તું હિસાબોની બ્હાર રહેવાનો,
શું કરું હું તને ઉધારીને ?
અંકિત ત્રિવેદી

સીમની માયા – મનોહર ત્રિવેદી (આસ્વાદ: ઉદયન ઠક્કર)

ખેતરનાં સૌ કામ આટોપી
ઘરઢાળાં અમે નીકળ્યાં સાંજે સીમની માયા સીમને સોંપી

ભોયમાં વેર્યાં બીજ ને
ધરુવાડિયું ખોલે મોં, વાલીડા
ચૂંટી ચૂંટી રોપ ધર્યા તો
ક્યારીઓ કે’ : ઓહહો, વાલીડા
નીકની ડાબે રીંગણી-લસણ : જમણી બાજુ મરચી ચોપી

રાત બોલી ત્યાં વાડમાંથી:
અંધાર રખોપું કરશે, ભાઈ ટાઢ ભૂલીને શેઢે ચોગમ
પગ બે એના ફરશે, ભાઈ
રાખીએ મીઠી મીટ : ભલે ને ડાંડ જતા મરજાદને લોપી
ઘરઢાળાં અમે નીકળ્યાં સાંજે સીમની માયા સીમને સોંપી

– મનોહર ત્રિવેદી

*

કવિશ્રી ઉદયન ઠક્કરની સમર્થ કલમે આ રચનાને આસ્વાદીએ:

આ ગોપકાવ્ય (પાસ્ટોરલ પોએમ) છે. ગીતની શરૂઆત અર્ધપંક્તિથી થાય છે: ‘ખેતરનાં સૌ કામ આટોપી.’ દિવસ આખો શરીરશ્રમ કર્યો હોય, તો સાંજ પડયે ટૂંકો ઉદ્વાર જ નીકળવાનો કે ‘હાશ, પરવાર્યાં…’ ઘર ગામમાં હોય ને ખેતર સીમમાં હોય. સાંજે ખેડૂતો ઘર ભણી ચાલતા થાય. ચાલવાનું હોય લાંબે સુધી, માટે બીજી પંક્તિ પહેલી પંક્તિ કરતાં વધારે લાંબી છે. ખેડૂતની સંપત્તિ એનું ખેતર, એની માયા તો હોય જ ને! પણ એની સાચવણી કરવા રોજેરોજ ઉજાગરા ન કરાય, કુદરત ઉપર ભરોસો રાખવો પડે, માટે કહે છે, ‘સીમની માયા સીમને સોંપી.’

ડાંગરનો છોડ પહેલાં રોપાય તેને ધરુ કહેવાય. તે થોડો મોટો થાય પછી ધરુને ધરુવાડિયામાંથી મૂળસોતો ઉખેડીને મધ્યમ કાળી નીચાણવાળી જમીનમાં (ક્યારીમાં) ફરી રોપવાનો હોય. કાવ્યનાયકને ખેતરની એટલી તો માયા છે કે તે ખેતીનાં કામકાજનું વર્ણન ઉમંગથી કરે છે. વેરેલાં બીજ ઝાલવા ધરુવાડિયું જાણે મોં ઉધાડે છે, રોપ સ્વીકારતી ક્યારીઓ ‘ઓલ્હો’નો ઉદ્રાર કરે છે. કાવ્યનાયક આનંદમાં છે, માટે આખું ખેતર તેને મલકતું દેખાય છે. આ ગીત જેને સંભળાવાય છે તે વ્યક્તિને પણ આનંદથી ‘વાલીડો’ કહેવાય છે. પાણી જેમાંથી વહી નીકળે તે ‘નીક.’ ઊગી નીકળેલા છોડને બીજી જગ્યાએ રોપવો એટલે ‘ચોપવું.’ ડાંગર, રીંગણી, લસણ અને મરચીથી શોભતું ખેતર ભાવકની આંખ સામે કળા કરે છે. કાવ્યનાયક ગીતના પહેલા અંતરામાં ખેતરની માયામાં બંધાયા પછી બીજા અંતરામાં માયાથી મુક્ત થતો દેખાય છે. તે રાતને સમયે ખેતરની ચોકી કરવા રોકાતો નથી. રાત પોતે જ આશ્વાસન આપે છે, ‘અંધાર રખોપું કરશે, ભાઈ.’ શેઢો એટલે ખેતરની હદ ફરતેની પાળી. અંધારના પગ રખેવાળની જેમ ચોગમ ફરતા હોય એ કેવી નવતર કલ્પના! કવિ અંધારને ચોર નહિ પણ ચોકીદારની સાથે સરખાવે છે. ડાંડ એટલે બાહુબલી કે લોંઠકા માણસ. વાડમાં છીંડું પાડીને એવા માણસો મર્યાદાને લોપે તોય કાવ્યનાયક સૌ પ્રત્યે સમદ્રષ્ટિથી જુએ છે.

આ ગીત ‘ખેડવું કેમ’ વિશે નથી, પણ ‘જીવવું કેમ’ વિશે છે, કુદરતના ન્યાયમાં કવિને વિશ્વાસ છે..

– ઉદયન ઠક્કર

Leave a Comment