હરિ! સાંજ ઢળશે!
ફરી સાંજ ઢળશે!
પછી એક સાંજે,
ખરી સાંજ ઢળશે!
– હર્ષા દવે

મેઘલી રાતે – નિરંજન ભગત

મેઘલી રાતે,
વિરહની કોઈ વ્યાકુલ વાતે,
.                   કોણ ઝરે છે ગીત?

નથી સોણલાં સોનલરંગી,
મારે મારગ ના કોઈ સંગી;
તોય અજાણે,
પૂરવીને સૂર પાગલ પ્રાણે,
.                   કોણ ધરે છે પ્રીત?

છલકે આભે અંધારધારા,
મલકે છે બે નેનના તારા
પોપચાં ઓઠે;
હેતભર્યા બે તેજલ હોઠે
.                   કોણ કરે છે સ્મિત?

અવર એનું રૂપ ન ન્યાળું,
સીમ તો સકલ સૂની ભાળું;
નીરવ રાતે,
વિરહની કોઈ વ્યાકુલ વાતે,
.                   કોણ ઝરે છે ગીત?

– નિરંજન ભગત

ગીતનું મુખડું વાંચતા જ કવિવર ટાગોર યાદ આવી જાય… સુન્દરમનું ‘કોણ?’ પણ યાદ આવે. વાત આમ તો વિરહની મેઘલી રાતે ઝૂરતા એકલ હૈયાની છે, પણ આ વિરહનું મૂળ પ્રિયજન પણ હોઈ શકે અને સૃષ્ટિના સર્જનહાર માટેની ધખના પણ હોઈ શકે. હળવા મધુરા લયના તાંતણે સુમધુર પદાવલિઓના મોતી પરિવીને કવિએ સરસ મજાની કાવ્યમાળા રચી છે.

(સોનલરંગી=સોનેરી; પૂરવી=એક રાગિણીનું નામ; ઓઠે=હેઠળ; તેજલ=તેજવાળું; અવર=બીજું)

Leave a Comment