એકાંત – ભરત ત્રિવેદી
બારણાને હાથ લાગતાં જ
હાથ પકડી લે છે
બાઝેલાં જાળાં
અજાણ્યો ધારીને મને.
ભીતર
પૂર્વજોના ચહેરા પરની કરચલીઓ
ફોટામાંથી
ખરતી રહી ફેલાઈ ગઈ છે
કમરાની દીવાલ પર
ને
દર્પણમાં થીજી ગઈ છે
ઘરવખરી.
બારી ખોલતાં જ
વર્ષોથી ભરાઈ પડેલું
એકાંત
બહાર કૂદી પડે છે .
– ભરત ત્રિવેદી
કવિએ જે કહ્યું નથી એ કવિતા આપણને કહે છે. કાવ્યનાયક વર્ષો પછી (વતનમાં) ખાલી પડેલ ઘરે પરત આવ્યો છે. ઘરના મોભીઓ હવે હયાત નથી. વિદેશમાં અથવા શહેરમાં નાયકનું જે કુટુંબ હશે, એમને આ ઘર સાથે કોઈ સંબંધ કે લાગણી ન હોવાથી નાયકને એકલા જ આવવાની ફરજ પડી છે. બારણાં પર વિગત સમય જાળાં બનીને ફેલાઈ વળ્યો છે, અને દીવાલો પર ફોટામાંના પૂર્વજોના ચહેરા જેવી જ તિરાડો પડી ગઈ છે. દર્પણમાં થીજી ગયેલી ઘરવખરી થીજી ગયેલ સમયને ઈંગિત કરે છે. બારી ખોલતાં જ ઘરમાં વર્ષોથી પૂરાઈ રહેલું એકાંત જાણે કે બહાર કૂદી પડે છે… કાવ્યનાયક અહીં રહેશે, ત્યાં સુધી આ ઘર ફરી થોડા સમય પૂરતું સજીવન થઈ જશે… ઘરમાં વરસોથી પૂરાઈ રહેલ એકાંત બારીમાં થઈને આપણી ભીતર કૂદી પડ્યું હોય એવો વિષાદ રચનામાં સાદ્યંત અનુભવાયા કરે છે.

