માનવસંબંધની સંકુલતાનું ગાન. કવિ એમ નથી કહેતા કે વાતે વાતે તને વાંકુ પડે છે, એ તો વાતે વાતે પોતાના વર્તાવથી સામી વ્યક્તિને શું લાગશે એની ચિંતામાં ગરકાવ છે. માનવસંબંધની આ સૌથી કરુણ બાજુ છે. પોતાની ઇચ્છાને અવગણીને સામાને અનુકૂળ થવાની રઢમાં ઘણીવાર બાવાનાં બેય બગડતાં હોય છે. ‘વાતે વાતે’ – આ દ્વિરુક્તિ પણ ગીતને કેવી ઉપકારક નીવડી છે! આ કોઈ એક વખતની સમસ્યા નથી,આ સમસ્યા તો ડગલેને પગલે કથકને કનડી રહી છે. નાયક પ્રિયાને દરિયો અને સ્વયંને પરપોટો કહે છે એના પરથી એને પ્રિયા માટે કેટલો પ્રેમ છે એનો અણસાર મળે છે. દરિયો – અસીમ, અતાગ, શાશ્વત! પરપોટો- નાનકડો, અસ્થિર, અલ્પજીવી! સુખી થવાની ખરી કળ તો એ કે જે જેવા હોય એવા થઈને રહે. પાણી હોય તો એણે પાણી જ રહેવાનું હોય, ખળખળવું એ જ એનો ખરો ગુણધર્મ. માછલી કાંઠે આવે તો જાનથી જાય, પણ એથી કંઈ એ પાણીનું બખ્તર પહેરીને કાંઠે ન આવે. નાયકને એકલતાનું ઊંડાણ પસંદ છે, પણ સામી વ્યક્તિને તો પડછાયો થઈ ચોવીસે કલાક સાથે પણ રહેવું છે અને નાયકને પોતાના રંગે રંગી પોતાના જેવોય બનાવવો છે. પણ એમ કંઈ ટીપાંને તાણીને દરિયો કરાય? ગીતસ્વરૂપે નાયક જે આપણને કહી રહ્યો છે, એ નાયિકાને કહી શકે છે ખરો? સાચો સંબંધ જ એ જે સામી વ્યક્તિને યથાતથ સ્વીકારી શકે…
કદમ ઉપાડ્યાં જુદી દિશામાં, જવાનું છે એ સડક અલગ છે,
કરી પ્રતીક્ષા જુદી જ પળની, જે હાથ લાગી છે ક્ષણ અલગ છે.
પ્રથમ કે બીજી કે ત્રીજી નજરે એ આંખો અમને ઠરેલ લાગી,
રહી રહીને સમજમાં આવ્યું કે એની આખી તરસ અલગ છે.
ભળી ગયાં છે જો દૂધ-સાકર પછી તો ક્યાંથી અલગ થવાનાં?
તમે એ રીતે કર્યું છે મિશ્રણ, નહીં તો જીવન—મરણ અલગ છે.
અમે તો પહેલાં કહ્યું હતું કે આ વાત માન્યામાં નહીં જ આવે,
ખભેખભો મેળવીને ચાલે, અહીંનાં મૃગજળ-હરણ અલગ છે.
‘જિગર’ એ સંબંધ હો કે દરિયો, અનુભવો તો છે એક સરખા,
શરૂ શરૂના પ્રવાહ જુદા, પછી પછીનાં વમળ અલગ છે.
– જિગર જોષી
આજે જ એક ગઝલ;સંગ્રહની રઈશ મનીઆરે લખેલી પ્રસ્તાવનામાં આ વાંચ્યું: ‘કહેવાયછે કે ગઝલ કાફિયાનુસારી પ્રકાર છે, પણ મારો મત છે કે કાફિયા કરતાંવધુ રદીફ ગઝલનુંભાવવિશ્વ નક્કીકરવામાં મોટો ભાગ ભજવે છે. સુંદર રફીફની પસંદગી સારી ગઝલ લખાવાની શક્યતા વધારી દે છે.’ સત્યવચન! લયસ્તરો પર થોડા દિવસો પૂર્વે જ આપણે રદીફે ગઝલમાં રીતસરના પ્રાણ ફૂંકવાનું કામ (https://layastaro.com/?p=24476)કર્યું હોવાની વાત કરી હતી. આ ગઝલ વિશે પણ એવું કહી શકાય. એક તો મજાના લગા લગાગાના આવર્તનવાળો દ્વિખંડી છંદ અને ગઝલના મિજાજને ઉપસાવી આપવામાં પ્રમુખ ભાગ ભજવતી ‘અલગ છે’ રદીફ –સાચે જ ગઝલ અલગ તરી આવે છે!અહીં કાફિયા તો મુક્ત અને અકારાંત છે, પણ નાની તોય મજાની રદીફની મદદથી આ ગઝલ સરસમાંથી ઉત્તમની યાત્રા સફળતાપૂર્વક ખેડી શકી છે એનો આનંદ છે.
ગઝલના પાંચેય શેર ઉમદા થયા છે. ખરેખર જે તરફ આગળ વધવું જોઈએ, એનાથી વિપરીત દિશામાં જ ગતિ કરનાર આ દુનિયામાં ઓછા નથી. ઘણા માણસ ઉપરથી ઠરેલ લાગે… પહેલી નજરે જ નહીં,વારંવારના અવલોકન પછી પણ! પાછળથી રહી રહીને આપણને સમજાય કે હકીકતમાં આપણે જ એને વાંચવામાં ખોટા સાબિત થયાં છીએ- એ ભાઈની તો લાલસા જ અલગ હતી! જીવન-મરણવાળો શેર એની ગૂંથણીના કારણે વધુ પ્રભાવક થયો છે. મૃગજળ એટલે હોઈએ એથી ઘણે દૂર પાણી હોવાનો થતો આભાસ. હરણ કહો તો હરણ અને મનુષ્ય કહો તો મનુષ્ય- જેમ જેમ એની નજીક જવાની કોશિશ કરીએ, એમ એમ મૃગજળ દૂરને દૂર થતું જાય. બે સાથે ન થઈ શકે. કવિ કહે છે કે અમે તો પહેલાં જ કહ્યું હતું કે અમારી વાત તમારા માન્યામાં આવશે નહીં. આ દુનિયામાં મૃગજળ અને મૃગ ખભેખભા મેળવીને ચાલે છે. છેલ્લો શેર પણ નખશિખ આસ્વાદ્ય થયો છે.
શાળામાં ભણતો હતો ત્યારે આ ગીત ક્યાંક વાંચવામાં આવ્યું હતું. વાંચવામાં તો શું આવ્યું હોય, કારણ વાંચી શકાય એવું તો આ ગીત છે જ નહીં. ફરજિયાત ગણગણવું જ પડે એવું લયાત્મક છે આ ગીત. પણ એ દિવસથી ગીત તો અડધું પડધું યાદ રહી ગયું, કવિનું નામ વિસ્મૃતિની ગર્તામાં ધકેલાઈ ગયું. કંઈ કેટકેટલા વરસોથી આ ગીત લયસ્તરો પર મૂકવાની નેમ હતી, પણ કવિનું નામ જડે ત્યારે ને! શક્ય બને એટલા પ્રયાસો કરી હાથ હેઠા મૂકી દીધા હોવાની કોઈક પળે અચાનક બૃહદ છંદોલયમાંથી આ રચના ‘હાઉક’ કરતીક સામે આવી ચડી… આ આનંદને આપ સહુ સાથે સહિયારું નહીં એ તો કેમ બને? લ્યો તારે, વાંચો, સોરી, ગણગણો, સોરી, ગાવ આ ગીત…
ચાર અક્ષરના એક જ શબ્દમાં નાયિકાના રૂપનું સાંગોપાંગ વર્ણન કરી કવિએ ગીતને ઉપાડ આપ્યો છે… પદમણી કહી દો પછી બીજું શું કહેવાનું બાકી રહે? કામશાસ્ત્રમાં સ્ત્રીઓના ચાર પ્રકાર વર્ણવ્યા છે. એમાં સૌથી શ્રેષ્ઠ અને ગુણવતી તે પદમણી-પદ્મિની. આગળનું ગીત જાતે જ માણીએ?
રોજ પ્રભાતે લૂંટ્યું અંબર,
રાતે પાછું ગૂંથ્યું અંબર.
ખેદ નથી કે પાંખ કપાણી,
પીડા છે કે છૂટ્યું અંબર.
એ જોવા વરસી છે વર્ષા,
ક્યાંથી ક્યાંથી ફૂટ્યું અંબર?
કોણે કીધું અભિમાની છે?
જો ક્ષિતિજ પર ઝૂક્યું અંબર.
નાની અમથી વિપદા ટાણે,
લોકો કહેશે, તૂટ્યું અંબર.
ક્યાંય નથી દેખાતું વાદળ,
કોણે આજે લૂછ્યું અંબર?
– વિપુલ માંગરોલિયા ‘વેદાંત’
એક જમાનો હતો જ્યારે કોઈ એક ઘટકત્ત્વને રદીફ બનાવી ગઝલ લખવાનો ચાલ હતો. પીંછું, દરિયો, અંધારું, ઘર જેવી રદીફ નક્કી કરી કવિ સ્વયંને એક ભાવવિશ્વમાં બાંધી દેતો અને પછી એ ભાવવિશ્વની નાનાવિધ રંગછટાઓ નાણવા મથતો. આજે એ ફેશન સહેજ મોળી પડી છે, પણ એ પ્રકારની ગઝલો તો લખાતી જ રહે છે. પ્રસ્તુત ગઝલમાં કવિએ ‘અંબર’ –આકાશને કેન્દ્રમાં રાખી ગઝલનું વર્તુળ રચ્યું છે. મત્લા સહેજ વિચારણા માંગી લે છે પણ એ સિવાય નાની બહેરમાંય બધા શેર સંતર્પક થયા છે.
સાંભળ ને, એક વાત! મને એમ થાય છે-
તારા વિના શું થાત, મને એમ થાય છે.
તારા મિલનની ચાહમાં કેમેય વીતી નહીં,
લાંબી હતી શું રાત? મને એમ થાય છે!
આપ્યું હૃદય તને તો કફોડી દશા થઈ,
લૂંટાઈ ગઈ મિરાત? મને એમ થાય છે.
સઘળું ગુમાવ્યું તોય ખુમારી છે પ્રેમની,
આ જીત છે કે મ્હાત? મને એમ થાય છે.
તારાપણાની સાહ્યબી મશહૂર રાખતી,
મારી તે શું વિસાત, મને એમ થાય છે.
એક બીજમાંથી વૃક્ષ બનાવી કૃપા કરી,
તારા વિના ઉગાત? મને મને એમ થાય છે.
તારા વિના શું સૂર કે શું તાલ કે શું રાગ!!
તારા વિના શું ગાત, મને એમ થાય છે.
– કિરણ જોગીદાસ ‘રોશન’
ગુજરાતી ગઝલ લખાવી શરૂ થઈ એને લગભગ દોઢસો વર્ષ થયાં. આજ પર્યત એટલી બધી ગઝલો લખાઈ છે કે કદાચ હવે એવું કંઈ બચ્યું જ નથી જે આગળની ગઝલોમાં કહેવાઈ ગયું ન હોય પણ તોય ગઝલો લખાવાનું બંધ કે ઓછું થતું નથી. ઊલટું દિનબદિન ગઝલોનો ફાલ વધુ ને વધુ માત્રામાં ઉતરી રહ્યો છે. કેમ? તો કે અભિવ્યક્તિનું નાવીન્ય… એકનો એક સૂર્યાસ્ત આખી જિંદગી જોઈને જે રીતે આપણે ધરાતાં નથી, એ જ રીતે ગઝલો આજેય આપણને નિરાશ કરતી નથી. આ ગઝલ જુઓ… સરળ ભાષામાં વાંચતાવેંત સમજાઈ જાય એવા સહજસાધ્ય શેર… અને તોય ગઝલ એકદમ ઓવન-ફ્રેશ લાગે છે. રદીફ ગઝલોનું અગત્યનું અંગ છે. પ્રસ્તુત ગઝલમાં તો રદીફે રીતસરના પ્રાણ ફૂંકવાનું કામ કર્યું છે… પહેલા પાંચ શેર તગઝ્ઝુલના છે અને આખરી બે તસવ્વુફના… પણ ગઝલ તો આખેઆખી નિરવદ્યપણે મજાની થઈ છે.
જ્યારે પણ હું
ટેબલ પાસે ખુરશી
ખેંચી લાવીને બેસું છું
તે પણ
અચૂક પાસે આવી
બેસી જાય છે.
હું કવિતા લખવી શરૂ કરું
કે તરત જ
તે પણ તેની રમત
શરૂ કરી દે છે.
હું. લખવા મથું
આકાશ વિશે તો
તે લખાવે છે
લીલાંછમ ખેતરો વિશે!
હું આંખો તાણીને
નજર માડું
ક્ષિતિજની પેલી પાર
ત્યારે તે
સામે અરીસો ધરી દે છે!
અજાણી ટ્રેઇનના મુસાફર જેવો
હું
પરેશાન હોઉં ત્યારેય
તે ખુશ થતી હોય છે.
હું કવિતા લખવા બેસું
ત્યારે
કવિતા મને લખતી હોય છે.
