-તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે,
લે મૂક હથેળી પર મખમલ, બહુ એકલવાયું લાગે છે.
હેમેન શાહ
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
June 18, 2026 at 10:59 AM by વિવેક · Filed under ગીત, હરીન્દ્ર દવે
મોસમનો પહેલો વરસાદ, ઘણી ખમ્મા,
તરણે કોળે છે તારી યાદ, ઘણી ખમ્મા.
ઝૂકેલાં વાદળનાં લઉં હું ઓવારણાં
ને ઊભરતે ઝરણે બોળું પાય,
તાપે ધગેલા મારા અંતરને અમરતની
શીળી આ લ્હેરખી વીંટાય,
ઝરમરનો ગમતીલો સાદ, ઘણી ખમ્મા,
મોસમનો પહેલો વરસાદ, ઘણી ખમ્મા.
લોચનમાં પાંદડાનો લીલો છે રંગ
ભીની માટીની મ્હેક ભરી શ્વાસે,
રુદિયે છે કેફ, તને નીકળતો જોઈ
પેલા આભથી આ ભોમના પ્રવાસે,
ગેબ થકી ગુંજરતો નાદ, ઘણી ખમ્મા,
મોસમનો પહેલો વરસાદ, ઘણી ખમ્મા.
આથમતા સૂરજની દીવડી ન દેખાઈ,
નવલખ તારાના નહીં ચાસ,
તારો આ ઘેઘૂર દીદાર જોઈ શરમાતી
પૂનમની રાતમાં અમાસ,
રાધા—મોહનનો સંવાદ, ઘણી ખમ્મા.
મોસમનો પહેલો વરસાદ, ઘણી ખમ્મા.
– હરીન્દ્ર દવે
અધિકૃત ચોમાસું પ્રારંભાય એ પહેલાં પડેલ બે-એક નાનકા માવઠાંને અવગણીએ તો સુરતે આજે સવારે મોસમના પહેલા વરસાદનો સ્વાદ ચાખ્યો. પહેલા વરસાદમાં સાઇકલ સવારીની મજા માણવાનો અવસર મળ્યો. ડામરની સડકો અને સિમેન્ટના પરિસરમાં કેદ થઈ ગયેલ શહેરમાંય રસ્તાની આજુબાજુના ઘરોમાં આખરી શ્વાસ લઈ રહેલી માટી ભીંજાતાં ભીની માટીની પહેલી મહેકનો લહાવો પણ લેવા મળ્યો. અધકચરું પડીને ગાયબ થઈ ગયેલ ઝાપટું તો ફરી મંડાય ત્યારે મંડાશે, આપણે પહેલા વરસાદને ખમ્મા કરી દઈએ…
વરસાદ તો દર વરસે પડે છે, પણ પહેલા વરસાદનું આકર્ષણ કદી ઓસરતું નથી, એ સદૈવ અકબંધ જ રહે છે. આખો ઉનાળો તાપે ધગેલ અંતરને પહેલા વરસાદ ટાણે વાતી શીળી લહેરખી અમૃત સમી પ્રતીત થાય છે. પહેલા વરસાદમાં ભીની થતી માટીની મહેકનો કેફ અલગ જ હોય. વરસાદના પ્રતાપે કેવળ તરણું નથી કોળતું, પ્રિયજનની યાદો પણ કોળે છે. કાળાં વાદળો આકાશને અભરે ભરી દે ત્યારે આથમતા સૂરજની દીવડી પણ જોઈ શકાતી નથી ને આકાશમાં નવલખ તારાઓના ચાસ પણ નજરે પડતા નથી. પૂનમની રાતેય ચાંદો જોઈ શકાતો ન હોવાથી અમાસનો ભાસ થાય છે.
Permalink
June 17, 2026 at 11:47 AM by વિવેક · Filed under ગઝલ, બાળાશંકર કંથારિયા
( ગઝલ )
જિગરનો યાર જુદો તો, બધો સંસાર જુદો છે;
બધા સંસારથી એ યાર, બેદરકાર જુદો છે. ૦૧
અરે શું જાણશે લજ્જત, પવિત્રીમાં પડી રહેતાં?
પ્રિયાની પ્યાલીની મસ્તી તણો કંઈ બ્હાર જુદો છે. ૦૨
ગણું ના રાવ રાયાને, ગણું ના આખી દુનિયાને;
પરંતુ જાન આ પર પ્યારીનો અખ્ત્યાર જુદો છે. ૦૩
હજારો બોધ મંદિરો મહીં નિત્યે ભલે થાજો;
અમો મસ્તાનના ઉસ્તાદનો દરબાર જુદો છે. ૦૪
નથી તુજ બાપ માર્યો મેં, અરે મૂર્ખા કહાં નિંદે?
સમજ રે બેસમજ કે પ્રેમીનો આચાર જુદો છે. ૦૫
બધા પરકાર* તોફાને થઈ ચંચલ ચૂકે નિશાન;
અમારા ચિત્તનો ચારુ અચળ પલકાર જુદો છે. ૦૬
લીધો જે પંથ તે હું કેમ ત્યાગું? છો ભર્યો દુઃખે,
પ્રિયાનો માહરી ગરદન ઉપર આ ભાર જુદો છે. ૦૭
ઘડીભર બેશ બતલાવું શિખાવું પ્રેમનો જાદૂ;
અમો જાદૂગરોનો યાર, જો બાઝાર જુદો છે. ૦૮
શીખે જો પ્રેમ પૂરો તો જ અચળ અભેદ પામે તું;
નથી ત્યાં પ્રેમ જ્યાં છે ભેદ, એ વ્યવહાર જુદો છે. ૦૯
થશે શ્રીમંત ઇન્દ્રાદિ થકી, મુજ પંથ પર જાશે;
અરે એ કીમિયાનો યાર જો કંઈ બ્હાર જુદો છે. ૧૦
કરું શું મોતીમાલા હું? અનુપમ મારી પ્યારીએ,
કર્યો નક્ષત્રનો મારે ગળે શણગાર જુદો છે. ૧૧
ભલે છો માહરા પંથે બધા એ દુઃખને દેખે;
મને તો સુખસાગર લહેરીનો કંઈ બ્હાર જુદો છે. ૧૨
થયો જે પ્રેમમાં પૂરો, થયો છે મુક્ત સર્વેથી;
મહા મસ્તાન જ્ઞાનીના મગજમાં તાર જુદો છે. ૧૩
નજર મારી પ્રિયા વિના ન દેખે જગત આખે;
બીજાના બંધકારી પ્રેમનો તો જાર જુદો છે. ૧૪
ગુરુ આદેશ છે અમને અવળ પંથે પળ્યા જઈએ;
દુનિયાથી પછી આ બાલ બેદરકાર જુદો છે. ૧૫
– બાળાશંકર કંથારિયા
માત્ર ચાળીસ જ વર્ષના અલ્પાયુમાં પ્લેગના કારણે ક્ષરદેહ ત્યાગી જનાર બાળાશંકરનો ગુજરાતી ગઝલ પર બહુ મોટો પાડ છે. અરબી-ઉર્દૂની પકડમાં કેદ ગઝલને પહેલવહેલીવાર શુદ્ધ ગુજરાતીના વાઘાં પહેરાવવાનું શ્રેય એમના ફાળે જાય છે. ગઝલની ચુસ્ત ઈબારત અને શેરિયત –આંતર્બાહ્ય સૌંદર્ય – ઉભયની સાપેક્ષે એમની રચનાઓમાં આજે આપણને અનેકાનેક ક્ષતિઓ જડી આવશે, પણ ગઝલને ગુજરાતી બનાવવાનું ભગીરથ કાર્ય કરનાર આદ્ય ગઝલકારને આપણે આજે પણ પૂરેપૂરા માન-સન્માન સાથે જ યાદ કરવા રહ્યા… આજથી લગભગ ૧૪૦ વર્ષ પહેલાં લખાઈ હોવા છતાં એમની પંક્તિઓ આજેય સાચા ગુજરાતી કાવ્યરસિકોના હોઠે રમી રહી છે એ શું નાની સિદ્ધિ ગણાય?
(*પરકાર = હોકાયંત્ર. હેકાયંત્રને કે સમુદ્રમાં તેોફાન વખતે પિતાનું ઉત્તર તરફનું વલણ જરા ચૂકે છે. પરંતુ અમારા મનરૂપી હેકાયંત્રને કાંટે હંમેશાં સ્થિર અને અચળ રહે છે ઈતિ ભાવાર્થ, [કર્તા,])
Permalink
June 13, 2026 at 11:26 AM by વિવેક · Filed under અછાંદસ, ચંદ્રકાન્ત ટોપીવાળા
ક્યારેક ખડક જ અદશ્ય થઈ ગયો છે
ખડક જો દેખાયો છે તો
પગથિયાં અદશ્ય થઈ ગયાં છે.
પગથિયાં દેખાયાં છે તો ખડક ચઢી
શકાયો નથી.
ખડક ચઢી ગયો છું તો અધવચ
અટકી ગયો છું.
ને પાછો ઊતરી ગયો છું.
ખડક ચઢી પણ ગયો છું તો મન્દિર
જડ્યું નથી.
મન્દિર જડ્યું છે તો બપોર જડી નથી.
બપોર જડી છે તો કહેવાયું છે કે
હમણાં જ પંખી આવીને ઊડી ગયું..…
હમણાં જ…
પંખી તો અવશ્ય આવે જ છે,
પણ હું દરવખતે પંખીને ચૂકી ગયો છું.
– ચન્દ્રકાન્ત ટોપીવાળા
ચેન્નાઈ પાસે મહાબલિપુરમથી પંદરેક કિલોમીટરના અંતરે તિરુકલુકુન્ડરમ્ અથવા તિરુકાઝાકુન્ડરમ્ આવ્યું છે. ત્યાં ટેકરી પર એક શિવમંદિર છે. કહે છે કે બપોરના સમયે શાપ પામવાથી ગરુડ બની ગયેલ બે ઋષિ રોજ બપોરે પ્રસાદી લેવા ત્યાં આવતા અને પૂજારી રોજ એમને નૈવેદ્ય ધરાવતો. કલિયુગનો આરંભ થતાં જ આ પક્ષીઓ આવવું બંધ કરી દેશે એવી એક વાયકા હતી. આજે આ સ્થળે બપોરે આ દૈવી પક્ષીઓ આવતાં ન હોવાથી કલિયુગનો આરંભ થઈ ચૂક્યો હોવાનું માનવામાં આવે છે. પક્ષીતીર્થ વિશેની આટલી જાણકારી કાવ્યપ્રવેશ માટે આવશ્યક છે.
પ્રથમ દૃષ્ટિએ એમ લાગે કે કવિને પક્ષીતીર્થની ટેકરી ચડીને મંદિર પાસે આવતાં દિવ્ય પક્ષીઓનો સાક્ષાત્કાર કરવો છે, પણ મંઝિલ હંમેશ બે કદમ દૂર રહી જાય છે ને નસીબ બે ડગલાં ટૂંકું પડે છે. ખડક, પગથિયાં ને મંદિર તો જ્યાં છે ત્યાં જ હરહંમેશ રહેવાનાં છે, પણ ધુમ્મસનો પ્રતાપ હોય કે સંનિષ્ઠ પ્રયાસ અને કટિબદ્ધતાનો અભાવ હોય કે બીજું કંઈ હોય, સરવાળે ધ્યેયપ્રાપ્તિથી વંચિત જ રહી જવાય છે, હકીકતમાં પક્ષીતીર્થની આ યાત્રા બાહ્ય ઓછી અને ભીતરી વધુ છે એ સમજવાની જરૂર છે. મનવાંછિત વસ્તુઓની પ્રાપ્તિ કરવામાં નડતા અવરોધો અને વિસંગતિઓની આ વાત છે. દેખાવું-ન દેખાવું, ચડાવું-ન ચડાવું,વધવું-અટકવુંના આગળ વધી વધીને પાછળ આવી અંતે ત્યાંને ત્યાં જ રહી જતી હીંચકાગતિનું આબાદ ચિત્રણ કવિએ કર્યું છે.
Permalink
June 12, 2026 at 11:36 AM by વિવેક · Filed under અછાંદસ, ઇફાન્યી ઓગ્બો, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
હું દૂરસુદૂરના ગ્રહોના કવિઓને મળવા માંગું છું;
જોવા ઇચ્છું છું કે કયા પ્રકારનો અગ્નિ એમના હાડકાઓમાં ધગધગે છે,
પરગ્રહી શબ્દો થકી બ્રહ્માંડનો સ્વાદ લેવા ચહું છું,
અને બાહ્યાવકાશના રૂપકોમાં તરબોળ થઈ જવા માંગું છું.
હું દૂરસુદૂરના ગ્રહોના કવિઓને મળવા માંગું છું;
જાણવા ઇચ્છું છું કે શું એમણે ક્યારેય એવી કવિતાઓ ગૂંથી છે
જે કેવળ ઉદાસીના છૂટાછવાયા તાંતણાંથી
અથવા ઊભરાતા ઉમંગના ચિત્રિત ગીતોથી બની હોય,
શોધવા ચાહું છું કે શું એમના આત્માઓએ ક્યારેય
અવર આત્મા કાજ ઊંડું દુઃખ અનુભવ્યું છે,
કે પછી પ્રેમ એ કેવળ માનવગત બિમારી જ છે?
– ઇફાન્યી ઓગ્બો
(ગુજ. અનુ.: વિવેક મનહર ટેલર)
ખરી મજા જ કલ્પનની છે. સદીઓથી આપણે આપણા સૌરમંડળની બહારના ગ્રહો પર જીવન હશે કે કેમ અને હોય તો કેવુંની કલ્પનામાં રાચતા આવ્યાં છીએ. ઊડતી રકાબી અને પરગ્રહવાસીઓને શોધવા પાછળ અબજો રૂપિયા ખર્ચાઈ ચૂક્યા છે ને ખર્ચાતા રહેવાના છે. પણ જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ. આપણાથી દૂરસુદૂરના અંતરિક્ષમાં ‘જીવન હશે જ’ની પૂર્વધારણા પાયામાં રાખીને કવિ એ ગ્રહો પરના કવિઓને મળવાની મહેચ્છા જાહેર કરે છે. કવિતા સરળ છે. વિશદ ટિપ્પણીની મહોતાજ નથી, પણ અભિવ્યક્તિ પ્રાબલ્ય અને નાવીન્યના જોરે એ આપણને મંત્રમુગ્ધ કરી દે એવી બળકટ થઈ છે.
Permalink
June 11, 2026 at 11:21 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, મુક્ત પદ્ય, હરીન્દ્ર દવે
પંથ હજી ઊભરાય,
હજીયે સાંભળતો
આ કેટકેટલાં પગલાં
પાસે આવે,
ડૂબી જાય.
પાનખરે સોનેરીપીળાં પર્ણ વેરતા
વૃક્ષ સમો હું
હૃદય મહીં જે શેષ રહ્યું એ વ્હાલ
રહ્યો વરસાવી.
હજી કોઈના ચરણ જરા સ્પર્શે ત્યાં
વાતી વળી ધૂળની ડમરી,
સરતી
સોડ મહીં સંતાડી વહેતો કાળ.
બધી આવતી કાલ
આવી
ને
ગઈ.
પંથ હજી ઊભરાય
હજીયે સાંભળતો
આ કેટકેટલાં પગલાં
પાસે આવે
ડૂબી જાય.
– હરીન્દ્ર દવે
જીવનના પંથ પર – દુનિયામાં અનેકાનેક લોકોની આવજાવ એકધારી ચાલતી રહે છે. નિતનવાં લોકો મળતાં રહે છે અને મળનારાઓમાંથી ઘણાં કાયમી વિદાય લઈ કાયમ માટે જતાં પણ રહે છે. આપણું કામ છે વહાલ વરસાવવાનું… જે મળે એ સૌને સ્નેહ કરવાનું…. જીવન ક્ષણભંગુર છે. કોઈનો સ્નેહસ્પર્શ પૂરેપૂરો વર્તાય-ન વર્તાય ત્યાં તો કાળ એને છીનવી લેશે એમાં કોઈ મીનમેખ નથી. આપણી પાસે જે છે એ કેવળ આજ જ છે. બધી જ આવતીકાલ આવશે એ જ રીતે જતી પણ રહેવાની. આજમાં જીવીએ. આજને ઉજવીએ અને જ્યાં જઈએ, જેને મળીએ, બસ વહાલ વરસાવતાં રહીએ… આમ કરીશું તો જીવનની પાનખરે ખરતાં પર્ણ પીળાં નહીં, સોનેરી પીળાં હોવાનું અનુભવાશે.
અને હા! રખે આ કાવ્યને અછાંદસ ગણી લેવાની ભૂલ કરી બેસતા… પ્રસ્તુત કાવ્ય વિશુદ્ધ કટાવ છંદમાં લખાયેલ છે. જુઓ:
પંથ હજી ઊભ /રાય, હજીયે /સાંભળતો આ / કેટકેટલાં / પગલાં પાસે /આવે, ડૂબી / જાય.
ગાલલગાગા / ગાલલગાગા / ગાલલગાગા /ગાલગાલગા/ ગાગાગાગા / ગાગાગાગા /ગાલ
Permalink
June 10, 2026 at 11:28 AM by વિવેક · Filed under ગઝલ, લલિત ત્રિવેદી
આ રોમ રોમ રાહત સોંપું તો કોને સોંપું?
અંગાર સંગે ધરપત સોંપું તો કોને સોંપું?
રતજાગની રિયાસત સોંપું તો કોને સોંપું?
માલિક! વિકટ રહેમત સોંપું તો કોને સોંપું?
કહું છું પગે પડી, તત! સોંપું તો કોને સોંપું?
શાહી બની ગયું સત, સોંપું તો કોને સોપું?
મુફલિસની આ મિલકત સોંપું તો કોને સોંપું?
આ ગાલિબાના સોબત સોંપું તો કોને સોંપું?
અરવિંદ, દે હિદાયત, સોંપું તો કોને સોંપું?
કાગળને કાંઠે કરવત સોંપું તો કોને સોંપું?
તનમાં જ ઝંખાવાતો વ્હાયા તો એવા વ્હાયા
ભીતર ભીતર કમલવત સોંપું તો કોને સોંપું?
નકશામાં રહી રહીને ખંડેર થૈ ગઈ છે
જગ્યા બની ના સંપત સોંપું તો કોને સોંપું?
જોગંદરોં કી બસ્તી… યે ભસ્મ કી જિયાફત
તિરશૂલ કી વિરાસત સોંપું તો કોને સોંપું?
વકરામાં લૈને છપ્પા… વસતી કરું છું પલ્લાં
આ બેહિસાબ બરકત સોંપું તો કોને સોંપું?
ઋતુઓએ મને દીધી દોથા ભરી ભરીને
લાવણ્યની સખાવત સોંપું તો કોને સોંપું?
પર્ણોય પણ ન જાણે ચોરી છુપી કરી છે
આ મર્મરી ઉચાપત સોંપું તો કોને સોંપું?
થોડીક નખમાં છે ને થોડીક નખલીમાં છે
આ ઝીણી ઝીણી હરકત સોંપું તો કોને સોંપું?
પાણીની જેમ દાહા જે પી ગયા, કહે છે
આ દોમ દોમ દૈવત સોંપું તો કોને સોંપું?
– લલિત ત્રિવેદી
લલિત ત્રિવેદી એટલે પ્રવર્તમાન ગુજરાતી ગઝલનો અલાયદો ચોકો. એમની ગઝલ હાથમાં લો અને પહેલી પંક્તિમાં જ કાવ્યબાની આગવી અને અનૂઠી ન વરતાય એ સંભવ નથી. બાની અને રજૂઆતની દૃષ્ટિએ તો તેઓ ટોળાથી નોખા તરી જ આવે છે, કાફિયાપસંદગી અને નવ્યકાફિયા સરજતથી પણ તેઓ ઉફરા સિદ્ધ થાય છે. આજના ગઝલકારોને પાંચ-સાત શેર જેટલા કાફિયા એકઠા કરવામાંય નવનેજાં પાણીઉતરે છે, એવામાં આ ગઝલકાર મોટાભાગની ગઝલોમાં એકાધિક મત્લા સહિત આઠ-દસથી વધુ શેરની ગઝલો સતત આપતા રહે છે. પ્રસ્તુત ગઝલમાંય તેર શેર અને એમાંય પાંચ-પાંચ તો મત્લા! ભઈ વાહ!
Permalink
June 9, 2026 at 12:04 PM by વિવેક · Filed under જયન્ત પાઠક, દુહા
શું પંડિતનું પાઘડું પહેર્યે મોટુંમસ?
બે અક્ષર આનન્દના પાડી શકું તો બસ.
Π
કલ્પવૃક્ષ ને કામગૌ મર રહે અમરાપરી,
માગ્યું મળતું થાય તો કોણ કરે કવિતા ફરી!
Π
રમતા આવે વાયરા, રમતા હાલ્યા જાય,
વેહ વગરના વાંસ તે કેમ કરીને ગાય!
Π
મોતી પાકે છીપમાં, પાકે ઉદરે ગર્ભ,
કવિતા પાકે કાળજે : ત્રણેય સેવ્યે દર્દ.
