March 9, 2026 at 12:30 AM by વિવેક · Filed under ઉષા ઉપાધ્યાય, ગઝલ
બખ્તર
બખ્તર સઘળાં છૂટે છે,
થાકનાં તાળાં તૂટે છે.
રાત ભમે છે વગડામાં,
અજવાળાંને લૂંટે છે.
સરખાં બન્ને, પ્રેમ ને કૂંપળ,
પથ્થર તોડી ફૂટે છે.
રણ વચ્ચે રેતીના પટમાં,
જીવન લાધ્યું ઊંટે છે.
પાતાળે ધરબીને રાખો.
મોત બધુંયે ઝૂંટે છે.
સાત સમંદર ડહોળી જાણ્યું,
સુખ તો ઘરના ખૂંટે છે!
– ઉષા ઉપાધ્યાય
કવિમિત્રોનો પ્રેમ કુરિયરના રસ્તે થઈ સતત મારા આંગણિયે છલકાતો રહે છે, પણ પહેલાં ઘરના નવીનીકરણનું કામ અને પછી નવા થયેલા ઘરમાં નવેસરથી ગોઠવાવાના ભગીરથકાર્યમાં વ્યસ્ત હોવાના કારણે નવા સંગ્રહોની સંખ્યા તો વધતી ગઈ, પણ એમાંથી પસાર થવાનું કાર્ય ટલ્લે ચડતું રહ્યું… એ બદલ પ્રેમથી કાવ્યસમુચ્ચય પાઠવનાર તમામ સર્જકમિત્રોની દિલથી ક્ષમા પ્રાર્થું છું. હવે થોડો ઠરીઠામ થયો છું, એટલે બને એટલા કાવ્યસંચયોને ન્યાય આપવાની યથાશક્તિ યથામતિ કોશિશ કરીશ… લયસ્તરો પર આ આખું સપ્તાહ કાવ્યસંગ્રહોને આવકારીશું…
આજે આ આવકાર સપ્તાહનું પગરણ લબ્ધપ્રતિષ્ઠ સર્જકના નૂતન સંગ્રહની એક ગઝલ સાથે કરીએ…
ફાનસના અજવાળામાં ફગફગતો લોકોનો બબડાટ,
રસ્તા પર સળગેલાં વૃક્ષો ને કિકિયારી, તૂટતી ડાળ.
– નયન દેસાઈ
કવિતામાં અર્થાનુભૂતિથી વિશેષ મહત્ત્વની ચીજ છે ભાવાનુભૂતિ. કોઈક વસ્તુ, વ્યક્તિ કે પ્રસંગને લઈને કવિએ જે સંવેદન અનુભવ્યું હોય એ ભાવક સુધી યથાતથ પહોંચાડી શકે એ સાચી કવિતા… ‘ફોબિયા’ (Phobia) એટલે ભય; મનના ગહન સ્તરે વસેલી ભીતિ. આ છે ફૉબીઅસ ગઝલ. કવિએ જે પ્રતીકો અને દૃશ્યો ગૂંથ્યા છે, તે ભયગ્રસ્ત માનસની આંતરિક સ્થિતિને યથોચિત પ્રતિબિંબિત કરતા જણાય છે ને?
મત્લા જુઓ. પદાવલિની ત્રિરુક્તિની મદદથી ઘરના હાંફવાની ક્રિયા કેવી તાદૃશ કરી દેખાડી છે! માણસ જે રીતે હાં…હાં…હાં… કરતો હાંફતો હોય, અદ્દલ એ જ રીતે અહીં ત્રિરુક્તિના કારણે ઘરનું હાંફવું આપણે સુસ્પષ્ટપણે સાંભળી શકીએ છીએ. ઘર એટલે આમ તો સુરક્ષાનું પ્રતીક. પણ એ હાંફે છે. કારણ? તો કે એ ચટ્ટક લાલ (લાલચટ્ટક) છે…. કોઈક કારણોસર રક્તરંજિત થયું છે. કારણ? તો કે ઉમ્બર ચટ્ટોપાટ પડેલો છે. (ઉંબરો તો આમેય નીચે જ હોય ને! પણ કવિ એને ચટ્ટોપાટ પડેલો કહે છે, ત્યારે કોલારિજ યાદ આવે: willingful suspension fo disbelief, કારણ આપણને ઉમ્બર સાચે જ ચટ્ટોપાટ પડેલો દેખાય છે. ઉમ્બર ચત્તોપાટ પડ્યો છે. કારણ? તો કે માણસની ખાલ ખીંટી પર લટકી રહી છે… માણસ એની ચામડીમાંથી નીકળી ગયો છે. માણસાઈની હત્યા થઈ છે એટલે લોહીથી રંગાયેલું ઘર હાંફી રહ્યું છે. ઘરમાં જે છે એ તો કેવળ માણસની ત્વચા જ છે…
પ્રસ્તુત ગઝલ પણ ભયગ્રસ્ત ચેતનાનું પ્રાથમિક સ્તરે સંદિગ્ધ પણ સરવાળે દૃશ્યમય ચિત્રણ છે. સામાન્ય વસ્તુઓ (ઘર, બારી, હાથ, સૂરજ) ભયજનક રૂપ ધારણ કરે છે. દૃશ્યોમાં તર્કસંગતતા કરતાં માનસિક આતંક અને અસંગતતા વધુ છે. ભાષા, પ્રતીકો અને ધ્વનિપ્રયોગો ભય અને ગભરાટનો માહોલ જન્માવવામાં કવિ સફળ થયા છે.
વ્યક્તિ વ્યક્તિને ત્યાગી શકે પણ એના દિલમાંથી પોતાના માટેના સ્નેહને થોડો મિટાવી શકે? કાવ્યનાયિકાને એના પ્રિયજને ત્યાગી દીધી છે, પણ નાયિકાનું હૈયું તો હજીયે પળપ્રતિપળ એને જ ઝંખી રહ્યું છે. ફાગણ પૂરબહારમાં હોય પણ જીવતરનો રાગ બેસૂરો થઈ ગયો હોય તો કોને કહેવા જવાય? ઓઢણીમાં જડતર કરવા જતાં પીડા જ સિવાઈ જાય છે. પોતે બેકસૂર છે એ સાબિત કરવા હવે શું છાતી ચીરીને પ્રતીતિ કરાવવાની? પથ્થર જેવા પથ્થરને પણ ફાગણમાં ખળભળનું સુખ નસીબ થાય છે, પણ નાયિકાની તો સાંજ જ પથ્થર થઈ ગઈ છે. એ એકલા એકલા કેમ કપાશેનો પ્રશ્ન ભાર બનીને પાંપણો પર તોળાઈ રહ્યો છે.
એક પાઘડી માથા પર મણમણનો નાખે ભાર.
પરપોટાનો નહિ, સાચો છે પાણીનો આધાર.
નાહક દોડાદોડ કરી જંગલમાં હાંફે હરણું !
સમજો સાચું શરણું.
પંડિત ભારેખમ ભાષામાં ગમતા પાઠ ભણાવે.
એક દાંત દેખાડે, પાછા બીજા દાંતથી ચાવે !
શરણાગતનો મહિમા સમજો તો જ પામશો ઝરણું.
સમજો સાચું શરણું.
– નીતિન વડગામા
સુરતમાં થોડા દિવસ પહેલાં જ પુસ્તકમેળો યોજાઈ ગયો. એના થોડા સમય પહેલાં અમદાવાદમાં. શહેર કોઈ પણ હોય, પુસ્તકમેળામાં સેલ્ફ-હેલ્પના પુસ્તકો જ સૌથી વધુ માત્રામાં દેખાતા અને વેચાતા જોવા મળે છે. પણ સેલ્ફહેલ્પના આ પુસ્તકો ડૂબતા માણસ માટે તરણાના શરણાથી વિશેષ કશુ નથી. તરવું હોય તો પાણીના આધારે જ તરી શકાય, પરપોટો ઝાલીને નહીં. જીવનમાં જે કંઈ ઉપલક મેળવવામાં આવ્યું હશે એ તો કાળનો પવન આવતાંવેંત ઊડી જશે. શરણ્ય અને શરણાગત ઉભયનો મહિમા જ્યાં સુધી સમજવામાં નહીં આવે ત્યાં સુધી સુખનું નિર્મળ ઝરણું પ્રાપ્ત નહીં થાય. કવિની અન્ય રચનાઓની સરખામણીમાં આ રચના છાશ લેવા જવું હોય તો દોણી ક્યાં સંતાડવીના ન્યાયને અનુસરતી હોય એમ થોડી વાચાળ થઈ છે એ અલગ વાત છે.
ફાગણ ફટાણાં ગાવાની ઋતુ છે. આજેય હોળી એમનેમ નથી સળગતી, ને પહેલાંય એમનેમ નહોતી સળગતી. હોળી માટે ફાળો ઉઘરાવવાની પ્રથા શરૂથી જ ચાલી આવી છે. ને એમાંય ઘેરૈયાઓ ખેલ આદરે એટલે એ લોકો પોતાના માટે સિરપાવ ઇચ્છે એ તો વળી અલગ જ. ગામમાં કે શહેરમાં ચકલો હોય ત્યાં હોળી પ્રગટાવવામાં આવે છે. ઘેરૈયાઓની ટોળી નવાઈલાલ સાથે એકપક્ષી સંવાદાત્મક શૈલીમાં વાત કરતા હોય એ ઢબે આખી રચના થઈ છે. ગુજરાતીમાં હળવી કવિતાઓ બહુ ઓછી લખાઈ છે. એમાંય આવી સરસ નર્મ-મર્મ કવિતા તો જવલ્લે જ જોવા મળે. કોણ છે આ નવાઈલાલ? નવાઈલાલ એ વેણીભાઈ પુરોહિતનો ‘કોમન મેન’ છે. ‘ભોલી સૂરત દિલ કે ખોટે’ જેવા આ નવાઈલાલને ઘરૈયાઓ ચકલામાં થઈને ચાલતા અટકાવે છે, અને સેવ-ધાણી ખાવા માટે એની પાસે દાણ માંગે છે. જુવાનિયાઓ એ સમયગાળામાં ગામના ટોલનાકા જેવા હતા. એમને વટાવીને આગળ જવું હોય તો ટોલ તો ચૂકવવો જ પડે. કવિએ નવાઈલાલનું રસિક વર્ણન પણ કર્યું છે: ભોળી સિકલ, ખભે ઝોળી, પોતડી જૂની, ઊંધી ટોપી ને વાંકી દાંડીવાળા ચશ્માં! ભાભી કિંમત કરે કે ગામની ગોપીઓ હસે, એનાથી એ ડરતા નથી. પૈસા આપવામાં નવાઈલાલ નક્કી આનાકાની કરતા હોવા જોઈએ, એટલે જ તો ઘેરૈયાઓ એમને ઘેરમાં ફરવા માટે ને પછી નદીમાં જઈને નહાવા માટે લલચાવે છે. એ રંગાવા તૈયાર નથી, પૈસા દેવા તૈયાર નથી ને ઘેરૈયાઓ કેડો મૂકવા. આજના દિવસે કંઈ કોઈ કોરું રહી શકે? યાદ આવે: ‘એન્ની માનું કોરું નહીં જાય કોઈ બાકી…’ (ર.પા.)
હોળી-ધૂળેટી પર્વમાં આજે ગ્રહણના કારણે ખાલી દિવસ છે, પણ કવિતા માટે તો કોઈ દિવસ ખાલી ન જ હોય ને! સારી અને સાચી કવિતાના રંગથી તો ગમે તેને ગમે ત્યારે ને ગમે એટલીવાર રંગી શકાય ને!
ગુજરાતમાં શિયાળા દરમિયાન ઉત્તર-પૂર્વીય દિશામાંથી આવતો પવન ફાગણ શરૂ થતાં દક્ષિણ તરફથી ફૂંકાવો શરૂ થાય છે. દક્ષિણ ભારતના પશ્ચિમ ઘાટની પર્વતમાળામાં આવેલ મલય પર્વત એક જમાનામાં ચંદનનાં વનોથી ભર્યોભાદર્યો હતો. રામાયણ અને મહાભારતમાં પણ આ પર્વતનો ઉલ્લેખ છે, સુગંધિત ચંદનની વિશેષતાને કારણે તે પૌરાણિક કથાઓ અને કાવ્યોમાં વધુ અમર થઈ ગયો છે. ફાગણ આવતાં દક્ષિણથી વાવા શરૂ થયેલ વાયરાને કવિ મલય પર્વત પરથી આવતો કલ્પે છે. ફાગણ આવતાં જ સૃષ્ટિમાં નવ્યપ્રાણ ફૂંકાય છે. આંબે મંજરીઓ મહેંકી રહી છે તો પલાશના ઝાડોને કેસૂડો રંગોથી ભરી દે છે. એક ઘ્રાણેન્દ્રિયને તર કરે છે, તો બીજું દૃશ્યેન્દ્રિયને. બાકી હોય એમ કોયલ શ્રવણેન્દ્રિયને તુષ્ટ કરે છે. ધૂળેટી સ્પર્શેન્દ્રિયનું સુખ બનીને આવે છે. આવા ચેપી વાતાવરણનો છંદ ન લાગે ને જીવ લોભાય નહીં તો જ નવાઈ. દુનિયાના ચોકમાં ગાનમાં ઘેલાં થઈ સ્ત્રી-પુરુષ લિંગભેદ ભૂલી એકાકાર થઈ રંગે રમી રહ્યાં છે…. આવી મજાની સુખ સુહાગનવેળામાં ચારે તરફ લાલ રંગ ઉડાડવામાં ને રંગાવામાં આપ પણ જોડાવ છો ને?
હની હો બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
. પિયા પ્યારીની બની જોડી હો. ૦૫
– મીરાં
લયસ્તરોના તમામ ભાવકો, ચાહકો અને સહયોગી સર્જકોને હોળીપર્વના રંગબેરંગી વધામણાં…
હોળી પર્વ નિમિત્તે ભક્ત કવિ મીરાંબાઈનું એક ભક્તિપદ પ્રસ્તુત છે. રચના સહજસાધ્ય હોવાથી વિશેષ ટિપ્પણી અનાવશ્યક બની રહે છે. પણ આજની પેઢી માટે અમુક શબ્દો અજાણ્યા હોઈ, એમના શબ્દાર્થ અહીં મૂકીએ છીએ.
નૌતમ= નવતમ; તદ્દન નવું; અનુત્તમ;
ચરણાં = ચણિયો
ચૂવા= એક પ્રકારનું સુગંધી દ્રવ્ય; અગરનો અર્ક. તે જુદી જુદી જાતનાં ગંધદ્રવ્યોને એકઠાં કરી ગરમી આપી ટપકાવીને કાઢવામાં આવે છે. આનો ચંદન સાથે, લેપમાં તેમ જ મર્દનમાં ઉપયોગ થાય છે.
છીરકત = છાંટે છે
કનક = સોનું
કુંજગલન=કુંજગલી
થોડા વરસો પૂર્વે એક ગઝલ લખી હતી. એનો એક શેર આ ગીત વાંચતા સ્મરણપટલ પર તાજો થયો-
તમે કહો છો ભલે બુંદ પણ અમે કહીશું, તરી રહી છે સકળ કાયનાત ફૂલો પર. (વિમટે)
પ્રસ્તુત રચના તો આ ગઝલ લખાયાના ઘણા વરસો પહેલાંની છે, પણ ઝાકળબુંદમાં એક કવિને કાયનાત નજરે ચડી તો એક કવિને એમાં મોટો કમરો દેખાયો. કમરામાં બેઠા છે મોરલી વગાડતા કાનજીકુંવર. ઘાસ કે ફૂલની પાંખડી પર પડેલ તુષારના ટીપા તરફ સામાન્યજનનું તો કદાચિત ધ્યાન પણ ન જાય, પણ કવિની નજર સૌંદર્યાનુરાગી હોય છે. એ રુઢમાંથી પણ અરુઢ ખોળી લે. કવિને ટીપામાં કૃષ્ણ દેખાયો ને કૃષ્ણની ભીતર લીલું અંધારું ચમકતું દેખાયું. રાતના અંધારા અને કૃષ્ણના વાન આ બંને કાળાં. કવિને બંને અર્થ પણ અભિપ્રેત હોઈ શકે. અંધારું લીલું એટલા માટે છે કે ઘાસનો રંગ ઓસબુંદમાં ઝીલાઈ રહ્યો છે. લીલાશમાં તૂરાં ગાન ઊઘડે છે. એકીસાથે દૃશ્યેન્દ્રિયનો સ્વાદેન્દ્રિય અને શ્રવણેન્દ્રિય –એમ બેવડો વ્યત્યય થયો. પોતાના પગના ઓળા પણ કદાચ આ બુંદમાં ઝીલાઈ રહ્યા છે અને હવાની સાથે થતા ઘાસ કે ફૂલના ડોલન સાથે એ ઝીણું ઝીણું હલતા દેખાય છે. ઝાકળના પડું પડું થતું ટીપું હવે ક્ષણનું ટીપું બની ગયું છે અને એની નીચે કવિના પ્રાણ પળ પળ ટટલી રહ્યા છે… હમણાં પડશે, હમણાં પડશે… ને જીવતર પૂરું થશે. ઝાકળનું એ ટીપું એ આપણું ક્ષણભંગુર આયખું છે, જે હમણાં આખી સૃષ્ટિ સમાવી બેઠું હોય એમ પ્રતીત થાય છે, ને હમણાં ધૂળમાં પડીને ધૂળમાં ભળી પણ જઈ શકે છે. આપણે જે શોધવાનું છે એ છે આપણું ભાન. ભાન જડી જાય તો જીવતરના આ મોટા કમરામાં ઈશ્વર પણ સાથે જ બેઠા છે-મુરલિયાં બજવતા…
લોકો એમના પ્રેમ વિશે વિચાર્યે રાખે છે.
મારો પ્રેમ? હું ભૂલી જઈશ.
હું ભૂલવાની જેટલી વધારે કોશિશ કરું છું, એટલું જ તને વધારે વિચારું છું.
એમ વિચારીને, ‘કે કદાચ ભૂલી જઈ શકાય,’ હું વિચારવા મથું છું.
હું તને ભૂલવાની કોશિશ કરું છું, તો તારા વિચાર આવે છે,
વિચારું છું, મતલબ ભૂલ્યો નથી.
શું કરું? તને ભૂલવાનો કે વિચારવાનો પ્રયાસ જ ન કરું?
એ આખી વાત એમ જ છોડી દઉં- ભૂલવાનું પણ ને વિચારવાનું પણ?
પણ કાન આમથી પકડું કે તેમથી, બંને જ અશક્ય છે.
અંતહીન વિચારોમાં- વિચાર પર વિચાર-
ફક્ત અને ફક્ત પ્રાણપ્રિય જ છે. હું કરું તો શું કરું?