– ભરત ત્રિવેદી
હાથમાં કલમ લઈ કાગળ પર કવિતા લખવા બેસનાર કવિને ખબર હોતી નથી કે આગલો શબ્દ કયો હશે, અને આખરી શબ્દ કયો હશે. કવિને મન એમ કે એ કાગળ પર કવિતા લખી રહ્યો છે, પણ વાસ્તવમાં તો ત્યારે કવિતા જ કવિને હળવા હાથે ટાંચતી, ઘડતી હોય છે, પરિણામે કવિતા લખાયા બાદનો કવિ કવિતા લખ્યા પૂર્વેના કવિ કરતાં અલગ જ હોવાનો. કવિતાનો વિશદ આસ્વાદ માણવા ઇચ્છતા મિત્રો અહીં ક્લિક કરે…
ગુજરાતી ગઝલ આજે જે શિખરે પહોંચી છે, એ કવિ ત્રાપજકર જેવા શબ્દસાધકોના પુરુષાર્થ વિના કદાચ જ પહોંચી શકી હોત. સાકી-સનમ-સુરા ને બુલબુલની ઉર્દૂ-ફારસી જાળમાં ફસાઈ રહેલ ગઝલને ત્રાપજકર જેવા કવિઓએ ગુજરાતી બનાવી. પ્રસ્તુત ગઝલમાં વિવેચકોને કાફિયાદોષ પણ દેખાશે અને ક્યાંક શેરિયત પણ ઓછી અનુભવાશે, પણ આ એ ખાતર છે, જેના કારણે ગઝલનો છોડ ફાલીને વટવૃક્ષ થયો… ગઝલની રદીફ ભલે એમ કેમ ન કહેતી હોય કે દૂર રહેવામાં મજા છે, અમે તો એમ જ કહીશું કે આ ગઝલની નજીક રહેવામાં જ ખરી મજા છે… આપ શું કહો છો?
આત્માથી પરમાત્મા સુધીનો પ્રવાસ ભારતીય આધ્યાત્મ પરંપરાના કેન્દ્રસ્થાને છે. ગરવા ગિરિવરની ટોચે ફરફરતી ધોળી ધજા સાધકનું લક્ષ્ય છે. ધોળૉ રંગ પવિત્રતા-આધ્યાત્મનું પ્રતીક છે. ઝૂંપડીથી ઊંચા મહેલ ને મહેલથી ઊંચા વૃક્ષો ને વૃક્ષોથી ઊંચે ડુંગર પરની વાદળોથી ઘેરાયેલી દેરી સુધીની મુસાફરીમાં એક તરફ વિષય-વાસના-પતનની ખીણ છે તો બીજી તરફ અહંકારના ડુંગરની ભીંત. વચ્ચેની કેડી સીધી નથી, મુસીબતોથી ભરી પડી છે. કાળજું કઠણ કર્યા વિના આ માર્ગે આગળ નહીં વધાય. અજ્ઞાન-ભ્રમણાના વાદળો વચ્ચે જ્ઞાનની દેરી કદી દેખાય છે, કદી ઓઝલ થઈ જાય છે. વન, વાયુ, વાદળ ને ડુંગરના સ્વામી ઈશ્વર –તમામની ક્ષમા માંગી સાધક દર્શનની ઝંખના વ્યક્ત કરે છે. ક્ષમા એ અહમ-વિગલનની નિશાની છે…
હશે ક્યાંક મારામાં ઓછાપણું પણ,
હવે કોશિશો માંગી રહી છે વિસામા.
નવી રીત શોધી છે હળવા થવાની,
લખી દઉં છું કોઈને કાગળ નનામા!
હતાં બે‘ક સ્વપ્નો ને ગમતા પ્રસંગો,
મૂકીને ગયા તેઓ પણ રાજીનામાં.
સફળ પ્રેમને એ નજરથી જુએ સૌ,
કર્યાં હોય જાણે ગજબ કારનામા.
વિચારું તને ને ઉપાડું કલમને,
પછી રોકવાના પ્રયાસો નકામા.
એ બે જણને પોતાના ના હોય પ્રશ્નો
ત્રીજાની જ વાતે ચડે સામસામા.
ભલેને છૂપાવે ગુના એ જગતથી,
અરીસા ઉપર રહી જવાનાં ચકામાં.
– ડૉ. માર્ગી દોશી
વાંચતાવેંત ગમી જાય એવી ગઝલ. એક તો હમરદીફ-હમકાફિયા ગઝલ છે અને બીજું, બહેર પણ લાંબી નહીં, મધ્યમ છે. એટલે ઓછી જગ્યામાં કાફિયા નિભાવીને શેરિયત સર્જવામાં કવિકસોટી તો થવાની જ. સદનસીબે કવયિત્રી આમાં સાંગોપાંગ પાર ઉતર્યાં છે અને આપણને એક અચ્છી ગઝલ મળી. કોઈ શેરને અલગથી સમજાવવાની આવશ્યક્તા નથી, પણ દરેક શેર ફરી ફરીને વાંચીએ તો મજા પણ ફરી ફરીને વધતી જશે એ નક્કી.
હું મારી માને કહું છું
મને નોબલ પારિતોષિક મળ્યું છે.
ફરીથી? એ પૂછે છે. આ વેળા
કયા ક્ષેત્રમાં?
આ એક નાનકડી રમત છે
જે અમે રમીએ છીએ: હું ડોળ કરું છું
કે હું કોઈક ખાસ છું, એ
ડોળ કરે છે કે એ મરી નથી
– એન્ડ્રિયા કોહેન
(ગુજ. અનુવાદ: વિવેક મનહર ટેલર)
ગાગરમાં સાગર જેવી રચના. ઓછામાં ઓછા શબ્દોમાં પૂરેપૂરી અભિવ્યક્તિ કરી શકે એ ખરી કવિતા. કથક એની માને કહે છે કે એને નોબલ પારિતોષિક મળ્યો છે. સાહિત્યજગતનું સૌથી મોટું બહુમાન મળ્યું હોવાની વાતથી જ મા-દીકરી વચ્ચેના સંવાદની કાલ્પનિકતા પ્રસ્થાપિત થઈ જાય છે. તમને કદાચ એવો સવાલ કરવાનું મન થાય કે જેને ખરેખર નોબલ પારિતોષિક મળ્યું હોય એ કવિએ જ આ કવિતા લખી હોય એવું ન બને? બની શકે… પણ કવિતાનો બીજો-ત્રીજો ભાગ તો જુઓ… સમજાયું ને?
મા-દીકરી વચ્ચે આ પ્રકારની રમતો રમવું સાહજિક હશે એ બાબત સ્પષ્ટ થાય છે અને એના પરથી મા-દીકરી વચ્ચેનો હૂંફાળો સંબંધ પણ પ્રતિપાદિત થાય છે. કાવ્યાંતે માતા આ દુનિયામાં હયાત જ ન હોવાની સંભાવના સ્ફુટ થાય છે ત્યારે હળવી રમતના સૂરમાં આરંભાયેલ સંવાદ વિષાદયુક્ત એકોક્તિ બની રહે છે. કમિટિનો નિર્ણય શીર્ષક પણ કવિતા પૂરી થઈ ગયા બાદ જ સમજાય છે. દીકરીને મન એની મા જ એકમેવ કમિટિ હતી. માનો અભિપ્રાય જ એને મન તો નોબલ પારિતોષિક બરાબર હતો… દુન્યવી સફળતા ગમે એટલી મોટી કેમ ન હોય, મા-બાપના ચાલ્યા જવાથી સર્જાતા ખાલીપાને એ સભર કરી શકતી નથી…
દેવાલયમાં બેઠેલો માણસ સુખી છે;
મિત્ર; ઘંટારવ અને નિજનો અવાજ
એને ભિન્ન નથી જણાતા કદીય.
સુખી થવાની કલ્પના કરતો માણસ
અત્યંત સુખી છે;
મિત્ર; એની કલ્પનામાં દુઃખને
ક્યાંય સ્થાન નથી હોતું…
– પ્રાણજીવન મહેતા
કહેવું હોય એ સીધેસીધું કહી દે તો એ કવિતા કેમ કહેવાય? કવિએ કવિતાને શીર્ષક તો ‘સુખની કવિતા’ આપ્યું છે. પણ શું સાચે જ આ સુખની કવિતા છે? જ્યોતિષના ઘરે નસીબનાં પાનાં ખોલી આપવાનું કામ કરતી ચકલી પોતાના વિષાદને પારખી શકતી ન હોવાથી સુખી છે એમ કવિ કહે છે. ચકલી તો પ્રતીક છે. હકીકતમાં આ એ લોકોની વાત છે, જેઓ અજ્ઞાનમાં જ જીવી જાય છે. ભાગ્ય વિશે વિચારવાને સમર્થ નથી. લોકો વાસ્તવિક્તાનો સામનો કરી શકતા નથી. આભાસી સુખને જ સાચું ગણીને તેઓ જીવન વિતાવે છે. ભગવાનના આશરે જીવન જીવી જતા લોકો બાહ્ય રણકારમાં જ એટલા રત રહે છે કે ભીતરનો અવાજ સાંભળવાનો અવકાશ જ રહેતો નથી. અને જે નિતાંત કલ્પનામાંજ રાચવામાં માને છે એ માણસ તો સૌથી સુખી છે. ટૂંકમાં સુખની અનુભૂતિ કેવળ અજ્ઞાન, આભાસ અને કલ્પનામાં જ સંભવ છે. વાસ્તવિક જીવનમાં સુખ યાને ઝાંઝવાનું જળ…
હજી એ દા’ડાની
સતત વરસે યાદ વસમી
ધરી પાટી હાથે
શબદ શિખવ્યા કૈંક મુજને
અને
વીત્યાં વર્ષો
જીવનપથ આરૂઢ બનતાં
તમે છોડી ચાલ્યા..
કદી મોડી રાત્રે
કવનવશ આવેગ ઉર લઈ
લખું જ્યાં શબ્દો
ત્યાં
મુજ તરફ કો દૃષ્ટિ ઠરતી?
વીતેલાં વર્ષોની
સહજ ઊઘડી જવનિકા
તમારી યાદે
હૃદય ઊભર્યે
અશ્રુ સરતું
– ભરત ત્રિવેદી
ભવાટવિમાં આપણને પાછળ છોડી ચાલ્યા જનાર સ્વજનોની યાદ તો કાયમ આવતી જ હોય, પણ જે રીતે સ્વાતંત્ર્ય દિને નાગરિકોનો દેશપ્રેમનો જુસ્સો જ અલગ હોય એ રીતે પુણ્યતિથિએ એમની સાથે વીતાવેલું આખું જીવન આપણે રિવાઇન્ડ કરતાં હોઈએ છીએ. કથક મૃત પિતાની પુણ્યતિથિએ એમને સંભારી રહ્યા છે. પિતાજીએ જે શબ્દો આપ્યા એ જ શબ્દો કથક મોડી રાત્રે કાવ્યાવેશમાં આવી કાગળ પર માંડે છે ત્યારે એને પિતાજીની નજર પોતા તરફ જ મંડાયેલ હોવાનો ભાસ થાય છે. વિગત વર્ષોનો પડદો ખૂલી જતાં હૃદય લાગણીથી ઉભરાઈ ઊઠે છે અને એ ઉભરો આંસુ બનીને આંખેથી છલકાય છે… કાવ્યારંભે વસમી યાદ સાથે અક્ષરજ્ઞાનનો સંદર્ભ એક જ વાક્યમાં વણી લેવાયો છે એ સહેજ કઠે છે.
આપણી આંખોને કવિતા આવો નાની-મોટી પંક્તિઓનો દેહ ધારીને આવે એટલે એને અછાંદસ ગણી લેવાને ટેવાઈ ગઈ છે. પણ આ રચના વિશુદ્ધ શિખરિણી છંદમાં છે, અછાંદસ નથી. કવિએ શિખરિણીની પંક્તિઓના ખંડ કરીને એને અછાંદસનો આકાર આપ્યો છે. આને મુક્ત પદ્ય પણ ગણી શકાય.
ભારતીય આધ્યાત્મ પરંપરામાં ગુરુ-શિષ્ય પ્રણાલિકા કેન્દ્રસ્થાને રહી છે. આમ તો સતગુરુ સહેજમાં મળવા દોહ્યલું, પણ નિષ્ઠા સાચી હોય તો મળેય ખરા ને કાનમાં સતનો શબ્દ – બ્રહ્મજ્ઞાન ફૂંકેય ખરા. ગુરુ સાચા હોય તો શિષ્યને ચોર્યાસી લાખ ફેરામાંથી મુક્તિ અપાવી અખંડ ધામ- મોક્ષ સુધી પહોંચાડે. બધી શોધ પરિપૂર્ણ થઈ. નવધા ભક્તિના ભેદ પણ પાર થઈ ગયા. દસમી દિશા – ચેતનાની ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત થઈ જ્યાં એકમાં અનેક અને અનેકમાં એક –અદ્વૈતાવસ્થા અનુભવાય છે. તમામ રૂપ એક અખંડ પરમાત્મામાં વિલીન થઈ જાય છે. पुनरपि जननं पुनरपि मरणं – જીવન-મરણની આવજા અહીં સમાપ્ત થાય છે, કારણ આત્મા અમર અવિનાશી છે. ધ્યાન ધરતાં અજ્ઞાનની કાળી રાતનો અંત આવ્યો અને “સો-અહમ્” (તે હું જ છું) ચેતનાનો આત્મસાક્ષાત્કાર થાય છે. ગુરુ મળે પછી જપ-જાપ-તીર્થાટન કરવાની શી આવશ્યકતા? ગુરુ તો સીધો રસ્તો જ બતલાવે. ષટદર્શન (ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, મીમાંસા, વેદાંત) ની બાહરી ખોજ પણ અંતે તો આંતરિક અનુભૂતિમાં જ સમાપ્ત થાય છે. અનંત કરોડ સાધકોમાં એસાધક અલગ અને આગળ છે જેના માથે સદગુરુના આશિષ છે, કારણ સદગુરુ જ આત્મા અને પરમાત્માના એકત્વ-અદ્વૈત સુધી પહોંચાડે છે.