Π
વેંત જીભ ને મોકળું ગળું વદે બહુ વાણ,
મરમાળું પણ ગાન તો ઝમે મૌનને હાણ.
– જયંત પાઠક
આનંદ અનેક પ્રકારના હોય અને અનેકવિધ વૃત્તિ-પ્રવૃત્તિઓ થકી એ મેળવી શકાય, પણ કવિતાના ભાવસેવનથી જે આનંદ મળે છે એને અલૌકિક -‘બ્રહ્માનંદ સહોદર’- આનંદ ગણવામાં આવ્યો છે. આ જ કારણ છે કે કવિઓ સતત કવિતાના મૂળ સુધી જવાની મથામણ કરતા રહે છે. પ્રસ્તુત દોહાઓમાં પણ કવિએ કાવ્યતત્ત્વને આળખવા-ઓળખવાની તજવીજ કરી છે. જ્ઞાની હોવામાત્રથી કાવ્યપદાર્થ હાથ ન આવે, ખરી કવિતા નિર્ભેળ આનંદની અભિવ્યક્તિમાં છે. કવિતા એ અતૃપ્ત કામનાનું સંતાન છે. ઇચ્છ્યું ને માંગ્યું બધું મળી રહેતું હોય એવી અમરાપુરી જેવી દુનિયામાં કવિતા કોણ કરે? આત્મામાં છિદ્રપડ્યા હોય-વેદના વેઠી હોય તો અનુભૂતિનો પવન વાંસળીના સૂર- કવિતા બનીને રેલાય. છિદ્ર વગરના વાંસમાંથી પસાર થતો પવન સૂર ન રેલાવી શકે. ટૂંકમાં દર્દ સેવ્યા વિના કવિતા પાકતી નથી. કવિતા વાચાળતામાંથી નથી જન્મતી, એ તો મૌનમાંથી ઝમે છે.
પાંચેય દોહા ખૂબ સ-રસ થયા છે. પણ એક વાતની નોંધ લેવી જરૂરી જણાય છે. કવિએ દોહરા (દુહા) છંદ વાપર્યો છે પણ પહેલા બંને દોહામાં દોષ થયો છે. દોહા એટલે અનુક્રમે ૧૩અને ૧૧ માત્રાના બબ્બે ચરણવાળી બે પંક્તિ. (છંદઅન્વય: દાદા દાદા દાલદા, દાદા દાદા દાલ) પહેલા દોહામાં બંને કડીમાં વાક્યાંતે અનિવાર્ય લઘુ અક્ષરની અનુપસ્થિતિ કઠે છે, જ્યારે બીજા દોહામાં ૧૩-૧૧ માત્રાના સ્થાને કવિએ બંને ચરણમાં ૧૩-૧૩ માત્રા પ્રયોજી છે. સમર્થ કવિ પણ ક્યારેક આવી ચૂક કરી બેસતા હોય છે.
Permalink
June 5, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રીના પરીખ
જગા ખાલીપાની બનાવી શું કરશો?
જે નડતું નથી એ હટાવી શું કરશો?
તમારા વિજયમાં જ જેની ખુશી છે,
લડી એની સાથે, હરાવી શું કરશો?
બધાં ઘર હવે સાવ ખાલી પડ્યાં છે,
ગલી તોરણોથી સજાવી શું કરશો?
જે આવી રહ્યા છે, હવામાં ઊડે છે,
તમે રસ્તે જાજમ બિછાવી શું કરશો?
વહ્યું રક્ત તો પણ પડ્યો ફેર કોને?
તમે થોડાં આંસુ વહાવી શું કરશો?
જરા સ્મિત સાથે પ્રગટ થઈ જવાની,
ઉદાસીને ભીતર છુપાવી શું કરશો?
તમારા પ્રતાપે કોઈ પેટ ભરશે,
તમે એક સિક્કો બચાવી શું કરશો?
– રીના પરીખ
આમ તો બધા જ શેર સરસ થયા છે, પણ છેલ્લા ચારેય શેર તો ખૂબ જ સરસ થયા છે. નવ્યકવિઓની કલમે આવી સ-રસ ગઝલો અવતરતી જોઈએ ત્યારે શાતા વળે છે.
Permalink
June 4, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગીત, સુંદરજી બેટાઇ
પાછલી રાતુંની મારી નીંદરા ડોળાણી, ને
આગલી રાતુંના ઉજાગરા ઓ જી રે!
ધરતીધાવણુધારા,
ધરતીધાવણધારા ઊંડી રે શોષાણી, ને
આગઅંગાર ઊડે આભમાં ઓ જી રે!
લ્હેકી લચુંબી મારી,
લ્હેકી લચુંબી મારી વાડિયું વેડાણું, ને
આંગણે ઝીંકાઈ રહ્યાં ઝાંખરાં ઓ જી રે!
કેસરે મહેકન્ત ક્યારી,
કેસરે મહેકન્ત ક્યારી ઉરની ઉજાડી, ને
આંખે અંધારાં ઘોર આંજિયાં ઓ જી રે! –પાછલી
– સુંદરજી બેટાઈ
ઢળતી સાંજે કોઈપણ કારણ વિના મન ઘણીવાર વિષાદગ્રસ્ત થઈ જાય છે. કારણ? માનવમન અરીસાની જેમ પ્રકૃતિના પરિવર્તનોને સતત ઝીલતું રહે છે. પ્રસ્તુત રચનામાં પણ સૃષ્ટિનું વૈષમ્ય કવિમન તંતોતંત ઝીલે છે. આગલી રાતોના ઉજાગરા ઓછા હોય એમ પાછલી રાતે પણ કોઈક કારણોસર નીંદર ડહોળાઈ ગઈ હોવાનો એકરાર મુખડામાં કર્યા બાદ કારણ ચર્ચવાના બદલે કવિ પોતાનો કેમેરા કુદરત તરફ ફેરવે છે. ઉનાળો લંબાતા અને વરસાદ ન પડતાં ધરતીનાં ધાવણ ઊંડે શોષાઈ ગયાં છે ને આભમાં મેઘલ વાદળાંના સ્થાને આગઅંગાર ઊડી રહ્યાં છે. ક્યારેક જે લહેકતી-લચુંબતી હતી એ વાડીઓ આજે વેડાઈ ગઈ છે અને આંગણે ઝાંખરાં ઊગી આવ્યાં છે. છેલ્લા બંધમાં કવિકેમેરા પ્રકૃતિનો લોન્ગ શૉટ લઈ લીધા બાદ સ્વયંનો ક્લૉઝ અપ લે છે. દુકાળની પીડા કેવળ ધરતી નથી ભોગવી રહી, કવિઉર પણ ભોગવી રહ્યું છે. ધરતીથી જે રીતે વરસાદ રિસાયો છે, એ રીતે કથકથી પ્રિયજન રિસાયું લાગે છે. કેમકે એના અભાવમાં જ હૈયાની કેસર ક્યારી ઊજડી ગઈ છે અને આંખે ઘોર અંધારાં અને ઉજાગરા અંજાયા છે… આ ક્ષણે સમષ્ટિ અને વયષ્ટિ વચ્ચે સાયુજ્ય રચાય છે. જે સર્વમાં છે એ સ્વમાં અનુભવાય છે.
રચનારીતિની વાત કરીએ તો ત્રણેય બંધમાં કવિએ બંધના પૂર્વાર્ધને બેવડાવ્યો છે. પણ કેવળ બેવડાવ્યો છે એમ કહીએ તો કવિકર્મની અવહેલના કરી ગણાય. કારણ ‘ધરતીધાવણુધાર,’ ‘લ્હેકી લચુંબી મારી’ તેમજ ‘કેસરે મહેકન્ત ક્યારી’ – આ ત્રણેય વાક્યખંડ પોઝિટિવ વાઇબ્સ જન્માવે છે, પણ એને દોહરાવતાં સરવાળે તો શોષાવું-વેડાવું ને ઉજડવું જ હાથ લાગે છે. પરિણામે ભાવસંવેદનનો વિરોધાભાસ વધુ બળકટ અને તીવ્ર બને છે. આવી નાની નાની વિધા ચૂકી જવાય તો કવિને યથોચોત ન્યાય કરવાનું રહી જાય, ખરું ને?
આ ગીતને આપણે કદાચ ઉત્તમ ના કહીએ, પણ મજાનું છે એમ તો અવશ્ય કહી શકીએ.
Permalink
June 3, 2026 at 12:30 AM by વિવેક · Filed under નલિન રાવળ, સોનેટ
(અનુષ્ટુપ)
ફૂલોના ઝાકળે નાહી રૂપાળાં શમણાં સર્યાં,
સુંવાળાં પગલાં એનાં શોધતા તારકો પળ્યા,
વૃક્ષના ઊઘડ્યા ચ્હેરા, અંધારાં પાતળાં થયાં,
ચંદ્રના સ્મરણે ભીનાં વાદળાંઓ વહી રહ્યાં.
પ્રભુની કવિતા જેવાં સુવર્ણકિરણો ફૂટ્યાં,
આંખમાં આંજીને એને દિશાઓ પાર ખૂંદવા
વાયુની અંગુલિ સાથે અંગુલિઓ ભરાવતાં
મેંય તે ચાલવા માંડ્યું, પથો સૌ ગોઠિયા મળ્યા!
તૃણની ક્ષિતિજો લીલી આંબવા દૃષ્ટિ માહરી
(લયમાં દોડતી વેગે ગીતની પંક્તિના સમી)
સ્પંદને હૂલવી હૈયું પર્ણમાં પણ થૈ ઠરી,
ડોલતા દ્રુમની ડાળી આનંદભારથી લચી.
ટહુકો પંખીનો ગુંજ્યો, મુગ્ધ થૈ પંખીએ અહો,
કંઠને પર્ણમાં વ્હેતો…વ્હેતો વ્હેતો કરી દીધો!
– નલિન રાવળ
ન-જોયા-બરાબર નિર્લેપતાથી આપણી આંખો જોતી તો હોય છે હજારો વસ્તુઓ, ઘટનાઓને, પણ એમાંથી બહુ ઓછી ચીજોને એ ઝીલે છે. સવાર તો રોજ જ થાય છે, પણ જે સવારે આપણને સવાર થતાં શું શું થાય છે એ નજરે ચડે ત્યારે સવાર કવિતા બનીને પ્રકાશિત થાય. અનુષ્ટુપ છંદમાં લખાયેલ આ સૉનેટમાં કવિએ કોઈ ઊંડી કે અઘરી વાતો કરી નથી. કવિની આંખોએ હજારો ન-જોયા-બરાબર સવારોની અડાબીડ ભીડમાંથી કોઈ એક સવારને ઝીલી આપણી સમક્ષ રજૂ કરી છે, બસ. રાતે જોયેલાં રૂપાળાં શમણાં સવારની ઝાકળમાં નાહીને વધુ રૂપાળાં થઈ ક્યાં ગયાં એનું પગેરૂ શોધવા ન નીકળ્યા હોય એમ તારાઓ પણ સવાર થતા ગાયબ થયા. રાતનો અંધારાનો નકાબ પાતળો થતા વૃક્ષોના ચહેરા હવે સાફ દેખાવા લાગ્યા છે. પ્રભાતે ફૂટતાં સૂર્યકિરણોમાં કવિને ઈશ્વરની કવિતા દેખાય છે. પછીની ત્રણ પંક્તિઓમાં કવિએ આજે આપણે જેને મોર્નિંગ વૉક કહીએ છીએ એની જ વાત કરી છે, પણ કેવી અદભુત રીતે! ઈશ્વરની કવિતા જેવા સૂર્યકિરણોને આંખમાં આંજીને, પવનની આંગળીઓમાં આંગળીઓ ભેરવીને દૂરસુદૂર જવા માટે કવિ ચાલી નીકળે છે. રસ્તા પણ જાણીતા હોવાથી ગોઠિયાઓ જેવા પ્રતીત થાય છે. કોઈ ગીતની પંક્તિ લયબદ્ધ વહી જતી હોય એમ કવિની દૃષ્ટિ લીલી ક્ષિતિજોને આંબવા દોડી રહી છે. કોઈક પંખીનો ટહુકો ગુંજે છે. સવારે પંખી ટહુકે એમાં કશું નવું નથી. પણ મનુષ્ય જ્યારે કુદરતની સાથે ગોઠડી માંડવા તૈયાર થાય છે, ત્યારે એની એ કુદરત સોહામણી લાગવા માંડે છે. પંખી મુગ્ધ થયું છે. શાથી? કવિએ આજે લાંબા સમય પછી એના કાન નરવા ને સરવા કર્યા છે એથી? શી ખબર, પણ પંખી પોતાના કંઠને પર્ણમાં વહેતો કરી દે છે… ત્રિરુક્તિના કારણે કંઠ સાચે જ વહેતો હોવાની નક્કર અનુભૂતિ થાય છે.
Permalink
May 31, 2026 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, ડોરોથિયા ગ્રોસમેન, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
મારે તને કહેવું જ રહ્યું,
કે એવી પળો આવે છે
જ્યારે સૂર્ય મારા પર
ઝાલરની જેમ આઘાત કરે છે,
અને મને બધું જ યાદ આવી જાય છે,
તારા કાન પણ.
– ડોરોથિયા ગ્રોસમેન
(અનુ.: વિવેક મનહર ટેલર)
એક શબ્દથી કામ પતી જતું હોય તો બે શબ્દ ન વાપરે એનું નામ કવિતા. બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય કે કવિતા એટલે ગાગરમાં સાગર. પ્રસ્તુત કવિતામાં સર્જકે જે કહેવું છે એ એક જ વાક્યમાં કહી દીધું છે. ‘મારે તને કહેવું જ રહ્યું’ એમ જ્યારે કથક કહે છે ત્યારે કહ્યા વિના ચાલશે જ નહીં એવો જે આંતરિક પ્રવેગ (ઇનર ફૉર્સ) આપણને અનુભવાય છે, એની ખીંટી ઉપર જ આખી રચના ઊભી રહી છે. નાયિકાને શું કહેવાની ફરજ પડી છે? તો કે એવી ‘પળો’ જેમાં સૂર્ય પોતે ઝાલર ન હોય એ રીતે પોતાના પર અથડાતો પ્રતીત થાય છે. થોભો. આ કોઈ એક પળ કે પ્રસંગની વાત નથી. આ વાત છે ‘એવી પળો’ની. મતલબ, નાયિકા સાથે આવું અવારનવાર બને છે. મંદિરમાં ઝાલરટાણે મોગરી (હથોડી) ઝાલર પર આઘાત કરે અને ઝાલર રણકી ઊઠે અને વાતાવરણમાં એ રણકાર ક્યાંય સુધી તરંગાતો રહે એ ઘટનાથી આપનામાંથી મોટાભાગના અવગત હશે જ. અહીં કાવ્યનાયિકા ઝાલર છે અને સૂર્ય મોગરી છે. સૂર્ય એટલે અજવાસનું મૂળ. અજવાસની ચરમસીમા. અસ્તિત્ત્વનું અજવાળું અસ્તિત્ત્વ સાથે રણકાય છે, દૃશ્ય પહેલાં સ્પર્શમાં અને પછી શ્રુતિમાં પરિણમે છે. ઇન્દ્રિયવ્યુત્યયના કારણે આખરે એ રણઝણાટ આપણા હોવાનો હિસ્સો બની જાય છે. સમાધિમાં બેઠેલ કોઈ તપસ્વીને અચાનક પરમ સત્યનું તેજ લાધે એ રીતે સ્મરણનો સૂર્ય ઝળહળી ઊઠ્યો છે. કાવ્યારંભે આપણને એમ લાગે કે નાયિકાની સામે કે સમીપે બેઠેલ વ્યક્તિને કશુંક કહેવા જઈ રહી છે. પણ કવિનો કેમેરા યાદ પર ફોકસ થાય છે ત્યારે ખ્યાલ આવે કે બે જણ એકબીજાથી અલગ થઈ ગયા છે અથવા ખૂબ દૂર છે. બધું જ યાદ આવી જાય છે કહીને ‘તારા કાન પણ’નું ઉમેરણ કરી કવયિત્રી અટકે છે. સામાન્યરીતે આપણે કોઈકને યાદ કરીએ ત્યારે મોટી કે અગત્યની વાતો જ યાદ આવે, પણ અહીં કવયિત્રીએ સહેતુક ‘કાન’ને ખપમાં લીધા છે. ઝાલરના વાગવા સાથે તો એનો સીધો સંબંધ છે જ, સાથોસાથ નાયિકાના ‘બધું જ’ની યાદી સાચેસાચ સુવાંગસંપૂર્ણ હોવાની પ્રતીતિ પ્રણયકેલિમાં સામાન્યરીતે ઉપેક્ષિત રહેતા અવયવના એકમેવ ઉલ્લેખથી થાય છે… પ્રણયના સાક્ષાત્કારનું નાનકડું ઝેન કાવ્ય જાણે!
Permalink
May 30, 2026 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, જેન હર્શફિલ્ડ, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
દાયકાઓ બાદ,
હજી આજેય,
હું ઠંડા પાણીથી જ મારા ચહેરાને ધોઉં છું-
અનુશાસન માટે નહીં,
ન તો કોઈ યાદ ખાતર,
ને નહીં એ બર્ફીલી, જગાડી દેતી થપ્પડ કાજે,
પણ સ્વયંને
કેળવવા માટે
અવાંછિતને વાંછિત બનાવવાની પસંદગીથી.
– જેન હર્શફિલ્ડ (અંગ્રેજી)
(અનુ.: વિવેક મનહર ટેલર)
આપ અત્યારે આ કવિતા વાંચી રહ્યા છો એનો અર્થ જ એ કે કવિતા આપને આકર્ષે છે. પણ શું આપે કદી એ વિચાર્યું કે કવિતા આપણને શા માટે આકર્ષે છે? હજાર કારણ છે, પણ એમાનું એક કારણ તે આ. જુઓ આ કવિતા. સાવ જ નાનકડી. ત્રણ-ત્રણ વાક્યખંડોના ત્રણ વિભાગમાં વહેંચી દેવાયું હોય એવું એક જ વાક્ય. ભાષાય કેવી સરળ! કશું ન સમજાય એવું આમાં છે જ નહીં ને તોય, છેલ્લી પંક્તિ હૈયામાં એવી ઊંડી અસર કરી જાય એવી જે લાંબા સમયથી તરોતાજા રહે. ગાલ પર તસતસતો તમાચો પડે અને ઊંઘ ઊડી જાય એવા ઠંડાગાર પાણીથી ચહેરો જોવાની દાયકાઓથી પાડી દેવાયેલી આદત કથક આજેય છોડવા માંગતો નથી, કારણ એ પોતાની જાતને અણગમતી વસ્તુઓને ગમાડી દેવા માટે કેળવવા ઇચ્છે છે. –કવિતા તો બસ આટલી જ છે, પણ સ્વની વાત સર્વની બની રહે છે. સમાજ સર્જાયો નહોતો એ પહેલાં પણ લાખો વરસ સુધી મનુષ્ય જીવતો જ હતો, પણ સમાજ સુરક્ષિતતા અને હૂંફની અનુભૂતિ કરાવતો હોવાથી આદિમાનવ ધીમ્ધીમે સામાજિક પ્રાણી બન્યો. જો કે સમાજથી વધુ મોટૉ પઠાણી ઉઘરાણીકાર બીજું કોઈ ન હોઈ શકે. એનો ટોલ ટેક્સ ઘણૉ વધારે પણ છે અને ફરજિયાત પણ છે. સમાજ આપણને અંકુશમાં રાખે છે. આપણે આપણી ઇચ્છાઓને મારીને જીવવા માટે એ મજબૂર કરે છે. અણગમતી વસ્તુઓ અને વાતો ગમાડવાની એ આપણને ફરજ પાડે છે. આવું અનિચ્છનીય કામ કરવામાં માંહ્યલો વિરોધ ન કરે એ હેતુસર કથક ન ગમતી આદત સાથે દાયકાઓથી જીવી રહ્યો છે.
ખ્યાલ આવ્યો ને? આ વાત નાયકની એકલાની નથી, આપણા સહુની છે. અને વયષ્ટિની અનુભૂતિ સમષ્ટિની બની રહેતી હોવાથી કવિતા આપણને આકર્ષે છે.
શીર્ષક અને કવિતા વચ્ચે આમ જુઓ તો કોઈ સંબંધ નથી અને તેમ જુઓ તો? – ચાલો, આ બે છેડા જોડવાનું કામ તમારા પર છોડી દઈએ તો????
Permalink
May 29, 2026 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, ટૉવે ડિટ્લેવ્સેન, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
મારાથી આ નથી થતું:
રસોઈ
ટોપી બરાબર પહેરવી
સંગાથીઓનું મનોરંજન
આભૂષણ પહેરવા
ફૂલો ગોઠવવા
મુલાકાતો યાદ રાખવી
આભારપત્ર મોકલવા
યોગ્ય ટિપ મૂકવી
એક જ પુરુષને સાચવી રાખવો
પેરેન્ટ-ટિચર મિટિંગમાં
રસ હોવાનો ઢોંગ કરવો.
