આગ અંદરની આ પાણીથી કદી બૂઝાય નહિ,
આગ આ પ્રગટાવવામાં લોહીનું પાણી થયું.
મહેશ દાવડકર

જિગરનો યાર જુદો તો – બાળાશંકર કંથારિયા

( ગઝલ )

જિગરનો યાર જુદો તો, બધો સંસાર જુદો છે;
બધા સંસારથી એ યાર, બેદરકાર જુદો છે. ૦૧

અરે શું જાણશે લજ્જત, પવિત્રીમાં પડી રહેતાં?
પ્રિયાની પ્યાલીની મસ્તી તણો કંઈ બ્હાર જુદો છે. ૦૨

ગણું ના રાવ રાયાને, ગણું ના આખી દુનિયાને;
પરંતુ જાન આ પર પ્યારીનો અખ્ત્યાર જુદો છે. ૦૩

હજારો બોધ મંદિરો મહીં નિત્યે ભલે થાજો;
અમો મસ્તાનના ઉસ્તાદનો દરબાર જુદો છે. ૦૪

નથી તુજ બાપ માર્યો મેં, અરે મૂર્ખા કહાં નિંદે?
સમજ રે બેસમજ કે પ્રેમીનો આચાર જુદો છે. ૦૫

બધા પરકાર* તોફાને થઈ ચંચલ ચૂકે નિશાન;
અમારા ચિત્તનો ચારુ અચળ પલકાર જુદો છે. ૦૬

લીધો જે પંથ તે હું કેમ ત્યાગું? છો ભર્યો દુઃખે,
પ્રિયાનો માહરી ગરદન ઉપર આ ભાર જુદો છે. ૦૭

ઘડીભર બેશ બતલાવું શિખાવું પ્રેમનો જાદૂ;
અમો જાદૂગરોનો યાર, જો બાઝાર જુદો છે. ૦૮

શીખે જો પ્રેમ પૂરો તો જ અચળ અભેદ પામે તું;
નથી ત્યાં પ્રેમ જ્યાં છે ભેદ, એ વ્યવહાર જુદો છે. ૦૯

થશે શ્રીમંત ઇન્દ્રાદિ થકી, મુજ પંથ પર જાશે;
અરે એ કીમિયાનો યાર જો કંઈ બ્હાર જુદો છે. ૧૦

કરું શું મોતીમાલા હું? અનુપમ મારી પ્યારીએ,
કર્યો નક્ષત્રનો મારે ગળે શણગાર જુદો છે. ૧૧

ભલે છો માહરા પંથે બધા એ દુઃખને દેખે;
મને તો સુખસાગર લહેરીનો કંઈ બ્હાર જુદો છે. ૧૨

થયો જે પ્રેમમાં પૂરો, થયો છે મુક્ત સર્વેથી;
મહા મસ્તાન જ્ઞાનીના મગજમાં તાર જુદો છે. ૧૩

નજર મારી પ્રિયા વિના ન દેખે જગત આખે;
બીજાના બંધકારી પ્રેમનો તો જાર જુદો છે. ૧૪

ગુરુ આદેશ છે અમને અવળ પંથે પળ્યા જઈએ;
દુનિયાથી પછી આ બાલ બેદરકાર જુદો છે. ૧૫

– બાળાશંકર કંથારિયા

માત્ર ચાળીસ જ વર્ષના અલ્પાયુમાં પ્લેગના કારણે ક્ષરદેહ ત્યાગી જનાર બાળાશંકરનો ગુજરાતી ગઝલ પર બહુ મોટો પાડ છે. અરબી-ઉર્દૂની પકડમાં કેદ ગઝલને પહેલવહેલીવાર શુદ્ધ ગુજરાતીના વાઘાં પહેરાવવાનું શ્રેય એમના ફાળે જાય છે. ગઝલની ચુસ્ત ઈબારત અને શેરિયત –આંતર્બાહ્ય સૌંદર્ય – ઉભયની સાપેક્ષે એમની રચનાઓમાં આજે આપણને અનેકાનેક ક્ષતિઓ જડી આવશે, પણ ગઝલને ગુજરાતી બનાવવાનું ભગીરથ કાર્ય કરનાર આદ્ય ગઝલકારને આપણે આજે પણ પૂરેપૂરા માન-સન્માન સાથે જ યાદ કરવા રહ્યા… આજથી લગભગ ૧૪૦ વર્ષ પહેલાં લખાઈ હોવા છતાં એમની પંક્તિઓ આજેય સાચા ગુજરાતી કાવ્યરસિકોના હોઠે રમી રહી છે એ શું નાની સિદ્ધિ ગણાય?

(*પરકાર = હોકાયંત્ર. હેકાયંત્રને કે સમુદ્રમાં તેોફાન વખતે પિતાનું ઉત્તર તરફનું વલણ જરા ચૂકે છે. પરંતુ અમારા મનરૂપી હેકાયંત્રને કાંટે હંમેશાં સ્થિર અને અચળ રહે છે ઈતિ ભાવાર્થ, [કર્તા,])

1 Comment »

  1. Vrajesh Mistri said,

    June 17, 2026 @ 12:52 PM

    વાહ. સરસ છે

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment