તમે જશો ને – નયન દેસાઈ
સૂના ઘરમાં ખાલી ખાલી માઢ-મેડિયું ફરશે;
તમે જશો ને ઉંબર પર ઘર ઢગલો થઈને પડશે…
પછી પછીતેથી હોંકારાનો સૂરજ ઊગશે નહીં
અને ઓસરીમાં કલરવનાં પારેવાં ઊડશે નહીં
સમી સાંજના ધ્રુસકે ધ્રુસકે તુલસીક્યારો રડશે..
તમે જશો ને ઉંબર પર ઘર ઢગલો થઈને પડશે.
પીઠ્યટ્ટા પાનેતર જેવું પછી નહીં કોઈ મલકે,
પગલે પગલે ઓકળીઓના મોર પછી નહીં ટહુકે
તરફડતું એકાંત હશે ને ભણકારા ભાંભરશે…
તમે જશો ને ઉંબર પર ઘર ઢગલો થઈને પડશે.
ખળી, ઝાંપલી, વાવ, કૂવો, પગદંડી ખેતર, શેઢા,
બધાં તમારાં સ્પર્શ વગરનાં પડી રહેશે રેઢાં,
તમે ‘હતાં’નું ઝાકળ પહેરી પડછાયાઓ ફરશે…
તમે જશો ને ઉંબર પર ઘર ઢગલો થઈને પડશે..
– નયન દેસાઈ
હવે આ સ્વયંસિદ્ધ રચનાને ટિપ્પણીની શી આવશ્યક્તા? વાંચતાવેંત વિરહની છરી કોઈ આપણી ભીતર હૂલાવી તળેઉપર કરી રહ્યું હોય એવી ધારદાર વેદના ન અનુભવાય તો જ નવાઈ…
કવિશ્રી ગૌરાંગ ઠાકરે એકવાર કવિને આ ગીતના સંદર્ભ વિશે પૃચ્છા કરી હતી ત્યારે કવિએ કહ્યું હતું કે આ રચના દીકરી માટે લખાયેલી છે. ખેર, કવિતામાં એ સંદર્ભ સાફ દેખાતો ન હોવાથી પિતા હોઈએ તો પુત્રીના સાસરીગમનને ધ્યાનમાં રાખીને પણ આ ગીત માણી શકાય અને પતિ કે પ્રેમી હોઈએ તો પત્ની કે પ્રિયતમાના વિયોગની વેદના પણ આમાં અનુભવી શકાય… આમેય ખરી કવિતા જ એ જે સ્વથી શરૂ થઈ સર્વ સુધી પહોંચે…


વિરલ વ્યાસ said,
July 4, 2026 @ 9:53 AM
તમે જશો ને ઉંબર પર ઘર ઢગલો થઈને પડશે…..વાહ
DILIPKUMAR CHAVDA said,
July 4, 2026 @ 11:36 AM
ખળી, ઝાંપલી, વાવ, કૂવો, પગદંડી ખેતર, શેઢા,
બધાં તમારાં સ્પર્શ વગરનાં પડી રહેશે રેઢાં
વિરહની ચરમસીમા
વાહ ભાઈ વાહ
Nirja parekh said,
July 4, 2026 @ 2:00 PM
હૃદયસ્પર્શી… Waah
Jayesh Bhatt said,
July 4, 2026 @ 5:03 PM
વાહ
Riyaz Langda said,
July 4, 2026 @ 5:54 PM
આહ!
Yogesh Pandya said,
July 4, 2026 @ 9:53 PM
અદભૂત ગીત!