મારાથી આ
નથી છૂટતું:
ધુમ્રપાન કરવું
શરાબ પીવી
ચોકલેટ ખાવી
છત્રીઓ ચોરવી
વધુ પડતું ઊંઘવું
નખ સાફ કરવાનું અને
જન્મદિવસો
યાદ રાખવાનું ભૂલી જવું
લોકોને એ કહેવું
જે તેઓ સાંભળવા માંગે છે
બાંધી મુઠ્ઠી ખોલી નાંખવી
પ્રેમ કરવો
અજાણી જગ્યાઓને
અને માનસિક વિકારગ્રસ્ત લોકોને.
આ હું કરી શકું છું:
એકલાં રહેવું
વાસણ ધોવાં
પુસ્તકો વાંચવાં
વાક્યો રચવાં
સાંભળવું
અને ખુશ રહેવું
અપરાધભાવ વિના.
– ટૉવે ડિટ્લેવ્સેન (ડેનિશ)
(અંગ્રેજી અનુવાદ પરથી અનુ.: વિવેક મનહર ટેલર)
સંસારનું સૌથી અઘરું કામ છે સ્વયંને ઓળખવું. એક જમાનામાં આપની પાસે પુષ્ક્ળ સમય હતો એટલે ‘ટુ બી ઓર નોટ ટુ બી’ અને ‘હું કોણ છું?’ એ વિચારવામાં લોકો આખીને આખી જિંદગી પસાર કરી દેતા હતા. પણ આજે સ્માર્ટ ફોનના પ્રતાપે આપણી એકાગ્રતા ગણતરીની સેકન્ડો જેટલી જ રહી ગઈ હોવાથી સ્વયંને જોવાનો સમય જ મળતો નથી. પણ આ કવિતા આજથી પચાસેક વર્ષ પહેલાં લખાયેલી છે. એ સમયે મોબાઇલ તો નહોતા જ, ઇન્ટરનેટ પણ નહોતું. કદાચ એટલે જ ડેનિશ કવયિત્રી ટૉવે ડિટ્લેવ્સેન સેલ્ફ-પૉર્ટ્રેટ બનાવી શક્યાં હશે.
કવિતાની મજા એના ત્રણ ભાગમાં છે. પહેલા બે ભાગ પોતાની ઉણપો અને અણઆવડતોના આત્મસ્વીકારના છે. પોતાને શું આવડે છે એનાથી વધારે અગત્યનું પોતાને શું શું નથી આવડતું એ જાણવું છે. પણ ખુદની મર્યાદાઓની સાથોસાથ પોતાની ક્ષમતાની જાણકારી પણ એટલી જ અગત્યની છે. અસમર્થતાની યાદી જેટલી લાંબીલચ્ચ છે, એટલી જ ટૂંકી યાદી સક્ષમતાની છે. પણ આ નાનકડી યાદીમાં જે ચમકારો છે એ અસમર્થતાની યાદીને ભૂંસી નાખવા સમર્થ છે. સૌથી અગત્યની વાત છે એકલા રહેવું અને વાક્યો રચવાં…. સર્જન કરીને કશાય અપરાધભાવ વિના ખુશ રહેવાથી મોટી ઉપલબ્ધિ બીજી શી હોઈ શકે?
Permalink
May 28, 2026 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, રૂથ લેપ્સન, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
તું મને મોંઘી રેસ્ટોરન્ટમાં જમવા માટે લઈ ગયો.
આપણે ક્યારેય પરસ્પર માટે આટલું સૌજન્ય દાખવ્યું નહોતું.
તેં કહ્યું કે હું હજીય ફૂવડ જ છું ત્યારે આપણે ખૂબ હસ્યા.
ભોજન પતાવીને આપણે પાર્કિંગ લોટમાં ઊભા રહ્યાં.
તેં કહ્યું, તું આખરી શબ્દ કહી શકે છે
પણ મેં કહ્યું, ના, હું થાકી ગઈ છું
દરેક વાતને સમેટતાં સમેટતાં.
આ વખતે તારો વારો. છેલ્લો શબ્દ તારો.
પણ તને કહેવા માટે કશું સૂઝ્યું જ નહીં.
એટલે તું આપણી સિલ્વર કાર તરફ ગયો,
ને હું આપણી લાલ કાર તરફ.
ત્રણ વર્ષ થઈ ગયાં.
અને એય હવે એક વાર્તા જ લાગે છે.
હમણાં હમણાંથી તો મને એવું લાગતું જ નથી કે કદી તારી સાથે રહી હોઉં.
પણ આપણું એ દિવસનું સૌજન્ય હજી મને યાદ છે,
જ્યારે એનું કોઈ મહત્ત્વ જ નહોતું.
– રૂથ લેપ્સન
(અનુ.: વિવેક મનહર ટેલર)
કવિતાનું શીર્ષક કાનૂની સંવેદનહીન તથ્ય છે જ્યારે કવિતા અલગાવના દર્દનું આલેખન છે. કદાચ એટલે જ કવિતાનું શીર્ષક જ કવિતાની પ્રથમ પંક્તિ પણ હોવા છતાં કવિએ એને દોહરાવી નથી. પરિણામસ્વરૂપે શીર્ષક અને પ્રથમ પંક્તિ વચ્ચે એકીસાથે ખાલીપો અને અનુસંધાન બંને અનુભવાય છે. અદાલતે ફારગતિની અરજી પર સહી કરી એ દિવસે (ભૂતપૂર્વ) પતિ એની (ભૂતપૂર્વ) પત્નીને સરસ રેસ્ટોરન્ટમાં જમવા માટે લઈ જાય છે. આજે એ નાયિકાને ફૂવડ કહે છે ત્યારે નાયિકા ઝઘડતી નથી. બંનેને ખૂબ હસવું આવે છે. પણ આ હાસ્યની પાછળ આવી જ નાની નાની વાતો પર બંને વચ્ચે કેવડા મોટા ઝઘડા થતા હશે એ બે પંક્તિ વચ્ચેના અવકાશમાં સાફ સાફ વંચાય છે. આમ તો કોર્ટે ઉભયની સ્વેચ્છા પર જ દસ્તખત કર્યાં છે, તોય છૂટા પડતી વખતે બંને પાર્કિંગ લોટમાં ઊભા રહે છે. પુરુષ કદાચ જીવનમાં પહેલીવાર સ્ત્રીને છૂટા પડતી વખતે છેલ્લી વાત કહેવા આમંત્રે છે અને સ્ત્રી કદાચિત પહેલવહેલીવાર સંબંધ પર છેલ્લી સહી કરવા તૈયાર નથી. બંને જણ સાથે રહેતાં હશે ત્યારે પરિસ્થિતિ કેવી ઊલટી હશે એનો ચિત્કાર પણ સંભળાયા વિના રહેતો નથી. બંને જણ પોતપોતાના ભાગે આવેલી કાર તરફ જાય છે, પણ બંને કાર સાથે નાયિકા ‘આપણી’ વિશેષણ લગાડી બેસે છે. ખરી કવિતા જ અહીં છે.
આજે આ વાતને ત્રણ વરસનાં વહાણાં વાઈ ચૂક્યાં છે. બે જણનો સંગાથ નાયિકાને હવે વાર્તા જેવો લાગે છે. જાણે બે જણ કદી સાથે જીવ્યાં જ નહોતાં. સંગાથ ભૂલી જવાયો છે, પણ છૂટા થતી વખતનું બંને જણનું પરસ્પર માટેનું સૌજન્ય ભૂલી શકાતું નથી. આ સૌજન્ય જ્યારે જરૂરી હતું ત્યારે બંનેએ દાખવ્યું હોત તો? અણીદાર ચપ્પુ માખણના લોંદામાં આરપાર ઉતરી જાય એ વેધકતાથી કવિતા આપણા હૃદયને ચીરી નાંખે છે…
Permalink
May 27, 2026 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, લેન્ગ્સ્ટન હ્યુઝ, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
શું થાય છે એક સ્વપ્નને ટાળી દેવાથી?
. શું એ કરમાઈ જાય છે
. તડકે મૂકેલી દ્રાક્ષની પેઠે?
. કે કોઈ ઘાવની જેમ પાકી જાય છે-
. ને પછી વહેવા માંડે છે?
. શું એ સડેલા માંસની જેમ ગંધાવા લાગે છે?
. કે પછી ખાંડની પરત બનીને જામી જાય છે-
. ગળી ચાસણીની જેમ?
. કદાચ એ કોઈ વજનદાર બોજની માફક
. બસ લચી પડે છે.
. કે પછી વિસ્ફોટ સાથે ફૂટી જાય છે?
– લેન્ગ્સ્ટન હ્યુઝ
(અનુ.: વિવેક મનહર ટેલર)
લેન્ગ્સ્ટન હ્યુઝ એટલે આફ્રિકન-અમેરિકન પ્રજાના ઘવાયેલ દબાયેલ આત્માનો અવાજ. હાર્લેમ શીર્ષકથી લખાયેલ આ કવિતા અમેરિકન-ડ્રીમનો પર્યાય બની ચૂકી છે. સ્વપ્નની વાત આવે, પ્રગતિનીવાત આવે અને આ કવિતા ટાંકવામાં ન આવે એ શક્ય જ નથી. ન્યૂયૉર્કનું હાર્લેમ એટલે આપણા મુંબઈનું ધારાવી. શીર્ષક કાઢી નાંખો તોય આ લઘુકાવ્ય આપબળે ઊભું રહી શકે એવું સબળ છે. આ કોઈ રાત્રે જોયેલ સ્વપ્ન નથી. આ એવા સ્વપ્નની વાત છે જે દિવસના અજવાળામાં જાગતી આંખોથી જોવામાં આવે છે. જિંદગી કેબીસીની હોટ સીટ નથી કે વિકલ્પ નક્કી કરો અને કરોડ રૂપિયા ઘરે લઈ જવાય. જિંદગી દરેક સ્વપ્નના પૂરા થવાની કિંમત માંગે છે. ઇચ્છા હોય કે સ્વપ્ન- એને યેનકેન પ્રકારે સિદ્ધ કરવાને બદલે જતું કરી દેવામાં આવે ત્યારે જિંદગીની નદી તો આગળ વહી જતી હોય છે, આપણો સંતોષ ક્યાંક ત્યજી દીધેલ સ્વપ્નની ભેખડોમાં પાછળ રહી જતો હોય છે. કવિ બહુ સરળ સવાલોની યાદી બનાવે છે. આખરી સવાલ આપણને હચમચાવી દે એવો છે. શું કવિ એવું ઇચ્છે છે કે આપણે આ સવાલોના જવાબ આપીએ? ના, સ્વપ્નને ટાળી દેવાના અને વિસ્ફોટના બે સવાલોની વચ્ચે આપણને ઊભા રાખીને કવિ કેવળ એટલું જ કહેવા માંગે છે કે સ્વપ્ન જ જીવનનું ખરું ચાલકબળ છે. તમારી આંખ જે સ્વપ્ન જોવાની હિંમત કરે છે એ પૂરાં કરવાની હિકમત કરશો તો જ જીવનનું ધારાવી સ્વર્ગ બનશે.
Harlem – Langston Hughes
What happens to a dream deferred?
. Does it dry up
. like a raisin in the sun?
. Or fester like a sore—
. And then run?
. Does it stink like rotten meat?
. Or crust and sugar over—
. like a syrupy sweet?
. Maybe it just sags
. like a heavy load.
. Or does it explode?
– Langston Hughes
Permalink
May 26, 2026 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, યોહાન ફૉસ, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
બધા રસ્તા લઈ જાય
રોમ તરફ
બધા રેલવે ટ્રેક
બર્કનાઉ તરફ
– યોહાન ફૉસ
(અંગ્રેજીમાંથી અનુ.: વિવેક મનહર ટેલર)
કવિતા એટલે શબ્દો દ્વારા કરાતી આંતર્મનની અભિવ્યક્તિ. કવિતાને અસરદાર કે ઉત્તમ બનાવવા માટે વધુ શબ્દો અનિવાર્ય પણ સાચી અનુભૂતિની તીવ્રતા જ શબ્દોની સંખ્યા નક્કી કરી શકે. શબ્દ જેટલા વધારે એટલી કવિતા વધુ પ્રભાવક એવો કોઈ નિયમ હોતો નથી. આપણી પાસે એક તરફ મહાકાવ્યો છે અને બીજી તરફ હાઇકુ અને લઘુકાવ્યો. ઉત્તમ કવિતા બંને છેડે સંભવી શકે. જર્મન કવિ યોહાન ફૉસનું આ સાવ જ ટબુકડું કાવ્ય લોહી થીજાવી દે એવું ચોટદાર થયું છે.
‘All roads lead to Rome’ એ અંગ્રેજીની બહુ જાણીતી કહેવત છે. આપણે ત્યાં જે રીતે કાશી-વારાણસી એ રીતે પાશ્ચાત્ય દેશોમાં રોમ એ સાંસ્કૃતિક કેન્દ્રસ્થાન છે, જ્યાં વડા ધર્મગુરુ પોપ બિરાજે છે. રોમ એ આધ્યાત્મિક જ નહીં, માનવસભ્યતાનો માર્ગ પણ છે.
બીજા વિશ્વયુદ્ધનો આરંભ થયો એ પહેલેથી હિટલરે યહૂદીઓનો ખાત્મો બોલાવવાનું શરૂ કરી દીધું હતું, પણ વિશ્વયુદ્ધ દરમિયાન આ નરસંહાર ચરમસીમાએ પહોંચ્યો. યહૂદીઓને મારવામાં અનુકૂળતા રહે એ ખાતર પોલિશ કબ્જા હેઠળનું ગામ બ્ઝેઝીનકા ખાલી કરાવ્યું, ધ્વસ્ત કર્યું અને બર્કનાઉ છાવણીઓની સ્થાપના કરી. આ સ્થળ મુખ્ય વસ્તીવાળા ભાગોથી દૂર અને બધા છેડાની રેલવેલાઇનથી જોડાયેલું હતું. ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે જે રીતે બંને દેશ વચ્ચેની ટ્રેન માણસોથી ઊભરાતી હતી, એ જ રીતે યહૂદીઓને ઠાંસી ઠાંસીને ભરેલ ટ્રેન બર્કનાઉ રવાના કરાતી, જ્યાં કુખ્યાત જઘન્ય નરસંહાર ‘હોલોકાસ્ટ’ સર્જાયો.
બધા રસ્તા મનુષ્યની આધ્યાત્મિક તથા સામાજીક ઉન્નતિ તરફ દોરી જાય છે. પણ બધા રેલવે ટ્રેક સામૂહિક નરસંહાર તરફ.
Permalink
May 25, 2026 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, લિલી બ્રેટ, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
કંઈ
સમજાતું
નહોતું
બધુ
જ
અનિશ્ચિત
લોકોના
એક
અંતહીન
સમૂહને
આકાશને
ભોગ
ધરાવી
દેવાયો
બાકીનાઓએ
ધરતીને
સળગાવી
અને
નદીઓ
ભરી
દીધી
કંઈ
સમજાતું
નહોતું
બધુ
જ
અનિશ્ચિત
એસ.એસ.ને
ડર હતો
સંક્રામક
રોગોનો
એ વરસે
હૉસ્પિટલ
નો
ચેપી
રોગોનો
વૉર્ડ
બ્લૉક 20
લાગતું
હતું
સૌથી
સુરક્ષિત
સ્થળ
ધરતી
પરનું.
– લિલી બ્રેટ
(અનુ.: વિવેક મનહર ટેલર)
વિશ્વયુદ્ધના વિનાશ અને વિભીષિકાએ અનેકાનેક કવિતાઓને જન્મ આપ્યો. આમ તો આ કવિતા વિશે ખાસ કશું કહેવાનું ન હોય. એસ.એસ. (Schutzstaffel) એટલે હિટલરની સુરક્ષા સેના, જેણે જઘન્ય સામૂહિક નરસંહારને અંજામ આપ્યો એટલી સમજૂતિ આપી દઈએ એટલું જ પૂરતું છે. પણ કવિતાનો બાંધો જોવા જેવો છે. કવિએ આખા વાક્ય લખવાના બદલે કવિતાને એક-એક (ક્યારેક બે) શબ્દની પંક્તિનો દેહ આપ્યો છે અને બેથી લઈને વધુમાં વધુ ચાર-ચાર પંક્તિઓના સમૂહથી એકાધિક પરિચ્છેદ તારવ્યા છે. યહૂદીઓને પકડી પકડીને કોન્સન્ટ્રેશન કેમ્પમાં કેદ કરવામાં આવ્યા હતા. ક્યારેક ગેસચેમ્બરમાં સામૂહિક મૃત્યુદંડ તો ક્યારેક મન થાય એ બે-ચારને ઊઠાવીને લઈ જવાના અને ગોળીએ દેવાના… શબ્દ અને ફકરાઓમાં ટુકડા-ટુકડા થઈ ગયેલ વાક્યો જાણે કે આ નરસંહારને આ રીતે ચિત્રિત કરતા હોય એમ નથી લાગતું? હિટલરના સૈનિકોને એ સમયે સૌથી વધુ ડર ટાઇફસ વગેરે ચેપી રોગોનો હતો. કેમ્પમાં કોઈ પણ યહૂદીની કોઈપણ વાતથી વાંધો પડતાવેંત એને મોતને ઘાટ ઉતારી દેતા સૈનિકો હૉસ્પિટલના બ્લૉક નંબર વીસમાં જતા ડરતા હતા, કારણ ચેપી રોગોના દર્દીઓને ત્યાં દાખલ રખાતા હતા. કેમ્પમાં માથે મૃત્યુની પળેપળ તોળાતી તલવારના ડર નીચે જીવતા લોકોને હૉસ્પિટલનો વૉર્ડ દુનિયામાં સૌથી સુરક્ષિત સ્થળ જણાતું હતું… કેવી વિસંગતિ! કેવી વિડંબના!
Permalink
May 23, 2026 at 11:14 AM by વિવેક · Filed under ગીત, મનસુખલાલ ઝવેરી
શિખરું ઊંચાં ને મારગ આકરા.
નહિ કોઈ સાથ કે સંગાથ,
નહિ ત્યાં કેડી કે નહિ વાટ,
ચડવાં ચઢાણો તસુ તસુ એકલાં.
શિખરું ઊંચાં ને મારંગ આકરા.
લિયે એ મારગ નર કોઈ બંકડા,
છોડી આળ ને પંપાળ,
રાખી રામૈયો રખવાળ,
કાચી રે છાતીનાં બેસે તાકતાં,
શિખરું ઊંચાં ને મારગ આકરા.
ચડે એ ઊંચે, જે માંહે ડૂબતાં,
જેને આતમનો સંગાથ,
એનો ઝાલે હરિવર હાથ,
પંડને ખૂવે તે પ્રીતમ પામતાં,
શિખરું ઊંચા ને મારગ આકરા.
– મનસુખલાલ ઝવેરી
કેટલીક રચનાઓ એમ જ માણવાની હોય… કવિના હૃદયમાંથી ફૂટેલા શબ્દો ભાવકના હૃદયને સીધેસીધા અડતા હોય ત્યારે આસ્વાદક કે વિવેચકે વચ્ચેથી હટી જવું જોઈએ… આ ગીત જુઓ… કેવું મજાનું છે! એને એક વાર વાંચો.. બે વાર વાંચો… ત્રીજીવાર વાંચો… દરેક વાંચને આ રચના હૃદયવીણાને વધુને વધુ ઝંકૃત કરતી અનુભવાશે…
(બંકડા= નરબંકો, બહાદુર; રામૈયો= રામ; તાકતાં= નિહાળતાં)
Permalink
May 22, 2026 at 11:38 AM by વિવેક · Filed under અછાંદસ, પ્રતિષ્ઠા પંડ્યા
તું મારા મોંમાં ડૂચો દઈ
રહેંસી નાખે મારા વિદ્રોહને
કે ગોઠવે એકેએક ગલીને નાકે ચોકીદારને
જે રોકીરોકીને તપાસ્યા કરે
મારી જાતપાત – મારા દેશ ને પહેરવેશને
કે મને જેલમાં નાખીને
રોકે ખુલ્લેઆમ બાંગ પોકારતા મારા વિચારને
કે દાબીને ગળું મારું
લલકારે તું મને
ગાવા રાષ્ટ્રભક્તિનાં ગીતો હવે
તો હું સહીશ ધરાર ના
હું થઈશ દેશદ્રોહી હવે
નહીં ભરું હામીમાં હામી
નહીં મરું હું તારા માટે
બિહામણા સિંહાસન તળે
નહીં ઉગામું હાથ
ન તો હથિયાર
તારા પૌરુષત્વની સેવારૂપે
નહીં ઉપાડું પગ
નહીં ચાલુ તારા ચીંધેલા રસ્તે ચૂપચાપ
નહીં કરું કલંકિત કલ્પનાને
ઝબોળીને તારા આદર્શો મહીં
ના વેચીશ મારી સર્જકતા
નફરતના બજાર મહીં
હા, લખીશ હું કવિતા
આગા શાહિદ અલી થઈ
અખરોટિયાં તારા હૈયે કરીશ
નમણી, ખોકરદર કોતરણી
મારા શબ્દોના ટાંકણાની ધાર પર
ખીલશે જંગલો કૈં ભોજપત્ર, ચિનારનાં
શબ્દોની વચમાં રહ્યા એ સન્નાટામાં
ઊગશે જાંબુડિયાં મઘમઘ ખેતર લહેરાતાં કેસરનાં
શબ્દોના એ અવાજમાં વસશે ફરી
ઊજડેલાં રેશમી ગામો, રેશમી રસ્તા,
શાંતિપ્રિય જણ મારા પરિવારના.
