બ્રાહ્મણ અને ક્ષત્રિય – દલપતરામ
એક સમે એક ક્ષત્રિ આગળ બ્રાહ્મણે કહ્યું,
અરે આજ અસલના ક્ષત્રિ યાદ આવિયા;
દેશમાં ન થવા દેતા પરદેશિનો પ્રવેશ,
જેઓએ સંગ્રામ સજી જસ સંપડાવિયા;
અરે આ ભરતખંડ ભૂમિયે એવા ભૂપાળ,
શુરવીર ધીર ગુણવાળા ક્યાં ગુમાવિયા;
કહે દલપતરામ શુણીને ક્ષત્રિયે કહ્યું,
અસલના ઋષિયોના રક્ષણે સિધાવિયા.
– દલપતરામ
ગુજરાતી કવિતામાં હાસ્યવ્યંગની રચનાઓ પહેલેથી ઓછી જ જોવા મળે છે. પણ દલપતરામે જે તે સમયે આ બાબતમાં સઆરું કામ કર્યું હતું. કવિના પ્રિય મનહર છંદમાં આ કવિતાને મોટેથી લલકારશો તો વધુ મજા આવશે. પહેલી છ પંક્તિમાં બ્રાહ્મણ ક્ષત્રિયોની ઠેકડી ઊડાડે છે અને છેલ્લી બે કડીમાં ક્ષત્રિય એને જડબાતોડ જવાબ આપે છે.

