મેઘલી રાતે – નિરંજન ભગત
મેઘલી રાતે,
વિરહની કોઈ વ્યાકુલ વાતે,
. કોણ ઝરે છે ગીત?
નથી સોણલાં સોનલરંગી,
મારે મારગ ના કોઈ સંગી;
તોય અજાણે,
પૂરવીને સૂર પાગલ પ્રાણે,
. કોણ ધરે છે પ્રીત?
છલકે આભે અંધારધારા,
મલકે છે બે નેનના તારા
પોપચાં ઓઠે;
હેતભર્યા બે તેજલ હોઠે
. કોણ કરે છે સ્મિત?
અવર એનું રૂપ ન ન્યાળું,
સીમ તો સકલ સૂની ભાળું;
નીરવ રાતે,
વિરહની કોઈ વ્યાકુલ વાતે,
. કોણ ઝરે છે ગીત?
– નિરંજન ભગત
ગીતનું મુખડું વાંચતા જ કવિવર ટાગોર યાદ આવી જાય… સુન્દરમનું ‘કોણ?’ પણ યાદ આવે. વાત આમ તો વિરહની મેઘલી રાતે ઝૂરતા એકલ હૈયાની છે, પણ આ વિરહનું મૂળ પ્રિયજન પણ હોઈ શકે અને સૃષ્ટિના સર્જનહાર માટેની ધખના પણ હોઈ શકે. હળવા મધુરા લયના તાંતણે સુમધુર પદાવલિઓના મોતી પરિવીને કવિએ સરસ મજાની કાવ્યમાળા રચી છે.
(સોનલરંગી=સોનેરી; પૂરવી=એક રાગિણીનું નામ; ઓઠે=હેઠળ; તેજલ=તેજવાળું; અવર=બીજું)