જો મારો ઉદ્દેશ્ય કેવળ ભૂલવાનો જ હોત,
તો એવું કંઈ નથી કે હું ભૂલી ન શક્યો હોત, પણ…
એ તો માત્ર નિદ્રા અથવા મૃત્યુ જ.
અશક્ય જ, જ્યાં સુધી પ્રિય છે.
રે! રે! ભૂલી ન શકાતા વિચારો કરતાં પણ
ભૂલી જવાની ઇચ્છા જ વધુ પીડાદાયક છે.
આજથી બરાબર સો વર્ષ પહેલાં ૧૯૨૬ની સાલમાં લખાયેલી આ કવિતા આજે સો વરસ પછી પણ કાગળ પરથી શાહી સિક્કે ભૂંસાઈ ન હોય એટલી તરોતાજા લાગે છે. કોરિઅન કવિ હાન યોન્ગ ઉન કવિ હોવા ઉપરાંત બૌદ્ધ સુધારક, અને કોરિયા પર જાપાની સાંસ્થાનિક શાસન સામેના અગ્રિમ સ્વતંત્રતા સેનાની પણ હતા. એમનાં પ્રેમકાવ્યોની પ્રેમિકા ક્યારેક ખરેખરી સ્ત્રી હોય છે, ક્યારેક એ ઈશ્વર હોય છે તો ક્યારેક એમનો દેશ! કાવ્યારંભે પોતાના પ્રિયપાત્રને ભૂલી જવાનો જે આત્મવિશ્વાસ છલકી રહ્યો છે એ કાવ્યાંતે પહોંચતા સુધીમાં નદારદ થઈ જાય છે. આ બે અંતિમો વચ્ચેની શબ્દયાત્રા કવિતાને મજેદાર બનાવે છે…
મૂળ કોરિઅન કવિતા અને ઉપલબ્ધ અંગ્રેજી અનુવાદ વચ્ચે સામંજસ્ય પૂરતું ન જણાતાં, અંગ્રેજી અનુવાદ ઉપરાંત શબ્દકોશ, ગૂગલ ટ્રાન્સલેટ તેમજ એકાધિક એ.આઈ. ચેટબોટની મદદથી કવિતાનો અંગ્રેજી અનુવાદ પણ આ વખતે મેં જાતે જ કર્યો છે, જેથી મૂળ કવિતાની બને એટલા નજીક રહી શકાય. આશા છે કે મિત્રોને ગમશે.
*
I would forget
Others would think of their loves.
My love I would forget.
The more I try to forget, the more I think of you.
Thinking, ‘perhaps it might be forgotten,’ I tried thinking.
If I try to forget, I think of you,
If I think, it is not forgotten.
Shall I try neither forgetting nor thinking?
Shall I try leaving it alone—whether forgetting or thinking?
But even so, it does not work.
In ceaseless thoughts—thought upon thought—
there is only the Beloved. What am I to do?
If I insist on forgetting,
It is not that I cannot forget, but…
it would be only sleep and death.
I cannot, while the Beloved remains.
Ah, ah, more than thoughts that are not forgotten,
That very wishing-to-forget is more tormenting.
– Han Yong-un
(Translated from the Korean by help of various AI tools)
ગાગરમાં સાગર જેવું ગીત. સમાધિ લાગી છે પણ એ કંઈ એમનેમ નથી લાગી ગઈ… ‘કરતાં જાળ કરોળિયો’ માફક લાગતાં લાગતાં લાગી છે. અંતર્ચક્ષુ ખૂલતાં આંખ જે નવ્ય ઊંડાણોને તાકી-તાગી રહી છે એનું સહેજ વિસ્મય પણ થાય છે, જેને કવિએ પ્રશ્નાર્થની મદદથી કંડાર્યું છે. પ્રથમ પંક્તિની વર્ણસગાઈનું સંગીત પણ કેવું મજાનું છે! ગીતને ઉપાડ લેતાવેંત એના કારણે જે પ્રવાહિતા સાંપડે છે એ આખી રચનાને વધુ આસ્વાદ્ય બનાવે છે…
આ એવી જગ્યા છે જ્યાં અજવાળું પણ નથી ને અંધારું પણ નથી; તળિયું પણ નથી ને કિનારોય નથી. બધા અંતિમ ઓગળી ગયાં છે અને અંતિમો ઓગળી જાય ત્યારે સતત ઊછળતાં મોજાં વચ્ચે પ્રભુકૃપાનું મોતી હાથ લાગે. સમાધિની પરા અવસ્થામાં શ્વાસોચ્છ્વાસની સ્થૂળ ક્રિયા પણ પ્રાણાયમ બની રહે છે… અને પ્રાણાયામેય કેવો! જ્યાં દરેક શ્વાસે સમંદર વીંટળાય અને ઉચ્છવાસે ઉકેલાય. રોમેરોમમાં સમસ્ત ગગન અકળ ઉજાસે ઝળહળી રહ્યું છે… સમુદ્ર-ગગન-અખિલાઈ… વયષ્ટિ સમષ્ટિ સાથે એકત્વ સાધે છે. તમામ હદ અનહદમાં ઓગળી રહે છે… દ્વૈત અદ્વૈતમાં એકાકાર થઈ ચૂક્યું છે. આ છે સમાધિની ચરમ અવસ્થાનું પરમ ગાન!
ગીતની પહેલી કડી વાંચતા જ આપણા સ્મૃતિપટ પર મધમીઠા ટહુકાઓ રેલવા લાગે- ‘સોના ઇંઢોણી રૂપા બેડલું રે નાગર, ઊભા રો’ રંગરસિયા…’ ‘સોનલાનું બેડલું તારી રૂપાની ઈંઢોણી, કોના તે ઘરના ભરીશ પાણી, રાજ રાજવણ.’ આ ગીતો મારી અને મારી આગળની પેઢીઓના લોહીમાં સીંચાયેલા છે. પ્રસ્તુત રચનામાં કવિએ આ જ રક્તસંસ્કારને વધુ અજવાળીને રજૂ કર્યા છે. ઢાળ અને ઢાંચો તો લોકગીતનો જ છે, પણ કવિકસબે એને આધુનિક ગીતોની હરોળમાં હકપૂર્વક બેસી શકે એવા જરકશી જામા પહેરાવ્યા છે. વેલણ અને પાટલી પર ગોરાંદે રોટલી નહીં, દિવસો વણી રહ્યાં છે. દિવસો જલ્દી જલ્દી વણાઈ જાય તો જ દરિયાપાર ગયેલ મનના માણીગર સાથે વેળાસર મુલાકાત સંભવે ને? બાજઠ અને વીંઝણો છે, પણ એકલા એકલા વિતાવવી પડતી રાતોને વીંઝવી છે. સોનાની થાળી અને રૂપાની વાડકી છે, પણ ગોરાંદે સાવ ખાલી છે… દરિયો-વગડો-ડુંગર-રણને વળોટીને વહાલો વહેલો આવે તો અંધારાં ટપકતાં અટકે ને સ્નેહનાં અજવાળાં રેલાય… ખરું ને?
નયન દેસાઈની બહુઆયામી ગઝલોનો એક આયામ છે ધ્વનિ. આમ તો આપણે શબ્દ અને શબ્દાર્થની સહાયથી કવિભાવ સુધી પહોંચવાને ટેવાયેલાં છીએ, પણ દર વખતે આમ હોતું નથી. પર્ણોની મરમર, પાણીનું ખળખળ, પાંખોની ફડફડ, પવનની સરસર –નિસર્ગ કેવળ ધ્વનિ લઈને આપણી સન્મુખ આવે છે, શબ્દ કે શબ્દાર્થ લઈને નહીં; અને તે છતાં આપણે પ્રકૃતિના કાવ્યને આસ્વાદી શકીએ છીએ. મનુષ્યની અભિવ્યક્ત થવાની ઝંખનામાંથી ભાષા જન્મી, પણ અભિવ્યક્તિ તો શબ્દાતીત પણ હોઈ શકે અને વિશુદ્ધ ધ્વનિ પણ કવિતાનું ઉપાદાન બની શકે એવી સમજણ સાથે નયન દેસાઈએ આપણને કેટલીક સુંદર કવિતાઓ આપી છે. ધ્વનિ અને ધ્વનિના કાકુઓએ એમને ખૂબ આકર્ષ્યા છે. એમની ઘણી રચનાઓમાં ધ્વનિક્રીડા સંભળાય છે. શ્રી કૈલાસ પંડિતે લખ્યું છે: ‘નયનને અર્થસભર કાવ્યથી વિશેષ લગાવ અર્થપારની ભાષા પ્રયોજી, અવાજ દ્વારા કવિતા રચવાના પ્રયાસમાં છે.’
મૉન્ટાજ એટલે એકાધિક ફોટોગ્રાફ્સ અથવા ફૉટોગ્રાફ્સના ભાગ કાપીકૂપીને એકસાથે ગોઠવીને સર્જવામાં આવતી કળાકૃતિ. એક રીતે કૉલાજ જ, પણ ફોટોગ્રાફ્સનું. કવિનો કેમેરા તો શબ્દોના ફોટા પાડે, એટલે કવિએ અહીં શબ્દ-મૉન્ટાજ સર્જ્યું છે. પ્રસ્તુત રચનામાં શબ્દાર્થ કે ભાવાર્થ શોધવા જઈએ તો ઊંધા માથે પડવાનો વારો જ આવે. કવિએ રવાનુકારી શબ્દો અને એકાક્ષરી વ્યંજનોની મદદથી અવળા હાથે કાન પકડી બતાવ્યો છે. કેવળ સાપને જ નહીં, એના ફુત્કારને પણ ચાક્ષુષ કરી દેખાડ્યો છે. એકાક્ષરી વ્યંજનોને પૂર્ણવિરામની મદદથી એકાક્ષરી વાક્યો બનાવી દીધા છે. વળી, એમને પંક્તિમધ્યે સ્થાન આપી પઠનની ગતિને પણ સાયાસ અવરોધી છે. સરવાળે, શબ્દોની અર્થહીન જણાતી લીલામાંથી કવિએ એક એવી તીવ્રાનુભૂતિ સર્જી છે, જેના કેન્દ્રમાં સાપ હોય. રચનાનો બાહ્યાકાર ગીત, મત્લાગઝલ અને ઊર્મિકાવ્ય એમ ત્રિવિધ રૂપે પોંખી શકાય એમ છે એ વળી અલગ જ ચર્ચાનો વિષય છે.
આધુનિકતા અને આંદોલનનું કફન માથે બાંધીને નીકળેલ મરજીવાઓને પણ પરંપરાના પોષણ વિના ચાલ્યું નથી. ગુજરાતી કવિતામાં ક્રાંતિ આણી નવોન્મેષ સાધવામાં અગ્રેસર ‘રે મઠ’ના અગ્રેસર સર્જક મનહર મોદી પાસેના ખજાનામાંથી પણ રુઢિગત ગઝલો મળી આવે છે. આમ તો છએ છ શેર ખૂબ જ મજાના થયા છે, પણ ‘હૈયાની માછલીના તરફડાટ’વાળો શેર મારા દિલની સવિશેષ નજીક છે. યુવાનીના અંતઃસ્ત્રાવોની હણહણાટી પૂરજોશમાં હતી એ ૧૪-૧૫ વર્ષની વયે આ શેર ક્યાંક વાંચવા મળ્યો હતો. એક-બે કરતાં ચાર-ચાર દાયકા વીતી ગયા, પણ આ શેર ભૂલાયો પણ નથી અને એણે મારા હૈયા પર કરેલ કામણ પણ મોળું પડ્યું નથી…
એણે એક કાગળ પર
અડખેપડખે મૂકી બે કવિતા
જમણે મહમૂદ દારવિશ
ડાબે યેહૂદા અમીચાઈ
ને શબ્દો તો વિચરતી જાતિ
માંડ્યા ભટકવા
આ તરફથી પેલી તરફ
જ્યાં લગી પંક્તિઓ તૂટીફૂટી ન ગઈ
જ્યાં લગી છંદ વીખરાઈ ન ગયા
જ્યાં લગી બધાય પ્રાસ
ઓળખાય પણ નહીં એટલા એકધારા થઈ ન ગયા
જ્યાં લગી એ બધા છિન્નભિન્ન ને લોહિયાળ ન થઈ ગયા
જ્યાં લગી મારા ભેજામાં એક નઠારું યુદ્ધ ચાલુ ન થઈ ગયું
જ્યાં લગી મેં એક ફૂટપટ્ટી પકડીને
ખેંચી ન કાઢી
એક સીધી જાડી લીટી
વચ્ચોવચ ત્યાં લગી.
હવે મારું મન જરી શાંત છે.
– પ્રતિષ્ઠા પંડ્યા
(* ‘એતદ્’નો ડિસેમ્બર ૨૦૨૩નો અંક વાંચતાં…)
એક કાગળ પર બે કવિતા અડખેપડખે મૂકવામાં આવી છે. આમ તો સર્જક કોઈ પણ બે કવિને પસંદ કરી શક્યા હોત પણ એમણે જે બે કવિઓ પર પોતાની પસંદગીનો કળશ ઢોળ્યો છે એ યેહૂદા અમીચાઈ (https://layastaro.com/?cat=404) અને મહમૂદ દારવિશ (https://layastaro.com/?cat=1376) – બંને વીસમી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયેલ ઉત્તમ કવિ હતા. અમીચાઈ ઇઝરાઈલના કવિ. ભાષા હિબ્રૂ અને દારવીશ પેલેસ્ટાઇનના કવિ, ભાષા અરેબિક. બંને દેશ વચ્ચેના યુદ્ધથી આપણે વાકેફ છીએ. આ બે કવિઓએ વીસમી સદીની કવિતાનો નવોન્મેષ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. બંને કવિની કવિતાઓએ ઇશ્વને વિચારતું કરી દીધું હતું. કદાચ સર્જક અહીં એ જ આપણને સમજાવવા ઇચ્છે છે. બીજું કોઈ કારણ હોય તો એ સમજવા માટે ‘એતદ્’નો ડિસેમ્બર ૨૦૨૩નો અંક વાંચવો પડે. અરસપરસ મૂકેલી બંને કવિતા થોડીવારમાં જ મૂર્તતામાંથી અમૂર્તતા સાધે છે… શબ્દો, પંક્તિઓ, છંદોપ્રાસ –બધું જ એમના અર્થ અને સંદર્ભ ગુમાવી બેસે છે. કેવળ કવિતા અને કવિતાનો ભાવ જ બચ્યા છે. કથકના મનોમસ્તિષ્કમાં તુમુલ યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે. સમગ્ર કવિતાની ભાષાની પંગતમાં આગંતુક લાગે એવા બે સહદો સર્જક અહીં પ્રયોજે છે – ભેજું અને નઠારું…. આ બે શબ્દો આપણને બે ઘડી અટકવા મજબૂર કરે છે. અટકીએ,જેથી લડાઈની ભીષણતા જોઈ-સમજી-અનુભવી શકાય. ઇચ્છા-અનિચ્છાએ પણ સર્જક કવિતાના અર્જિત કરેલ તમામ સંસ્કાર છિન્નભિન્ન થઈ જાય એવા લોહિયાળ યુદ્ધનું અવિભાજ્ય અંગ બની જાય છે. બે કવિની કવિતાઓ વચ્ચે ફૂટપટ્ટી વડે જાડી સીધી લીટી ખેંચી લીધા બાદ જ કવિમન સહેજ (વધુ કે પૂરેપૂરી નહીં, હંઅઅ) શાતા અનુભવે છે.
સર્જકને શું અભિપ્રેત હશે એ તો સર્જક જકહી શકે, પણ મને લાગે છે કે તેઓ આપણને કવિતા સાથે રૂબરૂ થવાનો કીમિયો શીખવાડે છે. કવિના સર્જનસમયના ભાવવિશ્વમાં પ્રવેશી શકાય તો જ કવિતા પામી શકાય. અને કવિસંવેદનની ધારથી લોહીલુહાણ થઈ ન જવાય ત્યાં સુધી કવિતા સાચા ભાવકને શાંતિનો શ્વાસ જ લેવા ન દે…
* * *
કવિતા ભાવકે ભાવકે નવાં વાઘાં પહેરે… સર્જકને શું અભિપ્રેત છે એ જાણીએ? આ રચના વિશે સુશ્રી પ્રતિષ્ઠા પંડ્યા કહે છે: “એક કવિનો શબ્દ છે જે સરહદો ને ઓળખની વાડથી વિહ્વળ થાય છે ઘવાય છે ને તો યે એને ઓળંગવાનું સાહસ ધરાવે છે. અને એક આપણું મન છે જે કવિતાના શબ્દોને પણ લીટીઓ દોરી દોરીને છૂટા પાડ્યા કરે છે. આ યહૂદી, આ અરબ, આ પેલેસ્ટાઇન, આ ઇઝરાઇલ, આ ભારતીય, આ પાકિસ્તાની…. આપણને વાડ ગમે છે ને જ્યાં સુધી એક સીધી લીટી દોરી ન નાખીએ આપણને ચેન નથી પડતું, ખરું ને?!“
એ પહેલું પહેલું આલિંગન,
એ હળવું માથા પર ચુંબન,
હજી સુધી તન-મનમાં કંપન
. પડઘાયે રાખે…
સુધ-બુધ જાયે, આવે, જાયે,
હું ખુદને જડતી ના ક્યાંયે,
ફરી ફરી ઇચ્છું છું આ યે-
. ફરી મને ચાખે.
જગ આખું લાગે છે પોકળ,
ખુશબૂથી પણ કોમળ કોમળ
મારા આ તન-મનની ભોગળ
. કોણ હવે વાખે ?
-વિવેક મનહર ટેલર
લયસ્તરોના સર્વે વાચકમિત્રોને વેલેન્ટાઇન ડે પર ખોબલો ભરીને વધામણાં… ગુજરાતી ભાષામાં જેનું બહુ જૂજ ખેડાણ થયું છે એવું અંજનીકાવ્ય આ નિમિત્તે પ્રસ્તુત કરું છું… અંજનીકાવ્ય વિશે વિગતે માહિતી મેળવવા ઇચ્છતા જિજ્ઞાસુ મિત્રોને અહીં ક્લિક કરવાથીએ માહિતી મળી રહેશે…
એકવાર:
એક ઓરડો
એક ટાઇપરાઇટર
એક નોકરી
એક અલાર્મઘડિયાળ
એક એકલતા
એક આશા
હવે:
એક એપાર્ટમેન્ટ
એક સમરહાઉસ
વસ્તુઓ
એક પતિ
ત્રણ બાળકો
દરજ્જો
મિત્ર
પ્રેમી
કામવાળી
ઉપેક્ષિત
કબરો
હેરડ્રેસર
મનોચિકિત્સક
પૈસા
મડાગાંઠ
ખુશીનો
અભાવ
સારી વસ્તુઓ એમને મળે છે
જેઓ રાહ જુએ છે
મારી માતાએ કહ્યું હતું
ઝંખના અને
સમજણ
એમને બહુ મોડેથી
લાધ્યાં હતાં.
