ પાઠક

સારી કવિતા એ જે ઓછામાં ઓછા શબ્દોમાં પોતાની વાત ધારદાર રીતે રજૂ કરે અને જેમાંથી એકેય શબ્દ આમતેમ કે વધઘટ ન શકાય. આ રચના જુઓ. ‘કવિનું મૃત્યુ’ શીર્ષક ઘણું કહી જાય છે અને ગાડીના સીટ-બેલ્ટની જેમ આપણને કવિતાની બમ્પી-રાઇડ માટે તૈયાર પણ કરે છે. વહેલી સવારની ઠંડકમાં એક ઉંદર કોઈક સાથેની ઝપાઝપી બાદ મરણ પામ્યો હશે તે ચોકમાં એનું શબ હજીય પડી રહ્યું છે. કોઈએ એ શબ હટાવવાની તસ્દી લીધી નથી. કવિ પણ ઠંડા પહોરે ઘટેલી આ ઘટનાને ઠંડા કલેજે જોઈ રહ્યા છે. ‘જોઉં છું હું’ની ત્રિરુક્તિ ઘટનાને ‘કેવળ’ સાક્ષીભાવે જોવાની ક્રિયાને દૃઢીભૂત-અધોરેખિત કરે છે, પણ ત્રીજીવાર ‘જોઉં છું’ની વાત કરતી વખતે કવિએ હોંશિયારીપૂર્વક ‘હું’ને તિલાંજલિ આપી દીધી છે એ જોયું? બનેલી બીના વિશે કશું જ કર્યા વિના કેવળ મૂક દર્શક બનીને જોયા કરવાની ક્રિયા એ હદે લંબાય છે કે કર્તાનો લોપ થઈ જાય છે. અને પછી તો આ નપુંસક જોવું પણ લોપ પામે છે, જ્યારે કવિ કહે છે – ‘જોતો નથી.’ સામે પડેલ ઉંદરનો મૃતદેહ સામે જ મંડાયેલ હોવા છતાં નજર સાવ ખાલી થઈ જાય છે. હૃદયમાં કોઈ કંપ કે ખટકો સુદ્ધાં અનુભવાતો નથી. કવિ જ્યાં બસ કરું કહીને જંપવાની વાત કરે છે, ત્યાંથી આપણો અજંપો ન પ્રારંભાય તો સમજવું કે આ મૃત્યુ એ કેવળ કવિનું મૃત્યુ નથી, આપણે પણ મરી જ ચૂક્યા છીએ. હૈયું ફાટી પડવું જોઈએ એવી અનેક (દુર્)ઘટનાઓ આજે સરાજાહેર થતી રહે છે, પણ ઘટનાસ્થળે ઉપસ્થિત લોકો સક્રિય બનીને દુર્ઘટના નિવારવામાં મદદરૂપ થવાના સ્થાને રીલ ઉતારીને ફોરવર્ડ કરવામાં મચ્યા રહે છે… આ મૃત્યુ હકીકતમાં કવિનું નહીં, આખેઆખા સમાજનું મૃત્યુ છે.

આ રચના અછાંદસ નથી, હરિગીતમાં લખાયેલ છે. એનું મોટેથી પઠન કરશો તો વધુ મજા આવશે.

Comments (5)

(વિસામો આપવામાં) – લિપિ ઓઝા

દયાને આવકારો આપવામાં,
ગુમાવ્યું ઘર વિસામો આપવામાં.

પછી જો હાલ સામો એ પૂછે તો?
હતું જોખમ દિલાસો આપવામાં.

કદી લાગે છે કે મરવુંય પડશે,
‘જીવું છું’નો પુરાવો આપવામાં.

પછીથી આંખ આરોપીની વાંચી,
ઉતાવળ થઈ ચુકાદો આપવામાં.

મળ્યો સંતોષ જનસેવા કર્યાનો,
વિનામૂલ્યે તમાશો આપવામાં.

હલેસા એની પાસે રાખશે બસ,
નથી વાંધો તરાપો આપવામાં.

– લિપિ ઓઝા

સંઘેડાઉતાર રચના. દરેક શેર મનનીય.

Comments (4)

આંખો ભરાઈ જાશે – ‘અગન’ રાજ્યગુરુ

કોને ખબર છે ક્યારે તારી જુદાઈ જાશે,
લાગે છે વૃક્ષનાં સૌ પર્ણો ગણાઈ જાશે.

એવા વિચારે મારા છે શ્વાસ શ્વાસ રણઝણ,
એ આવશે ને પળમાં સઘળે છવાઈ જાશે.

એની નજર પડે આ સંયમ ઉપર તો સારું,
ઝાઝું હસાવશે તો શાયદ રડાઈ જાશે.

છે ભાગ્ય પર ભરોસો કે ચાલવા જશું તો,
રસ્તા વચાળે ઊંચી ભીંતો ચણાઈ જશે.

તો પણ મને છે આશા કાગળની નાવ પાસે,
જાણું છું મેઘ વધતાં હમણાં તણાઈ જશે.

તારા વિરહની પીડા એવી હદે વધી છે,
કે બોલવા જશું તો ગઝલો ગવાઈ જાશે.

મારા જીવન વિશે કૈં પૂછો નહીં તો સારું,
બાકી ‘અગન’ તમારી આંખો ભરાઈ જાશે.

– ‘અગન’ રાજ્યગુરુ

લયસ્તરો પર કવિના બીજા સંગ્રહ ‘તમારી રાહમાં’નું સહૃદય સ્વાગત. સંગ્રહમાંથી એક સરસ મજાની ગઝલ આજે આપ સહુ મિત્રો માટે…

‘(S)he loves me, (s)he loves me not’ કહીને ફૂલની પાંખડીઓ એક પછી એક તોડતાં જઈ પ્રિયજનની પ્રતીક્ષા કરતા પ્રેમીઓનો આપણને અનુભવ છે, પણ કવિતાની ખરી મજા ત્યારે છે જ્યારે આ નાનકડી ચેષ્ટા અતિશયોક્તિ અલંકાર બનીને વૃક્ષના તમામ પર્ણો ગણી લેવા સુધી વિસ્તરે. આખેઆખી ગઝલ જ સ-રસ થઈ છે, પણ લગભગ બધા જ શેર સહજ-સાધ્ય હોવાથી ગઝલને એના ભાવકોની મહેફિલમાં એમ જ રમતી મૂકવામાં વધુ મજા છે…

Comments (4)

હીંચકો, કૉફી અને હું – તુષાર શુક્લ

નવરાશ જ નવરાશ છે.
કૉફી સંગે ઝૂલવું, જમવું, ઝોકું ખાઈ લેવું,
પુનઃ કૉફી સંગે ઝૂલવું.
આખા ઘરમાં આ ગેલેરી ગમતો પ્રદેશ છે.
આમ ઘરમાં ને આમ બ્હાર.
ઓરડામાં જ રહેવાના સમયનું આકાશ સાથે અનુસંધાન રચે છે ગેલેરી.
ગમે છે મને અહીં.

અત્યારે તો બપોર છે.
પણ તડકે સારું લાગે છે.
વિચાર કરું છું કે
ગ્રીષ્મના આવા મધ્યાહ્ને આમ બેસાય કે?
કમાલ છે ને!
હું,
ઝૂલો,
ગેલેરી,
ઘડિયાળમાં સમય પણ એ જ,
ને આ સૂરજ મહાશય પણ એ જ હશે;
માત્ર કેલેન્ડરમાં મહિનો જૂદો,
ઋતુ જૂદી.
ને કેવું બધું બદલાઇ જાય છે!
હશે,
હાલ તો બેસાય છે તો બેસવું
તડકાનો નાનેરો ટુકડો ચગળું બેઠા બેઠા
કૉફી આવે ત્યાં સુધી.

– તુષાર શુક્લ

જરૂરી નથી કે અઘરા અઘરા શબ્દો અને વજનદાર પ્રતીકો વાપરીએ તો જ સારી કવિતા બને. સારી કવિતા તો ફકત લખાય છે દિલની જુબાનમાં. શહેરોએ વિકાસની કાતર વડે મનુષ્યોને પ્રકૃતિ સાથે જોડતી નાળ કાપી નાંખી છે. સિમેન્ટ-કૉંક્રિટના જંગલોની વચ્ચે ગેલેરી જ એક એવી ચીજ છે, જે કંઈક અંશે તો કંઈક અંશે પણ પ્રકૃતિ સાથે આપણું પુનઃસંધાન કરી આપે છે… જો કે જેમની અંદર થોડી સંવેદના બચી ગઈ છે, એવા લોકોના ઘરમાં જ ગેલેરી કપડાં સૂકવવા સિવાયના કામમાં પણ વપરાય છે. મકાનની ગેલેરીમાં મૂકેલા હીંચકા પર બેસીને એક કપ કૉફીની પ્રતીક્ષા શું કહી રહી છે એ સાંભળવા જેવું છે…. ગેલેરીમાં હીંચકે બેસી ઝૂલવું, કૉફી પીવું અને ઝોકું સુદ્ધાં ખાઈ લેવું કથકની મનગમતી પ્રવૃત્તિ છે, કારણ કે ગેલેરી જ આકાશ સાથેનું અને એ મિષે કુદરત સાથે તાદાત્મ્ય સાધવામાં નિમિત્ત બને છે. પણ કથકના વિચાર કેવળ હીંચકો, કૉફીઅને જાત પૂરતા સીમિત ન રહેતા ઋતુચક્ર સુધી પણ વિસ્તરે છે. બની શકે કે શિયાળાની બપોરે જે ગેલેરીમાં બેસી શકાય છે, એ જ ગેલેરીમાં ભરઉનાળે ન પણ બેસાય. બનવાજોગ છે, પણ ખરી કવિતા અત્યારે જે ક્ષણ સાંપડી છે એને પૂર્ણપણે જીવી લેવામાં છે. Carpe Diem નો નાદ સંભળાય છે?!

Comments (4)

ઘર : ૦૨ : નવું – હસમુખ મઢીવાળા

(શિખરિણી)

નવા બંધાવેલા ઘર મહીં અમે દાખલ થયાં
અમોને લાગ્યું કે ત્યજી દઈ અમે એક તટને
બીજે કાંઠે પહોંચ્યા કઠિન પટને પાર કરીને
પરંતુ જૂનાનાં સ્મરણ પણ ક્યાં વિસ્તૃત થતાં?
હતો મોટો વાડો, રમણીય વળી આંગણ હતું,
ફુલોના ગુચ્છાથી મઘમઘ થતો બાગ પણ ત્યાં
હતો, ને બંધાઈ કંઈ વરસની ગાઢ પ્રીતથી
પુરાણા બંધોની હૂંફ તણીય ત્યાં સંગત હતી,
હવે છોડી આવ્યા જનકતણું એ ગ્રામીણ ઘર
અને આવી પહોંચ્યા નગરભૂમિના ભવ્ય ઘરમાં,
થવા માંડ્યું તેમાં સ્થગિત બધું પાછું પ્રવહિત,
નવી દષ્ટિ લાધી, નવીન વળી દશ્યો પ્રકટતાં.
અને લાગે છે કે જલકણી મટી વાદળ થયાં
નવા બંધાયેલા ઘર મહીં અમે દાખલ થયા.

– હસમુખ મઢીવાળા

‘ઘર’ સોનેટદ્વયમાંથી ગઈકાલે આપણે ‘જૂનું’ ઘર જોયું. આજે જોઈએ ‘નવું’ ઘર. ગામના જૂના અને શહેરના નવા ઘર વચ્ચેનો કઠિન પટ પાર કરીને કવિ જાણે કે એક તટ પરથી બીજા તટે પહોંચ્યા. શરીર તો નવા ઘરમાં પ્રવેશી રહ્યું છે પણ જૂના ઘરનાં સ્મરણો વિગત થતાં નથી. જે હોય તે, મૂળને વળગીને બેસી રહે એ વૃક્ષ વિકાસ ન પામી શકે. વિકસવા માટે મૂળ તો છોડવાં જ પડે. સમય સાથે નવું ઘર થાળે પડવા માંડે છે. સ્થગિત જિંદગી ફરી પ્રવાહી સમી વહેવા માંડી. અને નૂતન જીવનદૃષ્ટિ પણ લાધે છે. જળબુંદ મટીને જાણે કે વાદળમાં નવા ઘરમાં આવેલ પરિવાર પરિવર્તિત થયેલ અનુભવાય છે. મતલબ, ખાસો વિકાસ થયો છે. ગઈકાલના ‘સૅન્ડવિચ’ સૉનેટની જેમ જ આ સૉનેટમાં પણ પહેલી અને આખરી પંક્તિ કવિએ એકસમાન રાખી છે. ઘર વિશેનું આ સૉનેટ વાંચીએ ત્યારે બાલમુકુન્દ દવેનું અમર સૉનેટ ‘જૂનું ઘર ખાલી કરતાં’ પણ યાદ આવ્યા વિના નહીં રહે.

Comments (4)

ઘર : ૦૧ : જૂનું – હસમુખ મઢીવાળા

(શિખરિણી)

ગમે તેવું તોયે ઘર જનકનું સ્વર્ગ સરખું
અહીં આ ખૂણામાં જનમ મુજ મીઠી હૂંફ ભરી
થયો બાની કૂખે, અહીં જ કર્યું પહેલું બચબચ,
બિછાનુંયે ભીનું અહીં જ કર્યું’તું, ને ઘુંટણીયું
ભર્યું’તું ને માંડ્યાં ડગ પણ અહીંથી જ પ્રથમ;
અને શાળામાં જૈ જીવન તણી બારાખડીય તે
અહીંથી ઘૂંટી’તી, અહીં જ રહી મેં મુક્ત મનથી
રચ્યું’તું ભેરુનું દળ પણ હૂંફાળું, અહીંથી જ
પળ્યો’તો વિશ્વાસે સડક પર, ને હિમ્મત ધરી
દીધું’તું મેં સ્થાપી લઘુક પણ સામ્રાજ્ય અદકું,
હવે શ્વાસે શ્વાસે શ્વસી રહું છું મારું જ ઘર, ને
શ્વસું તેમાં પાછો ગત સમય કેરો પરિમલ,
અને સિદ્ધિઓ સૌ સ્મરી સ્મરી હું આકંઠ હરખું
ગમે તેવું તોયે જનકઘર વૈકુંઠ સરખું.

– હસમુખ મઢીવાળા

પિતાનું ઘર ગમે તેવું હોય, એ સ્વર્ગ સમાન જ હોવાનું. ‘ગમે તેવું’ને બંને અર્થમાં લઈ શકાય, ખરું ને? જે ઘર હવે ‘જૂનું’ થઈ ચૂક્યું છે એ ઘરમાં પોતાના જન્મ અને પ્રથમ ધાવણથી લઈને જીવનની બારાખડી શીખવા, મિત્રમંડળ બનાવીને દુનિયાદારીમાં પ્રવેશવા સુધીની તમામ વાતોનું કવિ અત્રે સ્મરણ કરે છે. કવિએ જણાવ્યું નથી, પણ આજે કદાચ માતા-પિતા હયાત નથી એટલે ગત સમયની સુવાસ અને સૌ સિદ્ધિઓને સ્મરી-સ્મરીને કવિ આકંઠ હરખે છે. સૉનેટની પ્રથમ અને છેલ્લી પંક્તિઓ લગભગ એકસરખી હોવાથી કવિ આ પ્રકારને એપોતાની રચનાઓને ‘સૅન્ડવિચ સૉનેટ’ તરીકે ઓળખાવતા હતા. આવતીકાલે આ સૉનેટદ્વયમાંનું બીજું સૉનેટ માણીશું.