ભાણસાહેબ (જ. ૧૩ ફેબ્રુઆરી ૧૬૯૮, વારાહી, જિ. પાટણ, ગુજરાત; અ. ૧૭૫૫, કમીજડા, જિ. અમરેલી, સૌરાષ્ટ્ર) : રામ-કબીર સંપ્રદાયના કવિ અને રવિ-ભાણ સંપ્રદાયના આદ્યસ્થાપક. લોહાણા પરિવારમાં જન્મ. પરમ રામભક્ત અને પ્રસિદ્ધ મહાયોગી જાદવદાસના શિષ્ય આંબા છઠ્ઠા ઉર્ફે ષષ્ટમદાસને તેમણે ગુરુપદે સ્થાપ્યા. કબીર સંપ્રદાયની પરંપરા અનુસાર તેઓ ‘ભાણસાહેબ’ નામે ઓળખાયા. એમણે સ્થાપેલી ગાદી બાજવા સ્ટેશન પાસે શેડકી ગામે આવેલી છે. સતનામના ઉપાસક ભાણસાહેબ કબીરનો અવતાર ગણાતા. તેમના કવિપુત્ર ખીમદાસ સહિત ૪૦ શિષ્યોની ‘ભાણફોજ’ સાથે તેમણે અધ્યાત્મબોધ કર્યો. કવિતા દ્વારા વેદાન્તી તત્વજ્ઞાનનો પ્રચાર કર્યો. તેમણે કમીજડામાં જીવતાં સમાધિ લીધી હતી. (સ્ત્રોત: ગુજરાતી વિશ્વકોશ)
પ્રશિષ્ટ ગીત અને લોકગીત વચ્ચેનો એક અગત્યનો ફરક હૃદયોર્મિની પ્રામાણિક અને સરળ-સહજ અભિવ્યક્તિનો છે. લોકગીતના રચયિતાને કીર્તિ કે કલદાર કમાવાની સ્પૃહા હોતી નથી. એણે કવિતા સિદ્ધ કરીને સમાજમાં પોતાનું અલાયદું સ્થાન બનાવવાની ખેવના નથી હોતી. એની એકમેવ નેમ તો જનસામાન્યના હૃદયમાં જાગતા સ્પંદનોને જનસામાન્ય હળવી હલકથી અને ઉલટથી ગાઈ-બજાવી શકે એ રીતે રજૂ કરવાની હોય. સમાજનો નીચલામાં નીચલા સ્તરનો અને સાવ ભણતર વગરનો માણસ પણ આ ગીતો યાદ રાખી શકે એ હેતુસર મોટાભાગના લોકગીતોમાં રચયિતા પુનરોક્તિનો સહારો લેતા હોય છે. ઢોલાજી ચાકરીએ જવા નીકળે છે. એ જમાનામાં જુવાન રજવાડાને ત્યાં નોકરીએ જતા,પણ આ નોકરી એટલે આજની જેમ સવારે નવથી પાંચની નહીં, દિવસોના દિવસોને અઠવાડિયાઓના અઠવાડિયાઓની. પુરુષ તો કામે લાગી જાય,પણ નવોઢા સાસરિયામાં એકલી એકલી હિજરાતી રહે. મનનો માણીગર એકલો ચાકરીએ ન જાય અને પોતાને પણ સાથે લઈ જાય એ માટે પત્ની સ્વયંને વારાફરતી વીંઝણો, લવિંગ, તલવાર વગેરે સાથે સરખાવીને જે રીતે અછો અછો વાનાં કરે છે એની મજા લઈએ…
તમે આવ્યા ત્યારે મૂક રહી, કશુંયે નવ કથ્યું;
ન જોયું પૂરું મેં તવ મુખ અને પાંપણ ઢળી…
હતું હૈયે એવું કર પકડશો, કૈક પૂછશો…
ઉવેખી લજ્જાને સ્વજન વચ એયે નવ થયું!
વિના બોલ્યા; ચાલ્યા? કશું પણ કથ્યું નૈ નજરથી?
તમે આવ્યા શું ને પ્રિયતમ ગયા એય શમણું!
સવારે ઊઠું ને પગથી પરનાં ચૂપ પગલાં-
થઈ સાચાં, મારા વિરહકૃશ પાદે ચચરતાં;
રડી આંખો ધોઉં, શિશિરઋતુમાં અંગ સળગે
તમે? ના…ના, સૂના પથ નજરને આવી વળગે!
– મણિલાલ હ. પટેલ
આજે તો પતિ પત્નીના પિયર આવે કે તરત બધાને હાય-હેલો કરીને લાજશરમ નેવે મૂકીને પત્ની સાથે એક રૂમમાં બંધ થઈ જાય. પણ આ સૉનેટ એવા સમયનું ગ્રામ્યચિત્ર છે જે સમયે સ્ત્રીને તો હોઠ નહોતા જ, પુરુષ પણ વડીલોની આમન્યા ત્યાગી શકતો નહોતો.
પત્ની પિયર રહેવા આવી હોય અને લાંબા ગાળા પછી પતિ એને મળવા આવે એ પળની આ વાત છે. સવારે જોયેલું સપનું જે રીતે સાચું પડે એ રીતે એક દિવસ પતિ અચાનક પત્નીને મળવા આવી ચડે છે અને સ્વજનોની વચ્ચે પણ પત્નીને એકલાપણું અનુભવાય છે. સુન્દરમની નાયિકા જે રીતે તે રમ્ય રાત્રે ઘરની બારસાખ પર કાયા ટેકવી ઢળતી લતા સમી ઊભી હતી, એ જ રીતે મણિલાલ પટેલની નાયિકા પણ કમાડને અઢેલીને ઊભી છે. પણ સુન્દરમની નાયિકા નાયક સાથે એકલી હતી એટલે એને દિગ્મૂઢ નાયકને ચુપચાપ પાછો ચાલ્યો જતો રોકવામાં સમસ્યા નહોતી અનુભવાઈ, પણ આ સૉનેટની નાયિકા પરિવારની હાજરીમાં બોલીય નથી શકતી અને લજ્જા ઉવેખી શકવાના સામર્થ્યના અભાવે પતિનું મુખેય પૂરું જોઈ શકતી નથી. આંખોમાંથી ધસી આવેલ આંસુઓ હર્ષના છે કે વિરહના દુઃખના એનો ભેદેય એ કળી શકતી નથી. પતિ પણ કશું બોલ્યા-ચાલ્યા-કર્યા વિના આવ્યો હતો એમ જ પરત ચાલ્યો જાય છે. ફરી એકવાર સુન્દરમનું જ ‘મળ્યાં’ કાવ્ય યાદ આવે છે, જેમાં વિરહના કપરા દિવસો વેઠ્યા બાદ મળેલ બે પ્રેમીહૈયાં મહાજનોની હાજરીમાં ખૂલીને મળી શકતાં નથી અને મળે છે ત્યારેય કશું બોલ્યાચાલ્યા વિના ઘડી ઘડી પરસ્પર સામે બસ જોયા જ કરે છે.
આને આગમન કહીશું કે ગમન? કવિએ એટલે જ કવિતાના શીર્ષકમાં એક ડેશ ઉમેર્યો છે: “આ-ગમન પછી.” છે ને મજાનું કવિકર્મ! સવારે પગથી પર પડેલ પતિના પગલાં પત્નીના દેહને શિયાળામાં પણ પ્રજ્વાળે છે. પતિ તો વળગ્યો નહીં, સૂનો રસ્તો નજરને આલિંગન આપી રહ્યો છે… મિલનોત્સુક પત્નીના ભાવસંવેદનોનું કેવું સચોટ વર્ણન!
સરળ કવિતા. ઘર બહાર બેસીને આખો દિવસ ટહુક્યા કરતું પંખી નાયકને ગમતું નથી. એ ઇચ્છે છે કે એ દૂર ઊડી જાય. તાળી પાડીને એ એને ઊડાડી પણ દે છે. પણ આ સમસ્યા કંઈ એના એકલાની નથી, સમસ્ત મનુષ્યજાતિની છે. માનવજાત એ હદે સ્વકેન્દ્રી બની ગઈ છે કે કોઈ કોઈને સહન કરી શકતું નથી. આપણી વિચારધારાથી અલગ વિચારધારાને આપણે આવકારી કે સ્વીકારી શકતા નથી. એમાંય આ નાનકડા પંખીની જેમ કોઈક નાનો માણસ આગળ વધતો કે અલગ પ્રતિભા ધરાવતો દેખાય એ તો કેમે કરીને આપણને ગળે ઉતારતું નથી. હકીકતમાં સમસ્યા બીજાઓમાં નહીં, આપણા પોતાનામાં જ છે.
સિદ્ધહસ્ત કવિ શ્રી નિરંજન ભગતે અંગ્રેજી લિરિકનો અનુવાદ તો સરસ કર્યો છે, પણ મને કેટલીક જગ્યાએ મજા ન આવી. એક તો છંદ. રચના મનહર છંદની ચાલમાં છે પણ પહેલી બીજી પંક્તિમાં અનુક્રમે ૧૬ અને ૧૫ અક્ષર હોવાની શરત સંતોષાઈ નથી. ચુસ્ત મનહર છંદના સ્થાને કવિને કટાવ શૈલી પસંદ આવી હોય તો એમાં વાંધો નથી, પણ અક્ષરસંખ્યાની અનિયમિતતાના કારણે પઠન પ્રવાહી થઈ શક્યું નથી. અનુવાદની સરખામણીમાં મૂળ રચનામાં ફ્રોસ્ટે બધી પંક્તિમાં આયમ્બિક ટેટ્રામીટર છંદ વાપર્યો છે. એ સિવાય, પહેલા બે યુગ્મકમાં સૉનેટની જેમ વાક્ય પહેલી પંક્તિમાં પૂરું થઈ જવાના બદલે બીજી પંક્તિમાં જઈને પૂરું થાય (અપૂર્ણાન્વય- enjambment) જરા ખટકે છે. આ કારણોસર ઊર્મિકાવ્યનું ખરું સૌંદર્ય નંદવાતું હોવાનું મને પ્રતીત થયું. આપ શું કહેશો?
A Minor Bird
I have wished a bird would fly away,
And not sing by my house all day;
Have clapped my hands at him from the door
When it seemed as if I could bear no more.
The fault must partly have been in me.
The bird was not to blame for his key.
And of course there must be something wrong
In wanting to silence any song.
એક દરિયો ઓટ થઈ મારામાં ડૂબી જાય છે,
તું કિનારો હોય તો ક્યાં છે? મને ભૂલી ગયો?
– નયન હ. દેસાઈ
રાવજીની આંખે કંકુના સૂરજ આથમ્યા હતા, નયન દેસાઈની આંખોમાં સૂર્ય ભીનો થઈને અંદર ઉતરી જાય છે. રાવજી પટેલના સૂરજ અને નયન દેસાઈના સૂર્ય વચ્ચે સરખામણી કરવાનો આશય નથી, પણ અત્રે એનો ઉલ્લેખ કરવાનું પ્રયોજન કેવળ એ જ કે બે અલગ અલગ કવિઓ એક જ કલ્પનની કેવી અલગ અલગ માવજત કરી શકે છે! મત્લાની બંને પંક્તિમાં કવિએ ક્યાંય લખ્યું નથી કે પોતાને જે શેરીમાંથી પસાર થવાનું આવ્યું છે એ છોડી ગયેલ કે છેહ દઈ ગયેલ પ્રિયજનની શેરી છે, પણ આથમતો સૂર્ય ભીની થયેલી આંખોને સ્પર્શે છે એટલાથી એ સમજી શકાય છે. કોઈની લખેલી ગઝલ વાંચતા હોઈએ એ તાટસ્થ્યથી કવિ પ્રિયજનની શેરીને જોતાં જોતાં પસાર થઈ જાય છે – दुनिया में हूँ दुनिया का तलबगार नहीं हूँ, बाज़ार से गुज़रा हूँ ख़रीदार नहीं हूँ (અકબર ઇલાહાબાદી)
ગઝલના પાંચેય શેર નયન-બ્રાન્ડની આલબેલ પુકારે એવા મજબૂત થયા છે. ચોથો શેર હાંસિલે ગઝલ છે અને પાંચમો પણ એવો જ અદભુત.
ખીલડે બંધાઈ મારી ગાવડી
. ચહે ન છૂટવા લગાર,
કોણ રે લઈ જાય વનમાં ચારવા
. તડકે સુકાતી લીલી ચાર.
જેવાં રે વેણુમાં વ્હાલા વીંધ છે
. એવાં અમમાં કીધા છેદ,
શું રે આવ્યા તમે શું જાઓ છો?
. રોકાજો આટલો કહેવા ભેદ!