એમનું મૃત્યુ
નર્સિંગ હોમમાં થયું
જ્યાં એ કોઈને
ઓળખતી નહોતી.
લોકો મોટાભાગે
એકબીજા માટે
ગેરસમજણ જ ધરાવતા હોય છે.
તેણીના હાથ
બહુ જ સુંદર હતા.
ધ્યાન બહાર
જિંદગી સરકી ગઈ.
– ટૉવે ડિટ્લેવ્સેન
(અંગ્રેજી અનુવાદ પરથી અનુ.: વિવેક મનહર ટેલર)
હિસાબ કરવો એ માનવપ્રકૃતિનો અંતર્નિહિત ભાગ છે. પૈસા હોય કે સંબંધ, વ્યવહાર હોય કે લાગણી –આપણે શું ગુમાવ્યું ને શું મેળવ્યુંનો રોજમેળ મેળવ્યા વિના રહેતા નથી. પણ જીવનની ખાતાવહીના જમા-ઉધાર અલગ પ્રકારના હોય છે. આવકના લેખાજોખા કઈ રીતે કરવા એ તો શીખી-શીખવાડી શકાય છે, પણ જીવનના હિસાબકિતાબ તો જાતઅનુભવે જ શીખવા પડે છે. આવી જ કોઈક ગણતરીની ફળશ્રુતિ એટલે ટૉવે ડિટ્લેવ્સેન લિખિત આ કાવ્ય.
શરૂઆત ‘એકવાર’થી થાય છે. જીવનનો એ સમય આર્થિક સંકડામણનો સમય હતો. રહેવાને ઘર નહીં, કેવળ એક ઓરડો હતો. અને ઓરડામાં હતું એક ટાઇપરાઇટર. રહેવા માટે ઘરના નામે કેવળ ઓરડો જ હોય એ માણસ ટાઇપરાઇટર શા માટે વસાવે? ટાઇપરાઇટર એટલે સાહિત્યસર્જન. યાદીનો ક્રમ પણ નોંધનીય છે. પહેલાં માથા પરની છત, પછી કળા અને એ પછી નોકરી. પહેલાં સરસ્વતી, પછી લક્ષ્મી. આખી કવિતા આ રીતે માણી શકાય. જે મિત્રોને કવિતાનો વિશદ આસ્વાદ માણવો હોય તેઓ અહીં ક્લિક કરીમાણી શકે છે.
February 12, 2026 at 11:21 AM by વિવેક · Filed under પન્ના નાયક, સોનેટ
(પૃથ્વી)
વિદાય વખતે, અરે! નયનમાં કશી ભીડ છે!
નહીં ટપકી જાય આંસુ: ક્ષણને અહીં શ્રાવણે
જરીક નહીં ભીંજવું: મન મહીં રહી ઝંખના!
રહ્યા અચળ જોજનો: અચળ કાળ: ને પંખ-ના
મને કદીય ફૂટશે. નજીક તું છતાં દૂર છે.
અરે! પ્રણય કુમળો: તદપિ કેટલો ક્રૂર છે!
હવે દિવસ આંધળો: રજની પાંગળી: શબ્દ સૌ
ઉદાસ થઈને ઊભા: નિજ તણી નિરાધારતા
ગયા અવશ ઓળખી: સમય આપણો વારતા
થઈ વહી ગયો, હવે પળપળે નરી વેદના.
હવે દિવસ કેટલા? સમય કેટલો? આપણે
અહીંથી પડશું છૂટા: હૃદયમાં ભરી મૌનને
તડાક દઈ તૂટતા મિલનના ઋજુ તાર આ.
કદીય નહીં ઓગળે ખડક જેટલો ભાર આ.
– પન્ના નાયક
સારા કવિ ખપ મુજબના શબ્દનું સર્જન કરી ભાષાને વધુ સમૃદ્ધ કરતા હોય છે. થોડા સમય પહેલાં પન્ના નાયકે હાઈકુ સંગ્રહ આપ્યો પણ હાઈકુના સત્તર અક્ષરમાં સહેજસાજ ફેરફાર કરીને સંગ્રહનું નામ અત્તર-અક્ષર આપ્યું… પ્રસ્તુત સૉનેટનું શીર્ષક જુઓ… ‘ઋણાનુબંધ’ શબ્દથી આપણે સહુ પરિચિત છીએ… સર્જકે એની આગળ કેવળ ‘ક’ ઉમેરી ‘કરુણાનુબંધ’ શબ્દ કોઇન કર્યો છે. સૉનેટમાંથી પસાર થઈએ ત્યારે ખ્યાલ આવે કે મધુર પ્રણયસંબંધ તૂટતાં ઉદભવતું આ ‘કરુણ બંધન’ કેવું હૃદયવિદારક છે!
મિલનનો નાજુક તાર તૂટ્યા પછી સર્જાતા વિયોગનું આ કરુણ ગાન છે. વિદાય વખતે આંખોમાં હકડેઠઠ ભીડની જેમ ધસી આવવા આતુર આંસુઓને અટકાવી રાખવા નાયિકા કટિબદ્ધ છે, નાહક આ ક્ષણ શ્રાવણની વર્ષાથી ભીની થઈ જાય! આંખમાં આંસુ આવી જાય તો દૃશ્ય ધૂંધળું થઈ જાય ને! બંને જણ આમ નજીક જ છે, પણ હવે ચળી ન શકે એટલા જોજનોનું અંતર બે અંતર માંહ્ય આવી ઊભું છે. આ અંતર કાપી શકાય એ માટેની પાંખ પણ હવે ફૂટવાની નથી. દિવસનું અજવાળું અંધારા બરાબર છે અને રાત તો પાંગળી જ છે. શક્યતા દેખી શકાય એ સ્થિતિ જ રહી નથી. નિજની નિરાધારતા ઓળખી ગયેલ શબ્દ પણ ઉદાસ થઈ મૌન ઊભા છે. કાયમી છૂટા પડવામાં હવે બહુ સમય બચ્યો નથી. મિલનનો તાર તૂટ્યો છે ને એનો ભાર કદી ઓગળી ન શકે એવી ખડક જેવો વર્તાય છે.
ગઝલની વિચક્ષણ લાક્ષણિકતા એ છે કે ઓછામાં ઓછા શબ્દોમાં એ મોટામાં મોટી વાત કહી શકે છે. ટૂંકી બહરની આ ગઝલના તમામ શેર અદભુત થયા છે. તીરના તેજ પ્રહાર વિના સંસારનો નશો ઉતરતો નથી એ સાચું પણ એ વાતનો અહેસાસ આપણામાંથી કેટલાને હોય છે? ઈશ્વર પાસેથી સારું જીવન તો આપણે સહુ માંગીએ છીએ, પણ શિલ્પી જે રીતે છીણી-હથોડી વડે પથ્થરને નિર્મમપણે કોતરીને શિલ્પ સર્જે એ રીતે સર્જનહાર પણ કોઈપણ જાતની દયા દાખવ્યા વિના સ્વયંને મઠારે એવી ઇચ્છા પોતે જ કેટલી મોટી વાત કહેવાય! કોઈના નિઃશ્વાસ ઝીલી લઈ એને સહાયભૂત થવાની મનોકામના પણ સ્પર્શી જાય એવી છે.
February 7, 2026 at 12:03 PM by વિવેક · Filed under કુણાલ શાહ, ગઝલ
આખર તું દોસ્ત છે તો તને ફાવતું કર્યું,
પહોંચી વળાય એમ હતું પણ જતું કર્યું.
વિશ્વાસઘાતનું તને કુરિયર મળ્યું હશે-
તારું હતું એ યાર તને પહોંચતું કર્યું.
ઠલવાઈ જાય એમ હતી લાગણી છતાં
વ્યવહાર સાચવીને જે ઘટતું હતું કર્યું
પહેલાં તો એની સાથે કરી કાલીઘેલી વાત
સપનાને માંડમાંડ અમે બોલતું કર્યું
શોધે સિપાઈ રાતદિવસ એક શખ્સને
જેણે નગરને આજ ફરી વાંચતું કર્યું
– કુણાલ શાહ
ભાષા વહેતી નદી જેવી છે… નદી મૂળથી નીકળે ત્યારે અલગ હોય પણ સમુદ્ર સુધી પહોંચતામાં તો એના રંગ-રૂપ બધું જ બદલાઈ જાય. ભાષા પણ સમયના અલગ-અલગ ખંડોમાં વહેતી જાય એમ એમ એના રંગરૂપ બદલાતા જાય.. નરસિંહથી નીકળીને આજના કિનારાઓ વચ્ચે વહેતી વહેતી આવેલ ગુજરાતી ભાષા પણ કેવી બદલાઈ ચૂકી છે! પરિણામે આજની ગુજરાતી કવિતામાં વિશ્વાસઘાત કરનાર મિત્રને સામો વિશ્વાસઘાત કુરિયરમાં પરત મોકલી શકાય છે. મત્લા અને એના પછીના શેર- બંનેનું ભાવવિશ્વ પરસ્પરથી સાવ વિરુદ્ધ દિશાનું હોવા છતાં ગઝલની સ્વીકૃત વ્યાખ્યા મુજબ એ નિર્વાહ્ય બને છે. સપનાંને બોલતું કરવાવાળા શેરમાં ઉલા મિસરાના ‘પહેલાં’ સાથે સાની મિસરામાં ભાષાકીય દૃષ્ટિએ ‘અમે’ના સ્થાને ‘પછી’ શબ્દપ્રયોગ કદાચ વધુ ઉચિત ગણાય. પણ એનાથી શેરની મજામાં વાંધો નથી પડતો અને આપણને તો એનાથી જ કામ હોય ને! છેલ્લો શેર સરમુખત્યારશાહી તરફ ગતિ કરી રહેલ લોકશાહીને તંતોતંત તાદૃશ કરે છે. સરવાળે આખી ગઝલ આસ્વાદ્ય.
February 5, 2026 at 8:03 AM by વિવેક · Filed under નિરંજન ભગત, સોનેટ
(ઇન્દ્રવજા)
જાણું ન જાવું અવ કઈ દિશામાં,
આષાઢની ગાઢ થતી નિશામાં?
કેડી મને તું પ્રતિ જેહ લાધી
હતી, હવે લુપ્ત કરાલ આંધી
મહીં, રહી ના દૃગનીય દીવી!
ક્યાંથી હવે તેજલધાર પીવી?
હાવાં અહીં આ અધવાટ, સીંચી
અશ્રુભરી અંજલિ, નેત્ર મીંચી
હું પ્રેમનું પુષ્પ રહ્યો છું મ્હોરી;
કે એહની ફોરમ મત્ત ફોરી
આ આંધીનો વાયુ જ વ્હૈ જશે રે,
તને કથા સર્વ કહી જશે રે!
ત્યારે સ્વયં તું નિજને જ હાથે
મેલીશ એ પુષ્પ સગર્વ માથે !
– નિરંજન ભગત
પ્રિયજન તરફ દોરી જતી કેડી તો કથકને હાથ લાગી છે, પણ જામતી જતી આષાઢી રાત્રે વિકરાળ આંધીમાં એ દેખાતી બંધ થઈ ગઈ છે. કઈ દિશામાં જવું એની ગતાગમ હવે કેમ પડે? આવામાં આંખોના દીવા કઈ રીતે તેજધાર પીએ? ગતિ અટકી ગઈ છે, પણ પ્ર-ગતિ નહીં. અધમાર્ગે અટકી જઈ આંખો મીંચી ભાવપૂર્વક આંસુડા સીંચીને અષાઢી રાત કાવ્યનાયક પ્રેમપુષ્પ ખીલવે છે. એને પૂરી શ્રદ્ધા છે કે કાલિદાસના મેઘદૂતની જેમ આ આંધીનો વાયુ આ પ્રણયપુષ્પની ફોરમને અને દિલની બધી વાત પ્રિયા સુધી પહોંચાડી દેશે. આમ થશે ત્યારે પ્રિયા ગર્વ સાથે પ્રીતિના એ ફૂલને પોતાના હાથે સ્વયંના માથે ચડાવશે. પ્રિયજનના સ્થાને પરમેશ્વરને મૂકીને આખી રચના ફરીથી વાંચીએ તો?
આષાઢી રાત, દૃગની દીવી અને પ્રેમના પુષ્પના ઉલ્લેખ આપણને કવિ ન્હાનાલાલનું પણ સ્મરણ કરાવે છે:
ચોમેર ચમકે છે દૃષ્ટિની દામિની;
આંખડીની આશ એ શું ચારૂ ચીતરી !
આ આષાઢી વાદળી વીજે ભરી.
મ્હાલે મંહી નીર ગંભીર મેઘનાં;
મેઘલી એ રાત જાણે ચન્દ્રનીતરી:
આ આષાઢી વાદળી વીજે ભરી.
ઘૂઘવે સાગર કાળી રાત આ,
. દૂર ઊઘડે ઉજાશજી;
શઢ રે તૂટ્યા ને ડૂબે નાવડી,
. તૂટે તોયે ના આશજી;
. પથ રે લાંબો ને ટૂંકું આયખું હોજી.
– નંદકુમાર પાઠક
સરળ પણ સંતર્પક ગીતરચના… અનિલ ચાવડાનો શેર યાદ આવે:
અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે,
તું ચમચી લઈને ઊભો છે દરિયો માંગવા માટે?
પ્રકૃતિનું ઔદાર્ય આપણી ક્ષમતા અને સમજ બહારનું છે. એ જે આપે છે, અઢળક ને અપાર આપે છે, પણ આપણો ખોબો જ નાનો પડે છે. આપણે કેવળ આશા ટકાવી રાખવાની છે… એ જ આપણને કાજળકાળી રાતમાંય ઉજાસ સુધી લઈ જશે.
January 31, 2026 at 11:18 AM by વિવેક · Filed under ગીત, સ્નેહલ જોષી
આવું તે કોણ હોય કોમળ,
તાજા કપાસમાંથી ફૂટ્યું હો રૂ કે પછી વરસ્યાં વિનાનું કોઈ વાદળ!
અડકો તો લાગે કે હમણાં કરમાઈ જશે
જાણે લજામણીનો છોડ,
દૃષ્ટિ પડતાં જ એના ધબકારા જાણે
એક સામટી મૂકી દે છે દોટ!
ગાલને હથેળી પર એ રીતે ટેકવ્યા, પાંદડી પર બેઠું હો ઝાકળ!
એને તો એની કંઈ પરવાય નંઈ
એ તો એના જ હોય સાત સૂરમાં,
ક્યારેક વિચારોના વંટોળે હોય
અને ક્યારેક હો કલ્પનના પૂરમાં.
હળવેથી કાન પાસે હોઠને લઈ જાવ અને કહેવાનું એટલું કે સાંભળ-
આવું તે કોણ હોય કોમળ!
– સ્નેહલ જોષી
કવિતા કંઈ દર વખતે મોટી મોટી વાત જ કરે એ જરૂરી નથી. કવિતા માનવસંબંધોની આંટીઘૂંટી સમજવા-ઉકેલવામાં મદદ કરે એય આવશ્યક નથી. ક્યારેક એક સાવ નાનકડો વિચારતંતુ લંબાઈને કાવ્યમાળા બની જાય એમ પણ બને. પોતાની ચાહનાથી પાણીમાંના કમળ પેઠે જે સાવ જ અનભિજ્ઞ છે, એવી નાયિકાને નાયક બસ એટલું જ કહેવા માંગે છે કે સમસ્ત સંસારમાં એનાથી કોમળ બીજું કોઈ નથી. બસ, આ એક તાંતણા પર કવિતાના મોતી પરોવીને કવિએ પ્રસ્તુત કર્યાં છે. વાત નવી નથી, પણ રજૂઆતની નજાકત એને મજેદાર બનાવે છે. ગીત નિઃશંકપણે સહેજ કાચું લાગે, પણ ગીતની છેલ્લી કડીને અધૂરી રાખી જે રીતે ધ્રુવ પંક્તિ સાથે બાંધી દઈ વાત પૂરી કરી બતાવી છે એ સવિશેષ ગમી જાય છે.
January 30, 2026 at 2:37 PM by વિવેક · Filed under ઉશનસ્, ઊર્મિકાવ્ય
(ખંડ મંદાક્રાન્તા)
રે હે ગાંધી! જગતહિતચિંતાતણી રુદ્ર આંધી
જે હૈયામાં જીવનભર બંધાઈ કેમે ન બાંધી
તેની હાવાં ચણી દીધી અમે રાજઘાટે સમાધિ!
શોચું: તારું દહન અહીં આ માત્ર શું રાજઘાટે?
ના ચોકે કે પુરજનપદોની પૃથુ રાજવાટે?
હાટેઘાટે ચણી દીધી અમે સ્મારકે શિલ્પમૂર્તિ!
– લાગે આખે વદન કરુણા ને પદે કૂચસ્ફૂર્તિ—
ને એ રીતે હૃદયથકી ઉત્સારીને બ્હાર કાઢી;
હા, ત્યાં આડી
ને હ્યાં ઊભી
તારી યાદી તણી ચણી અમે સ્મારકોમાં સમાધિ.
કેવી સ્હેલી સરલ ભૂલવા કેરી આ રીત, ગાંધી!
– ઉશનસ્
(૨૦-૧૧-૫૮)
આજે ત્રીસ જાન્યુઆરી. ગાંધીનિર્વાણ દિન. આજે આપણા દેશમાં અને જનમાનસમાં ગાંધીજીનું શું સ્થાન છે એ આપણે સહુ જાણીએ છીએ. પણ આ કવિતા તો આજથી સડસઠ વર્ષ પહેલાં ગાંધીજીની હત્યાને હજી તો દસ જ વરસ થયાં હતાં એ અરસામાં લખાઈ છે. સમજી શકાય છે કે ‘ગરજ સરી કે વૈદ વેરી’ના ન્યાયે આપણા સમાજે આઝાદી મળી ગયા બાદ તરત જ આઝાદીના કર્ણધારોને વિસારે પાડી દેવાનું ભગીરથ કાર્ય આદરી દીધું હશે. જેના હૈયામાં બાંધી બંધાઈ ન શકે એવી દુનિયાના હિતની ચિંતાની ઉગ્ર આંધી આજીવન ફૂંકાતી હતી, એને આપણે રાજઘાટ પર સમાધિ ચણી બાંધી લીધી. દેશના તમામ શહેરો અને ગામોની વિશાળ રાજવાટ પર ગાંધીવિચારોની જે આગ સતત સળગતી રહેવી જોઈતી હતી, એને રાજઘાટ પર શરીર બાળીને આપણે ભૂલી ગયા. બાપુના સદગુણો જેમ કે કરુણા અને ઉત્સાહને જીવનમાં ઉતારી જીવંત રાખવાના બદલે ચોરે ને ચૌટે આપણે એને તાદૃશ કરતી ઉમદા મૂર્તિઓ ઊભી કરી, અને એ ગુણોને હૃદયમાંથી વિદારી નાંખ્યા. જે યાદોને હૈયામાં કાયમ માટે તરોતાજા રાખવાની હતી એને આપણે પથ્થરોમાં ચણી દઈ પથ્થર બનાવી દીધી… ભૂલી જવા માટેનો કેવો સરળ કીમિયો!