Comments (4)

જાગવું – પારુલ ખખ્ખર

“આપણામાંથી કો’ક તો જાગે” એમ બોલીને ગામના મરદ હેય ને લાંબા પગ કરીને, તકિયે ટેકા દઈને હુકા ગડગડાવે;
“કો’ક તો જાગો, કો’ક તો જાગો, જુગ જુનેરી નિંદરા ત્યાગો” એમ બોલીને ગામની બાયું જાહલ ડેલા ખટખટાવે,

જાગવું ઝોલાં ખાય રે તંયે જાગવું ઝોલાં ખાય

મર્યને મલક જાય ખાડામાં
મર્યને મૂડી જાય ભાડામાં
મર્યને જુવાન જાય ધાડામાં
બાપદાદાના સોનલા ખેતર ભાગિયા વાવી ખાય ને ભલે રોઝડા ખૂંદી ખાય, દાગીના ગીરવે મૂકી ઘરના મોભી મૂછના પૂળા ચમચમાવે

જાગવું ઠેબાં ખાય રે તંયે જાગવું ઠેબાં ખાય

ચેતજો ખાલી નામ છે મોટાં
ચોફરતે ચળકાટ છે ખોટાં
થીર રહે ના ગોળિયા લોટા
કાંખમાં ઘાલી ઘોડિયામાં લઈ જાય, રૂપાળાં હાલાં-વાલાં ગાય ને પછી સપના હારે ઘેનની ગોળી પાઈને વાંહા થપથપાવે.

જાગવું પોઢી જાય રે તંયે જાગવું પોઢી જાય

નપાણીયો આ રોગ છે છાનો
ખૂબ જગાડ્યો મોટડો નાનો
તોય ચડ્યો ના વીરને પાનો
દુંટીયેથી હુંકાર કરીને, ફેણચડ્યો ફુત્કાર કરીને, ડણકું દેતો દોટ મૂકીને કોઈ ન આવ્યો સાત પાતાળી ધરતીને જે ખળભળાવે

જાગવું ખોટી થાય રે તંયે જાગવું ખોટી થાય

હાય હવે તો એક જ આરો
ઘૂમટામાંથી થાય હોંકારો
ગઢમાં છો ને થાય દેકારો
દાંતીયા મેલી, આભલા મેલી, કાજળ-ચૂડી- ચાંદલા મેલી નમણી નાગરવેલ્ય યુગોથી રામ થયેલો પંડ્યનો દીવો ઝગમગાવે

જાગવું બેઠું થાય રે તંયે જાગવું બેઠું થાય

થઈ ન એકે પળ રે ખોટી
તેજ કર્યા હથિયાર, હથોટી
એકલપંડે કોટિ કોટિ
ગામની બાયું રણશીંગા લઈ, તીર પોઢેલા મગરમચ્છા, કૂઈ પોઢેલા દેડકબચ્ચા સૌના બહેરા કાનના પડળ ધણધણાવે

જાગવું જાગી જાય રે તંયે જાગવું જાગી જાય

-પારુલ ખખ્ખર

*’આપણામાંથી કોક તો જાગે’ પંક્તિ : વેણીભાઈ પુરોહિત

લયસ્તરો પર આ સપ્તાહાંત જાગૃતિકાવ્યોને સમર્પિત છે. પહેલાં આપણે મનોહર ત્રિવેદીની એક ગઝલ માણી. ગઈકાલે વેણીભાઈનું એક ગીત ‘કોક તો જાગે’ માણ્યું. ત્રણ અલગ-અલગ પેઢીના કવિઓ પાસેથી એક જ વિષય પર અલગ-અલગ રચનાઓ આપણને સાંપડે છે. વેણીભાઈના ગીતની નાનકડી ધ્રુવપંક્તિનો હાથ ઝાલીને કવયિત્રી એમના ગીત જેવું જ મસમોટું ગીત આપણને આપે છે. વેણીભાઈએ અનિયત પંક્તિસંખ્યાવાળા દરેક બંધના પ્રારંભે ચુસ્ત પ્રાસનિયોજના વાળી ત્રણ-ત્રણ ટૂંકી પંક્તિઓની ગૂંથણી વડે રચનાને દ્રુત ગતિ આપી હતી, એની સામે આ રચના ચુસ્ત સંરચના ધરાવે છે. દરેક બંધના પ્રરાંભે ચુસ્ત પ્રાસવાળી ત્રણ ટૂંકી પંક્તિઓ, સાથે લાંબીલચ્ચ પૂરક પંક્તિ અને છેવાડે નજીવા ફેરફારવાળું ધ્રુવપદ – નિયત આરોહ-અવરોહને લઈને ગીત વધુ આસ્વાદ્ય બન્યું છે. વેણીભાઈ આપણામાંથી કોક તો જાગેની આહલેક જગાવીને તું જગ્યો છે તો તું જ આગળ વધ એમ આહ્વાન આપે છે, પણ હવેનો જમાનો બદલાયો છે. કવયિત્રી જુએ છે કે આ કહેવાતા મરદમૂંછાળાઓમાંના કોઈ કદી જાગવાના નથી. છેવટે એક જ આરો બચે છે ને તે એ કે ઘુંઘટ પાછળ પોતાના અસ્તિત્ત્વને લોપીને જીવી રહેલી સ્ત્રીઓ મરદ બની, આગળ આવે. આ વિના ‘જાગવું’ કદી જાગનાર નથી.

Comments (7)

આપણામાંથી કોક તો જાગે – વેણીભાઈ પુરોહિત

આપણામાંથી કોક તો જાગે-
કોક તો જાગે!
કોક તો જાગે આપણામાંથી!

હાય જમાને
ઢેઢફજેતી ઢીંચતાં ઢીંચી,
ઘેનસમંદર ઘૂઘવે-
એનાં ઘોર ઊંડાણો
કોક તો તાગે-
આપણામાંથી કોક તો જાગે!

હાય જમાને
ઝેરને પીધાં વેરને પીધાં
આધીનનાં અંધેરને પીધાં
કૈંક કડાયાં કેરનાં પીધાં
આજ જમાનો અંતરાશે
એક ઘૂંટડો માગે-
સાચ-ખમીરનો ઘૂંટડો માગે:
આપણામાંથી કોક તો જાગે!

બાપદાદાની બાંધેલ ડેલી
એક ફળીબંધ હોય હવેલી
ગામની ચંત્યા ગોંદરે મેલી
એ…ય નિરાંતે લીમડા હેઠે
ઢોલિયા ઢાળી-
સહુ સૂતાં હોય એમ કાં લાગે?
આપણામાંથી કોક તો જાગે!

સોડ તાણી સહુ આપણે સૂતાં
આપ ઓશિકે આપણાં જૂતાં
ઘોર અંધારાં આભથી ચૂતાં-
ઘોર અંધારી રાત જેવી
ઘનઘોર તવારીખ સોરવા લાગે-
આપણામાંથી કોક તો જાગે !

આમથી આવે ક્રોડ કોલાહલ
તેમથી વ્હેતાં લોહી છલોછલ
તોય ઊભાં જે માનવી મોસલ-
આપરખાં, વગડાઉ ને એવાં
ધ્યાનબ્હેરાંનાં લમણાંમાં
મર લાઠિયું વાગે !
આપણામાંથી કોક તો જાગે!

એક દિ’ એવી સાંજ પડી’તી,
લોક-કલેજે ઝાંઝ અડી’તી,
શબ જેવી વચમાં જ પડી’તી-
એ જ ગુલામી,
એ જ ગોઝારી,
મૂરછા છાંડી મ્હોરવા માગે!
આપણામાંથી કોક તો જાગે!

કોઈ જાગે કે કોઈ ના જાગે
કોઈ શું જાગે?
તું જ જાગ્યો તો તું જ જા આગે-
આપણામાંથી તું જ જા આગે…!

– વેણીભાઈ પુરોહિત

ગઈકાલે આપણે જાગવા વિશે એક ગઝલ જોઈ. આજે જોઈએ જાગવા માટેની હાકલ દેતું એક ગીત. વળી, આજે તો પ્રજાસત્તાક દિન પણ છે. એટલે આ ગીત માટે આજના દિવસથી વધુ ઉપયુક્ત સમય તો બીજો કયો હોઈ શકે? જમાનાની ફિતરત પહેલાં પણ આ જ હતી અને આજે પણ આ જ છે. નિષ્ક્રિય થઈ રાહ જુઓ અને આશા રાખો કે કોઈક ભડવીર તો આળસ ખંખેરીને જાગશે, આગળ આવશે અને ધાર્યાં કામ પૂરાં કરશે. આમ તો ગીતકવિતા ઊર્મિપ્રવણ કાવ્યપ્રકાર હોવાથી એમાં લાઘવ અપેક્ષિત હોય, પણ કવિહૃદયનો ઉકળાટ ટૂંકામાં પતે એવો નથી. આખરે આખી વાતનો નિચોડ તો એ જ છે કે કોઈ જાગે કે ન જાગે, તું જાગી ગયો છે તો તું જ આગળ વધ. બીજાની રાહ જોવામાંને જોવામાં દુનિયા અટકી ગઈ છે. આમ તો ચુસ્ત પ્રાસવાળી ત્રણ ટૂંકી પંક્તિઓની દ્રુત ગતિ અને પછી બે કે ત્રણ ટુકડામાં વિભાજિત પૂરકપંક્તિની વિલંબિત ગતિ એવી સંરચના કવિએ દરેક બંધ માટે સુનિશ્ચિત કરી છે, પણ પહેલો બંધ આ નિયોજનાને અનુસરતો નથી, ગીતકવિતા કવિને સ્વરૂપ બાબતે જે આઝાદી આપે છે, એનો આ રચના પરથી ખ્યાલ આવે છે.

Comments (3)

જાગે છે – મનોહર ત્રિવેદી

ઊંઘ ખેંચું ને રામ જાગે છે
શ્વાસ પ્રત્યેક આમ જાગે છે

દેશ અથવા ન ગામ જાગે છે
જાગ તું, તો તમામ જાગે છે

રાતનું આ વજૂદ સમજી લે
સૂર્ય જોતાં જ હામ જાગે છે

માર્ગ રોકાય કેમ પળભર પણ
મીટ માંડી મુકામ જાગે છે

રાખ ચિંતા ન દ્વાર ખૂલવાની
એક ત્યાં મુક્તિધામ જાગે છે

– મનોહ૨ ત્રિવેદી

ઊંઘ અને મૃત્યુ વચ્ચે એક જ ફરક છે કે ઊંઘમાંથી જાગી શકાય છે. જીવન ઉપરની શ્રદ્ધા કહો કે રામ ઉપરનો ભરોસો, ઊંઘતી વખતે આપણે સવારે આંખ નહીં ખૂલે તો શું થશે એવું વિચારતા નથી. જીવનની આ રોજિંદી હકીકતને ઉપાદાન બનાવીને કવિએ મજાનો મત્લા સિદ્ધ કર્યો છે. જાગવું અને જાગૃતિ વચ્ચે પણ બહુ મોટો તફાવત છે. આજે પરિસ્થિતિ એવી છે કે ઘર, ગામ કે દેશ આખામાં કોઈ જાગતું નજરે ચડતું નથી. દરેક જણ કોઈ તો કરશે, કોઈ તો જાગશેની આશામાં ઊંઘી રહ્યા છે. કવિ બહુ સચોટ ટકોર કરે છે. બીજાના જાગવાની રાહ કેમ જોવી? જાતે જ ન જાગી જઈએ? દરેક માણસ પોતાના ઘરનું આંગણું સ્વચ્છ રાખે તો દેશ આખો સ્વચ્છ થઈ જાય. આખી ગઝલ જ સહજસાધ્ય થઈ છે.

Comments (1)

મિસ જૂલિયટીનું પ્રણયગીત – રાવજી પટેલ

(હો રાજ રે હું તો તળાવપાણી ગૈતી – એ ઢાળમાં ગાવા માટે)

મારા રળજી રે અમોને કૂવે પાણી મોકલ્યાં,
અમારે ન’તું જવું ને તોય તમે ધક્કેલ્યાં!
કાળજકૂણા કાંટા વાગ્યા…

મારા રળજી રે અમારી પરવાળાની પાની,
દેડકો જોઈ ગયો ઉઘાડી– તીતીઘોડે પાડી તાલી,
કાળજકૂણા કાંટા વાગ્યા…

મારા રળજી રે કાંટા છાનામાના વાગ્યા
નબળા મેળ વગરના પાક્યા –
કાળજકૂણા કાંટા વાગ્યા..

મારા રળજી રે તમે જૈ રશિયે તાર કરાવો (કે)
ઝટઝટ ચાંદલિયો મંગાવો, મારી પાનડિયો ઢંકાવો,
કાળજકાંટા અમને વાગ્યા…

મારા રળજી રે તમારો હોઠ તણો શો હધડો,
પોપટ-પેટ કપાવી લાવો-નાજુક પાની પર બંધાવો,
કાળજકૂણા કાંટા વાગ્યા…

મારા રળજી રે વચમાં મંદિરના શ્રીજીએ
મારી પાનીને પંપાળી – ઓય મા પાંપણથી પંપાળી
કાળજકાંટા અમને વાગ્યા…

મારા રળજી રે અમારે ન’તું જવું ને તોયે તમે ધક્કેલ્યાં
કૂવે પાણી ભરવા ઠેલ્યાં – અમને કાળજ કાંટા વાગ્યા.

– રાવજી પટેલ

આપણાં લોકગીતો કદાચ વિષયવૈવિધ્યની બાબતમાં આધુનિક ગીતોની સરખામણીએ વધુ સમૃદ્ધ હતાં. સેંકડો પ્રકારનાં વ્યંગકાવ્યો આપણને લોકગીતોમાંથી મળી આવે છે, પણ આધુનિક ગીતોમાં વ્યંગકટાક્ષ કાવ્યોનું પ્રમાણ સદાકાળ જૂજ જ રહ્યું છે. ‘કંકુના સૂરજ’ જેવું અમર શોકગીત આપનાર રાવજીએ કેવું મજાનું વ્યંગકાવ્ય આપ્યું છે એ જુઓ. એક તો કવિએ નાયિકાનું ના અંગ્રેજી પસંદ કર્યું છે અને એય જૂલિયટના સ્થાને જૂલિયટિ રાખ્યું છે. અંગ્રેજ બાઈને કૂવે પાણી ભરવા જવાનું કોઈ કહે તો એને કેમ ગમે? પણ એણે નહોતું જવું તોય કથકે જબરદસ્તી મોકલતાં પોતાને હૈયામાં કાંટા ભોંકાયાની પીડા થઈ હોવાની ફરિયાદથી ગીતનો ઉપાડ થાય છે. નાયિકા મારા રાવજીના સ્થાને રળજીનો તળપદો ટહુકો કરે છે એય નોંધવા જેવું. પોતે ઊઘાડા પગે પાણી ભરવા ગઈ અને લોકોએ એની ઉઘાડી પાની જોઈને ખિખિયાટા કર્યા એના કારણે આ શૂળ પાક પર ચડ્યું. 1959ની સાલમાં રશિયાનું લ્યુના-2 અવકાશયાન ચંદ્ર પર ઉતર્યું હતું એ સમાચારનો ગરમાટો ગીતમાં પણ આવ્યો છે. નાયિકા નાયકને રશિયા તાર કરીને પોતાની ઉઘાડી પાનીઓ ઢાંકવા ચાંદો મંગાવવા કહે છે. ખરી મજા તો સાક્ષાત્ શ્રીજીએ પણ નાયિકાની પાનીને પાંપણથી પંપાળવામાં મના ન રાખી એમાં છે.

