આવકાર સપ્તાહ: ૦૩: “આયના સામે” – અગન રાજ્યગુરુ
લયસ્તરો પર કવિના ત્રીજા ગઝલસંગ્રહ “આયના સામે”નું સહર્ષ સ્વાગત… સંગ્રહમાંથી થોડા છૂટાછવાયા શેર આપ સૌની ખિદમતમાં પેશ કરીએ છીએ.
પ્રસ્તુત ગઝલોમાં સંવેદનશીલતા, અભિવ્યક્તિની સહજતા અને ગઝલ પ્રતિની નિષ્ઠા સ્પષ્ટપણે અનુભવી શકાય છે. કવિનો આ ત્રીજો સંગ્રહ છે, પણ સંગ્રહની કુલ એંસી જેટલી ગઝલો મુખ્યત્વે પાંચ-છ છંદોના નાનાં-મોટાં આવર્તનોમાં જ રચાઈ હોવાથી છંદવૈવિધ્યનો અભાવ સહેજ ખટકે છે. આવનારા સંગ્રહોમાં વધુ વ્યાપક છંદવૈવિધ્ય તેમજ વધુ સંખ્યામાં સુવાંગ અને સર્વાંગી ગઝલોનો સાક્ષાત્કાર થાય એવી અપેક્ષા સાથે આ પ્રતિભાશાળી સર્જકમિત્રને હાર્દિક અભિનંદન અને અનેકાનેક શુભકામનાઓ.
*
ચાલવાની હામ સાચી હોય તો,
કોઈ પણ રસ્તો મજાનો થઈ શકે.
ફૂલ પર કબ્જો ‘અગન’થઈ જાય પણ,
મહેક પર કોનો ઈજારો થઈ શકે?
આ તાજગી બીજા તો કોઈ કારણે નથી,
થોડીક ઊંઘ, થોડી ઉષાની કમાલ છે.
જિંદગી જીવું છું ટુકડામાં ‘અગન’,
એ છતાં તૂટી ગયો એવું નથી.
એ પણ ખબર નથી રહી તારા વિચારમાં,
કે દિન ગયો કે રાત હજી ત્યાં ને ત્યાં જ છે?
તું જુએ ઘરમાં એ જુદી વાત છે,
હું ખરેખર બારણાંની બહાર છું.
હું બહુ જોરથી હસી લઉં છું,
છે અનોખું બહુ રુદન મારું.
રહું છું મૌન એનો અર્થ એ કે,
હું કોઈ વાતનું ખંડન કરું છું.
ઓણ ચોમાસે હતો હું એકલો,
ઓણ છે વરસાદ પણ વાછટ સમો.
રાત છે, એકાંત છે ને આભ છે,
હાય! એમાં ચંદ્ર એની લટ સમો!
એમણે જોયો મને, મેં એમને,
કેટલાં વર્ષો ફરી બેઠાં થયાં!
એમ લાગે જિંદગી તારા વગર,
ફ્રેમ છે, ને ફ્રેમમાં ફોટો નથી.
ભલે ભીડ વચ્ચે ભટકતો રહું પણ,
તને ના મળું ત્યાં લગી એકલો છું.
વળગણ કદીયે કાયમી રહેતું નથી ‘અગન’,
ગમતું રહે છે માત્ર એ હાંસલ થવા સુધી…
હૃદયની વાત બુદ્ધિને કહો મા,
એ ભાષણ આપશે દીવાનગી પર.
હવે આ સાંજને વાચા ફૂટે એવું કરો કોઈ,
અનુત્તર ક્યારથી મારી ઉદાસીના સવાલો છે.
– અગન રાજ્યગુરુ