બે વાસણ સાથે ને સાથે જ હોય તો ક્યારેક તો ખખડે જ… કોઈક કારણોસર બે જણ વચ્ચે કંઈક રકઝક થઈ હશે ને પરિણામ સ્વરૂપે પુરુષે સ્ત્રીને ચૂપ થઈ જવાનો આદેશ આપ્યો છે. અને સ્ત્રીએ બદલામાં પોતાના હોઠેથી હવે કોઈ ગીત સરશે નહીંની ખાતરી પણ આપી દીધી છે. જો કે આ ‘ચૂપ’ આદેશાત્મક ઓછો અને પ્રતીકાત્મક વધારે છે, કેમ કે આગળ ‘રે’ ઉમેરાયો છે. સારા સર્જક શબ્દો પાસે કેવી કરામતથી ધાર્યું કામ કઢાવી લે છે એનું આ સબળ દૃષ્ટાંત કહી શકાય. ગીતમાંથી પસાર થતાં ટાગોરનું ભાવવિશ્વ સાદૃશ થતું પણ અનુભવાય છે. એકના એક શબ્દો અને શબ્દસમૂહની પુનરુક્તિ સાથે કેવળ કથનકેન્દ્રમાં પરિવર્તન કરી કવિએ સરસ ગીત નિપજાવ્યું છે. ચૂપ થઈ જવાના ફરમાનને વશ થયાની પ્રતીતિ કરાવવા નાયિકાએ હોઠ સાથે આંખો પણ બીડી દીધી છે. પણ નાયકના તાતા શબ્દતીરને જે ગણનામાં જ લેનાર નથી એ મૌન કંઠના ગાનને સાજન કોઈ કાળે રોકી શકનાર નથીનો વિશ્વાસ પ્રથમ બંધમાં પ્રકટ થાય છે. ખોટુકડો ગુસ્સો દેખાડતા નાયકના હૃદયથી સરીને નાયિકાના રોમેરોમને ચંદનલેપની શીતળતા બક્ષતા ગાનને નાયક કેમેય અટકાવી શકનાર નહીં હોવાનો આત્મશ્રદ્ધાનો રણકો રચનાને વધુ રૂડી બનાવે છે.
January 28, 2026 at 11:06 AM by વિવેક · Filed under પ્રજારામ રાવળ, સોનેટ
અહીં આ પૃથ્વીના પટ ઉપર કે ફુલ્લ, નમણાં,
નિહાળું છું કૂંળાં કમળ-મુખડાં બાળક તણાં:
કશાં ભોળાં; હસું હસું થતાં, સાવ અમથાં:
સ્મિતાળું જો ભાળે વદન, હસતાં તુર્ત, બમણાં.
ફરું જયાં જયાં, ત્યાં ત્યાં સુભગ શિશુઓ કેરી રમણા:
નચિંતાં કલ્લોલે જગત-રસમાં મગ્ન જ ઘણા.
ન ઑથારો ભારી, હૃદય પર કારી, ગત તણા:
ન આવી ઊભા ર્.હે દંગ પજવતાં ભાવિ સમણાં.
પુરાણો અશ્વત્થ પ્રકટિત નવો આ નિત લહું.
મહોલ્લાસે કાંઈ, ફૂટતી ટીશીઓ નીરખી રહું.
જરી વાયુ-લ્હેરે રણઝણી રહે મોદિત અહો!
નવા ચ્હેરા; રૂડાં સ્મિત—નયનનું આ જગ ચહું.
અનાદિ આકાશે અભિનવ-નવોન્મેષ-સવિતા:
વહે તાજી તાજી પૃથિવી-પટપે આદિ કવિતા.
– પ્રજારામ રાવળ
રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું હતું, “દરેક નવું જન્મતું બાળક એ વાતની સાબિતી છે કે ઈશ્વર હજી માનવથી નિરાશ થયો નથી.” પ્રસ્તુત સૉનેટનું કથનકેન્દ્ર પણ નવા જન્મેલાં બાળકો જ છે. સામાન્યરીતે પચાવવા અઘરાં પડે એવાં સૉનેટોની સરખામણીમાં આ કૃતિ થોડી મુખર લાગે, પણ રજૂઆતની નમણાશ અને કવિકસબના કારણે એ ખાસ્સી હૃદ્ય થઈ છે. કમળના ફૂલ જેવાં નવોદિત શિશુઓ કવિને જ્યાં જાય ત્યાં નજરે ચડે છે, જેઓ કારણ વિના તો હસે જ છે, પણ તમને હસતાં ભાળે તો તો બમણું હાસ્ય વેરે છે. બાળકોને ન આજનો ભય હોય છે, ન ભાવિના સ્વપ્નોની પજવણી. જૂનો પીપળો જ નિત નવો થઈ પ્રકટતો હોય એવાં તાજી કૂંપળ સમા આનંદિત બાળકોના રૂડાં સ્મિતવાળા ચહેરા જ કવિ ચહે છે. અનાદિ આકાશમાં જે રીતે રોજ સવારે એનો એ જ સૂર્ય સાવ નવો, તરોતાજો થઈને ઊગે છે, એ જ રીતે પૃથ્વી પર બાળક નામની આદિ કવિતા રોજેરોજ લખાતી રહે છે.
January 23, 2026 at 10:57 AM by વિવેક · Filed under ગીત, સંજુ વાળા
છેક શિખરની મજા,
હોય માણવી એણે જાતે થઈ જાવાનું ધજા..
ક્યાંથી પગલું પહેલું ભરીએ? ગરવા હે શ્રીગણેશ
એ મારગ દેખાડો જેમાં ક્યાંય ના વાગે ઠેસ
અથવા આપો, અંદર અંદર રણઝણવાની રજા…
અણજોયાને જોયું કરવું અણઘડ ઘડવા ઘાટ
ચાલ ના જાણી તોયે માંડી જગજાહેર ચોપાટ
કપાળ જાણી કરવાં તિલ્લક જેવાં જેનાં ગજાં…
ચડવું ’ને ઊતરવું દીધું અણથક દીધી એષ
બેઉ હાથથી ઉલેચો પણ રહે શેષનું શેષ
એવાં અંતરિયાળપણાં, જ્યાં ના છત્તર ના છજાં…
છેક શિખરની મજા,
હોય માણવી એણે જાતે થઈ જાવાનું ધજા.
– સંજુ વાળા
શિખર એટલે ઊંચાઈ, ટોચ… એવું સ્થાન જેની ઉપર એનાથી ઊંચું બીજું કશું જ ન હોય… એક શબ્દમાં કહેવું હોય તો સર્વોચ્ચ! શિખરની ખરી મજા લેવાની રીત કવિ આપણને સમજાવે છે. જીવનમાં સર્વોચ્ચતા, સર્વોપરિતાની ખરી મજા માણવી હોય તો ધજા બનવું પડે… ધજા એટલે વજનહીનતા… સ્વયંને ઓગાળીને હલકા થયા હોઈએ તો જ આછા પવનમાં પણ લહેરાઈ શકાય. કોઈપણ સારા કામની શરૂઆત આપણે ગણેશને સ્મરીને કરીએ છીએ. પહોંચવાનું તો છેક શિખરે છે, પણ એ માટે પહેલું ડગલું તો ભરવું પડશે ને? માર્ગમાં ક્યાંય ઠેસ ન વાગે એવો માર્ગ તો શ્રી ગણેશ જ દેખાડશે ને? અને એ ન થઈ શકે તો બીજો વિકલ્પ ભીતર રણઝણવાની રજા માંગવાનો છે. ક્યાં શિખરે ફરફરીએ, ક્યાં તો ભીતર રણઝણીએ… વચ્ચેનું કશું અધકચરું કેમ ખપે? જીવનમાં ચડાવ ને ઉતાર છે. પાર પાડો પાડો ને તોય થાકે જ નહીં એટલી અપાર ઇચ્છાઓ છે તો સામા પક્ષે બંને હાથે ઉલેચો તોય ઉલેચવો બાકી જ રહે એવો પરવરદિગારનો ખજાનો પણ છે. પછી બાકી શું રહે?
બાવડાનું બળ બિચારું થઈ ગયું,
નાવમાં નખ જેવું બારું થઈ ગયું.
મેં મને મહુડો કર્યો જાહેર ને
ગામ આખ્ખું દારૂ દારૂ થઈ ગયું
એમણે અમથું જ પૂછ્યું, ‘કેમ છો?’
એટલામાં અમને સારું થઈ ગયું
માએ સાર્યાં બે’ક ટીપાં આંસુ ત્યાં
આખ્ખુંયે ઘર ખારું ખારું થઈ ગયું.
હું ગયો ‘નારાજ’ દાંડી પીટવા તો
આ જગત મૂંગું નગારું થઈ ગયું
– ચંદ્રેશ મકવાણા ‘નારાજ’
વિશાળ ટાઇટેનિક જેવા જહાજને ડૂબાડવા માટે એક કાણું જ પૂરતું છે… વાત હોડીની છે કે આપણી હયાતિની એ વિચારવા જેવું… નખ જેવડું બારું થઈ જાય તો નાવને બચાવવા કોઈ કારી કામ લાગતી નથી. બીજો શેર ઠીકઠાક છે, પણ ત્રીજો શેર વાંચો અને મિરઝા ગાલિબ યાદ ન આવે એ કેમ બને?-
उन के देखे से जो आ जाती है मुँह पर रौनक़
वो समझते हैं कि बीमार का हाल अच्छा है
પોસ્ટ વાંચીને જાણીતા કવયિત્રી શબનમ ખોજાએ ફહમી બદાયુનીનો એક શેર મોકલી આપ્યો.. એ પણ અહીં ઉમેરી દઉં-
पूछ लेते वो बस मिज़ाज मिरा
कितना आसान था इलाज मिरा
છેલ્લા બે શેર પણ ખૂબ મજાના થયા છે. સરવાળે મૌજ-એ-દરિયા ગઝલ…
January 21, 2026 at 11:59 AM by વિવેક · Filed under ગીત, વિનોદ જોશી
એ પળ હજી ન ભાળી,
હોઈ શકે એ મેઘધનુષી, હોઈ શકે છે કાળી!
વરસોથી બેઠું પગ વાળી વાદળમાં ચોમાસું,
ઊભી ધાર ન ફાવે એને હોય વરસવું ત્રાંસું;
ખરબચડી આખી આવરદા ખોટુકલી પંપાળી!
ઘાસ રાતભર ખમે હવાના હણહણતા હડદોલા,
પછી સવારે ગણે ઝીણકા ઝાકળના ફરફોલા;
ટહુકા જેવું રોજ કશું ચુપચાપ વીણતો માળી!
– વિનોદ જોશી
રવીન્દ્રનાથ ટાગોરને કોઈએ પ્રશ્ન કર્યો કે તમારી શ્રેષ્ઠ કવિતા કઈ? કવિવરે જવાબ આપ્યો કે મારી શ્રેષ્ઠ કવિતા હજી લખવાની બાકી છે, તેથી જ હું લખતો રહું છું. જીવનમાં દરેક વ્યક્તિને કોઈકને કોઈક વસ્તુની પ્રતીક્ષા હોય છે. પ્રસ્તુત ગીતરચનામાં પણ કાવ્યનાયક આવી જ કોઈક અનાગત પળની સમતોલ પ્રતીક્ષામાં છે. સમતોલ એ રીતે કે કથક એ વાતથી સુપેરે અવગત છે કે અનાગત પળ મેઘધનુષી પણ હોઈ શકે છે અને કાળી પણ. જીવનના ઉભય અંતિમના સમ્યક સ્વીકાર સાથેની આ પ્રતીક્ષા હોવાથી ગીત ચીલાચાલુ પ્રાસાવલિ ન રહેતાં સુમધુર કવિતામાં પરિણમે છે.
જે પળ હજી આવવી બાકી છે એ જો ચોમાસું હોય તો એ ત્રાંસી ધારે જ વરસવુંની ગાંઠ મારી પગ વાળી વાદળમાં બેસી ગયેલ છે. રાત આખી હવાના હડદોલા ખાઈ ખાઈને ઘાસના ડિલે ઝાકળના ફરફોલા ઉપસી આવે છે… ખરબચડી જિંદગીને ખોટેખોટી પંપાળ્યે રાખવાના રંજરંજિત ભૂતનો બોજ ખભે ઊઠાવી વર્તમાન ભાવિ તરફ આંખ માંડી બેઠો છે. ગત-અનાગત વચ્ચે ભીંસાતી આજનો એક શેર યાદ આવે છે-
પેલી પળ તો જ્યારે એને ભાવિ લઈને આવશે ત્યારે આવશે… આજનું કામ છે ઘાસ વચ્ચે વેરાયેલ ટહુકા ચુપચાપ વીણતા રહેવું… ખરબચડા જીવનને ટહુકાના સૂરની સુંવાળપથી જ સંવારી શકાય…
મથું મથું છતાં એની એ આ ઉરે ઊઠતી વ્યથા,
રહી રહી ધુમાતાં કાષ્ઠોમાં ધખે અગનિ યથા.
અસહ બનતું આ એકાકીપણું જીરવાય ના.
અવર સથવારો તો એવો સહ્યો વળી જાય ના.
વ્યરથ વ્યવહારોનું દાસત્વ રે કઠતું કટુ,
પણ શરણ લૈ એનું હુંથી છુપાઈ જવા મથું!
ક્ષત ક્ષત સહુ અંગે અંગે અપંગ-શી જિંદગી,
હજીય રહું છું એના આલંબને નિજને ઠગી!
સમજી શકું છું તોયે છોડી શકું નહિ વંચના,
સતત નિજને ખોવાને આ મુકાય પ્રપંચના,
કૃપણ, ખલ હે, કુલ્ટા આવી અચાનક જો મળી-
અનુભવ કરું તો કેવો ફરી ફરી જિંદગી!
દલિત ઉરની લંબાવું ના હવે વધુ આ કથા,
અવશપણું છે, હૈયું યે છે, અને વળી છે વ્યથા!
– ભાનુપ્રસાદ ત્રિવેદી
દુનિયા મેં હમ આયે હૈં તો જીના હી પડેગા, જીવન હૈ અગર જહર તો પીના હી પડેગા… માટી તો એની એ જ છે, પણ હાથોનો કસબ એમાંથી અલગ-અલગ પ્રકારનાં પાત્ર સર્જે છે. પૂરું બળ્યા વિના ધુમાતાં લાકડા પૂરાં બળેય નહીં ને બળતાં બંધ પણ ન થાય એ રીતે વ્યથા અંતરને પૂરું બળવા પણ નથી દેતી અને ઠરવા પણ નથી દેતી. એકાકીપણું પણ સહેવાતું નથી અને બીજા કોઈનો સથવારો પણ સહી શકાતો નથી. દુન્યવી વ્યવહારો વ્યર્થ હોવાનું જ્ઞાન હોવા છતાં કદાચ એના શરણે જવાથી સ્વયંથી છૂપાઈ શકાયએવી ભ્રામક આશામાં દાસ બની એમના શરણે જવું પડે છે. ચારે તરફથી ક્ષતવિક્ષત અપંગ જિંદગીનું આલંબન લઈ મનુષ્ય હજીય જાતને છેતરી રહ્યો છે. દુર્યોધને કહ્યું હતું: ‘जानामि धर्मं न च मे प्रवृत्तिः। जानाम्यधर्मं न च मे निवृत्तिः।‘ જીવનની વંચના અને પ્રપંચનાથી પૂર્ણતયા વાકેફ હોવા છતાં આપણે એનાથી આઝાદ થઈ શકતા નથી એ કેવી વિડંબના! જિંદગી કંજૂસ છે, દુષ્ટ છે, કુલ્ટા છે પણ તોય આપણે ફરી ફરીને એનો અનુભવ કરવો છોડી શકતાં નથી. હૈયું હોય એટલે સંવેદના હોવાની જ અને સંવેદના હોય એટલે વેદના. બધું જ જાણવા છતાંય એનાથી મુક્ત ન થઈ શકવાની લાચારીની કથા પછી કેટલી લંબાવ્યે રાખવી?
January 15, 2026 at 11:15 AM by વિવેક · Filed under ગીત, હર્ષદ ચંદારાણા
જોજનના જોજનની ખેપું ખેડું ને
. તોય નદીયું તો આઘી ને આઘી
. હો ભાઈ મારા, નદીયું તો આઘી ને આઘી
પાણીનું નામ જેને આપી શકાય
. એવું કૈં યે નથી મારી સાથમાં
નકશાઓ પાથરું તો ઠેરઠેર નીકળે
. વાંસવન સુક્કાં આ હાથમાં
એ સળગે કે કેમ એને ઠારું કે
. સાવ પછી બળતાંને લઉં પાછાં બાંધી
. હો ભાઈ મારા, નદીયું તો આઘી ને આઘી
January 10, 2026 at 7:42 AM by વિવેક · Filed under અછાંદસ, અનિલ જોશી
મારી છત્રીનો કાગડો
ક્રાઉક્રાઉક્રાઉ બોલી ઊઠ્યો.
પીપળા જેવો હું
ધ્રૂજી ગયો.
મહેમાન થઈને ચાંદરણું આવ્યું
બેઠું
સરક્યું
ને ચાલ્યું.
હું એકલો પડી ગયો.
હું ખોટો પડું એટલી હદ સુધી
સાચું બોલતો થઈ ગયો.
હવે હું દીવો નથી
પણ દીવો સળગાવતાં ઠરી ગયેલી
દીવાસળીની ટોચ ઉપર પડેલું અંધારું છું.
હવે હું ઈસુ નથી
પણ ક્રૉસ છું
જેના પર માણસજાત
પોતાની તમામ ભૂલો ટિંગાડી શકે છે.