– પ્રિયકાન્ત મણિયાર
વાત તો એની એ જ છે… ગોપીઓને છોડી જતા કૃષ્ણ સાથે ગોપીઓએ નેહભર્યો કલેહ માંડ્યો છે. એ કૃષ્ણને જૂઠો તો કહે છે પણ જીવણ-જીવ કહ્યા વિનાય રહી શકતી નથી. જાદવ સાથેની પ્રીત પાણી વલોવવા જેવી છે. દહીં વલોવો તો છાશ અને નવનીત પ્રાપ્ત થાય, પણ પાણીને વલોવ્યે શું હાથ આવે? મોરલીધર જ દૂરનોય દૂર ચાલ્યો જાય ત્યારે મોરલીના સૂરનો જે રીતે અર્થ રહેતો નથી, એ જ રીતે ખીલે બંધાયેલ ગાયોય છૂટવા તૈયાર નથી. વૃંદાવનમાં કૃષ્ણ જ હોય તો જઈને શો ફાયદો? ગોપીઓના હૈયામાં વાંસળીની જેમ છેદ થયાં છે. એ જાણે છે કે જનાર હવે રોકાવાનો નથી. એ તો બસ, એટલું જ ઇચ્છે છે કે જવાનાજ હતા તો આવ્યા શા માટે હતા એટલો ભેદ કહીને જાવ… પણ…
એમ તો લાગે શ્રવણને ગર્જના મીઠી,
ને ગમે નિબિડાંધકારે વીજળી દીઠી;
સ્પર્શ શીળો વાયુનો દે સ્પર્શસુખ,
ઇન્દ્રધનુના રંગ કરી દે ઊર્ધ્વમુખ.
કિન્તુ આર્દ્ર કરી મૂકે મ્હેકાવી માટી
ને સૂતેલાં બીજને અંકુર રૂપે
બ્હાર લાવે ભેદી જે ધરતીસપાટી
પ્રાવૃષની એ વાત જુદી !
– જયંત પાઠક
આજે “વિશ્વ કવિતા દિવસ” નિમિત્તે કવિતા વિશે એક કવિતા. વિશ્વની તમામ કળાઓમાં કવિતાને સર્વોપરી ગણવામાં આવી છે એટલે કવિતા એટલે શું અને સાચી કવિતા કોને કહેવાય એ વિશે પરાપૂર્વથી ચર્ચાઓ થતી આવી છે અને કવિતા વિશે કવિતાઓ પણ લખાતી રહી છે. સાચી કવિતાને વ્યાખ્યાયિત કરવી જો સંભવ હોત તો એ કામ ક્યારનું થઈ ચૂક્યું હોત, પણ હજારો કવિતાઓ અને વ્યાખ્યાઓ કરાયા બાદ હજીય એ વિશે કવિતાઓ થતી રહે છે એનો મતલબ જ નેતિ નેતિ…
હજારો વ્યાખ્યાઓમાંની એક તે આ કવિતા. કવિ કહે છે કે જે કવિતા સાચી હોય એની વાત અલગ હોવાની. પહેલા બંધમાં કવિએ થોડા ઇંદ્રિયગમ્ય અને ઇંદ્રિયભાવન અનુભવોની વાત કરી છે. શ્રોત્રેદ્રિયને ગર્જના મીઠી લાગે તો આંખોને ગાડઃ અંધકારમાં વીજળી અને દિવસે મેઘધનુષના રંગો જોવા ગમે છે. શીતળ વાયુ સ્પર્શેંદ્રિયને તૃપ્ત કરે છે. મોટાભાગની કવિતાઓ આવી જ હોય છે- ઇંદ્રિયગ્રાહ્ય! ઉપલક આનંદ આપે એવી…
પણ સાચી કવિતા એટલે એવો વરસાદ જે હૈયાની માટીને ભીંજવે, મહેંકાવે અને સપાટી તોડીને ભીતર સૂતેલા બીજને અંકુરિત કરી બહાર આણે…
અજાણ્યે આવીને ઉર સરી, ઠરી ઠામ જ કરી
રહી ગૈ માન્યું મેં. ક્ષણિક વસનારી તું અહીંની –
પ્રવાસી બીજેની વિસરી, મન મીંચી ઘરતણા
દીધા ચાવીઝૂડા. તું પણ નિજ જાવાનું સમરી
બધું માણી લેવા તતપર બની; ને ભવનમાં
કશી છુટ્ટે હાથે ઝળઝળઝળાં રોશની કરી!
ગઈ! જાવા પૂર્વે પણ બધું બુઝાવી ગઈ હતે
ધીરે ધીરે, તો તો ઘરમહીં ન હોળી સળગતે!
– સુન્દરમ્
બે દીપક ભેગાં થઈને આયખાના ઘરને ઝળાંહળાં કરી દે એવું નસીબ બધાનું નથી હોતું. જે રીતે બુઝાતા પહેલાં દીવો વધુ ફગફગે, રાતમાં પલટાતાં પહેલાં સાંજ વધુ રંગીન થાય, પુષ્પ ખરતાં પહેલાં પૂરું ખીલી જાય એ જ રીતે કથકને કાયમી વિયોગ આપતા પહેલાં એના પ્રિય પાત્રએ જે સ્નેહની હેલી વરસાવી, એનાથી કથક વ્યથિત વ્યથિત થઈ ગયો છે. જીવનના રસ્તે ક્યાંક કોઈક અજાણી વ્યક્તિ મળી. દિલમાં ઘર કરી ગઈ. કથકે વગર વિચાર્યે એના હાથમાં પોતાની ચાવી-પોતાનું સમગ્ર નિયંત્રણ સોંપી દીધું. પણ આવનારીને તો ખબર હતી કે પોતે આ આકાશમાં કેવળ ધૂમકેતુ બનીને આવી છે. પણ મળેલ અવસરને આકંઠ માણી લેવા માટે એ તત્પર હતી. પોતાના ચાલ્યા જવા પહેલાં એણે કથકના જીવનને અભૂતપૂર્વ રોશનીથી ભરી દીધું. કથક વિયોગ સહન કરવા તૈયાર છે, પણ એ જતા પહેલાંની વધુ પડતી ઝાકમઝોળ સહવાને અસમર્થ છે. જનાર વ્યક્તિ જતાં પહેલાં પોતાના દિલમાંથી પ્રેમની રોશની મિટાવી ગઈ હોત તો કદાચ વધુ સારું થાત… કારણ પ્રિયજનની અનુપસ્થિતિમાં આ રોશની રોશની ન રહેતાં હૈયાહોળી બની ગઈ છે… કાયમી જુદાઈ વિશે અનેકાનેક ઉમદા રચનાઓ આપણી ભાષામાંથી જડી આવશે, પણ આ સૉનેટ અલગ પ્રકારની માંડણીના કારણે વિશિષ્ટ ભાત ઉપસાવે છે..
અંધકારમાં ડૂબી ગયેલું જંગલ ના દેખાયું,
સવાર પડતાં વન ઊગે—કે સૂરજ ના સમજાયું!
સાવ આંધળીભીંત આંખને શું તડકો ને છાયો!
ઘરની નીકળ્યો બ્હાર—
કાયામાંથી નીકળી ચાલ્યો એવી રીતે બ્હાર,
સાત રંગના વર્તુળમાંથી દરિયો થાય પસાર
અસીમને ઓવારે મારો પડછાયો લંબાયો
ઘરથી નીકળ્યો બ્હાર હવે જંગલમાં જઈ પથરાયો.
– અનિલ જોશી
કવિતા લખાય છે તો એ જ ભાષામાં, જે ભાષા આપણે શ્વાસોચ્છ્વાસમાં ભરીને જીવીએ છીએ,પણ એ જ ભાષાને કવિ અલગ રીતે પ્રયોજે છે, ત્યારે એ કાવ્યનિર્મિતિનું કારણ બને છે. આ ગીતની પ્રથમ પંક્તિ જુઓ…
ઘરથી નીકળ્યો બ્હાર હવે જંગલમાં જઈ પથરાયો…
ઘરથી બહાર નીકળીને જંગલમાં જવા સુધીની વાત સામાન્યાનુભવની વાત છે… પણ જ્યારે કવિ ‘સ્વયં’ માટે ‘ગયો’કે ‘પહોંચ્યો’; જેવા મૂર્ત ક્રિયાપદના સ્થાને ‘પથરાયો’ જેવું અમૂર્ત ક્રિયાપદ પ્રયોજે છે ત્યારે આખી વાતનો સંદર્ભ જ બદલાઈ જાય છે. વ્યવહારની ભાષા વ્યવહારની ન રહેતાં કવિતાની ભાષા બની જાય છે. સમર્થ કવિઓની રચનાઓમાંથી પસાર થઈએ ત્યારે આવું સૂક્ષ્મ કવિકર્મ ડગલેને પગલે જોવા મળશે. કેવળ એક ક્રિયાપદના કારણે ‘ઘર’ અને ‘જંગલ’ ઉભયના અર્થાંતરણ થઈ જાય છે… ઘર કાયા અને જંગલ ભવાટવિ –સંસારરૂપી વન અને કદાચિત પરલોક બની રહે છે… કેવળ ચાર સાચા અક્ષરની મદદથી કવિએ એક જ પંક્તિમાં કેટકેટલું બદલી નાંખ્યું!
આખી રચના વિશે પણ માંડીને વાત કરી શકાય પણ એ ફરી ક્યારેક…
સતત આ મનને મારીને મને મેં જીવતો રાખ્યો,
ઘણું સમજી-વિચારીને મને મેં જીવતો રાખ્યો.
હૃદયની આગ તો જીવવા જ દેવા માગતી ન્હોતી,
નયનનાં જળથી ઠારીને મને મેં જીવતો રાખ્યો.
ગયો તોફાનમાં સપડાઈ મધદરિયે ઘણી વેળા,
છતાં કાંઠે જ ધારીને મને મેં જીવતો રાખ્યો.
પ્રતિકૂળતાને પકડીને અનુકૂળતાના બીબામાં,
સિફતપૂર્વક ઉતારીને મને મેં જીવતો રાખ્યો.
ઘણી જગ્યાએ જીતી જાઉં તો જીવવું હતું દુષ્કર,
ઘણી વેળા ત્યાં હારીને મને મેં જીવતો રાખ્યો.
– બાબુલાલ ચાવડા ‘આતુર’
જાણીતા અને નવા કવિઓના નવા કાવ્યસંગ્રહોનો સાદરસત્કાર કરવા આદરેલ આવકાર સપ્તાહ શૃંખલાની આ સાતમી અને આખરી કડી… નોંધ લેવાની બાકી હોય એવા ઘણા સંગ્રહ હજી મારા ટેબલના એક કિનારે ચુપચાપ બેઠા છે… થોડો પોરો ખાઈ લઉં, પછી એમનો વારો..
આજે સિદ્ધહસ્ત સર્જકના નવાનકોર સંચયમાંથી એક સરસ મજાની ગઝલ… ‘યે જીના ભી કોઈ જીના હૈ’ની વાસ્તવવાદી ફિલસૂફી પહેલેથી આપની વિચારધારાનો અગત્યનો હિસ્સો બની રહી છે. કવિએ પાંચ શેરમાં એને બખૂબી કંડારી બતાવી છે… આપને કયો શેર ગમ્યો અને કેમ એ કહેશો તો અમને વધુ ગમશે.. .
March 13, 2026 at 12:30 AM by વિવેક · Filed under કંચન અમીન, શેર, સંકલન
ગઈકાલે કવિના એક સંગ્રહમાંથી આપણે એક ગઝલ માણી… આજે એમના બીજા બે સંગ્રહમાંથી પસંદગીના થોડા શેરનો આહ્લાદ લઈએ અને બંને સંગ્રહોને વધાવીએ… કબીરા રદીફ બાબતનું કવિનું વળગણ એમના સંગ્રહોમાં સ્પષ્ટ નજરે ચડે છે. કબીરનો સંદર્ભ આ ગઝલોમાં અલગથી સ્પષ્ટ ઉપસતો ન હોવાથી ‘કબીરા’ની જગ્યાએ રદીફમાં અન્ય કોઈ પણ નામ નભી શકે એમ છે એ એક વાત છે, પણ ‘કબીરા’ રદીફમાં નક્કી કંઈક ગેબી અંતર્નિહિત અસર હોવી જોઈએ, કારણ આ રદીફવાળી ગઝલો જ કવિની સારી ગઝલોમાં પ્રમુખ સ્થાન ધરાવે છે.
*
કંઈ ખબર પડતી નથી કે કોણ દોરે, કોણ ભૂંસે?
શોક ને આનંદ વચ્ચે એક નાજુક ભેદરેખા.
અંધારામાં અજવાળું છે,
ભૂંસી ભૂંસી આગળ વાંચો.
ભીતર મોતી જેવી ઝળહળ,
આંસુનો ચમકાર કબીરા.
ચૂરેચૂરા થઈને પડતી,
પછડાતી જલધાર કબીરા.
આગળપાછળ, આજુબાજુ;
સાચવજો, સરહદ જેવું છે.
અંત વગરની હેરાફેરી,
ઇચ્છાઓ નિર્મૂળ કબીરા.
એક અવિચળ શ્વાસ જેવું છે અખિલ બ્રહ્માંડ આ,
નાદ ગૂંજે છે સદંતર- કોઈ ક્યાં સમજી શકે છે?
હસતાં હસતાં આંસુની ધારા આવે છે,
અજવાળાની આંખે અંધારાં આવે છે.
કશું હશે છતાં કશું નથી – નથી, ખબર નથી;
ઉચાટ મનમાં કેટલો હશે! નથી, સબર નથી.
March 11, 2026 at 12:30 AM by વિવેક · Filed under પારસ પટેલ, શેર, સંકલન
*
ગઈકાલે આપણે કવિના કાવ્યસંગ્રહ પ્રણયોત્સવના પ્રથમ ભાગને આવકાર્યો. આજે પ્રણયોત્સવના બીજા ભાગને પણ આવકારીએ… ગઈકાલે પહેલા ભાગમાંથી એક ગઝલ માણી, આજે બીજા ભાગમાંથી પસંદગીના શેરોનો આસ્વાદ લઈએ…
આમ ના તાકી રહે મારી તરફ,
મા નથી ઘરમાં નજર ઉતારવા.