ને શબ્દોના લયમાંથી જ વહી આવશે
નીર નિર્મલ જેલમ, ચેનાબનાં
અહીં જ તો બનશે હવે
નકશા નવા હિન્દુસ્તાનના
– પ્રતિષ્ઠા પંડ્યા
આમ તો આ રચના કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર કરવામાં આવી એની પ્રતિક્રિયારૂપે લખાઈ હોવાની સંભાવના વધારે છે, પણ એને કોઈપણ આતતાયી શાસન અને શાસક સામેના બંડનું કાવ્ય પણ ગણી શકાય. લોકશાહી લોકશાહી ઓછી અને રોકશાહી ને ઠોકશાહી વધારે બની જાય ત્યારે સભાન સજાગ નાગરિકોના માહ્યલામાંથી વિદ્રોહનો આવો ફુત્કાર જન્મે. કથક દેશદ્રોહી થવાની વાત કરે પણ આપણને દેશપ્રેમ જ દેખાય એ કવિકર્મનું સાફલ્ય. કાશ્મીરી કવિ શાહિદ અલી આગાએ જે રીતે કાશ્મીરને કવિતાનું કેન્દ્ર બનાવી કાશ્મીરની પીડાને વાચા આપી જનચેતનાને ઢંઢોળવાનું કામ કર્યું હતું, એ જ રસ્તે ચાલવાની આહલેક કથક પોકારે છે. કવિતાની ભાષામાં પણ અહીં એકસો એંસી ડિગ્રીનો ટર્ન આવે છે. અત્યાર સુધી જે કવિતા ગદ્યાળુ અને અખબારી ભાષામાં લખાયેલ લાગતી હતી, એ કવિ અને કવિતાના નામોલ્લેખમાત્રથી કોઈ અલગ જ સર્જકે ન લખી હોય એવી બાનીમાં કરોડ ટટ્ટાર કરીને આપણી સમક્ષ આવી ઊભી રહી જાય છે. સર્જકનો આક્રોશ પણ અચાનક અલગ જ સ્વરૂપ ધારે છે. સરમુખત્યાર શાસક સામેનો પોતાનો વિરોધ હાથ કે હથિયારની મદદથી નહીં, પણ મૂક પણ અણનમ કલમ વડે જ કરવાનો નિર્ધાર તો શરૂમાં જ વ્યક્ત થઈ ચૂક્યો છે. પણ કવિ જાણે છે કે કોમવાદના ઝેરનું મારણ ઝેર નથી, તમાચાનો જવાબ તમાચો નથી. એટલે એમનો શબ્દ આગ ઓકવા માંગતો નથી. એમનો શબ્દ તો મઘમઘ થતાં ખેતર અને રેશમી ગામ અવતારવા ચહે છે. જે કાશ્મીરી પંડિતોના ઘર-ગામ ઉજડી છોક્યાં છે, એમનાં પુનર્વસન અને પુનર્નિર્માણનાં સપનાં સર્જક ભાવકોની આંખમાં આંજે છે. અખંડ કાશ્મીર પુનઃ ભારતવર્ષનો હિસ્સો બને એ નવા હિન્દુસ્તાનના નક્શા જો કે ખુલ્લી આંખના સપના બનીને રહી ગયા છે એ જો કે અલગ વાત છે.
Permalink
May 21, 2026 at 12:12 PM by વિવેક · Filed under અછાંદસ, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા, હાન યોન્ગ-ઉન
મારા દુઃખભર્યા વિચારોને વિસારે પાડવાના હેતુસર
મેં ચાંદ તળે વીણા વાદન આદર્યું.
નર્તંતી સ્વરલહેરી શમી જાય એ પૂર્વે જ
ભીનાં આંસુઓએ મારા ચહેરાને ઢાંકી દીધો.
અને રાત એક સમુદ્ર બની ગઈ,
અને વીણાના તાર ઇન્દ્રધનુષ,
અને જ્યારે વીણા તારસ્વરે, તીવ્રસ્વરે, અતિ તીવ્ર અને તારસ્વરે રણઝણી ઊઠી,
તમે નખી બની ગયા, વીણાના તાર ઉપર ફરી વળતા.
જ્યારે આખરી સૂર ઘટાદાર વૃક્ષોમાં થઈને પવન સંગ સરી ગયો,
તમે તમામ શક્તિ નિચોવાઈ ગઈ હોય એમ મારી સામે જોયું, અને ઝાંખા થતા ગયા
. તમારી ધૂંધળી થતી જતી આંખો મીંચતા,
રે! રે! તમે તો વીણાના નાદવિલયને અનુસર્યા, અને ઝાંખા થતા ગયા
. તમારી ધૂંધળી થતી જતી આંખો મીંચતા,
– હાન યોન્ગ-ઉન (કોરિઅન)
(અંગ્રેજી અનુવાદ પરથી ગુજરાતી અનુવાદ વિવેક મનહર ટેલર)
પ્રેમથી મોટું કોઈ ઓસડિયું નથી. વળી, પ્રેમમાં મિલનની જેટલી મજા છે, એટલી જ, કદાચ એથીય વધારે વિયોગની પણ છે. માણસો ભેગાં થાય છે, અને છૂટાં પણ થાય છે; પણ પ્રેમ યથાવત્ રહે છે. વિરહની પીડા હૃદયવિદારહ છે, પણ પ્રિયપાત્ર માટેનો પ્રેમ જ પ્રિયપાત્રએ આપેલ વિયોગની વેદનાને સહન કરવાનું બળ પણ પૂરું પાડે છે. દુઃખી મન હળવું થાય એ ઈરાદાથી કાવ્યનાયક ખુલ્લા આકાશમાં ચંદ્રની હાજરીમાં વીણાવાદન કરવું આદરે છે. નાયક સંગીતમાં ઓગળી જાય છે. સંગીત સૃષ્ટિમાં ભળી જાય છે. વ્યક્તિ અને પ્રકૃતિ વચ્ચે અદ્વૈત સ્થપાય છે, વીણા ન કેવળ તારસ્વરે, તીવ્રસ્વરે બાજી રહી છે. વેદનાની અભિવ્યક્તિની પરાકાષ્ઠાએ વેદનાના મૂળ સાથે અનુસંધાન થાય છે. દુઃખ જન્માવતા વિચારોથી છૂટકારો પામવા આરંભેલ વીણાવાદન આવિર્ભાવની ચોટી સુધી જઈ આવ્યા બાદ હવે શાંત થઈ રહ્યું છે. વીણા તારસ્વરે ને તીવ્રતમ સ્વરે રણકી ઊઠી એ પળ વીણાના તારની પરમાવધિ નહોતી, એ વાદકસંવેદનના પરમોત્કર્ષની પળ હતી. સંગીતકારની આંગળીઓ એ જ ક્ષણે વિરામ લે છે, જે ઘડીએ સંગીતકાર ખાલી થઈ ગયો હોય. રચનાનો વિશદ આસ્વાદ માણવાની ઇચ્છા હોય એ મિત્રોને અહીં ક્લિક કરવા અનુરોધ છે.
While Playing the Harp
Wishing to forget my sad thoughts,
I played the harp under the moon.
Before the dancing melody died,
The wet tears had covered my face.
And the night became a sea,
And the strings of the harp were a rainbow,
And when the sound of the harp became high, thin, very thin, and high,
You became the plectron leaping, over the strings of the harp.
As the last sound followed the wind through the shadowy trees,
You looked at me with strength gone, and faded,
. closing your blurred eyes,
Ah! ah! you followed the dying sound of the harp, and faded,
. closing your blurred eyes.
– Han Yong-un
(Translated from the Korean by Younghill Kang)
Permalink
May 20, 2026 at 10:58 AM by વિવેક · Filed under ઉશનસ્, ગીત, ભક્તિપદ
બાઈ રે, જરીક જ વધુ જો વેઠે,
આ રહ્યું એનું મકાન ઢૂંકડું
અહીં આગળ તરભેટે,
જ્યાં તારી ધીરજ ખૂટી ને
ત્યાંથી જરીક જ છેટે.
થોડુંક ચાલી નાખ વધારે,
આટલું તો એટલડું;
અહીં તું મૂળગું ખોય, શોચ કે
ત્યાં પામે કેટલડું?
કહ્યું કરે ના પાય તોયે જા
કાય ઘસડતી પેટે. – બાઈ રે0
એ ગમથી આવ્યા છે વાવડઃ
એ પણ ઊતરી હેઠો,
ઝરૂખડેથી પથતરુ છાંયે
રાહ નિહાળત બેઠો,
બે ડગ આગળ આવી એ પણ
કેમ તને નહીં ભેટે? – બાઈ રે0
– ઉશનસ્
દરેકને પોતપોતાનાં લક્ષ્ય હોય… આજે આ લક્ષ્ય હોય તો કાલે કોઈ બીજું… જીવનમાંથી લક્ષ્યની બાદબાકી કરી નાંખો તો જીવવા માટે કશું બચે જ નહીં… પણ દરવખતે લક્ષ્ય હાંસિલ કરી જ શકાય એવું નથી હોતું… આપણામાંથી મોટાભાગના નિર્ધારિત ધ્યેય સુધી ન પહોંચાય તો હથિયાર હેઠાં નાંખી દેતાં હોય છે. ધારેલ મંઝિલ સુધી પહોંચવાનું દોહ્યલું થઈ પડે તો શું કરવું જોઈએ? જોઈએ આ ગીત… યેનકેન પ્રકારે પણ લક્ષ્ય સુધી પહોંચવાની વાત છે. આમ તો આ વાત ઈશ્વરપ્રાપ્તિની છે, પણ કોઈપણ લક્ષ્ય માટે લાગુ પાડી શકાય. ગમે એટલું વેઠવું પડે ને ધીરજ ખૂટી જાય તોય ધ્યેયપ્રાપ્તિ માટેની સફર અટકવી ન જોઈએ. આટલું ચાલી નાંખ્યું તો થોડું વધારે. અહીં જે છે એ બધું ખોવાનું જ છે અને એને ત્યાં તો પામવા સિવાય બીજું શું હોય? પગ કહ્યું ન માને તો કાયાને ઘસડીનેય આગળ તો વધતા જ રહેવાનો જે સંદેશ કવિ આપે છે એ સાચે જ જીવનમાં ઉતારવા જેવો છે. ઈશ્વર પણ આકાશેથી હેઠો ઉતરી કો’ક ઝાડના છાંયે તમારી રાહ જોતો બેઠો જ છે. એને પામવા માટે તમે જીવ પર આવી જશો, તો શું એ સામે ચાલીને બે ડગ આગળ આવીને તમને ભેટશે નહીં?
(ઢૂંકડું= નજીક; તરભેટે=ત્રિભેટે; પાય=પગ; ગમ=તરફ; પથતરુ= રસ્તામાંનું ઝાડ)
Permalink
May 16, 2026 at 12:30 AM by વિવેક · Filed under દલપતરામ, હાસ્યકવિતા
એક સમે એક ક્ષત્રિ આગળ બ્રાહ્મણે કહ્યું,
અરે આજ અસલના ક્ષત્રિ યાદ આવિયા;
દેશમાં ન થવા દેતા પરદેશિનો પ્રવેશ,
જેઓએ સંગ્રામ સજી જસ સંપડાવિયા;
અરે આ ભરતખંડ ભૂમિયે એવા ભૂપાળ,
શુરવીર ધીર ગુણવાળા ક્યાં ગુમાવિયા;
કહે દલપતરામ શુણીને ક્ષત્રિયે કહ્યું,
અસલના ઋષિયોના રક્ષણે સિધાવિયા.
– દલપતરામ
ગુજરાતી કવિતામાં હાસ્યવ્યંગની રચનાઓ પહેલેથી ઓછી જ જોવા મળે છે. પણ દલપતરામે જે તે સમયે આ બાબતમાં સારું એવું કામ કર્યું હતું. નાની અમસ્તી કૃતિ છે. બહુ મોટી મોટી વાત પણ નથી. ‘અન્યનું તો એક વાંકું, આપના અઢાર છે’ની જેમ જ એક જણ આખી રચનાની માંડણી કરે અને કાવ્યાંતે બીજું સો સુનાર કી તો એક લુહાર કીના ન્યાયે એને સાવ ટૂંકાણમાં પણ જડબાતોડ જવાબ આપે એવી રચનારીતિ જ કવિએ અહીં અપનાવી છે. પહેલી છ પંક્તિમાં બ્રાહ્મણ ક્ષત્રિયોની ઠેકડી ઊડાડે છે અને છેલ્લી બે કડીમાં ક્ષત્રિય એની બોલતી બંધ કરી દે છે. કવિના પ્રિય મનહર છંદમાં આ રચનાને મોટેથી લલકારશો તો વધુ મજા આવશે.
Permalink
May 15, 2026 at 12:30 AM by વિવેક · Filed under વિજય રાજ્યગુરુ, સોનેટ
(સૉનેટ – વસંતતિલકા)
કટ્ટાક કારતકમાં બટક્યાં બલોયાં,
આખ્ખાય માગશરના દન રોઈ ધોયા.
આ પોષ સોંપટ હવે બરછી લગાવે,
કોરા કપાળ પર માઘ છરા ચલાવે.
બેફામ ફાગણ હવે ભડકે ભભૂકે,
ને આંખમાં ધધધ ચૈતર સૂર્ય ફૂંકે.
વૈશાખ ભીંત પરથી શમણાં ઉખાડે,
ને જેઠની જરઠ થાપ પડે કમાડે.
આષાઢનું ગગન ઘમ્મર હલબલે છે,
ને શ્રાવણી ઝરણકંકણ રણઝણે છે.
પાણી વચાળ મન ભાદરવે ભળે છે,
આસો તણું સઘન કાજળ ઓગળે છે.
બે હાથ સાવ અડવા સળિયે ઝળુંબે,
ને આંખમાં હરિત ઘાસ લલૂંબ ઝૂંબે.
– વિજય રાજ્યગુરુ
મધ્યકાલીન ગુજરાતી કવિતામાં બારમાસી કાવ્યોનો એક ખાસ દરજ્જો હતો. બારેય મહિનાના પ્રકૃતિવર્ણન ઉપરાંત એમાં મોટાભાગે વિરહિણી સ્ત્રીના મનોભાવોનું ચિત્રણ કરવામાં આવતું હતું. જે તે સમયના જાણીતા ક્વિઓ ઉપરાંત લોકગીતોમાં પણ આ કાવ્યપ્રકારનું ખાસ્સું ખેડાણ થયું છે. આધુનિક કવિઓએ આ કાવ્યપ્રકારમાં ભાગ્યે જ ખેડાણ કર્યું છે અને કર્યું છે તેય એકદમ લાઘવમાં. લયસ્તરો પર રાજેન્દ્ર શુક્લ તેમજ પુરુરાજ જોશીની બારમાસી આ અગાઉ પોસ્ટ કરવામાં આવી છે. પ્રસ્તુત રચના ‘બારમાસી’ પરંપરાને અત્યંત સંક્ષેપમાં પણ ઊંડા ભાવસંવેદન સાથે રજૂ કરે છે. આ બારમાસી તાજું વૈધવ્ય પામેલ સ્ત્રીની છે. બાર મહિના… બાર પંક્તિ… અને સદ્યવિધવાની બાર અવસ્થા… કાઠીયાવાડી લહેકાના કારણે રચના વધુ હૃદ્ય થઈ છે. કવિએ અ-અ, બ-બ, ક-ક પ્રમાણે ચુસ્ત જાળવ્યો હોવાથી રચનાનું નાદમાધુર્ય પણ વધે છે. બટક્યાં-બલોયાં, પોષ-સોંપટ, ભડકે-ભભૂકે જેવી વર્ણસગાઈઓના કારણે સૉનેટ વધારે પ્રભાવક લાગે છે. અને કટ્ટાક- ભભૂકે-ધધધ-ઘમ્મર જેવી રવાનુકારી (Onomatopoeic) શબ્દાવલિ વિધવાના દર્દને વેધક વાચા આપવામાં સહાયક બની છે. જે કદી પાછો ફરી શકનાર નથી એવા પતિને બોલવતા ન હોય એમ વિધવાના અડવા હાથ બારીના સળિયામાંથી બહાર લટકી રહ્યા છે… હાથની બંગડીઓ તો તોડી શકાય, તોડી નાંખી; પણ જુવાનજોધ આંખોમાં જે લીલીછમ જિંદગી, અને અસીમ અપાર કામસુખનાં સપનાંઓ ઝૂલી રહ્યાં છે એનું શું? કવિતામાં પોષ મહિનો સોંપટ બરછી લગાવે છે, એ જ રીતે સૉનેટની આખરી બે પંક્તિઓ હૃદયસોંસરી છરી ઉતરી ગઈ ન હોય, એવી તીવ્ર વેદના જન્માવે છે.
નવમી અને દસમી પંક્તિમાં અનુક્રમે ‘હલબલે’ તેમજ ‘રણઝણે’ પાસે છંદ તૂટે છે, એ સિવાય આખી રચનામાં છંદ અનવદ્ય સચવાયો છે. કાવ્યાંતે છંદ સાચવવા ‘લેલૂંબ’ (ફળથી ભરચક; લૂમઝૂમ.)નું ‘લલૂંબ’ કર્યું છે એય સહેજ ખટકે છે.
Permalink
May 14, 2026 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, નલિન રાવળ
કબંધ શું શ્વસે નગર
ધૂંવેધૂંવા થકી ગ્રસે ગગન
બધિર શેરીઓ ચીસે અગન અગન
પીછો કરી રહ્યાં શું હોય કારમાં સ્વપન
વછૂટતા અવળસવળ જળી ગયેલ નસનસેથી બ્હાર
કૂબડા તૂટલ અનેક માર્ગ
આંધળી ખૂંધે વળી ગલી હજાર
બડબડે સડેલ શબ્દેથી ઊભી બજાર
ખોફનાક ભોંયરા (મહીં સૂતેલ સાત
હાડપીંજરો તણી ફૂટેલ આંખમાં બળે અનંત તારલાની હાર)
જંગી સૌ ઝઝૂમતા ભૂતાવળે ભર્યાં મકાન
દૈવ શાપતા ભૂલા પડેલ માનવો હતાશ
ખોળતા પડી ગયેલ ક્યાંક જાત
જાતભાતનું વિચિત્ર આ કબંધ શું નગર
ધસે કરાડ ધાર પર ધસી કરાલ
રાત્રિની ઊંડી ઊંડી ખીણો મહીં પડે ધડાક
(સાંભળું ફૂટે પ્રભાત)
– નલિન રાવળ
કબંધ એટલે માથા વગરનું ધડ. કેવળ ધડ જેવું નગર શ્વાસ તો લે છે પણ માથું યાને કે બુદ્ધિમતા (વિચારશક્તિ) તેમજ સંવેદના ગુમાવી બેઠું છે. શહેરી પ્રદૂષણથી તો આપણે સૌ પરિચિત છીએ. એ જ જાણે શહેરનો ખોરાક છે. ગરમીથી ભડકે બળતી ને ચીસો પાડતી શહેરની શેરીઓ કોલાહલ સાંભળવાના કાન ગુમાવી બધિર થઈ ગઈ છે. શહેરના રસ્તાઓ, ગલીઓ અને બજારનું વર્ણન આપણા સંવેદનતંત્રને હચમચાવી દે એવું છે. ખોફનાક ભોંયરામાં દટાયેલ સાત હાડપિંજરોની ફૂટેલી આંખોમાં બળી રહેલ અનંત તારલાની હારવાળું પ્રતીક અર્થ ન સમજાય તોય કવિમનનો ભાવ તો સુપેરે વ્યક્ત કરી જ શકે છે. ‘સાત’નો આંક સાત પેઢીનો સૂચક પણ હોઈ શકે. શહેરના ખપ્પરમાં તારાઓનો પ્રકાશ આંખોમાં લઈને જીવતી પેઢીઓની પેઢી હોમાઈ જાય છે. દટાઈને હાડપિંજર થઈ ગયેલી માણસાઈનો સંદર્ભ પણ અહીં અનુભવી શકાય. લાખ શોધવા છતાં માણસનેપોતાની ખોવાઈ ગયેલ જાત હવે જડતી નથી. રાતની ઊંડી ખીણમાં શહેર ધડાક દઈને પડે છે. શહેરનું ભવિષ્ય અંધકારમય હોવાનો સ્વીકાર કર્યા બાદ પણ કાવ્યાંતે ભલે કૌંસમાં તો કૌંસમાં પણ શહેરના અંધકારની ખીણમાં ધડાક દઈને પડ્યા પછી જે અવાજ સંભળાય છે એ પ્રભાત ફૂટવાનો, આશાનો અવાજ છે…
ગુલબંકી છંદના લગા-લગા અને ગાલ-ગાલના આવર્તનોના કારણે લયનો એક હેલારો સતત અનુભવાયા કરે છે.