– અનિલ જોશી
શીર્ષક ઘણીવાર કવિતામાં અવિનાભાવી ઘટક બની રહે છે. એઝરા પાઉન્ડની સુખ્યાત કવિતા ‘ઇન અ સ્ટેશન ઑફ ધ મેટ્રો’ શીર્ષક વિના અપૂર્ણ જ રહી જાય. એ જ રીતે આ કવિતામાં પણ શીર્ષક કવિતાનું અવિભાજ્ય અંગ છે. આખી રચનામાં ક્યાંય સાંજનો ઉલ્લેખ નથી, પણ શીર્ષક આપણને કહે છે કે ‘એક સાંજે’ જે થયું છે એની જ આ કવિતા છે. સાંજ સંધિકાળનો સમય છે… અજવાળું-આશાના ગમન અને અંધારું-નિરાશાના આગમનના એંધાણ લઈને આવતી સાંજ સરવાળે વિષાદ અને વિયોગનું પ્રતીક છે. ‘એક સાંજ’ના દોરામાં ભાવ અને પ્રતીકોના મોતી પરોવી કવિએ સ-રસ કાવ્યમાળા રચી છે. કાયમ નહીં, પણ કોઈ એક સાંજે જે થયું એની યાદી કવિ આપે છે. છત્રી નહીં, છત્રીનો કાગડો બોલી ઊઠે છે. ઘરના મોભારે કાગડો બોલે તો મહેમાન આવવાના શુકન થાય, પણ આ તો છત્રીનો કાગડો છે. એટલે મહેમાન પણ અલગ પ્રકારના જ હોવાના ને! છત્રી કાગડો થાય ત્યારે એનો મૂળ હેતુ ગુમાવી બેસે છે, એ વરસાદથી બચાવી શકતી નથી. જીવનના સંદર્ભમાં સ્વયંની લાચાર અને આઉટ-ઓફ-કોન્ટેક્સ્ટ પરિસ્થિતિનું આથી સશક્ત વર્ણન બીજી શી રીતે કરી શકાય? દરેક સંદર્ભને આ રીતે વારાફરતી હળવા હાથે ખોલી શકાય, પણ એ કામ ભાવકક્ષમતા પર છોડી દઈ હું અહીં અટકું…
January 9, 2026 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, ગોપી દેસાઈ
યાદ છે કૃષ્ણ
તું ગોકુળની ગાયો પાછળ ભમતો
ને હું તારી પાછળ.
રાસ તો આજે પણ રમું છું
પણ તારા વગર
વાંસળી નહીં, ડીજેની ધૂન પર
યાદ છે કૃષ્ણ
એક દિવસ બપોરે મેં કહ્યું,
“મારે તારી સાથે રહેવું છે”
તેં કહ્યું કર્મ કર કર્મ
બસ…
વહેલી સવારે ઊઠી
ગાયો દોહી, છાશ વલોવી, માખણ કાઢી…
ક્યારેક ઘી પણ…
છાણાં વીણું, વાસીદુ વાળું,
ચૂલો અને ચાકરી…
કોની?
ઘરવાળો અને છોકરા
તારી જેમ ઓછું છે છડેછડા
જે ગમે એની હારે પ્રેમ કરવાનો
કાંઈ તુક્કો સુઝે તો મન મુજબ
મસ્ત બની નીકળી જવાનું
હવે તો ગોકુળ, વૃંદાવન, મથુરા
બધ્ધે મસ્ત પેકિંગમાં નાના-મોટા ડબ્બામાં
દૂધ, છાશ,માખણ, ઘી બધું મળે છે
મંગાવી લઉં છું
કેટલા વલોણા વલોવ્યા કરું?
ખાલી તારી તારી યાદ ના વલોણા…
એકદમ silent …
વલોણું ફરે પણ અવાજ નહીં
ખાલી આંસુ પડે…
આંસુ પણ એકદમ silent…
યાદ છે કૃષ્ણ
એકવાર યમુનાજીમાં તરવા પડેલી હું
તું મારા કપડાં ચોરી સંતાઈ ગયેલો.
હવે તો Blinkit , Swiggy કરું
દસ મિનિટમાં કપડાં હાજર
તું તારે સંતાઈ રહે કદમ્બની ડાળે
તને ડીક્કો
તું મારું સર્વસ્વ
અને હું માત્ર એકલી અટૂલી ગોપી
સમજાયું મને
“Blood is thicker than water”
હા- પછી ખબર પડી કે
પાંડવો તારા કઝિન્સ હતા
ઇંગ્લિશ તને ક્યાંથી આવડે?
Cousins – પિતરાઈ ભાઈઓ
જીતાડી દીધા કઝિન્સને મહાભારતમાં …
વાહ…વાહ…
સમજાયું મને
“Blood is thicker than…
મારા ગોકુળનાં દૂધ, છાશ, અને માખણ કરતાં…
સારું એટલું કહે
“રાધા કે રુક્મણીના touchમાં છું?”
Reels જોઉં છું એ લોકોની ઇન્સ્ટા પર…
આ ગોકુળની ગોપી હવે આવું બધું બોલે
તને નહીં સમજાય
તને કાંઈ ટપ્પી નહીં પડે
નહીં સમજાય તને
ગોકુળમાં હજી મલ્ટિપ્લેક્સ નથી
ગોકુળ Religious Town છે
– ધાર્મિક ધામ છે
એટલે મથુરા ગઈ હતી
Book My Show પર ટિકિટ બુક કરાવીને ‘લાલો’ જોવાસ્તો…
લે તને ખબર નથી
100 કરોડ ઉપર બિઝનેસ કર્યો
હા નહીં…
તને તો કરોડ શું ? રૂપિયા શું?
કેટલા રૂપિયા કશું ક્યાં ખબર હોય…
ક્યાં છો ડાકોરમાં? કે દ્વારિકામાં?
કે હજુ પાંડવો સાથે India ની Tour જ કરી રહ્યો છું?
ખબર છે વેનેઝુએલાના પ્રેસિડન્ટને ટ્રમ્પ રાત્રે એના ઘરમાંથી ઉપાડી ગયો…
ટ્રમ્પ તેલ લેવા જાય…
હું તો બહુ diet conscious છું
તેલ નો ખપે…
ટ્રમ્પ ની જેમ તું મને ઉપાડી જાને
તારી સાથે રહીશ
કોઈ ડિમાન્ડ નહીં
કેટલાં વલોણાં વલોવ્યાં કરું?
તારી યાદનાં વલોણાં…
– ગોપી દેસાઈ
લયસ્તરો પર આજે જય વસાવડાની ચહેરાપોથી પરથી સીધેસીધું કોપી-પેસ્ટ… જાણીતા અભિનેત્રી અને દિગ્દર્શિકા ગોપી દેસાઈ કવિતા, સારી કવિતા પણ કરી શકે છે એ જાણી-જોઈ સાનંદાશ્ચર્ય થયું. કૃષ્ણ અને ગોપીના સંબંધ વિશે અસંખ્ય કવિઓ અસંખ્ય કવિતા કરી ગયા છે, પણ જે રીતે સર્જકે સમયના બે અંતિમોને નહીં સાંધો-નહીં રેણની કાબેલિયતથી જોડી રચના કરી છે એ સાચે જ કાબિલ-એ-દાદ છે. નિઃશંકપણે રચના થોડી લાંબી થઈ છે, પણ વિશ્વાસ રાખો, સહેજપણ ભારઝલ્લી લાગશે નહીં…
તને સંબોધી તો ફરીફરી સુણી જાગ્યું જગ આ.
પરંતુ રે તું તો…
– મનહર મોદી
પ્રેમના ચશ્માં આંખે લાગી જાય એટલે સમગ્ર સૃષ્ટિ સુંદર દેખાવા માંડે… જુઓ તો જરા, કવિએ તો કેવળ પોતાની પ્રિયાને સંબોધન જ કર્યું છે, પણ આખી દુનિયામાં લહેરખી ફરી વળી છે. ગમતી વાત સાંભળીને પવન જેવો પવન ક્ષણભર થંભી ગયા પછી સ્થિર થઈ ગયેલ વૃક્ષની ડાળના પાંદડાઓમાં પ્રિયાના સ્મરણ જેવો મધુર રવ ભરી દે છે. પંખી-પુષ્પ-સમુદ્ર-રાત બધુંય જીવંત બની ઊઠે છે. સૂર્યકિરણના પ્રવેશથી દૂર થઈ જતી રાતને રવિકિરણના સ્પર્શે આળસ મરડી આંખ મસળીને ઓચિંતી જાગી જતી રાતની કાયા સાથે સરખાવતું કલ્પન તો અદભુત થયું છે. જે સંબોધનથી આખી દુનિયા ફરી ફરી જાગી જાય છે, એ સંબોધન જેના માટે છે એ પ્રિયા તો… રે રે! રે મૃત્યુ!
ટૂંકી બહરમાં સરસ મજાનું ભરતકામ. એક તો અભિવ્યક્તિ માટેની જગ્યા નાની અને એમાંય મોટાભાગના શેરમાં સર્જકે જંતરમંતર, પર્વત પર્વત, કાંઠેકાંઠા, ડગલેડગલાં જેવા શબ્દયુગ્મો પ્રયોજીને તંગ દોરી પર સમતુલન જાળવવાની વધારાની કસોટી સ્વયં માટે સર્જી છે. મજા એ વાતની છે કે લગભગ બધા જ શેર સાંગોપાંગ સંતર્પક થયા છે. છેલ્લા બે શેરમાં બંને મિસરામાં કાફિયા જળવાયા હોવાથી એ સાની મત્લાની જગ્યા પણ લઈ શક્યા હોત. સર્જકનું તખલ્લુસ ઝરમર હોવાથી મક્તાનો સાની મિસરા તો એમના હસ્તાક્ષર જ જાણે!
કવિતા પસંદ પડવી-ન પડવી એ ભાવકની જે તે સમયની મનોસ્થિતિ પર અવલંબે છે. એની એ કવિતા ક્યારેક વાંચતાવેંત ખૂબ જ ગમી જાય અને ક્યારેક દીઠી ન ગમે એવું બની શકે. આ ગઝલ પહેલી વાર વાંચી હતી ત્યારે મન મોહી ગયું હતુ. આજેય પહેલા ત્રણ શેર એ જ રીતે મોહે છે, પણ ચોથો શેર થોડો સાધારણ લાગ્યો ને વળી પાંચમો શેર એવો જ સરસ. વાદળની બાધા રાખી આકાશમાંના ચાંદને અદૃશ્ય કરાવી કેવળ ચંદ્રમુખી પ્રિયાને જ નજર સન્મુખ રાખવાની વાત જ કેવી સરસ! અને વાદળની બાધા જેવો અનૂઠો પ્રયોગ તો જગદીપા નાણાવટી જેવા હટ કે ગઝલકાર જ કરી શકે…
અભણ આગિયા અંધારાને પાડે પછી ઉઝરડા,
અદ્ધર આભે ઝગમગ ઝીણા ફરતા રહે ભમરડા;
રોજ માંહ્યલું જંતર ઝીણું વાગે,
. બહુ એકલવાયું લાગે…
– વિનોદ જોશી
૨૦૨૬ની શરૂઆત થઈ ચૂકી છે… લયસ્તરોના તમામ ભાવક અને સર્જકોને નવા વર્ષના અભિનંદન! નવ્યવર્ષનો પ્રારંભ સરસ મજાની ગીતરચનાથી કરીએ…
સમર્થ કવિ કેવળ માનવમનના અતળ ઊંડાણો તાગવા સુધી સીમિત ન રહે, એ તો પ્રકૃતિના તમામ ઘટકતત્ત્વોની અનુભૂતિને આત્મસાત કરે અને પછી સહુ સાથે સહિયારે. પ્રસ્તુત રચનામાં કવિ ઝાડની સંવેદનાના મૂળ સુધી પહોંચે છે. ઝાડની એકલતા અને ચોવીસે કલાક કાર્યરત રહેવાની પ્રકૃતિનો કોઈ જોડ નથી. આ અજોડ વિલક્ષણતાને કેન્દ્રમાં રાખી કવિ એની ફરતે નિસર્ગના નાનાવિધ ઘટકોને કલ્પનસૂત્રોના તાણાવાણાથી બાંધે છે. દિ’ આખો અજવાળું દળીને ખીણમાં દડી જતો સૂરજ, હવા વડે ટહુકાનું આંજન કરવાની ક્રિયા, અભણ આગિયા વડે અંધારાના ડિલે પડતા ઉઝરડા તથા આભમાં ઝબૂક ઝબૂક કરતા તારામાં ભમરડા ફરતા દેખાય વગેરે કલ્પનોની નજાકત અને બારીકી રચનાને વધુ હૃદ્ય બનાવે છે. કવિએ આગિયાને અભણ કહ્યા એ જોયું? ભણેલા હોય એ સીધી લીટીમાં લખે,પણ આગિયા તો સ્વૈરવિહારી… આગિયાના ઉડ્ડયનથી હવામાં અજવાળાના કે લિસોટા પડે એમાં આકાર કે અક્ષર હોતા નથી… કદાચિત આ કારણે કવિએ આગિયાને અભણ કીધા છે… પણ આવા અનૂઠા કલ્પનોને જે રીતે કવિએ વર્ણસગાઈના તાલ સાથે આલેખ્યા છે, એના કારણે સર્જાતું સંગીત ગીતને વધુ આસ્વાદ્ય બનાવે છે.
December 27, 2025 at 11:43 AM by વિવેક · Filed under ગીત, નીતિન વડગામા
સહજ મળે તે સાચું.
કરી ઉધામા કૈંક પામીએ એ સઘળુંયે કાચું.
વરસે વ્હાલો ધોધમાર, છલકે જીવતરની ઝોળી.
મહેકી ઊઠે એમ પછી તો રુદિયાની રંગોળી.
આપે અપરંપાર પછી હું નાહક શાને યાચું ?
સહજ મળે તે સાચું.
પંથ ઉપર પાડેલું પગલું ઊડી આભમાં પૂગે.
સમય સાચવી સૂખનો સૂરજ આપોઆપ જ ઊગે.
ભાર બધો ભૂલીને હું તો રામનામમાં રાચું.
સહજ મળે તે સાચું.
– નીતિન વડગામા
ભાવક સુધી એ જ કવિતા પહોંચે જે સહજતાથી આવી હોય… મથી મથીને શબ્દોના પાટિયાં ગમે એટલી કુશળતાથી કેમ ન બેસાડ્યાં હોય, સહૃદયી ભાવક કૃતકતા પકડી જ લે છે. જીવનમાં પણ જે સહજ અને સ્વાભાવિક હોય એ જ સાચું છે… એ સિવાયનું બધું નકામું.
ગઝલનો એક ફાયદો છે. જે કહેવું હોય એ બે પંક્તિમાં સમેટી લેવાનું. ગીત કે સૉનેટની જેમ લાંબું મમળાવવું નહીં પડે. પણ આ ફાયદો જ એક પડકાર પણ છે. જે કહેવું હોય એ બે પંક્તિમાં કહી જ દેવું પડે. ત્રીજી પંક્તિનો અવકાશ મળે નહીં. અને એમાંય કવિ ટૂંકી બહર પસંદ કરે એટલે તો આ પડકાર પહાડ જેવો થઈ જાય… પ્રસ્તુત ગઝલમાં પ્રવર્તમાન ચાલ મુજબ પાંચ શેર કહીને અટકી જવાના બદલે કવિએ નવ-નવ શેર કહ્યા છે, પણ આનંદ એ વાતનો છે કે આ નવ શેર નવસેરા હાર જેવા થયા છે…
સશક્ત હો ભૂજા અને સમર્થ સારથિ છતાં
વિશાદભાવ ઉદ્ભવે તું બેધડક સવાલ કર!
– ભાર્ગવ ઠાકર
* * *
વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે, સીવેલા હોઠ લઈ જવાની છૂટ છે તને.
સંવાદનો અભાવ એ પ્રવર્તમાન સમાજની કદાચ સૌથી વિકટ સમસ્યા છે. માણસ ભીતર જે અનુભવે છે એ સામી વ્યક્તિ સાથે સહિયારતા ડરે છે. અને સવાલ? રામ રામ… સવાલ પૂછવાનો ડર તો એથીય મોટો… એટલે જ કવિ સીધા મૂળમાં જ ઘા કરે છે. કહે છે- ‘તું બેધડક સવાલ કર!’ હવે મૌન પાલવે એમ જ નથી, કેમ કે સમય જ વિકટ છે… સ્વીકાર કે ઇનકાર જીવન-મરણનો પ્રશ્ન કેમ ન બની ગયો હોય, સવાલ જ નહીં કરો તો વાતનો નિવેડો કઈ રીતે આવશે? ત્રીજો શેર સાધારણ થયો છે, પણ સીતાની અગ્નિપરીક્ષા અને અર્જુનના વિષાદયોગના સંદર્ભ સાથે લખાયેલ છેલ્લા બે શેર સરસ થયા છે.
પોતાનાં ઘર તો કાચાં હોય, એટલે છાણાં થાપવા ગામડાની સ્ત્રીઓ ગઢની દીવાલનો ઉપયોગ કરતી… સહિયરને સાથે લઈને નાયિકા ગઈ છે તો છાણાં થાપવા, પણ અરમાન ગઢની ભીંતે કાયા ટેકવીને પ્રતીક્ષાની ભીંત બની જવાનાં છે. કારણ? સમયના મારથી ગઢના કાંગરા ખરે તોય ગઢ તો વરસોવરસ અડીખમ જ રહે… અણનમ અણથક અનવરત ઇંતેજારને ચાક્ષુષ કરવા માટે આથી સારું રૂપક કયું હોઈ શકે? મનનો માણીગર ક્યારેક તો આ રસ્તેથી પસાર થશે, આંગળાઓની છાપ જોઈને મોહિત થશે ને રાહ જોવું લેખે લાગશે… આખું ગીત સ-રસ થયું છે પણ એક વાત ન સમજાઈ… વાત નાયિકાના વાટ જોવાની હોય તો વટેમાર્ગુ ‘તારા આંગળાઓની છાપ જોશે’ એમ આવવું જોઈએ કે ‘મારા આંગળાઓની છાપને જોશે’ એ વધુ ઉચિત પ્રયોગ ગણાય? કે પછી બીજા બંધમાં સૈયર નાયિકાને સંબોધી રહી છે? પહેલા બંધ કરતાં બીજા બંધમાં ચાર માત્રા વધારે છે અને બીજા બંધા કરતાં એની પૂરકપંક્તિમાં વળી ચાર માત્રા વધારે છે… ઇંતેજારી વધી રહી છે એટલે?
December 19, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, લલિત ત્રિવેદી
તને ગઝલ કઊં કે ગઝલિકા
હે શમણિકા હે નમણિકા!
રૂમઝૂમ રૂમઝૂમ વહે નિશિકા
ને મર્મરતી મધુર પરણિકા!
સબદઅરથ ઔર સબ જવનિકા
સરકાવી દે, અભિસારિકા!