‘મારા રળજી રે તમારો હોઠ તણો શો હધડો’ – આ પંક્તિમાં હધડો એટલે શું એ સમજતા દમ નીકળી ગયો. તળપદી બોલીમાંય ક્યાંય આવો શબ્દ વપરાતો જણાતો નથી. રાવજીના આ ગીત તથા એની જ ‘અશ્રુઘર’ નવલકથામાં આ શબ્દ પ્રયોજાયો છે, પણ એનો અર્થ ક્યાંય મળતો નથી. ‘ધડો’ શબ્દનું ‘હધડો’ કરાયું હોય એમ પણ બને. રાવજીના મનમાં કયો અર્થ હશે એ તો રાવજી જ જાણે, પણ આપણને એટલું સમજાય છે કે નાયિકાને પાણી ભરવા નહોતું જવું પણ રાવજીના હોઠનો લાંક જ કંઈ એવો હતો કે નાયિકાને જવું પડ્યું. કોઈ જાણતલ વ્યક્તિ આ કોયડાનો ઉકેલ આણવામાં મદદ કરશે તો આનંદ.

Comments (3)

(કોઈ પણ કારણ વગર) – કિરણસિંહ ચૌહાણ

કેમ જીવાતું નથી એ ક્ષણ વગર?
જે મળી’તી કોઈ પણ કારણ વગર.

છે અધૂરો ગ્રંથ જે પ્રકરણ વગર,
એ પડ્યું છે મેજ પર સાંધણ વગર.

કેવા અઘરા નામવાળા રોગ છે!
સાથે રહેતા હોય છે લક્ષણ વગર.

જિંદગી એને જ તો કહેવાય છે,
ઝાંઝવા જોવા મળે જ્યાં રણ વગર.

મિત્રની યાદીમાં મારા નામ પર,
ભાર મૂકો છો તમે ભારણ વગર.

– કિરણસિંહ ચૌહાણ

ઉમદા સ્વયંસિદ્ધ ગઝલ.

Comments (3)

(ઢબૂરી ઢબૂરીને) – ડૉ. મનોજ જોશી ‘મન’

ઢબૂરી ઢબૂરીને રાખેલ સપનાં,
જગાડો ને જાગો પછી થાય ખપનાં!

અમે ચાને ચુસ્કીઓ લઈલઈને પીધી,
તમે ધીમે રહીને પૂછ્યા ભાવ કપના!

અમે નામ ધબકારે-ધબકારે લીધું,
તમે પુસ્તકો ચીતર્યાં નામજપનાં.

ન પૂર્વે ભૂમિકા, ન પ્રસ્તાવના કંઈ;
મને જોઈએ તું; બીજી કોઈ લપ ના!

ગુફામાં કે જંગલમાં જઈને શું કરશો?
ફરજથી વધી ક્યાંય પણ કોઈ તપ ના!

– ડૉ.મનોજ જોશી ‘મન’

કેવળ સૂતેલ સ્વપ્નોને જગાડવું પૂરતું નથી. આપણે ન જાગીએ ત્યાં સુધી બધું નકામું. ‘પ્રાઇઝ ટેગ’ની ચિંતામાં ડૂબેલા જિંદગી માણવાનું ચૂકી જાય છે. ત્રીજો શેર તો રામમંદિર શિલાન્યાસના ટાંકણે ખૂબ જ સંતર્પક બની રહે છે. ઈશ્વરને હૃદયમાં ઘર આપ્યું હોય એ બીજાઓ જોઈ શકે એવી દેખાડાની તપસાધના કરતાં વધુ અગત્યનું છે. છેલ્લો શેર પણ આ વાત સાથે એક કડી વધારાની જોડી આપે છે. એમાં ઝેન સાધનાનો સિદ્ધાંત પણ નજરે ચડે છે.

Comments (7)

નહીં ફાવે અવતરવાનું – વર્ષા પ્રજાપતિ ‘ઝરમર’

બીજ મહીંથી વૃક્ષ થવાનું, ઉગવાનું ને ખરવાનું?
ખર્યા પછીની પોકળ પીડા પૂછે, ‘પાછું ઉગવાનું?’

નહીં ફાવે ભઈ, નહીં ફાવે આ શ્વાસો વચ્ચે બળવાનું
દિલનો ખાલી ખૂણો ભરવા આખું જીવન તપવાનું?

છળવું કે છેતરવું ખુદને, અમને માફક નહીં આવે
રહેવા દો આ હરવું ફરવું, આંખોમાં વિસ્તરવાનું

બે રસ્તા છે આંખો સામે, અટકી જા કાં આગળ વધ,
સંશયની તોડીને સાંકળ, બોલ હવે શું જપવાનું?

આ જન્મે તો પીડા નામે મોક્ષ થયો છે ‘ઝરમર’નો
હવે ફરીથી પીડા નામે નહીં ફાવે અવતરવાનુ

– વર્ષા પ્રજાપતિ ‘ઝરમર’

લયસ્તરો પર સર્જકના ગઝલ સંગ્રહ ‘હાથ જાજમ થઈ જતા’નું સહૃદય સ્વાગત છે… સંગ્રહમાંથી એક સરસ રચના આજે માણીએ…

https://i0.wp.com/layastaro.com/wp-content/uploads/2024/01/haath-jaajam-thai-jata.jpg?resize=373%2C585&ssl=1

 

Comments (4)

સ્વપ્ન – રવીન્દ્ર પારેખ

સ્વપ્નમાં નીકળી પડે તું આવવા,
સ્વપ્નની બદલી જશે આખી હવા.

સ્વપ્ન તોડીને તરત જાગી પડું,
બ્હાર તું આવે અગર બોલાવવા.

સ્વપ્નમાં અજવાળું પડશે, માની તું—
આંગણે બેસે દીવા પ્રગટાવવા.

સ્વપ્નમાં રહેશે નહીં કાળી તરસ,
છો મને આપે ભલે તું ઝાંઝવા.

સ્વપ્નનો વસવાટ દૃષ્ટિમાં સીમિત,
ત્યાંથી મથતું, પાર સૃષ્ટિની જવા.

સ્વપ્ન કૈં મૃત્યુ પછી આવે નહીં,
ના જીવનમાં આવતું પૂરું થવા.

સ્વપ્ન એ પૂરું કદી ના થાય, જો—
આંખ મીંચી હો ફરી ના ખોલવા.

– રવીન્દ્ર પારેખ

સ્વપ્ન વિશેની ખૂબ મજાની મુસલસલ ગઝલ. બધા જ શેર હળવે હળવે ખોલવા જેવા… કવિની ચિંતનશીલ પ્રકૃતિ અને અર્થગાંભીર્ય એક જ વસ્તુની બહુઆયામી રજૂઆતમાં ડગલપગલે ઝળકે છે.

Comments (9)

અધૂરપ – માધવ આસ્તિક

અહીં, ત્યાં, બધીયે જગામાં અધૂરપ
ઠસોઠસ ભરી છે બધામાં અધૂરપ

બધું આપ્યું છે થોડું અધકચરું અમને
પરંતુ ન આપી વ્યથામાં અધૂરપ

ઘણાં એવાં ફૂલો જે ખુશબૂ ન આપે
એ ફેલાવતાં રહે હવામાં અધૂરપ

છલોછલ કરી ના શકે તો ન પાજે,
મને ફાવશે નહિ નશામાં અધૂરપ

તું દર્શન દે એ પળ છે નક્ષત્ર સ્વાતિ
અમે બેઠા લઈ પોપચામાં અધૂરપ

ચલો એ હિસાબેય હાજર તો છે તું
રહે તારા નામે ઘણામાં અધૂરપ

ફકત એક ખટખટની આશા જીવાડે
કે મરવા પડી બારણામાં અધૂરપ

તું સ્પર્શે એ પહેલાં, તું સ્પર્શે પછી પણ
સતત હોય હાજર ત્વચામાં અધૂરપ

ખૂલે બારી પણ ત્યાંથી પડદો હટે નહિ
તો લાગે કે રહી ગઈ નફામાં અધૂરપ

કરી સહેજ શંકા મે મંજિલ વિશે ને
તરત પેસી ગઈ કાફલામાં અધૂરપ

બધાં એનાં સર્જન એ દાટી જ દેશે
જો કુંભાર જોવે ધરામાં અધૂરપ

સ્વપન મોકલીને એ પૂરી કરે છે
જે એણે મૂકી આંધળામાં અધૂરપ

તને શોધવાનુંય કારણ છે એક જ
ફરી માંગશું આયખામાં અધૂરપ

બધા પાત્ર શોધે છે સર્જકના એને
રહી શું ગઈ કલ્પનામાં અધૂરપ!

મિલન નહિ ફકત એ મુલાકાત ગણજો
જો ના પાંગરે બે જણામાં અધૂરપ

– માધવ આસ્તિક

ગઝલ તો છે અધૂરપની પણ કવિએ શેર ગૂંથ્યા છે પૂરા પંદર. મજા તો એ છે કે પંદરે-પંદર શેર મજબૂત થયા છે. મત્લામાં જ અત્ર-તત્ર, સર્વત્ર બધામાં બધેબધ ઠસોઠસ અધૂરપ ભરી હોવાની વાતમાં કવિએ ઠસોઠસ અને અધૂરપનો વિરોધાભાસ કેવી સહજતાથી વણી લીધો છે! ક્યાંય કોઈ અઘરા કલ્પન કે મથામણ કરવા મજબૂર કરે એવા રૂપકો નથી. કવિએ તદ્દન સરળ બાનીમાં અધૂરપના દરેક શેરોને પૂર્ણપણે અર્થગાંભીર્ય બક્ષ્યું છે.

Comments (5)

મોજ પડે તો – ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’

મોજ પડે તો ગાવું…
મન મારીને મનમાં શાને નાહકના મૂંઝાવું…

નદી ખળળખળ વહેતી ખુદની મોજે
દરિયો ઊછળે એમ ઊછળવું રોજે

હવા સરકતી હોય સહજ બસ એમ સરકતા જાવું…
મોજ પડે તો ગાવું…

વૃક્ષ વિકસતું મનગમતા આકારે
એમ વિકસવું પોતાના આધારે

પડી ગયેલા ચીલે ચાલી શીદને બીબું થાવું…
મોજ પડે તો ગાવું…

– ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’

લયસ્તરો પર કવિના ગીતસંગ્રહ ‘ઝાકળનાં ટીપાં’નું સહૃદય સ્વાગત છે…

કવિતામાં સરળતાથી વધુ લપસણું કદાચ બીજું કશું નથી. સરળતમ ભાષામાં કાવ્ય સિદ્ધ કરવું સૌથી વધુ દોહ્યલું છે. પણ, આ રચના જુઓ, અતિસરળ ભાષા અને એકદમ સહજ દાખલાઓની મદદથી કવિ નાચતા-ગાતા આપણને ભાર વિનાનો જીવનબોધ કેવી સાહજિકતાથી આપે છે! આપણે શું કરીએ છીએ એ નહીં, પણ જે કરીએ છીએ એમાં મોજ પડે છે કે નહીં એ અગત્યનું છે. નદી હોય કે દરિયો, હવા હોય કે વૃક્ષ – દરેક પોતાની મસ્તીના રાજા છે. કોઈ બીજાને જોઈને પોતાના નિત્યક્રમ બદલતું નથી.

Comments (4)

રાખો મારાં વેણ – વર્ષા પ્રજાપતિ ‘ઝરમર’

રાખો મારાં વેણ હરિવર! રાખો મારાં વેણ
અંત ઘડીએ પરગટ થાજો, ઠરશે મારાં નેણ
હરિવર! રાખો મારાં વેણ

ચિત્ત કશે ના લાગે અમને, ક્યાય મળે ના ચેન
આઠ સમા પણ ઓછા પડતા, સમરણ ખૂટે એમ
જપ, તપ, ધ્યાન, સમાધિ, સુરતા રાતદિવસનું વ્હેણ
હરિવર! રાખો મારાં વેણ

કર્મ, વિકારો છોડ્યા, છૂટ્યા તો સમજાયો ભેદ
જેને ભાળ અલખની લાધી, એ જણ ચારો વેદ
પ્રાણ બનીને પ્રાણ હર્યા રે, જીવવુંયે જીવલેણ
હરિવર! રાખો મારાં વેણ

‘પર’ સેવી પરસેવો પાડે, એ જ તરે ને તારે
અધવચ ડોલી મારગ મેલે, એ મરતા, ને મારે
હંસારાણા શાને થાવું ‘નહીં સાંધો નહીં રેણ’?
હરિવર! રાખો મારાં વેણ

– વર્ષા પ્રજાપતિ ‘ઝરમર’

કવયિત્રીના કાવ્યસંગ્રહ ‘અલખ મલક અજવાળું’નું લયસ્તરો પર સહૃદય સ્વાગત…

અન્ય કોઈ નહીં, કેવળ એક જ આરત છે- જીવનભર નહીં મળે તો વાંધો નહીં, બસ,અંત ઘડીએ ઈશ્વરદર્શન થવા જોઈએ. નથી ચિત્ત ક્યાંય લાગતું, નથી ચેન મળતું. રાતદિ ચાલતાં જપ-તપ વિ. માટે આઠ પહોર પણ અપૂરતાં અનુભવાય છે. અલખની ભાળ લાધે એ વ્યક્તિ સાક્ષાત્ ચતુર્વેદ છે. પ્રાણ બનીને પ્રાણ હર્યાનો યમક અલંકાર પણ પ્રભાવક થયો છે. અન્યોની સેવા કાજે પરસેવો પાડે એ પોતે તો તરે જ, અન્યોને પણ તારે. જે અધવચ્ચેથી ચલિત થઈ જાય એ પોતે તો મરે જ, અન્યોને પણ મારે.