છોકરીને આજથી સત્તર થયાં,
ગામના કૈં છોકરા અત્તર થયા.
અપ્સરાઓ ને મદિરા ખૂબ મળશે સ્વર્ગમાં,
બસ, ગઝલનો ગ્રંથ સાથે લઈ જવા દે શામળા.
બડો બાદશાહી ખજાનો મળ્યો છે,
મને એક કાગળ મજાનો મળ્યો છે.
સ્વર્ગની વાતો વડે અંજાઈને,
આયખું સંકેલવા જેવું નથી.
March 10, 2026 at 11:11 AM by વિવેક · Filed under ગઝલ
નજર સૌ મંડાય છે તારા ઉપર,
શક બધાને છે ફકત મારા ઉપર.
તેં કર્યું ઘાયલ હૃદય મારું પછી,
સો સવાલોના થયા ઘા; ઘા ઉપર.
આ મહાભારત મને જામ્યું નહીં,
ભાઈ મારો ઘા કરે મારા ઉપર?
આ વખત સોગંદ તેં ખાધા નથી,
આ વખત વિશ્વાસ છે તારા ઉપર.
હાથ મારો કોઈએ પકડ્યો હતો,
છે હવે આરોપ અંધારા ઉપર.
– પારસ પટેલ
લયસ્તરો પર આજે કવિ શ્રી પારસ પટેલની એક ગઝલ સાથે એમના સંગ્રહને આવકારીએ…
સરળ ભાષામાં સરસ રચના થઈ છે. પાંચેય શેર મજાના થયા છે. હા, નજર (લગા) શબ્દને કવિએ નજ્ર (ગાલ) તરીકે પ્રયોજ્યો છે એ સહેજ ખટકે છે. બહુ મોટા ગજાના ગઝલકારોએ છંદ જાળવવા શબ્દના સાહજિક ઉચ્ચારણને આ રીતે બદલ્યા હોવાના એકાધિક દાખલા ઉપલબ્ધ છે, પણ આ પ્રકારની કર્ણકટુતાથી બચી શકાય તો ઉત્તમ.
March 9, 2026 at 12:30 AM by વિવેક · Filed under ઉષા ઉપાધ્યાય, ગઝલ
બખ્તર
બખ્તર સઘળાં છૂટે છે,
થાકનાં તાળાં તૂટે છે.
રાત ભમે છે વગડામાં,
અજવાળાંને લૂંટે છે.
સરખાં બન્ને, પ્રેમ ને કૂંપળ,
પથ્થર તોડી ફૂટે છે.
રણ વચ્ચે રેતીના પટમાં,
જીવન લાધ્યું ઊંટે છે.
પાતાળે ધરબીને રાખો.
મોત બધુંયે ઝૂંટે છે.
સાત સમંદર ડહોળી જાણ્યું,
સુખ તો ઘરના ખૂંટે છે!
– ઉષા ઉપાધ્યાય
કવિમિત્રોનો પ્રેમ કુરિયરના રસ્તે થઈ સતત મારા આંગણિયે છલકાતો રહે છે, પણ પહેલાં ઘરના નવીનીકરણનું કામ અને પછી નવા થયેલા ઘરમાં નવેસરથી ગોઠવાવાના ભગીરથકાર્યમાં વ્યસ્ત હોવાના કારણે નવા સંગ્રહોની સંખ્યા તો વધતી ગઈ, પણ એમાંથી પસાર થવાનું કાર્ય ટલ્લે ચડતું રહ્યું… એ બદલ પ્રેમથી કાવ્યસમુચ્ચય પાઠવનાર તમામ સર્જકમિત્રોની દિલથી ક્ષમા પ્રાર્થું છું. હવે થોડો ઠરીઠામ થયો છું, એટલે બને એટલા કાવ્યસંચયોને ન્યાય આપવાની યથાશક્તિ યથામતિ કોશિશ કરીશ… લયસ્તરો પર આ આખું સપ્તાહ કાવ્યસંગ્રહોને આવકારીશું…
આજે આ આવકાર સપ્તાહનું પગરણ લબ્ધપ્રતિષ્ઠ સર્જકના નૂતન સંગ્રહની એક ગઝલ સાથે કરીએ…
(કેટલાક કવિમિત્રોએ ધ્યાન દોર્યું ત્યારે ખ્યાલ આવ્યો કે ગઝલમાં એકાધિક જગ્યાએ ગાગાગાગાના આવર્તનોમાં અનિયમિતતા રહી ગઈ છે.)
ફાનસના અજવાળામાં ફગફગતો લોકોનો બબડાટ,
રસ્તા પર સળગેલાં વૃક્ષો ને કિકિયારી, તૂટતી ડાળ.
– નયન દેસાઈ
કવિતામાં અર્થાનુભૂતિથી વિશેષ મહત્ત્વની ચીજ છે ભાવાનુભૂતિ. કોઈક વસ્તુ, વ્યક્તિ કે પ્રસંગને લઈને કવિએ જે સંવેદન અનુભવ્યું હોય એ ભાવક સુધી યથાતથ પહોંચાડી શકે એ સાચી કવિતા… ‘ફોબિયા’ (Phobia) એટલે ભય; મનના ગહન સ્તરે વસેલી ભીતિ. આ છે ફૉબીઅસ ગઝલ. કવિએ જે પ્રતીકો અને દૃશ્યો ગૂંથ્યા છે, તે ભયગ્રસ્ત માનસની આંતરિક સ્થિતિને યથોચિત પ્રતિબિંબિત કરતા જણાય છે ને?
મત્લા જુઓ. પદાવલિની ત્રિરુક્તિની મદદથી ઘરના હાંફવાની ક્રિયા કેવી તાદૃશ કરી દેખાડી છે! માણસ જે રીતે હાં…હાં…હાં… કરતો હાંફતો હોય, અદ્દલ એ જ રીતે અહીં ત્રિરુક્તિના કારણે ઘરનું હાંફવું આપણે સુસ્પષ્ટપણે સાંભળી શકીએ છીએ. ઘર એટલે આમ તો સુરક્ષાનું પ્રતીક. પણ એ હાંફે છે. કારણ? તો કે એ ચટ્ટક લાલ (લાલચટ્ટક) છે…. કોઈક કારણોસર રક્તરંજિત થયું છે. કારણ? તો કે ઉમ્બર ચટ્ટોપાટ પડેલો છે. (ઉંબરો તો આમેય નીચે જ હોય ને! પણ કવિ એને ચટ્ટોપાટ પડેલો કહે છે, ત્યારે કોલારિજ યાદ આવે: willingful suspension fo disbelief, કારણ આપણને ઉમ્બર સાચે જ ચટ્ટોપાટ પડેલો દેખાય છે. ઉમ્બર ચત્તોપાટ પડ્યો છે. કારણ? તો કે માણસની ખાલ ખીંટી પર લટકી રહી છે… માણસ એની ચામડીમાંથી નીકળી ગયો છે. માણસાઈની હત્યા થઈ છે એટલે લોહીથી રંગાયેલું ઘર હાંફી રહ્યું છે. ઘરમાં જે છે એ તો કેવળ માણસની ત્વચા જ છે…
પ્રસ્તુત ગઝલ પણ ભયગ્રસ્ત ચેતનાનું પ્રાથમિક સ્તરે સંદિગ્ધ પણ સરવાળે દૃશ્યમય ચિત્રણ છે. સામાન્ય વસ્તુઓ (ઘર, બારી, હાથ, સૂરજ) ભયજનક રૂપ ધારણ કરે છે. દૃશ્યોમાં તર્કસંગતતા કરતાં માનસિક આતંક અને અસંગતતા વધુ છે. ભાષા, પ્રતીકો અને ધ્વનિપ્રયોગો ભય અને ગભરાટનો માહોલ જન્માવવામાં કવિ સફળ થયા છે.
વ્યક્તિ વ્યક્તિને ત્યાગી શકે પણ એના દિલમાંથી પોતાના માટેના સ્નેહને થોડો મિટાવી શકે? કાવ્યનાયિકાને એના પ્રિયજને ત્યાગી દીધી છે, પણ નાયિકાનું હૈયું તો હજીયે પળપ્રતિપળ એને જ ઝંખી રહ્યું છે. ફાગણ પૂરબહારમાં હોય પણ જીવતરનો રાગ બેસૂરો થઈ ગયો હોય તો કોને કહેવા જવાય? ઓઢણીમાં જડતર કરવા જતાં પીડા જ સિવાઈ જાય છે. પોતે બેકસૂર છે એ સાબિત કરવા હવે શું છાતી ચીરીને પ્રતીતિ કરાવવાની? પથ્થર જેવા પથ્થરને પણ ફાગણમાં ખળભળનું સુખ નસીબ થાય છે, પણ નાયિકાની તો સાંજ જ પથ્થર થઈ ગઈ છે. એ એકલા એકલા કેમ કપાશેનો પ્રશ્ન ભાર બનીને પાંપણો પર તોળાઈ રહ્યો છે.
એક પાઘડી માથા પર મણમણનો નાખે ભાર.
પરપોટાનો નહિ, સાચો છે પાણીનો આધાર.
નાહક દોડાદોડ કરી જંગલમાં હાંફે હરણું !
સમજો સાચું શરણું.
પંડિત ભારેખમ ભાષામાં ગમતા પાઠ ભણાવે.
એક દાંત દેખાડે, પાછા બીજા દાંતથી ચાવે !
શરણાગતનો મહિમા સમજો તો જ પામશો ઝરણું.
સમજો સાચું શરણું.
– નીતિન વડગામા
સુરતમાં થોડા દિવસ પહેલાં જ પુસ્તકમેળો યોજાઈ ગયો. એના થોડા સમય પહેલાં અમદાવાદમાં. શહેર કોઈ પણ હોય, પુસ્તકમેળામાં સેલ્ફ-હેલ્પના પુસ્તકો જ સૌથી વધુ માત્રામાં દેખાતા અને વેચાતા જોવા મળે છે. પણ સેલ્ફહેલ્પના આ પુસ્તકો ડૂબતા માણસ માટે તરણાના શરણાથી વિશેષ કશુ નથી. તરવું હોય તો પાણીના આધારે જ તરી શકાય, પરપોટો ઝાલીને નહીં. જીવનમાં જે કંઈ ઉપલક મેળવવામાં આવ્યું હશે એ તો કાળનો પવન આવતાંવેંત ઊડી જશે. શરણ્ય અને શરણાગત ઉભયનો મહિમા જ્યાં સુધી સમજવામાં નહીં આવે ત્યાં સુધી સુખનું નિર્મળ ઝરણું પ્રાપ્ત નહીં થાય. કવિની અન્ય રચનાઓની સરખામણીમાં આ રચના છાશ લેવા જવું હોય તો દોણી ક્યાં સંતાડવીના ન્યાયને અનુસરતી હોય એમ થોડી વાચાળ થઈ છે એ અલગ વાત છે.
ફાગણ ફટાણાં ગાવાની ઋતુ છે. આજેય હોળી એમનેમ નથી સળગતી, ને પહેલાંય એમનેમ નહોતી સળગતી. હોળી માટે ફાળો ઉઘરાવવાની પ્રથા શરૂથી જ ચાલી આવી છે. ને એમાંય ઘેરૈયાઓ ખેલ આદરે એટલે એ લોકો પોતાના માટે સિરપાવ ઇચ્છે એ તો વળી અલગ જ. ગામમાં કે શહેરમાં ચકલો હોય ત્યાં હોળી પ્રગટાવવામાં આવે છે. ઘેરૈયાઓની ટોળી નવાઈલાલ સાથે એકપક્ષી સંવાદાત્મક શૈલીમાં વાત કરતા હોય એ ઢબે આખી રચના થઈ છે. ગુજરાતીમાં હળવી કવિતાઓ બહુ ઓછી લખાઈ છે. એમાંય આવી સરસ નર્મ-મર્મ કવિતા તો જવલ્લે જ જોવા મળે. કોણ છે આ નવાઈલાલ? નવાઈલાલ એ વેણીભાઈ પુરોહિતનો ‘કોમન મેન’ છે. ‘ભોલી સૂરત દિલ કે ખોટે’ જેવા આ નવાઈલાલને ઘરૈયાઓ ચકલામાં થઈને ચાલતા અટકાવે છે, અને સેવ-ધાણી ખાવા માટે એની પાસે દાણ માંગે છે. જુવાનિયાઓ એ સમયગાળામાં ગામના ટોલનાકા જેવા હતા. એમને વટાવીને આગળ જવું હોય તો ટોલ તો ચૂકવવો જ પડે. કવિએ નવાઈલાલનું રસિક વર્ણન પણ કર્યું છે: ભોળી સિકલ, ખભે ઝોળી, પોતડી જૂની, ઊંધી ટોપી ને વાંકી દાંડીવાળા ચશ્માં! ભાભી કિંમત કરે કે ગામની ગોપીઓ હસે, એનાથી એ ડરતા નથી. પૈસા આપવામાં નવાઈલાલ નક્કી આનાકાની કરતા હોવા જોઈએ, એટલે જ તો ઘેરૈયાઓ એમને ઘેરમાં ફરવા માટે ને પછી નદીમાં જઈને નહાવા માટે લલચાવે છે. એ રંગાવા તૈયાર નથી, પૈસા દેવા તૈયાર નથી ને ઘેરૈયાઓ કેડો મૂકવા. આજના દિવસે કંઈ કોઈ કોરું રહી શકે? યાદ આવે: ‘એન્ની માનું કોરું નહીં જાય કોઈ બાકી…’ (ર.પા.)