ના સુરભી કે સુરખી વચમાં
ઔર ઔર નજદીક, નજદિકા!
મિટાવ અંતર ને તર થૈ જા…
હે રમણી હરણી તરલિકા!
પ્રિયે! મિલનની ટગલી ડાળે
નહિ લલિત કે નહિ લલિતિકા!
ગઝલ કહી મેં એમ લલિતજી
પૂરપાટ મધ્યે તરણિકા!
– લલિત ત્રિવેદી
ગઝલકારોનો મેળો જામ્યો છે.. કેટલાક ગઝલકાર ગઝલના અંતસ્તત્ત્વની મદદથી આગળ આવે છે, તો કેટલાક દમામદાર રજૂઆતને લઈને ખ્યાતિ પ્રાપ્ત કરે છે… કેટલાક પ્રદેશવાદના કારણે નોખા તરી આવે છે તો કેટલાક જૂથવાદના કારણે તરી જાય છે… પણ વ્યવસાયે તબીબ એવા લલિત ત્રિવેદી કોઈપણ જાતનો ઉહાપોહ કર્યા વિના એક ખૂણામાં બેસીને ગઝલસાધના કરે છે… ગઝલકારોના મેળામાં તેઓ એવી ભાતનાં વસ્ત્રો ધારીને સંમિલિત થયા છે કે દૂરથી જ નોખા તરી આવે… એમની ગઝલ જોતાવેંત ખ્યાલ આવે કે કંઈક અલગ જ ચીજ હાથ ચડી છે… એમની ભાષા અને આવશ્યકતા મુજબ નવતર કાફિયા ઘડી કાઢવાની આવડત એમને બધાથી અલાયદા સિદ્ધ કરે છે… લયસ્તરો પર આપણે અગાઉ પણ એમની રચનાઓ સાથે પરિચય કેળવ્યો જ છે… આજે એ પરિચય વધુ ગાઢ બનાવીએ…
નયનભાઈના કહેવા મુજબ તેઓ મૂળે તો ઉર્દૂના જ કવિ હતા, પણ પછી ગુજરાતીમાં આવ્યા. ઉર્દૂ ગઝલના પ્રેમવશ એમણે શરૂમાં ‘જફર વાલોડી’ તખલ્લુસ પણ રાખ્યું હતું અને આ પ્રેમને ખાતર જ તેઓ ખાસ ઉર્દૂ શીખ્યા પણ હતા. ૧૯૯૩માં એમનો એકમાત્ર ઉર્દૂ ગઝલસંગ્રહ ‘ધૂપ કા સાયા’ પ્રગટ થયો હતો, જેને ઉર્દૂ સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ મળ્યો હતો. ભાષા ગુજરાતી હોય કે પછી ઉર્દૂ, નયન દેસાઈ છૂપ્યા છૂપાતા નથી. સંગ્રહમાંથી એક ગઝલ આજે લયસ્તરોના ભાવકો માટે…
ના, ના, એ પિત્તળ દૈત્યની માકફ નહીં ગ્રીક ગાથાના,
જે ભૂમિથી ભૂમિ પલાણી ઊભો વિજયી પગ લઈ,
અહીં આપણા સૂર્યાસ્તી સાગર-ધોયા દ્વારે ઊભશે
એક શક્તિશાળી સ્ત્રી મશાલ એક લઈ, કે જેની જ્યોતમાં
છે કેદ વીજળી, ને છે નિર્વાસિતોની મા એનું નામ.
ને એના દીવાદાંડી જેવા હાથથી ચમકી રહ્યો
એક વિશ્વવ્યાપી આવકારો; નમ્ર આંખો દે હુકમ
એ જોડિયા શહેરો વચેના વાયુ-જોડ્યા બારાંને,
કવિતાનો જાદુ આપણી સમજણ બહારનો છે… કાગળના ટુકડા પર લખેલી કવિતા ક્યારેક કોઈ વ્યક્તિનું જીવન બદલી નાંખે, તો ક્યારેક આખેઆખા સમાજની કાયાપલટ કરી નાંખે… ક્યારેક એ કોઈક વસ્તુનો અર્થપલટો કરી દે તો ક્યારેક તો દેશ-દુનિયામાં આગ બનીને ફરી વળે… લયસ્તરોની એકવીસમી વર્ષગાંઠ નિમિત્તે રજૂ થઈ રહેલ આવી પથપ્રવર્તક અને યુગપ્રવર્તક કવિતાઓની શૃંખલામાં આજે એક એવી કવિતા જેણે એક મહાપ્રતિમાની અને એની રૂએ એક દેશની ઓળખ બદલી નાંખી…
૪ જુલાઈ, ૧૭૭૬ના રોજ અમેરિકાને આઝાદી મળી, એના સો વર્ષ પૂરા થયાનો ઉત્સવ ઉજવવા, તેમજ અમેરિકા સાથે રાજનૈતિક મૈત્રી વિકસે અને પ્રજાસત્તાકવાદને બહાલી મળે એ હેતુસર ફ્રાન્સે અમેરિકાને વિશાળ પ્રતિમા ભેટ આપવાનું નક્કી કર્યું. મૂર્તિ ફ્રાન્સ આપે અને એને ઊભી કરવા માટેની કુંભી અમેરિકા બનાવે એમ નક્કી થયું. ગંજાવર કુંભીનિર્માણ માટે આવશ્યક પૈસા ઉઘરાવવા અનેક કાર્યક્રમો યોજાયા. અમેરિકન કવયિત્રી એમા લેઝારસે આ ઉપક્રમના જ એક ભાગરૂપે એક સૉનેટ લખી આપ્યું. ૧૮૮૩ના નવેમ્બરથી ૧૮૮૫ના ઓગસ્ટ સુધી ચાલેલ પ્રદર્શનીના પ્રવેશદ્વાર પર એ લગાવવામાં આવ્યું, ઉદઘાટન પણ આ સૉનેટના વાંચનથી કરાયું અને પૈસા ઉઘરાવવા માટે થયેલ નિલામી દરમિયાન પણ એનું પઠન કરાયું. લગભગ બે વરસ ચાલેલ પ્રદર્શની સાથે સતત સંકળાયેલ હોવા છતાં ૧૮૮૬માં ‘સ્ટેચ્યુ ઑફ લિબર્ટી’ના ઉદઘાટન વખતે કોઈએ આ રચનાને યાદ ન કરી અને પછી તો એ સાવ ભૂલાઈ જ ગયું. કવયિત્રીના મૃત્યુના ચૌદ વર્ષ પછી ૧૯૦૧માં એમની એક સહેલી જ્યૉર્જિના શૂલરને એક દુકાનમાંથી એક પુસ્તક મળ્યું, જેમાં આ સૉનેટ હતું. જ્યૉર્જિનાના બે વરસના અથાક પ્રયત્નોના પરિણામે ૧૯૦૩માં પ્રતિમાની વિશાળ કુંભી (પેડસ્ટલ)ની અંદરના મ્યુઝિયમમાં એક તકતી પર આ સૉનેટ મૂકવામાં આવ્યું. બસ, ત્યાંથી આ સૉનેટનો જાદુ શરૂ થાય છે…
એ સૉનેટ જેણે એના સર્જકને કોઈ જ નામના અપાવી નહોતી, એ સૉનેટ જે દોઢ દાયકા સુધી ગાયબ થઈ ગયું હતું, એ સૉનેટની બીજી ઇનિંગ અકલ્પનીય રીતે દમદાર સિદ્ધ થઈ. છેલ્લી સવા શતાબ્દીની સૌથી વધુ ખ્યાતનામ અને સૌથી વધુ ટંકાયેલી કવિતાઓની યાદીમાં એ આજે અગ્રમિ સ્થાને બિરાજે છે. સૉનેટ અને લેડી લિબર્ટી હવે પરસ્પર સાથે તાણાવાણા પેઠે વણાઈ ચૂક્યાં છે. લેડી લિબર્ટીનો મૂળભૂત અર્થ હતો આઝાદી.
જે લોકો આ કવિતા વિશે કશું જાણતા નથી એ લોકો પણ અમેરિકાને અને લેડી લિબર્ટીને ‘આવકાર’ ગણીને જોતાં થયાં છે એ આ કવિતાના સાર્વત્રિક જાદુને આભારી ગણાય. પ્રતિમાનું નિર્માણ તો આઝાદીની શતાબ્દીની ઉજવણી, રાજનૈતિક મૈત્રી અને આંતરરાષ્ટ્રીય પ્રજાસત્તાકવાદના પ્રતિક તરીકે થયું હતું, પણ આ કવિતાએ લેડી લિબર્ટીને દુનિયાભરના બેસહારા અને બહિષ્કૃત લોકોને માટે આશાનું કિરણ હોય એવી આવકારો દેતી મા તરીકે સ્થાપિત કરી દીધી. મૂળ હેતુ જ બદલી નાંખ્યો. લગભગ સવા શતાબ્દીથી સ્વાતંત્ર્યદેવીની ગંજાવર પ્રતિમા હાથમાં આશાની ઝળહળતી જ્યોત લઈને નિર્વાસિતોનું અનૌપચારિક સ્વાગત કરી રહી છે. આજે પણ અમેરિકામાં દેશાંતર અને રાષ્ટ્રીય ઓળખની ચર્ચાઓમાં એમાનું સૉનેટ અચૂક ટાંકવામાં આવે છે. ટ્રમ્પ પ્રશાસને પણ એમાની પંક્તિઓમાં ઉમેરણ કરી વિદેશનીતિ ઘડવાની કોશિશ કરી હતી, જેને પાછળથી કોર્ટે અવમાન્ય ઠરાવી હતી. કોઈ દેશની આંતરરાષ્ટ્રીય નીતિઓ ઘડતી વખતે કોઈ એક જ કવિતા અવારનવાર ટાંકવામાં આવે અને કવિતાને કાયદાની રૂએ માન આપીને કવિતાની પંક્તિઓ દેશના ધારાધોરણ ઘડવામાં નિમિત્ત બને ત્યારે સમજાય કે સફેદ કાગળના ટુકડા પર લખાયેલ ગણતરીના કાળા અક્ષરોની કવિતાનો સાચો જાદુ શું છે!
सारे जहाँ से अच्छा हिन्दोस्ताँ हमारा
हम बुलबुलें हैं इस की ये गुलसिताँ हमारा
ग़ुर्बत में हों अगर हम रहता है दिल वतन में
समझो वहीं हमें भी दिल हो जहाँ हमारा
(गुर्बत = પરદેશ,ઉદાસી)
पर्बत वो सब से ऊँचा हम-साया आसमाँ का
वो संतरी हमारा वो पासबाँ हमारा
गोदी में खेलती हैं इस की हज़ारों नदियाँ
गुलशन है जिन के दम से रश्क-ए-जिनाँ हमारा
( रश्क-ए-जिनाँ = સ્વર્ગને પણ ઈર્ષ્યા થાય તેવું)
ऐ आब-रूद-ए-गंगा वो दिन है याद तुझ को
उतरा तिरे किनारे जब कारवाँ हमारा
(आब-रूद-ए-गंगा=ગંગાનો પ્રવાહ)
मज़हब नहीं सिखाता आपस में बैर रखना
हिन्दी हैं हम वतन है हिन्दोस्ताँ हमारा
यूनान ओ मिस्र ओ रूमा सब मिट गए जहाँ से
अब तक मगर है बाक़ी नाम-ओ-निशाँ हमारा
कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी
सदियों रहा है दुश्मन दौर-ए-ज़माँ हमारा
(दौर-ए-ज़माँ=કાળનું ચક્ર)
‘इक़बाल’ कोई महरम अपना नहीं जहाँ में
मालूम क्या किसी को दर्द-ए-निहाँ हमारा
(महरम=વર્જિત, બીજો અર્થ:ભરોસાપાત્ર વ્યક્તિ;. दर्द-ए-निहाँ=છૂપું દર્દ)
-अल्लामा इक़बाल
પ્રસ્તુત શ્રેણીમાં આપણે આઝાદીના જંગ સાથે જોડાયેલી બે યુગપ્રવર્તક રચનાઓ માણી – વંદે માતરમ્ અને સરફરોશી કી તમન્ના – કે જે બંને એક પ્રકારનો યુદ્ધઘોષ બની ગઈ હતી. આજની રચના એ કોઈ યુદ્ધઘોષ નથી,કોઈ ક્રાંતિકારીની ત્રાડ નથી….આ એક કોમળ સુમધુર તરાના છે જેને “તરાના-એ-હિંદ” નામ હેઠળ પાકિસ્તાનના રાષ્ટ્રકવિ ઈકબાલે ગાયું હતું…
પ્રથમ આ હ્રદયસ્પર્શી નાજુક ગઝલ વિશે વાત કરીએ – આ ગઝલને કોઈ અનુવાદ અથવા ટિપ્પણીની જરૂર જ નથી-આ તો દરેક હિન્દુસ્તાનીના દિલમાં વસેલી છે. “મજહબ નહીં સિખાતા…” શેર તો યાવત્ચંદ્રદિવાકરૌ અમર છે. “ગુર્બત મેં હો અગર હમ….” શેર પણ એ જ કક્ષાનો છે. સમગ્ર ગઝલ જ હ્રદયની વાણી છે.
આ ગઝલ સૌપ્રથમ ૧૬ ઓગસ્ટ ૧૯૦૪ ના રોજ “ઈત્તેહાદ” નામક સાપ્તાહિકમાં પ્રગટ થઈ. અલ્લામાએ મૂળે આ બાળકોને માટે રચેલી. તેઓએ પોતે જ ૧૯૦૫ માં લાહોર ગવર્નમેન્ટ કોલેજમાં પ્રવચનના સ્થાને માત્ર ગઝલ સંભળાવી. સમય બંગભંગ ચળવળનો હતો – સમગ્ર અખંડ ભારતે તેને વધાવી લીધી. બાપુને તો એ એટલી ગમી ગઈ કે તેમણે ૧૯૩૦ યરવાડા જેલમાં ૧૦૦થી વધુ વખત ગાઈ ! ત્યાર બાદ પંડિત રવિશંકરે આશરે ૧૯૪૫ આસપાસ તેને સંગીતબદ્ધ કરી. હાલ પણ આ રચના ભારતીય સૈન્યની ક્વિક માર્ચની ધૂન છે.
Yuval Noah Harari એ લખ્યું છે તેમ તમામ સંસ્કૃતિઓ/સભ્યતાઓ પોતાની સંસ્કૃતિ/સભ્યતાને શ્રેષ્ઠ અને સૌથી પુરાતન માને છે. તે જ સંવેદના આ ગઝલમાં અભિપ્રેત છે. પરંતુ અંગત રીતે મને આ ગઝલ વારંવાર વાંચતા આખી ગઝલમાં એક unmistakable ગર્ભિત વિષાદનો ભાવ અનુભવાય છે-કદાચ હું ખોટો પણ હોઉં. એક શક્યતા એ પણ ખરી કે જે તે સમયની માભોમની બદહાલીને લીધે આ ભાવ હોઈ શકે. જે પણ હોય – સમગ્ર રચના કાવ્યદ્રષ્ટિએ તમામ રીતે ઉત્કૃષ્ટ છે એમાં બેમત નથી. લોકહ્રદયે બિરાજે તે જ ઉત્તમ સાહિત્ય !!
હવે થોડી વાત અલ્લામા ઇકબાલ વિશે કરીએ – હું બહુ જ સભાનતાપૂર્વક કહું છું કે ગાલિબની કક્ષાનું ફિલોસોફિકલ ઊંડાણ મને માત્ર ઈકબાલમાં જ દેખાયું છે. તેઓનો અંદાઝે-બયાં પણ ગાલિબને ટક્કર આપે તેવો છે. તેઓનું ખાસ્સું ક્લિષ્ટ ઉર્દૂ હોવા છતાં મેં ખૂબ મહેનતે સમગ્ર “કુલ્લિયાત-એ-ઈકબાલ” વાંચી છે અને અભિભૂત થયો છું. કદાચ “તરાના-એ-હિંદ” તેઓનું અંતિમ સર્જન હતું કે જે અખંડ ભારતમાતાની સ્તુતિ હતું – ત્યારબાદ તેઓ ત્રણ વર્ષ યુરોપ જાય છે અને તેઓની સંપૂર્ણ વૈચારિક કાયાપલટ થઈ જાય છે – એક નોંધ અનુસાર તેઓને “તરાના-એ-હિંદ” રચવા બદલ કચવાટ પણ થયો હતો !!! યુરોપયાત્રા પછી તેઓ ધાર્મિક કટ્ટરવાદ તરફ ધીમી પણ ચોક્કસ ગતિએ આગળ વધે છે જે તેઓના ગદ્ય લખાણોમાં સ્પષ્ટ દેખાય છે. વળી તેઓ સામ્યવાદના રંગે પણ આ જ અરસામાં રંગાય છે.
મેં તે બધું લખાણ પણ વાંચ્યું પરંતુ તેઓની વૈચારિક કાયાપલટનું કારણ હું કદી સમજી નથી શક્યો. ૧૯૩૦ના મુસ્લિમ લીગના રાષ્ટ્રીય અધિવેશનમાં તેઓનું અતિપ્રખ્યાત વ્યાખ્યાન કે જેમાં તેઓ ધર્મ આધારિત અલગ રાષ્ટ્રની રચનાના ખ્યાલનો મજબૂત પાયો નાંખે છે અને મુસ્લિમ લીગ તેને પૂરા ઉત્સાહથી વધાવી લે છે. અલ્લામા પાકિસ્તાનના “વૈચારિક પિતા” કહેવાય છે. મોપિલાહ હિંદુ જિનોસાઈડ અને “રંગીલા રસૂલ” પ્રકરણમાં પણ તેઓની ધાર્મિક કટ્ટરતા સમગ્ર દેશ જૂએ છે. ૧૯૩૮માં તેઓના અવસાન સુધી તેઓ કટ્ટરવાદનું સતત સમર્થન કરતા રહે છે અને અખંડ ભારતના ખ્યાલનો ઉઘાડો ઉપહાસ કરે છે. તેઓ મુસ્લિમ લીગની મિટિંગમાં ગાંધીજીને “અત્યંત ચાલાક અને ખતરનાક ચુસ્ત હિંદુ” તરીકે વર્ણવતા અને ગાંધીજીને સતત ગહેરા સંશયની દ્રષ્ટિએ જોતા પરંતુ જાહેરમાં કદી એ વિશે કંઈ બોલ્યા નથી.