Comments (5)

એ…હેહેય…હેહેય…,ઝાડ – રમેશ પારેખ

એ…હેહેય…હેહેય ઝાડ કૂદ્યું ડબાક્ મારામાં
(ભયનો માર્યો હું તો મારા ક્યાંના સાડત્રીશમા પાને વળગી પડ્યો)
હલક્યાં કૂણાંછમ કૂંડાળાં કલગીવાળાં ફર્રર્રર્રર્ર
હું ખમ્મા, જાઉં ઠેલાતો, જાઉં ફેલાતો ક્યાંક મારામાં

એ…હેહેય…હેહેય ઝાડ કૂદ્યું ડબાક્ મારામાં

છાંયડાના ખાબોચિયાને મેં પાનખોંખારાભેર કહ્યું કે, એ ય ટીનુ, તું ખૂલ.
આજ છે અલ્યા, દરિયાપાંચમ, ઊઠ, બેઠું થા, દોડ, કૂદી જા, હાંફ, તૂટી જા, ઝૂલ;
ઝૂલ, ને છાંટા નાખ, થોડા આ તડકે, થોડા સડકે, થોડા ક્યાંક અને થોડાક મારામાં

એ…હેહેય…હેહેય ઝાડ કૂદ્યું ડબાક્ મારામાં

ટેકરી ભીની લસરે, અડે, પ્રસરે, દડે હાથમાં, ભીડે બાથમાં, જોતાંવેંત,
ઘાસનું ઝીણું તરણું એની પ્હેલવારુકી ટોચથી ધાવે નભનું સકળ હેત;
દરિયા, તને પૂછતાં ભૂલી જાઉં એ પ્હેલા બોલ, વ્યાપ્યો છે તું કે તારો છાક મારામાં
એ…હેહેય…હેહેય ઝાડ કૂદ્યું ડબાક્ મારામાં

– રમેશ પારેખ
(જુન ૨૯, ૧૯૭૮)

રમેશ પારેખ ગુજરાતી કવિતાનો અનન્વય અલંકાર છે..ઝાડ હેહેય કરતુંકને કૂદકો મારી માણસમાં પ્રવેશે, આ રિવર્સ પરકાયાપ્રવેશને લઈને માણસ ઝાડનાં સંવેદનો આત્મસાત્ કરે અને કવિ શબ્દોની સહાયથી એ આપણને તાદૃશ કરી દેખાડે એ ચમત્કાર ર.પા. જ કરી શકે.

કવિએ કવિતાની નીચે તારીખ લખી ન હોત તો સાડત્રીસમા પાનાનો સંદર્ભ શોધવું થોડું અઘરું થઈ પડત. ઝાડના સ્વકાયાપ્રવેશથી ડરીને કથક આયુષ્યના સાડત્રીસમા પાનાંને વળગી પડે છે. ઝાડ કૂદીને પ્રવેશે છે, અને તેય હોકારા કરતું કૂદે છે એ વાત સૌથી અગત્યની છે. આ અણધાર્યો કૂદકો છે. ટકોરા દઈને કોઈ આવતું હોય તો એને રોકી શકાય પણ હાકોટા પાડતું કોઈ ડબાક્ કરીને તમારામાં ઝંપલાવી દે ત્યારે તમારી પાસે બચવાનો કોઈ આરો જ નથી રહેતો. આ પ્રવેશને સ્વીકાર્યે જ છૂટકો.

વૃક્ષપ્રવેશ પછી શી ઘટનાઓ ઘટી એ પણ જોઈએ. કૂણાં પાંદડાઓ ફૂટવાની સાથે કવિમાંનો માણસ ક્યાંક ઠેલાતો જાય છે અને ઝાડ ફેલાતું જાય છે. પથરો પાણીમાં પડે અને વમળો સર્જાય એમ જ ઝાડ માણસમાં પડે છે ત્યારે કૂણાંછમ કૂંડાળાં હેલ્લારે ચડે છે. માણસનો ખોંખારો, તો ઝાડનું શું? તો કે’ પાનખોંખારો! માણસનો પડછાયો ઝાડની તુલનાએ ખાબોચિયા જેવડો નાનો જ હોય. કથક આ છાંયડાના ખાબોચિયાને ખોંખારીને દરિયાપાંચમ યાદ કરાવી વિસ્તરવા ઇજન આપે છે. કવિનું પ્રકૃતિપણું ઝાડ કે એના ખાબોચિયા જેવડા છાંયડા પૂરતું સીમિત ન રહેતાં વૃક્ષની જેમ જ વિસ્તરતું રહે છે. જે ભીની ટેકરી પર એ ઊગ્યા છે, એ ટેકરી ક્યારેક જાણે એમના હાથમાં દડે છે તો ક્યારેક એ એમની બાથમાં ભીડાઈ જાય છે. અને ઘાસના ઊગવાની કલ્પના પણ કેટલી રમ્ય છે! નાનું અમથું તરણું જાણે માથા પર ફેલાયેલા આભના પ્રેમને ધાવે છે! દરિયાને પણ દાદાગીરીથી પોતાના અસ્તિત્ત્વમાં એ કે એનો કેફ શું વ્યાપ્યું છે એમ પૂછીને કવિ વૃક્ષ અને વ્યક્તિથી લઈને સમુદ્ર અને સમષ્ટિ સુધીની ગતિ કરે છે…

ગીતનું સૌથી મોટું જમાપાસું છે ભાષાકર્મ અને લયહિલ્લોળ. કૂણાંછમ, પાનખોંખારા કે દરિયાપાંચમ જેવા શબ્દ કોઈન કરીને ર.પા. આપણી ભાષાને પણ રળિયાત કરે છે. એ… હેહેય… ડબાક્… ફર્રર્રર્રર્ર… ખમ્મા… દોડ, કૂદી જા, હાંફ, તૂટી જા, ઝૂલ… લસરે, અડે, પ્રસરે, દડે, ભીડે… – આ શબ્દપ્રયોગો જાણે કે ઝાડ જેમ કવિમાં, એમ આપણી ભીતર એ…હેહેય…હેહેય કરતાંક કૂદકો મારી પ્રવેશી જાય છે.

Comments (11)

શેર – પરવીન શાકિર

मैं उस की दस्तरस में हूँ मगर वो
मुझे मेरी रज़ा से माँगता है

परवीन शाक़िर

હું તો એના વશમાં જ છું – પણ એ મારી જાતને મારી પાસેથી મારી રજામંદીથી માંગે છે

વાહ ! વાતની નજાકત જૂઓ….ઊંડાણ જૂઓ  !!! પ્રેમની ખરી ઊંચાઈ !!! કોઈ માલિકીપણાની વાત નહીં…. અધિકાર પૂરો છે-બંનેને ખબર છે,પણ વ્યક્તિને એક અદના અસ્તિત્વ તરીકે પૂરું સન્માન !!! પ્રજ્ઞાવાન વ્યક્તિ પણ ઘણી વખત આ સકંજામાંથી બચી નથી શકતા-જેને ચાહે છે એને સહજતાથી ગૂંગળાવી નાંખતા હોય છે અને તે વ્યક્તિને પોતાને એ વાતનું ભાન સુદ્ધાં હોતું નથી….સામું પાત્ર બિચારું ગૂંગળાઈને બેસી રહે…..

આખી ગઝલ મૂકવી હતી પણ બાકીના શેર એટલા મજબૂત નથી અને વળી મારે આ શેરને પૂરતી સ્પેસ આપવી હતી.

Comments (1)

(મેલી સઘળી વેઠ) – નિશા નાણાવટી ‘નિશિ’

પળને મેલી, પહોરે મેલ્યા, મેલી સઘળી વેઠ,
સાતે દા’ડા સંકેલી, મેલ્યા ઓશીકા હેઠ…

આંખ્યું ભીની ટાંગી તડકે,
હૈયું નાખ્યું ભડભડ ભડકે;
હોઠ ભીડીને પાડી ચીસો,
સુક્કું રણ છાતીમાં ધડકે,
વ્હાલપની નદીયું ડૂબાડી ખારે સમદર ઠેઠ!
સાતે દા’ડા સંકેલી, મેલ્યા ઓશીકા હેઠ…

દસે દિશાને ભૂંસી નાખી,
મોસમ સઘળી ફૂંકી નાંખી;
રાખ તળે અંગાર સમી સૌ
તરસી સદીઓ થૂંકી નાખી,
ડૂસકાં ડૂમા કચડ્યાં પગને તળિયે સારી પેઠ.
સાતે દા’ડા સંકેલી, મેલ્યા ઓશીકા હેઠ…

– નિશા નાણાવટી ‘નિશિ’

કવિતા એટલે હિમશિલાની ટોચ- દેખાડે એના કરતાં નવ ગણું સપાટી નીચે હોય. બે પ્રિયપાત્રો વચ્ચે સમસ્યા સર્જાઈ છે. સંબંધવિચ્છેદ થઈ ચૂક્યો છે. શી સમસ્યા છે અને વાત વિચ્છેદ સુધી કેમ પહોંચી એ બાબતમાં કવયિત્રી મૌન છે. પણ એટલું સમજાય છે કે અનેકાનેક કોશિશો બાદ નાયિકાએ હવે સંજોગો સામે ન માત્ર સમાધાન સાધી લીધું છે, પણ કૃતનિશ્ચયીપણું પણ જાહેર કર્યું છે. અઠવાડિયાના સાતે દહાડા ને દિવસના આઠે પહોર અને પળેપળની પ્રતીક્ષાને કાયમી તિલાંજલિ દઈ એણે ઓશીકા હેઠે મેલી દીધી છે. ધ્યાન રહે, ફેંકી નથી દીધી, પણ પોતાના માથાની સાવ નજીક ઓશીકા હેઠે મૂકી રાખી છે. આખરે તો સ્ત્રી છે. એનો મક્કમમાં મક્કમ નકાર કે અહમ પણ પ્રેમ સાંપડતો હોય તો એ જતો કરી શકે છે. પુરુષ આવું ભાગ્યે જ કરી શકે.

આંસુઓ તડકે સૂકવવા નાંખ્યાં છે, હૈયું ફૂંકી નાંખ્યું છે, કોઈ સાંભળી ન શકે એવી ચીસો પાડી છે અને છાતીમાં વેરાન વ્યાપી ચૂક્યું છે. વહાલની મીઠી નદીઓને ખારા આંસુઓના સાગરમાં એવી ડૂબાડી દીધી છે કે હવે ન તો એ નદીઓ ફરી કદી જડશે, કે ન તો એ મીઠાશ પુનઃ સાંપડશે. દિશાઓ કે ઋતુચક્ર –બધાં પોતાના સંદર્ભ ગુમાવી ચૂક્યાં છે. ઉપર ભલે રાખ પથરાયેલી લાગે, પણ તળે તો હજી અંગારા જેવી સદીઓની પ્યાસ અને પીડા ભડભડી રહ્યાં છે. નાયિકાએ જો કે અણગમતી વસ્તુની પેઠે એને થૂંકી દીધી છે. પગ તળે તમામ ડૂસકાં-ડૂમા સારી પેઠે કચડી નાંખ્યા છે. ખબરદાર જો, હવે આંખ ભીની થઈ છે તો!

Comments (4)

(તકિયા કલામ છે) – અંકિત ત્રિવેદી

સાથે રહ્યો છું તારી, આ તેનો દમામ છે,
આંસુ એ મારી આંખનો તકિયા કલામ છે.

મારી ગલીમાં રોજ એ ભૂલા પડ્યા કરે,
શ્વાસોની આવજાવને દંડવત્ પ્રણામ છે.

પેલો સૂરજ તો સાંજટાણે આથમી જશે,
આંખોમાં તારી ઊગશે એને સલામ છે!

પાંપણમાં ઊંઘ આંજીને ચાલ્યો જઈશ હું,
સપનામાં તારા આવીને, મારે શું કામ છે?

નક્કી જીવનના અંત સુધી નહીં કરી શકું,
હું શબ્દનો કે શબ્દ આ મારો ગુલામ છે.

– અંકિત ત્રિવેદી

ગઝલનો મત્લા વ્યંગ્યોક્તિની પરાકાષ્ઠાએ ઊભો છે. પ્રિયજનની સાથે રહેવાને લઈને શું દબદબો નસીબ થયો, તો કે’ ચોવીસે કલાકનાં આંસુ. શ્વાસોચ્છ્વાસની દેહધાર્મિક ક્રિયાને પણ કવિએ કેવી નજાકતથી શેરમાં વણી લીધી છે! આખી ગઝલ જ મનનીય થઈ છે.

Comments (4)

(થાકની અસર તારી) – રઈશ મનીઆર

રસ્તો તારો, ન આ સફર તારી,
માત્ર છે થાકની અસર તારી.

દૃશ્યો તારાં છે એવું તેં માન્યું,
છે હકીકતમાં બસ નજર તારી.

આ સમય જે વહે છે, તારો નથી;
તું તો પામ્યો છે બસ ઉંમર તારી.

તું તો શાયર છે, તારું દર્દ અમાપ!
આહ નીકળે છે માપસર તારી.

તું સમંદર નથી, ભલેને નથી!
છે સમંદરમાં એક લહર તારી..

જાણું છું, તું પતંગિયું છે ‘રઈશ’,
કોઈ બેઠું છે પાંખ પર તારી.

– રઈશ મનીઆર

લાખ અવરોધ અને નાકચડામણાં છતાં ગઝલ ઝડપભેર તમામ કાવ્યપ્રકારોને અતિક્રમીને આગળ નીકળી ગઈ એનું એક કારણ તે ઓછામાં ઓછા શબ્દોમાં ઊંડામાં ઊંડી વાત કહી શકવાની એની ખાસિયત અને બીજું તે શીઘ્ર પ્રત્યાયનક્ષમતા. આ ગઝલ જુઓ. નાની બહેરમાં કવિએ કેવું ઉંચેરું ખેડાણ કરી બતાવ્યું છે! આખી ગઝલ સંઘેડાઉતાર થઈ છે, પણ આપણે કેવળ મત્લાની જ વાત કરીએ. નથી રસ્તો આપણે બનાવેલો, નથી મંઝિલ આપણું સર્જન. આપણે માનીએ છીએ કે આપણે સફર ખેડી રહ્યાં છીએ, પણ હકીકતમાં એ મુસાફરી પણ આપણા પૂર્ણાખ્ત્યારમાં નથી. થાકી જવાની એકમેવ ઘટના એ જ આપણું ખરું કર્તૃત્વ. આ રસ્તા અને સફરને સ્થૂળ અર્થમાં પણ લઈ શકાય અને જન્મથી મરણ વચ્ચેની યાત્રા તરીકે પણ ગણી શકાય. ચંદ શબ્દોની ઈંટ લઈને બે મિસરાની દીવાલો ઊભી કરી કવિ શેરિયતનું મજાનું મકાન સર્જી બતાવે ત્યારે બે’ક ઘડી સફરનો થાક ભૂલીને રેનબસેરા કરવાનું મન ન થાય?!

Comments (17)

ગાલિબના જન્મદિને – ઉદયન ઠક્કર

આજે મિર્ઝા ગાલિબનો જન્મદિવસ છે. તેની ઉજવણીરૂપે આ તેમના શેર:

ઇશ્રતે-કત્ર: હૈ દરિયા મેં ફના હો જાના
દર્દ કા હદ સે ગુજર જાના હૈ દવા હો જાના

(ઇશ્રત-આનંદ, કત્ર:- ટીપું,દરિયા- નદી)

જળબિંદુ એકલું ન રહી શકે, (કોહેઝનના ગુણને લીધે) બીજા બિંદુઓ સાથે મળતું મળતું ઝરણું રચે, જે નદીમાં જઈને મળે.જળબિંદુને નાના હોવાનું મોટું દુ:ખ હોય.જ્યારે તે હદની બહાર જઈને બેહદને મળે,સીમ વળોટીને નિ:સીમને મળે,ત્યારે તેને આનંદની પ્રાપ્તિ થાય.આમ જળબિંદુનો અજંપો જ તેનું ઓસડ બની જાય.અહીં જળબિંદુ જીવાત્માનું રૂપક છે.

