દેવદારી ખુશબૂ – જેન હર્શફિલ્ડ (અનુ.: વિવેક મનહર ટેલર)
દાયકાઓ બાદ,
હજી આજેય,
હું ઠંડા પાણીથી જ મારા ચહેરાને ધોઉં છું-
અનુશાસન માટે નહીં,
ન તો કોઈ યાદ ખાતર,
ને નહીં એ બર્ફીલી, જગાડી દેતી થપ્પડ કાજે,
પણ સ્વયંને
કેળવવા માટે
અવાંછિતને વાંછિત બનાવવાની પસંદગીથી.
– જેન હર્શફિલ્ડ (અંગ્રેજી)
(અનુ.: વિવેક મનહર ટેલર)
આપ અત્યારે આ કવિતા વાંચી રહ્યા છો એનો અર્થ જ એ કે કવિતા આપને આકર્ષે છે. પણ શું આપે કદી એ વિચાર્યું કે કવિતા આપણને શા માટે આકર્ષે છે? હજાર કારણ છે, પણ એમાનું એક કારણ તે આ. જુઓ આ કવિતા. સાવ જ નાનકડી. ત્રણ-ત્રણ વાક્યખંડોના ત્રણ વિભાગમાં વહેંચી દેવાયું હોય એવું એક જ વાક્ય. ભાષાય કેવી સરળ! કશું ન સમજાય એવું આમાં છે જ નહીં ને તોય, છેલ્લી પંક્તિ હૈયામાં એવી ઊંડી અસર કરી જાય એવી જે લાંબા સમયથી તરોતાજા રહે. ગાલ પર તસતસતો તમાચો પડે અને ઊંઘ ઊડી જાય એવા ઠંડાગાર પાણીથી ચહેરો જોવાની દાયકાઓથી પાડી દેવાયેલી આદત કથક આજેય છોડવા માંગતો નથી, કારણ એ પોતાની જાતને અણગમતી વસ્તુઓને ગમાડી દેવા માટે કેળવવા ઇચ્છે છે. –કવિતા તો બસ આટલી જ છે, પણ સ્વની વાત સર્વની બની રહે છે. સમાજ સર્જાયો નહોતો એ પહેલાં પણ લાખો વરસ સુધી મનુષ્ય જીવતો જ હતો, પણ સમાજ સુરક્ષિતતા અને હૂંફની અનુભૂતિ કરાવતો હોવાથી આદિમાનવ ધીમ્ધીમે સામાજિક પ્રાણી બન્યો. જો કે સમાજથી વધુ મોટૉ પઠાણી ઉઘરાણીકાર બીજું કોઈ ન હોઈ શકે. એનો ટોલ ટેક્સ ઘણૉ વધારે પણ છે અને ફરજિયાત પણ છે. સમાજ આપણને અંકુશમાં રાખે છે. આપણે આપણી ઇચ્છાઓને મારીને જીવવા માટે એ મજબૂર કરે છે. અણગમતી વસ્તુઓ અને વાતો ગમાડવાની એ આપણને ફરજ પાડે છે. આવું અનિચ્છનીય કામ કરવામાં માંહ્યલો વિરોધ ન કરે એ હેતુસર કથક ન ગમતી આદત સાથે દાયકાઓથી જીવી રહ્યો છે.
ખ્યાલ આવ્યો ને? આ વાત નાયકની એકલાની નથી, આપણા સહુની છે. અને વયષ્ટિની અનુભૂતિ સમષ્ટિની બની રહેતી હોવાથી કવિતા આપણને આકર્ષે છે.
શીર્ષક અને કવિતા વચ્ચે આમ જુઓ તો કોઈ સંબંધ નથી અને તેમ જુઓ તો? – ચાલો, આ બે છેડા જોડવાનું કામ તમારા પર છોડી દઈએ તો????