આપણું ખૂબ જ પ્રિય પાત્ર અચાનક જ આપણી ધારણા કરતાં તદ્દન વિરુદ્ધ વર્તન અખત્યાર કરે ત્યારે આપણને જેવો ઊંડો આઘાત લાગે તેવો મને આ બાબતે સતત લાગતો આવ્યો છે. ખૂબ જ દુઃખ થાય કે અલ્લામા આવું કઈ રીતે કરી જ શકે……
આ દુખદ પરિવર્તનને નજરઅંદાજ કરીએ તો અલ્લામાની પ્રતિભા અને અવિસ્મરણીય વારસા માટે તેમને દિલથી સલામ છે….તેઓની અતિપ્રસિદ્ધ બે નઝમો – “ शिकवा “ અને “ जवाब-ए-शिकवा “ ઈસ્લામિક ટ્રેડિશનમાં એક અદભૂત બેન્ચમાર્ક છે – નુસરતસાહેબે આ બંને જબરદસ્ત લાક્ષણિક અંદાજમાં ગાઈ છે….હિંદુસ્તાન જ્યાં સુધી છે ત્યાં સુધી “સારે જહાં સે અચ્છા….” ગઝલ ગુંજતી જ રહેવાની છે….
सरफ़रोशी की तमन्ना अब हमारे दिल में है
देखना है ज़ोर कितना बाज़ू-ए-क़ातिल में है
સરળ અર્થ છે.
ऐ शहीद-ए-मुल्क-ओ-मिल्लत मैं तिरे ऊपर निसार
ले तिरी हिम्मत का चर्चा ग़ैर की महफ़िल में है
ઐ દેશ અને ધર્મ ઉપર શહીદી વહોરનાર ! હું તારા પર કુરબાન છું, તારી હિંમતની ચર્ચા દુશ્મનોની મહેફિલમાં પણ છે !
वाए क़िस्मत पाँव की ऐ ज़ोफ़ कुछ चलती नहीं
कारवाँ अपना अभी तक पहली ही मंज़िल में है
હાય આ પગોની કિસ્મત…અશક્તિ જરાય ચાલે તેમ નથી,હજુ તો આપણો કારવાં પહેલા પડાવ પર છે….ઘણો લાંબો રસ્તો બાકી છે….
रहरव-ए-राह-ए-मोहब्बत रह न जाना राह में
लज़्ज़त-ए-सहरा-नवर्दी दूरी-ए-मंज़िल में है
મહોબ્બતના માર્ગના યાત્રી ! તું ક્યાંક રસ્તે અટકી ન જતો – રણમાં રખડવાની મજા તો મંઝિલ દૂરસુદૂર હોય તો જ છે.
शौक़ से राह-ए-मोहब्बत की मुसीबत झेल ले
इक ख़ुशी का राज़ पिन्हाँ जादा-ए-मंज़िल में है
મહોબ્બતની રાહની મુસીબતો પ્રસન્નતાથી સહી લે….આનંદનું એક રહસ્ય મંઝિલ પર પહોંચવાના રસ્તામાં છૂપાયેલું છે.
आज फिर मक़्तल में क़ातिल कह रहा है बार बार
आएँ वो शौक़-ए-शहादत जिन के जिन के दिल में है
આજે વધસ્તંભ ઉપર જલ્લાદ વારે વારે કહી રહ્યો છે – જેના જેના હૈયે સરફરોશીનો ઉન્માદ હોય તે આવો !
मरने वालो आओ अब गर्दन कटाओ शौक़ से
ये ग़नीमत वक़्त है ख़ंजर कफ़-ए-क़ातिल में है
વધ થનારાઓ આવો….ઉત્સાહભેર ગરદન કપાવો – આ જ યોગ્ય સમય છે,કાતિલના હાથે ખંજર છે.
माने-ए-इज़हार तुम को है हया, हम को अदब
कुछ तुम्हारे दिल के अंदर कुछ हमारे दिल में है
લજ્જા તારા બયાનમાં બાધા છે અને મારા માટે બાધક છે મારી તમીઝ….કંઈક તારા દિલમાં છે કંઈક મારા દિલમાં.
मय-कदा सुनसान ख़ुम उल्टे पड़े हैं जाम चूर
सर-निगूँ बैठा है साक़ी जो तिरी महफ़िल में है
મયકદા સુમસામ છે,સુરાહી ઉલટી પડેલી છે અને પ્યાલા ચૂરેચૂરા છે…તારી મહેફિલમાં સાકી સર ઝૂકાવી નિરાશ બેઠો છે ( પીઠામાં તબાહીનો માહોલ છે )
खींच कर लाई है सब को कत्ल होने की उम्मींद,
आशिकों का जमघट आज कूंचे-ऐ-कातिल में है **
સરળ અર્થ છે.
वक्त आने दे बता देंगे तुझे ऐ आसमां,
हम अभी से क्या बतायें क्या हमारे दिल में है **
અર્થ સરળ છે
अब न अगले वलवले हैं और न वो अरमाँ की भीड़
सिर्फ़ मिट जाने की इक हसरत दिल-ए-‘बिस्मिल’ में है
હવે કોઈ બેસબરી નથી,નથી અરમાનોની ભીડ…હવે “બિસ્મિલ”ના હૈયે માત્ર મરી ફીટવાની તમન્ના છે….
– બિસ્મિલ અઝીમાબાદી
(ભાવાનુવાદ: તીર્થેશ મહેતા)
આ અમર ગઝલ લખાઈ હતી ૧૯૨૧ માં અને અખંડ ભારતની ધડકન બની ગઈ ૧૯૨૫ અને ૧૯૨૭ની આજુબાજુમાં. આ ગઝલના શાયરનું કોઈ પુસ્તક પ્રકાશિત હોવાનું જાણમાં નથી,તેઓની ડાયરીમાં અગિયાર શેરની આ ગઝલ સચવાયેલી હતી. સમય સાથે આ ગઝલમાં અમુક શેર અજ્ઞાત હસ્તોએ ઉમેરાયા છે,કોઈકે આ આખી ગઝલને અમુક ફેરફાર સાથે નઝમના સ્વરૂપમાં આલેખી છે ( જે પણ સુંદર છે ) અને ૫-૬ હિન્દી પિક્ચરમાં પણ આ ગઝલના અમુક ભાગ લેવાયા છે – એટલે ચોક્કસપણે મૂળ ૧૧ શેર ક્યા છે તે બાબતે કોઈ એકમત નથી. મેં અહીં કુલ ૧૨ શેર લીધા છે અને જે પંક્તિઓ જરાપણ બંધબેસતી નથી તેને અવગણી છે. ** નિશાન ધરાવતા શેરની અધિકૃતતા શંકાસ્પદ છે. એ સિવાયના શેર ચોક્કસપણે આ શાયર વડે રચાયા છે.
૧૯૨૫માં થયેલા “કાકોરી ટ્રેન રોબરી” નામના એક દિલધડક ક્રાંતિકારી હુમલા માટે જવાબદાર રામપ્રસાદ બિસ્મિલ અને તેઓના સાથીઓની ગિરફતારી બાદ તેઓએ કોર્ટમાં બચાવ દરમ્યાન કઠેડામાંથી આ ગઝલનો મત્લો બુલંદ સ્વરે લલકાર્યો હતો એવી પણ નોંધ છે અને ૧૯૨૭માં તેઓની ફાંસીની સજાના અમલ ટાણે અંતિમ ક્ષણોમાં ફાંસીના માંચડેથી પણ આ જ મત્લો લલકાર્યો હતો તેવી પણ નોંધ છે – અને આ ઘટના આ ગઝલને અખંડ ભારતના દિલની ધડકન બનાવી દે છે….મા ભારતીના સપૂતોના હૈયે અને હોઠે આ શેર સતત પ્રેરણાસ્ત્રોત બનતો રહે છે… વળી,ક્રાંતિકારી રામપ્રસાદ બિસ્મિલ અને શાયરની અટક એક જ હોવાથી હજુ આજેપણ અમુક લોકો આ ગઝલના શાયર રામપ્રસાદ બિસ્મિલને માને છે 😁😁
કવિતાની આ જ ખરી તાકાત છે – અમુક કવિતામાં ઇતિહાસના પાનાં પલટી નાંખવાની ક્ષમતા હોય છે. સામાન્ય રીતે કવિતા માનવીના જીવનના એક અંગત ખૂણાની સાથી/સાક્ષી હોય છે,પરંતુ આવી અમુક યુગપ્રવર્તક રચનાઓ રાષ્ટ્રીય/સામાજિક ચેતનાને ઝંઝોડી મૂકતી હોય છે. “વંદે માતરમ્” કક્ષાની આવી કવિતાઓ માત્ર કવિતા નથી રહેતી,એ લોહીમાં વણાઈ જાય છે.
અંગત રીતે મને કોઈપણ આઈડિયોલોજી/આદર્શ માટે સાચા અર્થમાં જાનની બાજી લગાવનાર સરફિરાઓ માટે કૂણી લાગણી રહી છે. અમુક સંજોગોમાં કદાચ તેઓની આઈડિયોલોજીનું હું સમર્થન ન પણ કરતો હોઉં,પણ તેઓની જાનફેસાનીની ઈમાનદાર તૈયારી માટે હ્રદય હંમેશા સલામ કરવા ઉભું થઈ જાય. હું જાણું છું કે નક્સલવાદીઓની આઈડિયોલોજી સાચી નથી-પણ તેઓ માટે ઘ્રુણા નથી થતી. એ લોકો પણ ભારતમાતાના જ સંતાનો છે અને એક તક આપવી જોઈએ એવો વિચાર આવે. પોતાના વિચાર માટે જાન કુરબાન કરવા સિંહનું જિગર જોઈએ. રામપ્રસાદ બિસ્મિલ અને તેમના વીર સાથીઓની મન:સ્થિતિ અંગે સદાય કૌતુક થાય કે તેઓ કેવા પ્રચંડ મનોબળના સ્વામી હશે જે લોકો જીવનની અંતિમ ક્ષણે આ મત્લો લલકારે….!!!!
આઝાદ ભારતે ૧૯૪૭ બાદ સતત પોતાના સશસ્ત્ર ક્રાંતિકારીઓને હડહડતો નીચતાપૂર્ણ અન્યાય કર્યો છે. રાજનૈતિક લાભ ખાટવાના મલિન ઈરાદે આઝાદીના આવા અપ્રતિમ વીરતા બતાવનારા સશસ્ત્ર ક્રાંતિકારીઓને કદી ઉચિત સન્માન નથી આપ્યું તેમજ બહુ જ જૂજના કુટુંબીજનોને કોઈ સરકારી સહાય મળી છે. નહેરુંએ પોતે પોતાની જાતને ભારતરત્ન ૧૯૫૬ આસપાસ સત્વરે આપી દીધો પરંતુ એકપણ સશસ્ત્ર ક્રાંતિકારીને ભારતરત્ન કોઈપણ સરકારે આપ્યો નથી-સુભાષચંદ્ર બોઝને પણ નહીં !!! મા ભારતીની સેવામાં કોનું યોગદાન મોટું – સુભાષબાબુનું કે રાજીવ ગાંધીનું ????? આઝાદ હિંદ ફોજના સૈનિકોને આઝાદ ભારતની ફોજમાં સમાવવામાં ન આવ્યા એટલું જ નહીં – અમુક સૈનિકો ઉપરના ક્રિમિનલ કેસ પણ પરત લેવામાં નહોતા આવ્યા !!! આઝાદ ભારતના બાળકોને એક જ પિપૂડી સંભળાવવામાં આવી કે – “ દે દી હમેં આઝાદી બિના ખડગ બિના ઢાલ,સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ “ !!! જાણે કે સશસ્ત્ર ક્રાંતિકારીઓનો કોઈ ફાળો કદીપણ કશે જ હતો જ નહીં !! એક ભગતસિંહના અમર ક્રુત્યએ એવી પ્રચંડ રાષ્ટ્રીય ચેતના જગાવી હતી કે જેની સરખામણીએ સમગ્ર કોંગ્રેસના તમામ કાર્યક્રમો પાણી ભરે છે !!! તો આવા તો કેટલા ભગતસિંહ મા ભારતીની કૂખ ઉજાળી ચૂક્યા છે !! અત્રે અહિંસક ચળવળનો કોઈ વિરોધ નથી પરંતુ ૧૯૪૭ બાદની સરકારોની અંગત લાભ ખાટવા આવા અકલ્પ્ય બલિદાનોને કુટિલતાપૂર્વક નજરઅંદાજ કરવાની દુષ્ટ પેરવીની ભર્ત્સના છે.
આ ગઝલ “વંદે માતરમ્”ની સાથે સાથે તે સમયનો એક યુદ્ધઘોષ બની ગઈ હતી….આજે પણ આ ગઝલનું પિક્ચર “રંગ દે બસંતી” માં કરવામાં આવેલું ભાવવાહી પઠન આપણા રૂંવાડાં ખડા કરી દે છે….
મારી નિશાળની નોટબુકો પર,
મારા ટેબલ અને વૃક્ષો પર,
પોચા બરફ પર
હું તારું નામ લખું છું
મેં વાંચેલા પૃષ્ઠો પર
બધા કોરા પાનાઓ પર
પથ્થર, લોહી, કાગળ કે રાખ પર
હું તારું નામ લખું છું
સોનેરી ચિત્રો પર
યોદ્ધાઓના હથિયારો પર
રાજાના મુકુટ પર
હું તારું નામ લખું છું
જંગલ અને રણ પર
પંખીના માળા અને ઝાંખરા પર
મારા બાળપણના પડઘા પર
હું તારું નામ લખું છું
મારા ભૂરા રૂમાલ પર
સૂર્યપ્રકાશિત ખાબોચિયા પર
ચાંદનીના જીવંત સરોવર પર
હું તારું નામ લખું છું
ખેતરો પર, ક્ષિતિજ પર
પક્ષીઓની પાંખો પર
અને પડછાયાઓની હારમાળા પર
હું તારું નામ લખું છું
૫રોઢની દરેક લહેરખી પર
દરિયા પર, હોડીઓ પર
ઉન્માદી પર્વતના શિખર પર
હું તારું નામ લખું છું
વાદળના ગાભા પર
વાવાઝોડાની વાછટ પર
મુસળધાર વરસાદ અને સપાટ જમીન પર
હું તારું નામ લખું છું
ઝબકતા આકારો પર
રંગબેરંગી ઘંટડીઓ પર
કુદરતી સત્ય પર
હું તારું નામ લખું છું
ઊંચી પગદંડીઓ પર
ઉભરાતા માર્ગો પર
ભીડથી ભરેલા ચોક પર
હું તારું નામ લખું છું
પ્રગટાવેલા દીવા પર
ઓલવાયેલા દીવા પર
મારા એકજૂટ વિચારો પર
હું તારું નામ લખું છું
બે ભાગમાં કપાયેલા ફળ પર
મારા અરીસા અને મારા ઓરડા પર
મારી ખાલી પથારી પર
હું તારું નામ લખું છું
મારા દીલદાર અને લોભી કુતરા પર
તેના સરવા કાન પર
તેના ભુલકણા પંજા પર
હું તારું નામ લખું છું
મારા દરવાજાના આગળા પર
તે જાણીતી વસ્તુઓ પર
આગની જ્વાળાઓ પર
હું તારું નામ લખું છું
દેહના તાલ-મેલ પર
મારા મિત્રોના ચહેરા પર
દરેક લંબાયેલા હાથ પર
હું તારું નામ લખું છું
આશ્ચર્યની બારી પર
રાહ જોતા હોઠ પર
મૌનથી પણ ઊંડી અવસ્થા પર
હું તારું નામ લખું છું
મારી જીર્ણ છુપવાની જગ્યાઓ પર
મારી ડૂબેલી દીવાદાંડી પર
મારી દીવાલો અને મારી ઉદાસી પર
હું તારું નામ લખું છું
ઈચ્છા વગરના અમૂર્ત ભાવ પર
નગ્ન એકાંત પર
મૃત્યુના પગલાં પર
હું તારું નામ લખું છું
અને એક શબ્દ ખાતર
હું મારું જીવન ફરી શરૂ કરું છું
કારણ કે હું તને જાણવા જ જન્મ્યો હતો
તારું નામ લેવા માટે :
આઝાદી.
– પોલ એલ્યુર્ડ
(અનુવાદઃ ધવલ શાહ)
(Paul Éluard, 1895–1952)
Liberté કવિતા એક સરળ અને લયબદ્ધ માળખા પર રચાયેલી છે જેથી તેને યાદ રાખવી અત્યંત સરળ બને છે—જે યુદ્ધ દરમિયાન કવિતાનાં મૌખિક પ્રસારણ માટે એક નિર્ણાયક પાસું હતું. પ્રાર્થના અને ગીત જેવી શૈલીવાળી (Litany) આ કવિતામાં ૨૧ કડીઓ (quatrains) હોય છે. દરેક કડીની પ્રથમ ત્રણ પંક્તિઓ કોઈ સ્થાન (મૂર્ત અથવા અમૂર્ત)નું વર્ણન કરે છે, અને ચોથી પંક્તિ એ ટેક છે “J’écris ton nom” (હું તારું નામ લખું છું). કવિતા નિર્દોષ બાળપણની છબીઓ (“મારી સ્કૂલની નોટબુક્સ”, “મારું ડેસ્ક”)થી લઈને કુદરત (“વરસાદ”, “વાદળો”), અને પછી પુખ્ત વય અને યુદ્ધની ઘેરી છબીઓ (“યોદ્ધાના શસ્ત્રો”, “નાશ પામેલા ઘરો”) તરફ આગળ વધે છે, અને અંતે “લિબર્ટી” (સ્વતંત્રતા) નામના વિસ્ફોટક ઘટસ્ફોટ સાથે સમાપ્ત થાય છે. સાવ સરળ લાગતી આ કવિતામાં દર ત્રણ પંક્તિ પછી પુનરાવર્તિત થતી રહેતી પંક્તિનો સ્વર અંત તરફ જતા વધુ ને વધુ ઘેરો બની અંતિમ પંક્તિમાં સ્વતંત્રતાની ઈચ્છાને ચરમસીમાએ લઈ જાય છે, કવિતાને સર્વોચ્ચ કક્ષાએ લઈ જાય છે.