તુઝસે કિસ્મત મેં મેરી સૂરતે કુફ્લે-અબ્જદ
થા લિખા બાત કે બનતે હી જુદા હો જાના

(કુફ્લ-તાળું, અબ્જદ-વર્ણમાળા)

એવાં તાળાં તમે જોયાં હશે,જે વર્ણમાળાના અક્ષરો (કે આંકડા) સીધી રેખામાં ગોઠવાતાંવેંત ખુલી જાય.ગાલિબ પ્રેયસીને કહે છે કે મારી કિસ્મત એવી જ છે: બધી વાતે મેળ પડ્યો કે તરત આપણે છૂટા પડી ગયાં! ‘થા લિખા’- ‘વર્ણમાળામાં લખેલું’ અને ‘કિસ્મતમાં લખેલું’ એમ બન્ને અર્થ ગાલિબે જાળવ્યા છે.તાળી માટે લખાયેલા શેર તો ઘણા સાંભળ્યા છે, પણ તાળા માટે લખાયેલો શેર આ પહેલો જ!

શૌક હર રંગ, રકીબે-સરોસામાં નિકલા
કૈસ તસવીર કે પર્દેમેં ભી ઉરિયાં નિકલા

(શૌક-તીવ્ર અભિલાષા, રકીબે-સરોસામાં- સરસામાનનો વિરોધી, કૈસ-મજનૂ, ઉરિયાં-નગ્ન)

મજનૂએ પ્રેમના પાગલપણામાં પોતાનાં વસ્ત્રો ફાડી નાખ્યાં હતાં, એટલે ચિત્રના પડદા પર મજનૂ નગ્ન દર્શાવાય એ સ્વાભાવિક છે. ‘પડદામાં રહેવું’ એટલે ઢંકાયેલા રહેવું. વક્રતા જુઓ- પડદા પર હોવા છતાં મજનૂ પડદા વિનાનો છે! આ પુરવાર કરે છે કે પ્રેમ સાધન-સામગ્રીથી પર છે. ‘હર રંગ’માં એટલે દરેક સ્થિતિમાં. ગાલિબ ઉસ્તાદ છે, ચિત્રની ઉપમા અપાઈ હોવાથી તે જાણીબૂઝીને ‘રંગ’ શબ્દ પ્રયોજે છે.

ન થા કુછ તો ખુદા થા,કુછ ન હોતા તો ખુદા હોતા
ડૂબોયા મુઝકો હોનેને, ન હોતા મૈં તો ક્યા હોતા?

ગાલિબ કહે છે, જ્યારે કશું નહોતું ત્યારે ખુદા હતા, જો કશું ન હતે તોય ખુદા હતે. મારી હયાતીએ મને ડુબાડ્યો, હું ન હતે, તો શું હતે? જવાબમાં વાચક બોલી ઊઠે,’ખુદા હતે!’ ગાલિબ વાચકને મોઢે બોલાવવા ઇચ્છે છે,કારણ કે એક મુસલમાન થઈને પોતે ન કહી શકે કે હું ખુદા હતે.’તો ક્યા હોતા?’- આનો એવોય અર્થ નીકળે કે ‘હું ન હતે તો શો ફરક પડતે?’ આવા ગહન વિચાર રજૂ કરનાર ગાલિબે પોતાને વિશે એક શેરમાં કહ્યું છે, ‘ગાલિબ, અમે તને ઋષિ સમજતે,જો તું આવો દારૂડિયો ન હતે,તો!’

-ઉદયન ઠક્કર

( સૌજન્ય – ઉદયન ઠક્કર )

Comments

(હવાની લિપિ ઉકેલું છું) – નયન હ. દેસાઈ

સાવ ખાલી રમત છે… ખેલું છું,
આ હવાની લિપિ ઉકેલું છું.

આવ, તડકા મને તું ઘેરી લે,
એક પડછાયો તરતો મેલું છું.

હાથ ધ્રુજે કોઈ અજાણ્યાનો,
બારણું એમ ઘરનું ઠેલું છું.

પાંપણોમાં પુરાઈ તવ યાદો,
સ્વપ્નનગરી મહીં ટહેલું છું.

સાંજ દીવાલ છે પ્રતીક્ષાની,
જૂઈની મ્હેકને અઢેલું છું.

– નયન હ. દેસાઈ

હળવે હાથે ખોલતા જાવ… અને ખોવાઈ જાવ કવિતાની કુંજગલીમાં…

Comments (1)

ઝાલર વાગે જૂઠડી – વિનોદ જોશી

ઊભાં ગોરાંદે અધવચ ઉંબરે
જોતાં આણીપા જોતાં ઓલીકોર, ઝાલર વાગે જૂઠડી,
ઝાંખી બળે રે શગદીવડી
ઘેરી ઊભાં અંધારાં ઘનઘોર, ઝાલર વાગે જૂઠડી.

આવી આવીને ઊડ્યા કાગડા
પડ્યા સૂના મોભારા સૂના મ્હોલ, ઝાલર વાગે જૂઠડી.
હીરે જડેલી હૈયે ડાબલી
એમાં હાંફે કેદુના દીધા કૉલ, ઝાલર વાગે જૂઠડી.

નાવ્યો સંદેશો નાવ્યો નાવલો
વેરી આવ્યો વીજલડીનો વીર, ઝાલર વાગે જૂઠડી.
આંસુની ધારે સોણાં ઊતર્યાં
ઊંચાં લીધાં ગોઠણ લગી ચીર, ઝાલર વાગે જૂઠડી.

ધીમે ધીમે રે નખ ઓગળ્યા
પૂગ્યાં સેંથી સમાણાં ઘોડાપૂર, ઝાલર વાગે જૂઠડી.
ડૂબ્યાં ઝાંઝર ડૂબી દામણી
તરી હાલ્યાં સોહાગનાં સિંદૂર, ઝાલર વાગે જૂઠડી.

– વિનોદ જોશી

વિનોદ જોશીના ગીતો એકીસાથે બે અલગ સ્તરે વિચરણ કરે છે. એક તો, લયાવર્તનોના વૈવિધ્ય અને ભાષા પરની પકડના કારણે એમનાં ગીત સમજાય એ પહેલાં તો ભાવકના હૈયે વસી જાય છે. લયનો કાન પકડીને ધારી ઊઠબેસ કરાવવાની કળા હસ્ત અને હૈયાગત હોવાથી એમના ગીતોનો લયનાદ અલગ તરી આવે છે. ગીતસ્વરૂપ વૈવિધ્યને એક સ્તર ગણીએ તો એમનાં ગીત અર્થગર્ભના અલગ સ્તરે પણ સમાંતર ગતિ કરતાં જણાય છે. યોગ્ય ભાવકસજ્જતા વિના આ અર્થસંકુલ ગીતો તરત હાથ આવતાં નથી. તાત્ક્ષણિક ભાવાનુભૂતિ અને પછીથી અર્થાનુભૂતિ એ કવિનો વિશેષ છે. પ્રસ્તુત રચના પણ કવિની લયસિદ્ધિની દ્યોતક છે. દોઢ પંક્તિની દરેક કડીમાં લયના ત્રણ અલગ આવર્તન અનુભવાય છે, જે ગીતને સતત આરોહ-અવરોહમાં રમતું રાખે છે.

સ્વરૂપવાન નાયિકા ઉંબરે ઊભાં છે. ઉંબરો તો આમેય ઘર અને બહાર વચ્ચેની ક્ષિતિજરેખા જ છે, છતાં કવિ અધવચ ક્રિયાવિશેષણ ઉમેરીને નાયિકાની ‘ન ઘરના-ન ઘાટના’વાળી સ્થિતિને અધોરેખિત કરે છે. ઝાલરનું વાગવું આ ‘અધવચ’ને વધુ અસરદાર બનાવે છે. દિવસ અને રાતની અધવચનો સંધ્યાકાળ એટલે ઝાલરટાણું. ઝાલર વાગે છે, નાયિકા રાહ જોઈ રહી છે પણ મનનો માણીગર દેખાતો નથી. બનવાજોગ છે કે જનારો ઝાલરટાણે આવી જવાના કૉલ દઈ ગયો હોય એટલે, જૂઠો દિલાસો દેતી ઝાલરને કવિ જૂઠડી વિશેષણથી નવાજે છે. દિવસની જેમ જ દીવડાની જ્યોત પણ ઝાંખી પડી રહી છે અને નિરાશાનાં ઘનઘોર અંધારાં ઘેરી વળ્યાં છે. અંધારા માટે કવિએ ‘ઊભાં’ ક્રિયાપદ પ્રયોજ્યું છે, જે અંધારાની અચલતા પણ નિર્દેશે છે. આ અંધારાં હવે દૂર થવાનાં નથી. હતાશ સ્ત્રીના અનવરત વહેતા આંસુઓના ઘોડાપૂરમાં આખરે સુહાગનું સિંદૂર પણ ધોવાઈ જવાની પીડાનું કરુણગાન કવિએ ગજબ કમનીયતાથી રજૂ કર્યું છે.

Comments (2)

તો સારું – રીનલ પટેલ

જિંદગી ગોથું ખાય તો સારું,
એ બહાને શીખાય તો સારું

બસ, અહીંથી એ જાય તો સારું,
ભીડ મનમાં ન થાય તો સારું.

જે ભરોસે ટક્યું છે ધૈર્ય હજી,
એ સમય દે ઉપાય, તો સારું.

હોય એવી, જરાય ફર્ક વગર
છાપ સઘળે છપાય તો સારું

જેના કાજે લખાય છે ગઝલો,
સાંભળી, મુગ્ધ થાય તો સારું.

સાવ પાસે ગયાં પછી લાગ્યું,
થોડું અંતર રખાય તો સારું.

– રીનલ પટેલ

લયસ્તરો પર કવયિત્રીના સંગ્રહ ‘એ તરફ ઢોળાવ’નું સહૃદય સ્વાગત છે.

એકદમ સરળ બાનીમાં સ્વયંસ્પષ્ટ પરંતુ અર્થગહન રચના. દરેક શેર ખરા સોના જેવા.

Comments (6)

વાત રંગની છે – ચંદન યાદવ

વાત કપડાંની નથી –
વાત રંગની છે

હું ઘણીવાર કપડાં ધોઉં છું
અમુક કપડામાંથી રંગ નીકળે છે
આપણે કહીએ છીએ કે
રંગ કાચો છે.

પણ એ રંગ સાથે રહેલા બીજા કપડામાં લાગી જાય છે
એવો કે સાલ્લો નીકળે જ નહીં
જાણે કે રંગને હવે એ નપાવટ મળ્યું
કે જેના પર એને લાગવું હતું.

રંગ કાચા નથી હોતા
આપણને જે કાચા લાગે છે
એમને સાચું પાત્ર નથી મળ્યું હોતું
કે જેના પર સરખું લાગી શકાય

વ્હેલા મોડા આપણને પણ પોતાનો રંગ મળશે
ને જ્યારે એ મળશે ત્યારે એ છૂટશે નહિ

– ચંદન યાદવ (ભાવાનુવાદ : યાજ્ઞિક વઘાસિયા)
(સૌજન્ય – ટહુકો.કોમ )

 

એટલી સ્પષ્ટ કવિતા છે કે અર્થ સીધો કાળજે ભોંકાય છે….

Comments

પ્રેરણાપુંજ : ૧૨ : વાચકોની કલમે… : ૦૨

રવીન્દ્ર પારેખ લખે છે-

‘ન કહેવાયેલી પીડા ભાગ્યે જ હોય છે.’

આ કોઈ અંગ્રેજી ચિંતકનું વિધાન હતું. વર્ષો પર એ લાઇબ્રેરીમાં વાંચેલું. સુખ સંતાડી શકાય, પણ પીડા વાચાળ છે, તે અપ્રગટ ભાગ્યે જ રહે છે. સુખ, ઐશ્વર્ય સાધનોથી પ્રગટ થાય છે. તો, પીડા પણ ઠાવકી ક્યાં છે? કોઈ અંગત દેખાય છે તો એ આંખોને આંસુ કરી મૂકે છે. વિધાન, વિધિનું વિધાન થયું. વાંચ્યા પછી થયું કે ન કહેવાયેલી પીડા કહી શકું તો, હું મને પણ કહી શકું.

– ને એમ હું લખતો થયો…

ભાવિન ગોપાણી લખે છે –

“એ જ ભિખારીને આજે સ્હેજ હસતો જોઇને,
આપ ખિસ્સામાંથી સિક્કો કાઢતા અટકી ગયા !”
કવિ – ભાવેશ ભટ્ટ

માત્ર બે જ પંક્તિમાં ગઝલનો એક શેર સમગ્ર ઘટના, ચિત્ર, પરિસ્થિતિ કે સમગ્ર મનોસ્થિતિનું સચોટ વિવરણ કે દ્રશ્ય ઊભું કરી જવાની ક્ષમતા ધરાવે છે એનો આ ઉત્તમ દાખલો છે.

આપણને કોઈને તકલીફમાં મદદરૂપ થવું તો ગમે છે પરંતુ કોઈનું દુ:ખ જો કોઈ અન્ય કારણસર પણ સ્હેજ ઓછું કે દૂર થતું હોય તો આપણે એમાં પણ આપણી ઈર્ષ્યા કે અહંકાર કે પછી ધારણાઓના બિનજરૂરી ઘોડાઓ દોડાવી કોઈના માટે પૂર્વગ્રહ કે અનુમાન બાંધી લેવાની આપણી આદતોના કારણોસર આપણે આપણા કર્તવ્યથી પાછા હટી જઈએ છે….. અહીં વાત માત્ર ભિખારી કે સિક્કાની નથી આપણી આસપાસ ઘણાં લોકો ઘણાં જીવો જેમને આપણાથી કંઈક પ્રાપ્ત થઈ શકે તેમ હોય તે બધાને આપણે આપણી આ માનસિકતાના કારણોસર અન્યાય કરતા હોઈએ છીએ

કવિનો આ શેર આપણને અંદરથી જગાડવા સક્ષમ છે. આ શેર વાંચ્યા પછી મને મારી આસપાસના એવા ઘણાં લોકો યાદ આવ્યાં જેમની સાથે હું ક્યારેક આ રીતે જ વર્ત્યો છું અથવા એ લોકો મારી સાથે આ રીતે વર્ત્યા છે.. આ શેર સાંભળ્યો ત્યારે હું કવિતા નહોતો લખતો, માત્ર ભાવક હતો અને આ શેરની ગૂંથણીએ મને કવિતા કેવી રીતે રચવી જોઈએ? અને કેવી રીતે રચી શકાય? તેનું માર્ગદર્શન પુરું પાડ્યું છે

મેહુલ જયાણી લખે છે –

થોડા વર્ષો પૂર્વે મારા પેકેઝિંગના ધંધાનાં કરઝમાં હું ડૂબી ગયો હતો. એ કરઝમાંથી મુક્ત થવા જીવનનને ટૂંકાવવા સિવાય બીજો કોઈ રસ્તો દેખાતો ન્હતો. એજ સમય દરમ્યાન હતાશામાં ગરકાવ થયો અને ફેસબુક પર નેગેટિવ પોસ્ટ મુકવાનું શરૂ કર્યું કારણ એટલું જ કે ફેસબુક સિવાય હું કોઈને મારી વ્યથા કહી શકું એમ નહોતો. એ વાંચીને મુંબઈના એક કવિયત્રી રીટા શાહે મને મેસેજ કર્યો કે દિકરા કેમ આચાનકથી નેગેટિવ પોસ્ટ મુકવા લાગ્યો છે, કોઈ મુશેકલીમાં છો.? એના વળતા જવાબમાં વિસ્તારથી ન કહી શકતા એટલું જ બોલ્યો કે હા મારે મરી જવું છે. ત્યારે રીટા શાહે કહેલું કે જ્યારે પરિસ્થિતિ વળાંક લે ત્યારે ‘કોઈ એક ખૂણો પકડીને રડી લેવાનું, કા પછી દુનિયા સામે લડી લેવું’ અને મેં ખૂણો પકડીને રડવાનું શરૂ કર્યું પણ કરઝ ઓછું ના થયું ઉલટાનું રડી રડીને શરીરની ઉર્જા બળી ગઇ. છેલ્લે એવો વિચાર કર્યો કે આમેય મરવું જ છે તો એક ચાન્સ દુનિયા સામે લડી લેવનો તો છે જ અને હું લડ્યો પણ એક પંક્તિના સહારે અને એ પંક્તિ હતી.

