(કલા સાથે વ્યથાનું આ રીતે એકીકરણ આવ્યું) – કાબિલ ડેડાણવી
કલા સાથે વ્યથાનું આ રીતે એકીકરણ આવ્યું,
કે કસ્તૂરીને સાથે લઈ ફફડતું કો’ હરણ આવ્યું.
બધાને એમ લાગ્યું પ્રેમમાં એકીકરણ આવ્યું,
ખબર કોને, મિલનરૂપે સરિતાનું મરણ આવ્યું
મહોબતના જગતમાં ખેલદિલી હોય છે આવી,
હતો સાગર જો બેપરવા તો દોડીને ઝરણ આવ્યું.
કદી સુંદર દિસે છે તો કદી નિષ્ઠુર લાગે છે,
તમારા રૂપમાંયે કેવું આ વર્ગીકરણ આવ્યું?
તમારી યાદ આવી તો હું સમજ્યો કે તમે આવ્યા,
મને લાગ્યું સૂરજ આવ્યો નજરમાં જ્યાં કિરણ આવ્યું.
ખુશી તારા વિચારે થાય છે તો એમ લાગે છે,
જીવનની રાહમાં ખળખળ થતું કોઈ ઝરણ આવ્યું.
તમે લાંબે જનારી મારી દષ્ટિને કરી ટૂંકી,
તમે આવ્યા ને દૃષ્ટિ પર તમારું આવરણ આવ્યું.
મહોબતમાં પ્રવેશ્યા બાદ મુજને સત્ય સમજાયું,
છલોછલ ઝાંઝવાનાં જળ ભરેલું કોઈ રણ આવ્યું.
ખુશીની વાત એથી તો નથી લખતો કવિતામાં,
કોઈ કહેશે કે ‘કાબિલ’ની ગઝલમાં અવતરણ આવ્યું
– કાબિલ ડેડાણવી
વાયકા છે કે કસ્તૂરીમૃગ જીવનભર કસ્તૂરીની સુગંધના સ્રોતને શોધવા આકળવિકળ દોડતું રહે છે. હકીકતમાં એ તો એની નાભિમાં જ હોય છે. કસ્તૂરીમૃગના સંદર્ભે કલા અને વ્યથાના અવિનાભાવી સંબંધને કવિએ કેવી કાબેલિયતથી દર્શાવી દીધો! નદી અને સાગરના મિલનમાં નદીનું મરણ થતું તો કોઈ સંવેદનશીલ કવિ જ જોઈ શકે. જે કવિ એક શેરમાં સાગરમાં ભળી જતી નદીમાં મરણ જુએ છે એ જ કવિ બીજા શેરમાં સાગરની બેપરવાહી જોઈને દોદી આવતા ઝરણની વાત કરે છે. બંને વળી, પ્રેમના સંદર્ભે જ. મતલબ, એક જ અહેસાસને એક જ કવિ અલગ-અલગ રીતે પણ જોઈ શકે છે. પ્રેમ છે જ ક્લાઇડોસ્કૉપ જેવો. ભાતીગળ. સતત પરિવર્તનશીલ. ખરું ને?