Liberté એ પોલ એલ્યુર્ડની બીજા વિશ્વયુદ્ધ સમયની French Resistance (પ્રતિકાર) ની સૌથી પ્રખ્યાત કવિતા છે. આઝાદીની આ એક એવી ઉત્કૃષ્ટ કૃતિ છે કે જેમાં પ્રેમની કવિતાની અંગત ભાષા અત્યાચાર વિરુદ્ધ વિશ્વવ્યાપક યુદ્ધના નાદમાં પરિવર્તિત થાય છે. આ કવિતાએ બૌદ્ધિક વર્ગ અને સામાન્ય લોકો વચ્ચેનું અંતર ઘટાડ્યું હતું કારણ કે તેની છબી દરેક જણ માટે સુલભ હતી. ૧૯૪૨માં ફ્રાંસના જર્મન કબ્જાના સૌથી અંધકારમય દિવસો દરમિયાન આ કવિતા લખવામાં આવી હતી. તે સૌપ્રથમ Poésie et Vérité 1942 (કવિતા અને સત્ય ૧૯૪૨) નામના ગુપ્ત પુસ્તકમાં પ્રકાશિત થઈ હતી. સેન્સરશીપ ટાળવા માટે, એ પુસ્તકનું વિતરણ ઘણીવાર ખોટા કવર અથવા ખોટી તારીખો સાથે કરવામાં આવતું હતું. આ કવિતાને કબજા હેઠળના ફ્રાન્સમાંથી લંડન (જનરલ દ ગૌલના ફ્રી ફ્રેન્ચ દળોનું મુખ્ય મથક) અને અલ્જિયર્સમાં છૂપી રીતે મોકલવામાં આવી હતી. આ કવિતા સાથે જોડાયેલી સૌથી મહત્વપૂર્ણ ઐતિહાસિક ઘટના એ હતી કે ૧૯૪૩માં બ્રિટિશ રોયલ એર ફોર્સ (RAF) એ હજારો પત્રિકાઓ પર આ કવિતા છાપીને વિમાનો દ્વારા કબજા હેઠળના ફ્રાન્સ પર આ પત્રિકાઓ ફેંકી હતી. હવે આ દ્રશ્યની કલ્પના કરો- નાઝી શાસન હેઠળ જીવતા ફ્રેન્ચ નાગરિકો સવારે જાગે છે અને જુએ છે કે આકાશમાંથી હજારો કાગળના ટુકડાઓ વરસી રહ્યા છે, જેમાં કોઈ લશ્કરી આદેશો નથી, પરંતુ સ્વતંત્રતાના પુનરાગમનનું વચન આપતી એક કવિતા છે. જે કવિતા વાંચીને આજે પણ આપણા રૂંવાડા ઊભા થઈ જાય છે તે કવિતાએ ત્યારે નાગરિકોનાં ગુલામ બની ગયેલા માનસને સ્વતંત્રતાની ઈચ્છા જગાડવા માટે કેટલી હદે ઝંઝોળ્યું હશે!
પોલ એલ્યુર્ડ અતિવાસ્તવવાદી (Surrealist) ચળવળના સ્થાપકોમાંના એક હતા. યુદ્ધ પહેલાં, તેઓ સપના, અર્ધજાગ્રત મન અને તીવ્ર રોમેન્ટિક પ્રેમના અન્વેષણ માટે જાણીતા હતા. જો કે, જ્યારે બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું અને ફ્રાન્સ નાઝી જર્મનીના હાથમાં ગયું, ત્યારે એલ્યુર્ડ ત્યાંથી ભાગ્યા નહીં. તેઓ પેરિસમાં રહ્યા અને તેમની કવિતાનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો. તેઓ ફરીથી કોમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાયા (જે તેમણે અગાઉ છોડી દીધી હતી) અને ગેસ્ટાપો (નાઝી પોલીસ) ની નજર હેઠળ ગુપ્ત સાહિત્ય પ્રકાશિત કરવામાં મદદ કરીને બૌદ્ધિક પ્રતિકારમાં કેન્દ્રિય વ્યક્તિ બન્યા.
જેમ ‘વંદે માતરમ‘ને ભારતનું બિનસત્તાવાર રાષ્ટ્રગીત ગણવામાં આવે છે, તેમ “લિબર્ટી”ને ઘણીવાર રેઝિસ્ટન્સનું બિનસત્તાવાર રાષ્ટ્રગીત માનવામાં આવે છે.
આ વર્ષ ભારતના રાષ્ટ્રગાન ‘વંદેમાતરમ્’નું સાર્ધ શતાબ્દી વર્ષ છે. ૭ નવેમ્બર ૧૮૭૫ના દિવસે રચાયેલ ‘વંદે માતરમ્’ ગીતને ૧૫૦ વર્ષ પૂરાં થયાં એની ઉજવણી માટે કેન્દ્ર સરકારે આખું વર્ષ દેશભરમાં વિવિધ અને વિશેષ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. સંસદમાં હાલ આ ગીતના નામે જે ફારસ ચાલી રહ્યું છે એ અશોભનીય પણ છે અને અપ્રસ્તુત પણ. જો કે આ ઉજવણી અને વિવાદના કારણે ગીત ફરી ચર્ચાના ચોતરે ચડ્યું એય એક હકીકત છે.
કહેવાય છે કે જ્યારે બંકિમચંદ્રની નાનકડી દીકરીએ ‘માતૃભૂમિ કેવી છે?’ એવો પ્રશ્ન એમને પૂછ્યો ત્યારે તેના પ્રત્યુત્તરમાં પિતાએ આ કાવ્યની રચના કરી હતી. ગીતના પ્રથમ બે છંદ સરળ, બોધગમ્ય અને માતૃભૂમિની સૌમ્ય સ્તુતિ માટે સમર્પિત છે, પરંતુ ત્યારબાદના છંદ દેવી દુર્ગાની દિવ્ય શક્તિને રાષ્ટ્રરક્ષાના પ્રતીક તરીકે પ્રસ્તુત કરે છે. ભારતમાતાની રૂપકાત્મક છબીને આકાર અપાયો છે. માતૃભૂમિને એમાં શાંતિ, શાન અને સમૃદ્ધિના પ્રતિનિધિ તરીકે બતાવવામાં આવી છે. ગીતના શબ્દો માત્ર ભૌગોલિક ખૂણાઓ અને નદી-સરોવર માટે જ નહીં, પરંતુ ભારતની સંસ્કૃતિ અને આત્માને પણ અંજલિ આપે છે. આ ગીતે મંત્ર બનીને ગુલામીની અંધારી રાતોમાં ભારતીયોના હૃદયમાં ક્રાંતિની જ્વાળા પ્રગટાવી હતી. અને બ્રિટિશ સામ્રાજ્યને ભયભીત કર્યું હતું.
ભારતીય સ્વતંત્રતાની ચળવળનો આત્મા બની ગયેલી ક્રાંતિકારી રચના ‘વંદે માતરમ’નો ઇતિહાસ ખૂબ જ વિવાદાસ્પદ રહ્યો છે. ૧૮૭૫માં એ સૌપ્રથમ બંગદર્શન પત્રિકામાં પ્રકાશિત થયું. ‘વંદે માતરમ્’ના માધ્યમથી કવિએ સંદેશ આપ્યો કે માતૃભૂમિ જ સર્વોચ્ચ દેવી છે જે ભારતીય રાષ્ટ્રવાદનો વૈચારિક પાયો બન્યો. ૧૮૭૫માં વંદે માતરમ ગીતનાં પ્રથમ બે છંદ મૂળ સંસ્કૃત ભાષામાં લખાયા હતા. ૧૮૮૨માં જ્યારે બંકિમચંદ્રએ સત્યઘટના પર આધારિત પોતાની પ્રસિદ્ધ બંગાળી નવલકથા ‘આનંદમઠ’માં એને સંમિલિત કર્યું ત્યારે બીજા ચાર છંદ બંગાળી ભાષામાં ઉમેર્યા. આમ, એક જ ગીતમાં સંસ્કૃત અને બંગાળી –બેય ભાષાનું સંમિશ્રણ થયું. ‘આનંદમઠ’માં આ ગીતનો ઉપયોગ સંઘર્ષગાન અને માતૃવંદના રૂપે થયો અને ત્યારે લોકોનું ધ્યાન એના તરફ ખેંચાયું. વંદે માતરમ્ રચાયું તે પહેલાં ભારતમાતાનું કોઈ ચિત્ર જ નહોતું. વંદે માતરમ્ ગીતમાં ભારતમાતાનું એવું સુંદર શબ્દચિત્ર આલેખાયેલું હતું કે અનેક ચિત્રકારોને આ ગીત પરથી ભારતમાતાનું ચિત્ર બનાવવાની પ્રેરણા મળી.
૧૮૯૬માં કલકત્તા કોંગ્રેસ અધિવેશનમાં આ ગીત સાર્વજનિક રૂપે સૌપ્રથમવાર રવીન્દ્રનાથ ટાગોરે ગાયું. ૧૯૦૫ના બંગાળ વિભાજનનાં ‘બંગભંગ’ આંદોલન દરમિયાન એ આઝાદીનો નારો બની ગયું. લોકો રસ્તાઓ પર ઉતરી આવીને “વંદે માતરમ્”ના જયઘોષથી બ્રિટિશ શાસનને પડકારવા લાગ્યા હતા. ૧૯૦૬માં અંગ્રેજોએ ગીત પર પ્રતિબંધ મૂક્યો, પણ ત્યાં સુધીમાં ગીત દરેક આંદોલનનો આત્મા, દરેક ભારતવાસીનો અવાજ અને ક્રાંતિકારીઓનો પ્રેરણાસ્ત્રોત બની ચૂક્યુ હતુ. પ્રતિબંધે ગીતને વધુ લોકપ્રિય બનાવ્યું. ૭ ઑગસ્ટ ૧૯૦૬ના રોજ સુરેન્દ્રનાથ બૅનરજીએ કોલકાતા ખાતે જે ભારતીય રાષ્ટ્રીય ધ્વજ ફરકાવેલો, તેમાં વચ્ચેના પીળા રંગના પટ્ટા પર ‘વંદે માતરમ’ શબ્દો દેવનાગરી લિપિમાં અંકિત થયેલા હતા. સુભાષચંદ્ર બોઝને એ કૂચ ગીત તરીકે એટલું પ્રિય થઈ ગયેલું કે આઝાદ હિંદ ફોજના રેડિયો પરથી એ દૈનિક પ્રસારિત થતું. વંદે માતરમ્ એ માત્ર ગીત જ નહી, દેશભક્તો માટે અભિવાદન અને અભિપ્રેરણાનું સૂત્ર પણ બની ગયું હતું. સ્વાતંત્ર્ય સેનાનીઓ, જેમ કે સરદાર વલ્લભભાઈ, એકબીજાને પત્રો લખતા કે મળતા ત્યારે અચૂક ‘વંદે માતરમ’થી શરૂ કરી ‘વંદે માતરમ’થી જ પૂર્ણ કરતા. ૧૯૪૦ પછી આ અભિવાદનનું સ્થાન ‘જય હિંદ’ એ લઈ લીધેલું. આઝાદીની લડતમાં લોકજાગૃતિ લાવવા અને ભારતવાસીઓનાં મનમાં આત્મગૌરવ તથા સ્વરાજ્યની મહત્તાની પ્રેરણા પૂરી પાડવાના હેતુથી લખાયેલું ભારતભક્તિના સ્રોત સમું આ ગીત એક અમોઘ શસ્ત્ર સાબિત થયેલું.
૧૯૨૦માં જ્યારે આ ગીતનો ઘણી ભાષાઓમાં અનુવાદ થયો ત્યાર સુધીમાં એ રાષ્ટ્ર્ગાનની લાયકાત મેળવી ચૂક્યું હતું. પરંતુ હિન્દુ-મુસ્લિમ સંબંધો અંગે ચકમક ઝરતા એ વિરોધનું નિશાન પણ બન્યું. મુસ્લિમ લીગે ગીતમાં મૂર્તિ પૂજાને પ્રોત્સાહન અપાયું હોવાનું કહીને એને બિન-ઈસ્લામિક ગણાવ્યું. વળી, જે બંકિમચંદ્રનાં ‘આનંદમઠ’ ઉપન્યાસથી એ પ્રસિદ્ધ થયું, એમાં મુસલમાનોને દેશનાં દુશ્મન બતાવવામાં આવ્યા હતા. ૧૯૩૭માં કોંગ્રેસ કમિટી (રવીન્દ્રનાથ ટાગોર, સુભાષચંદ્ર બોઝ, અબ્દુલ કલામ આઝાદ, જવાહરલાલ નહેરુ) દ્રારા વંદે માતરમનાં છેલ્લા ચાર છંદને હટાવી લેવાયા. વંદે માતરમની રાજનૈતિક વિવાદની આગમાં અંગ્રેજોએ હિંદુ-મુસ્લિમ વિભાજનનો રોટલો બરાબર શેક્યો.
૧૫મી ઑગસ્ટ ૧૯૪૭થી આકાશવાણીના કાર્યક્રમોનો શુભારંભ ‘વંદે માતરમ્’ના ગાનથી શરૂ થયેલો, જે પરંપરા હજી પણ આકાશવાણી અને બાદમાં દૂરદર્શન દ્વારા જાળવવામાં આવી છે. ૧૯૫૦માં બંધારણ સભાએ સર્વાનુમતે વંદે માતરમને ભારતનું રાષ્ટ્રીય ગાન જાહેર કર્યું તેમજ એને રાષ્ટ્રગીત જનગણમન સમકક્ષ સન્માન આપવાનું નક્કી થયું. ૧૯૭૬માં શતાબ્દી વર્ષ નિમિત્તે ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી. સતત વિરોધ અને વિવાદો વચ્ચે આજેય ‘વંદે માતરમ્’ ગીત દરેક ભારતીયના હૃદયમાં ગુંજે છે, ધબકે છે અને સતત યાદ અપાવે છે કે ભારતની શક્તિ તેની એકતા અને સંસ્કૃતિમાં રહેલી છે.
કેવું ટબુકડું કાવ્ય! ગણીને ચૌદ જ શબ્દનું બનેલ એક વાક્ય, બસ! પહેલી નજરે, બીજી નજરે ને કદાચ ત્રીજી નજરે પણ માથું જ ખંજવાળતા રહી જવાય એવી કવિતા. સફેદ મરઘીઓની બાજુમાં વરસાદના કારણે ચમકી રહેલ લાલ રંગના એકચક્રી ઠેલા પર ઘણું બધું આધાર રાખે છે – શું છે આ ઘણું બધું? ક્યાં આપણી સુષ્ઠુ સુષ્ઠુ સંવેદનાઓને પંપાળ્યા કરતાં ગુજરાતી અછાંદસ અને ક્યાં આ શરૂ થતાં પહેલાં જ પૂરો થઈ જતો વીજચમકારો? મરઘીઓના સફેદ રંગ અને વરસાદના કારણે ચમકતા ઠેલાના લાલ રંગમાં કાવ્યપ્રકાશ ક્યાં છે એ સમજવું અઘરું છે, પણ આ કવિતાનો પથપ્રવર્તક કવિતાઓની યાદીમાં સમાસ કેમ કર્યો છે એ પહેલાં સમજીએ.
વિલિયમ કાર્લોસ વિલિયમ્સ કોલેજમાં તેઓ આધુનિક કવિતા અને ઇમેજિઝમના પ્રણેતા એઝરા પાઉન્ડના સહપાઠી હતા પણ પછી તબીબ બની ન્યૂ જર્સી, અમેરિકામાં સ્થાયી થયા. ઢગલાબંધ હોમવિઝિટ અને સંખ્યાબંધ પ્રસૂતિઓની વચ્ચે પ્રિસ્ક્રીપ્શન પેડ પર લખાતી રહેતી નાનકી કવિતાઓ એમની આગવી ઓળખ બની. એઝરા પાઉન્ડે ઇમેજિસ્ટ પોએમ (દૃશ્યકાવ્ય)ને જન્મ આપ્યો પણ કવિતાને આધુનિક અને સાચા અર્થમાં અમેરિકન બનાવવાનું શ્રેય વિલિયમને ફાળે જાય છે. ટી. એસ. એલિયટ જ્યારે અમેરિકી કવિતાને અઘરી અને સમયચક્રમાં પાછળ તરફ લઈ જઈ રહ્યા હતા, ત્યારે એમના પ્રખર વિરોધી વિલિયમે કવિતામાં સમસામયિક અમેરિકી રીતભાત-બોલી અને રોજિંદા વિષયવસ્તુઓને કવિતાના તાણાવાણા બનાવી આધુનિક્તાના સ્વાંગે સજાવી બતાવી. આજથી સો વર્ષ પૂર્વે ૧૯૨૩માં પ્રગટ થયેલ આ કવિતાએ આખા વિશ્વના કવિઓ અને કાવ્યરસિકોને દિગ્મૂઢ કરી દીધા હતા. વીસમી સદીની અમેરિકી કવિતાની કાયાપલટ કરવામાં એનો સિંહફાળો છે. કેવળ અમેરિકા જ નહીં, વીસમી સદીનાં આધુનિક કવિતા, મુક્તપદ્ય તેમજ શાળાઓમાં કાવ્યશિક્ષણપદ્ધતિનો નવોન્મેષ કરવામાં આ રચના અગ્રેસર ગણાય છે. આ સીમાચિહ્નરૂપ કવિતાની અસર હજી આજેય કવિઓ અને કવિતાઓ પર વર્તાય છે.
એક વાક્યના ચાર ભાગ. દરેક ભાગમાં બે પંક્તિ. ચારેય ભાગમાં પહેલી પંક્તિ લાંબી પણ બીજી પંક્તિમાં એક જ શબ્દ –એકચક્રી ઠેલાનું શબ્દચિત્ર જ જાણે! વિદ્વાનોએ આ કવિતાને ‘મિનિમાલિસ્ટિક માસ્ટરપીસ’ કહી છે. બીજી પંક્તિમાં એક શબ્દ જાળવવા માટે કવિએ Wheelbarrow તેમજ Rainwater શબ્દના ટુકડા કરી દઈ કવિતાની ગતિમાં આરોહ-અવરોહ પણ જન્માવ્યા છે. આ કવિતાની શક્તિ શબ્દ-ભાષા કે રૂપકોની જટિલતામાં નહીં, પણ આપણું સમગ્ર ધ્યાન સમયસાગરની કોઈ એક જ પળ ઉપર કેન્દ્રિત થાય છે એમાં છે- વરસાદ પછીના ખેતર કે વાડાનું એક શાંત દૃશ્ય! એકચક્રી ઠેલો પ્રતિક બની જાય છે, રોજિંદા જીવનનિર્વાહ માટે અનિવાર્ય ક્ષુલ્લક કે સામાન્ય ચીજોનું, જે નજર સામે જ હોવા છતાં કદી આપણાં ધ્યાનમાં આવતી નથી. હકીકતે આપણું જીવન આવી નાની નાની રોજમરોજની ચીજો પર જ ટકેલું છે. એટલે જ કવિએ ‘ઘણું બધું નિર્ભર છે’ કહ્યું છે.
આ કવિતા આપણને કવિતા વાંચતા-સમજતા પણ શીખવાડે છે. એ કહે છે કે જોતાં શીખો, અર્થઘટન કે વિવેચના નહીં. કારણ કે કાવ્યસત્યાર્થ ઘણીવાર શબ્દો કે રૂપકમાંથી નહીં, પણ છબીની સટિકતા અને શુદ્ધતામાંથી સ્ફુટ થતો હોય છે.