આથમી ચૂક્યો છું હું એવું નથી, ઊગ્યો છું એવું પણ નથી;
ટુકડે ટુકડે જીવું છું, પણ તૂટી ચૂક્યો છું એવું પણ નથી.
(અનિલ ચાવડા)

આ શેર મળ્યો એનાથી એટલી સમજ પડી કે ના તો હું કોઈ સાત આસમાને પહોંચી ગયો છું, ના હું મુકેશ અંબાણી જેટલી ઊંચાઈનો અમીર બની ગયો છું, ના તો હું સાવ રોડ પર આવી ગયેલા કોઈ ફકીર જેવો થઈ ચૂકયો છું. હું તો ટુકડે ટુકડે જીવું છું પણ તૂટી ચુક્યો છું એવું તો બિલકુલ નથી.

મયુર કોલડિયા લખે છે –

કવિતાના એક શબ્દે મને જીપીએસસીની તૈયારી કરાવડાવી છે
જયારે હું કંપનીમાં એન્જિનિયર તરીકે કામ કરતો હતો ત્યારે ત્યાંનું વાતાવરણ અને મશીનરી કરતા કોઈ બીજા વાતાવરણમાં જવાની ઈચ્છા હતી. . બીજી બાજુ એકેડેમિક્સ અને સાહિત્ય તરફનું ખેચાણ. કંપનીની નોકરીમાંથી નીકળવું એમ નક્કી કર્યું પણ કામ અઘરું હતું. લેક્ચરર માટેની જીપીએસસીનું ફોર્મ ભર્યું પણ 12 થી 14 કલાકની નોકરી પછી તેની તૈયારી કરવી વધારે અઘરું હતું. ત્યારે કવિ ‘કાગ’ની આ પંક્તિઓ સતત ધક્કો મારતી રહી.

વડલો કહે મારી વનરાયું સળગી ને,
મેલી દીયો ને જૂનાં માળા,
ઊડી જાઓ પંખી પાખ્યુંવાળા હોજી..

મારી સાથે જોઈન થયેલા કેટલાંક engineersને કંપનીએ કાઢ્યા ત્યારે નોકરીની વનરાઈઓ સળગતી લાગી ત્યારે ઘણા લોકો હતા જે ઉડી જવા માંગતા હતા. આ સમય દરમિયાન ઉપરની પંક્તિઓ સતત મનમાં ઘૂંટાતી રહી. ખાસ કરીને છેલ્લો શબ્દ ‘પાખ્યુંવાળા’ મને સતત રંજાડવાનું અને ઢંઢોળવાનું કામ કરતો રહ્યો. પાંખો હોય તો ઉડી જાવ એવી તાકીદ કરતો હતો. એ શબ્દ હંમેશા પ્રશ્નાતો કે શું મારી પાસે પાંખ એટલે કે ઉડવાની ક્ષમતા છે?

પછી તો તૈયારી કરી, GPSC exam અને ઇન્ટર્વ્યૂ થયા અને ગમતી જગ્યા સાથે જોડાયો. (જો કે ગીતમાં કવિ છેલ્લે ભેળાં મરશું, ભેળાં બળીશુંની ભાવના તરફ લઇ જાય છે પણ મારે ઉડ્ડયન ભરવું થયું)

પરબતકુમાર નાયી લખે છે-

મહત્તા છે જીવનને સંકટોથી પાર કરવામાં,
ભલે તોફાન બાકી છે, ભલે મઝધાર બાકી છે.
મને જો કળ વળી તો વિશ્વ જોશે ઉડ્ડયન મારું,
ફફડતી પાંખમાં મુજ શક્તિનો ભંડાર બાકી છે.
(અમૃત ઘાયલ)

ગુજરાતી ગઝલના શિરમોર શાયર આદરણીય ઘાયલ સાહેબના આ ગઝલ હું પી. ટી.સી. કોલેજમાં (પાલનપુર) હતો ત્યારે વાંચવામાં આવેલ. એ સમયગાળો મારા જીવન માટે કઠિન હતો, એકદમ ગરીબ કુટુંબમાંથી, ગામડેથી કોલેજ કરવા આવેલો, પિતાજી ગામડે મજૂરી કરતા હતા, એકાદ વખત તો અભ્યાસ પડતો મૂકવાનું વિચારેલું, પછી કોલેજ સાથે વેકેશનમાં ટ્યુશન શરૂ કરેલું, મેં મનોમન નક્કી કરેલું કે પીટીસી પૂર્ણ કરી શિક્ષક જરૂર બનીશ અને એ સ્વપ્ન પૂર્ણ થયું, મારા ગામમાં પ્રથમ શિક્ષક બનવાનું ગૌરવ મેળવ્યું.

હરીશ જસદણવાલા લખે છે-

“સમજપૂર્વક સમષ્ટિનું સમાલોચન કરી લઉં છું
જીવનને હું વલોવી આત્મસંશોધન કરી લઉં છું.
(અકબરઅલી જસદણવાલા)

લોકપ્રિય શાયર અકબર અલી જસદણવાલાનો આ અમર શેર માણસને આત્મનિરીક્ષણ કરવાનું અને સુખદ જીવન જીવવાનું બળ પુરુ પાડે છે. શેર વાંચીને મને આશાવાદી જીવનની પ્રેરણા મળી છે. આ શેર મને ખૂબ ગમે છે.

ક્રિષ્ણા હિતેન આશર લખે છે-

કવિશ્રી સંદીપ ભાટીયાની કવિતા.. “માણસ જેવો માણસ પળમાં ધુમાડો થઈ જાય એ કંઈ જેવી તેવી વાત નથી…” કોરોનામાં મારા વ્હાલા મોટા ભાભી શ્રીજીચરણ પામ્યાં ત્યારે આ કવિતાની એક એક પંક્તિ પર હું ખૂબ રડેલી. એની દીકરીને પણ મે સજળ આંખે સંભળાવેલી આ કવિતા. પણ એ કવિતા સધિયારો આપવામાં નિમિત્ત બની કે મનની વાત શબ્દો દ્વારા પ્રગટ થયેલી એટલે કે આંસુ દ્વારા દર્દને વહાવવા માં સહારો બની એટલે… ખબર નથી કેમ..પણ ખૂબ ગમેલી એ કવિતા. રચયિતા શ્રી સંદીપભાઈને પણ ધન્યવાદ સાથે ખૂબ આભાર માન્યો આવી સરસ , સંવેદનશીલ કવિતાનું સર્જન કરવા બદલ

બારીન દીક્ષિત અમદાવાદથી લખે છે-

તારું કશું ના હોય તો છોડી ને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું !
(રાજેશ વ્યાસ ‘મિસ્કીન’)

આ પંક્તિઓ મને ખુબ ગમે છે. મને જ્યારે જ્યારે એમ લાગે કે કોઇ એક વસ્તુ મને ગમતી -નથી મળતી ત્યારે ત્યારે મારી જાત માટે આ પંક્તિ યાદ કરું છું. મારા હાર્ટ ના ઓપેરેશન વખતે પણ આ પંક્તિઓ ના સહારે જલ્દી રિકવર થયો હતો એમ લાગે.

વિભા કિકાણી લખે છે –

આવનારી સૌ ખુશીની વાત કરીએ,
એક નવી શરૂઆતની શરૂઆત કરીએ.
હરવખત શું માત થઈ જાવું દુઃખોથી,
ચાલ આ વખતે દુઃખોને માત કરીએ.

કવિ હર્ષ બ્રહ્મભટ્ટ સાહેબની આ ગઝલ ખરેખર મારા માટે પ્રેરણાપુંજ બની છે. આવનારી ખુશીની વાત કરવાની સાથે શરૂ થતી ગઝલ… મળ્યું છે એને સવાયું કરીને કાલને સોગાત કરવાની વાત સાથે જ્યારે પૂર્ણ થાય છે ત્યારે ભાવકના હૃદયને હળવુફૂલ બનાવી જાય છે. દુઃખ સામે લડવાનું તો સૌ કહે પણ, દુઃખને હરાવવાની વાત તો કવિ જ કરી શકે.
આ ગઝલ સાથે મારે ગાઢ નાતો બંધાઈ ગયો છે. આઘાત અને દુઃખની ભીંસ વચ્ચે જીવન દુષ્કર લાગતું હતું ત્યારે વર્ગમાં ગઝલના પહેલા શેરનો ભાવાનુવાદ કરતાં હું રડી પડી હતી. જો કે બીજી જ ક્ષણે હું સ્વસ્થ થઈ ગઈ હતી કારણ કે બીજા શેરમાં કહેલી વાત મારે મારા વિદ્યાર્થીઓના જીવનમાં ઉતારવી હતી. એક દસકાથી મને જિંદગી જીવવાની હિંમત આપનાર કવિતા અને કવિ બંનેની હું ઋણી છું.

જ્યોતિ ત્રિવેદી લખે છે-

એક બારણું બંધ થયું તો રંજ શું એનો
દ્વાર બીજું ઉઘાડવાનું જરા શ્રદ્ધા રાખો
જે ખોયું તે મળવાનું જરા શ્રદ્ધા રાખો
(રિષભ મહેતા)

તારીખ 19/10/22 થી અમે અમારી વહાલી બહેનને શોધી રહ્યા છીએ. આજ સુધી કોઈ પણ ખબર પડી નથી. ડભોઈ સુખધામ આશ્રમમાં ભજન દ્વારા ઈશ્વરની પ્રતીતિ કરાવતી આ રચના અમને ભજનસ્વરૂપે સાંભળવા મળી. આ રચનાએ અમોને ખૂબ માનસિક બળ આપી અમારી શ્રદ્ધા ને ફરી એકવાર અડગ કરીને અમોને નવેસરથી જીવન જીવવાનું ઔષધ પૂરું પાડયું છે.

વિપુલ જોશી લખે છે –

જે કાજે ઊતર્યા નીચે, તે હેતુને ફળાવવા,
પ્રભુ ! જગાડતો રે’જે, હૈયે મને ઉગાડવા.
(શ્રી મોટા)

મનુષ્ય જન્મનો હેતુ એક વાર ખબર પડી જાય પછી જે હેતુ માટે દેહ ધારણ કર્યો છે એ આધિભૌતિક, આધિદૈવીક અને આધ્યાત્મિક માર્ગમાં પ્રભુ ચલાવજે અમને. શ્રીમોટાની આ રચના મારા જીવનમાં ખૂબ અગત્યનો ભાગ ભજવી ગઇ છે.

શ્રીદેવી શાહ લખે છે-

પૃથ્વી તો લ્હેરથી જાય તરતી નભે,
ને અલ્યા,ભાર લાગે તને કાં ખભે ?
તેં જ તારું હજી આત્મનું અવનિમાં બીજ બોયું નથી,
કાંઈ ખોયું નથી,
તેં હજી ભાઈ, ભરપૂર ભીતર તણું પાત્ર જોયું નથી.

પૂ. કવિ શ્રી “સાંઈ” મકરંદ દવે ની આ કવિતા મન અને આત્માને ઝંકૃત કરી ગઈ… જાણે આઝાન અને આરતીના પવિત્ર સ્વરોથી આર્દ્ર હ્રદયથી પરમને પોકારતું હૃદય….અને હાથોહાથ ઉત્તરની ચિઠ્ઠી આપવા આવેલો પ્રેમી ઇશ્વર.. થોડા દુન્યવી ભારથી થાકી જતા….તું બહુ દૂર છે, તું ક્યાંય જડતો નથી કે મારી નજરે ચડતો નથી એવી ફરિયાદો કરતા.. અજંપાથી વ્યાકુળ થતા મારા મનને બે વરદ હસ્ત જેવા શબ્દોથી જાણે આશીર્વાદના અજવાળા કરી દીધા…. હું મને મારામાં જ જડી ગઈ….મારા આતમના બીજને પ્રેમની ભૂમિમાં રોપ્યું…. મારા અહમ્ અને અભિમાનને આંસુના અષાઢમાં ઓગાળી અને આહા.. નિર્મળ, સ્વચ્છ શ્રાવણી પૂનમનું અજવાળું જાણે ચોમેર અનુભવ્યું…. ભીતરના ભેરૂ ને મળવાનો આનંદ અને અંદર નું અજવાળું આપનાર સંત કવિના શબ્દોને સાષ્ટાંગ પ્રણામ…..

Comments (9)

પ્રેરણાપુંજ : ૧૧ : વાચકોની કલમે… : ૦૧

જયશ્રી ભક્ત (ટહુકો ડોટ કોમ) લખે છે-

અમે રાખમાંથીયે બેઠા થવાના,
જલાવો તમે તોયે જીવી જવાના.
ભલે જળ ન સીંચો તમે તે છતાંયે,
અમે ભીંત ફાડીને ઊગી જવાના.
(હર્ષ બ્રહ્મભટ્ટ)

આ ગઝલનું તો પોસ્ટર બનાવીને મારા ઘરમાં મૂકવાની ઇચ્છા થાય છે. દરેક પંક્તિમાં એવી ખુમારીની વાતો છે કે મન જો કશે જરા નબળું પડ્યું હોય તો જુસ્સો પાછો આવી જાય. જિંદગીની આંખોમાં આંખ પરોવીને પૂછવાની ઇચ્છા થાય, ‘બોલ, શું જોઇએ છે તારે ? ‘

રાજકોટથી લયસ્તરોના એક અનામી ચાહક લખે છે-

કાચી ઉંમરે કરેલો પહેલો પ્રેમ ક્યારેક જ પૂરો થાતો હોય છે, અને અધૂરા પ્રેમ ની મજા તો મોટા થઈએ ત્યારે શીખીએ પણ તે ઉમર માં તો એવું જ લાગે કે દુનિયાભરના તમામ કવિઓ , દરેક ભાષામાં , વિયોગ ની , બ્રેક-અપની કવિતાઓ માત્ર ને માત્ર તમારા માટે જ લખે છે! you start relating everything with you! ગોવિંદે જે આપ્યું હતું , જે થોડો સમય તમારી પાસે રહ્યું ને તમે હવે એ જ પાછું સોંપી રહ્યા છો તો પણ માલિકી ભાવ , દુઃખ , ઈગો હર્ટ , રીસ , ગુસ્સો બધું જ આવે ! (રેફ: ત્વદિયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પ્યતે ) And the toughest and the best decision then and even now is to “LET GO” to let your love GO ! set him free on a good note, with the heart right in place , without any hard feelings ! અને ત્યારે મને શ્રી મનોજ ખંડેરિયાનો એક શેર ખુબ કામ લાગ્યો-
“મારો અભાવ મોરની માફક ટહુકશે,
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઈશ”

બસ આ શેરના કારણે હું એ પહેલા પ્રેમને સરળતાથી , સુકામનાઓ આપી જવા દઈ શકી !