કવિતાની પ્રમુખ તાકાત ગૂઢ સંકેતાત્મક પ્રતીકોના કારણે ઊભું થતું વાતાવરણ છે, જે કાવ્યાર્થ સમજાતા પહેલાં જ ભાવાનુભૂતિ કરાવે છે. (“Genuine poetry can communicate before it is understood” – T.S. Eliot) અને કવિતાની પ્રમુખ કમજોરી પણ એ જ છે. વધુ પડતી સાંકેતિક ભાષાના કારણે રચના થોડી અસ્પષ્ટ અને દુર્બોધ પણ બને છે.
Permalink
May 13, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગીત, નિરંજન ભગત
બોલો!
સખે, કુંઠિત કંઠ ખોલો!
અરધે અધૂરું
મેલ્યું, હવે શું કરશો ન પૂરું?
શું શબ્દથી મૌન વિશેષ તોલો?
સ્વરહીરદોરે,
હિંડોલિયો સ્હેજ પ્રભાતપ્હોરે;
એ સ્તબ્ધ હાવાં હિયનો હિંડોલો!
એ ગીતગોપી
રાસે રમાડો, વ્રજકુંજ લોપી
આ કૃષ્ણશો કાળ જતો અમોલો!
– નિરંજન ભગત
નાનું અમસ્તું ગીત પણ કેવું મધુરું અને અસરદાર! અડધુંઅધૂરું કહીને અચાનક મૌન થઈ જઈ વાત પૂરી ન કરતા પ્રિયપાત્ર સામેની મીઠી ફરિયાદ અને માર્દવ અરજનું આ ગાન છે. જીવનના પ્રભાતે રેશમ જેવા સ્વરના દોરે હૈયાનો હિંડોળો સહેજ હીંચક્યો-ન હીંચક્યો ત્યાં તો સ્તબ્ધ થઈ સ્થિર થઈ ગયો. ગોપી-કૃષ્ણની જેમ સહવાસનો રાસ રમવાનું આ અણમોલ ટાણું તો વ્રજ-કુંજ જેવા અસ્તિત્ત્વને ઠેકીને પળમાં વહી જશે.
સામાન્યરીતે ગીત માત્રામેળના અવર્તનોમાં લખવાનો ચાલ છે. પણ સમર્થ કવિએ અત્રે ખંડ ઇન્દ્રવજ્રા (અક્ષરમેળ) છંદ (ગાગાલ ગાગાલ લગાલ ગાગ) પ્રયોજ્યો છે. દોઢ-દોઢ પંક્તિના મુખડા-અંતરા અને ચુસ્ત પ્રાસાવલિના કારણે રચના વધુ હૃદ્ય બની છે.
આજથી પોણાસો વર્ષ પહેલાં ઈ.સ. ૧૯૫૦માં લખાયું હોવા છતાં ગીત કેવું તાજું પ્રતીત થાય છે!
Permalink
May 10, 2026 at 12:30 AM by વિવેક · Filed under રીના પરીખ, શેર, સંકલન

આવકાર સપ્તાહની હાલ પૂરતી આ સાતમી અને અંતિમ કડી… બીજા સંગ્રહોને આવકારવા જલ્દી જ ફરી મળીશું…
લયસ્તરો પર કવયિત્રીના પ્રથમ ગઝલસંગ્રહ ‘મનોમન’ને ઉષ્માભર્યો આવકાર.
લયસ્તરો પર નોંધ લેવાય એ હેતુસર ઘણા નવ્યકવિઓના સંગ્રહ સતત મળતા રહે છે. એમાંથી ઘણાખરા સંગ્રહમાંથી બધા શેર સારા થયા હોય અને લયસ્તરો પર મૂકી શકાય એવી આખી રચના મળતી ન હોવાથી પસંદગીના શેર ટાંકીને કામ ચલાવી લેવું પડતું હોય છે. પણ ક્યારેક એવા સંગ્રહ પણ હાથ આવે છે, જેમાંથી આખી ગઝલ તો જડી જ આવે પણ પસંદગીના શેર પણ વિપુલ માત્રામાં હાથ આવ્યા હોવાથી લંબાણના ભયે એમાંય કાપકૂપ કરવાની ફરજ પડે. લબ્ધખ્યાત સર્જક શ્રી રઈશ મનીઆરે આ સર્જકની બે ખાસિયત પ્રસ્તાવનામાં નોંધી છે. એક, ‘આ સર્જક પોતે કવયિત્રી હોવા છતાં એમનો કાવ્યનાયક પુરુષ છે.’ અને બે, એમની રદીફની પસંદગી. રઈશભાઈ સાથે સહમત થઈ કહેવું પડે કે નવોદિત સર્જકોના પ્રથમ સંગ્રહમાં આ પ્રકારનું રદીફવૈવિધ્ય જૂજ જ જોવા મળે છે. આ સંગ્રહમાં એકાધિક દીર્ઘ ગઝલો પણ સમાવિષ્ટ છે. ઇયત્તા ગુણવત્તા પર ભારી પડી હોય એવું પણ ઘણી જગ્યાએ જોવા મળે છે. સ્વવિવેક કેળવીને સર્જક આ બાબત પર ધ્યાન રાખશે તો એમનાઉજળા ભવિષ્ય બાબત કોઈ શંકા નથી. શુભકામનાઓ…
કર્યું છે આંખમાં સ્થાપન, તમારે આવવું પડશે,
છે આ આંસુનું ઉદઘાટન, તમારે આવવું પડશે.
તમારી વાત નીકળે ત્યાં થતી વાતો અમારી પણ,
અમારી નામના પાછળ તમારો હાથ મોટો છે.
તમે છોડી ગયા તો આવ-જા છે બંધ ખુશબૂની,
પવનની સ્તબ્ધતા પાછળ તમારો હાથ મોટો છે.
તીરથ પર પહોંચવા આવ્યા ને આવી ગઈ તમારી યાદ,
અધૂરી જાતરા પાછળ તમારો હાથ મોટો છે.
પ્રભુએ કાનમાં સૌના અહીં સરખું જ કીધું છે,
‘જગતમાં તું જ છે સૌથી સરસ માણસ, ભલા માણસ.’
મૌન મારું સવાલ છે કોઈ,
તારું રડવું જવાબ છે કોઈ.
છૂપાં પગલે એ આવીને, હૃદયમાં ઊતરી જાશે,
રણકશે એ પછી ઝાંઝર, તમારું કંઈ નહીં ચાલે.
છે બેઉ વચ્ચે હવે પ્રેમની પરાકાષ્ઠા,
રમી રહ્યાં છે સતત રાસ શાંત બેસીને.
જે આવી રહ્યા છે, હવામાં ઊડે છે,
તમે રસ્તે જાજમ બિછાવી શું કરશો?
હતાં આંખોમાં આંસુ તો વજન બહુ લાગતું હતું,
બજારે વેચવા કાઢ્યાં તો તદ્દન હળવાં જોખાયાં.
થોડી શરમ ને થોડી કલા કામ આવશે,
હૈયેથી જ્યારે હોઠ ઉપર નામ આવશે.
જ્યાં સુધી મળવું થયું નહીં, એકબીજામાં હતાં,
ને મળ્યાં એ બાદમાં, બસ એ હતી ને હું હતો.
હશે વેણ મીઠાં તો થઈ જઈશું ઘાયલ,
અમસ્તાં અમસ્તાં જ બળ વાપરો છો.
ફાવ્યું ના એને જરા સમજાવવાનું,
આપણે શીખી ગયા મન મારવાનું.
ખરેખર જે હતાં સૌ કામનાં, બેસી ગયાં ચૂપચાપ,
કર્યાં તોફાન ખોટાંએ, ખરાં બેસી ગયાં ચૂપચાપ.
પહોંચી ગયું છે સાવ અડોઅડ ગુમાનની,
થોડો વધારો જો થયો મારા સ્વમાનમાં.
મળે જો સ્પર્શ તારો થાય શું? જાતે વિચારી લે,
એ સૂકી ડાળ પર કૂંપળ તને જોતાં જ ફૂટી છે.
જ્ઞાન પીરસવામાં એવા વ્યસ્ત છો,
આચરણ માટે સમય મળતો નથી.
જરૂરી થઈ પડે ત્યારે સ્વયંને સાચવી લઈશું,
ખુમારી સાચવી લઈશું, અહમને સાચવી લઈશું.
અદબ, સમજણ, ક્ષમા ને નમ્રતાનીએહ.ડી. ના થાય,
સતત ખર્ચ્યા કરીને આ રકમને સાચવી લઈશું.
જો બ્હાર કોઈ દૃશ્યમાં વૈવિધ્ય ના રહ્યું,
પ્રત્યેક બારી પર કર્યા પડદા અલગ-અલગ.
આંખોની સારવારમાં બંને સમાન છે,
જોયા કરું તને કે હું જોઉં લીલોતરી!
આથી વધારે સારું શું સંગીત સાંભળું?
હૈયામાં તારી યાદની રણકે છે ઝાંઝરી.
ક્યાં જવું- ક્યાં ના જવું-ની જાણકારી ના રહી,
એટલે જીવનમાં મારા હાડમારી ના રહી.
દર્દ મારું આજે તારી આંખમાં આવી ગયું,
હા, હવે તકલીફ મારી, ફક્ત મારી ના રહી.
– રીના પરીખ
Permalink
May 9, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, દીપક બારડોલીકર

*

લયસ્તરો પર કવિ મુસાજી ઈસપજી હાફિઝજી યાને દીપક બારડોલીકર (જન્મ: ૨૩-૧૧-૧૯૨૫ (બારડોલી) : નિધન: ૧૨-૧૨-૨૦૧૯ (માન્ચેસ્ટર, યુકે)ના મરણોત્તર ગદ્ય-પદ્ય સંગ્રહ ‘ગુલદસ્ત-એ-દીપક બારડોલીકર’નું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. સંગ્રહમાંથી એમની એક ગઝલ અહીં રજૂ કરીએ છીએ… આ ગઝલ પહેલવહેલીવાર એમના સંગ્રહ ‘તલબ’માં પ્રગટ થઈ હતી પણ ‘કુલ્લિયાત-એ-દીપક’ના પ્રકાશન વખતે કવિએ એમાં ઘણા ફેરફાર કર્યા હતા, જે પ્રસ્તુત સંગ્રહમાં જોવા મળે છે. આમ તો આખરી રૂપાંતર જ કાયમી ગણાય પણ સુજ્ઞ વાચકો બંનેથી પરિચિત થઈ શકે એ ખાતર બંને સંસ્કરણ અડખેપડખેમૂક્યાં છે.
નવું અને અંતિમ સંસ્કરણ-
દિલ છે, દરદ છે, પ્યાસ છે, હું એકલો નથી
ને શબ્દનો ઉજાસ છે, હું એકલો નથી
એકાંતનો આ મોગરો કોળે ગુમાનમાં,
એક આગવી સુવાસ છે, હું એકલો નથી
મૂકી ગયું’તું કોઈ ગુલાબો કિતાબમાં
મઘમઘતી એ કિતાબ છે, હું એકલો નથી
સહરા છે, ઝાંઝવાં છે, સતત ઊડતો ગુબાર
ને કોઈની તલાશ છે, હું એકલો નથી
વાળી’તી જેમાં ગાંઠ જનમભરના સાથની
મુઠ્ઠીમાં એ રૂમાલ છે, હં એકલો નથી
બોલો તો આખી સીમ કરી દઉં હરીભરી
મનની અતાગ વાવ છે, હું એકલો નથી
‘દીપક’ કોઈના સ્પર્શમાં માણી હતી કદી
એ ખુશબૂ આસપાસ છે, હું એકલો નથી
– દીપક બારડોલીકર
[ગુલદસ્ત-એ- દીપક બારડોલીકર (ડિસેમ્બર ૨૦૨૫)]
*
મૂળ સંસ્કરણ-
દિલ છે, દરદ છે, પ્યાસ છે, હું એકલો નથી
ને શબ્દનો ઉજાસ છે, હું એકલો નથી
એકાંતનો આ મોગરો કોળી ઊઠ્યો, જુઓ
એક આગવી સુવાસ છે, હું એકલો નથી
સહરા છે, ઝાંઝવાં છે, સતત ઊડતો ગુબાર
ને કોઈની તલાશ છે, હું એકલો નથી
વાળી’તી જેમાં ગાંઠ જનમભરના સાથની
મુઠ્ઠીમાં એ રૂમાલ છે, હં એકલો નથી
બોલો તો આખી સીમ કરી દઉં હરીભરી
મનની અતાગ વાવ છે, હું એકલો નથી
આ કેફ ઉતરે તો હવે કેમ ઉતરે?
ગેબી છલકતો જામ છે, હું એકલો નથી.
‘દીપક’ હું નીતરું છું સુરાહીમાં દમબદમ,
ભરચક તલબનો જામ છે, હું એકલો નથી
– દીપક બારડોલીકર
[તલબ (૧૯૯૪)]
Permalink
May 8, 2026 at 12:23 AM by વિવેક · Filed under કૌશલ યાજ્ઞિક, હાઈકુ

આવકાર-સપ્તાહના ઉપક્રમે આજે પાંચમા સંગ્રહ ‘ઝરતી ક્ષણો’ને હૃદયપૂર્વક પોંખીએ. ગીત-ગઝલની ભરમારની વચ્ચે કવિ કૌશલ યાજ્ઞિક હાઈકુસંગ્રહ લઈને આવ્યા છે એનો આનંદ. કવિના ભાવવિશ્વ પરથી સ્નેહરશ્મિના સમયકાળનો પ્રભાવ કદાચ પૂરેપૂરો ઓસર્યો નથી. મોટાભાગનાં હાઈકુ સૂર્ય, ચંદ્ર, વન, નદી, વૃક્ષ, પથિક વગેરેની આસપાસ જ ફરતા હોવાથી સમસામયિકતાનો સંસ્પર્શ પ્રમાણમાં ઓછો વર્તાય છે. જો કે એ કવિની પોતાની પસંદગી પણ હોઈ શકે. સંગ્રહમાં ઘણાં હાઈકુ મજાનાં છે. એમાંથી કેટલાક હાઈકુ આસ્વાદીએ…
સૂરજ ઊગે:
પોઢી નદીનાં નીર
હલેસે જાગે.
લીલ જામેલા
સરે પડે હલેસાં-
સૂર્યદર્શન.
ગ્રીષ્મ બપોર:
પડછાયો સંતાય,
સૂરજ શોધે.
નયન ભીનાં:
સૂરજ પેખું, અહો
ઇન્દ્રધનુષ.
દીપક બૂઝ્યો:
અંધારું વહેરતું
તેજ લપાયું.
સફર ખેડે
વાદળ નભે: ચંદ્ર
છૂપાતો ફરે.
પૂર્ણિમા:ચંદ્ર
તરતો સર મહીં,
સ્થિર ત્યાં હંસ.
પડી તડકે
કુહાડી, કઠિયારો
વિરમે છાંયે
– કૌશલ યાજ્ઞિક
Permalink
May 7, 2026 at 12:30 AM by વિવેક · Filed under વિરલ વ્યાસ, શેર, સંકલન

આજે આવકાર-સપ્તાહની ચોથી કડી… કવિના પ્રથમ ગઝલસંગ્રહ ‘ધારણા ખોટી નીવડે’ને સસ્નેહ આવકારીએ… કવિના ભાવવિશ્વનો અને કલમવિસ્તારનો અંદાજ આવે એ હેતુસર કોઈ એક રચના પસંદ કરવાને બદલે સંગ્રહમાંથી પસાર થતી વખતે ગમી ગયેલ કેટલાક શેર આપ સહુ સાથે સહિયારું છું…
આપ તો છોડી ગયાં અંધાર મારી રાતમાં,
પણ અહીં ઉજાસનાં સ્વપ્નો જડે એવું બને.
આંખો મારી ભીની ભીની
કાગળ તારા કોરા કોરા
ભાઈ બે ભેગા થયા છે,
દિલમાં એક દીવાલ રાખી.
એ દુશ્મનને વહેલો હણજો,
ખાલીપાને ખાલી કરજો.
સૌની આગળ નમતો રહીને
સઘળા ઘા નાકામ કરે છે.
નીકળે છેલ્લામાં છેલ્લા આંસુઓ,
તે પછી સાચું રડાયું હોય છે.
હોય ફિતરત બંનેની વિપરીત પણ,
છાંય તડકાને ક્યાં દૂરી હોય છે?
આવવાનું વચન આપ્યું એણે મને,
આજ અહીંની હવાનેય રંગાવજો.
જે સ્પર્શથી છે રણઝણી આ લાગણી,
એ ફૂલ છે કે છે એ તારી આંગળી?
સૌ ટહુકા જો ઊડી ગયા વૃક્ષ છોડી,
કહે ડાળ, અમને, પ્રભુ! પાંખ આપો.
હોય પોલાં છતાં સૌ તરી જાય છે,
મારું નક્કરપણું ક્યાંક ડૂબાડશે.
રોજ આ આંખ પાણી વધુ પાય છે,
સ્વપ્ન જોજો અમારાં વધુ ફાલશે.
માંગણી હોય જેમાં ફકત,
પ્રાર્થના એવી ફળતી નથી.
– વિરલ વ્યાસ
Permalink
May 6, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગીત, નરેન્દ્ર વેગડા

વાંસળીના સૂર – નરેન્દ્ર વેગડા
વ્હાલા! તારી વાંસળીના સૂર મને ના સંભળાય!
વ્હાલા! કાળી મજૂરીના મૂલ તને ના સમજાય!
કેમ કરીને વારી જાઉં? મોરપિચ્છના તારા મુકુટ પર,
સાંજ પડે કળાય છે થાકનો ભાર મારા ભૃકુટ પર.
બળ્યા પેટની રાસલીલા મારી છાતીના ડૂમે અથડાય, વ્હાલા!
તારી વાંસળીના સૂર મને ના સંભળાય!
નથી પાસ જમનાના જળ કે નથી ઢૂકડા પાણીના નળ,
હાલી હાલીને થાકી જાઉં, પાણીનું બેડલું જાણે કે છળ.
હામ ભીડીને પહોંચું જો ગામના કૂવે તો કૂવો અભડાય, વ્હાલા!
તારી વાંસળીના સૂર મને ના સંભળાય !
– નરેન્દ્ર વેગડા
લયસ્તરો પર કવિશ્રીના બીજા કાવ્યસંગ્રહ ‘તંનૂર’નું દિલી સ્વાગત…
આમ તો કવિતાના દલિત અને સવર્ણ એવા ભાગલા પાડવા જ ન જોઈએ, પણ દુનિયાની ગમે એટલી પ્રગતિ થવા છતાં સમાજમાં આજેય આ બે વર્ગ એક થઈ શક્યા નથી. એટલે સમાજના શોષિત વર્ગમાંથી વેદનાની બસૂરી વાંસળી સાંભળવાની તૈયારી રાખવી જ પડે. કવિ શ્રીકૃષ્ણને વહાલા કહીને સંબોધે છે. આ કટાક્ષ જ કેવો કારમો છે! વહાલા હોય એ કદી દખનાં વખ પીવડાવે ખરા? ગરીબોનો બેલી તો ભગવાન પણ બનતા નથી. ‘વહાલો’ પીડિતોની કાળી મજૂરીના મૂલ સમજી શકતો નથી, પરિણામે ગરીબના કાન એની વાંસળીનાં સૂર સાંભળી શકતા નથી. માથે દિવસભરના વૈતરાના થાકનો ભાર વર્તાતો હોય એ માણસ કૃષ્ણના મોરપીંછ પર શું ધ્યાન આપે? સમાજનો આ શોષિત વર્ગ પણ રાસલીલાનો ભાગ તો બને છે, પણ આ રાસલીલા બળ્યા પેટની છે, જે છાતીમાં ડૂમો બની ગૂંગળાવે છે. દલિત વર્ગને તો પાણીનુંય સુખ નથી. ગામનો કૂવોય એમના માટે તો વર્જ્ય છે. કૃષ્ણની યમુના અને નળ માટેની રઝળપાટના વિરોધાભાસમાંથી જે હૃદયવિદારક ચીસ ઊઠે છે, એ સમાજના મોભીદારોને કદી સંભળાશે ખરી?
Permalink
May 5, 2026 at 12:30 AM by વિવેક · Filed under દિલીપ ધોળકિયા ‘શ્યામ’, શેર, સંકલન

લયસ્તરો પર આવકાર-સપ્તાહ અંતર્ગત આજે બીજા સંગ્રહને આવકારીએ… કવિ દિલીપ ધોળકિયા ‘શ્યામ’ના પ્રથમ ગઝલસંગ્રહ ‘ભાંગતી રાતનું જાગરણ”નું સહૃદય સ્વાગત કરીએ… સમગ્ર સંગ્રહનો સહેજસાજ અણસાર મળી રહે એ હેતુસર પસંદગીના થોડા અશઆર અહીં રજૂ કરું છું…
તારા મિલનની જો હવે કેવી થઈ અસર,
ચાલી રહ્યા છે શ્વાસ પણ મારામાં હું નથી.