હોળી-ધૂળેટી પર્વમાં આજે ગ્રહણના કારણે ખાલી દિવસ છે, પણ કવિતા માટે તો કોઈ દિવસ ખાલી ન જ હોય ને! સારી અને સાચી કવિતાના રંગથી તો ગમે તેને ગમે ત્યારે ને ગમે એટલીવાર રંગી શકાય ને!
ગુજરાતમાં શિયાળા દરમિયાન ઉત્તર-પૂર્વીય દિશામાંથી આવતો પવન ફાગણ શરૂ થતાં દક્ષિણ તરફથી ફૂંકાવો શરૂ થાય છે. દક્ષિણ ભારતના પશ્ચિમ ઘાટની પર્વતમાળામાં આવેલ મલય પર્વત એક જમાનામાં ચંદનનાં વનોથી ભર્યોભાદર્યો હતો. રામાયણ અને મહાભારતમાં પણ આ પર્વતનો ઉલ્લેખ છે, સુગંધિત ચંદનની વિશેષતાને કારણે તે પૌરાણિક કથાઓ અને કાવ્યોમાં વધુ અમર થઈ ગયો છે. ફાગણ આવતાં દક્ષિણથી વાવા શરૂ થયેલ વાયરાને કવિ મલય પર્વત પરથી આવતો કલ્પે છે. ફાગણ આવતાં જ સૃષ્ટિમાં નવ્યપ્રાણ ફૂંકાય છે. આંબે મંજરીઓ મહેંકી રહી છે તો પલાશના ઝાડોને કેસૂડો રંગોથી ભરી દે છે. એક ઘ્રાણેન્દ્રિયને તર કરે છે, તો બીજું દૃશ્યેન્દ્રિયને. બાકી હોય એમ કોયલ શ્રવણેન્દ્રિયને તુષ્ટ કરે છે. ધૂળેટી સ્પર્શેન્દ્રિયનું સુખ બનીને આવે છે. આવા ચેપી વાતાવરણનો છંદ ન લાગે ને જીવ લોભાય નહીં તો જ નવાઈ. દુનિયાના ચોકમાં ગાનમાં ઘેલાં થઈ સ્ત્રી-પુરુષ લિંગભેદ ભૂલી એકાકાર થઈ રંગે રમી રહ્યાં છે…. આવી મજાની સુખ સુહાગનવેળામાં ચારે તરફ લાલ રંગ ઉડાડવામાં ને રંગાવામાં આપ પણ જોડાવ છો ને?
હની હો બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
. પિયા પ્યારીની બની જોડી હો. ૦૫
– મીરાં
લયસ્તરોના તમામ ભાવકો, ચાહકો અને સહયોગી સર્જકોને હોળીપર્વના રંગબેરંગી વધામણાં…
હોળી પર્વ નિમિત્તે ભક્ત કવિ મીરાંબાઈનું એક ભક્તિપદ પ્રસ્તુત છે. રચના સહજસાધ્ય હોવાથી વિશેષ ટિપ્પણી અનાવશ્યક બની રહે છે. પણ આજની પેઢી માટે અમુક શબ્દો અજાણ્યા હોઈ, એમના શબ્દાર્થ અહીં મૂકીએ છીએ.
નૌતમ= નવતમ; તદ્દન નવું; અનુત્તમ;
ચરણાં = ચણિયો
ચૂવા= એક પ્રકારનું સુગંધી દ્રવ્ય; અગરનો અર્ક. તે જુદી જુદી જાતનાં ગંધદ્રવ્યોને એકઠાં કરી ગરમી આપી ટપકાવીને કાઢવામાં આવે છે. આનો ચંદન સાથે, લેપમાં તેમ જ મર્દનમાં ઉપયોગ થાય છે.
છીરકત = છાંટે છે
કનક = સોનું
કુંજગલન=કુંજગલી
થોડા વરસો પૂર્વે એક ગઝલ લખી હતી. એનો એક શેર આ ગીત વાંચતા સ્મરણપટલ પર તાજો થયો-
તમે કહો છો ભલે બુંદ પણ અમે કહીશું, તરી રહી છે સકળ કાયનાત ફૂલો પર. (વિમટે)
પ્રસ્તુત રચના તો આ ગઝલ લખાયાના ઘણા વરસો પહેલાંની છે, પણ ઝાકળબુંદમાં એક કવિને કાયનાત નજરે ચડી તો એક કવિને એમાં મોટો કમરો દેખાયો. કમરામાં બેઠા છે મોરલી વગાડતા કાનજીકુંવર. ઘાસ કે ફૂલની પાંખડી પર પડેલ તુષારના ટીપા તરફ સામાન્યજનનું તો કદાચિત ધ્યાન પણ ન જાય, પણ કવિની નજર સૌંદર્યાનુરાગી હોય છે. એ રુઢમાંથી પણ અરુઢ ખોળી લે. કવિને ટીપામાં કૃષ્ણ દેખાયો ને કૃષ્ણની ભીતર લીલું અંધારું ચમકતું દેખાયું. રાતના અંધારા અને કૃષ્ણના વાન આ બંને કાળાં. કવિને બંને અર્થ પણ અભિપ્રેત હોઈ શકે. અંધારું લીલું એટલા માટે છે કે ઘાસનો રંગ ઓસબુંદમાં ઝીલાઈ રહ્યો છે. લીલાશમાં તૂરાં ગાન ઊઘડે છે. એકીસાથે દૃશ્યેન્દ્રિયનો સ્વાદેન્દ્રિય અને શ્રવણેન્દ્રિય –એમ બેવડો વ્યત્યય થયો. પોતાના પગના ઓળા પણ કદાચ આ બુંદમાં ઝીલાઈ રહ્યા છે અને હવાની સાથે થતા ઘાસ કે ફૂલના ડોલન સાથે એ ઝીણું ઝીણું હલતા દેખાય છે. ઝાકળના પડું પડું થતું ટીપું હવે ક્ષણનું ટીપું બની ગયું છે અને એની નીચે કવિના પ્રાણ પળ પળ ટટલી રહ્યા છે… હમણાં પડશે, હમણાં પડશે… ને જીવતર પૂરું થશે. ઝાકળનું એ ટીપું એ આપણું ક્ષણભંગુર આયખું છે, જે હમણાં આખી સૃષ્ટિ સમાવી બેઠું હોય એમ પ્રતીત થાય છે, ને હમણાં ધૂળમાં પડીને ધૂળમાં ભળી પણ જઈ શકે છે. આપણે જે શોધવાનું છે એ છે આપણું ભાન. ભાન જડી જાય તો જીવતરના આ મોટા કમરામાં ઈશ્વર પણ સાથે જ બેઠા છે-મુરલિયાં બજવતા…
લોકો એમના પ્રેમ વિશે વિચાર્યે રાખે છે.
મારો પ્રેમ? હું ભૂલી જઈશ.
હું ભૂલવાની જેટલી વધારે કોશિશ કરું છું, એટલું જ તને વધારે વિચારું છું.
એમ વિચારીને, ‘કે કદાચ ભૂલી જઈ શકાય,’ હું વિચારવા મથું છું.
હું તને ભૂલવાની કોશિશ કરું છું, તો તારા વિચાર આવે છે,
વિચારું છું, મતલબ ભૂલ્યો નથી.
શું કરું? તને ભૂલવાનો કે વિચારવાનો પ્રયાસ જ ન કરું?
એ આખી વાત એમ જ છોડી દઉં- ભૂલવાનું પણ ને વિચારવાનું પણ?
પણ કાન આમથી પકડું કે તેમથી, બંને જ અશક્ય છે.
અંતહીન વિચારોમાં- વિચાર પર વિચાર-
ફક્ત અને ફક્ત પ્રાણપ્રિય જ છે. હું કરું તો શું કરું?
જો મારો ઉદ્દેશ્ય કેવળ ભૂલવાનો જ હોત,
તો એવું કંઈ નથી કે હું ભૂલી ન શક્યો હોત, પણ…
એ તો માત્ર નિદ્રા અથવા મૃત્યુ જ.
અશક્ય જ, જ્યાં સુધી પ્રિય છે.
રે! રે! ભૂલી ન શકાતા વિચારો કરતાં પણ
ભૂલી જવાની ઇચ્છા જ વધુ પીડાદાયક છે.
આજથી બરાબર સો વર્ષ પહેલાં ૧૯૨૬ની સાલમાં લખાયેલી આ કવિતા આજે સો વરસ પછી પણ કાગળ પરથી શાહી સિક્કે ભૂંસાઈ ન હોય એટલી તરોતાજા લાગે છે. કોરિઅન કવિ હાન યોન્ગ ઉન કવિ હોવા ઉપરાંત બૌદ્ધ સુધારક, અને કોરિયા પર જાપાની સાંસ્થાનિક શાસન સામેના અગ્રિમ સ્વતંત્રતા સેનાની પણ હતા. એમનાં પ્રેમકાવ્યોની પ્રેમિકા ક્યારેક ખરેખરી સ્ત્રી હોય છે, ક્યારેક એ ઈશ્વર હોય છે તો ક્યારેક એમનો દેશ! કાવ્યારંભે પોતાના પ્રિયપાત્રને ભૂલી જવાનો જે આત્મવિશ્વાસ છલકી રહ્યો છે એ કાવ્યાંતે પહોંચતા સુધીમાં નદારદ થઈ જાય છે. આ બે અંતિમો વચ્ચેની શબ્દયાત્રા કવિતાને મજેદાર બનાવે છે…
મૂળ કોરિઅન કવિતા અને ઉપલબ્ધ અંગ્રેજી અનુવાદ વચ્ચે સામંજસ્ય પૂરતું ન જણાતાં, અંગ્રેજી અનુવાદ ઉપરાંત શબ્દકોશ, ગૂગલ ટ્રાન્સલેટ તેમજ એકાધિક એ.આઈ. ચેટબોટની મદદથી કવિતાનો અંગ્રેજી અનુવાદ પણ આ વખતે મેં જાતે જ કર્યો છે, જેથી મૂળ કવિતાની બને એટલા નજીક રહી શકાય. આશા છે કે મિત્રોને ગમશે.
*
I would forget
Others would think of their loves.
My love I would forget.
The more I try to forget, the more I think of you.
Thinking, ‘perhaps it might be forgotten,’ I tried thinking.
If I try to forget, I think of you,
If I think, it is not forgotten.
Shall I try neither forgetting nor thinking?
Shall I try leaving it alone—whether forgetting or thinking?
But even so, it does not work.
In ceaseless thoughts—thought upon thought—
there is only the Beloved. What am I to do?
If I insist on forgetting,
It is not that I cannot forget, but…
it would be only sleep and death.
I cannot, while the Beloved remains.
Ah, ah, more than thoughts that are not forgotten,
That very wishing-to-forget is more tormenting.
– Han Yong-un
(Translated from the Korean by help of various AI tools)
ગાગરમાં સાગર જેવું ગીત. સમાધિ લાગી છે પણ એ કંઈ એમનેમ નથી લાગી ગઈ… ‘કરતાં જાળ કરોળિયો’ માફક લાગતાં લાગતાં લાગી છે. અંતર્ચક્ષુ ખૂલતાં આંખ જે નવ્ય ઊંડાણોને તાકી-તાગી રહી છે એનું સહેજ વિસ્મય પણ થાય છે, જેને કવિએ પ્રશ્નાર્થની મદદથી કંડાર્યું છે. પ્રથમ પંક્તિની વર્ણસગાઈનું સંગીત પણ કેવું મજાનું છે! ગીતને ઉપાડ લેતાવેંત એના કારણે જે પ્રવાહિતા સાંપડે છે એ આખી રચનાને વધુ આસ્વાદ્ય બનાવે છે…
આ એવી જગ્યા છે જ્યાં અજવાળું પણ નથી ને અંધારું પણ નથી; તળિયું પણ નથી ને કિનારોય નથી. બધા અંતિમ ઓગળી ગયાં છે અને અંતિમો ઓગળી જાય ત્યારે સતત ઊછળતાં મોજાં વચ્ચે પ્રભુકૃપાનું મોતી હાથ લાગે. સમાધિની પરા અવસ્થામાં શ્વાસોચ્છ્વાસની સ્થૂળ ક્રિયા પણ પ્રાણાયમ બની રહે છે… અને પ્રાણાયામેય કેવો! જ્યાં દરેક શ્વાસે સમંદર વીંટળાય અને ઉચ્છવાસે ઉકેલાય. રોમેરોમમાં સમસ્ત ગગન અકળ ઉજાસે ઝળહળી રહ્યું છે… સમુદ્ર-ગગન-અખિલાઈ… વયષ્ટિ સમષ્ટિ સાથે એકત્વ સાધે છે. તમામ હદ અનહદમાં ઓગળી રહે છે… દ્વૈત અદ્વૈતમાં એકાકાર થઈ ચૂક્યું છે. આ છે સમાધિની ચરમ અવસ્થાનું પરમ ગાન!