હિમલ પંડ્યા લખે છે –

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
એ જ હોય પગની તળે – એમ પણ બને;
જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં
મન પહોંચતાં જ પાછું વળે – એમ પણ બને.

કવિશ્રી મનોજ ખંડેરિયાની ગઝલના આ બે શેરના પરિચયમાં તરુણાવસ્થામાં જ આવવાનું થયેલું. ત્યારથી જ જીવનની અને મનની અવસ્થાઓનો વાસ્તવિક ચિતાર દર્શાવતી આ પંક્તિઓ બહુ કામ લાગી છે. આપણી ઇચ્છાઓ, આપણી તૃષ્ણાઓ કેટલી ક્ષણભંગુર છે! કશુંક પામવાની ખેવના જ્યાં સુધી એ હાથવગું નથી હોતું ત્યાં સુધી જ તીવ્ર હોય છે. તો સાથોસાથ જે સુખની, કે ખુશીઓની આકાંક્ષા હોય એ ઘણીવાર જીવાતાં જીવનની નાની-નાની ઘટનાઓ અને પ્રસંગોમાં સમાયેલી હોય છે.

વિપુલ માંગરોલિયા વેદાંત લખે છે-

વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે
તરણું ઊખડી જાય તો કે’જે મને
જિંદગી તારાથી હું થાક્યો નથી
તું જો થાકી જાય તો કે’જે મને
(ખલીલ ધનતેજવી)

ખલીલ સાહેબની આ પંક્તિઓ ખરેખર એટલી ખુમારી દર્શાવે છે કે કોઈપણ નાસીપાસ થયેલા વ્યક્તિને ફરીથી બેઠાં થવા મજબૂર કરી દે. જીવનમાં ઘણીવાર આવા ઉતાર ચઢાવ આવ્યા ત્યારે આ પંક્તિઓ ખરેખર કામમાં આવી. લયસ્તરો નો આભાર કે એમણે મને આ પંક્તિઓ થી રૂબરૂ કરાવ્યો.

કવિતા શાહ લખે છે-

તારી જો હાક સુણી કોઈ ના આવે, તો એકલો જાને રે …
– ટાગોર.
(‘જોદી તોર ડાક શુની કેઉ ના આશે તોબે એકલા ચલો રે …’ બંગાળી)

‘નોબેલ’ પુરસ્કૃત અને ‘સર’ની પદવી પ્રાપ્ત તેમજ એશિયાનાં બંને ભારત અને બાંગ્લાદેશને રાષ્ટ્રગીતની ભેટ આપનાર કવિ શ્રી રવિન્દ્રનાથ ટાગોરનું પ્રયાણ ગીત એટલે કે આ ‘ માર્ચ સોંગ ‘ મને ખુદનો સૂરજ ખુદ બનવા આહવાન કરે છે.

કપરા સમયમાં, એકલા પડી ગયાની પીડા વખતે આ ગીતની આ એક લીટી જ આપણને આપણે જ આપણા ઉદ્ધારક બનવાનો જુસ્સો પૂરો પાડે છે. કોઈ રાહબર બને ના બને, પથ પર પ્રકાશ ઘરે ના ધરે, કોઈ તારો પોકાર સુની આવે ના આવે તો અટકી ન જતાં એકલા નીકળી પડવાનું જોમ ભરે છે.
હતાશા ખેરવી દેતું આ ગીત કાયમ મને હાથ પકડી ટેકો પૂરો પાડે છે. ભરોસામંદ ભેરુ છે મારો.

પૂજ્ય બાપુ લખે છે-

અબ મેં ક્યાં કરું મેરે ભાઈ? મૃગલા ગયા ખેત સબ ખાઈ…
પાંચ મૃગ, પચીસ મૃગલી, રહેવે ઈસ વન માંહીં…
યે વનમે હૈં ખેત હમારા, સો વ્હૈ ચરી ચરી જાઈ…
(ગોરખનાથ)

આમ તો દરેક કવિતાને માણવી અને પ્રમાણવી ખૂબ ગમતું કામ છે પણ ગોરખનાથજીની આ કવિતા એવી તો અડી ગઈ કે વાત ના પૂછો. આ પંક્તિ પછી મને શબદગંગા ની પ્રેરણા મળી. અને મનની સ્થિરતા માટે આધ્યાત્મનો એક નવો રસ્તો પણ ખૂલી ગયો.

નાથ પરંપરાના સિદ્ધ યોગી એવા ગોરખનાથજીના આ શબદ સમજાય તો આપણું ખેતર ઉજ્જડ થતાં બચી જાય. અહીં ખેતર એ મન છે અને વન એ મનનું વિશાળ, અફાટ ક્ષેત્ર છે. પાંચ મૃગ એ ઇચ્છાના પ્રકાર છે તો પચીસ મૃગલી અવિનય, અક્રિયા, અજ્ઞાન, સંશય, અધર્મ,અશ્રદ્ધા વગેરે (જૈનધર્મ જેને પચ્ચીસ પ્રકારના મિથ્યાત્વ તરીકે ઓળખાવે છે.) મનની ખેતી માટે તો સ્થિરતાનું સિંચન જોઈએ. જો એને બાંધી શકાય તો ભક્તિનો મબલખ પાક લઈ હરિચરણે ભોગ ધરી શકાય…

ડૉ. પુષ્પક ગોસ્વામી (વડનગર) લખે છે-

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.
(આદિલ મન્સૂરી)

જ્યારે આદિલ મન્સૂરી સાહેબની આ ગઝલ વાંચી ત્યારે હું અમદાવાદ રહેતો હતો. શહેરની ઝાક ઝમાળ વચ્ચે શાંતિની શોધમાં શાંતિ ખોઈ બેસેલો હું જ્યારે ગામડામાં જતો, ત્યારે એક અલગ જ પ્રકારની શાંતિ અને આત્મીયતાનો આનંદ મળતો. એક દિવસ ખેતરના શેઢે બેઠા બેઠા આ ગઝલ સાંભળી અને મને થયું કે ખરેખર હું જે નથી તે મેળવવાની લ્હાયમાં, જે છે તેવું ઘણુંબધું ગુમાવી રહ્યો છું. અંતે મેં મારા વતન પરત ફરવાનો નિર્ણય કર્યો અને આજે હું વતનમાં ખૂબ ખુશ છું.

મિત્ર રાઠોડ લખે છે-

હું બહુ નાનો માણસ છું એવું માનતો હતો પરંતુ બરકત વિરાણી ‘બેફામ’ સાહેબની “થાય સરખામણી” ગઝલ વાંચી ત્યારથી નાનો માણસ સૌને કેટલો કામ આવી શકે છે એ વાત પર ધ્યાન ગયું અને બીજાને નાના મોટા દરેક કામમાં હું કામ આવતો ગયો. જેના કારણે આજે હું સૌનો “મિત્ર” બની શક્યો છું.

થાય સરખામણી તો ઊતરતા છીએ
તે છતાં આબરૂ અમે દીપાવી દીધી.
એમના મહેલ ને રોશની આપવા
ઝુંપડી પણ અમારી જલાવી દીધી.
(બરકત વિરાણી ‘બેફામ’)

જોરુભા ખાચર વડોદરાથી લખે છે-

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની આ અણમોલ કાવ્ય પંકતિ હાડોહાડ હ્રદયમાં ધ્રોપટ આરપાર નીકળી ગઈ અને સમગ્ર મેઘાણી સાહિત્ય વાંચવા પ્રેર્યો

“અગર બહેતર ભૂલી જાજો અમારી યાદ ફાની !
બૂરી યાદે દુભવજો ના સુખી તમ જિંદગાની;
કદી સ્વાધીનતા આવે-વિનંતી,ભાઈ,છાનીઃ
અમોનેય સ્મરી લેજો જરી, પળ એક નાની !

તનસુખ શાહ ‘સ્વપ્નિલ’ લખે છે-

તારાં સ્વપ્નોમાં છું એવો લીન કે,
તું જગાડે તોય હું જાગું નહીં,
તારા સ્મરણોનાં મળે જો ફૂલ તો,
હું સદેહે પણ તને માંગું નહીં.
(ભગવતીકુમાર શર્મા)

કોલેજકાળ દરમ્યાન કવિશ્રીનો ગઝલ સંગ્રહ ‘સંભવ’ ખરીદીને વાંચેલો.એમાંથી પસાર થતાં કવિશ્રી મારા માટે પ્રેરણારૂપ બન્યા.. જે વરસો બાદ 2019 માં મારા પ્રથમ ગઝલ સંગ્રહ ‘આ શેઢે ગરમાળો’ ના પ્રાગટ્ય માટે કારણરૂપ બન્યા.

Comments (9)

પ્રેરણાપુંજ : ૧૦ : મુક્તકો

પ્રેરણાપુંજ – રાહ ચીંધતી કવિતાઓની શ્રેણીમાં આજે આ આખરી કડી…

ઘણીવાર આખી કવિતા ઉપરાંત નાની-નાની કાવ્યકણિકાઓ પણ હૈયામાં કાયમી મુકામ કરી જતી હોય છે અને ટાણેટાંકણે આ કણિકાઓ સ્મરણપટ પર આપોઆપ ઉપસી આવતી હોય છે. જીવનના અલગ-અલગ વળાંકો પર, મનોદશાના અલગ-અલગ પડાવો પર આવી અલગ-અલગ કાવ્યકણિકાઓ આપોઆપ આગળ આવીને આપણો હાથ ઝાલી લેતી હોય છે, અને આવો હૂંફાળો સાથ મળ્યા બાદ આગળ ડગ માંડવાનું થોડું આસાન બની રહેતું હોય છે. અહીં જે મુક્તકો હું આપ સહુ સાથે સહિયારી રહ્યો છું, એ બધાએ ડગલેપગલે વફાદાર પ્રેમિકાની જેમ મારો સાથ નિભાવ્યો છે. આમ તો માબાપે આપેલ જીવન પ્રમાણમાં ખાસ્સું સરસ જ રહ્યું છે, પણ નાનીમોટી તકલીફો અને ઘણુંખરું પેટ ચોળીને ઊભાં કરેલ શૂળ ઈમાનદારીથી મને હંફાવવાની કોશિશ કરતાં આવ્યાં છે. આવા દરેક કપરા સમયમાં આ કવિતાઓએ મને ફરીફરીને બેઠો કર્યો છે. હજારોવાર આ પંક્તિઓને મોટેમોટેથી મેં મનમાં લલકારી છે. (ધવલે શેખાદમનું ‘અમને નાંખો જિંદગીની આગમાં’ મુક્તક પૉસ્ટ કરી દીધું છે એટલે એનું પુનરાવર્તન કરતો નથી.)

આવી જ કોઈ કવિતાઓ આપના માટે ‘પ્રેરણાપુંજ – રાહ ચીંધતી કવિતાઓ’ બની હોય તો કમેન્ટ વિભાગમાં જરૂર સહિયારજો.

*

અફસોસને આસન કદી જો આપશું,
જે રહ્યું થોડુંય તે લૂંટી જાશે;
જો ગુમાવ્યાની ગણત્રીમાં પડયા,
ફૂલ ઊઘડતુંય એ ચૂંટી જશે.
– મકરંદ દવે

કોક દિન ઇદ અને કોક દિન રોજા
ઊછળે ને પડે નીચે જિંદગીનાં મોજાં.
– મકરંદ દવે

ઉરની સાંકલડી શેરીના પંથ વિશાળ રચાવો,
હૈયાનાં ઝરણાં નાનાને સાગર જેવું બનાવો.
– સુન્દરમ્

નથી ઇચ્છા કે કિનારા થઈને પડ્યા રહીશું,
નાનું તોયે ઝરણું થઈને વહેતા રહીશું.
– ?

જીવવું છે, ઝૂરવું છે, ઝૂઝવું છે, જાનેમન !
થોડી અદાઓ ફાંકડી, થોડી ફિતૂરી રાખવી.
બાજ થઈને ઘૂમવું અંદાજની ઊંચાઈ પર,
ઇશ્ક ખાતર બુલબુલોની બેકસૂરી રાખવી
– વેણીભાઈ પુરોહિત

હાથની રેખા પ્રમાણે ચાલનારા છે ઘણા,
ચાલ તારાઓની બદલે એ જ શક્તિમાન છે.
– શેખાદમ આબુવાલા

મને એ નાખુદા પર છે ખુદા કરતાં વધુ શ્રદ્ધા,
કિનારો જોઈ જે પાછો વળી જાયે સમંદરમાં.
– શૂન્ય પાલનપુરી

કદમ અસ્થિર હો એને કદી રસ્તો જડતો નથી,
અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી;
તમારા મનને જીતી લો તો હું માનું. ‘સિકંદર છો’,
નહીંતર દિગ્વિજય ઉચ્ચારવામાં શ્રમ નથી પડતો.
– શૂન્ય પાલનપુરી

ઝુલ્ફ કેરા વાળ સમ છે ભાગ્યની ગૂંચો બધી,
માત્ર એને યત્ન કેરી કાંસકી ઓળી શકે.
– શૂન્ય પાલનપુરી

જિંદગી જીવવાની ફિલસૂફી સમજી લીધી,
જે ખુશી આવી જીવનમાં, આખરી સમજી લીધી.
– મરીઝ

જિગર પર જુલ્મે કે રહેમત, ઘટે જે તે કરી જોજો,
તમારા મ્હેલના મહેમાનની સામું ફરી જોજો;
કટોરા ઝેરના પીતાં કરું છું એ વફાદારી,
કસોટી જો ગમે કરવી, બીજું પ્યાલું ધરી જોજો.
– કપિલરાય ઠક્કર ‘મજનૂ’

ફરીથી વિશ્વને જોવા મળે પુરુષાર્થની સિદ્ધિ,
ફરીથી ભાગ્યરેખાઓ બધી ગૂંચવાઈ જાવા દ્યો.
– ‘દિલહર’ સંઘવી

સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી,
ચણાયેલી ઇમારત એના નક્શામાં નથી હોતી.
– અમૃત ઘાયલ

મને મળી નિષ્ફળતા અનેક,
તેથી થયો સફળ કૈંક હું જિંદગીમાં
– ઉમાશંકર જોશી

Comments (6)

પ્રેરણાપુંજ : ૦૯ : દુ:ખનું કેટલું જોર? – રાજેન્દ્ર શાહ

ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર?
નાની એવી જાતક વાતનો મચવીએ નહિ શોર!