ભૂલવાનું જે હતું તે યાદ છે,
એટલે આંસુ અને ફરિયાદ છે.
સાંજ ડૂબી ગઈ સખી, આ વેલ શણગારો હવે,
આંખના અરમાન હળવે હાથ ઉતારો હવે.
આમ તો શીખ્યો જગતના કારણે,
પણ વિચારો ફક્ત મારા હોય છે.
સફર કાપી ઘણી લાંબી તમારે દ્વાર તો આવ્યો,
હવે મળવા થયાં આતુર કદમ, તો ભાર લાગે છે.
ભલે લથડે કદમ તોયે અમે પડવા નહીં દઈએ,
જરા એવું હવે મુજ હાથ ઝાલી કો’ક તો બોલો.
તારી વાતો હું ના સમજું,
હું તો જાણું વહાલ કબીરા.
ગઝલ જેમ જીવી બતાવું તમોને,
થતી ભૂલ ત્યાં હું મઠારી શકું છું.
ગજબ કલ્પનાની કરામત રચાવી,
નથી પાંખ તો પણ ગગનમાં રહું છું.
સહેજ હળવે હાથ જો દરકાર થઈ,
આંસુઓ આંખે હસ્યાં શણગાર થઈ.
બે કબીલા સુખ અને દુઃખના મળી,
જિંદગી નામે જુઓ, વણજાર થઈ.
– દિલીપ ધોળકિયા ‘શ્યામ’
Permalink
May 4, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ભરત વિંઝુડા

રોજેરોજ નિતનવા સંગ્રહ મળતા રહે છે. બધા સંગ્રહમાંથી પસાર થવાનું કપરું છે, પણ થોડો સમય અને થોડો અવકાશ ફાળવીને મારી ક્ષમતા મુજબ દરેક સંગ્રહને યથોચિત ન્યાય આપવાની કોશિશ હું કરતો રહું છું. થોડા દિવસો પહેલાં જ લયસ્તરો પર આપણે આવકાર-સપ્તાહ ઉજવ્યું. આજથી ફરી એકવાર આવકાર-સપ્તાહ નિમિત્તે વારાફરતી સાત અલગ અલગ સર્જકોના નવ્યસંગ્રહોમાંથી પસાર થવાનો લહાવો લઈએ….
બહુખ્યાત કવિ ભરત વિંઝુડા સર્જનબાહુલ્યના કવિ છે. ‘સ્વપ્નસુખ’એમનો ચૌદમો સંગ્રહ છે – તેરમો ગઝલસંગ્રહ. લયસ્તરો પર ‘સ્વપ્નસુખ’ને આવકાર આપતાં અમે હર્ષ અનુભવીએ છીએ… સંગ્રહમાંથી નાની બહેરની એક ગઝલ આપ સહુ માટે…
*
આંખોથી…
આંસુ છલકાઈ જાય આંખોથી,
એવું જોવાઈ જાય આંખોથી.
કાન બીડીને રાખ્યા છે એને,
કંઈક સંભળાય જાય આંખોથી.
બંધ લાગે ને બંધ હોય નહીં,
સ્વપ્ન દેખાઈ જાય આંખોથી.
નીકળે તું ઘડીક સામેથી,
થોડું જીવાઈ જાય આંખોથી.
જોઉં છું એને બદલે વાંચું તો,
એ ઉકેલાઈ જાય આંખોથી.
– ભરત વિંઝુડા
Permalink
May 2, 2026 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, શિશિર રામાવત
ના, જરૂરી નથી મારા દરેક વિચારનું વર્જિન હોવું
વિચારોની વર્જિનિટી ક્યાં હોય છે આપણા હાથમાં!
મારે તો અનુભવોના વિશ્વને અતિક્રમવું છે.
અનુભવ – જડ, મૂર્ત, સ્થિર, ઘન.,
મારે તો અનુભવોના ઝીણા ઝીણા ટુકડાઓ કરવા છે
એમાંથી રેષાઓ ખેંચવા છે.
એના રંગોનું વિઘટન કરવું છે
તેનું પ્રવાહીકરણ કરી તેને બાષ્પ થતાં નિહાળવા છે.
વિચાર, તું આવ.
શૂન્યોની શૃંખલાની આગળ અડીખમ ઊભેલા એકડાને
ઊંચકીને ફેંકી દે શૂન્યોની પાછળ
બનાવી દે ઘટનાઓને બહુપરિમાણી અને પારદર્શક
તોડી નાખ એના આકારોને
શોષી લે તેના વજનને
ના, મને તારા ઇતિહાસમાં રસ નથી
છેદીને, ભેદીને, તોડીને, વલોવીને-
મારે તો બસ, ઘટનાઓની આરપાર થવું છે.
– શિશિર રામાવત
કવિતામાં મૌલિક વિચારોનું મહત્ત્વ મોટું અંકાયું છે, પણ વાસ્તવિક્તા એ છે કે આપણી ભાષા અને એ રૂએ આપણા વિચારો આપણા પોતાના હોતા જ નથી. બધું આપણને આજુબાજુના જગત પાસેથી જ પ્રાપ્ત થયું છે. પણ આપણી અનુભૂતિ, આકલન તેમજ અભિવ્યક્તિની ક્ષમતાના આધારે આપણે આપણા ‘પોતીકા’ કહી શકાય એવા વિચારો ઘડતાં હોઈએ છીએ. કદાચ એટલે જ કવિતાનો આરંભ પોતાના જે પોતાના હાથમાં જ નથી એવી વિચારોની વર્જિનિટીની અનાવશ્યક્તાથી થાય છે. કવિને તો અનુભવથીય સંતોષ નથી. એમણે તો એને પણ અતિક્રમવા છે. અનુભવ આમ તો અમૂર્ત અને અસ્થિર પણ કવિ એને સ્થૂળ પરિમાણો બક્ષી વિરોધાભાસ જન્માવે છે. કવિતાની શરૂઆત અહીંથી જ થાય છે. અનુભૂતિને અતિક્રમવા માટે એને તોડીફોડીને એનો નવોન્મેષ કરવો જરૂરી છે. કવિ આ કામ માટે વિ-જ્ઞાનની પ્રયોગશાળાને ખપમાં લે છે. આટલું કરી લીધા બાદ તેઓ વિચારને આમંત્રે છે. જે અનુભવોને તોડીફોડીને અતિક્રમી જાય એને વિચારોની કિંમત કે ઇતિહાસમાં શો રસ હોય? આસપાસ બનતીરહેતી ઘટનાઓને છેદી-ભેદી-તોડી-વલોવીને એની આરપાર નીકળી જઈ શકાય ત્યારે જે અર્ક હાથ લાગે એ છે ખરી વર્જિનિટી… એ છે વિશુદ્ધ મૌલિક અનુભૂતિ!
સુરેશ દલાલે શરૂ કરેલ ‘કવિતા’ દ્વિમાસિકના ૨૦૧૭માં પચાસ વર્ષ પૂરાં થયાં ત્યારે ત્રણસોમો અંક (દિપોત્સવી) પ્રગટ થયો હતો.એમાંથી આ રચના જડી આવી. ‘ઘન’ના સ્થાને’ધન’, ‘બહુપરિમાણી’ના સ્થાને ‘બહુપરિણામી’ અને ‘શોષી લે તેના વજનને’ના સ્થાને ‘શોષી લે તેવા વજનને’ છપાયું હતું. મને ખટકા અનુભવાયા એટલે ચહેરાપોથીના શરણે જઈ, શિશિર રામાવતના દરવાજે ટકોરા માર્યા… આ કવિતા વિશે એમણે જે લખ્યું છે એ રસપ્રદ છે. શિશિરભાઈ લખે છે:
“તમે કશુંક ઇન્ટેન્સ-ઇન્ટેન્સ લખ્યું હોય ને પછી તેને લગભગ ભૂલી ગયા હો ને તે લખાણ દોઢેક દાયકા પછી ઓચિંતા તમારી આંખ સામે આવે ત્યારે થોડું કૌતુક જરૂર થાય. તમારે યાદ કરવું પડે કે આવું બધું મેં કઈ મનઃસ્થિતિમાં લખ્યું હતું. મને ખરેખર આ કવિતા લખવા પાછળનાં ઇમોશનલ-સાઇકોલોજિકલ કારણો, ટ્રિગર્સ કે સંદર્ભો – આમાંનુ કશું જ યાદ આવી રહ્યું નથી. તોય તે વાંચીને ચહેરા પર સ્માઇલ તો આવ્યું જ.”
Permalink
May 1, 2026 at 10:43 AM by વિવેક · Filed under ગીત, જયન્ત પાઠક
ઓ મારી ગુજરાત!
ઓ વ્હાલી ગુજરાત!
મા તારું ઉપવન અણમૂલ
અમો મા એ ઉપવનનાં ફૂલ
સમય આવતાં વજ્ર બનીશું, સાચવશું ના જાત!
ઓ મારી ગુજરાત!
આશ્રય આવે બાળ પરાયાં
તારા ના કદી થાન સુકાયાં
ઉદાર દિલ જે દેવા બેઠી તેને નિજ પર શી પંચાત?
ઓ મારી ગુજરાત!
તારો અંક ખુંદી જે આગળ
આજ ખૂંદે ધરતીની ભાગળ
તે ક્યમ ભૂલે તારી નદીનાં નીર તણી તાકાત?
ઓ મારી ગુજરાત!
જીવવું તારું કામ કરીને
મરવું તારું નામ સ્મરીને
તારે અંકે ઊગો મા મારા નવજીવનનું પ્હેલું પ્રભાત.
ઓ મારી ગુજરાત!
– જયન્ત પાઠક
આજે ગુજરાત સ્થાપના દિવસે લયસ્તરોના તમામ સર્જકમિત્રો અને ભાવકમિત્રોને એક મજાના ગીત સાથે સ્નેહભરી શુભેચ્છાઓ પાઠવીએ છીએ…
Permalink
April 30, 2026 at 12:30 AM by વિવેક · Filed under જન્મશંકર મ. બુચ “લલિત', ભક્તિપદ, લલિત - જન્મશંકર મ. બુચ

મઢૂલી મઝાની પેલે તીર, સંતો વ્હાલા!
અનેરી અમારી એ લગીર. – મઢૂલી0
વૃક્ષો વેલડીઓવાળાં, કૂમળાં ફળફૂલ રસાળાં,
લઈ જાવ લ્હાણાં એ લગીર, સંતો વ્હાલા!
મનની કંઈ મોજમજાઓ, રસિયા ઉરના કંઈ લ્હાવો
લેવાને આવજો લગીર, સંતો વ્હાલા!
સામે સંસાર વિલસે, વચ્ચે જીવનસરિતા વહે,
રેલવિયે ત્યાં રસરંગ લગીર, સંતો વ્હાલા!
ઉડવાય સફર સહિયારી, સુખદુ:ખની કંથા ધારી,
આનંદ ઑર એ લગીર, સંતો વ્હાલા!
લગની સ્હેવા સ્હાવાની, ગીતડાં પ્રભુનાં ગાવાની
લાગે તો આવજો લગીર, સંતો વ્હાલા!
મઢૂલી મઝાની પેલે તીર, સંતો વ્હાલા!
અનેરી અમારી એ લગીર!
– જન્મશંકર મ. બુચ “લલિત’
કવિનું નામ સાવ અજાણ્યું લાગે એવા ભાવકમિત્રો વિકીપીડિયાની મુલાકાત લઈ શકે છે.
જીવનસરિતાને પેલે પાર મોક્ષ-મુક્તિની અનેરી મઢૂલી છે. મુક્તિની વાત છે, પણ ક્યાંય કઠિનતાની વાત નથી ને કઠિન શબ્દાવલિ પણ નથી. પ્રભુનાં ગીત ગાવાની લગની લાગી હોય એ તમામનું મોકળા મને અહીં સ્વાગત છે. કવિએ આંતર્પ્રાસ મેળવ્યા છે, લય જાળવ્યો છે પણ આંત્યપ્રાસ મેળવ્યા ન હોવાથી ગીતકવિતા તરીકે એ કોઈને શિથિલ પણ લાગે. પણ સરવાળે ‘લલિત’ની આ લલિત રચના માધુર્ય અને ભક્તિનો સુમેળ છે. ભાષા સરળ છતાં મર્મસ્પર્શી છે. તે મનુષ્યને ભૌતિક જગતની પેલે પાર રહેલા આત્મિક આનંદ તરફ વળવા માટે પ્રેરણા આપે છે. આ કવિતા માત્ર એક નિમંત્રણ નથી, પણ જીવન જીવવાની એક સકારાત્મક પદ્ધતિનું દર્શન છે.
Permalink
April 29, 2026 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, નિરંજન ભગત
તપ્ત ધરણી હતી, (ધરણી=ધરતી)
ભાનુની દૃષ્ટિના ભર્ગથી ભાસ્વતી (ભર્ગ= તેજ, ભાસ્વતી= પ્રકાશમાન, સૂર્યનું શહેર)
સૃષ્ટિ સારીય તે ભસ્મવરણી હતી;
અગ્નિની આંખ અંગાર ઝરતી હતી
રુદ્ર અંબરતળે,
પંખીની પાંખ ઊડતાંય ડરતી હતી;
દૂર ને દૂર જૈ ઓટ સરતી હતી
શાંત સાગરજલે,
ફેણ ફુત્કારતી ક્યાંય ભરતી ન’તી,
દૂર કે પાસ રે ક્યાંય ના એક તરણી હતી,
તપ્ત, બસ તપ્ત ધરણી હતી.
શાંતિ? સર્વત્ર શું સ્તબ્ધ શાંતિ હતી?
સૃષ્ટિને અંગ પ્રત્યંગ ક્લાંતિ હતી? (ક્લાંતિ=થાક)
વહ્નિની જ્વાળ શો શ્વાસ નિઃશ્વાસતી, (વહ્નિ=અગ્નિ)
ઉગ્ર ઉરસ્પંદને ઉગ્ર ઉચ્છવાસતી;
મૂર્છનાગ્રસ્ત બસ તપ્ત ધરણી હતી;
ઝાંઝવાનીરની પ્યાસમાં બ્હાવરી કો’ક હરણી હતી!
ક્યાંય શાંતિ ન’તી, ક્યાંય ક્લાંતિ ન’તી,
અહીં બધે શાંતિ ને ક્લાંતિની ફક્ત ભ્રાંતિ હતી!
ભૂખરી પૃથ્વી પે માહરો પંથ લંબાઈ સામે પડ્યો;
કાષ્ઠના ચક્ર પે રક્તરંગીન શું લોહટુકડો જડયો!
આજ વૈશાખના ધોમ બપ્પોરમાં,
આછી આછીય તે પવનની લ્હેર આ લૂઝર્યા પ્હોરમાં
માહરી સિક્ત પ્રસ્વેદતી કાય ના સ્હેજ લ્હોતી છતાં (સિક્ત = છાંટેલું)
શૂન્યમાં હુંય તે શૂન્ય થૈ પંથ કાપી રહ્યો,
ક્યાંય માથે ન’તો મેધનો માંડવો, છાંય ન્હોતી છતાં
શૂન્યના નેત્રથી સ્થલ અને કાલના અંત માપી રહ્યો.
ત્યાં અચાનક કશી ભીંસતી ભીત શી
અડગ ટટ્ટાર જે સૌ દિશાઓ ખડી,
છિદ્ર એમાં પડ્યું? જેથી કો ફૂંક શી, કો મૃદુ ગીત શી
પવનની લ્હેર કો પલકભર મંદ અતિમંદ આવી ચડી;
એક સેલારથી
નયનને દાખવી નાવ કો સઢફૂલી,
ઘડીક જે ક્ષિતિજ પર ગૈ ઝુલી,
એક હેલારથી (હેલાર= ધક્કો, લહેર)
દૂર જૈ ઓટમાં ઓસર્યા પાણીને
ઘડીક તો કાંઠડે લાવતી તાણીને;
ક્ષણિક મૃદુ સ્પર્શથી અંગને શું કશું કહી ગઈ?!
ક્યાંકથી આવીને ક્યાંક એ વહી ગઈ!
એ જ ક્ષણ તટઊગ્યા વૃક્ષની શાખથી
કે પછી ક્યાંકથી પંખી કો ધ્રૂજતી પાંખથી
સ્વપ્નમાં જેમ કો કલ્પના હોય ના બોલતી
એમ એ આભમાં આવી ઊડ્યું. અને ડોલતી
ડોકથી એક ટહુકો ભરી ગીતને વેરતું
પાંખથી પિચ્છ એકાદને ખેરતું
આવ્યું એવું જ તે ક્યાંય ચાલી ગયું.
આભ જેવું હતું તેવું ખાલી થયું!
પલકભર એય તે મુખર નિજ ગાનમાં
કંઈ કંઈ કહી ગયું માહરા કાનમાં!
એ જ ક્ષણ ક્યાંકથી રાગ મલ્હાર શી,
ગગનની ગહન કો ગેબના સાર શી,
રુદ્રને લોયને કો જટાજૂટથી વીખરી લટ સમી,
ભૂલભૂલે જ તે પથભૂલી વાદળી આભને પટ નમી;
કો વિષાદે ભર્યા હૃદયની ગાઢ છાયા સમી,
જીવને આમથી તેમ ઝુલાવતી કોઈ માયા સમી,
પલકભર મુજ ઉર ગૈ ઢળી,
ને પછી દૂર જૈ દૂર ફેલાઈ ગૈ;
લાગ્યું કે ધરણીની મૂઢ મૂર્છા ટળી,
ગ્રીષ્મમધ્યાહ્નમાં શાંત શી સંધિકા રમ્ય રેલાઈ ગૈ! (સંધિકા=સંધ્યાનું તેજ)
શી અહો આ લીલાા
નીરની ધારથી શું તૂટી રહૈ શિલા?
આ બધું છળ અરે છાનુંછપનું હતું?
પલકભર શૂન્યનું ભ્રોત સપનું હતું?
અધખૂલી નેણમાં સાંધ્યસૌંદર્યની રંગસરણી હતી?
જાગીને જોઉં તો એની એ તપ્ત હા, તપ્ત ધરણી હતી!
– નિરંજન ભગત
ટ્વેન્ટી-ટ્વેન્ટીના જમાનામાં આ કવિતા થોડી લાંબી અને ભારઝલ્લી લાગે. ભાવનાત્મક કવિતાના ચાહકોને આ રચના જટિલ લાગશે, પણ જેમને પ્રતીકાત્મક અને વિચારપ્રધાન કવિતામાં રસ છે એ મિત્રોને આ કવિતા અવશ્ય પસંદ પડશે.
વૈશાખના ધોમધખતા બપોરે સૂર્યની આગઝરતી દૃષ્ટિથી આખી સૃષ્ટિ ડઘાઈ ગઈ છે. શું પંખી, શું સાગર કે શું તરણાં-ક્યાંય કોઈ સળવળ નથી. આ સ્તબ્ધ શાંતિ અને અંગ-પ્રત્યાંગે કળાતો થાક ઝાંઝવાનીર સમી ભ્રમણાથી વિશેષ કંઈ નથી. તપી તપીને રંગો ગુમાવી ભૂખરી થઈ ગયેલ ધરતી પર નાયકે જે માર્ગ પર જવાનું છે એ લાકડાના ચક્ર પર તપીને લાલચોળ (રક્તરંગીન) થયેલ લોઢાના ટુકડા જેવો ભાસે છે. લૂ ઝરતા પહોરની સામે પવનની આછી આછી લહેરખીની તે શી વિસાત કે ડિલે વળતો પરસેવો લૂછી શકે? કથક શૂન્યનેત્રે સ્થળ અને કાળના અંતને માપવા મથી રહ્યો છે.