ગીતની પહેલી કડી વાંચતા જ આપણા સ્મૃતિપટ પર મધમીઠા ટહુકાઓ રેલવા લાગે- ‘સોના ઇંઢોણી રૂપા બેડલું રે નાગર, ઊભા રો’ રંગરસિયા…’ ‘સોનલાનું બેડલું તારી રૂપાની ઈંઢોણી, કોના તે ઘરના ભરીશ પાણી, રાજ રાજવણ.’ આ ગીતો મારી અને મારી આગળની પેઢીઓના લોહીમાં સીંચાયેલા છે. પ્રસ્તુત રચનામાં કવિએ આ જ રક્તસંસ્કારને વધુ અજવાળીને રજૂ કર્યા છે. ઢાળ અને ઢાંચો તો લોકગીતનો જ છે, પણ કવિકસબે એને આધુનિક ગીતોની હરોળમાં હકપૂર્વક બેસી શકે એવા જરકશી જામા પહેરાવ્યા છે. વેલણ અને પાટલી પર ગોરાંદે રોટલી નહીં, દિવસો વણી રહ્યાં છે. દિવસો જલ્દી જલ્દી વણાઈ જાય તો જ દરિયાપાર ગયેલ મનના માણીગર સાથે વેળાસર મુલાકાત સંભવે ને? બાજઠ અને વીંઝણો છે, પણ એકલા એકલા વિતાવવી પડતી રાતોને વીંઝવી છે. સોનાની થાળી અને રૂપાની વાડકી છે, પણ ગોરાંદે સાવ ખાલી છે… દરિયો-વગડો-ડુંગર-રણને વળોટીને વહાલો વહેલો આવે તો અંધારાં ટપકતાં અટકે ને સ્નેહનાં અજવાળાં રેલાય… ખરું ને?
નયન દેસાઈની બહુઆયામી ગઝલોનો એક આયામ છે ધ્વનિ. આમ તો આપણે શબ્દ અને શબ્દાર્થની સહાયથી કવિભાવ સુધી પહોંચવાને ટેવાયેલાં છીએ, પણ દર વખતે આમ હોતું નથી. પર્ણોની મરમર, પાણીનું ખળખળ, પાંખોની ફડફડ, પવનની સરસર –નિસર્ગ કેવળ ધ્વનિ લઈને આપણી સન્મુખ આવે છે, શબ્દ કે શબ્દાર્થ લઈને નહીં; અને તે છતાં આપણે પ્રકૃતિના કાવ્યને આસ્વાદી શકીએ છીએ. મનુષ્યની અભિવ્યક્ત થવાની ઝંખનામાંથી ભાષા જન્મી, પણ અભિવ્યક્તિ તો શબ્દાતીત પણ હોઈ શકે અને વિશુદ્ધ ધ્વનિ પણ કવિતાનું ઉપાદાન બની શકે એવી સમજણ સાથે નયન દેસાઈએ આપણને કેટલીક સુંદર કવિતાઓ આપી છે. ધ્વનિ અને ધ્વનિના કાકુઓએ એમને ખૂબ આકર્ષ્યા છે. એમની ઘણી રચનાઓમાં ધ્વનિક્રીડા સંભળાય છે. શ્રી કૈલાસ પંડિતે લખ્યું છે: ‘નયનને અર્થસભર કાવ્યથી વિશેષ લગાવ અર્થપારની ભાષા પ્રયોજી, અવાજ દ્વારા કવિતા રચવાના પ્રયાસમાં છે.’
મૉન્ટાજ એટલે એકાધિક ફોટોગ્રાફ્સ અથવા ફૉટોગ્રાફ્સના ભાગ કાપીકૂપીને એકસાથે ગોઠવીને સર્જવામાં આવતી કળાકૃતિ. એક રીતે કૉલાજ જ, પણ ફોટોગ્રાફ્સનું. કવિનો કેમેરા તો શબ્દોના ફોટા પાડે, એટલે કવિએ અહીં શબ્દ-મૉન્ટાજ સર્જ્યું છે. પ્રસ્તુત રચનામાં શબ્દાર્થ કે ભાવાર્થ શોધવા જઈએ તો ઊંધા માથે પડવાનો વારો જ આવે. કવિએ રવાનુકારી શબ્દો અને એકાક્ષરી વ્યંજનોની મદદથી અવળા હાથે કાન પકડી બતાવ્યો છે. કેવળ સાપને જ નહીં, એના ફુત્કારને પણ ચાક્ષુષ કરી દેખાડ્યો છે. એકાક્ષરી વ્યંજનોને પૂર્ણવિરામની મદદથી એકાક્ષરી વાક્યો બનાવી દીધા છે. વળી, એમને પંક્તિમધ્યે સ્થાન આપી પઠનની ગતિને પણ સાયાસ અવરોધી છે. સરવાળે, શબ્દોની અર્થહીન જણાતી લીલામાંથી કવિએ એક એવી તીવ્રાનુભૂતિ સર્જી છે, જેના કેન્દ્રમાં સાપ હોય. રચનાનો બાહ્યાકાર ગીત, મત્લાગઝલ અને ઊર્મિકાવ્ય એમ ત્રિવિધ રૂપે પોંખી શકાય એમ છે એ વળી અલગ જ ચર્ચાનો વિષય છે.
આધુનિકતા અને આંદોલનનું કફન માથે બાંધીને નીકળેલ મરજીવાઓને પણ પરંપરાના પોષણ વિના ચાલ્યું નથી. ગુજરાતી કવિતામાં ક્રાંતિ આણી નવોન્મેષ સાધવામાં અગ્રેસર ‘રે મઠ’ના અગ્રેસર સર્જક મનહર મોદી પાસેના ખજાનામાંથી પણ રુઢિગત ગઝલો મળી આવે છે. આમ તો છએ છ શેર ખૂબ જ મજાના થયા છે, પણ ‘હૈયાની માછલીના તરફડાટ’વાળો શેર મારા દિલની સવિશેષ નજીક છે. યુવાનીના અંતઃસ્ત્રાવોની હણહણાટી પૂરજોશમાં હતી એ ૧૪-૧૫ વર્ષની વયે આ શેર ક્યાંક વાંચવા મળ્યો હતો. એક-બે કરતાં ચાર-ચાર દાયકા વીતી ગયા, પણ આ શેર ભૂલાયો પણ નથી અને એણે મારા હૈયા પર કરેલ કામણ પણ મોળું પડ્યું નથી…
એણે એક કાગળ પર
અડખેપડખે મૂકી બે કવિતા
જમણે મહમૂદ દારવિશ
ડાબે યેહૂદા અમીચાઈ
ને શબ્દો તો વિચરતી જાતિ
માંડ્યા ભટકવા
આ તરફથી પેલી તરફ
જ્યાં લગી પંક્તિઓ તૂટીફૂટી ન ગઈ
જ્યાં લગી છંદ વીખરાઈ ન ગયા
જ્યાં લગી બધાય પ્રાસ
ઓળખાય પણ નહીં એટલા એકધારા થઈ ન ગયા
જ્યાં લગી એ બધા છિન્નભિન્ન ને લોહિયાળ ન થઈ ગયા
જ્યાં લગી મારા ભેજામાં એક નઠારું યુદ્ધ ચાલુ ન થઈ ગયું
જ્યાં લગી મેં એક ફૂટપટ્ટી પકડીને
ખેંચી ન કાઢી
એક સીધી જાડી લીટી
વચ્ચોવચ ત્યાં લગી.
હવે મારું મન જરી શાંત છે.
– પ્રતિષ્ઠા પંડ્યા
(* ‘એતદ્’નો ડિસેમ્બર ૨૦૨૩નો અંક વાંચતાં…)
એક કાગળ પર બે કવિતા અડખેપડખે મૂકવામાં આવી છે. આમ તો સર્જક કોઈ પણ બે કવિને પસંદ કરી શક્યા હોત પણ એમણે જે બે કવિઓ પર પોતાની પસંદગીનો કળશ ઢોળ્યો છે એ યેહૂદા અમીચાઈ (https://layastaro.com/?cat=404) અને મહમૂદ દારવિશ (https://layastaro.com/?cat=1376) – બંને વીસમી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયેલ ઉત્તમ કવિ હતા. અમીચાઈ ઇઝરાઈલના કવિ. ભાષા હિબ્રૂ અને દારવીશ પેલેસ્ટાઇનના કવિ, ભાષા અરેબિક. બંને દેશ વચ્ચેના યુદ્ધથી આપણે વાકેફ છીએ. આ બે કવિઓએ વીસમી સદીની કવિતાનો નવોન્મેષ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. બંને કવિની કવિતાઓએ ઇશ્વને વિચારતું કરી દીધું હતું. કદાચ સર્જક અહીં એ જ આપણને સમજાવવા ઇચ્છે છે. બીજું કોઈ કારણ હોય તો એ સમજવા માટે ‘એતદ્’નો ડિસેમ્બર ૨૦૨૩નો અંક વાંચવો પડે. અરસપરસ મૂકેલી બંને કવિતા થોડીવારમાં જ મૂર્તતામાંથી અમૂર્તતા સાધે છે… શબ્દો, પંક્તિઓ, છંદોપ્રાસ –બધું જ એમના અર્થ અને સંદર્ભ ગુમાવી બેસે છે. કેવળ કવિતા અને કવિતાનો ભાવ જ બચ્યા છે. કથકના મનોમસ્તિષ્કમાં તુમુલ યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે. સમગ્ર કવિતાની ભાષાની પંગતમાં આગંતુક લાગે એવા બે સહદો સર્જક અહીં પ્રયોજે છે – ભેજું અને નઠારું…. આ બે શબ્દો આપણને બે ઘડી અટકવા મજબૂર કરે છે. અટકીએ,જેથી લડાઈની ભીષણતા જોઈ-સમજી-અનુભવી શકાય. ઇચ્છા-અનિચ્છાએ પણ સર્જક કવિતાના અર્જિત કરેલ તમામ સંસ્કાર છિન્નભિન્ન થઈ જાય એવા લોહિયાળ યુદ્ધનું અવિભાજ્ય અંગ બની જાય છે. બે કવિની કવિતાઓ વચ્ચે ફૂટપટ્ટી વડે જાડી સીધી લીટી ખેંચી લીધા બાદ જ કવિમન સહેજ (વધુ કે પૂરેપૂરી નહીં, હંઅઅ) શાતા અનુભવે છે.
સર્જકને શું અભિપ્રેત હશે એ તો સર્જક જકહી શકે, પણ મને લાગે છે કે તેઓ આપણને કવિતા સાથે રૂબરૂ થવાનો કીમિયો શીખવાડે છે. કવિના સર્જનસમયના ભાવવિશ્વમાં પ્રવેશી શકાય તો જ કવિતા પામી શકાય. અને કવિસંવેદનની ધારથી લોહીલુહાણ થઈ ન જવાય ત્યાં સુધી કવિતા સાચા ભાવકને શાંતિનો શ્વાસ જ લેવા ન દે…
* * *
કવિતા ભાવકે ભાવકે નવાં વાઘાં પહેરે… સર્જકને શું અભિપ્રેત છે એ જાણીએ? આ રચના વિશે સુશ્રી પ્રતિષ્ઠા પંડ્યા કહે છે: “એક કવિનો શબ્દ છે જે સરહદો ને ઓળખની વાડથી વિહ્વળ થાય છે ઘવાય છે ને તો યે એને ઓળંગવાનું સાહસ ધરાવે છે. અને એક આપણું મન છે જે કવિતાના શબ્દોને પણ લીટીઓ દોરી દોરીને છૂટા પાડ્યા કરે છે. આ યહૂદી, આ અરબ, આ પેલેસ્ટાઇન, આ ઇઝરાઇલ, આ ભારતીય, આ પાકિસ્તાની…. આપણને વાડ ગમે છે ને જ્યાં સુધી એક સીધી લીટી દોરી ન નાખીએ આપણને ચેન નથી પડતું, ખરું ને?!“
એ પહેલું પહેલું આલિંગન,
એ હળવું માથા પર ચુંબન,
હજી સુધી તન-મનમાં કંપન
. પડઘાયે રાખે…
સુધ-બુધ જાયે, આવે, જાયે,
હું ખુદને જડતી ના ક્યાંયે,
ફરી ફરી ઇચ્છું છું આ યે-
. ફરી મને ચાખે.
જગ આખું લાગે છે પોકળ,
ખુશબૂથી પણ કોમળ કોમળ
મારા આ તન-મનની ભોગળ
. કોણ હવે વાખે ?
-વિવેક મનહર ટેલર
લયસ્તરોના સર્વે વાચકમિત્રોને વેલેન્ટાઇન ડે પર ખોબલો ભરીને વધામણાં… ગુજરાતી ભાષામાં જેનું બહુ જૂજ ખેડાણ થયું છે એવું અંજનીકાવ્ય આ નિમિત્તે પ્રસ્તુત કરું છું… અંજનીકાવ્ય વિશે વિગતે માહિતી મેળવવા ઇચ્છતા જિજ્ઞાસુ મિત્રોને અહીં ક્લિક કરવાથીએ માહિતી મળી રહેશે…
એકવાર:
એક ઓરડો
એક ટાઇપરાઇટર
એક નોકરી
એક અલાર્મઘડિયાળ
એક એકલતા
એક આશા
હવે:
એક એપાર્ટમેન્ટ
એક સમરહાઉસ
વસ્તુઓ
એક પતિ
ત્રણ બાળકો
દરજ્જો
મિત્ર
પ્રેમી
કામવાળી
ઉપેક્ષિત
કબરો
હેરડ્રેસર
મનોચિકિત્સક
પૈસા
મડાગાંઠ
ખુશીનો
અભાવ
સારી વસ્તુઓ એમને મળે છે
જેઓ રાહ જુએ છે
મારી માતાએ કહ્યું હતું
ઝંખના અને
સમજણ
એમને બહુ મોડેથી
લાધ્યાં હતાં.
એમનું મૃત્યુ
નર્સિંગ હોમમાં થયું
જ્યાં એ કોઈને
ઓળખતી નહોતી.