ભારનુ વાહન કોણ બની રહે? નહી અલૂણનું કામ,
આપણ તો બડભાગી, ખમીરનું આજ ગવાય રે ગાન;
સજલ મેઘની શાલપે સોહે રંગધનુષની કોર.

જલભરી દગ સાગર પેખે, હસતી કમળફૂલ,
કોકડું છે પણ રેશમનું, એનું ઝીણું વણાય દુકૂલ;
નિબિડ રાતના કાજળ પાછળ પ્રગટે અરુણ ભોર.

આપણે ના કંઈ રંક, ભર્યોભર્યો માંહ્યલો કોશ અપાર;
આવવા દો જેને આવવું, આપણે મૂલવશું નિરધાર;
આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર.

– રાજેન્દ્ર શાહ

કયા ધોરણમાં એ તો યાદ નથી, પણ શાળામાં આ કવિતા ભણવામાં આવી અને ગમી ગઈ. એ સમયે તો ગુજરાતી વાચનમાળામાં હોય એટલી કવિતાઓ કંઠસ્થ કરી લેવાની આદત હતી. પાછળથી આ કવિતા અજિત-નિરુપમા શેઠની કેસેટ મારફતે ફરી રૂબરૂ થઈ. મને ખ્યાલ પણ ન આવે એ રીતે આ કવિતાએ જીવનમાં ઘણીવાર ટેકો કર્યો છે. માર્ગ સૂઝતો ન હોય, આગળ અંધારા સિવાય કશું નજરે ન ચડતું હોય ત્યારે-ત્યારે આ કવિતાએ ‘સજલ મેઘની શાલપે સોહે રંગધનુષની કોર’ બનીને ‘અરુણ ભોર’ પ્રગટશે જ એ બાબતે હૈયાધારણા આપી છે. આજે તો ‘ગરમાળો’ અને એની ‘તાપ વધુ-ફૂલ વધુ’ની તાકાત મારી નસોમાં વહેતું રુધિર બનીને વહે છે, પરંતુ જ્યારે હું ગરમાળાના વૃક્ષથી બિલકુલ અપરિચિત હતો એ સમયે ‘આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર’ મારા જીવનનો તકિયાકલામ બન્યો હતો. વેદની ઋચાની જેમ આ પંક્તિ મારા અસ્તિત્વમાં રણકતી આવી છે, રણકે છે અને રણકતી રહેશે… આ કવિતાએ મને ‘પોઝિટિવિટી’ શીખવી છે. કવિતાને અને કવિને મારી સો સો સલામ!

Comments (4)

પ્રેરણાપુંજ : ૦૮ : એકલો જાને રે! – રવીન્દ્રનાથ ઠાકુર (અનુવાદ–મહાદેવભાઈ દેસાઈ)

તારી જો હાક સૂણી કોઈ ના આવે, તો એકલો જાને રે !
એકલો જાને, એકલો જાને, એકલો જાને રે ! – તારી જો …

જો સૌનાં મ્હોં શીવાય,
ઓ રે ઓ રે ઓ અભાગી ! સૌનાં મ્હોં શીવાય,
જયારે સૌએ બેસે મ્હોં ફેરવી, સૌએ ફરી જાય,
ત્યારે હૈયું ખોલી, અરે તું મ્હોં મૂકી,
તારા મનનું ગાણું, એકલો ગાને રે ! – તારી જો …

જો સૌએ પાછાં જાય,
ઓ રે ઓ રે ઓ અભાગી ! સૌએ પાછાં જાય,
જયારે રણવગડે નીસરવા ટાણે, સૌ ખૂણે સંતાય,
ત્યારે કાંટા રાને, તું લોહી નીકળતે ચરણે
ભાઈ એકલો ધા ને રે ! – તારી જો …

જ્યારે દીવો ના ધરે કોઈ,
ઓ રે ઓ રે ઓ અભાગી ! દીવો ના ધરે કોઈ,
જયારે ઘનઘોર તુફાની રાતે બાર વાસે તને જોઈ,
ત્યારે આભની વીજે સળગી જઈ,
સૌનો દીવો તું એકલો થાને રે !

  • – રવીન્દ્રનાથ ઠાકુર
    ( અનુવાદ – મહાદેવભાઈ દેસાઈ )

પ્રેરણાદાયી કાવ્યોની વાત હોય અને આ કાવ્ય ન હોય એમ બને ???
ચીલો ચાતરનારાઓનું તો આ જીવનકાવ્ય કહી શકાય ! કંઈ કેટલીય વખત આ કાવ્યએ હિંમત આપી છે….

Comments (2)

પ્રેરણાપુંજ : ૦૭ : ધૂળિયે મારગ – મકરન્દ દવે

કોણે કીધું ગરીબ છીએ?
કોણે કીધું રાંક?
કાં ભૂલી જા મન રે ભોળા!
આપણા જુદા આંક.

થોડાક નથી સિક્કા પાસે,
થોડીક નથી નોટ,
એમાં તે શું બગડી ગયું?
એમાં તે શી ખોટ?

ઉપરવાળી બેંક બેઠી છે
આપણી માલંમાલ,
આજનું ખાણું આજ આપે ને
કાલની વાતો કાલ.

ધૂળિયે મારગ કૈંક મળે જો
આપણા જેવો સાથ,
સુખદુઃખોની વારતા કે’તા
બાથમાં ભીડી બાથ.

ખુલ્લાં ખેતર અડખે પડખે
માથે નીલું આભ,
વચ્ચે નાનું ગામડું બેઠું
ક્યાં છે આવો લાભ?

સોનાની તો સાંકડી ગલી,
હેતું ગણતું હેત,
દોઢિયાં માટે દોડતાં એમાં
જીવતાં જોને પ્રેત!

માનવી ભાળી અમથું અમથું
આપણું ફોરે વ્હાલ;
નોટ ને સિક્કા નાખ નદીમાં,
ધૂળિયે મારગ ચાલ!

– મકરંદ દવે

મારા માટે ‘‘પ્રેરણાપુંજ- રાહ ચીંધતી કવિતાઓ” કઈ એમ કોઈ સવાલ કરે તો મારા કેટલાક જવાબોમાંનો એક તે આ કવિતા. બહુ નાનો હતો ત્યારે અભ્યાસક્રમમાં આ રચના સાથે મુલાકાત થઈ હતી. જે સમયે જીવન કે કવિતા –બંનેમાં બહુ ઊંડી સમજ નહોતી પડતી એ સમયે પણ આ કવિતા ખૂબ વહાલી થઈ ગઈ હતી. એટલા સરળ શબ્દોમાં અને નાના-નાનાં વાક્યોમાં ચુસ્ત પ્રાસાવલિ સાથે કવિતા રચાઈ છે કે સહેજેય પ્રયત્ન કર્યા વિના જ આખી રચના કંઠસ્થ થઈ ગઈ હતી. આજેય ચાર બંધ તો કોઈ અડધી રાતે ઊંઘમાંથી ઊઠાડીને બોલવા કહે તોય કડકડાટ બોલી શકું. બાળકાવ્યમાં હોવી ઘટે એવી સરળતા સાથે આવું અદભુત ગીત રચવું એ કંઈ નાનુસૂનું કવિકર્મ નથી.

આ કવિતા મને રાહ ચીંધતી કવિતા લાગે છે એનું બીજું કારણ એ કે આ કવિતા સાચા અર્થમાં જીવતો એક માણસ મારી જિંદગીમાં હતો. જિંદગીનો બહુ મોટો હિસ્સો મેં એ માણસની સાથે વિતાવ્યો છે. એ માણસ તે મારા પપ્પા. ‘પૈસો હાથનો મેલ’ હોવાની વિભાવના એમણે ખરેખર ચરિતાર્થ કરી બતાવી હતી. પોતે લાખ તકલીફોમાં કેમ ન હોય, પણ મદદ માંગવા આવનાર કદી ખાલી હાથે ન જાય એનું તેઓ હંમેશા ધ્યાન રાખતા. એમની આ દાતારવૃત્તિનો ઘરમાં પુષ્કળ વિરોધ થતો હોવા છતાં એમણે આ સખાવતને કદી તાળું માર્યું નહોતું. આ મદદ કેવળ પૈસાની જ નહીં, તમામ પ્રકારની. આજે તો પપ્પા નથી, પણ મને ખુશી છે કે એમની કનેથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી હું મેળવી શક્યો છું. એમની જેમ હું દરેકને મદદ કરતો ફરતો નથી, પણ પૈસાની બાબતમાં હાયવોય ન કરવાનું હું એમની પાસેથી શીખ્યો છું. ધન બાબતે એમની પાસેથી વારસામાં મળેલી સંતોષવૃત્તિના કારણે રાત મારે પડખાં બદલીને પસાર કરવી નથી પડતી. આ કવિતા મારા માટે પ્રેરણાપુંજ છે, કારણ આ કવિતા મને મારા પપ્પા સાથે મુલાકાત કરાવે છે.

Comments (2)

પ્રેરણાપુંજ : ૦૬ : એક ઘા – કલાપી

તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો,
છૂટ્યો તે ને અરર ! પડી ફાળ હૈયા મહીં તો
રે રે ! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાં
નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં.

મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ થી આ,
પાણી છાંટ્યું દિલ ધડકતે ત્હોય ઊઠી શક્યું ના;
ક્યાંથી ઊઠે ? જખમ દિલનો ક્રૂર હસ્તે કરેલો !
ક્યાંથી ઊઠે ? હૃદય કુમળું છેક તેનું અહોહો !

આહા ! કિન્તુ કળ ઊતરી ને આંખ તો ઊઘડી એ,
મૃત્યુ થાશે ? જીવ ઊગરશે ? કોણ જાણી શકે એ ?
જીવ્યું, આહા ! મધુર ગમતાં ગીત ગાવા ફરીને,
આ વાડીનાં મધુર ફલને ચાખવાને ફરી ને.

રે રે ! કિન્તુ ફરી કદી હવે પાસ મ્હારી ન આવે,
આવે ત્હોયે ડરી ડરી અને ઈચ્છતું ઊડવાને;
રે રે ! શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે,
લાગ્યા ઘાને વિસરી શકવા કાંઇ સામર્થ્ય ના છે.

– કલાપી

ફરી એકવાર – કાવ્ય મુકવાનું કારણ અંગત….. – લગભગ ચોથા ધોરણમાં આ કાવ્ય ભણવામાં આવ્યું હતું અને જીવનમાં કાવ્યપ્રકાર માટે અનુરાગ જગાડનારા કાવ્યોમાંનું આ એક.

ઘા માત્ર શરીરના નથી હોતા. સૌથી ગહેરા ઘા માનવીના શબ્દો અને માનવીનું આચરણ કરતા હોય છે. હું પોતે જ એ અપરાધ વારંવાર કરતો આવ્યો છું – અસંખ્ય ઘા મેં ઘણાને કીધા છે. પાછળથી પારાવાર પસ્તાવો પણ થયો છે….. પણ….સમયના ચક્ર કદી ઊંધા ફરતા નથી અને કરેલાં ઘા કદાચ રૂઝાઈ ગયા હોય તોપણ નિશાન રહી ગયા છે….ગુમાવેલો વિશ્વાસ લૌટીને પાછો આવતો નથી…..અને મનમાં આ કાવ્યનું અંકિત ચરણ પડઘાયા કરતું રહે છે-

રે રે ! શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે,
લાગ્યા ઘાને વિસરી શકવા કાંઇ સામર્થ્ય ના છે.

આ પંક્તિએ મને અનેકવાર કોઈને ઝખમી કરી દેતા અટકાવ્યો છે 🙏🏻🙏🏻

 

Comments (2)

પ્રેરણાપુંજ : ૦૫ : પાર્થને કહો ચડાવે બાણ – ન્હાનાલાલ

હવે તો યુદ્ધ એ જ કલ્યાણ
કહો, કુંતાની છે એ આણ
પાર્થને કહો ચડાવે બાણ

ભીખ્યાં, ભટક્યાં, વિષ્ટિ, વિનવણી
કીધાં સુજનનાં કર્મ
આર્યસુજનતા દૈન્ય ગણી તો
યુદ્ધ એ જ યુગધર્મ
સજીવન થાય પડ્યાયે પ્હાણ
પાર્થને કહો ચડાવે બાણ

દ્રૌપદીની હજી વેણ છૂટી છે
રાજસભાના બોલ
રણનોતરાંના ઉત્તર દેજો
રણધીરને રણઢોલ
પાર્થની પ્રત્યંચાને વાણ
પાર્થને કહો ચડાવે બાણ

મેહુલો બોલે, વાયુ હુંકારે
ત્યમ તલપો સિંહબાળ
યુગપલટાના પદ પડછન્દે
ગજવો ઘોર ત્રિકાળ
સજો શિર વીર ! હવે શિરત્રાણ
પાર્થને કહો ચડાવે બાણ

નૃલોક જોશે, કાળ નીરખશે
રણરમતો મુજ વંશ
સત શીલ ને ધર્મયજ્ઞમાં
હજો વિશ્વવિધ્વંસ
ઊગે જો ! નભ નવયુગનો ભાણ
પાર્થને કહો ચડાવે બાણ

વિધિનાં એ જ મહાનિર્માણ
પાર્થને કહો ચડાવે બાણ

– ન્હાનાલાલ

આ વીરરસનું કાવ્ય અહીં પ્રેરણાકાવ્યોના સંપુટમાં શીદને ? – જવાબ થોડો અંગત છે –

ઘણી વેળા જીવનમાં એવો ત્રિભેટો આવ્યો છે કે સંઘર્ષના રસ્તે જવું કે સમાધાનના તે સમજાય નહીં…..વળી જ્યારે સમાધાનના રસ્તે જવાની કિંમત એ હોય કે અપમાનના ઘૂંટડા ગળવા પડે,સ્વ-હાનિ અથવા પ્રિયજનોની હાનિ સહેવી પડે,ઘોર અન્યાય સહેવો પડે….-આવી આકરી કિંમત હોય. મ્હાંયલો કહેતો હોય કે આ નહીં જ સહન થાય, સંઘર્ષ કર ! પરંતુ સંઘર્ષના રસ્તે પણ ઓછો હાહાકાર ન દીસતો હોય…ઓછો સાર્વત્રિક વિનાશ અનપેક્ષિત ન હોય – ત્યારે શું કરવું ? –

ત્યારે આ કાવ્યનું આ ચરણ હંમેશા હૈયે ગુંજ્યું છે –

નૃલોક જોશે, કાળ નીરખશે
રણરમતો મુજ વંશ
સત શીલ ને ધર્મયજ્ઞમાં
હજો વિશ્વવિધ્વંસ
ઊગે જો ! નભ નવયુગનો ભાણ
પાર્થને કહો ચડાવે બાણ

Comments (1)