ત્યાં અચાનક અડગ ટટ્ટાર રહીને ભીંસતી ભીંતો સમી દિશાઓમાં જાણે કાણું ન પડ્યું હોય એમ મૃદુ ગીત જેવી પવનની મંદ-મંદ લહેરખી ફૂંકાય છે. ક્ષિતિજ પર ઝૂલી ગયેલ નાવના સદઃ અચાનક ફૂલે-ખૂલે અને પવનના એક જ હેલારથી-સેલારથી એ નાવ જ નહીં, ઓટમાં ઓસરી ગયેલ પાણી પણ કાંઠા સુધી તણાઈ આવે એવી અનુભૂતિ નાયકને થાય છે. પણ રણમાં મીઠી વીરડી જેવો આ અનુભવ તો ક્ષણિક જ હતો. એકાદ પંખી સ્વપ્નમાં કલ્પના ન બોલતી હોય એમ ઊડતું આવી ટહુકાનું ગીત રેલાવી અને એકાદ પીંછું ખેરવીને આવ્યું હતું એવું જ પાછું ચાલ્યું ગયું. પવનની પળભરની લહેરખી અને પંખીના ક્ષણભરના ટહુકાર કથકને કાનમાં જાણે કશું કહી જાય છે. શંકરની જટા ખૂલે અને એકાદી લટ એની ત્રીજી આંખને પલકભર માટે ઢાંકી દે એવી કોઈક રાગ મલ્હાર ગાતી ભૂલી પડેલી વાદળી વિષાદભર્યા હૃદયની ગાઢ છાયા બની આવી ચડે છે ને વળી પવન અને પંખીની જેમ જ ગાયબ પણ થઈ જાય છે. ગ્રીષ્મની બપોરે સંધ્યાની રમ્ય ટાઢક રેલાઈ ઊઠી હોવાનું ભાન થાય છે. પણ પાણીની ધારથી કંઈ શિલા તૂટે? પળભરની આ રાહત છ્ળ કે ભાંત સપનાથી વિશેષ કશું નહોતી. બપોરની અગ્નિ ઝરતી આંખથી તપ્ત પ્રકૃતિની સાથોસાથ વ્યાકુળ બનેલ હૈયાની હરણી માટે એ રાહત ઝાંઝવાનીરથી વધુ તો શું હોય? રાહતનો ભ્રમ ભાંગતાવેંટ ફેર વો હી બપોર, ફેર વો હી ગરમી…
નરસિંહના પ્રિય ઝૂલણા છંદમાં રચાયેલ આ કૃતિનો અંત પણ કવિએ નરસિંહની જ પંક્તિના પૂર્વાર્ધ ‘જાગીને જોઉં તો’ની મદદથી કર્યો છે એય ધ્યાનાર્હ છે. ભાનુ-ભર્ગ-ભાસ્વતી-ભસ્મ તથા ઉગ્ર-ઉરસ્પંદન-ઉગ્ર-ઉચ્છવાસતી જેવી વર્ણસગાઈઓ, ઝરતી-સરતી-ડરતી-ભરતી તથા તરણી-હરણી-ધરણી જેવાં અંત્યાનુપ્રાસો તેમજ હેલાર-સેલાર જેવા આંતર્પ્રાસોની ગુંથણીની મદદથી રચના વધુ આસ્વાદ્ય બની છે.
Permalink
April 25, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગીત, રઘુનાથ બ્રહ્મભટ્ટ રસકવિ
બમ્બઈ મેં મિલ જાઉ શ્યામ તોહે બમ્બઈ મેં મિલ જાઉ
મધુરાધર સે મુરલી છુડાકે વાયોલિન બજવાઉ
… શ્યામ
મોરમુકુટ બનમાલ ઉતારું
કૉલર ટાઈ પિન્હાઉ
મહી માખન કો સ્વાદ ભુલાકે
બિસ્કિટ પાઉ ખિલાઉ.
… શ્યામ
બિન્દ્રાબિન કો રસ ભુલાઉ
ફૅન્સી બોલ સજાઉ
રઘુનાથ પિયા તોપે તન મન વારું
લોર્ડ કન્હાઈ કહલાઉ.
…શ્યામ
– રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ
‘મુગલ-એ-આઝમ’ ફિલ્મના અતિપ્રસિદ્ધ ગીત ‘મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે….’ના રચયિતા એક ગુજરાતી કવિ હતા એમ કહીએ તો કેવું આશ્ચર્ય થાય! હા… પણ વાત સાવ સાચી છે. આ કાળજયી ગીતરચનાના રચયિતા હતા કવિશ્રી રઘુનાથ ત્રિભુવનદાસ બ્રહ્મભટ્ટ (૧૮૯૨-૧૯૮૩). રસકવિ એમનું ઉપમાન.ગુજરાતી રંગભૂમિ માટે નાટકો લખતા અને નાટકોને વધુ લોકભોગ્ય બનાવવા એમાં એ ગીતો ઉમેરતા. ૧૯૧૯માં રજૂ થયેલ ‘છત્રવિજય’ નાટકનું આ નાટ્યગીત મહેફિલોમાંથી પસાર થતાં થતાં મુગલ-એ-આઝમ ફિલ્મ સુધી પહોંચ્યું પણ શકીલ બદાયૂનીના નામે. સુદીર્ઘ કાનૂની લડાઈ બાદ કવિને કવિ તરીકેનું માન મળ્યું… અનેક નાટકો અને અનેકાનેક ગીતોના રચયિતા રસકવિની કલમે આજે માણીએ સાવ જ નોખી તરેહનું આ ગીત…
મુંબઈને માયાનગરી પણ કહેવામાં આવે છે. કહે છે કે જે એકવાર મુંબઈ આવે, એ કદી મુંબઈ છોડી શકતો નથી. નિરંજન ભગતે ‘ઇન્દ્રજાલની ભૂલવે લીલા’ એવી મુંબઈ નગરી વિશે બહુ સરસ કવિતા લખી હતી: ‘ચલ મન મુંબઈ નગરી, જોવા પુચ્છ વિનાની મગરી!’ મુરલીધર શ્યામ જો મુંબઈમાં આવે તો એની કેવી કાયાપલટ થઈ જાય એનું ખડી બોલી- વ્રજ બોલીમાં કવિએ સરસ મજાનું નિરૂપણ કર્યું છે.
Permalink
April 24, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગીત, વિનોદ જોશી
વાતે વાતે મને લાગતું : તને લાગશે કેવું?
દરિયા વચ્ચે અમથો જીવું હું પરપોટા જેવું!
પરાપૂર્વથી પાણી તો પાણી છે એણે ખળભળવાનું હોય : એટલું કહેવું છે,
જાણી લે કે મોજાંની ઢગલીએ જઈને ઊંડાં તળિયે સાવ એકલું રહેવું છે!
પણ,
તારે મારો પડછાયો થઈ હોય કાયમી રે’વું!
દરિયા વચ્ચે અમથો જીવું હું પરપોટા જેવું!
પાણીનું બખ્તર પહેરીને કોઈ માછલી નથી આવતી કાંઠે એ તું જાણે છે,
દરિયો કરવા એક ફાલતુ ટીપાને તું ફોગટ એના ગજાબ્હારનું તાણે છે;
પણ,
મને ખોઈને હું મારામાં તને જીવતો, એવું!
દરિયા વચ્ચે અમથો જીવું હું પરપોટા જેવું!
– વિનોદ જોશી
માનવસંબંધની સંકુલતાનું ગાન. કવિ એમ નથી કહેતા કે વાતે વાતે તને વાંકુ પડે છે, એ તો વાતે વાતે પોતાના વર્તાવથી સામી વ્યક્તિને શું લાગશે એની ચિંતામાં ગરકાવ છે. માનવસંબંધની આ સૌથી કરુણ બાજુ છે. પોતાની ઇચ્છાને અવગણીને સામાને અનુકૂળ થવાની રઢમાં ઘણીવાર બાવાનાં બેય બગડતાં હોય છે. ‘વાતે વાતે’ – આ દ્વિરુક્તિ પણ ગીતને કેવી ઉપકારક નીવડી છે! આ કોઈ એક વખતની સમસ્યા નથી,આ સમસ્યા તો ડગલેને પગલે કથકને કનડી રહી છે. નાયક પ્રિયાને દરિયો અને સ્વયંને પરપોટો કહે છે એના પરથી એને પ્રિયા માટે કેટલો પ્રેમ છે એનો અણસાર મળે છે. દરિયો – અસીમ, અતાગ, શાશ્વત! પરપોટો- નાનકડો, અસ્થિર, અલ્પજીવી! સુખી થવાની ખરી કળ તો એ કે જે જેવા હોય એવા થઈને રહે. પાણી હોય તો એણે પાણી જ રહેવાનું હોય, ખળખળવું એ જ એનો ખરો ગુણધર્મ. માછલી કાંઠે આવે તો જાનથી જાય, પણ એથી કંઈ એ પાણીનું બખ્તર પહેરીને કાંઠે ન આવે. નાયકને એકલતાનું ઊંડાણ પસંદ છે, પણ સામી વ્યક્તિને તો પડછાયો થઈ ચોવીસે કલાક સાથે પણ રહેવું છે અને નાયકને પોતાના રંગે રંગી પોતાના જેવોય બનાવવો છે. પણ એમ કંઈ ટીપાંને તાણીને દરિયો કરાય? ગીતસ્વરૂપે નાયક જે આપણને કહી રહ્યો છે, એ નાયિકાને કહી શકે છે ખરો? સાચો સંબંધ જ એ જે સામી વ્યક્તિને યથાતથ સ્વીકારી શકે…
Permalink
April 23, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, જિગર જોષી 'પ્રેમ'
કદમ ઉપાડ્યાં જુદી દિશામાં, જવાનું છે એ સડક અલગ છે,
કરી પ્રતીક્ષા જુદી જ પળની, જે હાથ લાગી છે ક્ષણ અલગ છે.
પ્રથમ કે બીજી કે ત્રીજી નજરે એ આંખો અમને ઠરેલ લાગી,
રહી રહીને સમજમાં આવ્યું કે એની આખી તરસ અલગ છે.
ભળી ગયાં છે જો દૂધ-સાકર પછી તો ક્યાંથી અલગ થવાનાં?
તમે એ રીતે કર્યું છે મિશ્રણ, નહીં તો જીવન—મરણ અલગ છે.
અમે તો પહેલાં કહ્યું હતું કે આ વાત માન્યામાં નહીં જ આવે,
ખભેખભો મેળવીને ચાલે, અહીંનાં મૃગજળ-હરણ અલગ છે.
‘જિગર’ એ સંબંધ હો કે દરિયો, અનુભવો તો છે એક સરખા,
શરૂ શરૂના પ્રવાહ જુદા, પછી પછીનાં વમળ અલગ છે.
– જિગર જોષી
આજે જ એક ગઝલ;સંગ્રહની રઈશ મનીઆરે લખેલી પ્રસ્તાવનામાં આ વાંચ્યું: ‘કહેવાયછે કે ગઝલ કાફિયાનુસારી પ્રકાર છે, પણ મારો મત છે કે કાફિયા કરતાંવધુ રદીફ ગઝલનુંભાવવિશ્વ નક્કીકરવામાં મોટો ભાગ ભજવે છે. સુંદર રફીફની પસંદગી સારી ગઝલ લખાવાની શક્યતા વધારી દે છે.’ સત્યવચન! લયસ્તરો પર થોડા દિવસો પૂર્વે જ આપણે રદીફે ગઝલમાં રીતસરના પ્રાણ ફૂંકવાનું કામ (https://layastaro.com/?p=24476) કર્યું હોવાની વાત કરી હતી. આ ગઝલ વિશે પણ એવું કહી શકાય. એક તો મજાના લગા લગાગાના આવર્તનવાળો દ્વિખંડી છંદ અને ગઝલના મિજાજને ઉપસાવી આપવામાં પ્રમુખ ભાગ ભજવતી ‘અલગ છે’ રદીફ –સાચે જ ગઝલ અલગ તરી આવે છે!અહીં કાફિયા તો મુક્ત અને અકારાંત છે, પણ નાની તોય મજાની રદીફની મદદથી આ ગઝલ સરસમાંથી ઉત્તમની યાત્રા સફળતાપૂર્વક ખેડી શકી છે એનો આનંદ છે.
ગઝલના પાંચેય શેર ઉમદા થયા છે. ખરેખર જે તરફ આગળ વધવું જોઈએ, એનાથી વિપરીત દિશામાં જ ગતિ કરનાર આ દુનિયામાં ઓછા નથી. ઘણા માણસ ઉપરથી ઠરેલ લાગે… પહેલી નજરે જ નહીં,વારંવારના અવલોકન પછી પણ! પાછળથી રહી રહીને આપણને સમજાય કે હકીકતમાં આપણે જ એને વાંચવામાં ખોટા સાબિત થયાં છીએ- એ ભાઈની તો લાલસા જ અલગ હતી! જીવન-મરણવાળો શેર એની ગૂંથણીના કારણે વધુ પ્રભાવક થયો છે. મૃગજળ એટલે હોઈએ એથી ઘણે દૂર પાણી હોવાનો થતો આભાસ. હરણ કહો તો હરણ અને મનુષ્ય કહો તો મનુષ્ય- જેમ જેમ એની નજીક જવાની કોશિશ કરીએ, એમ એમ મૃગજળ દૂરને દૂર થતું જાય. બે સાથે ન થઈ શકે. કવિ કહે છે કે અમે તો પહેલાં જ કહ્યું હતું કે અમારી વાત તમારા માન્યામાં આવશે નહીં. આ દુનિયામાં મૃગજળ અને મૃગ ખભેખભા મેળવીને ચાલે છે. છેલ્લો શેર પણ નખશિખ આસ્વાદ્ય થયો છે.
Permalink
April 22, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગીત, નિરંજન ભગત
પદમણી, હળવેથી પગલું મેલ,
આજ તારું હૈયું છલકે કે હેલ?
કિયા ડુંગરની આડે ત્યાં દૂરથી
. પહેલા પરોઢને પ્હોર,
ગમતીલા ગરવા નરવા તે સૂરથી
. સુણ્યો મધુરવો મોર?
આજ તારા પગલામાં પ્રગટી ઢેલ!
તારી તે પાનીને જોઈ જોઈને
. પોયણી શી શરમાય,
દિલની દાઝેલીની રોઈ રોઈને
. કાયા તે શી કરમાય!
આજ તારી રખે રોળાય રંગરેલ!
સૂના સરવરિયે પાણીડે જાતાં
. પ્રગટ્યા શું ભવના ભોર?
આછેરા વાયરા અંગ અંગ વાતાં
. સપનોના સરક્યા દેાર?
આજ એમાં નીરખી નાવલિયાની વ્હેલ?
– નિરંજન ભગત
શાળામાં ભણતો હતો ત્યારે આ ગીત ક્યાંક વાંચવામાં આવ્યું હતું. વાંચવામાં તો શું આવ્યું હોય, કારણ વાંચી શકાય એવું તો આ ગીત છે જ નહીં. ફરજિયાત ગણગણવું જ પડે એવું લયાત્મક છે આ ગીત. પણ એ દિવસથી ગીત તો અડધું પડધું યાદ રહી ગયું, કવિનું નામ વિસ્મૃતિની ગર્તામાં ધકેલાઈ ગયું. કંઈ કેટકેટલા વરસોથી આ ગીત લયસ્તરો પર મૂકવાની નેમ હતી, પણ કવિનું નામ જડે ત્યારે ને! શક્ય બને એટલા પ્રયાસો કરી હાથ હેઠા મૂકી દીધા હોવાની કોઈક પળે અચાનક બૃહદ છંદોલયમાંથી આ રચના ‘હાઉક’ કરતીક સામે આવી ચડી… આ આનંદને આપ સહુ સાથે સહિયારું નહીં એ તો કેમ બને? લ્યો તારે, વાંચો, સોરી, ગણગણો, સોરી, ગાવ આ ગીત…
ચાર અક્ષરના એક જ શબ્દમાં નાયિકાના રૂપનું સાંગોપાંગ વર્ણન કરી કવિએ ગીતને ઉપાડ આપ્યો છે… પદમણી કહી દો પછી બીજું શું કહેવાનું બાકી રહે? કામશાસ્ત્રમાં સ્ત્રીઓના ચાર પ્રકાર વર્ણવ્યા છે. એમાં સૌથી શ્રેષ્ઠ અને ગુણવતી તે પદમણી-પદ્મિની. આગળનું ગીત જાતે જ માણીએ?
Permalink
April 18, 2026 at 11:27 AM by વિવેક · Filed under ગઝલ, વિપુલ માંગરોલિયા ‘વેદાંત’
રોજ પ્રભાતે લૂંટ્યું અંબર,
રાતે પાછું ગૂંથ્યું અંબર.
ખેદ નથી કે પાંખ કપાણી,
પીડા છે કે છૂટ્યું અંબર.
એ જોવા વરસી છે વર્ષા,
ક્યાંથી ક્યાંથી ફૂટ્યું અંબર?
કોણે કીધું અભિમાની છે?
જો ક્ષિતિજ પર ઝૂક્યું અંબર.
નાની અમથી વિપદા ટાણે,
લોકો કહેશે, તૂટ્યું અંબર.
ક્યાંય નથી દેખાતું વાદળ,
કોણે આજે લૂછ્યું અંબર?
– વિપુલ માંગરોલિયા ‘વેદાંત’
એક જમાનો હતો જ્યારે કોઈ એક ઘટકત્ત્વને રદીફ બનાવી ગઝલ લખવાનો ચાલ હતો. પીંછું, દરિયો, અંધારું, ઘર જેવી રદીફ નક્કી કરી કવિ સ્વયંને એક ભાવવિશ્વમાં બાંધી દેતો અને પછી એ ભાવવિશ્વની નાનાવિધ રંગછટાઓ નાણવા મથતો. આજે એ ફેશન સહેજ મોળી પડી છે, પણ એ પ્રકારની ગઝલો તો લખાતી જ રહે છે. પ્રસ્તુત ગઝલમાં કવિએ ‘અંબર’ –આકાશને કેન્દ્રમાં રાખી ગઝલનું વર્તુળ રચ્યું છે. મત્લા સહેજ વિચારણા માંગી લે છે પણ એ સિવાય નાની બહેરમાંય બધા શેર સંતર્પક થયા છે.
Permalink
April 16, 2026 at 11:13 AM by વિવેક · Filed under કિરણ જોગીદાસ 'રોશન', ગઝલ
સાંભળ ને, એક વાત! મને એમ થાય છે-
તારા વિના શું થાત, મને એમ થાય છે.
તારા મિલનની ચાહમાં કેમેય વીતી નહીં,
લાંબી હતી શું રાત? મને એમ થાય છે!
આપ્યું હૃદય તને તો કફોડી દશા થઈ,
લૂંટાઈ ગઈ મિરાત? મને એમ થાય છે.
સઘળું ગુમાવ્યું તોય ખુમારી છે પ્રેમની,
આ જીત છે કે મ્હાત? મને એમ થાય છે.
તારાપણાની સાહ્યબી મશહૂર રાખતી,
મારી તે શું વિસાત, મને એમ થાય છે.
એક બીજમાંથી વૃક્ષ બનાવી કૃપા કરી,
તારા વિના ઉગાત? મને મને એમ થાય છે.
તારા વિના શું સૂર કે શું તાલ કે શું રાગ!!
તારા વિના શું ગાત, મને એમ થાય છે.
– કિરણ જોગીદાસ ‘રોશન’
ગુજરાતી ગઝલ લખાવી શરૂ થઈ એને લગભગ દોઢસો વર્ષ થયાં. આજ પર્યત એટલી બધી ગઝલો લખાઈ છે કે કદાચ હવે એવું કંઈ બચ્યું જ નથી જે આગળની ગઝલોમાં કહેવાઈ ગયું ન હોય પણ તોય ગઝલો લખાવાનું બંધ કે ઓછું થતું નથી. ઊલટું દિનબદિન ગઝલોનો ફાલ વધુ ને વધુ માત્રામાં ઉતરી રહ્યો છે. કેમ? તો કે અભિવ્યક્તિનું નાવીન્ય… એકનો એક સૂર્યાસ્ત આખી જિંદગી જોઈને જે રીતે આપણે ધરાતાં નથી, એ જ રીતે ગઝલો આજેય આપણને નિરાશ કરતી નથી. આ ગઝલ જુઓ… સરળ ભાષામાં વાંચતાવેંત સમજાઈ જાય એવા સહજસાધ્ય શેર… અને તોય ગઝલ એકદમ ઓવન-ફ્રેશ લાગે છે. રદીફ ગઝલોનું અગત્યનું અંગ છે. પ્રસ્તુત ગઝલમાં તો રદીફે રીતસરના પ્રાણ ફૂંકવાનું કામ કર્યું છે… પહેલા પાંચ શેર તગઝ્ઝુલના છે અને આખરી બે તસવ્વુફના… પણ ગઝલ તો આખેઆખી નિરવદ્યપણે મજાની થઈ છે.
Permalink
April 15, 2026 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, ભરત ત્રિવેદી
જ્યારે પણ હું
ટેબલ પાસે ખુરશી
ખેંચી લાવીને બેસું છું
તે પણ
અચૂક પાસે આવી
બેસી જાય છે.
હું કવિતા લખવી શરૂ કરું
કે તરત જ
તે પણ તેની રમત
શરૂ કરી દે છે.
હું. લખવા મથું
આકાશ વિશે તો
તે લખાવે છે
લીલાંછમ ખેતરો વિશે!
હું આંખો તાણીને
નજર માડું
ક્ષિતિજની પેલી પાર
ત્યારે તે
સામે અરીસો ધરી દે છે!
અજાણી ટ્રેઇનના મુસાફર જેવો
હું
પરેશાન હોઉં ત્યારેય
તે ખુશ થતી હોય છે.
હું કવિતા લખવા બેસું
ત્યારે
કવિતા મને લખતી હોય છે.