લોકો મોટાભાગે
એકબીજા માટે
ગેરસમજણ જ ધરાવતા હોય છે.
તેણીના હાથ
બહુ જ સુંદર હતા.
ધ્યાન બહાર
જિંદગી સરકી ગઈ.
– ટૉવે ડિટ્લેવ્સેન
(અંગ્રેજી અનુવાદ પરથી અનુ.: વિવેક મનહર ટેલર)
હિસાબ કરવો એ માનવપ્રકૃતિનો અંતર્નિહિત ભાગ છે. પૈસા હોય કે સંબંધ, વ્યવહાર હોય કે લાગણી –આપણે શું ગુમાવ્યું ને શું મેળવ્યુંનો રોજમેળ મેળવ્યા વિના રહેતા નથી. પણ જીવનની ખાતાવહીના જમા-ઉધાર અલગ પ્રકારના હોય છે. આવકના લેખાજોખા કઈ રીતે કરવા એ તો શીખી-શીખવાડી શકાય છે, પણ જીવનના હિસાબકિતાબ તો જાતઅનુભવે જ શીખવા પડે છે. આવી જ કોઈક ગણતરીની ફળશ્રુતિ એટલે ટૉવે ડિટ્લેવ્સેન લિખિત આ કાવ્ય.
શરૂઆત ‘એકવાર’થી થાય છે. જીવનનો એ સમય આર્થિક સંકડામણનો સમય હતો. રહેવાને ઘર નહીં, કેવળ એક ઓરડો હતો. અને ઓરડામાં હતું એક ટાઇપરાઇટર. રહેવા માટે ઘરના નામે કેવળ ઓરડો જ હોય એ માણસ ટાઇપરાઇટર શા માટે વસાવે? ટાઇપરાઇટર એટલે સાહિત્યસર્જન. યાદીનો ક્રમ પણ નોંધનીય છે. પહેલાં માથા પરની છત, પછી કળા અને એ પછી નોકરી. પહેલાં સરસ્વતી, પછી લક્ષ્મી. આખી કવિતા આ રીતે માણી શકાય. જે મિત્રોને કવિતાનો વિશદ આસ્વાદ માણવો હોય તેઓ અહીં ક્લિક કરીમાણી શકે છે.
February 12, 2026 at 11:21 AM by વિવેક · Filed under પન્ના નાયક, સોનેટ
(પૃથ્વી)
વિદાય વખતે, અરે! નયનમાં કશી ભીડ છે!
નહીં ટપકી જાય આંસુ: ક્ષણને અહીં શ્રાવણે
જરીક નહીં ભીંજવું: મન મહીં રહી ઝંખના!
રહ્યા અચળ જોજનો: અચળ કાળ: ને પંખ-ના
મને કદીય ફૂટશે. નજીક તું છતાં દૂર છે.
અરે! પ્રણય કુમળો: તદપિ કેટલો ક્રૂર છે!
હવે દિવસ આંધળો: રજની પાંગળી: શબ્દ સૌ
ઉદાસ થઈને ઊભા: નિજ તણી નિરાધારતા
ગયા અવશ ઓળખી: સમય આપણો વારતા
થઈ વહી ગયો, હવે પળપળે નરી વેદના.
હવે દિવસ કેટલા? સમય કેટલો? આપણે
અહીંથી પડશું છૂટા: હૃદયમાં ભરી મૌનને
તડાક દઈ તૂટતા મિલનના ઋજુ તાર આ.
કદીય નહીં ઓગળે ખડક જેટલો ભાર આ.
– પન્ના નાયક
સારા કવિ ખપ મુજબના શબ્દનું સર્જન કરી ભાષાને વધુ સમૃદ્ધ કરતા હોય છે. થોડા સમય પહેલાં પન્ના નાયકે હાઈકુ સંગ્રહ આપ્યો પણ હાઈકુના સત્તર અક્ષરમાં સહેજસાજ ફેરફાર કરીને સંગ્રહનું નામ અત્તર-અક્ષર આપ્યું… પ્રસ્તુત સૉનેટનું શીર્ષક જુઓ… ‘ઋણાનુબંધ’ શબ્દથી આપણે સહુ પરિચિત છીએ… સર્જકે એની આગળ કેવળ ‘ક’ ઉમેરી ‘કરુણાનુબંધ’ શબ્દ કોઇન કર્યો છે. સૉનેટમાંથી પસાર થઈએ ત્યારે ખ્યાલ આવે કે મધુર પ્રણયસંબંધ તૂટતાં ઉદભવતું આ ‘કરુણ બંધન’ કેવું હૃદયવિદારક છે!
મિલનનો નાજુક તાર તૂટ્યા પછી સર્જાતા વિયોગનું આ કરુણ ગાન છે. વિદાય વખતે આંખોમાં હકડેઠઠ ભીડની જેમ ધસી આવવા આતુર આંસુઓને અટકાવી રાખવા નાયિકા કટિબદ્ધ છે, નાહક આ ક્ષણ શ્રાવણની વર્ષાથી ભીની થઈ જાય! આંખમાં આંસુ આવી જાય તો દૃશ્ય ધૂંધળું થઈ જાય ને! બંને જણ આમ નજીક જ છે, પણ હવે ચળી ન શકે એટલા જોજનોનું અંતર બે અંતર માંહ્ય આવી ઊભું છે. આ અંતર કાપી શકાય એ માટેની પાંખ પણ હવે ફૂટવાની નથી. દિવસનું અજવાળું અંધારા બરાબર છે અને રાત તો પાંગળી જ છે. શક્યતા દેખી શકાય એ સ્થિતિ જ રહી નથી. નિજની નિરાધારતા ઓળખી ગયેલ શબ્દ પણ ઉદાસ થઈ મૌન ઊભા છે. કાયમી છૂટા પડવામાં હવે બહુ સમય બચ્યો નથી. મિલનનો તાર તૂટ્યો છે ને એનો ભાર કદી ઓગળી ન શકે એવી ખડક જેવો વર્તાય છે.
ગઝલની વિચક્ષણ લાક્ષણિકતા એ છે કે ઓછામાં ઓછા શબ્દોમાં એ મોટામાં મોટી વાત કહી શકે છે. ટૂંકી બહરની આ ગઝલના તમામ શેર અદભુત થયા છે. તીરના તેજ પ્રહાર વિના સંસારનો નશો ઉતરતો નથી એ સાચું પણ એ વાતનો અહેસાસ આપણામાંથી કેટલાને હોય છે? ઈશ્વર પાસેથી સારું જીવન તો આપણે સહુ માંગીએ છીએ, પણ શિલ્પી જે રીતે છીણી-હથોડી વડે પથ્થરને નિર્મમપણે કોતરીને શિલ્પ સર્જે એ રીતે સર્જનહાર પણ કોઈપણ જાતની દયા દાખવ્યા વિના સ્વયંને મઠારે એવી ઇચ્છા પોતે જ કેટલી મોટી વાત કહેવાય! કોઈના નિઃશ્વાસ ઝીલી લઈ એને સહાયભૂત થવાની મનોકામના પણ સ્પર્શી જાય એવી છે.
February 7, 2026 at 12:03 PM by વિવેક · Filed under કુણાલ શાહ, ગઝલ
આખર તું દોસ્ત છે તો તને ફાવતું કર્યું,
પહોંચી વળાય એમ હતું પણ જતું કર્યું.
વિશ્વાસઘાતનું તને કુરિયર મળ્યું હશે-
તારું હતું એ યાર તને પહોંચતું કર્યું.
ઠલવાઈ જાય એમ હતી લાગણી છતાં
વ્યવહાર સાચવીને જે ઘટતું હતું કર્યું
પહેલાં તો એની સાથે કરી કાલીઘેલી વાત
સપનાને માંડમાંડ અમે બોલતું કર્યું
શોધે સિપાઈ રાતદિવસ એક શખ્સને
જેણે નગરને આજ ફરી વાંચતું કર્યું
– કુણાલ શાહ
ભાષા વહેતી નદી જેવી છે… નદી મૂળથી નીકળે ત્યારે અલગ હોય પણ સમુદ્ર સુધી પહોંચતામાં તો એના રંગ-રૂપ બધું જ બદલાઈ જાય. ભાષા પણ સમયના અલગ-અલગ ખંડોમાં વહેતી જાય એમ એમ એના રંગરૂપ બદલાતા જાય.. નરસિંહથી નીકળીને આજના કિનારાઓ વચ્ચે વહેતી વહેતી આવેલ ગુજરાતી ભાષા પણ કેવી બદલાઈ ચૂકી છે! પરિણામે આજની ગુજરાતી કવિતામાં વિશ્વાસઘાત કરનાર મિત્રને સામો વિશ્વાસઘાત કુરિયરમાં પરત મોકલી શકાય છે. મત્લા અને એના પછીના શેર- બંનેનું ભાવવિશ્વ પરસ્પરથી સાવ વિરુદ્ધ દિશાનું હોવા છતાં ગઝલની સ્વીકૃત વ્યાખ્યા મુજબ એ નિર્વાહ્ય બને છે. સપનાંને બોલતું કરવાવાળા શેરમાં ઉલા મિસરાના ‘પહેલાં’ સાથે સાની મિસરામાં ભાષાકીય દૃષ્ટિએ ‘અમે’ના સ્થાને ‘પછી’ શબ્દપ્રયોગ કદાચ વધુ ઉચિત ગણાય. પણ એનાથી શેરની મજામાં વાંધો નથી પડતો અને આપણને તો એનાથી જ કામ હોય ને! છેલ્લો શેર સરમુખત્યારશાહી તરફ ગતિ કરી રહેલ લોકશાહીને તંતોતંત તાદૃશ કરે છે. સરવાળે આખી ગઝલ આસ્વાદ્ય.
February 5, 2026 at 8:03 AM by વિવેક · Filed under નિરંજન ભગત, સોનેટ
(ઇન્દ્રવજા)
જાણું ન જાવું અવ કઈ દિશામાં,
આષાઢની ગાઢ થતી નિશામાં?
કેડી મને તું પ્રતિ જેહ લાધી
હતી, હવે લુપ્ત કરાલ આંધી
મહીં, રહી ના દૃગનીય દીવી!
ક્યાંથી હવે તેજલધાર પીવી?
હાવાં અહીં આ અધવાટ, સીંચી
અશ્રુભરી અંજલિ, નેત્ર મીંચી
હું પ્રેમનું પુષ્પ રહ્યો છું મ્હોરી;
કે એહની ફોરમ મત્ત ફોરી
આ આંધીનો વાયુ જ વ્હૈ જશે રે,
તને કથા સર્વ કહી જશે રે!
ત્યારે સ્વયં તું નિજને જ હાથે
મેલીશ એ પુષ્પ સગર્વ માથે !
– નિરંજન ભગત
પ્રિયજન તરફ દોરી જતી કેડી તો કથકને હાથ લાગી છે, પણ જામતી જતી આષાઢી રાત્રે વિકરાળ આંધીમાં એ દેખાતી બંધ થઈ ગઈ છે. કઈ દિશામાં જવું એની ગતાગમ હવે કેમ પડે? આવામાં આંખોના દીવા કઈ રીતે તેજધાર પીએ? ગતિ અટકી ગઈ છે, પણ પ્ર-ગતિ નહીં. અધમાર્ગે અટકી જઈ આંખો મીંચી ભાવપૂર્વક આંસુડા સીંચીને અષાઢી રાત કાવ્યનાયક પ્રેમપુષ્પ ખીલવે છે. એને પૂરી શ્રદ્ધા છે કે કાલિદાસના મેઘદૂતની જેમ આ આંધીનો વાયુ આ પ્રણયપુષ્પની ફોરમને અને દિલની બધી વાત પ્રિયા સુધી પહોંચાડી દેશે. આમ થશે ત્યારે પ્રિયા ગર્વ સાથે પ્રીતિના એ ફૂલને પોતાના હાથે સ્વયંના માથે ચડાવશે. પ્રિયજનના સ્થાને પરમેશ્વરને મૂકીને આખી રચના ફરીથી વાંચીએ તો?
આષાઢી રાત, દૃગની દીવી અને પ્રેમના પુષ્પના ઉલ્લેખ આપણને કવિ ન્હાનાલાલનું પણ સ્મરણ કરાવે છે:
ચોમેર ચમકે છે દૃષ્ટિની દામિની;
આંખડીની આશ એ શું ચારૂ ચીતરી !
આ આષાઢી વાદળી વીજે ભરી.
મ્હાલે મંહી નીર ગંભીર મેઘનાં;
મેઘલી એ રાત જાણે ચન્દ્રનીતરી:
આ આષાઢી વાદળી વીજે ભરી.
ઘૂઘવે સાગર કાળી રાત આ,
. દૂર ઊઘડે ઉજાશજી;
શઢ રે તૂટ્યા ને ડૂબે નાવડી,
. તૂટે તોયે ના આશજી;
. પથ રે લાંબો ને ટૂંકું આયખું હોજી.
– નંદકુમાર પાઠક
સરળ પણ સંતર્પક ગીતરચના… અનિલ ચાવડાનો શેર યાદ આવે:
અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે,
તું ચમચી લઈને ઊભો છે દરિયો માંગવા માટે?
પ્રકૃતિનું ઔદાર્ય આપણી ક્ષમતા અને સમજ બહારનું છે. એ જે આપે છે, અઢળક ને અપાર આપે છે, પણ આપણો ખોબો જ નાનો પડે છે. આપણે કેવળ આશા ટકાવી રાખવાની છે… એ જ આપણને કાજળકાળી રાતમાંય ઉજાસ સુધી લઈ જશે.