– ભરત ત્રિવેદી
હાથમાં કલમ લઈ કાગળ પર કવિતા લખવા બેસનાર કવિને ખબર હોતી નથી કે આગલો શબ્દ કયો હશે, અને આખરી શબ્દ કયો હશે. કવિને મન એમ કે એ કાગળ પર કવિતા લખી રહ્યો છે, પણ વાસ્તવમાં તો ત્યારે કવિતા જ કવિને હળવા હાથે ટાંચતી, ઘડતી હોય છે, પરિણામે કવિતા લખાયા બાદનો કવિ કવિતા લખ્યા પૂર્વેના કવિ કરતાં અલગ જ હોવાનો. કવિતાનો વિશદ આસ્વાદ માણવા ઇચ્છતા મિત્રો અહીં ક્લિક કરે…
Permalink
April 11, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ત્રાપજકર, પરમાનંદ મણિશંકર ભટ્ટ ‘ત્રાપજકર’

કહું છું પ્રેમીઓ ભોળા, મજા છે દૂર રહેવામાં,
સમીપે સંતાપો જાજા, મજા છે દૂર રહેવામાં!
ઊગે આકાશે ભાનુ કમળનું મુખડુ મલકે,
રવિને સ્પર્શવા કરતાં મજા છે દૂર રહેવામાં!
બજે જયાં બિન મીઠું ત્યાં ન હરણી આવજે પાસે,
વિંધાવુ બાણથી પડશે, મજા છે દૂર રહેવામાં!
ચકોરી દૂરથી નાચે, ન ઊડી ચંદ્રને ભેટે,
કલંકો વેઠવા કરતાં મજા છે દૂર રહેવામાં!
મધુરા વાયુ લહેરાતા, મધુકર મોહ ના કરજે;
કુસુમના કેદખાનાથી, મજા છે દૂર રહેવામાં,
પતંગો ના કદી સમજે અગર સમજે તો કહી દેવું,
દીપકમાં દાઝવા કરતાં મજા છે દૂર રહેવામાં!
તજીને ગોપીઓ ઘેલી વસ્યા શ્રી કૃષ્ણ દ્વારિકા,
પ્રભુએ પણ પીછાણ્યું કે મજા છે દૂર રહેવામાં!
– પરમાનંદ મણિશંકર ભટ્ટ ‘ત્રાપજકર’
(જન્મ: ૨૪-૦૨-૧૯૦૨, નિધન: ૧૦-૧૦-૧૯૯૨) વિશેષ પરિચય: ગુજરાતી વિશ્વકોશ
ગુજરાતી ગઝલ આજે જે શિખરે પહોંચી છે, એ કવિ ત્રાપજકર જેવા શબ્દસાધકોના પુરુષાર્થ વિના કદાચ જ પહોંચી શકી હોત. સાકી-સનમ-સુરા ને બુલબુલની ઉર્દૂ-ફારસી જાળમાં ફસાઈ રહેલ ગઝલને ત્રાપજકર જેવા કવિઓએ ગુજરાતી બનાવી. પ્રસ્તુત ગઝલમાં વિવેચકોને કાફિયાદોષ પણ દેખાશે અને ક્યાંક શેરિયત પણ ઓછી અનુભવાશે, પણ આ એ ખાતર છે, જેના કારણે ગઝલનો છોડ ફાલીને વટવૃક્ષ થયો… ગઝલની રદીફ ભલે એમ કેમ ન કહેતી હોય કે દૂર રહેવામાં મજા છે, અમે તો એમ જ કહીશું કે આ ગઝલની નજીક રહેવામાં જ ખરી મજા છે… આપ શું કહો છો?
Permalink
April 10, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગીત, તનસુખ ભટ્ટ 'યાત્રી', ભક્તિપદ
ધોળિયું ધજાયું જ્યાં ફરફરે, ગરવા ગિરિવરની ટૂંક,
વાયુ રે ઢાળે વનના વીંઝણા, જાવું છે ત્યાં અચૂક
એવા રે મારગ અમે સંચર્યા…
ઊંચે રે મઢીથી ઊંચે મોલથી ઊંચા ત્રોવરથી અપાર
ઊંચે રે ઊભી ડુંગર દેરડી, વાદળગઢની મોઝાર
એવા રે માર્ગ અમે સંચર્યા…
ડાબે રે ઊંડી વનની ખીણ છે, જમણે ડુંગરની ભીંત;
કેડી રે વંકાણી વેલી સમી, કપરાં કરવાં ચિત્ત,
એવા રે માર્ગ અમે સંચર્યા…
પળમાં પડે ને પળમાં ઊપડે, વાદળ પડદા વિશાળ
પળમાં લોપાતી રે દેરડી, મળતી લેશ ન ભાળ
એવા રે માર્ગ અમે સંચર્યા.
ખમા રે વાયુ ખમા વાદળાં, ખમા ડુંગરના સ્વામ,
તમ્મારે દરશને ઝંખના, પૂરણ કરજો કામ.
એવા રે મારગ અમે સંચર્યા
– તનસુખ ભટ્ટ ‘યાત્રી’
(૨૧ માર્ચ, ૧૯૧૧ થી ૦૫ ફેબ્રુઆરી ૨૦૦૪)
આત્માથી પરમાત્મા સુધીનો પ્રવાસ ભારતીય આધ્યાત્મ પરંપરાના કેન્દ્રસ્થાને છે. ગરવા ગિરિવરની ટોચે ફરફરતી ધોળી ધજા સાધકનું લક્ષ્ય છે. ધોળૉ રંગ પવિત્રતા-આધ્યાત્મનું પ્રતીક છે. ઝૂંપડીથી ઊંચા મહેલ ને મહેલથી ઊંચા વૃક્ષો ને વૃક્ષોથી ઊંચે ડુંગર પરની વાદળોથી ઘેરાયેલી દેરી સુધીની મુસાફરીમાં એક તરફ વિષય-વાસના-પતનની ખીણ છે તો બીજી તરફ અહંકારના ડુંગરની ભીંત. વચ્ચેની કેડી સીધી નથી, મુસીબતોથી ભરી પડી છે. કાળજું કઠણ કર્યા વિના આ માર્ગે આગળ નહીં વધાય. અજ્ઞાન-ભ્રમણાના વાદળો વચ્ચે જ્ઞાનની દેરી કદી દેખાય છે, કદી ઓઝલ થઈ જાય છે. વન, વાયુ, વાદળ ને ડુંગરના સ્વામી ઈશ્વર –તમામની ક્ષમા માંગી સાધક દર્શનની ઝંખના વ્યક્ત કરે છે. ક્ષમા એ અહમ-વિગલનની નિશાની છે…
(ટૂંક=શિખર; મઢી=મઢૂલી, ઝૂંપડી; મોલ=મહેલ; ત્રોવર=તરુવર, મોટું ઝાડ; દેરડી=નાની દેરી; મોઝાર=મધ્યે, વચ્ચે; સ્વામ=સ્વામી)
Permalink
April 9, 2026 at 12:01 AM by વિવેક · Filed under ગઝલ, માર્ગી દોશી ડૉ.
ગમા-અણગમાના મૂક્યા સૌ ઉધામા,
ભણાવી દીધાં મનને સ્વીકારનામાં.
હશે ક્યાંક મારામાં ઓછાપણું પણ,
હવે કોશિશો માંગી રહી છે વિસામા.
નવી રીત શોધી છે હળવા થવાની,
લખી દઉં છું કોઈને કાગળ નનામા!
હતાં બે‘ક સ્વપ્નો ને ગમતા પ્રસંગો,
મૂકીને ગયા તેઓ પણ રાજીનામાં.
સફળ પ્રેમને એ નજરથી જુએ સૌ,
કર્યાં હોય જાણે ગજબ કારનામા.
વિચારું તને ને ઉપાડું કલમને,
પછી રોકવાના પ્રયાસો નકામા.
એ બે જણને પોતાના ના હોય પ્રશ્નો
ત્રીજાની જ વાતે ચડે સામસામા.
ભલેને છૂપાવે ગુના એ જગતથી,
અરીસા ઉપર રહી જવાનાં ચકામાં.
– ડૉ. માર્ગી દોશી
વાંચતાવેંત ગમી જાય એવી ગઝલ. એક તો હમરદીફ-હમકાફિયા ગઝલ છે અને બીજું, બહેર પણ લાંબી નહીં, મધ્યમ છે. એટલે ઓછી જગ્યામાં કાફિયા નિભાવીને શેરિયત સર્જવામાં કવિકસોટી તો થવાની જ. સદનસીબે કવયિત્રી આમાં સાંગોપાંગ પાર ઉતર્યાં છે અને આપણને એક અચ્છી ગઝલ મળી. કોઈ શેરને અલગથી સમજાવવાની આવશ્યક્તા નથી, પણ દરેક શેર ફરી ફરીને વાંચીએ તો મજા પણ ફરી ફરીને વધતી જશે એ નક્કી.
Permalink
April 8, 2026 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, એન્ડ્રિયા કોહેન, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
હું મારી માને કહું છું
મને નોબલ પારિતોષિક મળ્યું છે.
ફરીથી? એ પૂછે છે. આ વેળા
કયા ક્ષેત્રમાં?
આ એક નાનકડી રમત છે
જે અમે રમીએ છીએ: હું ડોળ કરું છું
કે હું કોઈક ખાસ છું, એ
ડોળ કરે છે કે એ મરી નથી
– એન્ડ્રિયા કોહેન
(ગુજ. અનુવાદ: વિવેક મનહર ટેલર)
ગાગરમાં સાગર જેવી રચના. ઓછામાં ઓછા શબ્દોમાં પૂરેપૂરી અભિવ્યક્તિ કરી શકે એ ખરી કવિતા. કથક એની માને કહે છે કે એને નોબલ પારિતોષિક મળ્યો છે. સાહિત્યજગતનું સૌથી મોટું બહુમાન મળ્યું હોવાની વાતથી જ મા-દીકરી વચ્ચેના સંવાદની કાલ્પનિકતા પ્રસ્થાપિત થઈ જાય છે. તમને કદાચ એવો સવાલ કરવાનું મન થાય કે જેને ખરેખર નોબલ પારિતોષિક મળ્યું હોય એ કવિએ જ આ કવિતા લખી હોય એવું ન બને? બની શકે… પણ કવિતાનો બીજો-ત્રીજો ભાગ તો જુઓ… સમજાયું ને?
મા-દીકરી વચ્ચે આ પ્રકારની રમતો રમવું સાહજિક હશે એ બાબત સ્પષ્ટ થાય છે અને એના પરથી મા-દીકરી વચ્ચેનો હૂંફાળો સંબંધ પણ પ્રતિપાદિત થાય છે. કાવ્યાંતે માતા આ દુનિયામાં હયાત જ ન હોવાની સંભાવના સ્ફુટ થાય છે ત્યારે હળવી રમતના સૂરમાં આરંભાયેલ સંવાદ વિષાદયુક્ત એકોક્તિ બની રહે છે. કમિટિનો નિર્ણય શીર્ષક પણ કવિતા પૂરી થઈ ગયા બાદ જ સમજાય છે. દીકરીને મન એની મા જ એકમેવ કમિટિ હતી. માનો અભિપ્રાય જ એને મન તો નોબલ પારિતોષિક બરાબર હતો… દુન્યવી સફળતા ગમે એટલી મોટી કેમ ન હોય, મા-બાપના ચાલ્યા જવાથી સર્જાતા ખાલીપાને એ સભર કરી શકતી નથી…
Permalink
April 6, 2026 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, પ્રાણજીવન મહેતા
નસીબનું પાનું ખોલનાર ચકલી સુખી છે;
મિત્ર; એના મૌનનો વિષાદ નથી પરખાતો.
આભાસને અરીસામાં જોઈ આનંદ માણનાર સુખી છે;
મિત્ર; એને સ્પર્શી પારખી શક્વાની શક્યતા નથી હોતી.
દેવાલયમાં બેઠેલો માણસ સુખી છે;
મિત્ર; ઘંટારવ અને નિજનો અવાજ
એને ભિન્ન નથી જણાતા કદીય.
સુખી થવાની કલ્પના કરતો માણસ
અત્યંત સુખી છે;
મિત્ર; એની કલ્પનામાં દુઃખને
ક્યાંય સ્થાન નથી હોતું…
– પ્રાણજીવન મહેતા
કહેવું હોય એ સીધેસીધું કહી દે તો એ કવિતા કેમ કહેવાય? કવિએ કવિતાને શીર્ષક તો ‘સુખની કવિતા’ આપ્યું છે. પણ શું સાચે જ આ સુખની કવિતા છે? જ્યોતિષના ઘરે નસીબનાં પાનાં ખોલી આપવાનું કામ કરતી ચકલી પોતાના વિષાદને પારખી શકતી ન હોવાથી સુખી છે એમ કવિ કહે છે. ચકલી તો પ્રતીક છે. હકીકતમાં આ એ લોકોની વાત છે, જેઓ અજ્ઞાનમાં જ જીવી જાય છે. ભાગ્ય વિશે વિચારવાને સમર્થ નથી. લોકો વાસ્તવિક્તાનો સામનો કરી શકતા નથી. આભાસી સુખને જ સાચું ગણીને તેઓ જીવન વિતાવે છે. ભગવાનના આશરે જીવન જીવી જતા લોકો બાહ્ય રણકારમાં જ એટલા રત રહે છે કે ભીતરનો અવાજ સાંભળવાનો અવકાશ જ રહેતો નથી. અને જે નિતાંત કલ્પનામાંજ રાચવામાં માને છે એ માણસ તો સૌથી સુખી છે. ટૂંકમાં સુખની અનુભૂતિ કેવળ અજ્ઞાન, આભાસ અને કલ્પનામાં જ સંભવ છે. વાસ્તવિક જીવનમાં સુખ યાને ઝાંઝવાનું જળ…
Permalink
April 4, 2026 at 11:24 AM by વિવેક · Filed under અછાંદસ, ભરત ત્રિવેદી
હજી એ દા’ડાની
સતત વરસે યાદ વસમી
ધરી પાટી હાથે
શબદ શિખવ્યા કૈંક મુજને
અને
વીત્યાં વર્ષો
જીવનપથ આરૂઢ બનતાં
તમે છોડી ચાલ્યા..
કદી મોડી રાત્રે
કવનવશ આવેગ ઉર લઈ
લખું જ્યાં શબ્દો
ત્યાં
મુજ તરફ કો દૃષ્ટિ ઠરતી?
વીતેલાં વર્ષોની
સહજ ઊઘડી જવનિકા
તમારી યાદે
હૃદય ઊભર્યે
અશ્રુ સરતું
– ભરત ત્રિવેદી
ભવાટવિમાં આપણને પાછળ છોડી ચાલ્યા જનાર સ્વજનોની યાદ તો કાયમ આવતી જ હોય, પણ જે રીતે સ્વાતંત્ર્ય દિને નાગરિકોનો દેશપ્રેમનો જુસ્સો જ અલગ હોય એ રીતે પુણ્યતિથિએ એમની સાથે વીતાવેલું આખું જીવન આપણે રિવાઇન્ડ કરતાં હોઈએ છીએ. કથક મૃત પિતાની પુણ્યતિથિએ એમને સંભારી રહ્યા છે. પિતાજીએ જે શબ્દો આપ્યા એ જ શબ્દો કથક મોડી રાત્રે કાવ્યાવેશમાં આવી કાગળ પર માંડે છે ત્યારે એને પિતાજીની નજર પોતા તરફ જ મંડાયેલ હોવાનો ભાસ થાય છે. વિગત વર્ષોનો પડદો ખૂલી જતાં હૃદય લાગણીથી ઉભરાઈ ઊઠે છે અને એ ઉભરો આંસુ બનીને આંખેથી છલકાય છે… કાવ્યારંભે વસમી યાદ સાથે અક્ષરજ્ઞાનનો સંદર્ભ એક જ વાક્યમાં વણી લેવાયો છે એ સહેજ કઠે છે.
આપણી આંખોને કવિતા આવો નાની-મોટી પંક્તિઓનો દેહ ધારીને આવે એટલે એને અછાંદસ ગણી લેવાને ટેવાઈ ગઈ છે. પણ આ રચના વિશુદ્ધ શિખરિણી છંદમાં છે, અછાંદસ નથી. કવિએ શિખરિણીની પંક્તિઓના ખંડ કરીને એને અછાંદસનો આકાર આપ્યો છે. આને મુક્ત પદ્ય પણ ગણી શકાય.
Permalink
April 3, 2026 at 11:13 AM by વિવેક · Filed under પદ, ભક્તિપદ, ભજન, ભાણસાહેબ
સતગુરુ મળિયા સહેજમાં, જેણે સતનો શબદ સુનાયો,
ચોરાસીનો રાહ ચુકાવી, અખંડ ધામ ઓળખાયો.
પંથ હતા સો થિયા પરિપૂરણ, નવધા નામ મિટાયો,
દશમ દશા આવી દિલ ભીતર, એક મેં અનેક સમાયો. સતગુરુ૦
અનેક હતા સો અખંડ સમાયો, નહિ આયો, નહિ જાયો,
જિક્કર કરતાં ગઈ જામની, સોહં સાહેબ પાયો… સતગુરુ૦
જપ તપ તીરથ જોગ ન ધરતાં, સળંગ સેરડો પાયો,
ખટ દરશનમાં ખોજ કરીને, ફરી ફરી ઘેર જ આયો… સતગુરુ૦
અનંત ક્રોડમાં આગે ઊભા, સમસ્યા યે સાધ કહાયો,
નહિ ‘ભાણા’ હરિ ભીતર ભેદા, જ્યોતિ મેં જ્યોતિ મિલાયો. સતગુરુ૦
– ભાણસાહેબ
ભારતીય આધ્યાત્મ પરંપરામાં ગુરુ-શિષ્ય પ્રણાલિકા કેન્દ્રસ્થાને રહી છે. આમ તો સતગુરુ સહેજમાં મળવા દોહ્યલું, પણ નિષ્ઠા સાચી હોય તો મળેય ખરા ને કાનમાં સતનો શબ્દ – બ્રહ્મજ્ઞાન ફૂંકેય ખરા. ગુરુ સાચા હોય તો શિષ્યને ચોર્યાસી લાખ ફેરામાંથી મુક્તિ અપાવી અખંડ ધામ- મોક્ષ સુધી પહોંચાડે. બધી શોધ પરિપૂર્ણ થઈ. નવધા ભક્તિના ભેદ પણ પાર થઈ ગયા. દસમી દિશા – ચેતનાની ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત થઈ જ્યાં એકમાં અનેક અને અનેકમાં એક –અદ્વૈતાવસ્થા અનુભવાય છે. તમામ રૂપ એક અખંડ પરમાત્મામાં વિલીન થઈ જાય છે. पुनरपि जननं पुनरपि मरणं – જીવન-મરણની આવજા અહીં સમાપ્ત થાય છે, કારણ આત્મા અમર અવિનાશી છે. ધ્યાન ધરતાં અજ્ઞાનની કાળી રાતનો અંત આવ્યો અને “સો-અહમ્” (તે હું જ છું) ચેતનાનો આત્મસાક્ષાત્કાર થાય છે. ગુરુ મળે પછી જપ-જાપ-તીર્થાટન કરવાની શી આવશ્યકતા? ગુરુ તો સીધો રસ્તો જ બતલાવે. ષટદર્શન (ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, મીમાંસા, વેદાંત) ની બાહરી ખોજ પણ અંતે તો આંતરિક અનુભૂતિમાં જ સમાપ્ત થાય છે. અનંત કરોડ સાધકોમાં એસાધક અલગ અને આગળ છે જેના માથે સદગુરુના આશિષ છે, કારણ સદગુરુ જ આત્મા અને પરમાત્માના એકત્વ-અદ્વૈત સુધી પહોંચાડે છે.
ભાણસાહેબ (જ. ૧૩ ફેબ્રુઆરી ૧૬૯૮, વારાહી, જિ. પાટણ, ગુજરાત; અ. ૧૭૫૫, કમીજડા, જિ. અમરેલી, સૌરાષ્ટ્ર) : રામ-કબીર સંપ્રદાયના કવિ અને રવિ-ભાણ સંપ્રદાયના આદ્યસ્થાપક. લોહાણા પરિવારમાં જન્મ. પરમ રામભક્ત અને પ્રસિદ્ધ મહાયોગી જાદવદાસના શિષ્ય આંબા છઠ્ઠા ઉર્ફે ષષ્ટમદાસને તેમણે ગુરુપદે સ્થાપ્યા. કબીર સંપ્રદાયની પરંપરા અનુસાર તેઓ ‘ભાણસાહેબ’ નામે ઓળખાયા. એમણે સ્થાપેલી ગાદી બાજવા સ્ટેશન પાસે શેડકી ગામે આવેલી છે. સતનામના ઉપાસક ભાણસાહેબ કબીરનો અવતાર ગણાતા. તેમના કવિપુત્ર ખીમદાસ સહિત ૪૦ શિષ્યોની ‘ભાણફોજ’ સાથે તેમણે અધ્યાત્મબોધ કર્યો. કવિતા દ્વારા વેદાન્તી તત્વજ્ઞાનનો પ્રચાર કર્યો. તેમણે કમીજડામાં જીવતાં સમાધિ લીધી હતી. (સ્ત્રોત: ગુજરાતી વિશ્વકોશ)
(નવધા=નવધા ભક્તિ (શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મ નિવેદન); જિક્કર= જિક્ર, ધ્યાન; જામની=યામિની, રાત્રિ; સળંગ=સીધો; સેરડો=માર્ગ; ક્રોડ=કરોડ)
Permalink
Page 1 of 119123...»Last »